Opinion Magazine
Number of visits: 9663567
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —315

દીપક મહેતા|Opinion - Opinion|16 November 2025

જ્યારે મુંબઈ હતું ટાઉન હોલ વગરનું ટાઉન         

સોમવાર, ૨૬ નવેમ્બર ૧૮૦૪

સમય : સાંજના ચાર  

સ્થળ : પરળમાં આવેલો મુંબઈના નામદાર ગવર્નરનો બંગલો

ગવર્નર્સ હાઉસ, પરળ

આમ તો અહીં રોજ સરકારી અધિકારીઓની આવન-જાવન ચાલુ હોય. પણ આજે કૈંક વધુ હતી. કેટલાક અફસરો પાલખીમાં બેસીને આવ્યા હતા. તેમને દરવાજે ઉતારીને પાલખીઓ થોડે દૂર રાખેલી જગ્યાએ જઈને ઊભી રહેતી. તો કેટલાક અધિકારીઓ બે ઘોડાની ગાડીમાં આવ્યા હતા. એમની ગાડીઓને ઊભી રાખવા માટે પણ થોડે દૂર અલગ જગ્યા હતી. તો કેટલાક અફસરો – ખાસ કરીને લશ્કરના – ઉમદા જાતવાન ઘોડા પર સવાર થઈને આવ્યા હતા. તેમના ઘોડાઓને પણ થોડે દૂર અલાયદી જગ્યામાં લઈ જઈને રાખ્યા હતા. આ બધા આવ્યા હતા નામદાર ગવર્નર જોનાથન ડંકનના નોતરાને માન આપીને. ડંકનનો જન્મ ૧૭૫૬ના મે મહિનાની ૧૫મી તારીખે. ૧૭૯૫ના ડિસેમ્બરની ૨૭મી તારીખે બોમ્બેના ગવર્નર બન્યા. પૂરાં ૧૬ વરસ એ હોદ્દા પર રહ્યા. ૧૮૧૧ના ઓગસ્ટની ૧૧મી તારીખે મુંબઈમાં જ તેમનું અવસાન થયું ત્યાં સુધી ગવર્નરના હોદ્દા પર રહ્યા. રાજકારણ ઉપરાંત હિન્દુસ્તાનના લોકો અને તેમની રહેણીકરણી, વિચારો વગેરેમાં હતો રસ. મુંબઈના બહુ જૂના રસ્તાઓમાંના એક રસ્તા સાથે તેમનું નામ જોડાયું હતું : ડંકન રોડ. આ રસ્તો એ વખતના બેલાસિસ રોડ અને ફોકલેન્ડ રોડને જોડતો હતો. આ ઉપરાંત મુંબઈમાં હતા ડંકન કોઝવે (સાયન કોઝવે), ડંકન ડોક (કોટ વિસ્તારમાં) અને ડંકન માર્કેટ (શેખ મેમણ સ્ટ્રીટમાં આવેલી). નવાઈની વાત એ છે કે વખતોવખતની ‘અંગ્રેજોનાં નામ હટાવો’ની ઝુંબેશ ચાલતી હોવા છતાં આજ સુધી ‘ડંકન રોડ’ અને ‘ડંકન ડોક’ એ બે નામ બચી ગયાં છે.  

ગવર્નર જોનાથન ડંકન (ચિત્ર)

એ વખતે મુંબઈની સર્વોચ્ચ અદાલત ‘રેકોર્ડર્સ કોર્ટ’ તરીકે ઓળખાતી. તેના જજ હતા સર જેમ્સ મેકિનટોશ. જન્મ ૧૭૬૫ના ઓક્ટોબરની ૨૫મી તારીખે. અવસાન ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે. ગજબની ખોપડી! પહેલાં ડોક્ટરનું ભણ્યા, પછી કાયદો ભણી બેરિસ્ટર થયા, અખબારોમાં પત્રકાર તરીકે કામ કર્યું, પ્રોફેસર બન્યા, ફ્રેંચ રેવોલ્યુશન વિષે ઊંડા અભ્યાસ પછી પુસ્તક લખ્યું. દાક્તરી છોડી વકીલ બન્યા. સર સાહેબ બન્યા પછી બોમ્બેની રેકોર્ડર્સ કોર્ટ’ના જજ નિમાયા. મુંબઈથી સ્વદેશ પાછા ગયા પછી ૧૮૧૩માં ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય બન્યા. ૧૮૧૮થી ૧૮૨૪ સુધી કાયદાના પ્રોફેસર બન્યા. ૧૮૩૦માં તેમની નિમણૂક ‘કમિશનર ફોર ધ અફેર્સ ઓફ ઇન્ડિયા’ તરીકે થઈ. પણ પછી એક દિવસ ઘરે જમવા બેઠા હતા. ચિકનનો સ્વાદ માણતા હતા. પણ કમનસીબે ચીકનનું હાડકું ગળામાં અટકી ગયું. શ્વાસ બંધ. તાબડતોબ હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન તો કર્યું, અને ગળામાં અટકેલું હાડકું કાઢી નાખ્યું. પણ એ પછી તેમણે પથારી ન છોડી. ૧૮૩૨ના મે મહિનાની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. 

સર જેમ્સ મેકિનટોશ

આ જજ મેકિનટોશે નામદાર ગવર્નર ડંકનને સૂચન કર્યું કે જે દેશ પર આપણે રાજ કરીએ છીએ તેના લોકો, તેમનાં ઇતિહાસ, સંસ્કૃતિ, સાહિત્ય અને બીજી કલાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેમાં જેમને રસ હોય તેવા અંગ્રેજોની એક મંડળી શરૂ કરવી જોઈએ. આ મંડળીના સભ્યો હિન્દુસ્તાન વિષે અભ્યાસ કરે, તેના વિષે ભાષણો કરે, લેખો લખે. ગવર્નરસાહેબને ગળે આ વાત શીરાના કોળિયાની જેમ ઊતરી ગઈ. અને કહે કે આવો રસ ધરાવતા બધાને ગવર્નર હાઉસમાં બોલાવીને એક મંડળી શરૂ કરીએ. આવા લોકોની યાદી બનાવી મેકિનટોશે, નોતરાં મોકલ્યાં ગવર્નર ડંકને. 

ગવર્નરનાં ટૂંકા આવકાર પછી મેકિનટોશે પોતાની દરખાસ્ત રજૂ કરી. હાજર રહેલા સૌએ તેને વધાવી લીધી. પણ કોઈએ પૂછ્યું : આ મંડળીનું નામ શું રાખશું? મેકિનટોશ : ‘લિટરરી સોસાયટી ઓફ બોમ્બે.’ હા, હિન્દુસ્તાનની આ પ્રકારની આ પહેલી સોસાયટી નહોતી. વીસ વરસ પહેલાં સર વિલિયમ જોન્સે કલકતામાં ધ એશિયાટિક સોસાયટી ઓફ બેન્ગાલ શરૂ કરી હતી. 

મેકિનટોશે સ્થાપેલી સોસાયટીએ પહેલું કામ કર્યું અગાઉ શરૂ થયેલી લાઈબ્રેરી ખરીદવાનું. ૧૭૮૯માં શરૂ થયેલી એ લાઈબ્રેરીમાં મુખ્યત્વે વૈદક અને સાહિત્યનાં પુસ્તકો હતાં. આ મંડળીના સભ્યો અવારનવાર મેકિનટોશને ઘરે મળતા, પોતાનાં સંશોધનો વિષે ચર્ચા કરતા કે ‘પેપર’ વાંચતા. વાત હિન્દુસ્તાનની કરતા, પણ સોસાયટીમાં કોઈ હિન્દુસ્તાની દાખલ થઈ શકતો નહિ. સોસાયટી હતી માત્ર ગોરા અભ્યાસીઓ માટે. 

પોતાની જગ્યા વગર સોસાયટી ફૂલીફાલી નહિ શકે એ વાત મેકિનટોશ બરાબર જાણતા હતા. પણ એ માટે યોગ્ય તકની રાહ જોતા હતા. પશ્ચિમના દેશોમાં, ખાસ કરીને યરપના દેશોમાં, નાના-મોટા શહેરોમાં ટાઉન હોલનું ઘણું મહત્ત્વ. યરપનો સૌથી જૂનો ટાઉન હોલ ઇટલીના રોમમાં બંધાયો હતો, ઈ.સ. ૧૧૪૪માં. અલબત્ત, પછીથી વખતોવખત તેમાં સુધારા-વધારા થતા રહ્યા. જ્યારે એને લગભગ નવેસરથી બાંધવાનું નક્કી થયું ત્યારે તેની ડિઝાઈન બનાવી હતી બીજા કોઈએ નહિ, ખુદ માઈકલ એન્જેલોએ. મેકિનટોશ બોમ્બે આવ્યા ત્યાં સુધી જેને ખરા અર્થમાં ટાઉન હોલ કહી શકાય એવું કશું મુંબઈમાં નહોતું. કોક સરકારી મકાનમાં એકાદ મોટો ઓરડો ખાલી પડ્યો હોય તો તેને ‘ટાઉન હોલ’ નામ આપી દેતા. મોટે ભાગે જે મકાનમાં કોર્ટ હોય તે મકાનમાં આવો કોઈ ઓરડો હોય તેને ટાઉન હોલ નામ આપી દેતા.

યરપનો સૌથી જૂનો ટાઉન હોલ, રોમ. સ્થપતિ માઈકલ એન્જેલો

૧૮૧૧ના ઓક્ટોબરની ૧૦મી તારીખે જજ મેકિનટોશે મુંબઈ સરકારને એક પત્ર લખ્યો : “બોમ્બેમાં વસતા અગ્રણી બ્રિટિશ લોકોની લાગણી અને માગની રજૂ કરવા આ પત્ર આપને લખી રહ્યો છું. મુંબઈ શહેર બીજી ઘણી બાબતોમાં સમૃદ્ધ છે. પણ અહીં એક બહુ મોટી ખોટ છે. જ્યાં શહેરના લોકોની સભાઓ ભરી શકાય, કે જ્યાં તેમને માટે મનોરંજનના કાર્યક્રમો ગોઠવી શકાય એવી જગ્યા, એટલે કે ‘ટાઉન હોલ’ની ખોટ ઘણા લાંબા સમયથી વરતાય છે. બ્રિટિશ સામ્રાજ્યના એક ઝળકતા તારા જેવા મુંબઈ શહેર માટે આ હકીકત લાંછનરૂપ ગણાય. અત્યારે એવો સમય છે અને એવી તક છે કે જો સરકાર સહાય કરવા તૈયાર થાય તો મુંબઈ જેવા શહેરને શોભે એવો ટાઉન હોલ બાંધી શકાય. આવો ટાઉન હોલ બાંધવા પાછળ એક લાખ રૂપિયા (પ્રિય વાચક, આ છાપભૂલ નથી જ) જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી રકમ કઈ રીતે ઊભી કરવી એ અંગે પણ અમે વિચાર્યું છે. ૧. કોટન ગ્રીનમાં માર્ક્વીસ કોર્નવોલીસનું પૂતળું ઊભું કરવા માટે એક સમિતિ રચાઈ હતી. એ પૂતળું બનાવરાવ્યા પછી સમિતિ પાસે જે રકમ વધી છે તેમાંથી તેઓ ટાઉન હોલની ઈમારત બાંધવા માટે ૨૦ હજાર રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત, એવી શરત સાથે કે એ પૂતળું ટાઉન હોલમાં મૂકવામાં આવે. લિટરરી સોસાયટી ઓફ બોમ્બે પણ ટાઉન હોલ બાંધવા માટે દસ હજાર રૂપિયા આપવા તૈયાર છે. અલબત્ત, બદલામાં તેની ઓફિસ અને લાઈબ્રેરી માટે ટાઉન હોલમાં જગ્યા ફાળવવાની શરતે. ૩. છેલ્લાં કેટલાંક વરસથી મુંબઈ સરકાર કલકત્તા સરકારની ૪૦૦ રૂપિયાની લોટરી દર વરસે ખરીદે છે. આ રકમ કલકત્તા શહેરના વિકાસ પાછળ ખરચાય છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને કલકત્તા સરકાર ફક્ત એક વખત તેની લોટરીની આવકમાંથી મહીને એક હજાર રૂપિયા લેખે વીસ મહિનામાં વીસ હજાર રૂપિયા રાજીખુશીથી મુંબઈ સરકારને આપશે એમ અમે માનીએ છીએ. ૪. આ ઉપરાંત મુંબઈ સરકાર પણ ઉદારતાપૂર્વક પોતાના ફાળા તરીકે દસ હજાર રૂપિયા આપશે એવી અમે આશા રાખીએ છીએ. અત્યારે જો આટલી રકમની વ્યવસ્થા થઈ જાય તો ટાઉન હોલનું બંધકામ તરત જ શરૂ થઈ શકે તેમ છે. બ્રિટિશ સામ્રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો કરે તેવી તેની ડિઝાઈન મેજર કૂપર તૈયાર કરી આપશે અને ટાઉન હોલના બાંધકામ પર પણ તેઓ પોતે દેખરેખ રાખશે. મારી આ દરખાસ્તનો સવેળા જવાબ આપના તરફથી મળશે એવી આશા રાખવામાં હું કોઈ અવિનય કરતો નહિ હોઉં એમ માનું છું.” 

મેકિનટોશે આશા રાખી હતી તેમ ૧૮૧૧ના ઓક્ટોબરની ૧૫મી તારીખે મુંબઈ સરકારે આ પત્ર વિચારણા માટે હાથ ધર્યો. વિચારણા કર્યા પછી ભલામણ સાથે કલકત્તાના ફોર્ટ વિલિયમ ખાતે ગવર્નર જનરલને મોકલી આપ્યો. (એ વખતે કલકત્તા સરકારના વડા હિન્દુસ્તાનના ગવર્નર જનરલનો હોદ્દો પણ ધરાવતા, અને બોમ્બે અને મદ્રાસના ગવર્નર તેમના હાથ નીચે ગણાતા.) ૧૮૧૧ના ડિસેમ્બરની ૧૦મી તારીખે મુંબઈ સરકારને જવાબ આપતા પત્રમાં ગવર્નર જનરલે લખ્યું કે આપની દરખાસ્ત પર અમે પૂરેપૂરી સહાનુભૂતિપૂર્વક વિચાર કર્યો છે. પણ અત્યારે દર મહીને જેટલી લોટરી ટિકિટ વેચાય છે તેના કરતાં વધુ ટિકિટ વેચી શકાય એમ અમને લાગતું નથી. અને એટલે બોમ્બેના ટાઉન હોલના બંધકામ માટે અમે કોઈ રકમ ફાળવી શકીએ એમ નથી. 

કલકત્તા સરકારે પૈસા આપવા અંગે નનૈયો ભણી દીધો છે એ ખબર ફેલાયા પછી ૧૮૧૨ના એપ્રિલની ૧૧મી તારીખે મેસર્સ ફોર્બ્સ એન્ડ કંપની અને મેસર્સ બ્રૂસ ફોસેટ એન્ડ કંપનીએ સાથે મળીને મુંબઈ સરકારને એક પત્ર લખી ટાઉન હોલના ખર્ચને પહોંચી વળવા માટે લોટરી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી. દર મહિનાની પહેલી તારીખે એક સો રૂપિયાની કિમતની ૨,૪૦૦ લોટરી બહાર પાડવી અને તેમાંથી પહેલું ઇનામ એક લાખ રૂપિયાનું (એ વખતે ઘણી મોટી રકમ) અને બીજાં ઓછી રકમનાં ઇનામ આપ્યા પછી બાકીની બધી રકમ ટાઉન હોલના બાંધકામ માટે વાપરવી. 

આ દરખાસ્ત અંગે વિચાર કર્યા પછી મુંબઈ સરકારે બે વરસ માટે તે સ્વીકારી અને લોટરીના આયોજન પર દેખરેખ રાખવા વિલિયમ ટેલર મની, રિચાર્ડ ટોરીન, ઓ. વૂડહાઉસ, જેમ્સ ગાથર્ન રેમિન્ગટન, જોન કે, અને વિલિયમ …ની કમિશનર્સ તરીકે નિમણૂક કરી. અલબત્ત, સરકારે ઇનામોની સંખ્યામાં થોડો ઘટાડો કર્યો. પહેલી લોટરીને ધાર્યા કરતાં ઘણી વધુ સફળતા મળી. એટલે થોડા વખત પછી બીજી વખત લોટરી બહાર પડાઈ. પણ તે દરમ્યાન સરકારના જ કેટલાક અધિકારીઓએ નૈતિક કારણોને લીધે સરકાર લોટરી બહાર પાડે એ સામે વાંધો લીધો. તો કેટલાકે લોટરીના ખરચ અંગેના હિસાબો અંગે શંકા વ્યક્ત કરી. ખાસ્સી લાંબી ચાલેલી ચર્ચાને અંતે લોટરી માટે રચાયેલી કમિટિએ લોટરી છાપામાં જાહેર ખબર છપાવીને લોટરી ખરીદનારાઓને પૈસા પાછા આપી દીધા! એટલે ટાઉન હોલ બાંધવાની દરખાસ્ત હતી ત્યાંની ત્યાં. 

તો પછી ટાઉન હોલ બંધાયો કઈ રીતે? એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 15 નવેમ્બર 2025 

Loading

યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 November 2025

“આપણી સ્ત્રીઓમાં એવી અનેક ચીજો છે કે જે મને દુઃખી કરે છે. જોને, આ પુરુષો આપણને નકામી સમજે છે.” – અંબા 

“હા, આપણે ખરેખર છીએ.” – અંબાની એક સાથી મહિલા.

આવા એક સંવાદથી શરૂ થતું નાટક ‘અંબા’ ગઈ કાલે સાંજે મેં મુંબઈમાં જુહુ ખાતે આવેલા વિખ્યાત પૃથ્વી થિયેટરમાં જોયું.

યુદ્ધગ્રસ્ત બે રાજ્યો વચ્ચે યુદ્ધ રોકવા માટે આ નાટકમાં કામવાસનાનો ઉપયોગ સ્ત્રીઓએ કર્યો છે. શાંતિ અને સૌહાર્દ ઝંખતી અંબા નામની એક સ્ત્રી બંને રાજ્યોની સ્ત્રીઓને એકત્ર કરે છે અને તેમને યુદ્ધખોર પુરુષો સામે બંડ પોકારવાનું કહે છે. તેમનું સાધન છે સેક્સ, જાતીય ઇચ્છા. અને એની હડતાળ!

સ્ત્રીઓ નક્કી કરે છે કે તેઓ પોતાની કામેચ્છાને વશમાં રાખવાનો પ્રયાસ કરશે અને પુરુષોને તેમની કામેચ્છાના સંતોષથી વંચિત રાખશે. એમ કરીને તેઓ યુદ્ધને રોકશે. અંતે તેમાં તેઓ સફળ થાય છે.

અંબા બધી સ્ત્રીઓની નેતા તરીકે કહે છે કે જો બે રાજ્યોના પુરુષો શાંતિ માટે કરાર કરવા સંમત થાય તો જ કામેચ્છાનો સંતોષ, નહીં તો નહીં. અને છેવટે પુરુષો એ વાત સ્વીકારે છે. 

આ નાટકમાં સ્ત્રીઓ કંઈક આવા શબ્દોમાં ઘણુંબધું બોલે છે : 

“તમે તો યુદ્ધમાં મરી જાવ છો, પછી અમારી શી હાલત થાય છે તેની તમને ખબર છે?”

“આ યુદ્ધ તો રાજાઓ માટે થાય છે, તમે તો હથિયાર છો એમનું.”

“અમે યુદ્ધનો વિરોધ કરીએ તો રાજા કહેશે કે તમે દેશદ્રોહી છો. ભલે કહે. એ તો એમ જ કહે ને. એને બીજું આવડે શું?”

મૂળ નાટક તો ઇ.સ. પૂર્વે ૪૦૦ના સમયમાં થઈ ગયેલા એરિસ્ટોફેન્સ નામના એક ગ્રીક નાટકકાર દ્વારા લખાયું છે કે જે પ્રહસન નાટકોના પિતા તરીકે પાશ્ચાત્ય જગતમાં જાણીતા છે. એ નાટકનું નામ છે: લીસિસ્ટ્રેતા. તે જમાનાના એથેન્સના ભદ્રલોકને એ નાટક પસંદ પડ્યું નહોતું અને તે ભજવવા પર પણ રાજાએ પ્રતિબંધ મૂક્યો હતો. 

આ નાટકને હિંદી-બુંદેલી મિશ્ર ભાષામાં લઈ આવનાર છે અતુલ કુમાર અને કુમુદ મિશ્રા.

અદ્ભુત સંવાદો સાથે ભારતની આજની સ્થિતિને ‘અંબા’ નાટકમાં આબેહૂબ વણી લેવાઈ છે. માલેતુજાર લોકોનાં દેવાં માફ કરવાની અને શોષણની વ્યવસ્થાનો ભોગ બનતા સામાન્ય લોકોની વાત એમાં શબ્દો ચોર્યા વિના કહેવાઈ છે, મૂળ નાટકને સહેજ પણ હાનિ ન પહોંચે તે રીતે. કારણ કે અદ્ભુત હાસ્ય અને કટાક્ષો સાથે મૂળ લેખક પણ એ જ વિભાવના રજૂ કરે છે.

આમ તો ભારતમાં એક હિંદુ દેવી તરીકે અંબા કે દુર્ગા એટલે અનેક હાથોમાં શસ્ત્રોવાળી દેવી કે જેનું સર્જન ખુદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કરેલું. પણ અહીં અંબાને મારામારી, યુદ્ધ કે હિંસા ખપતાં નથી, શાંતિ જોઈએ છે! નાટકનું નામ યોગ્ય જ છે. અંબા દેવીને અહિંસક બનાવી દીધી નાટકકારે; કે જેમ મહાત્મા ગાંધીએ સત્ય=અહિંસા=ઈશ્વર=રામ કહીને ધનુષધારી ભગવાન રામને અહિંસક બનાવી દીધા હતા તેમ! અદ્ભુત!

હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોને માત્ર પુખ્ત વયના દર્શકો માટેનું આ દોઢ કલાકનું હાસ્ય અને વ્યંગથી ભરપૂર નાટક તેના કેટલાંક સંવાદો અને દૃશ્યોને કારણે અભદ્ર ચોક્કસ લાગે, પણ એમને સમાજમાં ચાલુ અને નરી આંખે દેખાતી પિતૃસત્તાક અભદ્રતા દેખાતી નથી એ આ નાટક છતું કરે છે.

તા.૧૫-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સમાધાનોમાં સુખનું સરનામું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 November 2025

અંધારામાં પ્રકાશ …

રાજ ગોસ્વામી

19મી સદીના અમેરિકામાં ઓહાયો રાજ્યમાં મિલાન ગામમાં જન્મેલા એક બાળકને અંધકારથી ખૂબ જ ડરતો લાગતો હતો અને રાત્રે તે પોતાના ઘરમાંથી બહાર નીકળવાની હિંમત પણ નહોતો કરતો. 

તે નાનો હતો ત્યારે તેના ગામ પાસેથી એક નવી રેલવે લાઈન નંખાઈ હતી. તે અત્યંત જીજ્ઞાસાથી ટ્રેનના એન્જીનને જોઈ રહેતો. રાત્રે અંધારામાં તેને ટ્રેન પસાર થતી હોવાનો અવાજ સંભળાતો. તે દિવસે અખબાર વેચતો હતો અને સમય મળે લાઈબ્રેરીમાં જઇને પુસ્તકો વાંચતો હતો.

અંધારાના ડરના કારણે તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી વખત તેના કામમાં નિષ્ફળ થવું પડ્યું હતું. 

એવી રીતે તે મોટો થયો હતો. તેનું દિમાગ એક સંશોધકનું હતું અને તેણે જાતભાતની ચીજો બનાવી હતી. તેમાંની એક હતી ટંગસ્ટન ફિલામેન્ટના ઉપયોગથી સળગતો લાઈટ બલ્બ. 

જી, હા. ફિલામેન્ટની શોધ કરનારા આ બાળકનું નામ હતું થોમસ અલ્વા એડિસન. તેણે લગભગ 1,000 નિષ્ફળ પ્રયાસો પછી બલ્બની શોધ કરી હતી. તેના સમયમાં, ગેસ અને કેરોસીનથી ચાલતા બલ્બો ઉપલબ્ધ હતા, પરંતુ માથા પર લટકતો હોય અને ઓછા કરંટથી ચાલતો હોય તેવો બલ્બ બનાવાનું શ્રેય તેને જાય છે.

1931માં, ન્યુજર્સીમાં તેનું અવસાન થયું, ત્યારે તેના એ વિશાળ ઘરમાં દરેક રૂમ લાઈટ બલ્બથી ઝળહળી રહ્યા હતા. એડિસનનો જન્મ અંધકારમાં થયો હતો અને મૃત્યુ પ્રકાશમાં થયું હતું.

***

અંગ્રેજીમાં એક જૂની અને જાણીતી કહેવત છે; આવશ્યકતા એ આવિષ્કારની જનની છે. માણસો જ્યારે જંગલમાં રહેતા હતા અને તેમને બચાવ કરવાની કે શિકાર કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ, ત્યારે તેમણે તીર-કામઠાં, ભાલા કે તલવારની શોધ કરી હતી.

માણસોને જ્યારે પકાવેલું ખાવાની જરૂરિયાત ઊભી થઇ, ત્યારે તેમણે અગ્નિની શોધ કરી. તેમને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જવાની જરૂર લાગી, ત્યારે તેમણે પૈંડાની રચના કરી. તેમને રાતનું અંધારું દૂર કરવાનું ઉપયોગી લાગ્યું, ત્યારે તેમણે દીવા, ફાનસ અને બલ્બનું નિર્માણ કર્યું.

આપણા રોજિંદા જીવનનાં જેટલાં પણ આવશ્યક કાર્યો છે, તેની શોધ ત્યારે થઈ જ્યારે આપણને તેની જરૂરિયાતનો અનુભવ થયો હતો. 

થોડા વખત પહેલાં, એક અંગ્રેજી સમાચારપત્રમાં, ફેવિકોલ બનાવતી કંપનીના ગુજરાતી માલિક બળવંત રાય પારેખનો પરિચય આવ્યો હતો. તેમાં એક સરસ વાત લખી હતી કે સામાન્ય રીતે અધેસિવ અને સીલન્ટ જેવાં કન્સ્ટ્રકશન તેમ જ ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ બનાવતી કંપનીનો ઉલ્લેખ બહુ બહુ તો કોમર્સિયલ હેન્ડબુક્સમાં હોય અથવા સુથારીઓ કે મિસ્ત્રીઓને તેની ખબર હોય, પરંતુ બલવંત રાયની પિડિલાઈટ એક માત્ર એવી કંપની છે, જે તેની ફેવિકોલ અને એમસીલ જેવી બ્રાન્ડ્સ મારફતે માર્કેટમાં આગેવાન બની ગઈ એટલું જ નહીં, તેનું નામ ભારતમાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું.

આજે કોઈને ખ્યાલ પણ ના આવે કે ઘેર-ઘેર છોકરાઓના સ્ટડી ટેબલોના ખાનામાં અચૂક જોવા મળતી ફેવિકોલની ટ્યુબ, એક સમયે મુંબઈના સુથારીઓને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી હતી. ફેવિકોલને આટલું માન-પાન આપવાની આ સિદ્ધિ બલવંત રાયે તેમની આગવી માર્કેટિંગ શૈલીથી હાંસલ કરી હતી. 

75 વર્ષ થઇ ગયાં એ વાતને. 1959માં તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તે 7,000 કરોડની બની ગઈ છે. તેમનું ફેવિકોલ રોજના 29 કરોડનું વેચાણ કરે છે. ફેવિકોલની આ મજબૂતી પાછળ એક ગુજરાતી સાહસિકનું ભેજું છે. કોણ છે આ બળવંતરાય પારેખ?

ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુઆ શહેરમાં 1925માં જન્મેલા બલવંત રાય કલ્યાણજી પારેખનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ વકીલ બને. તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યા હતા. અહીં તેઓ મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા હતા. કાયદાનું તો ભણ્યા, પણ વકીલ ના બન્યા. તેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો. 

આ દરમિયાન, તેઓ લાકડાના વેપારીની કચેરીમાં પ્યૂન બન્યા, જ્યાં તેઓ તેમની પત્ની સાથે વેરહાઉસમાં રહેતા હતા. પરંતુ બળવંત રાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા, તેથી તેમણે મોહન નામના રોકાણકારની મદદથી પશ્ચિમી દેશોમાંથી ભારતમાં સાયકલ, સોપારી અને કાગળના રંગોની આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો.

આ કામની વચ્ચે એક જર્મન કંપની હોચેષ્ટ તેમના સંપર્કમાં આવી. એમાં બલવંતભાઈને જર્મની જવાની તક મળી. ત્યાં તેઓ ઘણું શીખ્યા. જર્મનીથી પરત ફરીને તેમના ભાઈ સાથે ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની શરૂ કરી. તેમની કંપની મુંબઈમાં જેકબ સર્કલ ખાતે રંગો, ઔદ્યોગિક રસાયણો, રંગદ્રવ્ય મિશ્રણ એકમના ઉત્પાદન અને વેપારમાં સંકળાયેલી હતી. 

તેમણે લાકડાં વચ્ચે ઘણો સમય પસાર કર્યો હતો. તેમણે જોયું હતું કે લાકડાંને ચોંટી રહેવામાં બહુ સમય લાગે છે. તે જોતા હતા કે ફર્નિચર બનાવતા સુથારીઓને એમાં બહુ અગવડ પડતી હતી અને તે જે ફર્નિચરો તૈયાર કરતા હતા તેનાં લાકડાં જલદી ઉખડી પણ જતાં હતાં. 

એટલે તેમણે એક એવો ગુંદર બનાવવાનું શરૂ કર્યું જે અંતે ફેવિકોલ નામથી પ્રખ્યાત થયો. ફેવિકોલ આવી તે પહેલાં, ફર્નિચર ચોંટાડવા માટે પ્રાણીઓની ચરબીમાંથી ગુંદર બનાવામાં આવતો હતો. એમાં સુથારનો આખો દિવસ જતો હતો. તે પછી પણ તે ટકાઉ નહોતો અને તેમાંથી દુર્ગંધ આવતી હતી. બળવંત રાયે આ સમસ્યાના ઉકેલ વિશે વિચાર્યું હતું.

ફેવિકોલે લાકડાંનું કામ કરતા કારીગરોના કામને સરળ બનાવી દીધું. બળવંત રાયે સૌથી પહેલાં ફેવિકોલને સીધું સુથારને વેચવાનું શરૂ કર્યું હતું. આની પાછળનો તેમનો તર્ક એવો હતો કે ગ્રાહકો જ્યારે સોફા, ટેબલ અથવા દરવાજો ખરીદે અથવા બનાવડાવે, ત્યારે તેમને એ ચિંતા નથી હોતી કે તેમાં કયો ગુંદર વાપર્યો છે. તેઓ તો સુથાર કહે તે સામાન લાવી આપતા હતા અથવા સુથાર જે સૂચવે તે ચલાવી લેતા હતા.

બળવંત રાયને ખ્યાલ આવ્યો કે આ ધંધામાં સૌથી મહત્ત્વની કડી સુથાર છે. સુથારને જો સાધી લઈએ તો ફેવિકોલનું બજાર ઊભું થાય. એટલે તેમણે સુથારીઓને નિશાન બનાવ્યા અને એક-એક સુથારીઓ સુધી ફેવિકોલ પહોંચાડ્યું. ધીમે ધીમે, તેમની આ રીત સફળ થઈ અને ફેવિકોલ માટે એક મોટું બજાર બની ગયું.

બલવંત રાય સુથારીઓને ખુશ રાખતા હતા. તેમની સાથે બેઠકો કરતા, તેમને ચા-નાસ્તો કરાવતા, તેમને યાત્રાસ્થળોએ મોકલતા, તેમના માટે પતંગ સ્પર્ધા યોજતા. તેમણે એ રીતે સુથારીઓને નવા પ્રકારના ગુંદરનો ઉપયોગ કરવાનું શીખવાડ્યું હતું. 

તે તેમની પાસેથી ફીડબેક પણ મેળવતા હતા. એકવાર એક સુથારીએ તેમને કહ્યું કે ફર્નિચર પર પાણી લાગે તો સમસ્યા થાય છે, ત્યારે તેમણે ફેવિકોલ મરીન બનાવ્યું. સુથાર સાથે મળીને તેમણે નવું ઉત્પાદન શરૂ કર્યું અને તેના દ્વારા તેનું માર્કેટિંગ કર્યું.

પાછળથી કંપનીનું નામ બદલીને પિડિલાઇટ કરવામાં આવ્યું હતું. કંપનીએ તે પછી ક્યારે ય પાછળ વળીને જોયું નહીં. બદલાતી દુનિયા સાથે, ફેવિકોલથી લઈને ફેવિકવિક સુધીની ચીજો બનાવવાની શરૂઆત થઈ. આ ઉપરાંત કંપની એમસીલ જેવી ઘણી પ્રોડક્ટ્સ બજારમાં લાવી હતી.

પિડિલાઈટ કંપનીની વેબસાઈટ પર, બલવંતરાયના પરિચયમાં લખવામાં આવ્યું છે કે તેમને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું એક વિધાન ગમતું હતું; હું દિવસમાં અનેક વખત મને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન બીજા જીવિત કે મૃત લોકોના પરિશ્રમ પર નિર્ભીત છે, અને મારે એટલા જ પ્રમાણમાં પાછું આપવા માટે પ્રયાસ કરવો જોઈએ જેટલા પ્રમાણમાં મને પ્રાપ્ત થયું છે અને હજુ થઇ રહ્યું છે.

1934માં જર્મનમાં અને 1954માં અંગ્રેજીમાં પ્રકાશિત, આઇન્સ્ટાઇનના પુસ્તક ‘ધ વર્લ્ડ એઝ આઈ સી ઈટ’માં આ વિધાન છે. આઇન્સ્ટાઇન તેમાં એમ કહેવા માંગતા હતા કે માનવ જીવનની બુનિયાદ પારસ્પરિક સંબંધ અને નિર્ભરતા છે. 

કેવું કહેવાય છે કે બળવંતરાય માનતા હતા કે અંગત જીવન હોય કે વ્યવસાયિક, તે એક બીજાના સહકાર અને આદાનપ્રદાન પર જ પ્રગતિ કરે છે, અને તેમની ફેવિકોલ બ્રાન્ડ પણ ચીજવસ્તુઓને જોડવાનો દાવો કરે છે. વ્યક્તિનું હોય કે વસ્તુનું, જીવન અંતે તો આવી જુગલબંધીઓનું જ પરિણામ છે. તેમને સુથારીઓની સમસ્યામાં અવસર દેખાયો હતો.

બળવંત રાય પારેખની આ કહાનીમાંથી એક મહત્ત્વનો બોધપાઠ એ છે કે જીવનમાં અવસરો અને સફળતા સમસ્યાઓને ઓળખવામાં અને તેનાં ક્રિએટિવ સમાધાનો શોધવામાંથી આવે છે. બળવંત રાય પહેલા માણસ હતા જેમણે સુથારીઓને નડતી ગુંદરની સમસ્યા જોઈ હતી. કોઇપણ બિઝનેસ અંતત: તો લોકોની સમસ્યા ઉકેલવામાંથી, તેમની જરૂરિયાત પૂરી કરવામાંથી આવે છે.

આ વાત જીવનને પણ લાગુ પડે છે. સુખ એટલે સમસ્યાઓની ગેરહાજરી નહીં, પણ સમસ્યાઓનું સમાધાન છે. કોઇને આર્થિક સમસ્યા છે, કોઇને સ્વાસ્થ્યની સમસ્યા છે, કોઇને સંબંધની સમસ્યા છે અથવા કોઇને કામકાજની સમસ્યા છે. સમસ્યા વિહીન જીવન નથી હોતું. જે સૌથી સુખી છે તેને પણ કોઇને કોઇ સમસ્યા હોય છે. આપણે છેલ્લા શ્વાસ સુધી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરતા રહીએ છીએ.

અંતત: આપણું સુખ કે દુઃખ એ વાત પર નિર્ભર કરે છે કે સમસ્યાઓ હલ થાય છે કે એકત્ર થાય છે. જીવન પઝલ જેવું હોય છે. એ રોજ નવી ચેલેન્જ આપતું રહે છે અને આપણે તેનો ઉચિત ઉપાય શોધતા રહેવાનું હોય છે. એટલા માટે, હું જેટલી વધુ સમસ્યાઓનાં સમાધાન કરું, મારા સુખનો અહેસાસ એટલો વધે છે.

(પ્રગટ : “ચિત્રલેખા”, ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ; 24 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...73747576...8090100...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved