Opinion Magazine
Number of visits: 9553652
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુર્ગંધયુક્ત / ઘૃણાસ્પદ વિચારધારાને RSSએ ગળે લગાડી !

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2025

RSS – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે. પરંતુ તેની સ્થાપનાની પૃષ્ઠભૂમિ શું હતી? તેના વિચારોનો સ્રોત શું છે? આ જાણવું જરૂરી છે તો જ તેની 100 વરસની યાત્રા સમજી શકાય.

1924માં, ગાંધી કાઁગ્રેસના પ્રમુખ બન્યા.

1906માં મુસ્લિમ લીગની રચના થઈ હતી. અને હવે, કાઁગ્રેસ પણ બદલાઈ રહી હતી.

કાઁગ્રેસ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલ સંસ્થા હતી, તેનું નેતૃત્વ ગોખલે, રાનડે અને તિલક જેવી વ્યક્તિઓના હાથમાં આવી ગયું હતું. કાઁગ્રેસ હવે નરમ રહી ન હતી; તે વધુ આક્રમક બની રહી હતી. તે અંગ્રેજો સામે બળવો કરવા લાગી હતી.

આ નેતાઓ ભારતીય રાષ્ટ્રવાદની વ્યાખ્યા ગૂંથી રહ્યા હતા. યુરોપ અને અન્ય ઘણી સંસ્કૃતિઓની જેમ, તે ધર્મ અને વંશીય ઓળખ પર આધારિત હતું.

પરંતુ ભારતમાં, ઓળખની આ રેખા હિન્દુ-મુસ્લિમ રેખા છે. મુસ્લિમ લીગ મુસ્લિમ ચળવળ બની જતાં, કાઁગ્રેસ હિન્દુ ચળવળ તરફ આગળ વધી. બાલ, પાલ અને લાલ હિન્દુ પ્રતીકો પર હિન્દુઓને સંગઠિત કરી રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં બાલ(તિળક)ના ગણેશ પંડાલો, બંગાળમાં પાલ(બિપિન ચંદ્ર)ના દુર્ગા પંડાલો અને પંજાબમાં લાલ(લજપત રાય)ની પ્રાદેશિક હિન્દુ સભાઓ …

1910માં કાઁગ્રેસના અધિવેશનમાં મદન મોહન માલવીયએ આ પ્રાદેશિક હિન્દુ સભાઓની જેમ રાષ્ટ્રવ્યાપી ‘હિન્દુ મહાસભા’ બનાવવાની દરખાસ્ત કરી. આ દરખાસ્ત નિષ્ફળ ગઈ.

ગાંધી 1915માં ભારત આવ્યા. અને તેમણે જે કર્યું તેનાથી આ હિન્દુત્વ ચળવળ સંપૂર્ણપણે બદલી નાખી.

તેમણે રાષ્ટ્રીય ચળવળને, કામદારો (અમદાવાદ મિલ ચળવળ), ખેડૂતો (ચંપારણ), લઘુમતીઓ (ખિલાફત ચળવળ) અને બ્રિટિશ વિરોધી ચળવળ(અસહકાર ચળવળ)ના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરી.

તેઓ આ બધું સહન કરી લેત. પરંતુ મુસ્લિમોને સ્થાન આપવું તે ખરાબ બાબત હતી. વધુમાં, સંગઠન દેશસ્થ અને ચિતપાવનીઓ(ગોખલે, રાનડે, તિલક)ના હાથમાંથી સરકી ગયું હતું.

તેથી, આ અસંતુષ્ટ વ્યક્તિઓ કાઁગ્રેસ છોડવાનું વિચારવા લાગ્યા. કાંગ્રેસના રાજ્ય સચિવ અને પશુ ચિકિત્સક હેડગેવારે પોતાના વર્તુળમાં ચર્ચા શરૂ કરી.

આ સમય સુધીમાં, સાવરકર જેલમાંથી મુક્ત થઈ ગયા હતા. તિલકના શિષ્ય મુંજે બંને વચ્ચે સેતુ બન્યા. એક નવા સંગઠનની રૂપરેખા બનવા લાગી. પરંતુ બધું ધીમી ગતિમાં હતું.

1924માં, ગાંધી પ્રમુખ બન્યા. હવે, કાઁગ્રેસ તેમની નીતિઓનું સંપૂર્ણ પાલન કરી રહી હતી. અને હિન્દુ-મુસ્લિમ એકતા, બંધારણ અને પ્રતિનિધિત્વ વિશે મજબૂત રીતે વાતો કરી રહી હતી. 

1924માં RSSની રચના થઈ ન હતી. માત્ર એક બેઠક હતી. બે વર્ષની નિષ્ક્રિયતા પછી, તેઓ ફરી મળ્યા. નામ આપવામાં આવ્યું. ઘણાં નામો સામે આવ્યાં – જરી પતાકા મંડળ, હિન્દુ સેવક સંઘ, ભારત ઉદ્ધારક મંડળ, વગેરે. 1926માં, તેનું નામ બદલીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાખવામાં આવ્યું.

સંગઠનનું નામ તો નક્કી થઈ ગયું. હવે તેની વિચારધારા વિકસાવવાની હતી. તો, પ્રેરણા ક્યાંથી મેળવવી? તેથી, વિકસિત દેશો તરફ નજર કરવામાં આવી. યુરોપ તરફ.

RSSની વિચારધારા મુખ્યત્વે 1924 અને 1940ની વચ્ચે લખાયેલાં પુસ્તકોમાં સમાયેલી છે. આ સમયગાળા દરમિયાન, ફાસીવાદ ઉભરતી વિશ્વ શક્તિ હતી, અને ઇટાલી તેની મક્કા, મુસોલિની તેનો મસીહા.

ઘણા દેશો તેની સફળતાથી આશ્ચર્યચકિત થયા હતા. ઘણા દેશોમાં ફાસીવાદી ચળવળો ઉભરી રહી હતી. ભારતમાં, સુભાષ, સાવરકર અને ગોલવલકર પણ ખૂબ પ્રભાવિત થયા હતા.

તેથી, જે કોઈ વૈચારિક પુસ્તકોની રચના કરવામાં આવી તેનું મૂળભૂત માળખું આ રીતે રચાયું હતું : ઇટાલિયન ફાસીવાદની નકલ કરી. ઇટાલી જગ્યાએ ભારત મૂક્યું. યહૂદીઓની જગ્યાએ મુસ્લિમો રાખ્યા ! ભારતીય ફાસીવાદી વિચારધારા મેગી નૂડલ્સ કરતાં વધુ ઝડપથી બનાવવામાં આવી હતી. કૃષ્ણ, ગીતા, ચાણક્ય, નીચતા, કપટ, અપ્રમાણિકતા, દ્વેષ અને સંસ્કૃત શ્લોકો વગેરે તેમાં સ્વાદ મુજબ છાંટવામાં આવ્યા હતા અને હિન્દુત્વ તરીકે રજૂ કરવામાં આવ્યા !

તે સમયે, યુરોપમાં, મધર લિબર્ટી, મધર જર્મનિકા, મધર ઇટાલી, મધર બ્રિટાનિકા, વગેરે રાષ્ટ્રીય પ્રતીકો તરીકે લોકપ્રિય હતા. તે બધી સિંહ પર સવારી કરતી હતી, તીક્ષ્ણ હથિયારો લહેરાવતી હતી અને અન્ય રાષ્ટ્રોને ડરાવી રહી હતી.

અહીં ભારતમાં, Abanindranath Tagore – અવનીન્દ્રનાથ ટાગોરે ભારત માતાનું નિર્માણ કર્યું. તે ગરીબ, નિરાધાર દેખાતી હતી, એક જ સૂતરાઉ ડ્રેસ પહેરેલી હતી, તેના ચાર હાથમાં પુસ્તક હતું, ડાંગરનો પૂળો હતો, સફેદ કપડું હતું અને ધાર્મિક માળા હતી. આ માતા બિલકુલ ડરામણી લાગતી ન હતી. તેથી તેને નકારી કાઢવામાં આવી.

ભયાનક બ્રિટાનિયા માતાને સાડી પહેરાવવામાં આવી, તલવારની જગ્યાએ ત્રિશૂળ ગોઠવી દીધું. તેમને સિંહ પર બેસાડવામાં આવી. પાછળ ભારતનો નકશો ચોંટાડવામાં આવ્યો ! ભારત માતા પણ તૈયાર હતી. 

હવે, સંગઠન માટે ગણવેશની જરૂર હતી. ફાસીવાદીઓનો બ્રાઉન શર્ટ સફેદ રંગમાં બદલી નાખવામાં આવ્યો હતો (કારણ કે તે અહીં પોલીસ ગણવેશ હતો).

હાફ પેન્ટ, કાળી ટોપી અને પટ્ટો એ જ રહ્યો. ફાસીવાદીઓ પહેલા બંદૂકો રાખતા હતા. અહીં લાકડીઓથી કામ ચલાવ્યું. મૂંજેજી આ બધું જાણવા ઇટાલી ગયા હતા. તેણે મુસોલિનીને સલામ કરી અને તેમને ઇટાલીના શિવાજી કહીને પાછા ફર્યા.

મિત્રો, આ રીતે RSSની સ્થાપના થઈ. આ સિક્કાઓમાં સમાન મુસોલિની શૈલીનો પોશાક, મુસોલિની ટોપી પહેરેલા ત્રણ અંધભક્તો માતા બ્રિટનને મજબૂત ફાસીવાદી સલામ આપતા દર્શાવવામાં આવ્યા છે.

માતાના હાથમાં ત્રિરંગો પણ નથી.

આ બતાવે છે કે તેમનું સોફ્ટવેર 1940 પછી અપડેટ કરવામાં આવ્યું નથી. 1945માં બદનામ થયેલ આ વિચારને વૈશ્વિક કચરાપેટીમાં ફેંકી દેવામાં આવ્યો છે. તે સડી ગયો છે, દુર્ગંધયુક્ત અને ઘૃણાસ્પદ બની ગયો છે.

વૈચારિક રીતે જડ, અને સાવરકર – ગોલવલકરના પાનાઓમાં ફસાયેલા લોકો, એ વિચાર, એ પ્રતીકો અને પોતાના અજ્ઞાનની ઉજવણી કરી રહ્યા છે.

તેઓ તેને સિક્કાઓ પર છાપી રહ્યા છે.

હે રામ ! 

સૌજન્ય : મનીષ સિંહ, ‘X’ 
2 ઓક્ટોબર 2025. 
કાર્ટૂન સૌજન્ય : મન્સૂર નકવી
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—309 

દીપક મહેતા|Opinion - Opinion|4 October 2025

અમદાવાદના લેખક, અમદાવાદી પાત્ર ભદ્રંભદ્ર, અને વાત મુંબઈની     

શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.

સું બકેચ? આય તો તીકીટ ઓફિસ છે.

યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે. તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.

સોરાબજી, એને ગ્રાન્ટ રોડની બે ટિકિટ આપો.

સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સુ બકેચ.

દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે. મૂર્ખ …

અમદાવાદથી મુંબઈ જવા નીકળેલા ભદ્રંભદ્ર અને બી.બી.સી.આઇ. રેલવેની અમદાવાદની ટિકિટ બારી પરના પારસી સોરાબજી વચ્ચેના ‘સંવાદ’ના આ શબ્દો લખાયા છે ‘ભદ્રંભદ્ર’ નામની નવલકથાની શરૂઆતમાં. લેખક રમણભાઈ મહીપતરામ નીલકંઠ. આ શબ્દો પુસ્તક રૂપે છપાયા એને આ વરસે સવા સો વરસ થયાં છે. રમણભાઈ અને ભદ્રંભદ્ર ભલે અમદાવાદના, પણ આ નવલકથાના કેન્દ્રમાં જે શહેર છે તે તો છે મોહમયી મુંબઈ.

કોલાબા સ્ટેશન ઈ.સ. ૧૯૦૦માં

ચતુર સુજાણ વાચકોના મનમાં જરૂર સવાલ થયો હશે : અમદાવાદથી મુંબઈ આવતી ટ્રેનમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન વળી કઈ રીતે આવે? એ ટ્રેનો તો બોમ્બે સેન્ટ્રલ પૂરી થઈ જાય. હા, જી. આજે એમ જ થાય છે. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન તો છેક ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે ખુલ્લું મૂકાયું. બી.બી.સી.આઈ. (આજની વેસ્ટર્ન) રેલવેની બહારગામની તેમ જ લોકલ ટ્રેનોનું ટર્મિનસ અગાઉ કોલાબા હતું. પણ બહાર ગામની ટ્રેનો સુધાં ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ સ્ટેશને ઊભી રહેતી. ૧૯૦૭ની શરૂઆતમાં કનૈયાલાલ મુનશી એલ.એલ.બી.નો અભ્યાસ કરવા ભરૂચથી મુંબઈ આવ્યા ત્યારે ચર્ની રોડ સ્ટેશને ઊતર્યા હતા. પીપલ વાડીમાંની એક ચાલની ડબલ રૂમમાં રહેતા સાવકા મામાઓને ત્યાં જવાના વિક્ટોરિયા(ઘોડા ગાડી)ના બાર આના ખરચવાનું પોસાય તેમ નહોતું એટલે એક મજૂરને માથે સામાન ઉપડાવીને ચાલતા તેમને ઘરે ગયા હતા. એ જ રીતે ભદ્રંભદ્ર ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતર્યા હતા.

ગ્રાન્ટ રોડ સ્ટેશન ૧૮૭૦માં

૧૮૩૫થી ૧૮૩૯ સુધી મુંબઈના ગવર્નર રહેલા સર રોબર્ટ ગ્રાન્ટના નામ પરથી જેનું નામ પડ્યું છે તે આ સ્ટેશન તો બોમ્બે સેન્ટ્રલ અને કોલાબા કરતાં ય વધુ જૂનું. ૧૮૫૯માં એ કામ કરતું થયું. પણ ત્યારે એનું નામ હતું ‘બોમ્બે ટર્મિનસ.’ કોલાબા અને બોમ્બે સેન્ટ્રલ પહેલાં ગુજરાત આવતી-જતી ટ્રેનોનું ટર્મિનસ હતું આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ. ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે મુંબઈ-અમદાવાદ વચ્ચેનો ટ્રેન વ્યવહાર આ બોમ્બે ટર્મિનસ ઉર્ફે ગ્રાન્ટ રોડ સ્ટેશનેથી જ શરૂ થયેલો. પણ બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન શરૂ થયા પછી ગ્રાન્ટ રોડ ગરીબડું બની ગયું. બહાર ગામની ટ્રેનો માટે જે જગ્યા હતી ત્યાં બન્યું માલ-સામાન માટેનું ગુડ્ઝ યાર્ડ.

કોલાબા સ્ટેશન શરૂ થયું હતું ૧૮૭૩માં. ૧૮૯૬માં આ સ્ટેશનનું મકાન નવેસરથી બંધાયું. આ સ્ટેશન બાંધવા માટેની જગ્યા સરકારે બી.બી.સી.આઈ. રેલવેને આપી ત્યારે જ શરત મૂકી હતી કે ભવિષ્યમાં સરકારને આ જગ્યાની જરૂર પડે તો રેલવે કંપની તે પાછી આપી દેશે. વખત જતાં મુંબઈનો વિકાસ થતો ગયો. જમીનની ખેંચ વર્તાવા લાગી. એટલે મુંબઈ સરકારે રેલવે કંપની પાસે કોલાબા સ્ટેશનની જમીન પાછી માગી. એટલું જ નહિ, ચર્ચ ગેટ અને કોલાબા વચ્ચેની રેલવે લાઈન બંધ કરીને તેના પાટા ઉખેડી નાખવા જણાવ્યું. સરકાર સાથે વાટાઘાટમાં અને નવા સ્ટેશન માટેની જમીન શોધવામાં થોડાં વરસ લાગ્યાં. પછી આજના બોમ્બે સેન્ટ્રલ સ્ટેશનનું બાંધકામ શરૂ થયું. ૧૯૨૮ના માર્ચની ૧૧મી તારીખે બી.બી.સી.આઈ. રેલવે કંપનીના જનરલ મેનેજર સર અર્નેસ્ટ જેકસને તેનો પાયો નાખ્યો. સ્ટેશનનો પ્લાન બ્રિટિશ સ્થપતિ ક્લોડ બેટ્ટીએ બનાવ્યો હતો અને એ પ્રમાણેનું બાંધકામ માત્ર ૨૧ મહિનામાં પૂરું કર્યું હતું શાપુરજી પાલનજીની કંપનીએ. ૧૯૩૦ના ડિસેમ્બરની ૧૮મી તારીખે આ નવા સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. 

આ સ્ટેશન બંધાતું હતું ત્યારે મરાઠીભાષીઓ કહે તેમ ‘એક ગમ્મત ઝાલી.’ મુંબઈનાં ઘણાં રેલવે સ્ટેશનનાં નામ આસપાસના કોઈ વિસ્તાર પરથી પાડવામાં આવ્યાં છે. એટલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જાહેરમાં સૂચન કર્યું કે આ નવા સ્ટેશનનું નામ ‘ફોરાસ રોડ સ્ટેશન’ પાડવું જોઈએ. અને તરત જ એ સૂચનનો ઉગ્ર વિરોધ થયો. કેમ? કારણ એ વખતે પણ ફોરાસ રોડ  red light area તરીકે કુખ્યાત હતો. ટાઈમ્સને પત્રો લખીને લોકોએ પૂછ્યું : ‘કોઈ અમને પૂછે કે ક્યાં જાવ છો, તો અમારે શું કહેવું? ફોરાસ રોડ જઈએ છીએ એમ કહેવું? અને આવા સવાલનો જવાબ સારા ઘરનાં બૈરાં (એ વખતે સ્ત્રીઓ માટે વપરાતો શબ્દ) તો આપી જ કઈ રીતે શકે?’ એટલે પછી એ નામ પડતું મૂકાયું અને નામ પડ્યું ‘બોમ્બે સેન્ટ્રલ.’ 

આજે પણ હકીકતમાં બે બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન છે. એક બહારગામની ટ્રેનો માટેનું અને બીજું ‘બોમ્બે સેન્ટ્રલ, લોકલ.’ આ લોકલ માટેનું સ્ટેશન ઘણું વધારે જૂનું. પણ પહેલાં તેનું નામ હતું બેલાસિસ રોડ સ્ટેશન. પરેલ રોડથી બેલાસિસ બ્રિજ સુધીના રસ્તાનું નામ હતું બેલાસિસ રોડ. ગયે વરસે તોડી પાડવામાં આવેલા બેલાસિસ બ્રિજનું નવું નામ હજી જાહેર થયું નથી. બેલાસિસ બ્રિજના એક છેડે લગાવેલી તકતીમાં જણાવ્યા પ્રમાણે આ બેલાસિસ રોડ ઈ.સ. ૧૭૯૩માં (હા, જી. આ છાપભૂલ નથી) બંધાયો હતો. એ અરસામાં આજના દક્ષિણ ગુજરાતમાં જબરો દુકાળ પડ્યો હતો. એટલે સુરતના ઘણા ગરીબ લોકો મજૂરીની શોધમાં મુંબઈ આવ્યા હતા. તેમને રોજગાર મળી રહે એવા ઉદ્દેશથી આ બેલાસિસ રોડ બંધાયો હતો. પણ આ રસ્તો બાંધવાના ખર્ચના પૈસા સરકારે નહોતા આપ્યા. પણ લોકોએ જાહેર ભરણું કરીને જરૂરી રકમ ભેગી કરી હતી. આ જોન બેલાસિસ હતા મુંબઈમાંના કંપની સરકારના લશ્કરના કમાન્ડિંગ ઓફિસર. તેમનો જન્મ ૧૭૪૩ના જુલાઈની ૧૬મી તારીખે. ૧૭૬૩માં હિન્દુસ્તાન આવ્યા. ૧૭૬૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયા. અવસાન થયું મુંબઈમાં ૧૮૦૮ના ફેબ્રુઆરીની ૧૧મી તારીખે.       

અઢારમી સદીની શરૂઆતમાં આપણે ત્યાં છાપકામ આવ્યું, સાથે પુસ્તકો, અખબારો, સામયિકો લાવ્યું. અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલ અને પછી કોલેજ મુંબઈમાં ખૂલી. અને પછી એ પ્રકારનું શિક્ષણ આપતી સ્કૂલ-કોલેજ આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ. આ નવા યુગનાં કિરણો જોઇને કવિ નર્મદે ગાયું : ‘દીપે અરુણું પરભાત.’ આ ‘પરભાત’ હકીકતમાં હતું નવી જાગૃતિનું, નવા જીવનનું, નવાં સપનાંઓનું. પણ આપણે ત્યાં એ જમાનાને ‘સુધારક યુગ’ તરીકે ઓળખાવવાનો ચાલ પડી ગયો છે. સમાજ સુધારો એ આ નવા યુગનું મુખ્ય પરિબળ ખરું, પણ એ એકમાત્ર પરિબળ નહિ. આંખો સામે પહેલી વાર ઊઘડતા નવા જગત માટે નવો માનવ સર્જવાનું ધ્યેય હતું આ જમાના પાસે. ફરી કવિ નર્મદ યાદ આવે. તેણે કહેલું : ‘ઝટ્ટ ડોળી નાખો રે, મન-જળ થંભ થયેલું.’ હકીકતમાં ‘સુધારો’ એ થંભી ગયેલાં અને તેથી વાસી બની ગયેલાં મન-જળને ડહોળી નાખવા માટેનું એક સાધન હતો. 

‘જ્ઞાનસુધા’ સામયિકમાં પહેલો હપતો, પહેલું પાનું

તો આ મન-જળ ડહોળી નાખવા સામેના પ્રત્યાઘાત રૂપે વિપક્ષી જૂથ ઊભું થયું, જેનો મંત્ર હતો : ‘પ્રભુ! જેવું હતું તેવું ફરી ભારત બનાવી દો!’ એ જૂથના લોકો થંભ થયેળાં મન-જળને યથાતથ રાખવા માગતા હતા. કોઈ તેને ડહોળી નાખે એ માટે તૈયાર નહોતા. એ જળને દિવ્ય, પવિત્ર માનીને આંખે અડાડવામાં અને માથે ચડાવવામાં માનતા હતા. આપણે ત્યાં, ખાસ કરીને ગુજરાતમાં, ૧૯મી સદીની છેલ્લી પચ્ચીસી દરમ્યાન આ બે વિચારધારાઓ વચ્ચેનો વિવાદ-વિખવાદ ચરમ સીમાએ પહોંચ્યો હતો. અને એ જ વખતે રમણભાઈએ ભદ્રંભદ્ર નવલકથા દ્વારા ‘જૈસે થે’ની સ્થિતિના સમર્થકો પર ઠઠ્ઠા, મશ્કરી, ઉપહાસનાં જીવલેણ બાણ છોડ્યાં હતાં. રૂઢિવાદી આચાર-વિચાર-વ્યવહારના સમર્થકોનાં વાણી અને વર્તન પર ભદ્રંભદ્રના લેખકે જનોઈવઢ ઘા કર્યા છે. સળંગ હાસ્ય રસની આપણી ભાષાની પહેલી નવલકથા છે આ ભદ્રંભદ્ર. 

એ પુસ્તક રૂપે પહેલી વાર પ્રગટ થઈ ઈ.સ. ૧૯૦૦ના સપ્ટેમ્બરમાં. પણ તેનું હપ્તાવાર પ્રકાશન તો શરૂ થયું હતું છેક ૧૮૯૨માં. રમણભાઈ જેના તંત્રી હતા એ ‘જ્ઞાનસુધા’ સામયિકના એપ્રિલ ૧૮૯૨ના અંકમાં છપાયો હતો ભદ્રંભદ્રનો પહેલો હપતો. સાથે નહોતું છાપ્યું લેખકનું નામ કે નહોતું જણાવ્યું કે આ નવલકથા છે. અને છેલ્લો હપતો છપાયો એ જ સામયિકના ૧૯૦૦ના જાન્યુઆરી-જૂનના સંયુક્ત અંકમાં! પુસ્તક જુઓ તો છે ૩૨૭ પાનાંનું. તો પછી આટલો લાંબો સમય કેમ લાગ્યો હપ્તાવાર પ્રકાશનને? કારણ એક તો ‘જ્ઞાનસુધા’નું પ્રકાશન બહુ જ અનિયમિત હતું. તો કેટલાક અંકમાં આ નવલકથાનો હપતો છપાયો જ ન હોય એવું પણ બનતું. એ વખતે પ્રકરણો પાડ્યાં નહોતાં. લખાણ સળંગ પ્રગટ થતું. કેટલીક વાર દોઢ-બે પાનાંનો જ હપતો છપાતો. લખાણ સાથે નામ ભલે છપાતું નહોતું, પણ તેના લેખકનું નામ ઝાઝો વખત છૂપું રહ્યું નહોતું. ભાષા-શૈલી, હાસ્ય રમૂજ, અને ખાસ તો સુધારાના વિરોધીઓ પરના આકરા – ક્યારેક કડવા પણ – પ્રહારોને કારણે સમજુ વાચકો સમજી ગયા હતા કે આ કલમ છે રમણભાઈ નીલકંઠની. અને એટલે હપ્તાવાર પ્રકાશન દરમ્યાન જ તેની પ્રશંસા અને તેનો વિરોધ શરૂ થઈ ગયાં હતાં. 

રમણભાઈ નીલકંઠ

આ કથાના મુખ્ય પાત્રનું મૂળ નામ તો દોલતશંકર. પણ પછી એક વાર સપનામાં આવીને ભગવાન શંકરે ઉધડો લીધો : ‘મારા પવિત્ર નામ સાથે ‘દોલત’ જેવો યાવની ભાષાનો શબ્દ જોડીને તેં મહાપાતક વહોરી લીધું છે.’ અને એટલે દોલતશંકરે એ નામ ત્યજીને નવું નામ રાખ્યું ભદ્રંભદ્ર. પણ ભદ્રંભદ્ર અમદાવાદથી મુંબઈ ગયા શા માટે? કારણ તેમને ખબર મળેલા કે મુંબઈમાં સુધારા વિરોધી મોટી સભા ભરાવાની છે. અને આવી સભામાં ભદ્રંભદ્ર જેવા સનાતની હાજર ન રહે એ તો બને જ કેમ? અને આ સભા ભરાવાની હતી મુંબઈના માધવબાગમાં. ઘણો રોમાંચક અને રસિક ઇતિહાસ છે, આ માધવબાગનો. હવે પછી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરીને આપણે પણ ભદ્રંભદ્ર સાથે જશું માધવ બાગ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 04 ઓક્ટોબર 2025

Loading

કોણ સર્વોપરિ સંસદ કે સર્વોચ્ચ અદાલત? 

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|4 October 2025

હિતેશ રાઠોડ

ત્રિપાઈના ત્રણ પાયામાંથી ક્યો પાયો સૌથી અગત્યનો ગણાય? ક્યો પાયો ડગમગે કે તૂટી જાય તો ત્રિપાઈ સરખી રીતે ઊભી ના રહી શકે? ક્યા પાયા પર ત્રિપાઈનું વજન સૌથી વધારે હોય છે? તમને થશે કે આવા તે કાંઈ પ્રશ્નો હોય! આ બધા પ્રશ્નોનો જવાબ એક જ હોય અને તે એ કે ત્રિપાઈનો દરેક પાયો સરખું મહત્ત્વ ધરાવે છે, દરેક પાયા પર ત્રિપાઈનું વજન એકસરખું હોય છે અને ત્રણમાંથી એક પણ પાયો તૂટી જાય એટલે નિશ્ચિતપણે ત્રિપાઈનું સમતોલન બગડે અને ત્રિપાઈ સરખી રીતે ઊભી રહી શકે નહીં. ત્રિપાઈની સંરચના જેવી ભારતની લોકશાહી શાસનપ્રણાલિના ત્રણ પાયા કે આધાર સ્તંભ એટલે ન્યાયસભા (The Judiciary), ધારાસભા (The Legislature) અને કારોબારી સભા (The Executive) અને આ ત્રણેય સંસ્થાઓને એકસૂત્રમાં બાંધી રાખતી સર્વોચ્ચ વ્યવસ્થા એટલે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ એ શાસનની ધરી છે. લોકશાહી શાસનની ત્રણેય પાંખો બંધારણે તેમના માટે આંકેલ લક્ષ્મણરેખાની અંદર રહી પોતપોતાનાં કાર્યો કરે છે. એટલે કે કાર્ય કરવાની બાબતે આ ત્રણેય સંસ્થાઓ પોતાની મનમાની કરી શકતી નથી કે બંધારણીય મર્યાદાની બહાર જઈ વર્તી શકતી નથી. બંધારણની જોગવાઈ વિરુદ્ધનું કોઈપણ કૃત્ય આ ત્રણે ય સંસ્થાઓ માટે વર્જિત છે.  

ઉપરોક્ત સ્થિતિ જોતા એમ કહી શકાય કે આ ત્રણેય સંસ્થાના સુભગ સમન્વય વિના લોકશાહી શાસન વ્યવસ્થા સુચારુ રૂપે ચાલી શકે નહીં કે કાર્ય કરી શકે નહીં. બીજા શબ્દોમાં કહીએ તો વ્યવસ્થા રગશિયા ગાડાની જેમ અથવા ખોડંગાતી ગતિએ ચાલે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ત્રણ પૈકીની ઉપલી બે સંસ્થાઓ ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ, આ બંનેમાં કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર એ વિષય પર વિદ્વાનો અને રાજનીતિજ્ઞો વખતોવખત કુનેહપૂર્વક પોતાના મોઘમ વિચારો રજૂ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકશાહીની ત્રીજી પાંખ કારોબારી એટલે કે નોકરશાહી દેખીતી રીતે પ્રથમ બે સંસ્થાના નિર્દેશો મુજબ કામ કરતી હોવા છતાં બંધારણીય જોગવાઈઓ, પ્રશાસકીય કાર્યરીતિ, કાયદા-કાનૂન, નિયમો, નિયમનો વગેરેના પાલનની બાબતમાં તે સ્વાયત્તતા ભોગવે છે એમ કહેવામાં હરકત નથી. 

મુખ્ય ચર્ચા ન્યાયસભા એટલે કે ન્યાયિક વ્યવસ્થા અને ધારાસભા એટલે કે સંસદ આ બંનેમાં સર્વોપરિ કોણ અને કોણ કોના પર આધિપત્ય ધરાવે છે એના પર કેન્દ્રિત છે. ભારતની ન્યાયિક વ્યવસ્થાની ટોચ પર બિરાજમાન સર્વોચ્ચ અદાલત એ ભારતના બંધારણની તેમ જ લોક-અધિકારોની રખેવાળ સંસ્થા ગણાય છે એટલે કે બંધારણીય જોગવાઈઓ મુજબ લોકોના જીવન, ન્યાય, હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, અભિવ્યક્તિ વગેરે સંબંધિત મૂળભૂત બંધારણીય જોગવાઈઓનું યથાયોગ્ય પાલન થાય છે કે નહિ તેમ જ બંધારણની મૂળભૂત વિભાવના અને હાર્દ જળવાઈ રહે એ રીતે કાયદા-કાનૂન ઘડતર અને ઉચિત અમલીકરણ કરવામાં આવે છે કે નહિ એ જોવાની મહત્ત્વપૂર્ણ જવાબદારી ન્યાયિક વ્યવસ્થાની છે. સામાન્ય રીતે ન્યાયિક વ્યવસ્થા ધારાસભા અને કારોબારીના રોજિંદા કાર્યોમાં માથું મારતી નથી કે એમાં દરમિયાનગીરી કરતી નથી, સિવાય કે એ કાર્યોથી કોઈ બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય અથવા એમનાં કાર્યો બંધારણીય જોગવાઈઓથી વિરુદ્ધ દિશાના હોય. ન્યાયિક વ્યવસ્થા એ બંધારણથી લોકોને પ્રદાન કરવામાં આવેલ હકો, અધિકારો, સ્વતંત્રતાઓ, વિશેષાધિકારો, ન્યાય, અભિવ્યક્તિ, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા વગેરે સંબંધિત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આમ, વાત જ્યારે બંધારણીય જોગવાઈઓ તેમ જ કાયદાના અર્થઘટન અને અનુપાલનની હોય ત્યારે ન્યાયિક વ્યવસ્થા સર્વોપરિ છે એમાં કોઈ મીનમેખ હોઈ શકે નહીં. લોકોના બંધારણીય હક્કોની અવગણના કરતા કોઈપણ કાયદા કે યોજનાને રદ્દ કરવાના અધિકારો ન્યાયિક વ્યવસ્થાને છે. ચૂંટણી બોન્ડ એનું એક ઉદાહરણ છે. ભારતની સર્વોચ્ચ અદાલતે એમ કહીને ચૂંટણી બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવી હતી કે આનાથી મતદાતાના માહિતી અધિકારનો ભંગ થાય છે. 

ચૂંટાયેલ લોકપ્રતિનિધિઓથી બનેલ સંસદ કે ધારાસભાનું કાર્ય બંધારણની મર્યાદામાં રહી લોકોના હિતો, અધિકારો, હકો, ન્યાયિક અધિકારો, વિશેષાધિકારો, જીવનનિર્વાહ, આદર, સન્માન, ગરિમા, સ્વતંત્રતા, અભિવ્યક્તિ વગેરેની સુરક્ષા માટે કાયદા-કાનૂન ઘડવાનું, નીતિ-નિર્ધારણ કરવાનું અને એ માટે જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવી આપવાનું છે. એટલે કે વ્યાપક જનહિત અને જનસુરક્ષાને લાગે વળગે છે ત્યાં સુધી ધારાસભા પાસે કાયદા, નીતિ-નિયમો-કાનૂનો-વિનિયમો-નિયમનો ઘડવાની અને જરૂરી નાણાંકીય સંસાધનો ઉપલબ્ધ કરાવવાની અબાધિત સત્તા પ્રાપ્ય છે. સંસદ દ્વારા ઘડવામાં આવેલ કાયદાઓ-નીતિ-નિયમો વગેરેનો અમલ સરકાર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે ધારાસભાની રૂટિન કાર્યવાહીમાં ન્યાયપ્રણાલિ કોઈ દરમિયાનગીરી કરતી નથી સિવાય કે એમાં કોઈ બંધારણીય વિસંગતતા જણાય.

લોકશાહી શાસનપ્રણાલિની ત્રણેય પાંખો સુચારુ રીતે પોતપોતાનાં કાર્યો કરી શકે એ માટે બંધારણ દ્વારા ત્રણેય પાંખો વચ્ચે સત્તાની વહેંચણી એવી ધારણા સાથે કરવામાં આવી છે કે પ્રત્યેક પાંખ પોતપોતાના બંધારણ નિર્દિષ્ટ સત્તાધિકારોની મર્યાદામાં રહીને પોતાની પૂર્ણ ક્ષમતા અને સદ્દભાવપૂર્વક કરશે, કોઈ પાંખ અન્ય પાંખની કામગીરીમાં અનાવશ્યક દખલગીરી કરશે નહીં. જેમ કે, સંસદ કાયદા ઘડે છે, ન્યાયસભા એ કાયદાનું અર્થઘટન કરે છે અને કારોબારી સભા એ કાયદાનો અમલ કરે છે. કાયદો ઘડવાની બાબતે સંસદ સર્વોપરિ છે, બંધારણીય દૃષ્ટિકોણથી કાયદાના અર્થઘટનની બાબતે ન્યાયસભા સર્વોપરિ છે તો અમલવારીની દૃષ્ટિએ કારોબારી સભા સર્વોપરિ છે.

જો સત્તાધિકાર સ્પષ્ટ છે તો પછી વિવાદ શા માટે? 

છેલ્લા કેટલાક સમયથી શાસન વ્યવસ્થાની ચૂંટાયેલી પાંખ અને ન્યાયિક વ્યવસ્થા વચ્ચે અમુક મુદ્દે તણખા ઝરતા જોવા મળે છે. સંસદમાં અમુક વિવાદાસ્પદ નિર્ણયો થઈ રહ્યા છે જે બંધારણીય જોગવાઈથી વિપરીત હોવાના અને જેનાથી લોકહિત જોખમાશે એવા સંદેહ અને દહેશત સંબંધિત હિતધારક પક્ષો દ્વારા બંધારણની રખેવાળ સંસ્થા સમક્ષ વખતોવખત વ્યક્ત કરવામાં આવે છે. આવા સંજોગોમાં સરકારના નિર્ણયથી લોકહિત કે લોકોના અધિકારોને થનાર સંભવિત અસરો અંગે બંને પક્ષોની વાત સાંભળી કોઈ યથાર્થ નિર્ણય પર આવવા ન્યાયિક દરમિયાનગીરી આવશ્યક બને છે. આવે વખતે પ્રલંબ સુનાવણીઓ દરમિયાન બંને પક્ષો દ્વારા પોતપોતાનો પક્ષ યથાર્થ ઠેરવવા મહિનાઓ અને અમુક કિસ્સાઓમાં તો વર્ષો સુધી સામસામી દલીલબાજી અને સમીક્ષા ચાલ્યા કરે છે. સરકાર પક્ષે લોકહિતાર્થે નિમાયેલ પણ સરકારના કહ્યાગરા એવા સરકારી વકીલો પણ ઘણીવાર લોકહિતને નજરઅંદાજ કરી સરકારની નજરમાં ઠાવકા દેખાવા સરકારી નિર્ણયની યથાર્થતા ઠેરવવામાં અને મારીમચડીને બંધારણીય જોગવાઈઓ સાથે સરકારના નિર્ણયની સુસંગતતા સ્થાપિત કરવામાં પોતાના વાકચાતુર્ય અને બુદ્ધિનો ઉપયોગ વધુ કરે છે. આ તકે ન્યાયસભાની નિસબત સરકાર પક્ષની ધારદાર દલીલો અને તથ્યો સાથે નહિ પણ લોકોના અધિકારો કે લોકહિત જોખમાય નહિ એની સાથે વધુ હોય છે. લોકોની સામાન્ય સુખાકારી કે રોજિંદા જીવન પર વિપરીત અસર કરતી સાવ નજીવી બાબતને પણ ન્યાયપાલિકા નજર અંદાજ કરતી નથી અને એ કારણથી જ સરકાર પક્ષે લેવાયેલ નિર્ણયના દરેક પાસાની બંધારણીય દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવે છે. અહીંથી જ બંને પક્ષો વચ્ચે સત્તાધિકાર બાબતે ગજગ્રાહ શરૂ થાય છે. સંસદના પક્ષે લોકહિતને રૂપાળા શબ્દોના વાઘા પહેરાવી ન્યાયિક વ્યવસ્થાને પોતાની વાત ગળે ઉતરાવવા એડી ચોટીનું જોર લગાવવામાં આવે છે તો ન્યાયિક વ્યવસ્થા લોક-અધિકારના રક્ષકની ભૂમિકામાં આવી જઈ સામો પ્રતિકાર કરે છે. આ જદ્દોજહદમાં ખાસ કરીને ન્યાયિક વ્યવસ્થાને ઘણી વાર સરકારના કામગીરીમાં દરમિયાનગીરી કરવાની ફરજ પડે છે. અહીં ન્યાયતંત્રની દલીલ એવી હોય છે કે સરકાર જો લોકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડે તો ન્યાયતંત્ર હાથ જોડીને બેસી રહી શકે નહીં. એકની નિષ્ક્રિયતા સામે બીજાએ સક્રિય થવું જ પડે અને તો જ સત્તાનું સમતોલન જળવાય. સંસદ અને ન્યાયસભા પોતપોતાના અધિકારક્ષેત્રમાં કાર્ય કરે ત્યાં સુધી વાંધો નથી આવતો પણ બંને એકબીજાના અધિકારક્ષેત્રમાં દખલ શરૂ કરે ત્યારે વિવાદની સ્થિતિ પેદા થાય છે. આ સંજોગોમાં બંને એકબીજા પર હાવી થવા પ્રયાસ કરે છે અને પછી એના પર ચર્ચાઓ શરૂ થઈ જાય છે કે કોણ સર્વોપરિ અને કોણ તાબેદાર. 

અહીં તરફેણમાં અને વિરુદ્ધમાં અનેક દલીલો અને તર્ક-વિતર્કો થઈ શકે છે, પણ લોકશાહીના આધારસ્તંભ સમાન સંસ્થાઓએ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, નહિ કે વ્યક્તિગત હિતો, પક્ષીય હિતો કે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને. વિવાદની સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે કોઈ વ્યક્તિગતહિતો કે પક્ષીય હિતો કે પછી કોઈની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા એમાં આડે આવતી હોય. લોકશાહીમાં પ્રજાહિત માટે વાદ-વિવાદ થવા એ સારી બાબત છે, પણ પ્રજાહિતના ઓઠા હેઠળ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ,  વ્યક્તિગત કે પક્ષીય હિતોને પોષવા અવનવા પેંતરા અજમાવી લોકશાહીને જ જોખમમાં મૂકવામાં આવે એ સ્થિતિ સહેજેય હિતાવહ નથી. લોકશાહીમાં વ્યક્તિ કે પક્ષ નહિ પણ લોકો મહાન છે. પક્ષ અને વ્યક્તિને સત્તા સોંપનાર લોકો છે અને તેથી લોકોનો અવાજ સૌથી ઉપર હોવો જોઈએ. એક વ્યક્તિની બૌદ્ધિકતા ગમે તેટલી હોય તો પણ લોકવાચા કે લોકલાગણીથી ઉપર તો તે નથી જ નથી. અને તેથી જ લોકશાહી શાસનમાં સત્તાની પાંખોએ એક વાત સમજવી રહી કે તેમણે પોતાના કાર્યક્ષેત્રની અંદર રહીને પણ આખરે તો લોકહિતને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું છે જે તમામ મતભેદો અને વ્યક્તિગત વિચારસરણી અને પક્ષીય મૂલ્યોથી ઉપર છે.  સત્તાની કોઈ એક પાંખ જ્યારે અનાવશ્યક રીતે બીજી પાંખ પર હાવી થવા પ્રયાસ કરે ત્યારે બીજી પાંખ પોતાને મળેલ સત્તાની રૂએ પોતાના અધિકારક્ષેત્રની અંદર રહીને બીજી પાંખને અંકુશમાં રાખી સત્તાની સ્થિતિને સમતોલ કરવા પ્રયાસ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકશાહી શાસન પ્રણાલિના મુખ્ય ત્રણેય આધારસ્તંભો નિયંત્રણ અને સંતુલન(Checks and Balances)ના સિદ્ધાંતથી કાર્ય કરે છે. એટલે કે આમાંનો કોઈ એક સ્તંભ સમય સંજોગો અનુસાર બીજા પર આધિપત્ય જમાવે છે અને તદ અંતર્ગત મળેલ સત્તાથી અન્ય સંસ્થાના કાર્યને નિયંત્રિત કરે છે. અને આમ થવાથી સત્તાનું સંતુલન જળવાઈ રહે છે.

ભારતીય શાસનપ્રણાલિમાં સામાન્ય રીતે બંધારણ સર્વોપરિ છે, અલબત્ત બંધારણમાં સુધારા-વધારા કે આવશ્યક સંશોધન કરવાનો અધિકાર સંસદને પ્રાપ્ય છે. તો વળી, સંસદ દ્વારા કરવામાં આવતા બંધારણીય સુધારા-વધારા મૂળભૂત બંધારણીય જોગવાઈઓ અને શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચાને નુકસાન તો પહોંચાડી રહ્યા નથી કે વ્યાપક જનહિતને કોઈ વિપરીત અસર તો કરતા નથી ને એ જોવાની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે. અહીં સર્વોચ્ચ અદાલત બંધારણના રખેવાળની ભૂમિકામાં આવી જાય છે. સંસદ દ્વારા પારિત બંધારણીય સુધારા કે અન્ય કોઈ કાયદાઓ પણ મૂળભૂત બંધારણીય જોગવાઈઓ, શાસનપ્રણાલિના મૂળભૂત ઢાંચા તેમ જ બંધારણની અન્ય કોઈ જોગવાઈઓનું ઉલ્લંઘન કરતા નથી એ જોવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. જો એમ હોય તો સર્વોચ્ચ અદાલત એવા સંશોધનો અથવા કાયદા રદબાતલ ઠેરવી શકે છે. 

બીજી બાજુ સત્તાની દૃષ્ટિએ સંસદ શક્તિશાળી હોવા છતાં બંધારણથી ઉપરવટ જઈને વર્તી શકે નહીં. સંસદ પણ બંધારણીય જોગવાઈઓની મર્યાદામાં રહીને બંધારણીય સુધારાઓ અને કાયદાઓ સંસદમાં પસાર કરવા બંધાયેલ છે. સંસદ કે સાંસદો ગેરબંધારણીય રીતે વર્તી શકતા નથી. જો એમ થાય તો સર્વોચ્ચ અદાલત એમને એમ કરતા રોકી શકે છે.

આ બધું છતાં નિર્વિવાદિત હકીકત એ છે કે ભારતીય શાસનપ્રણાલિમાં બંધારણ હંમેશાં સર્વોપરિ છે. બંધારણને સર્વોપરિ ગણાવવા પાછળ બંધારણના ઘડવૈયાઓએ ખૂબ ઊંડો વિચાર કર્યો છે. વ્યક્તિ હંમેશાં ભૂલને પાત્ર હોય છે એ ન્યાયે વ્યક્તિથી ભૂલ થઈ શકે અથવા તો કહો કે પોતાના કોઈ ગર્ભિત હેતુઓ સાધવા વ્યક્તિ જાણી જોઈને ભૂલ કરી શકે કે કોઈ ખોટું કૃત્ય કરી શકે છે, જો વ્યક્તિ એમ કરવા ઇચ્છે. બંધારણ સિવાયના ત્રણ સ્તંભો ન્યાયસભા, સંસદસભા અને કારોબારીસભા વ્યક્તિઓની બનેલી સંસ્થાઓ છે, અને તેથી એમાં વ્યક્તિની સીધી સામેલગીરી છે. વ્યક્તિથી બનેલ સંસ્થાઓમાં ભૂલ કે કંઈક ખોટું થવાને અવકાશ છે. જો સંસદ કે સુપ્રીમને સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ય હોત તો શક્ય છે કે આ સંસ્થાઓ અમુક વ્યક્તિ કે વ્યક્તિઓની આપખુદશાહીથી નિરંકુશ બની જાય તો રાષ્ટ્રહિતને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. બંધારણ એક નિષ્પ્રાણ અને રાષ્ટ્ર પ્રત્યે સંનિષ્ઠ સંસ્થા છે, અર્થાત બંધારણમાં કોઈ વ્યક્તિની સામેલગીરી નથી. એટલે તેની નિષ્ઠા પર ક્યારે ય શંકા કરી શકાય નહીં. વ્યક્તિની સામેલગીરીના અભાવે બંધારણ સ્વયં ક્યારે ય ખોટું કરી શકે નહીં. એમ કરવા માટે વ્યક્તિની સામેલગીરી અનિવાર્ય છે જે બંધારણમાં નથી. આમ ન થાય એટલા માટે જ કદાચ બંધારણને સર્વોપરિ ગણવામાં આવે છે, અને શાસનની ત્રણેય પાંખોએ બંધારણને જ સર્વોપરિ ગણી પોતપોતાના કાર્યો કરવાના છે.       

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...73747576...8090100...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved