Opinion Magazine
Number of visits: 9456196
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણી આસપાસનાં સેવક અને રક્ષક

રમેશ ઓઝા|Opinion - Opinion|20 July 2025

રમેશ ઓઝા

વર્તમાન શાસકો ધાર્યું નહોતું એટલા પ્રમાણમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને પ્રાસંગિક બનાવી રહ્યા છે. જેને તેઓ ગાળો આપે છે અને બદનામ કરે છે તેમની જ તેઓ સેવા કરી રહ્યા છે. ચીન અને તિબેટના પ્રશ્ને આ જોવા મળ્યું અને હવે હિન્દી ભાષાના પ્રશ્ને આ જોવા મળી રહ્યું છે. હજુ થોડા દિવસ પહેલા કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં લોકો અંગ્રેજીમાં બોલવામાં શરમ અનુભવશે. રાષ્ટ્રનિર્માણ માટે એક રાષ્ટ્ર એક ભાષા અનિવાર્ય છે અને હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રવાદની આ વિભાવના છે અને તેને અનુસરીને મહારાષ્ટ્ર સરકારે પ્રાથમિક શાળામાં હિન્દીને ફરજિયાત કરી. કરી તો કરી, બીજા દિવસે રાજ્યભરમાં હોબાળો થયો અને ત્રીજા દિવસે નિર્ણય પાછો લીધો. ચૂંટણી હારવાનો અને સત્તા ગુમાવવાનો તેમને ડર છે. 

અહી બે સવાલ છે. રાષ્ટ્રવાદની રૂઢ કલ્પના એમ કહે છે કે રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી ઘટકોમાં એક ઘટક ભાષા છે. બહુમતી પ્રજા જે ભાષા બોલતી હોય એ ભાષા બાકીની પ્રજાએ અપનાવવી જોઈએ. દેશનું શાસન અને વ્યવહાર એ ભાષામાં ચાલવાં જોઈએ. અંગત વ્યવહાર અને ભારત જેવા બહુભાષિક દેશમાં રાજ્ય સ્તરે શાસકીય વ્યવહાર સ્થાનિક ભાષામાં ચાલી શકે. આ યુરોપમાં વિકસિત થયેલી રાષ્ટ્રવાદની કલ્પના છે જે યુરોપની ગુલામીથી આઝાદ થવા માગનારા દેશોએ અપનાવી હતી. આઝાદ થવું હોય તો ગુલામ પ્રજાની અંદર રાષ્ટ્રીય ચેતના જગાડવી પડે અને પ્રજાને એક સૂત્રે બાંધવા માટે ભાષા કામની છે. પણ હમણાં કહ્યું એમ રાષ્ટ્રવાદની આ કલ્પના યુરોપમાં વિકસી હતી જ્યાંનો સમાજ જૂદો હતો અને જરૂરિયાત જૂદી હતી. એ દેશોમાં વિવિધતા ઓછી હતી એટલે વિભિન્ન સૂર ઓછા હતા એટલે બીજા સાથે અસમંત થવાનું કે તેની રાષ્ટ્રનિષ્ઠા વિષે શંકા કરવાનું ઓછું બનતું હતું. 

યુરોપથી ઊલટું એશિયા અને આફ્રિકાના દેશોમાં વિવિધતા અનેકગણી છે અને ભારતમાં તો હજાર ગણી છે. વિશ્વનો પહેલા નંબરનો વિવિધતાવાળો દેશ. આ સ્થિતિમાં યુરોપનો રાષ્ટ્રવાદ એના એ સ્વરૂપમાં એશિયા અને આફ્રિકાના દેશોમાં ચાલી શકે નહીં અને ભારતમાં તો જરા પણ ન ચાલે. એ દેશોમાં કેટલાક લોકોએ પોતાની જરૂરિયાત મુજબ માફક આવે એવો રાષ્ટ્રવાદ અપનાવ્યો જેને કંપોઝીટ નેશનાલિઝમ (સેન્દ્રીય રાષ્ટ્રવાદ) તરીકે ઓળખાવવામાં આવે છે. આ સેન્દ્રીય રાષ્ટ્રવાદમાં બહુમતી પ્રજાનો આગ્રહ નહોતો. દાદાગીરીનો તો સવાલ જ નહોતો. રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા વિષે શંકા કરવામાં નહોતી આવતી, પણ અલગ વાતને સાંભળવામાં આવતી હતી. આ ઉપરાંત સંવાદ કરવામાં  આવતો હતો અને આપલેની ભાવના હતી. આખરે એક પરિવાર છે જેમાં કોઈ મોટું નથી કે કોઈ નાનું નથી. સૌહાર્દ કેન્દ્રમાં હોવો જોઈએ. તેમને ખબર હતી કે બહુ તાણવામાં તૂટી જવાનો સંભવ છે અને દેશમાં અરાજકતા પેદા થાય અને વખતે દેશના ટૂકડા પણ થાય.

બીજી બાજુ સામે પક્ષે એક જમાત એવી હતી જે સહિયારાની જગ્યાએ બહુમતી રાષ્ટ્રવાદમાં માનતી હતી. લઘુમતીએ બહુમતી પ્રજાની આશા અને એષણાનો આદર કરવો જોઈએ, તેમને અનુકૂળ થવું જોઈએ, તેમની સંસ્કૃતિ, ભાષા વગેરે અપનાવવાં જોઈએ, થોડી બાંધછોડ કરવી જોઈએ. આખરે દેશ માટે આટલું ન કરી શકો? તમે જો બહુમતીમાં હોત તો અમે તમને અનુસર્યા હોત. 

રાષ્ટ્રવાદનો આ બીજો માર્ગ પણ તમને પહેલી નજરે ગળે ઉતરે એવો લાગશે, પણ સવાલ અભિગમનો છે. લઘુમતી જો બહુમતીને અનુકૂળ ન થયા તો? તો યાદ રહે અમે બહુમતીમાં છીએ. સમસ્યા અહીંથી શરૂ થાય છે. પાશ્ચાત્ય બહુમતી રાષ્ટ્રવાદ હિન્દુત્વવાદીઓએ એટલા માટે અપનાવ્યો કે તે મુસલમાનોને દબાવવા માટે કામનો છે. ઇતિહાસની સાચીખોટી ઘટનાઓનું વેર વાળવા માટે કામનો છે. ખોટો ઇતિહાસ ભણાવીને હિંદુઓની અંદર મિથ્યા ગર્વ અને અભિમાન પેદા કરવા માટે કામનો છે. હિંદુમાનસમાં તામસિકતા પેદા કરવા માટે કામનો છે. જેઓ દાદાગીરી કરનારું તામસિક માનસ ધારાવે છે તેને વાડામાં પૂરી રાખવા માટે કામનો છે. આ દ્વારા તેઓ પોતાને હિંદુરક્ષક તરીકે સ્થાપિત કરી શકે. 

હવે એક નજર રાષ્ટ્રપટ પર કરો. આ દેશમાં તમને હિંદુરક્ષક મળશે અને હિંદુસેવક પણ મળશે. મુસલમાનોમાં ઇસ્લામ રક્ષક મળશે અને ઇસ્લામનો સેવક પણ મળશે. આ દેશમાં જે તે ધર્મનો ધર્મસેવક મળશે અને ધર્મરક્ષક પણ મળશે. આ દેશમાં દેશરક્ષક મળશે અને દેશસેવક પણ મળશે. આ દેશમાં હિન્દીરક્ષક મળશે અને હિન્દીસેવક પણ મળશે. સંસ્કૃતસેવક અને સંસ્કૃતરક્ષક મળશે. આ દેશમાં ગોરક્ષક મળશે અને ગોસેવક પણ મળશે. મરાઠી રક્ષક અને સેવક બન્ને મળશે. દ્રવિડસેવક અને રક્ષક મળશે. મરાઠા કે પટેલ સેવક અને રક્ષક મળશે. સ્ત્રીની ગરિમાનો આદર કરનાર સ્ત્રીસેવક મળશે અને સ્ત્રીરક્ષક પણ મળશે. ગમે તે સમાજની કલ્પના કરો, સેવક અને રક્ષક બન્ને મળશે. 

હવે એ તો દેખીતી વાત છે કે સેવક અને રક્ષકનો માર્ગ ભિન્ન હોવાનો અને આ મુદ્દાને બહુ વિસ્તારથી સમજાવવાની જરૂર નથી. ભાષાની વાત કરીએ તો અનેક લોકોએ પોતાની ભાષાને સમૃદ્ધ બનાવવાનો, વ્યાકરણને લોકસુલભ બનાવવાનો, લિપિ સુધારવાનો, સાહિત્યને લોકો સુધી પહોંચાડવાનો, અન્ય ભાષાના અમર સાહિત્યનો અનુવાદ કરીને સ્વ-ભાષિક પ્રજાનાં જ્ઞાનની ક્ષિતિજ વિસ્તારવાનો, શબ્દકોશ તૈયાર કરવાનો, સભા સેમીનાર, પુરસ્કાર, પ્રોત્સાહન કે ફોલોશીપ આપવાનો વગેરે વગેરે પ્રકારના પ્રયાસ કરશે. આ સેવકોનો અભિગમ છે. ગોસેવક ગોશાળા બાંધશે, નસ્લના સંવર્ધન માટે કામ કરશે, તેનાં આરોગ્ય માટે કામ કરશે, ગોવિજ્ઞાન વિકસાવશે, રખડતી ગાયોને ખીલે બાંધશે વગેરે. આ ગોસેવકનો અભિગમ હશે. આ જ વાત અલગ અલગ રીતે ધર્મ, દેશ અને બીજી દરેક વાતને લાગું પડશે. સેવકોના અભિગમમાં રચનાત્મકતા જોવા મળશે. 

રક્ષકોનો માર્ગ જૂદો છે. હિન્દીસેવક બનવું હોય તો શુદ્ધ ભાષા આવડવી જોઈએ, વાંચન કરવું જોઈએ, ઉચ્ચારશુદ્ધિ કેળવવી જોઈએ, ભાવક તરીકે રસિકતા કેળવવી જોઈએ, બીજા હિન્દીભાષીકોની રૂચી કેળવવા કામ કરવું જોઈએ પણ રક્ષક બનવા માટે આમાંની કશી ચીજની જરૂર હોતી નથી. એને માટે દંડુકો પૂરતો છે. જગતમાં અનેક પ્રકારનાં ટીચિંગ માટે કોર્સ વિકસ્યા છે, પણ ગુરખા ટ્રેનીંગ ઇન્સ્ટિટયૂટ જોવા નહીં મળે. ગુરખો બનવા માટે ભણવાની જરૂર જ પડતી નથી. બાવડાનું બળ, સંખ્યાનું બળ અને સત્તાનું બળ દંડુકાના પ્રકાર છે. જાડી બુદ્ધિ ધરાવનારા અભણ અને અસંવેદનશીલ લોકોનું આ ક્ષેત્ર છે. આ જગતમાં દરેક જગ્યાએ સ્વઘોષિત રક્ષકોએ કાળો કેર વરસાવ્યો છે. 

અને છેલ્લે એક નજર તમારી આસપાસ કરો. કોણે તમારા પરિવારને, તમારા સમાજને, તમારા પ્રદેશને, તમારી ભાષાને, તમારી સંસ્કૃતિને, તમારી જ્ઞાતિની સ્ત્રીઓને, તમારે ત્યાંના પછાત વર્ગને, ગરીબોને ઉપર ઉઠાવવામાં યોગદાન આપ્યું છે? યાદી કરશો તો જોવા મળશે કે દરેક સેવક હશે, રક્ષક એક પણ નહીં હોય. દાદાગીરી-જોહુકમી અને વાત્સલ્ય એક સાથે ન રહી શકે. અને હજુ એક વાત. રક્ષકો પરાયા ઉપર જેટલી નજર રાખે છે એનાં કરતાં પોતાનાંઓ પર વધુ નજર રાખે છે. આ આપણો થઈને પરાયાનું ઉપરાણું તો નથી લેતો ને? એ પરાયાને તો સતાવતો સતાવશે, પોતાનાંને વધારે સતાવશે. તેના પર વધુ નજર રાખશે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી હિંદુરક્ષકો મુસલમાનો કરતાં હિંદુઓ પર વધારે નજર રાખે છે અને તેમને નાસ્તિક, ફિરંગીની ઓલાદ, મેકોલેની ઓલાદ, દેશદ્રોહી, ધર્મદ્રોહી, અર્બન નક્સલ વગેરે લેબલ લગાડીને સતાવે છે. 

રક્ષકનો આ સ્વભાવ છે. રક્ષક સેવક ન બની શકે. એટલે તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કોઈ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું યોગદાન નથી. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025

Loading

ધરતીનો આ ઉકળાટ કેમ?

રમેશ સવાણી|Diaspora - Features|19 July 2025

17 જુલાઈ 2025ના રોજ સવારે બ્રેકફાસ્ટ કરી 7 વાગ્યે Yellowstone – યલોસ્ટોન નેશનલ પાર્ક જવા નીકળ્યા. રસ્તાની બન્ને બાજુ પહાડોની હારમાળા હતી. પહાડો વૃક્ષોથી ઢંકાયેલા હતા. એક તરફ ખળખળ વહેતી Gibbon – ગિબન નદી હતી. આંખને ઠારે તેવું વાતાવરણ હતું.

આજે ગરમ પાણી અને વરાળ છોડતા ઝરા – geysers જોવાનો પ્લાન હતો. યલોસ્ટોનનો સૌથી મોટો ગરમ પાણીનો ઝરો – ‘Grand Prismatic Spring – ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’, જોયો. ખૂબ સુંદર. જાણે ધરતી કંઈક કહી રહી હોય ! આ ઝરો 121 ફૂટથી વધુ ઊંડો છે અને તેનો વ્યાસ 200-330 ફૂટનો છે. વરાળમાં સલ્ફરની આછી ગંધ હોય છે. કોઈ કોઈ જગ્યાએ 90થી 120 ફૂટ ઊંચો Mist – ધુમાડો જોવા મળે. 

‘Old Faithful – ઓલ્ડ ફેથફુલ’/ ‘Excelsior Geyser – એક્સેલસિયર ગીઝર’ / ‘Morning Glory Pool – મોર્નિંગ ગ્લોરી પૂલ’ વગેરે ગરમ પાણીનાં ઝરણાં જોયાં. કુદરતની રચના અદ્દભુત છે. વરાળ અને ગરમીનું કારણ magma – મેગ્મા છે, જે ભૂગર્ભમાં 5-13 કિલોમીટર અંદર છે. પાણી એક કિલોમીટર કરતાં વધુ નીચે ઝરે છે અને ગરમ થાય છે. પછી સપાટી પર આપણે જોઈ શકીએ છીએ. ‘ઓલ્ડ ફેથફુલ’ વિશ્વમાં સક્રિય ગીઝરનું સૌથી મોટું સંકુલ છે.

યલોસ્ટોન નેશનલ પાર્કની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સપાટીથી લગભગ 8,000 ફૂટ (2,438 મીટર) છે. Old Faithful geyser સમુદ્ર સપાટીથી 7,349 ફૂટ(2,240 મીટર)ની ઊંચાઈ પર છે અને વિસ્ફોટ વેળાએ સામાન્ય રીતે 106 થી 185 ફૂટ(32થી 56 મીટર)ની ઊંચાઈ સુધી ફાટી નીકળે છે.

આ ઝરા કેટલા જૂના હશે? યલોસ્ટોનના ઝરા લગભગ 15,000 વર્ષ પહેલાં, છેલ્લે હિમનદીઓ પીછેહઠ કર્યા પછી બન્યા હોવાનું માનવામાં આવે છે. જો કે, દરેક ગીઝરની ચોક્કસ ઉંમર નક્કી કરવી પડકારજનક છે, કારણ કે તે સતત વિકસિત થતી લાક્ષણિકતાઓ ધરાવે છે. ભૂકંપની પ્રવૃત્તિ, પાણીની વધઘટ અને વિસ્ફોટની આવર્તન અને તીવ્રતામાં ભિન્નતાને કારણે ગીઝર સમય જતાં બદલાય છે. ગીઝરની ભૌતિક રચનાઓ વિસ્ફોટ દ્વારા ક્ષીણ થઈ શકે છે અથવા બદલાઈ શકે છે, જેના કારણે તેમના વર્તમાન કદ અથવા આકારના આધારે તેમની ઉંમર નક્કી કરવી મુશ્કેલ બને છે. વળી આ ઝરા થોડો સમય નિષ્ક્રિય રહે અને ફરી સક્રિય થઈ જાય છે !

યલોસ્ટોનના ગીઝરમાં વિવિધ પ્રકારના રસાયણો હોય છે, જે મુખ્યત્વે પાર્કની ભૂ-ઉષ્મીય પ્રવૃત્તિ અને પાણી-ખડકોની ક્રિયાપ્રતિક્રિયાને કારણે થાય છે. આમાં ઓગળેલા વાયુઓ, ખનિજો અને ટ્રેસ ધાતુઓનો સમાવેશ થાય છે. ગીઝરમાં સિલિકા, ક્લોરાઇડ, સોડિયમ અને સલ્ફેટનું પ્રમાણ વધુ હોય છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ પણ ઉત્સર્જન કરે છે.

ઝરાનું પાણી એટલું નિર્મળ અને પારદર્શક હોય છે કે એમાં નાહવાનું મન થઈ જાય. ગરમ પાણીનાં ઝરણામાં નાહવાની / તરવાની મનાઈ છે. મોટાભાગના ગરમ પાણીનાં ઝરણામાં પાણી અત્યંત ગરમ હોય છે, જેથી દાઝી જવાય. ઝરણાની આસપાસની જમીન પાતળી અને અસ્થિર હોઈ શકે છે, જેના કારણે ગરમ પાણીમાં પડવું ખરેખર જોખમી બની શકે.

શું ઝરાનું પાણી પી શકાય? યલોસ્ટોન થર્મલ પાણીમાં 57 મિલિગ્રામ / લિટર જેટલું ફ્લોરાઇડ હોય છે. તેમાં એન્ટિમોની અને પારો હોય છે. જેથી પી શકાય નહીં.

ઝરાની આસપાસ નારંગી કલર જોવા મળે છે. પાણીમાં Cyanobacteria – સાયનોબેક્ટેરિયા હોય છે. રંગબેરંગી મેટ અને સ્ટ્રીમરમાં જોવા મળે છે. ગ્રાન્ડ પ્રિઝમેટિક જેવા આલ્કલાઇન ઝરણામાં નારંગી રંગના સ્પોન્જ જેવા મેટ હોય છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં 500થી વધુ ગીઝર છે. 

દર વરસે 40 લાખથી વધુ લોકો ધરતીનો આ ઉકળાટ જોવા આ સ્થળની મુલાકાત લે છે. એમાં અમારો પણ સમાવેશ થઈ ગયો !

19 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—298

દીપક મહેતા|Opinion - Opinion|19 July 2025

યોર ઓનર! આ માણસ વકીલે શીખવેલું પોપટની જેમ બોલે છે

બુલચંદ અને પાર્વતી. એક ગુમનામ દંપતી. મધ્યમ વર્ગનાં એમ કહેવું એ અતિશયોક્તિ કહેવાય. સિંધના શિખરપુર ગામમાં રહે. પણ દીકરો ગજબનો હોશિયાર. સ્કૂલમાં એક-એક વરસે બબ્બે ધોરણ પાસ કરીને તેરમે વરસે તો મેટ્રિક થઈ ગયો! અને સત્તરમે વરસે મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની ડિગ્રી ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન સાથે મેળવી. પણ પછી? વકીલાત કરવા માટે ઓછામાં ઓછી ઉંમર ૨૧ વરસની હોવી જોઈએ એવો તે વખતે કોર્ટમાં નિયમ. બીજો કોઈ છોકરો હોત તો ચાર-પાંચ વરસ બીજી કોઈ નાની-મોટી નોકરી કરીને મન મનાવ્યું હોત અને ગુજરાન ચલાવ્યું હોત. પણ આ છોકરો તો હતો માથા ફરેલો. એટલે અદાલતમાં અરજી કરી, કે આ નિયમ અયોગ્ય અને ભેદભાવભર્યો છે. કોર્ટે વાત સ્વીકારી, અને ૧૭ વરસના એ છોકરાને વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાની અપવાદરૂપે મંજૂરી આપી. એટલે ૧૮ વરસની ઉંમરે બન્યો વકીલ. ૧૯૪૮માં માદરે વતન સિંધ છોડી નિરાશ્રિત તરીકે મુંબઈમાં આવીને વસ્યો. 

રામ જેઠમલાણી – પાકટ વયે

ફરી એકડે એકથી વકીલાત શરૂ કરી. ૨૦૧૭ના સપ્ટેમ્બરની નવમી તારીખે તેણે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્તિ લેવાનું જાહેર કર્યું. તે પહેલાં કઈ કેટલાયે ચકચારભર્યા કેસ લડ્યો, મોટા ભાગના જીત્યો. હર્ષદ મહેતા, કેતન પારેખ, લાલ કૃષ્ણ અડવાણી, જેસિકા લાલ, લલિત મોદી, વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓ, હાજી મસ્તાન, આસારામ બાપુ, જયલલિતા, અરવિંદ કેજરીવાલ, જેવી કેટલીયે વ્યક્તિઓના આખા દેશમાં ગાજેલા કેસ લડ્યો. કેસ લડવા માટે આખા દેશમાં સૌથી વધુ ફી લેવા માટે નામચીન બન્યો. આ અંગે ટીકા થતી ત્યારે એ બેધડક કહેતો : ‘હું ક્યા બળજબરીથી પૈસા પડાવું છું? અસીલ રાજીખુશીથી આપે છે, અને હું લઉં છું.’ પછી રાજકારણમાં પડ્યો. દિલ્હીમાં મિનિસ્ટર બન્યો. માથાભારે વિચારો અને વર્તનને કારણે થોડો વખત કેનેડા જઈને રહેવું પડ્યું. એક રાજકીય પક્ષમાંથી બરતરફ થયો, છ વરસ માટે. જિંદગીનું ૯૬મું વરસ પૂરું થવાને માત્ર છ દિવસની વાર હતી ત્યારે, ૨૦૧૯ના સપ્ટેમ્બરની આઠમી તારીખે સવારે પોણા આઠ વાગ્યે દિલ્હીમાં તેનું અવસાન થયું. આ વિલક્ષણ અને વિચક્ષણ વકીલ તે રામ જેઠમલાણી. મામી આહુજાના મિત્ર હતા એટલે તેમણે રામ જેઠમલાણીને આ કેસ માટે રોકેલા. નાણાવટી ખૂન કેસ તેમનો પહેલો હાઈ-પ્રોફાઈલ કેસ.

યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ અને ધનંજય યશવંત ચંદ્રચૂડ, પિતા–પુત્ર બંને બન્યા હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા

જેઠમલાણીના બીજા સાથીદાર વકીલ કોણ હતા? યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ. ૧૯૨૦ના જુલાઈની ૧૨મી તારીખે પુણેમાં જન્મ. ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં ભણતર. મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી ૧૯૪૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે બી.એ. થયા. પૂણેની લો કોલેજમાં ભણીને ૧૯૪૨માં એલ.એલબી. થયા, ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ. યુનિવર્સિટી ઓફ બોમ્બેની ત્રણ ત્રણ સ્કોલરશીપ મેળવી. ૧૯૪૩માં બોમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટીસ શરૂ કરી. ૧૯૬૧માં એ જ કોર્ટના જજ બન્યા. ૧૯૭૨માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ, અને ૧૯૭૮ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિમાયા. ૧૯૮૫ના જુલાઈની ૧૧મી તારીખે નિવૃત્ત. સાત વરસ અને ચાર મહિના સુધી ચીફ જસ્ટિસના હોદ્દા પર રહીને તેઓ સૌથી વધુ લાંબી મુદ્દત માટે એ પદ પર રહેનારા બન્યા. ૨૦૦૮ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું. વખત જતાં તેમના દીકરા ધનંજય ચંદ્રચૂડ પણ ૨૦૨૨માં ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા બન્યા. નાણાવટી ખૂન કેસના બે મહત્ત્વના વકીલોના  પરિચય પછી પાછા ફરીએ મિસિસ યાજ્ઞિકની જુબાનીના દિવસે. 

૧૯૫૦ની આસપાસનો બોમ્બે હાઈ કોર્ટનો એક કોર્ટ રૂમ

ખંડાલાવાલા : મિસિસ યાજ્ઞિક, તમે આરોપી કમાન્ડર નાણાવટી અને તેમનાં પત્નીને કેટલા વખતથી ઓળખો છો? 

મિસિસ યાજ્ઞિક : હું તેમને પહેલી વાર મળી કોચિનમાં, વરસ હતું ૧૯૫૪. એ વખતે મારા પતિનું પોસ્ટિંગ કોચિનમાં હતું. કમાન્ડર નાણાવટીને પણ કોચિનમાં પોસ્ટિંગ મળ્યું. પણ તેમને ઘર ફાળવવામાં આવ્યું નહોતું. એટલે કેટલોક વખત તેઓ અને મિસિસ નાણાવટી અમારે ઘરે રહ્યાં હતાં. 

ખંડાલાવાલા : અને મરનાર પ્રેમ આહુજા અને તેમની બહેન મામી આહુજાને તમે ક્યારથી ઓળખો છો?

મિસિસ યાજ્ઞિક : ૧૯૪૭થી. હું અને મારા પતિ લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક મુંબઈ આવ્યાં. કારણ મારા પતિની બદલી મુંબઈ થઈ હતી. પછી ઓગસ્ટ ૧૯૫૫માં તેમની બદલી વિઝાગ (હાલનું નામ વિશાખાપટ્ટનમ્) થઈ. પણ હું ત્રણ મહિના પછી ત્યાં ગઈ. ઓગસ્ટની ૨૦મીથી ઓક્ટોબરની ૩૦મી સુધી હું મિસિસ નાણાવટી સાથે રહી. એ વખતે મામી આહુજા ઘણી વાર મને મળવા આવતાં અને હું અને સિલ્વિયા પણ તેમને ઘરે મળવા જતાં. ઘણી વાર સિલ્વિયાનાં બાળકો પણ સાથે આવતાં. આ રીતે હું તેમને ત્યાં છ-સાત વખત ગઈ હોઈશ. વિઝાગ ગયા પછી હું મુંબઈ આવી નથી. આજે આ જુબાની આપવા માટે જ આવી છું.

ખંડાલાવાલા : નાણાવટી કુટુંબ અને આહુજા કુટુંબનો પરિચય તમે કરાવી આપ્યો હતો?

મિસિસ યાજ્ઞિક : હા, જી. ૧૯૫૬માં મેં આ બંને કુટુંબોનો પરિચય એક-બીજા સાથે કરાવ્યો હતો. તે પહેલાંથી તેઓ એકબીજાને ઓળખતાં હતાં કે નહિ, એની મને ખબર નથી. સિલ્વિયા અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમ-સંબંધ વિષે હું કશું જ જાણતી નથી. 

ખંડાલાવાલા : મારે આ સાક્ષીને વધુ કશું પૂછવાનું નથી. મારા મિત્ર વકીલ ઊલટ તપાસ કરી શકે છે.

રામ જેઠમલાણી : મારે આ સાક્ષીને કશું પૂછવાની જરૂર જણાતી નથી. 

એટલે અદાલતે લેફ્ટનન્ટ કમાન્ડર પ્રવીણ સી. યાજ્ઞિકને જુબાને માટે બોલાવ્યા.  

ખંડાલાવાલા : લેફ્ટનન્ટ કમાન્ડર યાજ્ઞિક, આહુજા કુટુંબને કેટલાં વરસથી ઓળખો છો?

યાજ્ઞિક : પચીસ વરસથી. 

ખંડાલાવાલા : અને આરોપીને?

યાજ્ઞિક : ૧૯૪૧થી. ૧૯૫૪માં તે અને તેમનાં પત્ની કોચિનમાં અમારી સાથે રહ્યાં હતાં. પણ હું ક્યારે ય તેમને ઘરે રહ્યો નથી. પણ ૧૯૫૮માં મારી બદલી વિઝાગ થઈ ત્યારે મારાં પત્નીએ પોતાને માટે રહેવાની વ્યવસ્થા નાણાવટી કુટુંબ સાથે કરી હતી. 

ખંડાલાવાલા : મિસિસ નાણાવટી અને પ્રેમ આહુજા વચ્ચેના પ્રેમસંબંધ અંગે તમે શું જાણતા હતા?

યાજ્ઞિક : કશું જ નહિ. મારી નોકરીના ભાગ તરીકે મારે ઘણી વાર થોડા થોડા દિવસ માટે મુંબઈ આવવાનું થતું. ત્યારે હું પ્રેમ આહુજાને ઘરે ઉતરતો. 

ખંડાલાવાલા : આ રીતે તમે છેલ્લે તેમને ત્યાં ક્યારે રહ્યા હતા? 

યાજ્ઞિક : છેલ્લે મેં પ્રેમ આહુજાને કાગળ લખ્યો હતો કે મારી ફરજના ભાગ રૂપે સત્તાવાર કામ માટે એપ્રિલની ૨૭મી તારીખે હું મુંબઈ આવવાનો છું. કામ પૂરું થાય એટલે દસ દિવસની રજા લઈને હું મારા બાપુજીને મળવા સૌરાષ્ટ્ર જવા ધારું છું. મેં લખ્યા પ્રમાણે એપ્રિલની ૨૭મી તારીખે સાંજના સાત વાગ્યાના સુમારે હું પ્રેમ આહુજાને ઘરે પહોંચ્યો હતો. હું તેમના ફ્લેટમાં ગયો ત્યારે ત્યાં ઘણા બધા પોલિસ ઓફિસર હાજર હતા. તેમણે મને કહ્યું કે પ્રેમ આહુજાનું મોત નિપજ્યું છે. 

ખંડાલાવાલા : નામદાર, આ સાક્ષીને મારે વધુ કાંઈ પૂછવાનું નથી. મારા મિત્ર તેમની ઊલટતપાસ કરી શકે છે.

રામ જેઠમલાનણી : મારે કશું પૂછવાની જરૂર જણાતી નથી. 

એટલે મરનાર પ્રેમ આહુજાના નોકર રાપાની જુબાની શરૂ કરવામાં આવી. તેણે અદાલતને જણાવ્યું કે બનાવના દિવસે સવારે સાડા નવ વાગ્યે મારા શેઠ – પ્રેમ આહુજા – ઓફિસ જવા નીકળ્યા હતા. બપોરે પોણા બે વાગે તેઓ લંચ માટે ઘરે આવ્યા હતા. શેઠનાં બહેન, મામી મેડમ પણ સવારથી બહાર ગયાં હતાં. શેઠ આવ્યા પછી પાંચેક મિનિટે મેડમ પણ બહારથી આવ્યાં. બંને સાથે જમવા બેઠાં. જમી લીધા પછી બંને પોતપોતાના બેડરૂમમાં આરામ કરવા ગયાં. બેડરૂમમાં જતાં પહેલાં શેઠે મને કહેલું કે સવા ચાર વાગ્યે મને જગાડજે અને હું ઊઠું ત્યારે ચા તૈયાર રાખજે. મેં એ પ્રમાણે તેમને જગાડીને ચા આપી. પછી હું રસોડામાં ગયો. થોડી વાર પછી ખાલી કપ લેવા તેમના બેડરૂમમાં ગયો. તે વખતે મેં ટેલિફોન બેડરૂમમાંથી કાઢીને ડ્રોઈંગ રૂમમાં લગાડ્યો. એ વખતે શેઠ બાથરૂમમાં નહાઈ રહ્યા હતા. પછી હું મેડમ મામી માટે ચા બનાવવા લાગ્યો. એવામાં ડોર બેલ વાગી, એટલે હું બારણું ખોલવા ગયો. એ વખતે લગભગ ૪:૨૦ થઈ હશે. મેં બારણું ખોલ્યું ત્યારે બહાર આરોપી ઊભો હતો. તે અગાઉ પણ અમારે ઘરે આવતો હતો. તેના હાથમાં પીળા રંગનું એક મોટું કવર હતું. 

રામ જેઠમલાણી : એ કવરમાં શું હતું?

નોકર : કાળા રંગની રિવોલ્વર.

ખંડાલાવાલા : કવરમાં શું હતું તેની તમને કઈ રીતે ખબર પડી? કમાન્ડર નાણાવટીએ કવરમાંથી કાઢીને તમને બતાવેલી, કે તમે પોતે કાઢીને જોયેલી? (કોર્ટમાં હસાહસ)

જજ મહેતા : ઓર્ડર, ઓર્ડર!

નોકર : ના, જી. મેં જોઈ નહોતી કે ન તો તેમણે મને બતાવી હતી. પણ પછી જે કાંઈ બન્યું તેને આધારે મેં આવું અનુમાન કર્યું હતું.

ખંડાલાવાલા : યોર ઓનર! ભલે આ સાક્ષી કહે કે તેણે આવું અનુમાન કર્યું હતું. પણ હકીકત એ છે કે શું બોલવું અને શું નહિ, એ તેને બચાવપક્ષના વકીલ દ્વારા શીખવવામાં આવ્યું છે. અને પોપટની જેમ આ માણસ એ પ્રમાણે બોલે છે. 

જજ મહેતા : અદાલત તમારી રજૂઆતની નોંધ રેકર્ડ પર લે છે.

ખંડાલાવાલા : થેંક યુ માય લોર્ડ!

નોકર : પછી આરોપીએ મને પૂછ્યું કે તારા શેઠ ઘરમાં છે? મેં ‘હા’ પાડી એટલે તે શેઠના બેડરૂમમાં ગયો અને પાછળ બારણું બંધ કર્યું. એ વખતે મેડમ આહુજા તેમના બેડરૂમમાં હતાં. હું ડાઈનિંગ ટેબલ પાસે ઊભો હતો. એ વખતે મેં ત્રણ મોટા અવાજ સાંભળ્યા. એ અવાજ શેઠના બેડરૂમમાંથી આવ્યા હતા. તેમાંના પહેલા બે અવાજ ‘ટેપ’ ‘ટેપ’ જેવા હતા. ત્રીજો અવાજ કાચ તૂટવાનો હતો. આરોપી શેઠના બેડરૂમમાં ગયો તે પછી લગભગ તરત જ આ અવાજો આવ્યા હતા. અવાજો સાંભળીને મેડમ આહુજા તેમના બેડરૂમમાંથી આવ્યાં અને મને પૂછ્યું : ‘શું થયું? આ અવાજ શેના?’ અને અમે બંને તરત શેઠના બેડરૂમમાં ગયાં. 

ત્યારે તમે શું જોયું?

મારા શેઠ લોહીલુહાણ હાલતમાં બાથરૂમની ફર્શ પર પડ્યા હતા. આરોપી થોડે દૂર ઊભો હતો અને તેના હાથમાં રિવોલ્વર હતી. તેણે મને કહ્યું : ખબરદાર છે, એક ડગલું પણ આગળ વધ્યો તો તારો જાન જશે. છતાં હું બારણું રોકીને ઊભો રહ્યો. પણ આરોપીએ મને જોરથી ધક્કો માર્યો અને બહાર નીકળી ગયો. મેડમ આહુજાએ પણ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ તેમને ય ધક્કો મારીને આરોપી ઘરની બહાર નીકળી ગયો. હું તેની પાછળ પાછળ દોડ્યો. મેં બૂમ પાડીને વોચમેનને કહ્યું કે આ માણસને રોક. તેણે મારા શેઠનું ખૂન કર્યું છે. પણ ત્યાં સુધીમાં આરોપી તેની મોટરમાં બેસી ગયો હતો. છતાં વોચમેને અને મેં તેની મોટર રોકી. વોચમેને કહ્યું કે હું તને ભાગવા નહિ દઉં. હમણાં પોલીસને બોલાવું છું. ત્યારે આરોપી બોલ્યો કે હું જ પોલિસ સ્ટેશને જઈને સરન્ડર કરું છું. 

બરાબર એ જ વખતે અદાલતનો સમય પૂરો થયો. 

નોકરની જુબાની અંગેની વધુ વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 19 જુલાઈ 2025

Loading

...102030...73747576...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved