Opinion Magazine
Number of visits: 9457408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ રચનાઓ

સાહિલ|Poetry|14 December 2023

1.

મનથી મન મળ્યાં કરે

જાત ઓગળ્યા કરે

વાત મારી કાન દઈ

મૌન સાંભળ્યા કરે 

લાગણીના વિશ્વને

લાગણી છળ્યા કરે

શું અછડતી વાતના

અર્થ નીકળ્યાં કરે

દૃશ્યની હવેલીમાં

દર્પણો પળ્યા કરે 

એ મથક જુદાઈનું

માર્ગ જ્યાં મળ્યાં કરે

કાળ જેવા કાળથી

સ્વપ્ન ક્યાં ટળ્યાં કરે

•

2.

બિમ્બને બે ચાર થપ્પડ મારિયે

પીઠ પોતાની પછી પસવારિયે

માણવી હો જીવવાની જો મઝા

શક્ય હો એવું કશું ના ધારિયે

ભ્રમને વાઘા સત્યના પહેરાવવા

હોય સાથે એમને સંભારિયે

ચાલ આજે રણની છાતી ચીરીને

પગરવોનું હોડકું હંકારિયે

આંખમાં ઝળઝળિયાં ઝળહળ થાય છે

પાંપણોને સ્વપ્નથી શણગારિયે

ખાલી ખિસ્સામાં ગગનને ગોપવી

લાગણીના વ્યાપને વિસ્તારિયે

આ સમય જેવા સમયને જીતવા

હારિયે સાહિલ સમયને હારિયે

••

3.

જે સાથ સાથ રહે તોય પણ મળે જ નહીં

અમારું મન અમારી સાથે પણ ભળે જ નહીં

ભલે મારો ચીરો કાપો ફાડો દાટો પાતાળે

પરન્તુ કોઈ રીતે કામના ટળે જ નહીં

લગાર થાય ઈશની યદિ કૃપાદૃષ્ટિ

ભભૂકતી ભઠ્ઠીમાં પણ જીવજી બળે જ નહીં

તમામ ઉમ્ર અમે મનની વાત કહેતાં રહ્યા

ને દાધારીગું નગર વાત સાંભળે જ નહીં

નીચેથી છેક ઉપર સુધી હવાઈ ચણતર

છતાં મહેલ ઉમ્મીદોનો તો ઢળે જ નહીં

એ વાત કરતાં કરતાં આયખું વીત્યું સાહિલ

જે વાતમાંથી કોઈ અર્થ નીકળે જ નહીં

10-12-2023
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com

Loading

આંબેડકર, તમે આવા ય હતા ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 December 2023

ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર(૧૮૯૧-૧૯૫૬)ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમનાં જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરા ય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલાં તેમનાં જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Babasaheb  છે.

જેમ બાબાસાહેબનું જીવન તેમ તેમના વિચારો પણ અભ્યાસીઓના રસ-રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડો. આંબેડકરના આટઆટલાં જીવનચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવનચરિત્રમાં પૂર્ણપણે ઉઘડ્યું નથી. આંબેડકર હોય કે ગાંધી, નહેરુ હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન – આખરે આ સૌ આપણા જેવા હાડચામના માણસો હતા. એ વાત તેમના વિભૂતિમત્વના આલેખનમાં વિસરાઈ જાય છે. બાબાસાહેબ એક વિદ્વાન તરીકે તો જરૂર આલેખાયા છે, પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબાસાહેબનાં એકાધિક જીવનચરિત્રો અને સ્વજનો-મિત્રોએ લખેલાં સ્મરણોમાંથી તારવી-સારવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા થોડા પ્રસંગો પ્રસ્તુત છે.

મહાનગર મુંબઈની ડબક ચાલ, બી.આઈ.ટી. ચાલ અને પોયબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડો. આંબેડકરે દહાડા ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડે બેસીને થાય તેવા કામો કરવાની હતી. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી તેમણે કદી જોયું નથી.

૧૯૦૬માં ડો. આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું, મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે, વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા’ ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી-ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં – દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે’.  

૧૯૩૫ની યેવલા પરિષદ સુધી ડો. આંબેડકર પાસે ખુદની મોટરકાર નહોતી. મુંબઈની મ્યુનિસિપલ બસનો તે ઉપયોગ કરતા.હતા. જ્યારે કાર વસાવી ત્યારે પુસ્તકોની ખરીદીના બિલ જેટલા પૈસા પાસે ના હોય તો બાકી બિલ પેટે પ્રકાશકને કાર સોંપી ચાલી નીકળતા પણ તે ખચકાતા નહોતા. પિતા રામજીએ તેમના બધા સંતાનોને અંગ્રેજી લખતાં, વાચતાં, બોલતાં કરેલા. એક વાર મુંબઈની મારવાડી વિદ્યાલયમાં જસ્ટિસ ચંદરવાકરના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એક યુવાને અસ્ખલિત અંગ્રેજીમાં ઘણાં સવાલો પૂછ્યા. સભા પૂર્ણ થયા પછી ન્યાયમૂર્તિ ચંદરવાકર તે યુવાન પાસે ગયા અને વાતો કરવા માંડી .. કદાચ તેઓ તે યુવાનને આંબેડકર સમજી બેઠા હતા. એટલે પેલા યુવાને ગેરસમજ દૂર કરતાં કહેલું, વિલાયતમાં જે  ભણે છે તે આંબેડકર છે, એ મારો નાનો ભાઈ છે. હું તો તેનો મોટો ભાઈ બલરામ છું. ભાષાઓ પ્રત્યે બાબાસાહેબને ગજબનો લગાવ હતો. મરાઠી એમની માતૃભાષા. પણ અંગ્રેજી બહુ સારું. એમ તો અમદાવાદની સભામાં ડો. આંબેડકરે ગુજરાતીમાં વક્તવ્ય પણ આપ્યું હતું ! જીવનના ઉત્તરાર્ધમાં એ પાલી શિખતા હતા.

આંબેડકરનો બાહ્ય દેખાવ બહુધા સૂટેડ-બૂટેડનો છે. પરંતુ મુંબઈના માટુંગાની દલિત વિદ્યાર્થીઓ માટેની કુમાર વિનય મંદિર શાળાના એક શિક્ષકે નોંધ્યું છે તેમ, બાબાસાહેબ એક દિવસ તેમની શાળાની મુલાકાતે આવ્યા હતા. બધા વિચારતા હતા કે તેઓ સૂટ અને હેટ પહેરીને આવશે. પણ સવારે લગભગ આઠેક વાગે એક સુદ્રઢ કદ-કાઠીની વ્યક્તિ મદ્રાસી ઢબની લૂંગી બાંધી, ઉપર ખમીસ અને પગમાં ચંપલ પહેરી કોઈ કસરતબાજ પહેલવાનની જેમ શાળામાં આવી અને તે ડો. આંબેડકર છે તે જાણીને બધા અચંભિત થઈ ગયા હતા.

અમેરિકી પત્રકાર વિન્સેન્ટ શીએને ભારતના અનેક મહાનુભાવોના જીવન વૃત્તાંતના દળદાર પુસ્તક ‘હુઝ હુ’નો ઉલ્લેખ કરી કહ્યું છે કે આ પુસ્તકમાં પોતાના પરિચયમાં કોઈ મહાનુભાવે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ ડો. આંબેડકરે કર્યો હતો. અને લખ્યું, જાતે અસ્પૃશ્ય. પોતાના બીજાં પત્ની ડો. શારદા કબીરના પરિચયમાં લખ્યું હતું, જાતે બ્રાહ્મણ. જો કે આઝાદ ભારતની સંસદમાં જ્યારે આભડછેટ નાબૂદીનો કાયદો પ્રસ્તુત થયો ત્યારે બાબાસાહેબે કાયદાના નામ અંગે જ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી. તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા અને બંધારણ પછી હવે આ દેશમાં કોઈ સ્પૃશ્ય નથી અને કોઈ અસ્પૃશ્ય નથી. બધા એક સમાન નાગરિક છે. એટલે આભડછેટ નાબૂદી કાયદાનું નામ નાગરિક હક સંરક્ષણ ધારો હોવું જોઈએ.

ગંભીર વિદ્વાન આંબેડકર કરતાં વ્યક્તિ આંબેડકર ઘણા રસિક હતા. એમને ચિત્રો દોરવા ગમતા હતા. વાદ્ય શિખતા અને વગાડતા. વિવિધ પ્રકારની ફાઉન્ટન પેનોનું તેમને આકર્ષણ હતું. તેમના હસ્તાક્ષરો બહુ સુંદર હતા. શરાબ કે સિગારેટને કદી હાથ લગાવ્યો નથી. પિતા, પત્ની, સંતાનો અને ખાસ અંગત મિત્રોના જ નહીં પેટ ડોગના અવસાન સમયે પણ તેમણે ભારે આક્રંદ કર્યું હતું. ક્યારેક ક્રિકેટ, ચેસ અને બ્રિજ રમતા. સમુદ્રસ્નાન કરતા. અઠંગ વાચક આંબેડકરે અછૂત કન્યા, અંકલ ટોમ, ઓલિવર પ્રિસ્ટ અને ગરીબો – દલિતોકેન્દ્રી કેટલીક ફિલ્મો સજળ આંખે જોઈ હતી. જાતભાતની રસોઈ આવડતી પણ ભોજન માટેની ચોક્કસ વાનગીનો કદી આગ્રહ રાખતા નહીં. ખાવાનું અને બોલવાનું બંધ કરીને તેઓ કોઈ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ખરા પણ જો એ ગાળો લંબાય તો અરે હું તો એકલો પડી ગયો કહીને ગુસ્સો થૂંકી કાઢતા. આજાર શરીરે નિર્વાણના ચાર દિવસ પહેલાં દિલ્હીના કોનોટ પ્લેસની પુસ્તકોની દુકાને જઈ પુસ્તકોની ખરીદી કરી હતી. બાળ ભીમરાવને કોઈ પાઈ પૈસો આપે તો રોપો ખરીદી લાવે અને વાવે. મહારાષ્ટ્રના પછાત મરાઠાવાડા વિસ્તારના ઔરંગાબાદમાં કેળવણીકાર આંબેડકરે કોલેજ શરૂ કરી તો કોલેજ કેમ્પસમાં એક છોડ વાવવાની શરતે તે મુલાકાતીઓને મળતા હતા. ૫૫ વરસના થયા ત્યાં સુધી માથાનો એકેય વાળ કાળો થયો નહોતો પણ દાંત બહુ વહેલા જવા માંડેલા.

બાબાસાહેબે આત્મકથા લખી નથી. પરંતુ પરદેશીઓને ભારતની જાલિમ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો પરિચય કરાવવાના હેતુથી ‘વેઈટિગ ફોર વિસા’ મથાળે થોડા આત્મકથનાત્મક લખાણો લખ્યા હતા. ડો. આંબેડકરને જ્ઞાતિમુક્ત ભારત અને જ્ઞાતિમુક્ત માનવના પરવાનાની પ્રતીક્ષા હતી. તેમના નિર્વાણ દિને આપણે પણ તેની પ્રતીક્ષા જ કર્યા કરીશું શું?

e.mail : maheriyachandu@gmail.com

Loading

પડકાર પેદા કરે તે પહેલાં જ કદ પ્રમાણે વેતરી નાંખવાનો

રમેશ ઓઝા|Opinion - Opinion|14 December 2023

રમેશ ઓઝા

સાવ અજાણ્યાં ચહેરાને મુખ્ય પ્રધાન બનાવવાની પરંપરા જૂની છે. કૉંગ્રેસ આમ દાયકાઓથી કરતી આવી છે. જગન્નાથ પહાડિયા ( રાજસ્થાન), બાબાસાહેબ ભોંસલે (મહારાષ્ટ્ર), સત્યેન્દ્રનારાયણ સિંહ (બિહાર) અને બીજા અનેક.

આમ કરવા પાછળનાં બે ઉદ્દેશ છે. એક તો એ કે કોઈ માણસ સત્તાની સીડી ચડીને કદાવર ન બનવો જોઇએ. જો રાજ્યસ્તરનો નેતા કદાવર બનવા માંડે તો પક્ષના કેન્દ્રીય નેતૃત્વને પડકાર ફેંકે અને તેમનું સાંભળે પણ નહીં. ભારતીય રાજકીય પરિભાષામાં જેને ક્ષત્રપ તરીકે ઓળખાવવામાં આવે છે તેને તે પડકાર પેદા કરે એ પહેલાં જ કદ પ્રમાણે વેતરી નાંખવાનો. ન રહે બાંસ ન બજે બાંસુરી.

કાઁગ્રેસમાં એક સમયે પ્રાદેશિક સ્તરે કેટલા કદાવર નેતાઓ હતા. મોરારજી દેસાઈ, ગોવિંદ વલ્લભ પંત, બિધાનચન્દ્ર રોય, દ્વારકા પ્રસાદ મિશ્ર, વગેરે. જવાહરલાલ નેહરુના યુગમાં કેન્દ્રમાં અને રાજ્યોમાં એક એકથી ચડિયાતા નેતાઓ હતા. પણ એ પછી સત્તાનું રાજકરણ શરૂ થયું અને પક્ષમાં પોતાનો પ્રભાવ અને પક્કડ વધારવાની હોડ શરૂ થઇ. વ્યાપક લોકસમર્થન અને લોકપ્રિયતા નેતાઓનો કૂવામાં જ શિકાર કરી નાંખવાનો કે જેથી તે હવાડામાં આવે જ નહીં.

અહીં મેં કૂવા અને હવાડાનું રૂપક આપ્યું એની પાછળ કારણ છે. વ્યાપક લોકસમર્થન ધરાવનારા નેતાઓ નીચે જનમ લેતા હોય છે અને પછી તે ઉપર જતા હોય છે. કપિલ સિબ્બલ જેવા સીધા ઉપરથી આવેલ નેતા ગમે એટલું મોટું પદ ભોગવે તે પક્ષની અંદર નેતૃત્વ સામે પડકાર ફેંકી ન શકે. માટે નીચેના સ્તરેથી નેતૃત્વ ઊગે અને વિકસે એ લોકતાંત્રિક રાજકીય પક્ષો માટે જરૂરી હોય છે. ડૉ. રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે જે લોકો માટે સંઘર્ષ કરે, જરૂર પડે તો જેલમાં જાય અને લોકોની વચ્ચે રચનાત્મક કામ કરે એવા લોકોની લોકતાંત્રિક પક્ષોને જરૂર હોય છે. એવા નેતાઓ આગલા નેતાઓને ખો આપીને પક્ષને આગળ લઇ જાય છે. પણ ઇન્દિરા ગાંધીનાં સમયમાં કૂવામાં જ ફિશીંગ કરવાનું શરૂ થયું અને ક્રમશ: કાઁગ્રેસ જમીની સ્તરે નિર્બળ થતી ગઈ તે ત્યાં સુધી કે રાહુલ ગાંધીની મહેનત ચૂંટણીમાં ફળતી નથી.

પણ આ તો એક દૃષ્ટિકોણ થયો. બીજો દૃષ્ટિકોણ એ છે કે ભારત જેવા સામાજિક અસમાનતા ધરાવતા દેશમાં સામાજિક સક્ષમીકારણનો અને ઉપરથી નીચેની દિશામાં સત્તાપરિવર્તનની સાઈકલ ચાલતી રહેવી જોઈએ. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યાંથી લઈને લગભગ એક દાયકા  સુધી રાજ્યોનાં બધા જ મુખ્ય પ્રધાનો બ્રાહ્મણ હતા. ૧૯૬૨ પછી અંગ્રેજીમાં જેને સોશ્યલ એન્જિનિઅરિંગ કહેવાય એની શરૂઆત થઇ. મુંબઈ રાજ્ય / મહારાષ્ટ્રમાં મોરારજી દેસાઈ પછી યશવંતરાવ ચવ્હાણ (મરાઠા) મુખ્ય પ્રધાન બન્યા અને એ પછી મારોતરાવ કન્નમવાર મુખ્ય પ્રધાન બન્યા હતા જે આંધ્ર પ્રદેશમાંથી મહારાષ્ટ્રમાં વસેલી કપ્પુ જ્ઞાતિના હતા અને પછી વસંતરાવ નાઈક મુખ્ય પ્રધાન બન્યા હતા જે પારધી કોમમાંથી આવતા હતા. આવું જ લગભગ દરેક રાજ્યોમાં બન્યું હતું. બ્રાહ્મણો અને સવર્ણોના હાથમાંથી સત્તા સરકતી ગઈ હતી. આ પ્રજાકીય જાગૃતિ અને સંખ્યાનો જાદુ હતો.

જો કદાવર નેતા જગ્યા કરીને ન આપે અને સત્તા છોડે જ નહીં તો સત્તાકીય સામાજિક સંઘર્ષ પેદા થાય જે રીતે બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા અનેક દેશોમાં થયો હતો અને સરવાળે એ દેશોએ લોકતંત્ર ગુમાવી દીધું હતું. ભારતમાં આ સમસ્યા પેદા નહોતી થઇ એ ભારતની વિશેષતા છે. ભારતનાં લોકતંત્રમાં ભારતની દરેક કોમ ભાગીદાર છે. હા, એ લોકો ભાગીદાર નથી જેમની પાસે કાયમી રહેઠાણ નથી અને કાયમી રોજગાર નથી. એની સંખ્યા પણ ઘણી મોટી છે અને એ આપણું કલંક છે.

પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ \ જન સંઘ \ ભા.જ.પ.ની વાત જૂદી છે. એ લોકો પહેલાં જ્ઞાતિ એક રાજકીય પરિબળ છે એ સ્વીકારતા જ નહોતા. ૧૯૭૦ સુધી સંઘ જન સંઘનું આવું વલણ હતું. હિંદુમાં બધા જ હિંદુ આવી ગયા, હિંદુ ઓળખ સર્વોપરી અને સર્વ સમાવેશક છે, હિન્દુઓને હિંદુ તરીકે સંગઠિત કરવા જોઈએ એવી તેમની માન્યતા હતી. એટલે તેઓ હિંદુ ન્યાયવ્યવસ્થાની વાત કરતા હતા, પરંતુ જેને ન્યાય આપવાનો હતો ત્યાં સુધી ન્યાય લઈને જતા નહોતા. ઊલટું સવર્ણ હિંદુઓએ વિકસાવેલી હિંદુ સંસ્કૃતિને પછાત કોમોએ અપનાવવી જોઈએ એવો તેમનો આગ્રહ હતો. આને કારણે સંઘ બ્રાહ્મણોના સંગથન તરીકેની અને જન સંઘ બ્રાહ્મણ-બનિયાઓના પક્ષ તરીકેની ઓળખ ધરાવતા હતા અને તેની પહોંચ પણ મર્યાદિત હતી.

૧૯૭૩માં સંઘના બીજા સરસંઘચાલક ગોલવલકર ગુરુજીનું અવસાન થયું અને તેમની જગ્યાએ આવેલા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે બ્રાહ્મણ-બનિયા સિવાયની પછાત જાતિઓ સુધી પહોંચવાનું શરૂ કર્યું. સંઘનો જે વિકાસ થયો અને બી.જે.પી.ને જે લાભ મળી રહ્યો છે એ આનાં કારણે. માટે ઘણાં લોકો ગુરુજીના કાર્યકાળ(૧૯૪૦-૧૯૭૩)ને વેડફાયેલાં વરસ (લોસ્ટ યર્સ) તરીકે ઓળખાવે છે. સંઘે દરવાજા તો ખોલ્યા પણ પૂરા નથી ખોલ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હજુ પણ પહેલી હરોળની નેતાગીરીમાં પછાતોને સ્થાન નથી અપાતું. સ્ત્રીઓનો તો પ્રવેશ જ નથી. તેના પક્ષમાં એટલે કે બી.જે.પી.માં પછાત કોમના નેતાને સર્વોચ્ચ હોદ્દો આપવામાં તો આવે છે, પણ તે સંઘનો સ્વયંસેવક હોવો જોઈએ. જે ન હોય એ પ્રધાન તો બની શકે, પણ મુખ્ય પ્રધાન કે વડા પ્રધાન ન બની શકે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્ય પ્રધાનપદ માટે બી.જે.પી.એ જેની પસંદગી કરી છે એ બધા જ સંઘના સ્વયંસેવક છે. સંઘની વિચારધારા અપનાવી લીધી હોય અને ચોક્કસ પ્રકારનું માનસ ઘડાયું હોય એ પછી સીડી ચડવા દેવામાં કોઈ જોખમ નથી, પણ મારે બી.જે.પી. અને બીજાં સંગઠનોમાં. સંઘમાં હજુ સુધી ઉપર ચડવા દેવામાં નથી આવતા. સંઘમાં તો આજે પણ મહારાષ્ટ્રના બ્રાહ્મણોનું જ વર્ચસ છે.

આમ કાઁગ્રેસના અને બી.જે.પી.ના સોશ્યલ એન્જિનિઅરિંગમાં જમીન આસમાનનો ફરક છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 ડિસેમ્બર 2023

Loading

...102030...730731732733...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved