Opinion Magazine
Number of visits: 9663556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 November 2025

ચંદુ મહેરિયા

૨૦૨૪ની લોકસભા ચૂંટણી  ૭૪૩ રાજકીય પક્ષોએ લડી હતી. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૧૧ અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૫માં ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા( ECI) એ સતત છ વરસો સુધી ચૂંટણ્રી નહીં લડેલા ૩૩૩ પક્ષોની માન્યતા રદ્દ કર્યા પછી, હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (૨,૫૨૦) છે. 

ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે : રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્યસ્તરીય પક્ષની માન્યતા નહીં ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોકપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની ધારા ૨૯(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેકશન કમિશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણી પંચની રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, ૨૦૧૯ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે, અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે, અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે. 

૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ તથા ૨૦૧૪ પછી થયેલી ૨૧ વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ પરથી ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા. 

હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પક્ષ (BSP), ભારતીય જનતા પાર્ટી (BJP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) CPI(M), ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ (INC) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) આ છ જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ૧૯૬૮ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં ૧૦મી એપ્રિલ ૨૦૨૩ના ચૂંટણી પંચના આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે. છ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂની કાઁગ્રેસની સ્થાપના ૧૮૮૫માં, સી.પી.આઈ.(એમ.)ની ૧૯૬૪માં, બી.જે.પી.ની ૧૯૮૦માં, બ.સ.પા.ની ૧૯૮૪માં, ‘આપ’ની ૨૦૧૨માં અને એન.પી.પી.ની ૨૦૧૩માં થઈ હતી. નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તરપૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એન.પી.પી. સ્થાપનાના માંડ એક જ દસકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યાં છે તે નોંધપાત્ર છે. 

ઈલેકશન કમિશને મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ, શરદ પવારના એન.સી.પી. (નેશનાલિસ્ટ કાઁગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સી.પી.આઈ. (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો છે. સી.પી.આઈ.એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એન.સી.પી.એ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કાઁગ્રેસે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં રાજ્યસ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછા રાજ્યોમાં રાજ્યસ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં હોઈ તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે. 

રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એક સરખા ઈલેકશન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટાણી ચિહન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે. ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે. ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે. 

ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૭૪૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જો કે દેશમાં આજે કુલ રાજકીય પક્ષો ૨,૫૨૦ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો ૮ હતા અને સૌથી ઓછા ૪ હતા. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ૮, ૧૯૯૮ની ૭, ૧૯૯૯ની ૭, ૨૦૧૪ની ૬, અને ૨૦૧૯ની ૭ રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં ૬ રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કાઁગ્રેસ લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોક્સભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સી.પી.આઈ.નું વિભાજન થતા ૧૯૬૪માં સી.પી.આઈ.(એમ.) બન્યો હતો. તો બેવડા સભ્ય પદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ૧૯૮૦માં થયો હતો. 

આઝાદીથી આજ દિન સુધીમાં કાઁગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિંદુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સી.પી.આઈ.(એમ.), જનતા દળ, જનતા પાર્ટી, લોકદળ, ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ (તિવારી), સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ( યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી, તૃણમૂલ કાઁગ્રેસ, આમઆદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.

દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેકશન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેકશન પરફોરમન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે. એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 November 2025

રાજ ગોસ્વામી

એક બહેતરીન હાસ્ય કલાકાર તરીકે અસરાનીએ ભલે આપણું મન ભરીને મનોરંજન કર્યું હોય, એક અભિનેતા તરીકે તેમને એ વસવસો રહી ગયો હતો કે ફિલ્મકારોએ તેમને કોમેડીના પિંજરામાં જ કેદ રાખ્યા. અસરાનીની એ તીવ્ર ઇચ્છા હતી કે તેઓ ખુદને એક ગંભીર અભિનેતા તરીકે સાબિત કરે. તેમણે ઘણી ભૂમિકાઓ પસંદ કરતી વખતે આ ઇચ્છાને ધ્યાનમાં પણ રાખી હતી. એટલું જ નહીં, ફિલ્મકારો તેમના વિશે કોમેડિયનથી આગળનું વિચારતા નહોતા એટલે અસરાનીએ ગાંઠનું ગોપીચંદન કરીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તે હીરો હોય. 

તે ફિલ્મ એટલે 1977માં આવેલી ‘ચલા મુરારી હીરો બનને.’ અસરાનીએ કહ્યું હતું કે તેમણે આ ફિલ્મ કેવળ મનોરંજન માટે નહોતી બનાવી, પરંતુ પોતાનાં સપનાંની અને તેને સાકાર કરવાના સંઘર્ષની વાર્તા કહેવા માટે બનાવી હતી. 

‘ચલા મુરારી હીરો બનને’ની વાર્તા-રૂપરેખા ખુદ અસરાનીના અનુભવોથી પ્રેરિત હતી. મુરારી નામનો એક નાનકડા શહેરનો છોકરો સપનાંની નગરી મુંબઈમાં આવે છે, સંઘર્ષ કરે છે, હાર-જીત કરે છે અને અંતે સફળ થાય છે – આ વાર્તામાં અસરાનીએ પોતાના આંતરિક અવાજ અને અનુભવોને સમાવ્યા હતા. 

ગયા અઠવાડિએ આપણે ‘ગુડ્ડી’ ફિલ્મની ચર્ચા કરી ત્યારે જોયું હતું કે પૂણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગનો કોર્સ કરતા ગોવર્ધન કુમાર અસરાનીએ કેવી રીતે ઋષિકેશ મુખર્જીની પાછળ પડી જઈને એ ફિલ્મમાં કુંદન નામના એક ગામડિયા યુવાનનો રોલ મેળવ્યો હતો, જે ગ્લેમરથી અંજાઈને હીરો બનવા માટે મુંબઈ આવે છે અને પછી હતાશાનો ભોગ બને છે.

અસરાનીએ અનેક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે આ ફિલ્મ તેમની ‘હીરો બનવાની લાલચ’નું પ્રતિબિંબ હતી – તેમણે તેમની કોમેડિયનની છબીને તોડીને પોતાને મુખ્ય હીરો અને ફિલ્મ નિર્દેશક તરીકે જોવાની કોશિશ કરી હતી.

કોમેડિયન-અસરાનીની સરખામણીમાં નિર્દેશક-અસરાનીનો માર્ગ આસાન નહોતો. તેમણે જ્યારે આ ફિલ્મ બનાવવાનો પ્રસ્તાવ મુક્યો, ત્યારે ઘણા સહકલાકારોએ તેને નકારી કાઢ્યો હતો. એમાં અમુક તો તેમના મિત્રો પણ હતા. “હું સહ-અભિનેતા તરીકે બરાબર હતો,” અસરાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “પણ જેવી મેં હીરો બનવાની વાત કરી, તો જે લોકો સાથે માટે ખાવા-પીવાના સંબંધો હતા તેમણે પણ ગલ્લાંતલ્લાં કરવા માંડ્યાં.”

અસરાનીને આનાથી બહુ દુઃખ થયું હતું. તે દરેક કલાકાર સાથે કામ કરવા માટે હરહંમેશ તૈયાર રહેતા હતા, પણ જ્યારે ખુદની ફિલ્મ બનાવી ત્યારે તેમાંથી ઘણાને તેમની નિર્દેશકની કાબેલિયત પર શંકા થવા લાગી હતી. “હીરો લોકોને એક કોમેડિયનની આજ્ઞાનું પાલન કરવાનું પચતું નહોતું,” એમ અસરાનીને લાગ્યું હતું.

ફિલ્મની નિર્માણ-પ્રક્રિયા દરમિયાન એવી ઘણી ક્ષણો આવી હતી; અસરાનીને તેમના આ નિર્ણય અંગે શંકા પડી હતી. તેમણે પહેલીવાર અનુભવ કર્યો કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈમેજ અને સ્ટેટસનું ઘણું મહત્ત્વ છે. તેમણે જ્યારે ફિલ્મ નિર્દેશક બનવાનો નિર્ણય જાહેર કર્યો, ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવ્યા હતા કે “જે લોકો પ્રસિદ્ધ છે તેમને તેમની ઈમેજ બદલતાં વાર લાગે છે.” મતલબ કે, અસરાનીને લોકો કોમેડિયન તરીકે જ જોવા ટેવાયેલા છે અને હીરો-નિર્દેશક તરીકે નહીં સ્વીકારે. 

‘દીવાર’ અને ‘ત્રિશુલ’ જેવી ફિલ્મોના નિર્માતા ગુલશન રાયે અસરાનીને એક કડવી સલાહ આપી હતી કે “એકવાર એક્ટર ખુદને નિર્દેશક તરીકે જાહેર કરે છે, પછી ફિલ્મ જગતમાં લોકો તેને કલાકાર તરીકે જોવાનું બંધ કરે છે. આઈ.એસ. જોહર, મહેમૂદ, જોની વોકર અને દેવેન વર્મા સાથે એવું જ થયું હતું.”

તેમ છતાં, અસરાનીએ ફિલ્મ બનાવવાનું તેમનું સપનું પૂરું કર્યું. ‘ચલા મુરારી હીરો બનને’માં વાર્તાની શરૂઆત એક નાના શહેરમાંથી થાય છે. ત્યાં મુરારીના પિતા કપડાંની દુકાન ચલાવે છે અને મુરારી ફિલ્મોમાં જવાનાં સપનાં જુએ છે. ફિલ્મમાં, અસરાનીએ એ બતાવ્યું હતું કે કેવી રીતે સપનાં જોવામાં કેટલાં સરળ લાગે છે પરંતુ તેને સાકાર કરવામાં કેટલી અડચણો આવે છે.

ફિલ્મની થીમમાં તે સમયના સામાજિક-સાંસ્કૃતિક પરિવર્તનની ઝલક પણ જોવા મળે છે. એક તરફ ભારતના હજારો યુવાનોનાં સપનાં, રોમાંચ અને ફિલ્મના હીરો બનવાની ઇચ્છા છે; તો બીજી તરફ ઇન્ડસ્ટ્રીની વાસ્તવિકતા, સંઘર્ષ અને કડવી હકીકત છે. એક રીતે, ‘ચલા મુરારી હીરો બનને’માં તે સમયની ફિલ્મોની ખોખલી દુનિયાને ઉજાગર કરવામાં આવી હતી.

ફિલ્મના નિર્માણ પાછળની અસરાનીની માનસિકતા વિશે વાત કરીએ તો, તેમણે જણાવ્યું કે આ ફિલ્મ બનાવી ત્યારે તેમની કેરિયરનો સૌથી નબળો તબક્કો ચાલતો હતો. તેઓ સહ-અભિનેતા તરીકે તો પ્રસિદ્ધ હતા, પરંતુ હીરો કે નિર્દેશક તરીકે તેમને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. આ ફિલ્મ પછી અસરાનીએ લોકોને મળવાનું અને તેમની સાથે ઉઠવા-બેસવાનું ઓછું કરી નાખ્યું હતું. તેમને મહેસૂસ થયું કે બોલ બચ્ચનથી કંઈ વળતું નથી, આ કઠોર દુનિયા છે અને લોકો તમને પાડવા માટે ટાંપીને બેઠા હોય છે.

ફિલ્મમાં અસરાનીએ અમુક યુક્તિઓ કરી હતી. જેમ કે મહેમાન કલાકાર તરીકે તેમાં મોટા સ્ટાર્સ હતા. જેમ કે – અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમા મલિની, ઋષી કપૂર વગેરે. ફિલ્મને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક બનાવવા માટે એમાં અમુક નામો અને ચહેરા હોવા જરૂરી હતા. આર.ડી. બર્મન અને કિશોર કુમારે આ ફિલ્મમાં મધુર ગીતો પણ આપ્યાં હતાં.

આ ફિલ્મ બહુ મોટી હિટ તો સાબિત ન થઇ, પરંતુ અસરાનીને એ આશા તો બંધાઈ કે તેઓ તેમની વાત કહી શકે તેમ છે અને પોતાની રીતે કામ કરી શકે તેમ છે. આ ફિલ્મ પછી તેમણે નિર્દેશકના રૂપમાં વધુ પ્રયાસો કર્યા હતા. તેમની આ કોશિશથી એક સંદેશ મળ્યો કે એક સાચા કલાકારે એવી ઈમેજમાં કેદ રહેવાની જરૂર નથી જે ઇન્ડસ્ટ્રી તેમના માટે નક્કી કરે – પરંતુ તેમાં પરિવર્તન લાવવા માટે હિંમત રાખવી જોઈએ.

‘ચલા મુરારી હીરો બનને’ કેવળ એક ફિલ્મ માત્ર નથી, પરંતુ તે અસરાનીનાં બાહ્ય અને આંતરિક સંઘર્ષ, તેમની ઊંચી આકાંક્ષાઓ, ફિલ્મ જગતની નગ્ન વાસ્તવિકતાઓ અને સમાજના લોકોનાં સપનાં વચ્ચેના તનાવની પ્રતિક છે. આજે જ્યારે આપણે આ ફિલ્મને યાદ કરીએ છીએ ત્યારે, આપણે તેને મનોરંજન તરીકે નહીં પરંતુ અસરાનીના તે ભાવનાનું પણ સ્મરણ કરીએ છીએ, જેણે એક કોમેડિયનને હીરો અને નિર્દેશક બનવા માટેનો રસ્તો બનાવ્યો હતો. 

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 12 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 

સોનલ પરીખ|Opinion - Opinion|16 November 2025

નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? ‘15, પાર્ક એવન્યુ’માં અપર્ણા સેન માનસિક બીમારી સાથે દર્શકોને જોડે છે અને એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા આપણા એક ખોવાયેલા ઘરને શોધવા મથતા હોઈએ જ છીએ …

દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં પ્રગટ થયેલા એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’માં આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલો સર્વે હતો. જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે. 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ. 

ખરેખર તો માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે જવાબદાર, જાગૃત ને પરિપક્વ દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને એને સંભાળનારને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે તે સમજવું જોઈએ. આપણે એવું કરીએ છીએ, કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ ‘15, પાર્ક એવન્યુ’ નામની અપર્ણા સેનની નેશનલ અવૉર્ડવિનિંગ ફિલ્મમાં મળે. આ ફિલ્મ બન્યાને દોઢ દાયકાથી વધારે સમય થયો. પણ એ પહેલા કે એ પછી આજ સુધીમાં આટલી સંવેદનશીલતાથી, આટલી ચોકસાઈથી અને આટલી સુંદર રીતે માનસિક બીમારી પર ભાગ્યે જ કોઈ ભારતીય ફિલ્મ બની છે.

ફિલ્મની શરૂઆત અનુ (શબાના આઝમી) અને તેની નાની બહેન મીઠી (કોંકણા સેન) કારમાં એક ઘર – 15, પાર્ક એવન્યુ શોધી રહ્યા છે, એ દૃશ્યથી થાય છે. દરમિયાન એક ફોન આવે છે. અનુ કહે છે, ‘મીઠી, વી હેવ ટુ ગો બેક. મારે કોલેજ જવાનું છે, વિદ્યાર્થીઓ રાહ જુએ છે.’ મીઠી કહે છે, ‘તો મારાં બાળકો પણ મારી રાહ જુએ છે ને.’ ધીરે ધીરે આપણને સમજાતું જાય છે કે મીઠી જેને શોધે છે એવું કોઈ ઘર છે જ નહીં. રાહ જોતાં પતિ અને બાળકો એના સ્ક્રીઝોફેનિક મનનું અધૂરું સ્વપ્નમાત્ર છે. 

તે રાત્રે અનુને એક લેખ લખવાનો છે અને મીઠી આવીને એના ઘરની, રાહ જોતા પતિ અને પાંચ બાળકોની વાત માંડે છે. અકળાયેલી અનુ કહે છે, ‘એ બધું તારો ભ્રમ છે. એવી કોઈ જગ્યા, એવા કોઈ લોકો ક્યાં ય છે જ નહીં.’ ત્યારે મીઠી તેને વીંધી નાખે તેવો સવાલ કરે છે, ‘આ કેવી વાત? તને કોઈ કહે કે તું પ્રોફેસર છે તે તારો ભ્રમ છે, તો?’ અને એને સ્તબ્ધ મૂકીને ચાલી જાય છે. મોડી રાત્રે તેને તેનાં બાળકો રોતાં હોય એમ લાગે છે, એ ઘરનો દરવાજો ખોલી બહાર જવાની કોશિશ કરે છે, નથી જઈ શકતી ત્યારે પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે. અનુ, એની મા (વહીદા રહેમાન) અને આયા તેને લઈને હૉસ્પિટલમાં દોડે છે. 

મીઠી અન્ડર ટ્રીટમેન્ટ છે ત્યારે અનુ (શબાના આઝમી) સાઈક્યાટ્રિસ્ટ ડૉ. કુનાલ(ધૃતિમાન ચેટર્જી)ને પૂછે છે, ‘મીઠી તેના કાલ્પનિક વિશ્વમાંથી જે આનંદ મેળવે છે તેને છીનવી લેવાનો આપણને શો અધિકાર છે?’ ત્યારે આપણે વિચારતા થઈ જઈએ છીએ. નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? 

એક આઘાતજનક ‘સિક્વન્સ’ પણ ફિલ્મમાં છે – અનુ કૉલેજમાં ક્વૉન્ટમ ફિઝિક્સ શીખવતી હોય છે ત્યારે ઘરમાં એક તાંત્રિક મીઠીનો ‘ઈલાજ’ કરતો હોય છે. આપણા દેશમાં સાઈક્યાટ્રિસ્ટ પાસે આવતા પહેલા દર્દીઓ આવા અનુભવમાંથી પસાર થયા જ હોય છે. પણ મીઠીને સ્ક્રીઝોફેનિયા કેવી રીતે થયો? અનુ ડૉક્ટરને જણાવે છે, ‘મીઠી નાની હતી ત્યારથી એકલી ફર્યા કરતી, પોતાનામાં ડૂબેલી રહેતી અને ગભરુ હતી. પછી તો સારું ભણી, જર્નાલિસ્ટ થઈ, સરસ બૉયફ્રેન્ડ હતો. સામૂહિક બળાત્કાર થયા પછી તેને સ્ક્રીઝોફેનિયા થયો.’ ડૉક્ટર કહે છે, ‘એ અર્થઘટન ખોટું છે. સ્ક્રીઝોફેનિયા આ રીતે થતો નથી. એને સ્ક્રીઝોફેનિયા હતો જ, લક્ષણો એ પછી દેખાયાં.’ 

આ બાજુ મીઠીનો પ્રેમી જોયદીપ (રાહુલ બૉઝ), બળાત્કાર પછીની મીઠીની અને પોતાની સ્થિતિને સંભાળી શકતો નથી અને એક ચિઠ્ઠી લખી ચાલ્યો જાય છે. અનુ સંજીવ(કંવલજિત)ને ચાહે છે, પણ એની જવાબદારીઓ એને સંજીવથી દૂર કરતી રહે છે. માને એની પોતાની અસહાયતા છે. 

અગિયાર વર્ષ બાદ અચાનક જોયદીપ દેખા દે છે. એ હવે પરિણીત છે, બે સુંદર બાળકોનો પિતા છે. મીઠી એને ઓળખી શકતી નથી, પણ એને કહે છે કે 15, પાર્ક એવન્યુમાં એનો પતિ અને બાળકો એની રાહ જુએ છે અને એને કોઈ ત્યાં લઈ જતું નથી. જોયદીપને ખ્યાલ આવે છે કે મીઠીનો કાલ્પનિક પતિ એ પોતે જ છે અને બાળકો, જોયદીપે એક વાર મજાકમાં બાળકોની કલ્પના કરીને નામ પાડેલાં એ જ છે. 

મીઠીએ પોતાને ઓળખ્યો નથી, પણ વિશ્વાસ તો મૂક્યો છે એ જોઈ જોયદીપ અનુને કહે છે કે એકવાર હું મીઠીને લઈ 15, પાર્ક એવન્યુ શોધવા જાઉં. બન્ને જાય છે, કારમાંથી ઊતરી ઘર શોધે છે. લોકો મજાક ઉડાવવા માંડે છે, જોયદીપ મીઠીને લઈ પાછો જવાની તૈયારી કરે છે ત્યાં મીઠીને 15 નંબરનું ઘર દેખાય છે, આંગણામાં એનાં બાળકો રમતાં દેખાય છે. સૌથી નાના બાળકને લઈને બેઠેલો પતિ દેખાય છે. મીઠી આનંદથી એમને ભેટી પડે છે અને સૌ હસતાંરમતાં અંદર ચાલ્યા જાય છે. ગુમ થઈ ગયેલી મીઠીને શોધતા જોયદીપ, કુનાલ અને અનુનાં દૃશ્યો સાથે ફિલ્મ પૂરી થાય છે. 

ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે. એની સામે 15, પાર્ક એવન્યુ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા આશ્રયને શોધવા મથતા હોઈએ જ છીએ.

મે મહિનાને માનસિક આરોગ્ય માસ ગણવામાં આવે છે. યુ.કે.ના પત્રકાર હેટ્ટી ગ્લેડવેલે ‘મારી માનસિક બીમારી વિશે લોકોએ કહેલી વાતો’ને વર્ણવતા હૅશટેગ સાથે ટ્વિટર થ્રૅડ શરૂ કરેલો. એક નરુલ નાસીરે લખ્યું કે ‘મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે મને તપાસીને મારી અમ્મીને એવું કહ્યું કે તે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કરે છે. કાઇલી લૉવીએ લખ્યું કે ‘થેરપિસ્ટને બતાવતા પહેલાં મારી માએ મને કહ્યું કે અમે (માતાપિતા) તને મારીએ છીએ તેવું તારે ડૉક્ટરને નહીં કહેવાનું. મારા પિતા હકીકતે ખૂબ જ મારપીટ કરે છે.’ ઇડા વૈસનેને લખ્યું કે ‘કોઈને માનસિક બીમારીવાળી વ્યક્તિ સાથે સંબંધ(એટલે કે લગ્ન)માં રસ નથી. મારું કોઈ નથી.’ 

નિમ્ન અને મધ્યમ સ્થિતિના દેશોના 75થી 95 ટકા માનસિક અસ્વસ્થ લોકો પૂરતી સારવાર મેળવી શકતા નથી અને ભેદભાવ અને ઉપેક્ષાનો ભોગ બને છે. તેમને તાલીમ, સ્નેહ, શિક્ષણ અને આવકની તકો ખૂબ ઓછી મળે છે. ઘણીવાર શારીરિક બીમારીની અસર પણ મન પર પડે છે. કમનસીબે સરકારો શરીરના આરોગ્યમાં કરે છે એની સરખામણીએ માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ઓછું રોકાણ કરે છે. દર વર્ષે માનસિક સ્વાસ્થ્ય દિનની જુદી જુદી થીમ હોય છે. 2025ની થીમમાં આપત્તિ અને કટોકટીમાં માનસિક તંદુરસ્તી પર ભાર છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ઑક્ટોબર  2025

Loading

...102030...72737475...8090100...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved