Opinion Magazine
Number of visits: 9456198
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુરોપના બેવડાં ધોરણો સામે ભારતનો મક્કમ અભિગમઃ NATOની ધમકીઓ સામે ઝુકેગા નહીં!

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|20 July 2025

ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં

ચિરંતના ભટ્ટ

યુરોપે હંમેશાં એમ દેખાડ્યું છે કે ભૌગોલિક રાજનીતિની વાત આવે, ત્યારે પોતે સંતુલન જાળવ્યું છે અને નૈતિકતાને મામલે આ આખી ચોપાટમાં પોતે અગ્રેસર છે, ધ્વજ વાહક છે. જો કે યુરોપનો દંભ હવે ઉઘાડો પડી રહ્યો છે. યુરોપના નેતાઓ ભારત, ચીન અને બ્રાઝીલને દમદાટી આપી રહ્યા છે. તેઓ ચાહે છે કે આ દેશોએ રશિયા સાથે વ્યાપાર બંધ કરી દેવો જોઇએ. તેમની ધમકીનો સૂર કંઇક આવો છે, “રશિયા સાથે વેપાર બંધ કરો – નહીંતર અમારા તરફથી પ્રતિબંધોનો સામનો કરો.” NATOના મહાસચિવ માર્ક રટે આ ધમકીનો પડઘો પાડ્યો અને ઉમેર્યું કે જે પણ રાષ્ટ્ર મોસ્કો સાથે તેના આર્થિક સંબંધોને ગાઢ બનાવશે તેની પર સેકન્ડરી પેનલ્ટીઝ – સેકન્ડરી સેન્કશન્સ એટલે કે ગૌણ દંડ લાગી શકે છે. યુરોપના આ નૈતિક તણાવનો બીજો ચહેરો એ છે કે યુરોપીય ખંડ હજી પણ રશિયન શાસકો સાથે આર્થિક રીતે નજીકથી જોડાયેલો છે. પોતે સંબંધ બગાડવા નથી પણ અન્ય રાષ્ટ્રોને અલગ પાડવાની વાત કરે છે.

આપણે ક્રુડ ઓઇલના વેપારની જ વાત કરીએ તો યુરોપ આમ તો અશ્મિગત ઈંધણ વગરના ભવિષ્યની વાતો જોરશોરથી કરે છે પણ રશિયન ઊર્જાની આયાત પરોક્ષ રીતે ચાલુ રાખે છે. એક અહેવાલ પ્રમાણે ભારત દ્વારા આયાત કરાયેલા રશિયન ક્રુડ ઓઇલનું નિસ્યંદન કે શુદ્ધિકરણ જામનગરમાં કે મુંબઈમાં થાય છે અને બાદમાં ડીઝલ અને જેટ ઈંધણ તરીકે તેની અમેરિકામાં નિકાસ કરાય છે. નેધરેલેન્ડ્ઝ તેના પુનઃનિકાસ કેન્દ્ર તરીકે કામ કરે છે જે જર્મની, ફ્રાન્સ અને બેલ્જિયમ જેવા દેશોમાં તેનો પુરવઠો પહોંચાડે છે. યુરોપના નેતાઓ જેને નૈતિક દબાણનું નામ આપીને અન્ય દેશોને ઠોંસો મારે છે તે ખરેખર તો તેમની પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટેની આર્થિક પાઇપલાઇન જ છે. 

વાત માત્ર ક્રુડ ઓઇલની નથી પણ શેડો ફ્લીટ એટલે કે જૂના ટેંકરોનું એવું વૈશ્વિક નેટવર્ક જે ઓછા નિયમન વાળા ટૅગ હેઠળ રશિયન ક્રૂડ ઓઇલને એશિયા અને આફ્રિકામાં પહોંચાડે છે. અહીં પશ્ચિમી દેશોની દેખરેખ ઓછી છે. યુરોપે જ્યારે મૂલ્ય મર્યાદાની વાત કરી એટલે કે પ્રાઇસ કૅપની વાત કરી ત્યારે તેમનો હેતુ તો બહુ સારો હતો પણ તેનાથી થયું શું? મૂલ્ય મર્યાદાને પગલે રશિયાએ પોતાના મોટા ભાગના ક્રુડ ઓઈલનો પુરવઠો ભારત, ચીન, તુર્કી સહિતના એવા દેશો તરફ મોકલવાનો શરૂ કર્યો જે દેશો ચૂકવણી કરવા તૈયાર હતા અને મંજૂરીના તર્કને લઇને બહુ માથાકૂટ નહોતા કરતા. 

યુરોપના વિચાર અને વહેવારમાં સમાનતા નથી. તેની નૈતિક વાણી અને તેનો વહેવાર આ માળખાકીય વાસ્તવિકતાને અવગણે છે. યુરોપ માટે આપણી કેન્દ્ર સરકાર સામે આંગળી ચિંધી તેમનો વાંક જોવો સહેલો છે પણ બ્રસેલ્સના સ્વાર્થી વહેવાર સામે તેઓ આંખ આડા કાન કરે છે. યુરોપના નેતાઓ ભૂલી જાય છે કે રિફાઇન થયેલા ઉત્પાદનોનો લાભ તેઓ પોતે પણ લઇ રહ્યા છે. આમાં નૈતિકતા નહીં પણ રાજકીય આડોડાઇની વાત છે. NATOના નેતાઓ ભારત જેવા લોકશાહી દેશને ઉપદેશ આપે છે ત્યારે ભૂલી જાય છે કે તેમનો દંભી અભિગમ તેમની જ વિશ્વસનીયતા ખોરવી નાખનારો સાબિત થશે.

આ વ્યાપારી અભિગમની વાત છે પણ NATO આંતરિક રીતે તૂટી રહ્યું છે અને યુરોપમાં રાજકીય ભૂમિકા બદલાઇ રહી છે. જૂન 2025ના સમિટમાં સાથી દેશોને 2035 સુધીમાં સંરક્ષણ બજેટ 2 ટકા જી.ડી.પી.થી વધારીને સામૂહિક 5 ટકા કરવાની વિનંતી કરાઇ. રાજકીય વાસ્તવિકતા સાવ અલગ અને આકરી છે – સ્પેને તો 3.5 ટકા જેટલો સામાન્ય વધારો કરવાની પણ ના ફરમાવી દીધી અને માત્ર 2 ટકાથી વધારે કરી શકશે તેવો પ્રસ્તાવ મૂક્યો. પૂર્વ યુરોપમાં ખાસ કરીને પોલેન્ડ અને બાલ્ટિક રાષ્ટ્રોને તાત્કાલિક પગલાં લેવાય તેમાં રસ છે. પશ્ચિમી યુરોપના દેશો સામાજિક ખર્ચમાં કટોકટી કરવાનો ઇનકાર કરે છે, ફ્રાન્સ અને બ્રિટનને ડર છે કે તેમના વેલફેર – કલ્યાણ માટેની સુવિધાઓ ઘટી જશે. પૂર્વ યુરોપને રશિયા ફરી બળૂકો થઇને બેઠો થશે તો શું?ની ચિંતા છે એટલે NATO પાસેથી આકરી કાર્યવાહીની માગ કરે છે. પશ્ચિમ યુરોપને રશિયાથી ઓછું જોખમ અનુભવાય છે એટલે તે મોસ્કો સાથેના આર્થિક સંબંધોના ટૂંકા ગાળાના લાભને જુએ છે. પૂર્વ અને પશ્ચિમ યુરોપના દેશોની દૃષ્ટિ ખંડીત છે, એક દિશામાં નથી તે અહીં સાબિત થઇ જાય છે. આ બધા ખેલમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનું ટ્રમ્પેટ પણ ચાલુ છે. તેમણે NATOના સભ્યોને ચેતવણી આપી છે કે જો તેઓ રક્ષા ખર્ચની ચૂકવમી નહીં કરે તો અમેરિકા પણ રક્ષણ નહીં આપે. ટ્રમ્પના આ વિધાને યુરોપમાં ડરનો માહોલ ખડો કર્યો છે. 

આપણે એક રાષ્ટ્ર તરીકે વિરોધાભાસી સ્થિતિમાં છીએઃ NATO રશિયન આક્રમકતા વિશે નૈતિક દલીલો તો કરે છે પણ NATOની પોતાની જ વિશ્વસનીયતા ડગુમગુ થઇ રહી છે. યુરોપ ઇચ્છે છે કે ભારત કોઈ એક પક્ષ લે – પણ યુરોપના વિવિધ દેશોમાં બજેટ, વ્યૂહરચના અને અમેરિકા પ્રત્યેની નિષ્ઠા જેવા મુદ્દાઓ પર ઝગડા વધી રહ્યા છે. કાગળ પર જે બાબતો મજબૂત લાગે છે તે અંગે થતું રાજકીય ઘર્ષણ એ વાતનો પુરાવો છે કે યુરોપીય દેશોમાં સંપ નથી અને તેઓ અસંગતતાના જોખમનો સામનો કરી રહ્યા છે. 

17 જુલાઈના રોજ ભારતે NATOના “ડબલ સ્ટાન્ડર્ડ્સ”ને સાવ સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધા. નૈતિક દબાણનો જવાબ આપતા ભારતે જણાવ્યું કે રાષ્ટ્રીય ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવી એ તેનો હક છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ પણ જણાવ્યું કે જો રશિયન આયાતમાં અવરોધ આવે, અને જરૂર પડે તો ભારત અન્ય સપ્લાયર્સ તરફ વળી શકે છે – પણ પોતાની ઊર્જા વ્યૂહરચના ભારત પોતે જ નક્ક કરશે. ટૂંકમાં ભારત હવે યુરોપીય દંભ સામે શાંત મગજથી, પણ દૃઢતાથી જવાબ આપી રહ્યો છે – “અમે જે જરૂરી લાગે તે કરીશું.” ભારતની કૂટનીતિ એ છે કે એક રાષ્ટ્ર તરીકે તે સંવાદ માટે તૈયાર છે પણ તે કોઈ પણ પ્રકારના દબાણને નકારે છે. 

જો યુરોપે નૈતિકતાને મામલે કૉલર ઊંચા રાખવા હશે તો પહેલાં પોતાના વિચાર-વહેવારના વિરોધાભાસ દૂર કરવા પડશે. યુરોપે શેડો ફ્લીટ બંધ કરવી પડશે. EU અને G7ને પુનઃનિકાસના છીંડા પૂરવા પડશે. ફ્રન્ટ કંપની ટેંકર્સ પર પ્રતિબંધો લાદીને રશિયન ક્રુડનું શુદ્ધિકરણ બંધ કરવું પડશે. સ્વચ્છ ઊર્જાની વાત નહીં પણ રોકાણ અને અમલીકરણ પણ થાય તે જરૂરી છે. યુરોપે બે ય લાડવા ખાવાની દાનત બદલવી પડશે. NATOની દિશા સ્પષ્ટ થાય તે જરૂરી છે. સંરક્ષણના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યોને જો રાજકીય સર્વસંમતિ ન મળતી હોય તે સાવ ઠાલાં છે. NATOના સભ્ય દેશોએ જોખમની દૃષ્ટિએ પણ સંપ રાખવો જોઇએ, અમેરિકાના દબાણમાં આવી જઇને અસંદિગ્ધ સંકેતો આપવાનું ટાળવું જોઇએ. યુરોપે ભારત અને બ્રાઝિલ જેવા દેશોના સમીકરણોને સમજવા પડશે. ઊર્જા સુરક્ષા, આર્થિક વિકાસ અને વ્યૂહાત્મક સ્વાયત્તતા વૈકલ્પિક ન હોય. ભારત કે બ્રાઝિલની નિંદા કરવામાં યુરોપનું નેતૃત્વ નથી ઝળકતું બલકે નવા પ્રકારનો સામ્રાજ્યવાદી અભિગમ સપાટી પર આવે છે જેને ઉદારતાનું મહોરું પહેરાવેલું છે. 

રશિયા પ્રત્યેનો યુરોપનો અભગિમ અસ્થિર બની રહ્યો છે – બોલવામાં શૂરા યુરોપનું તેજ જ્યારે પગલાં લેવાનો વારો આવે ત્યારે ઝાંખું પડી જાય છે. બ્રસેલ્સનો ભંડાર રશિયન ઊર્જા ભરશે અને બીજાઓને ઉપદેશ આપશે તો વૈશ્વિક નેતૃત્વની યુરોપની નિશ્વસનિયતા ફસકી જવાની એ ચોક્કસ. 

NATO મહત્ત્વાકાંક્ષા અને વિરોધી વિચારધારાનો ચક્રવ્યૂહમાં ફસાયું છે. NATOના સભ્ય દેશોમાં સંપ નહીં હોય તો ભારતને તેની કોઈપણ ધમકીઓ ખોખલી જ લાગશે. આ સંજોગોથી સાવ વિપરીત રીતે ભારત સ્પષ્ટતા અપનાવી રહ્યો છે – આપણે વ્યવહારિતા, સાર્વભૌમત્વ અને સ્વાવલંબનને મહત્ત્વ આપીએ છીએ. આપણે રાજદ્વારી વાટાઘાટો અને સુધારા માટે તૈયાર છીએ પણ સમાધાન કરીને નહીં. ટૂંકમાં જ્યાં સુધી યુરોપ પોતાના ઊર્જા વ્યાપાર, સંરક્ષણના અભિગમ અને નૈતિક જવાબદારી પર નિયંત્રણ નહીં લાવે ત્યાં સુધી તેની ધમકીઓ નિર્લજ્જ સદ્ભાવનાના દેખાડામાં ખપશે અને તેને નકારી દેવાશે. 

બાય ધી વેઃ  

યુરોપનું મોરલ પોલીસીંગ ઠાલું લાગી રહ્યું છે કારણ કે તેના બેવડાં ધોરણો છતાં થઇ રહ્યાં છે. યુરોપની હાલત એ દારુડિયા જેવી છે જે પોતાની લત નથી છોડતો અને પાડોશીને ભાંડ છે; ટૂંકમાં ડાહી સાસરે જાય નહીં અને ગાંડીને શીખામણ આપે. આખા વિશ્વમાં ખેલાઈ રહેલા રાજકીય કાવદાવાને ગુકેશ પણ હરાવી ન શકે એટલો પેચીદો માહોલ બની રહ્યો છે. વડા પ્રધાન માટે આ સહેલું નથી કારણ કે દોસ્તીના દાવા કરનારા અમેરિકાની વાતો, યુરોપનું નૈતિકતાનું નગારું અને ગ્લોબલ સાઉથમાં શક્તિપ્રદર્શન આ બધા વચ્ચે આપણે તો એક રાષ્ટ્ર તરીકે નક્કરતા અને મક્કમતા દેખાડવાની છે. ભૌગોલિક રાજકારણ એવું મેદાન બની રહ્યું છે જ્યાં જાણે સુરંગો બિછાવી હોય એટલે સાવચેતી અને ગણતરીપૂર્વકનાં પગલાં માત્ર જ એક રાષ્ટ્ર તરીકેની આપણી ગરિમા જાળવવામાં મદદરૂપ થઇ શકે છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 જુલાઈ 2025

Loading

આખો પહાડ જાણે ગુસ્સો કરતો હોય તેવું લાગે !

રમેશ સવાણી|Diaspora - Features|20 July 2025

રમેશ સવાણી

18 જુલાઈ 2025ના રોજ સવારે બ્રેકફાસ્ટ કરી, 6.15 વાગ્યે, ફરી Yellowstone – યલોસ્ટોન નેશનલ પાર્કમાં જવા નીકળ્યા. અમારા રેન્ટલ હાઉસથી યલોસ્ટોન નેશનલ પાર્ક 20 માઈલ દૂર છે. 

ફરતાં ફરતાં Gibbon Falls – ગિબન ધોધના દર્શન કર્યા. ઉત્તરપશ્ચિમ યલોસ્ટોન નેશનલ પાર્કમાં ગિબન નદી પર આ ધોધ છે. ધોધની ઊંડાઈ 84 ફૂટ(26 મીટર)ની છે. યલોસ્ટોન નેશનલ પાર્કમાં ઓછામાં ઓછા 45 નામાંકિત ધોધ અને કાસ્કેડ છે.

Norris Geyser Basin પહોંચ્યા. આ બેસિન અનોખું લેન્ડસ્કેપ છે. નજર કરો ત્યાં વરાળ નીકળતી 193 જેટલી ધૂણીઓ જોવા મળે. તેમને નજીકથી જોવા માટે 3 માઈલ લાંબો Boardwalks અને trails છે. વિશાળ પટમાં અનેક ગીઝર-ધૂણીઓ વરાળના વાદળ બનાવતી હોવાથી જાણે આકાશમાં વિહરતા હોઈએ તેવું લાગે. આવું અદ્દભુત દૃશ્ય પહેલી વખત જોયું. 

અહીં Steamboat Geyser – સ્ટીમબોટ ગીઝર છે. આ વિશ્વનો સૌથી ઊંચો સક્રિય ગીઝર છે. વિસ્ફોટ સમયે તેની ઊંચાઈ 300 ફૂટ / 91 મીટરથી વધુ હોય છે. આવા મોટા વિસ્ફોટ અણધાર્યા થાય છે. સ્ટીમબોટમાં નાના વિસ્ફોટો વારંવાર થાય છે, જે પાણીને 10-40 ફૂટ ઊંચું બહાર ફેંકે છે. દૂર રહી હું વીડિયો શૂટ કરતો હતો ત્યારે પાણીના છાંટાં મારી પર પડતાં હતા. આકાશને આંબતી વરાળનો ધુમાડો આશ્ચર્યચકિત કરી દે છે.

યલોસ્ટોનના મિડવે ગીઝર બેસિનમાં એક્સેલસિયર ગીઝર અને ગ્રાન્ડ લૂપ રોડ પર Roaring Mountain – રોરિંગ માઉન્ટેનની ઉત્તરે સેમી-સેન્ટેનિયલ ગીઝર સ્ટીમબોટ જેટલા ઊંચા હોવાનું નોંધાયું છે. જો કે, 1985 પછી એક્સેલસિયર ફાટી નીકળ્યો નથી, અને તે ગરમ ઝરણા તરીકે કાર્ય કરે છે, અને સેમી-સેન્ટેનિયલમાં આ ઊંચાઈનો એક વિસ્ફોટ 1922માં નોંધાયો હતો અને ત્યારથી તે નિષ્ક્રિય છે. સ્ટીમબોટના મુખ્ય વિસ્ફોટો સામાન્ય રીતે 3 થી 40 મિનિટ સુધી ચાલે છે. વિસ્ફોટ પછી, ગીઝર ઘણીવાર 48 કલાક સુધી મોટી માત્રામાં વરાળ બહાર કાઢે છે. સ્ટીમબોટ ગીઝરનો સૌથી તાજેતરનો વિસ્ફોટ 14 એપ્રિલ, 2025ના રોજ થયો હતો. 2018ની શરૂઆતમાં તે ફરીથી સક્રિય થયા પછી આ 171મો વિસ્ફોટ હતો.

રોરિંગ માઉન્ટેનનું નામ અસંખ્ય Fumaroles – ફ્યુમરોલ્સના કારણે રાખવામાં આવ્યું છે, જેનો અવાજ ઘણા માઇલ સુધી સંભળાતો હતો. રોરિંગ માઉન્ટેન એટલે ગર્જના કરતો પર્વત ! steam અને sulfur-rich gasesના વાદળો જોવા મળે છે. રોરિંગ માઉન્ટેન નોરિસ ગીઝર બેસિનની ઉત્તરે 5 માઇલ અને ઓબ્સિડિયન ક્લિફની દક્ષિણે છે અને પાર્કના રસ્તાઓ પરથી સરળતાથી જોઈ શકાય છે. રોરિંગ માઉન્ટેનની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 8,152 જેટલી છે. આખો પહાડ જાણે ગુસ્સો કરતો હોય તેવું લાગે ! 

ફ્યુમરોલ એ ખડકાળ સપાટી પર એક વેન્ટ છે જેમાંથી ગરમ જ્વાળામુખી વાયુઓ અને વરાળ ઉત્સર્જિત થાય છે, જેમાં કોઈપણ પ્રવાહી અથવા ઘન પદાર્થોનો સમાવેશ થતો નથી. ફ્યુમરોલ જ્વાળામુખીની પ્રવૃત્તિના અંતિમ તબક્કાની લાક્ષણિકતા છે, પરંતુ ફ્યુમરોલ પ્રવૃત્તિ જ્વાળામુખી વિસ્ફોટ પહેલા પણ થઈ શકે છે અને તેનો ઉપયોગ વિસ્ફોટની આગાહી માટે કરવામાં આવે છે. મોટાભાગના ફ્યુમરોલ વિસ્ફોટના અંતના થોડા દિવસોમાં સમાપ્ત થઈ જાય છે. પરંતુ કેટલાક સતત દાયકાઓ કે તેથી વધુ સમય સુધી ચાલુ રહે છે. ફ્યુમરોલ ધરાવતા વિસ્તારને fumarole field કહે છે.

બપોરે દોઢ વાગ્યે રેન્ટલ હાઉસ પરત આવ્યા. લંચ કરી આરામ કર્યો. સાડા ત્રણ વાગ્યે જોરદાર વરસાદ આવ્યો. વરસાદની ઉજવણી કરવા મરચાં / ડુંગળી / બટાકાના ભજિયાં બનાવ્યાં ને પેટ ભરીને ઝાપટ્યા ! મોજ પડી ગઈ. અમારી ભજિયાં પાર્ટી તો યલોસ્ટોન નેશનલ પાર્ક પણ યાદ રાખશે ! પ્રવાસનો હેતુ જ આનંદપ્રાપ્તિનો હોય છે !

20 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હિંદુ સંસ્કૃતિના ઠેકેદારો આશ્રમ વ્યવસ્થાનું પાલન કરેકરાવે ખરા? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 July 2025

હેમન્તકુમાર શાહ

હિંદુ સંસ્કૃતિમાં મનુષ્યના સો વર્ષના જીવનને ચાર અવસ્થામાં અથવા કહો કે ચાર આશ્રમ વ્યવસ્થામાં વહેંચી નાખવામાં આવ્યું છે : બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ.

આ આશ્રમ વ્યવસ્થા મુજબ આટલું તો થવું જ જોઈએ :

(૧) ૨૫ વર્ષની વય પહેલાં કોઈનું લગ્ન થવું જોઈએ નહીં. ત્યાં સુધી તો માત્ર ભણવાનું જ હોય, કમાવાનું હોય જ નહીં. એટલે જેમનાં લગ્ન થઈ ગયાં હોય તે બધાં લગ્ન ફોક ગણવામાં આવે. વળી, ૨૫ વર્ષની વય સુધીનાં બધાં યુવકો અને યુવતીઓ જો અત્યારે કમાતા હોય તો એ બધાંને નોકરીમાંથી કાઢી મૂકીને ભણવા મોકલી દેવાનાં. કોઈ પણ કારખાના કે ઓફિસમાં ૨૫ વર્ષથી ઓછી વયની વ્યક્તિ કામ કરતી હોવી જોઈએ જ નહીં. 

(૨) ૨૫થી ૫૦ની વય દરમ્યાન જ કમાવાનું કામ કરવાનું, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં. કોઈ રાજનેતા પણ આ ઉંમરમાં જ થાય, એ પહેલાં પણ નહીં અને પછી પણ નહીં.

(૩) ૫૦ વર્ષની વય થાય એટલે ઘરબાર છોડીને જંગલમાં જતા રહેવાનું. અથવા ઘરમાં રહીને પણ જંગલમાં રહેતા હોવ એ રીતે જ રહેવાનું. એનો અર્થ એ પણ છે કે આર્થિક કમાણી કરવાનું બંધ કરવાનું. પેન્શન પણ લેવાનું નહીં. 

(૪) ૭૫ની વય થાય એટલે સંન્યાસ લઈ લેવાનો, ભગવાં વસ્ત્રો ધારણ કરવાનાં, ભીખ માગીને જ ખાવાનું અને આત્માનો ઉદ્ધાર કરવાનો અને પરમાત્માને મળવાની તૈયારી કરવાની. ૭૫ વર્ષની વય પહેલાં સાધુ થવાનું જ નહીં, અને કોઈને સાધુ બનાવવાના પણ નહીં. 

આજકાલ હિંદુ સંસ્કૃતિની બહુ દુહાઈ દેવામાં આવે છે. અને વળી, જગતની શ્રેષ્ઠ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે એમ ઢોલ પીટીને કહેવામાં આવે છે. તો જેઓ આવો દાવો કરે છે એ બધાએ આ આશ્રમ વ્યવસ્થાનું પાલન કરવું જોઈએ કે નહીં? 

આ જંબુદ્વીપમાં કે ભારતવર્ષમાં ભૂતકાળમાં બધું બહુ મહાન હતું એમ કહેવામાં આવે છે. તો આશ્રમ વ્યવસ્થા બહુ સારી અને મહાન હતી કે નહીં? તેનું પાલન આવો દાવો કરનારા લોકોએ જાતે કરીને મહાન અને દિવ્ય ભારતમાં આખા વિશ્વ માટે દાખલો બેસાડવો જોઈએ કે નહીં? એમ કરવાથી આ ભારતવર્ષ કે આર્યાવર્ત વિશ્વગુરુ થાય કે નહીં? અને હા, એ બધાને મોક્ષ મળે કે નહીં? 

તા.૨૦-૦૭-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...72737475...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved