Opinion Magazine
Number of visits: 9736565
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 December 2025

બોલીવુડે હંમેશાં ઇતિહાસ અને ભૌગોલિક રાજનીતિ (geopolitics) સાથે છૂટછાટો લીધી છે. પરંતુ આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત ગ્લોસી જાસૂસી થ્રિલર ફિલ્મ જે ધાંસુ રીતે થિયેટરમાં ગાજી રહી છે, તેવી ધુરંધરના મામલે એક ગંભીર અને પેચીદો પ્રશ્ન ખડો થયો  છે : જ્યારે મનોરંજન માત્ર બનાવોને નાટ્યાત્મક રીતે રજૂ કરવાને બદલે જાહેર જનતાની સ્મૃતિ(public memory)ને જ બદલવાનું શરૂ કરે ત્યારે શું થાય.

ચિરંતના ભટ્ટ

આ ફિલ્મ ૫ ડિસેમ્બરે રિલીઝ થઈ અને થિયેટરો હાઉસફૂલ રહ્યા, પરંતુ બોક્સ ઓફિસના આંકડા કરતાં વધુ મહત્ત્વની છે લોકોની પ્રતિક્રિયા. ખાસ કરીને એવા લોકોની જેઓ આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં વાસ્તવિક સ્થળો, વાસ્તવિક રાજકારણ અને વાસ્તવિક દુર્ઘટનાઓથી પરિચિત છે.

સૌથી આકરી ટીકા ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં આવી, જેમાં દલીલ કરાઈ કે આ ફિલ્મ “સંકુચિત અને કટ્ટરવાદી દૃષ્ટિકોણ” (bigoted vision) ધરાવે છે અને પ્રેક્ષકોને તેની વિચારધારા સ્વીકારવા માટે માનસિક રીતે ભ્રમિત (gaslighting) કરે છે. પરંતુ સોશિયલ મીડિયામા ઉઠેલા અવાજો પણ એટલા જ મહત્ત્વપૂર્ણ છે. ફિલ્મમાં ખાસ કરીને કરાચીના લ્યારી (Lyari) વિસ્તારની વાત છે. ત્યાંના લોકો પાસે પણ સોશિયલ મીડિયા છે જ અને એ લોકો સવાલ કરે છે કે, ‘જે જગ્યાનો ઇતિહાસ જટિલ હોય, તેવા વાસ્તવિક સ્થળને માત્ર એક ભદ્દી મજાક બનાવીને કેમ રજૂ કરવામાં આવ્યું છે?’

અહીં સમસ્યા માત્ર પ્રોપેગન્ડાની નથી. બોલીવુડ દાયકાઓથી દેશભક્તિવાળી ફિલ્મો બનાવી રહ્યું છે. અત્યારે જે સામે આવી રહ્યું છે તે કંઈક અલગ અને વધુ ચિંતાજનક છે : રાષ્ટ્રીય સત્ય તરીકે માર્કેટિંગ કરવામાં આવતી કાલ્પનિક કથાઓમાં વાસ્તવિક ભૂગોળ અને વાસ્તવિક આઘાતજનક ઘટનાઓની ભેળવી તેનો મલાજો રાખવામાં નિષ્ફળ જવું.

લ્યારી :  સાચી જગ્યાની કાલ્પનિક ભૂમિકા

સોશિયલ મીડિયા પર કરાચીના એક રહેવાસીએ ચોટદાર નક્કર તથ્યો સાથે ટીકા કરી છે. તે પોતે લ્યારીની નજીક રહે છે. ફિલ્મમાં આ વિસ્તારને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક પર પ્રભાવ અને નિયંત્રણ ધરાવતા કેન્દ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે.

તેમનો મુખ્ય મુદ્દો સીધો છે : ફિલ્મમાં જેવું લ્યારી બતાવ્યું છે તેવું તો તે છે જ નહીં. 

લ્યારીનો વિસ્તાર આશરે ૬ ચોરસ કિલોમીટર છે; જ્યારે ગ્રેટર કરાચી ૩,૫૦૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે. એટલે કે લ્યારી શહેરની ભૌગોલિક સ્થિતિનો આશરે ૦.૧૭% જેટલો હિસ્સો છે. તેને “કરાચીને નિયંત્રિત કરતું પાવર સેન્ટર” ગણાવવું એ એટલું જ હાસ્યાસ્પદ છે જેટલો એવો દાવો કરવો હાંસી ભર્યું છે  કે જે ધારાવી પર રાજ કરે છે તે આખા મુંબઈ પર રાજ કરે છે. નાટ્યાત્મક અસર ઊભી કરવા માટે આ ફિલ્મ એક વિશાળ અને જટિલ મહાનગરને એક નાનકડા ‘સ્લમ’ના માળખામાં ગોઠવી દે છે.

પરંતુ વધુ ગંભીર મુદ્દો ઐતિહાસિક ચેડાંનો છે. લ્યારીના ગેંગ વોરમાં રહેમાન ડકેત અને ઉઝેર બલોચ જેવાં નામો સામેલ હતા. તેઓ  ડ્રગ્સના ધંધાના રસ્તાઓ, ખંડણી, સ્થાનિક રાજકારણ અને મુખ્ય પક્ષોના સમર્થનથી આકાર પામ્યા હતા. પીપલ્સ અમન કમિટી – જે એક સામાજિક સંસ્થાના ઓઠા હેઠળ ચાલતું મિલિટન્ટ સંગઠન હતું, ઉઝેર બલોચનો ઉદય, અને અરશદ પપ્પુ સાથેની દુશ્મનાવટ વગેરે સ્થાનિક શહેરી ગુનાખોરી અને રાજકીય બાહુબળનો વિષય છે, સરહદ પારના આતંકવાદી ઓપરેશનનો નહીં.

લ્યારીની ગુનાહિત અને રાજકીય ગાથા પર વિગતવાર અહેવાલો ઉપલબ્ધ છે. લ્યારીની ગેંગને ૨૬/૧૧ના મુંબઈ હુમલાના ઓપરેશનલ પ્લાનિંગ સાથે જોડતા કોઈ પુરાવા નથી. જો કે મેકર્સે બધું જાહેર નથી કર્યું, એવી વાત પણ અમુક મીડિયા રિપોર્ટ્સમાં કરી છે. પણ છતાં ય લ્યારીને બિનજરૂરી રીતે મહત્ત્વપૂર્ણ બનાવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પોષાતા માથાભારે તત્ત્વો માત્ર એક સ્થળ સાથે જોડાયેલા નથી.

છતાં ધૂરંધર તેનો પાયો આ લિંક પર જ રચે છે, સ્થાનિક ગુનાખોરીને આંતરરાષ્ટ્રીય આતંકવાદ સાથે જોડીને એક કાલ્પનિક વાર્તા કહે છે, અને તે બંને વચ્ચેના વિશાળ તફાવતને સ્વીકારવાનું ચૂકી જાય છે.

આ  કલ્પના કાયમી  “સ્મૃતિ” બનવાનું જોખમ ઊભું કરે છે

ભારત પાસે ૨૬/૧૧ પર આધારિત એક વાસ્તવિક પોલિટિકલ થ્રિલર બનાવવા માટે પૂરતી દસ્તાવેજી સામગ્રી છે. લશ્કર-એ-તૈયબાના ટ્રેનિંગ કેમ્પ, દરિયાઈ ઘૂસણખોરીનો માર્ગ, ડેવિડ હેડલીની રેકી, અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતાઓ જેવી બાબતો તણાવપૂર્ણ અને કરુણ છે, અને તેમાં કોઈ બનાવટી ઉમેરાની જરૂર નથી. તેમાં પૂરતું નાટ્ય તત્ત્વ છે.

પરંતુ ધૂરંધર બરાબર આ જ ‘ઉમેરો’ કરે છે. તે સિનેમેટિક પસંદગી હોઈ શકે છે, પરંતુ તેનાં પરિણામો ગંભીર છે.

જ્યારે પ્રેક્ષકો વારંવાર વાસ્તવિક ઘટનાઓના સરળ અથવા ઉપજાવી કાઢેલા વર્ણન જુએ છે, ત્યારે આ કાલ્પનિક કથાઓ વાસ્તવિક તથ્યોનું સ્થાન લેવાનું શરૂ કરે છે. કડવા સત્યની જગ્યાએ કલ્પના એક સરળ વિકલ્પ છે. રાષ્ટ્રીય કરુણાંતિકાઓ માત્ર વાર્તા કહેવાની સગવડનો  કાચો માલ બની જાય છે.

એ પણ નોંધવું જોઈએ કે આ કાલ્પનિક કથા પાસે ડોક્યુમેન્ટરી જેવી ચોકસાઈની માંગણી નથી. આ એ સમજવાની વાત છે કે લોકપ્રિય સિનેમા ભારત માટે પ્રાથમિક ‘સ્ટોરીટેલર’ (વાર્તાકાર) છે, અને તેમાં બાબત જે રીતે દર્શાવવામાં આવે તે લોકોની ભાવનાત્મક સ્મૃતિનો ભાગ બની જાય છે, ભલે તે તથ્યની દૃષ્ટિએ ખોટું હોય.

તોફાનોના ફૂટેજ પર વિવાદ:   સાવચેતીભરી ભેદરેખા

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે એવો આક્ષેપ કર્યો છે કે ફિલ્મના અમુક તોફાનોનાં દૃશ્યો દસ્તાવેજી વિઝ્યુઅલ્સ અને કાલ્પનિક પુનઃરચના વચ્ચેની ભેદરેખાને ભૂંસી નાખે છે. આ દાવાઓ ચકાસવામાં આવ્યા નથી, અને કોઈ મોટી તપાસ એજન્સીએ વાસ્તવિક ફૂટેજના દુરુપયોગની પુષ્ટિ કરી નથી.

પરંતુ આ વિવાદ છતું કરે છે કે આપણે વાસ્તવિકતાને જોવાની આપણી રીત બદલી છે .. જેમ ફિલ્મ ભૂગોળને બદલે છે, તેમ તે સમયને પણ બદલતી હોય તેવું લાગે છે, જે નાટકીય દૃશ્યો અને ઐતિહાસિક દસ્તાવેજો વચ્ચેની ભેદરેખાને ધૂંધળી થાય છે. જ્યારે AI-જનરેટેડ ઈમેજીસ અને ચેડાં કરેલા ડીપફેક  વીડિયો ટ્રેન્ડ થતા હોય ત્યારે આ અસમંજસ કોઈ નાની વાત નથી.

સમાચાર ફૂટેજ જેવી જ વિઝ્યુઅલ શૈલીની નકલ કરતા સિનેમા પર મોટી જવાબદારી રહેલી છે. જ્યારે ફિલ્મો નાટ્યાત્મક અસર માટે આ મર્યાદા તોડે છે, ત્યારે જોખમ એ છે કે ભવિષ્યના દર્શકોને ખબર નહીં હોય કે કોના પર વિશ્વાસ કરવો. આ ફિલ્મ કરતાં ઘણી મોટી સમસ્યા છે.

જ્યારે કોઈ ફિલ્મ વાસ્તવિક શહેરોને માત્ર ક્લિશે(clichés)માં ફેરવી નાખે છે, ત્યારે નુકસાન માત્ર સર્જનાત્મક નથી હોતું. તે ભૌગોલિક રાજકીય (Geo political) બની જાય છે.

લોકો તેમાંથી તે રાષ્ટ્રીય સુરક્ષાના ખોટા પાઠ ભણે છે. પ્રેક્ષકો આતંકવાદ કેવી રીતે કામ કરે છે તેના ખોટા મોડલ માની લેશે, તો તેઓ એ નબળાઈઓને સમજવામાં નિષ્ફળ જશે જે ખરેખર મહત્ત્વની છે.

આવું કામ દુશ્મનોને એક તૈયાર ‘નેરેટિવ’ આપી દે છે. ભારતીય અને પાકિસ્તાની મીડિયામાં ટાંકવામાં આવેલા કેટલાક પાકિસ્તાની વિવેચકોએ ભારપૂર્વક કહ્યું છે કે તેમણે ક્યારે ય ૨૬/૧૧ની “ઉજવણી” કરી નથી અને તેઓ પોતે પણ તેમના પોતાના દેશની હિંસા ભોગવનારા તરીકે જુએ છે. જ્યારે બોલીવુડ પાકિસ્તાનીઓને હુમલાઓ પર ખુશ થતા બતાડતાં દૃશ્યો ઉપજાવી કાઢે છે, ત્યારે તે પાકિસ્તાનના શાસકોને એક તક આપે છે કે તેઓ ભારતીય ચિંતાઓને પાયાવિહોણી ગણાવીને ફગાવીને મિલિટન્ટ નેટવર્ક્સની ભૂમિકાને સંબોધવાનું નેવે મૂકી દે.

આવી ફિલ્મો આપણને આત્મનિરીક્ષણ કરવાથી રોકે છે. ૨૬/૧૧નું એક ન ગમે એવું પાસું ભારતની પોતાની સંસ્થાકીય નિષ્ફળતા છે. NSGનું મોડું પહોંચવું, નબળી દરિયાઈ સુરક્ષા, અવગણવામાં આવેલી ચેતવણીઓ. જે ફિલ્મો ડોક્યુમેન્ટ કરાયેલી આંતરિક ખામીઓને બદલે કાલ્પનિક વિદેશી ખલનાયકોને પસંદ કરે છે, તે એ આત્મ-પરીક્ષણને અટકાવવાનું જોખમ ઊભું કરે છે જે રાષ્ટ્રીય મનોબળને મજબૂત બનાવવા માટે જરૂરી છે.

વૈશ્વિક પેટર્ન : તથ્યપૂર્ણ સત્યને બદલે ભાવનાત્મક સત્ય

ધૂરંધર ફિલ્મના મામલે જે થયું છે તે માત્ર ભારત પૂરતું સીમિત નથી. દુનિયાભરમાં, રાજકીય મનોરંજન હવે તથ્યપૂર્ણ સત્યને બદલે ભાવનાત્મક સત્યને પ્રાધાન્ય આપતું થયું છે. અમેરિકામાં ચૂંટણી પ્રચારમાં વાસ્તવિક ફૂટેજ અને AI-જનરેટેડ ઈમેજીસનું મિશ્રણ સામાન્ય બની ગયું છે. યુરોપ અને મધ્ય પૂર્વમાં ઐતિહાસિક નાટકો વર્તમાન રાજકીય નેરેટિવને અનુકૂળ બનાવવા માટે ઘટનાઓ ફરીથી લખી રહ્યા છે.

પરંતુ જ્યારે ૨૬/૧૧ જેવી ઘટનાઓ સાથે આવું થાય છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે એ ઘા હજી  હજુ રુઝાયો નથી, એ કરુણાંતિકા જે હજુ જીવંત સ્મૃતિમાં છે.

સિનેમાએ સંપૂર્ણપણે સચોટ હોવાની જરૂર નથી. પરંતુ જ્યારે તે આઘાતનું એ રીતે કાલ્પનિકરણ કરે છે કે જે વાસ્તવિક ઇતિહાસને જ ભૂંસી નાખે, ત્યારે વાર્તા કહેવી અને ગેરમાર્ગે દોરવું (disinformation) વચ્ચેની રેખા ભયજનક રીતે ઝાંખી બની જાય છે.

બહેતર સિનેમા કેવું હોઈ શકે?

પાકિસ્તાનની પોતાની થ્રિલર વાર (૨૦૧૩), તેના ભારેખમ સંવાદો છતાં, ભૌગોલિક તર્કની સીમામાં રહી હતી. ભારતની અ વેડનસડે! (૨૦૦૮) ફિલ્મે અતિશયોક્તિ દ્વારા નહીં, પરંતુ અસ્વસ્થ વાસ્તવિકતા દ્વારા તણાવ પેદા કર્યો હતો. બંને ફિલ્મોના મેકર્સને હતી કે દેખાડા કરતા વિશ્વસનીયતા વધુ શક્તિશાળી હોય છે.

તેનાથી વિપરીત, ધૂરંધર ઝીરો ડાર્ક થર્ટી જેવી ભવ્યતા સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હોય તેમ લાગે છે, પરંતુ આવી વાર્તા જે ગંભીરતા (rigor) માંગે છે તે તેમાં નથી.

બાય ધી વે : 

ખરો પ્રશ્ન કોઈ એક ફિલ્મ વિશે નથી અંતે, ધઙરંધર વિશેની ચર્ચા રણવીર સિંહના અભિનય કે આદિત્ય ધરના દિગ્દર્શન વિશે નથી. આ ચર્ચા એ વિશે છે કે સિનેમા રાષ્ટ્રીય સમજને કેવી રીતે આકાર આપે છે. શું દેશભક્તિ માટે ભૂગોળ બદલવી જરૂરી છે? શું રાષ્ટ્રીય ગૌરવ માટે સરળ ખલનાયકોની જરૂર છે? શું મનોરંજન માટે જટિલ અને પીડાદાયક ઇતિહાસને બદલી નાખવો જોઈએ? જો જવાબ ‘હા’ હોય, તો તેની ચૂકવવી પડતી કિંમત કલાત્મક નથી, સામાજિક છે. આપણે એક એવો સમાજ બની રહ્યા છીએ જેને રાજી રાખવો સરળ છે, અને તેથી ગેરમાર્ગે દોરવો પણ સરળ છે. સિનેમા પ્રેરણા આપી શકે છે. સિનેમા પડકારી શકે છે. પરંતુ જે સિનેમા ખોટો ઇતિહાસ શીખવે છે, અને સામે પ્રેક્ષકોને તેને સલામ કરવાનું કહે છે, તે આપણી સત્ય પરની પકડને નબળી પાડે છે. કારણ કે જે રાષ્ટ્ર મનગમતી કલ્પનાઓને પસંદ કરે છે, તે છેવટે કડવા સત્યોનો સામનો કરવાની ક્ષમતા ગુમાવી બેસે  છે. એક વાત તો એ પણ કરવી જોઈએ કે કાશ્મીર ફાઇલ્સ કે કેરલા સ્ટોરી કે બંગાલ ફાઇલ્સ કરતાં ધઙરંધર ફિલ્મ સિનેમા મેકિંગમાં ચાર નહીં ચાળીસ ચાસણી ચડે એવી ફિલ્મ છે. જોનારાઓને મજા આવે જ, એડ્રિનાલિન રશ પણ થાય પણ કમનસીબે લોકો વાંચતા નથી, પોતાનું સત્ય શોધવાની તસ્દી નથી લેતા અને પછી માર્કેટિંગ અને વિચારધારાના વમળમાં ગોટે ચડી જઇને જે પીરસવામાં આવે તે બધું જ માની લે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14  ડિસેમ્બર 2025

Loading

લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 December 2025

રાજ ગોસ્વામી

ટાટા પરિવારની જાણીતી હસ્તી સિમોન ટાટાનું 5મી ડિસેમ્બરે 95 વર્ષની વયે અવસાન થઈ ગયું. સિમોન ટાટા ટ્રેન્ટનાં ચેરપર્સન એમેરિટસ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાનાં માતા તેમ જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાનાં સાવકાં માતા હતાં. મોટાભાગના આમ લોકોને સિમોનનું નામ સ્મૃતિમાં ન હોય તે શક્ય છે, પરંતુ લેક્મે બ્યુટી બ્રાન્ડ સૌની જીભે હશે. આ લેક્મેને (અને પાછળથી વેસ્ટસાઈડને) એક સફળ પ્રોડક્ટ બનાવવા પાછળ સિમોનનું દિલ અને દિમાગ હતું. લેક્મેની એ કહાનીમાં ભારતના વિકાસની પણ એક ગાથા છે. 

કહાનીની શરૂઆત 1953માં થઇ હતી. જીનીવામાં જન્મેલી 23 વર્ષીય સિમોન દૂનોયેર તે વર્ષે ફરવા માટે ભારત આવી હતી. તે જીનીવામાં (ટાટા જૂથની) એર ઇન્ડિયા માટે કામ કરતી હતી. મુંબઈમાં તે રતનજી ટાટાના દીકરા નવલ ટાટાને ભટકાઈ. નવલ 26 વર્ષના હતા અને ડિવોર્સ લીધેલા હતા, જેમાંથી તેમને બે સંતાનો હતાં; રતન અને જિમી. 

1955માં નવલ સાથે લગ્ન કરીને સિમોન કાયમ માટે મુંબઈ આવી ગઈ. તે સમયે સ્વતંત્રતા પછીનું ભારત નવા સપનાંઓ, નવી આશાઓ અને આત્મનિર્ભરતાની તાજી હવામાં થનગનતું હતું. પંડિત નહેરુના નેતૃત્વમાં 1950નો દાયકો દેશના આર્થિક પુનનિર્માણનો સમય હતો. ટાટા જૂથ એમાં મોખરાની ભૂમિકા નિભાવી રહ્યું હતું.

નહેરુ ત્યારે ‘બોમ્બે ક્લબ’ તરીકે ઓળખાતા મુંબઈના ઉદ્યોગપતિઓને નિયમિત મળતા હતા અને આર્થિક નીતિઓમાં માર્ગદર્શન મેળવતા/આપતા હતા. એવી જ કોઈ એક ચર્ચામાં તેમણે સહજ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતીય મહિલાઓ યુરોપિયન અને અમેરિકી કોસ્મેટિક્સ પર નિર્ભર છે, જેના કારણે મોટી માત્રામાં વિદેશી ચલણ દેશમાંથી બહાર જઈ રહ્યું છે. એટલું જ નહીં, નાણાં મંત્રાલયે વિદેશી કોસ્મેટિક્સની આયાત પર પાબંધી મૂકી દીધી. એટલે અકળાયેલી મહિલાઓએ નહેરુ પર કાગળો લખ્યા.

તે સમયે ભારતમાં કોસ્મેટિક ઉત્પાદન ગુણવત્તાની દૃષ્ટિએ નબળું હતું. નહેરુએ આ મુદ્દે જે.આર.ડી. ટાટા સાથે ચર્ચા કરી હતી (જે બોમ્બે ક્લબના આગેવાન હતા). ટાટાએ તે વાતને માત્ર આર્થિક સમસ્યા નહીં, બલકે ભારત માટે સૌંદર્ય અને સ્વદેશીના ગૌરવનો નવો અધ્યાય લખી શકાય તેવા અવસર તરીકે જોઈ હતી. તે પછી ટાટા ગ્રુપની કંપની TOMCO મારફતે એક એવી ભારતીય કોસ્મેટિક બ્રાન્ડ શરૂ કરવાની યોજના બનાવાઈ, જે માત્ર ભારતીય ત્વચા અને હવામાન માટે જ અનુકૂળ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સાથે પણ મેળ ખાતી હોય.

જ્યારે પ્રોડક્ટ તૈયાર થઇ, ત્યારે તેનું નામ રાખવાનો પ્રશ્ન આવ્યો – એવું નામ જે આધુનિક પણ હોય અને ભારતીય પણ. એની મથામણમાં એક ફ્રેન્ચ ઓપેરા પર ધ્યાન ગયું. સંગીતકાર લિઓ ડિલિબે આ ઓપેરાની રચના કરી હતી. તે થિયોડોર પાવી નામના લેખકની વાર્તાઓ અને અને પિયરે લોતી નામના લેખકની નવલકથા ‘લે મેરેજ’ પર આધારિત હતું. 

એમાં એક બ્રાહ્મણ છોકરી અને બ્રિટિશ સૈનિક વચ્ચેના પ્રેમની વાર્તા હતી. 1883માં પેરિસમાં તેનું પરફોર્મન્સ થયું હતું. ઓપેરાનું નામ હતું ‘લેક્મે,’ જે છોકરીનું પણ નામ હતું. તે સંસ્કૃત ‘લક્ષ્મી’નું અપભ્રંશ હતું. નામમાં ભારતીય ઓળખ પણ હતી અને યુરોપિયન આકર્ષણ પણ. આ સંયોગ ટાટા ગ્રુપને ઘણો પસંદ આવ્યો અને બ્રાન્ડનું નામ લેક્મે રાખવાનો નિર્ણય લીધો. આ તે સમયની ભારત-ફ્રાન્સ સાંસ્કૃતિક અંતર્ધારાનું પણ પ્રતિક હતું – એક આંતરરાષ્ટ્રીય વિચારથી ઊભરેલી સ્વદેશી ઓળખ.

મુંબઈના પેડર રોડ પર એક નાનકડી ઓફિસમાં લેક્મેની શરૂઆત થઇ હતી. શરૂઆતમાં ઉત્પાદન ઓછું હતું, પરંતુ તેની લોકપ્રિયતા ઝડપથી વધી અને માંગ પણ. તે પછી તેનું ઉત્પાદન સિવરી સ્થિત TOMCOની ફેક્ટરીમાં ફેરવવામાં આવ્યું. 1961માં સિમોન ટાટા એમાં જોડાયાં, અને તે પછી લેક્મેની અસલી ઉડાન શરૂ થઇ. આગામી બે દાયકાઓમાં તેમણે આ બ્રાન્ડને આગળ વધારી અને લોકોને તેમના વિચારો બદલાવીને તેમને વધુ આત્મવિશ્વાસભર્યા અને આધુનિક બનાવ્યા. 1970 અને 1980ના દાયકામાં તેમના નેતૃત્વ હેઠળ લેક્મેએ માત્ર ગ્લેમરથી જ નહીં, પરંતુ ભારતીય મહિલાઓની ઇચ્છાઓ અને તેમના બજેટને અનુકૂળ પ્રોડક્ટ બનીને  પ્રગતિ કરી. 

સિમોને તેને યાદ કરીને કહ્યું હતું, “અમારી પાસે એક કોસ્મેટિક કંપની હોવા છતાં, કોઈ પ્રોડક્ટ નહોતી – કોલ્ડ ક્રીમ પણ નહીં. ટાટાના ડિનર પર મને બોર્ડમાં સામેલ થવાની ઓફર થઇ હતી. ત્રણ દિવસ પછી મેં જાતને કહ્યું હતું – કેમ નહીં? મને ખબર નહોતી તે ઓફર મને ક્યાં લઇ જશે.”

સિમોન ટાટાએ ફક્ત બ્રાન્ડને વ્યવસાયિક રીતે સંગઠિત જ નહોતી કરી, પરંતુ તેની ઓળખને આધુનિક રૂપ પણ આપ્યું. તેમના નેતૃત્વ શૈલીમાં યુરોપીય નમ્રતા અને ભારતીય બજારની સમજનો અનોખું સંમિશ્રણ હતું. ઉત્પાદનોની ગુણવત્તા, પેકેજિંગ, જાહેરાત અને બ્રાન્ડિંગ – આ તમામ પાસાઓમાં નિયમિત સુધારાએ લેક્મેને ભારતીય સ્ત્રી-સૌંદર્યની સમાનાર્થી બનાવી દીધી.

ધીરે-ધીરે લેક્મે કેવળ એક કોસ્મેટિક બ્રાન્ડ ન રહેતાં, ભારતમાં સુંદરતા અને આત્મવિશ્વાસનું સાંસ્કૃતિક પ્રતિક બની ગઈ. તેની વધતી લોકપ્રિયતા અને બદલતા બજારમાં સાથે 1996માં ટાટા ગ્રૂપે તેને હિન્દુસ્તાન યુનિલિવરને વેચી દીધી, જેણે આ બ્રાન્ડને વધુ વિસ્તૃત બ્રાન્ડમાં ફેરવી દીધી. આજે લેક્મે માત્ર ભારતીય બજારની જ અગ્રગણ્ય કોસ્મેટિક બ્રાન્ડ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે.

એક જૂના ઈન્ટરવ્યુના સિમોને કહ્યું હતું, “60ના દાયકામાં, દેશમાં સુંદરતાનો અર્થ નિશ્ચિત રૂપે કોઈ કોસ્મેટિક્સ સાથે નહોતો. બધું જૂનવાણી હતું – એક તરફ પ્રાકૃતિક, હર્બલ પ્રોડક્ટ્સ હતી અને બીજી તરફ ટેલ્કમ પાવડર. બસ, એમાં જ બધું આવી ગયું. મેકઅપ વર્જિત હતો. તમે મેકઅપ કરીને બહાર ન જઈ શકો, લિપસ્ટિક સુદ્ધાં નહીં. સિવાય તમારે બેડ-ગર્લ કહેડાવવું હોય.”

એક અર્થમાં, લેક્મેની કહાની ભારતના વિકાસની કહાની પણ છે – જેમાં એક નાની આર્થિક ચિંતા, એક ઉદ્યોગપતિની દૃષ્ટિ, એક વિદેશી ઓપેરાની પ્રેરણા, અને એક મહિલાના નેતૃત્વએ મળીને એવી બ્રાન્ડ બનાવી જે હવે લાખો ભારતીય મહિલાઓની દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે. આ કહાની બતાવે છે કે પ્રેરણા ક્યારે ય કોઈપણ દિશાથી આવી શકે છે – ક્યારેક રાષ્ટ્રની જરૂરિયાતમાંથી, ક્યારેક સંસ્કૃતિમાંથી, અને ક્યારેક કોઈ જૂની ફ્રાંસીસી ધૂનમાંથી. લેક્મે એ વાતની જીવંત સાબિતી છે કે જ્યારે સ્વદેશી વિચાર વૈશ્વિક દૃષ્ટિ સાથે મળે, ત્યારે પરિણામ ફક્ત એક બ્રાન્ડ નહીં, પણ એક વિરાસત બને છે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’, ‘સંસ્કાર’ પૂર્તિ, સંદેશ; 14 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 December 2025

હેમન્તકુમાર શાહ

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગઈ કાલે આવેલા એક સમાચાર અહેવાલ અનુસાર ગામડાંમાં એક વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપતા દેશના પ્રથમ ‘મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંયધરી ધારા’ (મનરેગા) નામના કાયદાનું નામ હવે મોદી સરકાર બદલી રહી છે! આશ્ચર્ય અને આઘાતજનક છે આ નામ ફેરબદલી કારણ કે ‘મહાત્મા ગાંધી’ને બદલે હવે ‘પૂજ્ય બાપુ’ શબ્દો આવી રહ્યા છે! 

‘મહાત્મા’ અને ‘ગાંધી’ એ બે શબ્દો જ મોહનદાસ કરમચંદ ગાંધી માટે સૌથી જાણીતા છે.  ‘ગાંધીજી’ શબ્દ ‘જી’ લગાડીને માનવાચક શબ્દ બનાવાયો છે. પરંતુ તે પણ દુનિયાભરમાં એટલો ચલણમાં નથી કે જેટલો ‘મહાત્મા’ શબ્દ છે.

ગાંધીને ‘મહાત્મા’ કહેવાનું નરેન્દ્ર મોદીની સરકારને ગમતું નથી. રવીન્દ્રનાથ ટાગોરને ગમતું હતું હોં! અને ‘ગાંધી’ અટકને પણ કાયદાના નામમાં રહેવા દેવાનું મોદી સરકારને ગમતું નથી. ખરેખર તો મોદીને, RSSને, ભા.જ.પ.ને અને આ આખી ગોડસે ગેંગને કે તેમના સમર્થકોને મહાત્મા ગાંધી નામનો માણસ દીઠ્ઠો ગમતો નથી. એનું કારણ એ છે કે એ જમાનાની બંધારણ સભાના, કહીએ તો કહેવાય એવા માર્ગદર્શક મંડળના, એ એકમાત્ર માણસે જ દેશ આઝાદ થયો ત્યારે દેશને હિન્દુ રાષ્ટ્ર બનતાં રોક્યો હતો કારણ કે એમને ખબર હતી કે હિંદુ રાષ્ટ્ર એટલે ધર્મઝનૂની રાષ્ટ્ર, હિટલરના જર્મની જેવું ઘાતકી અને ક્રૂર રાષ્ટ્ર તથા બ્રાહ્મણ પેશવાઓનો જાતિવાદી શોષણખોર અસમાનતાથી ભરપૂર તાનાશાહી સમાજ સ્વીકારતું રાષ્ટ્ર. 

એટલે જ, એક ભળતું જ નામ મોદી સરકાર લઈ આવે છે કે જે મહાત્મા ગાંધી સિવાય કોઈ એરગેરા, કહેવાતા, ફાલતુ, બે બદામડી જેવા સાધુસંતને કે કથાકારને પણ સામાન્ય રીતે લાગુ પડી શકે. મૂળ ઇરાદો તો મહાત્મા ગાંધીનું નામ બધેથી ધીમે ધીમે ભૂંસવાનો છે એ સ્પષ્ટ છે.  

‘પૂજ્ય બાપુ’ એવા બે શબ્દો તો કોને કોને લાગુ પડી શકે એ વિચારો, અને ‘મહાત્મા ગાંધી’ શબ્દ બોલો તો કોણ યાદ આવે એ વિચારો. નાલાયકી અને નફ્ફટાઈની રોજેરોજ મોદી સરકાર દ્વારા નવી હદ બનાવવામાં આવે છે એમાં આ વધુ એકનો ઉમેરો થઈ રહ્યો છે. 

બેશરમ મોદી સરકારને જરા યાદ અપાવું :

(૧) ગાંધીની હત્યા થઈ ત્યારે RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર મદ્રાસમાં એટલે કે આજના ચેન્નઈમાં હતા. તેમણે RSSના સ્વયંસેવકોને તરત જ ૧૩ દિવસનો શોક પાળવા માટે જે આદેશ આપ્યો હતો તેમાં મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્માજી’ શબ્દ વાપર્યો હતો. ગોલવલકર ગાંધીને ભયંકર ધિક્કારતા હતા તેમ છતાં તેમણે કમને પણ ‘મહાત્માજી’ શબ્દ તો વાપર્યો જ હતો.

(૨) ગોલવલકરે એ જ દિવસે જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને ગાંધીના એક દીકરા દેવદાસ ગાંધીને જે અંગ્રેજી શોકસંદેશો તાર કરીને પાઠવેલો તેમાં પણ ગોલવલકરે ગાંધી માટે “દિવ્ય આત્મા” (divine soul) એવા બે શબ્દો વાપરેલા. 

(૩) તા.૦૮-૧૨-૧૯૪૭ના રોજ ગોલવલકર દ્વારા દિલ્હીમાં RSSના આશરે ૨,૫૦૦ જેટલા સભ્યોને જે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેમણે મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્મા ગાંધી’ એમ બે શબ્દો ઓછામાં ઓછું બે વખત વાપર્યા હતા. જો કે, આ સભામાં જ ગોલવલકર દ્વારા ગાંધીને આડકતરી રીતે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી કે તેમના જેવાઓને “ચૂપ કરી દઈ શકાય.” આ ઘટના છે ગાંધીની નથુરામ ગોડસેએ હત્યા કરી તેના બરાબર ૫૩ દિવસ પહેલાંની! 

માધવ ગોલવલકર તો નરેન્દ્ર મોદી કરતાં જરા વધારે હર્ષ સંઘવી બ્રાન્ડ સંસ્કારી કહેવાય, નહીં, કારણ કે એમણે તો ‘મહાત્મા ગાંધી’ એવા બે શબ્દો બે વખત વાપર્યા? 

અને હા, ગાંધીએ પોતે જ કહેલું કે :

“જ્યાં સુધી મારામાં શ્રદ્ધા પ્રજ્જવલિત રહેશે, અને મને આશા છે કે હું એકલો પડી ગયો હોઈશ તો પણ તે તેવી રહેશે, હું કબરમાં પણ જીવતો રહીશ અને વળી તેમાંથી પણ બોલતો રહીશ.”

આ પોરબંદરનો “મોનિયો” મહાત્મા બનીને કબરમાંથી પણ ગોડસે બ્રાન્ડ ચડ્ડી ગેંગને કેટલી હેરાનપરેશાન કરે છે! આ મહાત્મા ગાંધીના “દિવ્ય આત્મા”નો સત્યાગ્રહ છે! એમનું ગોડસે ગેંગ સાથેનું અસહકાર આંદોલન દિલ્હીના રાજઘાટ પરથી ચાલુ જ છે, એ પોતડીધારી ડોસો ત્યાં એકલો જ હશે તો પણ એ ચાલુ જ રહેશે.

તા.૧૪-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...72737475...8090100...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved