Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહારમાં ‘હાર’ એન.ડી.એ.ના ગળામાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 November 2025

રવીન્દ્ર પારેખ

વોટ્સએપ પર મહિન્દ્રા XUV500ની એક જાહેરાતમાં બ્લુ કારની જાહેરાત નીચે લખ્યું હતું કે અમારી પાસે કાઁગ્રેસ કરતાં (બિહાર રિઝલ્ટ્સ સંદર્ભે) વધારે સીટ્સ છે. ઈશારો એ હતો કે કાઁગ્રેસને બિહારમાં 6 સીટ્સ મળી એ કરતાં કારમાં વધારે જગ્યા છે. કોણ જાણે કેમ પણ વિપક્ષ તરીકે કાઁગ્રેસ ઉત્તરોત્તર તેનો પ્રભાવ ઘટાડતી જ જાય છે. કમ સે કમ તેનો ચૂંટણીનાં પરિણામો પર તો પ્રભાવ લગભગ ઓસરી જ ગયો છે ને તેનું સીધું કારણ કાઁગ્રેસી નેતાઓ અને કાર્યકરો અંદરોઅંદર છે, એટલા સંપર્કમાં પણ જનતા સાથે નથી. કાઁગ્રેસી નેતાઓ ભા.જ.પ.ને ભાંડે તે સિવાય ચૂંટણીમાં સ્પર્ધાનો મિજાજ ધરાવતા નથી. પોતાનામાં વધુ પડતો વિશ્વાસ રાખી ચૂંટણી સમયે જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે નીકળી જાય છે ને પરિણામમાં હાર સામે આવે છે તો આત્મનિરીક્ષણ કરવાને બદલે એ જ જૂની રેકર્ડ ઈલેકશન કમિશનની કામગીરીની કે વોટ ચોરીની વગાડ્યા કરે છે. બિહારની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો, પણ તેનો અવાજ તેમને પણ સંભળાયો હશે કે કેમ તે ખબર નથી, પણ લોકોમાં તેની કોઈ અસર વર્તાઈ નથી તે પરિણામોએ બતાવ્યું છે. બિહારમાં 6 સીટ મળી એ પછી પણ કાઁગ્રેસ તો એ જ જૂનો રાગ આલાપે છે કે બિહાર ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે ને બે સપ્તાહમાં પુરાવાઓ આપીશું. અગાઉ પણ પુરાવાઓની વાત હતી. આ વખતે પણ એ જ છે, પણ પ્રજા પર તેની ધારી અસર વર્તાતી નથી. તેનું એક કારણ જનસંપર્કની ઓછપ અને પ્રજાનો કાઁગ્રેસ પરથી ઊઠતો જતો વિશ્વાસ છે. એમ પણ લાગે છે કે થોડી સીટો મેળવવા સિવાય કાઁગ્રેસને શાસન કરવાની જ લાલચ કદાચ નથી. 60 સીટ પર આ વખતે કાઁગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા, જે 2020 કરતાં પણ 10 ઓછા છે. ધારો કે તે બધી સીટ પર જીતે તો પણ બિહારમાં તે સત્તા મેળવી શકે એવી તકો જ ક્યાં છે?

એના કરતાં તો પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું સાહસ જોવા જેવું છે. એ પાર્ટીએ 238 સીટો પર ચૂંટણી લડી. તેમાં એક વાત એ પણ ખરી કે પ્રશાંત કિશોર પોતે રણનીતિના જાણકાર છે અને બિહારના છે. આમ છતાં પ્રશાંત કિશોરે પોતે ઉમેદવારી ન કરી. તેઓ કિંગમેકર બનવા માંગતા હોય તો વાત જુદી છે, પણ માત્ર રણનીતિની જાણકારી ચૂંટણી જીતવા માટે પૂરતી નથી. સંગઠનનો વ્યાપ અને તેની મજબૂતી પણ જરૂરી છે. તેમાં ય બિહાર જેવું રાજ્ય હોય તો મતદારો સુધી પહોંચવું જ પડે. એ બાબત પ્રશાંત કિશોરને નડી ને પોતાનાં જ રાજ્યમાં સમ ખાવા પૂરતી એક પણ સીટ તેમને ના મળી. એમની પાર્ટીને એક પણ સીટ ના મળી તે તો ખરું જ, પણ આ સાહસે આર.જે.ડી. અને કાઁગ્રેસના મહાગઠબંધનના મતો કાપ્યા અને એનો લાભ એન.ડી.એ.ને આપોઆપ જ મળ્યો.

એની સામે ભા.જ.પ.ની ગ્રાઉન્ડ લેવલે પ્રજાના મત મેળવવાની કામગીરી જે રીતે થાય છે તે જોવા જેવી અને અનુકરણીય છે. અહીં કોઈને વખાણવા કે વખોડવાનો ઉપક્રમ નથી જ, પણ ભા.જ.પ. ચૂંટણી જીતવા જે સ્ટ્રેટેજી ગોઠવે છે તે તેની જીતનું કારણ બને છે. કોઈ સ્તરે ગરબડો ત્યાં ય હશે, પણ ચૂંટણી જીતવા વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, મંત્રીઓ, નેતાઓ, સાંસદો, વિધાનસભ્યોથી માંડીને નાનામાં નાના કાર્યકરો જે મિશનરી સ્પિરિટથી કામે લાગે છે તે જીતનું કારણ બને છે. વિકાસના કામોની સાથોસાથ ચૂંટણીના પ્રચારને ભા.જ.પ. જરા પણ હળવાશથી નથી લેતો. એ સાથે જ બિહારમાં નીતિશકુમારની ચૂંટણી લક્ષી જે કામગીરીઓ થઈ છે, તેણે પણ બિહારમાં એન.ડી.એ.ની સ્થિતિ વધુ મજબૂત કરી છે. બિહારમાં ભા.જ.પે. જે રીતે 89 સીટ મેળવી છે, તેણે બિહારમાં જ, બિહારની જે.ડી.યુ.ને 85 સીટ સાથે બીજા નંબરે મૂકી છે. ભા.જ.પ.ના નેતાઓ સભામાં જે હવા ઊભી કરે છે તે ત્યાં જ અટકી જતી નથી, તેને નાના મોટા કાર્યકરો મતમાં ફેરવવામાં સફળ પણ થાય છે.

એન.ડી.એ. જીતે એવું તો લાગતું જ હતું, પણ તે એક્ઝિટ પોલની ધારણાથી પણ વધુ સીટ – 202 મેળવીને આટલી મોટી જીત મેળવશે તેણે સુખદ આશ્ચર્ય સર્જ્યું છે. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 200થી વધુ સીટ મળવાની આગાહી કરી હતી. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને પણ મુખ્ય મંત્રી બનવાના ઓરતા હતા, પણ તેમનું તેજ ઓછું પડ્યું છે. આમ તો બહુમત સિદ્ધ કરવા 243માંથી 122 સીટ જોઈએ તેને બદલે એન.ડી.એ.ને 80 સીટો વધુ મળી છે. તેની સામે મહાગઠબંધન 35માં જ સમેટાઈ ગયું છે. 2020માં એન.ડી.એ.ને મળેલી બેઠકો કરતાં પણ આ વખતે 75 બેઠકો વધુ મળી છે, તો મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન પણ થયું છે. છેલ્લી વખતે જે.ડી.યુ.ને 43 બેઠકો મળેલી, તેને આ વખતે 85 બેઠકો મળી છે. આમ છતાં 89 બેઠકો સાથે ભા.જ.પ. સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે તે નોંધવું ઘટે. નીતિશની છાપ પલટુરામની હતી, પણ અત્યાર સુધી એન.ડી.એ. સાથે રહેવાનો લાભ તેમને બિહારમાં મળ્યો છે. વડા.પ્રધાનનો પણ બિહારમાં પ્રભાવ વધ્યો છે ને મતદારોએ જાતિવાદનું ઝેર નકારીને વિકાસમાં વિશ્વાસ મૂક્યો છે.

એન.ડી.એ.ની જીતમાં નીતિશકુમારની મહિલા કેન્દ્રી યોજનાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો, સ્ટાઇપેન્ડના લાભો અને મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રચાર જે.ડી.યુ. અને એન.ડી.એ.ને પણ ફળ્યો છે. એક કરોડથી વધુ મહિલાઓના ખાતામાં 10.000 જમા થયા એનું પરિણામ એ આવ્યું કે પુરુષો કરતાં 5 લાખ વધુ મહિલાઓએ મતદાન કર્યું. દેખીતું છે કે એ મત મહાગઠબંધનમાં તો નહીં જ પડ્યા હોય. જો કે, જનસુરાજ પાર્ટીના સ્પોકસ્પર્સન પવન વર્માએ એવો આરોપ મૂક્યો છે કે એન.ડી.એ. સરકારે વર્લ્ડ બેન્કના અન્ય પ્રોજેક્ટ માટે આવેલા 14,000 કરોડ ઉપાડીને બિહારની છેલ્લી ચૂંટણીમાં 1.25 કરોડ મહિલાઓના ખાતામાં જમા કર્યા છે.

આવી રેવડીઓ અન્ય પક્ષો દ્વારા પણ અપાઈ છે. મહિલાઓના ખાતામાં મહિને મહિને અમુક રકમ આપવાનું પણ રાજકીય પક્ષો દ્વારા થાય છે, એટલે કોઈને જ એમાં કશું અજુગતું લાગતું નથી. એ પણ સ્પષ્ટ છે કે એનો હેતુ દયાદાન ધરમનો નથી જ. એ દ્વારા હેતુ તો રાજકીય લાભ ખાટવાનો જ છે. વારુ, મતદારો પણ માન-સ્વમાનને વચ્ચે લાવ્યા વગર ખાતામાં પડતી રકમને સ્વીકારી લે છે. આવી મદદ લેવાય કે કેમ, એવો સવાલ પણ ભાગ્યે જ કોઈને થાય છે. મફતનું અનાજ ખવાય, તો આવી રકમ પણ ખવાય જ, એવું મતદારો પણ સમજી ગયા છે. કંઇ પણ કર્યા વગર આમ મફતનું લેવાનો કોઈને જ સંકોચ થતો નથી, એટલે આ બધું પણ હવે કોઠે પડી ગયું છે. 10,000માં એક મત કંઇ મોંઘો ન ગણાય. આ સાર્વત્રિક છે એટલે એનો હરખ શોક પણ કોઈને ન હોય તે સમજી શકાય એવું છે.

ઠીક છે, મહિલાઓને મદદ નીતિશકુમારને મોંઘી નથી પડી ને એ દસમી વખત બિહારના મુખ્ય મંત્રી બને તો નવાઈ નહીં ! જો કે, 17 નવેમ્બરે નીતિશકુમાર રાજ્યપાલને રાજીનામું આપીને નવી સરકારનો દાવો રજૂ કરે એમ બને. બને કે 20મીએ નીતિશકુમાર મુખ્ય મંત્રી તરીકે શપથ લે ને તેમની સાથે બીજા અઢારેક મંત્રીઓ પણ શપથ લે. ડેપ્યુટી સી એ મ તરીકે ભા જ પ ના સમ્રાટ ચૌધરી, રામકૃપાલ યાદવ, મંગલ પાંડે જેવાં નામો પણ ચર્ચામાં છે. આ વખતે ચિરાગ પાસવાનની પાર્ટી એલ જે પી (આર.) પણ સરકારમાં એન્ટ્રી કરવાની વકી છે ને તેમના પણ ત્રણેક મંત્રીઓ સરકારમાં હોઈ શકે છે. એટલું ખરું કે ભા.જ.પ. અને જે.ડી.યુ.ના મંત્રીઓ સરખે હિસ્સે સરકારમાં હશે. એ તો સમય આવ્યે પાકું થશે.

આમાં રાહુલ ગાંધીનો ગેરરીતિનો મુદ્દો સ્વીકારીએ તો પણ, 202 સીટો એન.ડી.એ.ને ગેરરીતિથી જ મળી હોય તે શક્ય નથી. જો બધી જ ગેરરીતિઓ હોય તો કાઁગ્રેસની 6 સીટો પૂરતી તો ગેરરીતિઓ નથી થઈ એ સ્વીકારવું પડે, કારણ માત્ર ગેરરીતિઓ જ હોત તો 6 સીટો પણ ન મળી હોત. ખરેખર તો કાઁગ્રેસે એ વિચારવાની જરૂર છે કે 1995થી 2025 સુધીમાં 95 ચૂંટણી હારવાનું કેમ બન્યું? રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય હોય તો પણ, આટલી વખત ચૂંટણી હારવામાં દરેક વખતે વાંક સામે જ હતો એમ માનવા કરતાં પોતાને પક્ષે તો કોઈ ભૂલ થતી નથીને એ વિચારવાની જરૂર છે. આરોપો સામેનાને નબળો પાડે, પણ તેથી પોતાની નબળાઈ તંદુરસ્તીમાં ન ખપે તે સમજી લેવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 નવેમ્બર 2025

Loading

પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|16 November 2025

હિતેશ રાઠોડ

આજકાલ જ્યાં જુઓ ત્યાં સાવ ક્ષુલ્લક મુદ્દે અમુક ચોક્કસ પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓને સરકારના અમુક પગલાં સામેની તેમની અસહમતિને લઈને દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી અને જન-વિરોધી ચિતરી પ્રજામાનસમાં એમની છબીને ઈરાદાપૂર્વક મલિન કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ઘણી વાર તો તદ્દન વાહિયાત મુદ્દે પણ કોઈ લક્ષિત પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓ માટે દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી વગેરે જેવા વિશેષણોનો ઈરાદાપૂર્વક મારો ચલાવવામાં આવે છે. આમ કરવા પાછળ આસુરી શક્તિના છદ્મ વેશમાં કહેવાતા દેશભક્તો કે રાષ્ટ્રપ્રેમીઓનો આશય જે તે વ્યક્તિ કે સંસ્થાની નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્વચ્છ છબીને લોકોની નજરે દૂષિત કે કલંકિત કરી પોતાની અથવા જેમના માટે તેઓ આ કૃત્ય કરે છે એમની મેલી મુરાદ બર લાવવાનો હોય છે. આસુરી શક્તિના આવા દુષ્પ્રચારી કૃત્યો સામે સરકારનું મૌન અને સહેતુક નિષ્ક્રિયતા એ સરકારની એમાં મૂક સંમતિ દર્શાવે છે. સરકાર કે સરકારમાં સામેલ અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિને લગતી કોઈપણ બાબતમાં જરાક જેટલી અસહમતિને પણ સરકારનો વિરોધ માની લઈ જોરશોરથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમુક પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થા દેશ વિરોધી છે અને દેશહિત વિરુદ્ધના કાર્યો કરે છે, આવા લોકો પર યેનકેન પ્રકારેણ દેશદ્રોહીનું લેબલ લગાવી પ્રજામાનસમાં એમના વિરુદ્ધ ઝેર ભરવાની વિધ્વંશક પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. 

લોકશાહીમાં લોકો અને લોકોનો અવાજ સર્વોપરી છે, પછી એ અવાજ અસહમતિ કે આક્રોશનો કેમ નથી. ઘણી વાર વિરોધ વ્યક્ત કરવાની રીત કદાચ અયોગ્ય હોય તો પણ એ વિરોધમાં રહેલ સચ્ચાઈના સૂરને દબાવી શકાય નહીં. સરકારોને ચૂંટીને મોકલનારા લોકો હોય છે એટલે સરકાર સાથે અસહમત થવાનો એમને હક છે, એમાં સરકારના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વસ્તુત: કોઈ ચોક્કસ હેતુ સાથે સમાજમાં વૈમનસ્ય ફેલાવનારા, સમાજસેવાનો અંચળો ઓઢી ફરતા અને રાજકીય પક્ષોનો હાથો બની ફરતા દૂષિત તત્ત્વોને ખુદને જ વિરોધ અને અસહમતિ વચ્ચેના ભેદની ખબર હોતી નથી, એટલે કોઈની વ્યાજબી અસહમતિને પણ વિરોધના વાઘા પહેરાવી લોકોને ગેરમાર્ગે દોરી સમાજમાં વિખવાદની આગ લગાડી એમાં પોતાના સ્વાર્થનો રોટલો શેકી લેતા હોય છે. વાસ્તવમાં તેમની આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં કોઈ દેશહિત હોતું જ નથી, જે હિત હોય છે એ એમનું પોતાનું વ્યક્તિગત હોય છે. આવા ફસાદી તત્ત્વો દ્વારા સમાજમાં ચારેકોર નર્યાં જૂઠાણાં અને ભ્રામક વાતોનો એટલો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે સાચા-ખોટાનો ભેદ પારખવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ હવે આવા લેભાગુ, તકસાધુ અસામાજિક તત્ત્વોને ઓળખવા પડશે. કોઈની પણ વાતો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા પોતાની સાદી સમજ અને સ્વ-વિવેકનો ઉપયોગ કરી તથ્યો અને હકીકતોને આધારે સત્ય અને અસત્યને અલગ પાડતા શીખવું પડશે, અને તો જ સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકાશે. 

પરિવારની ઘરેલું બાબતોમાં ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયમાં પરિવારનો કોઈ સભ્ય અસહમતિ દર્શાવે તો એનો અર્થ એવો જરા ય નથી થતો કે એ વ્યક્તિ પરિવારના વડાની કે પરિવારની વિરોધી છે. ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયોના કારણે પરિવારમાં એવી ઘણી બાબતો આકાર લેતી હોય છે જેમાં પરિવારના કોઈ સભ્ય સંમત ન પણ હોય. આવા સંજોગોમાં એ સભ્ય ઘરના વડા કે પરિવારનો વિરોધી છે એવું અર્થઘટન વાહિયાત છે. સમાજના પ્રાથમિક એકમ એવા પરિવારમાં પણ પરિવારના સભ્યને પણ એટલી સ્વતંત્રતા તો છે જ કે પરિવારની અમુક બાબતોમાં તે અસહમતિ દર્શાવી શકે, ત્યારે સરકારના કોઈ પગલાં કે નિર્ણય વિશે અસહમતિ દર્શાવવી એટલે સરકારના વિરોધી હોવું એ તર્કહીન, વાહિયાત અને સગવડિયું અર્થઘટન છે. પારિવારિક બાબતોનું સંચાલન કરતી વખતે પરિવારના વડાએ જેમ ઘરના અમુક સભ્યોની અસહમતિને ધ્યાને લેવાની હોય છે એમ દેશનો વહીવટ ચલાવતી સરકારે બધી બાબતોમાં પોતાની મનમાની કરવાને બદલે દેશના અદના નાગરિકનો અવાજ પણ કાને ધરવો જોઈએ, પછી ભલે એ અવાજ અસહમતિ અને વિરોધનો કેમ નથી. વળી, સરકાર એ દેશ કે રાષ્ટ્રનો એક ભાગ છે તે સ્વયં દેશ કે રાષ્ટ્ર નથી. દેશની એકેક વ્યક્તિ, સમુદાય, સમાજ, એકમ, સંસ્થાઓ, સંગઠનો, વ્યવસ્થાઓ, તંત્રો અને સંસાધનો વગેરેથી એક દેશ કે રાષ્ટ્ર બને છે. આમાં પાંચ-પાંચ વર્ષે આવ-જા કરતી એવી સરકારનાં કોઈ પગલાં કે કાર્ય સાથે અસહમતિ દાખવવી એ દેશ કે રાષ્ટ્રનો વિરોધ કોઈ કાળે નથી જ નથી. સરકારના નિર્ણય કે પગલાં સાથે અસહમતિ એ સરકાર સાથે અસહમતિ છે, એમાં દેશનો, રાષ્ટ્રનો કે કોઈ વ્યક્તિનો વિરોધ જરા ય નથી. સરકાર પ્રજાથી, પ્રજા માટે અને પ્રજા વતી ચૂંટાય છે. સરકાર કામચલાઉ છે, પ્રજા કાયમી છે. સત્તાધિશોએ એક વાત સમજી લેવી પડશે કે પ્રજાએ એમને પાંચ વર્ષ માટે શાસન ચલાવવા મોકલ્યા છે, કંઈ હમેશ માટે શાસન લખી નથી આપ્યું. સરકાર જે કાંઈ કરે એ બધું સાચું, કાયદેસર, બંધારણીય અને લોકહિતમાં જ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પ્રજાની સાચી વાત કે અસહમતિને જો અન્યથા લેવામાં આવશે તો પ્રજાના પ્રતિકારનો સામનો કરવાની તૈયારી સત્તાએ રાખવી પડશે.

લોકશાહી શાસનપ્રણાલિનું સૌથી મજબૂત પાસુ હોય તો એ વિરોધ છે. જો કોઈ વિરોધ જ ન હોય તો શાસન કરવામાં વળી શાણપણ કેવું! સાચો શાસક એ છે જે વિરોધીઓને પણ પોતાની સાથે લઈને ચાલે. વિરોધ અને વિરોધીઓનો ડર એ નબળા શાસકની નિશાની છે. દરિયો ખેડતા નાવિકે દરિયામાં કોઈ મોજું એની સામે ન આવવું જોઈએ એમ માનવું એ એની બાલિશતા છે. વિરોધ હોય તો પણ વિરોધથી ડર્યા વિના વિરોધનું સમાધાન કરવાનું કૌવત પણ સરકારે દાખવવું જોઈએ. પોતાના પક્ષીય હેતુઓથી પોતાને અલગ કરી પ્રજાહિત અને લોક-કલ્યાણની દિશામાં કામ કરતી સરકારો જ સાચા અર્થમાં પ્રજાપ્રિય થઈ શકે છે અને લાંબા ગાળા સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે.

ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ વ્યક્તિ, સંપ્રદાય અને ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં દરેક વ્યક્તિનો સૂર એકસરખું મહત્ત્વ ધરાવે છે, કોઈના પણ સૂરને અવગણી શકાય નહિ, પછી એ સૂર સંમતિનો હોય કે અસંમતિનો. અમુક મુદ્દા પર હું કોઈની સાથે અસહમત છું તો એનો અર્થ એ જરા ય નથી કે હું એમનો વિરોધી છું. અસહમતિને વિરોધમાં ખપાવવાની પ્રવૃત્તિ પાછળ વાસ્તવમાં સત્યને દબાવવાની મંશા છે. અસહમતિને વિરોધના વાઘા પહેરાવી સત્યને બિહામણું દેખાડવાની વૃત્તિ એ વાસ્ત્વમાં સત્ય સામેનો ડર છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 November 2025

ચંદુ મહેરિયા

૨૦૨૪ની લોકસભા ચૂંટણી  ૭૪૩ રાજકીય પક્ષોએ લડી હતી. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૧૧ અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૫માં ઈલેકશન કમિશન ઓફ ઇન્ડિયા( ECI) એ સતત છ વરસો સુધી ચૂંટણ્રી નહીં લડેલા ૩૩૩ પક્ષોની માન્યતા રદ્દ કર્યા પછી, હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (૨,૫૨૦) છે. 

ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે : રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્યસ્તરીય પક્ષની માન્યતા નહીં ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોકપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની ધારા ૨૯(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેકશન કમિશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણી પંચની રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, ૨૦૧૯ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે, અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે, અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે. 

૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ તથા ૨૦૧૪ પછી થયેલી ૨૧ વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ પરથી ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા. 

હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી (AAP), બહુજન સમાજ પક્ષ (BSP), ભારતીય જનતા પાર્ટી (BJP), કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ) CPI(M), ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ (INC) અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) આ છ જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના ૧૯૬૮ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં ૧૦મી એપ્રિલ ૨૦૨૩ના ચૂંટણી પંચના આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે. છ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂની કાઁગ્રેસની સ્થાપના ૧૮૮૫માં, સી.પી.આઈ.(એમ.)ની ૧૯૬૪માં, બી.જે.પી.ની ૧૯૮૦માં, બ.સ.પા.ની ૧૯૮૪માં, ‘આપ’ની ૨૦૧૨માં અને એન.પી.પી.ની ૨૦૧૩માં થઈ હતી. નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તરપૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એન.પી.પી. સ્થાપનાના માંડ એક જ દસકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યાં છે તે નોંધપાત્ર છે. 

ઈલેકશન કમિશને મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસ, શરદ પવારના એન.સી.પી. (નેશનાલિસ્ટ કાઁગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સી.પી.આઈ. (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ્દ કર્યો છે. સી.પી.આઈ.એ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એન.સી.પી.એ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કાઁગ્રેસે મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં રાજ્યસ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછા રાજ્યોમાં રાજ્યસ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં હોઈ તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ્દ કરવામાં આવી છે. 

રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એક સરખા ઈલેકશન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્ર પ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટાણી ચિહન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે. ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે. ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે. 

ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૭૪૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જો કે દેશમાં આજે કુલ રાજકીય પક્ષો ૨,૫૨૦ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો ૮ હતા અને સૌથી ઓછા ૪ હતા. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ૮, ૧૯૯૮ની ૭, ૧૯૯૯ની ૭, ૨૦૧૪ની ૬, અને ૨૦૧૯ની ૭ રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં ૬ રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કાઁગ્રેસ લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોક્સભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સી.પી.આઈ.નું વિભાજન થતા ૧૯૬૪માં સી.પી.આઈ.(એમ.) બન્યો હતો. તો બેવડા સભ્ય પદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ૧૯૮૦માં થયો હતો. 

આઝાદીથી આજ દિન સુધીમાં કાઁગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિંદુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી, ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સી.પી.આઈ.(એમ.), જનતા દળ, જનતા પાર્ટી, લોકદળ, ઓલ ઇન્ડિયા કાઁગ્રેસ (તિવારી), સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ( યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પાર્ટી, તૃણમૂલ કાઁગ્રેસ, આમઆદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.

દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે, પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેકશન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેકશન પરફોરમન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે. એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.

e.mail : maheriyachandu@gmail.com 

Loading

...102030...71727374...8090100...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved