Opinion Magazine
Number of visits: 9552494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાન્તનું મંથન : ધર્મ, કવિતા અને સત્યની અનંત ખોજ

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|3 December 2025

વિશ્વના મહાન કવિઓમાંના એક એવા ‘કાન્ત’ની કલમ 1891માં શા માટે અટકી, અને તેમનું મન કાવ્યમાર્ગને બદલે ધર્મ અને સત્યની કઈ ખોજમાં ચકરાવે ચડ્યું?

જોગાનુજોગ, ‘કાન્ત’ના 158મા જન્મદિવસે (વીસમી નવેમ્બરે), ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં જય ખોલિયાનું ‘કાન્ત’ વિષયક દસ્તાવેજી ચિત્ર જોવાનું બન્યું. પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત સર્વપ્રથમ ફેલોશિપ અતંર્ગત નિર્મિત આ ફિલ્મ જોતો હતો અને એમાં ‘કાન્ત’ના પુત્ર મુનિકુમાર ભટ્ટનો ઉલ્લેખ આવ્યો, તે સાથે હું સહસા પાંચેક દાયકા પાછળ ચાલ્યો ગયો. ભાવનગરમાં મુનિકુમારના ‘તપોવન’ બંગલામાં મિત્ર અજય પ્રિયવદન પાઠકના સ્નેહવશ એક રાત ગાળવાનું બન્યું હતું. એ રાતે ચિત્ત કંઈક જુદા જ ચગડોળે ચડી ગયું હતું.

એ રાત્રિ મારે સારુ એક મોટા કવિની નહીં, પણ ધર્મચિંતકની મનોમન મુલાકાતની હતી. ત્યારે અને અત્યારે ય બને કે કંઈક ઓછી માહિતીવશ પણ મારી લાગણી એ રહી છે કે ‘કાન્તે’ 1900માં ‘પવિત્ર ભોજન’પૂર્વક ખ્રિસ્તમતનો જાહેર અંગીકાર કીધો એની પૂંઠે એમનું જે મંથન રહ્યું હશે એને આપણે ઘટતો ન્યાય આપી શક્યા નથી. કદાચ, આખી ચર્ચા એમના મંથન અને ચિંતનને બદલે ચકચારી રીતે એમના ધર્મપરિવર્તન આસપાસ ચકરાવે ચડી ગઈ છે. જે કવિહૃદયે 1888માં એક એલ્ફિન્સ્ટોનિયનને નાતે બી.એ. થવા વાસ્તે ચહીને લોજિક અને મોરલ ફિલોસોફી જેવા વિષયો લીધા હતા, તેણે કરેલ નિર્ણયની પૂંઠે કંઈક તો વજૂદ હશે જ. હવે ફ્રિન્જ લાઈન ચર્ચોમાં જ ક્યાંક રહી ગયેલી ને ખરીખોટી વગોવાયેલી વટાળ પ્રવૃત્તિનો સામાન્ય કિસ્સો તો એ ન જ હોય. પણ બ.ક.ઠા. સરખા વિદ્યાવારિધિ નિકટમિત્ર સુદ્ધાં એમના મનોમંથનની રગ પકડવામાં ઊણા પડ્યા ને એક ગાળા માટે એમની મૈત્રીમાં મુદ્દત પડી ગઈ હતી.

મુદ્દે, સતત સંભારાતા ‘કાન્ત’ એમણે 1886થી 1891 દરમ્યાન જે સર્જનયજ્ઞ માંડ્યો તે કવિ ‘કાન્ત’ છે. પણ ગુજરાતી પાઠ્યપુસ્તક કે સાહિત્યિક પુસ્તકની જરી બહાર જઈએ તો તે પછીનાં વરસો એમના ધર્મમંથનનાં છે. ક્યાં ક્યાં નથી વિહર્યા ને વિચર્યા, એ! બુદ્ધ કને જાય છે અને એમની કરુણા ને વર્ણાશ્રમવિરોધને હૈયે ધરે છે. જો ખ્રિસ્તમતનું કલ્યાણ સ્વરૂપ એમને વસે છે તો ઈસ્લામનો ભ્રાતૃભાવ (અને ધાર્મિક આવેશ) પણ સ્પર્શે છે. સંતપરંપરાના હૃદયબોલમાંયે એ ઊંડા ઊતર્યા છે. છેવટે, 1897-98 લગી પહોંચતે પહોંચતે એકત્રીસમે એમને દિલનો કરાર સાંપડ્યો હોય તો એ સ્વીડનબોર્ગમાં છે.

રા.વિ.એ ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ જે ઉપોદ્દઘાત લખ્યો, સપ્ટેમ્બર 1926માં, તે અધ્યાપિ બિલકુલ મેરુદંડવત છે. પાઠકસાહેબે લખ્યું છે કે કવિએ ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો સારું એમ કહેવું સહેલું છે. ‘પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્દભવતાં હતાં.’ પહેલાં પત્ની નર્મદા (નદી) પાછાં થયાં, 1891માં, અને કવિની કલમ જાણે અટકી ગઈ. ‘કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે.’

પાઠકસાહેબ લખે છે, ‘પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી … તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે.’ આ માનસને અને આ હૃદયને પતિ-પત્ની સ્વર્ગમાં મળી શકે એવો સધિયારો સંપડાવતાં સ્વીડનબોર્ગીય દર્શનમાં સમાધાન અનુભવાયું, 1898 પહોંચતે પહોંચતે અને આગળ ચાલતાં એમણે ઉપવીત છોડ્યું, ને 1900માં તો ‘પવિત્રભોજન!’ ‘કાન્ત’-સંપર્કે કલાપીએ પણ સ્વીડનબોર્ગીય સૃષ્ટિમાં કંઈક પ્રવેશ કીધો છે. જો કે, સ્નેહે ઝૂરતા કવિ માટે નિકટના સ્વજનોથી વંચિત અવસ્થામાં (નાત બહાર) રહેવું આકરું ને અકારું હતું એટલે વિધિવત્‌ પ્રાયશ્ચિતપૂર્વક પાછા ફર્યા પણ દિલનો કરાર તો ખ્રિસ્ત સાથે હતો તે હતો. નાતના જમણવાર વખતે એ જગન્નાથના મરાલકુલનાયક જેવા પોતે બગલાંથી ઘેરાયેલા જેવું અનુભવતા એવું એક સમકાલીન સ્મરણ નોંધાયેલું છે.

 છેલ્લાં વર્ષોમાં એમણે મુંબઈથી સ્વીડનબોર્ગીય પત્રિકા પ્રકાશનમાં રસ લીધો ત્યારે એક સમજ જરૂર પાકી હતી કે એના અનુસરણ માટે ધર્મપરિવર્તન જરૂરી નથી. ગાંધીને શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો એવી કોઈ બીનાથી ‘કાન્ત’ વંચિત છે. પણ એમની વિચારરૂખમાં આર્યસમાજના અંશો, ઋગ્વેદના કોઈક સૂક્ત વગેરે મૂળભૂત સ્વીડનબોર્ગીય આરત સાથે સંકળાયેલ વરતાય છે. કલ્પનાને જરી છૂટો દોર આપું તો ગાંધીને પોતાની તરેહના વિશ્વવત્સલ ખ્રિસ્તમતીલા તોલ્સ્તોય મળ્યા તે જો ‘કાન્ત’ને મળ્યા હોત તો?

હવે સંકેલો કરું તે પહેલાં મને ગમતી એક ‘કાન્ત’-છવિ નાનાભાઈ ભટ્ટની આત્મકથામાંથી સંભારું. પ્રો. નૃસિંહપ્રસાદ ભટ્ટ, ટૂંકમાં ને માનથી શ્રીમન નથુરામ શર્માના વર્તુળમાં પ્રસાદજી- એમણે ભાવનગરનાં પ્રોફેસરી પરહરી છાત્રો માટે દક્ષિણામૂર્તિની શરૂઆત કરી ત્યારે ગુરુપૂર્ણિમાએ નથુરામ શર્માનું પૂજન છાત્રાવાસમાં કરતા. 

એક વાર પૂજન વખતે ડંગોરો ખખડાવતા ‘કાન્ત’ પ્રવેશ્યા અને એમણે નાનાભાઈને શબ્દે શબ્દે ઝૂડ્યા કે તારો ગુરુ હોય તેમાં આ છોકરાને શું. પરંપરાગત માળખામાંથી નૃસિંહપ્રસાદને નાનાભાઈ બનવા ભણી લઈ જતો એ નવી કેળવણીનો ઇતિહાસધક્કો હતો.

હમણેના દાયકાઓમાં ગુજરાત એ વાતે રળિયાત છે કે સતીશ વ્યાસના ‘જળને પડદે’ નાટકથી આપણે ‘કાન્ત’ સાથે મુખોમુખ થયા અને હવે જયની આ ડોક્યુમેન્ટરી પણ આપણી વચ્ચે છે. અને હા, ‘કુમાર’માં સિલસિલાવાર પ્રગટ થયેલું કાન્તચરિત્ર પણ પ્રફુલ્લ રાવલના આખરી ઓપ સાથે ગ્રંથસ્થ થવામાં છે. ઇચ્છું કે ગુજરાતની પ્રસંગોપાત પ્રગટ થવા કરતી, વચ્ચે વળી વળીને ખોડંગાતી રેનેસાં મથામણને ‘કાન્ત’ના જીવનસમગ્રના પરિચયે લગરીક પણ ચાલના મળે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર  2025

Loading

નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે !

રમેશ સવાણી|Opinion - Opinion|2 December 2025

અમદાવાદમાં દલિત કર્મશીલ ભાનુભાઈ પરમાર દ્વારા લિખિત પુસ્તિકા ‘હિન્દુત્વ: અલગાવવાદનો પ્રેરક વિચાર’ના વિમોચન પ્રસંગે આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા : 

[1] આશરે 300 વર્ષથી મનુષ્યની જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. ખેતી હવે મુખ્ય વ્યવસાય નથી અને રાજશાહી નથી. એટલે ધર્મપુસ્તકોમાં મનુષ્યે કેવી રીતે જીવવું તેને વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તે બધું નકામું થઈ ગયું છે. એમાં સત્ય, દયા, કરુણા, અહિંસા જેવાં શાશ્વત મૂલ્યો જ મહત્ત્વનાં છે, બીજું કશું નહીં. કેટલી ઉંમરે લગ્ન કરવાનું, કેટલાં લગ્ન કરવાં વગરે જેવી અનેક બાબતો વિશે ધર્મનું માર્ગદર્શન હાલ ચાલી શકે નહીં. 

[2] આધુનિક રાજ્યનો આધાર ધર્મ હોઈ શકે નહીં. હિન્દુત્વ ધર્મને રાજ્યનો આધાર બનાવીને હિન્દુરાષ્ટ્રની રચના કરવા માગે છે, માટે એ પછાત ખ્યાલ છે. હિન્દુત્વ આધુનિક નથી, પણ સાધુનિક છે. 

[3] હિન્દુ ધર્મનાં વિચારો અને દર્શન મોટે ભાગે ઉચ્ચ રહ્યાં છે. પણ ઐતિહાસિક રીતે હિન્દુઓનો વ્યવહાર કનિષ્ઠ રહ્યો છે. મૂળભૂત રીતે એ અસમાનતા પર આધાર રાખે છે અને એને પોષે છે. 

[4] હિન્દુત્વ એ એક રાજકીય વિભાવના છે અને એ ખતરનાક છે કારણ કે તેમાં દેશમાં રહેતા બધા લોકોનો સમાનતાના ધોરણે સમાવેશ થતો નથી. અમુક લોકોની બાદબાકી એ અસમાનતા છે. હિન્દુત્વ સૌના નહીં પણ અમુક લોકોના જ અધિકારોને મહત્ત્વના ગણે છે અને એમને માન્ય રાખે છે.

[5] રાજ્યનું કામ મનુષ્યના ભૌતિક કલ્યાણનું છે; ઇશ્વર, અલ્લાહ કે ગોડ જેવા ભગવાનો સાથે એને કશી લેવાદેવા નથી. આ વિચાર આધુનિક છે, માંડ પાંચસો વર્ષ પહેલાંનો છે. જો રાજ્ય ધર્મમાં પડે તો રાજ્ય, લોકોનું કલ્યાણ કરવાનું એનું મૂળ કામ ભૂલી જાય છે એમ કહેવાય. 

[6] કોઈ પણ ધર્મ આધુનિક લોકશાહીની વાત કરતો નથી. ધર્મને અને લોકશાહીને સહેજે બનતું નથી, બનવાનું પણ નથી. એનું કારણ એ છે કે ધર્મને ભક્તિ સાથે સંબંધ છે અને લોકશાહીમાં કોઈની ભક્તિ થાય જ નહીં.

[7] હિન્દુત્વ અલગાવવાદ પેદા કરે છે, એ એક હકીકત છે. ‘અમે અને તમે’ની વિભાવના પર હિન્દુત્વ ઊભેલું છે અને એમાં ‘તમે’ સામે ધિક્કાર છે, નફરત છે. નફરત એ રાજકીય  હિન્દુત્વનો શ્વાસ છે, એના વિના એ જીવી શકે જ નહીં. 

[8] હિન્દુત્વમાં માત્ર મુસ્લિમો પ્રત્યે જ નફરતની દૃષ્ટિ છે એવું નથી. એમાં તો સ્વતંત્ર રીતે એનાથી વિરોધી વિચાર કરનાર દરેક પ્રત્યે નફરતની દૃષ્ટિથી જોવામાં આવે છે. એટલે જ વિરોધી દરેક વ્યક્તિ દેશદ્રોહી અને અર્બન નક્સલ બની જાય છે. એને માટે આજે નહીં તો કાલે, કોઈક દુ:શ્મન હોવો જરૂરી છે. 

[9] ભારતના બંધારણમાં સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી જેવા આદર્શો લખેલા છે. તે ચરિતાર્થ થવાનું હિન્દુ રાષ્ટ્રમાં શક્ય છે જ નહિ. કારણ કે તે લોકશાહીથી તદ્દન વિરોધી વિચાર છે. હિન્દુત્વ એ રાજાશાહી અને તાનાશાહીના ખોળામાં બેઠેલો ખ્યાલ છે. અને માટે જ લોકશાહીના ચાહકોએ એની સામે લડવાની જરૂર છે. 

[10] લોકશાહી એક વ્યક્તિ, એક મત અને એક મૂલ્યના સિદ્ધાંત પર આધારિત છે. હિન્દુત્વમાં માત્ર શાસકોનું જ મૂલ્ય છે. આપણે બંધારણ થકી પ્રજામાંથી નાગરિક થયા. હવે હિન્દુત્વ ઘડિયાળના કાંટા પાછા ફેરવીને આપણને નાગરિકમાંથી વળી પાછા પ્રજા બનાવવા માગે છે. માટે એ ખ્યાલથી ચેતતા રહેવું અનિવાર્ય છે.  

[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ] 
1 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગુજરાતી વિશ્વકોશને વંદન 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|2 December 2025

‘અહીં જ્ઞાનસૂર્ય સંચરે,

આપણું ચિત્ત પ્રકાશિત કરે …

અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,

ચિત્તનું ચિત્ત વિકાસિત કરે …

આ યથાર્થ શબ્દો કવિ ચન્દ્રકાન્ત શેઠે જેના માટે લખ્યા છે તે ગુજરાતી વિશ્વકોશ, આજે 2 ડિસેમ્બરે, એકતાળીસમાં વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતની એક અત્યુચ્ચ વિદ્યાકીય સિદ્ધિને કૃતજ્ઞભાવે વંદન. 

વિશ્વકોશ થકી વિશ્વના જ્ઞાનનો રાશિ આપણી ભાષામાં હોવાનું અત્યંત ગૌરવ છે. ગયાં પાંચેક વર્ષથી તો આંગળીને ટેરવે ઇન્ટરનેટ પર છે. તેમાં કવિના શબ્દો જાણે પ્રત્યક્ષ થાય છે: ‘ગૂર્જરી વિશ્વરૂપને વરે!’ 

અત્યારના વાચકોના એક વર્ગને કહેવું જોઈએ કે વિશ્વકોશ એટલે encyclopaedia એટલે કાગળનાં પાનાં પર છાપેલો Wikipedia, એટલે કે એક પ્રકારનું google. વિશ્વકોશની લિન્ક છે : https://gujarativishwakosh.org/

ગ્રંથાલયમાં વિશ્વકોશના છવ્વીસ ગ્રંથો સામે મસ્તક નમે છે. મોટા કદના આ ગ્રંથોના 26 હજાર પાનાં દુનિયાભરના 170 જેટલા વિષયોને 24 હજાર જેટલા લેખોમાં આવરી લે છે. ‘અધિકરણ’ શબ્દથી ઓળખાતો દરેક લેખ એકંદર શિક્ષિત વાચકને સમજાય તેવી ભાષામાં પૂરા અભ્યાસ અને પદ્ધતિસરની રજૂઆત સાથે લખાયો છે. તેમાં આધારભૂત, વિશ્વસનીય અને સંપૂર્ણ માહિતી કેન્દ્રસ્થાને છે. વિશેષણો ઓછાં અને મંતવ્યો સંયત છે. કશું પણ ચૂકી જવું એ કચાશ, વ્યાપ આકાશ અને ધ્યેય : ‘પૃથ્વી પર સંચિત થયેલા સચરાચર સૃષ્ટિની માહિતીનો કોશ’.  

વિશ્વજ્ઞાનની ઓળખ આપતો એક પ્રમાણભૂત સંચય એક રાજ્યની ભાષામાં પ્રકાશિત થાય એ કેટલી મોટી વાત છે તે ઉપયોગે જ સમજાય. જ્ઞાન-વિજ્ઞાન, ભાષા-સાહિત્ય-કલા તરફ ઓછો ઝૂકાવ ધરાવતા માહોલમાં તો ઉપયોગ અને કદર બંને પણ ઓછાં.

અને છતાં 1985માં સ્થપાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના તંત્રવાહકો સંસ્થાને સર્વાંગે વિકસતું રાખવા  કુનેહપૂર્વકનો સાતત્યપૂર્ણ પરિશ્રમ કરતા રહ્યા છે. ટ્રસ્ટે શ્રેષ્ઠીઓ, વીસમી સદીના ‘સંતો’ અને સરકાર પાસેથી ભંડોળ મેળવીને તેનો ઉત્તમ રીતે વિનિયોગ કર્યો છે. ગુજરાતભરના વિદ્વાનો પાસેથી વિષયસાપેક્ષ શબ્દ મર્યાદામાં અને ચોક્કસ માળખામાં માહિતીપ્રદ તથા તાટસ્થ્યપૂર્ણ લેખો લખાવીને, તેમનું સંપાદકીય સંમાર્જન કરીને (એટલે કે તેમને મઠારીને) એટલા ભૂલ વિનાના હજ્જારો પાનાં પ્રસિદ્ધ કરવા એ પડકારને ઝીલવામાં વિશ્વકોશ ખૂબ સફળ રહ્યો છે. 

આટલું ઓછું હોય તેમ વિશ્વકોશે ચાર અન્ય કોશ પ્રસિદ્ધ કર્યા છે – દસ ખંડોનો બાળ વિશ્વકોશ, તબીબી વિજ્ઞાન પરિભાષા કોશ, ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો માહિતી કોશ અને પરિભાષા કોશ. બે ભાગનો નારીકોશ નજીકના ભવિષ્યમાં આવશે અને ગ્રંથાલયવિજ્ઞાન કોશનું કામ ચાલી રહ્યું છે. 

કોશકાર્ય ઉપરાંતની વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિ એટલે પુસ્તક-પ્રકાશન. તેની હેઠળ મુખ્યત્વે સાહિત્યેતર વિષયો પરના 115 જેટલાં પ્રમાનભૂત પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વળી,વિશ્વની ગતિવિધિઓને સ્પર્શતું ટ્રસ્ટનું મુખપત્ર ‘વિશ્વવિહાર’ અને મહિલાઓ દ્વારા ચાલતું સાહિત્ય-જ્ઞાન-કળાનું ત્રૈમાસિક ‘વિશ્વા’ પણ બહાર પાડવામાં આવે છે. 

વિશ્વકોશ ભવન બારે ય મહિના પ્રવૃત્તિઓથી ધબકતું બહુરુચિસંપન્ન સાંસ્કૃતિક કેન્દ્ર છે. આખા વર્ષ દરમિયાન ગીત-સંગીત, વાદ્ય-નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, નાટક-સિનેમાના નિવડેલા કાર્યક્રમો માણવા મળે. અનેક સાહિત્યકારો અને વિષય-નિષ્ણાતોને સાંભળવા મળે છે. તેમાં અગિયાર વ્યાખ્યાનશ્રેણીઓ અને એટલી જ સંખ્યામાં સન્માન પ્રદાનના ઉપક્રમો ચાલે છે. કાર્યશિબિરો અને પ્રવૃત્તિકેન્દ્રોની નોંધ લેવી ઘટે, લલિતકલાકેન્દ્ર અને કલાવિથિ (આર્ટ ગૅલરી) અલંકારો છે. રવિવાર(30 નવેમ્બર)થી એક અઠવાડિયા માટે વિશ્વકોશ સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં સંસ્કૃતિ પર્વની ઉજવણી હેઠળ વિશ્વકોશ ભવનમાં દરરોજ એક કાર્યક્રમ થઈ રહ્યો છે. 

બાય ધ વે, વિશ્વકોશ ભવનના કાર્યક્રમોમાં કોઈ સભ્યપદ કે ટિકિટ તો છોડો રજિસ્ટ્રેશન કે એવું કશું જ હોતું નથી. બધા કાર્યક્રમો બધાં માટે વિના અપવાદ ખુલ્લા હોય છે. પ્રવેશદ્વાર પર સલામતી ચેકિન્ગ નહીં માણસની અંદરની સારપ પરના વિશ્વાસથી બધું ચાલતું હશે એમ ધારી શકાય. પાર્કિંન્ગ માટેની સીટીઓ, ભભકો, દેખાડો, કોઈ પણ પ્રકારનું ગ્લૅમર હોતું નથી. પૈસો-પદ-પ્રતિષ્ઠા-સત્તાને અહીં સ્થાન નથી. આ ભવનના ભાવાવરણમાં જ એવું કંઈક છે કે ઉપર્યુક્ત બધું અહીં પ્રકટતું જ નથી. અહીં હોય છે સાદગી અને સમાનતા, નમ્રતા અને સંસ્કારિતા.

સમયની સાથે ચાલતી આ જ્ઞાનસંસ્થા ડિજિટલ માધ્યમો પણ પ્રયોજે છે. ઑનલાઈન ગુજરાતી લેક્સિકન અર્થાત્‌ શબ્દકોશમાં 45 લાખ શબ્દો છે. વિશ્વકોશ માહિતી અને આનંદથી ભરપૂર સૂઝપૂર્ણ સામગ્રી તૈયાર કરીને યુટ્યૂબ ચૅનલ તેમ જ વૉટ્સૅપ દ્વારા પણ સર્વસુલભ બનાવે છે. 

એક સમયે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખક-વિવેચક ધીરુભાઈ ઠાકર (1918-2014) વિશ્વકોશનો પર્યાય હતા. તેઓ ટ્રસ્ટના સ્થાપક, મુખ્ય સંપાદક અને તેના સમગ્ર કાર્યના કર્ણધાર હતા. અત્યારનો પર્યાય સાહિત્યકાર અને કટારલેખક કુમારપાળ દેસાઈ છે. વીતેલા પંદરેક વર્ષમાં વિશ્વકોશમાં જે ઉન્મેષો પ્રગટ્યા તેમાં ત્યાસી વર્ષના બિલકુલ ન જણાતાં કુમારપાળભાઈનાં દૃષ્ટિ ,મહેનત, લોકસંગ્રહ, શાલિનતા, નેતૃત્વ અને સમર્પણભાવનો મોટો ફાળો છે. વિશ્વકોશને અનેકવિધ ક્ષેત્રોના ઉત્તમ જનોને જે સંયોજકો, હિતચિંતકો, સલાહકારો, સંપાદકો અને લેખકો મળતા રહ્યા છે તેમાં ધીરુભાઈ તેમ જ કુમારપાળભાઈનાં પરખ અને પ્રેમાગ્રહનો ઘણો ફાળો છે. વિશ્વકોશ ભવનને સંશોધકો, સંપાદકો, સહાયકો, સેવકો અને આઈ.ટી.ના જાણકાર કર્મચારીઓની નિષ્ઠાવાન ટુકડી મળી છે. દરેક કાર્યક્રમ અને આખા ય વિશ્વકોશની ગુણવત્તામાં આ આ કાર્યક્ષમ અને સૌજન્યશીલ ટુકડીનો મોટો ફાળો છે. તેમાંથી દરેકને હૃદયપૂર્વક ધન્યવાદ. 

વિશ્વકોશના કાર્યક્રમો એ જાહેર કાર્યક્રમો કેવી રીતે યોજાવા જોઈએ તેનો પદાર્થપાઠ પૂરો પાડે છે. પસંદગી, આયોજન, સમયપાલન, સુરુચિ જેવી બાબતો ભાર વિના ચીવટપૂર્વક જાળવવામાં આવે છે. વળી, વિશ્વકોશના ઉપક્રમે કાર્યક્રમ આપવો એ તો ગૌરવ, સૌહાર્દ અને ગુણાનુરાગિતાનો અનોખો અનુભવ હોય છે. 

વિશ્વકોશ ભવનમાં જ્ઞાનની સાધના એક યા બીજા રૂપે સતત ચાલતી જ હોય છે. જ્ઞાન ગતિશીલ છે તેની પાકી સમજ સાથે વિશ્વકોશના લેખોને revise અને update કરવાની પ્રક્રિયા થતી રહે છે. તે મુજબ અદ્યયાવત માહિતી સાથે પહેલાં નવ ગ્રંથોનું નવસંસ્કરણ પ્રસિદ્ધ થયું છે. હવે ગ્રંથો સીધા ઑનલાઈન વર્ઝનમાં અપડેટ થતા રહે છે. વિશ્વકોશના ગ્રંથોની કે તેના કાર્યક્રમોની મર્યાદાઓ પણ દુર્ભાવ વિના બતાવનારા હોઈ શકે અને તે મંતવ્યો કોશ માટે ઉપકારક પણ બની શકે. 

વિશ્વકોશ ભવનમાં હોવું ‘વિશ્વકોશની એવી સૃષ્ટિ’ની મનભર અનુભૂતિ કરાવે છે. જ્ઞાન-પ્રવૃત્તિ વ્યક્તિ અને વાતાવરણમાં  સંસ્કાર સીંચે એટલે શું થાય તે આ શાતાદાયી વાસ્તુમાં અનુભવવા મળે છે.   

વિશ્વકોશના દરેક કાર્યક્રમના આરંભે ગાવામાં આવતું, અમર ભટ્ટે સ્વરાંકિત કરેલું ચાર કડીનું વિશ્વકોશ-ગીત કાનમાં ગૂંજે છે. જેની છેલ્લી કડી છે : 

‘રેવા-જળ શી શક્તિદાયિની

સત્ય-સંમુદા મુક્તિદાયિની !

વિશ્વવિહાર જ કરે

ગુર્જરી વિશ્વરૂપને વરે!’ 

[કોલાજની છબિઓ, ક્લૉકવાઇઝ : વિશ્વકોશના ગ્રંથો, ધીરુભાઈ ઠાકર, વિશ્વકોશ ભવન, વિશ્વકોશનું ચિહ્ન]  

02 ડિસેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...6789...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved