Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)

સુમન શાહ|Opinion - Literature|15 September 2025

સુમન શાહ

દેરિદાના Dissemination પુસ્તકમાં આત્મચિન્તનની પદ્ધતિએ લખાયેલી પ્રસ્તાવના, Outwork, Prefacing અને Plato’s Pharmacy એમ બે ખણ્ડો છે, ઉપરાન્ત, માલાર્મેના Mimique અને A Throw of the Dice Will Never Abolish Chance એ બે કાવ્યો વિશેનો એક બીજો ખણ્ડ છે, The Double Session. પુસ્તકમાં, Dissemination શીર્ષક હેઠળ એક ત્રીજો સૂચક ખણ્ડ પણ છે. 

મને માલાર્મેનાં કાવ્યોની વાત કરવાની ઉતાવળ છે, તેમ છતાં, એ સૂચક ખણ્ડ વિશે થોડીક વાત કરું :

Dissemination:

દેરિદા અહીં ‘se·mé’ને નિરંકુશપણે ફેલાયે જતા અર્થતત્ત્વ માટે પ્રયોજે છે. (સમજવા ખાતર મજાકમાં કહું કે દેરિદા-વ્યાખ્યાયિત અર્થતત્ત્વ ‘ગાંડા બાવળ’ જેવું છે). diffusion અર્થ ધરાવતા સંસ્કૃત ‘વિસરણ’ શબ્દને ‘અર્થ’ સાથે જોડીને ‘અર્થવિસરણ’ કરું, તો એ, મને લાગે છે કે dissemination માટેનો બહુશ: ઉપકારક પર્યાય ઠરશે. 

આ ખણ્ડમાં દેરિદા પોતે અર્થવિસરણ કરતા લાગે એ રીતે એમણે Philippe Sollersની નવલકથા Nombresનું વિઘટનશીલ વિશ્લેષણ કર્યું છે. આ પ્રયોગશીલ નવલકથાની text શકલોમાં વેરવિખેર છે, સ્વ-સંદર્ભી છે. એની સંરચના અને અનોખી સર્જનાત્મક યન્ત્રણાને પરિણામે એમાં અતિ અર્થ ઉભરાયા છે. એટલે, દેરિદા જણાવે છે કે રચનામાં અર્થનું અનિયન્ત્રિત વિસરણ થયું છે અને તેથી છેવટના નિર્ણય લગી પ્હૉંચવાનું અશક્ય બની ગયું છે. અર્થવિસરણને કારણે કૃતિમાં અર્થાવશેષો, અગમ્ય સન્ધાનો અને અનિર્ણયનીય અર્થઘટનો અહીં તહીં વેરાયેલાં પડ્યાં છે. દેરિદા દર્શાવે છે કે પરમ્પરાગત કથાનિરૂપણરીતિ અને સુગ્રથિત અર્થ તેમ જ ‘સંદેશ’નો કૃતિ કેવો તો પ્રતિકાર કરે છે. કૃતિનું પૂર્ણ ગ્રહણ કરી લેવાના પરમ્પરાગત સાહિત્યસમીક્ષાના મનોરથને પણ એ અર્થવિસરણ પડકારે છે. 

બીજું, હેગલની ફિલસૂફીમાં વિચારવિમર્શની પદ્ધતિનું રૂપ dialectic હતું, પક્ષ-વિપક્ષ, સંશ્લેષણ-વિશ્લેષણ, એક તર્કપૂત શોધ. પણ દેરિદા અર્થવિસરણને non-dialectical કહે છે. કેમ કે સત્યનું પ્રકાશન કરી આપતા નક્કી સંશ્લેષણને અર્થવિસરણ પડકારે છે, અને તદર્થે થનારા closure અથવા પૂર્ણ વિરામ કે સમાપ્તિને ય નકારે છે. અર્થવિસરણ ખરેખર તો તફાવતોની અન્ત વગરની લીલા ચીંધે છે, જે એકમાં નહીં ઠરનારા એકથી વધુ અર્થનું નિરન્તરનું પ્રસરણ હોય છે. ખરું કારણ એ છે કે, નથી એમાં પૂર્વનિર્ધારિત લક્ષ્ય, કે નથી અન્તિમ મુકામ; એટલે કે teleology નથી. એ કારણે પણ દેરિદા અર્થવિસરણને વધારે ધ્યાનપાત્ર ગણે છે. 

દેરિદાએ કરેલા નવલકથાના વાચનનો સાર એ સમજાય છે કે નવલ પોતે જ પોતાનું વિઘટન કરે છે કેમ કે નિર્ધારેલા અર્થને એ પોતે જ પકડી શકતી નથી. તેમ છતાં સરવાળે લાભ એ કે અર્થવિસરણ જેવું ભાષાનું એક પ્રમુખ સ્વભાવ-લક્ષણ એથી પ્રકાશિત થાય છે. 

The Double Session : 

આ ખણ્ડ પ્રયોગશીલ અને અપ્રતિમ પ્રતીકવાદી ફ્રૅન્ચ કવિ Stéphane Mallarméનાં (1842-1898) બે કાવ્યો વિશે છે : ૧૮૭૬માં પ્રકાશિત Mimique અને ૧૮૯૭માં પ્રકાશિત A Throw of the Dice Will Never Abolish Chance.  

Mimique:

હું એેને ગદ્યકાવ્ય કહું છું, કેટલાક વિદ્વાનો એને નેબિન્ધ કહે છે. એમાં માલાર્મે Paul Margueritteના આધુનિક શૈલીના પૅન્ટોમાઇમ Pierrot, Murderer of his Wifeની પ્રસ્તુતિ અથવા રજૂઆત અથવા performanceને વર્ણવે છે. Pierrotનું પાત્ર માલાર્મેએ સરજ્યું નથી, એ તો Italian commedia dell’arteથી ખ્યાત અને પૂર્વે ઇટાલિ તેમ જ ફ્રાન્સ ખાતે ભજવાયેલા અનેક ખેલમાં આવી ચૂકેલું એક stock character છે. એ કારણે લોકો એને જોતામાં જ ઓળખી જતા હોય છે.

આ માઇમમાં Pierrot – પ્યેરો – એની પત્ની કોલમ્બાઈનના પગના તળિયે ગલીપચી કરી તેનું ખૂન કરે છે, એટલે કે, અભિનયથી પોતે જ કોલમ્બાઇન બનીને કોલમ્બાઇનની હત્યા આકારે છે. દેરિદા એ સર્રીયલ હત્યાના અભિનેતામાં tickler અને tickled, કર્તા અને કર્મ, વાંચે છે. પ્યેરોએ પણ ભૂતકાળ અને ભવિષ્યમાં પ્રસરીને નર અને નારી, આક્રમણકાર અને ભોગ બનનાર, એમ દ્વન્દ્વાત્મક ભૂમિકા નિભાવી છે. 

દેરિદાએ એ દૃશ્યના અનુલક્ષમાં દર્શાવ્યું છે કે ઓળખ, લેખન અને રજૂઆતના સંદર્ભોમાં અર્થ કેવા તો સરકી જતા હોય છે. મૂક અભિનયને કારણે પ્યેરો એક silence figure બની રહે છે. એની રજૂઆતને દેરિદાએ ‘શારીરિક હાવભાવની મૂક સ્વગતોક્તિ’ કહી છે. પરન્તુ પત્નીના શબ પાસે બેસી પોતાના કૃત્ય વિશે એ વિમાસણ પણ કરતો હોય છે. ટૂંકમાં, પ્યેરોમાં ક્રૂરતા અને નિર્દોષતા બન્ને છે.

માલાર્મે કહે છે કે આ માઇમ, હજી જે પર કશું લખાયું ન હોય એ કોરા કાગળ જેવું છે. એ કોરાપણા પર રજૂઆતની ક્રિયાથી લેખન થાય છે. માઇમ મૂક અભિવ્યક્તિ છે. ઘણું સૂચવતું અર્થસભર મૌન છે. એમના શબ્દો છે : silence, the sole luxury after rhyme, which it is the poet’s challenge to translate! … a silence no less lovely to compose than verse: કાવ્ય કે પ્રાસાદિક સિદ્ધ થઈ જાય એ પછીનો સુખદ આરામ માત્રમૌન હોય છે. પણ આ મૌનને, દૃશ્ય ભાષાને, વ્યક્ત કરવાનું સર્જનકર્મ કવિ માટે પડકાર કહેવાય. તો પણ, માલાર્મેને કાવ્યના સર્જન જેટલો જ એ પડકાર રસપ્રદ વરતાય છે.

દેરિદા કહે છે કે કોરા શ્વેત કાગળ પરનું એ માઇમ દૃશ્ય નિશાન વિનાનો છતાં ઘણું કહેતો અભિલેખ છે. માઇમની શ્વેત-તા એ બહુ-સંકેતક લેખનનું રૂપક છે. એ કોરાપણું ખાલી નથી પણ એક સમર્થ જગ્યા છે, માલાર્મેના કાવ્યની જેમ એમાં અવકાશ અને અનુપસ્થિત વચ્ચે લીલા ચાલે છે. માઇમ મૂગું છે અને નથી કેમ કે મૌન અને હાવભાવથી એ ઘણું કહે છે.

માલાર્મે અનુસાર, માઇમ વાસ્તવિકતા કે પૂર્વે ઘટી ચૂકેલી ઘટના કે ઉપસ્થિતિની નકલ નથી. ખરેખર તો એ કશાક વિચારનું ઇંગિત રચે છે. હાવભાવથી એ બીજાને નહીં પણ પોતાને જ દેખાડે છે. દેરિદા એને નિદર્શન વિનાની નકલ કહે છે, copy without model. બાકી, પરમ્પરાગત માઇમમાં તો ભૂમિકા અને તે જેને માટે હોય એ વિષય, બન્નેનો ચૉક્કસ સંદર્ભ હોય છે. આ માઇમને દેરિદા એક એવી રજૂઆત કહે છે જે અર્થ તો ચીંધે છે પણ પોતાનો મૂળાધાર નથી બતાવતી. એટલે એને તેઓ મૂળિયા વિનાની કલમ કહે છે – graft without root.

દેરિદાએ આપેલી મુલાકાતોના સંગ્રહ Points…: Interviews, 1974 -1994ના Scribble (Writing-Power) નિબન્ધમાં, પ્યેરોની રજૂઆત વિશે એમણે કેટલાક ઉલ્લેખો કર્યા છે. એમાં એમને ‘ઉપસ્થિતિનો વ્યર્થ દેખાડો’ જોવા મળ્યો છે. સાથોસાથ, એને તેઓ ‘કથાસર્જનનું શુદ્ધ માધ્યમ’ ગણે છે. એમાં ‘બરફ કે દર્પણનો કાચ તોડ્યા વિનાનો અનન્તરાય આભાસ’ રચાયો છે. તેઓ પ્યેરોને પોતાના આત્મા આગળ સ્વગતોક્તિનું મૂક અર્પણ કરતો અને nothingની રજૂઆત ન કરતો છતાં nothingને જ રજૂ કરતો phantom કહે છે. દેરિદા ઉપસ્થિતિના વ્યર્થ દેખાડામાં અને નિરન્તરના આભાસમાં Différance, મૂક સ્વગતોક્તિમાં trace અને absence, વગેરે જાણીતી વિભાવનાઓ તો વાંચે જ છે, પણ રંગમંચ પરની રજૂઆતને લેખન અને વાસ્તવિકતાના સમ્બન્ધ સાથે જોડે છે.

માલાર્મે પોતાના Divagations (1897) પુસ્તકમાં પ્યેરોની રજૂઆતના દૃશ્ય સંદર્ભે લખે છે : The scene illustrates only the Idea, not an actual action, in a hymen (from which the Dream proceeds), vicious but sacred, between desire and fulfillment, the act and its memory: here anticipating, there recalling, in the future, in the past, under the false appearance of the present.

hymen એટલે સ્ત્રીશરીર-રચનામાં યોનિચ્છદ અથવા કૌમાર્યપટલ. પરન્તુ માલાર્મેને એ અર્થ અભિપ્રેત નથી. એમણે તો જ્યાં જોડાણ સંભવે છે એ જગ્યાના અર્થમાં એને એક પ્રતીક તરીકે પ્રયોજ્યું છે. એ કારણે મેં એને ઉમ્બર કે પરદો કહેવાનું પસંદ કર્યું છે.

અહીં દૃશ્ય તે માઇમ, પણ એ કોઈપણ કલાત્મક કે કાવ્યાત્મક નિર્મિતિનું પ્રતીક છે. માલાર્મે દૃશ્ય hymenમાં ઘટે છે એમ કહે છે ત્યારે તેઓ એનો અર્થ ઉમ્બર કે પરદો કરે છે, એક એવી જગ્યા જ્યાં બે વિરોધો સામસામે આવી ઊભા હોય છે. જેમ કે, ઉમ્બર કે પરદાની આ બાજુ તે અંદર ને સામી બાજુ તે બહાર; જેમ કે, દૂષિત અને પવિત્ર; જેમ કે, ઉપસ્થિત અને અનુપસ્થિત; જેમ કે, ઇચ્છા અને ઇચ્છાપૂર્તિ; જેમ કે, ક્રિયા અને એ જેમાંથી સંભવી તે સ્મૃતિ. એ વિરોધોના સહઅસ્તિત્વથી ઊભી થયેલી સંદિગ્ધતા વચ્ચે માઇમનું દૃશ્ય સરજાય છે. પરદાની બહારની બાજુએ ભવિષ્યની અપેક્ષા છે અને અંદરની બાજુએ ભૂતકાળનું સ્મરણ છે. વર્તમાનના દેખાવ હેઠળ ભૂતકાળ અને ભવિષ્ય સતત ઉજમાળા લાગે છે – કદાચ ખરું દૃશ્ય તો એ છે!

એક નૉંધ ખાસ લેવી જોઈએ કે hymen સાહિત્યકૃતિનું ય રૂપક છે. કેમ કે સાહિત્યકૃતિ પણ in-between ઊભી હોય છે: લેખક અને વાચક વચ્ચે, સંકેતિક અને સંકેતાર્થ વચ્ચે, તેમ જ વાસ્તવ અને કલ્પના વચ્ચે. 

માલાર્મેના પ્રતીકશીલ કાવ્યશાસ્ત્ર અનુસાર સ્વપ્ન એટલે કલાસર્જનનું સ્વપ્ન, એક ખયાલ, એક ધ્યર્થ – idea – કે એક કલ્પના. ટૂંકમાં, પરોક્ષપણે માલાર્મેએ માઇમનું કાવ્યશીલ સિદ્ધાન્તીકરણ પીરસ્યું છે. માઇમના દૃશ્યથી ઘટના નથી સરજાતી પણ સર્જનના સ્વપ્ન માટે રંગમંચ ઊભો થાય છે, અને જે કંઈ સંભવે છે એ પેલા ઉમ્બરની જગ્યા અથવા site પર સંભવે છે. 

પોતાના absent art નામના સુવિદિત મન્તવ્યને યાદ કરતાં માલાર્મે કહે છે કે આ ભૌતિક જગતમાં અર્થ કે સૌન્દર્યનું ખરું સત્ત્વ સદા અનુપસ્થિત હોય છે; કવિતા વાસ્તવની રજૂઆત નથી પણ સદા અપૂર્ણ રહેનારા ખયાલની ઉદ્ભાવના છે; કવિતામાં વિશ્વ પારદર્શક નથી હોતું પણ હમેશાં વ્યંજનાનો વિષય બની રહેતું હોય છે.

A Throw of the Dice Will Never Abolish Chance: 

હું ગડમથલમાં છું : આ કાવ્યનો સાર આપવા બેસું કે શબ્દાન્તર કરવા જઉં? બન્ને અશક્ય છે કેમ કે content છે જ નહીં. માત્ર formની વાત કરી શકું પણ ત્યારે ય કાવ્યની ટાઇપોગ્રાફી અને કાગળ પર થયેલી તેની આલેખનાને ન વર્ણવી શકું કેમ કે આ કાવ્યકૃતિ માત્રઉકેલી જવા માટે નથી, જોવા માટે પણ છે. 

તેમ છતાં કાવ્ય એક અપૂર્વ અનુભવની શક્યતા વિશે તો છે જ. એમાં અસ્તિત્વ, સર્જન અને તક અથવા chance જેવાં તત્ત્વો વિશે કાવ્યશીલ પ્રશ્નાર્થ આકારાયો છે. 

શીર્ષક બરાબર સૂચવે છે કે પાસા – dice – ફૅંકીશું પણ ફૅંકવા માટેની તક કદી નષ્ટ નહીં થાય, મળ્યા જ કરશે. જીત કે હાર પર માણસનો અંકુશ કદી હોતો નથી, ભલે એ ગમે એટલી વાર પાસા ફૅંકે. (‘પાસા ફૅંકે જનો, દા દેવો હરિને હાથ છે’, એ જાણીતી સૂક્તિ બરાબર છે; પણ માલાર્મે સૂચવે છે કે પાસા ફૅંકયા કરો, ફૅંક્યા જ કરો, એ તક કદી ખૂટશે નહીં.) 

જીવન અન્તર્નિહિત અનિર્ણયનીયતા માણસના ભાગ્યનું વિધાન અને નિર્માણ કરે છે, એ સત્ય અહીં પ્રકાશિત થયું છે. જીવન એટલું બધું ઍબ્સર્ડ છે કે એને જિતાશે નહીં, એ બીજું સત્ય પણ અહીં પ્રકાશિત થયું છે. ટૂંકમાં, એક તરફ છે મનુષ્યનો સીમિત પુરુષાર્થ, અને બીજી તરફ છે અજ્ઞાત વિશ્વ. જો કે, આવું કંઈ માલાર્મે નથી કહેતા, કાવ્ય પણ નથી કહેતું, હું કે તમે કહીએ છીએ.

તો કેમ વાંચવું આ કાવ્યને? દેરિદા double session સૂચવે છે: પહેલું સત્ર કાવ્યકલાવિષયક વાચનનું અને બીજું ફિલસૂફીવિષયક વાચનનું.

અહીં કથન નથી પણ ક્રિયમાણ ચિન્તન છે. એક વિશાળ ગહન ક્રિયા – પાસા ફૅંકવા તે – અથવા કશોક વિચાર આકારિત થયો છે કે થશે, તે. કાવ્યમાં અંધાધૂંધ અજ્ઞેયને આંબવાનો પ્રયાસ સૂચવાયો છે. ચિત્ત એ ક્રિયાનું કર્તા – master – છે અથવા એ કર્તા કવિ પોતે છે. એમ પણ સૂચવાય છે કે અન્તિમ જીત અશક્ય છે. RIEN (Nothing) દર્શાવે છે કે કાવ્ય ખાલી અવકાશ નથી પણ અનન્તને પ્રતિધ્વનિત કરતી સગર્ભ ફળદ્રૂપ ભૂમિ છે. નક્ષત્રમંડળના તારા સમા શબ્દો સમ્બન્ધોની ભાત જરૂર પ્રકાશિત કરે છે પણ સૂચવે છે કે દૃશ્ય પૂરું તો નથી જ ઊઘડવાનું. 

તક, અનવસ્થા અને શૂન્ય જેવાં મૂળભૂત પરિબળો સાથે માનવચિત્ત જોડાય તે યોગ, અને કાયમ એમાં એને અન્તે મળે તે નિ:સારતા, કાવ્યની વ્યંજના છે. એ નિ:સારતા તો દૃશ્ય થાય જ છે પરન્તુ સાર માટે એમાં વ્યવસ્થિતિનું સર્જન કરવા મથનારને એ પરિબળોનાં પરમ રહસ્યોનો સાક્ષાત્કાર પણ થાય છે. 

પરન્તુ કાવ્યના formને અને તેમાં ય એના દૃશ્ય રૂપને પામવું એક અનિવાર્યતા છે. એ માટે એ પાનાંઓને એક વિશાળ કૅન્વાસ રૂપે કલ્પવાની જરૂર છે. જોઈ શકાશે કે એમાં પંક્તિઓ કે કણ્ડિકાઓમાં બધું ગોઠવાયેલું નથી પણ ગુચ્છમાં કે વેરવિખેર છે. કેટલાક શબ્દો ફૉન્ટની સાઈઝ પ્રમાણે મોટા કે નાના છે. એથી દૃશ્યાત્મક ઉચ્ચાવચતા સરજાઈ છે. એથી, જે જેટલું ભારપૂર્વક કહેવું જરૂરી છે તે તેટલું જ સૂચવાય એવાં સ્તર પ્રગટ્યાં છે – દાખલા તરીકે, વીજકડાકા કે દૂરવર્તી તારકોની ફુસફુસાહટ. 

લખનાર વ્યક્તિ જાણતી હોય છે કે બે શબ્દ વચ્ચે જગ્યા રાખવાની હોય છે. માલાર્મેએ બે શબ્દ વચ્ચેની શાન્તતા અને શ્વેત અવકાશનો કાવ્યમાં સાભિપ્રાય વિનિયોગ કર્યો છે. એ વિશાળ અવકાશમાં બે શબ્દ વચ્ચેના પ્રતિધ્વનિને સાંભળી શકાય, અકથિતને વિશે ચિન્તન કરી શકાય તેમ જ મનુષ્ય-વિચાર જેની સાથે સંઘર્ષ અનુભવે છે એ ગહન અગોચરની ઝાંખી કરી શકાય. (ચિત્રનાં વિવિધ વાનાં – elements – આસપાસની ખાલી જગ્યાને ચિત્ર અને ડિઝાઇનિન્ગની કલામાં negative કહેવાય છે, જેથી એ વાનાંની positive સીમાઓ પરખાય). 

માલાર્મેએ જાણી કરીને વ્યાકરણને પણ લગભગ ભાંગલું રાખ્યું છે. શબ્દોના અમળાતા કે વળ ખાતા પ્રવાહમાં કેટલાક વિભાવો ફરી ફરીને આવે છે : ‘HASARD’ (chance), ‘MAÎTRE’ (master), ‘OMBRE’ (shadow), ‘RIEN’ (nothing). વગેરે. એમણે જુક્તિપૂર્વક કૅપિટલ લેટર્સ પ્રયોજ્યા છે. એને કારણે વાચનની રૂઢ પદ્ધતિ નથી બચી. વાચકને ફરજ પડે છે કે એ ધીમે ધીમે આગળ વધે.

કાવ્યશબ્દના સંગીતી ધ્વનિઓ અને શબ્દોનાં આલેખિત રૂપોના સમ્મિશ્રણરૂપ આ સંઘટ્ટનનું વિઘટન કરવા દેરિદા પ્રેરાયા એને હું સાહિત્ય + ફિલસૂફી જગતની નૉંધપાત્ર ઘટના ગણું છું.

દેરિદા આ કાવ્યને ઉપસ્થિતિ અને અનુપસ્થિતિ તેમ જ અર્થ અને ન-અર્થ વચ્ચેનો ઉમ્બર લેખે છે. કાવ્યની ટાઇપોગ્રાફીનું પ્રસરણ – ખાલી જગ્યાઓ વગેરે – ભાષામાં અર્થ રૈખિક નથી હોતા, વિલમ્બિત હોય છે, એ અર્થપ્રકૃતિને પ્રતિબિમ્બિત કરે છે. કાવ્ય આડુંઅવળું કે વિચિત્ર નથી પણ એમાં વૈચિત્ર્ય જરૂર પ્રયોજાયું છે, જેથી ભાષા અને વિચાર વિશેના નિર્ણયવાદની મર્યાદાઓ પ્રકાશિત થઈ છે – એમ કે તમે એ પરત્વે નિર્ણય લગી પ્હૉંચી શકશો જ નહીં. આ કાવ્યના દરેક વાચનનું બેવડું પરિણામ છે, એક વાર અર્થ નક્કી થાય, પણ બીજી વાર વિલમ્બિત રહે. તેથી માલાર્મેના આ કાવ્યનું છેવટનું અર્થઘટન અશક્ય છે. કાવ્ય કૃતિપરક અનિર્ણયનીયતાનું મોટું નિદર્શન છે. 

કાવ્યની આ પંક્તિ – every thought emits a throw of the dice – દેરિદા માટે ધ્યાનપાત્ર હતી. તેઓ સૂચવે છે કે વિચારવું એ જ જુગાર છે – અનિશ્ચિતતાગમન! લેખન, અર્થઘટન, અને ફિલસૂફી સુદ્ધાં જોખમનાં કામો છે.

 = = =

વિશેષ વાચન માટે સૂચિ: 

Divagations (1897) / Mimique – wikisourcefr.wikisource.orgColby Chamberlain – “Mime, Murder, Meaning” Article in Art forum (2019).

પ્રગટ : ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ”; સપ્ટેમ્બર, 2025
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શૂન્યનું મૂલ્ય

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Opinion|15 September 2025

દેવીકા ધ્રુવ

શૂન્ય આમ તો શૂન્ય છે, છતાં એનું મૂલ્ય છે. શૂન્યમાંથી સર્જન થાય છે, સર્જનને આકાર મળે છે, આકારમાંથી રૂપ રચાય છે. રૂપ શબ્દોમાં ગૂંથાય છે. શબ્દો થકી એની વ્યાખ્યા બને છે. વ્યાખ્યામાંથી જડ-ચેતનની અવસ્થા મળે છે અને એનાં ગુણધર્મો સમજાય છે. આમ, શૂન્ય આદિ છે, અંત છે. કહો કે, સર્વસ્વ છે.

વિકિપીડિયા પરની માહિતી મુજબ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે શૂન્ય એટલે કે, ૦ એ એક સંખ્યા છે. શૂન્યની શોધ ભારતીય ગણિતના જ્ઞાતા આર્યભટ્ટે કરી હતી. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો તો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે.

થોડી વધારે વિગતો જોઈએ તો, ઈ.સ. ૪૫૮ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત તક્ષશિલા સાથે જોડાયેલી પ્રાચીન ભારતની પાડુંલિપિમાં પણ શૂન્યની નોંધ જોવા મળે છે. આ પાડુંલિપિ વિશે એમ પણ જાણવા મળ્યું છે કે તે ત્રીજી અથવા ચોથી સદીની રચના છે. એટલે કે તેને આ જગતમાં શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણવામાં આવે છે. તે સિવાય વિષ્ણુનાં એક હજાર નામોમાંનું એક નામ છે, શૂન્ય. વળી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી આઠમું નક્ષત્ર શૂન્ય ગણાય છે; તો સંગીતમાં પણ તાલના જે છ મુખ્ય અંગો છે તેમાંનું બીજું અંગ છે શૂન્ય. જેને ખાલી પણ કહીએ.

બીજી એક આધારભૂત માહિતી મુજબ, શૂન્યનું કોતરકામ પણ થયેલું છે. ક્યાં અને ક્યારે તેની માહિતી પણ રસપ્રદ છે. મધ્યભારતના ગ્વાલિયર શહેરની વચ્ચોવચ આઠમી સદીમાં એક ભવ્ય કિલ્લો બન્યો હતો અને નવમી સદીમાં આ કિલ્લામાં પહાડમાંથી કાપીને ગુંબજોવાળું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું. તેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે. સમગ્ર વિશ્વમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં શૂન્યનું કોતરકામ જોવા મળે છે.

શૂન્યની શોધ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં કેમ ન થઈ તેની પાછળનાં પણ ઘણાં કારણો મળી આવે છે. એક વિચાર/કારણ એવું ગણાવવામાં આવે છે કે, કેટલીક સંસ્કૃતિઓમાં શૂન્ય વિષેના વિચારો સારા નહોતા. જેમ કે, યુરોપમાં ધર્મગુરુઓએ ઈસુખ્રિસ્તની શરૂઆતના દિવસોમાં શૂન્યના ઉપયોગ પર લગામ લગાવી દીધી હતી. તેમનું માનવું હતું કે ઈશ્વર જ બધું છે. જે અંક શૂન્યતાનું નેતૃત્વ કરે, તે રાક્ષસી છે! આનાથી વિપરીત વાત એ છે કે, ભારતમાં શૂન્યની વિભાવના હજારો વર્ષોથી પ્રચલિત હતી. તેનાં પણ મૂળ જોઈએ.

સંસ્કૃત શબ્દ ‘શૂન્ય’ ‘વ્યર્થ કે ખાલી’ના અર્થમાં વપરાતો. શૂન્ય શબ્દ ‘શ્વિ’ (ઊગવું) ધાતુના ભૂતકૃદંત ‘शून’માંથી આવ્યો છે. ઋગ્વેદમાં તેનો અર્થ ‘અભાવ’ કે ‘ઊણપ’ લેવામાં આવે છે. આ શબ્દ ‘ખાલીપણું’ અને ‘ક્ષમતાનો અભાવ’ બે વિવિધ અર્થવાળા શબ્દોનું સંધાન કરી બનાવેલો છે. તે પછી બૌદ્ધોનો ‘શૂન્યતા’નો સિદ્ધાંત મળ્યો, જેમાં મનને બધી અસરોથી અલિપ્ત રાખવાની બાબત આવે છે. આમ, ભારતના આધ્યાત્મિક જ્ઞાન અને શૂન્યની શોધ વચ્ચે ગાઢ સંબંધ છે. આધ્યાત્મિકતાએ જ શૂન્યને જન્મ આપ્યો છે.

આકાશ એક અવકાશ છે, ખાલી ખાલી છે, શૂન્ય છે. છતાં કેટલું સભર છે! સુખ કે દુઃખ, હર્ષ કે શોક કોઈપણ સ્થિતિમાં સામાન્યથી અસામાન્ય માણસ ઊંચે આકાશ તરફ નજર કરે છે, હાથ ફેલાવે છે. શૂન્યની આ તે કેવી અજાયબી છે!

ભારતીય અધ્યાત્મમાં શૂન્યનો આવિષ્કાર થયો અને અધ્યાત્મમાંથી શૂન્યે ગણિતશાસ્ત્ર તરફ વળાંક લીધો. અન્ય દેશો વિજ્ઞાન અને અધ્યાત્મના સંબંધને હજી હવે આજે જોડે છે, પણ આપણે હજારો વર્ષ પહેલાં એ બંને વચ્ચેનો સંબંધ જોડી શક્યાં હતાં. આપણી સંસ્કૃતિમાં તો શૂન્યવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. શૂન્યવાદ એટલે જગતમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં એવો મત. એટલે કે, બીજા શબ્દોમાં એ નાસ્તિકવાદ કહેવાય! એનો અર્થ એમ પણ કરી શકાય કે, જગતમાં કોઈપણ વાદ અસ્તિત્વ ધરાવતો નથી એવો મત એટલે શૂન્યવાદ.

હવે ગણિતમાં શૂન્ય વિશે વિચારીએ તો શૂન્ય બીજી સંખ્યાઓથી અલગ છે. અલગ એ રીતે કે, ૧થી ૯ સુધીનો પ્રત્યેક નંબર સંખ્યાની હાજરી દર્શાવે છે. જ્યારે શૂન્ય સંખ્યાની ગેરહાજરી દર્શાવે છે. કશું ન હોવાની પરિસ્થિતિ શૂન્યતા છે. (ફરીથી અધ્યાત્મ!) આગળ જણાવ્યું તેમ શૂન્ય, દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર છે. તે પ્રમાણે ૦ એટલે કે, શૂન્ય એ એક સંખ્યા છે. કોઈપણ સંખ્યાને શૂન્યથી ગુણાકાર કરો શૂન્ય જ જવાબ મળે છે. કોઈપણ સંખ્યાનો શૂન્યથી ભાગાકાર થઈ શક્તો નથી. કોઈપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. શૂન્ય(૦)નું વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન શૂન્ય જ (૦) થાય છે. વધું ઊંડાણમાં ઉતરતાં ‘વિશ્વકોશ’ના એક લેખમાંથી જાણવા મળ્યું કે, પતંજલિના યોગસૂત્રમાં, પિંગળના છંદસૂત્રમાં, ખગોળશાસ્ત્રના ગ્રંથોમાં અને બ્રહ્મસ્ફૂટસિદ્ધાંત ગ્રંથોમાં પણ જુદીજુદી રીતે શૂન્યનું મહત્ત્વ વર્ણવવામાં આવ્યું છે. પણ મુખ્યત્ત્વે સાદી સમજ પ્રમાણે તેનું સ્થાનિક મૂલ્ય (place value) ગણાવી શકાય.

એક જરા જુદો અભિગમ. આજે સવારે જ એક લેખ વાંચવામાં આવ્યો જેમાં પરેશ અંતાણીએ સુંદર વાત લખી છે કે, “ભગવાન બુદ્ધ કહે છે જગતમાં એક જ એવી વસ્તુ છે કે જેનો નાશ થતો નથી. બધું નષ્ટ થયા બાદ પણ જે શેષ રહે છે. તે’ શૂન્ય’ છે. શૂન્યતા મુક્તિનો દરવાજો છે. જે પ્રમાણે આકાશ શૂન્ય છે એ જ રીતે આપણી ભીતર પણ આકાશ છે, જે શૂન્ય છે જેને વેદાંતમાં ‘ચિદાકાશ’ કહે છે. મન જ્યારે સંકલ્પ – વિકલ્પ, રાગ-દ્વેષથી મુક્ત થઈ જાય, બધા દ્વંદ્વો દૂર થઈ જાય, એવી ભીતરી શૂન્યતા મુક્તિ છે. મુક્તિ એ કોઈ એવું સ્થળ નથી કે જ્યાં જઈને રહી શકાય. ક્યારેક આપણે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે એકાદ ક્ષણ માટે પણ શૂન્ય થઈ જઈએ છીએ. કંઈ કરવાનું ન રહે, એવું જીવનમાં બને છે. એક કામ કરવા જેવું છે, ક્યારેક પાંચ મિનિટ ધ્યાનમાં બેસો. આમાં ક્યારેક એવી ક્ષણ આવે છે કે, જ્યારે સાધક શૂન્ય થઈ જાય છે, એ ક્ષણ મુક્તિની છે.”

બૌદ્ધોમાં તો શૂન્યતાનો મહાવરો કવિતા કરવામાં, સંગીતમાં બંદિશની રચનામાં, ચિત્રકામ કે શિલ્પકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિમાં કેળવવાનો સૂચવ્યો છે. આના અનુસંધાનમાં કેટલાંક સુવાક્યો અને શેર-શાયરી પર પણ નજર કરી જ લેવાય.

કહેવાય છે કે જીવન શૂન્ય હોય તો પણ છોડશો નહિ. કારણ કે, શૂન્ય પછી કેટલા અને કેવા આંકડા લખવા આપણા હાથની વાત છે.

શૂન્યની બહાર તું ભલે ફેંકાઈ જાય, કિંમત શૂન્યની બહાર નીકળ્યા પછી જ થાય.

Starting from zero can be a gift. If you don’t have much to begin with, you don’t have much to lose.

Don’t fear for facing failure in the first attempt. Because even the successful Math starts with ‘Zero’ only. — Dr. Abdula Kalam.

जीवनका लक्ष्य शून्य होना है और हम अंको के पीछे भाग रहे है।

मैं भी शून्य, तुम भी शून्य, सब शून्य का हिसाब है।

शून्य से शून्य जुड़ गया, फिर भी शून्य ही जवाब है।

‘શૂન્ય’ પાલનપુરીના શૂન્ય પર મઝાના શેર :

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે ‘શૂન્ય’ કેરો પ્રાણ પૂરાયો હતો.

‘શૂન્ય’ ભરપૂર આ અમૂલ્ય વાતોને અંતે સમાપનમાં કહેવું જ રહ્યું કે, આધુનિક યુગમાં બ્રહ્માંડને સમજવા માટે ‘ખાલીપણું’ (nothingness) એ મુખ્ય ચાવી ગણાય છે અને વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ મનાય છે.

આંકડાની શરૂઆત પહેલાં શૂન્ય હોય છે ( ૦૧, ૦૨ વગેરે); અને જ્યારે આંકડાની પછી શૂન્ય આવે છે, (૧૦, ૧૦૦, ૧૦૦૦ વગેરે) ત્યારે એનું મૂલ્ય વધતું રહે છે. આમ છતાં વધુ નવાઈ એ વાતની છે કે, માનવીને એ કહેવું ગમતું જ નથી કે “હું શૂન્ય છું”!

નવેમ્બર ૨૮, ૨૦૨૪
e.mail : ddhruva1948@yahoo.com

Loading

વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 September 2025

રવીન્દ્ર પારેખ

વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમ ક્રમશ: બંધ કરવાનો નિર્ણય લીધો છે, એટલે નવાં શૈક્ષણિક વર્ષથી એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન અપાય એમ બને. જે વિદ્યાર્થીઓ નોકરી કરીને બહારથી ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા તે દિશા હવે બંધ થશે. હાલ જે વિદ્યાર્થીઓ એક્સ્ટર્નલ કોર્સિસમાં અભ્યાસ કરે છે, તેઓ તો પરીક્ષા આપી શકશે, પણ હવે પછી એ અભ્યાસક્રમમાં આગળ નહીં વધી શકે. તે એટલે કે નવી શિક્ષણ નીતિ-2020 તેમાં બાધક બને છે. એક્સ્ટર્નલ વાર્ષિક છે ને તે સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે. બીજાં કારણો પણ છે. મહત્ત્વનું એક કારણ તે એસાઇન્મેન્ટ ફરજિયાત થતાં ક્લાસમાં અઠવાડિક હાજરી જરૂરી થઈ જશે. અઠવાડિક હાજરી જરૂરી જ બનવાની હોય કે રેગ્યુલર સ્ટુડન્ટની જેમ એસાઇન્મેન્ટ ફરજિયાત જ થવાનાં હોય, તો રેગ્યુલર અને એક્સ્ટર્નલ વચ્ચે યુનિવર્સિટી કયો ફરક કરે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ.

નવી એજ્યુકેશન પોલિસી કે કોઈ પણ પોલિસી એવી તો કેવી રીતે હોય કે તે ભણવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ભણતર રોકે? એક વાત બહુ સ્પષ્ટ છે કે એક્સ્ટર્નલ કોર્સિસ કરે છે તે વર્ગમાં હાજરી આપી શકે એમ હોત તો તેણે બહારથી ભણવાનું સ્વીકાર્યું જ ન હોત. નોકરી વગર તેને ચાલે એમ નથી કે કોઈ ગૃહિણી વર્ગમાં હાજરી આપી શકે એમ નથી, પણ તેણે ભણવું છે. તેને માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આશીર્વાદરૂપ છે, તેવા ભણતર ઈચ્છુક વિદ્યાર્થીઓના એક્સ્ટર્નલ કોર્સિસ બંધ કરીને, તેમને ભણતા અટકાવવાનું કામ નર્મદ યુનિવર્સિટીએ ટાળવા જેવું છે.

એક કારણ આ અભ્યાસક્રમ બંધ કરવાનું એ અપાય છે કે એક્સ્ટર્નલ વાર્ષિક છે અને તે સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે, તો સવાલ એ થાય કે વાર્ષિકને સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની જરૂર શી છે? પણ હકીકત એ છે કે યુનિવર્સિટી હવેથી સેમેસ્ટર પદ્ધતિ દાખલ કરવા જઈ રહી છે. જો મીડિયાએ દાટ વાળ્યો ન હોય તો, સેમેસ્ટરના કોઈ સેલ્સમેનની જેમ ફાયદા ગણાવાયા છે. જેમ કે, સેમેસ્ટરથી રિઝલ્ટ સુધરશે, આખું વર્ષ વાંચવું નહીં પડે, અભ્યાસનો બોજો ઘટશે, લગ્ન પછી ભણતી વિદ્યાર્થિનીઓ માટે આ પદ્ધતિ સરળ રહેશે …. વગેરે. આ બધું વધારે ભણવું-વાંચવું ન પડે એટલે થાય છે? તો વધારે સહેલું એ નહીં કે વિદ્યાર્થી પાસેથી ફી લઈને સીધું પ્રમાણપત્ર જ મોકલી અપાય, તો આટલી જીવદયા પણ કરવાની ન રહે? વારુ, સેમેસ્ટર પદ્ધતિ આટલી જ ફળદાયી હતી, તો 11 વર્ષ પહેલાં તે રદ્દ કેમ કરવામાં આવી? ત્યારે રદ્દ કરવા જેવી હતી, તો આજે એવું શું ખાસ છે કે તે ફરી દાખલ કરવી પડે?

ગમ્મત તો એ છે કે તે વખતના આચાર્ય ને આજના કુલપતિશ્રી એક્સ્ટર્નલ અભ્યાસક્રમમાં આ જ સેમેસ્ટર પદ્ધતિના વિરોધમાં હતા ને હવે સાહેબ સેમેસ્ટરની તરફેણમાં છે. સાચું તો એ છે કે 2014-’15માં રદ થયેલી સેમેસ્ટર પદ્ધતિ 11 વર્ષે ફરી લાવવાની કોઈ અનિવાર્યતા પ્રતીત થતી નથી, તો આ અખતરો યુનિવર્સિટીએ પડતો મૂકવો જોઈએ, એવું ખરું?

એકેડેમિક કાઉન્સિલની 11 સપ્ટેમ્બર, 2025ની સભામાં એવો ઠરાવ થયો કે શૈક્ષણિક વર્ષ 2025-‘26થી અનુસ્નાતક એક્સ્ટર્નલ અભ્યાસક્રમોમાં સેમેસ્ટર પદ્ધતિ મુજબ પ્રવેશ આપવામાં આવશે. સ્નાતક કક્ષાએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમ રદ્દ કરવાનાં કારણોમાં એક કારણ એ અપાયું કે વાર્ષિકને સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાની મુશ્કેલી છે, તો સવાલ એ થાય કે સ્નાતક કક્ષાએ સેમેસ્ટરમાં કન્વર્ટ કરવાનું મુશ્કેલ લાગ્યું, તે અનુસ્નાતક કક્ષાએ દાખલ કરવાનું સરળ કઈ રીતે લાગ્યું?

વારંવાર અનેક પદ્ધતિઓમાં ફેરફાર કરવાથી જ શિક્ષણ સુધરે છે એવો ખ્યાલ ગુજરાત શિક્ષણ વિભાગની ઓળખ છે. નર્મદ યુનિવર્સિટીએ એનું અનુકરણ કરવા જેવું નથી. સેમેસ્ટર દાખલ ન થાય તો એક્સ્ટર્નલ અભ્યાસક્રમ પણ નાબૂદ ન કરવો પડે તે કહેવાની જરૂર નથી. અનુસ્નાતક એક્સ્ટર્નલ અભ્યાસક્રમ સેમેસ્ટર પદ્ધતિમાં પણ ચાલુ રાખવા યુનિવર્સિટી તૈયાર છે, તો સ્નાતક કક્ષાએ એ અભ્યાસક્રમ ચાલુ રાખવાનું મુશ્કેલ ન બનવું જોઈએ.

એક તરફ જી-કાસના રકાસને કારણે હજારો જગ્યાઓ ખાલી છે ને બીજી તરફ હજારોને પ્રવેશનાં ઠેકાણાં નથી. એ સંજોગોમાં એક્સ્ટર્નલ અભ્યાસક્રમ એક વિક્લ્પ છે. એ વિકલ્પ બંધ ન થવો જોઈએ. એમ પણ કહેવાય છે કે વિદ્યાર્થીઓ ઘટતા જાય છે. એક્સ્ટર્નલમાં પણ એ જ સ્થિતિ છે. એ સાચું હોય તો પણ, માત્ર એક વિદ્યાર્થી માટે આ જ યુનિવર્સિટી પરીક્ષાની બધી વ્યવસ્થા કરી શકતી હોય કે કેમ્પસમાં ખોટ ખાઈને પણ અભ્યાસક્રમો ચલાવી શકતી હોય, તો એક્સ્ટર્નલમાં સારી સ્થિતિ છે, તો શું કામ એ અભ્યાસક્રમ ચાલુ રાખીને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદરૂપ ન થઈ શકે? આંકડાઓ એમ પણ કહે છે કે 10 વર્ષમાં બી.એ.માં 74 ટકા અને બી.કોમમાં 70 ટકા વિદ્યાર્થીઓ ઘટ્યા છે. આ સ્થિતિ અન્ય યુનિવર્સિટીઓની પણ છે જ. આ સ્થિતિ વધુ કથળે એમ છે ને કેમ ન કથળે? હજારો રૂપિયા ખર્ચીને, મહત્ત્વનાં ચાર-છ વર્ષ વેડફીને છેલ્લે નોકરી વગર બેકારમાં જ ખપવાનું હોય તો કોઈ પણ ક્યાં સુધી જિંદગીનાં વર્ષો વેડફવાનું પસંદ કરશે? એ જ કારણ છે કે સ્થિતિ સંપન્ન હોંશિયાર વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં એડમિશન મેળવે છે ને આ રીતે વિદેશ વસતાં યુવાધનની ભવિષ્યમાં પડનારી ખોટની આપણને ચિંતા પણ નથી.

કેવું છે આ? હજારો વિદ્યાર્થીઓને પ્રવેશ નથી ને હજારો જગ્યાઓ ખાલી છે. હજારો જગ્યાઓ શિક્ષકોની ખાલી છે ને હજારો ઉમેદવારોને નોકરી નથી. આ બધું બરાબર છે? આની સરકારને ખબર નથી એવું નથી. ઘણીવાર તો એ જ આંકડાઓ બહાર પાડીને અરાજકતાનો અણસાર આપે છે, પણ હકીકત એ છે કે સ્થિતિ બદથી બદતર છે.

એક દલીલ એવી થાય છે કે એક્સ્ટર્નલ અભ્યાસક્રમો આ યુનિવર્સિટી ન ચલાવી શકે. તે એટલે કે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ માટે આંબેડકર યુનિવર્સિટી કે અન્ય ઓપન યુનિવર્સિટીઓ છે. એ સાચું છે, પણ એવી યુનિવર્સિટીઓ હોવા છતાં આ યુનિવર્સિટીએ એકસ્ટર્નલના કોર્સિસ આટલાં વર્ષ ચલાવ્યાં છે ને અનુસ્નાતકના તો ચલાવવાની જ છે. એવું પણ નથી કે સ્નાતક કક્ષાના એક્સ્ટર્નલના વર્ગો ચલાવવા નથી, પણ નવી શિક્ષણ નીતિ મુજબ વાર્ષિકને સેમેસ્ટરમાં ફેરવવાનું મુશ્કેલ લાગે છે, એટલે તે બંધ કરવા ઇચ્છે છે. કદાચ કોઈ કીમિયો હાથ લાગી જાય તો આ અભ્યાસક્રમ ચાલુ રહે એમ બને ને સૌથી મોટી વાત તો એ કે સુરતમાં નર્મદ યુનિવર્સીટી હાજરાહજૂર હોય તો અહીંના વિદ્યાર્થીઓએ આંબેડકર કે અન્ય યુનિવર્સિટી સુધી લાંબા શું કામ થવું જોઈએ? ખરેખર તો એક્સ્ટર્નલ અભ્યાસક્રમ બંધ થશે તો ગરીબો, વંચિતો ને પછાત વિદ્યાર્થીઓ શિક્ષિત થવાની તકોથી દૂર રહેશે.

આ યુનિવર્સિટીમાંથી એકસ્ટર્નલ વિદ્યાર્થી તરીકે સફળ કારકિર્દી બનાવી છે, તેમનું પણ માનવું છે કે આ અભ્યાસક્રમ બંધ ન થવો જોઈએ. ઉંમરનો બાધ ન હોવાથી મોટી ઉંમરની વ્યક્તિ પણ એક્સ્ટર્નલ અભ્યાસક્રમનો લાભ લઈ શકે છે, એ રીતે અર્નિંગ વિથ લર્નિંગનો પણ મહિમા થાય છે, તો વીર નર્મદ યુનિવર્સિટી આ અભ્યાસક્રમને ચલાવે એ અપેક્ષિત છે, એટલું જ નહીં, તીવ્રપણે અપેક્ષિત છે.

વિદ્યાર્થીઓ ઘટતા જાય છે એ સૌ જાણે છે, પણ આમ થવાનું એક કારણ પ્રવેશમાં થતો અસહ્ય વિલંબ છે. ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (જિ-કાસ) દ્વારા 15-16 સપ્ટેમ્બરે છઠ્ઠો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે. કમાલ તો એ છે કે અત્યાર સુધી 30 રાઉન્ડ યોજાયા હોવા છતાં, 45-55 ટકાવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યાં નથી. એડમિશન તો થતાં થશે, પણ તે પહેલાં સેમેસ્ટરની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર થઇ ગયું છે. (બને કે પ્રવેશ બીજી ટર્મમાં મળે ને પરીક્ષા પહેલાં લેવાઈ ગઈ હોય) પહેલાં સત્રની પરીક્ષા જાહેર થઈ જાય ને ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી એડમિશનનું ઠેકાણું જ ન પડે એ કેવું?

એક સમય હતો, જયારે 15 જૂને નવું સત્ર શરૂ થતું કે એડમિશન, ફી … વગેરે પતી જતું અને એક બે દિવસમાં તો ભણવાનું પાટે ચડી જતું. હવે લગભગ એક ટર્મ એડમિશનમાં જ વીતે છે. ટર્મ પૂરી થવા આવે ને ફી ભણ્યા-ભણાવ્યા વગર પૂરી લેવાતી હોય એ બરાબર છે? એડમિશન માટે 30-30 રાઉન્ડ કરવા પડે એ કેવું? કારણો ગમે તે હોય, પણ બધું સેન્ટ્રલાઇઝ કરવામાં તો ગરબડ નથી થતીને તે જોવું જોઈએ. થોડું વિકેન્દ્રીકરણ પણ જરૂરી છે. ખાટલે મોટી ખોડ તો એ છે કે આ બધું સરકારને દેખાવું જોઈએ, પણ તેણે તો કશું પણ ન જોવાના સોગંદ ખાધાં છે. અર્જુને તો પક્ષીની આંખ જોઇને જ નિશાન લીધું હતું, જ્યારે આપણો શિક્ષણ વિભાગ તો બંધ આંખે પક્ષીની આંખ વીંધ્યાના વ્હેમમાં રાચે છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 સપ્ટેમ્બર 2025

Loading

...6789...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved