Opinion Magazine
Number of visits: 9735919
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજાધિરાજ : સંગીત-નૃત્ય-નાટક

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 March 2026

રવીન્દ્ર પારેખ

‘રાજાધિરાજ’ જોયું. કૃષ્ણ પરનાં આ નાટકની ઓળખ, દુનિયાના પહેલા મેગા મ્યુઝિકલ તરીકે, તેની જાહેરાતમાં અપાઈ છે, તેમાં ઘણું તથ્ય છે. પ્રસૂન જોશી લિખિત આ હિન્દી નાટકના સંવાદ ને ગીતો પણ જોશીનાં જ છે. શ્રુતિ શર્મા દિગ્દર્શિત આ નાટકનું સંગીત સચિન જીગરનું છે. તેનાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ભૂમિ નથવાણી છે, તો કોરિઓગ્રાફી બેર્ટવિન અને શમ્પાની છે. ભવ્ય સેટ્સ ઉમંગ કુમારના છે. નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરાયેલાં અસંખ્ય વસ્ત્રો જે તે સમયને પ્રગટ કરવામાં ઉપકારક નીવડે છે. પાર્થિવ ગોહિલ અને વિરલ રાચ્છ ‘રાજાધિરાજ’ના ક્રિએટિવ પ્રોડ્યુસર્સ છે. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ધનરાજ નથવાણીની પ્રસ્તુતિ, સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પણ થઈ. નાટકમાં આમ તો કૃષ્ણલીલા જ કેન્દ્રમાં છે ને કૃષ્ણ જીવન કોઈને અપરિચિત નથી, પણ જે રીતે ભવ્ય સેટિંગ્સ અને રંગોત્સવ વચ્ચે તે પ્રસ્તુત થાય છે, તે અદ્દભુત શબ્દને પણ ઝાંખો પાડે એટલું અદ્દભુત છે. એ રીતે તે ભવ્ય અને રંગીન સંગીત નાટક છે.

શરૂઆતમાં બેત્રણ નેરેટર દ્વારા કથાની માંડણી, સંગીત-સંવાદ સાથે થાય છે. એમાં ગાનારા કલાકારોએ પ્લેબેક લીધું નથી, પણ લાઈવ ગાયકી સાથે કૃષ્ણકથા કહેવાઈ છે. ‘રાજાધિરાજ’ પ્રસ્તુતિમાં ક્યાં ય ઢીલું ન પડે એ રીતે પ્રેક્ષકોમાં છવાયેલું રહ્યું. ટેકનિકલી પણ પરિપૂર્ણ છે, ‘રાજાધિરાજ.’ ભગવાન વિષ્ણુ પાસે વધી રહેલા પાપના નાશ માટે પૃથ્વી જાય છે ને ભગવાન પોતે અવતાર લેશે -એવું કહીને તેને આશ્વસ્ત કરે છે, તે વખતે ‘યદા યદા હી ધર્મસ્ય ..’ ગવાય છે. (કૃષ્ણે હજી જન્મ પણ નથી લીધો અને મહાભારતના કુરુક્ષેત્રમાં અર્જુનને આશ્વસ્ત પણ નથી કરાયો કે ગીતા ઉપદેશવાની પણ બાકી છે, તો તે પહેલાં ‘યદા યદા હી ધર્મસ્ય..’ ગવાય કેવી રીતે?)

પછી તો કંસની બહેન દેવકી સાથે વસુદેવના વિવાહ થાય છે ને આકાશવાણી થાય છે કે દેવકીનો આઠમો પુત્ર તેના મૃત્યુનું કારણ બનશે. કંસ આ જીરવે કઈ રીતે? તેણે એક પછી એક સાત સંતાનોનાં  ભીંતે પછાડીને મૃત્યુ નીપજાવ્યાં. નાટકમાં એ દૃશ્ય બહુ અસરકારક રીતે આવ્યું. નવજાત શિશુ ભીંતે પછાડતાં ત્યાં માત્ર લોહીના ડાઘા ઉપસાવીને સાત સાત મૃત્યુ બતાવાયાં. આઠમું સંતાન જન્મ્યું તો તેને લઈને વસુદેવ જમના પાર કરીને ગોકુળ પહોંચે છે, તે દૃશ્ય વરસાદ અને નદીનાં પ્રવાહ વચ્ચે શેષનાગને લાવીને વધુ અસરકારક બનાવાયું. વિષ્ણુ શેષશૈયા પર પોઢે છે ને કૃષ્ણ જન્મમાં એ જ શેષનાગે છાયા કરી.

કથા કહેવાતી રહે ને કથા બતાવાય પણ, એવું સમાંતરે ચાલ્યું. કૃષ્ણ વિષે આપણને બધી જ ખબર છે ને નાટકમાં એ જ કહેવાતું, ભજવાતું હોય તો, બહુ રસ ન પડે, તો, આપણે કેમ આટલાં કુતૂહલથી તે જોઈ રહીએ છીએ? ઓડિયન્સ ચિક્કાર હતું ને ક્ષણેક્ષણ અકરાંતિયાની જેમ આનંદ માણતું હતું. આટલું બધું માણવાનું કેમ ગમે છે આપણને? તેનું સાદું કારણ તેની પ્રસ્તુતિ છે ને કૃષ્ણ તો પરિચિત છે, પણ જે આપણે જાણીએ છીએ તે ક્યારે ને કેવી રીતે બતાવાય છે, તે આપણી ઉત્કંઠા વધારે છે.

વસુદેવ ગોકુળથી યશોદાની દીકરીને મથુરા લાવે છે ને કંસ તેનો વધ કરવા કારાગારમાં આવે છે. વસુદેવ-દેવકી કહે છે કે આઠમું સંતાન પુત્રી છે, તો તેને જીવવા દો, પણ કંસ સાત સંતાનોની જેમ જ તેને પછાડવા જાય છે ને તે મહામાયા છટકી જાય છે ને વળી આકાશવાણી થાય છે કે તારો કાળ તો ગોકુળ પહોંચી ગયો છે. (આ આકાશવાણીનું પણ ગજબનું તંત્ર છે. તે કંસને બે વાર ચેતવે છે, તે તો ઠીક, કંસ પરનું ભારણ વધારવાની સાથે જ જે ‘કાળ’ છે, તેનાં પરનું જોખમ પણ વધારે છે) કંસ અસુરોને મોકલીને કૃષ્ણનો નાશ કરવાની વાત જ (નાટકમાં) કરે છે, પણ કંઈ વળતું નથી. એમ જ નાગદમનનો પણ ઉલ્લેખ જ થયો, પણ ગોવર્ધન પર્વતને ઊંચકવાનું દૃશ્ય વિઝનરી દિગ્દર્શકની સર્જનાત્મકતાનો ઉત્તમ નમૂનો છે. કૃષ્ણ ટચલી આંગળીએ પર્વત ઊંચકે છે ત્યારે પર્વત, નીચેથી એટલો ઊંચકાતો બતાવ્યો કે તેની નીચે કૃષ્ણ અને પ્રજા ઊભાં રહી શકે. એ દૃશ્ય ભાવવિભોર કરનારું હતું. આખા નાટકમાં જુદી જુદી ટેકનિકનો ક્રિએટિવલી ઉપયોગ થયો છે, એવું જ એક દૃશ્ય હોળીનું છે. બધાં મટકી ભરીને રંગ છાંટે છે, પણ મટકીમાંથી રંગને બદલે લાલ વસ્ત્ર પ્રવાહીની જેમ બહાર પડતું બતાવાયું છે. આ દૃશ્યમાં પણ દિગ્દર્શકે કમાલ કરી છે.

કોણ જાણે કેમ પણ નાટકમાં રાધાકૃષ્ણનો પ્રેમ ઓછો પ્રભાવક રહ્યો. રાસ ને ગીત હોવા છતાં, રાધાકૃષ્ણના પોઝ સુંદર હોવા છતાં, તેમનો પ્રેમ પાંગર્યો નહીં. બધું ઝડપથી સમેટી લેવાયું હોય તેમ લાગ્યું. બીજી તરફ અક્રૂર કળેવળે કૃષ્ણને ગોકુળથી લાવીને મથુરામાં મારવાની યુક્તિ બતાવે છે, ત્યારે કંસ તેના પર કારણ વગર ક્રોધિત થતો બતાવ્યો છે, એમાં પાત્રાલેખનની ખામી હોય એમ લાગે છે. અક્રૂર તો કૃષ્ણને ભક્તિભાવથી જુએ છે. કંસને તે તેના કાળની નજીક લાવી મૂકવાનો પ્રયત્ન કરતો હોય તો પણ, તે ગળે ઊતરતું નથી. એ જ રીતે અહંકાર બતાવવા કંસ અક્રૂર સાથે ક્રૂરતાથી વર્તે એ પણ સહજ લાગતું નથી.

કૃષ્ણને મથુરા જવાનું થાય છે, ત્યારે યશોદા તેને ન જવા દેવા અગાઉ બાંધેલો, એમ દોરથી બાંધે છે, પણ દુનિયાને પ્રેમથી બાંધનારો એમ બંધાઈને થોડો જ રહે? કૃષ્ણબલરામ મથુરા જવા નીકળી જ જાય છે. યશોદા એકલી પડે છે ને તેની પીડા વર્ણવતું જે ગીત છે, તે હૃદયસ્પર્શી છે. કૃષ્ણ વિદાય થાય છે ત્યારે રાધાનો જે વલોપાત હોય તે નાટકમાં જણાયો નથી. કૃષ્ણની વિદાય વખતે રાધાની ખાસ પ્રતિક્રિયા જ આવી નહીં. એ વિદાય તો કૃષ્ણ અને રાધાને માટે ચિરંતન વિરહ નિર્માણ કરનારી હતી, તેનો કોઈ અણસાર આપ્યા વગર જ એ દૃશ્ય પૂરું થઇ ગયું. એ જ રીતે મથુરા પહોંચ્યા પછીનું કંસ વધનું દૃશ્ય કંસને દાદર પર પડતો બતાવીને ને એકાદ મુઠ્ઠી તેની છાતી પર અડકાડીને એમ જ પતાવી દેવાયું. બલરામ હોવા છતાં તેનો નાટકમાં કોઈ ઉપયોગ જણાયો નહીં.

મધ્યાંતર પછી મૂળ કૃષ્ણકથા ફંટાઈ. સમુદ્રમાંથી દ્વારિકા નગરી વિકસાવાઈ ને કૃષ્ણ દ્વારિકાધીશ થયા એ નાટ્યપ્રવાહ વલ્લભાચાર્યના સંપ્રદાય તરફ વળ્યો. વલ્લભાચાર્યને કૃષ્ણના અવતાર તરીકે સ્થાપવાનો પ્રયત્ન (કૃષ્ણ પોતે અવતાર થયા, પછી એમના કોઈ અવતારની કથા મુખ્ય પ્રવાહમાં આવ્યાનું જાણ્યું નથી), શ્રીનાથજીની કથા, ઔરંગઝેબનું આક્રમણ કૃષ્ણ સાથેના સીધા સંઘર્ષનું પરિણામ નથી, તો પણ યુદ્ધ બહુ કલાત્મક રીતે મંચ પર આવ્યું. કેટલાંક દૃશ્યો  આગળ પાછળ, ઊંચે નીચે થયાનું પણ લાગ્યું. જેમ કે સંતોની, અવતારોની વાત પછી કૃષ્ણની વાત સાંધો માર્યો હોય એમ આવી.

એક વાત બહુ સ્પષ્ટ છે કે કૃષ્ણ એટલે જ કર્તવ્ય. તેનું કૃત્ય દ્વારિકાધીશ બનવા પૂરતું જ સીમિત ન હતું. કૃષ્ણનું વિષ્ટિકાર તરીકે મહાભારત અટકાવવાનું ને કર્ણને વડીલ બંધુ તરીકે પાંડવોના પક્ષમાં આવવાનું આમંત્રણ આપવાનું અને સૌથી વધુ તો અર્જુનને ગીતા ઉપદેશવાનું મહત્ત્વનું કાર્ય નાટકમાં ન જણાયું, એટલા પૂરતું કૃષ્ણનું જીવન નાટકમાં અધૂરું રહ્યું. યુદ્ધમાં પોતે શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી ને એ જ યુદ્ધમાં શસ્ત્ર હેઠાં મૂકનાર અર્જુનને શસ્ત્ર ઉપાડવા તૈયાર કરવાના મહત્ત્વનાં અવતાર કૃત્યથી નાટક વંચિત રહ્યું. સંતોનાં કેટલાંક દૃશ્યો ને બદલે કે એકાદબે ગીતોને બાદ કરી શકાયાં હોત (આમે ય પચાસેક મિનિટનાં 11 ગીત-સંગીતનો ઓવરડોઝ થતો હતો તે નિયંત્રિત થઈ શક્યો હોત) તો પ્રેક્ષકોને કૃષ્ણનું ચરિત્ર વધુ માણવા મળ્યું હોત. જો કે, મંગલમ, હાથી ઘોડા પાલકી, ક્યૂં કરું મેં શ્રીંગાર, બોલો રાધે ક્રિષ્ણ (રાસલીલા), કીત કીત ઢૂંઢું, યમુના જળમાં કેસર ઘોળી, કેશવમ, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, હોળીગીત જેવાં ગીતો સરસ રીતે ક્મ્પોઝ થયાં છે ને તે સમૂહ નૃત્ય તથા અદ્દભુત કોસ્ચ્યુમમાં ઉત્તમ કોરિઓગ્રફી દ્વારા પ્રસ્તુત થયાં છે. એ ખરું કે અઢીત્રણ કલાકના નાટકમાં બધી વાતો ના થઈ શકે, પણ થોડાં દૃશ્યો બાદ કરીને એ મુદ્દાઓ પર ધ્યાન અપાયું હોત કથા પ્રવાહ ઓછો ફંટાયો હોત !

આ બધાં પછી પણ ‘રાજાધિરાજ’ એક અદ્દભુત સંગીન અને રંગીન અનુભવ હતો તે સ્વીકારવું જ પડે. નાટકના શો અંગે ને તે વધુ લોકો સુધી પહોંચે એવી જાહેરાતો થતી રહી, પણ સામાન્ય લોકો પહોંચી જ ન શકે, એટલું તે મોંઘું છે. છેલ્લી રોની તેની ટિકિટ 999 રૂપિયાની હતી ને આગલી રોની હતી 4999ની. એ રીતે આ અસહ્ય મોંઘું નાટક છે. આ તો સુરતનાં ભાવ છે, મુંબઈમાં કેટલા હશે તે નથી ખબર, એનો ગેરલાભ એ પણ છે કે એ પછીના નાટકવાળા અમસ્તી જ ટિકિટ મોંઘી કરી દેશે. આમ પણ નાટકો જોવા લોકો ઓછા જ આવે છે, તે આવી મોંઘીદાટ ટિકિટથી વધુ ઓછા આવશે … આ થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 માર્ચ 2026

Loading

માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 

અનુવાદક: આશા બૂચ|Gandhiana|15 March 2026

ગાંધી ફાઉન્ડેશન, યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા, 7 ફેબ્રુઆરી 2026ના રોજ, ગોલ્ડર્સ ગ્રીનના યુનિટેરિયન ચર્ચ ખાતે પ્રાર્થના અને પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. દર વર્ષે ભૂતકાળમાં કે વર્તમાન કાળમાં માનવ માત્રની સેવા અર્થે કાર્ય કરી ગયેલા અને કરી રહેલા મહાનુભાવોનાં જીવન અને કાર્યની વાત ગાંધી નિર્વાણ દિને કરીને ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

તે દિવસના મુખ્ય વક્તા રેવરંડ ફરગસ[Reverend Feargus]ના વક્તવ્યનો અનુવાદ અહીં પ્રસ્તુત કરું તે પહેલા એમનો ટૂંક પરિચય આપીશ.

રેવરંડ ફરગસ આઇરિશ યૂનિટેરિયન ચર્ચના મિનિસ્ટર છે. તેઓ ગાંધીજીના અહિંસાના વિચારોને સમર્પિત છે. તેઓ 2003-2023 દરમિયાન વર્લ્ડ કાઁગ્રેસ ઓફ ફેઈથના સેક્રેટરી રહી ચુક્યા છે અને એનિમલ ઇન્ટર ફેઈથ એલાયન્સના સ્થાપક તથા તેના મુખ્ય સંચાલક હતા. ઉપરાંત રેવરંડ ફરગસ ગાંધી શ્વાઈત્ઝર યુનિવર્સલ કિનશિપ, ક્લારા બાર્ટન હ્યુમૅનિટેરિયન અપીલ (બ્રિટિશ રેડક્રોસ) તથા ઇગ્લેન્ટીન જેબ અપીલ(સેવ ધ ચિલ્ડ્રન યુ.કે.)ના સ્થાપકોમાંના એક છે. તેઓ ગાંધી ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોરના પણ ચાહક છે.

રેવરંડ ફરગસના વક્તવ્યનો અનુવાદ અહીં સાદર પ્રસ્તુત :

રેવરંડ ફરગસ

મહાત્મા ગાંધીના નિર્વાણ દિને હર સાલ ગોલ્ડર્સ ગ્રીન યુનિટેરિયન ચર્ચમાં ગાંધી ફાઉન્ડેશન સર્વ ધર્મ પ્રાર્થનાનું આયોજન કરે છે એ આપણા સહુ માટે સન્માનનો વિષય છે. માનદ મિનિસ્ટર તરીકે આ વર્ષની સભામાં મહાત્મા અને તેમની અહિંસાની નીતિ વિશે બધા ધર્મના પ્રતિનિધિઓ તેમ જ ગાંધી વિચારના અનુરાગી જન સમક્ષ વક્તવ્ય આપવાની તક મળી તે માટે હું ખાસ ગૌરવ અનુભવું છું.

મારા આ પહેલાનાં પ્રવચનોમાં મેં લિયો ટોલ્સટોય, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, થિચ ન્હાટ હાન્હ, ડેસમન્ડ ટુટુ, શ્રદ્ધેય દલાઈ લામા અને આપણને પ્રેરણા પૂરી પાડનારા અહિંસાના અન્ય પ્રચારકોને શ્રદ્ધાંજલિ આપી છે. આજે હું ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર અને ખુદ ગાંધીજીને જ નહીં, પરંતુ બીજા ત્રણ પ્રેરણાદાયી માનવતાવાદીને માનપૂર્વક અંજલિ આપવા માંગુ છું અને તેમની સ્મૃતિને અને તેમના જીવનકાર્યને કઈ રીતે વ્યવહારમાં અમલી બનાવી શકાય તે વિશે વાત કરવા ધારું છું.

પહેલી વ્યક્તિ છે, ક્લારા બાર્ટન (1821-1912), અમેરિકન રેડક્રોસના અને અમેરિકન સિવિલ વોર દરમિયાન ‘એન્જલ ઓફ ધ બેટલ ફિલ્ડ’ના સ્થાપક. 

ક્લારા બાર્ટન

લોર્ડ શાફ્ટસબરી, ડૉ. આલ્બર્ટ સ્વાઈત્ઝર, અને ગાંધી જેવા વ્યવહારુ માનવહિત સમર્થકોની જેમ ક્લારા પણ પીડિત માનવ જાતને ઘણા મદદરૂપ થયાં. તેઓ માનવતા અને કરુણાની પ્રખર લાગણી તથા બીજાના જીવનને બચાવવાની અદમ્ય ઇચ્છા અને યુદ્ધ તથા કુદરતી આફતોના ભોગ બનેલા લોકોને રાહત આપવાના ધ્યેયથી દોરવાયેલા હતા. આનાથી વધુ ઉમદા લાગણી બીજી કઈ હોઈ શકે?

રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીનાં વિશ્વવ્યાપી કાર્યો માનવતા, નિષ્પક્ષપાતીપણું, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને વૈશ્વિકતા જેવા સિદ્ધાંતો પર હજુ આજે પણ કાર્યરત છે જેની પ્રેરણા ક્લારાએ પૂરી પાડી હતી.

બીજી પ્રેરણાદાયક વ્યક્તિનો ઉલ્લેખ કરવા માંગુ છું તે છે હેન્રી ડૂનન્ટ (Henri Dunant – 1828-1910). 

હેન્રી ડૂનન્ટ

આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ પોતાના અસ્તિત્વ માટે આ સ્વિસ માનવતાવાદી દૃષ્ટિનું ઋણી છે. ઉત્તરી ઇટલીના સોલફેરીનો વિસ્તારમાં જ્યાં નેપોલિયનનું લશ્કર ઑસ્ટ્રિયાના લશ્કર સાથે લડાઈ ખેલી રહ્યું હતું ત્યાં લોહિયાળ ખાનાખરાબીના સાક્ષી બન્યા બાદ હેન્રી એટલા વિચલિત થઈ ગયા કે તેમણે  ‘સોલફેરીનોની સ્મૃતિમાં’ નામની નાની પુસ્તિકા લખી. તેમાં એમણે રણમેદાનની અસ્તવ્યસ્ત, વેરણછેરણ અને શબ્દાતીત હતાશા અને દુઃખદ સ્થિતિ અને ઘાયલ થયેલાની સારવાર કરવાની મથામણનું વર્ણન કર્યું છે.

1863માં જીનીવા સોસાયટીની સ્થાપના થઇ અને 16 દેશોમાંથી 39 પ્રતિનિધિઓએ જીનીવામાં પછીથી જે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસના નામે જાણીતું થયું એ સંગઠનની રચના કરવા માટે પરિષદ યોજી હતી. 1864માં બાર દેશોએ આંતરરાષ્ટ્રીય કરાર પર સહી કરી, જે જીનીવા કન્વેન્શન તરીકે ઓળખાય છે. રેડક્રોસનું પરિચિત સફેદ કાપડ પર લાલ ક્રોસનું પ્રતીક તે વખતે સ્વીકારવામાં આવ્યું. હેન્રી ડૂનન્ટએ માનવહિતના સાહસ પાછળ પોતાની તમામ મિલકત અને શક્તિ ખર્ચ્યા અને છેવટ ગરીબી અને ઉપેક્ષિત દશામાં મૃત્યુ પામ્યા.

ખરું જોતાં હેન્રી ડૂનન્ટએ 1864માં રેડક્રોસ સોસાયટી હોનારત અને યુદ્ધ સમયની કટોકટીમાં રાહત પહોંચાડે એવું સૂચન કરેલું, પરંતુ તે પછીનાં વર્ષોમાં ક્લારા રેડક્રોસના કાર્યોની સહુથી સબળ સમર્થક બની. 1884ની ઇન્ટરનેશનલ રેડક્રોસની ત્રીજી પરિષદમાં અમેરિકન રેડ્ક્રોસે જીનીવા ટ્રીટીમાં ફેરફાર કરીને માત્ર યુદ્ધના ભોગ બનેલા જ નહીં પણ કુદરતી આફતમાં ફસાયેલા લોકોને રાહત પહોંચાડવાનો સમાવેશ કરી રેડક્રોસના કાર્યનો વ્યાપ વધારવાનું સૂચન કર્યું હતું. આ પ્રસ્તાવ પાસ થયો અને જીનીવા ટ્રીટી 1864ના ‘અમેરિકન સુધારણા’ તરીકે ઓળખાવા લાગ્યો. હેન્રી ડૂનન્ટ અને ક્લારા બાર્ટનના પ્રયાસોના ફળસ્વરૂપ રેડક્રોસ અને રેડ ક્રેસન્ટ જેવા સંસ્થાનો દ્વારા જગત આખામાં કુદરત અને માનવ સર્જિત આપત્તિઓને પરિણામે પીડિત થયેલાઓ માટે રાહત પહોંચાડવાનાં અને જીવન બચાવવાનાં કર્યો થતાં રહ્યાં છે એ પરોપકારી અને કરુણામય કર્તવ્યનું ઉમદા ઉદાહરણ છે.

ત્રીજી માનવતાવાદી વ્યક્તિને શ્રધ્ધાસુમન અર્પણ કરવા માંગુ છું એ છે ઇગ્લેન્ટીન જેબ (Eglantyne Jebb (1876-1928).

ઇગ્લેન્ટીન જેબ

ઓસ્ટ્રિયા અને જર્મની વચ્ચેની લડાઈમાંથી બચી જવા પામેલ નિર્દોષ બાળકો, કે જેને પ્રથમ વિશ્વ યુદ્ધમાં ‘દુશ્મન’ ગણવામાં આવ્યા હતા તેમના ભય ઉપજાવે ફોટા અખબારોમાં જોયા પછી 1919માં ઇગ્લેન્ટીન જેબ એ હકીકતની જાણ કરતી પત્રિકાઓ ટ્રફાલગર સ્ક્વેરમાં વહેંચવા ગઈ. જો કે 11 નવેમ્બર 1918ને દિવસે યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો હતો, પણ મિત્ર રાજ્યોએ કહેવાતા ‘દુશ્મન’ બારાં પર નાકાબંધી કરવાની ચાલુ રાખી હતી, જેને કારણે ખોરાક અને દવાનો જરૂરી પુરવઠો અત્યંત મર્યાદિત થઈ ગયો. પરિણામે ત્રણ મિલિયનથી વધુ બાળકો પર ભૂખમરાનો ભય તોળાઈ રહ્યો.

અખબારોમાં જોયેલી તસવીરો જોઈને ઇગ્લેન્ટીનને ફાઇટ ધ ફેમીન કાઉન્સિલમાં જોડાવાની પ્રેરણા થઈ. એ સંગઠન આવાં બાળકો સુધી જીવન બચાવે તેવો ખોરાક અને દવાઓ પૂરા પાડવાનું કામ કરે છે. ઇગ્લેન્ટીનના બહેન ડોરોથી, કે જેઓ  કવેકરમાં જોડાયાં અને રિલિજિયસ સોસાયટી ઓફ ફ્રેન્ડ્સમાં પરોપકારની ભાવનાથી કાર્યરત રહ્યાં. આ બંને બહેનોએ દુનિયાના કોઈ પણ ભાગમાં રહેતાં તમામ બાળકોને માનવતાથી પ્રેરાઈને મદદ પહોંચાડવાનું અને લડાઈ બાદ નાકાબંધી દૂર કરવાનું કામ કર્યું. ઇગ્લેન્ટીને મહિલાઓના માન્ય વર્તનના ધોરણોના એડવોર્ડીયન ખ્યાલો સામે પડકાર ફેંક્યો અને ટ્રફાલગર સ્કવેરમાં જઈને લોકોના મનમાં આ ભૂખ્યાં બાળકો માટે રસ પેદા કરવા પહોંચી ગઈ. તેની પત્રિકામાં ‘આપણી નાકાબંધીને કારણે આ સ્થિતિ સર્જાઈ – લાખો બાળકો ભુખ્યાં તરફડે છે અને મોતને ભેટે છે’ એવાં લખાણ સાથે કૃશકાય બની ગયેલાં બાળકોના ફોટા હતા.

લંડનમાં વિરોધી દેખાવો કરવા બદલ ઇગ્લેન્ટીનની ધરપકડ કરવામાં આવી. એ ગુનેગાર સાબિત થઇ પરંતુ તહોમત મુકનાર તેની નિર્દોષ અને પીડિત બાળકો પ્રત્યેની કરુણા અને નિષ્ઠાથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેને થયેલ દંડ પોતે ભરી દીધો. 1919માં તેણે સ્થાપેલ સેવ ધ ચિલ્ડ્રનનું એ પહેલું દાન હતું. (પછીથી એ સેવ ધ ચિલ્ડ્રન ફંડના નામે ઓળખાય છે). બે વર્ષમાં ઇગ્લેન્ટીન બાળકો માટે મોટા રાહત કાર્યના પ્રકલ્પની આગેવાની કરવા લાગ્યા હતાં. 1921-22માં રશિયામાં પડેલ દુષ્કાળે લાખો બાળકોને દારુણ અને જોખમભરી પરિસ્થિતિમાં મૂકી દીધા. મોટા ભાગના બાળકો ભૂખમરાને કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. ઇગ્લેન્ટીનના ફંડ એકઠું કરવાના અથાક પ્રયાસોને લીધે સેવ ધ ચિલ્ડ્રન સેંકડો ટન ભરીને ખોરાક અને દવાઓ રશિયા પહોંચાડી શક્યું. રોજ સેંકડો અને હજારો બાળકોને પોષક ખોરાક આપવામાં આવતો હતો.

ઇગ્લેન્ટીન જાણતા હતાં કે બાળકોની જરૂરિયાતો ખાસ પ્રકારની હોય છે અને તેઓ મક્કમપણે માનતાં હતાં કે દુનિયાની દરેકે દરેક વ્યક્તિએ બાળકોના અધિકાર અને કલ્યાણ માટે જવાબદારી લેવી જોઈએ. તેમણે ડેક્લેરેશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ નામનો ઐતિહાસિક પરિપત્ર લખ્યો, જે 1924માં લીગ ઓફ નેશન્સના જીનીવા કન્વેનશનમાં સ્વીકારવામાં આવ્યો હતો. બાળકોના જે માનવ અધિકારો હોવા જોઈએ એમ ઇગ્લેન્ટીન માનતા હતા એ બધા એ ડેક્લેરેશનમાં સમાવિષ્ટ હતા. તેનો સારાંશ આ મુજબ છે: ‘હું માનું છું કે આપણે બાળકોના કેટલાક અધિકારો માન્ય રાખવા જોઈએ અને તેને વૈશ્વિક માન્યતા મળે તે માટે સખત પરિશ્રમ કરવો જોઈએ, જેથી કરીને બધા – જેઓ આવા રાહત ફંડમાં ફાળો આપવા શક્તિમાન છે તેટલા જ માત્ર નહીં – પણ જેઓ કોઈ પણ રીતે બાળકોના સંપર્કમાં આવે; એટલે કે મોટા ભાગની માનવ જાત – આ પ્રયાસને આગળ ધપાવવા મદદરૂપ થઇ શકે.’

આ નિવેદન થોડા વિસ્તૃત રૂપમાં 1959માં યુનાઇટેડ નેશન્સમાં સ્વીકારવામાં આવ્યું હતું. 1989માં એ યુ.એન.ના સીમાચિહ્નરૂપ માનવ અધિકારના કરારનામા કન્વેનશન ઓફ ધ રાઇટ્સ ઓફ ધ ચાઈલ્ડ માટે પ્રેરણા સ્રોત સમું સાબિત થયું.

ઇગ્લેન્ટીન તેમની ઝુંબેશને કારણે પડેલ શ્રમ અને થાઇરોઇડની તકલીફને કારણે બીમારી ભોગવીને 1928માં 52 વર્ષની વયે મૃત્યુ પામ્યાં. એમની દૃષ્ટિ અને મિશન સેવ ધ ચિલ્ડ્રન જેવા સંગઠનના રૂપમાં દુનિયાના 120 દેશોમાં કાર્યરત રહીને જીવંત રહ્યા છે.

આજે આપણે આ પ્રેરણાદાયી માનવતાવાદી હસ્તીઓનું માત્ર સન્માન કરવા જ નહીં, પરંતુ એમના પદચિહ્નો પર ચાલવા પ્રતિબદ્ધ થવા અને વ્યવહારુ પગલું ભરવા એકઠા મળ્યા છીએ. આજે ગાંધી ફાઉન્ડેશન અને દરેક ધર્મના લોકોના સદ્ભાવથી ગાંધી શ્વાઈત્ઝર હ્યુમૅનિટેરિયન ફેલોશીપનો પ્રારંભ કરીએ છીએ. આ ઇન્ટર ફેઈથ ફેલોશિપનો હેતુ મહાત્મા ગાંધી અને આલ્બર્ટ શ્વાઈત્ઝરની કરુણા, ઊંડી તાદાત્મ્યની ભાવના અને નૈતિક મિશનની સ્મૃતિનું સાદર સન્માન કરવાનો છે.

“કોઈ પણ વ્યક્તિ એક આત્માનો નાશ કરે તો એ સમગ્ર વિશ્વનો નાશ કરે છે તેમ માનવામાં આવે છે. અને જો કોઈ એકની જિંદગી બચાવે છે, તો એ જાણે કે આખી દુનિયાને બચાવે છે તેમ માનવામાં આવે છે.” (જેરુસલેમ તાલમુદ)

“જે કોઈ એક જિંદગી બચાવે છે એ આખી માનવજાતને બચાવે છે.” (કુરાન)

યુદ્ધના ભોગ બનેલા લોકો પ્રત્યેની અનુકંપા આપણને સત્કાર્ય કરવા પ્રોત્સાહન આપે છે. આપણે સહુ યુદ્ધનો અંત લાવવા  માટે પ્રયત્નશીલ રહીએ, વિશ્વમાં શાંતિ અને કરુણા જળવાઈ રહે અને અમૂલ્ય માનવ જીવનની રક્ષા કરી શકીએ તેવી પ્રાર્થના.

e.mail : 71abuch@gmail.com

Loading

મિનાબ, મેવન અને યુદ્ધનું બદલાતું ગણિતઃ ઝડપના મોહમાં AI પર જવાબદારી ઢોળવી કેટલી યોગ્ય?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 March 2026

મિનાબની શાળા પર થયેલો હુમલો એ માત્ર ટેકનિકલ ભૂલ નહોતી, પણ ‘અલ્ગોરિધમિક ડિહ્યુમનાઇઝેશન‘નું ઉદાહરણ હતું. જ્યારે જવાબદારી અલ્ગોરિધમ અને કમાન્ડર વચ્ચે વહેંચાઈ જાય, ત્યારે સત્ય ઓગળી જાય છે

ચિરંતના ભટ્ટ

યુદ્ધમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વિશેનું સૌથી મોટું જૂઠ એ જ તેની સૌથી મોટી છટકબારી છે. “મશીને નિર્ણય લીધો” એમ કહી દેવું બહુ સહેલું છે, કારણ કે તેનાથી જવાબદારી સત્તાધીશોને બદલે કોડિંગ પર ઢોળી શકાય છે. આજે પણ યુદ્ધો રાષ્ટ્રો અને લશ્કરો જ લડે છે, પરંતુ AI તેની ઝડપ વધારી રહ્યું છે.

ઈરાન પર અમેરિકા-ઈઝરાયેલ હુમલા દરમિયાન, મિનાબની એક પ્રાથમિક શાળા પર હુમલો થયો, જેમાં 160થી વધુ લોકો માર્યા ગયા, જેમાંથી મોટા ભાગનાં બાળકો હતાં. શરૂઆતી આકલન મુજબ, આ સાઇટ કદાચ એટલા માટે નિશાન બની કારણ કે ઇન્ટેલિજન્સ ડેટાબેઝે આ સ્થાનને ભૂતપૂર્વ લશ્કરી સુવિધા સાથે જોડ્યું. આ દુર્ઘટના પાછળનું કારણ આઉટડેટેડ ઇન્ટેલિજન્સ અને મશીની ઝડપનું જીવલેણ મિશ્રણ હતું. AI માટે શાળા એ માત્ર ‘પિક્સેલ્સ’ અને ‘મેટ્રિક્સ’નો સમૂહ છે, જેમાં માનવીય સંવેદનાનો કોઈ જ સ્થાન નથી. જ્યારે યુદ્ધ ‘ડેટા ડ્રિવન’ બને છે, ત્યારે બાળકો માત્ર ‘કોલેટરલ ડેમેજ’નો આંકડો બનીને રહી જાય છે. આ દુર્ઘટના પાછળનું ટેકનિકલ સત્ય કદાચ ‘અલ્ગોરિધમિક ડિહ્યુમનાઇઝેશન’ છે, આમ થાય ત્યારે યુદ્ધભૂમિ પરનો જીવંત સંદર્ભ (Context) ભૂંસાઈ જાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે થિંક ટેન્ક્સમાં ચર્ચાતો ભવિષ્યવાદી ખ્યાલ નથી; તે આધુનિક લશ્કરની કામગીરીમાં પ્રવેશી ચૂક્યો છે. પ્રોજેક્ટ મેવન જેવી સિસ્ટમ્સ તોતિંગ ડેટાના પ્રવાહોને પ્રોસેસ કરી વિશ્લેષકોને સરળતાથી પેટર્ન શોધાય તે માટે બનાવાઈ હતી, એક સમયે આ કામગીરીમાં દિવસો નીકળી જાત. AI મિસાઈલ છોડતું નથી, પણ તે ‘ટાર્ગેટ પ્રોફાઈલિંગ’ એટલી ઝડપથી કરે છે કે માણસની નૈતિક ચેતનાને વિચારવાનો સમય જ મળતો નથી. મશીન જ્યારે ‘90% કોન્ફિડન્સ સ્કોર’ આપે છે, ત્યારે કમાન્ડર તેને અંતિમ સત્ય માની લેવાની ભૂલ કરી બેસે છે. ટેક્નોલોજી નિશ્ચિતતાની ખાતરી આપે છે, પણ તેનાથી નિર્ણય લેનારી સંસ્થાઓ વધુ આત્મવિશ્વાસુ બની જાય છે. એકવાર વિશ્લેષણની આ સાયકલ ગતિ પકડે પછી તેની પર નિયંત્રણ રાખવું સહેલું નથી હોતું. મશીની રજૂઆત કોમ્પ્યુટેશનલ સત્તાનો આભાસ આપે છે.

“પ્રિસિઝન વોરફેર”(ચોકસાઈભર્યું યુદ્ધ)ના નેરેટિવમાં હંમેશાં વધુ નિયંત્રિત અને નૈતિક યુદ્ધનો વાયદો કરવામાં આવે છે. ટેક્નોલોજીની દરેક પેઢીને પ્રગતિ તરીકે વેચવામાં આવી છે, પણ ખરેખર તો આ બધી પ્રગતિ અંતે તો પતન અને અનિશ્ચિતતામાં વધારો કરે છે. ટેક્નોલૉજી ઝડપ અને નિશ્ચિતતાની ખાતરી આપે એટલે તેના પર આધાર રાખતી સંસ્થાઓ અનિશ્ચિત સંજોગોમાં પણ તેની પર વધુ વિશ્વાસ રાખે છે. AI આ જ ઘરેડનું નવુંનક્કોર ચેપ્ટર છે. 

એન્થ્રોપિકની ક્લાઉડ (Claude) સિસ્ટમની ચર્ચા આ સંસ્થાકીય તણાવને સ્પષ્ટ રીતે દર્શાવે છે. લશ્કરી આયોજનકારોને કોમર્શિયલ AI આપી શકે તેવું ઝડપી વિશ્લેષણ જોઈએ છે, પરંતુ ટેક્નોલોજી કંપનીઓ જે ગાર્ડરેઇલ્સ અથવા મર્યાદાઓની વાત કરે છે તેમાં તેમને ખાસ રસ નથી હોતો. સંરક્ષણ સંસ્થાઓને મશીની કાર્યક્ષમતામાં રસ હોય છે, જ્યારે ટેક્નોલોજી કંપનીઓ નૈતિક મર્યાદાઓની વાત કરે છે. 

અહીં અસલી ઘર્ષણ સિલિકોન વેલીના નૈતિક ગાર્ડરેઇલ્સ અને પેન્ટાગોનની લશ્કરી જરૂરિયાતો વચ્ચે છે. લશ્કરી વડાઓને એવા ‘બ્લેક બોક્સ’ સોફ્ટવેરમાં રસ છે જે તરત અને ઝડપી પરિણામ આપે, ભલે એ પ્રક્રિયામાં પારદર્શકતાનો ભોગ લેવાય. જ્યારે ટેક કંપનીઓ નફા અને રાષ્ટ્રીય સુરક્ષાના નામે લશ્કરો સાથે હાથ મિલાવે છે, ત્યારે ‘નૈતિક જવાબદારી’ કોર્પોરેટ પ્રેઝન્ટેશન્સમાં દબાઈ જાય છે. આ ‘કોર્પોરેટ પ્રોફિટ’ અને ‘મિલિટરી એફિશિયન્સી’નું જોડાણ આધુનિક યુદ્ધને વધુ અસ્પષ્ટ અને બેજવાબદાર બનાવી રહ્યું છે.

AI “ટાર્ગેટ પસંદ” નથી કરતું. અહીં મુદ્દો એ છે કે AI સિસ્ટમો હવે યુદ્ધમાં માણસના નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવા લાગી છે. શરૂઆતમાં વિશ્લેષકો મશીન શું સૂચવે છે તેની તપાસ કરતા હોય છે. પરંતુ સમય જતા તેઓ કદાચ મશીન જે ભલામણ કરે છે તેની માત્ર સમીક્ષા કરતા રહી જાય છે. જોખમ એ છે કે હુમલા સુધી પહોંચતી નિર્ણય પ્રક્રિયા એટલી ઝડપી બની જાય છે કે તેને નિયંત્રિત કરવા માટે બનેલી સંસ્થાઓ પાછળ રહી જાય.

અને આ તો AIના યુદ્ધનું માત્ર પહેલું મેદાન છે. બીજું મેદાન મિસાઈલ પડ્યા પછી શરૂ થાય છે.

આધુનિક યુદ્ધ હવે, જમીન પર અને ઓનલાઈન એમ બે રીતે લડાય છે. હુમલા પછી થોડા કલાકોમાં જ સોશિયલ મીડિયા પર વિનાશના ફોટા અને વીડિયો ફેલાઈ જાય છે. તેમાં કેટલાક સાચા હોય છે, કેટલાક જૂના સંઘર્ષોના વીડિયો ફરી વપરાય છે અને કેટલાક તો પૂરી રીતે AIએ બનાવેલા બોગસ વિઝ્યુઅલ્સ હોય છે.

અહીં સત્ય માટેનું એક સમાંતર યુદ્ધ શરૂ થઈ જાય છે. હાલના અમુક યુદ્ધોને મામલે સંશોધકોએ નોંધ્યું છે કે સિન્થેટિક વિઝ્યુઅલ્સ, મેનીપ્યુલેટેડ ક્લિપ્સ અને ભાવનાત્મક રીતે ચાર્જ થયેલા નેરેટિવ્સ મોટે ભાગે ખરાઈ કરાયેલા રિપોર્ટિંગ કરતાં વધુ ઝડપથી ફેલાય છે. સળગતી શાળા, રડતું બાળક, વિખેરાયલો કાટમાળ વગેરેની દરેક તસવીર રાજકીય મોબિલાઇઝેશન માટે કાચો માલ બની જાય છે. ડોક્યુમેન્ટેશન અને બનાવટ વચ્ચેની રેખા ધીમે ધૂંધળી થવા લાગે છે.

પૂર્વી યુરોપ અને મધ્ય પૂર્વમાં આપણે જોયું છે કે કેવી રીતે બોટ નેટવર્ક અને સિન્થેટિક મીડિયા મિનિટોમાં વૈશ્વિક ધારણાઓ બદલી નાખે છે. આ હવે યુદ્ધ ચાલતું હોય તેવા પ્રદેશોમાં પણ જોવા મળે છે, જ્યાં બોટ નેટવર્ક અને તકવાદી પ્રચારકો સિન્થેટિક મીડિયાનો ઉપયોગ કરીને મિનિટોમાં જ ઘટનાઓ વિશેની વૈશ્વિક ધારણાઓને આકાર આપવાનો પ્રયાસ કરે છે.

મધ્ય પૂર્વમાં રાજ્ય-સંબંધિત ઇન્ફ્લુએન્શિયલ નેટવર્ક્સ આ ઇકોસિસ્ટમમાં ખૂબ નિપુણ બની ગયા છે. અંહી કલેક્ટિવ સોશિયલ મીડિયા ક્લસ્ટરો દ્વારા ઘડાયેલા નેરેટિવ્ઝ અલગ-અલગ પ્રેક્ષકો માટે નવી રીતે પૅક વાયરલ કરી દેવાય છે.

અહીં ધ્યેય માત્ર સમજાવવાનો નથી. તે મૂંઝવણ ઊભી કરવાનો છે. ચકાસણીને એટલી અસરકારક રીતે દબાવી દેવી કે વાસ્તવિકતાની દરેક આવૃત્તિ રાજકીય રીતે વાટાઘાટનો વિષય બની જાય. આવા માહોલમાં, AI માત્ર યુદ્ધને જ નહીં પણ અસ્પષ્ટતા, ગુંચવણોને વેગ આપે છે.

ભારત અનેક અસ્થિર માહિતી અને સુરક્ષા ઇકોસિસ્ટમના સંગમ પર બેઠેલો દેશ છે: વિવાદિત સરહદો, મોટું અને ઘણી વાર વિસ્ફોટક બની જાય એવું ડિજિટલ જાહેર ક્ષેત્ર, અને એવી રાજકીય સંસ્કૃતિ જ્યાં વાયરલ નેરેટિવ્ઝ ઘણીવાર કલાકોમાં જ ફેક્ટ-ચેકિંગને પાછળ છોડી દે છે. આપણને અનુભવ છે જ કે કેવી રીતે મેનીપ્યુલેટેડ વીડિયો અને સિન્થેટિક ઓડિયો ચૂંટણી અથવા કોમી તણાવ દરમિયાન જાહેર ચર્ચાને વિકૃત કરી શકે છે.

કલ્પના કરો કે આવી ગતિશીલતા AI-આધારિત યુદ્ધ સાથે ટકરાય. દૂરવર્તી સરહદ પર ડ્રોન હુમલામાં ભૂલ થાય છે. મિનિટોમાં, નરસંહારનો દાવો કરતા AI-જનરેટેડ ફૂટેજ ઓનલાઇન દેખાય છે. ડીપફેક્સ આ ઘટનાને કોમી હિંસા અથવા વિદેશી આક્રમણ તરીકે રજૂ કરે છે. મૂળ ઘટના કદાચ નાની, અસ્પષ્ટ, આકસ્મિક પણ હોઈ શકે. પણ નેરેટિવ કોઈ અજગરની માફક ભરડો લે અને સત્ય દબાઈ જાય, સંજોગો વિસ્ફોટક બની જાય.

ભારતની ઊર્જા સુરક્ષા આ જોખમમાં એક વધારાનું લેયર ઉમેરે છે. ભારતની ઉર્જા સુરક્ષા હોર્મુઝ જેવા ભૌગોલિક ચોકપોઇન્ટ્સ પર નિર્ભર છે, જ્યાં માત્ર લશ્કરી જ નહીં પણ ઇન્ફર્મેશન વોર પણ આંતરિક અસ્થિરતા લાવી શકે છે. ઈરાનથી બલૂચિસ્તાન સુધી ફેલાયેલા આ ક્ષેત્રમાં ઇન્ટેલિજન્સ નિષ્ફળતા માત્ર લશ્કરી તણાવ જ નહીં, પરંતુ ઇન્ફર્મેશન વૉર પણ છેડી શકે છે. આ સંજોગો ભારતના આંતરિક રાજકારણ પર અસર કરનારા સાબિત થાય તેમ બને. ટૂંકમાં એવા દિવસો દૂર નથી કે કોઈ કટોકટી યુદ્ધભૂમિના આંચકાથી નહીં પણ વાયરલ વીડિયોથી શરૂ થઈ જાય. 

ભારત માટે હવે વ્યૂહાત્મક સ્વાયત્તતા (Strategic Autonomy) માત્ર હથિયારો કે તેલ પૂરતી મર્યાદિત નથી, તે હવે ‘અલ્ગોરિધમિક સ્વાયત્તતા’ સુધી લંબાવી પડશે. જો આપણી સુરક્ષા પ્રણાલી વિદેશી કોડિંગ અને પશ્ચિમી અલ્ગોરિધમ્સ પર નિર્ભર રહેશે, તો આપણું ‘Fog of War’ પણ કોઈ બીજાના સર્વરથી નક્કી થશે. ભારતને પોતાની એવી AI ઇકોસિસ્ટમની જરૂર છે જે આપણી જમીની હકીકત, આપણી ભાષા અને આપણી સામાજિક જટિલતાને સમજે, જેથી કોઈ વિદેશી ભૂલ કે ભ્રામક નેરેટિવ આપણી રાષ્ટ્રીય સુરક્ષાને અસ્થિર ન કરી શકે.

ભારત માટે, વ્યૂહાત્મક પડકાર આનાથી બમણો છે. પહેલાં તો, આપણે લશ્કરી AIની આસપાસના વૈશ્વિક ધોરણોને આકાર આપવામાં ગંભીરતાથી ભાગ લેવો જોઈએ “સાર્થક માનવ નિયંત્રણ”(meaningful human control)નો સિદ્ધાંત માત્ર રાજદ્વારી સૂત્ર બનીને રહી જાય તો ન ચાલે. તેનું ઓડિટ કરી શકાય તેવું ઓવરસાઇટ સ્ટ્રક્ચર્સ હોવું જોઈએ. તેમાં મંજૂર માટે એકથી વધુ સ્તર હોવા જોઈએ, નિર્ણય પારદર્શક રીતે લેવાય તે માટેના રસ્તા સાફ હોવા જોઈએ અને જવાબદારીની પણ સ્પષ્ટ પદ્ધતિઓ હોવી જોઇએ. આ બધું ખાસ જરૂરી છે જ્યારે મશીનને આધારે થયેલું વિશ્લેષણ નાગરિકો માટે નુકસાન કરી શકે તેવી શક્યતાઓ નજર સામે હોય. 

બીજું, લોકશાહી રાષ્ટ્રો અને સોસાયટીઝે અલ્ગોરિધમિક યુદ્ધના માહિતી સંબંધિત પરિણામો માટે સાબદા રહેવું પડશે. દરેક પ્લેટફોર્મને પ્રોવેનન્સ સિસ્ટમ્સ, AI-જનરેટેડ વિઝ્યુઅલ્સ માટે વૉટરમાર્કિંગની જરૂર પડશે અને AI-જનરેટેડ વિગતો ડિજિટલ ઇકોસિસ્ટમ્સમાં ફેલાય તે પહેલા જો કોઈ સામગ્રી સાથે ચેડાં થયા હોય તો તે સામગ્રીને ઓળખવા માટે સક્ષમ ઝડપી વેરિફિકેશન નેટવર્ક પણ જોઈશે. 

આમાંથી કોઈ પણ પગલું છેતરપિંડી કે દુર્ઘટનાને નાબૂદ કરશે નહીં. યુદ્ધ ક્યારે ય ટેક્નોલોજીકલ રીતે શુદ્ધ કે નૈતિક રીતે વ્યવસ્થિત રહ્યું નથી. પરંતુ અહીં ધ્યેય સંપૂર્ણતા નથી. ધ્યેય એ છે કે ભૂલથી કોઈ તણખો થાય તો તે ઝડપથી ભડકો ન બની જાય. AIના યુગમાં સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર કદાચ એ જ છે કે ભૂલથી ખડા થયેલા સંકટના ચક્રને ધીમું પાડવાની સમજ અને સાવચેતી સત્તાધિશો પાસે કે નિર્ણય લેનારાઓ પાસે હોય. 

બાય ધી વેઃ  

જ્યારે જવાબદારી અલ્ગોરિધમ્સ, વિશ્લેષકો, કોન્ટ્રાક્ટરો અને કમાન્ડરો વચ્ચે વહેંચાઈ જાય છે, ત્યારે જવાબદારી ધીમે ધીમે અસ્પષ્ટ બની જાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે સિસ્ટમે તો સૂચન માત્ર કર્યું હતું, હુમલાની મંજૂરી માણસોએ આપી હતી તેમ કમાન્ડરનું કહેવું છે અને કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે ટેક્નોલૉજીનો ખોટો ઉપયોગ થયો. AI પ્લેટફોર્મ કહે છે કે તે ફક્ત સામગ્રીને હોસ્ટ કરે છે. આ આખા સર્કિટમાં સત્ય ઓગળી જાય છે.

ક્લોઝવિટ્ઝે લખ્યું હતું કે યુદ્ધ એ અનિશ્ચિતતાનું ક્ષેત્ર છે, એક એવું ધુમ્મસ જેના દ્વારા સૌથી શિસ્તબદ્ધ કમાન્ડરોએ પણ રસ્તો કાઢવો પડે છે. અત્યારે જે રીતે યુદ્ધો ચાલી રહ્યા છે તેનું કઠોર સત્ય, મોતને ભેટેલા શહિદો અને નિર્દોષ બાળકો છે, તે એમ જ ચાલતું આવ્યું છે પણ કમનસીબે હવે આ નુકસાન AIને કારણે પહેલાં કરતાં વધારે ઝડપથી થઈ રહ્યું છે. AI ધુમ્મસ હટાવવા આવ્યું હતું, પણ તેણે તો યુદ્ધને અરીસા વગરના એવા ભુલભુલામણીના રસ્તા પર લાવી દીધું છે જ્યાં સત્ય અને મોત વચ્ચે માત્ર એક સેકન્ડના કોડિંગનો જ ફરક રહ્યો છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 માર્ચ 2026

Loading

...6789...203040...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved