Opinion Magazine
Number of visits: 9552789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

ચંદુ મહેરિયા|Gandhiana|7 October 2025

ચંદુ મહેરિયા

ગાંધીજી (૧૮૬૯-૧૯૪૮) તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વાર કચ્છ ગયા હતા. એકવીસમી ઓકટોબર ૧૯૨૫થી ચોથી નવેમ્બર ૧૯૨૫ની બે અઠવાડિયાની તેમની દીર્ઘ કચ્છયાત્રાનું આ શતાબ્દી વરસ છે. ગાંધીજીએ ‘ કચ્છ કોઈ દિવસ જોયું નહોતું અને તે જોવાની ઇચ્છા’ હંમેશાં રહેલી. વળી સતત ભારતભ્રમણથી તેમનું શરીર નબળું પડી ગયું હતું. કચ્છયાત્રાના આયોજકોએ તેમનો પ્રવાસ ‘ઘોંઘાટરહિત તથા આરામભર્યો બનાવવાનું’ વચન આપ્યું હતું, તે આ પ્રવાસનું એક બાહ્ય પ્રયોજન હતું. ૧૯૨૫ અને ૧૯૨૭ના બે વરસોનો ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમો અને સમાજિક સુધારા માટે સવિશેષ ઉપયોગ કર્યો હતો. એટલે કચ્છયાત્રાના વાસ્તવિક ઉદ્દેશો – દેશબંધુ રેંટિયા સ્મારક માટે દાન મેળવવું, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, સ્વચ્છતા, ગોસેવા, વૃક્ષારોપણ અને જતન ઉપરાંત પ્રજાજીવનમાં રાષ્ટ્રીય પ્રવૃતિ માટે નવચેતન આણવું તથા રાજતંત્રને સજાગ કરવું – વગેરે હતા.

૧૯૨૫ના વરસમાં કચ્છમાં દેશી રજવાડાની રાજવટ હતી. મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા કચ્છનરેશ હતા. તેમના તંત્ર અંગે પ્રજાએ ગાંધીજીને ઘણી ફરિયાદો કરી હતી. એટલે ગાંધીજીએ તેમના પ્રવાસમાં ફેરફાર કરીને મહારાવ રાજમાં હોય ત્યારે કચ્છ જવાનું ગોઠવ્યું હતું. કચ્છના શ્રેષ્ઠીઓ અને આગેવાનોએ મળીને પ્રવાસ ગોઠવ્યો હતો પણ ઔપચારિક રીતે ગાંધીજી કચ્છના રાજાના મહેમાન હતા અને રાજ્યે પણ તેમની સગવડો સારી પેઠે સાચવી હતી. રાજાએ ખુદની મોટર ગાંધીજીને પ્રવાસ માટે આપી હતી. બધા રસ્તા મોટર ચાલી શકે એવા નહોતા એટલે બળદગાડા, ચાડીકા, પાલખી, રેંકડો, મિયાનો, મછવો વગેરેનો ઉપયોગ કરવો પડ્યો હતો. રજવાડાએ રાજધાની ભુજમાં ગાંધીજીનો ઉતારો સંસ્કૃત પાઠશાળામાં રાખ્યો હતો. ગાંધીજીના સહયાત્રીઓમાં સરદાર પટેલ, મહાદેવભાઈ દેસાઈ, મુંબઈના સ્થાનિક યજમાનો અને બીજા થોડા લોકો હતા.

મહાદેવભાઈની ડાયરી, ગાંધીજીનો અક્ષરદેહ અને કચ્છ યાત્રા વિશેના બીજા લખાણોનું સંપાદન “કચ્છમાં ગાંધીજી”(સંપાદક – રમેશ સંઘવી)માં ગાંધીજીની કચ્છયાત્રાના વર્ણનો અને મૂલ્યાંકન વાંચવા મળે છે. યાત્રા પૂર્વે ગાંધીજીએ કચ્છવાસીઓ પાસે “અંત્યજ પ્રત્યેનો તિરસ્કાર સર્વથા નીકળી જવાની આશા” રાખી હતી. (નવજીવન, તા.૨૩.૦૮.૧૯૨૫) આ સંદર્ભમાં તેમની યાત્રાનું શતાબ્દી સ્મરણ કરવા જેવું છે. 

ગાંધીજી અને સહયાત્રીઓ મુંબઈથી આગબોટમાં માંડવી આવ્યા હતા. એ સમયનું માંડવી મહાદેવભાઈના શબ્દોમાં ‘ભૂંડાભૂખ’ જેવું તો કચ્છ ઝાડ કે કશી છાયા વિનાનું, પરદેશથી કમાઈને વર્ષમાં એકાદ મહિનો આવતા ધનિકોના દૂરથી દેખાતાં ઊંચા મકાનોનું અને સૂકા ધૂળવાળા રસ્તાનું હતું.

ગાંધીજીની પહેલી જાહેર સભા ભુજની નાગરોની વાડીમાં હતી. સભાસ્થળે અંત્યજોને આવવા તો દીધા હતા પણ “ગાંધીજીની બેઠકની પાછળ એક ખૂણામાં દોરડાથી બાંધી લીધેલા એક ખંડમાં’ તેમને બેસાડ્યા હતા. આ જોઈને ગાંધીજી વ્યથિત થયા. તેમના ભાષણમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું, “મને બોલાવી અંત્યજોનો અનાદર કરવો, એ તો મારો સખત અનાદર છે. હું અસ્પૃશ્યતાને ભારેમાં ભારે કલંક માનું છું. અંત્યજને પ્રાણસમા માનું છું. જ્યાં અંત્યજોનો તિરસ્કાર થતો હોય ત્યાં હું ઊભો ન રહી શકું.” આખરે સભામાં હાજર લોકોનો આભડછેટમાં માનતા અને ના માનતા એવા બે બાબતે હાથ ઊંચા કરાવીને ગાંધીજીએ મત લીધા અને પરિણામ? ગાંધીજીના શબ્દોમાં “સભાનો વધારે ભાગ ઇચ્છે છે કે અંત્યજોએ એમની આગળ કરેલી વાડ ન ટપવી જોઈએ” એટલે ગાંધીજીએ પોતાનું સ્થાન અંત્યજોને જ્યાં જુદા બેસાડ્યા હતા તેમની વચ્ચે લીધું અને બાકીનું ભાષણ પૂરું કર્યું. 

ગાંધીજીની કચ્છની બાકીની સભાઓમાં આભડછેટમાં નહીં માનનારા બિનદલિતો સાથે દલિતો અને આભડછેટમાં માનનારા એવી જુદી બેઠક વ્યવસ્થા થતી હતી. કોટડા(રોહા)માં અંત્યજ શાળાની પાયા વિધિ ગાંધીજીના હાથે થઈ હતી. પરંતુ કોટડાની અંત્યજ શાળા એ રીતે નોખી-અનોખી થવાની હતી કે કોઈપણ અંત્યજેતર, શિક્ષક સુધ્ધાં, અંત્યજ બાળકને અડવાના નહોતા. અંત્યજ શાળાના ખાતમુર્હતમાં અંત્યજને આવવા દીધા નહોતા! સરદાર પટેલની સમજાવટથી આભડછેટમુક્ત શાળા થશેનું વચન લઈને ગાંધીજીએ શાળાનો પાયો નાંખ્યો પરંતુ દલિત બાળકો માટેની તે શાળા કદી બની નહીં. ૧૯૬૯ના ગાંધી જન્મશતાબ્દી વરસે ગાંધીજીની કચ્છયાત્રાના સ્થળોની રિવિઝીટ કરીને નારણદાસ ઠક્કરે લખ્યું હતું કે, “ગાંધીજીના હાથે થયેલું શીલારોપણ ફોક ગયું છે. કચ્છની પ્રજા માટે આ બાબત પ્રાયશ્ચિતના નિમિત્ત રૂપ છે.” 

માંડવીમાં તો ગાંધીજી માટે ઉતારો અને સભાસ્થળ માંડમાંડ મળી શક્યું. જે એંસી વરસના શ્રીમંત સાધુએ સભા માટે પોતાની જગ્યા આપી હતી તેમને આયોજકોએ સભામાં દાખલ થવાના બે દરવાજા કે બે રસ્તા – એક અંત્યંજો માટે અને બીજો અંત્યજેતર માટે હશે – એવી શરતે મનાવ્યા હતા. દલિતો માટે સભાસ્થળે પ્રવેશવાનો દરવાજો શહેરની દીવાલ અને બ્રહ્મપુરી(સભાસ્થળ)ની દીવાલ વચ્ચેની શાશ્વત શૌચસ્થાન તરીકે વપરાતી ગલી હતી. ગાંધીજીને આ વાતની ખબર પડતાં ગાંધીજી અને તેમની સાથેના મહેમાનો દલિતો માટેના શૌચગલીના અતિ ગંદા રસ્તે જ સભામાં દાખલ થયા. આ વાતે સભાસ્થળના માલિક સાધુ નારાજ થઈને સભાસ્થળ તો છોડી ગયા. તેમની બ્રહ્મપુરી અભડાઈ ગઈ એટલે તેમના માણસોએ દલિતો પર લાઠીઓ વરસાવી. આખરે ગાંધીજીને સભા બરખાસ્ત કરવી પડી. બીજે દિવસે બહાર મેદાનમાં સભા કરવાનું જાહેર કર્યુ. આ સભામાં એક તરફ દલિતો અને બીજી તરફ બાકીના અને બંને વાડાથી અલગ ગાંધીજીનો માંચડો એવી વ્યવસ્થા થઈ હતી. ગાંધીજીને જે માનપત્ર અપાયું તેમાં ‘અસ્પૃશ્યતાનો અઘરો કોયડો અમે સમજ્યા નથી’ એમ લખ્યું હતું. સન્માન પત્ર પ્રમુખે ધ્રૂજતે હાથે ગાંધીજીના હાથમાં ઉપરથી નાંખ્યું હતું.

માંડવીથી મુન્દ્રાના રસ્તે ભુજપુરમાં સવારે સભા હતી. યુવાનો તે માટે ઉત્સાહી હતા પરંતુ ‘વડીલોને સભામાં અસ્પૃશ્યો આવે તે માન્ય નહોતું’ અને ‘અસ્પૃશ્યોના સગા ભાઈ કહેવાતા ગાંધીજીને સન્માનપત્ર પણ આપવું નહોતું’. એટલે ગાંધીજી સભાસ્થળે આવીને બેસી ગયા પણ કોઈ આવ્યું નહીં. આખરે દલિત વસ્તીમાં સભા થઈ હતી. મુન્દ્રાની સભામાં પણ દલિતોનો જુદો વાડો હતો અને તેમાં સભાના યોજકો સહિત ગામના એકેય બિનદલિત તો નહોતા જ દલિતો માટેની શાળાના શિક્ષક અને મુસલમાનો પણ નહોતા. આ સભામાં ગાંધીજીએ કહ્યું હતું કે,  ‘આજે મારી છાતીને ચીરો તો તમે જોશો કે એમાં રુદન ભરેલું છે કે ઓ જીવ, આ તે કેવો હિંદુ ધર્મ કે જ્યાં અંત્યજોની કોઈને કશી પડી નથી, આખા ગામમાંથી, અંત્યજોની વહારે ધાનાર એકપણ નથી!’. કચ્છની છેલ્લી સભા અંજારમાં થઈ તેમાં ગાંધીજીના આગ્રહે સ્વાગત સમિતિના સભ્યો દલિતો ભેળા બેઠા તો ખરા પણ ઘરે જઈને નહાઈ લીધું હતું.

કચ્છયાત્રામાં ગાંધીજીના સહયાત્રીઓ આભડછેટમાં માનતા નથી, એટલે તેમને દલિતોની જેમ પતરાળામાં જમવાનું આપવામાં આવતું હતું. યાત્રામાં સ્વયંસેવક તરીકે છેકથી સાથે રહેલા પાંચ નાગર યુવાનોને નાતબહાર કરવાનો ઠરાવ યાત્રા દરમિયાન જ થઈ ગયો હતો. બ્રાહ્મણો અને જૈનોની નાતે પણ તેમના નાતભાઈઓ યાત્રામાં જોડાઈને અભડાયા તે બદલ નારાજગી કે રોષ વ્યક્ત કર્યા હતા. માંડવીની સભાનું સ્થળ બ્રહ્મપુરી અભડાઈ જતાં તેનું શુધ્ધિકરણ થયું હતું. ગાંધીજીના એકાદ ઉતારે દલિતોને પ્રવેશબંધી હતી તો એક બે પછીથી ગંગાજળ અને ગો મુત્રથી શુદ્ધ કર્યા હતા. 

ગાંધીજી યાત્રાના આરંભે ભુજ આવ્યા ત્યારે તેમના ઊતારે લોકોની ભીડ રહેતી હતી. પરંતુ અસ્પૃશ્યો વિશેના તેમના વિચારો અને વલણ પછી પાછા જતાં ભુજ આવ્યા ત્યારે ઊતારે કોઈ નહોતું. ગાંધીજીને મુંબઈના કર્ણાક બંદરેથી કચ્છ આવવા શેઠ કાનજી જાદવજીએ આગબોટ ભાડે રાખી હતી. પરંતુ પ્રવાસ પૂરો કરી તે જામનગર જવા નિકળ્યા ત્યારે તુણા બંદરે સ્ટીમરવાળાએ દોઢસો રૂપિયા ભાડુ માંગ્યું, ત્યારે તે આપનાર કોઈ નહોતું. અંતે ફાળાના જમા કરાવવાના બાકી નાણામાંથી તે ચુકવ્યા હતા. 

ગાંધીજીની સો વરસ પહેલાંની બહુઉદ્દેશીય કચ્છયાત્રાને એકલા આભડછેટના મુદ્દે મૂલવતાં કહેવું પડે કે તેને સફળતા-નિષ્ફળતાની દૃષ્ટિએ તોલી ન શકાય. સદી પૂર્વેની ભારતીય સમાજની માનસિકતા આભડછેટના બદલાયેલા સ્વરૂપો જોતાં ચાલુ વર્તમાન કાળ લાગે છે. ગાંધીજીની કચ્છ્યાત્રાના પંચોતેર વરસો પછી કચ્છમાં આવેલા ભયંકર ભૂકંપ પછીનું પુનર્વસન નાતજાતના ધોરણે જ થયું જ છે ને?  કચ્છ આજે આભડછેટ મુક્ત કે દલિત અત્યાચારો મુક્ત છે તેવું કહી શકાય એમ નથી. જમીન સુધારાના વિવિધ કાયદાઓ હેઠળ જમીન વિહોણા દલિતોને મળેલી જમીનો પર માથાભારે તત્ત્વોના દબાણમાં કચ્છ જિલ્લો અવ્વલ છે. ૨૦૨૪ના વરસમાં અનુસૂચિત જાતિ-જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદા હેઠળ દલિત અત્યાચારના નોંધાયેલા બનાવોમાં કચ્છ જિલ્લો એકથી દસમાં છે. અને દલિત હત્યામાં એકથી પાંચમાં છે. આભડછેટ અને ભેદભાવના મુદ્દે ગાંધી-આંબેડકરનું કામ કેટલું બાકી છે તે આ વિગતો પરથી સમજાય છે. 

 કવિવર રવીન્દ્રનાથ ટાગોર ‘હે મુજ દુર્ભાગી દેશ’ને જે કહે છે તે જ આપણું અંતિમ શરણ છે ” તું જોતો નથી કે તારે બારણે મૃત્યુદૂત આવીને ઊભો છે, તેણે તારા જ્ઞાતિ અહંકાર ઉપર અભિશાપ ચોડી દીધો છે. જો તું બધાને નહિ બોલાવે, હજીયે જો તું દૂર ખસીને ઊભો રહીશ, અને તારી ચારેકોર અભિમાનનો કોટ રચી પોતાની જાતને બાંધી રાખીશ, તો તારે મૃત્યુ સમયે ચિતાભસ્મમાં તો સૌના સરખા થવું જ પડશે”. 

e.mail: maheriyachandu@gmail.com

Loading

સંઘ શતવર્ષીએ સવાલ એક દિલી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 October 2025

પ્રકાશ ન. શાહ

સંઘ શતાબ્દી નિમિત્તે એક કરતાં વધુ છેડેથી વાત કરી શકું, પણ મારી કોશિશ કેવળ વિચાર મુદ્દે બલકે વિચાર મોરચે કંઈક કેન્દ્રિત રહીને વાત કરવાની છે.

લગરીક છૂટ લઈને આ બાબતે શરૂઆત જો કે વ્યક્તિગત વૈચારિક જીવનની રીતે કરવા ધારું છું, સહેજે સાતેક દાયકા પાછળ જઈને. હું મણિનગરની સરસ્વતી મંદિર શાળામાં ભણતો માધ્યમિકનાં એ વર્ષોમાં હરિશ્ચંદ્ર પટેલ અમારા વર્ગ શિક્ષક (એ પાછળથી ભા.જ.પ. શાસનમાં વિધાનસભાના સ્પીકર બનવાના હતા.) સંઘના કાર્યકર ને ખાસા મિલનસાર ‘કેચ ધેમ યંગ’ની સંગઠન ટૅક્‌નિકમાં સ્વાભાવિક જ સજ્જ ને માહેર. એ રીતે માધ્યમિકનાં વરસોમાં હું શાખામાં જતો થયો અને સક્રિયતામાં હોંશે હોંશે ખૂંપતો પણ થયો. આઠમા – નવમામાં હોઈશ ને અમારી શાખામાં ગોષ્ઠી સારુ પ્રો. વણીકર આવ્યા. અહીં તમે શું શીખ્યા, એવી પ્રશ્નોત્તરીમાં એ ગાળામાં સંઘસ્થાન પરની વ્યાયામેતર વાતોમાં ‘હિન્દુ રાષ્ટ્ર’નો ઉલ્લેખ વારંવાર અને વખતોવખત આવતો હશે, એટલે સ્વતંત્ર વિચારથી નિરપેક્ષપણે કન્ડિશનિંગવશ આપણા રામે ફટકાર્યું કે, હિન્દુ રાષ્ટ્રની કલ્પના આવી. સંઘ વર્તુળમાં આમ કેવળ વાચાગત પણ હું નાની વયે કંઈક પ્રિય, કંઈક સન્માન્ય થવા લાગ્યો હોઈશ … અભિસંધાનથી સધાયેલ સંધાન સ્તો!

મેં સરસ્વતી મંદિર શાળાનો ઉલ્લેખ કર્યો એનો મારા તત્કાલીન વિચારવિકાસને સમજવાની દૃષ્ટિએ અહીં ફોડ પાડવો જરૂરી લાગે છે. આ શાળા રામકૃષ્ણ સેવા સમિતિ ચલાવતી, એને કારણે પરમહંસદેવ અને વિવેકાનંદના સાહિત્ય અને વિચારોનો સહજ સંપર્ક થયો, એને કારણે હિન્દુ ધર્મની વ્યાપકતાનું એક ચિત્ર તેમ સર્વધર્મ સાધનાની અર્ધસમજી પણ અપીલ થવી સહજ હતી.

અને શાલેય વર્ષોની વૈચારિક જીવનની રીતે ત્રીજા વિગતમુદ્દો – તે ગાંધી-નહેરુ-પટેલની સ્વરાજત્રિપુટીની સ્વરાજનાં પ્રારંભિક વર્ષોની અતોનાત મોહની. ગાંધીહત્યા વખતે તો હું પ્રાથમિકનો વિદ્યાર્થી – અમે ત્યારે વડોદરામાં. મને યાદ છે, બાપુ ગયાના સમાચાર આવ્યા ત્યારે અમારી અડોશપડોશનાં ઘરોમાં, ઘરનું માણસ ગયું હોય તેમ સૌએ સ્નાન કરેલું.

ખેર, કાલેજમાં પહોંચ્યો, વિવિધ વિષયો અને નાનાવિધ પ્રવૃત્તિઓનો પરિચય થયો, એ એક નવઉઘાડ હતો અને એમાં સક્રિય સંઘસંધાને દિલભર જીવનલહાવ પૂર્વવત્‌ શક્ય નહોતો. વાંચનની ક્ષિતિજો વિસ્તરતી જતી હતી અને વિધિવત્‌ સ્નાતક (બી.એ.) થતે થતે હું જે ત્રણ લલિતેતર પુસ્તકોમાં કેમ જાણે કંઈક ઠરવા કરતો હતો, તે હતાં ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ) ‘હિન્દ સ્વરાજ’ (મો.ક. ગાંધી) અને ‘હિન્દુ જીવન દર્શન’ (સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌).

ઇતર પ્રવૃત્તિ ખેંચાણવશ સંઘસંપર્ક હવે નિયમિત મટી નૈમિત્તિક થવા લાગ્યો હતો, પણ સંઘ વર્તુળોમાં, અધિકારી ગણમાં, ‘સાધના’ના લેખકોમાં સહજ મળવાનું, વાર્તાવિનોદનું તો થતું હતું. એવામાં એક વાર વકીલસાહેબે (લક્ષ્મણરાવ ઇનામદારે) વાતવાતમાં પૂછ્યું હશે કે, હમણાં શું વાંચું છું? મેં ‘હિન્દુ જીવન દર્શન’નો ઉલ્લેખ કર્યો કે તરત એમની ટિપ્પણી આવી પડી : ‘એમાં બધું જ છે – સિવાય કે હિન્દુ રાષ્ટ્ર!’

મને એકદમ અજવાળું-અજવાળું થઈ ગયું. સંઘવિચાર બાબતે મને જે અમૂંઝવણ ને ગડમથલ થયાં કરતી’તી એનો જવાબ જડી ગયો. વ્યાપક હોઈ શકતા હિન્દુ ધર્મને એક જડબેસલાક રાષ્ટ્રના સાંચામાં ઢાળવાની કોશિશ વિવેકાનંદ-ગાંધી આદિના મારા પરિચયવશ ભલે કંઈક અવ્યાખ્યાયિત, અર્ધસ્ફુટ, પણ મૂંઝવતી હતી, પજવતી હતી … કારણ, વ્યાપક હિન્દુ ધર્મ – જેની મર્યાદાઓ પણ મને કંઈક સમજાવા લાગી હશે – એને એક દેખીતી સાંસ્કૃતિક પણ સરવાળે સાંકડી રાજકીય સમજમાં જડબેસલાક ચાપડાબદ્ધ કરવાની એક ચેષ્ટા ૧૯૨૫થી અહોરાત્ર કાર્યરત હતી.

એક ઊછરતા સ્વયંસેવક તરીકે આંખો મીંચીને જે સંઘ સાહિત્યનું આકંઠ સેવન કર્યું હશે, સાવરકરનું અને ગોળવલકરનું, એ બધું હવે નવેસર સમજાવા લાગ્યું, પુનર્વિચાર ને નકારતી હદે પજવવા લાગ્યું. સાવરકરની હિન્દુત્વ માંડણી અને ગોળવલકર કૃત ‘વી આૅર અવર નેશનહુડ ડિફાઇન્ડ’, એમાં પણ આ બીજું તો ક્યાં ય એટલે કે ક્યાં ય સુધી સંઘી બાઇબલ જેવું પૂજાતું ને પંકાતું. સાવરકરવિચાર સાથે નિકટતા છતાં સલામત અંતરનું એક વ્યૂહાત્મક વલણ સંઘશ્રેષ્ઠીઓમાં સતત રહ્યું – ગાંધીહત્યા પછી કદાચ સવિશેષ. ગમે તેમ પણ હિન્દુત્વ થિસિસ તે તો સાવરકરનો ને સાવરકરનો જ.

વિનાયક દા. સાવરકર

વકીલસાહેબે દીધેલ વિચારધક્કાવશ મેં સાવરકરનું ફરી વાંચન શરૂ કર્યું – એમનો ‘હિન્દુ’ તો ગજબનો ફાંટાબાજ નીકળ્યો. આપણી ઓળખ ‘સિંધુ’ની અને ‘સ’નો ‘હ’ થતાં ‘હિન્દુ’ની. આર્યો આવ્યા તે પૂર્વેથી આ સિંધુ પ્રદેશ હતો જ એટલે કે અહીં આર્યપૂર્વ અસલથી રહેતા તે બધા જ હિન્દુ હતા. આ પિતૃભૂમિ છે, પુણ્યભૂમિ છે. આ સિન્ધુસિન્ધુપર્યંત રહેતા, અહીં જેમની પુણ્યભૂ ને પિતૃભૂ છે તે સૌ હિન્દુ … પત્યું, એક જ ઝાટકે મુસ્લિમો અને ખ્રિસ્તીઓ નોન-પર્સન; કેમ કે મક્કામદીના હો કે જેરુસલેમ, એ કંઈ હિન્દુસ્તાનમાં તો નથી. જેમ-જેમ સાવરકરનું પુનર્વાચન કરતો ગયો તેમ-તેમ સમજમાં ઝમતું ગયું કે એમની હિન્દુની વ્યાખ્યા પશ્ચિમમાં જે ‘રેસ’નો ખયાલ છે એવી જ હૂબહૂ છે. 

સાવરકરે પોતાની વ્યાખ્યા શ્લોકબદ્ધ કરી છે. 

आसिंधुसिंधुपर्यन्ता यस्य भारत भूमिका ।

पितृभू: पुण्यभूश्चैव स वै हिन्दुरिति स्मृत:।।

આ આખો વિપર્યાસ બરાબર સમજવા જેવો છે. ‘રાષ્ટ્રીય’ હોવું એ એક રાજકીય ધોરણ છે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ એ અલગ-અલગ વાત છે, એ રીતે આખો વિમર્શ શરૂ કર્યા પછી ઠરે છે તો પાછા ત્યાંના ત્યાં આવીને કે રાષ્ટ્રીયતાની આખરી ને અફર ઓળખ વગર વ્યાખ્યા તો ધાર્મિક ને ધાર્મિક જ છે. તમે ધર્મે શીખ છો, જૈન છો, બૌદ્ધ છો – ભલે, પણ તમારી પુણ્યભૂ તો હિન્દુસ્તાન જ છે, એટલે તમે રાષ્ટ્રીય કહેતાં હિન્દરાષ્ટ્રી જ છો. 

આ અભિગમનું અર્થઘટન અને અનુસંધાન ક્યાં લગી જઈ શકે, બલકે ગયું જ છે તે મને ‘વી’ના પુનર્વાચનથી સમૂળું પકડાયું. ગોળવલકરને જ ટાંકું : ‘હિન્દુસ્તાનમાં જે વિદેશી નસલના લોકો વસે છે એમણે હિન્દુ સંસ્કૃતિ અને ભાષા અપનાવી લેવી જાઈએ. હિન્દુ ધર્મનો આદર અને સમ્માન કરવાનું શીખી લેવું જાઈએ. હિન્દુ નસલ અને સંસ્કૃતિના ગૌરવ સિવાયનો કોઈ વિચાર એમણે સેવવો ન જાઈએ. અન્યથા, રહેવું જ હોય આ દેશમાં તો હિન્દુ રાષ્ટ્રને પૂર્ણ આધીન થઈને રહેવું જોઈએ. કોઈ વિશેષ અધિકાર માટેનો દાવો તો દૂર રહ્યો, એમણે નાગરિક અધિકારો સુદ્ધાંની ઉમેદ રાખવાનોયે સવાલ જ નથી.’

આ વ્યાખ્યાગત સમજમાં રહેલી હિંસ્ર, અમાનુષી સંભાવનાઓ ‘વી’ના વાચકના ખયાલ બહાર ન જ જઈ શકે. કન્ડિશન્ડ માનસથી વાંચતાં જે ચૂક્યો હોઈશ તે વકીલસાહેબે દીધેલ વિચારધક્કાવશ પુનર્વાચન સાથે બરાબરનું પકડાયું. ગોળવલકરે લખ્યું છે કે હિટલરે રાષ્ટ્ર કઈ રીતે બેઠું કર્યું તે નેત્રદીપક છે. શુદ્ધ આર્ય લોહીનું વંશીય ગાંડપણ અને યહૂદી નિકંદન સત્રનો મહિમા એમાંથી ક્યારેક સરસ સોડાતો હશે, એ મારી વિકસિત સમજ સાથેના પુનર્વાચને કેવળ ગંધાતું ને ચીતરી ચડતું અનુભવાયું હતું, તે આ લખતાં સાંભરે છે. ઇચ્છું કે એને વાચા આપી શકું, ખરેખરની ને ખરાખરીની.

બી.એસ. મૂન્જે

૧૯૩૯માં, એક રાતમાં લખાઈ ગયાની વાયકાસોતું આ પુસ્તક પ્રગટ થયું અને વિસ્તરતા સંઘકાર્યમાં એ કેવું તો ઊંચકાયું હશે કે ૧૯૪૦માં તે ચાર – ચાર વાર છપાયાની નોંધ મળે છે. સહેજે ૧૯૬૪-૬૫ લગી એની ગુજરાતી, હિન્દી નકલો અને મૂળ અંગ્રેજી સંસ્કરણ મેં જાયાનું સાંભરે છે. ધીમે-ધીમે એ ચલણમાંથી કાળજીપૂર્વક દેખીતી હટાવાઈ હશે એમ લાગે છે. 

હિટલરની પ્રશંસા ને અનુમોદના ધારો કે પળવાર બાજુએ રાખીએ તો પણ ગેરહિન્દુને નાગરિક અધિકાર સુદ્ધાં નહીં, એવી દાંડીપીટ બલકે જંઘાઠોક રોકડી રજૂઆત બાબતે લોકશાહી પ્રજાસત્તાકમાં કંઈક શરમસંકોચ કે મૌન સલાહભર્યું લાગ્યું હશે કે કેમ, પણ દાયકાઓના ઘોર સેવન પછી તે એકાએક, દેખીતી તો, અલોપ જ થઈ ગઈ.

આ પ્રક્રિયાનો વિલક્ષણ ખુલાસો અને મને મોડેથી છેક ૨૦૦૬માં જાહેર જીવન અને રાજનીતિના એક આજીવન છાત્રને નાતે નાગરિક હેસિયતથી ‘શ્રી ગુરુજી સમગ્ર’ના બાર ખંડમાંથી પસાર થતાં મળ્યો, તે હું અહીં સાભિપ્રાય સંભારું છું. ‘સમગ્ર’માં ‘વી’નો સમાવેશ કેમ નથી એની સ્પષ્ટતા કરતાં કહેવાયું છે કે, “ ‘વી (We)’ પુસ્તકનો ઉલ્લેખ કરતાં તેમણે (ગોળવલકરે) પોતે જ કહ્યું છે કે જ્યાં સુધી તેમના નામે છપાયેલ ‘વી આૅર અવર નેશનહુડ ડિફાઇન્ડ’નો પ્રશ્ન છે, તે પણ શ્રી ગણેશ દામોદર ઉપાખ્ય બાબારાવ સાવરકરના મરાઠી પુસ્તક ‘રાષ્ટ્રમીમાંસા’નો સંક્ષિપ્ત સ્વૈર અંગ્રેજી અનુવાદ છે. આ સંદર્ભમાં મુંબઈમાં હિન્દુ મહાસભા દ્વારા આયોજિત ‘સૈનિકીકરણ સપ્તાહ’ના કાર્યક્રમમાં દિનાંક ૧૫ મે, ૧૯૬૩માં અપાયેલા ભાષણમાં શ્રી ગુરુજીએ પોતે કહ્યું, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’માં ‘We’ અર્થાત્‌ ‘આમ્હી કોણ’ નામક પુસ્તકનું નિયમિત વાંચન કરવામાં આવે છે. બાબારાવ સાવરકર દ્વારા લિખિત ‘રાષ્ટ્રમીમાંસા’ પુસ્તક પરથી ‘We’ અથવા ‘આમ્હી કોણ’ પુસ્તક મેં લખ્યું. બાબારાવની આજ્ઞા અનુસાર મેં તેમના આ પુસ્તકનું હિન્દી ભાષાંતર પણ કર્યું. બાબારાવના આ ઋણનો સ્વીકાર જાહેરમાં  કૃતજ્ઞતાપૂર્વક કરવો એ મને યોગ્ય લાગે છે.”

શું, કેમ કે, ‘વી’ તે અનુવાદ છે, એટલામાત્રથી (અને તે પણ પ્રગટ થયાના ખાસા ચોવીસ-ચોવીસ વરસ પછીના ખુલાસા માત્રથી) ઓઝલ રખાયેલ છે? સંઘમાં પેઢાનપેઢી જેવું સેવન થતું રહ્યું, તે પુસ્તકની પોતાની જવાબદારી બાબતે અનુવાદની આડશે હાથ ઊંચા કરવામાં પ્રામાણિકતા કેટલી ને વ્યૂહાત્મકતા કેટલી તે તપાસ મુદ્દો છે. મેં ‘રાષ્ટ્રમીમાંસા’ (બાબારાવ સાવરકર) જોયું કે વાંચ્યું નથી; પણ જે અભ્યાસીઓ આ મૂળ ગ્રંથમાંથી પસાર થયા એમણે નોંધ્યું છે કે, ગેરહિન્દુ નાગરિક નિર્મૂલન એમાં નથી. મતલબ, આ ‘નિર્મૂલન’ એ અનુવાદક અર્થાત્‌ ગોળવલકર ગુરુજીનું પોતાનું ઉમેરણ અર્પણ છે અને પ્રથમ સરસંઘચાલક હેડગેવારથી ગોળવલકરની ટર્મ પૂરી થયા સુધી (૧૯૭૩) સુધી અને સંભવતઃ તે પછી પણ ઓછુંવત્તું સેવાતું રહ્યું છે. 

વિસ્તારભયે હવે એક જ મુદ્દો ઓછોવત્તો લઈ સમેટવાની કોશિશ કરું. ૧૯૬૫માં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવવાદની પ્રગટ જિકર કરી. એ પૂર્વે એમનાં લખાણોમાં શંકરાચાર્ય કે ચંદ્રગુપ્ત જેવા સંઘસ્થાન પરના ચરિત્રકથન – વાર્તાકથન ઢબનાં જોવાં મળે છે. અપવાદરૂપ એમની ‘આૅર્ગેનાઇઝર’માંની ‘પોલિટિકલ ડાયરી’ એનું સંપાદન સંપૂર્ણાનંદની પ્રસ્તાવના સાથેનું મેં જોયાનું સાંભરે છે, પણ લેખક ચિંતક તરીકે દીનદયાલનો બ્રેક થ્રૂ નિઃશંક એકાત્મ માનવ દર્શનનો છે, જે ૧૯૬૫નાં મુંબઈ વ્યાખ્યાનો સાથે થયો. હાલ ગ્રંથનિર્માણ બોર્ડના પ્રકાશન રૂપે સુલભ ‘એકાત્મ માનવ દર્શન’ ૧૯૬૭માં વિષ્ણુ પંડ્યાના ગુજરાતી અનુવાદમાં જનસંઘ શિબિર માટે સુલભ થયું હતું, તે હમણાં જ મુખપોથી પર વાંચવા મળ્યું. ભારતીય જનતા પક્ષે પણ એકાત્મ માનવવાદની પોતાના બંધારણમાં પ્રતિષ્ઠા કરી છે. 

દીનદયાલ ઉપાધ્યાય એક વરિષ્ઠ સંઘ પ્રચારક હતા અને મારી પાસે વધારે દીનદયાલ હોત તો ટૂંકા ગાળામાં જનસંઘને હું ક્યાં ય આગળ લઈ ગયો હોત, એવી શ્યામાપ્રસાદ મુખર્જીની જાહેર શાહેદી છે. ઉપાધ્યાયના સમગ્ર ચિંતનમાં ઊંડે નહીં જતાં ઉતાવળે એટલું જ નોંધીશું કે રાષ્ટ્રમાત્રથી કોઈક ‘ચિતિ’ હોય છે. ભારતની ચિતિ તે ધર્મ છે. શાંતિથી સમજીએ, આ ધર્મ એ હિન્દુ ધર્મ જેની સાવરકર – ગોળવલકરે વંશીય રાષ્ટ્રીય દરજ્જે પ્રાણપ્રતિષ્ઠા કરી તે નથી. તે ‘ધર્મ’ છે, જેને અંગ્રેજીમાં શ્રી અરવિંદ ‘કોડ આૅફ કન્ડક્ટ’ કહે છે, તે ‘રિલિજિયન’ નથી. સંઘ પરિવાર એમ તો કહી શકે છે, કહે છે કે અમે ‘ધર્મ’ની વાત કરીએ છીએ; પશ્ચિમી – સેમિટિક અર્થમાં ‘રિલિજિયન’ની નથી કરતા, પણ આ પરિવારની ૧૯૨૫થી જે રાષ્ટ્રની વ્યાખ્યા છે એમાં પુણ્યભૂ – પિતૃભૂની શરતે જે મૂળ તત્ત્વ છે એ તો ધરાર સેમિટિક અને સેમિટિક જ છે. વિવેકાનંદ, અરવિંદ, ગાંધી પોતપોતાની રીતે ભાતે ‘ધર્મ’ની વ્યાખ્યારૂપ, જીવન જીવ્યા – ગાંધીના કિસ્સામાં તો જાહેર જીવન આખું એની વ્યાખ્યારૂપ ચાલ્યું. તિલકના નિધન પછી કાઁગ્રેસ નેતૃત્વ, સાફ દેખાતી ગાંધી પ્રતિષ્ઠાને બદલે, ‘સલામત હાથ’માં જાય તે માટે અરવિંદને પોંડિચેરીથી પાછા ફરવાનું સમજાવવા હેડગેવાર (અને મુંજે) ગયા હતા, પણ અરવિંદે ઇનકાર કર્યો હતો. એમાં પોતે સાધી રહેલ યોગનો મુદ્દો મુખ્ય અને મહત્ત્વનો હશે, પણ સનાતન ધર્મ (નિતાન્ત ‘હિન્દુ’ ધર્મ નહીં) એ પણ એક મુદ્દો હોવાનું સમજાય છે. 

ગમે તેમ પણ, ધર્મ એ જો રિલિજિયન નથી તો તે ‘હિન્દુત્વ’ની જેમ સેમિટિક રાષ્ટ્રવાદ પણ નથી. દીનદયાલે છેડેલ અને એમના અકાલમૃત્યુથી છૂટી ગયેલ ચર્ચા જો ચાલે અને એ ધોરણે ‘વી’ને તળેઉપર તપાસવામાં આવે તો … ૨૦૧૮માં અને હજુ હમણાં આૅગસ્ટ ૨૦૨૫માં સંઘ શતાબ્દીની નાંદી રૂપ વિજ્ઞાન ભવન વ્યાખ્યાનોમાં વર્તમાન સરસંઘચાલક ભાગવતે ‘સ્વદેશી સમાજ’ (રવીન્દ્રનાથ) અને ‘હિન્દ સ્વરાજ’ (ગાંધીજી) તરેહના ઉલ્લેખો જરૂર કર્યા છે, પણ વરખ જેવા છે, એમાં અંતઃ તત્ત્વની તપાસ અગર આત્મનિરીક્ષા નથી. 

સૈકાની સિદ્ધિ તમે એને જરૂર કહી શકો કે ભા.જ.પ. આજે સત્તાસુખભોગી છે અને સંઘને પણ એની આસપાસ તામઝામ નસીબ છે, પણ ધર્મ કહેતાં પેલી ચિતિ ક્યાં ય છૂટી ગઈ અને રાજાપાઠમાં છે એ તો રિલિજિયન છે. ભલા ભાઈ, સૈકાની સલામ સહ સવાલ એક દિલી કે જે ભારતનું ‘સ્વ’ હોઈ શકે એને અને સત્તાસિદ્ધિને શું લાગેવળગે.

પ્રગટ : “અભિયાન”; 11 ઑક્ટોબર 2025; પૃ. 21-23
સહાય સૌજન્ય : હિદાયતભાઈ પરમાર
Editor: nireekshak@gmail.com

Loading

અંધભક્તો સનાતન ધર્મના સ્વઘોષિત એમ્બેસેડર બની જાય છે !

રમેશ સવાણી|Opinion - Opinion|7 October 2025

6 ઓક્ટોબર 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં એક દુઃખદ ઘટના બની. CJI-ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ સાહેબ સમક્ષ ચાલતા કેસ દરમિયાન વકીલ રાકેશ કિશોરે (ઉંમર  71) ચીફ જસ્ટિસ તરફ જૂતું ફેંકવાની કોશિશ કરી હતી અને નારા લગાવ્યા હતા કે ‘સનાતન કા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન.’

ચીફ જસ્ટિસ સાહેબે બિલકુલ ચલિત થયા વિના કેસની સુનાવણી ચાલુ રાખી. એટલું જ નહીં વકીલ રાકેશ કિશોરને તેમનું જૂતું પરત કરાવ્યું અને જૂતું ફેંકનારને છાંડી મૂકવા પોલીસને સૂચના આપી !

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ રાકેશ કિશોરને તાત્કાલિક અસરથી વકીલાતની પ્રેક્ટિસ કરવામાંથી સસ્પેન્ડ કરી દીધો છે. 

આ દુઃખદ ઘટના બાદ શરમજનક ઘટના એ બની કે કેટલાક ગોડસેવાદીઓએ જૂતું ફેંકવાની બાબતનું સમર્થન કર્યું ! અંધભક્તોને તો વકીલ રાકેશ કિશોરમાં ગોડસેના દર્શન થયા ! માની લઈએ કે ચીફ જસ્ટિસે સનાતન ધર્મનું અપમાન કર્યું હોય તો તેની સજા આપવાનો અધિકાર વકીલ રાકેશ કિશોર પાસે હતો? હિંસક બની જૂતું ફેંકવાનું? શું કોઈ ગોડસેની જેમ કોઈ વકીલ ધર્મનો ‘સ્વઘોષિત ઠેકો’ લઈ શકે? શું સનાતન ધર્મ જજ પર જૂતું ફેંકવાની મંજૂરી આપે છે? ચીફ જસ્ટિસ દલિત છે, એ બાબત સ્વઘોષિત ઠેકેદારોને કઠી હશે? 

બંધારણ અને સનાતન વચ્ચેનો સંઘર્ષ એ જ દિવસે શરૂ થયો હતો જ્યારે CJI બન્યા પછી જસ્ટિસ બી.આર. ગવઈ પહેલી વાર મુંબઈ આવ્યા હતા, પરંતુ મુખ્ય મંત્રી ફડણવીસ કે DGP શુક્લા તેમને મળવા પણ ગયા ન હતા. મુંબઈમાં આ વર્તન કે દિલ્હીમાં જૂતું ફેંકવાની ઘટના ગોડસેવાદી માનસિકતાનું ઉદાહરણ છે.

ખજુરાહો મંદિરમાં ભગવાન વિષ્ણુની તૂટેલી મૂર્તિના પુનઃનિર્માણ માટેની અરજીને અયોગ્ય ઠરાવતા CJI ગવઈએ કહ્યું હતું કે “આ અરજી વ્યર્થ છે અને પ્રચાર માટે છે. જો અરજદારોને ભગવાનમાં શ્રદ્ધા હોય, તો તેમણે પોતે ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ. અને ધ્યાન કરવું જોઈએ. કારણ કે આ મુદ્દો ASI-ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અધિકારક્ષેત્રમાં આવે છે.” આટલી ટિપ્પણીમાં સનાતનનું અપમાન થઈ ગયું ! 

વિચારો; જો દેશના ચીફ જસ્ટિસ સાથે શરમજનક હરકત થઈ શકતી હોય તો દેશના સામાન્ય લોકો પર ગોડસેવાદીઓ કેટલો જુલમ કરતા હશે? સનાતનનું ભૂત વિશેષ વર્ગના લોકોમાં કઈ રીતે ધૂણી રહ્યું છે? 71 વર્ષની ઉંમર થઈ છતાં વિવેક કેમ ગુમાવી દીધો હશે?

દેશમાં વર્ષોથી એટલું ઝેર ફેલાવ્યું છે કે હવે મોદીજી તેને રોકી શકે તેમ નથી. CJI તરફ જૂતું ફેંકવાની ઘટના, ત્યારબાદ કેટલાક લોકો દ્વારા તેમને ટેકો આપવો, એ કોઈ સામાન્ય ઘટના નથી. વડા પ્રધાન જ્યારે જાહેર મંચો પરથી નફરત ફેલાવતા હોય ત્યારે અંધભક્તો સનાતન ધર્મના સ્વઘોષિત એમ્બેસેડર બની જાય છે ! મોદીજી જાણે છે કે દેશની મોટાભાગની સિસ્ટમો હવે તેના ઈશારે ચાલે છે. સંસદ, મીડિયા, એજન્સીઓ, ચૂંટણી પંચ – તેમણે દરેક વસ્તુ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. પરંતુ એક ક્ષેત્ર એવું છે જે હજુ પણ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં આવ્યું નથી – ન્યાયતંત્ર ! અને તે હવે વાસ્તવિક લક્ષ્ય છે ! નિશિકાંત દુબેનું નફરતી નિવેદન ‘ભૂલ’ નહોતી, તે એક સંકેત હતો. નફરત ઇકોસિસ્ટમમાંથી જારી કરાયેલ કોડ, જે સમગ્ર મશીનરીને સક્રિય કરે છે. જેનો વાસ્તવિક હેતુ ન્યાયતંત્ર પર નિયંત્રણ છે.

તેઓ જાણે છે જ્યારે અંતિમ ન્યાય પણ ડરી જશે, તો અંતિમ આશા પણ મરી જશે !

ભારતીય બંધારણની ડ્રાફ્ટ કમિટીના ચેરમેન ડો. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું : “જો હિન્દુ રાષ્ટ્રની રચના થાય, તો તે નિઃશંકપણે આ દેશ માટે ગંભીર ખતરો ઊભો કરશે. હિન્દુઓ ગમે તે કહે, પણ હિન્દુત્વ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ માટે ખતરો છે. હિન્દુરાજને કોઈપણ કિંમતે અટકાવવું જોઈએ.” 

06 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...68697071...8090100...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved