Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગામ ઝુરાપો

પ્રીતમ લખલાણી|Poetry|23 July 2025

ફાટફાટ પાણીથી
વહેતી નદીના સામે કાંઠે,
પીપળ તળે નેજવું કરીને
મારી રાહ જોતું
ઊભું છે
ગામનું પાદર!
શેરીની બન્ને ધારે
બારી ઉઘાડીને
ગુપચુપ વર્ષોથી
મારી પ્રતીક્ષામાં બેઠાં છે
ગાર માટીનાં ખોરડાં ….
ફળિયે
બાળ ભેરુ જેવા
વર્ષોથી લીલાં પર્ણ ખેરવતા
પીળા પડી ગયેલા લીમડા હેઠે,
મારા સ્પર્શની રાહ જોતી,
લીલું સુક્કું ભરડતી
સમયને વાગોળતી આંચળને ચાટતી
રાતડીને
વળગીને બેઠી છે
વાછડી!
સાંકળ ખખડવાની વાટમાં ….
રાતદિવસ
ચુંદડીના છેડે
અનરાઘાર આંખેથી વહેતા
આંસુ લૂછી
જર્જરિત થઈ ગયેલ
 ડેલીની
 સામે આવીને
હવે કેમ હું ચાલ્યો જાવ છું?
જાણે
કોઈ ગામમાં
ભૂલા પડેલા એક પરદેશીની જેમ!

65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ભાષાને ધર્મ કે સંપ્રદાયના વાડાથી મુક્ત રાખીએ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 July 2025

ચંદુ મહેરિયા

તમિલનાડુ પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ત્રિભાષા ફોર્મ્યુલા ઊંધા માથે પટકાઈ છે. જો રાજભાષા હિન્દીના આ હાલ હોય તો ઉર્દૂનું તો પૂછવું જ શું?

મહારાષ્ટ્રના અકોલા જિલ્લાની પાતુર નગરપાલિકાની નવી ઈમારત પરના સાઈન બોર્ડમાં  નગરપરિષદ, પાતુર મરાઠી ઉપરાંત ઉર્દૂમાં લખવામાં આવ્યું હતું. સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ કેટલાકને ન ગમ્યો. પૂર્વ નગરસેવિકા વર્ષાતાઈ સંજય બાગડેએ આ બાબતે પહેલાં નગરપાલિકા, કલેકટર અને રાજ્ય સરકારમાં રજૂઆતો કરી. પરંતુ ધાર્યો પ્રતિસાદ ન મળ્યો. એટલે તેમણે પાલિકાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો. ૧૯૫૬થી ચાલી આવતી મરાઠી ઉપરાંત ઉર્દૂ સાઈન બોર્ડની આ પરંપરાની વિરુદ્ધ ૨૦૨૦થી આજ સુધીમાં બે વાર બોમ્બે હાઈકોર્ટ અને બેવાર સુપ્રીમ કોર્ટમાં તેમણે દાદ માંગી. ૧૯૬૫ અને ૨૦૨૨ના મહારાષ્ટ્રના રાજભાષા સંબંધી કાયદાઓનો હવાલો આપી વર્ષાતાઈએ પાતુર નગરપાલિકાના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ ભાષા હઠાવી લેવા માંગ કરી હતી. પરંતુ અદાલતોએ તેમની માંગણીને ગેરકાયદે ઠેરવી છે. એક નગરપાલિકાની ઈમારત પરના સાઈન બોર્ડમાંથી ઉર્દૂ દૂર કરવા છેક સુપ્રીમ સુધી લડવાની આ હિંમત ભાષાના મુદ્દે આપણે કઈ હદે આડા, ઝનૂની અને સંકીર્ણ છીએ તે તો દર્શાવે છે જ સાથે સહિષ્ણુતાની આવશ્યકતા અને ભાષાની વિવિધતાની સરાહનાની જરૂરિયાત કેટલી બધી છે તે પણ સ્પષ્ટ કરે છે. 

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સુધાંશુ ધૂલિયા અને વિનોદ ચંદ્રનની બેન્ચે પિટિશનરના વકીલોની એ દલીલ સ્વીકારી નહીં કે રાજ્ય સરકારના રાજભાષા સંબંધી અધિનિયમોથી નગરપાલિકાઓનો વહીવટ મરાઠીમાં કરવાનો હોય છે એટલે સાઈન બોર્ડમાં ઉર્દૂનો ઉપયોગ થઈ શકે નહીં. ન્યાયાધીશોએ મરાઠીમાં વહીવટનો મતલબ એ નથી કે અન્ય ભાષાનો સાઈન બોર્ડમાં પણ ઉપયોગ ન થઈ શકે તેમ જણાવી તેમની અપીલ નામંજૂર કરી છે. ખંડપીઠ વતી જજમેન્ટ લખતાં જસ્ટિસ ધૂલિયાએ ઉર્દૂ ભાષા અંગે કરેલી ટિપ્પણીઓ ખૂબ જ મહત્ત્વની છે અને ભાષા મુદ્દે દેશમાં ચાલતા વર્તમાન વિવાદોમાં વિચારણીય છે.

જીવનની કોઈ પણ બાબતને ધર્મનાં ચશ્મે જોવાની આપણને આદત પડી છે. એટલે ભાષાને પણ આપણે એ જ નજરે જોઈએ છીએ. અદાલતે ઉર્દૂને મુસલમાનોની, પારકી કે પરદેશી ભાષા ગણવાની ગેરસમજમાંથી બહાર આવવા અપીલ કરી છે. ઉર્દૂ ભાષા ભારતમાં જન્મેલી ભારતીય ભાષા કે ઈન્ડો આર્યન ભાષા છે. તેને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં ઉદ્દભવેલી ઉર્દૂ ગંગા-જમની તહજીબ કે હિંદુસ્તાની તહજીબનું બહેતરીન ઉદાહરણ છે. ઉર્દૂ અદબ (વિનમ્રતા, સન્માન, માન-મર્યાદા) ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે. વસ્તીની જેમ દેશમાં ભાષાઓ પણ મિશ્ર છે અને ઉર્દૂ તો વળી હિન્દીની ભગિની ભાષા છે. બંનેની ઉત્પતિ અને વિકાસ લગભગ સાથે સાથે જ થયા છે. લિપિ ભેદ સિવાય બંનેમાં ઘણી સમાનતા છે. મુન્નવર રાણા સાચું જ કહે છે, 

લિપટ જાતા હું માં સે ઔર મૌસી મુસ્કુરાતી હૈ. 

ઉર્દૂ મેં ગઝલ કહેતા હું ઔર હિંદી મુસ્કુરાતી હૈ. 

ભારતમાં પેદા થયેલી ઉર્દૂ ખરેખર ક્યાં જન્મી તે અંગે વિભિન્ન મતો પ્રવર્તે છે. તેનું જન્મસ્થાન વ્રજ, દિલ્હી અને દખ્ખન હોવાના દાખલા દેવાય છે. ઉર્દૂ શબ્દ તુર્કી ભાષાના ઓરદુ પરથી ઉતરી આવ્યાનું મનાય છે. તેનો અર્થ છાવણી કે શાહી પડાવ થાય છે. તે ફારસી, અરબી અને તુર્કીથી પ્રભાવિત ભાષા છે. ભારતમાં ઉર્દૂ શબ્દ વપરાયો તે પહેલાંની તેની દીર્ઘ સફરમાં તે હિન્દવી, જબાન-એ હિંદ, હિન્દી, જબાન-એ-દેહલી, રેખ્તા, ગુજરી, દક્ખની, જબાન-એ ઊર્દૂ-એ-મુઅલ્લા, જબાન-એ ઉર્દૂ અને અંતે ઉર્દૂ કહેવાઈ હતી. ઉત્તર પ્રદેશના અમરોહામાં ઈ.સ. ૧૭૫૧માં જન્મેલા કવિ-શાયર ગુલામ હમદાની મુસહફીએ સૌથી પહેલા ઈ.સ. ૧૭૭૦માં ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો હોવાનું કહેવાય છે. મોગલોના આગમન સાથે જન્મેલી અને પછી તેમના રાજ દરબારમાં સ્થાન પામેલી ઉર્દૂ આમ જનતાની બોલી છે. 

પૂર્વોત્તર રાજ્યો સિવાય લગભગ દેશ આખામાં વસ્તીનો કોઈને કોઈ ભાગ ઉર્દૂનો ઉપયોગ કરે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉર્દૂ બોલનારા લોકોની સંખ્યા દેશમાં ૫.૭૭ કરોડ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટક એ પાંચ રાજ્યોમાં જ કુલ ઉર્દૂ બોલનારી વસ્તીના ૮૫ ટકા વસ્તી છે. જમ્મુ-કશ્મીરની તે રાજભાષા છે. તો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તેલગંણા અને દિલ્હીમાં તેને બીજી રાજભાષાનો દરજ્જો પ્રાપ્ત છે. બંધારણની આઠમી અનુસૂચિમાં જે બંધારણમાન્ય ૨૨ ભાષાઓ છે તેમાં ઉર્દૂનો સમાવેશ થયેલો છે. દક્ષિણ એશિયાઈ ભાષા ઉર્દૂ ભારત અને પાકિસ્તાનમાં વધુ બોલાય છે. તે ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ખાડી દેશો, અમેરિકા અને યુરોપના દેશોમાં પણ તે બોલાય છે. ઉર્દૂ સાહિત્ય ઘણું સમૃદ્ધ છે અને તેમાં મહાન સાહિત્યકારો જન્મ્યા છે. આ સાહિત્યકારોમાં મુસલમાનો જેટલા હિંદુઓ પણ છે. 

૧૯૨૩ના કાઁગ્રેસના કાકીનાડા અધિવેશનમાં કાઁગ્રેસની કાર્યવાહીમાં હિન્દુસ્તાનીનો ઉપયોગ કરવાનો ઠરાવ થયો હતો. ભાષાના સાંપ્રદાયિકરણ અને અંગ્રેજોના હાથે ભાષાના રાજનીતિકરણને અનુભવી ચૂકેલા ગાંધીજી હિન્દી અને ઉર્દૂના મિશ્રણસમી હિંદુસ્તાનીને ભારતની રાષ્ટ્રભાષા બનાવવા માંગતા હતા. તેમાં ઉર્દૂ કે દેવનાગરી બંનેમાંથી કોઈ પણ લિપિમાં લખવાની અનુમતી હતી. તેઓ એમ પણ ઈચ્છતા હતા કે ફારસીનિષ્ઠ ઉર્દૂ અને સંસ્કૃતનિષ્ઠ હિન્દી ન હોય પણ બેઉનું સંમિશ્રણ હોય તેવી ભાષા હોવી જોઈએ. 

આજે ઉર્દૂને સંકીર્ણ દૃષ્ટિએ કે તેને ભારતીય ભાષાને બદલે મુસલમાનોની ભાષા તરીકે જોવામાં આવે છે. તેના મૂળમાં ભારતના કોમી ધોરણે થયેલા ભાગલા અને પાકિસ્તાને ઉર્દૂને કૌમી જબાન (રાષ્ટ્રભાષા) બનાવી તે છે. પાકિસ્તાનની જેમ તેની રાષ્ટ્રભાષાને પણ  ભારતીયોનો એક વર્ગ દુ:શ્મન કે પરાયાની નજરે જુએ છે. ઉર્દૂ ભારતમાં જ જન્મી છે અને પાંગરી છે તે હકીકત ભૂલાવી દેવાય છે. સાહિત્ય, સંસ્કૃતિ અને કલાના શક્તિશાળી માધ્યમના રૂપમાં વિકસિત થયેલી ઉર્દૂ મિશ્રિત વારસો ધરાવતી ભાષા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે તેમ ભાષાને કોઈ ધર્મ નથી તે એક સમુદાય, પ્રદેશ અને લોકોની ભાષા છે અને પરસ્પરના આદાન-પ્રદાનનું માધ્યમ છે. ભાષા સંબંધી સંકીર્ણ અને સાંપ્રદાયિક વિવાદોમાં લોકોની સંવેદનાઓ, જૂની માન્યતાઓ અને રાજનીતિની ભૂમિકા રહેલી છે. 

સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઉર્દૂ ભાષા વિષે ટાંકેલી આ પંક્તિઓ સૌને વિચારવા પ્રેરે છે: 

ઉર્દૂ હૈ મેરા નામ

 મૈં ખુસરો કી પહેલી 

 ક્યોં મુઝ કો બનાતે હૌ

 તાજ્જુબકા નિશાના

 મૈંને ખુદ કો કભી મુસલમાન નહીં માના

 દેખા થા કભી મૈંને ભી ખુશિયોં કા જમાના

 અપને હી વતન મૈં હું 

 મગર આજ અકેલી

 ઉર્દૂ હૈ મેરા નામ 

મૈં ખુસરો કી પહેલી.

“પોતાને માત્ર હિન્દી કે ઉર્દૂ સુધી મર્યાદિત રાખવો તે બુદ્ધિમત્તા અને દેશભક્તિની ભાવના વિરુદ્ધનો ગુનો છે”, એવી ગાંધીજીની ચેતવણી પણ અનેક વિચારજાળા સાફ કરતા સુપ્રીમના ચુકાદા સાથે સંભારીએ. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

ઉમાશંકર : સત્યની ખોજ માટે પંકાયેલા દેશમાં જ સત્યનો ભય?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 July 2025

ભારતમાં ક્યારે ય પ્રી–સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. દેશ આખાને આવરી લેતો ભય–આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી?

જન્મ : 21-7-1911 — મૃત્યુ : 19-12-1988

હમણાં જ ઉમાશંકર જયંતી (21 જુલાઈ) ગઈ. થાય છે, એ નિમિત્તે પચાસ વરસ પરના એમના રાજ્યસભાના વક્તવ્યને જરી સંભારી લઉં. કટોકટીની જાહેરાત પછી સંસદ મળી ત્યારે થયેલી ચર્ચા દરમ્યાન એમણે વિચારો વ્યક્ત કરવાની તક 22મી જુલાઈએ ઝડપી હતી. જોગાનુજોગ, 21મીએ જ ચંડીગઢના જેલવાસમાંથી જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધી જોગ પત્રમાં પોતાની ભૂમિકા દો ટૂક શબ્દોમાં મૂકી હતી. આ પત્ર અને એ વક્તવ્ય બેઉમાં આર્ત પુકાર અને સ્પષ્ટ કથનનું દર્શન થતું હતું.

કેમ કે તેઓ ઉપલા ગૃહમાં બોલી રહ્યા હતા, ઉમાશંકરે ગૃહમાંના વડેરાઓને ય વિશેષ રૂપે સંબોધવાની તક ઝડપી હતી, પણ એની વાત ઘડીક રહીને. વક્તવ્યના પૂર્વાર્ધમાં એમણે કહ્યું હતું :

‘ભારતમાં ક્યારે ય પ્રી-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય-આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી? … આ છે સત્યનો ભય ને તે એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે. બીજા કશા કરતાં પણ આ બાબતે દુનિયાના દરબારમાં દેશને માથે કાળી ટીલી તાણી છે.’

આ સન્માન્ય ભવન મારફતે મારે પ્રધાન મંત્રીને વિશેષ રૂપે એ વાત પહોંચાડવી છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં આ દેશ જ્યારે ધૂળ સોતો ગરીબીમાંથી ઊઠવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પણ દેશની દુનિયાના દરબારમાં આબરૂ હતી. એનું મસ્તક ઉન્નત હતું. જવાહરલાલે પોતાના પુસ્તક ‘દુનિયાના ઇતિહાસની ઝાંખી’ને અંતે તમામ શુદ લખતી વેળા ટાગોરના નીચેના શબ્દો ટાંક્યા હતા :

‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર …’- જ્યાં મન ભયથી સર્વથા મુક્ત છે … એવા સ્વર્ગમાં હે પ્રભુ મારા દેશને જાગૃત કર!’

વક્તવ્યના ઉત્તરાર્ધમાં ઉમાશંકરે ‘એલ્ડર સ્ટેઈટ્સમેન’ને વ્યાસનાં વચનો સંભારી ઠમઠોર્યા હતા :

‘ન સા સભા યત્ર ન સન્તિ વૃદ્ધા:,

ન તે વૃદ્ધા: યે ન વદન્તિ ધર્મમ્.’

‘- જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી અને ખરી વાત – ધર્મની વાત ન બોલે તે વૃદ્ધો નથી. હું પૂછું છું કે ભારતની લોકશાહી માટે તમે શું કર્યું? તમે પ્રધાન મંત્રી પાસે ગયા છો ને એમને કહ્યું છે કે અમારું જે થવાનું હોય એ થાય, પણ અમારા આ વિચારો દૃઢ છે …’

‘શાસક પક્ષને અને એમના નેતાને મારી એક જ અપીલ છે : આ લોકતંત્રીય પ્રથમ પ્રજાસત્તાક (ફર્સ્ટ રીપબ્લિક) ઉપર પરદો પાડી દેવાની ઉતાવળ રખે કરી બેસતા!’

રાજ્યસભામાં અપાયેલા આ અંગ્રેજી વક્તવ્યનો ચુનીભાઈ વૈદ્યે કરેલો ગુજરાતી અનુવાદ ત્યારે ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયો હતો અને ‘સમયરંગ’(1978)માં તે સહેજસાજ સુધારા સાથે ઉમાશંકર જોશીએ સમાવ્યો હતો. 

ઉમાશંકર અને બીજા બચ્યાખૂચ્યા ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યા હશે એ જ દિવસોમાં, 21મી જુલાઈએ જયપ્રકાશે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. (ચંડીગઢના આ મિસાબંદી વિશે, પાછળથી, નવેમ્બર 1975માં ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં લખ્યું હતું : ‘શ્રી જયપ્રકાશને શું જોઈએ છે? કોઈ પણ પદ માટે એમણે જીવનભરની અનિચ્છા પ્રગટ કરેલી છે. ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો ત્યારે એ પરાણે બહાર આવ્યા. લોકોનું કંઈક કરવા અને ભ્રષ્ટાચાર ટાળવા માટે એમને આકાશ પણ જોવા ન મળે એ રીતે પૂરી દેવાની જરૂર હતી? બુદ્ધ અને મહાવીરની ભૂમિમાંથી પ્રગટેલા આ નિ:સ્પૃહ કરુણાસંપન્ન મહાનુભાવનું સ્વાસ્થ્ય જલદી સુધરે તે માટે પ્રાર્થના કરીએ.’)

હવે થોડું, જયપ્રકાશના 21મી જુલાઈના પત્રમાંથી. સામાન્યપણે ‘પ્રિય ઇન્દુ’ને લખાતો પત્ર ‘પ્રિય વડાં પ્રધાન’ને સંબોધીને લખાયો છે :

‘તમારી વાતચીત અને વક્તવ્યોના હેવાલો અખબારોમાં જોઈ મનને આઘાત પહોંચે છે …’

‘તમે જે વાત સતત રટ્યાં કરો છો તેનું ધ્રુવપદ મારા જાણવા પ્રમાણે આ છે કે સરકારને ખોટકાવી નાંખવા માટે એક કાવતરું ઘડાયું હતું … વાત વાતમાં તમે બીજાં પણ કેટલાંક સૂત્રો ફંગોળતાં રહ્યાં છો. દા.ત. લોકશાહી કરતાં રાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે …’

ના જી. વડાં પ્રધાન, સરકારને ખોટકાવી નાખવાની કોઈ યોજના નહોતી … તા. 25મી જૂને … મારા ભાષણનો જે મુખ્ય સૂર હતો … એ યોજના પ્રમાણે, તમારા કેસનો ચુકાદો આવી જાય ત્યાં સુધીને માટે તમારે પદાધિકાર છોડી દેવો. એની માગણીના ટેકામાં તમારા નિવાસસ્થાનની સામે રોજ કેટલાક લોકો સત્યાગ્રહ કરવાના હતા … અને તે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા સુધી જ … બીજા બધા જ માર્ગો બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં નાગરિક પાસે સવિનય કાનૂનભંગનો અવિચ્છેદ અધિકાર રહે છે. અને કહેવાની જરૂર નથી કે એમ કરવા જતાં સત્યાગ્રહી કાયદેસરની શિક્ષાને જાણી જોઈને પોતા પર નોતરે છે અને સ્વીકારે છે …

‘… તમે જાણો છો કે હું તો પાકેલું પાન છું … ભણતર પૂરું થયા બાદ મેં મારું સમગ્ર જીવન કશા પણ બદલાની આશા વગર રાષ્ટ્રને ચરણે ધર્યું છે. એટલે હવે તમારા રાજછત્રમાં એક કેદી તરીકે મરીશ તોયે મને સંતોષ છે.’

‘આવા એક જણની સલાહ કાને ધરશો? આ રાષ્ટ્રના પિતાએ તથા સાથે તમારા મહાન પિતાએ પણ જે પાયાઓ નાખ્યા છે એનો નાશ ન કરશો …’

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 23 જુલાઈ 2025

Loading

...102030...68697071...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved