Opinion Magazine
Number of visits: 9553672
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન પ્રમુખની મુલાકાત લીધી એક ગુજરાતી લેખકે

દીપક મહેતા|Opinion - Literature|10 October 2025

ગ્રંથયાત્રા – 16

અમેરિકાની મુસાફરીએ ગયેલા કોઈ લેખકે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધી હોય, તેની સાથે શેક હેન્ડ કરી હોય, તેની સામે ખુરસી પર બેસી વાતો કરી હોય, એવું બને ખરું? તમે કહેશો, આ તો શેખચલ્લીના વિચાર છે. ક્યાં રાજા ભોજ જેવા આપણા ગુજરાતી લેખકો, અને ક્યાં ગંગુ તેલી જેવો અમેરિકાનો પ્રમુખ! આપણા લેખકો કાંઈ અમેરિકન પ્રમુખનો ‘ઉધ્ધાર’ કરવા ત્યાં થોડા જ જાય છે? એમને માથે તો બીજી ઘણી વધુ મોટી, મહત્ત્વની, આર્થિક લાભવાળી જવાબદારી હોય છે – ત્યાં વસતા ગુજરાતીઓનો ‘ઉધ્ધાર’ કરી નાખવાની! એમાંથી ટાઈમ મળે તો બચાડા પ્રમુખનો ઉધ્ધાર કરવા જાય ને!

પણ એક ગુજરાતી લેખક તો એવો પાક્યો છે જેણે વ્હાઈટ હાઉસમાં જઈ અમેરિકાના પ્રમુખની મુલાકાત લીધેલી. તમે પૂછશો : કોણે? ક્યારે? બીજા સવાલનો જવાબ પહેલાં : ૧૮૬૨ના ઓગસ્ટની ૧૯મી તારીખે સવારે. ના, ‘૧૮૬૨’ એ છાપભૂલ નથી હોં! એ લેખકના પોતાના જ શબ્દોમાં એ મુલાકાતની વાત સાંભળીએ : “શીઉઅરડ પોતાની આફિસમાંથી હમારી સંગાથે ચાલીને પરેસીડેનટના ઘરમાં (વાઇટ હાલ) હમોને લઇ ગયેલો. આ મકાનના દરવાજા આગળ નહિ સિપાઈની ચોકી કે નહિ ઘરમાં ચોકીદાર માણસો, માતરે દરવાજા આગલ એક આદમી ઊભેલું હતું જે ઘર જોવા આવનારા લોકોને સટેટ રૂમ કે જાહાં પરેસીડેનટ લેવી ભરી લોકોની મુલાકાત લિએ છે તે જાગો દેખાડતો હતો. તે સિવાએ બીજા દેશની પઠે અમસથા ચોકી પોહોરા રાખી પોતાના દેશને ફોકતના ખરચમાં નથી નાખતા. પછી મી. શીઉઅરડે હમોને દરવાજો ઉઘાડી અંદર બોલાવેઆ. હમોએ મી. શીઉઅરડને સેજ વાત કરતા ચેતવણી આપી હતી કે હમો હમારી પાઘડી પહેરી રાખેઆથી વધારે માન ભરેલું સમજીએ છે. તેણે જવાબ દીધો જે હમો જાણીએ છ તે છતાં પણ જે શખસની ધારણા સારી હોએ એટલું જ બસ છે. હમો અંદર પેથા તેવો જ પરેસીડેંટ ઊભો થાએઓ. હમો આગલ વધેઆ, અને મી. શીઉઅરડે હમારી સાથે એ ગરહસથની ઓલખાણ કરાવી. હમોને પરેસીડેનટે શેક હેનડ કરીને કુરસી આપી. અને પોતે પણ બેઠો. એ ગરહસથની લખવાની ટેબલ સાદી હતી, અને ઓરડો પણ સાધારણ નાહાનો હતો. હમારી જોડે એ ગરહસથે વાતચીત કીધી અને હમોને કહીંઉ કે આ દેશમાં નવાઈ જેવું જોવાને તો કાંઈ નથી. પછી હમોને પુછીઉં કે તમોએ તમારું વતન છોડેઆને કેટલી મુદત થાઈ. તેનો જવાબ આપી હમોએ કહેઉં કે તારો વધારે વખત રોકવાને હમો ચાહતા નથી હેવું કહી હમો એ જાગો પરથી ઊઠીઆ. આ વેલાએ પોતે બી ઊઠી હમોને શેકહેનડ કીધી. આએ વેલા હમારીથી આટલું તો બોલેઆ વગર રેહેવાઈ શકાઉં નહિ કે હું તારી સરવે વાતે ફતેહમંદી ચાહું છઉં. એટલું કહી હમોએ રૂખસદ લીધી.” (ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

આ મુલાકાતની સાલ તમે નોંધી? સાલ હતી ૧૮૬૨. અને એ વખતે અમેરિકાના પ્રેસિડન્ટ હતા બીજું કોઈ નહિ, પણ અબ્રહામ લિંકન! આપણા આ લેખકે તેને વિષે એક જ વાક્ય લખ્યું છે : “એ પરેસીડેનટ લીનકન હારે ઊંચો, શરીરે પતલો તથા દેખાવમાં તથા પેહેરવાસમાં ઘણો સાદો હતો.” તમે પૂછશો : પ્રેસિડન્ટનું નામ તો કહ્યું, પણ તેની મુલાકાત લેનાર એ ગુજરાતી લેખકનું નામ શું? તો જવાબમાં કહેવાનું કે નામ ખબર નથી. કારણ ‘અમેરિકાની મુસાફરી’ નામનું જે પુસ્તક ૧૮૬૪માં પ્રગટ થયેલું તેમાં ક્યાં ય તેના લેખકનું નામ છાપ્યું જ નથી! પુસ્તકના ટાઈટલ પેજ પર માત્ર આટલું છાપ્યું છે : “એક પારશી ઘરહસથે સન ૧૮૬૨માં ઇંગલેંડથી અમેરિકાના ઈઉનાઈટેડસટેસ ખાતેની મુસાફરીમાં કીધેલી દરરોજની નોંધ.’ લેખકે ભલે પુસ્તક પર પોતાનું નામ ન છપાવ્યું હોય. આપણે તો તેનું નામ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ ને? કહે છે ને કે મન હોય તો માળવે જવાય. અને બીજી કહેતી છે, પૂછતાં પંડિત નીપજે. મુંબઈના અને ગુજરાતના પારસીઓ વિશેની માહિતી અંગે હીરાની ખાણોની ગરજ સારે એવાં પુસ્તકો તે ‘પારસી પ્રકાશ’નાં દફતરો. તેમાં જણાવ્યું છે કે આ પુસ્તક મુંબઈમાં ૧૮૬૪ના જાન્યુઆરીની ૨૧મી તારીખે પ્રગટ થયું હતું અને તેના લેખક હતા શેઠ પીરોજશાહ પેશતનજી મેહર હોમજી. શેઠ ડોશાભાઈ ફરામજી કામાજી પણ એ મુસાફરીમાં તેમની સાથે જોડાયા હતા અને તે બન્નેએ પહેલી જુલાઈથી દસમી સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુસાફરી કરી હતી. એ વખતે ‘રાક્ષસી કદ’ની ગણાતી અને ખૂબ વખણાયેલી ‘ગ્રેટ ઇસ્ટર્ન’ નામની સ્ટિમરમાં તેમણે લીવરપુલથી આ મુસાફરી શરૂ કરી હતી.    

અગિયારમી જુલાઈએ રાતે આઠ વાગે સ્ટીમર ન્યૂ યોર્ક પહોંચેલી. એ જમાનામાં પાસ પોર્ટ કે વિઝાનો તો સવાલ જ નહોતો. પણ ઉતારુઓના સામાનની ચકાસણી થતી. પણ એ કામ કસ્ટમના અધિકારીઓ સ્ટીમર પર જઈને જ કરતા! મુસાફરીમાં લેખક એક ‘ચાકર’ને પણ સાથે લઇ ગયેલા જે તેમને માટે અલાયદી રસોઈ બનાવતો. એક હોટેલે આ અંગે શરૂઆતમાં વાંધો લીધો, પણ પછી ‘હમારી ખુશી પરમાણે કરવા દીધું.’ એટલું જ નહિ, જતી વખતે એ હોટેલવાળાએ પોતાની નોંધપોથીમાં લેખક પાસે ગુજરાતીમાં તેમનું નામ પણ લખાવ્યું! તો એક રેલવે સ્ટેશન પર તેમને એક પાદરીનો ભેટો થયો. આ પાદરીએ લેખક અને તેના ‘ચાકર’ સાથે ગુજરાતી ભાષામાં વાત કરી. તેથી લેખક ‘તાજ્જુબ’ થઇ ગયા. જોવા જેવાં સ્થળોની મુલાકાત તો લીધેલી જ, પણ ખાસ પરવાનગી લઈને જેલ, સૈનિકોની છાવણી, સૈનિકો માટેની હોસ્પિટલ, તોપ બનાવવાનું કારખાનું, વગેરેની મુલાકાત પણ લીધેલી. લેખક વોશિન્ગ્ટન ડી.સી. ગયા ત્યારે હજી વોશિન્ગ્ટન મેમોરિયલનું બાંધકામ ચાલુ હતું, પણ તે જોવાય ગયેલા. ફિલાડેલ્ફિયામાં મળેલો એક ભોમિયો પારસીઓના ધર્મગ્રંથોની ભાષા – ઝંદ અવસ્તા – જાણતો હતો અને સંસ્કૃત તો સારી રીતે લખી-બોલી શકતો હતો! 

આજે હવે ગુજરાતીઓ માટે અમેરિકાનો પ્રવાસ એ નવાઈની વાત રહી નથી. લેખકોએ તેમ જ અન્યોએ પણ પોતાની મુસાફરીનું વર્ણન કરતાં અનેક પુસ્તકો લખ્યાં છે, અને હજી લખાતાં રહે છે. પણ ૧૮૬૨માં એક પારસી સજ્જન લગભગ આખું અમેરિકા ખુંદી વળેલા. પુસ્તકને અંતે તેઓ કહે છે કે અમેરિકાનો કિનારો છોડતી વખતે અમોને ઘણી દિલગીરી થઇ, કેમ કે આ દેશના લોકોએ અમારી સાથે ઘણી જ મિત્રાચારી તથા દિલદારી બતાવી હતી. ૧૮૬૪માં છપાયેલા આ પુસ્તકની છાપેલી નકલ આજે સહેલાઈથી જોવા ન મળે. પણ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પોતાના સંગ્રહામાંનાં ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં એક સો દુર્લભ પુસ્તકો સ્કેન કરીને સી.ડી. પર ઇબુક રૂપે સુલભ કર્યાં છે. તેમાં આ પુસ્તકનો પણ સમાવેશ થાય છે. એટલે તે મેળવીને કોઈ પણ પુસ્તકપ્રેમી વાંચી શકે તેમ છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમીએ’ આ જ પુસ્તકની ડો. અજયસિંહ ચૌહાણ સંપાદિત આવૃત્તિ મુદ્રિત રૂપે પ્રગટ કરી છે. 

e.mail : deepakbmehta@gmail.com

XXXXXX

10 ઑક્ટોબર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

ગાઝા માટે ‘શાંતિ’ની દરખાસ્ત ખરેખર શાંતિ લાવી શકશે? 

નેહા શાહ|Opinion - Opinion|10 October 2025

નેહા શાહ

બે વર્ષથી ગાઝા પટ્ટીમાં દ્દુનિયા મોત અને તબાહીનો તમાશો જોઈ રહી છે. હમાસે ઈઝરાઈલ પર આક્રમણ કરી આશરે ૧,૨૦૦ લોકોની હત્યા કરી એ ઘટનાને ૭મી ઓક્ટોબરે બે વર્ષ થયાં, અને ઈઝરાયેલને જાણે ‘લાઈસન્સ ટુ કીલ’ મળી ગયું. ગાઝામાં લગભગ ૬૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. ગાઝા અત્યારે લગભગ સંપૂર્ણ પણે તારાજ છે. આ વિસ્તારમાં જે થઇ રહ્યું છે એ હવે યુદ્ધની વ્યાખ્યામાં બેસતું નથી, એને માનવ સંહાર જ કહી શકાય. શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બોમ્બથી મરનારના આંકડાની સાથે ભૂખમરાનો આંકડો પણ વધતો જાય છે. અનાજ, પાણી, કે દવા જેવી કોઈ માનવીય મદદ પણ ગાઝા સુધી પહોંચે નહિ એની તકેદારી ઇઝરાયેલી સેના લઇ રહી છે. ૪૪ દેશોમાંથી ૫૦૦ નાગરિકોનો ‘સુમુદ ફ્લોટીલા’ નામે કાફલો ૪૦ વહાણ લઇ દરિયાઈ માર્ગે ગાઝા પહોંચવા નીકળ્યો, જેને આંતરવામાં આવ્યો, તેના સભ્યોની ધરપકડ થઇ અને તેમની સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, જાણે તેઓ આતંકવાદી હોય. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ હવે એમને છોડી પણ દેવાયા. 

આ બધાની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરી, વીસ મુદ્દાની શાંતિની દરખાસ્ત રજૂ કરી છે જેમાં ગાઝાના પુન:ર્નિર્માણ અને આર્થિક પરિવર્તન માટેની દરખાસ્ત છે. યુરોપના દેશો અને આરબ દેશો તરફથી એને વ્યાપક આવકાર મળ્યો છે. વડા પ્રધાન મોદીએ પણ પ્લાનને આવકારતા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વના વખાણ કર્યાં છે. હમાસે બધા બંધકોને મુક્ત કરવાનું તો સ્વીકાર્યું છે, પણ પ્લાનની બધી શરતો સ્વીકારી નથી. માત્ર હમાસ જ નહિ, પણ પેલ્સ્તીનના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરનારા પત્રકારો, એક્ટિવીસ્ટો, અને સંશોધકોએ પણ આ પ્લાન સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. પ્લાન પ્રમાણે શાસનની પ્રક્રિયામાં જેમની જમીન પર સંહાર થઇ રહ્યો છે, જેમના કલ્યાણ માટે શાંતિની જરૂર છે એવા પેલેસ્તાઈનના લોકોનું કોઈ પ્રતિનિધત્વ જ નથી ! હમાસના ગુનાઓને ઝાંખા પાડે એટલા અનેક અત્યાચાર કરી ગુનાઓની બધી સીમા વટાવી ચુકેલા ઇઝરાયેલ માટે ઠપકાના બે શબ્દો પણ નથી ! વક્રોક્તિ તો ત્યાં છે જ્યારે ટ્રમ્પની યોજના પ્રમાણે પેલેસ્ટાઈનવાસીઓને દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવશે નહીં ! અરે ભાઈ, આ એમનો દેશ છે. એ લોકો તો અહીં જ રહેવાના છે. દેખીતી રીતે દ્વિ-રાષ્ટ્રીય દરખાસ્તને સદંતર અવગણવામાં આવી છે !

પ્લાનનો પહેલો મુદ્દો ગાઝાને કટ્ટરપન્થીઓથી મુક્ત કરવાનો છે. આ પ્રદેશની અશાંતિ માટે ઈઝરાઈલ પણ તો જવાબદાર છે જે અંગે પ્લાનમાં કોઈ ઉલ્લેખ નથી. યદ્ધ વિરામના પ્રયત્નો ઈઝરાઈલી હુમલાઓને કારણે પડી ભાંગ્યા છે એ હકીકત કેમ ભૂલાય? ઈઝરાઈલી સૈન્ય ગાઝામાંથી પાછા વળવા અંગે ત્રણ તબ્ક્ક્કા નક્કી કરવામાં આવ્યા છે. પણ તેની શરતો પણ ધૂંધળી છે તેમ જ કોઈ ચોક્કસ સમય રેખા પણ નથી. આ ઉપરાંત, યુદ્ધ ગાઝામાં ચાલે છે એ બહાને છેલ્લાં બે વર્ષમાં વેસ્ટબેંક વિસ્તારના હજારથી પણ વધુ નાગરિકોને ઈઝરાઈલી દળોએ મારી નાખ્યા છે. જમીન કબજે કરવાના  મિશનની ઝડપ વધી ગઈ છે. પેલેસ્તીનની જમીન પચાવી ત્યાં રહેવા ઈઝરાયેલીઓને સબસીડી આપવાની નીતિ અશાંતિના બીજ રોપતી આવી છે એ અંગે ટ્રમ્પની શાંતિ દરખાસ્તને કશું કહેવાનું નથી. 

પ્લાનમાં થયેલી દરખાસ્ત મુજબ પેલેસ્ટિનિયન સત્તા હાથમાં લે ત્યાં સુધી “બોર્ડ ઓફ પીસ” નામની વચગાળાની સંસ્થાની દેખરેખ હેઠળ શાસન ચાલશે. આ બોર્ડનું સંચાલન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે. ટોચની સમિતિમાં કોઈ પેલેસ્તીની નાગરિકનો ઉલ્લેખ નથી. એમના ભાગે માત્ર પ્લાનનું પાલન કરવવાનું છે. ટોચની સમિતિમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરનું નામ પણ છે, જેમની સામે મધ્ય-એશિયામાં થયેલા યુદ્ધના ગુનાઓમાં સામેલ હોવાનો આક્ષેપ હતા. સલાહકાર બોર્ડમાં એમની હાજરી પર આ વિસ્તારના નેતાઓને સ્વાભાવિક રીતે વિશ્વાસ પડે એમ નથી. વળી, “બોર્ડ ઓફ પીસ”ના હાથમાં ક્યાં સુધી સંચાલન રહેશે અને ક્યારે પેલેસ્ટિનિયન લોકોને સત્તા સોંપવામાં આવશે એની કોઈ ચોક્કસ સમયરેખા નથી. 

સંસ્થાનવાદી વૃત્તિ જગતમાંથી ગઈ નથી. દુનિયાના શક્તિશાળી દેશોને હજુ પણ લાગે છે કે તેઓ બધી રીતે ચડિયાતા છે અને દુનિયાના અન્ય ખૂણાની સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક બાબતોમાં તેમની દખલથી સૌનું ભલું થશે. વર્તમાન ખૂન-ખરાબાના મૂળમાં પણ સંસ્થાનવાદી ઇતિહાસ જ છે. જ્યારે શક્તિશાળી દેશોએ ભેગા થઇને નક્કી કરી લીધું કે યહૂદીઓ માટે અલગ દેશ હશે અને સ્થાનિક લોકોને પૂછ્યા વગર દુનિયાભરમાંથી યહૂદીઓને લાવી ઈઝરાઈલમાં વસાવ્યા. 

આજની તારીખમાં પેલેસ્તીની લોકો માટે કોઈ પણ પ્રકારે શાંતિ સ્થપાય એ જરૂરી છે, મોતનો આ ખેલ તાત્કાલિક અટકાવવો જરૂરી છે. પણ, આવા કોઈ પ્લાનથી શાંતિ આવશે એવી ભ્રામક આશા સેવવામાંથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે સમુદાય માટે તેમની ગરિમા જળવાય એ ખૂબ જરૂરી છે. જગત જમાદારો જો સત્તાનો કબજો પોતાના હાથમાંથી છોડશે નહિ તો ફરીથી લોકોનો વિદ્રોહ એક યા બીજા પ્રકારે ઊભો થઇ શકે છે. હમાસ માત્ર થોડા કટ્ટરપંથી લોકોનો સમૂહ નથી, એ એક વિચાર છે જે બીજા સ્વરૂપે ફરી ઊગી શકે છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેટલા બેંક પેન્શનર્સ ગુજરી ગયા પછી પેન્શન અપડેટ થશે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 October 2025

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ ભારત સ્વતંત્ર થયાને 75થી વધુ વર્ષ થવા છતાં દેશમાં આભડછેટ, અસ્પૃશ્યતા, ભેદભાવનો છેડો નથી આવતો. આ અસ્પૃશ્યતા હવે જાતિ-જ્ઞાતિ પૂરતી સીમિત નથી, તેનું નોખું-અનોખું સ્વરૂપ સામે આવ્યું છે અને તે છે શિક્ષિત આભડછેટ કે શિક્ષિત અસ્પૃશ્યતા કે શિક્ષિત ભેદભાવ ! આ વરદાન શિક્ષિતોએ આપેલું છે. સાચું તો એ છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે, એટલું નુકસાન અભણોએ નથી કર્યું. આ ચલણ ને વલણ સરકારથી માંડીને સરકારી કે અર્ધ સરકારી કે સરકારી ગ્રામીણ સંસ્થાઓ સુધી વિસ્તરેલું ને વકરેલું છે, તેમાં ય નિવૃત્ત કર્મચારીઓ માટે તો વધુ ભેદભાવ જોવા મળે છે. આમ નિવૃત્તોને માન-સન્માન આપવાની ઉપલક વાતો તો ઘણી થાય છે, પણ મોટે ભાગના નિવૃત્તો તરફ ઘરમાં કે બહાર અમુક પ્રકારની સૂગ ફેલાયેલી જોવા મળે છે. આ સૂગ સરકારથી માંડીને જાહેર સંસ્થાઓ સુધી વ્યાપેલી છે.

આમ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પર જી.એસ.ટી. પહેલેથી જ ખોટો હતો, પણ સરકારે વર્ષો સુધી જી.એસ.ટી. લૂંટ્યા પછી તાજેતરમાં તે નાબૂદ કર્યો. આ ઉપકાર પછી પણ પેન્શનર્સને જી.એસ.ટી.માંથી મુક્તિ નથી મળી. સાધારણ રીતે તો પેન્શનર્સનો વીમો ઉતારવા કોઈ તૈયાર થતું નથી, એટલે તેણે ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સમાં જવું પડે એ લાચારી છે. એની ખૂબી એ છે કે આ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ દર વર્ષે વધતું જ આવે છે ને લગભગ દોઢ કે બે મહિનાનું પેન્શન, પેન્શનરે એમાં હોમી દેવાનું થાય છે. નામ પૂરતું તો પેન્શન બાર મહિનાનું જમા થાય છે, પણ દોઢથી બે મહિનાનું પેન્શન પ્રીમિયમમાં નીકળી જાય છે ને બાકીનું પેન્શન જ ભાગે આવે છે. ઓક્ટોબર-નવેમ્બરના મહિનાઓ તહેવારોના ખર્ચાળ મહિનાઓ છે ને ઉપરથી દોઢ-બે મહિનાનું પેન્શન હેલ્થ ઇન્સ્યોરન્સમાં જી.એસ.ટી. સાથે નીકળી જતાં હાલત એવી થાય છે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરવા લોન લેવી પડે છે. ઘણાં તે લે છે. આ સ્થિતિ પડતાં પર પાટું પડવા જેવી જ છે.

વારુ, જે કલેઈમ કરે છે, તેને તો પ્રીમિયમ ભરવાનો કૈંકે લાભ થતો હશે, પણ જે કલેઈમ નથી કરતા તેમને તો વર્ષોવર્ષ દોઢ બે મહિનાનું પેન્શન એમ જ જા ખાતે આપવાનું થાય છે. એવા ઘણાં હશે, જેમણે વર્ષો સુધી રૂપિયો ય કલેઈમ કર્યા વિના લાખો રૂપિયા ઇન્સ્યોરન્સ કંપનીને ખટાવ્યા હશે. કંપનીએ એવા વીમેદારને કન્સેશન આપવું જોઈએ કે તેણે ઈમાનદારીથી કલેઈમ નથી કર્યો, પણ બધા જ નફો રળતા હોય તો વીમા કંપની પણ એટલી રાહત આપવા શું કામ તૈયાર થશે, એ પ્રશ્ન જ છે.

એમાં વળી હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જી.એસ.ટી. નીકળી જતાં એમ લાગ્યું કે થોડી રાહત થશે, પણ ગ્રૂપ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમના આંકડા આવ્યા તો એમાં આઘાતજનક રીતે 18 ટકા જી.એસ.ટી. લાગેલો જ હતો. આવું કેમ, તેનો જવાબ એવો આવ્યો કે જી.એસ.ટી. વ્યક્તિગત હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી જ ગયો છે, ગ્રૂપ ઇન્સ્યોરન્સ પર તે લાગુ જ છે. પેન્શનર્સને આ ભારોભાર અન્યાય છે ! એક જ હેલ્થ ઇન્સ્યોરન્સ વ્યક્તિગત ધોરણે લેવાય તો જી.એસ.ટી. માફ ને એ જ હેલ્થ ઇન્સ્યોરન્સ ગ્રૂપમાં લેવાય તો 18 ટકા જી.એસ.ટી. લાગે. આનો સખત વિરોધ થવો જ જોઈએ. ગમ્મત તો એ છે કે ગ્રૂપમાં લેવાતા ઇન્સ્યોરન્સમાં પણ પ્રીમિયમ તો વ્યક્તિગત રીતે જ જે તે ખાતામાંથી કપાય છે, છતાં 18 ટકા જી.એસ.ટી. બીજા કોઈને નહીં, પણ વૃદ્ધોને લાગે છે, એ શરમજનક છે.

ઓલ ઇન્ડિયા બેંક પેન્શનર્સ એન્ડ રિટાયરિઝ કોન્ફેડરેશન (AIBPARC) તરફથી 8 ઓક્ટોબર, 2025ને રોજ 93-25 નંબરનો સર્ક્યુલર આવ્યો છે, જેમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાંથી જી.એસ.ટી. બાદ કરવાનો ઇસ્યુ કેરાલા હાઈકોર્ટની જ્યુડિશિયલ સ્ક્રુટિનીમાં પહોંચ્યાની વાત છે. તે યુનિટ પૂરતો સ્ટે આવ્યો પણ છે, તો તમામ યુનિટોને અસર કરે તે રીતના પ્રયત્નો તમામ યુનિયનોએ કરવા જોઈએ. જો કે, ઓલ ઇન્ડિયા બેંક રિટાયરિઝ ફેડરેશન (AIBRF) પણ બધી બેંકો વતી પિટિશન ફાઈલ કરશે એમ લાગે છે. સૌથી દુખદ વાત તો એ છે કે દેખીતા અન્યાય બાબતે પણ કોર્ટ સુધી જવું પડે ને સ્ટે મેળવવો પડે છે. પેન્શનર્સને બને ત્યાં સુધી સરકાર લેખામાં જ લેતી નથી. એવું ન હોય તો હેલ્થ ઇન્સ્યોરન્સ પરથી નાબૂદ થયેલો જી.એસ.ટી. વૃદ્ધોને જ કરમે શું કામ ચોંટે?

વર્ષે લગભગ દશેક મહિના જેટલું જ પેન્શન મળતું હોય એવા પેન્શનર્સનું પેન્શન પણ ત્રીસેક વર્ષથી, એટલે કે શરૂઆતથી જ અપડેટ નથી થયું. પેન્શનર્સનું જે બેઝિક પેન્શન ત્રીસેક વર્ષ પર નક્કી થયેલું, તેના પર જ મોંઘવારી ભથ્થું (ડી.એ.) વધઘટ સાથે લાગુ કરીને દર મહિને પેન્શન જમા થતું રહે છે. અન્ય સ્ટાફના પગાર, એલાઉન્સિસમાં અમુક વર્ષે નવું પગાર ધોરણ લાગુ થાય છે, પણ પેન્શનર્સનું પેન્શન વર્ષોથી અપડેટ થતું નથી, થયું નથી, તે એટલે કે પેન્શનર્સ બીજી કોઈ રીતે ઉપયોગી નથી, તેમની પાસેથી કંઇ લેવાનું નથી, એટલે સરકાર તેમની ચિંતા શું કામ કરે? એ કમનસીબી છે કે દેશના લાખો બેંક પેન્શનર્સનું પેન્શન અપડેટ નથી થયું. નથી જ થયું –

આમાં પણ બેંકો-બેંકો વચ્ચે ભેદભાવ છે. સેન્ટ્રલ ગવર્ન્મેન્ટ પેન્શનર્સનું પેન્શન આપોઅપ અપડેટ થાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેન્શનર્સને એકથી વધુ વખત પેન્શન અપડેશનનો લાભ મળી ચૂક્યો છે, પણ બીજી બેન્કોને રિવિઝનનો લાભ, કારણ ગમે તે હોય, પણ વર્ષોથી અપાયો નથી. રિઝર્વ બેંકની ગાઈડલાઈન્સ પ્રમાણે બધી બેંકો રિઝર્વ બેંક સાથે કોઈક ને કોઈક રીતે સંકળાયેલી છે, પણ પગાર અને પેન્શનને મામલે રિઝર્વ બેંક અને અન્ય રાષ્ટ્રીય બેંકો વચ્ચે એકસૂત્રતા નથી. આવો ભેદભાવ રાખીને સરકાર લાખો પેન્શનર્સને અન્યાય કરે છે. આ બધા ભણેલા-ગણેલા છે, પણ એકને ગોળ ને એકને ખોળ-ની નીતિ અહીં પૂરી બેશરમીથી ચાલે છે. બેન્કોની નીતિઓમાં ભેદભાવ રાજરોગની હદે સક્રિય છે.

એવું નથી કે ફંડ નથી. બેંક કર્મચારીઓનું પ્રોવિડન્ટ ફંડ જમા થતું હતું ને એના પર જે વ્યાજ મળ્યું, એને લીધે લગભગ સાડાચાર લાખ કરોડ જેટલું ફંડ ઓલરેડી જમા છે. એમાંથી સરળતાથી પેન્શન અપડેશન શક્ય છે, પણ 1994-‘95થી પેન્શન રેગ્યુલેશન લાગુ થયું, ત્યારથી એક પણ વખત પેન્શન રિવિઝનનો લાભ રિટાયરિઝને મળ્યો નથી તે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટ પણ કહી ચૂકી છે કે રિટાયરમેન્ટની તારીખના આધાર પર પેન્શનરો વચ્ચે ભેદભાવ ઠીક નથી. એ તો ઠીક, મોંઘવારી રાહત (DR) આપવામાં પણ એકરૂપતા નથી. યુનિયનોએ કેટલીક માંગ પણ ઘણાં વખતથી મૂકી છે. જેમ કે, રિઝર્વ બેંકના સ્તર પર બીજી બેન્કોનાં પેન્શનર્સનું પેન્શન અપડેટ થાય. બીજું, યુનિફોર્મ ડીઅરનેસ એલાઉન્સ (DA) લાગુ કરવામાં આવે. ત્રીજી માંગ છે એક કોમ્પ્રિહેન્સિવ ગુડ હેલ્થ પોલિસીની. કેટલાંક મોટાં સંગઠનોએ વિરોધની જુદી જુદી યોજનાઓ પણ અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે, કારણ પ્રખર વિરોધ વગર તો સરકાર વાજબી માંગ પણ સ્વીકારતી નથી. તો, સરકારને સોંસરું પૂછવાનું થાય કે કેટલા પેન્શનર્સ ગુજરી જશે, પછી સરકાર પેન્શન અપડેશન તરફ જશે?

પેન્શન અપડેશન એ ભીખ નથી કે નથી કોઈ દાન ! એ દરેક પેન્શનરનો કાનૂની અધિકાર છે. બેન્કોમાં પેન્શનરોએ પોતાની જિંદગીનાં મહત્ત્વનાં વર્ષો બેન્કની સેવામાં અર્પિત કર્યાં છે. બેંકો પોતે અનેક ક્ષેત્રોમાં વિકસી છે. મોંઘવારી ત્રીસ વર્ષ પહેલાંની નથી, તો પેન્શનરનું પેન્શન 30 વર્ષ જૂનું કઈ રીતે હોય? બધું જ અપડેટ થાય છે, સિવાય બેંક પેન્શનરોનું પેન્શન ! એમાં પણ રિઝર્વ બેંક બે વખત પેન્શન અપડેટ કરી ચૂકી છે, તો એ જ રીતે અન્ય બેંક પેન્શનર્સનું પેન્શન માનવતાને ધોરણે અપડેટ કેમ ન થાય? બધી જ બેન્કોના કર્મચારીઓએ બેન્કોના વિકાસમાં સરખી રીતે યોગદાન આપ્યું હોય ને એ આધારે બેન્કોએ પ્રગતિ કરી હોય તો રિઝર્વ બેંક અને અન્ય બેંકો વચ્ચે પગાર અને પેન્શન વચ્ચે અસમાન ધારાધોરણો લાગુ કરવા પાછળ કયો તર્ક કામ કરે છે તેનો ખુલાસો થવો જોઈએ. કંઇ નહીં તો બેંક પેન્શનર્સ નિવૃત્તિ કાળમાં સ્વમાન અને સન્માનપૂર્વક જીવી શકે ને એને માટે કાયદેસર મળવા પાત્ર લાભોથી વંચિત ન રહે એટલું તો થવું જ જોઈએ. એને માટે તેમણે જતી ઉંમરે સંઘર્ષ કરવો પડે તે ઠીક નથી. આશા રાખીએ કે સરકાર ઘટતું કરે અને ઝડપથી કરે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 10 ઑક્ટોબર 2025

Loading

...102030...67686970...8090100...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved