Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે? 

રમેશ સવાણી|Diaspora - Features|23 July 2025

રમેશ સવાણી

Utah-ઉટાહ એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પશ્ચિમમાં આવેલું રાજ્ય છે. જે એરિઝોના, કોલોરાડો અને ન્યૂ મેક્સિકો સાથે સરહદ વહેંચે છે. તે ઉત્તરપૂર્વમાં વ્યોમિંગ, ઉત્તરમાં ઇડાહો અને પશ્ચિમમાં નેવાડા સાથે પણ સરહદ ધરાવે છે. ઉટાહની વસ્તી માત્ર 35 લાખની છે, ક્ષેત્રફળની દૃષ્ટિએ 13મું રાજ્ય છે. ‘સોલ્ટ લેક સિટી’ ઉટાહ રાજ્યની રાજધાની છે. જેમ ગુજરાતની રાજધાની ગાંધીનગર છે.

ઉટાહમાં હજારો વર્ષોથી વિવિધ સ્વદેશી જૂથો વસે છે, જેમ કે પ્રાચીન Puebloans – પુએબ્લોઅન્સ, Navajo – નાવાજો અને Ute – ઉટે. 16મી સદીના મધ્યમાં અહીં સૌ પ્રથમ આવનારા સ્પેનિશ હતા. પ્રારંભિક યુરોપિયન વસાહતીઓ યુનાઇટેડ સ્ટેટ્સના હતા; આમાં એવા Mormons – મોર્મોન્સ હતા જેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને સતાવણીના કારણે ભાગી રહ્યા હતા. 1848માં, મેક્સિકન-અમેરિકન યુદ્ધ પછી, આ પ્રદેશને US સાથે જોડવામાં આવ્યો. મોર્મોન સમુદાય અને સંઘીય સરકાર વચ્ચેના વિવાદોના કારણે ઉટાહ રાજ્ય તરીકે પાછળથી જોડાયું. 1896માં, બહુપત્નીત્વને ગેરકાયદેસર ઠેરવવા સંમત થયા પછી, ઉટાહને 45મા રાજ્ય તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. ઉટાહના લોકો Utahns – ઉટાહન્સ તરીકે ઓળખાય છે. બધા ઉટાહન્સમાંથી અડધાથી વધુ લોકો મોર્મોન્સ છે, જેમાંથી મોટા ભાગના ચર્ચ ઓફ જીસસ ક્રાઇસ્ટ ઓફ લેટર-ડે સેન્ટ્સ(LDS ચર્ચ)ના સભ્યો છે, LDS ચર્ચ ઉટાહની સંસ્કૃતિ, રાજકારણ અને રોજિંદા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. જો કે, 1990ના દાયકાથી, ઉટાહ ધાર્મિક રીતે વૈવિધ્યસભર અને વધુ બિનસાંપ્રદાયિક બન્યું છે.

22 જુલાઈ 2025ના રોજ સોલ્ટ લેક સિટીમાં ફર્યા. પ્રથમ અમે ઉટાહની ‘વિધાનસભા’ જોઈ. વિધાનસભા ચાલુ ન હતી. કોઈપણ જાતની સુરક્ષાની ચકાસણી વિના અમે પ્રવેશી શક્યા. ધારાસભ્યો જ્યાં બેસે છે તે હોલ જોઈ શક્યા. આખું સંકુલ આરામથી જોયું. ફોટો-વીડિયોમાં ક્ષણોને કેદ કરી. આ સુંદર ઇમારતમાં ઉટાહ રાજ્ય વિધાનસભા હોલ / ચેમ્બર / કાર્યાલયો, ગવર્નર, લેફ્ટનન્ટ ગવર્નર, એટર્ની જનરલ, રાજ્ય ઓડિટર અને તેમના કર્મચારીઓની કચેરીઓ આવેલી છે. આ ઈમારતનો પાયો 26 ડિસેમ્બર 1912ના રોજ નંખાયો હતો અને 9 ઓક્ટોબર 1916ના રોજ તેનું ઉદ્દઘાટન થયું હતું. 109 વરસ જૂની ઈમારત હજુ ગઈ કાલે જ બની હોય તેમ લાગતું હતું ! જો કે 2004–2008 દરમિયાન Renovation થયું હતું. આ ઈમારત 404 ફૂટ લાંબી, 240 ફૂટ પહોળી અને 285 ફૂટ ઊંચી છે. એક ભોંયરાં સાથે પાંચ માળ છે. ઈમારતની બહાર 32 ફૂટ ઊંચા અને 3.5 ફૂટ વ્યાસવાળા 52 Corinthian columns કોરીન્થિયન સ્તંભો છે. જે ઈમારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ બાજુઓને આકર્ષક બનાવે છે. ઈમારતને ઉટાહના ઇતિહાસ અને વારસાને દર્શાવતા ઘણા ચિત્રો / શિલ્પોથી શણગારેલી છે, જેમાં પ્રથમ પ્રાદેશિક ગવર્નર બ્રિઘમ યંગ અને ઉટાહના વતની અને ઇલેક્ટ્રોનિક ટેલિવિઝનના વિકાસકર્તા ફિલો ટી. ફાર્ન્સવર્થની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. 1916માં, ઇલેક્ટ્રિક ટ્રાફિક લાઇટના શોધક Lester Wire – લેસ્ટર વાયર જે સોલ્ટ લેક સિટીના પોલીસ અધિકારી હતા, તેમને અહીં યાદ કરેલ છે.

પ્રથમ માળમાં વચ્ચે 11 ફૂટ ઊંચી ચાર કાંસ્ય પ્રતિમાઓ છે જે સામૂહિક રીતે ‘ધ ગ્રેટ ઉટાહ’ તરીકે ઓળખાય છે. જે વિજ્ઞાન અને ટેકનોલોજી, જમીન અને સમુદાય, ઇમિગ્રેશન અને વસાહત, તેમ જ કળા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. આ ચારે ય શિલ્પો એટલે ઉટાહની સંસ્કૃતિ / મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક છે. ઉટાહના શોધક અને વૈજ્ઞાનિક Philo T. Farnsworth – ફિલો ટી. ફાર્ન્સવર્થનું શિલ્પ છે, જેમણે પ્રથમ કેમેરા ટ્યુબ ઇમેજ ડિસેક્ટર અને ઓલ-ઇલેક્ટ્રિક ટેલિવિઝન વિકસાવ્યું હતું, 1915માં, ગુંબજની છત પરથી રોટુન્ડા ઝુમ્મર લટકાવવામાં આવ્યું હતું. આ ઝુમ્મરનું વજન 1,400 કિલોગ્રામ છે, તેને ટેકો આપતી સાંકળનું વજન 450 કિલોગ્રામ છે. ગવર્નરના કાર્યાલયમાં ‘ટોર્નેડો ડેસ્ક’ અને ‘બુકકેસ’ છે; જે 1999માં સોલ્ટ લેક સિટીમાં વાવાઝોડાએ તબાહી મચાવી ત્યારે કેપિટોલ ગ્રાઉન્ડ પર પડી ગયેલાં વૃક્ષોમાંથી બનાવવામાં આવેલ. જે ઉટાહની ભાવના અને નિશ્ચયનું પ્રતીક છે, તે યાદ અપાવે છે કે something good can come from a disaster – આપત્તિમાંથી કંઈક સારું થઈ શકે છે !

આ ઈમારતની ખાસિયત એ છે કે મોટાભાગનો ચોથો માળ નીચેના માળ માટે ખુલ્લો છે, જેનાથી મુલાકાતીઓ ત્રીજા કે બીજા માળે અનેક સ્થળોએ નીચે જોઈ શકે છે. ઈમારતની ડિઝાઇન પ્રાચીન ગ્રીક અને રોમન મૂળ પર આધારિત છે, જે સ્થાપત્યની રીતે અમેરિકન લોકશાહીનું પ્રતીક બની ગઈ છે. રોટુન્ડા કેન્દ્રમાંથી દેખાતા ત્રણેય ચેમ્બર અને સરકારની પારદર્શિતાને સૂચવતી સ્કાયલાઇટ્સ છે. ઇમારતમાં Laurel wreaths – લોરેલ માળા વિજય, જોમ અને સફળતાનું પ્રતીક છે. Lions – સિંહો ગૌરવ, શક્તિ, સત્તા અને રક્ષણનું પ્રતીક છે. Beehive – મધમાખી – ઉટાહનું રાજ્ય પ્રતીક છે, ઉદ્યોગ અને એકતાનું પ્રતીક છે. ઈમારત અંદર વિશાળ ભીંતચિત્રો અને શિલ્પો, ઈમારત બહાર મૂકેલા શિલ્પો ઉટાહના ઇતિહાસ અને લોકજીવનને પ્રસ્તુત કરે છે. ઉટાહના ભૂતકાળ અને વર્તમાનને જીવંત બનાવે છે. લિબર્ટી બેલની 55 પ્રતિકૃતિઓમાંથી એક અહીં છે. Cyclorama – સાયક્લોરામા (ગોળ ભાગ), 19મી સદીના ઉટાહ જીવનના દૃશ્યો દર્શાવે છે, જેમ કે ‘Gulls Save the Wheat Fields – ગુલ્સ સેવ ધ વ્હીટ ફિલ્ડ્સ’ અને ‘Driving the Golden Spike – ડ્રાઇવિંગ ધ ગોલ્ડન સ્પાઇક’. ચાર મોટા થાંભલાઓ પરના pendentives – પેન્ડેન્ટિવમાં આ પ્રદેશના પ્રારંભિક સંશોધનોને દર્શાવતા ભીંતચિત્રો છે. ઈમારતના આંગણામાં મોર્મોન બટાલિયન સ્મારક છે. ઉટાહના ઇતિહાસની મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓની પ્રતિમાઓ છે. ભીંતચિત્રોમાં ‘ડ્રીમ ઓફ બ્રિઘમ યંગ’ / ‘જીમ બ્રિજર’ અને ‘ડિસ્કવરી ઓફ ધ ગ્રેટ સોલ્ટ લેક’નો સમાવેશ થાય છે. દર વરસે 2 લાખ કરતાં વધુ લોકો આ ઈમારતની મુલાકાત લે છે. 

ગૂગલ પર ઉટાહ અને ગુજરાત વિધાનસભાની માહિતી છે જ, જે જોવાથી પણ ખ્યાલ આવશે કે ગુજરાતના 6 કરોડથી વધુ લોકો કરતાં ઉટાહના 35 લાખ લોકો સંસ્કૃતિ સમજવામાં અને તેને જાળવવામાં આગળ છે !

મનમાં સવાલ ઉદ્દભવે કે ‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે? [1] ઉટાહ વિધાનસભાની ઈમારતમાં સ્થાનિક લોકજીવનને / ઇતિહાસને મહત્ત્વ અપાયું છે. ગુજરાત વિધાનસભામાં આ બાબત ગૂમ છે. ગુજરાતનો જન્મ થયો ન હતો અને ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતું તે અંગેના તથા સૌરાષ્ટ્ર રાજ્યનું વિલિનિકરણ ગુજરાતમાં થયું તે અંગેના ઐતિહાસિક દસ્તાવેજો મૂકેલા નથી. ઐતિહાસિક મહાનુભાવો ગૂમ છે. [2] ગુજરાત વિધાનસભા ઈમારતમાં ગુજરાતના સમાજજીવનને પ્રભાવિત કરનાર મહાનુભાવોના શિલ્પો નથી. ગુજરાતના લોકજીવનને વ્યક્ત કરતાં ભીંતચિત્રો નથી. [3] વિધાનસભા કુદરતી પ્રકાશથી ઝળહળી ઊઠે તેવી વ્યવસ્થા નથી. અને પારદર્શકતા પ્રતીકને કોઈ સ્થાન નથી. [4] ગુજરાત વિધાનસભાની અંદર મુલાકાતીઓ વિના રોકટોક જઈ શકે તેવી વ્યવસ્થા નથી. [5] ગુજરાત વિધાનસભા ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ કરતી હોય તેવું લાગતું નથી. કેમ કે તેમાં ગુજરાતની મહત્ત્વની ક્રાંતિઓના / આંદોલનોના શિલ્પો કે ચિત્રોથી અંકિત કરેલ નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી / જમીન અને સમુદાય / ઇમિગ્રેશન અને વસાહત / તેમ જ કલા અને શિક્ષણનું પ્રતિનિધિત્વ જોવા મળતું નથી. ગુજરાતની સંસ્કૃતિ / તેના મૂળભૂત મૂલ્યો અને આદર્શોના પ્રતીક જોવા મળતા નથી.

23 જુલાઈ 2015 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કોણ કરશે? – ગઝલાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|23 July 2025

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો, અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે?

સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે?
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો, મૃગજળની સામે નજર કોણ કરશે?

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે?

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે?

નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે?

                                                                                   – ‘શૂન્ય’ પાલનપુરી

આદરણીય મનહર ઉધાસે ગાયેલી ગઝલોમાં આ ગઝલ બહુ  જાણીતી નથી પણ, મને બહુ જ ગમતીલી છે. અનેક વખત એ સાંભળી અને માણી છે. એનું ગઝલાવલોકન કરવાનો ઉમળકો ઘણા વખતથી અલપઝલપ આવન જાવન કરતો હતો. એ ઉમળકાની અભિવ્યક્તિ આ રહી –

જિંદાદિલીથી જીવન સફર કરવાની આ વાત મને બહુ ગમે છે. આપણાં જીવન દર્શનો, માર્ગ દર્શકોના ઉપદેશો સંતોષ રાખવાની, ઇચ્છાઓથી પર થઈ જવાની વાત આપણા મનમાં હથોડાની જેમ ઝીંકે રાખે છે. પણ અહીં અસંતોષનો મહિમા કવિએ ગાયો છે.

‘રચનાત્મક અસંતોષ‘

કદાચ આ જ કારણે પશ્ચિમી વિચારધારાની સરખામણીમાં આપણે જુદા પડીએ છીએ. કદાચ, પશ્ચિમના જગતે કરેલ અભૂતપૂર્વ  પ્રગતિ અને વિકાસના મૂળમાં પણ આ ‘અસંતોષ’ છે. જેટ વેગે આગળ ધસી રહેલા વિશ્વમાં આપણે વિશ્વની સાથે રહેવું હોય તો આ અસંતોષ મને જરૂરી લાગે છે.

વૈજ્ઞાનિક અને તકનિકી બાબતો જ નહીં પણ આપણી સમાજ વ્યવસ્થામાં પણ સંતોષના અતિરેકે ઘણી ખરાબીઓ ઊભી કરી છે – એવું મારું માનવું છે. ‘ચાલશે, ફાવશે, ભાવશે’  મનોવૃત્તિમાં પરિવર્તન જરૂરી છે.

માણસના અંગત જીવનમાં પણ સંતોષના અતિરેકે ભલે શાંતિ આપી હોય, આવી ચપટીક ઝંખના મને જરૂરી લાગે છે. ખાસ કરીને નિવૃત્ત જીવનમાં આપણે ત્યાં પલાયનવાદી વિચારધારાએ ઘણું અહિત કર્યું છે. સર્જનનો નાનકડો આનંદ જીવનમાં એક અવનવું પરિમાણ ઊભું કરી દે છે.

બહુ જ ગમતો આ શેર દોહરાવું –

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે?

‘પેટ ચોળીને પીડા ઊભી કરવાની’ આ વાત ભલે લોકભોગ્ય ન હોય; એ રીતે સફર કરવાનો આનંદ તો જેણે માણ્યો હોય તે જ જાણે.

મનહર ઉધાસે ગાયેલ એ ગઝલ પહેલાં તેમણે આ મુક્તક પણ તેમની આગવી શૈલીથી યથોચિત ઉમેર્યું છે.

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર.
કાંસકીને જો કે, એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.

એ મુક્તકની કલ્પના પર તો આપણે વારી જ જઈએ; પણ એનો સંદેશ ‘ચીરે ચીરા થઈ જવાની, ઝેર પણ પચાવી જવાની’ વાત આ જ જીવન દૃષ્ટિને દોહરાવે છે.

આખી ગઝલ અને એ મુક્તક અહીં માણો –

https://www.youtube.com/watch?v=9yv0LclNDUY

e.mail : surpad2017@gmail.com

Loading

સમયનું વિસ્મયઃ

દેવિકા રાહુલ ધ્રુવ|Opinion - Literature|23 July 2025

દેવીકા ધ્રુવ

કાનામાત્ર વગરનો આ શબ્દ ‘સમય’. એમાં કેટલું બધું વિસ્મય ભર્યું પડ્યું છે?

સદીઓથી અવિરતપણે એકધારો ચાલે જ જાય છે. ન તો એને કશી તમા છે કે ન પરવા. લયબદ્ધ રીતે એ સતત ચાલે છે. જે કંઈ બદલાય છે તે કુદરતદત્ત અથવા તો માનવસર્જિત સંજોગ બદલાય છે અને છતાં નવાઈની વાત તો એ છે કે આપણે કહીએ છીએ કે, સમય બદલાયો છે. સવાલ તો એ છે કે શું, સમય બદલાય છે? આ વિશે થોડું વધુ વિચારીએ.

આમ જોઈએ તો, પહેલો મુદ્દો તો એ આવે કે, આકાર વગરનો અને અદૄશ્યરૂપે રહેલો આ સમય છે શું? આપણે એને જોઈ શકીએ છીએ? એના સ્વરૂપ કે આકાર વિશે વર્ણવી શકીએ છીએ? આ સમય શું છે? કશુંક નિયમિતપણે ગતિમાં રહે છે. આપણે એને ક્ષણ નામ આપ્યું. પછી એના માપ નક્કી કર્યા. મિનિટોનાં, કલાકોનાં, દિવસ અને મહિનાઓનાં, વર્ષો અને યુગોનાં એમ કાટલાં ખડકી દીધાં. માણસના સમયને નંબરો આપીને ઉંમર નામ આપી દીધું! અવસ્થાઓમાં આવરી લીધું, વિભાગોમાં વહેંચી નાંખ્યું. ને પછી આપણે એને એક મોટું શીર્ષક આપી દીધું ‘સમય’. સાચે જ, આ સિવાય બીજું શું કહી શકાય? કોઈની સાથે વાત થાય તો આપણે બોલી ઊઠી છીએ કે આપણે કેટલાં વર્ષે મળ્યાં? વાર્તા માંડીએ તો પણ ૪૦ વર્ષ પહેલાંની આ વાત .. કહી શરૂ કરીએ. અથવા તો “ઓહોહો .. તમને ૬૫ વર્ષ થયાં? લાગતા નથી હોં!”

આમ, જેના વિશે કશી ખબર નથી એને આપણે ‘સમય’ કહી આગળ વધ્યાં. આ સમયનું સામર્થ્ય પણ કેટલું મોટું છે? કેટલું બળવાન છે? ચૂપચાપ ચાલતો, એકધારો ચાલતો અને એકસરખી રીતે ચાલતો આ સમય કેટલું શીખવાડી જાય છે એ એક મોટામાં મોટું આશ્ચર્ય નથી શું? પોતે કશુંયે ન કહેતો કે કોઈને માટે કશું પણ ન કરતો આ સમય વળી કોઈને માટે ખરાબ બની જાય છે તો કોઈને માટે એકદમ સરસ બની જાય છે. બોલો, એ કેવું? એ સ્થિતિ પણ નક્કી તો પાછો માણસ જ કરે છે! આ તે વિડંબના છે કે વિચિત્રતા?

ખરેખર આ વિષય પર જેટલા ઊંડા ઉતરીને વિચારીશું એટલાં આશ્ચર્યો ઉઘડતાં જશે અને ઉઘડેલાં હશે તો વિસ્તરતાં જશે. મને યાદ છેઃ નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે “આપણે તો ખૂબ જાહોજલાલી હતી. તારા દાદા તો શરાફી પેઢી ચલાવતા ને ઘેર તો ઘોડાગાડીઓ દોડતી. કેટલાં બધાં તો મકાનોયે હતાં. પછી તારા દાદા ગયા ને કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું.” જ્યારે જ્યારે આ સાંભળતી ત્યારે પણ સવાલ તો થતો જ કે, આ બધું કાળે કર્યું? એટલે શું? સમયે કર્યું? પણ પછી વિચારો ત્યાં જ અટકી જતા. પછી તો જેમજેમ મોટાં થતાં ગયાં તેમતેમ એ સવાલો જુદાંજુદાં રૂપે જાગતા ગયા. છેવટે જવાબ તો એ જ મળતો કે, સમય કશું નથી કરતો, એ તો માત્ર ચાલે જ છે. માણસના સંજોગો બદલાય છે અને તે પણ અલગ અલગ રીતે. કોઈના વ્યક્તિગત કારણે, કોઈના સામાજિક તો કોઈના નૈસર્ગિક કારણે અને એના ઉપરથી જ આપણે સમયને સારો કે ખરાબ કહેતાં હોઈએ છીએ.

કોલેજના વખતમાં શબ્દાર્થ-મીમાંસા ભણતી વખતે પણ આ સમય, મારી નજર સામે હંમેશાં આવીને ઊભો જ રહેતો. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓએ કરેલાં અને હેમચંદ્રાચાર્યથી માંડીને અનુઆધુનિક પ્રવાહના સમર્થ સમીક્ષકોએ તારવેલાં જાતજાતનાં અર્થઘટનોની વાત અત્રે કરવી નથી; પણ એક સાદીસીધી સમજણથી વિચારીએ તો પણ લાગ્યા વગર રહેતું નથી કે સમય અદૄશ્ય અને આકારવિહીન હોવા છતાં એના કેટકેટલા સ્પર્શ છે! અનુભૂતિઓ છે!  જો ગણવા બેસીએ તો જીવનથી મરણ પર્યંતમાં એની વૈવિધ્યતા છે, સર્વોપરિતા છે. અરે, હજી વધુ વિચારીએ તો પાછલા અને પુનર્જન્મમાં પણ એ લપાઈને, છુપાઈને બેઠેલો જ છે. આમ, જીવન અને જગતના પ્રત્યેક સજીવ અને નિર્જીવ તત્ત્વમાં સમયનું સત્ત્વ છે અને સત્ય છે. શક્તિ છે અને એની ભક્તિ પણ છે. છતાં એ પોતે તો સર્વથા વિરક્ત છે. આ એક આશ્ચર્ય નથી શું?

એનાં ક્રિયાપદો પણ ઘણાં. દા.ત. સમય ચાલે છે, સમય દોડે છે, સમય ઊડે છે. એ વહે છે, સરે છે, ફરે છે. સમય મળે છે, ફળે છે અને એ જાય છે, આવે છે, નડે છે, ઘડે છે, વગેરે વગેરે .. શું શું નથી કરતો એ સવાલ છે. વળી મોટામાં મોટો, નહિ ઉકેલાતો પ્રશ્ન તો એ છે કે, સમયને ઉલટાવી શકાય છે? પાછો વાળી શકાય છે? આ સવાલ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને  અન્ય વિજ્ઞાનીઓને પણ થાય છે જ.

આમ, સમયને વ્યાખ્યામાં બાંધવો અને સમજવો મુશ્કેલ છે. ઈટાલિયન લેખક કાર્લો રોવેલ્લીનું  એક પુસ્તક છે. The Order of Time (2018) ત્રણ ભાગોમાં વહેંચાયું છે. તેમના કહેવા મુજબ સમય એક ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે. આ વિચારનાં મૂળ તેમને, એક ફ્રેંચ ગણિતશાસ્ત્રી ઍલન કોન્સના Thermal Time Hypothesisમાંથી મળેલા છે તેમ જણાવે છે. ક્યાંક વાંચવામાં તો એમ પણ આવ્યું હતું કે, વાસ્તવિકતા અને ઘટનાઓનું એક જટિલ નેટવર્ક છે, જેના પર આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સિક્વન્સ પ્રોજેક્ટ કરીએ છીએ. આખું બ્રહ્માંડ એક નિશ્ચિત્ત નિયમોનું પાલન કરે છે, જેમાંથી સમય બહાર આવે છે. હવે આ કેટલી મોટી અજાયબી થઈ?

આ સંદર્ભે વીસમી સદીનાં ખૂબ જ મોટા કવિ ટી.એસ. ઍલિયેટની કવિતા “If Time and Space, as sages say, Are things which cannot be પણ યાદ આવી જ જાય છે. તેના અનુવાદક વિવેક ટેલરે સમજૂતી આપતાં સરસ વાત સમજાવી છે કે, “અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયનાં પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે.”કદાચ એટલે જ સમય પર દરેક ભાષાઓમાં ઘણું બધું સુવિચારો રૂપે પણ લખાયું છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.

  • Time is the engine of our Universe; nothing is without it.
    Time is always right to do what is right —Martin Luther King
  • Time has the power to heal all the situations. Just give some time to time to change its time!
  • Time is a final currency- Not money. Not Power. It is Time —David Crosby.
  • મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
    હવે સમય મારો છે ને મને સમય નથી.
  • દોસ્ત, કેટલો ચાલાક હતો તું! ગિફ્ટમાં ‘ઘડિયાળ’ તો આપી ગયો પણ ત્યાર પછી ‘સમય’ આપવાનું ભુલી ગયો!!
  •  समय पर समय देनेवाला व्यक्ति समय पर मिल जाए तो समय को अच्छा होनेमें समय नही लगता….
  • वक़्त दिखाई नहीं देता, पर बहुत कुछ दिखा देता है॥

આ સંદર્ભમાં એક હળવો શેર યાદ આવ્યો..

‘समय’ न लगाओ तय करने में, आप को करना क्या है…?
वरना ‘समय’ तय कर लेगा कि, आप का करना क्या है !!

સમાપનમાં છેલ્લે તો એ જ કહેવું છે કે સમય સુપ્રીમ છે. સમયના સામર્થ્યની વાત સહજ નથી. સમય માત્ર ઘડિયાળના ફરતા કાંટા નથી. એ વીતીને કદી પાછો વળતો નથી કે ભાવિની વીતક કદી કહેતો નથી. સમય તિથિ-વારમાં વહેંચાતો હશે પણ કોઈની મુઠ્ઠીમાં કદી બંધાતો નથી. એ આંસુથીયે રોકાતો નથી ને સ્મિતથી કદી છેતરાતો નથી.

નથી … નથી … નથી ..નો આ સમય અનન્તની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જિરવવો, એ જબરદસ્ત જિગરનું કામ છે. એ તો ક્ષણક્ષણની સમજ છે, ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.
સમય ‘સૂપ્રીમ’ છે. સર્વોપરિ અને સર્વોત્તમ છે.

e.mail : ddhruva1948@yahoo.com 

Loading

...102030...67686970...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved