Opinion Magazine
Number of visits: 9663568
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે!

રમેશ સવાણી|Opinion - Opinion|20 November 2025

રમેશ સવાણી

અખબારો / ટી.વી. ચેનલોને ગોદી બનાવ્યા પછી પણ મોદીજીને સંતોષ થતો નથી. ચૂંટણીઓમાં જબરજસ્ત સફળતા મળે છતાં તેમને સંતોષ થતો નથી. મોદીજી રાહુલ ગાંધીનું ચરિત્રહનન સતત કરે છે. કેમ કે મોદીજીને રાહુલ ગાંધી સતત સવાલો કરે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ગોટાળાઓનો પર્દાફાશ કર્યો તેથી મોદીજીને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો છે. આ દુખાવાને બિહાર વિધાનસભાની ચૂંટણીની જીત પણ શાંત કરી શકી નથી. 

મોદીજીએ બીજું એક હથિયાર રાહુલ ગાંધી સામે ઉગામ્યું છે. પૂર્વ ન્યાયાધીશો, IAS-IPS અમલદારો, રાજદૂતો સહિત 272 હસ્તીઓએ રાહુલ ગાંધીને 18 નવેમ્બર 2025ના રોજ ખુલ્લો ‘પ્રાયોજિત પત્ર’ લખ્યો છે. આ પત્રમાં 272 લોકોએ સહી કરી છે, જેમાં 16 નિવૃત્ત ન્યાયાધીશો, 123 ભૂતપૂર્વ અમલદારો, 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને 14 ભૂતપૂર્વ રાજદૂતોનો સમાવેશ થાય છે. 

શું છે આ પત્રમાં? 

[1] રાજકીય હતાશા છુપાવવા માટે રાહુલ ગાંધી ચૂંટણી પંચને નિશાન બનાવે છે. 

[2] ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આ હુમલો બળ દ્વારા નહીં, પરંતુ લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા કરવામાં આવે છે. 

[3] કોઈ વાસ્તવિક નીતિગત વિકલ્પો આપ્યા વિના તેમની નાટકીય રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો લઈ રહ્યા છે. 

[4] ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવીને; ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવીને; અને સંસદ અને તેના અધિકારીઓ પર પ્રશ્ન ઉઠાવીને; તેની છબીને કલંકિત કર્યા પછી, હવે ભારતના ચૂંટણી પંચ પર હુમલો થઈ રહ્યો છે. 

રાહુલ ગાંધી

[5] રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે મત ચોરીના પુરાવા છે. છતાં તેમના દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. કાઁગ્રેસ અને અન્ય પક્ષો, ડાબેરી NGO વગેરે SIR વિરુદ્ધ છે. 

[6] ચૂંટણી પંચ બેશરમીથી ભા.જ.પ.ની બી-ટીમ તરીકે કામ કરી રહ્યું છે તેવો આક્ષેપ રાહુલ ગાંધી કરે છે. ચૂંટણી પંચે SIR પદ્ધતિને જાહેરમાં શેર કરી છે, કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર તેનું નિરીક્ષણ કર્યું છે, અયોગ્ય નામો દૂર કર્યા છે અને નવા પાત્ર મતદારો ઉમેર્યા છે. આ સૂચવે છે કે આ આરોપો રાજકીય હતાશાને છુપાવવા માટે એક ઢાંકપીછોડો છે. 

[7] કાઁગ્રેસના નેતાઓનું વર્તન વારંવારની ચૂંટણી નિષ્ફળતાઓ અને હતાશાથી જન્મેલા ગુસ્સાને આભારી હોઈ શકે છે. જ્યારે રાજકારણીઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ ભૂલી જાય છે, ત્યારે તેમની વિશ્વસનીયતા ફરીથી બનાવવાને બદલે, તેઓ સંસ્થાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. વિશ્લેષણનું સ્થાન નાટકે લીધું છે. જાહેર સેવાનું સ્થાન તમાશાએ લીધું છે. વિડંબના એ છે કે, જે થોડા રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પરિણામો તેમના પક્ષે ન જાય, ત્યારે પંચ ખલનાયક બની જાય છે.”

થોડાં મુદ્દાઓ :

[1] રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. સરકારની અને બંધારણીય સંસ્થાઓની ભૂલ દર્શાવવી એ તેનું કામ છે. શું આ 272 મહાનુભાવોને એ યાદ નથી કે મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મનમોહન સિંહની સરકારની ભયંકર આલોચના કરતા ન હતા? ત્યારે CBI પર આક્ષેપો કરતા ન હતા? માની લઈએ કે રાહુલ ગાંધી રાજકીય હતાશા છુપાવવા માટે આક્ષેપો કરે છે, તો લોકોને નક્કી કરવા દો કે તે આક્ષેપો રાજકીય હતાશા છુપાવવા માટે છે કે નહીં? 

[2] માની લઈએ કે ‘લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા હુમલો રાહુલ ગાંધી કરે છે’ તો લોકોને નક્કી કરવા દો કે રાહુલ ગાંધી ઝેરીલાં ભાષણ આપે છે કે મોદીજી? ‘તમારી પાસે બે ઓરડા હોય તો એક ઓરડાનો કબજો ઘૂસપેઠિયા કરી લેશે’ ‘અમે પાંચ અમારા પચ્ચીસ’ આવું નફરતી ઝેર આ 272 મહાનુભાવોને દેખાયું નહીં હોય? 

[3] જો રાહુલ ગાંધી ‘ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો’ લેતા હોય તો તેમની વિરુદ્ધ FIR કરી કાયદેસર કાર્યવાહી કરોને ! મોદીજીને નેહરુ રોકે છે? 

[4] રાહુલ ગાંધીએ ‘ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો’ હોય તો તેનો કોઈ પુરાવો છે? જો હોય તો દેશદ્રોહ સબબ તેમની સામે કાર્યવાહી કેમ કરતા નથી? 

[5] જો ‘રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા હોય’ તો તેમની સામે ચૂંટણી પંચ સ્પષ્ટતા કેમ કરતું નથી? તેના બદલે ભા.જ.પ.ના નેતાઓ કેમ સ્પષ્ટતા કરે છે? શું ચૂંટણીપંચની જવાબદારી નથી કે વિપક્ષી નેતાએ ઉઠાવેલ સવાલોની સ્પષ્ટતા કરવી? શું રાહુલ ગાંધી ગોટાળા અંગે FIR નોંધાવે તો જ ચૂંટણી પંચે જાગવાનું છે? તો જ કાર્યવાહી કરવાની છે? પ્રશ્નો પૂછે એટલે NGO ડાબેરી થઈ જાય? ડાબેરી હોવું ગુનો છે? ભગતસિંહ / સુભાષચંદ્ર બોઝ પણ ડાબેરી હતા. 

[6] SIR-Special Intensive Revision અંગે માત્ર રાહુલ ગાંધીએ જ સવાલો કર્યા નથી, કેટલાક જાગૃત નાગરિકોએ પણ સવાલ કર્યા છે, જેઓ કદી ચૂંટણી લડતા નથી. તેમના સવાલોની સ્પષ્ટતા ચૂંટણી પંચ કેમ કરતું નથી?

[7] જો રાહુલ ગાંધી નાટક કરતા હોય / તમાશો કરતા હોય તો આ 272 મહાનુભાવોને ચિંતા કરવાની જરૂર કેમ પડી હશે? ‘જે રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે’ આ વાત તદ્દન ગેરમાર્ગે દોરનારી છે. કર્ણાટકમાં કાઁગ્રેસની સરકાર છે ત્યાં ચૂંટણીમાં કેવી ગેરરીતિ થઈ હતી તે અંગે રાહુલ ગાંધીએ પુરાવા સહિત રજૂઆત કરી હતી. 

આ 272 મહાનુભાવો ત્યારે કેમ ચૂંપ હતા જ્યારે 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકશાહી બચાવોની હાકલ કરી હતી ! આ ચાર ન્યાયાધીશોએ કેસ ફાળવણી ઉપરાંત, ન્યાયાધીશ બી.એચ. લોયાના મૃત્યુની તપાસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. શું આ ચાર ન્યાયાધીશોએ લોકશાહી સંસ્થા પરના હુમલાનો પર્દાફાશ કર્યો ન હતો? શું આ 272 લોકો એવું કહેવાની હિંમત એકઠી કરી શકે છે કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન મતદારોને કરોડો રૂપિયાનું વિતરણ કર્યુ તે ખોટું હતું? શું ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ન હોવી જોઈએ? ઈલેક્ટોરલ બોન્ડની યોજના સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી તે અંગે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા હશે? શું તે યોજના ચૂંટણી-ભ્રષ્ટાચારનો પુરાવો ન હતી? શું દેશમાં પ્રવર્તતી મોંઘવારી, વધતી જતી બેરોજગારી, ગગડતો રૂપિયો, મહિલાઓની અસુરક્ષા, બળાત્કારીઓ-હત્યારાઓને જેલમુક્ત કરવા, આશારામ-રામરહિમને જામીન મળવા, બેજવાબદાર વર્તન અને સરમુખત્યારશાહી સામે આ 272 પ્રભાવશાળી લોકોએ કેમ અવાજ ઊઠાવ્યો નહી હોય? જ્યારે ભા.જ.પના સંસદસભ્યે ગૃહયુદ્ધ માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને દોષી ઠેરવ્યા ત્યારે આ પૂર્વ ન્યાયાધીશો ક્યાં છૂપાયેલા હતા? જ્યારે મોદી-સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી હતી ત્યારે આ પૂર્વ અમલદારો કેમ ચૂપ હતા? જ્યારે ચૂંટણી કમિશનરની નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મોદીજીએ કાઢી નાંખ્યા ત્યારે આ 272 પ્રતિષ્ઠિત લોકો કેમ ચૂપ રહ્યા હતા? શું આ ચૂંટણી કમિશનર તરીકે ચાપલૂસ-ભગતડાને નિમવાનું કાવતરું ન હતું? ઈલેકશન કમિશનર પર કોઈપણ પ્રકારનો કેસ કે કોર્ટમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ન થઈ શકે એવો મોદીજીએ કાયદો બનાવ્યો ત્યારે આ 272 મહાનુભાવો કેમ ચૂપ રહેલ?

આ 272 જજ અને નોકરશાહો સામે જો સાચી તપાસ થાય તો 90%થી વધુ પાસેથી અઢળક સંપત્તિ મળે. તેઓ લોકશાહી સંસ્થાઓને બચાવવાનો ઢોંગ કરી રહ્યા છે. આ 272માં ગુજરાતના કોઈ પૂર્વ IAS-IPS / જજ કેમ નથી? વળી આ 272માં 90%થી વઘુ ચોક્કસ વર્ણના જ કેમ છે? SC / ST / OBC વર્ગના કેમ નથી? શું આ 272 મહાનુભાવો RSSના Sleeper Cells તો નથી?

272 મહાનુભાવોમાંથી કોઈએ ચૂંટણી કમિશનર તરીકેનો અનુભવ નથી. પરંતુ ત્રણ પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા / ઓ.પી. રાવત / એસ.વાય. કુરેશીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વલણની આલોચના કરી છે; એ પણ ખોટા? લોકશાહીમાં, પ્રશ્નો પૂછવા એ ગુનો નથી, પણ ફરજ છે. વિરોધ લોકશાહીનું હૃદય છે. પ્રશ્નો પૂછવા એ લોકશાહીનો શ્વાસ છે. અને રાહુલ ગાંધી એવા પ્રશ્નો પૂછી રહ્યા છે જેનો શાસક પક્ષને ડર લાગે છે. આ 272 લોકોમાં આ વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમતનો અભાવ છે; તેથી, તેઓ બંધારણનું રક્ષણ કરનારાઓ પર આંગળી ચીંધી રહ્યા છે. કોઈ પણ સ્વતંત્ર નાગરિક, કોઈ પણ સાચી લોકશાહી-પ્રેમી વ્યક્તિ, લોકો દ્વારા ચૂંટાયેલા સૌથી મોટા વિપક્ષી અવાજ પર આ રીતે હુમલો ન કરી શકે. 272 લોકોએ લખેલો ‘પત્ર’ વાસ્તવમાં જાહેર પ્રશ્નો ટાળવા માટેનું રાજકીય કાવતરું નથી? કોના ઇશારે આ ચૂંટણીપંચ સતત જાહેર પ્રશ્નો ટાળી રહ્યું છે? જ્યારે વોટ ચોરીના વીડિયો, EVM સાથે છેડછાડ અને પોસ્ટલ બેલેટની અનિયમિતતાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા? જ્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહ્યું અને પારદર્શિતા ટાળી, ત્યારે શું લોકશાહી ખતરામાં ન લાગી? લોકશાહી માટે ખરો ખતરો વિપક્ષ તરફથી નથી, પરંતુ એ લોકો તરફથી છે જેઓ ડર અથવા સત્તાના લોભથી ચૂંટણીપંચના મૌનને નૈતિકતાનું પ્રમાણપત્ર તરીકે રજૂ કરી રહ્યા છે. જો લોકશાહી સંસ્થાઓની ગરિમા માટે ખરેખર ચિંતા હોય, તો પહેલા જવાબદાર લોકોને પૂછો : તેઓ લોકોના પ્રશ્નોથી કેમ ડરે છે? લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે ! લોકશાહી સંસ્થાઓની આબરુ કોણ લઈ રહ્યું છે? રાહુલ ગાંધી કે મોદીજી? 

20 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર

સોનલ પરીખ|Opinion - Opinion|20 November 2025

ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે તુઝ્કો લિખી રોજ પાતી
કૈસે બતાઉં કિસ કિસ તરહ સે હર પલ મુઝે તૂ સતાતી
તેરે હી સપને લે કર કે સોયા તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ઉલઝા રહા યું જૈસે કિ માલા મેં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
ઈતના મદિર, ઇતના મધુર તેરા મેરા પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

સાંસોં કી સરગમ ધડકન કી બીના સપનોં કી ગીતાંજલિ તૂ
મન કી ગલી મેં મહકે જો હરદમ ઐસી જૂહી કી કલી તૂ
છોટા સફર હો, લંબા સફર હો, સૂની ડગર હો યા મેલા
યાદ તૂ આયે મન હો જાયે ભીડ કે બીચ અકેલા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

પૂરબ હો પશ્ચિમ, ઉત્તર હો દક્ષિણ તૂ હર જગહ મુસ્કુરાયે
જિતના ભી જાઉં મૈં દૂર તુઝસે ઉતની હી તૂ યાદ આયે
આંધી ને રોકા, પાની ને ટોકા દુનિયા ને હસ કર પુકારા
તસવીર તેરી લેકિન લિયે મૈં કર આયા સબસે કિનારા લેકર
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …

રિહર્સલ ચાલતું હતું. એસ.ડી. બર્મન કિશોરકુમારને ‘બડી સૂની સૂની હૈ’ ગાતા સાંભળી રહ્યા હતા. આંખો ભીની હતી, હોઠ ખામોશ હતા. થોડી વારે કિશોરકુમાર વિદાય થયા. બર્મનદા ઊઠવા ગયા પણ પડી ગયા. ડૉક્ટરે આવીને કહ્યું, ‘હૉસ્પિટલ લઈ જવા પડશે.’ બર્મનદાએ ના પાડી, ‘કાલે રેકૉર્ડિંગ છે, એ પછી જ હૉસ્પિટલ જઈશ.’

ખબર પડી એટલે કિશોરકુમાર આવ્યા. બર્મનદાને હૉસ્પિટલમાં મોકલવા બહાનું કાઢ્યું. ‘દાદા, મારું ગળું ખરાબ છે. તમે હૉસ્પિટલ જાઓ. તમે સાજા થશો ત્યાં સુધીમાં મારું ગળું પણ બરાબર થઈ જશે, પછી રૅકૉર્ડિંગ કરીશું.’

‘દેખો, કિશોર. ગલા ઠીક હોને પર ફૌરન રેકૉર્ડિંગ હોના ચાહિયે. મૈં આ નહીં પાયા તો ભી. ઔર ઐસે ગાના જૈસે મૈં તુમ્હારે સામને હી ખડા હૂં. વાદા કરો.’ આટલું કહી, બર્મનદા હૉસ્પિટલ ગયા. રેકૉર્ડિંગ એમના વિના જ થયું, પણ કિશોરકુમારે સતત એમની હાજરી અનુભવી. ટેપ સંભળાવવામાં આવી ત્યારે બર્મનદાના ફિક્કા મોં પર સંતોષની સુરખી છવાઈ. એમણે પુત્રને કહ્યું, ‘મૈં ન કહતા થા, કિશોર હી યહ ગા સકતા હૈ. બિલકુલ વૈસા, જૈસા મૈં ચાહતા થા.’ અમીન સાયાનીને ઈન્ટરવ્યૂ આપતી વખતે કિશોરકુમારે પોતે આ વાત કહી હતી.

રેકૉર્ડિંગ સાંભળ્યા પછી તરત બર્મનદા કોમામાં સરી પડ્યા હતા. 31 ઑક્ટોબરે 69 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. કિશોરકુમાર-એસ.ડી. બર્મનના આ અનોખા અનુબંધને યાદ કરતાં આજે માણીએ ‘પ્રેમ પૂજારી’નું સદાબહાર, ઑલ ટાઈમ ફૅવરિટ રોમેન્ટિક ગીત ‘ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે …’ આ ગીતમાં અનુબંધ-ત્રિકોણનો ત્રીજો ખૂણો પણ છે, દેવ આનંદ. દેવ આનંદનો વૉઈસ મહંમદ રફી ગણાતા હતા ત્યારે એમને માટે કિશોરકુમારનો કંઠ પસંદ કરનાર અને એક એકથી ચડિયાતાં ગીતો આપનાર એસ.ડી. બર્મન જ હતા.

આજે અડધી સદી વીતી ગઈ છતાં શરદ પૂનમની રાત્રે ‘યે રાત યે ચાંદની ફિર કહાં’ અને ‘ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન’ અચૂક યાદ આવે જ છે. જેમ દુ:ખી હોઈએ ત્યારે ‘દિન ઢલ જાયે’, ક્લબ સૉંગ સાથે થિરકવાનું મન થાય ત્યારે ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે’, ક્લાસિકલ સંગીત માણવાની ઇચ્છા થાય ત્યારે ‘પૂછોના કૈસે મૈંને રૈન બિતાઈ’ અને ફિલોસોફીના મૂડમાં ‘ઓ રે માઝી …’ યાદ આવે છે તેમ જ.

1906માં જન્મેલા બર્મનદા ત્રિપુરાના રાજવંશના હતા. 1937થી બંગાળી ફિલ્મોમાં અને 1947થી હિંદી ફિલ્મોમાં (પહેલું ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા’) ચાર દાયકાથી વધારે સમયમાં એમની કારકિર્દી વિસ્તરી હતી. 100થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું, અર્ધશાસ્ત્રીય અને બાઉલ શૈલીમાં પોતે પણ ગાયું. એમનાં પત્ની મીરાં દાસગુપ્તા સંગીતકાર અને લેખિકા હતાં.

બર્મનદા એકમાત્ર એવા સંગીતનિર્દેશક છે જેમણે કિશોરકુમાર અને મહમ્મદ રફી પાસે લગભગ સરખા પ્રમાણમાં ગીતો ગવડાવ્યાં છે. કિશોરકુમારની કારકિર્દીને વેગ આપવામાં બર્મનદાનો મોટો ફાળો હતો. કિશોરકુમારને તેઓ પોતાનો દીકરો જ ગણતા અને પુત્ર પંચમ જેટલો જ પ્રેમ કરતા. અનેક વાર નવી ધૂન સૂઝી હોય ત્યારે ભાંગતી રાત્રે કિશોરકુમારને ફોન કરી જગાડતા અને ધૂન સંભળાવતા, ‘કેવી બની છે?’ ‘અદ્દભુત. હવે સૂઈ જાઉં, દાદા?’ ‘ના. પહેલા મારી સાથે ગા જોઉં.’ બંગાળી બાઉલ સંગીતથી લઈ શાસ્ત્રીય સંગીતની બારીકીઓ સુધી વિસ્તરતી બર્મનદાની સંગીતશૈલીને વર્ણવવી સહેલી નથી. એવરગ્રીન દેવ આનંદ હોય કે શાલીન વિજય આનંદ, વિરક્ત બિમલ રૉય હોય કે અજંપ ગુરુ દત્ત, બર્મનદા બધા સાથે જામે. પોતાનું અને એમનું નવું શિખર સર કરી બતાવે.

પણ જિદ્દી, વધુ પડતા ચોક્કસ પણ ખરા. બિમલ રૉય અને સાહિર લુધિયાનવી સાથેના તેમના મતભેદો છાપે ચડ્યા હતા, પણ ગુરુ દત્ત અને દેવ આનંદ સાથેનું જોડાણ દીર્ઘ નીવડ્યું હતું. પાનના અઠંગ પ્રેમી. સચિન તેંડુલકરના પિતા એસ.ડી.ના એવા પ્રેમી હતા કે એમના નામ પરથી દીકરાનું નામ સચિન પાડ્યું!

‘પ્રેમ પૂજારી’ 1970ની ફિલ્મ હતી. તેનું લેખન, નિર્માણ, દિગ્દર્શન અને અભિનય દેવ આનંદનાં હતાં. દિગ્દર્શક તરીકેની દેવ આનંદની આ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદ સ્ટાઈલની નવીનતા અને તાજગી સાથે દિગ્દર્શક તરીકે કથળી જતી માવજત અને છૂટી જતી પકડ પણ એમની પછીની અનેક ફિલ્મોની જેમ આમાં દેખાય છે.

કહાણી સૈનિક પિતા (નાસીર હુસેન) અને શાંતિપ્રિય પુત્ર(દેવ આનંદ)ની છે. પિતાના કહેવાથી એ લશ્કરમાં ભરતી થાય છે, કૉર્ટ માર્શલ થઈ ગુમ થઈ જાય છે, જાસૂસી કરે છે ને અંતે યુદ્ધમાં પરાક્રમ પણ કરે છે. આ બધા સાથે પ્રેમિકા(વહીદા રહેમાન)ને દિલોજાનથી ચાહે છે.

દેવ આનંદના રોમાન્સમાં રમતિયાળપણું અને સચ્ચાઈનો જે સંગમ હતો તે ‘ફૂલોં કે રંગ સે’માં બરાબર ઊભર્યો છે અને એમાં બર્મનદા જેટલો જ હાથ તેના શાયર ગોપાલદાસ ‘નીરજ’ના શબ્દોનો પણ છે. ગીતનું ફિલ્માંકન જ્યાં થયું છે તે સ્વીત્ઝરલૅન્ડ જેટલું જ સ્વચ્છ-સુંદર આ કવિએ કરેલું પ્રેમની મસ્તી અને ઊંડાણનું સંયોજન છે. એને માણવા ખાતર પણ આ ગીત જરૂર જોવું જોઈએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑક્ટોબર 2025

Loading

કરસનદાસ મુલજીએ જોયેલું તે કેવું હતું ૧૮૬૩નું ઇંગ્લન્ડ?  

દીપક મહેતા|Opinion - Literature|20 November 2025

ગ્રંથયાત્રા – 19

ડિમાઈ કદનાં લગભગ ૪૬૦ પાનાં. તેમાં દોઢ સો જેટલાં ચિત્રો, ઘણાં તો બહુરંગી. ૧૮૬૬માં એ પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ. બીજે જ વર્ષે, ૧૮૬૭માં તેની બીજી આવૃત્તિ પ્રગટ થઇ. એ વખતે ‘ગુજરાતી ભાષા બચાવો’નું આંદોલન ચાલતું નહોતું, છતાં અંગ્રેજી અખબારો અને મેગેઝીનોમાં ગુજરાતી પુસ્તકોનાં અવલોકનો પણ પ્રગટ થતાં. ૧૮૬૬ના જુલાઈની ૧૬મી તારીખે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં અને ચોથી ઓગસ્ટના ‘બોમ્બે સેટરડે રિવ્યુ’ના અંકમાં એ પુસ્તકનું અવલોકન પ્રગટ થયેલું. ‘બોમ્બે સેટર ડે રિવ્યુ’એ લખેલું કે છાપકામની દૃષ્ટિએ આના કરતાં વધુ સુંદર હોય તેવું બીજું કોઈ પુસ્તક મુંબઈના કોઈ પણ છાપખાનામાં આજ સુધીમાં છપાયું નથી. આ પુસ્તકનો મરાઠી અનુવાદ પણ પ્રગટ થયેલો, ૧૮૬૬માં જ.

એ પુસ્તકનું નામ ‘ઇંગ્લન્ડમાં પ્રવાસ’. એના લખનાર હતા કરસનદાસ મુલજી (પુસ્તકના ટાઈટલ પેજ પર આ રીતે નામ છાપ્યું છે). ૧૮૩૨ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં જન્મ. ફક્ત ૩૯ વર્ષની ઉંમરે ૧૮૭૧ના ઓગસ્ટની ૨૮મી તારીખે લીમડી ગામમાં અવસાન. કરસનદાસ એટલે ૧૯મી સદીના આપણા અગ્રગણ્ય સમાજ સુધારક, ત્રણ ત્રણ સામયિકોના તંત્રી. મહારાજ લાયબલ કેસને કારણે તેમનું નામ દેશમાં અને દેશની બહાર પણ ગાજેલું. બીજાં કેટલાંક પુસ્તકો પણ લખ્યાં છે, પણ તેમની લેખક તરીકેની સિદ્ધિ અને પ્રસિદ્ધિ મુખ્યત્વે આ પુસ્તકને પ્રતાપે. તેમણે ઇંગ્લન્ડનો પ્રવાસ બે વખત કરેલો. પહેલો ૧૮૬૩માં. આ પુસ્તકમાં તેમણે એ પ્રવાસની વાત કરી છે. એ વખતે દરિયો ઓળંગવો એટલે મહાપાતક. પાછા આવ્યા પછી ન્યાત બહાર મુકાયેલા. મહીપતરામ નીલકંઠને પણ તેમણે કરેલા ઇંગ્લન્ડના પ્રવાસને કારણે ન્યાત બહાર મૂકેલા. પણ તેમણે નાકલીટી તાણી, દંડ ભરી, પ્રાયશ્ચિત્ત કરેલું અને ન્યાતમાં પાછા દાખલ થયેલા. જ્યારે કરસનદાસ મરતાં સુધી અડીખમ રહેલા. પોતાને માથે આફત આવશે એની કરસનદાસને પહેલેથી ખબર હતી. એટલે આ પુસ્તકને અંતે તેઓ લખે છે : “વિલાયત જનારા પહેલા થોડા એક ગૃહસ્થો ઉપર દુઃખ પડ્યાથી વિલાયતનો રસ્તો બંધ પડશે એમ તમે કદી માનશો ના.  ભાઈ મહીપતરામ ઉપર આ બાબતમાં દુઃખ પડ્યું તે જોઇને જેમ હું અટક્યો નહિ, તેમ મને જોઇને બીજાઓ અટકશે નહિ તેમ હું માનું છું.”

કરસનદાસનું પુસ્તક જોતાં જણાય છે કે તેમણે અત્યંત વ્યવસ્થિત રીતે, આયોજનપૂર્વક આખું પુસ્તક લખ્યું છે. પુસ્તક બાર પ્રકરણમાં વહેંચાયેલું છે અને પ્રત્યેક પ્રકરણમાં બાર-બાર ‘બાબત’ વિષે લખ્યું છે. પહેલા પ્રકરણમાં વિલાયતની સમગ્ર છાપ, તેની મુસાફરીથી થતા લાભ, પ્રાચીન સમયના હિંદુઓમાં વિદેશ પ્રવાસનો ચાલ, અને પછીથી એ ચાલ બંધ પડવાનાં કારણો, વગેરેની લેખકે ચર્ચા કરી છે. 

૧૮૬૩ના માર્ચની ૧૩મી તારીખે સવારે કરસનદાસે મુંબઈનું બારું છોડ્યું ત્યારે તેમની આગબોટ પર ત્રણ દક્ષિણી (મહારાષ્ટ્રી) હિંદુ અને તેમના ત્રણ નોકરો, ચાર પારસીઓ અને તેમના ત્રણ પારસી નોકરો, પોતે અને પોતાનો નોકર, એમ કુલ ૧૫ હિંદીઓ હતા એમ તેમણે નોંધ્યું છે. (મુસાફરી દરમ્યાન રસોઈ કરવા માટે સાથે નોકર લઇ જવાનો એ વખતે ચાલ હતો, જેથી ‘ધરમ’ સચવાય!) આગબોટનું નામ હતું જેદ્દો. બીજા પ્રકરણમાં લેખકે દરિયાઈ મુસાફરીની અને રસ્તામાં આવેલાં એડન, કેરો, માલટા, માર્સેલ્સ, પારિસ વગેરે વિષે ટૂંકમાં લખ્યું છે. નવમી એપ્રિલે સાંજે પાંચ વાગે કરસનદાસે લંડનની ભૂમિ પર પહેલી વાર પગ મૂક્યો. ડોવરથી લંડન-બ્રિજ રેલવે સ્ટેશન સુધીની મુસાફરી તેમણે ‘આગની ગાડી’માં કરેલી. એ સ્ટેશન પર ઉતરતાં વેંત કરસનદાસની નજરે સૌથી પહેલું શું પડે છે? બહુ જ મોટા અક્ષરે લખેલું પાટિયું : ‘બીવેર ઓફ પિકપોકેટસ.’ ચોર-લૂંટારા તો ફક્ત હિન્દુસ્તાનમાં જ હોય એવું નથી, અહીં પણ છે – કરસનદાસ વિચારે છે. જો કે પોતે ઇન્ગ્લન્ડમાં છ મહિના રહ્યા તે દરમ્યાન પોતાને ચોરી-ચપાટીનો એક પણ અનુભવ થયો નહિ એમ તેઓ ઉમેરે છે. 

કેવું હતું એ વખતનું લંડન? ઘરો ઉપર ધૂમાડિયાં(ચીમની)નાં લાલ ભૂંગળાં છાપરાંની બહાર ડોકાતાં ચોતરફ દેખાય છે. તેમાંથી નીકળતો ધૂમાડો આખા શહેરમાં પ્રસરે છે. આથી ઘણાંખરાં ઘરોનો રંગ બહારથી કાળો પડી ગયો છે. શહેરમાં એટલો ધૂમાડો હોય છે કે આખો દિવસ બહાર ફરીને સાંજે ઘરે પાછા આવીએ ત્યારે હાથ-પગ-મોં કાળાં થઇ ગયાં હોય! તો ત્રીજા પ્રકરણમાં લેખકે શહેરનાં વસ્તી, વિસ્તાર, રસ્તા, ચોક, ગાડી અને ઘોડા, દુકાનો અને બજાર, અખબારો અને જાહેર ખબરો, બગીચા, પૂતળાં, ફુવારા, નદી, પૂલો, અને રાતે આખા શહેરને ઝગમગાવતા ગેસના દીવા – આ બધાં વિષે લખ્યું છે. તો પછીના એક પ્રકરણમાં બ્રિટિશ મ્યુઝિયમ, પોલિટેકનિક ઇન્સટિટ્યૂટ , ઝુઓલોજિકલ ગાર્ડન, ‘લંડન ટાઈમ્સ’નાં ઓફીસ અને છાપખાનું, થેમ્સ ટનલ અને ટાવર ઓફ લંડન, વેસ્ટ મિન્સ્ટર એબી, હાઉસ ઓફ પાર્લામેન્ટ, વગેરે વિષે પણ વિગતે લખ્યું છે. છઠ્ઠા પ્રકરણમાં લંડનની નાટકશાળાઓ, માદામ તુસેનું વેક્સ મ્યુઝિયમ, નેશનલ ગેલેરી, વગેરે વિષે વાત કર્યા પછી સાતમાં પ્રકરણમાં લંડનના લોકો, તેમની સામાજિક-આર્થિક સ્થિતિ, તેમના રીત રિવાજો, અને જીવનશૈલીની ચર્ચા કરી છે. એટીકેટ, ગુણો, વગેરેની વાત કર્યા પછી ઇન્ગ્લન્ડની મોટાઈનાં બાર કારણો તેમણે આપ્યાં છે: વિદ્યા, હુન્નર, કોલસો, લોઢું, કારખાનાં, રેલવે, એક ભાષા, વેપાર, દયાળુ સરકાર. લંડન ઉપરાંત માન્ચેસ્ટર, લિવરપૂલ, એડીનબરા, ગ્લાસગો, વગેરેની મુલાકાત પણ લેખકે લીધેલી તેની વાતો પણ અહીં સમાવી છે. 

ચિત્રો એ આ પુસ્તકનું એક આગવું અંગ છે. પહેલી આવૃત્તિ મુંબઈમાં નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાયેલી અને તેમાં પણ ઘણાં ચિત્રો મૂક્યાં હતાં. પણ ૧૮૬૭ની બીજી આવૃત્તિમાં તેમણે ઘણાં ચિત્રો ઉમેર્યાં હતાં, લખાણમાં સુધારા-વધારા કર્યા હતા. આ આવૃત્તિ મુંબઈના દફતર આશકારા પ્રેસમાં છાપી હતી. એ જમાનામાં તેની કિંમત બાર રૂપિયા હતી! તેની ૭૦૦ જેટલી નકલો તે વખતની મુંબઈ સરકારે આગોતરી ખરીદી હતી. પુસ્તકમાં જેટલાં ચિત્રો મૂક્યાં છે તેની અત્યંત વ્યવસ્થિત સૂચિ પુસ્તકને આરંભે ‘ચિત્રની ટીપ’એવા મથાળા હેઠળ મૂકી છે. તેમાં ખાસ વાત એ છે કે આ સૂચિ ચિત્રો છાપવાની પદ્ધતિ પ્રમાણે વહેંચીને આપી છે. ‘સ્ટીલ પ્લેટ તથા લીથોગ્રાફ’ મથાળા હેઠળ નોંધાયેલાં ૩૬ ચિત્રો બહુરંગી છે અને તે ઇન્ગ્લન્ડમાં છપાવેલાં છે. આપણને થાય કે તેમણે તૈયાર ચિત્રો – સ્ટોક ઈલસ્ટ્રેશન્સ – ખરીદીને પુસ્તકમાં આમેજ કરી દીધાં હશે. (એ વખતે એમ કરવું અસામાન્ય નહોતું.) પણ આ બધાં જ ચિત્રો તેમણે ખાસ પોતાના પુસ્તક માટે જ છપાવ્યાં હતાં. લંડનના ‘મેક-ડોનાલ્ડ એન્ડ મેકગ્રેગોન લીમીટેડ’માં આ ચિત્રો છપાયાં છે અને દરેક ચિત્ર નીચે સાવ ઝીણા અક્ષરે છાપ્યું છે : ‘સ્પેશિયલી પ્રીપેર્ડ ફોર કરસનદાસીઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ગ્લન્ડ.’ આ ઉપરાંત ઈલેક્ટ્રોપ્લેટ પદ્ધતિથી ૧૯ ચિત્રો છાપ્યાં છે. ત્રીજો પ્રકાર છે વૂડ કટ અને નાની ઇલેક્ટ્રો પ્લેટનો. આવાં બધાં જ ચિત્રો લખાણની સાથે, વચમાં, કે એક બાજુએ છાપ્યાં છે. તે મુંબઈના પ્રેસમાં જ છપાયાં હોય. થોડાં વર્ષો પહેલાં ગુજરાત સાહિત્ય અકાદેમીએ કરસનદાસનું આ પુસ્તક ફરી છાપ્યું, પણ તેમાંનાં ઘણાંખરાં ચિત્રો કાઢી નાખ્યાં. એ જમાનામાં એક વ્યક્તિ જે કરી શકી તે આજે સગવડો, સાધનો, પ્રિન્ટ ટેકનોલોજી વગેરે ઘણાં વધ્યાં હોવા છતાં એક સરકારી સંસ્થા ન કરી શકી. આજે તો આપણી ભાષામાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોની નવાઈ રહી નથી, પણ આ પુસ્તકની તોલે આવે એવાં બહુ ઓછાં પુસ્તક આપણી પાસે છે.  

XXX XXX XXX

19 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...67686970...8090100...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved