Opinion Magazine
Number of visits: 9456203
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આત્મજા

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|25 July 2025

અરુણાબહેન આજે ખૂબ ચિંતામાં હતાં. પ્રેગ્નન્સીનો ડ્યું ટાઇમ થઈ ગયો હતો. ગમે ત્યારે હોસ્પિટલમાં દાખલ જવું પડે તેમ હતું. અરુણાબહેનની તબિયત ધાર્યા કરતાં સારી હતી, પણ ચિંતા બીજી વાતની હતી, કે શું થશે? બાળક, દીકરો હશે કે દીકરી. ઘરમાં બધાં દીકરા માટે ઉત્સાહિત હતાં. પરેશ પણ કાંઈ કહેતો નથી, પણ ઊંડે ઊંડે તેની ઈચ્છા પણ દીકરા માટેની હશે, તેમ તેના મોઢા પરથી લાગે છે. મમ્મીને કહેરાવ્યું છે. દૂરથી આવતાં વાર તો લાગે જ ને. અરુણાબહેન આમથી તેમ ઘરમાં ધીમાં પગલે આંટા મારતાં હતાં. આ પ્રથમ પ્રેગ્નન્સી હતી, એટલે શું થશે? અને કેમ થશે? એ જ દ્વિધામાં પડી ગયાં હતાં. અરુણાબહેનની ચિંતાનું બીજું પણ કારણ હતું. બીજાને ત્યાં દીકરીનો જન્મ થાય તો ઘરમાં બધા અણગમો પ્રદર્શિત કરતાં હતાં, જ્યારે આજે તો પોતાના માટેની જ વાત અને રાહ હતી.

અરુણાબહેનની ચિંતા સાચી પડી. ડ્યું ટાઇમનો દુઃખાવો શરૂ થઈ ગયો હતો. સરકારી હોસ્પિટલમાં દાખલ થવું પડશે. પ્રાઇવેટ હોસ્પિટલનો તો ખર્ચ પોસાય એમ નહોતો. વળી, પ્રાઇવેટ હોસ્પિટલમાં તો મોટા ભાગે સિઝેરિયન કરી નાખે છે, એવી ધારણા પણ મનમાં હતી. એટલે એ ડર પણ મનમાં હતો. અંતે સરકારી હોસ્પિટલમાં અરુણાબહેનને દાખલ થવું પડ્યું. જનરલ રૂમ હતો અને રૂમમાં આઠ જેટલા બેડ હતા. મોટા ભાગની પ્રથમ પ્રેગ્નન્સીવાળી બહેનો હતી. પણ જેમને બીજો કે ત્રીજો અનુભવ હતો તે લોકો થોડા સ્વસ્થ હતાં. હા, જેને અત્યાર સુધી દીકરીઓ જ અવતરી હતી એ બહેનો ચિંતામાં હતી.

આઠ બેડ હતા એટલે સગાં, સંબંધીઓ, સાસુ અને દીકરીઓની માતાથી રૂમ ભરચક થઈ ગયો હતો. બધાં પોતાના અનુભવો અને પડેલી તકલીફોની વાત કરતાં હતાં. કોઈએ કહ્યું, મને તો પહેલે ખોળે દીકરો આવે એ જ ગમે. જો જો ને મારી વહુ દીકરાને જ જન્મ આપશે. અરુણાબહેને જોયું તો તેનાં સાસુ પણ ચર્ચામાં સામેલ હતાં અને કહેતાં હતાં કે પહેલે ખોળે દીકરો આવે એ તો સહુને ગમે. મેં અરુણાને ડોક્ટરને બતાવી સોનોગ્રાફી પણ કરાવી. ડૉક્ટરને પૂછ્યું તો જવાબ ન આપ્યો, એટલું જ કહ્યું તબિયત સારી છે. ચિંતાનું કોઈ કારણ નથી. કોઈકે કહ્યું ડોક્ટરને ખબર પડી ગઈ હોય, તો પણ કહે નહીં. સરકારનો આદેશ છે એટલે ડોક્ટર પણ શું કરે. અને અત્યારનો માહોલ પણ આવો છે કે બધાંને દીકરા જ જોઈએ છે. કોઈ એ નથી સમજતું કે દીકરી વગર કોઈનો પણ વંશ વેલો કઈ રીતે આગળ વધશે. આવી બધી ચર્ચાઓ રૂમમાં થતી હતી જે ચિંતા સાથે અરુણાબહેન સાંભળી રહ્યાં હતાં.

સમય પસાર થતો હતો. અરુણાબહેનને તો પોતાના માટે સમય સ્થંભી ગયો હોય એમ લાગતું. દાખલ થયેલ દર્દીઓમાંથી ત્રણ બહેનો છૂટી થઈ ગઈ. વાતાવરણ ખુશી અને ના ખુશીથી ભરેલું હતું. દીકરાવાળા ખુશિયા મનાવી રહ્યાં હતાં ને દીકરીવાળા તમાચો મારીને ગાલ રાતો રાખી રહ્યાં હતાં. રૂમનું વાતાવરણ ખુશીવાળું હતું કે ગંભીર હતું એ અરુણાબહેનને સમજાયું નહીં.

અરુણાબહેને જોયું તો તેનાં સાસુ જ્યાં દીકરાનો જન્મ થયો હતો ત્યાં ખુશ મિજાજથી વાતો કરી રહ્યાં હતાં. આ દૃશ્ય જોઈને અરુણાબહેનની દિલની ધડકણ વધી ગઈ હતી. નર્સે આવીને અરુણાબહેનનું બી.પી. માપ્યું તો વધારે આવ્યું. તેણે કહ્યું, અરુણાબહેન, તમે જરા પણ ચિંતા ન કરતાં. ભલે લોકો આ હોસ્પિટલને સરકારી દવાખાનું કહે છે પણ અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલથી પણ સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.

અરુણાબહેને મનમાં કહ્યું મને હોસ્પિટલની નહીં, પણ આવનાર બાળક વિશે ચિંતા છે. નર્સ તો દવા આપીને ચાલી ગઈ.

રૂમમાં ખુશી, નાખુશી અને ગંભીર વાતાવરણનો માહોલ બનતો રહ્યો. આખો દિવસ આમ જ પસાર થયો. અરુણાબહેનને થયું હું દુઃખાવાની ખોટી ભ્રમણાથી તો દાખલ નથી થઈ ગઈને? અહીંયા સમય પસાર કરવો અઘરો પડે એમ છે. ઘરની વાત જુદી હતી. ત્યાં તો જે હોય એ બધાં ઘરના જ હોવાનાં.

અરુણાબહેને પોતાના મમ્મીને આવતાં જોયાં. મનમાં થોડી ટાઢક થઈ કે મમ્મી આવી ગઈ છે એ બધું સંભાળી લેશે. અરુણાબહેનના બંને ભાઈને ત્યાં એક એક દીકરી જ છે. મમ્મીએ બધું સંભાળી લીધું હતું એમ કહીને કે બધાંયને દીકરાની આશા હોય પણ મારે તો લક્ષ્મીનો અવતાર એવી દીકરી જ જોઈતી હતી. દીકરીઓ તો તુલસીનો ક્યારો છે. દીકરીઓ પણ તેનું નસીબ લઈને જ આવતી હોય છે.

અરુણા, બેટા, કેમ છે?

અરુણાબહેને કહ્યું, “સારું છે મમ્મી. મને ચિંતા બહુ થાય છે.”

“તું ચિંતા કરમાં, બધાં જ સારા વાના થશે.”

“ચાલો વૅવાણ, જરા આપણે બહાર આંટો મારી આવીએ.”

અરુણાબહેનને મનમાં જે ભીતિ હતી એ જ થયું. દીકરીનો જન્મ થયો. અરુણાબહેને બધાં ય સામે જોયું પણ કોઈએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. અરે! મમ્મીએ પણ બે શબ્દો આશ્વાસનના ન કહ્યાં. બધાં જ વાતો કરે, પણ મનમાં ઈચ્છા તો દીકરાની જ રાખે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ અરુણાબહેન રિક્ષામાં બેઠાં. મનની ધડકણ તો વધેલી જ હતી કે અત્યારે ભલે કોઈ કંઈ નથી કહેતું પણ ઘરે તો દીકરી આવી છે એ નારાજગી અવશ્ય પ્રગટ કરશે. હશે! જેવી ભગવાનની ઈચ્છા.

અરુણાબહેન ઘરમાં દાખલ થયાને …. ઘરમાં ચારેકોરથી અવાજ ગુંજી ઊઠ્યો ….

“વેલ કમ આત્મજા”……” વેલ કમ આત્મજા……”

અવાજ સાંભળી અરુણાબહેન ભાવવિભોર થઈ ગયાં. તેણે સાસુ અને મમ્મી સામે જોયું.

સાસુએ કહ્યું, “હા, બેટા, અમારા માટે તો દીકરો હોય કે દીકરી બંનેનું સરખું જ મહત્ત્વ છે. અમને તારી ચિંતા હતી. તું સ્વસ્થ ઘરે આવી ગઈ અને તે પણ લક્ષ્મી રૂપ આત્મજાને લઈને. બેટા, હું ને તારી મમ્મી દૂરથી તારું ધ્યાન રાખતાં હતાં. પાસે રહીને તને ઢીલી પાડવા નહોતાં માંગતાં.”

અરુણાબહેને આત્મજાને જોઈને કહ્યું ….. તે આવીને અમારા ઘરને ખુશીઓમાં તરબોળ કરી દીધું. મારુ માન વધારી દીધું. અરુણાબહેનની આંખમાં હર્ષનાં આંસુ હતાં.

ભાવનગર
e.mail : Nkt7848@gmail.com

Loading

ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

સુદર્શન આયંગાર|Gandhiana|25 July 2025

“બાબુભાઈ, આ તમારી કૉફી.” 

“સુદર્શન, તુમહારી ચાય બના લો, પાની ચડા દિયા હૈ, મેરી કૉફી બના લી હૈ.”

“બાબા, તુમ દૂધ લેને જા રહે હો ના, રાત કા દૂધ ખતમ હૈ.” 

સુદર્શન આયંગાર

મળસ્કે ૫.૩૦ વાગે વહેલી સવારે આ શબ્દો હવે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના પરિસરમાં દેસાઈ-ગાડેકર નિવાસમાં ક્યારે ય કાને નહી પડે. બોલનારી ડૉ. સંઘમિત્રા દેસાઈ અને ગુજરાતમાં ઉમાબહેન અને ઉમાદીદીએ ઇહલોકમાંથી અચાનક વિદાય લીધી. પહેલું વાક્ય જેને માટે હતું તે તો એના પિતા તે નારાયણ દેસાઈ, જેને સહુ બાબુભાઈ કહીને સંબોધતા. તેઓ તો ૨૦૧૫માં જ ગયા. ઉમાબહેનને એક પછી એક સ્ટ્રોક આવ્યા. બીજા સ્ટ્રોકને સહન કરી તેમાંથી બને તેટલી સ્વસ્થતાપૂર્વક નીકળવાની કોશિશ મક્કમતાથી ચાલી રહી હતી. પહેલા સ્ટ્રોકથી તો આબાદ નીકળેલા એવું કહેવાય. હારે એવા તો હતા નહીં. પણ ૨૭મીના રોજ થયેલો હૃદયરોગનો ગંભીર હુમલો જીવલેણ નીવડ્યો. એમાંથી પણ કદાચ હેમખેમ નીકળ્યા હોત, એંજિઓપ્લાસ્ટી તો બરાબર થઈ પણ પછી હૃદયના એક વાલ્વને નુકસાન થયું જેમાંથી આબાદ નીકળી શકાય એવું ન હતું. સર્જરી એક ઉપાય હતો, આશાનું કિરણ દેખાયું એટલે શરીર સામાન્ય થાય તે માટે વેંટિલેટર પર બે દિવસ માટે મૂક્યાં પણ દેવધાર્યું થયું અને ઉમાદીદી પરલોકની યાત્રાએ નીકળી ગયાં. એ અચાનક થયું અને તે સૌને આઘાતજનક લાગ્યું. ઑગસ્ટ મહિનાની ૨૪મીના રોજ આયુષ્યના ૭૭ વરસ પૂરાં કર્યાં હોત પણ વચ્ચે જ ગયાં. ઉમા તો વેડછીની લાડકી દીકરી. વિદાય વેળાએ ગ્રામશાળામાં ભણતા અને આજે હયાત લગભગ બધાં સહપાઠી મિત્રો, વડીલો અને સમવસ્ક અને નાની બહેનો ઉમાદીદીની ગમગીન વિદાઈમાં હાજર, ગ્રામશાળામાં સાથે ભણેલા અશોકભાઈ ચૌધરીના આંસુ તો ચાલ્યા જ જાય. આ દુઃખદ પ્રસંગે એમની સાથે રહેલા અને નજીક અનુભવતા સહુ વિદાય આપવા પહોંચ્યા હતા. 

જીવન ઝલક

સંઘમિત્રા ગાડેકર

મહાદેવ દેસાઈ-દુર્ગાબહેન અને નબકૃષ્ણ ચૌધરી-માલતીદેવીની પૌત્રી-દોહિત્રી અને નારાયણભાઈ-ઉત્તરાબહેનની દીકરી વારસામાં તો ઘણું-ઘણું લાવેલી અને તેના પર વેડછી, બનારસ, કલકત્તાનો ઉછેર, ભણતર અને ગાંધી-વિનોબાના બૃહદ પરિવારનું વાતાવરણ. એવા ઉછેરના લીધે ભાગ્યે જ કોઈ સ્વભાવ કે પ્રતિક્રિયા રૂપે વિચારદોષ. ક્યારેક નકારાત્મક થઈ જાય. બાકી તો ‘રંગાઈ જાને રંગમાં’ ગીતના બોલ જાણે પૂરેપૂરા આત્મસાત કર્યા હતા.

મા ઉત્તરાબહેન જાણે-અજાણે એમના આદર્શ થઈ ગયાં એવું એમને જોનારને લાગે. પિતાની વિદ્વતા પણ આવેલી જ હતી. ૧૯૪૮ના ભણતરના પાયા તો વેડછી ગ્રામશાળામાં જ નંખાયા. નારાયણભાઈનો પરિવાર બનારસ તો ૧૯૬૦માં ગયો, ત્યાં સુધી વેડછી સ્વરાજ આશ્રમની ગ્રામશાળામાં જ ભણ્યાં. એમનું શાળાકીય ભણતર ઘણી જગ્યાએ થયું. વેડછી, વડોદરા, આંબલા, ઓડિશા અને છેલ્લે બનારસ. બનારસમાં ગંગાકાંઠે આવેલી અને ૧૯૨૭માં સ્થાપિત થયેલી જે. કૃષ્ણમૂર્તિની વિચારધારા પ્રેરિત રાજઘાટ બેસન્ટ સ્કૂલમાં ભણવાનું થયું. એ મેધાવી છાત્રા હશે. ૧૯૬૭માં નીલ રતન સરકાર મેડિકલ કૉલેજ એંડ હૉસ્પિટલ, કલકત્તા(હાલ કોલકાટા)માં એમ.બી.બી.એસ.માં દાખલ થયાં. તબીબ તો થયાં, સાથે જ બંગાળી સરસ શીખ્યાં. ઓડિયા તો માતૃભાષા. આમ ગુજરાતી, ઓડિયા, બંગાળી અને હિંદી પર ગજબ પ્રભુત્વ ધરાવતાં થયાં. હિંદી સાહિત્ય પણ ઘણું વાંચ્યું. ગાંધી-વિનોબા સાહિત્ય અને વિચારજ્ઞાન તો માતા-પિતા અને ઘરે આવનારા ઘણાં-ઘણાં મહેમાનો પાસેથી સહેજે મેળવ્યું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેના યુદ્ધના લીધે આજના બાંગ્લાદેશમાંથી હજારો હિજરતી આવ્યા. ત્યારે શરણાર્થીઓના શિબિરોમાં અનેક પ્રકારની સેવાઓ આપી. ૧૯૭૨માં એમ.બી.બી.એસ. પૂરું કર્યું. એ દરમિયાન જ ૧૯૭૨ની આરંભે ભાવિ જીવનસાથી સુરેન્દ્ર ગાડેકર સાથે પરિચય થયો. એ હાલમાં બાબા તરીકે ગુજરાતી સર્વોદય જગતમાં ઓળખાય છે. આઈ.આઈ.ટી. કાનપુરના મેધાવી વિદ્યાર્થી અને ત્યાંથી ફિઝિક્સમાં ડૉક્ટરેટ મેળવેલી. મળ્યા અને બેઉને એકમેકમાં જીવનસંગાથી દેખાયા. ઓક્ટોબર ૧૯૭૨માં પરણી ગયાં. બહેન-બનેવીની વાતો ભાઈ નચિકેતા મારી સાથે વડોદરા હૉસ્ટેલમાં રહેવા આવ્યો ત્યારે બડાઈથી કરે. અને હું તો પ્રભાવિત. મળવાનું મોડેથી થયું. ૧૯૭૨માં જ એક વરસ ઇંટર્નશીપ કરી. પછી ૧૯૭૩થી ઉત્તર પ્રદેશની સરકારમાં જ્ઞાનપુર, જિલ્લો ભદોઈ, અને કાનપુરના પ્રાથમિક આરોગ્ય કેંદ્રોમાં સેવા આપી. તેનો ઊંડો અનુભવ ચર્ચાઓમાં પ્રકટ થયા વિના રહે નહીં. વળી તરુણ શાંતિ સેના પ્રેરિત મેડિકો ફ્રેંડ સર્કલના સ્થાપના વરસ ૧૯૭૪થી જ સક્રિય સભ્ય. ૧૯૭૯ થી ૧૯૮૧ ના અરસામાં સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન અમેરિકા ગયાં. ત્યાં ઉમાબહેને ન્યુટ્રિશનમાં અનુસ્નાતકની ડિગ્રી લીધી.  ૧૯૮૨-૧૯૮૪ના ગાળામાં સર્વ સેવા સંઘ રાજઘાટ, બનારસના પરિસરમાં ક્લિનિક શરૂ કરી બે વરસ પ્રેક્ટિસ કરી. એ જ અરસામાં દુઆનો જન્મ થયો હતો. ૧૯૮૪માં ઉમાબહેન વસંતા કૉલેજ ફૉર વુમેનમાં જોડાયાં. જે. કૃષ્ણમૂર્તિ પ્રેરિત આ કૉલેજનું વાતાવરણ અને વિચાર-વારસો ઉમાબહેન માટે જરા ય નવા ન હતાં. ન્યુટ્રિશન ભણીને આવેલાં એટલે હોમ સાયંસ વિભાગમાં સરસ ગોઠવાયાં હશે. સાથે-સાથે કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશન રુરલ સેંટરના નેજા હેઠળ ચાલતી સંજીવની હૉસ્પિટલમાં હૉસ્પિટલ સુપરિનટેંડેંટ તરીકે સેવાઓ આપી. 

૧૯૬૦-૬૧ થી ૧૯૮૯ સુધી એટલે લગભગ ૩૦ વરસ બનારસમાં ભણી, કામ કરી ખૂબ અનુભવ સાથે ૧૯૮૯માં વેડછી પરત આવ્યાં. નારાયણભાઈ ૧૯૮૧માં ઉત્તરાબહેન સાથે વેડછી પાછા ફર્યા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય શરૂ કર્યું. ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ આવીને જોડાયા એનું એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન હતું. ત્યાર બાદ ઉમાબહેન અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય અભિન્ન બની રહ્યાં અને આ સાથ મૃત્યુ સાથે જ છૂટ્યો. સુરેન્દ્રભાઈ – બાબા, અને ઉમાબહેને લોક સેવક તરીકે જીવનદાન કર્યું. વિદ્યાલયના અંતેવાસી, શિક્ષક અને કર્મશીલ તરીકે જીવ્યાં. નારાયણભાઈના ગયા પછી તેઓ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય ટ્રસ્ટના પ્રમુખ પણ રહ્યાં. 

સંઘર્ષ અને રચના 

૧૯૮૪માં યુનિયન કાર્બાઈડ ભોપાલમાં ગૅસલીકની ભયાનકતા અને ૧૯૮૬માં રશિયાના ચેર્નોબિલ અણુમથકમાંથી નીકળેલી રેડિયોએક્ટિવયુક્ત પ્રદૂષિત હવાએ માનવતાને હચમચાવી મૂક્યા. માણસના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટે સ્થાપવામાં આવેલા આ ઉદ્યોગોની ભયંકર આડ અસરના ભણકારા વાગ્યા. અપમૃત્યુ, ગંભીર માંદગીઓ, જન્મજાત ખોડખાપણ વગેરેના કિસ્સાઓ પરત્વે જાગરૂક નાગરિકોની નિસ્બત જાગી. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયના ડૉ. સુરેન્દ્ર ગાડેકર ભૌતિકજ્ઞાનના વિષય નિષ્ણાત અને ઉમાબહેન તબીબી જાણકાર. ગંભીર ચર્ચા વિચારણા ચાલી. નારાયણભાઈ અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય યુદ્ધ અને અણુશસ્ત્રોની વિરુદ્ધ ચાલતા આંતરરાષ્ટ્રીય મોરચાઓ અને આંદોલનને ટેકો કરનારાં અને સક્રિય રીતે જોડાનારાં. દેશમાં અણુઉર્જા દ્વારા વીજળી બનાવાનાં મથકોને લીધે થવા પામતી અને ભવિષ્યમાં થનારી અસરોના અભ્યાસ અને તે અંગેની લોક્જાગૃતિ માટે અણુમુક્તિ પત્રિકા શરૂ કરવામાં આવી. 

સંઘમિત્રા અને સુરેન્દ્ર ગાડેકર

પહેલા જ અંકના સંપાદકીયમાં ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો જણાવામાં આવ્યા. એક, આ પત્રિકા એ સૌ કર્મશીલો માટે છે જે દેશવિદેશમાં આવેલા અણુમથકોના જોખમ સાથે અવાજ ઉઠાવી વિરોધ કરી રહ્યા હતા. એમને સાચી અને હકીકત સભર વૈજ્ઞાનિક અને નીતિ વિષયક આધિકારિક માહિતી પૂરી પાડવી. સાથે, સહુ કર્મશીલો એક બીજાની સાથે આવે અને હૂંફ અનુભવે. બીજું, નાગરિક વર્ગ જે અણુમથકો વિશે શંકા સેવે છે અને જોખમ જુવે પણ નિષ્ણાતો દ્વારા બહાર પાડવમાં આવતા અઘરા સાહિત્યને સમજી શકતા નથી. તેમને માટે બને એટલી સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવી. ત્રીજું, અણુમથકો બાંધનાર અને ચલાવનાર નિષ્ણાતો સમક્ષ વેધક પ્રશ્નો પૂછી જવાબ માગવા.

ત્યાંથી શરૂ થયી એક યાત્રા જેમાં ઉમાબહેન પૂરેપૂરાં ખૂંપ્યાં. કાકરાપરના દેખાવો હોય કે કુડનકુલમ આંદોલન. બધે જ પહોંચ્યાં. દિવસ રાત જોયા વગર વિરોધના કાર્યક્રમોના આયોજન અને અમલીકરણ બેઉમાં મોખરે. સુરેન્દ્રભાઈ બૌદ્ધિક બળ અને ઉમાબહેન કર્મબળ. આખા દેશ અને દુનિયામાં આ દંપતીની ઓળખ અણુમથક વિરોધી બૌદ્ધિક અને કર્મશીલ તરીકે ઉપસી આવી. ડૉ. સંઘમિત્રા ગાડેકર જદુઘોડા, ઝારખંડની યુરેનિયમની ખાણો હોય કે રાવતભાટા, રાજસ્થાનનું અણુમથક હોય એમાં લોક આરોગ્ય અને પર્યાવરણ પર થનારી જોખમી અસરો વિશેનો અભ્યાસ કરનાર પહેલા તબીબ છે. સ્વ્યંસેવકોની ફોજ ઊભી કરી વૈજ્ઞાનિક ઢબે સર્વે કરનાર ગાડેકર યુગલ દેશમાં મોખરે છે. આ મેડિકો-એંથ્રોપોલોજિકલ અભ્યાસો વડે એમણે લોકો અને સરકાર સમક્ષ સર્વેમાં બહાર આવેલાં પ્રમાણ મૂક્યાં કે જેમાં અણુમથકોની પાસેની વસ્તીમાં જન્મજાત ખોડખાપણ, વંધ્યત્વ, ચામડીના રોગો અને કેન્સર જેવા રોગોનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે. અણુમથકો પાસેથી સાચા આંકડા મેળવવાના પૂરા પ્રયાસો કર્યા અને આ મથકો જાણકારી છુપાવે છે અને દેશની સુરક્ષા પરત્વે નાજુક માહિતી છે એમ જણાવી માહિતી પૂરી નથી પાડતા તે હકીકત પણ સામે લાવ્યાં. 

ગુજરાત કે દેશમાં ચાલતાં અનેક લોક આંદોલન તરફ એક નજર તો રાખતાં જ. શક્ય હોય ત્યાં મુદ્દા અને લોકો સાથે ઐક્ય દર્શાવવા જોડાતાં પણ ખરા. સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તૈયાર થયેલા ગુજરાતના અને ગુજરાત બહારના કર્મશીલોની અવરજવર વિદ્યાલયમાં હોય જ અને આવીને સલાહ સૂચનો માગે અને લે. ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણોમાં બેઘર-બેહાલ થયેલા અને શિબિરોમાં રહેતા પરિવારોને મળી શાતા આપવાનું અને કોમી એખલાસ માટેના પ્રયાસો માટે સામેલ થવામાં ઉમાબહેન પાછા નહોતા પડ્યાં. માબાપથી વિખૂટા પડી ગયેલા બે બાળકોની વીતક જોઈ-સાંભળીને એવા દ્રવી ઉઠ્યા કે બેઉ ભાઈઓને વિદ્યાલય લઈ આવ્યાં અને એમના મા બનીને ઉછેરીને મોટા કર્યા. પાછળથી મા અને બહેનો મળી અને તેના મિલાપ માટે પણ એટલી જ જહેમત લીધી. પણ બાળકોએ નિર્ણય કર્યો કે  કે ઉમાદીદી પાસે જ રહીને મોટા થશે. બેઉ વિદ્યાલયમાં જ ઉછર્યા. ઇમરાન ટેક્નિકલ બાબતોમાં હોશિયાર હતો. શાળાએ ગયો. ભણ્યો. પછી એ વડોદરા નિસર્ગોપચાર કેન્દ્રમાં જઈને માલિશના કામમાં તાલીમ પામ્યો. સરસ તૈયાર થયો અને આજે કચ્છના એક નિસર્ગોપચાર કેન્દ્રમાં માલિશ કરનારની સેવા આપી રહ્યો છે. પરણ્યો અને એક બાળકનો પિતા છે. નાનો મોહસીન ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક થઈ બ્રાઝીલ જતો રહ્યો છે અને રોજગારમાં છે. ઇમરાનને સમાચાર મળ્યા અને તરત ટ્રેન પકડી સવારે તો દીદી પાસે આવી ગયો. દીદાના નિષ્પ્રાણ દેહ પાસે પોક મૂકીને રડ્યો કે, એણે પાલક મા ખોઈ.

રમખાણોમાં અમદાવાદના રંગાટીઓ રોજગારી પણ ખોઈ. ત્યારે ઉમાબહેનનું ધ્યાન કપડાં રંગવા તરફ ગયું. કાંતણ તો નિયમિત કરતાં જ. કાંતે તે પહેરે અને પહેરે તે કાંતેનો નિયમ તો આખી જિદંગી પાળ્યો જ. વનસ્પતિના રંગો દ્વારા કુદરતી રંગાટ પ્રક્રિયાના સફળ પ્રયોગો કર્યાં. દુઆના જણાવ્યા પ્રમાણે ઉમાબહેનને પ્રાકૃતિક રંગે રંગવામાં આવેલા ખાદીવસ્ત્ર પહેરવાની ખૂબ ઇચ્છા હતી. એવા કપડાં ક્યાં ય મળે નહીં. એટલે જાતે જ રંગાટી કામમાં પડ્યાં. એક વખતે સેંક્ડો મીટર ખાદી પર કુદરતી રંગકામ વિદ્યાલયમાં થયું. નારાયણભાઈ ૨૦૦૨ના કોમી રમખાણોના પશ્ચાતપ રૂપે ગુજરાત અને દેશભરમાં ગાંધીકથા આરંભી અને લગભગ દરેક કથામાં ઉમાબહેન કુદરતી પ્રક્રિયાથી રંગાયેલી ખાદી લઈ જતાં અને વેચાણ કરતાં. તે સમયમાં કોઈએ વિદ્યાલયની મુલાકાત લીધી હોય તો સ્મૃતિપટલ પર ઉકળતા ચરૂ, સુકાતાં કપડાં, સીવણસંચા પર બેઠેલી ગામની બહેન ઉપસી આવશે અને ઉમાબહેનનો પરિચિત અવાજ જે કોઈ વાર ચુલા પાસેથી આવતો હોય કે ઘરના રસોડામાંથી બહાર આવીને આરોહ સ્વરરૂપે સંભળાય. 

ઉમાબહેને વસ્ત્રવિદ્યાના દરેક પાસાની ઊંડી સમજ કેળવેલી. જયપુરના પાપાશા અને ઉમાબહેનની વસ્ત્રવિદ્યાની કાર્યશાળાઓએ વિદ્યાલયમાં કેટલાં ય સ્ત્રી-પુરુષોને તાલીમ આપી. ઘણાં કારીગરો જે કામ વગર થઈ ગયા હતા એમને રોજગાર મળતો થયો. એ જ સમયગાળામાં વાંસકામ માટે ભાઈ અશોક કોટવાળિયા અને તેની પત્ની પણ વિદ્યાલય પરિસરમાં વાંસકામ કરવા નિયમિત આવવા લાગ્યાં. ઉમાબહેન નવી ડિઝાઈનનો વિચાર કરે, ફર્નીચર બનાવવાના પ્રયોગો કરે અને કરાવે. આમ ગ્રામોદ્યોગના પ્રયોગો અને ઉત્પાદનનો એક નાનો પણ ખૂબ અસરકારક ગાળો ગયો. એક વિશેષ ઉલ્લેખ કરવો જ પડે. ખાદીની દુનિયામાં ભેળસેળનો પ્રવેશ તો ક્યારનો જ થઈ ગયો હતો. પણ ઉમાબહેને અંબર ચરખો પણ પાસ ન કર્યો. પેટી રેંટિયો જ કાંત્યો અને કંતાવ્યો. પેટી રેંટિયા પર કાંતણ યજ્ઞ તો છેલ્લે સુધી ચલાવ્યો. મુરબ્બી તરલાબહેન વિદાય વેળાયે બોલ્યાં ‘સમૂહ કાંતણમાં ઉમા જોડે કાંતીને આંટી બનાવેલી તે દીકરીની વિદાય માટે કાઢી હતી’.  નારાયણભાઈએ પેટી રેંટિયાના કાંતણને ચક્રોપચાર કહ્યું હતું અને એ ઉપચાર ઉમાબહેને પણ પહેલા સ્ટ્રોક પછી સફળતાપૂર્વક કર્યો. બીજા સ્ટ્રોક પછી પણ એ દિશામાં જ હતાં. ગુજરાતમાં ગાંધી માર્ગે વસ્ત્રવિદ્યા અને ગ્રામોદ્યોગના ક્ષેત્રે સફળ પ્રયોગો કરનાર વ્યક્તિઓની ગાંધીના ગયા બાદની પેઢીમાં ઉમાબહેનનું નામ મોખરે છે. 

સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની અંતેવાસી અને મા

૧૯૮૯માં ઉમાબહેન અને સુરેન્દ્રભાઈ કાયમી વસવાટ કરવા માટે આવ્યાં એની પાછળ એક મહત્ત્વનું કારણ ઉત્તરાબહેનનું અવસાન પણ હતું. વેડછીમાં નારાયણભાઈ એકલા પડ્યા. દીકરી ઉમા સુરેન્દ્ર અને દુઆ(ચારુસ્મિતા)ને લઈ કાયમ માટે વેડછી આવી. ઉત્તરાબહેનનો વારસો તો ખરો જ અને ઉમા વિદ્યાલયની મા બની. ૧૯૮૯ થી ૨૦૨૫, જીવનનાં ૩૫ વરસ કઈં ઓછા નથી હોતા! ઉમાબહેને જીવનના આ ૩૫ વરસ સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલયને સમર્પિત કર્યાં. સાબરમતી આશ્રમના મગનલાલ ગાંધી જોઈ લો અને વિદ્યાલયનાં ઉમાબહેન. વળી, માની કુમલાશ અને સ્ત્રી સહજ ઋજુતા તો જોવી જ રહી. ગૃહિણી. મા, શિક્ષક, મિત્ર, જ્વલંત કર્મશીલ એ તમામ ભૂમિકાઓ એક પાત્રમાં વણાઈ ગઈ. સ્વાધ્યાય ચૂકી ન જવાય. સુરેન્દ્રભાઈ અને ઉમાબહેન પુસ્તકો મંગાવે, વાંચે, વંચાવે અને ચર્ચાઓ થાય. 

વિદ્યાલયમાં પ્રશિક્ષણ શિબિરો થાય અને તે વિદ્યાલય સ્થાપનાનો એક મુખ્ય ધ્યેય. જયપ્રકાશ નારાયણે ‘સંપૂર્ણ ક્રાંતિ’નું સૂત્ર આપ્યું પણ એનું કલેવર શું? એ ઘડાયું વિદ્યાલયમાં. સંઘર્ષ, રચના, સ્વાધ્યાય, પ્રશિક્ષણ. સમૂહ જીવન, ઉત્પાદક શ્રમ અને વિચાર સત્ર ત્રણેય  પ્રશિક્ષણના અંગ. સંપૂર્ણ ક્રાંતિનાને સમજવા, અભ્યાસ કરવા માટેની જંગમ વિદ્યાપીઠ એટલે સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. એના કુલગુરુ નારાયણ દેસાઈ ખરા પણ મહામાત્ર તે ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાબહેન. વિદ્યાલયમાં કોઈ ડિગ્રી, ડિપ્લોમા કે સર્ટિફિકેટ નહીં માત્ર પસાર થવાનું અને જેટલું નીખરી શકાય તેટલો નીખરવા પૂરતો અવસર. કાંતણ, વણાટ, રંગાઈ, વસ્ત્ર સીવણ, ખેતી કામ, બાગબાની, રસોઈ, અને સફાઈ એ બધાને ગોઠવવાનું કામ ઉમાબહેનનું. ૨૦૦૬ના અરસામાં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના અમે થોડાક નારાયણભાઈને વિનંતિ કરવા આવ્યા કે તેઓ કુલપતિ બની માર્ગદર્શન આપે. ચર્ચાઓમાં ઉમાબહેન હાજર અને સક્રિય. એમણે ઘણી નિસ્બતો વ્યક્ત કરી હતી. આ જવાબદારીમાં શ્રમ, મુસાફરી અને કામ એ બધા વિશે ઝીણવટથી પૂછપરછ કરી હતી, મા દીકરાને બહાર મોકલે ત્યારે બધી તપાસ કરે એવી તપાસ જ હતી. 

નારાયણભાઈ કોનું કેટલું સાંભળતા એ વાત વેગળી પણ ઉમાબહેન બધું પાકું કરે. દીકરાને વઢે તેમ પિતાને પણ વઢી શકતાં. નારાયણભાઈએ સ્વીકાર્યું અને આવીને જોયું કે શિક્ષકો ગાંધીવિચાર અને અભ્યાસ બેઉમાં કાચા પડે એમ છે. ત્યારે શરૂ થયી શિક્ષક પ્રશિક્ષણ શિબિરો. આ શિબિરોમાં હું પૂરા સમય માટે રહેતો. ઉમાબહેનના વ્યક્તિત્વનાં તમામ પાસાં ત્યારે ઊંડાણપૂર્વક જાણવા મળ્યાં. મને એક લાભ. હું મુન્નુ એટલે નચિકેતાનો મિત્ર. મારા પ્રત્યે એ જ ભાવ અને એમ એ મારી પણ દીદી. નાના ભાઈની સમજ કાચી પડે અને ક્યાંક બરાબર ન થાય તો વઢે તો ખરા પણ એ ધ્યાન રાખે જ. ‘સુદર્શન, સબ ઠીક હૈ ન?’ એવું આવે જ. નચિકેતાની વાત નીકળી છે તો જણાવું કે મુન્નુ અને ઉમાબહેન વચ્ચે એક જુદું જ બંધન. એના પ્રતિ ઉદાર, પ્રેમાળ અને કઠણ ત્રણે. દિલથી અને તીવ્ર ભાવનાના ઉદ્વેગોમાં જીવવાવાળો મુન્નુ, ઘણી વાર દિલનુ જ સાંભળે, દિમાગને કોરાણે મૂકે અને દુઃખી થાય. મોટીબહેન નારાજ થાય, વઢે પણ એને કઈં મુશ્કેલી પડી તો બધાં કામ પડતાં કામ મૂકી ને દોડી જાય. આમ મુન્નુની પણ એમ બહેન અને મા બેઉ. એવું જ બંધન નાનાભાઈ અફલાતૂન ઉર્ફે આફલૂ. આફલૂ તો જન્મ પછી તરત બનારસ જ હતો, ત્યાં જ ઉછર્યો અને અસલ ભોજપુરી! ગુજરાત બહુ ઓછું આવે. વૈકલ્પિક રાજનીતિના પ્રયત્નમાં ગળાડૂબ જન્મજાત રાજનૈતિક કર્મશીલ. વૈચારિક મતભેદ હોય. પણ ઉમાબહેનની એક નજર બનારસમાં ભાઈ-ભાભી અને ભત્રીજી પર હોય જ. 

ઉમાબહેનના મોસાળની વાત રહી ન જવી જોઈએ. ઓડિશાનો પ્રભાવી પરિવાર. ગાંધી-વિનોબા માર્ગે ઈમાનથી ચાલવાવાળા નબકૄષણ ચૌધરી ઓડીશાના ૧૯૫૦ થી ૧૯૫૬ સુધી મુખ્ય પ્રધાન. ઉમાબહેનનાં નાની માલતીદેવી ચૌધરી એવાં ક્રાંતિકારી કે પતિ મુખ્યપ્રધાન થયા ત્યારે ચોખ્ખું કહેલું કે લોક વિરુદ્ધ કામ કરશો તો હું પહેલી લડવાવાળી હોઈશ! આ પરિવાર અને દીકરી ઉત્તરાબહેન પછી સંબંધો સાચવ્યા હોય તો ઉમાબહેને. એ પરિવારની નાની દીકરી એટલે કૃષ્ણા માસી. અમે પણ માસી જ કહીએ. ઉમાબહેનની એ માસી કરતાં બહેનપણી વધુ. હજી એપ્રિલના આરંભમાં હું અંગુલ (ઓડિશાનું શહેર જ્યાં ચૌધરી પરિવારે આશ્રમશાળા કરી અને સ્થાયી થયા) ગયો હતો અને મેં ઉમાદીદીને ફોન કર્યો અને કહ્યું કે કંઈ સંદેશ? ઉમાદીદી કહે કે માસીને વેડછી આવીને રહેવાનું કહેજે. માસી એક મહિનો રહીને લાંબુ રહેવા આવવાનાં હતાં અને ઉમાબહેન તો ગયાં. માસીનો ફોન પર જ કરુણ વિલાપ!

ઓડિશાથી કેટલીએ દીકરીઓ આવીને વિદ્યાલયમાં રહી. બધાંની એ મા. એમાંની એક ડૉલી, તેણે એક બાળકને જન્મ આપ્યો અને દીદીને ઉછેરવા એક નવું બાળક મળ્યું! એનું નામ શ્રીધર. સમય જતાં ડૉલીએ ફરી પરણવાની ઇચ્છા દર્શાવી. ભાઈ સૌરાષ્ટ્રનો, કહે કે તને પરણીને લઈ જાઉં, પણ દીકરો નહીં. ડૉલી ગઈ અને શ્રીધર ઉમાનો દીકરો! ૨૦૦૨માં કોમી રમખાણ પછી ઇમરાન, મોહસીન તો હતા જ આ ત્રીજો દીકરો ઉમેરાયો. ઉમાબહેનને ૬૦ વરસ તો થઈ ગયાં હતાં, પણ શ્રીધરને પહેલા ખોળાનો બાળક હોય તેટલી કાળજીથી મોટો કર્યો. દુઆ, ઇમરાન અને શ્રીધર ત્રણેયે માને અગ્નિદાહ દઈ વિદાય કર્યાં. પોતે ડાયબિટીસની રોગિણી, થાકે, પણ ફરી કામે. કેટલાં ય યુવાઓ, યુવતીઓ, યુગલો આવ્યાં, રહ્યાં, શીખ્યાં અને જીવ્યાં. એ સૌ જ્યાં પણ કામ કરતાં હોય, સમય મળે ઉમાબહેનને મળવા ખાસ આવે.

વેડછી વિદ્યાપીઠના પરિસરમાં સંપૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય. નારાયણભાઈ તો આદરણીય. ઉમાબહેન માટે તો સૌનો પ્રેમ. શિક્ષક, કાર્યકર અને વિદ્યાર્થીઓ બધા સાથે પ્રેમાળ સબંધ. આગળ જણાવ્યું તેમ ગામની તો દીકરી જ. માંદગી અને મૃત્યુના સમયમાં વિદ્યાપીઠ અને ગામ બંને ઉમટ્યાં. અંત્યેષ્ટિ માટે અમારે કાંઈ કરવાનું આવ્યું જ નહીં. ઉમાબહેનના શાળાના સાથીઓ, મિત્રો, વડીલો, યુવાઓ બધાએ આવીને તમામ વ્યવસ્થા કરી અને મૃત શરીરને પણ કોમળતાથી અંતિમધામ પહોંચાડી ચૌધરી વિધિથી જ ગામની દીકરી ને વિદાય કરી. ગામ સાથે આટલો ઘનિષ્ટ અને પોતીકો સંબંધ ભાગ્યે જ કોઈ ગાંધી-વિનોબાના કાર્યકરને હશે. એક તેજસ્વિની, પ્રતિભાશાળી, ખંતીલી ગાંધીવિચારને વરેલી અને એ જ રીતે જીવન જીવીને કિરતારના ઘરે ઉપડી ગઈ. એ દયામયે ઉમાબહેન માટે મંગળ મંદિરનાં દ્વાર ખોલ્યાં જ હશે અને એને ઉરમાં લીધાં જ હશે. 

આ લેખ તૈયાર કરવામાં દીકરી દુઆએ માને ખોયાની વેદનાને ઘડીક બાજુએ રાખી હકીકતો પૂરી પાડવાની મદદ કરી. તેનો ઋણ સ્વીકાર. 

e.mail : sudarshan54@gmail.com
પ્રગટ : “ભૂમિપુત્ર”; 16 જૂન 2025; પૃ. 03 – 05 તેમ જ 22
છવિ સૌજન્ય : “ભૂમિપુત્ર”

Loading

જીવી ગયો

પ્રીતમ લખલાણી|Poetry|25 July 2025

જિંદગીનાં
બે ચાર વર્ષ બચ્યાં છે!
એ વિચારે
રોજ શેરીમાં ચાલવા નીકળતો પણ
એક સવારે
રસ્તાની કોરે ઊભેલાં વૃક્ષો સાથે
ગુફ્તેગુ કરતો અને
ઝરમર ઝરમર વરસતા
પંખીના ટહુકામાં
ભીંજાતો
ચાલ્યો જતો હતો ત્યારે
સામેથી ચાલી આવતી
એક અપરિચિત વ્યક્તિએ
હોઠોમાં મલકતા
પ્રભુ બુદ્ધ જેવા સ્મિત સાથે
મને પૂછ્યું,
‘કેમ છો?”
‘મજામાં!’
અને એ પછી હું ..
રોજ એ મને
આજે નહીં તો કાલે
અને કાલે નહીં તો પરમ દિવસે જરૂર મળશે!
એ આશાએ
જિંદગીના બીજા ત્રણ ચાર
દાયકા જીવી ગયો!

65 Falcon drive, West Henrietta, NY 14586 (U.S.A.)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...65666768...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved