Opinion Magazine
Number of visits: 9736953
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 December 2025

યુનિવર્સિટીઓની સ્વાયત્તતા અને લોકશાહી મૂલ્યોના અટલ પ્રહરી, રાજકીય વિચારક પ્રતાપ ભાનુ મહેતાની અમદાવાદ મુલાકાત કેવી રહેશે?

પ્રકાશ ન. શાહ

શું કહીશું એને, અલબત્ત આનંદવાર્તા સ્તો, કે હવે તરતના દિવસોમાં (સત્તાવીસમી ડિસેમ્બરે) પ્રતાપ ભાનુ મહેતા અચ્યુત યાજ્ઞિક વ્યાખ્યાન નિમિત્તે અમદાવાદમાં હોવાના છે. હાર્વર્ડથી જે.એન.યુ. લગી બધે જ એક રાજકીય વિચારક ને જાહેર જીવનના બૌદ્ધિક લેખે જેમનો સિક્કો પડે છે તે પ્રતાપ ભાનુ કથિત ગુજરાત મોડેલ વિશ્વતખતે ગાજ્યું (જો કે વરસ્યું નહીં) એ ગાળામાં એકાદ વાર અમદાવાદ આવ્યાનું સાંભરે છે.

ઘણું કરીને સેપ્ટમાં દીક્ષાન્ત પ્રવચન માટે એ દસેક વરસ પર આવ્યાનો ખ્યાલ છે. બેઉ અલબત્ત અલગ શખ્સિયત છે, પણ થોડા મહિના પર રામચંદ્ર ગુહા આપણી વચ્ચે હતા તે પછી પોતીકી તરેહની પણ એક નોંધપાત્ર ઘટના આ હોવાની છે.

ગુહાની લગભગ કેમિયો મુલાકાત, થોડાં વરસ પર કંઈક લાંબા સહવાસનીયે હોઈ શકી હોત. પણ અમદાવાદ યુનિવર્સિટીમાં એમના સૂચિત શૈક્ષણિક રોકાણને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરોધ રજૂઆતને પગલે એમણે જ માંડી વાળી હતી. અ.ભા.વિ.પે. વિરોધપત્રની એક નકલ રાજ્યના શિક્ષણ મંત્રીને તેમ રાજ્યપાલ કોહલીને પણ મોકલી આપી હતી. કોહલી અધ્યાપકી પૃષ્ઠભૂ ધરાવતા હતા એટલે ગુહાની પ્રતિભાની એમને કદર હોવા સંભવ છે. જો કે, એમણે દરમ્યાન થવું પસંદ નહોતું કર્યું કેમ કે અધ્યાપકી મૂલ્ય સામે સત્તામૂલ્ય એમને વધારે પસંદ પડ્યું હશે.

પ્રતાપ ભાનુ મહેતા

પ્રતાપ ભાનુ મહેતાની વાત કરતે કરતે લેખક મશાય ગુહા પર ક્યાંથી ક્યાં ચાલી ગયા, તમને થશે. પણ મને ગુહા ઘટના યાદ આવી એનું તત્કાળ નિમિત્ત હજુ બે-ત્રણ અઠવાડિયાં પરનો મહેતાનો એક લેખ છે. રાજસ્થાનની ભા.જ.પ. સરકારે અ.ભા.વિ.પ.ની માંગણીને પગલે પાંચ પાંચ વાઈસ ચાન્સેલરોને પહેરે લૂગડે પાણીચું આપ્યું એ બીનાનો ઉલ્લેખ કરીને પ્રતાપ ભાનુ મહેતાએ કહ્યું કે ધોરણસરની નિમણૂકથી માંડીને રૂખસદ વાસ્તે વિધિવત તપાસ પ્રક્રિયા જેવા સાદા પણ પાયાના ખયાલને હવે કદાચ જરૂરી મનાતા નથી.

પ્રતાપ ભાનુના શબ્દોમાં હવે પબ્લિક યુનિવર્સિટીઓમાં પાર્ટી સ્ટેટ (પક્ષરાજ્ય) બેરોકટોક ધસી રહ્યું છે. અંગ્રેજીમાં બોલતાં બોલતાં એમણે હાલના સત્તાકારણના એક પ્રિય પ્રયોગ ‘ઘૂસપેઠિયા’નો પણ અચ્છો પ્રયોગ કર્યો : યુનિવર્સિટીઓમાં હવે પક્ષરાજ્ય ‘ઘૂસપેઠિયા’ની ભૂમિકા ભજવવા લાગ્યું છે, અને વિદ્યાજગતમાં કે લોકમાં કોઈ એમને ના પાડનારું રહ્યું નથી.

‘કોઈ ના પાડનારું રહ્યું નથી’, એ વ્યથિત એટલાં જ મન્યુમંડિત વચનો વાંચતે વાંચતે મને થઈ આવેલું સ્મરણ દર્શકે ‘દીપનિર્વાણ’માં એક વિદ્યાધામના પ્રવેશદ્વારે મુકાયેલી જે સૂચના ઉતારી છે એનું હતું :

‘હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે. એટલે અહીં શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુનું જલ પીધેલ ઘોડાને અહીં બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે, અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’

આમ તો, લોહાંગના માર્ગરેટ થેચરને માનદ ઉપાધિ આપવાને મુદ્દે નન્નો ભણતી ઓક્સફર્ડ યુનિવર્સિટીને પણ અહીં સંભારી શકાય, પણ વર્તમાન શાસનને પ્રાચીન ભારતનો જે મહિમા વસ્યો જણાય છે એ લક્ષમાં રાખી ‘દીપનિર્વાણ’ના સ્મરણને અગ્રતા આપી, એટલું જ.

પ્રાચીન ભારતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન ખાસ રીતે જુએ છે. ખાસ રીતે એટલે કે ચોક્કસ ચોકઠામાં – વિચારધારાકીય દામણે બંધાયેલ ને ડાબલે અંધાયેલ પોતાની વાતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન એક ‘સિવિલાઈઝેશન સ્ટેટ’ (સભ્યતા રાજ્ય) તરીકે આગળ ધરે છે, પણ એ પરબીડિયામાં આપણી સામે એક એથ્નિક સ્ટેટ અને સંસ્કૃતિની સાંકડી સમજ આવે છે. દેખીતી રીતે જ આપણા સાંસ્કૃતિક ખુલ્લાપણા પર એથી આઘાત પહોંચે છે અને બંધારણ મારફતે પ્રાચીન પરંપરાનું ઉત્તમ કાલવી જે એક પ્લુરલ અભિગમ મૂકવામાં આવ્યો છે એને સ્થાને એથી રાષ્ટ્રવાદને નામે નર્યાનકરા બહુમતીવાદનું તત્ત્વત: બિનલોકશાહી સ્વરૂપ આપણી સામે આવે છે.

પ્રતાપ ભાનુ મહેતા હાલના કથિત મુખ્ય પ્રવાહના આલોચક છે. એનો અર્થ એ નથી કે 2014 પહેલાંના શાસનના એ સુવાંગ સમર્થક હતા. છેક 2006માં એમણે ભારત સરકારના નોલેજ કમિશનની કારોબારીમાંથી ચોક્કસ મુદ્દે વિરોધમત સાથે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં વરસોમાં જો કે શાસકીય-રાજકીય વલણો એમને ઉત્તરોત્તર વધુ અખરતાં જણાયાં છે. 2016માં મોદી સરકારે નેહરુ મ્યુઝિયમ ને મેમોરિયલ(હવે પ્રાઈમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ને મેમોરિયલ)ના સંચાલન માટે શૈક્ષણિક સજ્જતાને બદલે સત્તાજોડાણને લક્ષમાં લઈ રાજકીય નિમણૂક કરી ત્યારે એમણે કાર્યવાહક સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું … અને હમણેનાં વરસોમાં એમણે સુપ્રતિષ્ઠ અશોકા યુનિવર્સિટીના કુલપતિપદેથી જ નહીં અધ્યાપક તરીકે પણ રાજીનામું આપ્યાને કિસ્સો ગાજ્યો હતો. એમણે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર જીવનમાં અભ્યાસમૂલ્યોને ધોરણે મારી સ્વતંત્ર વિચાર રૂખ પ્રગટ થતી રહે છે તે સરકારને ગમતું નથી એટલે અશોકા પર હું બોજ બની જાઉં એ પહેલાં ખસી શકું તો ઠીક એમ કેટલાક ટ્રસ્ટીઓને લાગે છે. જાહેર કરતાં સરકારી યુનિવર્સિટીઓમાં પરસ્પર મુક્ત વિમર્શ વિલુપ્ત થઈ રહ્યો છે, કેમ કે બધું ‘પ્રભારીઓ’ હસ્તક છે, પણ ખાનગી યુનિવર્સિટીઓમાંયે …

અહીં આ જે લગરીક ઝલક આપી છે તે પરથી પ્રતાપ ભાનુને કાઁગ્રેસ વિ. ભા.જ.પ. જેવી કોઈ ચોકઠાબંધ રીતે ખતવી નાખવા જેવું નથી. ચીન જેમ વન પાર્ટી સ્ટેટ છે તેમ આપણે ત્યાં ન થઈ જાય એ માટે તેઓ સંચિત ને સતર્ક ચોક્કસ છે. પણ આપણે જેને લિબરલ ડેમોક્રસી કહીએ છીએ તેમાંયે કેવાં ઊંજણપિંજણ જરૂરી છે તે વિશેય એમની અભ્યાસતપાસ અહોરાત્ર અને અતંદ્ર વરતાય છે.

વેલ, ઓવર ટુ પ્રતાપ ભાનુ!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 24 ડિસેમ્બર  2025

Loading

લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 December 2025

રાજ ગોસ્વામી

આજના સમયમાં સોશિયલ મીડિયા આપણી જિંદગીનો એક મહત્ત્વનો ભાગ બની ચુક્યું છે. સવારે ઊઠતા જ મોબાઇલ જોવો, દિવસ દરમિયાન વારંવાર નોટિફિકેશન્સ ચેક કરતા રહેવું અને રાતે સૂતાં પહેલા રીલ્સ અથવા પોસ્ટ સ્ક્રોલ કરવું, હવે સામાન્ય બાબત બની ગઈ છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણને દુનિયા સાથે જોડે તો છે, પરંતુ ધીરે ધીરે આ આદત આપણાં માનસિક સ્વાસ્થ્ય, સમય અને જીવનની ગુણવત્તા પર અસર કરવા લાગી છે. આ વાતને સમજવા માટે તાજેતરમાં એક મોટી અને અનોખી સ્ટડી કરવામાં આવી હતી, જેમાં લોકોને સોશિયલ મીડિયા છોડવા માટે પૈસા પણ આપવામાં આવ્યા.  

આ અભ્યાસ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધકોએ કર્યો હતો અને તેને અત્યાર સુધીના સૌથી મોટા સંશોધનોમાંથી એક માનવામાં આવ્યો છે. આ સ્ટડીમાં લગભગ 35,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ છ અઠવાડિયા માટે ફેસબૂક અથવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દે. 

તેમને પ્રોત્સાહિત કરવા માટે પૈસા પણ આપવામાં આવ્યા, જેથી તેઓ ઈમાનદારીથી આ પ્રયોગનો ભાગ બને. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવા માટે હતો કે સોશિયલ મીડિયાથી અંતર રાખવાથી લોકોના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યમાં શું ફેરફાર આવે છે.

અભ્યાસનાં પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક હતા. જે લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો, તેમના માનસિક આરોગ્યમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો. સંશોધકોએ તેમને મોનીટર કર્યાં હતા, જેમાં ફેસબૂક છોડનારાઓના ભાવનાત્મક આરોગ્યમાં લગભગ છ ટકા સુધી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્સ્ટાગ્રામ છોડનારાઓમાં લગભગ ચાર ટકાનો સુધારો જોવા મળ્યો. સંશોધકોએ જણાવ્યું કે આ સુધારો એટલો પ્રભાવી હતો કે તેની તુલના થેરાપિ જેવા માનસિક ઉપચાર સાથે કરી શકાય. એટલે કે, કોઈ દવા કે કાઉન્સેલિંગ વિના, ફક્ત સોશિયલ મીડિયાથી દૂર રહીને લોકો બહેતર મહેસૂસ કરતા હતા. 

આ અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ છોડવાથી લોકોની તાણ અને ચિંતા ઘટી હતી. ખાસ કરીને ચૂંટણી અને રાજકીય સમાચાર સાથે સંબંધિત માનસિક દબાણ ઘણું ઓછું થઇ ગયું હતું. જે લોકો સતત સોશિયલ મીડિયામાં સમાચાર, ચર્ચા અને નકારાત્મક પોસ્ટ્સ જોતા હતા, તેમને થોડા સમય માટે આમાંથી રાહત મળી. તેની સીધી અસર ઊંઘ, મૂડ અને રોજિંદા વર્તન પર થઇ હતી. અભ્યાસમાં ભાગ લેનારા અનેક લોકોએ જણાવ્યું કે તેઓ વધુ શાંત, સંતુલિત અને ખુશીનો અનુભવ કરવા લાગ્યા હતા.

જો કે એક રસપ્રદ બાબત એ પણ સામે આવી છે કે સોશિયલ મીડિયા છોડવાનો અર્થ એ નથી કે લોકોએ મોબાઇલ ફોનનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો. સોશિયલ મીડિયા પરથી લોગઆઉટ કર્યા પછી ઓન લોકો ફોન પર સમય વીતાવતા રહ્યા હતા, પરંતુ તેઓએ સોશિયલ મીડિયા એપ્લીકેશન્સની જગ્યાએ અન્ય એપ્સ અથવા પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો શરૂ કર્યો હતો. ફેસબૂક છોડનારા લોકોના સ્ક્રીન ટાઈમમાં માત્ર થોડી જ મિનિટોનો ઘટાડો નોંધાયો હતો. 

ઉંમરના આધારે જો જોઈએ તો 35 વર્ષની અને તેથી વધુ ઉંમરના ફેસબૂક વપરાશકર્તાઓના મૂડમાં સૌથી વધુ સુધાર જોવા મળ્યો. જ્યાં 18 થી 24 વર્ષની ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ, ખાસ કરીને મહિલાઓમાં, ખુશીમાં સૌથી મોટો વધારો થયો.  

પણ સાચો પ્રશ્ન એ હતો કે તેમણે પોતાનો ખાલી સમય કઈ રીતે પસાર કર્યો? ઇન્સ્ટાગ્રામ ગ્રુપના લોકો તરત જ બીજા એપ્સ પર ગયા અને ઓફલાઇન સમયમાં ખાસ વધારો થયો નહીં. તેનાથી વિપરીત, ફેસબૂક ગ્રુપે સરેરાશ 9 મિનિટ વધુ સમય તમામ સ્ક્રીનથી દૂર પસાર કર્યો. જો કે, આ ગ્રુપના મોટાભાગના લોકોએ ખાલી સમયનો ઉપયોગ પણ અંતે બીજા એપ્સ પર કર્યો હતો. આનો અર્થ એ થયો કે સમસ્યા મોબાઇલ ફોનમાં નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની રચના અને આપણા મગજ પર પડતી તેની અસર છે.  

સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે વધુને વધુ સમય માટે આપણું ધ્યાન ખેંચી રાખે છે. સતત સ્ક્રોલ કરવાની આદત, લાઈક અને કોમેન્ટની અપેક્ષા, અને બીજાઓના જીવન સાથે પોતાની તુલના કરવી આપણને અંદરથી અસર કરે છે. ધીરે-ધીરે આ આદત તાણ, ચિંતા અને આત્મ-સંદેહ જન્માવે છે. જ્યારે લોકોએ થોડા સમય માટે તેનો ત્યાગ કર્યો, ત્યારે તેમને તેમના વિચારો અને ભાવનાઓને સારી રીતે સમજવાની તક મળી હતી.

સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગ સાથે ઘણી માનસિક સમસ્યાઓ જોડાયેલી છે. લોકો બીજાઓની ચમકદાર અને પરફેક્ટ દેખાતી જિંદગી જોઈને પોતાને કમતર અનુભવવા લાગે છે, તેમના આત્મ-માન પર અસર પડે છે અને ડિપ્રેશન જેવી લાગણીઓ ઉત્પન્ન થઈ શકે છે. ઉપરાંત, સતત નોટિફિકેશન્સ અને નાના-નાના વીડિયો જોવાથી લાંબા સમય સુધી એકાગ્ર થવાની ક્ષમતા પણ નબળી થઈ જાય છે. અભ્યાસ, કામ અને સંબંધો પર તેનો નકારાત્મક અસર પડે છે. આજની કિશોર પેઢીની મોટાભાગની સમસ્યાઓનું મૂળ અહીં છે.

આ અભ્યાસમાંથી એટલું સમજવા મળે છે કે સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહેવાથી પણ લાભ થઈ શકે છે. જરૂરી નથી કે કોઈ વ્યક્તિ હંમેશાં માટે સોશિયલ મીડિયા છોડી દે. તે વાત વ્યવહારુ પણ નથી, પરંતુ જો રોજ બ રોજ થોડો સમય ઘટાડવામાં આવે અથવા નક્કી કરેલા સમયે જ તેનો ઉપયોગ કરવામાં આવે, તો પણ માનસિક આરોગ્યમાં સુધારો જોવા મળે છે. અનેક લોકોએ કહ્યું છે કે સોશિયલ મીડિયા છોડ્યા પછી તેમને પોતાના શોખ, પરિવાર અને જાત માટે વધુ સમય મળવા લાગ્યો છે.

સોશિયલ મીડિયા સંપૂર્ણપણે ખરાબ નથી. તે જાણકારી, મનોરંજન અને લોકોને જોડાવાનું ઉત્તમ સાધન છે. પણ જ્યારે તે આદત બની જાય અને વિવેક વગર તેનો વપરાશ થવા લાગે, ત્યારે તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ અભ્યાસનો સૌથી મોટો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર આપણું નિયંત્રણ હોવું જોઈએ, ન કે સોશિયલ મીડિયાનું આપણી પર.

આજની ઝડપી જીવનશૈલીમાં માનસિક શાંતિ બહુ જરૂરી છે. જો અમુક સમય માટે પણ સોશિયલ મીડિયાથી અંતર કરીએ, તો આપણે બહેતર મહેસૂસ કરી શકીએ છીએ. સ્ટેનફોર્ડની આ સ્ટડીમાં સાબિત થયું છે કે, આપણી ખુશી અને માનસિક સ્વાસ્થ્ય માટે ક્યારેક ‘ઓનલાઇન’ને બદલે ‘ઓફલાઇન’ રહેવું જરૂરી હોવું છે. સંતુલન, સમજદારી અને જાગૃતિ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણે તેને આપણાં જીવન માટે સહાયક બનાવી શકે છે, બોજ નહીં.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 21 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

સંગીતા પટેલ|Opinion - Opinion|22 December 2025

6 ડિસેમ્બર આંબેડકર નિર્વાણ દિને જ ગાંધીવાદી ભાનુભાઈ અધ્વર્યુના નિધનને રચના અને સંઘર્ષનો સુભગ સંયોગ કહીએ કે બીજું કાંઇ? 1921થી 1965 સુધીના 64 વર્ષની એમની જીવનયાત્રા નકરી ગાંધીવાદી સાદગીભરી જ્યારે, વ્યાપક ક્ષિતિજો વિસ્તારતી તેમની લેખનયાત્રાએ વિષમતા નિર્મૂલનની ઘણી દિશાઓ ઇંગિત કરેલી. એમના ગયાના 40 વર્ષે પણ એ એટલી જ કારગત છે. એમની આ લેખનયાત્રા એટલે “રુદ્રવીણાનો ઝંકાર”. 

ઉમાશંકર જોશીના ઇડર પાસેના વતન બામણા ગામની હાઇસ્કૂલના આચાર્ય બન્યા અને 1980માં ત્યાંથી જ નિવૃત્ત થયા, પણ એમની પાઠશાળા આટલી નાની ન હતી. અને એમણે બાળકોને શાળા અભ્યાસ જ કરાવવાનો ન હતો. 1942ની આઝાદીની ચળવળમાં બે વર્ષ જેલવાસ વેઠ્યો એ તો એમના જીવનની પાઠશાળાનું પહેલું પગથિયું હતું. જીવનના નમતા પહોરે 1980માં તેમણે “શ્રમજીવી સમાજની” સ્થાપના કરી. ગોરા અને કાળા બંને અંગ્રેજો સામે આજીવન ઝઝૂમતા રહ્યા અને છેલ્લે જીવલેણ બીમારી સામે  પણ ઝઝૂમવાનું હતું. 

આદિવાસીઓના લઘુત્તમ વેતન અને ભૂમિહિનોના હક માટે ખેડ સત્યાગ્રહ એ એમના જીવનના અનુભવો અને આવું જીવનભાથું બાંધતા તેમણે દુનિયાને જેવી જોઇ એવી લખી. કેવળ લખી નહિ પણ જરૂર જણાય ત્યાં તેને બદલવાના અથાક પ્રયત્નો કર્યા. દલિત પેંથર્સના પ્રમુખ રમેશચંદ્ર પરમારે સમયના તકાજે ઊગતા કવિઓની કવિતાઓ સાથે પ્રકાશિત કરેલા “આક્રોશ” કાવ્યસંગ્રહને પ્રથમ અગ્નિશિખા કહી, ખોબલે ખોબલે સ્વાગત કરેલું.

ગ્રામીણ વિસ્તારની વરવી વાસ્તવિકતાની વાત કરતા ભાનુભાઈ લખે છે, “ગ્રેજ્યુએટ થયેલા છોકરાઓ માટી ખોદે અને ચાર ચોપડી ભણેલા ખોદકામનો હિસાબ રાખે એની ભવ્ય ક્રાંતિ યુદ્ધના ધોરણે પંચાયતી રાજમાં જ થઇ શકે.“ 1980 પછી આજની શિક્ષિત બેરોજગારી માટે પણ આ વાત એટલી જ સાચી છે. 

“વચનોના આભલા: અમલના અખાડા.” એ શીર્ષક જ દેશના દંભી રાજકારણનો અરીસો છે. બિહારના ભાગલપુરમાં અંડરટ્રાયલ કેદીઓ પર થયેલા અમાનુષી અત્યાચાર વિશે બયાન કરતા ભાનુભાઈ લખે છે, “બિહારની પરિસ્થિતિ વિશિષ્ટ છે. અહીં સામંતવાદના બધા અવશેષો કાયમ રાખી તેના પર લોકશાહીનું ધરૂવાડિયુ કરવામાં આવ્યું છે.” 

વિકાસના નામે થતા પર્યાવરણના વિનાશ સામે તેમણે વેધક શબ્દોમાં લાલ બત્તી ધરી છે. “જેમ દરેક યજ્ઞમાં કોઇ બકરાએ બલિનો બકરો બનવું પડે તેમ ગુજરાતની અસ્મિતા ખીલવતા ગિરિ મથક સાપુતારાના વિકાસ યજ્ઞમાં સ્થાનિક આદિવાસીઓને બલિના બકરા બનાવવામાં આવ્યા છે. 1975થી પૂરું વળતર મેળવવા આ લોકો પ્રયત્ન કરે છે, 71 ઘરની 450ની વસ્તીમાં માત્ર બેને ઇલેકટ્રીક ફીટીંગ અને એકને પટાવાળા તરીકે નોકરીમાં લેવામાં આવ્યા છે.”   

વ્યવસાયે આજીવન શિક્ષક રહેલા ભાનુભાઈએ શિક્ષણ જગતને આરપાર જોયું છે. તેઓ લખે છે, “શિક્ષણને ખાનગી હાથોમાં જ રાખવા માગતા તત્ત્વોની એક વિચિત્ર પ્રકારની સાંઠગાંઠ ઊભી થઇ છે.” તે વખતે ખાનગી શાળાઓ જ હતી. આજે તો ખાનગી યુનિવર્સિટીઓની પણ ભરમાર છે. શિક્ષણ ક્ષેત્રે આવી હરણફાળ ભરી છે.

પરિવર્તનની એક ચાવી રંગભૂમિ પણ છે. કલકત્તાની રંગભૂમિના પ્રગતિશીલ નાટ્યકાર બાદલ સરકાર વિષેના લેખમાં ભાનુભાઈ લખે છે, “ગર્મ હવાથી શરૂ કરીને ચક્ર સુધી પહોંચેલા ફિલ્મ જગતના ન્યુ વેઇવને આવી નાટ્ય પ્રવૃત્તિએ પવન પૂરો પાડ્યો છે”.

બિહારનો લાંબો પ્રવાસ ખેડ્યા પછી તેમણે લખેલી લેખમાળામાં સમગ્ર બિહારની કુટિલ વ્યૂહનીતિથી ગુંથાયેલી સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓની ઘટમાળ બયાન છે. ગુજરાત, મહારાષ્ટ્ર કે બંગાળની જેમ બિહારની અસ્મિતા કદાપિ ઉપસી નથી તેનો તેમને રંજ છે. “કામમેં સુસ્ત ઔર કાગઝમેં ચુસ્ત” વાળી રાજનીતિથી રાજ્યો કેટલા પછાત રહી ગયા તેમ કહેતા તેઓ લખે છે, “ગ્રામગરીબોની ચેતનાને દબાવવાના પ્રયત્નો નિષ્ફળ જતાં આતંકવાદી પ્રવૃત્તિ જમીનદારો દ્વારા જ શરૂ થઇ છે. 1971માં જમીનદારોએ પોતાના પાકના રક્ષણ માટે ભૂમિ સેના રચી. તેણે પ્રથમ હલ્લો સાંતાલ ગણોતિયાના વાસ પર કર્યો. સાંતાલોના 44 ઝૂંપડાં જલાવી દીધાં અને 14ને જીવતાં સળગાવી દીધાં. 4 વર્ષ પછી અદાલતમાં બધા નિર્દોષ છૂટ્યા. ગરીબોનું કામ કરતા કાર્યકરોના મોટા પ્રમાણમાં ખૂનો થવા લાગ્યા. તંત્ર અને કોર્ટોમાં ન્યાય નહિ મળે તેમ લાગતા ગરીબો પણ સંગઠિત થઇ શક્ય હોય ત્યાં વળતા પ્રહારો કરવા માંગ્યા.”  

હિંસક પ્રતિરોધનું આવું વરવું સત્ય લખનાર કદાચ આ પહેલા ગાંધીવાદી હશે. આવો પ્રતિરોધ કરતા એક કાર્યકરના શબ્દો ટાંકતા તેઓ લખે છે, “અમારું કામ કેવી રીતે બતાવીએ? અમારે ઘર જ નથી તો આશ્રમ કે ઓફિસ ક્યાંથી હોય? અમારી અસરવાળા ગામડામાં દલિતોના ટોલાં-ફળિયામાં જાવ. એની હવામાં અમારા કામની ગંધ આવશે.” આજે તો આવી શાબ્દિક રજૂઆત કરનારને પણ રાજદ્રોહના આરોપસર જેલ થાય છે. તેઓ લખે છે ”જમીનની માલિકીનું સૌથી વધુ કેન્દ્રીકરણ અહીં જ જોવા મળે છે. વિનોબાની કરુણા અને સરકારના કાનૂન બંને કરુણરીતે નિષ્ફળ ગયા છે”. 

બિહારના ભોજપુર જિલ્લાના સહાર તાલુકાના એકલારા ગામના એમ.એસ.સી. થઇને સરકારી હાઇસ્કૂલમા વિજ્ઞાન શિક્ષકની નોકરી કરતા જગદીશ નામના દલિત યુવાનનું જીવન વૃત્તાંત લખતા ભાનુભાઈ લખે છે, “જગદીશના દિલની આગ સમજવા જગદીશનો પરિવેશ સમજવો પડે”. એમ.એસ.સી. થયેલા હોનહાર ભાવિને કાબિલ જગદીશ કેવી રીતે પળિયો બની ગયો તે વાત આ ગાંધીવાદી ફકીરની કલમે અવતરી છે. 

આદિવાસીઓના ભગવાન સમા બિરસા મુંડાને પણ તેમણે યાદ કર્યો છે. અંગ્રેજ શાસનકાળમાં આદિવાસી પ્રજા પર થતા જોરજુલમ સામે બહારવટે ચડેલા બિરસા મુંડાના આજે સરકારી ભવનો છે અને સ્વદેશી સાંપ્રત સરકાર સામે શબ્દોથી પ્રતિરોધ કરનારાને જેલમાં બંધ કરી દેવાય છે. એ પણ વદતો વ્યાઘાત છે. 

ગુજરાતના રાજપીપળા અને ડાંગના ધરમપુરના આદિવાસીઓની કરમ કથા પણ ભાનુભાઈએ વિગતે લખી છે. મામૂલી વળતર સામે ખેતમજૂર કે ચાકર તરીકે સવારથી રાત સુધી કામ કરતા આદિવાસીઓ અને પાણિયારી તરીકે કામ કરતી ચાકરની પત્નીની ઝીણવટભરી વિગતો, કપાસની પૂમડી જેવી નાનકડી ચોરી કરતાં 16 વર્ષના કિશોરનું લીંચીંગ એવી ઘણી વાતો ગરીબી, અસમાનતા અને દમનનું વરવું સ્વરૂપ રજૂ કરે છે. તો સામે રણચંડી બનેલી બહેનોએ જમીનમાલિકને ઘેરીને પીટી નાખ્યાની ઘટનાનું આલેખન પણ તેમની કલમે થયું છે. 

નીતિ નિયમો નવે મૂકીને આડેધડ જંગલો કાપીને ઉઘાડી લૂંટને રેગ્યુલરાઇઝ કરવા ઘડવામાં આવેલા ફોરેસ્ટ એક્ટ, 1927થી માંડીને નવી રાષ્ટ્રીય નીતિ સુધી થયેલી વન વિરોધી ગતિવિધિઓની પણ તેમણે આકરી ટીકા કરી છે. આવી ઘણી વિષમતાઓ રુદ્રવીણા સમી તેમની કલમની અડફેટે ચડી છે. દલિત લેખક ચંદુભાઈ મહેરિયા દ્વારા સંપાદિત ભાનુભાઈ અધ્વર્યુનો લેખ સંગ્રહ “રુદ્રવીણાનો ઝંકાર”આજે પણ પથદર્શક છે.  

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

...102030...64656667...708090...

Search by

Opinion

  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved