Opinion Magazine
Number of visits: 9741464
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણનો સાર્વત્રિક સર્વનાશ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 July 2024

રવીન્દ્ર પારેખ

ભારતે અનેક ક્ષેત્રે વિકાસ કર્યો હશે એની ના નથી, પણ શિક્ષણમાં તો તેનો શતમુખી વિનિપાત જ થયો છે. શિક્ષણમાં જેટલાં આડંબર, અહંકાર અને અજ્ઞાન છે એટલાં બીજા કોઈ ક્ષેત્રમાં નથી. દુ:ખદ એ છે કે આ અધ:પતનને બધાં જ શિક્ષણ મંત્રીઓ કોઈ સિદ્ધિની જેમ છાવરે છે. ભૂલો કબૂલ ન કરવાનો મંત્રીઓ જન્મસિદ્ધ અધિકાર માનતા હોય તેમ સામા આક્ષેપો કરીને રાજી રહે છે. મૂળ હેતુ એ છે કે શિક્ષણમાં કોઈ સરકારે એવો રસ દાખવવો જ નહીં કે પ્રજા શિક્ષિત થઈને સામે શિંગડાં કરે. અત્યારની સરકારોને પાળેલી પ્રજા ખપે છે. સરકાર એવો દેખાવ કરે છે કે શિક્ષણની આભા ઊભી થાય, પણ કોઈ ‘શિક્ષિત’ ન થઈ જાય એ પણ જુએ છે. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધી શિક્ષણનાં કારખાનાં ધમધમે છે, ડિગ્રી લઈને વિદ્યાર્થીઓ બહાર પડે છે, પણ તેમનું કૈં ઊપજે નહીં, એ સ્થિતિ છે. શિક્ષિત કે અશિક્ષિત વચ્ચે કોઈ અંતર ન રહે એટલો પ્રભાવ અત્યારે શિક્ષણનો છે. જતે દિવસે સર્ટિફિકેટ કરતાં કોઈ ચીંથરું વધારે ઉપયોગી થાય એમ બને.

બિહારનું સોનપુર પહેલજા ગામ ડિગ્રીની ફેક્ટરી ગણાય છે. અહીંની 100 જણાંની ટોળકી અભણ લોકોને શિક્ષિત કરી દે છે. કોઈ અભણ ગામમાં જાય તો બે હજાર રૂપિયામાં ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ લઈને પાછો ફરે છે. જુદી જુદી ડિગ્રીઓના ભાવ નક્કી થયેલા છે. કમાલ તો એ છે કે આ નકલી સર્ટિફિકેટનો કાગળ જે તે યુનિવર્સિટીનો જ હોય છે. એ સંજોગોમાં એ નક્કી કરવાનું મુશ્કેલ છે કે આનું કનેક્શન પેપર છાપનારી કંપની સાથે છે કે યુનિવર્સિટીના કોઈ કર્મચારી સાથે? માર્કશીટ હોય કે એડમિટકાર્ડ, બધું એટલું પરફેક્ટ છે કે યુનિવર્સિટીનાં અસલી સર્ટિફિકેટ્સ નકલી લાગે, તે એ હદે કે વોટરમાર્ક પણ ચુકાયો નથી. આ હદે કામ થતાં હોય તો સવાલ થાય કે બે હજારમાં ડિગ્રી મળી જતી હોય તો યુનિવર્સિટી કે કોલેજમાં વર્ષો કાઢીને, હજારો-લાખોનું આંધણ કરવાની જરૂર ખરી? આ સર્ટિફિકેટથી નોકરી કદાચ ન મળે, પણ એ તો યુનિવર્સિટીનાં અસલ પ્રમાણપત્રથી પણ મળે જ એની ખાતરી ક્યાં છે?

નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ 2024ની નીટ-યુ.જી.ની પરીક્ષાનું આયોજન એવી રીતે કર્યું કે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડી ને એક તબક્કે તો નીટ રદ્દ થાય એવી સ્થિતિ આવી. દેશ આખામાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પણ સિન્સિયર વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય એટલી ગરબડ આ પરીક્ષાઓમાં થઈ. પેપર ફૂટ્યાં, લાખો રૂપિયા લઈને એજન્સીઓએ પરીક્ષાના જવાબો લખાવવાની, કારણ વગર ગ્રેસ માર્કસ આપવાની એવી એવી ઘટનાઓ ઘટી કે સુપ્રીમ કોર્ટે પરીક્ષાનાં પરિણામો નવેસરથી તૈયાર કરાવીને જાહેર કરાવવાં પડ્યાં. પરિણામ એવું બદલાયું કે 720માંથી 720 માર્કસ લાવનાર 61 જણાં હતાં, તે ઘટીને 17 થઈ ગયાં. ટોપર્સમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ…ના વિદ્યાર્થીઓ છે. પૂરા માર્કસ લાવનાર ગુજરાતમાંથી 4 હતા, તેમાંનો એક પણ નવાં પરિણામોમાં ટક્યો નથી અને 4.2 લાખ વિદ્યાર્થીઓના રેન્ક બદલાયા છે. અગાઉ 67 વિદ્યાર્થીઓ પહેલે નંબરે હતા, પણ 6 વિદ્યાર્થીઓને ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા, સંખ્યા 61 પર આવી, તેમાં પણ 44 વિદ્યાર્થીને ફિઝિક્સમાં ખોટા પ્રશ્નને કારણે ગ્રેસના માર્કસ અપાયા હતા, તે કપાતા આંકડો 17 પર આવી ગયો. આ પરીક્ષા 14 આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સહિત 571 શહેરના 4,750 કેન્દ્રો પર લેવાઈ હતી.

નીટ જેવી જ જાહેર પરીક્ષા યુ.પી.એસ.સી.ની થાય છે. એમાં ગેરરીતિ રોકવા નવી ટેકનિકોને કામે લગાડવાની વાત છે. ડમી ઉમેદવારને પકડવા આધાર કાર્ડ ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એ ઉપરાંત ફેશિયલ રેકગ્નિઝન અને AI ટેકનિકથી સજ્જ કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. ટ્રેઈની IAS પૂજા ખેડકર વિવાદ અને નીટમાં થયેલી બબાલ વચ્ચે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. ઉમેદવારને બદલે કોઈ ડમી ઉમેદવાર પરીક્ષા આપતો જણાય તો તેને રોકવા કયુ.આર. કોડથી સજ્જ એડમિટ કાર્ડ અને રિયલ ટાઈમ એટેન્ડન્સના અમલીકરણની તૈયારી છે. યુ.પી.એસ.સી. 24 પરીક્ષાઓનું આયોજન કરે છે અને આશરે 26 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપે છે. એમને આ નવી પદ્ધતિથી ચકાસવાનું કેટલું શક્ય છે એ નથી ખબર, પણ યુ.પી.એસ.સી.ના ઉમેદવારો  IAS અને IPS જેવી કક્ષાએ પહોંચવા આ પરીક્ષા આપે છે, એમને કોઈ એથિક્સ જ નહીં નડતું હોય કે આટલે પહોંચ્યા પછી ડમી ઉમેદવાર બેસાડવો પડે કે પરીક્ષામાં નકલ કરવી પડે કે અન્ય કોઈ ગેરરીતિઓ કરવી પડે? યુ.પી.એસ.સી. જેવી પરીક્ષામાં પણ નકલ થાય એ કેવું? ને નકલ થાય જ છે એમાં શંકા નથી. એટલે જ તો ઉત્તર પ્રદેશ સેવા આયોગે નકલ કરાવનારને અને નકલ કરનારને એક કરોડ રૂપિયા સુધીનો દંડ અને અથવા આજીવન કારાવાસની સજા ફરમાવવાનું નક્કી કર્યું છે. વધારે શરમજનક તો એ છે કે શુદ્ધ નિષ્ઠાથી ને પવિત્રતા જાળવીને પરીક્ષા આપનારે પણ પોતાના કોઈ વાંકગુના વગર જુદી જુદી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે.

સાચું તો એ છે કે અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારના એટલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ ચાલે છે કે દેશમાં ક્યાં ય સચ્ચાઈ અને સાત્ત્વિકતા બચી જ નથી એમ લાગે. આ પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો તો થાય છે, પણ પરિણામો ઉત્તરોત્તર વરવાં જ હાથ લાગે છે. પ્રાથમિક શિક્ષણથી જ અમુક પ્રકારની ઉપેક્ષા શરૂ થઈ જાય છે. તેમાં ગુજરાત નફ્ફટ અને નિર્લજ્જ છે. શિક્ષણનો પાયામાંથી જ સર્વનાશ કરવાના સરકારે સોગંદ ખાધાં હોય, તેમ બધી જ કરકસર શિક્ષણમાં થાય છે. સ્કૂલ છે, પણ પૂરતા વર્ગો નથી, છે તે બિસ્માર હાલતમાં છે. પૂરતા શિક્ષકો નથી અને લગભગ રોજ તુક્કાઓ પરિપત્રો રૂપે આચાર્યોને ધકેલાતા હોય છે. સરકારને રસ માત્ર ડેટા પૂરતો જ છે, કાગળ પર બધું બરાબર કરવાની કારકૂની કોશિશો ચાલતી રહે છે, પણ વર્ગશિક્ષણ શિક્ષકો વગર ખોરંભે ચડે એની જરા જેટલી પણ ચિંતા શિક્ષણ વિભાગને નથી. ઉત્સવનું ઉજવણું થાય છે, પણ શિક્ષણનું ઉઠમણું થાય એની નાનમ કોઈને નથી. વાલીઓ બાળકોને સ્કૂલે મોકલીને નચિંત થઈ જાય છે, પણ તે સ્કૂલમાં ભણે છે કે શિક્ષક વગર અટવાતું રહે છે એની કાળજી લેવાતી નથી. 42,000 શિક્ષકોની કારમી ઘટ વચ્ચે શિક્ષક સજ્જતા તાલીમને વાંધો આવતો નથી. પ્રવેશોત્સવ ખરેખર તો વેશોત્સવ અને ગુણોત્સવ, અવગુણોત્સવ જ વધારે છે. પ્રવેશોત્સવ તો રાજકારણીઓની સ્તુતિનો જ ઉપક્રમ છે. હમણાં સક્ષમ શાળાનો વેશ ભજવાયો જેમાં આચાર્ય અને શિક્ષકને ફોર્મ ભરાવીને ઉત્તમ દેખાવ થઈ રહ્યો છે એવું ચિત્ર ઉપસાવવાનું કહેવાયું ને એ બે દિવસ દરમિયાન આચાર્ય અને શિક્ષક વગર વર્ગશિક્ષણ કેટલું સક્ષમ રહ્યું હશે તે નથી ખબર. આ આખો ઉપક્રમ જ શૈક્ષણિક ભાટાઈથી વિશેષ કૈં નથી. એમાં ઉપર સુધી રાજકીય આરતીઓ જ ઊતરે છે. ખરેખર તો ઊપરીઓ તાલીમો દ્વારા ફોટા, વીડિયો અને અહેવાલ બહાર પડાવીને સરકારનું ગુણસંકીર્તન જ કરતાં રહે છે. તમામ ક્ષેત્રે દેખાડા એ રાજરોગથી બદતર છે. પ્રાથમિક શિક્ષકોનો ઘાટ ‘સબ કી જોરુ’ જેવો છે. કોઈ તેને વસ્તી ગણતરી માટે વાપરે છે, તો કોઈ તેને રસી માટે મોકલે છે. કોઈ પરિપત્રોના જવાબ લખવા આગ્રહ કરે છે, તો કોઈ બે-ચાર વર્ગ સાથે કરાવીને ભણાવવાનું કહે છે. એમાં વાંચન, ગણન, લેખનનું ખરેખર કેટલું કામ થાય છે તે પ્રશ્ન જ છે. સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જરૂરી છે, પણ તેનો અતિરેક તે શિક્ષણ નથી એ દરેક રાજકીય અધિકારીઓએ સમજી લેવાનું રહે.

આમાં સરકારની ભૂમિકા નફો કરતા વેપારીની છે. ગમ્મત તો એ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરતાં પહેલાં સરકાર શિક્ષકો પર કાપ મૂકવાનું વિચારે છે. એક બાજુ તે 24,700 શિક્ષકોની કાયમી ભરતીની વાત કરે છે, પણ તેની જાહેરાત આપવા પહેલાં, તે જ્ઞાન સહાયકોની ભરતીની જાહેરાત કરે છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં વસ્તીનો દર ઘટી રહ્યો છે, એ સ્થિતિમાં આવતાં પંદર વર્ષમાં સરકારી કે ગ્રાન્ટ ઇન એઇડ સ્કૂલોમાં શિક્ષકોની જરૂર ખાસી ઘટી જશે. સરકારને એમ હશે કે આવનારાં વર્ષોમાં વિદ્યાર્થીઓ પણ નહીં રહે એ સ્થિતિમાં કાયમી નિમણૂક કરીને જાત પર બોજ શું કામ વધારવો? વળી લોકો ખાનગી સ્કૂલો તરફ વળી રહ્યા છે, એ સ્થિતિમાં સરકાર કાયમી શિક્ષકોની ભરતી કરે તો 35 વર્ષ માટે તેઓને એમ જ પાળવા-પોષવાના થાય. એવું કરવું કે કેમ એ તેની મૂંઝવણ છે. સરકાર, સરકારી સ્કૂલો બંધ કરવાની ફિરાકમાં છે, એ સાથે જ જ્ઞાન સહાયકો સસ્તા પડે ને કોન્ટ્રાક્ટ પર હોય અને તે રિન્યૂ થાય એટલે પણ વફાદારીથી કામ કરે. આમ તો જ્ઞાન સહાયકોનો કોન્ટ્રાક્ટ પૂરો થયો નથી, એટલે એમનું પરફોર્મન્સ કેવું છે ને એમને લીધે શિક્ષણ ખરેખર કેટલું પ્રભાવી થયું છે એ કહેવું વહેલું છે, પણ સરકારનું વિશફૂલ થિંકિંગ એવું છે કે 35 વર્ષ તો તે જ સત્તા પર રહેવાની છે ને એની ચોખ્ખી દાનત કાયમી શિક્ષકોને પગાર અને નિવૃત્તિનાં લાભો આપવાની નથી જ, એટલે કાયમી નિમણૂકનું કહ્યું છે ખરું, પણ તે કાયમી શિક્ષકો રાખશે જ ને રાખશે તો તે વાયદો પાળશે જ એની ખાતરી નથી. એની સામે સરકારના મંત્રીઓ, અધિકારીઓમાંથી કેટલા પેન્શન લેવાના છે તેની પ્રમાણિક જાહેરાત થવી જોઈએ. એવું તો નથી ને કે પોતે પેન્શન લેવું છે ને શિક્ષકોને જ આપવું નથી? સરકારમાં કામ કરતાં કર્મચારીઓ, અધિકારીઓ, જ્ઞાન સહાયક કર્મચારીઓ કે જ્ઞાન સહાયક અધિકારીઓ નથી, તો શિક્ષકો જ જ્ઞાન સહાયક કેમ તેનો ખુલાસો સરકારે કરવો જોઈએ. આ બધું પ્રજાના અઢળક ટેક્સમાંથી થાય છે ને છતાં સરકાર નફાના દાખલા ગણે છે એ બેશરમીનો નાદાર નમૂનો છે.

ખબર નથી, પરીક્ષાઓ પાસ કરીને, કાયમી ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો ક્યાં સુધી છેતરાશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 જુલાઈ 2024

Loading

સંસ્કૃતિ અને પ્રાચીન વિદ્યાનું જતન કર્યું કોણે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 July 2024

રમેશ ઓઝા

ઉત્તર પ્રદેશ સરકારના પક્ષપાતી અને બેશરમ કહી શકાય એવા આદેશને સર્વોચ્ચ અદાલતે સ્થગિત કર્યો છે. સરકારનો આદેશ એવો હતો કે કાવડયાત્રા કરનારા કાવડિયાઓના માર્ગમાં આવતી હોટેલોની બહાર મોટા અક્ષરમાં લખેલું એક બોર્ડ મૂકવું જરૂરી છે કે આ હોટલનો માલિક કોણ છે અને તેને કોણ ચલાવે છે. અહીં પહેલાં બતાવી દઉં કે જેમ અમરનાથ યાત્રાનો કે પંઢરપુરની દિંડીનો માર્ગ નિશ્ચિત હોય છે એમ કાવડિયાઓનો હોતો નથી. ચારે બાજુએથી તેઓ પોતાને સુગમ પડતા માર્ગે ચાલે છે. બીજું, અમરનાથની યાત્રા કરવાવાળાઓનું લક્ષ કેવળ અમરનાથ હોય છે કે દિંડી માત્ર અને માત્ર પંઢરપુર જતી હોય છે. કાવડિયાઓનું એવું હોતું નથી. કોઈ કાશી જાય, કોઈ ઓમકારેશ્વર જાય, કોઈ મહાકાલેશ્વર જાય અને કોઈ વૈજનાથધામ જાય. આ સિવાય પણ બીજા અનેક સ્થળે. આનો અર્થ એ થયો કે સમગ્ર ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,  મધ્ય પ્રદેશ અને બિહારમાં કોઈ સ્થળે મુસલમાનો મુક્ત રીતે ભોજનાલય ન ચાલાવી શકે. કાવડિયાઓ તેમની હોટેલમાં જાય નહીં.

અહીં પહેલો સવાલ તો એ ઉપસ્થિત થાય છે કે આ લોકો પાસે મુસલમાનોને સતાવવા સિવાય, તેમને નુકસાન પહોંચાડવા સિવાય, તેમની પાસેથી કશુક છીનવી લેવા સિવાય હિંદુરાષ્ટ્રનો કોઈ એજન્ડા જ નથી? દસ વરસમાં મુસલમાનો પાસેથી છીનવી લેવાનું કામ તો ઘણું કર્યું છે, હિંદુઓને આપ્યું છે શું? અયોધ્યામાં રામમંદિર, મફતમાં તીર્થયાત્રા અને સ્ટેશનો તેમ જ શહેરોનાં નામમાં પરિવર્તન. અલ્હાબાદની જગ્યાએ પ્રયાગરાજ અને રાજી થાવ. આનાથી પેટ ભરાવાનું છે? આનાથી તમારાં સંતાનનું ભવિષ્ય સુરક્ષિત થવાનું છે?

એકવાર ફુરસદે એક કામ કરો. સંસ્કૃત તો હિંદુઓની દેવભાષા છે. ઈંટરનેટ પર જઇને આઝાદી પછી સ્થાપાયેલી સંસ્કૃત કોલેજો, વિશ્વવિદ્યાલયો અને શોધસંસ્થાનોની યાદી બનાવો. એ કોણે શરૂ કરી, કોણ સ્થાપકો હતા, સરકારી સંસ્થા હોય તો તેની સ્થાપના કયા પક્ષની સરકારે કરી હતી, કોણ કોણ વિદ્વાનો હતા વગેરે પોતાને સગે હાથે અને સગે દિમાગે તપાસી જુઓ. અને એ પછી આ લોકોએ આ પ્રકારનું કામ કેટલું કર્યું એ તપાસી જુઓ. તમને પોતાને જમા-ઉધારનો ખ્યાલ આવી જશે. કોણ નાદાર છે અને કોણ નક્કર છે તેનો ખ્યાલ આવી જશે.

એમ. પતંજલિ શાસ્ત્રીનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. તેઓ ૧૯૫૧-૫૪નાં વર્ષોમાં ભારતના બીજા મુખ્ય ન્યાયમૂર્તિ હતા અને સંસ્કૃતના પંડિત હતા. મહામહોપાધ્યાયની કક્ષાના. તેમને સંસ્કૃત અને ભારતીય વિદ્યાઓના પ્રચાર-પ્રસારમાં ખૂબ રસ હતો. સોમનાથમાં મંદિર બંધાયું એ પછી ડૉ. રાજેન્દ્રપ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજાઓએ મળીને સંસ્કૃત વિશ્વપરિષદની સ્થાપના કરી હતી. ડૉ. રાજેન્દ્રપ્રસાદ ત્યારે દેશના રાષ્ટ્રપતિ હતા, કનૈયાલાલ મુનશી કેન્દ્રીય પ્રધાન હતા અને પતંજલિ શાસ્ત્રી દેશના (સર્વોચ્ચ અદાલતના) મુખ્ય ન્યાયમૂર્તિ હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તો દેશમાં સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓનો પ્રચાર-પ્રસાર કેમ કરાય અને તેના માટે શું કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપતી એક માર્ગદર્શિકા સંસ્કૃત વિશ્વ પરિષદ વતી તૈયાર કરી હતી અને કનૈયાલાલ મુનશીએ કેન્દ્ર સરકારના શિક્ષણ પ્રધાન મૌલાના આઝાદને અને દેશભરની રાજ્ય સરકારોને તે મોકલી હતી. આ સિવાય ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન સંપૂર્ણાનંદ જેવા મુખ્ય પ્રધાનો અને સી.પી.એન. સિંહ જેવા રાજ્યપાલો જેવા બીજા પણ અનેક કૉંગ્રેસીઓ સંસ્કૃત વિશ્વ પરિષદ સાથે જોડાયેલા હતા. એમ. પતંજલિ શાસ્ત્રીએ તૈયાર કરેલી માર્ગદર્શિકાને અનુસરીને ભારતનાં કેટલાંક રાજ્યોમાં સંસ્કૃત માટે શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ હતી. કુરુક્ષેત્ર યુનિવર્સિટી આનું એક ઉદાહરણ છે.

અત્યારની પ્રતિષ્ઠિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી અને કોણે કરી હતી એ જાણો છો? આવી જ રીતે અત્યારે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી તરીકે ઓળખાતી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી એ જાણો છો? પહેલી ૧૯૬૨માં જવાહરલાલ નેહરુએ અને બીજી ઇન્દિરા ગાંધીએ ૧૯૭૦ની સાલમાં. કોઈને ય જવાહરલાલ નેહરુએ કે ઇન્દિરા ગાંધીએ રોક્યા નહોતા, બલકે તેઓ પોતે તેમાં રસ લેતા હતા, કારણ કે તેઓ અભણ નહોતા. લઘુતા ગ્રંથિથી પીડિત નહોતા. આ સિવાય જેઓ ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના મહાઅભિયાનમાં જોડાયા હતા એમાંથી કોઈ મુસ્લિમદ્વેષ્ટા નહોતા. કોઈ કોમવાદી નહોતા. બીજાનું બુરું એ ઈચ્છે જેનામાં પોતાનું ભલું કરવાની ત્રેવડ ન હોય.

હજુ એક ઉદાહરણ આપું, કારણ કે એ મનુસ્મૃતિ વિશેનું છે. ૧૯૭૨માં ભારતીય વિદ્યા ભવને નવ સંસ્કૃત ટીકાઓ સાથે મનુસ્મૃતિનું પ્રકાશન કરવાનું કામ હાથ ધર્યું હતું અને તેના સંપાદક હતા, મહામહોપાધ્યાય જયંતકૃષ્ણ હ. દવે. તેઓ મનુસ્મૃતિના પહેલા ખંડની પ્રસ્તાવનામાં લખે છે: “ભારત સરકારના શિક્ષણ ખાતાના સંસ્કૃત બોર્ડની ઈચ્છા હતી કે મનુસ્મૃતિની ઉપલબ્ધ તમામ મહત્ત્વપૂર્ણ ટીકાઓ સાથે મનુસ્મૃતિની સંપૂર્ણ વિસ્તૃત આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે જેથી સુગમતાથી એક જ સ્થળે મનુસ્મૃતિનો અભ્યાસ થઈ શકે. આ સંપાદકને આ કાર્ય સોંપવામાં આવ્યું અને ભારતીય વિદ્યા ભવન દ્વારા ભારત સરકારની ઉદાર આર્થિક સહાયથી મનુસ્મૃતિ પ્રકાશિત થઈ રહી છે.” કોણ હતું ૧૯૭૨ની સાલમાં વડા પ્રધાન? ઇન્દિરા ગાંધી. અને શિક્ષણ પ્રધાન? એસ. નરુલ હસન. એક મુસ્લિમ. જેમને મનુસ્મૃતિ વહાલી છે એમને તો એ પણ ખબર નહીં હોય કે ભારતમાં સ્મૃતિસાહિત્યમાં કોની કોની સ્મૃતિ ઉપલબ્ધ છે અને તેના પર કોણે કોણે ટીકાઓ લખી છે.

માટે યોગી આદિત્યનાથ માત્ર આવું જ કશુંક કરી શકે. બહુ બહુ તો મુસલમાનોના ઘર પર બુલડોઝર ચલાવી જાણે. જેના દ્વારા મુસલમાનો તો છોડો હિંદુઓનું ભલું થાય એવું રચનાત્મક કામ કરવાનું કોઈ ગજું આ લોકો નથી ધરાવતા. એ બધું “હિંદુધર્મવિરોધી”, “ધર્મદ્રોહી”, દેશદ્રોહી “સેક્યુલરિયા”ઓ કરી ગયા જેને બરબાદ કરવાનું કામ તેઓ કરી રહ્યા છે. સંસ્કૃત અને ભારતીય પ્રાચીન વિદ્યાઓના જતન અને સંવર્ધન માટે પહેલાં અંગ્રેજોએ સ્થાપેલી અને આઝાદી પછી કૉંગ્રેસીઓએ સ્થાપેલી શિક્ષણ સંસ્થાનોની આજની સ્થિતિ પર નજર નાખી જુઓ. તેઓ સંસ્કૃત યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફેરવી રહ્યા છે કે જેથી તેને કેન્દ્ર સરકાર નિયંત્રિત કરી શકે. એમાં કોણ બેઠા છે એ જોઈ જુઓ. દિવસમાં એક પાનું વાંચતા હાંફી જાય એવા “વિદ્વાનો”ને ત્યાં બેસાડવામાં આવ્યા છે. ત્યાં શું કામ થઈ રહ્યું છે એ તપાસી જુઓ. પશ્ચિમમાં બેઠેલા ગૈર હિંદુ વિદ્વાનો જેટલું કામ કરે છે તેની સામે આ લોકો ચરકવા જેટલું પણ કામ નથી કરી શકતા. કૂવામાં હોય તો હવાડામાં આવે ને! જ્યાં વિચારવાની અને શંકા કરવાની મનાઈ હોય ત્યાં કદાપિ વિદ્વતા હોય!

ટૂંકમાં જે વિષયો તેમને વહાલા છે એ વિષયો પર મુસલમાનો માટે દ્વેષ નહીં ધરાવતા સેક્યુલર વિદ્વાનોએ નક્કર કામ કર્યાં છે અને કરે છે. ૧૭૮૪માં સર વિલિયમ જોન્સે કોલકત્તામાં એશિયાટિક સોસાયટીની સ્થાપના કરી અને ૧૭૯૧માં જોનાથન ડંકને બનારસમાં ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ(આજે સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી)ની સ્થાપના કરી ત્યારથી લઈને આજ સુધીમાં અઢીસો વરસમાં ભારતીય પ્રાચીન ભાષાઓ અને વિદ્યાઓના સંવર્ધન માટે ઉદારમતવાદી સેક્યુલર વિદ્વાનોએ જેટલાં કામ કર્યાં છે એનો એક ટકો કામ પણ હિંદુહિતનો ઝંડો લઈને ફરનારાઓ નથી કરી શક્યા.

જગતમાં હિંદુઓ ગર્વ સાથે માથું ઊંચું કરી શકે એવા રચનાત્મક કામો કરવાનું તેમનું ગજું પણ નથી અને તેમને તેમાં રસ પણ નથી. મુસલમાનોને સતાવો અને હિંદુઓના એક વર્ગને રાજી કરો. પરપીડનમાં આનંદ અનુભવનારા લોકો દરેક સમાજમાં હોય જ છે. એમાં માથે તવાઈ છે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત કેટલાક લોકો યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી હટાવવા માગે છે. ઓછામાં પૂરું વિધાસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે જેમાંથી પાંચ બેઠકોમાં ૨૦૨૨ની ચૂંટણીમાં પરાજય થયો હતો. યોગી માટે આકરાં ચઢાણ છે અને પક્ષમાં તેમની સામે બળવો થઈ રહ્યો છે. નબળો નર નારી પર શૂરો એના જેવું છે.

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારના વકીલોને હસતા હસતા સવાલ કર્યો હતો કે રાંધનારા,  પીરસનારા, સાફ કરનારા, અનાજ ઉગાડનારા, ખરીદનારા, વેચનારા, સપ્લાય કરનારા એમ પવિત્ર હિંદુઓ કોના કોનાથી બચશે? અને એક સવાલ જજોએ નથી કર્યો પણ લોકો કરે છે. પવિત્ર હિંદુઓએ હવેથી અમરનાથની યાત્રાએ તો ન જ જવું જોઈએ. ત્યાં ડોળી ઊંચકનારાઓ અને ઘોડાવાળાઓ અપવાદ વિના મુસલમાન છે.

એક હિંદુ એ છે જે રાતના દીવા બાળીને અને આંખો ફોડીને હિંદુઓની (ભારતની) મહાન પરંપરાના ઉજ્વળ પતાકા જગતમાં લહેરાવે છે અને બીજા હિંદુ એ છે જે ભડકા કરીને હિંદુને જગતમાં બદનામ કરે છે. અને હા, મુસલમાનો વિના દેશ અધૂરો છે એમ હજુ મહિના પહેલા કહેનારા અત્યારે ચૂપ છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 28 જુલાઈ 2024

Loading

બજેટ 2024: રાજનૈતિક લાભને અગ્રિમતા આપતા બજેટમાં નાગરિકો વખારે નખાયા?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 July 2024

મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે

ચિરંતના ભટ્ટ

બજેટ જાહેર થયું એ પછી સરકાર અને નાણાં મંત્રી પર છાણાં થાપવાનું કામ પૂરજોશમાં ચાલ્યું છે. આમ જનતા, પગારદાર, નોકરિયાત, મધ્યમવર્ગને બજેટ બહુ ખુંચ્યું છે. નાણાં મંત્રી નિર્મલા સિતારમણે 1લી ફેબ્રુઆરીએ જે વચગાળાનું બજેટ રજૂ કર્યું અને 23મી જુલાઇએ જે યુનિયન બજેટ રજૂ કર્યું તેની વચ્ચે એક મોટી ઘટના ઘટી. આ ઘટના એટલે, લોકસભાની ચૂંટણી અને સ્વાભાવિક છે કે ચૂંટણીનાં પરિણામોને મામલે ભા.જ.પા.ની પોતાની પાસેથી જે અપેક્ષા હતી તેનાથી ઓછા હોવાને કારણે ઘટનાનો પ્રભાવ નાટ્યાત્મક રહ્યો છે. ચારસો પાર એવું કોઇ ભૂલમાં ય આજુબાજુ બોલી દેતું હશે તો ભા.જ.પા. વાળાની ફટકી જતી હશે. ઘટી ગયેલા બહુમત પછી જે બજેટ જાહેર કરાયું તે 1લી ફેબ્રુઆરીના બજેટ કરતાં ઘણું જુદું છે અને આ સાબિત કરે છે કે ધાર્યાં કરતાં ઓછી બેઠકો સાથે અને ટેકેદારોની મદદથી સરકાર બનાવ્યા પછી કેન્દ્રમાં સત્તા પર બેઠેલાઓની પ્રાથમિકતાઓ બદલાઇ ગઇ છે. ગઠબંધનની સરકાર હોય ત્યારે જે રાજ્યો સાથે હાથ જોડ્યા હોય, જેનો ટેકો જરૂરી હોય એમને વધારે નાણાં ફાળવવા પડે એ સ્વાભાવિક છે. મોંઘવારી ઘટાડવા માટે અમુક કમોડિટીઝને ધ્યાનમાં રાખીને પ્રાઇઝ સ્ટેબિલાઇઝેશન ફંડ – PSF – યોજનામાં પણ સારું એવું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. આમ તો વચગાળાના બજેટના વિસ્તરણ જેવું જ બજેટ છે અને એમાં ફરી એકવાર સોસાયટીને નાકે લેંઘો અને સદરો પહેરીને ઊભા રહી “મધ્યમવર્ગની હાલત ખરાબ છે”નું ગાણું ગાનારાઓને સારો એવો મસાલો મળી ગયો છે.

વાસ્તવિક્તા એ છે કે ટૂંકા પગારની નોકરી કરનારા માણસને ટેક્સ ભરવો જ પડે છે અને કોઇ ગામડાંમાં ખેતી કરીને મહિને દોઢ લાખ કમાઇ લેનારા ખેડૂતને ટેક્સ ફ્રી હોવાનો દરજ્જો મળી જાય છે. આ કંઇ એક બજેટની વાત નથી પણ લાંબા સમયથી નોકરિયાત મધ્યમવર્ગ આ જ સ્થિતિમાં રહ્યો છે. આપણે કરચોરીના કિસ્સા સાંભળીએ છીએ પણ પગારદાર વર્ગને એવી કરામત કરવાનો મોકો નથી મળતો અને પગાર મળે એ પહેલાં તેમાંથી ટેક્સ કપાઇ જતો હોય છે. જૂનો રેજિમ અને નવો રેજિમ વગેરેની માથાકૂટ સમજવાની અને પછી રાત-દિવસ એક કરીને, લોકલ ટ્રેનના ધક્કા કે પછી ટ્રાફિકના ઘોંઘાટ વચ્ચે ઑફિસ જઇને, કામ કરીને કરેલી કમાણી જતી જોવાની. માળું ટેક્સને નામે જેટલા પૈસા સરકાર આપણી પાસેથી લે છે એટલી તો આપણને સેવાઓ પણ નથી મળતી. બીજા દેશો પણ છે જ્યાં ભારત કરતાં ટેક્સનો દર વધારે હોય પણ એ એવા દેશો છે જ્યાંની માળખાકીય સુવિધાઓથી માંડીને બીજી સરકારી સેવાઓનો લાભ મેળવવાનું તેમને માટે શક્ય છે એટલું જ નહીં પણ સરળ પણ છે.  એ રાષ્ટ્રોમાં જાહેર શિક્ષણ અને સ્વાસ્થ્યની સેવાઓ સારામાં સારી હોય છે. આપણે ત્યાં બન્ને જાહેર ક્ષેત્રનાં હોય તો રેઢિયાળ હોય અને ખાનગી ક્ષેત્રના મોંઘાદાટ છે. વળી આપણી સરકાર પોતાના સ્વાર્થ માટે થઇને અમુક પ્રકારના લોકો પર કરવેરો લાદવા જ નથી માંગતી. ખેડૂતોની હાલત બહુ કફોડી છે પણ આપણા ખેતી પ્રધાન દેશમાં પૈસાદાર કહી શકાય એવા ખેડૂતોની કમી નથી.  મોટા મોટા અભિનેતાઓ પોતાની જાતને ખેડૂતના વર્ગમાં મુકાય એવી ગોઠવણ કરતા હોય છે.  આવા નાણાં અને વગથી મજબૂત ખેડૂતો કરમુક્તિની મજા લે છે. પૈસા ભરે કોણ? – મધ્યમ વર્ગ – નોકરિયાત વર્ગ. ખેતીની આવક બતાડીને ટેક્સ ન ભરનારાઓનો આંકડો લાખોમાં છે. અમુક સરકારી પેનલ્સે એવો પ્રયાસ કર્યો કે અમુક હદથી ઉપરની ખેતીની આવક પર ટેક્સ લાદવામાં આવે પણ રાજકારણની સંદિગ્ધતા આવા વિચારોને ક્યારે ય અમલમાં નથી આવવા દેતી.

હવે બજેટના બખડજંતરને જરા નજીકથી નાણવાનો પ્રયાસ કરીએ તો મધ્યમવર્ગને ટેક્સમાં કોઇ રાહત નથી મળી. ‘લોંગ ટર્મ’ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ બન્નેમાં એક સાથે ટેક્સ વધારાયો છે. મધ્યમવર્ગ જ બચત અને રોકાણ માટે રસ્તા શોધતો હોય છે પણ આ માટે જેટલા વિકલ્પો હતા તે બધાં પર ટેક્સ વધારાયા છે. ઇન્ડેક્સેશન એક એવી સવલત છે જે મોંઘવારીને ધ્યાનમાં રાખી કોઇ પણ ખરીદ કે વેચાણની કિંમતોને સમતોલ બનાવે. ઇન્ડેક્સેશનને કારણે કરદાતાઓનો બોજ ઘટતો. પણ ગયા વર્ષે ડેટ ઇન્વેસ્ટમેન્ટ પરથી ઇન્ડેક્સેશન હટાવ્યું તો આ વર્ષે રિયલ એસ્ટેટનો વારો કાઢ્યો. રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોય અથવા તો અમુક વર્ષો જૂની મિલકત વેચવાની હોય તો પહેલાં આ મિલકતને ‘લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ’માં ગણાતી અને ખરીદ-વેચાણ વખતે કરદાતાઓને થોડી રાહત મળતી. પણ હવે એ ઇન્ડેક્સેશન કાઢી નખાયું છે – દર ભલે ઘટાડી નખાયા હોય પણ લોકોને એમાં કોઇ ફાયદો નથી. પહેલાં ઇન્ડેક્સેશનને કારણે રિયલ એસ્ટેટમાં ટેક્સ ઓછા ભરવાના આવતા પણ હવે એ ઇન્ડેક્સેશન હટાવી દેવાને કારણે ટેક્સનો બોજો તો વેંઢારવો જ પડશે. ટેક્સના તંત્રને સરળ કરવાને નામે સરકારે મધ્યમ વર્ગ પાસે પારંપરિક રોકાણનાં જે પણ વિકલ્પો હતા તે બધામાં મળતી રાહત હવે નહીં મળે.

કેન્દ્ર સરકાર બહુ સલુકાઇથી પોતાનું ધાર્યું કરે છે. સોના-ચાંદીના ભાવ ઘટ્યાં, લોકો ખુશ થયાં પણ જેમણે સોવરિન ગોલ્ડ બોન્ડ લીધા હશે એમને ગેરલાભ છે. તેમના ખરીદેલા બોન્ડ્ઝ પરથી તેમને જેટલું વળતર મળવાનું હતું તે હવે ઓછું થઇ જશે. વળી ગોલ્ડ બોન્ડનો લોકિંગ પીરિયડ પણ હોય એટલે એ પરિબળ પર પણ આધાર રાખવાનો.

વળી જેમ ખેડૂતોને કર મુક્તિ હોય છે એ જ રીતે વકીલો, ડૉક્ટરો અને કોચિંગ સેન્ટર્સ સર્વિસ ટેક્સમાંથી બચેલા છે. સાંસદોને પણ ઘણીબધી બાબતે કર મુક્તિ મળતી હોય છે. વળી તેઓ પોતાના પગાર કર ન કપાય એ રીતે નક્કી કરી શકતા હોય છે. સાથે સાંસદોને મળતા મફતિયા લાભની યાદી પણ કંઇ નાની સૂની નથી, જેમાં ટ્રેન કે વિમાની પ્રવાસ, સ્વાસ્થ્ય સેવાઓ, ભાડું ભર્યાં વિના રહેવા મળતું ઘર અને પેન્શન્સ. સાંસદો આટલું બધું મેળવ્યા પછી નાગરિકો પ્રત્યેની પોતાની સેવાઓ ગુપચાવી જાય છે. ભારતના મતદાતાઓમાંથી માત્ર સાત ટકા લોકો કરવેરો ભરે છે. નોર્વેમાં સો ટકા લોકો વેરો ભરે છે તો યુ.એસ.એ.માં સિત્તેર ટકા લોકો વેરો ભરે છે.  સેલ્ફ એમ્પ્લોયડ લોકો કરતાં નોકરિયાત માણસને માટે ટેક્સનો બોજ વધારે હોય છે. આ અસંતુલન સુધરે એ જરૂરી છે.

મધ્યમ વર્ગ માટે સામાન્ય જીવનશૈલીની કિંમતોમાં વધારો જ ઝિંકાયો છે. બચત કરવાના થોડાઘણા રસ્તા માંડ શોધ્યા હોય ત્યાં સરકાર સાણસામાં લઇને બધા રસ્તા જાણે બ્લૉક કરી દે છે. આ એ જ મધ્યમવર્ગ છે જેણે ભા.જ.પા. સરકારને પ્રેમથી મત આપ્યા છે, ખાસ કરીને શહેરોમાં રહેતા મધ્યમ વર્ગે. હવે લોકો થાક્યા છે અને ભા.જ.પા. – મોદી સરકાર સાથેનો સબંધ મતદારો માટે ‘એક તરફા પ્યાર’ બની ગયો છે. વળી ભા.જ.પા. સરકારનું ગેસલાઇટિંગ અને પોતાની જાતને મોટાભા બતાવવાનો તબક્કો પણ નથી અટકતો. લોકોને રાહત મળતી નથી એટલે સરકાર કેટલી સારી છેનાં ગાણાં સાંભળવામાંથી પણ લોકોને છટકબારી નથી મળતી.

નાણાં મંત્રીએ કાઁન્ગ્રેસનાં 2024ના મેનિફેસ્ટોમાંથી અમુક બાબતો સ્વીકારીને બજેટ જાહેર કર્યું છે પણ તેને કારણે કોઇ નક્કર પ્રશ્નો ઉકેલાયા નથી. બેરોજગારીનો પ્રશ્ન ઉકેલવા ન્યુ એમ્પલોયમેન્ટ જનરેશન સ્કીમને 10 હજાર કરોડ અને ન્યુ ઇન્ટર્નશીપ પ્રોગ્રામને 2 હજાર કરોડ અપાયા પણ કંપનીઓની એટલે માગ જ નહીં હોય તો આ જાહેરતો કંઇ કામની નથી. ખરીદ શક્તિ ધરાવનારો મધ્યમવર્ગ ગુંચવણમાં છે કારણ કે ખાનગી બચત અને ખરીદી ક્ષમતા પર મળતા લાભ તંગ થઇ ગયા છે. ખાદ્ય પદાર્થો પરની મોંઘવારી આસમાને પહોંચી છે. બજેટ નાગરિકલક્ષી નહીં રાજકારણ લક્ષી છે. મોદી સરકાર મજબૂત છે એવું બતાડવા માટે બનેલું બજેટ મતદાતાઓને નિરાશ કરનારું સાબિત થયું છે. આર્થિક સ્થિતિને કળ વળે એ નહીં પણ રાજકીય લાભ આ બજેટની અગ્રિમતા છે.

બાય ધી વેઃ

કેન્દ્ર સરકાર જે બજેટ જાહેર કરે એમાં આપણે મોટે ભાગે શું આપવું પડશે એની જ યાદી લાંબી થતી હોય એવું લાગે છે. વળી સામાન્ય નાગરિક તરીકે આપણને જ્યારે સારા રસ્તા કે પાણી કે શિક્ષણ કે પછી સ્વાસ્થ્યને લગતી સરખી સેવાઓ ન મળે ત્યારે એમ થાય કે આટલો બધો વેરો ભરવાનો અર્થ શું? એ યાદ રાખવું જરૂરી છે કે આ સવલતો આપણને સ્થાનિક સરકાર – મ્યુનિસિપાલિટી પાસેથી મળવી જોઇએ અને કેન્દ્ર સરકારની એમાં સીધી જવાબદારી નથી. છતાં પણ સર્વાંગી દૃષ્ટિકોણથી જોવા જઇએ તો એક સામાન્ય નાગરિક કેન્દ્ર અને સ્થાનિક સરકારો વચ્ચે પિસાય એ પણ યોગ્ય નથી. આપણે જો આપણી ફરજ પૂરી કરતાં હોઇએ તો આપણને આપણાં અધિકારો મળવા જ જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જુલાઈ 2024

Loading

...102030...647648649650...660670680...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved