Opinion Magazine
Number of visits: 9457362
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોરારજી દેસાઈ : વહીવટી પુરુષ, રાજપુરુષ, લોકપુરુષ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 February 2024

ચંદુ મહેરિયા

મોરારજી દેસાઈ(૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ – ૧૦ એપ્રિલ, ૧૯૯૫)ની એક સરળ ઓળખ તો દેશના પૂર્વ વડા પ્રધાનની છે. પરંતુ આઝાદી આંદોલનના આ લડવૈયા ઇંદિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી પછીની, બીજી આઝાદી પછી રચાયેલી દેશની પહેલી બિનકાઁગ્રેસી સરકારના વડા પ્રધાન હતા. ભારત અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માન (નિશાને પાકિસ્તાન ૧૯૯૦માં, – ભારતરત્ન, ૧૯૯૧માં) મેળવનારા પણ તેઓ એક માત્ર ભારતીય રાજપુરુષ છે.

કોલેજ કાળથી જ મોરારજી દેસાઈને કાઁગ્રેસ, ગાંધીજી અને આઝાદી આંદોલન પ્રત્યે ખેંચાણ હતું. તેઓ કાઁગ્રેસના અધિવેશનોમાં જતા હતા અને દેશનેતાઓનાં ભાષણો સાંભળતા હતા. પરંતુ શિક્ષક પિતાના અપમૃત્યુ અને પારિવારિક જવાબદારીના કારણે સ્નાતક થયા પછી સરકારી નોકરી સ્વીકારવી પડી હતી. બોમ્બે પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસમાં તે જોડાયા અને ડેપ્યુટી કલેકટર, પ્રાંત ઓફિસર તથા કલેકટરના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે અમદાવાદ, ભરુચ, ગોધરા, થાણા વગેરે જગ્યાઓએ ફરજ બજાવી. આ કામ દરમિયાન તેમણે ઉત્તમ વહીવટ કરી જાણ્યો હતો. નિયમો અને કાયદાઓનો લોકોની તરફેણમાં ભય, લોભ, લાલચ, લાંચ વિના અમલ કર્યો હતો. અંગ્રેજ કે ભારતીય અધિકારીઓની સાડાબારી રાખ્યા વિના તેમણે કામ કરી, એક નોકરશાહની નહીં પણ આદર્શ વહીવટી પુરુષ તરીકેની છાપ ઊભી કરી હતી. પરંતુ મનથી તેઓ આઝાદીના આંદોલન સાથે જોડાયેલા હતા. ૧૯૧૮થી ૧૯૩૦ની બાર વરસની બ્રિટિશ રાજની નોકરી પછી તેમણે રાજીનામું આપ્યું. રાજીનામું આપતી વખતે જ નક્કી કર્યું હતું કે બાકીની જિંદગી પૈસા કમાવાના કામમાં ના ખરચવી પણ સેવા કાર્યોમાં ગાળવી.

સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કાઁગ્રેસના સભ્ય બન્યા હતા. કાઁગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડાં વરસમાં તેઓ કાઁગ્રેસના મંત્રી બન્યા. સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુદ્ધ તેઓ સત્તાના રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્ય પ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડા પ્રધાન બન્યા હતા.

રાજ્યના અને દેશના રાજકારણમાં સત્તાના સર્વોચ્ચ પદો પર રહીને મોરારજી દેસાઈએ લોકહિતમાં સત્તાને પ્રયોજી હતી. મુંબઈ રાજ્યના મંત્રી કે મુખ્ય મંત્રી તરીકે તેમણે એવા કાયદા ઘડ્યા, જેના પર તેમની અમીટ છાપ જણાય છે. તેઓ રાજકારણી નહોતા પણ રાજપુરુષ હતા. મૂલ્યો માટેનો આગ્રહ, સ્પષ્ટ અને નિખાલસ વકતૃત્વ, કડક નિયમપાલન  અને શુદ્ધ વહીવટ તેમની વિશેષતા હતી. લોકોની નજરમાં સરેરાશ રાજકારણીની જે ઢોંગી અને જુઠ્ઠા માણસ તરીકેની છાપ છે, તેના કરતાં તેઓ સાવ નોખા હતા. તેમનાં વાણી અને વર્તનમાં તફાવત નહોતો. અભી બોલા અભી ફોકના રાજકારણના જમાનામાં તે પોતાની સાચી વાતને મારો જ કક્કો ખરો એવી જિદની કક્ષાએ વળગી રહેતા હતા. શાયદ એટલે વાસ્તવ  અને વ્યંગની રીતે તેમની સર્વોચ્ચ તરીકેની ઓળખ સાર્થક જણાય છે.

કાઁગ્રેસના તે વરિષ્ઠ નેતા હતા. વડા પ્રધાનના પદે પહોંચવાની  યોગ્યતા અને તક છતાં એકથી વધુ વખત તેમની ઉપેક્ષા થઈ હતી. એટલે કામરાજ યોજના, ઇંદિરા ગાંધી સાથે મતભેદો અને કાઁગ્રેસના ભાગલા પછી તેમણે જુદો રાહ લીધો હતો. પાંચ દસક પહેલાના ગુજરાતના નવનિર્માણ આંદોલન અને જયપ્રકાશ નારાયણના બિહાર આંદોલન, ઇંદિરા ગાંધીને ગેરલાયક ઠેરવતો અલાહાબાદ હાઈકોર્ટનો ચુકાદો અને આંતરિક કટોકટી પછી તેઓ વિપક્ષી રાજકારણનું કેન્દ્ર બન્યા હતા. નવનિર્માણ આંદોલન પછી એક વરસ સુધી વિસર્જિત ગુજરાત વિધાનસભાની  ચૂંટણી  ન થતાં, જૈફ વયે , સાચા ગાંધીજનને સોહે તેમ તેમણે આમરણ અનશન કર્યા હતા. એ રીતે ગુજરાતમાં જનતા મોરચાની જીત અને સત્તા પરિવર્તન માટે તેમની મહત્ત્વની અને નિર્ણાયક ભૂમિકા હતી.

કટોકટી દરમિયાન જિંદગીના આઠમા દાયકે તેમણે લાંબો જેલવાસ વેઠ્યો હતો. આત્મકથા ‘મારું જીવનવૃતાંત’માં વાજબી કારણોસરનો ગાંધી-નહેરુ કુટુંબ પ્રત્યેનો તેમનો અણગમો ચોખ્ખો જણાય આવે છે. કટોકટી પછીની લોકસભા ચૂંટણીમાં વિપક્ષોને બહુમતી મળતાં મોરારજીભાઈને વડા પ્રધાન પદ મળ્યું હતું. ગાંધી સમાધિ રાજઘાટ પર જે.પી.-કૃપાલાણીના નેતૃત્વમાં જનતા સાંસદોએ શપથ લીધા ત્યારે તેમને જયપ્રકાશે રાજશક્તિ અને લોકશક્તિના સમન્વય માટે મથવા જણાવ્યું હતું. વડા પ્રધાન મોરારજીએ લોકનો બોલ શિરોમાન્યનો પ્રતિસાદ આપ્યો હતો. ખાસડે ખાંડ વેચાય તેવી સોંઘવારી અને લોકશાહીને ગળે ટૂંપો દેતા કાળા કાયદાઓની નાબૂદી મોરારજી સરકારનું કીર્તિદા કાર્ય હતું. ૧૯૭૭થી ૧૯૭૯ સુધીનો તેમનો પ્રધાનમંત્રીકાળ જનતાપક્ષના નેતાઓ અને મંત્રીઓની ટાંટિયા ખેંચ અને વિવાદોમાં એવો તો વહ્યો કે સરકારની એકંદર છાપ સત્તા માટે વલખાં મારનારાની બની ગઈ હતી. વડીલ મોરારજી તે બદલવામાં નાકામિયાબ રહ્યા એટલે લોકોની  આકાંક્ષાઓ ચૂરચૂર થઈ ગઈ હતી.

અનાસકતની છબિ ધરાવતા મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા પછી ઇતિહાસે મને વડા પ્રધાનપદે સ્થાપીને પોતાની ભૂલ સુધારી છે એમ પણ કહ્યું હતું. વડા પ્રધાન તરીકે પક્ષના નેતાઓનો અસંતોષ ઠારવાને બદલે જે.પી.-કૃપાલાણી કંઈ સરકાર નથી એમ પણ તે  બોલ્યા હતા.

લોકલાગણીથી વિપરિત વિચારો વ્યક્ત કરવામાં મોરારજીભાઈનો જોટો જડવો અઘરો છે. ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હોય ત્યારે પણ જે મંદિરમાં દલિતોને પ્રવેશ નથી મળતો તે મંદિરમાં હું જઈશ નહીં, તેવું અડગ વલણ તે ધરાવતા હતા. તેમનું આ કૃત્ય પક્ષને વોટ મેળવવામાં મુશ્કેલી કરાવશે તેવી સાથીઓની દલીલ પણ તે સ્વીકારતા નહોતા. દલિતો–આદિવાસીઓને અનામતનો લાભ ક્યાં સુધી એવા સવાલનો તેમનો રોકડો જવાબ હતો : આભડછેટ રહે ત્યાં સુધી. ૧૯૮૬માં અનામત અંગેના એક લેખ સંગ્રહના લોકાર્પણ પ્રસંગે તેમણે જે ગામડાઓમાં અસ્પૃશ્યતા આચરાતી હોય ત્યાં દલિતો ગાંધી માર્ગે સત્યાગ્રહ કરવા માંગતા હોય તો હું તેમની સાથે જોડાવા તૈયાર છું તેમ પણ કહ્યું હતું.

મોરારજી દેસાઈ કોઈ લોકનાયક કે લોકનેતા નહોતા તે સ્વીકારીને પણ કહેવું જોઈશે કે તે લોકથી જુદા પણ નહોતા. સિદ્ધાંતનિષ્ઠ અને લોકનિષ્ઠ રાજપુરુષોની વિલુપ્ત થઈ ગયેલી પેઢીના તે ધૃવતારક હતા.

e.mail : maheriyachandu@gmail.comm

Loading

રેટ-હોલ માઈનર્સ : અસુરક્ષિત, ગેરકાનૂની, પ્રતિબંધિત છતાં તારણહાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 February 2024

ચંદુ મહેરિયા

મુન્ના કુરેશી, પરસાદીલાલ લોધી, હસન વકીલ, નાસિર ખાન, અંકુર, સૌરભ, જતીન કશ્યપ, ઈરશાદ ખાન, ફિરોઝ કુરેશી, ભૂપેન્દ્ર રાજપૂત અને રાકેશ : આ કેટલાંક એ નામ છે, જેમણે સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા ૪૧ શ્રમિકોને જીવના જોખમે બહાર કાઢવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ચાર ધામ યાત્રાને વધુ સુગમ બનાવવા ૯૦૦ કિલોમીટરની એક પરિયોજનાનું કામ ચાલે છે. તેના એક હિસ્સા તરીકે ઉત્તરાખંડના ઉત્તરકાશી ક્ષેત્રમાં સિલ્ક્યારા અને બડકોટ  વચ્ચે ૪.૫ કિ.મી. લાંબી એક ટનલ બની રહી છે. તેના કારણે યમુનોત્રીનું અંતર ૨૦ કિ.મી. ઘટશે અને એક કલાક બચશે. આ નિર્માણાધીન સુરંગનો એક હિસ્સો અચાનક ધસી પડતાં તેમાં ૪૧ મજૂરો ફસાયા હતા. સત્તર દિવસના બચાવ કાર્યમાં મોંઘા, ભારે, આધુનિક અને વિદેશી મશીનો જ્યારે વિફળ જતાં લાગ્યા, ત્યારે અંતે છેલ્લા બે દિવસોમાં પરંપરાગત ઓજારોથી કામ કરતા ૧૨ શ્રમિકોના એક જૂથને બચાવ કાર્યમાં જોડવામાં આવ્યું હતું. તેઓ છેલ્લું પંદરેક મીટરનું ખોદકામ વગર મશીને હાથથી કરીને ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા અને તેમને હેમખેમ બહાર કાઢ્યા. રેટ-હોલ માઈનર્સ તરીકે ઓળખાતા આ શ્રમિકો જે ખનન કામ કરે છે તેને રેટ-હોલ માઈનિંગ કહેવામાં આવે છે. તે પર્યાવરણને ભારે નુકસાનકારક છે, શ્રમિકો માટે અસુરક્ષિત છે, એટલે ગેરકાયદે અને પ્રતિબંધિત છે. પરંતુ સિલ્ક્યારા સુરંગ દુર્ઘટનામાં ફસાયેલા શ્રમિકો માટે તે તારણહાર બન્યા હતા.

રેટ-હોલ માઈનર્સ એટલે એવા ખાણિયા જે ખાણમાં ઉંદરના દરની જેમ છીછરી કે ઓછી જગ્યામાં ઢાળ પર કે આડું ખોદકામ કરે છે. ઉંદર દર ખોદતા જાય અને માટી પાછળ નાંખતા જાય એમ આ શ્રમિકો પણ અતિ સાંકડી જગ્યામાં ઊભા તો ઠીક બેસી પણ ના શકાય એટલે ઢસડાતા ઢસડાતા, ઘૂંટણભેર  કે પેટે સૂઈને કામ કરે છે. પાવડો, કોદાળી, તગારાં, ટોપલાં જેવાં પરંપરાગત, પણ નાની સાઈઝના ઓજારોથી માટી, પથ્થર, ખડકને હાથેથી ખોદવાનું કામ તે કરે છે.

ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેમાં ય ખાસ કરીને મેઘાલયની પહાડીઓમાં આવેલી કોલસાની ખાણોમાં કોલસો કાઢવાનું કપરું કામ રેટ-હોલ માઈનિંગ દ્વારા કરવામાં આવે છે. આફ્રિકાના દેશોમાં ખાણના ખોદકામની આ પદ્ધતિ સાવ સામાન્ય છે. મેઘાલયની કોલસાની ખાણોમાં કોલસાનો થર અત્યંત પાતળો હોય છે એટલે ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ખાણિયાઓ ૩ થી ૪ ફૂટ ઊંડે ખોદે છે, નાના ખાડા પાડે છે. પછી જ્યારે તે કોલસાની નજીક પહોંચે છે ત્યારે શરીરે દુબળા – પાતળા પુખ્ત ખાણિયા કે નાનાં બાળકોને અંદર મોકલીને કોલસો કાઢવામાં આવે છે. આ કામ તેઓ દોરડા, રસીઓ કે જાતે બનાવેલી વાંસની સીડી દ્વારા કરે છે.

અતિ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લગભગ કોઈ જ સુરક્ષા સાધનો વિના કોલસાની ખાણમાં આ ખાણિયા કામ કરે છે. ખાણોમાં હવા-ઉજાસના અભાવે શ્વાસ લેવો કે એક કલાકથી વધુ કામ કરવું મુશ્કેલ હોય છે એટલે વારાફરતી કામ કરે છે. ખાણકામ દરમિયાન તેઓ કોલસાની ધૂળ અને મિથેન ગેસ જેવા હાનિકારક પદાર્થોના સંપર્કમાં આવે છે. તેના કારણે તેમના આરોગ્યને હાનિકારક અસર થાય છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનો ભોગ બને છે. ખાણ ધસી પડવાના અને ખાણમાં પાણી ભરાઈ જવાના અકસ્માતો ઘણી વાર બને છે. આ પ્રકારના અકસ્માતોમાં ખાણિયાઓના મોત તો થાય જ છે, પણ તેમના મૃતદેહ પણ હાથ લાગતા નથી.

૨૦૧૧-૧૨ના વરસમાં એકલા મેઘાલયમાં દસ મિલિયન ટન કોલસાનું ઉત્પાદન રેટ-હોલ માઈનિંગથી કરવામાં આવ્યું હતું. ૨૦૦૭થી ૨૦૧૪ના વરસો દરમિયાન દેશમાં ૧૦થી ૧૫ હજાર ખાણિયાઓના મોત થયા હતા. એટલે  કામકાજની અમાનવીય સ્થિતિ અને જીવનું જોખમ છતાં રોજગારીના અભાવે આ કામ કરવું પડે છે. સિલ્ક્યારા બચાવ દળમાં સામેલ રેટ-હોલ માઈનર્સના નામો વાંચતા જણાય છે કે તેઓ આદિવાસી, દલિત, પછાત, લઘુમતી અને ગરીબ વર્ગમાંથી આવે છે. ૧૨ રેટ-હોલ માઈનર્સમાંથી ૬ દિલ્હીના ખજૂરી ખાસમાં જે સ્થિતિમાં રહે છે, તે ટી.વી પડદે નજરે જોનારને તેમની સામાજિક-આર્થિક સ્થિતિ અને નજીવા મહેનતાણાનો ખ્યાલ આવ્યો હશે. તેમની મહેનતથી દલાલો અને વચેટિયાઓ માલામાલ થાય છે.

૨૦૧૪માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રેટ-હોલ માઈનિંગને કામદારો માટે અસુરક્ષિત, અવૈજ્ઞાનિક અને પર્યાવરણનો વિનાશ કરનાર ગણાવી, કરોડોના દંડ સાથે ગેરકાયદેસર ઠરાવી, પ્રતિબંધિત કરેલ હતી. આ પદ્ધતિથી ખનન કરવાથી નદીઓનાં પાણીમાં એસિડનું પ્રમાણ વધે છે. જળ વિધ્યુત પરિયોજના અને બંધોની મશીનરી ખરાબ થઈ જાય છે. મેઘાલયમાં ખાનગી કંપનીઓ, વ્યક્તિગત અને સામૂહિક ધોરણે થતાં ખનનમાં હજુ પણ આ પ્રથા સક્રિય છે. મેઘાલય સરકારે એન.જી.ટી.ના હુકમને પડકારતાં સુપ્રીમ કોર્ટે દંડની સજા ચાલુ રાખી રાજ્યના કાયદાઓને અનુસરીને રેટ-હોલ માઈનિંગને કેટલાક કિસ્સાઓમાં મંજૂરી આપી હતી.

સિલ્ક્યારામાં હાઈટેક ઈમ્પોર્ટેડ મશીનો કે ઓગર ડ્રિલિંગ મશીન જેવું પરિષ્કૃત ઉપકરણ કામ ના લાગ્યું ત્યારે સુરંગ ખોદકામમાં કુશળ, પ્રતિભાશાળી, અનુભવી  અને સક્ષમ એવા રેટ-હોલ માઈનર્સ ખપમાં આવ્યા હતા. ૨૬ કલાકની મહેનત પછી તેઓ જ્યારે ફસાયેલા ૪૧ શ્રમિકો સુધી પહોંચ્યા, ત્યારે સર્વત્ર તેમનો જયજયકાર થઈ ગયો હતો. ઉત્તરાખંડ અને દિલ્હીના મુખ્ય મંત્રીઓએ તેમની મુલાકાત લઈને સન્માનિત કર્યા હતા. વડા પ્રધાને પણ તેમના કામના વખાણ કર્યા હતા. સમાચાર ચેનલો પર જ નહીં, મનોરંજન ચેનલો પર પણ એ જોવા મળ્યા હતા.

પરંતુ આ ગુમનામ નાયકો તે પછી ફરી તેમની બદતર જિંદગીમાં જોતરાઈ ગયા હશે. ગેરકાયદે કોલસો કાઢનારા અને તંત્રની મિલીભગતમાં તેમના શોષણનો વિરોધ દબાઈ ગયો છે કે ભૂલાઈ ગયો છે. તેમની વીર નાયકની છબિ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. ચારધામ યાત્રીઓની સગવડ માટે બનનારી પરિયોજનામાં હજુ કંઈક ગરીબોના ભોગ લેવાતા રહેશે. એટલે આપણે કોઈ નવી ખાણ કે સુરંગ દુર્ઘટના સર્જાય ત્યાં સુધી શ્રમિકો પ્રત્યેની દયા અને સહાનુભૂતિના આંસુ સાચવી રાખીએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

દ્વન્દ્વ

રૂપાલી બર્ક|Poetry|28 February 2024

આકાશથી નીચેનાં અને 

આકાશથી ઉપરનાં પાણી 

જુદાં કર્યાં યહોવાહે*

 નીચેનાં પાણીમાંથી

કોરી ભૂમિ જુદી કરી

પાણી અને ભૂમિ જુદાં કર્યા

નૂહ*ના જમાનામાં

માણસની ભૂંડાઈ મટાડવા

પૃથ્વી પર પાણીનું જોર ચાલવા દીધું.

મિસરીઓથી બચવા ઈસરાયેલીઓ સાથે

મૂસા નિકળ્યા

ડેરા તંબુ લઈને

સૂફ સમુદ્રના કાંઠે મૂસાને 

સંકટમાંથી ઊગારવા

યહોવાહએ

મૂસાને હાથ લાંબો કરી 

સમુદ્રને બે ભાગમાં વહેંચવાનું કહી

પાણી અને ભૂમિ જુદાં કર્યા.

ત્યારથી પાણી અને ભૂમિ વચ્ચે વેર મંડાયું

પછી તો 

 સમુદ્ર ચીરીને પૃથ્વીએ હિમાલય થઈ 

માથું ઊંચક્યું

કીરીબાટી, ટુવાલુ, જેવા સમુદ્ર દ્વિપોને

આજ ગળું કાલ ગળું કરતા

 સમુદ્ર વળતો ઘા મારે છે

આકાશમાં મેઘધનુષ જોઈ

ઋતુ પરિવર્તનના નિરાશ્રિતો કહેવાતા

 ટાપુ નિવાસીઓ

 નૂહ સાથેના યહોવાહના કરારને 

વાગોળે છે.

યહોવાહ – બાઈબલના જૂના કરારમાં ઈશ્વર પિતા માટેનું સંબોધન
નૂહ – બાઈબલના ઉત્પત્તિના પુસ્તક પ્રમાણે પ્રલય પહેલાના દસમા કુળપિતા અને સતપુરુષ
મૂસા – બાઈબલના નિર્ગમનના પુસ્તક પ્રમાણે ઈઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવી મિસરથી (હાલનું ઈજીપ્ત) બહાર દોરી જનાર પૈગંબર.
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...647648649650...660670680...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved