Opinion Magazine
Number of visits: 9456146
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૩૦) 

સુમન શાહ|Opinion - Opinion|27 July 2025

સુમન શાહ

કોઈ મને પૂછે કે – તમે કઈ સંસ્કૃતિમાં જીવો છો, તો હું શું કહું એને? આમ તો તરત કહી દેવાય કે ભારતીય કે અમેરિકન, અથવા ભારતીય-અમેરિકન. પણ એ બીજો પ્રશ્ન પૂછે કે ભારતીય એટલે શું, અમેરિકન એટલે શું, તો એના શા ઉત્તરો આપવા? 

પણ એ ભાઈને એક પ્રશ્ન હું પૂછું કે સંસ્કૃતિ એટલે શું, તો એ મને શો ઉત્તર આપશે? 

અને જો ઉત્તર આપશે તો સૌ પહેલાં ધર્મને કેન્દ્રમાં મૂકશે. પણ હું એને પૂછું કે ધર્મ કોને કહેવાય, તો માથું ખંજવાળીને કહેશે, વેદો પુરાણો. કંઈક વધારે જાણતો હશે તો ઉમેરશે, ઉપનિષદો. 

ગઈ કાલે એ ભાઈ ફરીથી મળ્યો. મને કહે, પ્રાથમિકથી માંડીને કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ધર્મનું શિક્ષણ આપવાથી સંસ્કૃતિનો વિકાસ થાય. કેળવણીથી ધર્મસંસ્કાર મજબૂત થાય, ખીલે. સંસ્કારોનો વિકાસ એટલે સંસ્કૃતિ. હવે એના ચિત્તમાં ધર્મ + કેળવણી + સંસ્કારોની ખીચડી રંધાતી હતી. મેં એને પૂછ્યું : તમે કઈ યુનિવર્સિટીમાં ભણેલા? : ના રે, હું તો મૅટ્રિક પાસ છું. પણ એક આર્ટિકલ વાંચ્યો, એમાં આવુંબધું લખેલું છે : મેં કહ્યું, ભલે, આવજો, મળતા રહીશું. 

સંસ્કૃતિ વિશેની લોકમાન્યતામાં ‘આવુંબધું’ છે. સંખ્યાબંધ લોકો ધર્મના શિક્ષણનો આગ્રહ કરવા લાગ્યા છે, એ કાજે ગીતા બાઇબલ અને કુરાનને ધરી રહ્યા છે. થોડું વધુ જાણનારા લોકો ઋષિના આશ્રમોને ગુરુકુળ પ્રથાને બૉમ્બે બરોડા પૂણે જેવાં કીર્તિવન્ત વિદ્યાધામોને યાદ કરે છે. 

સંસ્કૃતિરક્ષા અને જ્ઞાનસંવર્ધન માટે આજકાલ એક શબ્દ રણકતો થયો છે, knowledge systems. મિનિસ્ટ્રી ઑફ ઍજ્યુકેશને ઇન્ડિયન નૉલેજ સિસ્ટમ્સ IKSની સ્થાપના કરી છે. સદીઓ દરમ્યાન વિકસેલા ભારતીય જ્ઞાનવારસાના પુન:પ્રસરણ અને દૃઢીકરણ માટેની એ વ્યવસ્થાનું સ્વાગત થવું જોઈએ. 

અસ્તિત્વ, ચેતના અને તર્કબુદ્ધિના વિષયમાં શોધન-સંશોધન શીખવતાં વેદાન્ત, ન્યાય, સાંખ્ય; આર્યભટ્ટ અને ભાસ્કરની યાદ આપતી વૈદિક ગણિતવિદ્યા; ગ્રહો-ઉપગ્રહોની ગતિવિધિ સાથે સંકળાયેલી જ્યોતિષવિદ્યા; સ્થાપત્યકલાનો પરામર્શ આપતું વાસ્તુશાસ્ત્ર; સમગ્ર આયુર્વેદ; કૃષિશાસ્ત્ર; અર્થશાસ્ત્ર; રાજનીતિશાસ્ત્ર; ભાષાના વૈજ્ઞાનિક પદ્ધતિના નિદર્શનોમાં પ્રાચીનતમ એવું પાણિનીનું વ્યાકરણ કે ભરત મુનિથી માંડીને અભિનવગુપ્ત આનન્દવર્ધન કુન્તક જગન્નાથ કે વિશ્વનાથ વડે વિકસેલું સ્વયંસમ્પૂર્ણ કાવ્યશાસ્ત્ર — આ સઘળા બહુમૂલ્ય વારસામાં મને કે કોઈપણ બુધી જનને રસ પડે જ પડે. એટલે IKS માટે ભારતવાસી વિદ્વાનો અને અધ્યેતાઓએ અથાગ પરિશ્રમ કરવો પડે એ હકીકત છે, અને એ વિશે બહુ કહેવું મને જરૂરી નથી લાગતું. 

અન્યથા, એ માત્ર વારસો છે, માત્ર સ્મૃતિ છે, માત્ર ભૂતકાળ છે, માત્ર ઇતિહાસ છે. એ હકીકત વિશે પણ વધુ કહેવું બિનજરૂરી છે. 

સવાલ ઊભો રહે છે કે સંસ્કૃતિ એટલે શું? ધર્મ અને અન્ય વિષયના જ્ઞાની હોવું તે? ના! હું જો ધર્માનુસારી આચરણ નથી કરતો, હું જો જ્ઞાનાનુસારી જીવન નથી જીવતો, તો હું શી રીતે સંસ્કારી? કઈ સંસ્કૃતિનો અનુયાયી? લોકો મન્દિરો મસ્જિદો ને દેવળોમાં સંસ્કૃતિ ભાળે છે. પણ એ તો મકાનો છે. ઘરના ખૂણે પૂજાપાઠ સ્તુતિ કે પ્રાર્થના કરતો એક સામાન્ય જન મન્દિરે નથી જતો, તો એને શેમાં ગણીશું?

સંસ્કૃતિની વ્યાખ્યામાં રાજાઓ અને રાજશાસન પણ આવે. અશોક અને અકબરે યુદ્ધો કરીને સૅંકડોને હણ્યા પણ રાજ સાચવ્યું ને પ્રજાને સુરક્ષિત રાખી. બન્ને ગ્રેટ ગણાયા. એ ગ્રેટનેસનું કઈ સંસ્કૃતિ સાથે જોડાણ છે? ભલે, લોકશાહીમાં શું? ધોરી માર્ગો? સુરક્ષિત વાહનવ્યવસ્થા? ઓછા દરના કરવેરા? એ છે સંસ્કૃતિવિકાસ? એના વાહક રાજકારણીઓ મતપ્રાપ્તિ પછી જાતે એવું શું કરે તો સંસ્કૃતિરક્ષક કહેવાય? 

અમેરિકામાં પાર્કમાં મળી જતી ગર્ભવતી ભારતીય મહિલાને હું પ્રણામ ન કરી શકું કે અમેરિકન પડોશીની સેરેબ્રલ પાલ્સી ધરાવતી બાળકી માટે પ્રાર્થના ન કરી શકું, તો હું શી રીતે ભારતીય સંસ્કૃતિજન? અમદાવાદનો એક મજૂર સવારથી સાંજ સુધી પૂરી પ્રામાણિકતાથી શરીરશ્રમ કરે છે, એ સંસ્કારી નથી તો શું છે? વડોદરાનો એક સાહિત્ચચિન્તક સવારથી સાંજ સુધી પશ્ચિમની દુનિયાની જ્ઞાનસરિતાઓએ સરજેલા જ્ઞાનસાગરમાં નિમજ્જિત રહે છે, એ સંસ્કારી નથી? 

વાત એમ પણ છે કે મનુષ્ય આજે ઇતિહાસનું માત્ર ગૌરવજ્ઞાન નથી કરી શકતો. હું વર્તમાનને અને દૈનંદિનીય વાસ્તવિકતાને તાબે થઈને જ જીવી શકું છું. 

‘ટેસ્લા’ કારમાં ‘હનુમાનચાલીસા’ સાંભળું તે સાથે ‘વોલ્માર્ટ’ પ્હૉંચી જઉં એ દરમ્યાન વડોદરામાં મિત્ર જોડે વ્હૉટ્સૅપિન્ગ પણ કરી લઉં. AI – આધારિત વિજ્ઞાન અને ટૅક્નોલૉજિએ આજે માણસના ભાણામાં અનેક વસ્તુઓ પીરસી દીધી છે. 

એનું એક પરિણામ છે ભૂતકાળ સાથે સતત વિકસતો વિચ્છેદ – discontinuity with the past. બીજું પરિણામ છે સમજદારી અને કાર્ય વચ્ચે વિચ્છેદ – a split between understanding and action. મને હવે ખબર છે કે ગીતામાં કર્મફળનો સિદ્ધાન્ત છે – કર્મ કરવું પણ એના પરિણામને વિશે ઉદાસીન રહેવું. આ વાત મારી સમજદારીમાં બરાબર બેસી ગયેલી છે, એ માટે મારે ગીતાપારાયણ કરવાની, એટલે કે એ actionમાં ઊતરવાની હવે જરૂર નથી. વાત એ રીતે વિકસે છે કે ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્ત વિશે જ ઉદાસીન થઈ જઉં છું! મને એ માત્ર એક philosphical narrative લાગે છે, અને એ પછી ક્રમે ક્રમે હું કર્મફળના સિદ્ધાન્તનો પ્રતિસિદ્ધાન્ત anti-thesis શોધવા માંડું છું! 

અમેરિકામાં માણસ ઘરની બહાર પગ મૂકે એટલે એનું નાગરિકજીવન શરૂ થાય છે. એ કયો ધર્મ કઇ જાતિ કે વંશસૂચક કઇ અટક ધરાવે છે એ વીગતો ગૌણ બની જાય છે. આ નગરસભ્યતાથી ઊભી થતી સંસ્કૃતિમાં એકે ય ધર્મ નથી. ધર્મનો અર્થ કર્તવ્ય duty કરીએ, તો પેટમાં શું દુખે? ધર્મ એટલે, ફરજ, જવાબદારીનું પાલન. હું ચાલવા નીકળું છું તો ચીની દમ્પતી મને પૂછે કે આટલા દિવસથી કેમ દેખાતા ન્હૉતા, દક્ષિણ ભારતની કે તળ અમેરિકાની વ્યક્તિ કશા જ વિશિષ્ટ ઓળખાણ વિના પૂછે કે કેમ દેખાતા નથી, તો એ સંસ્કારી નથી? મને એ દમ્પતીનાં કે એ વ્યક્તિઓનાં નામોની ય ખબર નથી, એમને પણ મારા નામની ખબર નથી. 

આને માનવસંસ્કૃતિ કહેવાનો રિવાજ હતો. પણ ત્યારે માનવસંસ્કૃતિનું રસાયણ સરેરાશ માનવ્ય હતું. નગરસભ્યતાથી ઊભી થયેલી સંસ્કૃતિમાં તો વૈયક્તિક માનવ્ય શિરમોર સત્ય છે.  

હું સંસ્કૃતિની ચીલાચાલુ વ્યાખ્યામાં બેસે એવું નથી જીવતો એટલે કહી દઉં કે મારે કોઈ સંસ્કૃતિ નથી, તો ચાલે? હું પેલા ભાઈને પૂછીશ, જો મળશે તો.

= = =

(260725USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—299

દીપક મહેતા|Opinion - Opinion|26 July 2025

જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?

૧૯૭૦માં આવેલી ફિલ્મ હમજોલી, ૧૯૭૬માં આવેલી બૈરાગ, ૧૯૮૩માં આવેલી મહાન, ૧૯૮૪માં આવેલી જોન જાની જનાર્દન, ૧૯૯૬માં આવેલી ઇંગલિશ બાબુ દેશી મેમ, ૨૦૦૮માં આવેલી ઓયે લકી! લકી ઓયે! અને નાણાવટી મર્ડર કેસ વચ્ચે કઈ બાબત સરખી છે? ના. આમાંની એકે ફિલ્મ આ કેસ પરથી બની નથી. તો? આ બધી ફિલ્મોમાં એક જ એક્ટરે એક નહિ, બે નહિ, પણ ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ એક્ટરો તે અનુક્રમે મેહમૂદ, દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, શાહરૂખ ખાન, અને પરેશ રાવળ. આ બધાએ ત્રણ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં. પણ નાણાવટી ખૂન કેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ તો વાસ્તવિક જીવનમાં ત્રણ-ત્રણ રોલ ભજવ્યા હતા. એ વ્યક્તિ તે કાર્લ જમશેદ ખંડાલાવાલા. 

રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટ કાર્લ ખંડાલાવાલા

૧૯૦૪ના માર્ચની ૧૬મીએ જન્મ. ૧૯૯૫ના ડિસેમ્બરની ૨૩મી તારીખે બેહસ્તનશીન થયા. તેમણે પહેલી ભૂમિકા ભજવી તે રોયલ ઇન્ડિયન એર ફોર્સના પાઈલટની. ખંડાલાવાલાએ અગાઉ સિવિલ ફ્લાઈંગ (પાઈલટ તરીકેનું) લાઈસન્સ મેળવ્યું હતું. ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયા પછી રોયલ ઇન્ડિયન એર ફોર્સને પાઈલટની તાતી જરૂર જણાવા લાગી. ૧૯૪૦ના ઓગસ્ટની પહેલી તારીખે એક દિવસ માટે તેણે નવા પાઈલટની ભરતી કરી. આવા કુલ ૭૨ પાઈલટને રોયલ ઇન્ડિયન એરફોર્સમાં દાખલ કરવામાં આવ્યા. ખંડાલાવાલા તેમાંના એક. આ બધાને વધુ ટ્રેનિંગ માટે લાહોર મોકલવામાં આવ્યા. ખંડાલાવાલા પણ ગયા. પણ પછી, કારણ તો જાણવા મળતું નથી, પણ એ જ વરસના નવેમ્બરની ૩૦મી તારીખથી ખંડાલાવાલા રોયલ ઇન્ડિયન એર ફોર્સમાંથી છૂટા થયા. 

ભારતીય કલાઓના અભ્યાસી અને સંગ્રાહક કાર્લ ખંડાલાવાલા

જીવનભર ભજવેલી બીજી અને ત્રીજી ભૂમિકા વિષે ખંડાલાવાલા ઘણી વાર કહેતા : “કલા એ મારો વ્યવસાય છે. કાયદો એ તો એક શોખ છે.” કલાસમીક્ષા અને કાયદો, બંને ક્ષેત્રે તેઓ લગભગ જીવનના અંત સુધી કાર્યરત રહ્યા. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય ચિત્રો, મૂર્તિઓ, ચીજ વસ્તુઓનો તેમનો વિશાળ સંગ્રહ જેટલો પૈસાને આધારે નહિ, તેટલો જ્ઞાન અને સમજણને આધારે ઊભો થયો હતો. તેમના એક નજીકના સગા બરજોર ટ્રેસુરવાલા પાસે મિનિયેચર પેઇનટિંગનો મોટો સંગ્રહ. છેક ૧૯૨૧થી એ સંગ્રહનો અભ્યાસ કરવાની ખંડાલાવાલાને તક મળી. પછીનાં સોળ વરસમાં એક બાજુ વકીલોનું કાશી-કરબલા ગણાતા મિડલ ટેમ્પલ, ઇન્સ ઓફ કોર્ટ, લંડનમાંથી બાર-એટ-લો બન્યા. તો બીજી બાજુ ભારતીય કલાકૃતિઓના અભ્યાસ અને સંગ્રહ માટે આખા હિન્દુસ્તાનમાં ફરી વળ્યા. ૧૯૩૭થી પોતાનો અંગત કલાસંગ્રહ ઊભો કરવાનું શરૂ કર્યું. ૧૯૫૦માં દિલ્હીના નેશનલ મ્યુઝિયમની ‘આર્ટ પરચેઝ કમિટિ’ના સભ્ય નિમાયા એ સાથે અંગત સંગ્રહ માટેને ખરીદી બંધ કરી. જેથી conflict of interestને નામે કોઈ તેમની સામે આંગળી ચિંધી ન શકે. પણ સાથોસાથ ભારતીય કલા વિશેનાં પુસ્તકોનો અંગત સંગ્રહ કરવાનું શરૂ કર્યું. વખત જતાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ (આજનું છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ બન્યા. પોતાનો ખૂબ મૂલ્યવાન કલા-સંગ્રહ તેમણે આ મ્યુઝિયમને ભેટ આપી દીધો. આ સંગ્રહને માટે ખાસ એક અલાયદી ગેલેરી ઊભી કરીને મ્યુઝિયમે તેને નામ આપ્યું ‘કાર્લ અને મેહરબાઈ ખંડાલાવાલા ગેલેરી’. ૨૦૧૨ના એપ્રિલની દસમી તારીખે તેનું ઉદ્ઘાટન થયું. ભારતીય કલા વિશેનાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં, દેશ-વિદેશમાં પ્રવચનો આપ્યાં. ૧૯૭૦માં તેમને પદ્મશ્રીનું બહુમાન ભારત સરકાર તરફથી મળ્યું અને ૧૯૮૦માં દિલ્હીની લલિત કલા અકાદમીના ફેલો બન્યા.

પણ હવે કલાની હદ ઓળંગીને પાછા જઈએ કાયદાની સરહદમાં. 

અદાલત ફરી મળી ત્યારે ઇન્ડિયન નેવીના કમાન્ડિંગ ઓફિસર કમાન્ડર માઈકલ બેન્જામીન સેમ્યુઅલને જુબાની માટે બોલાવવામાં આવ્યા. 

જજ મહેતા : ૨૭ એપ્રિલની બપોરે શું થયું હતું એ વિગતે જણાવો.

કમાન્ડર સેમ્યુઅલ : ન્યૂ ક્વીન્સ રોડ પર આવેલા ‘મૂન લાઈટ’ નામના મકાનમાં ભોંય તળિયે આવેલા ફ્લેટમાં હું રહું છું. મારા સ્ટડી રૂમની બારી બરાબર રસ્તા પર ખૂલે છે. તે દિવસે બપોરે હું બારીમાં ઊભો હતો. મેં એક માણસને મારા ઘર તરફ આવતો જોયો. જરા પાસે આવતાં મેં તેને ઓળખ્યો. એ હતા કમાન્ડર નાણાવટી. તેઓ હાંફળા ફાંફળા જણાતા હતા. તેઓ બારી પાસે આવ્યા અને મને કહ્યું : Something very terrible has happened. 

સેમ્યુઅલ : પણ થયું છે શું એ તો કહો.

નાણાવટી : મને પૂરેપૂરી ખાતરી નથી પણ મોટે ભાગે મેં મારી પિસ્તોલમાંથી ચલાવેલી ગોળીને કારણે એક માણસ મરાયો છે.

સેમ્યુઅલ : પણ આવું બન્યું કઈ રીતે?

નાણાવટી : એ માણસે મારી પત્નીને ભોળવી હતી. બંને વચ્ચે લફરું ચાલતું હતું. અને આવું હું કોઈ રીતે સાંખી ન શકું. 

સેમ્યુઅલ : એ રિવોલ્વર ક્યાં છે?

નાણાવટી : મારી મોટરમાં.

સેમ્યુઅલ : તમે ઘરમાં આવો. અને મને વિગતવાર કહો કે શું થયું છે.

નાણાવટી : ના. થેંક યુ. મારે જવું જોઈએ. મને એ કહો કે મારે આ બાબત કોને જણાવવી જોઈએ?

સેમ્યુઅલ : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને.

નાણાવટી : પ્લીઝ, તમે તેમને ફોન કરીને કહેશો કે હું તેમને મળવા આવું છું.

સેમ્યુઅલ: હા, જરૂર.

સેમ્યુઅલ : પછી નાણાવટી તેમની મોટર તરફ ચાલવા લાગ્યા. પણ થોડુંક ચાલીને પાછા આવ્યા. 

નાણાવટી : મારું એક કામ કરશો? ઘરની ચાવીઓનો આ ઝૂડો મારી પત્ની સિલ્વિયાને પહોંચાડશો?

સેમ્યુઅલ : મેં હા પાડી. પછી ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોને ફોન કરીને કહ્યું કે કમાન્ડર નાણાવટી તમને મળવા આવે છે. તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક માણસ પર ગોળી ચલાવી છે. આ બનાવ રિપોર્ટ કરવા તે તમારી પાસે આવે છે. તેઓ પોતાની કાર જાતે ચલાવીને આવે છે.  

પછી તમે ચાવીઓ મિસિસ નાણાવટીને પહોંચાડી?

ના, જી. કારણ હું તેમનો કોનટેક કરી શક્યો નહિ. સાંજે એક સી.આઈ.ડી. ઓફિસર મારી પાસે આવ્યા અને ચાવીઓ સોંપી દેવા મને જણાવ્યું એટલે મેં એ ચાવીઓ તેમને સોંપી દીધી.

રામ જેઠમલાની : શું તમે નાણાવટીના ઉપરી છો?

સેમ્યુઅલ : ના, જી. અમારી બંનેની રેન્ક સરખી છે. પણ નોકરીનાં વરસોની બાબતમાં તેઓ મારા સિનિયર છે.

રામ જેઠમલાની : શું તમે એમ કહેવા માગો છો કે આ બધી વાત તમને પૂરી સ્વસ્થતાથી કરી હતી?

સેમ્યુઅલ : ના, જી. તેઓ બિલકુલ અસંબદ્ધ બોલતા હતા. વચમાં વચમાં અચકાતા હતા. પહેલાં તો તેઓ શું કહેવા માગે છે એ હું સમજી શક્યો નહોતો.

* 

ઘટનાસ્થળે શું બન્યું હશે તેની રજૂઆત કરતાં બચાવ પક્ષે તૈયાર કરેલાં ચિત્ર

આ કેસ શરૂ થયો ત્યાં સુધીમાં ડેપ્યુટી કમિશનર લોબોની બદલી અમદાવાદના સિનિયર જિલ્લા  સુપરિનટેન્ડટ ઓફ પોલીસ તરીકે થઈ ચૂકી હતી. તેમને જુબાની માટે બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું :

લોબો : બનાવને દિવસે હું બોમ્બે પોલિસની ક્રાઈમ બ્રાંચમાં ડેપ્યુટી પોલિસ કમિશનર તરીકે ફરજ પર હતો. સાંજે પોણા પાંચના સુમારે મને કમાન્ડર સેમ્યુઅલનો ફોન આવ્યો. તેમણે કહ્યું કે મારી સલાહ પ્રમાણે કમાન્ડર નાણાવટી તમારી પાસે સરન્ડર કરવા આવે છે. 

લોબો : કમાન્ડર નાણાવટી સાથે બીજું કોઈ છે? ડ્રાઈવર, કે એસ્કોર્ટ?

સેમ્યુઅલ : ના. તેઓ જાતે પોતાની ગાડી ચલાવીને આવે છે. 

લોબો : પછી મેં ક્રાઈમ બ્રાન્ચના સુપરિન્ટેન્ડન્ટ કોરડે અને ઇન્સ્પેક્ટર મોકાશેને બોલાવ્યા. થોડી વાર પછી બહાર કોઈકના બોલવાનો અવાજ સંભળાયો : ડેપ્યુટી પોલીસ કમિશનર લોબોની ઓફિસ ક્યાં છે? મેં એ માણસને અંદર બોલાવ્યો. અંદર આવીને કમાન્ડર નાણાવટી મારી સામેની ખુરસીમાં બેસી ગયા. અને જે કાંઈ બન્યું હતું તે જણાવ્યું. એ વખતે કોરડે અને મોકાશે બંને હાજર હતા. સ્ટેટમેન્ટ નોંધાવ્યા પછી કમાન્ડર નાણાવટીએ કહ્યું કે સર્વિસ રિવોલ્વર અને વધેલી ગોળીઓ મારી મોટરમાં છે. મેં નાણાવટીને તાબામાં લેવા મોકાશેને કહ્યું અને નાણાવટીને સાથે લઈ જઈને પંચનામું કરીને તેમની મોટરમાંથી રિવોલ્વર અને ગોળીઓ જપ્ત કરવા જણાવ્યું. 

પછીના સાક્ષી હતા ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સપેકટર ગૌતમ. તેમણે જણાવ્યું કે બનાવના દિવસે હું મારબાવડી ખાતેના મારા ઘરે હતો ત્યારે સાંજે લગભગ સાડા પાંચ વાગે મને મારા ગામદેવી પોલીસ સ્ટેશન પર ડ્યૂટી માટે તાબડતોબ હાજર થવા જણાવાયું હતું. સેતલવડ રોડ પરના એક મકાનમાં ગોળીબારની ઘટના બની છે એમ મને કહેવામાં આવ્યું. લગભગ ૫.૩૫ કલાકે હું જીવન જ્યોત બિલ્ડિંગમાં પહોંચ્યો. ત્યારે આહુજાનું મોત થઈ ચૂક્યું હતું. 

‘તમે ત્યાં પહોંચ્યા પછી શું કર્યું?

‘કાયદા પ્રમાણે પંચનામાની વિધિ કરી. મરનારના શરીર પર એક માત્ર લાલ ટુવાલ વીટાળેલો હતો. 

‘જો મરનાર અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હોય, અથવા મરનારે પોતાનો બચાવ કરવાની કોશિશ કરી હોય, તો કમ્મરે વીંટાળેલો ટુવાલ જેમનો તેમ રહી શકે?’

‘સાધારણ રીતે નહિ.’

‘અચ્છા. તમે બીજું શું શું જોયું?’

મરનારની છાતીના વચલા ભાગમાં, માથાની ડાબી બાજુએ અને ડાબા હાથની હથેળી પર ટચલી આંગળી નજીક ઘાનાં નિશાન હતાં. બેડ રૂમમાનું બધું જ ફર્નિચર વ્યવસ્થિત હતું. બેડ રૂમની અંદર આવેલા બાથ રૂમની બારીના કાચનો ઉપલો ભાગ તૂટી ગયો હતો. તેના ટુકડા નીચે જમીન પર પડ્યા હતા. બનાવના સ્થળેથી બે વપરાયેલી કારતૂસ, એક જોડ ચશ્માં, અને એક ચંપલ મળી આવ્યાં હતાં. જ્યારે બીજું ચંપલ બેડ રૂમમાં આવેલા પલંગ નજીકથી મળી આવ્યું હતું. બાથ રૂમની પશ્ચિમ બાજુની દીવાલ પર લોહીના ડાઘ હતા. બાથ રૂમના બારણા પર અને તેના હેન્ડલ પર પણ લોહીના ડાઘ હતા. બેડ રૂમમાં આવેલા કબાટના એક ખાનામાંથી મને ૨૬ પત્રો અને બે ફોટોગ્રાફ મળી આવ્યા હતા. એક મોટા કવરમાં એ મૂકેલા હતા. આ ઉપરાંત, જુદા જુદા પ્રકારનો દારુ ભરેલી બાટલીઓ તથા કેટલીક ખાલી બાટલી મળી આવી હતી. બેડ રૂમમાં આવેલા કબાટ ઉપર રાખેલી એક સૂટ કેસમાં આ બધી બાટલીઓ રાખવામાં આવી હતી. આ ઉપરાંત પીળા રંગના કાગળનું એક મોટું કવર મળી આવ્યું હતું જેના પર લખ્યું હતું : લેફ્ટનન્ટ કમાન્ડર કે.એમ. નાણાવટી. પંચનામું કરીને મેં આ બધી વસ્તુઓ તાબામાં લીધી હતી. આ બનાવ અંગે વધુ તપાસ કરવાનું કામ મેં ઇન્સ્પેક્ટર મોકાશીને સોંપ્યું હતું. 

વકીલ : તમે કહ્યું કે બાથ રૂમની બારીનો એક કાચ તૂટેલો હતો અને તેના ટુકડા બાથ રૂમની ભોંય પર પડ્યા હતા. 

તો તમે એ ટુકડા તાબામાં લીધેલા કે નહિ?

 ના, જી. 

કેમ?

પંચનામામાં તેની નોંધ લેવાનું મને જરૂરી લાગ્યું નહોતું, એટલે. મને જરૂરી લાગી તેટલી વસ્તુઓની જ મેં પંચનામામાં નોંધ લીધી હતી.

તમે આખા ઘરની તલાશી લીધી હતી?

ના, જી. મેં માત્ર બેડ રૂમ અને તેમાં આવેલા બાથ રૂમની જ તલાશી લીધી હતી. 

અચ્છા. તો બેડ રૂમ અને બાથ રૂમની દીવાલો પર ક્યાં ય ગોળીનાં નિશાન હતાં? 

ના, જી. જો મેં જોયાં હોત તો પંચનામામાં નોંધાવ્યાં હોત.

આહુજાના મોત માટે જવાબદાર ગણી શકાય એવી કોઈ વસ્તુ કે હથિયાર તમને બનાવવાળી જગ્યાએથી મળી આવ્યાં હતાં?

ના, જી. મળી આવ્યાં હોત તો મેં પંચનામામાં નોંધ કરાવી હોત.

આ તબક્કે પંચનામામાં નોંધાયેલી વસ્તુઓ અદાલતમાં રજૂ કરવામાં આવી જે ગામદેવી પોલીસ સ્ટેશનના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર ગૌતમે ઓળખી બતાવી હતી.

અદાલતની કારવાઈ પૂરી થાય તે પહેલાં જજ મહેતાએ જાહેરાત કરી કે આવતી કાલે અદાલત, તેના કેટલાક કર્મચારીઓ, તથા લાગતાવળગતા વકીલો જીવન જ્યોત બિલ્ડિંગમાં આવેલા ઘટના સ્થળની મુલાકાત લેશે એટલે અદાલતમાંની આગળની કારવાઈ તે પછીના દિવસ પર મુલતવી રાખવામાં આવે છે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 જુલાઈ 2025 

Loading

જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

પંકજ જોશી|Profile|26 July 2025

પંકજ જોશી

મને બરાબર યાદ છે કે ૧૯૬૦ના દશકમાં જ્યારે અમે શાળામાં વિદ્યાર્થી હતા ત્યારે, અખબારોએ એક યુવા ભારતીય વિજ્ઞાનીની નવી શોધના સમાચારોથી ભારે ઉત્તેજના જગાવી હતી. બ્રહ્માંડ વિશેનો આ સિદ્ધાંત તે સ્થિર વિશ્વનો સિદ્ધાંત, એટલે કે ‘સ્ટેડી સ્ટેટ  થિયરી’ કહેવાયો હતો. આપણું વિશ્વ કેવું છે, તે કેવી રીતે કામ કરે છે, તેના વિશેની આ વાત હતી. વિશ્વની અથવા બ્રહ્માંડની ઉત્પત્તિ કદી થતી નથી અને તેનો નાશ પણ થતો નથી એવી આ વાત હતી. આ વિજ્ઞાની હતા જયંત નારળીકર, જેમણે પોતાના શિક્ષક અને ગુરુ તેવા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેડ હોયલ સાથે આ સિદ્ધાંત વિશે કાર્ય કર્યું હતું. આથી આ સિદ્ધાંત તે હોયલ-નારળીકર થિયરી તરીકે પણ ઓળખાયો છે. બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેનો બીજો સિદ્ધાંત જે આજે પ્રચલિત છે તે બિગ બેંગ થિયરી, તેનાથી બિલકુલ વિરોધી આ વાત હતી. આને કારણે વિશ્વવિજ્ઞાન અથવા કૉસ્મૉલૉજીમાં, આ બંનેમાંથી કયો સિદ્ધાંત સાચો આ વિશે ભારે ચર્ચાઓ એ વખતે શરૂ થઈ જે દાયકાઓ સુધી ચાલુ રહી છે. 

એ વખતે ભાગ્યે જ કલ્પના હતી કે જયંત નારળીકર સાથે ભવિષ્યમાં ઘણા ગાઢ સંપર્કમાં આવવાનું બનશે. એમની સાથે સંશોધન કરવાનું પણ થશે! એ સમયે તો એમનું સંશોધન સમજવાની જ ઉત્તેજના હતી. વળી કેમ્બ્રિજ યુનિવર્સિટીનું મોટું નામ. એમાં પણ એક ભારતીય વિજ્ઞાની ત્યાંથી કંઈ ઉત્તમ કાર્ય કરે અને વિશ્વ કક્ષાએ તેની ચર્ચા થાય એ વાત જ બહુ મોટી લાગી હતી. 

જયંત વિષ્ણુ નારળીકર

નારળીકરનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૮માં કોલ્હાપુર ખાતે થયો હતો. એમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર એ વખતે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગણિતના પ્રાધ્યાપક હતા. એમનાં માતા સુમતિતાઈ સંસ્કૃત ભાષાનાં વિદ્વાન હતાં. આ રીતે નારળીકરનું શરૂઆતનું શિક્ષણ વારાણસીમાં થયું. ત્યાં જ તેઓએ અંડર ગ્રેજ્યુએટ પૂરું કરીને ગણિત-વિજ્ઞાનમાં પદવી મેળવી. આ પછી તેઓ કેમ્બ્રિજ ભણવા ગયા. ત્યાં કેમ્બ્રિજમાં તેઓ ૧૫ વર્ષ રહ્યા. તે પછી એમણે નક્કી કર્યું કે ભારત દેશમાં પાછા ફરવું છે અને અહીં આ દેશમાં વિજ્ઞાનનું કામ કરવું છે. આથી તેઓ ૧૯૭૨ની સાલમાં મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં પ્રધ્યાપક તરીકે જોડાયા. ટાટા ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પ્રખ્યાત વિજ્ઞાની હોમી ભાભાએ કરેલી અને તે દેશ વિદેશમાં એ વખતે પણ એક ઉત્કૃષ્ટ સંશોધન સંસ્થા તરીકે જાણીતી થયેલી. વિશ્વના અનેક મોટા વિજ્ઞાનીઓ તથા ગણિતશાસ્ત્રીઓ આ કારણે ભારતમાં અને મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં આવતા થયેલા. ત્યાંના વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને તેઓ પ્રવચનો આપતા અને વિજ્ઞાનની ઉત્કૃષ્ટ ચર્ચાઓ થતી. 

આવા એક સારા વાતાવરણમાં ભારત આવીને નારળીકરે એસ્ટ્રોફિઝિક્સ તથા કૉસ્મૉલૉજીના વિજ્ઞાન માટે એક ઉત્તમ ગ્રુપ બનાવવાનું કામ શરૂ કર્યું જેમાં સારા વિદ્યાર્થીઓ તથા નવા પ્રાધ્યાપકો ભાગ લેવા લાગ્યા. સંપૂર્ણ રીતે વિશ્વકક્ષાનું સંશોધન ભારતમાંથી થાય એવું ટાટા ઇન્સ્ટિટ્યૂટનું હંમેશાં ધ્યેય હતું. 

પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર ૨૦ મે, ૨૦૨૫ના રોજ પુણે સ્થિત એમના નિવાસસ્થાને આપણને સહુને છોડી શાંતિથી ચાલ્યા ગયા. આ ભારતીય વિજ્ઞાન અને ખગોળ વિજ્ઞાનના એક અસાધારણ અને અસામાન્ય પ્રકરણનો અંત છે. એમની લાંબી અને સુશોભિત કારકિર્દી દરમિયાન એમણે અસંખ્ય યુવા માનસને વિજ્ઞાન અપનાવવા માટે પ્રેરણા આપી. એમણે અનેક યુવા વૈજ્ઞાનિકોની કારકિર્દી બનાવી, જેઓ ખગોળ ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડ વિજ્ઞાનના વિવિધ પાસાઓમાં વિશ્વના નેતા બનીને આજે ઊભરી આવ્યા છે. 

છેલ્લા કેટલાક સમયથી તેઓ સ્વસ્થ નહોતા, છતાં પોતાની દિનચર્યા સારી અને ઉત્પાદક રીતે ચલાવતા હતા. જાન્યુઆરી ૨૦૨૪થી નારળીકર એક બ્લોગ પણ લખી રહ્યા હતા. તેમાં એમના જીવનના વિવિધ તબક્કાઓને આવરી લેવામાં આવ્યા હતા. મને ખાતરી છે કે એમના હજારો ફોલોઅરને તેઓ ખૂબ જ યાદ આવશે.

એક સંશોધક તરીકે એમણે બ્રહ્માંડ વિજ્ઞાનમાં અનોખું અને ક્રાંતિકારી યોગદાન આપ્યું. પ્રવર્તમાન વૈજ્ઞાનિક રૂઢિચુસ્તતાને એમણે પડકારી. લોકોમાં વ્યાપક સ્તરે વિજ્ઞાન, વૈજ્ઞાનિક સ્વભાવ અને અભિગમ ફેલાય એ એમણે મિશન બનાવ્યું. તેઓ ગુરુત્વાકર્ષણના હોયલ-નારળીકર સિદ્ધાંતના સહ-વિકાસ માટે અને શરૂઆતના દિવસોમાં સ્થિર-અવસ્થા સિદ્ધાંત અને પછીનાં વર્ષોમાં બ્રહ્માંડના અર્ધ-સ્થિર-અવસ્થા સિદ્ધાંતને સમર્થન આપવા માટે જાણીતા થયા. આ સિદ્ધાંતોએ કૉસ્મૉલૉજીમાં વ્યાપકપણે સ્વીકૃત તેવા બિગ બેંગ મોડેલને પડકાર ફેંક્યો. 

અહીં નોંધવા જેવી વાત એ છે કે વૈકલ્પિક મોડેલોના મજબૂત સમર્થક હોવા છતાં, એમણે પોતાના વિદ્યાર્થીઓ અને સાથીદારો પર પોતાના વિચારો કદી લાદ્યા નહીં. આથી એમની પોતાની થિયરીથી વિરુદ્ધ તેવા બિગ બેંગ મોડેલને ટેકો આપતા શ્રેષ્ઠ સંશોધન લેખો અને બિગ બેંગ મોડેલના પાયામાં સુધારો કરનારા લેખો એમના નેતૃત્વ હેઠળ ઊભરી આવ્યા હતા. યુવા સંશોધકોને એમની પોતાની રીતે વિકાસ કરવાની મંજૂરી આપવી એ સંશોધકોમાં એક દુર્લભ પરંતુ પ્રશંસનીય લક્ષણ છે. એમના નજીકના સાથીદારો એમને પ્રેમથી JVN કહેતા. આ સઘળી બાબતોમાં JVNનું અનુકરણ કરવા યોગ્ય છે.

છેલ્લા લાંબા સમયથી જયંત ભારતમાં ખગોળશાસ્ત્ર અને તેનાથી પણ વધુ વ્યાપક રીતે કહીએ તો વિજ્ઞાનનો ચહેરો રહ્યા છે. એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોટા વિજ્ઞાની ફ્રેડ હોયલના સંશોધન વિદ્યાર્થી તરીકે ખ્યાતિ મેળવી. એમણે એડમ્સ પુરસ્કાર સહિતના પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મેળવ્યા. ત્યાં થતી રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની જ્વલંત બેઠકોમાં પોતાનું સ્થાન પણ એમણે બનાવ્યું. સાઠના દાયકાના મધ્યમાં ભારતની મુલાકાત દરમિયાન, એમણે વૈજ્ઞાનિક સમુદાયને ઘણો પ્રભાવિત કર્યો. એમનો હંમેશાં હસતો ચહેરો, અતિ ગહન બાબતો વિશે પણ વાત કરવાની સૌમ્ય રીત અને બ્રહ્માંડ વિશેના એમના વિચારો જનસામાન્ય સુધી પહોંચાડવાની અનન્ય ક્ષમતા દ્વારા એમણે સામાન્ય લોકોની કલ્પનાને મોહિત કરી. એમને ૨૬ વર્ષની નાની ઉંમરે પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેઓ જીવનના અંત સુધી અનેક રીતે જનતા સાથે સતત વાતચીત કરતા રહ્યા. લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ એમનું પહેલું અને આખરી ધ્યેય હતું. 

વિજ્ઞાનની વાત કરીએ તો, જયંતનું પહેલું કાર્ય કોસ્મિક રેડિયો સ્રોતના વિતરણ પર હતું, આવા સ્રોત આકાશમાં કેવા આકારે ફેલાયેલા છે, સમય જાય તેમ તે કેવી રીતે વધે કે ઘટે છે જેવા પ્રશ્નોની એમણે ચર્ચા કરી. આ સઘળા સ્રોતનો રેડિયો ડેટા વિજ્ઞાની માર્ટિન રાયલની આગેવાની હેઠળ કેવેન્ડિશ લેબોરેટરીના ખગોળશાસ્ત્રીઓ દ્વારા બનાવવામાં આવેલા કેમ્બ્રિજ રેડિયો ટેલિસ્કોપમાંથી લેવાયો હતો. રાયલ તો બ્રહ્માંડના બિગ બેંગ સિદ્ધાંતની તરફેણ કરતા હતા. તેમાં રેડિયો સ્રોતની સંખ્યા અને વસ્તી વધે અને વિકસિત થઈ શકે છે. આનાથી ઊલટું, ફ્રેડ હોયલ, સ્થિર સ્થિતિ સિદ્ધાંતના નિર્માતાઓમાંના એક હતા, જે માનતા હતા કે આ સંખ્યા સમય સાથે સ્થિર હોવી જોઈએ. યુવાન નારળીકર તો જાણે આ બે તદ્દન ભિન્ન દૃષ્ટિકોણ વચ્ચે સેન્ડવીચ જેવા બની રહ્યા. આજના સંદર્ભે એ ભૂતકાળમાં દૃષ્ટિ કરીએ તો, કોઈ પણ સ્પષ્ટ નિર્ણય પર આવવા માટે ખૂબ જ મર્યાદિત ડેટા ઉપલબ્ધ હતો. વળી આ સઘળા આકાશી પિંડ અને સ્રોતોના રેડશિફ્ટની માપણીનો પણ અભાવ હતો. આથી સમસ્યાનો સ્પષ્ટ ઉકેલ અશક્યવત્ જ હતો. તેમ છતાં, આ ચર્ચાઓનાં પરિણામો દૂરગામી હતાં. ફક્ત કૉસ્મૉલૉજી એટલે કે વિશ્વવિજ્ઞાન માટે જ નહીં, પરંતુ આ ચર્ચાના નાયકોની ભાવિ કારકિર્દી માટે પણ તેનું મહત્ત્વ રહ્યું. માર્ટિન રાયલ અને એન્થોની હ્યુવિશ, આ બંનેને આ કાર્ય માટે સંયુક્ત રીતે ૧૯૭૪માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો. આટલું અને આવું સન્માન મેળવનારા તેઓ પ્રથમ ખગોળશાસ્ત્રીઓ હતા.

ડેટા વિશ્લેષણની સાથે, નારળીકરે પરિભ્રમણ અને શીયર સાથેના ન્યુટોનિયન બ્રહ્માંડશાસ્ત્રીય મોડેલો તથા અન્ય મુશ્કેલ સૈદ્ધાંતિક સમસ્યાઓ પર પણ કામ કર્યું. તે જ વર્ષોમાં, જયંતે હોયલ સાથે તારાવિશ્વોના યુગ અને સ્થિર સ્થિતિ બ્રહ્માંડવિજ્ઞાનમાં માકનો સિદ્ધાંત અને દ્રવ્યનું સર્જન, ઇલેક્ટ્રોડાયનેમિક્સ અને બ્રહ્માંડવિજ્ઞાનમાં સમયની ગતિ પર પણ કામ કર્યું. આ બધું કાર્ય નોંધપાત્ર હતું. તેમાં વિવિધતા, ઊંડાણ અને નવીનતા હતાં. વળી તે અનેક પ્રિય અને પરંપરાગત વિચારોની વિરુદ્ધ પણ હતું. ૧૯૬૬માં, હોયલ અને નારળીકરે ગુરુત્વાકર્ષણના નવા સિદ્ધાંત પર કાર્ય પ્રકાશિત કર્યું. આ કાર્યમાં માકનો સિદ્ધાંત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

જયંતે પહેલા ફ્રેડ હોયલ સાથે અને પછી જ્યોફ્રી બર્બિજ સહિત અન્ય પ્રતિષ્ઠિત ખગોળશાસ્ત્રીઓ સાથે મળીને સ્થિર સ્થિતિ સિદ્ધાંત પર ઘણું કાર્ય અને પ્રયાસ કર્યાં. તેનાં ખગોળ ભૌતિક પરિણામો પર પણ એમણે કામ કર્યું. આ પછીના અરસામાં કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડની શોધ થઈ અને તે કારણે આ મોડેલ તથા થિયરીનું આકર્ષણ ઘણું ઓછું થયું. આ શોધને કારણે એમના મોડેલમાં અને સ્થિર-સ્થિતિ સિદ્ધાંતમાં ફેરફારોની જરૂર ઊભી થઈ. આથી આગળ જતાં એમણે અર્ધ-સ્થિર સ્થિતિ સિદ્ધાંત વિકસાવ્યો. 

એમનો આ દૃષ્ટિકોણ બિગ બેંગ થિયરીથી વિપરીત હતો. આ બિગ બેંગ થિયરી શું છે અને તે વિષે નારળીકર શું માનતા? પ્રશ્ન એ છે કે આ આખું બ્રહ્માંડ જે આપણે જોઈ રહ્યા છીએ, તારાઓ, આકાશ, પૃથ્વી, ગ્રહો, સૂર્ય, અન્ય ગ્રહમાળાઓ, આ મહાકાય સમગ્ર બ્રહ્માંડ ક્યાંથી આવ્યું, આપણે કેવી રીતે ઉદ્ભવ્યા, એની ગતિ કેવી હશે, ભવિષ્યમાં આ બધા અવકાશી પદાર્થોનું શું થશે? 

બ્રહ્માંડ વિજ્ઞાનમાં આ એક ઘણો મોટો પ્રશ્ન છે. તેમાં ૧૯૧૬માં એલેક્ઝાન્ડર ફ્રીડમેન નામના વિજ્ઞાની દ્વારા આનો ઉકેલ આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને આધારે આપવામાં આવ્યો. તે મોડેલ મુજબ, બ્રહ્માંડ એક મોટી એકલતા, ખૂબ મોટો બેંગ અથવા ‘સિંગ્યુલારિટી’માંથી આખું આ વિશ્વ ઉદ્ભવ્યું. ત્યારે ત્યાં તાપમાન વગેરે પણ ખૂબ જ ઉચ્ચ અનંત સ્તરે હતું. પછી આ બ્રહ્માંડ ત્યાંથી ઠંડું થયા પછી વિકસિત થયું અને આજે પણ આપણે આ બ્રહ્માંડ વિસ્તરણ જોઈ રહ્યા છીએ. સમગ્ર બ્રહ્માંડ એકલતામાંથી ઉત્પન્ન થયું છે એ મહાવિસ્ફોટ સિદ્ધાંત છે. નારળીકર અને હોયલનો સ્થિર સ્થિતિ સિદ્ધાંત આનાથી તદ્દન વિરુદ્ધ છે. જ્યારે નારળીકર પોતે ઇંગ્લેન્ડ ગયા ત્યારે કેમ્બ્રિજમાં માર્ટિન રાયલ અને અન્ય લોકો વચ્ચે તેના વિશે મોટી ચર્ચા થઈ. એક જૂથે મહાવિસ્ફોટને ટેકો આપ્યો, તો બીજા જૂથે સ્થિર સ્થિતિ સિદ્ધાંતનું સમર્થન કર્યું. તે સ્થિર છે, તેનો નાશ કે ઉત્પત્તિ થયાં નથી. તે હંમેશાં અનાદિ કાળથી સ્થિર સ્થિતિમાં છે અને અનંતકાળ સુધી તેમ જ રહેશે. પાછળના દશકાઓમાં આ સિદ્ધાંતમાં સુધારો કરીને એમણે અર્ધ-સ્થિર-સ્થિતિ સિદ્ધાંત પણ રજૂ કર્યો, જેના પર એમના જીવનના અંત સુધી એમણે કામ કર્યું.

૧૯૮૦ પછીના દશકોમાં જયંત એક નવા રસપ્રદ પ્રકલ્પ પર પણ કાર્ય કરવા લાગ્યા. તેમાં, પૃથ્વી ઉપર તો જીવન આપણે જોઈએ છીએ, પરંતુ બ્રહ્માંડમાં અન્યત્ર પણ ક્યાંય જીવન હશે કે કેમ એ આજના વિજ્ઞાનનો તથા ખગોળનો એક મહાપ્રશ્ન છે. સામાન્ય લોકોને પણ આ વિશે જાણવામાં ઘણી રુચિ છે. આવા વિશાળ વિશ્વની અંદર આપણે પૃથ્વી પર કેવળ એકલા જ છીએ કે પછી દૂર દૂરના અન્ય કોઈ ગ્રહોમાં, બ્રહ્માંડમાં અન્યત્ર પણ વસ્તી અને જીવન છે? 

આ સંદર્ભમાં, મૂળ ફ્રેડ હોયલના એક નવા વિચાર પર નારળીકરે સંશોધન કર્યું. એ વાત અને શક્યતા એવી હતી કે બાહ્ય અવકાશમાં સૂક્ષ્મ સજીવો તથા વાયરસ વગેરે અસ્તિત્વ ધરાવી શકે છે. પછી બાહ્ય અવકાશમાંથી પણ તેઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી શકે છે. જ્યારે હોયલે પહેલી વાર આ વિચાર રજૂ કર્યો ત્યારે લોકોને આ અતિ કાલ્પનિક અને વાસ્તવિકતાથી દૂર જણાયો. એ ત્યાં સુધી કે વૈજ્ઞાનિક જર્નલોમાં તો એમના આ સિદ્ધાંતના પ્રકાશનનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. છેવટે એમણે તેને એક નવી શોધ તરીકે નહિ પણ વિજ્ઞાન સાહિત્યની  એક નવલકથા તરીકે પ્રકાશિત કરવો પડ્યો હતો! 

આ વિષે જયંતે કેટલાક એવા પ્રયોગો પ્રસ્તાવિત કર્યા જે ઉપલા વાતાવરણમાં જીવોને શોધવા માટે હાથ ધરવામાં આવી શકે. હવે તેમાં એ નક્કી કરવું પડે કે આ જીવો પૃથ્વીની સપાટીથી ઊંચા ચડીને ઉપરના વાતાવરણમાં ત્યાં પહોંચી શક્યા ન હોય. વળી તે એવા હોવા જોઈએ કે તેઓની પ્રકૃતિ અને ગુણધર્મો તેમના પાર્થિવ સમકક્ષોથી અલગ હોય. આ માટે એમના દ્વારા ISRO અને અન્ય સંસ્થાઓના લોકો સાથે મળીને કેટલાક પ્રયોગોનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ પ્રયોગ ક્યારેય હાથ ધરવામાં આવ્યો ન હતો, જે કદાચ એક મોટી ચુકાઈ ગયેલી તક હતી. આજે તો હવે એવી શક્યતા વધતી જાય છે કે આપણા સૌરમંડળમાં જ અનેક સ્થળોએ જીવન અસ્તિત્વમાં હોઈ શકે છે. આપણી પોતાની ગેલેક્સીમાં પણ રહેવા યોગ્ય બાહ્ય સૌર ગ્રહોની એક વ્યાપકતા જણાય છે. અલબત્ત તે ગ્રહો આપણા પોતાના પૃથ્વીના વાતાવરણમાં જીવોનું યોગદાન આપવા માટે ખૂબ દૂર હોય એમ પણ બને.

જયંતનો એક સંસ્થા નિર્માતા તરીકેનો તબક્કો ત્યારે શરૂ થયો જ્યારે પ્રોફેસર યશપાલ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના અધ્યક્ષ હતા. એમણે જયંતને એક નવી સંસ્થા સ્થાપવા માટે આમંત્રણ આપ્યું. ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવામાં યુનિવર્સિટીઓની મુશ્કેલીઓને દૂર કરવામાં અનોખી હોય તેવી સંસ્થા રચવામાં યશપાલજીને રસ હતો. ૧ જૂન, ૧૯૮૯ના રોજ જ્યારે જયંત આ હેતુ માટે પુણે ગયા, આજે જ્યાં IUCAA સંસ્થા ઊભી થઈ છે ત્યાં જમીનનો લીલોછમ એક પ્લોટ હતો. એમાં દસેક જેટલાં વડનાં વૃક્ષો હતાં. ત્યાં ભેંસો ઘાસ પર શાંતિથી ચરતી હતી. પછી તો વૃક્ષોને તે જ પ્લોટ પર અન્ય સ્થળે ખસેડવામાં આવ્યાં, જ્યાં  આજે ખાસાં ખીલ્યાં-વિકસ્યાં છે. આ જગ્યાએ વિખ્યાત સ્થપતિ ચાર્લ્સ કોરિયા દ્વારા ડિઝાઇન કરાયેલી IUCAAની અનોખી ઇમારતો ઊભી થઈ. પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે પહેલાં પણ વૈજ્ઞાનિક કાર્ય અને બધી સંબંધિત પ્રવૃત્તિઓ તો શરૂ થઈ જ ગઈ હતી. ટૂંક સમયમાં IUCAA ખગોળશાસ્ત્રના ઉત્તમ અભ્યાસ માટેની સંસ્થા તરીકે જાણીતું બન્યું.

અહીંના મુલાકાતીઓ સાથે જયંત વ્યક્તિગત રીતે વાતચીત કરીને મદદ કરતા, જેથી તેની સંખ્યા ટૂંક સમયમાં વધી ગઈ. તેઓ ઘણીવાર દેશભરના યુનિવર્સિટીઓના વિભાગોની મુલાકાત લેતા અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને IUCAAનો પરિચય કરાવતા. વળી IUCAAના ખર્ચે મૂળભૂત ઇમેઇલ અને અન્ય ઊભરતી સુવિધાઓ પણ પૂરી પાડતા. આવા યુનિવર્સિટી સમુદાયનો વિકાસ એ ભારતમાં ખગોળશાસ્ત્રમાં જયંતનું સૌથી મોટું યોગદાન છે.

અલબત્ત આ પ્રક્રિયા એકદમ સરળ નહોતી. પહેલાં તો દેશના ખગોળશાસ્ત્રી સમુદાયમાં પરંપરાગત કાર્યને બદલે અને તેની બહાર એક નવું કેન્દ્ર સ્થાપવા અંગે વ્યાપક શંકા હતી. સરકારના ઉચ્ચ સ્તર તરફથી એમને ખૂબ જ સારો ટેકો હતો, પરંતુ વહીવટી અને નિયમન અંગેની વાતો ઊભી થયા કરતી. આ નવા સાહસની વિશિષ્ટતાને કારણે વધુ મુશ્કેલ બની જતી. જયંત મોટે ભાગે મુશ્કેલીઓનો સામનો પોતાની સામાન્ય નરમાશથી, સમજાવટભર્યા સ્વભાવથી કરતા. પરંતુ ક્યારેક તો એમણે ઉચ્ચ સ્તર પર લોકોને કહેવું પડતું કે કાં પ્રોજેક્ટ તેના યોગ્ય માર્ગે ચાલવા દો, અથવા તેઓ પોતે છોડીને જાય છે.

જયંતે જાહેર જનતાને IUCAAનો અભિન્ન ભાગ બનાવ્યો. શાળાના સેંકડો બાળકો શનિવારનાં વ્યાખ્યાનો માટે કેમ્પસમાં આવવા લાગ્યાં. આજે હવે તેઓ તેમની મધ્યમ વયમાં છે. તેઓ હજુ પણ જયંત પાસેથી જે કંઈ કરી રહ્યા હતા તેમાં સારું અને વધુ સારું કરવા માટે મળેલી પ્રેરણાને પ્રેમથી યાદ કરે છે. એમના સરળ સંદેશને લીધે જયંત દ્વારા દાયકાઓથી ઘણા સ્ટાર્સ ઉત્પન્ન થયા છે. એમણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી આગળ વધીને સામાન્ય લોકો સુધી સંદેશ પહોંચાડ્યો. તેઓ ભાષણ આપતા ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા. લોકો આશ્ચર્યચકિત થતા કે જે મહાન વ્યક્તિ વિશે એમણે આટલું સાંભળ્યું હતું તે તો છેવટે તેમના પોતાના જેવા જ સરળ છે. જયંતનાં પુસ્તકો, લેખો અને વિજ્ઞાન સાહિત્ય વાર્તાઓને ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. એમને મળેલો જાહેર પ્રેમ અને પ્રશંસા ખરેખર અનોખાં હતાં. 

નારળીકરે અંગ્રેજી, હિન્દી, મરાઠી અને ક્યારેક સંસ્કૃતમાં પણ અનેક પુસ્તકો અને લેખો લખ્યાં, જેનાથી વિજ્ઞાન સામાન્ય લોકો માટે સુલભ બન્યું. તેઓ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં દૃઢપણે માનતા અને તે કોઈ પણ સંશોધકની ફરજોમાંની એક ગણતા. આ કારણે એમણે શરૂઆતથી જ IUCAA પ્રવૃત્તિઓના મુખ્ય ભાગ રૂપે વિજ્ઞાનને લોકપ્રિય બનાવ્યું. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં એમણે ‘બીજા શનિવારના જાહેર વ્યાખ્યાનો’ અને ‘શાળાનાં બાળકો માટે ઉનાળુ કાર્યક્રમ’ જેવી વિવિધ નિયમિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી દરમિયાન જનતા સાથે એમનો વાર્તાલાપ ‘વૈજ્ઞાનિકને પૂછો?’ દ્વારા દર વર્ષે સૌથી લોકપ્રિય કાર્યક્રમ બની રહેતો. તેઓ હંમેશાં આ કાર્યક્રમમાં હાજર રહેતા. 

જયંત નારળીકર ૧૯૭૨માં ભારત આવ્યા અને મારે એમને સર્વ પ્રથમ મળવાનું ૧૯૭૭માં થયું. હું એ સમયે ભાવનગરમાં ગણિત અને વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો. પણ વાત એવી હતી કે પ્રોફેસર જે. કૃષ્ણરાવ અમારે ત્યાં પ્રોફેસર હતા, જે નારળીકર સાહેબના પિતા શ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકરના વિદ્યાર્થી હતા. એમણે જયંતને ભાવનગર વ્યાખ્યાન માટે આમંત્રણ આપ્યું હતું. હવે નારળીકરનો એક ખાસ ગુણ એ હતો કે તેઓ નાની જગ્યાએ પણ જતા અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા.  ભાવનગરમાં એમનું વ્યાખ્યાન એનું ઉદાહરણ છે. મને ત્યારથી જ સંશોધન અને વિશ્વરચના કેવી હશે આ વિષે જાણવામાં ખાસ રસ હતો. આથી સહજ રીતે એમને મળવાની વાત થઈ. 

અમારી સર્વ પ્રથમ મુલાકાતની વાત રસપ્રદ છે. નારળીકર મુંબઈથી ભાવનગર પહોંચ્યા અને ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એમના ગેસ્ટ હાઉસમાં એમનો ઉતારો હતો. હજુ સવારે તો તેઓ આવ્યા અને તો હું તો ક્યાંકથી પૂછપરછ કરીને આ માહિતી મેળવીને ખરે બપોરે જ એમને મળવા પહોંચી ગયો! હું એક વિદ્યાર્થીના ઉત્સાહ અને જિજ્ઞાસા સાથે ત્યાં પહોંચ્યો હતો. મહેમાન આરામ કરી રહ્યા હશે એનું કંઈ ભાન કે વિચાર નહિ. મેં એમના રૂમનો દરવાજો ખખડાવ્યો. તેઓ આરામ કરી રહ્યા હતા કે સૂઈ ગયા હતા. પણ ઊભા થઈ થોડી વારમાં જ વિખરાયેલા વાળ અને ઊંઘરેટી થાકેલી આંખો સાથે એમણે દરવાજો ખોલ્યો. મારું સ્વાગત પણ કર્યું! મેં કહ્યું કે સર હું તમારી સાથે વાત કરવા માંગુ છું, મારે વિજ્ઞાન વિશે પ્રશ્નો છે, કેટલાક નવા વિચારો પણ છે.

એમણે મારી સાથે ગણિત વિશે વાત કરવાનું શરૂ કર્યું. તેમાં આગળ વધતાં, એમના એક ગણિતના અને સાપેક્ષવાદના પ્રશ્નનો ઉકેલ મારી પાસે હતો. જ્યારે મેં એમને તે ઉકેલ આપ્યો ત્યારે તેઓ ખૂબ ખુશ થયા કારણ કે એમનો એક વિદ્યાર્થી આ વિષય પર પીએચડી કરી રહ્યો હતો. તેથી એમણે મને કહ્યું કે તમે તો અમારી ઘણી મહેનત બચાવી લીધી છે. પછી એમણે કહ્યું કે હવે તમારે મુંબઈ આવવું જોઈએ. આપણે વધુ ચર્ચા ત્યાં કરીશું. 

ગણિત અંગેની સમસ્યાનો ઉકેલ શોધી અપાતાં પ્રભાવિત થયેલા નારળીકરે મને મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચમાં ફેલોશિપ આપી. પછી તો મારે કેમ્બ્રિજ તથા અમેરિકા જવાનું પણ થયું. એ પછી ભારતમાં TIFRમાં આવવા માટે નારળીકર દ્વારા આમંત્રણ મળ્યું અને પછી તો ત્યાં જ વર્ષો સુધી સિનિયર પ્રોફેસર તરીકે મેં કાર્ય કર્યું. 

શરૂઆતના દિવસોમાં જ અમારો સંબંધ ગાઢ બનવાનું બીજું એક વૈજ્ઞાનિક કારણ પણ હતું. જ્યારે નારળીકર ભારત આવ્યા અને જ્યારે તેમની મુલાકાતે હું મુંબઈ ગયો, ત્યારે હું એક મહિના માટે ૧૯૭૭માં ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં સંશોધન માટે રહ્યો હતો. તેથી જ્યારે અમે મળ્યા અને એમની સાથે સ્ટીફન હોકિંગ અને રોજર પેનરોઝના પુસ્તકની વાત કરી. ૧૯૭૩માં સમયે સ્ટીફન હોકિંગે એક મોટું પુસ્તક લખ્યું હતું, જે તેમની અને રોજર પેનરોઝની એક નવી શોધ વિષે હતું. બ્રહ્માંડમાં સર્જાતી એકલતા અથવા સિંગ્યુલારિટી વિશે તેમની આ શોધ હતી. આ કાર્ય માટે રોજર પેનરોઝને ૨૦૨૦માં નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો. મેં  હોકિંગનું આ પુસ્તક અગાઉથી મંગાવીને તેનો મારી જાતે અભ્યાસ કર્યો હતો. હવે આ વિષે સમગ્ર વિજ્ઞાન જગતમાં બધે ભારે ઉત્સુકતા હતી. તો નારળીકરને પણ આ નવી શોધ અને તેમાં વિકસાવેલું નવું જ ગણિત શું છે તે જાણવાની ખૂબ ઇંતેજારી હતી. તેથી અમારી વાતચીત ખૂબ સારી રીતે આગળ ચાલી. નારળીકરના આટલા રસનું મુખ્ય કારણ એ જ હતું કે આ બ્રહ્માંડ વિજ્ઞાનમાં એક સંપૂર્ણપણે નવો આયામ હતો.

આ દિશામાં મારાં સઘળાં સંશોધનમાં બ્રહ્માંડ, બ્લેકહોલ અને જનરલ રિલેટિવિટી ઉપર અનેક ઉત્તમ કાર્ય થયાં. તેમાં પણ જયંત સાથે જે કાર્ય થયું તેના વિષે થોડી વાત કરીએ. અમારા કાર્યમાં અમે બ્લેક હોલ વિષે વિશેષ સંશોધન કર્યું છે. આ વિષે વધુ જાણવા માટે પ્રથમ તો બ્લેક હોલ એટલે શું તે સમજીએ. 

બ્લેક હોલ એટલે અવકાશમાં એક એવી જગ્યા કે જેમાંથી કશું પણ બહાર ન આવી શકે, અરે પ્રકાશનું કિરણ પણ નહીં! એની સપાટી ‘ઈવેન્ટ હોરાઇઝન’ કહેવાય. સ્ટીફન હોકિંગ અને અન્ય પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો માનતા કે બધા મહાકાય તારાઓ જ્યારે એમની અંદરનું બળતણ ખૂટે એટલે સંકોચાય અને બહારથી ગ્રેવિટીનું દબાણ વધે એટલે ખૂબ સંકોચાઈને બ્લેકહોલમાં પરિવર્તન પામે. આપણી આકાશગંગામાં તો ૩૦૦ અબજથી વધુ તારાઓ છે. આ તારાઓનાં સંકોચન અને વિભાજનની પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. આથી આપણી આકાશગંગામાં કરોડો બ્લેકહોલ હોઈ શકે. 

આપણો સૂર્ય પણ એક તારો જ છે. સૂર્યમાં જે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે તે હાઇડ્રોજન પરમાણુઓના સંમિશ્રણને કારણે છે. અહીં પૃથ્વી પર, આપણે પરમાણુના ન્યુક્લિયસને તોડીને પરમાણુ ઊર્જા ઉત્પન્ન કરીએ છીએ. પરંતુ સૂર્ય અથવા તારાઓમાં પરમાણુઓ ફ્યુઝ એટલે કે ભેગા થાય છે અને આ ગરમી, પ્રકાશ, ઉત્પન્ન કરે છે. પણ એક દિવસ એવો આવશે જ્યારે સૂર્યનું આંતરિક પરમાણુ બળતણ સમાપ્ત થઈ જશે. હમણાં તો સૂર્ય પાંચ અબજ વર્ષોથી જીવંત છે અને તેનું જીવન પણ હજુ લગભગ એટલું જ બાકી છે. પરંતુ એક દિવસ સૂર્યનું જીવન સમાપ્ત થશે. તેના બાહ્ય સ્તરો વિસ્તરશે અને તેઓ પૃથ્વી, બુધ અને બીજા ગ્રહો ને ગળી જશે. આ આપણા સમગ્ર સૌરમંડળનો અંત હશે અને સૂર્ય તે એક સફેદ વામન તરીકે ઓળખાતો એક પિંડ બની જશે. એક મૃત તારો બની રહેશે. એમાં કોઈ ગરમી કે પ્રકાશ નહીં હોય. પરંતુ જો કોઈ તારાનું દળ સૂર્ય કરતાં ૧૦ ગણું કે ૨૦ ગણું હોય, તો તે આવો સફેદ વામન બની શકતો નથી. કોઈ તારો જેનું દળ ખૂબ ઊંચું છે, તેનું દ્રવ્ય ખૂબ વધારે છે, તેથી ગુરુત્વાકર્ષણને કારણે તેનું સંકોચન ચાલુ જ રહેશે. પછી એક ધારણા કે કલ્પના એવી છે કે તે એક બ્લેક હોલ બનાવશે. આ બ્લેક હોલમાં શું થાય છે? તો આ તારાની સપાટીનું ગુરુત્વાકર્ષણ અતિશય મોટું થઈ જાય છે. તમે જાણો છો કે જો આપણે પૃથ્વી પરથી રોકેટ લોન્ચ કરવું હોય, તો ખૂબ જ મોટો વેગ આપવો પડે છે. જો તે વેગ ન આપવામાં આવે, તો રોકેટ ઊંચે જશે અને પડી જશે. આવી જ રીતે આ સંકોચાતા મહાકાય તારાનું ગુરુત્વાકર્ષણ એટલું વધી જાય છે કે પ્રકાશ પણ પછી તેમાંથી છટકી શકતો નથી, જેથી તે બિલકુલ જોઈ શકાતો નથી. આથી તે સંપૂર્ણપણે કાળો જણાય છે. જ્યારે આપણે કોઈ પણ તારાને જોઈએ છીએ ત્યારે તેને તેના પ્રકાશ દ્વારા જોઈએ છીએ. પરંતુ આ તો એક સાવ કાળો પ્રદેશ છે જેમાંથી પ્રકાશ પણ બહાર આવી શકતો નથી. તેથી તેને બ્લેક હોલ કહેવામાં આવે છે. 

મેં અને નારળીકર સાહેબે આ બ્લેક હોલ પર અમારું કામ શરૂ કર્યું. વિખ્યાત વિજ્ઞાનીઓ સ્ટીફન હોકિંગ, રોજર પેનરોઝ પણ તેના પર કામ કરી રહ્યા હતા, તેઓ માનતા હતા કે જો કોઈ તારો છે, તો તેની બહાર કંઈ દ્રવ્ય નથી, કેવળ શૂન્યાવકાશ છે. આવું માનીને તેઓએ આખો બ્લેક હોલનો સિદ્ધાંત વિકસાવ્યો. પરંતુ અમે એ વાત સમજાવી કે બ્રહ્માંડ તો તારાઓથી ભરેલું છે. આ તારો છે પણ બીજા તારાઓ પણ છે. બીજાં અસંખ્ય તારાવિશ્વો છે અને તમે જ્યાં પણ દૂર જાઓ છો, ત્યાં ફક્ત તારાઓ અને તારાવિશ્વો જ છે, શૂન્યાવકાશ તો ક્યાંય છે જ નહિ! તો આ ફેરફાર કરીને અમે જે કંઈ કર્યું તેમાં અમે બ્લેક હોલ ભૌતિકશાસ્ત્રના સંપૂર્ણપણે નવા નિયમો શોધ્યા. અમારું આ પહેલું  સહકાર્ય હતું. તે પછી તો અમે ઘણાં વર્ષોથી સતત સંપર્કમાં રહ્યા અને સારા મિત્રો પણ બની ગયા. આ એક યા બીજી ઘટનાઓ દ્વારા અમે ફ્રન્ટિયર કૉસ્મૉલૉજીની સમસ્યાઓ પર કામ કરતા રહ્યા છીએ. 

એક વૈજ્ઞાનિક તરીકે જયંતનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ હતું. એમણે એક નિયમ બનાવ્યો હતો કે તમે ગમે ત્યારે મારી ઑફિસમાં આવી શકો છો. તમારે મારા સાથે પહેલાં સમય નક્કી કરવો પડે તે જરૂરી નથી. તેઓ કહેતા કે જો હું વ્યસ્ત હોઉં તો હું કહીશ કે ભાઈ, આપણે ૧૦ મિનિટ પછી, અથવા અડધા કલાક પછી મળીશું, અથવા સવારે મળવાને બદલે બપોરે મળીશું. આ રીતે તેમની સાથે હંમેશાં વાત કરી શકાતી હતી. તેઓ હંમેશાં ઉપલબ્ધ રહેતા, સુલભ રહેતા. 

બીજી વાત એ હતી કે એમનું વ્યક્તિત્વ તમને આનંદ પમાડે તેવું સુખદ હતું. તેઓ હંમેશાં કામને કેવી રીતે આગળ વધારવું, નવી શોધ કેવી રીતે કરવી તે વિશે વિચારતા. ઔપચારિકતાઓથી તેઓ દૂર જ રહેતા. એકવાર તમે એમની કાર્યપદ્ધતિ સમજી ગયા, તો પછી એમની સાથે કામ કરવું સરળ બની જતું. મને લાગે છે કે તેઓ ‘સમય-વ્યવસ્થાપન’ની કુદરતી વૃત્તિ સાથે જન્મ્યા હતા. જ્યારે તેઓ ડિરેક્ટર હતા ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા, પેપર્સ અને પુસ્તકો લખતા, IUCAA ગ્રેજ્યુએટ સ્કૂલ, પુણે યુનિવર્સિટીમાં નિયમિતપણે શિક્ષણ આપતા અને મોટી સંખ્યામાં જાહેર ભાષણો આપતા. મને હંમેશાં એ વાતથી આશ્ચર્ય થતું. એમની સાથે મિટિંગ નક્કી કરો ત્યારે તે બરાબર સમયસર શરૂ થતી અને નિર્ધારિત સમયની અંદર સમાપ્ત થતી. મિટિંગ દરમિયાન તેઓ ક્યારેય ઉતાવળ કરતા નહોતા. તેમ છતાં બધા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા અવશ્ય થઈ જતી અને મિટિંગ હંમેશાં સરળતાથી સમાપ્ત થતી. એમનાં વ્યાખ્યાનોમાં પણ હંમેશાં આ જ વાત થતી. નિર્ધારિત સમયમાં બધા જ મુદ્દાઓ શાંતિથી પૂરા થતા અને એમને ક્યારેય સમય ઓછો પડતો નહીં! 

૧૯૮૮ પછી નારળીકર પુના ગયા અને આયુકાનું કાર્ય એમણે ડાયરેક્ટર તરીકે સાંભળ્યું. IUCAAમાં ફાઉન્ડર મેમ્બર તરીકે જોડાવા માટે એમણે મને આમંત્રણ આપ્યું પરંતુ કૌટુંબિક કારણોસર મેં મુંબઈ રહેવાનું પસંદ કર્યું. પરંતુ અમારા વૈજ્ઞાનિક તથા અન્ય મૈત્રી પૂર્ણ સંબંધો તો હંમેશાં અને છેક સુધી ચાલુ જ રહ્યા અને અવારનવાર મળવાનું થતું.

મારા તથા મારા વિદ્યાર્થીઓ અને સાથીદારોના કાર્યમાંથી જે ફાયરબોલ અથવા ‘નેકેડ સીન્ગ્યુલારિટી’નો સિદ્ધાંત ઊભરી આવ્યો છે તેમાં પણ નારળીકર સતત  ઊંડો રસ લેતા. અમારી આ નવી શોધ તે અગ્નિગોલકની ઘટના કહી શકાય. સ્ટીફન હોકિંગ અને રોજર પેનરોઝે એવી ધારણા કરી હતી કે જ્યારે સૂર્યના કદ કરતાં ૧૦-૨૦ ગણા મહાકાય તારાઓ પોતાના અંદરનું બળતણ ખલાસ થતા સંકોચાશે, ત્યારે કેવળ અને કેવળ અને હંમેશાં એક બ્લેક હોલ જ બનશે. અહીં મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે તારો સંપૂર્ણપણે સંકોચાય છે ત્યારે તારાનો અંત શું છે?

આ સંદર્ભે હોકીંગ તથા પેનરોઝથી એક ડગલું આગળ જઈને અમારા કાર્ય દ્વારા એક નવી વાત બહાર આવી છે. અમારો સુધારો એ છે કે ગુરુત્વીય સંકોચનમાં આવા તારાઓ બ્લેક હોલ બનવાને બદલે, તે અંતિમ સ્થિતિમાં એક વિસ્ફોટ થશે, જેને તકનિકી રીતે નેકેડ સિંગ્યુલારિટી કહેવામાં આવે છે. આ સમગ્ર બાબતમાં અને આ થિયરીની રચનામાં મને આપણા પ્રોફેસર પ્ર. ચુ. વૈદ્ય, જયંત નારળીકર, કોલકાતાના વિખ્યાત વિજ્ઞાની અમલ કુમાર રાયચૌધરી વગેરેનાં ઉત્સાહસભર સલાહ-સહકાર મળ્યાં છે. આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના આધારે જ આ સિદ્ધાંત અને કાર્ય થયું છે, જેના પર આજે તો વિશ્વભરના ઘણા વિજ્ઞાનીઓ કામ કરી રહ્યા છે. આ કાર્યના સંદર્ભો તથા ચર્ચાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણાં આગળ વધી રહ્યાં છે. આ કાર્ય તથા સંશોધનની સ્વીકૃતિ આજે તો વિશ્વસ્તરે વધતી ગઈ છે. જેમ સ્થિર-સ્થિતિ અને મહાવિસ્ફોટની વાત આપણે આગળ કરી, તેવી જ રીતે બ્લેક હોલ અને અગ્નિગોલક એ આજના કૉસ્મૉલૉજીમાં નવા વિકાસ અને આયામો તરીકે બહાર આવ્યા છે. વિજ્ઞાનની મજા એ છે કે આપણે હંમેશાં નવું વિચારીએ છીએ. કંઈપણ ક્યારેય બંધિયાર હોતું નથી. 

નારળીકરની સાથે ઘણા નજીકથી કામ કરવાની તક મને મળી છે. જ્યારે હું ૧૯૭૭માં પહેલી વાર મુંબઈ ગયો, ત્યારે એક વાર એમણે મને એમના ઘરે બપોરે જમવા માટે આમંત્રણ આપ્યું. જો કોઈ અમારી ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચમાં જાય તો તેની કેન્ટીન પણ ખૂબ સારી છે. પરંતુ નારળીકર, તેમની ખાસ વાત એ હતી કે તેઓ હંમેશાં અંગત સંપર્ક ઊભો કરતા. તેથી હું એમના ઘરે જમવા ગયો. એમના ઘરે મહારાષ્ટ્રીયન શૈલીનું ખૂબ સરળ અને સરસ વાતાવરણ હતું. તેમાં રસપ્રદ ઘટના એ હતી કે થાળી પીરસવામાં આવી, પરંતુ નારળીકર સાહેબની જમવાની ગતિ તો ખાસી ઝડપી હતી! બીજી બાજુ મારી ખાવાની ગતિ ખૂબ જ ધીમી હતી. મેં મારી અડધી રોટલી પણ પૂરી કરી ન કરી અને એમણે તો પોતાનું ભોજન પૂરું કર્યું! એમણે બધું પૂરું કર્યું અને પછી શાંતિથી બેઠા. હું તો ખૂબ જ જુનિયર વિદ્યાર્થી અને સંકોચ પણ અનુભવ્યો. તો એમણે તરત જ મને કહ્યું કે હું તો ઝડપથી ખાઉં છું, પણ અહીં આપણે વિજ્ઞાન વિશે જ વાત કરી રહ્યા છીએ, તેથી તમે આરામથી ખાઓ અને તમારો સમય લો, સાથે જ આપણે વાત પણ કરતા જઈએ! તો જમ્યા પછી, અમે બેઠા પણ ખરા, પણ આ બધામાંથી મને સમજાઈ જતું કે આપણે કેટલી કાર્યક્ષમતા જાળવી રાખવી પડશે, આપણે એમને કેવા પ્રકારનો સહકાર આપવો પડશે. 

વિશેષ તો પછી એમનો પરિવાર, અને ખાસ તો એમનાં માતા-પિતા સાથે પણ મારે અંગત સંબંધો બંધાયા. બન્યું એવું કે જયંતને વિદેશ જવાનું આમંત્રણ મળ્યું. તેઓ ૮-૧૦ મહિના માટે અમેરિકા ગયા. એમનાં માતા-પિતા ત્યારે મુંબઈમાં જ હતાં. તેથી દર રવિવારે મારે ત્યાં જવાનું અને અમારે મળવાનું નક્કી થયું. આમ રવિવારે અને પછી તો વચ્ચે પણ અમે મળતા હતા. 

આમ આવી વિરલ વ્યક્તિ સાથે મારો અંગત સંબંધ રહ્યો. આજે ભલે દેહ રૂપે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમના વિજ્ઞાનના પ્રદાનથી તેઓ આપણી સાથે શાશ્વત રીતે જોડાયેલા રહેશે.



E.mail : psjcosmos@gmail.com
સૌજન્ય : “નવનીત સમર્પણ”; જુલાઈ 2025; પૃ. 56-68

Loading

...102030...62636465...708090...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved