Opinion Magazine
Number of visits: 9665796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સતત પરિવર્તિત સમયને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી, પછી ભલે મુઠ્ઠી ગમે એટલી મજબૂત હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2024

રમેશ ઓઝા

રતન શારદા નામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક નેતાએ બી.જે.પી.ના આઈ.ટી. સેલના વડા અમિત માલવિયની ટીકા કરતાં સલાહ આપી છે કે ટીકાકારોનું ટ્રોલિંગ કરવાની જગ્યાએ ટીકાકારોને અનુત્તરિત કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલો કરવી જોઈએ. કેન્દ્ર સરકારના બજેટની ટીકા કરનારાઓનું અમિત માલવીયે તેમની શૈલીમાં ટ્રોલિંગ કર્યું હતું.

અહીં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એક તો શા માટે તેઓ ટ્રોલિંગ કરે છે અને બીજો શા માટે તેઓ ટીકાકારને મૂંગો કરી શકાય એ રીતની તર્કબદ્ધ દલીલ કરવા અસમર્થ છે? કોઈને ય ગાળાગાળી કરીને ભૂંડા દેખાવું પસંદ નથી હોતું. ગાળો દેવી, નિંદા કરવી કે ઠેકડી ઉડાડવી એ ક્યારે ય કોઈની ય પહેલી પસંદ હોતી નથી જો ગળે ઉતરે એવી દલીલ હોય અને સ્વાર્થરહિતની, લોકકલ્યાણ કરનારી શોભાસ્પદ પવૃત્તિ હોય. એનો આશ્રય તો ત્યારે જ લેવામાં આવે છે જ્યારે ગળે ઉતરે એવી કોઈ દલીલ ન હોય અથવા એવું કશુંક કરવું હોય કે કર્યું હોય જેનો બચાવ કરવો મુશ્કેલ પડે.

પણ અહીં જે મેં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તેનો ઉત્તર એટલો આસાન નથી. તેનું એક વિશાળ ચિત્ર છે અને તેને સમજવાનો પણ પ્રયાસ કરવો જોઈએ. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય બનવાની જે છૂટ આપી છે એ પણ આ વિશાળ ચિત્રનો હિસ્સો છે. જગત આખામાં બહુમતી રાષ્ટ્રવાદીઓ રાષ્ટ્ર વિશેની તેમને અનુકૂળ આવે એવી એક કલ્પના (નેરેટિવ) વિકસાવે છે અને તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી રચે છે. વહીવટીતંત્ર, ન્યાયતંત્ર, મીડિયા, સામાન્ય શિક્ષણસંસ્થાઓ, વિશેષ પ્રકારનું શિક્ષણકાર્ય કરતી શોધસંસ્થાનો, પોલિસી રિસર્ચનું કામ કરતી થીંક ટેંક, એન.જી.ઓ. વગેરે કબજે કરે છે અને જો કબજે કરવી મુશ્કેલ લાગે તો બંધ પાડે છે. તેમની એવી ધારણા હોય છે કે આ બધી સંસ્થાઓમાં જો આપણા લોકોને બેસાડ્યા હોય તો તેઓ પેલા નેરેટિવને લોકો સુધી પહોંચાડશે, તેને દૃઢ કરશે અને એ નેરેટિવનો વિરોધ કરનારાઓના વૈકલ્પિક નેરેટિવને લોકો સુધી પહોંચતા રોકશે. વિરોધીઓની જગ્યા જ આંચકી લો. તસુ જમીન મળશે તો ઊભા રહેશે ને!

તેમની ગણતરી અને ઉપાયયોજના એકદમ દુરુસ્ત છે, પણ તેમાં બે સમસ્યા છે. પહેલી સમસ્યા એ કે આ જગતમાં કોઈ પણ માણસ અને કોઈ પણ સત્તા બદલાતા સમયને અને સમય સાથે બદલાતા સમાજના ડાયનેમિક્સને રોકી શકતો નથી. જગતના ઇતિહાસમાં આજ સુધી આવું બન્યું નથી. આ સતત પ્રવાહમાન પરિબળોને સ્થગિત કે સ્થિર કરી શકાતાં નથી. સતત પરિવર્તિત સમયને મુઠ્ઠીમાં બાંધી શકાતો નથી, પછી ભલે મુઠ્ઠી ગમે એટલી મજબૂત હોય. અને બીજી સમસ્યા એ કે સમયને પ્રતિસાદ આપવાથી બચી શકાતું નથી. આ જગતમાં એવો કોઈ માયનો લાલ પાક્યો નથી જે પોતાનાં સમયના સંદર્ભોથી બચી શક્યો હોય. સમયને પ્રતિસાદ આપવો જ પડતો હોય છે તે ત્યાં સુધી કે મોઢું ફેરવી લેવું એ પણ એક પ્રતિસાદ છે. સમય અને તેનાં પ્રભાવોથી બચી શકાતું નથી અને તે સતત પ્રવાહમાન છે. બદલાતો રહે છે.

ટૂંકમાં પોતાને અનુકૂળ આવે એવું એક નેરેટિવ વિકસાવ્યું, તેને લોકો સુધી પહોંચાડવા માટે દરેક પ્રકારની સંસ્થાઓ કબજે કરી, તેને કોઈ પડકારે નહીં એવી એક કિલ્લેબંધી પણ કરી; પરંતુ પેલો સમય, સમય હાથમાં બંધાતો નથી. આ સમય અને સમય દ્વારા પ્રભાવિત સમાજના ડાયનેમિક્સ અપૌરુષેય હોય છે. આ રચનારો કોઈ પુરુષ હાથ લાગે તો ટ્રોલિંગ પણ કરી શકાય, પણ એ તો નિરાકાર છે.

અહીં આખી યોજના નિરસ્ત થઈ જાય છે અને બીજી સમસ્યા પેદા થાય છે પ્રતિસાદની. સરેરાશ બૌદ્ધિક ક્ષમતા ધરાવનારા મીડિયોકર લોકો સમયને પ્રતિસાદ આપી શકતા નથી અને સમય  તક અને જોખમ બન્નેને લઈને આવે છે. તકને ઝડપવાની હોય છે અને જોખમથી બચવાનું હોય છે. પણ ખાટલે મોટી ખોડ એ હોય છે કે દરેક જગ્યાએ મીડિયોકર લોકો ગોઠવાયેલા હોય છે. એ લોકો બદલાતા સમયને પામી નથી શકતા ત્યાં પ્રતિસાદ શું આપવાના! કોઈ બજેટની ટીકા કરે અને ગાળાગાળી પર ઉતરી જવું પડે ત્યાં સમયને પારખવો અને પ્રતિસાદ આપવો એ તો બહુ અઘરું કામ છે. આને કારણે બને છે એવું કે સમય પરિપક્વ થઈને સામે આવે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હોય. ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યાં તેજસ્વી શાસકો હતા, જ્યાં તેજસ્વી લોકોનું શાસન હતું અને જ્યાં તેજસ્વી ગુરુઓ હતા એ બધું ચણી ગયા.

ઉદાહરણ આપવું હોય તો મુસ્લિમ દેશોનું આપી શકાય. એક સમય હતો જ્યારે મુસ્લિમ દેશોનો ડંકો વાગતો હતો, પણ જ્યારથી મુસ્લિમ દેશોમાં ત્યાંના શાસકોએ અને મૌલવીએ મળીને “આપણે મહાન છીએ કારણ કે આપણે ખુદાએ પસંદ કરેલી અને ઈસ્લામને માનનારી વિશેષ  કોમ છીએ, ઇસ્લામ જગતનો એક માત્ર સાચો અને સંપૂર્ણ ધર્મ છે, ઇસ્લામને સ્થળ અને કાળના બંધનો નડતાં નથી અને માટે ઈસ્લામને નહીં માનનારું જગત આખું આપણી વિરુદ્ધ છે, આપણી વિરુદ્ધ કાવતરાં થઈ રહ્યાં છે, પણ આપણે તેમની દયા ખાવી જોઈએ” એવા નેરેટિવને લોકો સુધી પહોંચાડવાની, તેને સ્વીકૃત બનાવવાની અને તેનાથી અલગ પ્રકારના વૈકલ્પિક નેરેટિવને રોકવાની યંત્રણા અને કિલ્લેબંધી કરી ત્યારથી મુસ્લિમ દેશોનું પતન શરૂ થયું. આધુનિક યુગને તેઓ પારખી જ ન શક્યા. તેને નકાર્યો. આજે પણ નકારે છે. સરેરાશ મુસલમાન સામે આરોપ એ છે કે તે આધુનિકતા(આધુનિક મૂલ્યવ્યવસ્થા)ની વિરુદ્ધ છે. જે લોકો ઊહાપોહ કરે છે તેમને ઇસ્લામદ્રોહી કહીને સતાવવામાં આવી રહ્યા છે.

બીજું આવું ઉદાહરણ સામ્યવાદી દેશોનું આપી શકાય. “ઇતિહાસમાં સદૈવ સર્વહારાનું શોષણ કરનારો શોષક વર્ગ સામ્યવાદી વિચારનો દુશ્મન છે, કારણ કે તેણે સર્વહારાને શક્તિશાળી બનાવ્યો છે. તેઓ આપણા દુશ્મન છે, આપણી વિરુદ્ધ કાવતરાં કરે છે અને આપણે તેમનાથી સાવધ રહેવાનું છે.” આ નેરેટિવને લોકો સુધી પહોંચાડવા, તેને સ્વીકાર્ય બનાવવા તેમણે પણ ઉપર કહી એવી સંસ્થાઓને કબજે કરી હતી અને તેની સામેનું વૈકલ્પિક નેરેટિવ લોકો સુધી ન પહોંચે એ માટે કિલ્લેબંધી કરી હતી. પણ પરિણામ? એક એક કરીને સામ્યવાદી દેશોનું પતન થયું અને એ થવાનું જ હતું. બદલાયેલા સમયના સંકેતો ઓળખતા તેમને દાયકાઓ લાગ્યા. મિકાઈલ ગોર્બાચોવ જ્યારે સામ્યવાદી રશિયાના મહા મંત્રી બન્યા ત્યારે તેમને સમજાયું કે હવે બદલાયેલા સમયને નકારી શકાય એમ નથી. સમય આગળ નીકળી ગયો છે અને આપણે પાછળ રહી ગયા છીએ. તેમણે રશિયન પ્રજાને રશિયન ભાષાના બે શબ્દ આપ્યા હતા; ‘પેરેસ્ત્રોઇકા’ અને ‘ગ્લાસનોસ્ટ’ જેનો અર્થ જ થાય છે નૂતન, નૂતનનો સ્વીકાર અને સ્વીકાર શક્ય બને એ માટે નવરચના. ખાસ પ્રકારના નેરેટિવને સ્વીકાર્ય બનાવવા માટેની યંત્રણા અને તેને ટકાવી રાખવા માટેની કિલ્લેબંધીને હવે તોડી નાખવામાં આવે. જ્યાં સુધી એ તોડવામાં નહીં આવે ત્યાં સુધી હાથમાંથી છૂટી ગયેલા સમયને લાંઘી નહીં શકાય. પચાસેક જેટલા મુસ્લિમ બહુમતી દેશો અને પચાસેક જેટલા સામ્યવાદી દેશોનો આ નજર સામેનો ઇતિહાસ છે.

સો સો દેશોનો ઇતિહાસ (અને વર્તમાન પણ) સામે હોવા છતાં આપણે એ જ કરી રહ્યા છીએ જે તેમણે કર્યું હતું. હિંદુ રાષ્ટ્રનું બોન્સાઇ નેરેટિવ સ્વીકૃત બનાવવા અને તેને કોઈ પડકારે નહીં એ રીતની કિલ્લેબંધી કરવા તેઓ આકાશપાતાળ એક કરી રહ્યા છે. અપરાધશાસ્ત્ર કહે છે કે દરેક ગુનેગારને એમ લાગે છે કે અત્યાર સુધીનાં ગુનેગારોને ગુનો કરતાં આવડ્યું નહોતું એટલે તેઓ પકડાઈ ગયા, હું પરફેકટ ક્રાઈમ કરી બતાવીશ. આ ન્યાયે પરિણામ સામે હોવા છતાં કેટલાક શાસકોને એમ લાગે છે કે આગલા શાસકોને સમયને નાથતા આવડ્યું નહોતું એટલે સમય હાથમાંથી સરકી ગયો, પણ હું સમયને મારી તરફેણમાં રોકી બતાવીશ. એટલે એ ફરીવાર એ જ કરે છે જે બીજાઓએ કર્યું હતું. આને કારણે ઇતિહાસ પોતાને રિપીટ કરતો હોય છે.

તેઓ જે કરી રહ્યા છે એ થવું અસંભવ છે, પણ પતન નિશ્ચિત છે. અત્યારે જ તેનાં સંકેત મળવા લાગ્યાં છે. વિકાસના અને પ્રજાકીય સુખાકારીના દરેક ઇન્ડેક્સમાં ભારત ૨૦૧૪ની તુલનામાં નીચે જઈ રહ્યો છે. હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે તપાસ કરી જુઓ. આ તો હજુ શરૂઆત છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 04 ઑગસટ 2024

Loading

લાલચ અને ભ્રષ્ટાચારની ભીંસથી યુવાન ભારતના ઉજળા ભવિષ્યનું ગળું ટૂંપી રહ્યા છે કોચિંગ સેન્ટર્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|4 August 2024

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની ખેંચતાણ વચ્ચે વિદ્યાર્થીઓનાં હિત જ નહીં જીવની પણ કોઇને પરવા નથી

ચિરંતના ભટ્ટ

આપણે ત્યાં જીવવા માટેનાં કારણો આપણને મળે ન મળે પણ માળું મરવું હોય તો કારણ શોધવા નથી જવું પડતું. ક્યાંક હોર્ડિંગ પડી જાય છે તો ક્યાંક કોઇ પૈસાવાળાનો નબીરો દારુ પીને મોંઘી દાટ કાર ચલાવીને તમને મારી નાખી શકે છે, ક્યાંક પૂલ તૂટી પડે છે, ગેઇમિંગ ઝોનમાં આગ લાગી જાય છે તો ક્યાંક ઓવરલોડ થયેલી હોડી પલટી ખાઇ જાય છે. કોચિંગ ક્લાસમાં લાગેલી આગ શું કરી શકે છે એ તો આપણને ખબર છે પણ કોચિંગ ક્લાસ જે બેઝમેન્ટમાં ચાલતા હોય ત્યાં પૂરનાં પાણી ભરાઇ જાય એમાં પણ દેશનું ભવિષ્ય ઘડવા માટે આઇ.એ.એસ. જેવી પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓના જીવ જઇ શકે છે, એ પણ હવે આપણે જાણીએ છીએ. દેશની રાજધાનીમાં આ ઘટના ઘટી છે. બધી જ દુર્ઘટનાઓ રેઢિયાળ તંત્ર, નકરી બેદરકારી અને નિયમોને નહીં જ પાળવાની આપણી માનસિકતાનું પરિણામ છે.

દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારને UPSC કોચિંગનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. આખા દેશમાંથી હજારો ઉમેદવારો અહીં UPSCના કોચિંગમાં પ્રવેશ લઇ IAS અધિકારી બનવાની તૈયારી કરે છે. 27મી જુલાઇએ સાંજે IAS સ્ટડી સર્કલના ભોંયરામાં પાણી ભરાયું અને ત્રણ વિદ્યાર્થીઓ – જે જીવતા રહ્યા હોત તો કદાચ IAS બનત – નાં મોત થયા. આ થયું તેના અઠવાડિયા પહેલાં 26 વર્ષના નિલેશ રાઇને કરંટ લાગ્યો અને તેનું મોત થયું. લોખંડના ગેટ અને લટકતા વાયરો વચ્ચે ચોંટી ગયેલા મૃતદેહની તસવીરથી હજી કળ વળે ત્યાં તો બેઝમેન્ટમાં ભરાયેલાં પાણીએ ત્રણ જણનાં જીવ લીધા. કોચિંગ સેન્ટરના ધંધાની ત્રુટિઓને અત્યાર સુધી અવગણનાર વહીવટી તંત્ર સફાળું જાગ્યું અને કોચિંગ સેન્ટરો સામે પગલાં લેવાની શરૂઆત કરાઇ. દસથી વધારે કોચિંગ ક્લાસિઝને તાળાં લાગ્યા અને બેઝમેન્ટમાં ચાલનારા ક્લાસને મામલે ધરપકડો પણ કરાઇ. વિદ્યાર્થીઓએ અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાલ પણ ચલાવી જેથી તંત્રને કડક પગલાં લેવામાં કોઈ ઢીલ મુકવાની ઇચ્છા ન થાય.

જે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા એ રાવ કોચિંગ સેન્ટર કોર્સિઝ માટે લાખો રૂપિયા ફી વસૂલ કરે છે, પણ સગવડને નામે મિંડુ. બેઝમેન્ટમાં સાંકડ મુકડ ક્લાસરૂમમાં 250-300 વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવવામાં આવે છે.  વળી અમુક બેઝમેન્ટમાં તો કોટડી જેવી જગ્યા આપી પી.જી. સર્વિસ પણ ચલાવાય છે. જ્યાં દેશ ચલાવનારા ભાવિ અધિકારીઓની તાલીમ થઇ રહી છે, એવી જગ્યાઓ મોતનાં નોતરા સમાન છે. આવા જ કોઇ ક્લાસમાં ભણીને અધિકારી બની ગયેલા કોઇને પણ એમ નહીં થયું હોય કે એ જે થઇ રહ્યું છે એ ખોટું છે?

હકીકત એ છે કે આપણા દેશમાં કોચિંગ સેન્ટર્સ એક એવો ખુલ્લો ઘા છે જેમાં સડો થતો તો બધાને દેખાય છે પણ મજાલ છે કોઇની કે એની પર કોઇ સવાલ ઉઠાવે? પોતાનાં સંતાનોનું ભવિષ્ય ઘડનારા આ કોચિંગ સેન્ટર્સ જ તેમનો કાળ બની શકે એવી કલ્પના તો કોઈ મા-બાપને નહીં હોય પણ વાસ્તવિકતા એ છે કે ઉજળા ભવિષ્યના રસ્તે ક્યાંક દાઝેલા શરીરો છે, ક્યાં ભાંગેલા હાડકાં છે તો હવે ડુબીને મોતને ભેટલા શરીરો પણ છે. લાખો રૂપિયા લઇને ઘેંટા-બકરાંની માફક વિદ્યાર્થીઓ ઠાંસી ઠાંસીને ભરનારા આ સેન્ટર્સ આ છોકરાંઓની પ્રાથમિક સલામતીની પરવા પણ નથી કરતા. જે બેઝમેન્ટમાં પાણી ભરાવાથી આ દુર્ઘટના થઇ એ જગ્યા તો ખરેખર પાર્કિંગ તરીકેનું સર્ટિફિકેટ ધરાવતી હતી, પણ ત્યાં તો લાઇબ્રેરી ચાલતી હતી. બેઝમેન્ટના દુરુપયોગની ગેરરીતિ પર સવાલ કરવાવાળું કોઇ ન નીકળ્યું. પણ હવે જ્યારે ન થવા જેવું થઇ ગયું  છે પછી રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે ‘તું તું મૈં મૈં’ શરૂ થઇ ગયું છે. ધરપકડ થઇ ખરી પણ એમાં એકેય માણસ મ્યુનિસિપલ કોર્પોરેશનનો અધિકારી નથી. દિલ્હીમાં AAPની સરકાર હેઠળ જ મ્યુનિસિપલ કોર્પોરેશન આવે છે અને વરસાદ તૂટી પડ્યો એ પહેલાં ‘પ્રિ-મોનસૂન મેકઅપ’ની કામગીરીમાં ન તો સ્ટોર્મ વૉટર ડ્રેનેજની સફાઇ કરાઇ હતી, ન તો પાર્કિંગ માટે અપાયેલા બેઝમેન્ટમાં ગેરકાયદે ચાલતી વ્યવસાયી પ્રવૃત્તિઓને અટકાવવામાં આવી હતી. વહીવટી તંત્ર, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે દોષનો ટોપલો ફેરવ્યા કરે છે – પણ કોઇ ગંભીરતાથી આ ઘટનાની જવાબદારી સ્વીકારે એવું છે જ નહીં. વિરોધ કરવા બેઠેલા વિદ્યાર્થીઓ નથી ઇચ્છતા કે આ કિસ્સો રાજકીય ખેલનો ભાગ બનીને પતાવી દેવાય અને માટે જ તેમની એક જ માગ છે કે એમ.સી.ડી. – મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ દિલ્હી – ના અધિકારી ત્યાં આવે. થોડા મહિના પહેલાં આવા કોચિંગ સેન્ટરમાં તાલીમ લેનારા વિદ્યાર્થીએ કોર્પોરેશનને બેઝમેન્ટમાં ચાલતા ક્લાસિઝ વિશે, ત્યાંની અસલામતી વિશે ફરિયાદ કરી હતી. સાથે એમ પણ કહ્યું હતું કે કોર્પોરેશનમાં ચાલનારા ભ્રષ્ટાચારને પગલે જ આ બધી ગેરરીતિઓ ચાલી રહી છે પણ સત્તા પર બેઠા પછી કોઇને ય સામાન્ય લોકોની ફરિયાદ કાને નથી પડતી. આ કોચિંગ સેન્ટરો જ્યાં છે ત્યાં પાણી ભરાવું એક સામાન્ય ઘટના છે અને વરસાદ વધે ત્યારે પાણીના પ્રવાહ સામે લડવા અહીં સેન્ટરવાળાઓએ લોખંડી સળિયા વાળા ગેટ લગાડી દીધા છે પણ એ રસ્તેથી પસાર થયેલી એક એસ.યુ.વી.ને પગલે ત્યાં પાણીનો ફોર્સ વધ્યો અને બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયું. ગટરો સાફ નથી થઇ, નાળાં જામ છે, એન્ક્રોચમેન્ટ યથાવત્ છે, બેઝમેન્ટમાં ગેરકાયદે ક્લાસિઝ ચાલે છે પણ વાંક કોનો? રસ્તેથી એસ.યુ.વી. ચલાવીને લઇ જનારા ડ્રાઇવરનો? આનાથી ભદ્દી મજાક બીજી શું હોઇ શકે?

AAP ચાહે તો નૈતીક જવબદારી સ્વીકારી શકે પણ એવું થયું નથી. કોર્પોરેશનના બે એન્જિનિયર્સ સામે પગલાં લેવાયાં પણ તેનાથી ખરેખર પરિસ્થિતિ બદલાઇ જશે? આ બધી ‘ટિક માર્ક’ પ્રવૃત્તિઓ છે જેનાથી કોઇ ફેર પડવાનો નથી. વિદ્યાર્થીઓનો આક્રોશ શમવાનો નથી. આ એ વિદ્યાર્થીઓ છે જે ભવિષ્યમાં દેશ ચલાવવા માગે છે પણ તેમને પણ હવે સમજાઇ રહ્યું છે કે સત્તા અને તંત્રને લગીરેક ફેર પડતો નથી. તેમને આશ્વાસન આપવા માટે પણ કોઇ નથી.

ભા.જ.પા., APP, અને બ્યુરોક્રેટ્સના ખેલમાં ભોગ વિદ્યાર્થીઓનો લેવાય છે. વળી UPSCની પરીક્ષા માટે લોકોને તૈયાર કરનારા ‘ફેન્સી’ શિક્ષક જે ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂક્યા છે તે પણ અત્યારે તો ક્યાં ય નથી સંભળાતા.

દિલ્હીના મુખર્જી નગર વિસ્તારમાં, જે પણ એક કોચિંગ હબ છે ત્યાં 2023માં આગના બનાવમાં સાંઇઠ વિદ્યાર્થીઓનો જીવ માંડ બચ્યો હતો. આ ઘટના પછી પણ કોચિંગ સેન્ટરની ગેરરીતિઓ સામે પગલાં લેવાનું કોઇએ ન વિચાર્યું. આ રેઢિયાળ તંત્રનો, નરી અવગણનાનો અને સ્વાર્થી વિચારધારાનો વાંક છે. અહીં કોઇ એક સરકાર પર નહીં પણ માનસિક રીતે પ્રસરેલા નિયમભંગ અને ભ્રષ્ટાચારની આદત પર સવાલ ઉઠાવવાની જરૂર છે.

ફિલ્મો અને વેબ સિરીઝમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંઘર્ષ કરતા, હેરાન થતા વિદ્યાર્થીઓની વાર્તાઓ જોઇને ખુશ થવાને બદલે તેમની આ બદતર હાલત બદલવા માટેની પહેલ ઉઠાવવાની જરૂર છે. સ્ક્રીન પર કોચિંગ ઉદ્યોગનું સત્ય નથી બતાડાતું કારણ કે આવી વાર્તાઓને રોમાંચક બનાવવા પાછળ પૈસા પણ તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના જ લાગ્યા હોય છે.

બાય ધી વેઃ 

આવી ઘટના માત્ર દિલ્હી સુધી સીમિત નથી. કોટામાં તો વિદ્યાર્થીઓ સાથે એટલી સખતાઇ વર્તવામાં આવે છે કે 2014થી માંડીને અત્યાર સુધીમાં 147 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. ક્યાંક શારીરિક બેદરકારી તો ક્યાંક માનસિક ત્રાસ – આ જ રસ્તા છે બાહોશ વિદ્યાર્થીઓને સજ્જ કરવાના? ભારતના યુવાનો બેઝમેન્ટમાં મરી રહ્યા છે. તગડી નોકરી મેળવવાની ભ્રમણામાં જીવતા વિદ્યાર્થીઓ એક એવા ટાઇમ બોમ્બનો શિકાર છે જે ક્યારે અને કેવી રીતે તેમનો કોળિયો કરી જશે તે તેમને પણ નથી ખબર. આજે ભારતના 66 ટકા બેરોજગારો શિક્ષિત છે અને બેરોજગારીનો દર ૩૦ ટકાએ પહોંચ્યો છે. ભારત સૌથી યુવાન દેશ છેના ફાંકા મારવાનું બંધ કરી આ શિક્ષિત બેરોજગારો માટે નોકરીની તકો પૂરી પાડવાની દિશામાં કામ કરવું અનિવાર્ય છે, નહીંતર તેમાં ઘણાં બધા અંતે આવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના તંત્રનો ભાગ બનશે, ખોટી દિશા પકડશે, ખોટી દિશા બતાડશે અને જ્યારે કોઇના જીવ જશે ત્યારે તેમની પાસે કંઇ કહેવાનું નહીં હોય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2024

Loading

દલિતો અને આદિવાસીઓને અનામત વિશેનો સુપ્રિમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક જરૂર છે, અંતિમ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|4 August 2024

રમેશ ઓઝા

સર્વોચ્ચ અદાલતની સાત જજોની બેન્ચે અનામત વિષે જે બહુમતી ચુકાદો આપ્યો છે એ ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ છે એ કહેવું મુશ્કેલ છે.

સર્વોચ્ચ અદાલત સમક્ષ સવાલ એ હતો કે દલિતો અને આદિવાસીઓ માટે જે અનામતની જોગવાઈ છે એમાં તેની અંતર્ગત વિભાજન કરવું જોઈએ કે નહીં? શું દેશમાં અલગ અલગ પ્રદેશમાં રહેતા તમામ આદિવાસીઓ અને તમામ દલિતો એક જ જાતિના છે? એક સરખું સામાજિક સ્તર ધરાવે છે? કે પછી તેમની અંતર્ગત સામાજિક સ્તરમાં અંતર છે અને માત્ર અંતર જ નહીં ભેદભાવ પણ છે? જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં? જો એમ કરવામાં ન આવે તો દલિતો અને આદિવાસીની સબળ જાતિઓ અનામતનો લાભ લેતી રહે અને જે પાછળ છે એ પાછળ જ રહે. આ અનામત પાછળના મૂળ ઉદ્દેશને હાનિ નથી પહોંચાડતી?

આ પ્રશ્નોનો ઉત્તર આપવો અઘરો નથી. ભારતના દરેક પ્રદેશમાં રહેતા લોકોને જાણ છે કે તેમને  ત્યાંના દલિતો અને આદિવાસીઓ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે એક સરખી સ્થિતિમાં નથી. તેમની અંદર વિવિધ જાતિઓ છે અને જાતિએ જાતિએ તેમનું સ્તર અલગ અલગ છે. એક જ જાતિની અંદર પણ સ્તરમાં અંતર છે. જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દલિત તરીકે ઓળખાતી ૩૫ જાતિઓ છે. હકીકતમાં એ અનુસૂચિત કરવામાં આવેલી જાતિઓ છે જેને “દલિત” તરીકે ઓળખાવવામાં આવે છે. ટૂંકમાં દલિત જેવી કોઈ એક જાતિ નથી. એવું જ આદિવાસીઓનું. માટે ઉક્ત પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને સર્વોચ્ચ અદાલતે ઠરાવવાનું હતું કે  જો તેમની અંદર પણ સામાજિક સ્તરે અંતર હોય અને ભેદભાવ પણ હોય તો અનામતના લાભની પ્રમાણસર વહેંચણી થવી જોઈએ કે નહીં?

સર્વોચ્ચ અદાલતે આ બાબતે પહેલો ચુકાદો ૨૦૦૫ની સાલમાં ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે ત્યારે કહ્યું હતું કે બંધારણનાં આર્ટીકલ ૩૪૧(૧) મુજબ જે યાદીના આધારે અનામતની જોગવાઈ આપવામાં આવે છે એ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની યાદીમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર રાષ્ટ્રપતિ ધરાવે છે. એમાં જો ફેરફાર કરવો હોય તો સંસદ કરી શકે, રાજ્ય સરકારો આ ન કરી શકે. પણ પંજાબની સરકારે કાયદો ઘડીને આવો એક પ્રયાસ કર્યો હતો અને તેને પણ અદાલતમાં પડકારવામાં આવ્યો હતો. આની સામે રિવ્યુ પિટીશન કરવામાં આવી હતી અને રિવ્યુ પિટીશન સાંભળનાર જજોએ છેવટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સલાહ આપી હતી કે એક વિશાળ બેંચ રચવામાં આવે અને આ વિષે નિર્ણય લેવામાં આવે.

એ સલાહને અનુસરીને સાત જજોની ખંડ પીઠ રચવામાં આવી. સર્વોચ્ચ અદાલતનો ગુરુવારનો ચુકાદો સાત ન્યાયમૂર્તિઓની ખંડપીઠનો ચુકાદો છે. સાત જજોમાંથી છ જજોએ ચુકાદો આપ્યો હતો કે પરંપરાગત રીતે જે કેટલીક પ્રજાને અન્યાય કરવામાં આવતો રહ્યો છે એ પ્રજાને ન્યાય મળે અને એ બીજાની બરાબર કરી શકે એવા સમાનતા આધારિત સમાજની રચના કરવામાં આવે એ આખરી ઉદ્દેશ છે. અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓની જે સૂચી બનાવવામાં આવી છે આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પણ વાસ્તવિકતા એ પણ છે કે એ જાતિઓ અને જનજાતિઓની સ્થિતિ એક સમાન નથી. એ કોઈ એક જ્ઞાતિ નથી, પણ અલગ અલગ જ્ઞાતિઓનો સમૂહ છે એ હકીકત છે. માટે દલિતો અને આદિવાસીઓમાં જે જાતિઓ કે જનજાતિઓ વધારે પછાત છે અને જે જાતિઓ અને જનજાતિઓ પ્રમાણમાં સામજિક સ્તરે આગળ છે એની વચ્ચે ભેદ પાડવો જોઈએ અને એ મુજબ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલ અનામતમાં પેટા વિભાજન થવું જોઈએ. ન્યાયમૂર્તિ બેલા ત્રિવેદીએ આનાથી અલગ ચુકાદો આપ્યો છે અને ઈ.વી. ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાને માન્ય રાખ્યો છે અને કહ્યું છે કે આવો અધિકાર રાજ્યોને ન આપી શકાય.

આ સિવાય સાતમાંથી ચાર ન્યાયમૂર્તિઓએ હજુ અગલ પડીને ક્રિમી લેયર હટાવવાનો પણ ચુકાદો આપ્યો છે. જેમ ઉકળતા દૂધ પરથી મલાઈ હટાવીને દૂધથી અલગ કરવામાં આવે છે એમ અનામતની જોગવાઈનો લાભ લઈને પ્રમાણમાં ઉચ્ચ સ્તરે ગોઠવાયેલા લોકોનાં પરિવારોને અનામતની જોગવાઈનો લાભ લેનારાઓમાંથી અલગ તારવતા જવા જોઈએ. જો આમ કરવામાં આવશે તો અનામતની જોગવાઈનો લાભ એવા લોકોને મળશે જેને ખરેખર તેની જરૂર છે. કોઈ દલિત કે આદિવાસી લોકપ્રતિનિધિ હોય, સનદી અધિકારી હોય, કોઈ મોટો પદાધિકારી હોય કે સફળ વિજ્ઞાની હોય તો એ જેનો હાથ પકડવો પડે એવો દુર્બળ દલિત કે આદિવાસી રહેતો નથી. તેને બહાર કાઢવામાં આવે. ચાર જજો વતીનો આ ચુકાદો ન્યાયમૂર્તિ બી.આર. ગવઈએ લખ્યો હતો જે સ્વયં દલિત છે. વાચકોને યાદ હશે કે ક્રિમી લેયર દૂર કરવાની જોગવાઈ અન્ય પછાત કોમો માટે આ પહેલાથી જ છે.

આગળ કહ્યું એમ ચુકાદો ઐતિહાસિક અવશ્ય છે, પણ અંતિમ હશે એમ કહેવું મુશ્કેલ છે. જો કે ન્યાયમૂર્તિ ગવઈએ કહ્યું જ છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનું તેની અંતર્ગત સામાજિક સ્તર ઠરાવવું એ ઊંડા અભ્યાસનો વિષય છે. આ કામ કાળજીપૂર્વક કરવું પડે એમ છે. આમાં રાજકારણ વચ્ચે ન આવવું જોઈએ. અહીં ઈલાજ બનીને આવે છે જાતિજનગણના. બિહાર સરકારે જાતિ જનગણના કરાવી તો ધ્યાનમાં આવ્યું કે મુસહર જેવા દલિતો અન્ય દલિતો કરતાં ક્યાં ય પાછળ છે. સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ દેશે જાતિ જનગણના કરાવવી જ જોઈએ કે જેથી ખબર પડે કે હવે કોનો હાથ છોડવાની જરૂર છે અને કોનો પકડવાની જરૂર છે. એમાં ગરીબ સવર્ણોનો પણ સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ લોકસભામાં આની માંગ કરી તો શાસક પક્ષના સભ્ય અનુરાગ ઠાકુરે તેમની હંમેશની અસંસ્કારી ભાષામાં કહ્યું હતું કે જેની કોઈ જાતિ નથી અર્થાત વર્ણસંકર છે એ જાતિની વાત કરે છે. હંમેશની માફક વડા પ્રધાને અભદ્રતાને આવકારીને અનુરાગ ઠાકુરને શાબાશી આપી હતી.

પણ હવે તો સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓનાં સામાજિક પછાતપણાનું પૃથ્થકરણ કરવામાં આવે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 04 ઑગસ્ટ 2024

Loading

...102030...612613614615...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved