Opinion Magazine
Number of visits: 9457233
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફાઇવ આય્ઝ અલાયન્સનો ભારતને આડકતરો સંદેશઃ માપમાં અને સાથમાં હશો તો સલામત રહેશો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|19 May 2024

ભારત વૈશ્વિક સ્તરે ગુપ્તચર કામગીરીને મામલે જે પણ કરે છે તેની પર આ ફાઇવ આય્ઝ અલાયન્સના સભ્યોની બારીક નજર છે. ભારત હજી એક વિકાસશીલ દેશ છે અને તેમાં જ્યારે તેના ગુપ્તચર વિભાગ દ્વારા બેફામ રીતે કામ થઇ રહ્યું હોવાની લાગણી વિદેશી રાષ્ટ્રોને થાય ત્યારે આપણે ચેતી જવું પડે

ચિરંતના ભટ્ટ

અંગ્રેજી ફિલ્મો જોઇએ ત્યારે વિદેશની ઇન્ટેલિજન્સ એજન્સીઝ એટલે કે ગુપ્તચર વિભાગની કામગીરી જોઇને આભા થઇ જવાય છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતીય ગુપ્તચર વિભાગની કામગીરી દેખાડતી વેબ સિરીઝ અને ફિલ્મો પણ આવી છે. ‘ટાઇગર ઝિંદા હૈ’ ફિલ્મ પણ ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકની જિંદગી પરથી બની હતી. જો કે ભારતીય ગુપ્તચર વિભાગ એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ – RAW જેની કામગીરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશને નુકસાન પહોંચડાવાની કામગીરી થતી હોય,  વિદેશી ગુપ્તરચ માહિતીઓ કે હિલચાલ અંગે વિગતો ભેગી કરવી, દેશમાં નીતિ ઘડનારાઓને માર્ગદર્શન આપવું અને ભારતના વિદેશ સાથેના વ્યૂહાત્મક સંબંધોને બહેતર બનાવવા, દેશના ફાયદામાં કામ કરવું હોય છે. જો કે હમણાં અમુક સંજોગો એવા સર્જાયા છે જેને કારણે ‘વિશ્વગુરુ’ બનવાની દોડમાં જોડાયેલા આપણા દેશના ગુપ્તચ વિભાગ– RAW – સામે આંતરરાષ્ટ્રીય સ્તરે જેને બહુ અગત્યની ગણાય છે એવી ગુપ્તચર એજન્સીઝને જરા વાંધો પડ્યો છે.

પહેલાં તો કયા રાષ્ટ્રના ગુપ્તચર વિભાગો મહત્ત્વના ગણાય છે એ જાણવું જરૂરી છે. આ માટે ફાઇવ આય્ઝ અલાયન્સ વિશે સમજીએ. ધી ફાઇવ આય્ઝ અલાયન્સ પાંચ દેશોનો સમૂહ છે જેમાં યુ.એસ.એ., કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુ.કે. અને ન્યુઝીલેન્ડનો સમાવેશ થાય છે. તેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સલામતી અને ગુપ્તચર માહિતી એકઠી કરવાને મામલે સાથે મળીને કામ કરે છે. ફાઇવ આય્ઝ અલાયન્સની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઇ હતી, જેથી નિયમિતપણે ગુપ્તચર માહિતીનું આદાન-પ્રદાન થઇ શકે. જો કે શરૂઆતમાં તે યુ.કે. અને યુ.એસ.એ વચ્ચેનું જ ગઠબંધન હતું કારણ કે આ બે દેશોના ગુપ્તચર વિભાગોએ સાથે મળીને જર્મન અને જાપાનીઝ કોડ ઉકેલ્યા હતા. આ ગઠબંધનમાં જોડાયેલા દેશો નિયમિતપણે એકબીજા સાથે જરૂરી ગુપ્તચર માહિતીઓ વહેંચે છે. તેમની કાઉન્સિલને ફાઇવ આય્ઝ ઇન્ટેલિજન્સ ઓવરસાઇટ એન્ડ રિવ્યુ કાઉન્સિલ કહેવાય છે, અને તેઓ પરસ્પર એકબીજાના હિત, એકબીજાને કામ લાગી શકે તેવી પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ વહેંચે છે અને વર્ષે એકવાર મળીને બેઠક કરે છે. આ પાંચ રાષ્ટ્રો તેમાં જોડાયેલા છે કારણ કે તમામના લક્ષ્યો ક્યાંક ક્યાંક મળતા આવે છે, જેમ કે ચીનની ગતિ પર ચાંપતી નજર રાખવી. આ એક દેશને કારણે તેઓ સમયાંતરે એકબીજાની વધુ નજીક આવ્યા છે. દાયકાઓ સુધી સાથે કામ કરીને તેમણે પરસ્પર સંબંધ પણ કેળવ્યા છે. જો કે એમ જરૂરી નથી કે પાંચ રાષ્ટ્રોના ગુપ્તચર વિભાગો સાથે મળીને કામ કેર છે એટલે દર વખતે તેમની નીતિઓ અને નિર્ણયોમાં સમાનતા હોય. ન્યુઝીલેન્ડની નીતિ છે કે ચીન સાથે વ્યવસાયી સંબંધો મજબૂત હોવાથી અન્ય ચાર રાષ્ટ્રોની માફક તે ચીનની આકરી ટીકા નહીં કરે.

હવે આ ફાઇવ આય્ઝ અલાયન્સને તાજેતરમાં ભારત સામે જરા વાંકુ કેમ પડ્યું છે એ સમજીએ. આપણે જાણીએ છીએ કે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘુસીને મારે છે વાળું વિધાન 2024ના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાને એક કરતાં વધારે વાર વાપર્યું છે. તેમણે એમ કહ્યું હતું કે ભારત વિરોધી આતંકવાદીઓને ટેકો આપનારા રાષ્ટ્રોને રિપોર્ટ મોકલવાને બદલે હવે આપણે તો તેમના ઘરમાં ઘુસીને આતંકવાદ વિરુદ્ધ પગલાં લઇએ છીએ. કેનેડાના જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની કેનેડામાં હત્યા થઇ, એમાં ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને ભારતે જવાબમાં આ આક્ષેપનો વેતાવગરનાં અને બદઇરાદાથી કરાયા હોવાનો અભિપ્રાય આપ્યો હતો. ખાલિસ્તાની નિજ્જરની હત્યા કેનેડામાં થઇ અને પછી ભારતે ન્યુ યોર્કમાં ખાલિસ્તાની નેતાપન્નુને મારી નાખવાનો પ્રયાસ કરાવ્યો હોવાનો આક્ષેપ યુ.એસ.એ. દ્વારા મુકવામાં આવ્યો. વળી કેનેડાને યુ.એસ.એનો ટેકો પણ મળ્યો અને આ કારણે કેનેડા અને ભારતના સંબંધોમાં તાણ આવી છે. ફાઇવ આય્ઝનો હિસ્સો હોવાને કારણે કેનેડા અને યુ.એસ.એ.ની ગુપ્તચર એજન્સીઝ ભારત વિશે શું વિચારે છે તેનો પ્રભાવ બાકીના ત્રણ રાષ્ટ્રોની ગુપ્તચર એજન્સી પર પણ પડે જ તે સ્વાભાવિક છે. ભારત વૈશ્વિક સ્તરે ગુપ્તચર કામગીરીને મામલે જે પણ કરે છે તેની પર આ ફાઇવ આય્ઝ અલાયન્સના સભ્યોની બારીક નજર છે. ભારત હજી એક વિકાસશીલ દેશ છે અને તેમાં જ્યારે તેના ગુપ્તચર વિભાગ દ્વારા બેફામ રીતે કામ થઇ રહ્યું હોવાની લાગણી વિદેશી રાષ્ટ્રોને થાય ત્યારે આપણે ચેતી જવું પડે.

પછેડી જેટલી જ સોડ તાણવી જોઇએ વાળી કહેવત અહીં લાગુ પડે કારણ કે હજી તો આપણે તેમના સ્તરે પહોંચવાનું છે અને એ માટે તેમનો ટેકો પણ જરૂરી જ બનવાનો છે. ઘર આંગણે પોતાની સત્તા બતાડવામાં ભારતીય ગુપ્તચર વિભાગ બહારના સાથે બગાડે એમાં હવેલી લેતાં ગુજરાત ખોયું વાળો હાલ થવાની વકી વધારે છે. આ પાંચ આંખો માળી ડોળા કાઢે છે કારણ કે એમને એમ થાય છે કે આપણો ગુપ્તચર વિભાગ જેટલી પહોંચ છે તેના કરતાં વધારે જોર કરે છે અને કદ નથી પણ તો ય પેંગડામા પગ ઘાલે છે અને એ તેમણે ન કરવું જોઇએ એમ તેમનું માનવું છે. વળી ભારત વ્યૂહાત્મક રીતે અમુક મુદ્દાઓમાં ફાઇવ આય્ઝ એલાયન્સથી સ્વાયત્ત અભિપ્રાય ઇચ્છે છે. ભારતના ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધોને મામલે પણ ફાઇવ આય્ઝના સભ્યો સાથે ભારતને બધી રીતે ગોઠવાય એમ નથી કારણ કે એ રાષ્ટ્રો આ બન્ને દેશોને મામલે જે બાબતોનો અગ્રિમતા આપે છે તે ભારતને નથી ફાવતું અને આપણે અમુક ભૌગોલિક રાજકીય મામલે આ પાંચ રાષ્ટ્રો કરતાં અલગ વલણ રાખવા માગીએ છીએ. વળી ડેટા પ્રાઇવસીને મામલે ભારતનો અભિગમ ફાઇવ આય્ઝ અલાયન્સ કરતાં જુદો પડી શકે છે. આપણા ડેટા લોકલાઇઝેશનના નિયમો અને વિદેશી ટેક્નોલૉજી કંપનીઝ પરનાં પ્રતિબંધ એ અલાયન્સના ડેટાના મુક્ત પ્રવાહ અને માર્કેટની પહોંચ અંગેની ઉદારમતવાદી નીતિથી અલગ પડે છે. આવા વાંધાવચકાં છતાં પણ વાસ્તવિકતા એ છે કે ફાઇવ આય્ઝ અલાયન્સ સાથે સંઘર્ષ ટાળવો એ ભારત અને અલાયન્સ બન્ને ફાયદામાં છે.

ભારત જો અલાયન્સ સાથે સંઘર્ષ ટાળે તો કાઉન્ટર ટેરરિઝમ, સાઇબર સ્ક્રુટીની અને દરિયાઇ સુરક્ષાને મામલે બન્ને તરફ ફાયદા થઇ શકે છે. જો ભારત આડોડાઇ કરીને હુંકાર કર્યા કરશે અને રાજકારણીઓના ફાંકા જો ખોટી છબી ખડી કરશે તો ફાઇવ આય્ઝ અલાયન્સને ભારત પર વિશ્વાસ નહીં બેસે અને તેઓ સાથે મળીને કામ નહીં કરી શકે, પરિણામે વૈશ્વિક સ્તરે બધાંને જે એક સરખાં જોખમો છે તેની સામે લડવાનું જોર નબળું પડશે. ભારતીય-પેસિફિક પ્રદેશમાં આપણું સ્થાન વ્યૂહાત્મક છે અને માટે જ જો ફાઇવ આય્ઝ સાથે જો વાંકુ પડ્યું તો આખા પ્રદેશમાં જે પણ રોકાણો, વ્યાપારી લેવડ-દેવડ અને પ્રાદેશિક સહકારી પહેલ કરવામાં આવી છે તેમાં લોચા પડવાની શક્યતા પણ વધી જાય. ચીન અને રશિયા જેવા રાષ્ટ્રોનું જોર વધે ત્યારે તેમને નાથવા માટે ભારત અને ફાઇવ આય્ઝ અલાયન્સનું એક હોવું પણ જરૂરી છે કારણ કે તો જ રાજદ્વારી, આર્થિક અને વ્યૂહાત્મક રીતે સત્તાનું સંતુલન અને સુરક્ષા જાળવી શકાશે.

ટુંકમાં સુરક્ષા, સ્થિરતા અને વૈશ્વિક સ્તરના સહકાર માટે ફાઇવ આય્ઝ અલાયન્સ સાથે ભારત તાલમેલ જાળવી રાખે એ જરૂરી છે. મતભેદ હોય પણ મનભેદ ન થાય એ આપણા ફાયદામાં છે.

બાય ધી વેઃ 

ચૂંટણીના હોંકારા પડકારામાં વડા પ્રધાન એ ન ભૂલે કે ફાઇવ આય્ઝ અલાયન્સમાં જે રાષ્ટ્રો છે તેના મીડિયાએ ભારત પર જાસૂસી ઑફરેશન્સ પાર પાડ્યાના આક્ષેપ મુક્યા છે અને નેશનલ સિક્યોરિટી એડવાઇઝ અજીત ડોવાલની સંડોવણી છે એમ પણ નક્કર પુરાવા વિના કહ્યું છે. આપણે ત્યાં એક લહેર એવી પણ ચલાવાઇ છે કે નરેન્દ્ર મોદીની સત્તા અને પ્રભાવને પાંખા પાડવા માટે આવું બધું ચલાવાઇ રહ્યુ છે જ્યારે આપણે તો આતંકવાદીઓને જ હખણા કર્યા છે. જો કે આપણે ખોટી ખાંડ ન ખાવી જોઇએ કારણ કે બીજા રાષ્ટ્રોના સાથ વિના આપણે આગળ નથી વધી શકવાના અને એટલે જ આત્મવિશ્વાસને તાબામાં રાખીને આપણી સરકાર વિચારીને પગલાં ભરે એ જરૂરી છે. ભક્તોની ભક્તિ ઘરે પૂરતાં મહાન બનાવી શકે છે જ્યારે વૈશ્વિક સ્તરે આપણી માન-મર્યાદા જળવાય એ માટે વ્યૂહાત્મક અને શાલિનતા ભર્યો વહેવાર જ કામ લાગશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 મે 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—248

દીપક મહેતા|Opinion - Opinion|18 May 2024

આ વાત છે મુંબઈને આંગણે ઉજવાયેલા એક અનેરા ઓચ્છવની    

સ્થળ : બોમ્બે કહેતાં મુંબઈ

તારીખ-વાર : ગુરુવાર, ૨૭ માર્ચ, ૧૯૫૨

આવો દિવસ મુંબઈના લોકોએ અગાઉ કદિ જોયો નહોતો. છેલ્લા કેટલા ય વખતથી માત્ર મુંબઈમાં જ નહિ, આખા દેશમાં એક બેનમૂન ઓચ્છવ મંડાયો હતો. મુંબઈ શહેરમાં આ દિવસે એ ઓચ્છવ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. કિયો હતો એ ઓચ્છવ? એ ઓચ્છવનું પગેરું કોઈ પંચાંગ જોવાથી મળશે નહિ. કારણ એ કોઈ એક સમુદાયનો, જાતિનો, ધર્મનો ઓચ્છવ નહોતો. એ તો હતો ઇન્ડિયા કહેતાં ભારતના નાગરિકનો ઓચ્છવ. ૨૧ વરસ કરતાં વધુ ઉંમરના એકેએક નાગરિકને આ ઓચ્છવમાં ભાગ લેવાનો અધિકાર હતો. ભાગ લેવો તે તેની ફરજ પણ હતી.

તે દિવસે રોજ કરતાં વધુ ખટારા બોમ્બેના રસ્તાઓ પર દેખાતા હતા. પણ તેમાં માલ-સામાનને બદલે માણસો ભર્યા હતા. મુખ્ય રાજકીય પક્ષો પોતપોતાના મતદારોને તેમના ઘરેથી ખટારામાં બેસાડીને મતદાન મથક સુધી લઈ જતા હતા. સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓએ રસ્તા પર ઠેર ઠેર પીવાનાં પાણીની અને ચાની પણ વ્યવસ્થા કરી હતી. પાછા ફરતાં દરેક જણ પોતાની આંગળી પરનું લાંછન અભિમાનપૂર્વક બીજાને બતાવતા હતા.

૧૯૫૨ની ચૂંટણી  — મત એક અને મત પેટી અનેક

પણ આ ઓચ્છવનું નામ? ચૂંટણી કહેતાં ચુનાવ કહેતાં ઇલેક્શન. આઝાદી પછી પહેલી વાર આખા દેશમાં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ૧૯૫૧ના ઓક્ટોબરથી શરૂ થયેલો ચૂંટણીનો ઓચ્છવ ૧૯૫૨ના ફેબ્રુઆરી સુધી ચાલ્યો હતો. એ સમય દરમ્યાન ૬૮ દિવસે જૂદા જૂદા પ્રદેશોમાં એની ઉજવણી થઇ હતી. આખો દેશ ચૂંટણીમાં મતદાન કરે એવો આ પહેલવહેલો પ્રસંગ હતો. અગાઉ સ્થાનિક સ્વરાજ્ય મળ્યા પછી ૧૯૩૬-૧૯૩૭માં મુંબઈ, મદ્રાસ, બંગાળ, જેવાં ‘અ’ વર્ગનાં ૯ રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી. પણ મત કોણ આપી શકે એ અંગે દરેક રાજ્યની પોતાની અલગ જોગવાઈ હતી. પરિણામે કુલ વસતિના માત્ર ૧૪ ટકા લોકોને મતાધિકાર મળ્યો હતો. જ્યારે ૧૯૫૨ની ચૂંટણીમાં ૨૧ વરસની ઉપરની હરેક વ્યક્તિને મતનો અધિકાર અપાયો હતો. (૧૯૮૯થી આ ઉંમર ઘટાડીને ૧૮ વરસની કરવામાં આવી.) બંધારણ ઘડાઈ રહ્યું હતું ત્યારે બંધારણ સભામાં કેટલાકે આવા સાર્વત્રિક મતાધિકારનો જુદાં જુદાં કારણોસર વિરોધ કર્યો હતો. એ સૌને જવાબ આપતાં હંગામી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું કે સાર્વત્રિક મતાધિકાર એ આપણા દેશ માટે Act of Faith છે. તેના વગર લોકોના મોટા ભાગ માટે આઝાદીનો કશો મતલબ નહિ રહે. મતાધિકાર આપીને આપણે સામાન્ય માણસની સૂઝ-બૂઝ અને સમજમાંની આપણી શ્રદ્ધા પ્રગટ કરીએ છીએ.

પહેલા ચીફ ઈલેક્શન કમિશનર સુકુમાર સેન

નિષ્પક્ષ અને વ્યવસ્થિત રીતે ચૂંટણી યોજાય તે માટે સૌથી પહેલું કામ કરવાનું હતું તે ચીફ ઈલેક્શન કમિશનરની નિમણૂંક કરવાનું. રાષ્ટ્રપતિ દ્વારા ૧૯૫૦ના માર્ચની ૨૧મી તારીખે સુકુમાર સેન(૧૮૯૮-૧૯૬૩)ની નિમણૂંક જાહેર થઈ. ૧૯૫૮ના ડિસેમ્બરની ૧૯મી તારીખ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. એટલે ૧૯૫૭ની બીજી ચૂંટણી પણ તેમની રાહબરી નીચે જ યોજાઈ હતી. તેમણે કલકત્તાની પ્રેસિડન્સી કોલેજમાં અને પછીથી યુનિવર્સિટી ઓફ લંડનમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. યુનિવર્સિટી ઓફ લંડનમાં ગણિતશાસ્ત્ર માટેનો સુવર્ણ ચંદ્રક પણ તેમને મળ્યો હતો. અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસમાં જોડાયા. ચીફ ઈલેક્શન કમિશનર થયા પછી જવાહરલાલ નેહરુની બને તેટલી જલદીથી ચૂંટણી યોજવા માટેની અધીરાઈનો તેમણે કુશળતા અને કૂનેહપૂર્વક સામનો કર્યો હતો. નેહરુના વિચારોનો તેઓ પૂરેપૂરો આદર કરતા હતા, પણ તેમનામાં રહેલો ગણિતશાસ્ત્રી નેહરુને ધીરજ ધરવા કહી રહ્યો હતો. એ વખતે દેશમાંના ૨૧ વરસ કરતાં વધુ ઉંમરના નાગરિકોની સંખ્યા હતી ૧૭ કરોડ ૬૦ લાખ. તેમાંના ૮૫ ટકા લોકો નિરક્ષર હતા. તેઓ પોતાના મતાધિકારનો પૂરેપૂરો ઉપયોગ સરળતાથી કરી શકે એવી પદ્ધતિ ઊભી કરવાની હતી.

સુકુમાર સેને ઊભી કરેલી પદ્ધતિ થોડાઘણા ફેરફારો સાથે વર્ષો સુધી ચાલુ રહી હતી. ૧૯૮૨માં કેરળની એક પેટા ચૂંટણીમાં પહેલી વાર EVMનો ઉપયોગ થયો. પણ તેના ઉપયોગ સામે સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ થયો. ચુકાદો આવ્યો કે ચૂંટણી અંગેના કાયદામાં ‘બેલેટ પેપર’નો જ ઉલ્લેખ છે, બીજી કોઈ પદ્ધતિનો નહિ. એટલે EVMનો ઉપયોગ ગેરકાનૂની છે. ૧૯૮૯માં આ કાયદામાં જરૂરી સુધારો કરવામાં આવ્યો અને તેથી EVMનો ઉપયોગ કરવા માટેનો માર્ગ મોકળો થયો. પહેલાં રાજ્ય વિધાન સભાઓની ચૂંટણીમાં અને પછી લોકસભાની ચૂંટણીમાં પ્રાયોગિક ધોરણે મશીનનો ઉપયોગ થયો. ૨૦૦૪માં પહેલી વાર આખા દેશમાં લોક સભાની ચૂંટણી માટે EVMનો ઉપયોગ થયો જે આજ સુધી ચાલુ છે.

૧૯૫૨ – મત પેટીની સુરક્ષા કરતા મુંબઈ પોલીસના સિપાઈ

પહેલી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી બોમ્બે શહેર આખું ધમધમવા લાગ્યું હતું. (યાદ રહે, એ વખતે આપણા આ શહેરનું સત્તાવાર નામ ‘બોમ્બે’ હતું અને તે બોમ્બે સ્ટેટનું પાટનગર હતું.) આજના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના ઘણાખરા ભાગોનો સમાવેશ બોમ્બે સ્ટેટમાં થતો હતો. એ વખતે જુદા જુદા રાજકીય પક્ષો પાસે પ્રચાર માટેનાં સાધનો ટાંચાં હતાં. અખબારો અને સામયિકો, સભા-સરઘસ, ઠેર ઠેર લગાડાતાં પોસ્ટર્સ. નહોતું ટી.વી. કે ઇન્ટરનેટ, નહોતું સોશિયલ મીડિયા. હા, સરકારી ઓલ ઇન્ડિયા રેડિયો હતો. જુદા જુદા રાજકીય પક્ષોને રેડિયો પરથી પ્રચાર કરવાની સગવડ આપવી કે નહિ, એ અંગે ખાસ્સી લાંબી ચર્ચા ચાલી હતી. છેવટે કોઈ પક્ષને આવી સગવડ આપવી નહિ એમ ચૂંટણી પંચે ઠરાવ્યું. એટલે ચૂંટણીની પ્રક્રિયા સમજાવવા માટે ચીફ ઈલેક્શન કમિશનર અને રાજ્યોના કમિશનરોએ આપેલા વાર્તાલાપો સિવાય પ્રચાર માટે રેડિયોનો ઉપયોગ થયો નહોતો.

મતદાનના દિવસ પહેલાં કેટલાયે દિવસ સુધી આપણું આ બોમ્બે શહેર સભાઓ અને સરઘસોથી ગાજતું રહ્યું હતું. સરઘસો માટે મુખ્ય વાહન હતું ખટારા. બે-પાંચ-સાત ખટારા એક પછી એક લાઈનમાં ગોઠવાય. પહેલા ખટારામાં જે-તે રાજકીય પક્ષનું ચૂંટણી-ચિહ્ન અને રાષ્ટ્રધ્વજ હોય. ના, બે-ત્રણને બાદ કરતાં બીજા રાજકીય પક્ષો એ વખતે પોતાનો અલગ ધ્વજ વાપરતા થયા નહોતા. બીજા ખટારામાં હારતોરા પહેરેલા ઉમેદવાર ઊભા હોય, સાથે તેમના મુખ્ય ટેકેદારો. પછીના ખટારામાં ઉમેદવારના ટેકેદાર સ્ત્રી-પુરુષો હોય. એક ખટારામાંથી દેશભક્તિનાં ગીતોના સૂરો અને મત આપવા માટેની અપીલ મોટા ભૂંગળા જેવા લાઉડ સ્પીકરોમાંથી ફેલાતાં હોય. પછી આવે લેઝીમ પથક. આ લેઝીમ એ બોમ્બે રાજ્યના મરાઠીભાષી પ્રદેશની એક આગવી ઓળખ. અને લેઝીમ પછી ચાલતા હોય આ લખનાર જેવા સામાન્ય લોકો.

૧૯૫૨ – જવાહરલાલ નેહરુ મુંબઈમાં

કાઁગ્રેસ પક્ષનો પ્રચાર કરવા માટે વડા પ્રધાન નેહરુ મુંબઈ આવેલા અને આવા સરઘસમાં જોડાયા હતા. રસ્તાની બંને બાજુથી લોકો તેમના પર હાર અને ફૂલો ફેંકતા. નેહરુ એક-બે હાર રાખી બાકીના હાર-ફૂલ રસ્તાની બંને બાજુએ ઊભેલા લોકો – ખાસ કરીને બાળકો અને સ્ત્રીઓ – પર સામા ફેંકતા. એ વખતે પણ સરકાર અને વિરોધ પક્ષો એવી બે બાજુ તો હતી જ. પણ વાતાવરણ એટલું તંદુરસ્ત હતું કે વડા પ્રધાન આ રીતે હાર કે ફૂલોની આપ-લે કરે તેમાં સરકારને ‘સિક્યોરિટી’ની સમસ્યા નડતી નહોતી.

બે-ત્રણ કલાકે સરઘસ કોઈ નાના કે મોટા હોલ પાસે કે લગ્નની વાડી પાસે, કે કોઈ સ્કૂલ કોલેજના ગ્રાઉન્ડ પાસે પહોચતું અને સભા બની જતું. મોટાં મેદાનોમાં આવી સભાઓ ભરવાનું હજી શરૂ થયું નહોતું. ભાષણોમાં વિરોધી પક્ષના ઉમેદવારોની અંગત ટીકા કે મશ્કરી ભાગ્યે જ થતી. હા, મતભેદની વાત જરૂર થતી.

૧૯૫૨ – ૧૨ રાષ્ટ્રીય પક્ષોનાં ચૂંટણી ચિહ્ન

જ્યાં લગભગ ૮૫ ટકા મતદારો અશિક્ષિત હોય ત્યાં એ પક્ષનું કે ઉમેદવારનું નામ વાંચે કઈ રીતે, અને વાંચ્યા વગર મત આપે કઈ રીતે? એટલે પહેલી જ ચૂંટણીથી ‘ચૂંટણી ચિહ્ન’ની પ્રથા શરૂ થઈ. એ વિચાર પણ ચીફ ઈલેક્શન કમિશનર સેન સાહેબનો. કુલ બાર પક્ષોને ‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો અપાયો હતો અને તે દરેકને એક-એક ચૂંટણી-ચિન્હ ફાળવવામાં આવ્યું. જેમ કે ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસને બે બળદની જોડી, કિસાન મઝદૂર પ્રજા પાર્ટીને ‘ઝૂંપડી’, જનસંઘને ‘દીવો’, રામરાજ્ય પરિષદને ‘ઊગતો સૂર્ય’, વગેરે. આ ઉપરાંત બીજા નાના-મોટા પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો માટે પણ અલગ ચિહ્નોની વ્યવસ્થા કરી હતી. આજે તો હવે દેશમાં શિક્ષણનું પ્રમાણ ઘણું વધ્યું છે, છતાં ચૂંટણી ચિહ્નની આ પ્રથા ચાલુ રહી છે, એટલું જ નહિ એ માટે હરીફ પક્ષો છેક સુપ્રિમ કોર્ટ સુધી ધા નાખે છે.

દેશમાં હજી ટાઈપ રાઈટરનો ઉપયોગ પણ મર્યાદિત હતો, ત્યાં EVMની તો  કલ્પના પણ ક્યાંથી આવે? એટલે શરૂઆતથી ઘણાં વરસ સુધી બેલેટ પેપર અને બેલેટ બોક્સનો ઉપયોગ થતો રહ્યો. આ મતપેટી કેવી હોવી જોઈએ તેની ઝીણામાં ઝીણી વિગતો તૈયાર કરીને ચીફ ઈલેક્શન કમિશનરે એવી પેટીઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડેલાં. ‘ચલ મન મુંબઈ નગરી’ને માટે આનંદ અને ગર્વની વાત એ છે કે દેશની પહેલી ચૂંટણી માટે સ્ટીલની મતપેટી બનાવવાનો ઓર્ડર આમચી મુંબઈની પ્રખ્યાત ગોદરેજ એન્ડ બોઈસ કંપનીને મળ્યો હતો. સ્ટીલનાં કબાટ, તિજોરીઓ, ફર્નિચર વગેરે બનાવવા અને વેચવા માટે આ કંપની દેશભરમાં મશહૂર. ઓર્ડર મળ્યા પછી કંપનીએ નક્કી કર્યું કે બીજી વસ્તુઓના ઉત્પાદનમાં સહેજ પણ ઘટાડો કર્યા વગર વિક્રોલી ખાતેના તેના કારખાનામાં ૧૨ લાખ ૮૩ હજાર મતપેટીઓ સરકારે નક્કી કરેલા સમયમાં બનાવી આપવી. અને મતપેટી દીઠ સરકાર કંપનીને રૂપિયા પાંચની ‘જંગી રકમ’ ચૂકવવાની હતી. આવક ખાતર નહિ, પણ દેશને જરૂર હતી એટલે કંપનીએ રોજની ૧૫ હજાર મતપેટી બનાવવાનું શરૂ કર્યું. કબાટ, તિજોરી, તાળાં વગેરેનું ઉત્પાદન તો હંમેશ મુજબ ચાલુ જ. એટલું જ નહિ, ચૂંટણી પંચે જે ડિઝાઈન નક્કી કરી હતી તે પૂરેપૂરી સલામત નથી એમ કંપનીને લાગ્યું. એટલે તેના એક કારીગર નાથાલાલ પંચાલે મતપેટીનું ઢાંકણું અંદરથી બંધ થાય એવી ડિઝાઈન તૈયાર કરી. ચૂંટણી પંચે તે સ્વીકારી, અને બધી મતપેટી તે રીતે જ બનાવવા કહ્યું. ત્યાં તો વળી નવી મુસીબત. ટેન્ડરના જવાબમાં જેમની અરજીઓ આવી હતી તેમાંની કેટલીક કંપનીને પણ મતપેટી બનાવવાનો ઓર્ડર મળેલો. પણ કામ શરૂ કરતાં પહેલાં જ ઘણીખરી કંપનીએ પોતાને મળેલ ઓર્ડર પ્રમાણેની મતપેટી બનાવવાનું કામ ગોદરેજ કંપનીને આપી દીધું! એટલે બીજી કંપનીઓ માટે મતપેટી બનાવવાનું પણ ગોદરેજને માથે આવ્યું.

એ વખતના માલિક પીરોજશાહ ગોદરેજ રોજ બપોરે ત્રણને ટકોરે ફેક્ટરી પહોંચી જાય અને કારીગરોને – માત્ર મેનેજરોને નહિ – પૂછીને કામ બરાબર ચાલે છે કે નહિ એની ખાતરી કરી લે. ૧૯૫૨ના ફેબ્રુઆરી સુધીમાં બધી મતપેટી તૈયાર થઈ ગઈ. દરેકની ચકાસણી થઈ. અને પછી સીધી ૨૨ રાજ્યોને મોકલી દેવામાં આવી. ફેક્ટરીથી વિક્રોલી સ્ટેશન બહુ દૂર નહિ. એટલે મજૂરો અને અફસરો પણ ફેક્ટરીથી ચાલીને મતપેટીઓ સ્ટેશને લઈ જાય અને ભારખાનાના ડબ્બામાં ગોઠવે! રાતે પણ મશાલના અજવાળામાં આ કામ ચાલુ!

આ પહેલી ચૂંટણીમાં વપરાયેલી મતપેટી હતી કેવી? ૨૦ ગેજના સ્ટીલની બનેલી, ૮ ઇંચ ઊંચી, ૯ ઇંચ લાંબી, અને ૭.૫ ઇંચ પહોળી. ઢાંકણામાં ૨ ઇંચ લાંબો કાપો, તેમાંથી મતપત્ર પેટીમાં નાખવાનું. ઘણાંખરાં રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથોસાથ હતી. એટલે લોકસભા માટેની મતપેટી ઘેરા લીલા રંગની, વિધાનસભા માટેની ઘેરા બ્રાઉન કલરની. એ વખતે સ્ટીલના ફર્નિચરમાં મુખ્યત્ત્વે આ બે રંગો જ વપરાતા. દરેક મતદાર વિભાગમાં જેટલા ઉમેદવાર હોય તેટલી મતપેટી દરેક મતદાન કેન્દ્રમાં રાખવાની. એક મતપેટીમાં એક હજાર મતપત્ર સમાઈ શકે એમ હતું, એટલે વધારાની મતપેટી પણ રાખવાની. તે વખતના બોમ્બે સ્ટેટમાં કુલ ૧,૮૫,૬૪૩ મતપેટી વપરાઈ હતી. સૌથી વધુ, ૫,૪૪,૮૦૦, ઉત્તર પ્રદેશમાં, અને સૌથી ઓછી, ૬૮૦, બિલાસપૂરમાં. (દેશી રાજ્યો ભારતીય સંઘમાં ભળી ગયા પછી પણ કેટલોક વખત તેનું અલગ રાજ્ય રહ્યું હતું. બિલાસપુર આવું એક રાજ્ય.) આખા દેશ માટે ૨૪,૭૩,૮૫૦ મતપેટી બનાવાઈ હતી. અને તે માટે કુલ ૮૧૬૫.૪૫ ટન સ્ટીલ વપરાયું હતું. ન કરે નારાયણ, ને કોઈ મુશ્કેલી ઊભી થાય તો વાપરવા માટે લાકડાની બનેલી ૧,૧૧,૦૯૫ મતપેટી તૈયાર રખાઈ હતી. સંજોગવશાત તેમાંની મોટા ભાગની મદ્રાસ રાજ્યમાં વાપરવી પડી હતી.

૧૯૫૨ – લોકસભા અને હૈદરાબાદ રાજ્યની વિધાન સભાની ચૂંટણી માટેના મતપત્ર

મતપેટીની જેમ મતપત્રકો પણ બે જાતના હતા. બંનેનો રંગ એક જ હતો પણ લોકસભા માટેના મતપત્રક પર ઉપરથી નીચે ઘેરા લીલા રંગનો પટ્ટો છાપ્યો હતો. જ્યારે વિધાન સભા માટેના મતપત્રક પર ઘેરા બ્રાઉન રંગનો પટ્ટો છાપ્યો હતો. આખા દેશ માટેના બધા જ મતપત્ર છાપવાનું કામ મુંબઈ રાજ્યમાં નાસિકમાં આવેલા સિક્યોરીટી પ્રેસને સોંપાયું હતું, જ્યાં દેશની ચલણી નોટો પણ છપાતી હતી. મતપત્રક પર રાજ્યના નામના પહેલા બે અક્ષર (જેમ કે બોમ્બે સ્ટેટ માટે BO અને સિરિયલ નંબર સિવાય બીજું કશું જ છાપવામાં આવ્યું નહોતું. કરન્સી નોટમાં વપરાય છે તેવો વોટર માર્કવાળો કાગળ વપરાયો હતો. અને આછા ગુલાબી રંગમાં આખા મતપત્રક પર ઝીણા અક્ષરે ELECTION COMMISSION OF INDIA છાપ્યું હતું.

પછી તો ચૂંટણી પૂરી થઈ, મત ગણતરી થઈ, પરિણામો બહાર પડ્યાં, અને દેશમાં પહેલી વાર લોકો દ્વારા ચૂંટાયેલી સરકારે સત્તા સંભાળી. પછી તો અંગ્રેજીમાં કહે છે તેમ : The rest is history.

ખુલાસો : ડોંગરીના કિલ્લાની બાકી રહેલી વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ “ગુજરાતી મિડ-ડે”; 18 મે 2024)

Loading

તપાસ કરો

‘બાબુલ’|Poetry|18 May 2024

કેમ દેખાય છે બધું ઝાંખું? તપાસ કરો 

ભેદ ખોલું ? મુઠ્ઠી બંધ રાખું ? તપાસ કરો

જેમને સમજથી પરે છે મામલો મનનો

એમનું શું ખોટું શું સાચું? તપાસ કરો

ભાગ એમાં હતો સહુનો આમ તો સરખો

કેમ રાખે એ આખેઆખું? તપાસ કરો

છે સમાચાર હારવાના જંગ અંદરથી

આપણાં કિલ્લામાં પડ્યું બાખું? તપાસ કરો

કોણ સંભાળશે હવેલી, કોણ વારસ હેં

તાજપોશી કાજ કોક માથું તપાસ કરો

આપણું રાજ, આપણો છે હુકમ બાબુલ, તો

બોલ કોનું હવે પત્તું કાપું? તપાસ કરો

24 03 24
e.mail : fdghanchi@hotmail.com

Loading

...102030...564565566567...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved