Opinion Magazine
Number of visits: 9741277
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૮) 

સુમન શાહ|Opinion - Opinion|14 October 2024

આ લેખશ્રેણીમાં હું માણસની વાત કરી રહ્યો છું. 

સુમન શાહ

આ સમયમાં, માણસ પોતાની ઓળખ શી આપી શકે? હું કહું કે હું સુમન શાહ છું, તો ચાલે, પૂરતું ગણાય, કદાચ કશું ન થાય. જો કે, અનાજ-કરિયાણાના મારા વેપારી પડોશીને હું કશુંક વિચિત્ર પ્રાણી લાગું. પણ હું જો એમ કહું કે હું તો હિન્દુ છું, તો કલ્પનામાં તરત એક મુસ્લિમ કે ખ્રિસ્તી કે અન્ય વર્ગ ઊપસી આવવાનો. એવું જ બનવાનું જ્યારે એક મુસ્લિમ કે એક ખ્રિસ્તી કે એક અન્ય જન પોતાની એવી ઓળખ આપશે. મારી ‘શાહ’ અટક સામે પણ ‘પટેલ’ કે ‘ત્રિવેદી’ અટકોવાળાં વ્યક્તિજૂથો મને અને એમને તરત દેખાવા માંડે છે. આપણા સમાજમાં હજી પણ દલિત વ્યક્તિને અસ્પૃશ્ય ગણનારા કોઈ કોઈ દોષી મળી આવે છે. હજી પણ સ્ત્રીને ‘ઇન્ફીરિયર સૅક્સ’ ગણનારા ‘શિક્ષિતો’ આપણી વચ્ચે છે. 

પ્લેનમાં મારી બાજુમાં બેઠેલો જન દેખાવે અશ્વેત છે એટલી જ માહિતી મને એનાથી છેટો રાખે છે. ભારતમાં હજી પણ વ્યંઢળોને સૂગથી જોનારો વર્ગ મોટો છે. કોઈ આધુનિક મિજાજની સ્ત્રી જો લૅસ્બીયન હોય અને જણાવે તો એની એ ઓળખથી અન્યોથી એ તરત કપાઇ જશે. એવો કોઇ પુરુષ જણાવે કે પોતે ગે છે, બધા એને અમુક નજરે જોશે. એ અમુક નજરને એટલે જ સાર્ત્ર gaze કહે છે, જેને કારણે એ other, hell લાગે છે.

આ બધા દાખલામાં દરેક જણું એક મનુષ્ય છે એ હકીકત જ આજે ભુલાઈ ગઈ છે. 

એટલે, કિશોરલાલ મશરૂવાળાએ વિચારેલી સમૂળી ક્રાન્તિની ભાવના મને આ સમયમાં ઘણી જ પ્રસ્તુત અને આવકાર્ય લાગે છે.

+ +

માણસની વાતને હું મારી રીતે આગળ ચલાવું : 

સુવિદિત છે કે માણસની આસપાસ ધર્મ અને રાજ્ય સદીઓથી ગોઠવાયેલાં છે; ધર્મ અને રાજ્યથી સંસ્કૃતિ અને સમાજ સંભવ્યાં છે. ધર્મ, રાજ્ય, સંસ્કૃતિ અને સમાજ એવાં વ્યવસ્થાતન્ત્રો છે, જે માણસ માટે કંઇ ને કંઇ પેદા કરે છે, પ્રોડ્યુસ કરે છે. એ પેદાશો, પ્રોડક્ટ્સ, બે પ્રકારની છે : 

પહેલી એવી કે જે માણસને એ તન્ત્રો સાથે જોડી રાખે છે, એટલું જ નહીં, એ તન્ત્રોની નિયત વ્યવસ્થાઓ, એનાં કર્મકાણ્ડ, એણે ઘડેલા કાયદા કે નીતિનિયમો, વગેરે સાથે માણસને બાંધે પણ છે. 

બીજી પ્રોડક્ટ્સ એવી કે જે માણસને એ તન્ત્રોથી મુક્ત રાખે છે. એ પ્રોડક્ટ્સ તે મારી દૃષ્ટિએ ફિલસૂફી અને કલાઓ. અને, કલાઓમાં ય જેની સાથે મારા લેખનને અને મારા વાચકોને સીધો સમ્બન્ધ છે, તે સાહિત્યકલા. 

+ +

તાત્ત્વિક રીતે એમ કહેવાય કે પહેલા પ્રકારની પેદાશો માણસના અસ્તિત્વને અનેક બાબતે અનેક રીતે દોરવે છે, જાત જાતની દોરવણીઓ આપે છે. એ કામ એ શાસનની રીતે કરે છે. બીજા પ્રકારની પેદાશો માણસના સત્ત્વને ઓળખવાનો પૂરો પણ નમ્ર પ્રયાસ કરે છે; પરિણામે, માણસના સત્ત્વને પોષણ મળે છે. અલબત્ત, એ કામ ફિલસૂફી પોતાની રીતે અને કલા પણ પોતાની રીતે કરે છે. 

+ +

પરન્તુ નૉંધપાત્ર વાત એ છે કે એ પેદાશો તન્ત્રો વડે પેદા થઈ હોવાથી આપણને માનવજીવનના હિતાર્થે જે કંઈ માહિતી પૂરી પાડે છે, એ માહિતી વસ્તુલક્ષી પ્રક્રિયાથી મળે એવી શુદ્ધ નથી હોતી, કેમ કે એ નાના-મોટા અનેક માણસોએ કરેલા કારોબાર કે કારભારથી ખરડાયેલી હોય છે. તેથી ક્યારેક એમાં તન્ત્રનું હિત અને મનુષ્યનું હિત સામસામે આવી જાય છે. એટલે એને માહિતીના મિશ્ર કે સારા-નરસા તાણાવાણાથી તૈયાર થયેલી જાળગૂંથણી કહેવી જોઈશે. હકીકતે એને જ કહીએ છીએ, માહિતી-જાળ અથવા ઇન્ફર્મેશન નેટવર્ક.

એ જાળને મારે ઉકેલવી અથવા એનું વિશ્લેષણ કરવું જરૂરી હોય છે, કેમ કે એવા વિશ્લેષણથી જ સમજાય કે એણે આપેલી માહિતી મારા માટે કે માનવજીવન માટે કેટલી ઉપકારક છે. જેમ કે, રાજ્યતન્ત્ર મને રાજ્યના નિયમો સાથે જોડે અને બાંધે, તો એ માહિતી-જાળને મારે સમજવી જોઈશે. એ જ રીતે મારે ધર્મ, સમાજ, સંસ્કૃતિ, કે અરે, ફિલસૂફી અને કલાઓ દ્વારા રચાયેલી માહિતી-જાળને પણ સમજવી જોઈશે. 

અને, મારા એ વિશ્લેષણ-પુરુષાર્થને પરિણામે જો એમાં મને માનવજીવન માટે અનુપકારક તત્ત્વો – જૂઠાણાં, બણગાં કે છેતરપિંડી – જોવા મળે, અન્યાય અને શોષણનાં તત્ત્વો જોવા મળે, તો મારે ઊહાપોહ કરવો જોઈશે, અસમ્મતિ દર્શાવવી જોઈશે, સાત્ત્વિક વિદ્રોહ કરવો જોઈશે. કેમ કે, તન્ત્રો મનુષ્ય માટે છે, નહીં કે મનુષ્યો તન્ત્ર માટે. એ અસલ ક્રમનો વ્યુત્ક્રમ થઈ જાય, તે હિતકર નથી, બલકે, સંભવ છે કે તેથી અનેક ઉધમાતો કે ઉત્પાતો મચે …

+ +

ભૂતકાળમાં બન્યું છે અને વર્તમાનમાં પણ બને છે, એવું કે આ તન્ત્રોને જ્યારે પોતાનું જ અસ્તિત્વ ભયમાં લાગે અથવા પોતાનું સામર્થ્ય ઘટતું લાગે, ત્યારે એ પોતે રચેલી વિવિધ માહિતી-જાળને અતિશયિત વિકસાવે છે, એટલે કે, પોતાનો પ્રસાર અને પ્રચાર થાય એ માટેની માહિતી ચોપાસ ફેલાવે છે, અને હેતુ સિદ્ધ ન થાય ત્યાંલગી ચાલુ રાખે છે.

પ્રસાર અને પ્રચારનાં એ સાધનોનું હલકી કોટિનું દૃષ્ટાન્ત છે, બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનો, હિટલરના સમયનો ‘ગોબેલ્સ પ્રૉપેગેન્ડા’. રાજકારણી જોસેફ ગોબેલ્સે નાઝી વિચારસરણીના બચાવ અને બઢાવ માટે પ્રજામત ઘડવા ભારે શ્રમ ઉઠાવેલો; પ્રેસ, રેડિયો અને ફિલ્મ પર એણે અંકુશ મેળવી લીધેલો. છાપાં નાઝી-સમ્મત માહિતી જ પ્રકાશિત કરી શકતાં. રેડિયોને નાઝીનો જ શુકપાઠ કરવાની છૂટ હતી. ફિલ્મો નાઝી આદર્શોને આગળ કરતી, એમાં શાસનને હાનિકારક જે કંઇ હોય એને તરત જ બૅન્ન કરી દેવાતું. 

બીજું દૃષ્ટાન્ત છે, સ્તાલિનના એકહથ્થુસત્તાવાદી શાસનકાળનું. કહેવાય છે કે ત્યારે તો, બે પ્રેમીઓને ગોષ્ઠિની તક પણ કારખાનામાં મળતી હતી. કેમ કે શાસને નાગરિકોને રાષ્ટ્રની સેવામાં શ્રમજીવન વિકસાવવા કહેલું. 

જુઓ, પ્રૉપેગેન્ડાની સાથે કે લગીર જ દૂર સૅન્સરશિપ હોય છે. 

ત્યારે પુસ્તકો સૅન્સરના સિક્કા વિના પ્રકાશિત ન્હૉતાં થઈ શકતાં, કેમ કે અનિવાર્ય એ હતું કે એથી સરકારે ઘડેલી યોજનાઓની પુષ્ટિ થવી જોઈએ. જે લેખકો રાષ્ટ્રની એવી ‘સેવા’ કરવાનું ન્હૉતા ઇચ્છતા, એમણે પોતાની હસ્તપ્રતો ટેબલનાં ડ્રૉઅર્સમાં છુપાવી રાખેલી. સ્તાલિનના અસ્ત પછી એ લેખકો ‘ડ્રોઅર રાઇટર્સ’ રૂપે પ્રકાશિત થયેલા. 

જુઓ, પ્રૉપેગેન્ડા અને સૅન્સરશિપ પછી આવે છે, પનિશમૅન્ટ, સજા.

સોલ્ઝેનિત્સિન —

સ્તાલિનના સમયે શ્રમછાવણીની એક અનોખી સજા વિકસાવાયેલી, જેનો હૃદયદ્રાવક દાખલો છે, જગવિખ્યાત સાહિત્યકાર અલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનો (1918-2008). આત્મકથા અને કથાના સંમિશ્ર રૂપમાં લખાયેલી “વન ડે ઇન ધ લાઇફ ઑફ ઇવાન ડેનિસોવિચ” અને “ધ ગુલાગ આર્કિપેલગો” એમની જાણીતી કૃતિઓ છે. 

તેઓને સ્તાલિન-શાસન દમનકારી લાગેલું. રાજ્યતન્ત્ર વિશે અસમ્મતિને વરેલા તેઓ એક ‘ડિસિડન્ટ’ લેખક હતા. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન, સ્તાલિન વિરુદ્ધ ટીકાટપ્પણી કરવા બદલ એમની ધરપકડ થયેલી અને એમને ‘ગુલાગ’ શ્રમછાવણીમાં ધકેલવામાં આવેલા. ત્યારબાદ એમણે જેલવાસ પણ ભોગવેલો, અને છેલ્લે, ૧૯૭૪-માં એમને દેશનિકાલ કરાયેલા. તેઓ અમેરિકા પ્હૉંચ્યા હતા, અને ઘણાં વરસો લગી વર્મોન્તમાં વસ્યા હતા. એ વરસો દરમ્યાન, એમણે માનવજાતના હિતમાં સોવિયેત રાજશાસન અને એકહથ્થુસત્તાવાદ વિરુદ્ધ ઘણું લખ્યું. એમને આન્તરરાષ્ટ્રીય ખ્યાતિ પણ મળી. સદીના છેલ્લા દાયકામાં, તેઓ સ્વિત્ઝર્લૅન્ડ જઇ વસ્યા. 

રાજશાસનનાં એકહથ્થુવાદી સત્તાતન્ત્રો અને સામ્રાજ્યવાદી સત્તાતન્ત્રો વચ્ચે ઘણી બધી સરખાઈ હોય છે, એનું દૃષ્ટાન્ત છે, બ્રિટિશ રુલ ઇન ઇન્ડિયા.

‘સિપાઇઓનો બળવો’ કહેવાય છે એ ૧૮૫૭-થી શરૂ થયેલા સ્વતન્ત્રતા માટેના સંગ્રામનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. ત્યારથી માંડીને ૧૯૧૯-નો જલિયાનવાલા હિંસાચાર અને તે પછીનાં બધાં જ વરસોમાં અંગ્રેજ પોલીસે સામાન્ય જનો પર કરેલા લાઠીચાર્જ વગેરે, એ અનેક ઘટનાઓ, સિતમ સિવાય બીજું કંઈ જ ન્હૉતી, એમ કહીએ તો અતિશયોક્તિ ન લાગવી જોઈએ. 

૧૮૫૭-ની એ જ સાલમાં કલકત્તા, મદ્રાસ અને મુમ્બઇમાં યુનિવર્સિટીઓ સ્થપાઇ અને તે પહેલાં ૧૮૩૫-માં મૅકોલે સિસ્ટમ અનુસારની શાળાઓ શરૂ થઈ, એ ઘટનાઓ પોતે જ રાજ્યતન્ત્રે અને તેની પાછળ વિરાજેલા સામ્રાજ્યવાદી તન્ત્રે ફેલાવેલી મહા મોટી માહિતી-જાળ ન્હૉતી તો શું હતી? 

જો કે સ્વાતન્ત્ર્ય-સંગ્રામને પણ એવાં સંગઠનોની જરૂર પડેલી, જેને માહિતી-જાળ કહી શકાય. એકથી ગુલામી અને બન્ધન સુદૃઢ થાય, અને બીજીથી સ્વતન્ત્રતા અને મુક્તિ સિદ્ધ થાય, પરન્તુ એ બે વડે આત્મસાત્ થતું જ્ઞાન કરુણ હોય છે, એમ કહેવાની જરૂર નથી રહેતી.

એકહથ્થુસત્તાવાદ અને સામ્રાજ્યવાદથી છૂટીને લોકશાહીવાદે માણસને હાશકારો કરાવેલો, પણ એ જ લોકશાહીમાં બાદશાહો અને સરમુખત્યારો પ્રગટવા લાગ્યા છે, એટલે માણસને અગતિકતાનો અનુભવ થાય છે. એની દશા કાફ્કાના પેલા ઉંદર જેવી થાય છે. કેવી? આ પછીના લેખમાં. 

= = =

(13Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કમખાને આભલે

પ્રીતમ લખલાણી|Poetry|14 October 2024

ઓસરીમાં બેસંતા કમખાને આભલે મેં દીઠું જ્યાં એવું કંઈ રૂપ …..

ખેતરને શેઢેથી આવતાં ને જાતા હવે કેમ કરી રહેવાશે ચૂપ?

ફળિયામાં મોગરાની ડાળ પરે ટહૂક્યાં કંઈ ફૂલોના મ્હેકભીના મોર

મનના પતંગિયાના ઊડતા ઉમંગ જોઇ હસતી મુજ ઓઢણીની કોર ..

મ્હેંકે છે અંગ અંગ શ્વાસશ્વાસ આજ અહીં થઈને ચંદનનો ધૂપ …..

ઓસરીમાં બેસંતા કમખાને આભલ મેં દીઠું જ્યાં એવું રે રૂપ …….

મારી તે ઝંખનાના દર્પણ શા ઘોરિયે વ્હેતાં લીલેરા ભીંના શેઢા

ઇચ્છાના ઊડતા વિહંગ જાણે આંગળીમાં મ્હેંદી મૂકેલ રાતા વેઢાં!

પાંપણની વચ્ચેથી સપનાં ઊડ્યાં ને કોરું ભીતર હો ઝાકળસ્વરૂપ ….

ઓસરીમાં બેસંતા કમખાને આભલે મેં દીઠું જ્યાં એવું રે રૂપ…..

65 Falcon Drive, west Henrietta, NY 14586 (USA)
e.mail : preetam.lakhlani@gmail.com

Loading

રણમાં રેલ ને ભૂખમરાની રેલમછેલ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 October 2024

તને મેં ઝંખી છે –

યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી.

                                                          – સુન્દરમ્

રવીન્દ્ર પારેખ

આ દોઢ પંક્તિમાં પ્રેમીની ઉત્કટ ઝંખના એ રીતે વ્યક્ત થાય છે કે તે યુગોથી ધીખેલા સહરાની તરસથી પ્રેમિકાને ચાહે છે. હું પણ એટલી જ ઉત્કટતાથી આ કાવ્ય ભણાવતો હતો, પણ તેનાં પર પાણી ફરી વળ્યું છે. રણમાં રેલ આવે? તમે કહેશો કે ન આવે, પણ આવી ને તે નાનાં મોટાં રણમાં નહીં, સહરાનાં રણમાં ! હવે રણ જ ભીનું હોય તો પ્રેમી તરસ્યો ક્યાંથી રહે? રણ વિષેની મારી ધારણા જ ખોટી પડી હોય ત્યાં પ્રેમ વિશે તો ધારવાનું જ શું રહ્યું? જો કે, પત્નીને પ્રેમ સાથે ભાગ્યે જ બને છે એટલે એને વિષે ધારવામાં વાંધો નહીં. (બીજાની હોય તો ખાસ) પત્નીનું અદકેરું મૂલ્ય છે. તમે નહીં માનો, પણ હું સાચું કહું છું. પત્ની છે તો પતિ પતે છે, નહીં તો પતવાનું તેને કારણ જ કયું છે? તમે પત્નીનું મૂલ્ય જાણવા પાછા પુરાવા માંગશો, તો દાખલો આપું –

એક ગામમાં એક યુવક રહેતો હતો. બધી વાતે, ખાસ તો પત્નીની વાતે પણ, સુખી હતો ને બીજાને સગવડ પ્રમાણે દુ:ખી કરતો રહેતો હતો. સારો ધંધો હતો ને માબાપ, ભાઈ-બહેન સાથે રહેતો હતો, પણ ઉપરવાળાથી કોઈનું સુખ બહુ જોવાતું નથી એટલે તે પાર્ટ ટાઈમ દુ:ખ બધાંને જ આપતો રહે છે. આ યુવક પણ લાગમાં આવ્યો ને એક દિવસ તેનો એકનો એક બાપ એકાએક જ ગુજરી ગયો. યુવકને માથે તો આભ તૂટી પડ્યું. ગામનાં વડીલો તેને મળવા આવ્યા ને યુવકને આશ્વસ્ત કરતાં બોલ્યાં કે દીકરા, આમ દુ:ખી ન થા. બાપ ગયો તો શું થયું, અમે પણ તારા બાપ જેવા જ છીએને ! અમને બાપ માનજે. યુવકે મન મનાવ્યું ને ધંધે લાગ્યો. થોડા દિવસમાં બૂમ પડી કે બહેનને સાપ કરડયો છે. યુવક ઘરે પહોંચ્યો તો બહેનનાં મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં. બહેનનાં અણધાર્યાં મોતથી યુવક બહુ દુ:ખી થયો. ગામની થોડી યુવતીઓ આવી ને બોલી કે ભાઈ, બનવા કાળ બની ગયું ને કુદરત આગળ કોનું કૈં ચાલ્યું છે? બહેન નથી તો અમને બહેન ગણજે. દુ:ખનું ઓસડ દા’ડા એ ન્યાયે યુવક જેમ તેમ સ્વસ્થ થયો. વરસેક ગયું ને એક દિવસ પત્ની હાર્ટ એટેકથી ગુજરી ગઈ. યુવકે બહુ રાહ જોઈ, પણ આટલી મહિલાઓ છતાં કોઈ કહેવા ન આવી કે અમને તારી …

હવે તો સમજાયુંને પત્નીનું મહત્ત્વ ! જો કે, રાવણને સમજાયું ન હતું. મંદોદરી જેવી સુંદર રાણી હતી, પણ રાવણ સીતાના મોહમાં ખેંચાયો હતો, છતાં અશોકવાટિકામાં તેણે આંગળી ય અડાડી ન હતી. તે બળજબરી કરી શકતો હતો, પણ તેણે તેવું ન કર્યું. તે મહાજ્ઞાની ને પંડિત હતો. રાવણ યુદ્ધમાં હણાયો ત્યારે રામ, લક્ષ્મણને જ્ઞાન લેવા રાવણની પાસે મોકલે છે ને આપણે દશેરાએ રાવણ દહનનો કાર્યક્રમ કરીએ છીએ. આ દહન રાવણનું નથી, અહંકારનું છે. મનુષ્ય માત્રમાં રહેલા અહંકારનું દહન થવું જોઈએ, પણ આપણે તો અહંકાર સામે જ હોય એમ તેનું જ દહન કરીએ છીએ !

આ વખતના દશેરામાં જાહેર દહન કે હવન થાય એવી તકો ઓછી જ હતી, તે એટલે કે વરને સાદ ન પડે એટલો વરસાદ, નોરતાના છેલ્લા દિવસોમાં આવ્યો ને વરસાદને કારણે માઇક ચાલતાં ન હતાં એટલે આરતી કે થાળ કેટલાકે જેમ તેમ ગાયો. આરતીમાં જ થાળ ભળી ગયો હોય તેમ ઘણાં ‘જયો જયો મા જગદંબે !’ ગાતાં હતાં કે ‘જમો જમો મા જગદંબે !’ તે સમજાતું ન હતું. દશેરો પણ પલળતો ને પલાળતો આવ્યો. આષાઢમાં ન આવે એટલો વરસાદ આસોમાં આવ્યો. નોરતાના ઓરતા ઘણાંના અધૂરા રહ્યા. માતાજીને તો વદા કર્યાં, પણ રાવણ દહન હવાઈ ગયું. કુંભકર્ણ ઊંઘમાં વળી ગયો કે વરસાદમાં કે આપણાં પર હસતો હતો તેથી, પણ બેવડ વળી ગયો હતો, તો મેઘનાદ, મેઘના નાદ સાથે વગર દહને જ પટકાયો હતો. રાવણના દસ દસ માથાં, વરસાદમાં કયું ઢાંકવું ને કયું રહેવા દેવું એની પંચાત હતી. ક્યાંક તો રાવણે રેઇનકોટ પહેરીને જ દહનની તૈયારીઓ કરી લીધી હતી. એટલો પલળ્યો કે રાવણ ઘણી જગ્યાએ ઇન્સ્ટોલમેન્ટ્સમાં ફૂટ્યો. ક્યાંક તો એટલો વરસાદ પડ્યો કે રાવણનું દહન કરવું કે જળમાં વિસર્જન કરવું તેની સમસ્યા થઈ પડી. પેટની જરા પણ દયા ખાધા વગર હવાયેલાં તો હવાયેલાં પણ કરોડોનાં ફાફડા-જલેબી દશેરામાં ઘણાં એ હોજરીમાં ઠાંસ્યાં. પછી ઘણાંને મોડે સુધી હવાઈઓ ફૂટી હોય તો નવાઈ નહીં !

હવે જ્યાં આટલું ખવાતું હોય, કરોડોની ઘારી ચંદની પડવે માત્ર સુરત જ ઝાપટી જતું હોય ત્યાં ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ’માં ભારતનો નંબર 127 દેશોમાં 105મો બતાવાય તો ગધેડાને ય તાવ આવે કે નહીં? આવ્યો. તેમાં આશ્વાસન એવું અપાયું કે ગયે વર્ષે એ ક્રમ 111મો હતો, તે 105 પર આવ્યો છે. આવો ક્રમ, ચક્રમ નક્કી કરે છે કે વિક્રમ, તે ખબર નથી, પણ એ નમૂનાઓ છે કોણ તે નથી સમજાતું. ભારતમાં ભૂખમરો છે કે સુખમરો, એ નક્કી કરવાનો હક તેમને આપ્યો કોણે? ચાલો 105મો ક્રમ આપ્યો તો ધૂળ નાખી, ઉપરથી આપણો જીવ બાળવા એ નમૂનાઓ કહેતાં ફરે છે કે એ ઇન્ડેક્સમાં અનુક્રમે નેપાળ 68, શ્રીલંકા 56 અને બાંગ્લાદેશ 86માં નંબરે છે. એટલું સારું કર્યું કે પાકિસ્તાનને 109માં નંબરે મૂક્યું. આવું નક્કી કરવામાં કોઇ લૉજિક મને તો દેખાતું નથી. એમ કહેવાયું કે હંગર ઇન્ડેક્સમાં નેપાળ, શ્રીલંકા કે બાંગ્લાદેશ, ભારત કરતાં આગળ છે, તે હોય જ ને ! એ દેશો છે કેટલા? છાબડી જેવા એ દેશો પોતાના લોકોને ખવડાવે એમાં કૈં ધાડ મારવાની નથી. ત્રણે દેશો ભેગા કરો તો ભારતને ઘૂંટણીયે આવે એમ પણ નથી. એ ગમે એટલા આગળ હોય તો પણ ભારતની 142 કરોડની વસ્તીને આંબી શકે એમ છે? એ ભૂખ્યા ઇન્ડેક્સને ખબર છે કે બીજા દેશની વસ્તી જેટલા 81.35 કરોડ લોકોને કોરોના કાળથી ભારત મફત અનાજ આપે છે ને છેલ્લી જાહેરાત મુજબ 2028 સુધી ભૂલ્યા વગર મફત ખવડાવવાનું છે?

ગુજરાતનાં ગાંધીનગરમાં, માત્ર આસો સુદ નોમને દિવસે રૂપાલના પલ્લી મેળામાં 25 કરોડથી વધુનું સવા ચાર લાખ કિલો ઘી 14 લાખથી વધુ ભક્તો ધૂળમાં મેળવી દે છે, એ લકઝરી, હંગર ઇન્ડેક્સને પરવડે એમ છે? તિરૂપતિમાં રોજના ત્રણ લાખ લાડુ પ્રસાદમાં જ વેચાય છે એ હંગર ઇન્ડેક્સ નક્કી કરનાર સાહેબો જાણે છે? અરે ! મધ્યાહ્ન ભોજન યોજનામાં રોજ લાખો બાળકો સ્કૂલોમાં ભણે કે ન ભણે, પણ જમે છે. આવો જમણવાર કોઈ દેશ રોજ કરી શકે એમ છે? કોઈ દેશમાં વર્ષો સુધી ચાલતી મફત અનાજની આવી સદાવ્રતની યોજના છે? તો, ભારતમાં ભૂખમરો છે એવું કેવી રીતે કહેવાય? આપણે તો રેલ હોય કે દુકાળ, રેલમછેલમાં જ માનીએ છીએ.

મારા બૂટમાં કાંકરી હોય તો મને ખૂંચે ને તે મારે જ કાઢવી પડે, એ કોઈ બીજો કેવી રીતે કાઢે? આપણને આપણી કાંકરીની પરવા નથી, પણ પારકાને એવું છે કે એ કાંકરી કાઢવાનું ને કાંકરીચાળો કરવાનું જાણે છે. એને ચિંતા નથી, પણ એટલી જાણકારી છે કે કાંકરી ન હોય તો ય લલચાવીને આપણી પાસે નવા બૂટ લેવડાવે ને આપણે એટલા ઇન્ટેલિજન્ટ પણ ખરા કે તે લઈએ પણ ખરા …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ઑક્ટોબર 2024

Loading

...102030...556557558559...570580590...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved