Opinion Magazine
Number of visits: 9457228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સમાજવાદીઓ, સમાજવાદ અને સમાજવાદી આંદોલન!

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2024

આચાર્ય નરેન્દ્ર દેવ, જય પ્રકાશ નારાયણ તેમ જ બન્ને વચ્ચે દેખાતાં જયપ્રકાશજીનાં પત્ની પ્રભાવતીદેવી

શરૂઆત એક રોમહર્ષક સાંભરણથી કરું? હવે તો ખાસાં આઠ વરસ થયાં એ વાતને. એ ગાળામાં હું ગેસ્ટ ફેલોને નાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી(શિમલા)માં યદૃચ્છાએ સ્વાધ્યાય વિહાર કરતો હતો.

પ્રકાશ ન. શાહ

સર્વપલ્લી રાધાકૃષ્ણન્‌ રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઐતિહાસિક વાઈસરોય ભવનને સ્વાધ્યાય સંશોધન કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો સંસ્કાર શોભીતો નિર્ણય કીધો હતો. આવી જગ્યાએ થોડાક ગાળા સારુ પણ વિધિવત હોવું એ પોતે કરીને કમ રોમાંચક અલબત્ત નથી.

પણ ત્યાં કેમ જાણે એથીયે અદકી રોમહર્ષક ક્ષણ રાહ જોતી હતી. આપણે ત્યાંનું સમાજવાદી આંદોલન, ખાસ તો એવો ઉષાકાળ, મને હંમેશ ખેંચે છે. એના આરંભકારોનું સાહિત્ય ફંફોસતો હતો અને મને સહજ કુતુહૂલ થઈ આવ્યું કે મારા પહેલાં કોણે આ સાહિત્યમાં ડોકિયું કર્યું હશે. 

પુસ્તકના પાછલે છેડે જઈને ઈશ્યુવહી જોઉં છું … અરે, આ તો સૂ ચી! મ્યાંમારની લોકશાહી લડતમૂર્તિ, નોબેલ પુરસ્કૃત. પોતે અહીં ફેલો તરીકે હશે, મારાથી ત્રણેક દાયકા પર, ત્યારે એમાંથી એ હોંશે હોંશે અભ્યાસઅગ્ર જીવે પસાર થયાં હશે, કેમ કે એ છે તો સમાજવાદી રુઝાનવાળા સ્વાતંત્ર્યસેનાની પિતા ઑંગ સાનનાં પુત્રી.

હમણેના દિવસોમાં આ સાંભરણ નીંગળવાનું કારણ કહું? આપણે ત્યાં સમાજવાદી આંદોલન કાઁગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે સંસ્થીકૃત થવાની શરૂઆત થઈ મે 1934ની પટણા બેઠકથી. જેટલા માર્ક્સવિચાર એટલા જ બૌદ્ધ દર્શનના પ્રખર વિદ્વાન આચાર્ય નરેન્દ્ર દેવ એમાં અગ્રપદે હતા. સંયોજનનું દાયિત્વ જેમની કને હતું એમાં જયપ્રકાશ નારાયણ મુખ્ય હતા, અને એમના સાથીઓ પૈકી એક વિશેષ રૂપે સાંભરી આવતું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું છે.

આ તો વિધિવત નવ દાયકાની વાત થઈ પણ અવિધિસરની તવારીખ તો એથીયે પાછળ જઈ શકે. ગાંધીપ્રવેશનાં બે-ત્રણ વરસે અમદાવાદની મજૂર ચળવળને મળી રહેલાં મોટીબહેન બલકે માતૃમૂર્તિ શાં અનસુયા સારાભાઈને એમનાં લંડનવાસ દરમ્યાન ફેબિયન સોશિયાલિઝમનો કંઈક પરિચય હતો એમ જણાય છે. વખતે દીક્ષા લઈ જૈન સાધ્વી થઈ શક્યાં હોત એવાં અનસૂયાબહેન મિલ માલિક ભાઈ અંબાલાલ સારાભાઈની સામે મજૂરોની પડખે ઊભાં રહ્યાં એ વળી ઇતિહાસનું એક મળતાં મળે એવું પાનું છે. ક્યારેક એમને વિશે કંઈક નિરાંતે વાત કરીશું.

હમણાં મેં ગાંધીઘટનાની જિકર કરી તો એની સાથે એક રસપ્રદ વિગત પણ દર્જ કરી લઉં. લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીનો ઇંગ્લેન્ડમાં ઉદય થયો અને પહેલી વાર ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના સાંસંદો કંઈક નોંધપાત્ર સંખ્યામાં ચૂંટાયા ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે તેમના પૈકી ઠીક ઠીક આ પક્ષ અને સમાજવાદી ચળવળ ભણી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ની નૈતિક અપીલથી ખેંચાયા હતા. અને આ તો, પાછળથી જેમની કલમે ‘સર્વોદય’ શીર્ષકે ઊતરી આવ્યું તે ગાંધીનુંયે પ્રિય પુસ્તક હતું. બાય ધ વે, 1947માં આપણે આઝાદ થયા તે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટીનો શાસનકાળ હતો.

આગળ પટણા બેઠકનો ઉલ્લેખ કર્યો, પણ સ્વરાજલડતની વડી પાર્ટી કાઁગ્રેસ અંતર્ગત સમાજવાદી પાર્ટી તરીકે ગઠિત થવું ને કાર્યરત હોવું એવી અવિધિસરની ચર્ચા એની પૂર્વે શરૂ થઈ જ ગઈ હતી. એમાં કદાચ સૌથી મહત્ત્વનું ઠામ બલકે ધામ હોય તો તે 1933માં નાશિક જેલનો બી વોર્ડ હતો. ત્યાં યુવા સ્વાતંત્ર્યસૈનિકો વચ્ચે આ વિશે ખાસી ચર્ચા-વિચારણા થઈ હતી. 

કારાગારમાં કૃષ્ણજન્મ શી આ ઇતિહાસ પ્રક્રિયામાં સહભાગી બંદીજનોમાં જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, મીનુ મસાણી, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી, મોહનલાલ દાંતવાલા, નાનાસાહેબ ગોરે, સહુ ત્યાં હતા. (આ જૂથની બૌદ્ધિક પ્રતિભાનો અંદાજે અહેસાસ મને પાંચેક દાયકા પર અમેરિકન એન્સાઈક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીઝમાંથી પસાર થતાં થયો હતોઃ  એના આંતરરાષ્ટ્રીય સંપાદક મંડળમાં બે જ ભારતીયો હતા, પાછા બેઉ સમાજવાદી, અને વળી ગુજરાતી! અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા.)

આ લખી રહ્યો છું ત્યારે લોકસભાની ચૂંટણીનાં પાંચ ચરણ પૂરાં થઈ ગયાં છે. જેને આર્થિક-સામાજિક વિચારધારાકીય કહી શકાય એવા મુદ્દાને ચૂંટણી પ્રચારમાં પૂરા કદની માવજત મળી નથી. કાઁગ્રેસે જરૂર એક અભિગમ ઉપસાવવાની કોશિશ કરી છે, પણ સત્તા પક્ષે એ અંગે કોઈ ધોરણસરના પ્રતિભાવની જરૂર જોઈ નથી. એની પોતાની વાત નિર્મલા સીતારામન્‌ના પતિ પરકાલા પ્રભાકરની સોંસરી ટિપ્પણીમાં ‘ડેટા વગરની’ છે. 

અહીં વિશેષ ચર્ચામાં નહીં જતાં માત્ર એટલું જ ઈંગિત કરવું રહે છે કે આપણે ત્યાં ચોક્કસ જ એક ચિંતન કોશિશ થઈ છે. હકીકતે, જે ગાળાની હમણાં મેં વાત કરી તે વર્ષોમાં આપણી બંધારણ સભાએ 1946-1949નાં વર્ષોમાં જે કામગીરી પાર પાડી તેને સારુ ખાસું ખાણદાણ ભરેલું છે.

ભગત સિંહે શહાદત વહોરી ઉપસ્થિત કરેલા આર્થિક-સામાજિક મુદ્દા, મીઠાનો મુદ્દો ઊંચકી દાંડીકૂચ વાટે ગાંધીએ નાતજાતકોમથી નિરપેક્ષપણે આમ આદમીના અર્થકારણ સારુ પ્રશસ્ત કરેલી ભૂમિકા, કરાચી કાઁગ્રેસનો મૂળભૂત અધિકારનો ઠરાવ, પુના કરાર, આ બધાંમાં બંધારણ સભાની વણબોલી નાન્દી પડેલી છે.

અહીં મહાદેવભાઈની ડાયરીનો ઓગણીસમો ગુટકો સાંભરે છે. સમાજવાદીઓને અને સમાજવાદને સમજવા માટે ગાંધીએ કરેલી મથામણ તમને 1934-35માં તબક્કે તબક્કે જોવા મળે છે. જવાહરલાલ જોડે સહજ ચર્ચા સારુ ગાંધી મહાદેવભાઈને અલાહાબાદ મોકલે છે, પોતે સમાજવાદીઓ સાથે સહવિચારની દૃષ્ટિએ પૂર્વ તૈયારી સારુ શું વાંચવું એ માટે નરેન્દ્ર દેવની સલાહથી જી.ડી.એચ. કોલનું પુસ્તક જોઈ જાય છે. ગુજરાતના સમાજવાદીઓને મળવા સારુ જગ્યા મેળવી આપે છે.

સ્વરાજ પછી પચમઢી કાર્યક્રમથી માંડી 1977ના જનતા ઢંઢેરા પૂંઠે એક આખો જમાનો પડેલો છે તે આ લખતાં તાદૃશ થાય છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 29 મે 2024

Loading

માજુલી

નંદિતા મુનિ|Opinion - Opinion, Poetry|28 May 2024

આજે Aparna Anekvarna ના કાવ્યનો અનુવાદ.  

માજુલી આસામમાં બ્રહ્મપુત્રા નદીનો એક ટાપુ છે. એ દુનિયાનો સૌથી મોટો નદીનો દ્વીપ છે. અલબત્ત, કવિતાનો માજુલી માત્ર ટાપુ નથી.

°

ડૂબવું

થોડો થોડો રોજ

ડૂબતો જાય છે માજુલી.

રોજ થોડી માટી

કિનારા પાસેથી માગીને

લઇ જાય છે બ્રહ્મપુત્ર.

ભૂલવા લાગ્યા છે લોકો

રોજ થોડી આવડત –

કાંતવા, વણવા, સીવવા,

ગૂંથવા, ભરવા, પરોવવાની.

ફૂલ, ફળ, કંદ,વેલી –

ધાનનાં કેટલાં ય પુરાણાં નામ –

રાંધણચીંધણ ભૂલવા લાગ્યા છે.

આગંતુકને ગોળ ધરીને પાણી આપવાનું

નથી આવડતું હવે બાળકોને.

આંગણું લીંપવાથી, છાજ છાજવાથી 

ઉદાસીન થઇ ગયા છે.

રોજ બાંધે છે પુલ ગમનના

છોડે છે રોજ એક નાવ

ડૂબતા માજુલી તરફ પીઠ કરી

બસ ચાલ્યા જાય છે હલેસાં મારતા.

અને માજુલી, રોજ થોડો વધુ ડૂબી જાય છે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગેઇમ ઝોન ગીત

રવીન્દ્ર પારેખ|Poetry|28 May 2024

અમે ઢોરનાં ઢોર,

જરા સુધરીએ તો દુનિયામાં ક્યાંય રહે ના ચોર,

અમે ઢોરનાં ઢોર …

મૂરખ એવા કે ભડકાને કહીએ અંતરજ્યોત,

અમે આપીએ મત ને સત્તા અમને આપે મોત,

ચિચિયારી ભડભડ ઊઠે તો પણ ગણીએ કલશોર,

અમે ઢોરનાં ઢોર ….

ચિતા વગર પણ કિલકારીની પાડી દઈએ રાખ,

અમે બાળપણને રાંધીને ઊજવીએ વૈશાખ,

આંસુ થાય તે આંખોનો રોકાય ન શોરબકોર,

અમે ઢોરનાં ઢોર ….

અમે રીઢાં એવાં કે લાશ વગર ના હૈયું ધડકે,

હવે ઢોરને નથી ચામડી કે રૂંવાડું ફરકે,

નથી ફેર પડતો કે લાશ બળે કે નાચે મોર,

અમે ઢોરનાં ઢોર …

મોટાં માથાં બદલી કાઢી દે છે આશ્વાસન,

લાખ બે લાખની લ્હાણી વ્હેંચી રાખનું રાખે મન,

હેવાનોને પણ શરમાવે એવી જાત નઠોર,

અમે ઢોરનાં ઢોર …

રોજ કરોડ જમે ને તોયે પેટને ઠોકે તાલી,

આખે આખી પૃથ્વી ઓરી તોય હોજરી ખાલી,

નથી ખબર કે આદમ ક્યાંથી થાય છે આદમખોર,

અમે ઢોરનાં ઢોર ….                                                  

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...556557558559...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved