Opinion Magazine
Number of visits: 9665049
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દિલ્હીથી સોડા – વાયા કેપટાઉન

સુરેશ જાની|Opinion - Opinion|26 September 2024

હા! દિલ્હીની લાવણ્યા રાજસ્થાનના સોડા ગામમાં ઘણી વખત જાય છે. સાથે સ્વયંસેવક વિદ્યાર્થીઓને પણ લેતી જાય છે. પણ એની આ યાત્રા દક્ષિણ આફ્રિકાના કેપેટાઉનની મુલાકાતથી શરૂ થઈ હતી. લાવણ્યા અમેરિકાની ખ્યાતનામ યેલ યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએટ પણ છે! દિલ્હીની લાવણ્યા ગર્ગ આમ તો અઢાર જ વર્ષની શહેરી કન્યા છે. પણ ગાંધીવાકય – ‘ભારત ગામડાંઓમાં વસે છે.’-માં તે પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. વળી તે આમ વિચારીને અટકી નથી ગઈ – તેણે રાજ્સ્થાનના સોડા ગામને એની કર્મભૂમિના ઉમરા તરીકે સ્વીકારી લીધું છે.

આટલી નાનકડી ઉંમરમાં પણ લાવણ્યાનાં ઠેકાણાં કેટકેટલાં બદલાયાં? – દિલ્હીની લેડી શ્રીરામ કોલેજ, ટાટા ઇન્સ્ટિટ્યુટ બેન્ગલોર, દક્ષિણ આફ્રિકાનું કેપટાઉન, અમેરિકાના કનેક્ટિકટ રાજ્યની યેલ યુનિવર્સિટી, મિશિગન રાજ્યની મિશિગન યુનિવર્સિટી, અસ્મત અને છેલ્લે રાજસ્થાનના જેસલમેર પાસે પાકિસ્તાન સાથેની બોર્ડર નજીકનું, માત્ર ૧૦,૦૦૦ની વસ્તી વાળું નાનકડું ગામ સોડા.

પણ  આ લિસ્ટમાં ‘અસ્મત’ શી બલા છે? ચાલો એ નામના જન્મની કથા માંડીએ !

દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં યોજાયેલા આંતર રાષ્ટ્રીય સ્વયંસેવક કાર્યશાળામાં (International volunteering workshop) લાવણ્યાનો તે પહેલો દિવસ હતો. ત્યાં દાખલ થતાં જ આખા અઠવાડિયાના કાર્યક્ર્મની વિગતવાર માહિતી આપતું સાહિત્ય એને આપવામાં આવ્યું. બાજુના સોફા પર બેસીને લાવણ્યા એનાં પાનાં ફેરવવા લાગી.

આમ તો કેપટાઉનના એ ફેશનેબલ વિસ્તારની ઝાકઝમાળ કોઈની પણ આંખને આંજી નાંખે તેવી હતી. પણ લાવણ્યા માટે નવી દિલ્હીની ચકાચૌંધ કરતાં એ કાંઈ વધારે આકર્ષક ન હતી. પણ પહેલા દિવસની પાયાની તાલીમ પતે, તે પછીના દિવસોમાં તેણે જ્યાં જવાનું હતું, તે કેપટાઉનના સ્લમ વિસ્તાર અંગેની વિગતમાં લાવણ્યાને ખાસ રસ પડ્યો. એ સ્લમ સેટલમેન્ટના થોડાક ફોટાઓએ તેને ભારતનાં ગામડાંઓની યાદ અપાવી દીધી. એવી જ દરિદ્રતા અને એવાં જ છેવાડાનાં મનેખ. એમની સાથે તેણે અને તેના સાથીઓએ કેવા કેવા કાર્યક્રમો કરવાના છે, તેની વિગતો પણ એમાં હતી.

અને લાવણ્યાના હોઠ પર બે જ શબ્દ આવીને અટકી ગયા – ‘સિમ્પલી સુપર્બ’. આવું કશુંક જ્ઞાન મળે તેવી અપેક્ષા સાથે તો તે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી અહીં આવી હતી ને? હવે પછીના અઠવાડિયાના કામ અને તાલીમ માટે લાવણ્યાનું મનડું થનગનવા લાગ્યું.

લાવણ્યાએ આખું અઠવાડિયું કાળા, શરારતી બાળકો અને એમની ચિંતાગ્રસ્ત માતાઓ સાથે વીતાવ્યું. એમને અક્ષરજ્ઞાન અને પાયાના સ્વાસ્થ્ય અંગેની તાલીમ આપતાં આપતાં ભારતના પછાત વિસ્તારો અને ગામડાંઓમાં આવી જરૂરિયાત અંગે તેની સભાનતા વધારે ધારદાર બનતી રહી. અઠવાડિયાની તાલીમ પતી અને કેપટાઉનના એરપોર્ટ પર લાવણ્યા વિમાનની રાહ જોતી બેઠી હતી, ત્યારે એક સંકલ્પ એના ચિત્તમાં આકાર લેવા માંડ્યો, ‘આવું કશુંક દેશના  યુવાનો અને યુવતિઓ માટે હું કરીશ – अहं करिष्ये ।’

લાવણ્યાનો મનગમતો વિષય સમાજશાસ્ત્ર રહ્યો છે. છેવાડાની વ્યક્તિ માટે તેને બાળપણથી કૂણી લાગણી રહી છે. એટલે જ તો તેણે બીજી બધી આકર્ષક કારકિર્દીઓની લાલચ છોડીને લેડી શ્રીરામ કોલેજમાં ‘સમાજ શાસ્ત્ર’નો વિષય પસંદ કર્યો હતો ને? પણ એ નીરસ વિષયોમાં છેવાડાના માણસની વેદનાનો છાંટો પણ ક્યાં હતો? પરીક્ષાઓ પાસ કરવાની, ડિગ્રી મેળવવાની અને શહેરની કોઈ માતબર સંસ્થા, વેપારી પેઢી, સરકારી ખાતું કે કહેવાતી નોન પ્રોફિટ સંસ્થાનો એક ભાગ બની જવાનું. એમાં છેવાડાના માણસ માટે ક્યાં કોઈ બળતરા રહેવાની?

એટલે જ તેની ઝળહળતી શૈક્ષણિક તવારીખ નજરમાં રાખીને લેડી શ્રીરામ કોલેજ તરફથી કેપટાઉનની એ આંતરરાષ્ટ્રીય વર્કશોપ માટે તેનું નામ સૂચવવામાં આવ્યું; ત્યારથી લાવણ્યા આવો કોઈક નવતર અનુભવ મેળવવા થનગની રહી હતી. એની એ આશા ઠગારી ન નિવડી. એ વર્કશોપે એના માનસમાં સોડ તાણીને સૂતેલા કોઈક અગમ્ય બીજને ઢંઢોળીને જગાડી દીધું.

પાછી આવીને લાવણ્યાએ કોલેજના પ્રાધ્યાપકો અને પ્રિન્સિપાલને આવી વર્કશોપનો પ્રયોગ કરવા સૂચવ્યું. પણ ચીલાચાલુ રસમ ન બદલવાની તેમની અસૂયા જોઈ લાવણ્યાએ કમને અભ્યાસમાં મન પરોવ્યું. સ્નાતકની ડિગ્રી તો જોત જોતામાં મળી ગઈ. એના આધારે બેન્ગલરુની ખ્યાતનામ ટાટા ઇન્સ્ટિટ્યૂટના સમાજ વિદ્યા ભવનમાં તેને નોકરી પણ મળી ગઈ. પણ પેલું ફૂટુ ફૂટું થઈ રહેલા બીજ માટે ત્યાં ક્યાં યોગ્ય ધરતી, ખાતર અને પાણી હતાં? એક નિર્જીવ યંત્રનો ભાગ બની જવાની કોરી વ્યથા એના અંતરને કોરતી જ રહી … કોરતી જ રહી.

પણ બેન્ગલરુની હવામાં ભારતના કોઈ પણ શહેર કરતાં વિદેશી લહેરખીઓ વધારે વાતી હતી ને? એવી જ કોઈ લહેરમાં તેને અમેરિકાની પ્રખ્યાત ‘યેલ’ યુનિવર્સિટીમાં અનુસ્નાતક અભ્યાસ કરવાની તક મળી ગઈ. ત્યાં તેની કારકિર્દીમાં ‘માસ્ટર’ બન્યાનું વધારાનું છોગું તો ઉમેરાયું જ. પણ સાથે સાથે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થામાં ‘સ્વયંસેવક’ જુસ્સાને અપાતું મહત્ત્વ પેલા બીજને પોષતું જ રહ્યું.

‘આપણા દેશમાં દક્ષિણ આફ્રિકા, અમેરિકા કે વિશ્વના ઘણા બધા જાગૃત દેશો જેવો સ્વયંસેવક જુસ્સો કેમ નથી?’ – બસ આ જ મનોવ્યથા લાવણ્યાના ચિત્તને કોરતી રહી.

આ જ ઉલઝન – અને લાવણ્યાએ બીજી ઝળહળતી કારકિર્દીઓની લાલચને કોરાણે મેલીને લેડી શ્રીરામ કોલેજમાં જ અધ્યાપકની નોકરી સ્વીકારી લીધી. દક્ષિણ આફ્રિકા કે અમેરિકા જેવો કોલેજના વિદ્યાર્થીઓ માટેનો વોલન્ટિયર પ્રોગ્રામ શી રીતે કરવો તેની ચર્ચા તેની સખી કાવ્યા સક્સેના સાથે તે કરતી રહી. ઇન્ટરનેટ ઉપર તપાસ કરતાં ભારતમાં આટલી મોટી સંખ્યામાં યુવાધન હોવા છતાં આવી કોઈ પદ્ધતિ ન હોવા અંગે તેનો અફસોસ વધતો રહ્યો. યુવાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં આવું કામ શરૂ કરવામાં આવે તો તેમાં કામમાં જોડાવાનો તેમનો ઉત્સાહ તો ઊડીને આંખે વળગે તેવો હતો.

‘આવો નવો ચીલો આપણે જાતે જ પાડવો પડશે.’ એવા નિર્ધાર પર બન્ને સખીઓ આવી. અને આમ ૨૦૧૪ની સાલમાં ‘અસ્મત’નો જન્મ થયો. ન્યુ ગિનીની ભાષાનો આ શબ્દ કેપટાઉનમાં સાંભળ્યો ત્યારથી લાવણ્યાને ગમી ગયો હતો. તેનો અર્થ થાય છે – ‘આપણે લોકો’.

જ્યારે આ સંસ્થા માટે લાવણ્યાએ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેના ઉદ્દેશમાં પછાત વિસ્તારોના લોકો માટે કામ કરવા ઉપરાંત, યુવાનોને સેવા કરવાની તક પૂરી પાડવાનું લક્ષ્ય પણ સામેલ કર્યું હતું.

લાવણ્યા અને કાવ્યાએ ‘અસ્મત’ના પહેલા પ્રોજેક્ટ તરીકે બહુ જ ચોકસાઈથી પાકિસ્તાનની સીમા અને જેસલમેરની નજીક આવેલા, રાજસ્થાનના સોડા ગામને પસંદ કર્યુ. કારણ એ કે, છેવાડાનું ગામ હોવા છતાં એની સરપંચ લેડી શ્રીરામ કોલેજમાંથી જ એમ.બી.એ. થયેલી, ૩૯ વર્ષની છબી રાજવત છે. બહુ ઓછી વસ્તી હોવા છતાં આ ગામની પોતાની વેબ સાઈટ છબીએ શરૂ કરી છે! ભારતનાં બીજાં ગામોને નડતા ઘણા પ્રશ્નો છબીએ ઉકેલી નાંખેલા જ છે, અને છતાં ‘ઘણું કરવાનું બાકી છે.’ એવી જાગરૂકતાના આધારે તેણે લાવણ્યાને આ પ્રોજેક્ટ શરૂ કરવા પ્રેરણા અને સહકાર આપ્યાં. ૨૦૧૩ના ડિસેમ્બર મહિનામાં છબીના માંત્રણથી લાવણ્યા અને કાવ્યાએ ‘સોડા’ ગામની મુલાકાત લીધી અને બધી વ્યવસ્થાને આખરી ઓપ આપી, ૨૦૧૪ના એપ્રિલથી આ પ્રોજેક્ટના શ્રી ગણેશ મંડાયા.

લાવણ્યા અને કાવ્યાની દોરવણી નીચે, ‘અસ્મત’ના સ્વયંસેવકો સોડાની પ્રાથમિક શાળાનાં બાળકોને અભ્યાસક્રમની બહાર, એમની સર્જન અને કલ્પના શક્તિને ઉત્તેજન આપે તેવું શિક્ષણ આપે છે. સ્ત્રીઓને માસિક સ્રાવ, ગર્ભાવસ્થા, અને બાળકને જન્મ આપવા પછીની તકેદારી અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપે છે. સરકારી તંત્ર દ્વારા મળી શકતી મદદ અંગે પણ તેઓ જાગૃતિ આણે છે.

આ બે વર્ષમાં દિલ્હીના ૧૨૦ વિદ્યાર્થી સ્વયંસેવકોએ સોડા ખાતેના અભિયાનમાં ભાગ લીધો છે. લાવણ્યાએ દક્ષિણ આફ્રિકા અને અમેરિકાના પોતાના અનુભવ પરથી, આ અંગે વિદ્યાર્થીઓને સભાન અને તૈયાર કરવાની પદ્ધતિ વિકસાવી છે. ખચિત, શહેરમાં ઉછરેલા વિદ્યાર્થીઓ માટે ગામડાંમાં રહેવું અને કામ કરવું એટલું સહેલું નથી જ. ગ્રામવાસીઓની ટીકા ‘આ શહેરી લોકોને આપણી ઉલઝનોની શી ખબર પડે?’ પણ સૌએ વેઠવી / અતિક્રમવી પડે છે. સાથે સાથે જમાના જૂની, ગલત માન્યતાઓમાંથી ગ્રામવાસીઓને મુક્તિ અપાવતો આ એક દાખલો ‘અસ્મત’ના  પ્રયત્નોને મળેલી સફળતાની સાક્ષી પૂરે છે.

અલીના ખાન – “ મારા માસિક કાળ વખતે ત્રણ દિવસ કશું કામ ન કરીને હું કંટાળી જતી હતી. પણ હવે અલ્લાને સલામ કરીને હું રસોડામાં કામ કરવાની મારામાં હિમ્મત આવી છે. અલ્લાએ બનાવેલ કોઈ ચીજ નાપાક નથી. માસિક આવવું એ કુદરતી બાબત છે, એની મને ખાતરી થઈ ગઈ છે.” અસ્મત’ના પ્રયત્નોથી સોડા ગામની મહિલાઓ ગંદા અને ચેપ લગાડે તેવા ગાભાઓની જગ્યાએ ફેંકી દેવાય તેવા સેનિટરી નેપકિન વાપરતી થઈ ગઈ છે.

આ અંગેનો ઘણો ખર્ચ સ્પોન્સર કરતા વ્યાવસાયિકો અને ખાનગી દાનવીરો આપે છે. પણ ઘણો બધો ખર્ચ સ્વયંસેવકો જાતે પણ ઊપાડી લે છે. આમ તો દરરોજ ૩૦૦ રૂપિયાનો ખર્ચ આવતો હોય છે. પણ ભાગ લેતા સ્વયંસેવકો ૧૫૦/- રૂપિયા જાતે ખર્ચે છે. તાજેતરમાં સોડા ગામમાં સ્વાસ્થ્ય અંગેનો કેમ્પ યોજવા માટે જરૂરી એક લાખ રૂપિયાના ભંડોળના લક્ષ્યાંક સામે લાવણ્યાએ ૬૦,૦૦૦ રૂપિયા ભેગા કરી નાંખ્યા છે અને નિઃશુલ્ક સેવા આપવા માટે ઘણા બધા ડોક્ટરોને પણ તૈયાર કર્યા છે.

અલબત્ત લાવણ્યાનો ભાર સ્વયંસેવકોને આ અંગે તૈયાર કરવા પર વિશેષ છે. લાવણ્યાના અધ્યક્ષ સ્થાન હેઠળ ‘અસ્મત’ના બોર્ડમાં ૧૬ કાયમી સભ્યો છે. અલબત્ત બંગલરુના કપડાં બનાવતાં કારખાનાઓમાં કામ કરતી મહિલાઓ અંગેના રિસર્ચ પ્રોજેક્ટમાં પણ લાવણ્યાનું યોગદાન ચાલુ જ છે. લાવણ્યાએ બહુ જ દીર્ઘદૃષ્ટિ વાપરીને છબી જેવી જાગૃત અને ઉચ્ચ કેળવણી પામેલી સરપંચનો સહારો લીધો હતો. આ મોડલ પરથી અનેક ગામડાંઓ અને ઝૂંપડપટ્ટીઓમાં આવા પ્રોજેક્ટો શરૂ કરવા લાવણ્યા ઉમેદ રાખે છે. પણ તેનું મહત્ત્વનું લક્ષ્ય છે –

વિશ્વના જાગૃત દેશોની જેમ ભારતમાં ‘વોલન્ટિયરિંગ’ની પ્રવૃત્તિને એક પ્રમાણિત, શિસ્તબદ્ધ અને સુગઠિત પદ્ધતિ તરીકે વિકસાવવી.

લાવણ્યાને સોડા ગામની મહિલાઓ દ્વારા મળેલ સ્વીકૃતિની આ છબી સાથે વીરમીએ.

સાભાર – માલવિકા વ્યવહારે, The Better India
સંદર્ભ –
મૂળ લેખ
દક્ષિણ આફ્રિકાના વોલન્ટિયર પ્રોગ્રામ વિશે –
e.mail : surpad2017@gmail.com

Loading

સેક્યુલરિઝમનું વળી અહીં શું કામ છે? : રવિજીનું અમથું અમથું 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 September 2024

શાંત તળાવમાં કાંકરીચાળો

યુરોપની જેમ રાજ્ય અને ચર્ચનો મામલો ન હોય તોપણ ધરમ – મજહબને નામે ભાગલાનો ઇતિહાસ તો છે જ; અને સ્વરાજ પછી પણ લીગ ને ઝીણાના હિન્દુ અડધિયાની ખોટ નથી તે હકીકત છે.

પ્રકાશ ન. શાહ

તામિલનાડુના રાજ્યપાલ રવિએ અમથી જ શાંત તળાવમાં કાંકરો નાખવા જેવી ચેષ્ટા કરી છે કે આપણે વળી સેક્યુલરિઝમની વાતમાં પડવા જેવું ક્યાં હતું. એ તો ભાઈ, એમણે માસૂમિયતથી કહ્યું છે, એક યુરોપીય અવધારણા છે.

એક રીતે જો કે, એમણે આપેલો દાખલો દેખીતો ઠીક પણ છેઃ  યુરોપમાં રાજા અને ધર્મતંત્ર (ચર્ચ) વચ્ચે સત્તાસંઘર્ષનો લાંબો ઇતિહાસ છે. આ અનવસ્થા દૂર કરવા સારુ સેક્યુલર અભિગમની, રાજસત્તા અને ધર્મતંત્રના જુવારાની જરૂર હતી અને છે.

એ રીતે આપણે ત્યાંનું ચિત્ર જુદું છે એટલે અહીં વળી સેક્યુલરિઝમની જરૂર શું છે. આટલે સુધી તો માનો કે રાજ્યપાલ રવિની (અગર એમની પૂંઠે રહેલ ભા.જ.પી. કેન્દ્ર સરકારની) વાત માનો કે નભી પણ જાય. પણ ત્યાં અટકે એ બીજા. એમણે એટલી હદે કહી નાખ્યું કે આ તો નકરું છળકપટ (ફ્રૉડ) છે – પોતાની સત્તા ભયમાં હોવાનું સમજાતાં એક વડા પ્રધાને બંધારણમાં સેક્યુલર હોવાનું ધરાર ઘુસાડ્યું છે.

વળી મુશ્કેલી ઇંદિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીનું પગલું જેમને ટીકાપાત્ર કે વિરોધપાત્ર ન લાગતું હોય એમને પણ આ નિર્ણય વિવાદાસ્પદ તો લાગવાનો જ. એથી એક વિવાદાસ્પદ રાજકીય પગલાને છાવરવા વાસ્તે બંધારણમાં સુધારા વાટે સેક્યુલર ઓળખ ઠઠાડવાની કારવાઈ થઈ હતી એવું કહેવાની તક નથી જ એવું તો નથી.

આખી વાત સમગ્રપણે સમજવા સારુ આપણે ઇતિહાસમાં પાછે પગલે જવું જોઈશે. બંધારણ સભાની ચર્ચાઓમાં અને એમાં નેહરુ-આંબેડકર સહિતની દરમિયાનગીરીઓમાં જતાં સરવાળે ઊપસતું ચિત્ર શું છે ? આપણે એક બહુધર્મી દેશ છીએ એમાં કોઈ એક ધર્મ સાથે રાજ્યનું સંધાન ઇષ્ટ નથી. રાજ્ય સ્તરે સર્વ ધર્મથી સમાન અંતરની અગર તો સમાદરની ભૂમિકા ઇષ્ટ છે. ગમે તેમ પણ, જે રીતે સોવિયેત રશિયાના બંધારણમાં ધર્મવિરોધી ભૂમિકા છે તેવો કોઈ વિચારધારાકીય અભિગમ આપણા બંધારણમાં નથી એ સાચું, પણ કોઈ એક ધર્મ સાથે સંધાન નથી એ પણ સાચું. જ્યાં સુધી ઇતિહાસનો સવાલ છે, આપણી સ્વરાજલડતને આભડી ગયેલું દુર્દૈવ વાસ્તવ એ હતું કે હિંદુ મહાસભા અને મુસ્લિમ લીગ વખતોવખત એવી માનસિકતા દાખવતા અને ઉત્તેજતા કે આ કોઈ અંગ્રેજી રાજ સામે આપણ સૌની લડત કરતાં વધુ તો મુસ્લિમો સામે હિંદુઓની અગર તો હિંદુઓ સામે મુસ્લિમોની છે. આ સાંકડો વિચારધારાવાદ આપણને ભાગલા લગી લઈ ગયો. એટલે આ કોઈ હિંદુ રાજ નથી પણ બિનસાંપ્રદાયિક એથી સૌનું રાજ છે, એ મુદ્દો સ્વાભાવિક જ બંધારણ સભાની ચર્ચાઓમાં નાનાવિધ ઝોકફેરે અને અભિપ્રાયભેદે પણ ઊપસી રહ્યો.

રાજ્યપાલ રવિ અંતે તો કેન્દ્રની ભા.જ.પ. સરકારની નિયુક્તિ છે. એટલે ઇતિહાસવસ્તુ તરીકે એક વાત એમના વળના ભિલ્લુઓના ધ્યાન પર લાવવી જોઈશે કે ભા.જ.પે. પણ જનસંઘના જનતા અવતારના વારાથી ખરો કે ખોટો એવો જાહેર અભિગમ જરૂર લીધો છે કે અમે પોઝિટિવ કહેતાં સકારાત્મક સેક્યુલરિઝમમાં માનીએ છીએ. અલબત્ત, જનતા અવતાર પછી છૂટા પડ્યા બાદ એનું રાજકારણ ઝીણાના હિંદુ અડધિયા જેવું થઈ ગયું એ હકીકત છે.

અધૂરામાં પૂરું, રાજ્યપાલ રવિએ સંભાર્યું છે કે ભારત એક ધર્મકેન્દ્રી દેશ છે, એ વળી ધર્મથી અળગો એટલે કે સેક્યુલર થઈ શકે? શા સારુ થાય? ભાઈ, આ ધર્મ કોઈ હિંદુ કે મુસ્લિમ કે ઇસાઇપારસી અર્થમાં નથી. આપણા સમયમાં વિવેકાનંદ ને ગાંધીએ જે ધર્મજીવનનો મહિમા જીવી જાણ્યો એ કોઈ સંપ્રદાયની કંઠીરૂપ નહોતો. એમની ધર્મદૃષ્ટિ અને હિંદુત્વ રાજનીતિ વચ્ચે છત્રીસનો સંબંધ છે.

થોડીક સારરૂપ ચર્ચા પછી વિસ્તારભયે અહીં અટકતી વેળાએ એટલું જ પૂછવું રહે કે વિધાનસભાના સત્રારંભે રાજ્યપાલના વિધિવત સંબોધનમાંથી સેક્યુલરિઝમ જેવા શબ્દોની બાદબાકીનો અભિગમ સન્માન્ય રવિજીનો રહ્યો હોઈ એમનાં આ બધાં વિધાનોમાંથી કેન્દ્રની ભા.જ.પી. સરકારને ઇષ્ટ રાજકારણી બૂ તો નથી ઊઠતી ને.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 25 સપ્ટેમ્બર 2024

Loading

‘કાશીનો દીકરો’ અને એની ‘બીજી બા’

સોનલ પરીખ|Opinion - Opinion|26 September 2024

સંતાનના જન્મ સાથે મા પણ જન્મે છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગમાં સમજ અને મેચ્યોરિટી પણ ઉમેરાતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઊઘડતાં જાય છે.  

માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે?

અમુક સંબંધો જીવનભરની સાધના હોય છે. એના ‘ડે’ હોય નહીં. જેમ કે મધર્સ ડે. માતૃત્વ એક શાશ્વત અનુભૂતિ છે. સમય અનુસાર, વ્યક્તિત્વ પ્રમાણે અભિવ્યક્તિ થોડી બદલે એમ બને; પણ મા, મા જ રહે છે. સંતાનનું કુશળક્ષેમ હંમેશાં હૈયે રાખતી અને એને માટે જાત ઘસી નાખતી મા દરેક વ્યક્તિ, દરેક ઘર માટે વરદાન છે. મે મહિનાનો બીજો રવિવાર એટલે મધર્સ ડે – જીવનમાં માતાએ જે પ્રદાન કર્યું છે તેને માટે કૃતજ્ઞ થવાનો દિવસ. સંતાનના જન્મ સાથે માનો પણ જન્મ થાય છે અને સંતાનના ઉછેરના વિવિધ તબક્કા સાથે મા પણ ઉછરતી જાય છે. સંતાન માટે પ્રેમ અને ત્યાગ તો એના લોહીમાં હોય જ છે; પણ એની સમજ, એની મેચ્યોરિટી પણ સાથે સાથે ખીલતાં જાય ત્યારે સંતાન સાથેના એના સંબંધમાં નવાં સુંદર પરિમાણો ઉમેરાતાં જાય છે.

માતૃત્વ લોહીના સંબંધો પૂરતું સીમિત છે કે એની બહાર પણ એ હોઈ શકે? જે કસોટીમાં મા તવાય છે, ઘવાય છે, નીચોવાય છે, વલોવાય છે; માતૃત્વની એ કસોટી એની કુખેથી જન્મ લીધેલા સંતાન સિવાયના કોઈ માટે પણ હોઈ શકે? સમય પલટાઈ રહ્યો છે અને ‘પહેલાં માતાપિતાનું માનવું, પછી પતિ કહે એમ જીવવું ને ત્યાર પછી સંતાનો ઈચ્છે તેમ કરવું … તો સ્ત્રી પોતાની જિંદગી ક્યારે જીવે’ એવો સવાલ છેલ્લા થોડા દાયકાથી પુછાઈ રહ્યો છે ત્યારે યાદ આવે છે કાશી. એવી એક મા, જેના માતૃત્વની ધારા અનેક કસોટીઓ વચ્ચે પણ વહેતી રહી – પોતાની કુખેથી જન્મેલા સંતાન માટે જ નહીં, પણ તેનાથી પણ અદકેરા એવા માનસ-સંતાન માટે પણ. મધર્સ ડે નિમિત્તે યાદ કરીએ કાશીના દીકરાને અને એની બીજી બાને.

વિનોદિની નીલકંઠ

આ કાશી એટલે વિનોદિની નીલકંઠની વાર્તા ‘દીકરો’ની અંબા. કાન્તિ મડિયાએ દોઢ પાનાંની એ વાર્તા પરથી બનાવેલી ફિલ્મમાં એનું નામ કાશી રાખ્યું. પણ વાર્તા અને ફિલ્મ બંનેમાં એનું જે નામ છે, ‘બીજી બા’ એ જ એનું સાચું નામ છે. આ ‘કાશીનો દીકરો’ ફિલ્મ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાઈ ને બિરદાવાઈ. ગરબા, લોકકથા અને કેડિયા-ધોતિયાવાળી ગુજરાતી ફિલ્મોના એ દોરમાં ‘કાશીનો દીકરો’એ વિવેચકોનું ધ્યાન ખેંચેલું, થોડા પુરસ્કાર મેળવેલા અને કલ્ટ ફિલ્મ તરીકે આજે પણ એનું નામ લેવાય છે એ ખરું, પણ દર્શકોએ તેની સદંતર ઉપેક્ષા કરી હતી અને એક તબક્કે કાન્તિ મડિયાએ દુ:ખ સાથે કહેવું પડ્યું હતું કે રોક્યા હતા તેના પોણા ભાગના પૈસા પણ પાછા આવ્યા હોત તો હું બીજી કોઈ સાહિત્યકૃતિ પરથી ફિલ્મ બનાવત.

આપણે વાત કરીએ બીજી બાની. કાશી પરણીને આવી ત્યારે એની સાસુના ખોળામાં બે વર્ષનો દીકરો રમતો હતો. સાસુએ એને કાશીની ગોદમાં મૂક્યો ને કહ્યું, ‘જો કેશવા, આ તારી બીજી બા.’ નાનકડો કેશવ પોપટની જેમ બોલ્યો, ‘બીજી બા’ અને એ ઘડીથી કાશી એની મા બની ગઈ. કેશવ એની બીજી બા પાસે એવું લાલનપાલન પામવા લાગ્યો કે કાશીના પતિ અંબાલાલને ક્યારેક એના નાના ભાઈની અદેખાઈ આવી જતી. સમય જતાં કાશીને પોતાનો દીકરો થયો. એ પણ કાશીને બીજી બા જ કહેતો અને કેશવ યુવાન થયો ને રૂપકડી વહુ લાવ્યો એ પણ એને બીજી બા જ કહેવા લાગી.

પણ સુખી કુટુંબને નજર લાગી. લગ્ન પછી તરત કેશવ એરુ આભડવાથી મૃત્યુ પામ્યો. તરુણ રમાને વૈધવ્યવેશમાં જોઈને કાશીને ખૂબ સંતાપ થતો, ‘મારા જ કોઈ પાપે કેશવો ચાલ્યો ગયો.’ એણે રંગીન વસ્ત્રો છોડ્યાં. સૌભાગ્યચિહ્ન સમા ચાંદલા સિવાય તમામ શણગાર છોડ્યા. રમાને પિયર મોકલી સારું ઠેકાણું જોઈ પરણાવી દેવી જોઈએ એવું કાશી અને અંબાલાલ વિચારતા હતા, પણ રમા તૈયાર ન થઈ – ‘બીજી બા, મારી ગાંઠ એમની સાથે બંધાઈ ચૂકી. હવે તો એમનાં સંભારણાં એ જ મારો સંસાર.’ કાશીએ બહુ સમજપૂર્વક યુવાન વિધવાને જીવનભર સાચવવાની કપરી જવાબદારી સ્વીકારી.

અંબાલાલને નાના ભાઈના મૃત્યુનો આઘાત તો લાગ્યો હતો, પણ પાંચ-છ મહિને એનું શરીર જાગ્યું અને કાશીના શરીરને માગવા લાગ્યું. કાશી ઢીલી થઈ જતી, ‘સુખ ભોગવવા જેવડો કેશવ ચાલ્યો ગયો, બિચારી વહુ – એના તો મોઢે સુધી આવીને કોળિયો ઝૂંટવાઈ ગયો. આપણે તો આટલા વરસ ભોગવ્યું છે. હું જાણું છું, વારેવારે ના પાડીને હું અસ્ત્રી તરીકેનો ધરમ ચૂકું છું. પણ તમારે પગે પડું છું, મને માફ કરો.’ અંબાલાલ પછી કશું બોલતો નહીં. એક વાર કાશી બહારગામ હતી અને અંબાલાલ રમા પર બળજબરી કરી બેઠો. પાછા આવીને રમાનો ગભરાટ અને અંબાલાલનો ભીતિભર્યો અપરાધભાવ જોઈ કાશીને પરિસ્થિતિ સમજાઈ ગઈ. તેણે આમાં પણ પોતાનો જ વાંક જોયો – પોતે પતિને શરીરસુખથી વંચિત રાખ્યો અને રમાને એકલી છોડીને ગઈ એથી આ થયું. માંડ કડવો ઘૂંટડો ગળે ઉતાર્યો ત્યાં ખબર પડી કે રમા સગર્ભા છે.

કાન્તિ મડિયા

ખોરડાની આબરૂ સાચવવા કાશીએ કમર કસી. આડોશપડોશમાં દેખાવ એવો કર્યો કે પોતે સગર્ભા છે. રમાનું શરીર ચાડી ખાય એ પહેલા કાશી એને લઈને નીકળી ગઈ. દૂર ક્યાંક જઈ રમાને સધવાનો પોષક પહેરાવ્યો અને તેને પોતાની દીકરી જણાવી કાશીએ રમાની સુવાવડ કરાવી. ‘શું કહું, મારી મહિનો ગણવામાં ભૂલ થઈ કે આ વહેલો આવી ગયો, અમે તો તીર્થયાત્રામાં જ …’ કહેતાં રમા અને બાળકને લઈ ઘેર પછી ફરી. પાડોશણો કહે, ‘કાશી, તું તો સાવ લેવાઈ ગઈ.’ કાશીએ જવાબ આપ્યો, ‘આ ઉંમરે સુવાવડ વેઠવી સહેલી છે, બાઈ?’ કોઈએ કહ્યું, ‘દીકરો અંબાલાલભાઈ જેવો જ લાગે છે.’ ત્યારે કાશી બોલી, ‘એમ? દીકરો બાપ જેવો લાગે એમાં શી નવાઈ, પણ મને તો આ મારા કેશવ જેવો જ લાગે છે.’

પછી સૌના દેખતા તેણે રમાને બોલાવી અને તેના હાથમાં બાળક આપતાં બોલી, ‘આમ જ એક વાર મારાં સાસુએ કેશવને મારા ખોળે મૂક્યો હતો. હું આ બાળક તને સોંપું છું. મારાથી આ ઉંમરે આની વેઠ થશે નહીં, ને તારું ય ચિત્ત આનામાં પરોવાયેલું રહેશે. હું અભાગણી મારા કેશવને ન સાચવી શકી, પણ તું આને જરૂર સાચવજે.’ વહેતાં આંસું લૂછીને તેણે રમાનો દીકરો રમાને સોંપ્યો.

સિને ઇન્ડિયા ઇન્ટરનેશનલ અને નરેશ પટેલ નિર્મિત આ ફિલ્મમાં પટકથા-સંવાદ પ્રબોધ જોશીનાં અને દિગ્દર્શન કાંતિ મડિયાનું હતું. આધુનિક ગુજરાતી કવિઓનાં ઉત્તમ ગીતોને પસંદ કરીને સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ સંગીતબદ્ધ કર્યાં હતાં – એવા રે મળેલા મનના મેળ (બાલમુકુન્દ દવે), ગોરમાને પાંચે આંગળિયે પૂજ્યાં (રમેશ પારેખ), રોઈ રોઈ ઊમટે આંસુની નદી (માધવ રામાનુજ), મારી આંખે કંકુના સૂરજ આથમ્યા (રાવજી પટેલ) ને ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં (અનિલ જોશી). રાગિણી, રાજીવ, રીટા ભાદુરી, ગિરીશ દેસાઈ અને કાંતિ મડિયા મુખ્ય કલાકાર હતાં. 21 વર્ષની રાગિણીએ 50-60 વર્ષની કાશીની ભૂમિકા ખૂબ સરસ રીતે કરી હતી. એની આંખો ઘણું બોલતી હતી. માતૃત્વસભર સ્ત્રીની આંખોમાં એક જાતની કરુણા અને કરુણતા બંને હોય છે, જે તેની આંખોમાં દેખાતી હતી. ‘રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો, વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો’ આવું માધવ રામનુજે આવી જ કોઈ આંખોને જોઈ લખ્યું હશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 મે  2024

Loading

...102030...553554555556...560570580...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved