Opinion Magazine
Number of visits: 9557337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીની મુખ્ય ત્રણ દેણ [2]

નારાયણ દેસાઈ|Gandhiana|22 August 2024

ગાંધીજીએ પોતાની જિંદગીમાં સત્યાગ્રહના કરેલા કે કરવા ધારેલા પ્રયોગો નીચેના પ્રકારના હતા. અલબત્ત દરેક પ્રકારમાં સંખ્યાબંધ પેટા-પ્રકારો પણ હોઈ શકે છે.

૧.            વિચારોની કે સત્યની કે ન્યાયની સમજાવટથી કામ પતી જતું હોય તો તે ઉત્તમ.

૨.            અન્યાયની જાણ પોતાના લોકોને, સામાન્ય જનતાને અને સામેના પક્ષને સ્પષ્ટ રીતે કરવી.

૩.            અન્યાયી વ્યવસ્થા સાથે વિવિધ પ્રકારના અસહકાર કરવા.

૪.            અન્યાયી કાયદાનો સવિનય અને ખુલ્લો ભંગ કરી, તેના પરિણામે થતી સજા સ્વેચ્છાએ સ્વીકારી લેવી.

૫.           વિવિધ પ્રકારના કર ન ભરવા.

૬.            પ્રજાનાં નાનાં મોટાં એકમોમાં શાસનની વ્યવસ્થા જાતે સંભાળી લઈને અન્યાયી પ્રશાસકના વહીવટને નિરર્થક અને અનાવશ્યક બનાવી દેવો.

દેશે ગાંધીજીના પ્રત્યક્ષ કે પરોક્ષ નેતૃત્વ હેઠળ સત્યાગ્રહનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રયોગો જોયા. ૧૯૧૯-૨૨ સુધીનું અસહકાર આંદોલન અને ૧૯૩૦-૩૪નાં સવિનયભંગનાં આંદોલનોએ આખા દેશને ચેતના પૂરી પાડી. અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પણ લોકોએ લાંબા ગાળા સુધી પોતાનો જુસ્સો જાળવી રાખ્યો હતો. તેમાંથી પ્રથમ આંદોલન દરમિયાન પહેલી વાર દેશના ભણેલા ગણેલા મધ્યમ વર્ગના લોકોએ જેલવાસ વહોરી લીધો. અને બીજા આંદોલનમાં સ્ત્રીઓએ હજારોની સંખ્યામાં ચળવળમાં ભાગ લીધો હતો. બંને આંદોલનોથી લોકોને એ વિશ્વાસ બેઠો હતો કે સત્યાગ્રહ એ અન્યાયનો પ્રતિકાર કરવાનો એક કારગર ઉપાય હતો. સવિનયભંગના આંદોલન દરમિયાન ધરાસણા, પેશાવર, વડાલા વગેરે સ્થળોએ કષ્ટસહનની ચરમ સીમાનું પ્રદર્શન કર્યું હતું.

તે ઉપરાંત ચંપારણમાં તિનકઠિયા વ્યવસ્થા સામે પડકાર, વાઈકોમ(કેરળ)માં દલિતોના મંદિર-પ્રવેશ, બારડોલીમાં અન્યાયી મહેસૂલ વધારાનો વિરોધ વગેરે નિશ્ચિત અને સીમિત ઉદ્દેશવાળા સત્યાગ્રહો દ્વારા રાષ્ટ્રીય જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ચોક્કસ જીત હાંસલ કરીને દેશે પોતાનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

સત્યાગ્રહની આ દેણ મારફત ગાંધીજીએ દુનિયાના અન્યાયગ્રસ્ત, પીડિત, ત્રસ્ત, દલિત લોકો સારુ આત્મશક્તિથી લડવાનું એક ખૂબ અસરકારક સાધન આપ્યું હતું. ઉપરાંત માણસજાતને લોભ અને ભયને ઠેકાણે પ્રેમથી પરિવર્તનનું ત્રીજું પ્રેરક તત્ત્વ ચીંધ્યું હતું.

અન્યાય સામેની લડતની સાથેસાથે જ જેમાં લોકોની શક્તિ વધતી હોય એવા કાર્યક્રમો તો ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી જ શરૂ કરી દીધેલા.

બોઅર યુદ્ધ અને ઝુલુ યુદ્ધ એમ બબ્બે યુદ્ધ વખતે ગાંધીજીએ હિંદી સ્વયંસેવકોની ભરતી કરી હતી. આ લોકોએ ઘાયલોને ઝોળીઓમાં ઉપાડી જવાનું અને તેમને તબીબી સારવાર આપવાનાં કામો જાનને જોખમે કર્યાં હતાં. તેથી દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની પ્રતિષ્ઠા અને શક્તિમાં વધારો થયો હતો. કોમમાં આત્મવિશ્વાસ વધ્યો હતો અને હિંદીઓ તો સાવ બીકણ બાયલાં છે તેવી છાપ ત્યાંના ગોરાઓના મનમાંથી સાવ ભૂંસાઈ ગઈ હતી. જોહાનિસબર્ગમાં ભયંકર મરકી ફાટી નીકળી ત્યારે બીજા કોઈ ત્યાં જવાની હિંમત પણ નહોતા કરતા તેવાં સ્થળોએ પહોંચી જઈ દિવસ રાત રોગીઓની સેવા કરી હિંદીઓએ ઘણાના પ્રાણ બચાવ્યા હતા અને બિનહિંદીઓની પ્રશંસા પણ મેળવી હતી. હિંદીઓ સારુ ખાસ શાળાઓ ખોલી કે કુષ્ઠરોગ જેવા ચેપી રોગોની ચિકિત્સાની વ્યવસ્થા ગોઠવીને ગાંધીજીએ રચનાત્મક કામની પહેલ કરી હતી. દક્ષિણ આફ્રિકાના બે આશ્રમો, ફિનિક્સ વસાહત અને ટૉલ્સ્ટૉય વાડીમાં કાર્યકર્તા સ્ત્રી-પુરુષો અને તેમનાં બાળકોને તાલીમ આપીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોનો પાયો નાખ્યો હતો. એ કહેવાની જરૂર ભાગ્યે જ ગણાય કે આવા દરેક રચનાત્મક કામમાં ગાંધીજી તેમના આશ્રમોમાં અને બહાર હંમેશાં સૌની મોખરે રહેતા.

પણ સમાજનું નવું ઘડતર કરનાર કાર્યક્રમોને વ્યવસ્થિત યોજનાબદ્ધ સ્વરૂપ આપી એને કૉંગ્રેસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં સ્થાન અપાવવાનું તો ગાંધીજી હિંદ આવ્યા ત્યાર બાદ જ કરી શક્યા. ત્યારે જ તેમણે આવા કાર્યક્રમને ‘રચનાત્મક’ એવી સંજ્ઞા આપી. બારડોલી તાલુકામાં સવિનયભંગની ચળવળ ઉપાડતાં પહેલાં ત્યાં ખાદી, અસ્પૃશ્યતાનિવારણ અને રાષ્ટ્રીય શિક્ષણ વ્યાપક બનવાં જોઈએ એવી શરત મૂકીને ગાંધીજીએ રચનાત્મક કાર્યક્રમોને આઝાદીના આંદોલનમાં માનભર્યું સ્થાન આપ્યું હતું. વળી આઝાદી માટેની અહિંસક લડાઈ એ કેવળ વિરોધ કરનારી નકારાત્મક લડાઈ જ નથી, પણ સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવનાર હકારાત્મક ચળવળ પણ છે, એ સિદ્ધ કરી આપ્યું હતું. કૉંગ્રેસે ડોમિનિયન સ્ટેટસના પોતાના ઉદ્દેશ સારુ એક વર્ષની મહેતલ આપી. એ મુદ્દતમાં જો ડોમિનિયન સ્ટેટસ ન આપવામાં આવે તો કૉંગ્રેસનો ઉદ્દેશ પૂર્ણ સ્વતંત્રતાનો કરવાનું ઠરાવ્યું. ત્યારે એ એક વર્ષ દરમિયાન સ્વરાજ સારુ જોઈતી તાકાત અને યોગ્યતા કેળવવા જે કાર્યક્રમ અપાયો હતો એ પણ આખો રચનાત્મક કાર્યક્રમ જ હતો. કોમી એકતા, ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, દારૂબંધી ઉપરાંત તેમાં વામપંથી કૉંગ્રેસજનોના આગ્રહથી કિસાનો અને મજૂરોના સંગઠનના કાર્યક્રમો પણ જોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો સારુ કૉંગ્રેસે પોતાના મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓની બનેલી ઉપસમિતિઓ પણ સ્થાપી હતી. ઘણીખરી સમિતિઓ આખું વર્ષ આ કામ પાછળ પૂરી નિષ્ઠાથી લાગી ગઈ હતી.

પરંતુ આથીયે પહેલાં તિલક મહારાજના સ્મરણમાં તિલક સ્વરાજ ફંડ ઉઘરાવવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસના એક કરોડ સભ્યો નોંધવા અને એક કરોડ રૂપિયા એકઠા કરવાના સંગઠનાત્મક કાર્યક્રમની સાથે દેશમાં વીસ લાખ રેંટિયા ચાલુ કરવાનો કાર્યક્રમ પણ જોડવામાં આવ્યો હતો અને ‘એક વર્ષમાં સ્વરાજ’ના ગાંધીજીના લોભામણા કાર્યક્રમ આગળ પણ તિલક સ્વરાજ ફંડ માટેના આ ત્રણે લક્ષ્યાંકો અનિવાર્ય શરત તરીકે જોડવામાં આવ્યા હતા.

વળી ૧૯૨૫માં કૉંગ્રેસના ખાસ ઠરાવ દ્વારા અખિલ ભારત ચરખા સંઘ નામની એક રાષ્ટ્રીય સ્તરની સ્વાયત્ત સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી અને તેને સારુ ફાળો ભેગો કરવા ગાંધીજીએ આખા દેશમાં તેમ જ બ્રહ્મદેશ તથા લંકાના પ્રવાસ પણ ખેડ્યા હતા.

મહત્ત્વનાં સર્વ રચનાત્મક કામો સારુ અલગ સંઘ સ્થાપી એની ખાસ જવાબદારી કોઈ રાષ્ટ્રીય સ્તરની વ્યક્તિને સોંપવાનો ગાંધીજીએ જાણે કે રિવાજ જ પાડી દીધો હતો. આઝાદીની લડાઈ દરમિયાન એ રીતે ચરખા સંઘ, ગ્રામોદ્યોગ સંઘ, હરિજન સેવક સંઘ, તાલીમી સંઘ, ગો સેવા સંઘ, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, આદિમજાતિ સેવક સંઘ, મજૂર મહાજન વગેરે વિવિધ પ્રકારની રચનાત્મક સમિતિઓ સ્થાપવા તથા તેની પાછળ એક એક એવા માણસને મૂકી દેવાની પરંપરા ગાંધીજીએ પાડી હતી કે જેમણે પોતાનાં પૂરેપૂરાં જીવન જ એ કાર્યોને સમર્પી દીધાં હતાં. ગાંધીજીની આ સૂઝબૂઝ કાંઈ જેવી તેવી નહોતી. દુર્ભાગ્યે રાષ્ટ્રીય કૉંગ્રેસે આઝાદીના આંદોલનમાં જેટલું ધ્યાન આપ્યું હતું અને શક્તિ ખરચી હતી, તેટલાં કદી રચનાત્મક કામો પાછળ ખર્ચ્યાં નહોતાં. જો તેમ કર્યું હોત તો કદાચ દેશ પાસે સ્વરાજ આવ્યું ત્યારે જ એવી મોટી અહિંસક સેના ખડી થઈ ગઈ હોત કે જે સ્વરાજ પછી થયેલી દેશની ઘણી અધોગતિને રોકી શકી હોત.

દુનિયાના બહુ ઓછા ક્રાંતિકારીઓના મનમાં ક્રાંતિનાં નકારાત્મક અને હકારાત્મક બંને પાસાં સ્પષ્ટ હોય છે. મોટાભાગના ક્રાંતિકારીઓ જે વ્યવસ્થાને ઉથલાવી પાડવાની હોય છે એને અંગે તો મનથી સ્પષ્ટ હોય છે, પણ જે નવી વ્યવસ્થા ઊભી કરવાની હોય છે, તે અંગે તેઓ એટલા સ્પષ્ટ નથી હોતા. ગાંધીજી આ બાબતમાં એક ઝળહળતા અપવાદ જેવા હતા. એમણે રચનાત્મક કાર્યક્રમો મારફત સ્વરાજ પછીના સમાજ અંગેની પોતાની કલ્પનાના ચિત્રમાં પૂરતા રંગો પૂર્યા હતા. રચનાત્મક કાર્યક્રમ સ્વરાજને નીચેથી ઉપર સુધી રચવાનો એક નક્કર કાર્યક્રમ હતો. તેમાં જીવનના આર્થિક, રાજનૈતિક, સામાજિક, શૈક્ષણિક વગેરે સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં હતાં.

આર્થિક ક્ષેત્રમાં ખાદી, ગ્રામોદ્યોગ, ગો સેવા, આર્થિક સમતા, કિસાનોનાં હિતો જેવા વિષયોનો સમાવેશ થતો હતો. રાજનૈતિક ક્ષેત્રમાં કોમી એકતા, પ્રૌઢ શિક્ષણ દ્વારા લોકચેતના જાગરણ, કિસાન, મજૂર અને વિદ્યાર્થી સંગઠનોને લેવામાં આવ્યાં હતાં. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રી-શિક્ષણ, કોમી એકતા, અસ્પૃશ્યતા નિવારણ, કુષ્ઠરોગીઓની સેવા જેવા વિષયોને આવરી લેવાયા હતા. શૈક્ષણિક ક્ષેત્રમાં બાલવાડીથી માંડીને ઉચ્ચતમ શિક્ષણ સુધીની નઈતાલીમ, આરોગ્ય અને સ્વચ્છતાનું શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ વગેરે આવતાં હતાં. સાંસ્કૃતિક ક્ષેત્રમાં રચનાત્મક કાર્યોમાં, માતૃભાષા પ્રેમ અને રાષ્ટ્રભાષા શિક્ષણને સમાવવામાં આવ્યાં હતાં. ગાંધીજીએ ખુદ આ દરેક કાર્યક્રમ અંગે અલગ અલગ નોંધ કરીને કાર્યકર્તાઓ સારુ માર્ગદર્શક પુસ્તિકા તૈયાર કરી હતી, જેની પુષ્ટી તત્કાલીન કૉંગ્રેસ અધ્યક્ષ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ એક બીજી પુસ્તિકા દ્વારા કરી હતી. ગાંધીજીની આ પુસ્તિકામાં ઘણાં રચનાત્મક કાર્યોની મૂલગામી વ્યાખ્યા કરવામાં આવી છે.

રચનાત્મક કાર્યક્રમોએ કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને હિંદના ગામે ગામ સુધી પહોંચી શકવાની એક સોનેરી તક પૂરી પાડી હતી. કૉંગ્રેસે અધૂરી પધૂરી નિષ્ઠા સાથે પણ રચનાત્મક કાર્યક્રમોને જેટલે અંશે ઉપાડી લીધા હતા તેને લીધે જ તેને એક રાષ્ટ્રીય સંસ્થાનું સ્વરૂપ મળ્યું હતું.

વ્યૂહરચનાની દૃષ્ટિએ રચનાત્મક કાર્યક્રમોનું એક વિશેષ મહત્ત્વ હતું. આઝાદીની અહિંસક લડાઈના ત્રણ દાયકા દરમિયાન દેશ ત્રણ મોટાં મોટાં આંદોલનોમાંથી પસાર થયો હતો. લગભગ દાયકે દાયકે આવતાં આ મોટાં આંદોલનોની વચ્ચેના ગાળામાં કાર્યકર્તાઓ થાક કે નિરાશા અનુભવે એવા ગાળામાં રચનાત્મક કાર્યક્રમો તેમને લોકો પાસે પહોંચવાનું સુલભ સાધન ઉપલબ્ધ કરી દેતા. કૉંગ્રેસના જે કાર્યકરોએ લાંબા જેલવાસમાંથી છૂટી આવેલા કાર્યકર્તાઓની ‘ગામડે ગામડે જઈને કામ કરો’ની હાકલને માન આપ્યું હતું, તેમણે કદી માત્ર જેલ જવાના કાર્યક્રમો વખતે જ થનગની ઊઠી જતા અને પછી વીલે મોઢે બેસી રહેતા કાર્યકરોની માફક નિરાશા કે ઉત્સાહનો અભાવ અનુભવ્યા નહોતા. અંગ્રેજ સરકાર ગાંધીજીની આ વ્યૂહરચનાને જેટલી સમજી હતી એટલી કદાચ ઘણા કૉંગ્રેસ આગેવાનો પણ નહોતા સમજતા. દા.ત. ૧૯૩૦-૧૯૩૪ના લાંબા અને કષ્ટકર આંદોલન પછી જ્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ અને હરિજન સેવાના કાર્યક્રમો ઉપાડી હરિજનયાત્રા શરૂ કરી, ત્યારે ઘણા સમાજવાદી આગેવાનો એમ માનતા હતા કે ગાંધીજી આઝાદી આંદોલનના મુખ્ય લક્ષથી ચાતરી રહ્યા છે. પણ અસ્પૃશ્યતા નિવારણના આ વ્યાપક કાર્યક્રમનું સુફળ કૉંગ્રેસે ૧૯૩૭ની ચૂંટણી વખતે ‘અસ્પૃશ્યોના’ વધુમાં વધુ મત મેળવીને ચાખ્યાં હતાં. રચનાત્મક કાર્યક્રમે કૉંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને એક વ્યાપક રાષ્ટ્રવ્યાપી આધાર પૂરો પાડ્યો હતો. હિંસક લડાઈમાં જેવું પુરવઠા ખાતાનું મહત્ત્વ છે તેવું મહત્ત્વ અહિંસક લડાઈમાં રચનાત્મક કાર્યનું થઈ જાય છે.

ગાંધીજીએ જ્યારથી સામાજિક કામો શરૂ કર્યાં ત્યારથી જ તેમણે એ કામનો સંબંધ પોતાની આત્મશુદ્ધિ સાથે જોડ્યો હતો. સામાજિક કામોને એમણે ભગવદ્ભક્તિનું એક સ્વરૂપ માન્યું હતું. ભક્તિ કરવી હોય તો તે શુદ્ધ હૃદયથી જ થઈ શકે એવા સંસ્કાર એમને નાનપણથી મળ્યા હતા. તેથી શું ઇંગ્લેડમાં વેજિટેરિયન સોસાયટી જોડેનાં કામોમાં, કે શું દક્ષિણ આફ્રિકામાં એક પછી એક સંસ્થાના હોદ્દેદાર તરીકે કામ કરતા તેમણે વગર પગારે જ માનદ્દ સેવા આપી હતી. જ્યારે દાદા અબ્દુલ્લાને ત્યાં વિદાય સભામાં એમને દેશવાસીઓનો પ્રશ્ન હાથ ધરીને થોડું વધુ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો, અને તેમણે એક માસ સારુ વધુ રોકાઈ જવાનું કબૂલ કર્યું ત્યારે તેમણે દફતર ચલાવવાના ખર્ચની જોગવાઈ કરી, પણ પોતાના પગારની તો તેમણે કલ્પના સુધ્ધાં ન કરી.

ઝુલુ લડાઈ પછી તેમણે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી ત્યારે પણ તેમના મનમાં એક મુખ્ય વિચાર એ હતો કે જેણે જાહેર જીવનમાં વધુ સક્રિય બનવું હોય તેને પોતાની કુટુંબજાળ વધારેલી ન પોસાય. એમ જો સાવ શરૂઆતથી જોઈએ તો નાનપણમાં હરિશ્ચંદ્ર નાટક જોઈને પણ એમને માત્ર એટલો જ વિચાર નહોતો આવ્યો કે હું પણ હરિશ્ચંદ્ર કેમ ન બની શકું ? એમને વિચાર એવો આવ્યો કે ‘બધા હરિશ્ચંદ્ર કાં ન બની શકે ?’ ઠેઠ ત્યારથી જ ગાંધીજીના મનમાં સામાન્ય લોકો જેને વ્યક્તિગત ગુણ માને છે તેને સામાજિક મૂલ્ય તરીકે વિકસાવવાની હોંશ હતી. એમની જીવનભરની શોધ સત્યની હતી. પણ એમનું સત્ય એ માત્ર એક વ્યક્તિગત ગુણ નહોતું. તે એક સામાજિક મૂલ્ય હતું. ગાંધીજીએ પ્રેરેલાં એકાદશ વ્રતો એ, એમ જોઈએ તો ત્યારસુધી સમાજે જેને વ્યક્તિગત ગુણ માન્યા હતા તેને સામાજિક મૂલ્યોમાં પલટી નાખવા સારુ જ હતા. આ વ્રતોનો આગ્રહ દક્ષિણ આફ્રિકામાં ડરબન શહેર છોડીને વગડામાં જઈ ફિનિક્સ વસાહત ઊભી કરી ત્યારથી જ શરૂ થયો હતો. સાદું જીવન, શ્રમ પ્રત્યેની નિષ્ઠા, ખોરાક અંગે વરણાગિયાવેડા ન હોવા જોઈએ વગેરે એમના આગ્રહો ધીરે ધીરે વ્રતોનું રૂપ ધારણ કરતા જતા હતા. ભારત આવ્યા પછી પોતાના આશ્રમ અંગે તેમણે નિયમાવલિ બહાર પાડી તે એમનાં એકાદશવ્રતોનો પહેલો ખરડો હતો. એ વ્રતો અંગેનું એમનું ચિંતન નિત્ય નિરંતર ચાલતું રહ્યું. પોતાના સાથીઓ એ વ્રતો પાળે એના આગ્રહ કરતાં પોતાને માટે એ ઘણા વધારે કડક આગ્રહી હતા. બધાં વ્રતો અંગે પોતે પૂર્ણતાએ પહોંચ્યા હતા એવો દાવો તો એમણે કદી કર્યો નહોતો. એના પાલન અંગે તેઓ જાગરૂક રહીને હરહંમેશ પ્રયત્નશીલ રહેતા એટલું તેઓ જરૂર કહેતા.

રચનાત્મક કાર્યો જો અહિંસક યોદ્ધાને વ્યાપક લોકસમર્થન દ્વારા નૈતિક રસદ પૂરી પાડે છે, તો એકાદશ વ્રતો સત્યાગ્રહી સેનામાં સૈનિક દાખલ થઈ શકે તેની પૂર્વશરતો જેવાં છે. અલબત્ત આ વ્રતો અંગેનો આગ્રહ પણ સત્યાગ્રહીની સાધનાની પ્રગતિ સાથે ઉત્તરોત્તર વિકાસ પામતો હોય છે તેથી ગાંધીજીની અપેક્ષા એ રહેતી કે સત્યાગ્રહી સેનામાં દાખલ થયા પછી સૈનિક આ વ્રતોનો પોતાના જીવનમાં વિકાસ કરતો રહેશે. ગાંધીજીની પોતાની મૂળ સત્યની શોધ – સત્યની એમની વ્યાખ્યા પણ વિકાસ પામતી ગઈ છે. પણ એ શોધ કરવા જતાં જે બીજા ગુણોના વિકાસની જરૂરિયાત જણાઈ તે ગુણો પણ વ્રતો રૂપે એમના જીવનમાં સ્થાન પામતા રહ્યા અને પછી આશ્રમોમાં અને આંદોલનોમાં પણ તે સત્યાગ્રહીની સાધનાનાં ઉપકરણો તરીકે જોડાતાં રહ્યા.

ગાંધીજીએ સૂચવેલાં આ અગિયાર વ્રતોમાં કેટલાંક તો તેમણે સીધે સીધાં માનવીય સંસ્કૃતિ પાસેથી જ નમ્રભાવે, પણ આગ્રહપૂર્વક લીધેલાં છે.

ગાંધીજીએ દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મ-સિદ્ધાંતોનો જે અભ્યાસ કર્યો હતો તેના પરથી તેમણે એવું તારણ કાઢ્યું હતું કે એમાંના ઘણા ખરા ધર્મોમાં મૂળ વાત તો એકની એક જ હતી. આવી મૂળ વાતોને ઘણાખરા ધર્મોએ એક યા બીજા નામે સ્વીકારી અને ઉપદેશી છે. ગાંધીજીએ સૂચવેલાં અગિયાર વ્રતો નીચે મુજબ છે.

૧. સત્ય, ૨. અહિંસા, ૩. બ્રહ્મચર્ય, ૪. અસ્વાદ, ૫. અસ્તેય, ૬. અપરિગ્રહ, ૭. અભય, ૮. અસ્પૃશ્યતા-નિવારણ, ૯. જાતમહેનત, ૧૦. સર્વધર્મસમભાવ, અને ૧૧. સ્વદેશી.

આમાંથી સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ લગભગ બધા મુખ્ય મુખ્ય ધર્મોને માન્ય છે. વૈદિક ધર્મમાં આ પાંચને ‘મહાવ્રત’ કહેવામાં આવ્યાં છે. મુનિ પતંજલિએ પોતાના યોગસૂત્રમાં એને ‘પંચયમ’ કહ્યાં છે, જૈનોએ એને ‘પંચમહાવ્રત’ અને બૌદ્ધોએ એને ‘પંચશીલ’ કહ્યાં છે. યહૂદી, ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામે આ વ્રતોને આ ક્રમ કે આવું કોઈ નામ ભલે ન આપ્યું હોય, પણ એમના ધર્મગ્રંથોમાં પણ આ વ્રતોને અગત્યનું સ્થાન મળેલું છે.

અભયનું વ્રત એવું છે કે જેના વિના બીજાં કોઈ વ્રતોનું પાલન ન થઈ શકે. તેથી તે સર્વવ્રતોનું પુષ્ટિકર્તા અને સહાયક બની રહે છે. અસ્વાદ વ્રતને ગાંધીજીએ ખાસ કરીને બ્રહ્મચર્યવ્રતના પાલન સારુ વિશેષ સહાયક માન્યું છે. બ્રહ્મચર્યનો અર્થ તેઓ સર્વેન્દ્રિય સંયમ એવો કરે છે. પણ જિહ્વાના સંયમને તેઓ સર્વેન્દ્રિય સંયમ સારુ પણ વિશેષ ઉપકારી માને છે. આમ અભય અને અસ્વાદને આપણે બે સહાયક વ્રતો તરીકે ઓળખી શકીએ. બાકીનાં ચાર વ્રતો એને એ રૂપમાં કોઈ ધર્મગ્રંથોમાં કે કોઈ સામાજિક  નિયમોમાં આવતાં નથી. એ બધાં વ્રતો ગાંધીજીએ જે દેશકાળની પરિસ્થિતિમાં તેઓ જીવ્યા અને તેમણે કામ કર્યું તેમાંથી તેમને સૂઝેલાં વ્રતો છે. જો પહેલાં પાંચ વ્રતો સર્વધાર્મિક, સર્વકાલીન કે સર્વદેશીય છે, તો અભય અને અસ્વાદ તેમને સહાયક કે પોષક છે. અસ્પૃશ્યતાનિવારણ, જાત મહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ ચાર એવાં વ્રતો છે કે જે ગાંધીજીને દેશકાળની પરિસ્થિતિમાંથી સૂઝ્યાં છે.

૧૯૩૦માં યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને અઠવાડિયે અઠવાડિયે ગાંધીજી એક એક વ્રતનું સરળ ભાષામાં પણ ઊંડું વિવેચન કરતા પત્રો લખતા, એમાં સર્વધર્મસમભાવ વિષે બે પત્રો લખેલા અને પોતે જેલમાં હતા અને સ્વદેશીવ્રતનો રાજનૈતિક અર્થ લઈ શકે એમ માનીને તેમણે તે વ્રત વિષે પત્ર નહોતો લખ્યો. પણ પાછળથી એ વિષેની નોંધ ઉમેરીને એક પુસ્તિકા બનાવવામાં આવી. પહેલાં એ પુસ્તકનું નામ ‘યરવડા મંદિરેથી’ હતું પણ આ પત્રો મંગળવારે સવારની પ્રાર્થના પછી લખાતા તેથી તે પુસ્તકનું નામ ‘મંગળ પ્રભાત’ રાખવામાં આવ્યું અને એ જ પ્રચલિત થયું. આ પુસ્તક ગાંધીજીના મૂળ ગ્રંથોમાં સ્થાન પામે તેવું છે, અને અત્યાર સુધીમાં મૂળ ગુજરાતી પુસ્તકની પોણા બે લાખથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. આ પુસ્તકમાં ગાંધીજીએ ખૂબ સરળ ભાષામાં અને સંક્ષેપમાં એમનું પોતાનું જીવન જે સિદ્ધાંતોને આધારે ખડું હતું તેનું નિરૂપણ કર્યું છે. એકાદશવ્રતો એ ગાંધીજીની સામૂહિક સાધનાનું અધિષ્ઠાન છે.

(ક્રમશ:) 
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 04-06

Loading

ગાંધીજીની મુખ્ય ત્રણ દેણ [1]

નારાયણ દેસાઈ|Gandhiana|22 August 2024

સૂર્યની આપણને કેટલી બધી દેણ છે ? એમાંથી જ આપણી પૃથ્વી બની છે. એની ગરમીને લીધે જ આપણે ઠરીને ઠીકરું નથી થઈ જતાં. એના પ્રકાશથી વૃક્ષોનાં પાંદડાં ખીલી ઊઠે છે. સૂરજની ત્રણ મુખ્ય દેણ એટલે એનો પ્રકાશ, એની ગરમી અને એની ઊર્જા.

એ જ રીતે ગણાવવા બેસીએ તો ગાંધીજીની પણ ઘણીબધી દેણ ગણાવી શકાય. કોઈ કહેશે કે એમણે આપણને સ્વરાજ અપાવ્યું. કોઈ કહેશે કે એમના પ્રયાસોને લીધે જ દક્ષિણ આફ્રિકાના ગિરમીટિયાઓની ગિરમીટ પ્રથા ગઈ, કોઈ કહેશે એમણે ચંપારણમાં ‘તિનકઠિયા’ પ્રથાને કાઢી, કોઈ કહેશે એમણે ‘ભારત છોડો’નો મંત્ર આપ્યો. પણ લાંબો અને ઊંડો વિચાર કરતાં સમજાશે કે ગાંધીજીએ આપણા દેશને અને એક અર્થમાં આખી માનવજાતને જે મોટી ત્રણ દેણ આપી હતી તે – સત્યાગ્રહ, રચનાત્મક કાર્યક્રમ અને એકાદશ વ્રતોની. આ ત્રણમાંથી સત્યાગ્રહ અંગે આપણામાંથી ઘણાખરાને આછીપાતળી કાંઈક જાણ તો હશે, પણ આપણામાંના ઘણા એવા ય હશે કે જેમને બાકીની બે દેણ વિષે તો ભાગ્યે જ કાંઈ ખબર હશે. આપણે એ ત્રણે વિષે થોડી વિશેષ જાણકારી મેળવીએ તો આપણે ગાંધીજીનાં મુખ્ય તત્ત્વોને સમજી શકીશું.

સામાન્ય રીતે જોઈએ તો સત્યાગ્રહ એટલે ગાંધીજીએ અન્યાય સામે અહિંસક રીતે લડવાની જે પદ્ધતિ શોધી કાઢી હતી અને લગભગ પાંચ દાયકા સુધી જેનો વિવિધ રીતે પ્રયોગ કરી બતાવ્યો હતો તે રીત, એવો અર્થ થાય. સત્યાગ્રહો વડે જે લડાઈ ચાલી રહી હતી તે વખતે જ દેશને બેઠો કરવા સારુ ગાંધીજીએ જે કાર્યક્રમ આપ્યો હતો તેને રચનાત્મક કાર્યક્રમ કહે છે અને પોતાના સત્યાગ્રહ આશ્રમમાં આશ્રમવાસી તરીકે રહેવા ઇચ્છનારાઓ સારુ તેમણે જે નિયમાવલિ ઘડી કાઢી હતી તે અગિયાર વ્રતોની બની હતી. એને જ પાછળથી વિનોબાએ ‘એકાદશ વ્રત’ એવું નામ આપ્યું હતું. એ જ નામ પછીથી ગાંધીજીની પ્રેરણાથી ચાલતા દેશના સંખ્યાબંધ આશ્રમોમાં રૂઢ થઈ ગયું.

આ ત્રણે શબ્દો પાછળ ગાંધીજીના ઊંડા વિચાર અને તપશ્ચર્યા હતાં. એમણે પોતાના વિચારો દ્વારા જગતને જે એક નવું દર્શન આપ્યું અને પોતાના જીવન દ્વારા એ દર્શનને અમલમાં મૂકી બતાવ્યું તે આખું આ શબ્દો દ્વારા પ્રગટ થાય છે તેથી જ આપણે તેને ગાંધીજીની ત્રણ મુખ્ય દેણ ગણી. ગાંધીજીના જીવન અને એમના તત્ત્વજ્ઞાનને સમજવા સારુયે આ ત્રણેય દેણનો થોડો વધુ વિચાર કરી લેવો ઉપયોગી થશે.

આમ જોઈએ તો આ ત્રણેય શબ્દો સાવ નવા જ છે. પણ પૂરા પાંચ દાયકા સુધી એના વ્યાપક પ્રયોગને લીધે એમાંથી સત્યાગ્રહ શબ્દે તો હવે દેશવિદેશની ભાષાઓના શબ્દકોશમાં સ્થાન મેળવ્યું છે. રચનાત્મક કાર્યક્રમે દેશની કેટલીક ભાષાઓના શબ્દકોશમાં સ્થાન લઈ લીધું હશે. પરંતુ ‘એકાદશ વ્રત’ શબ્દ પ્રયોગ બીજા બે જેટલો રૂઢ નથી થયો. ખુદ ગાંધીજીના જીવનમાં પણ આ શબ્દો અમુક વર્ષોને અંતરે આવ્યા છે. આપણે પણ એને એ જ ક્રમમાં લઈએ.

ગાંધીજીએ કાયમ સારુ ભારત આવીને વસવાટ કર્યો તે પહેલાં તેમણે દક્ષિણ આફ્રિકામાં વીસ-એકવીસ વર્ષ ગાળેલાં. એમ તો તેઓ એક વર્ષ સારુ થોડી આજીવિકા કમાવા ભારતથી દક્ષિણ આફ્રિકા ગયા હતા. પણ ત્યાં વસતા હિંદીઓના પ્રશ્નોમાં તેમણે રસ લીધો તેથી શરૂઆતમાં થોડાં વર્ષો ચાલુ વકીલાતે અને પાછલાં વર્ષોમાં વકીલાતને પડતી મૂકીને તેમણે દક્ષિણ આફ્રિકાના હિંદીઓની અહિંસક લડતની આગેવાની લીધેલી. ગાંધીજીએ પોતે શોધેલી અને વિકસિત કરેલી રીત સારુ ‘સત્યાગ્રહ’ શબ્દ યોજાયેલો, જે શબ્દ આગળ જતાં કેટલીક વાર તેમણે માત્ર અહિંસક લડાઈની રીત સારુ જ નહીં, પણ પોતાના આખા જીવનદર્શન સારુ પણ વાપર્યો છે.

સત્યાગ્રહ શબ્દ ઘડાયો તે પહેલાં જ એનો અમલ થયેલો. ત્યાંની સરકારના કેટલાક કાયદાઓ ત્યાં હિંદી કોમને અન્યાય કરનાર હતા તેથી એ અન્યાયનો પ્રતિકાર કરવા સારુ ગાંધીજીએ જે ચળવળનો આરંભ કરેલો તેને કોઈક વાર પોતે અને કોઈક વાર ત્યાંના છાપાવાળાઓ ‘પેસિવ રેઝિસ્ટન્સ’ એટલે કે નિષ્ક્રિય પ્રતિકાર તરીકે વર્ણવતા. એ શબ્દો યુરોપના કેટલાક દેશોમાં જે આંદોલનોમાં પ્રત્યક્ષ હિંસા ન વપરાતી હોય, પણ જે પ્રચલિત બંધારણીય પદ્ધતિને વટાવી જતી હોય એવી ચળવળ સારુ વપરાતા. ઇંગ્લેંડની સ્ત્રીઓએ મતાધિકાર મેળવવા સારુ જે ‘સફ્રજેટ’ આંદોલન ચલાવેલું તેના સંદર્ભમાં ‘પેસિવ રૅઝિસ્ટેંસ’ શબ્દ ખાસ વપરાતો.

દક્ષિણ આફ્રિકાની લડતના કામ અંગે ગાંધીજી ઇંગ્લેંડ ગયા ત્યારે તેઓ આ ચળવળ સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓને મળેલા અને તેમણે આ ચળવળ વિષે થોડો અભ્યાસ પણ કરેલો. બીજા કોઈ શબ્દના અભાવે ગાંધીજી પણ દક્ષિણ આફ્રિકાના હિંદીઓના આંદોલન સારુ ‘પેસિવ રૅજિસ્ટેંસ’ શબ્દ જ વાપરતા. પણ તેમને એ શબ્દથી સંતોષ નહોતો. કારણ, આ ચળવળમાં કેટલીક વાર ભાંગફોડનો આશરો લેવામાં આવે અથવા એ આંદોલન પાછળ વિરોધીઓ પ્રત્યે ક્રોધ કે દ્વેષ હોય, એ ગાંધીજીને બિલકુલ મંજૂર નહોતું. તેથી તેઓ હિંદીઓની ચળવળ વિષે લોકોના મનમાં એવા ભાવો જાગે એમ જરા ય ઇચ્છતા નહોતા. આ કારણે તેમણે પોતાની ચળવળ સારુ કોઈ યોગ્ય શબ્દની શોધ કરવા માંડી.

આ શોધમાં ચળવળમાં ભાગીદાર અથવા એના આશયને સમજનાર લોકો પણ ભળે એ હેતુથી ચળવળના મુખપત્ર ‘ઇંડિયન ઓપિનિયનમાં’ ગાંધીજીએ એવી જાહેરાત આપી કે જે કોઈ આંદોલન સારુ બરાબર બંધ બેસતો શબ્દ સૂચવશે તેને ઈનામ આપવામાં આવશે. એવો શબ્દ સૂચવનાર એમના પિતરાઈ ભાઈના દીકરા મગનલાલ ગાંધી જ મળી આવ્યા. મગનલાલભાઈ ગાંધીજી સાથે જ ફિનિક્સ આશ્રમમાં રહેતા હતા અને ગાંધીજીના દરેક કામનો ખૂબ શ્રદ્ધા, ભક્તિ અને બુદ્ધિપૂર્વક અભ્યાસ કરતા હતા. વીસેક વર્ષ પછી એમનું અવસાન થયું ત્યારે ગાંધીજી અને સરદાર પટેલે એમને સારુ ‘આશ્રમના પ્રાણ’ એવા શબ્દો વાપરેલા. મગનલાલ ગાંધીએ સૂચવેલો ‘સદાગ્રહ’ શબ્દ ગાંધીજીને પોતાના આંદોલનની મૂળ ભાવનાને ચોક્કસપણે વ્યક્ત કરતો લાગ્યો. પણ સદાગ્રહ શબ્દનો અર્થ કોઈપણ સારી વસ્તુનો આગ્રહ એવોયે થઈ શકે, તેથી એ શબ્દને વધુ ધારદાર બનાવવાની દૃષ્ટિએ ગાંધીજીએ એને બદલે ‘સત્યાગ્રહ’ શબ્દ સ્વીકાર્યો અને સત્યાગ્રહ અને પેસિવ રૅઝિસ્ટન્સ વચ્ચે સિદ્ધાંતની દૃષ્ટિએ શો ભેદ હતો એ સમજાવતાં લખાણ ‘ઇંડિયન ઓપિનિયન’માં અને અન્યત્ર પણ લખ્યાં. ત્યારથી સત્યાગ્રહ શબ્દ ગાંધીજી સાથે જોડાઈ ગયો. એ જાણે કે ગાંધીજીવન દર્શન અને ગાંધીજીની કાર્ય કરવાની પદ્ધતિ સારુ પર્યાયવાદી શબ્દ બની ગયો.

સત્યાગ્રહ શબ્દ દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની ચળવળને લીધે પ્રચલિત થયો, પરંતુ ગાંધીજીના મનમાં એનાં બી તો વવાયાં હતાં, ચળવળ ઊપડી તેનાથી ૧૩-૧૪ વર્ષ પહેલાં જ. તેઓ પહેલી વાર દક્ષિણ આફ્રિકામાં આવ્યા ત્યાર પછી તરત જ ગાંધીજીને ત્યાંના રંગદ્વેષનો કડવો અનુભવ થઈ ચૂક્યો હતો. એમની પાસે પ્રથમ વર્ગની ટિકિટ હતી તે છતાં ગોરા લોકોએ એમને કાળાઓના ડબ્બામાં જવા કહ્યું હતું, અને જ્યારે તેમણે ડબ્બો છોડવાની ના પાડી ત્યારે, પીટરમારિત્સબર્ગ સ્ટેશનના પ્લેટફોર્મ પર, એમને ધકેલીને ઉતારવામાં આવ્યા હતા. શિયાળાની કડકડતી ટાઢમાં સ્ટેશનના નાના સરખા મુસાફરખાનામાં ગાંધીજીને જે વિચારો આવ્યા તે તેમણે પોતાની આત્મકથામાં નિખાલસપણે નોંધ્યા છે. તેમને પહેલો વિચાર તો એ આવ્યો કે કયા દેશથી આટલો આઘે આવાં અપમાનો સહન કરવા આવી પડ્યો, ચાલને જીવ ! પાછા દેશ ભેગા થઈ જઈએ ! પણ પછી તરત એના કરતાં ય પ્રબળ વિચાર આવ્યો કે એમ પાછા જવું એ તો કાયરતા કહેવાય. અને કાયરતા એટલે મરતાં પહેલાં હાથે કરી મરવું. બીજો એક વિચાર એવો પણ આવ્યો કે જેણે એમને ધકેલ્યા હતા તે ગોરા પોલીસ અને એમ કરવાનો આદેશ આપનાર ગોરા રેલવે અધિકારીની સામે ફરિયાદ માંડું ?

પણ એ વિચાર પણ ગાંધીજીએ એમ કરીને મનમાંથી કાઢી નાખ્યો કે આમ કરનારાઓ તો બીચારા ચાલુ રિવાજ પ્રમાણે વર્ત્યા છે. એમાં એમનો શો વાંક ? વાંક તો મૂળ રંગદ્વેષ પરંપરાનો જ છે. એક બે જણ પર ફરિયાદ નોંધાવવાથી કદાચ એમને સજાયે થાય, પણ તેથી એ વ્યવસ્થા કાંઈ ઓછી દૂર થઈ થવાની હતી ? તે રાતે છેવટે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે ગમે તેટલું કષ્ટ વેઠીને પણ આ વ્યવસ્થા સામે લડી લેવું. બીજે દિવસે સિગરામમાં બેસતાં ફરી પાછો એનાથીયે વધારે કડવો અનુભવ થયો. સિગરામમાં એમણે લીધેલી જગા ખાલી કરાવવા મથનાર કદાવર ગોરા ‘ખલાસીના’ હાથનો સારી પેઠે માર પણ તેમને ખાવો પડ્યો. છતાં તેઓ એકના બે ન થયા. એ જ સિગરામમાં બેઠેલા બીજા ગોરા મુસાફરોને તેમને માર પડતો જોઈને દયા આવી. એમણે ગાંધીજીનું ઉપરાણું લીધું તેથી છેવટે મારનાર ગોરો ભોંઠો પડ્યો. આ જ મુસાફરીમાં, આગળ ઉપર ટ્રેનમાં પ્રથમ વર્ગની ટિકિટ સાથે બેસવા જતાં બીજા રેલ અધિકારીએ ફરી વાંધો ઉઠાવ્યો. પણ એ જ ડબ્બામાં બેઠેલા એક ગોરા મુસાફરે ગાંધીજીનો પક્ષ તાણ્યો અને ગાંધીજીએ કાયદેસર રીતે પોતાની મુસાફરી પ્રથમ વર્ગમાં બેસીને પૂરી કરી.

ગાંધીજીએ આ પ્રસંગને પોતાના જીવનમાં વધુમાં વધુ ‘નવોન્મેષકારી’ અનુભવ તરીકે વર્ણવ્યો છે. આ આખા પ્રસંગમાં સત્યાગ્રહના કેટલાક સિદ્ધાંતો આપણને જોવા મળે છે. તેને આમ ગણાવી શકાય.

૧.            કોઈપણ સંયોગોમાં અન્યાયને સાંખી લેવો નહીં.

૨.            તેમ કરવામાં જે કષ્ટ પડે તે સ્વેચ્છાએ વેઠી લેવું.

૩.            સત્યનો આ આગ્રહ અને કાયરતા બંને કદી સાથે ચાલી ન શકે.

૪.            સત્યાગ્રહમાં વિરોધ અન્યાયી વ્યવસ્થાનો કરવાનો છે, અન્યાય કરનાર વ્યક્તિનો નહીં.

૫.           સત્યાગ્રહ બદલો લેવા કે સામાને સજા કરાવવા ખાતર ન હોઈ શકે.

૬.            કોઈ આખી પ્રજા એકસરખી દુષ્ટ નથી હોતી. દરેક પ્રજામાં સારા-માઠા બંને પ્રકારના લોકો હોય છે.

૭.           જાતે જાણી જોઈને કષ્ટ વેઠી લેવું એ અન્યાયનો પ્રતિકાર કરવાનું સાધન બની શકે છે.

કષ્ટસહન એ પોતાની વાતને સામાના દિલ સુધી પહોંચાડવાનું માધ્યમ બની શકે છે.

અલબત્ત પીટરમારિત્સબર્ગના સ્ટેશન પર અને ત્યાર પછીના મુસાફરીના આ અનુભવમાં સત્યાગ્રહનાં મૂળ તત્ત્વોનાં બીજ જોવા મળે છે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રહે કે આ બી પણ ગાંધીજીના હૃદયમાં વર્ષોથી વવાઈ ચૂકેલાં હતાં. સાવ નાનપણમાં ગાંધીજીએ જ્યારે પોતે કરેલી ભૂલની કબૂલાત બીમાર પિતા આગળ ચિઠ્ઠી લખીને કરી ત્યારે એમના પિતાએ એમને ધમકાવ્યા નહોતા કે એમણે બાળક મોહનને કરી નહોતી કોઈ સજા. એમને તો વેદનાપૂર્ણ હૈયે ચિઠ્ઠી વાંચીને આંખમાંથી ‘અમૃતબિંદુ’ સાર્યાં હતાં અને ચિઠ્ઠી ફાડી નાખી હતી. ગાંધીજીને તે દિવસથી સમજાઈ ગયું હતું કે સ્વેચ્છાપૂર્વક કરેલું કષ્ટસહન એ પણ સામેની વ્યક્તિના હૃદય સુધી પહોંચવાનું એક અત્યંત અસરકારક માધ્યમ બની શકે છે.

દક્ષિણ આફ્રિકાના હિંદીઓ સારુ અજમાવેલ સત્યાગ્રહ પાછળથી ગાંધીજીના જીવનની સૌથી મોટી દેણ બની ગઈ. તેમણે જીવનમાં અનેક પ્રસંગોએ સત્યાગ્રહ કર્યા. દર સત્યાગ્રહ વખતે તેઓ પરિસ્થિતિ મુજબ એને અમલમાં મૂકવાની રીતમાં જરૂરી લાગ્યા તેવા ફેરફારો કરતા રહ્યા. સતત એને વિષે ચિંતન કરતા રહ્યા અને લગભગ પાંચ દાયકાઓ સુધી એને અંગે જાહેરમાં બોલતા કે લખતા રહ્યા. તેમણે પોતે દાવો કર્યો હતો કે તેઓ સત્યાગ્રહના વિશેષજ્ઞ બની ગયા હતા. અને કોઈએ એ દાવાને પડકાર્યો નહોતો. પણ તેઓ સત્યાગ્રહ, જેને તેમણે સત્યની શક્તિ, પ્રેમની શક્તિ કે આત્મશક્તિ તરીકે ઓળખાવ્યો હતો, તેને વિષે એમ નહોતા માનતા કે એ શક્તિ અંગે પોતે છેવટની શોધ કરી ચૂક્યા છે. તેમને એમાં અપાર શક્તિ સમાયેલી લાગતી હતી અને તેઓ માનતા હતા કે જેમ જેમ સાચી સમજ સાથે એના પ્રયોગો થતા જશે તેમ તેમ સત્ય, પ્રેમ કે આત્માની આ શક્તિનાં વિવિધ પાસાંઓ દુનિયા આગળ ઊઘડતાં જશે. પોતાને તેમણે સત્યાગ્રહના સર્વજ્ઞ કદી માન્યા નહોતા.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024; પૃ. 04-05

Loading

અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2024

રમેશ ઓઝા

દિવાળી પહેલાં ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થવાની હતી, પરંતુ ચૂંટણીપંચે તેને આપવામાં આવેલા આદેશને અનુસરીને ચારમાંથી બે રાજ્યોની ચૂંટણી પાછળ ધકેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં અને હરિયાણામાં સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે અને ચોથી ઓકટોબરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એ પછી ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા નથી, પણ કેન્દ્ર સરકારની ગુલામ છે એ હવે જગજાહેર છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અને શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસને જે રીતે ચૂંટણીપંચે અન્યાય કર્યો હતો એ જોઇને આખો દેશ ચોંકી ગયો હતો. જે પક્ષ છોડીને ગયા તેને અસ્સલ સાચા પક્ષ તરીકેની માન્યતા આપી હતી અને નામ તેમ જ ચૂંટણીનાં નિશાન આપી દીધાં હતાં. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચની જે ભૂમિકા હતી એ તો તમે જાણો જ છો. ટૂંકમાં ચૂંટણીપંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનું નથી, બલકે તેની વિરુદ્ધમાં કામ કરવાનું છે અને એવી વિપરીત સ્થિતિમાં આ દેશમાં લોકતંત્રને બચાવવાનું છે.

ચૂંટણીપંચે બચાવ કર્યો છે કે મહારાષ્ટ્રમાં વરસાદ બહુ પડ્યો છે અને ઉપરાઉપર તહેવારો આવી રહ્યા છે એટલે ચૂંટણી પાછળ ધકેલી છે. આ બહાનું ગળે ઉતરે છે? આવું પાંગળું બહાનું તો જવાહરલાલ નેહરુના યુગમાં પણ ચૂંટણીપંચે નહોતું આપ્યું, જ્યારે દેશનો વિકાસ નહોતો થયો. રસ્તા નહોતા, નદીઓ પર પુલ નહોતા, સંદેશવ્યવહારનાં સાધનો નહોતા, વગેરે. કંગાળ દેશ એ સમયે લોકસભાની અને લગભગ આખા દેશનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતો હતો અને આજે વિશ્વગુરુ ચાર રાજ્યમાં ચૂંટણી યોજવા અસમર્થ છે! આપણને તો કહેવામાં આવે છે કે ૨૦૧૪ પછીનાં ભારતને જોવા વિકસિત દેશોના લોકો પણ જાણે કે તાજમહેલ જોવા આવતા હોય એમ વિસ્મય સાથે આવે છે કે જેથી ટૂંકા સમયમાં વિકાસ કેમ કરાય તેની શીખ મળે. ચૂંટણીપંચને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી એક વરસથી કેમ નથી યોજવામાં આવતી? શું મહારાષ્ટ્રમાં એક વરસથી વરસાદ પડી રહ્યો છે અને તહેવારો ઉજવાઈ રહ્યા છે?

મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ચૂંટણી પાછળ ધકેલવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણી જીતવાની કોઈ અનુકૂળતા નથી અને બી.જે.પી.ના શાસકો અનુકૂળતા શોધી રહ્યા છે, અનુકૂળતા પેદા કરવા માગે છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચામાં ફૂટ પડાવીને અનુકૂળતા પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ ખેલ રચીને હાથ દાઝ્યા હોવા છતાં એ જ ખેલ ઝારખંડમાં રચવામાં આવી રહ્યો છે. જો મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં વિભાજન ન કરાવ્યું હોત તો મહારાષ્ટ્રમાં લોકસભાનું પરિણામ જૂદું આવ્યું હોત. આજે મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનારા નેતાઓ ગદ્દારીની કિંમત માગે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૨૫ બેઠકો માગે છે અને અજીત પવાર ૮૦ બેઠકો માગે છે. બી.જે.પી. પોતાના માટે ઓછામાં ઓછી ૧૬૦થી ૧૮૦ બેઠકો રાખવા માગે છે. સામે મહારાષ્ટ્ર વિધાનસભાની ૪૦૦ બેઠકો હોય તો પણ ઓછી પડે.

એકનાથ શિંદે અને અજીત પવારને લોકસભાની ચૂંટણીનાં પરિણામ જોઇને સમજાઈ ગયું છે કે પક્ષ તોડવા માટે જનતાનો રોષ એકલા અમારી સામે નથી, બી.જે.પી. સામે પણ છે એટલે બી.જે.પી. ૨૦૧૯ની માફક છાતી તાણીને દાદાગીરી કરી શકે એમ નથી. બેઠકોની ફાળવણીમાં જ શિંદે-પવાર બી.જે.પી.નું નાક કાપવા માગે છે જે રીતે લોકસભાની ચૂંટણી વખતે બી.જે.પી.એ તેમનું કાપ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પક્ષ સાથે કરેલી ગદ્દારીને કારણે જનતા તમારાથી નારાજ છે એટલે તમને વધુ બેઠકો ફાળવવાથી યુતિને નુકસાન થશે. હવે એ બે જણા કહે છે કે જનતાનો ગુસ્સો તમારી સામે પણ છે એટલે વિધાનસભાની ચૂંટણી અમારી મદદ વિના લડી શકો એમ નથી. બી.જે.પી. ઈચ્છે છે કે ૨૦૧૯માં બી.જે.પી.એ જેટલી બેઠકો લડી હતી તેનાથી વધુ બેઠકો આજ લડે પણ લડી શકે એમ નથી. જેને ખરીદવામાં આવ્યા હતા એ છાતી પર ચડી ગયા છે. આ સિવાય ચૂંટણી પાછળ ધકેલવાનું હજુ એક કારણ છે અને એ છે, બી.જે.પી.માં આંતરિક સાઠમારી. દેવેન્દ્ર ફડનવીસ હવે એ દેવેન્દ્ર ફડનવીસ નથી રહ્યા જે ૨૦૨૨ પહેલાં હતા.

સુજ્ઞ વાચકોને કદાચ મનોમન થતું હશે કે એકના એક નુસખા દરેક વખતે કેમ અપનાવવામાં આવે છે? ચૂંટણીપંચ પાસેથી અનુકૂળ આવે એ રીતની તારીખો લીધી. ગોદી મીડિયાઓએ સર્વે કરીને પરિણામ આપવાનું શરૂ કરી દીધું છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. ઝારખંડમાં શાસક પક્ષને તોડવામાં આવી રહ્યો છે. આ સિવાય હિંદુ-મુસ્લિમ અથડામણો, વગેરે વગેરે. આ જ તો સમસ્યા છે તાનાશાહીની. તાનાશાહીમાં કલ્પનાશીલતા હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. આ ચાર સ્તંભ ઉપર તાનાશાહીનો મહેલ ઊભો હોય છે. દુર્ભાગ્યે જનતા ધારવામાં આવે છે એટલી બેવકૂફ હોતી નથી. એકનો એક ખેલ એકના એક સ્વરૂપમાં વારંવાર જોવા મળે તો તેમને પણ સમજાય જાય કે આ બધું રાષ્ટ્ર માટે નથી કરવામાં આવતું, પોતાની સત્તા માટે કરવામાં આવે છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઈટીઝ(સી.એસ.ડી.એસ.)ના લોકસભાની ચૂંટણીપૂર્વેના સર્વેક્ષણમાં માત્ર ૧૧ ટકા હિંદુઓએ કહ્યું હતું કે ભારત દેશ એકલા હિંદુઓ માટેનો છે અને ૭૨ ટકા મતદાતાઓએ કહ્યું હતું કે ચૂંટણીપંચ તટસ્થ નથી. એ અહેવાલ ચોંકાવનારો હતો. પ્રચંડ તાકાત ધરાવનારાં ગોદી મીડિયા એક તરફ અને સી.એસ.ડી.એસ. જેવી નાનકડી સંસ્થા એક તરફ. ટી.વી. ચેનલો પર જઇને શાસક પક્ષની તરફેણમાં ઘોંઘાટ કરનારા મહાન રાજકીય નિરીક્ષકો એક તરફ અને બે પગ, ઉઘાડું મસ્તિષ્ક અને પ્રમાણિકતા ધરાવનારા યોગેન્દ્ર યાદવ એક તરફ. ખેલ ઊઘાડો પડી જાય એ પછી તેને વારંવાર નહીં ભજવવો જોઈએ, પણ આગળ કહ્યું એમ તાનાશાહીની સમસ્યા જ એ છે કે તેની પાસે કલ્પનાશીલતા જ હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. કોલંબસની મુસાફરી અહીં પૂરી.

લોકસભાની ચૂંટણી વખતે ખોળે લીધેલા ચૂંટણીપંચે ચૂંટણી દસ તબક્કામાં લંબાવી આપી હતી કે જેથી નરેન્દ્ર મોદી નિરાંતે પ્રચાર કરી શકે. બન્યું એવું કે નેરેટિવ વિનાના નરેન્દ્ર મોદી માટે એ નિરાંત સજારૂપ બની ગઈ અને રાહુલ ગાંધીએ નેરેટિવ સાથે એ નિરાંતનો લાભ લીધો. આ વખતે પણ એવું જ બનવાનું છે. હરિયાણાની ચૂંટણી પતાવીને રાહુલ ગાંધી અને બીજા નેતાઓ મહારાષ્ટ્ર અને હરિયાણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે નુસખા પરિણામ આપતાં બંધ થઈ રહ્યા છે તેને વારંવાર અપનાવવાથી શો લાભ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2024

Loading

...102030...551552553554...560570580...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved