Opinion Magazine
Number of visits: 9664935
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો

રમેશ ઓઝા|Opinion - Opinion|29 September 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહનો મારો લેખ પૂરો કરતાં પહેલા મેં બે વાત કહી હતી. એક તો એ કે જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે. બીજી વાત મેં એ કહી હતી કે કાઁગ્રેસને બેઠી કરવાનો શ્રેય રાહુલ ગાંધી કરતાં નરેન્દ્ર મોદીને વધુ જાય છે.

કાઁગ્રેસને દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલી દેવી હોય તો બે વિકલ્પ હતા. એક, સંઘ પરિવારને અભિપ્રેત હિંદુ ભારતની કલ્પના પ્રજા પાસે સ્વીકૃત કરાવવી જે રીતે ન્યાય અને સમાનતા આધારિત સહિયારા ભારતની કલ્પના મહાત્મા ગાંધીએ, જવાહરલાલ નેહરુએ અને બીજા ભારતીય નેતાઓએ સ્વીકૃત કરાવી હતી. એ વ્યાપક સ્વીકૃતિને કારણે કાઁગ્રેસે દાયકાઓ સુધી રાજ કર્યું હતું. અને બીજો વિકલ્પ હતો પ્રજાને કાઁગ્રેસ પાસેથી જેવા શાસનની અપેક્ષા હતી અને કાઁગ્રેસનાં શાસકો નહોતા આપી શક્યા એવું શાસન આપવું. અપેક્ષાની પૂર્તિ કરવી. જો દૂરંદેશી ધરાવનારા હિન્દુત્વવાદી શાસકો હોય તો આ બન્ને કરે. પ્રજાલક્ષી ઉત્તમ શાસન પણ આપે અને પોતાની કલ્પનાના ભારતને સ્વીકૃત પણ કરાવે. આ સિવાય સાદગી, પારદર્શકતા અને પ્રામાણિકતાનો પરિચય કરાવે. એવું પણ બન્યું હોત કે ઉત્તમ શાસન દ્વારા અને શાસકોનાં આચરણ દ્વારા હિંદુ ભારતની કલ્પના સ્વીકૃત કરાવવામાં સહાયતા મળી હોત.

સંઘ પરિવારને ૨૦૧૪માં સુવર્ણ અવસર મળ્યો હતો જેની તેઓ દાયકાઓથી રાહ જોતા હતા. પણ ૧૮મી સદીમાં જેમ હિંદુ પેશ્વાઓ દેશ પર રાજ કરવાનો સુવર્ણ અવસર ચૂકી ગયા તેમ ૨૧મી સદીમાં હિંદુતવવાદીઓ ચૂકી ગયા. તેની જગ્યાએ તેમણે કાઁગ્રેસ સામેની નારાજગીને નફરતમાં ફેરવવાનો, કાઁગ્રેસી નેતાઓને બદનામ કરવાનો, ગોદી મીડિયા અને ગોદીવૂડ દ્વારા ખોટો પ્રચાર કરવાનો, કાઁગ્રેસને નિર્બળ કરવાનો, રાહુલ ગાંધીની ઠેકડી ઉડાડવાનો, લોકતાંત્રિક વિકલ્પોને રૂંધવાનો, પોતે કેવા ઐશ્વર્યવાન છે તેના દેખાડા કરવાનો, લોકોને આંજી દેવાની ચેષ્ટા કરવાનો માર્ગ અપનાવ્યો. ન ઉત્તમ શાસન આપ્યું, ન ઉમદા માણસાઈનો પરિચય કરાવ્યો કે ન વૈકલ્પિક ભારતની કોઈ કલ્પના રાખી. આ જ એકમાત્ર માર્ગ હતો કાઁગ્રેસને દાયકાઓ સુધી સત્તાથી દૂર રાખવાનો, જે અપનાવવામાં ન આવ્યો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ જે માર્ગ અપનાવ્યો એ જોઇને મને જરા ય આશ્ચર્ય નથી થતું. ગુજરાતમાં પણ તેમણે થોડેઘણે અંશે આ જ માર્ગ અપનાવ્યો હતો. આશ્ચર્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે થાય છે. તેના નેતાઓ માટે થાય છે. કોઈએ ઉંહકારો નથી કર્યો કે આપણે ખોટે માર્ગે જઈ રહ્યા છીએ. આપણે તક ગુમાવી રહ્યા છીએ. આપણે નરવા હિંદુ રાષ્ટ્ર (જો એ શક્ય હોય તો) લોકોમાં સ્વીકૃત કરાવવા પ્રયત્નો કરવા જોઈએ. ચર્ચા યોજવી જોઈએ. શંકા કરનારાઓની શંકાનું નિવારણ કરવું જોઈએ. શાસકોએ તેમના આચરણ દ્વારા આદર્શ હિંદુ નેતા કેવો હોય તેનો દાખલો બેસાડવો જોઈએ. ગરીબોનું કલ્યાણ કરવું જોઈએ કારણ કે ગરીબોમાં ૮૦ ટકા હિંદુઓ છે. મને હવે ખાતરી થઈ ગઈ છે કે તેમની પાસે નરવા હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના જ નથી. તેમની કલ્પનાનું હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુ રાષ્ટ્ર છે જેનો અનુભવ થઈ રહ્યો છે.

આ બાજુ રાહુલ ગાંધી ઝંઝાવાતની વચ્ચે કશાકની શોધમાં હતા. તેમને બદનામ કરવામાં આવ્યા હતા, ઠેકડી ઉડાડવામાં આવતી હતી, લોકોએ રાજકીય વિકલ્પ તરીકે તેમના નામનું નાહી નાખ્યું હતું, કાઁગ્રેસનો સર્વત્ર પરાજય થઈ રહ્યો હતો, કાઁગ્રેસીઓ પક્ષ છોડીને બી.જે.પી.માં જતા હતા, રાજ્ય સરકારોને તોડવામાં આવતી હતી, લોકસભાનું સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું, પક્ષને મળતાં નાણાંના સ્રોત બંધ કરી દેવામાં આવ્યા હતા, વગેરે વગેરે. દુ:શ્મનને પણ આવા દિવસો જોવા ન પડે એમ આપણે કોઈનું દુઃખ જોઇને કહીએ છીએ એવા દિવસો રાહુલ કાઢતા હતા.

રાહુલ ગાંધી

પહાડ જેવો પડકાર હોવા છતાં અને ઠેકડીનો વિષય હોવા છતાં રાહુલ ગાંધી તૂટ્યા નહીં એ માટે આપણે તેમને સલામ કરવી જોઈએ. બીજો હોય તો ભાંગી પડે. રાહુલ ગાંધી હાર્યા વિના માર્ગ શોધવાનો પ્રયાસ કરતા રહ્યા. પહેલાં તેમણે રાજકીય નેતાઓ અપનાવે છે એવો પરંપરાગત માર્ગ અપનાવ્યો. બીજા પક્ષો સાથે સમજૂતી કરવાનો અને હિંદુઓ નારાજ ન થાય એનું ધ્યાન રાખવાનો. મંદિરોમાં જવાનો અને ટીલાટપકાં કરવાનો. તેઓ ભા.જ.પ.ની પીચ પર રમતા હતા અને તેમને સફળતા મળતી નહોતી.

૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી એન.આર.સી.(નેશનલ રજીસ્ટ્રેશન ઓફ સિટીઝન)ની જોગવાઈ સામે લોકોએ કરેલું આંદોલન, એ પછી ખેડૂતોએ કરેલું આંદોલન અને બીજાં કેટલાંક આદોલન જોઇને તેમને બે વાત સમજાઈ ગઈ. એક તો એ કે તમામ હિંદુ હિંદુ રાષ્ટ્રના સમર્થક નથી. એન.આર.સી.નો વિરોધ મુસલમાનો કરતાં હિંદુઓએ વધારે કર્યો હતો. નરેન્દ્ર મોદીને સમર્થન કરનારા હિંદુઓ કરતાં તેમનો વિરોધ કરનારા હિંદુઓ ઘણી મોટી સંખ્યામાં છે. તેમના ધ્યાનમાં એ પણ આવ્યું કે જે લોકો નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા છે એ સહિયારા ભારતને બચાવવા માગે છે અને માટે વિરોધ કરી રહ્યા છે. આનો અર્થ એ થયો કે સેક્યુલર ઉદારમતવાદી હિંદુઓની સંખ્યા આ દેશમાં હિન્દુત્વવાદી હિંદુઓ કરતાં ઘણી વધુ છે. આ બાજુ બી.જે.પી.નું જે હિન્દુત્વ છે એ માથાભારે છે. બીજી વાત તેમને એ સમજાઈ ગઈ કે નરેન્દ્ર મોદીનું શાસન અને શાસનનું સ્વરૂપ જેટલા પ્રશ્નો ઉકેલે છે એનાં કરતાં વધુ પેદા કરે છે. દેખાડો, ખોટા વાયદાઓ, જૂઠાણા, બીજાની જગ્યા આંચકી લેનારી અંચાઈ, પસંદગીના ઉદ્યોગપતિઓને કરવામાં આવતી ઉઘાડી મદદ, અર્થતંત્ર તરફ દુર્લક્ષ, લોકતાંત્રિક મર્યાદાઓનું ઉલ્લંઘન અને ચીને કરેલું મર્દાનગીનું પંક્ચર વગેરેનો બચાવ હિન્દુત્વવાદી હિંદુઓ પણ નથી કરી શકતા. ગોદી મીડિયા પણ ધ્યાન ભટકાવવાની કોશિશ કરે છે, બચાવ નથી કરી શકતા.

રાહુલ ગાંધીએ હિંદુઓની સંભવિત નરાજગીની ચિંતા કર્યા વિના તીર સીધું સાવરકર-સંઘના  હિંદુરાષ્ટ્રની કલ્પના સામે અને નરેન્દ્ર મોદીના માથાભારે શાસન સામે ઉગામ્યું. સાવરકર – સંઘ – નરેન્દ્ર મોદીના હૃદયકમળમાં જ તીર મારવાનું શરૂ કર્યું. તેમણે ભા.જ.પ. અને નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૃથકતાવાદી હિંદુ રાષ્ટ્રને જ ટાર્ગેટ બનાવ્યું. ભારતની એક કલ્પના ગાંધીજીની છે અને બીજી સાવરકરની. ગાંધીજીની કલ્પનાના ભારતના પાયામાં ન્યાય છે, સમાનતા છે, મર્યાદા છે, સંયમ છે અને બંધારણ છે. સાવરકરની કલ્પનાનાં ભારતમાં હિંદુઓનું (સવર્ણ હિંદુ પુરુષ વાંચો) સર્વોપરીપણું છે જે માર્ગ માથાભારે હિંદુ રાષ્ટ્ર સુધી લઈ જાય છે. આગળ કહ્યું એમ વિવેકી હિંદુઓ હિંદુ રાષ્ટ્રના વિરોધી છે અને તેમની સંખ્યા મોટી છે. જેમ જેમ લોકોનો નરેન્દ્ર મોદી વિષેનો ભ્રમ તુટવા માંડ્યો રાહુલ ગાંધીની લાઈન મોટી થવા લાગી.

કાઁગ્રેસ અને રાહુલ ગાંધીનું કોઈ અસ્તિત્વ જ નહીં બચ્યું હોય ત્યાં સહિયારા ભારતની વકીલાત કરશે કોણ એમ નરેન્દ્ર મોદી અને સંઘ માનતા હતા. તેઓ એ ભૂલી ગયા કે સહિયારા ભારતની દેશને જરૂર છે, તેની પ્રાસંગિકતા છે, બહુમતી હિંદુઓ તેને શોધે છે, બચાવી લેવા માગે છે, તેને માટે તેઓ લડે છે અને તેના પ્રવક્તા તરીકે તેનો સીધો લાભ રાહુલ ગાંધીને મળી રહ્યો છે. ઉદારમતવાદી હિંદુઓને રાહુલ ગાંધીનો ખપ છે. માટે પ્રારંભમાં કહ્યું એમ જ્યારે કોઈ ચીજની જરૂર હોય તો તેનો વિકલ્પ શૂન્યમાંથી પણ પેદા થાય અને ઉપલબ્ધ વિકલ્પને પાતાળમાં દફનાવી દો તો પણ એ કોળાય. કારણ કે સમાજને તેની જરૂર છે. સૃષ્ટિનો આ નિયમ છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 સપ્ટેમ્બર 2024

Loading

જીવતાં હોવું

જેમ્સ ક્રૂઝ [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|28 September 2024

અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘To Be Alive’ નો મારો અનુવાદ. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. Thank you, James Crews.

શોકની દરેક પળમાં, એક 

નાનકડું દ્વાર હોય છે- કદાચ

મારા પાડોશીના બગીચામાં વૃક્ષ પર લટકતી માળાપેટીમાં કોતરેલા

કાણા જેવડું જ.

દેખીતું તો લાગે કે

આ સાંકડી, અંધારી જગ્યામાં 

શું પાંગરવાનું; પણ જલદી જ

ઝલક દેખાય છે મને, 

પીંછાં ફૂટવા લાગ્યા હોય એવાં બચ્ચાંની –

ઊડવા કાજે આતુર, પણ હજી

ઊડવાથી ડરતાં.

અને માદા પક્ષી 

ખોરાક લઈને આવે છે જ્યારે, અને ગમે તેમ કરીને

સાંકડા દ્વારેથી અંદર સમાય છે, ત્યારે 

સાંભળું છું હું

જીવવાની ભૂખનો કલબલાટ,

અને રેતી પાથરેલી કેડી પર

એકલા ઊભેલા મને પણ

અચાનક યાદ આવે છે

મારી પોતાની જીવનક્ષુધા.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ચલ મન મુંબઈ નગરી—266

દીપક મહેતા|Opinion - Opinion|28 September 2024

મહાત્મા અને મહાનગર

મુંબઈએ મને ક્યારેય નિરાશ કર્યો નથી એમ કહેલું મહાત્મા ગાંધીએ

“મુંબઈએ મને ક્યારે ય નિરાશ કર્યો નથી.” – આ શબ્દો છે આવતે અઠવાડિયે જેમનો જન્મ દિવસ છે તે મહાત્મા ગાંધીના. ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયેલો તે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક નવીનચંદ્રે મુંબઈમાં અભ્યાસ કર્યા પછી ‘અનુભવાર્થી’ બનવાના ઈરાદાથી મુંબઈ છોડ્યું. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા ૧૮૮૭માં પાસ કર્યા પછી બીજે વરસે, ૧૮૮૮માં ગ્રેટ બ્રિટન જઈ કાયદાના વિદ્યાર્થી બનવા માટે મોહનદાસ ગાંધીએ મુંબઈ છોડ્યું. એ જમાનામાં પોરબંદર અને મુંબઈ વચ્ચે સીધો ટ્રેન વ્યવહાર નહિ. એટલે મોહનદાસ પોરબંદરથી રાજકોટ ગયા. ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે રાજકોટથી ટ્રેનમાં બેઠા, અને ૧૨મી તારીખે મુંબઈ પહોંચ્યા. મુંબઈની તેમની આ પહેલી મુલાકાત.

રાજકોટમાં ગાંધીજીએ જોયેલું આ હરિશ્ચન્દ્ર નાટક

પણ આ અગાઉ મુંબઈ નહિ તો મુંબઈના એક નાટકના પરિચયમાં તો ગાંધીજી આવેલા જ. નાટક જોયા પછી તેમને સતત વિચાર આવ્યા કરે : ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ હરિશ્ચન્દ્ર નાટક લખેલું એ જમાનાના જાણીતા-માનીતા નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે, અને તેને કાપી-કૂપી, મઠારી, ગીતો ઉમેરી, ભજવતા કેખુશરો કાબરાજીની નાટક મંડળીના પારસી પોરિયાઓ. મુંબઈમાં તેના ૧,૧૦૦ પ્રયોગો થયેલા! આ નાટક મંડળી મુંબઈ ઉપરાંત બીજા શહેરોમાં પણ ‘હરિશ્ચન્દ્ર’નાટક ભજવતી. એ રીતે રાજકોટમાં ભજવાતું હતું ત્યારે એ નાટક જોવાની પરવાનગી ગાંધીજીને મળી, અને તેમણે એ નાટક જોયું. એ પ્રસંગ વર્ણવ્યા પછી આત્મકથામાં ગાંધીજી લખે છે : “હરિશ્ચંદ્રના દુઃખ જોઈ, તેનું સ્મરણ કરી, હું ખૂબ રોયો છું.”

હરિશ્ચન્દ્ર નાટકના કર્તા રણછોડભાઈ ઉદયરામ

મેટ્રિક થયા ત્યારે ગાંધીજીએ મુંબઈ જવાનું બે વખત ટાળ્યું. એ વખતે મેટ્રિકની પરીક્ષા ફક્ત મુંબઈ અને અમદાવાદમાં જ લેવાતી. ત્યારે ગાંધીજીએ અમદાવાદ સેન્ટર પસંદ કર્યું. કારણ એ નજીકનું, અને સસ્તું પણ ખરું. આત્મકથામાં ગાંધીજી લખે છે : “રાજકોટથી અમદાવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.” મેટ્રિક થયા પછી કોલેજના અભ્યાસ માટે પણ બે વિકલ્પ : મુંબઈ અને ભાવનગર. ત્યારે મુંબઈ ન જતાં ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. કારણ મુંબઈની સરખામણીમાં ભાવનગરમાં ખરચ ઓછો. પણ ત્યાં ગોઠવાઈ ન શક્યા. એક ટર્મ પછી કોલેજ છોડી. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર માવજી દવેએ ભણવા માટે વિલાયત જવાની સલાહ આપી. ગાંધીજીએ અને તેમનાં કુટુંબીજનોએ એ સ્વીકારી. અને ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે મોહનદાસ રાજકોટથી મુંબઈની ટ્રેનમાં બેઠા અને ૧૨મી તારીખે મુંબઈ પહોચ્યા. આ તેમની મુંબઈની પહેલી મુલાકાત. એ વખતે હજી ‘મહાત્મા’ બન્યા નહોતા, ફક્ત ‘મોહનદાસ’ હતા.

પણ વિલાયત જતાં પહેલાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પહેલાં તો એવી સલાહ મળી કે ચોમાસાના દિવસોમાં દરિયાઈ મુસાફરી કરવી સલાહભરી નથી. એટલે મુસાફરી દિવાળી પછી, નવેમ્બરમાં કરવી જોઈએ. સાથે ગયેલા મોટા ભાઈને આ સલાહ યોગ્ય લાગી એટલે મોહનદાસને એક મિત્રને ભળાવ્યા અને પોતે થયા રાજકોટ ભેગા. મુસાફરીના ખરચ માટે જે રકમ સાથે લાવેલા તે એક બનેવીને આપી અને મોહનદાસને જરૂર પડે ત્યારે આ રકમ આપજો એમ કહ્યું. બીજી બાજુ, મોહનદાસ વિલાયત જવાના છે એવા ખબર ફેલાતાં તેમની ન્યાતમાં ખળભળાટ થયો. ન્યાતની વાડીમાં ન્યાતની સભા મળી. મોહનદાસને હાજર રહેવા ફરમાન થયું. ગયા.

શેઠ : નાત ધારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.

મોહનદાસ : મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને વિદ્યાભ્યાસ જ કરવાનો છે.

શેઠ : પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય.

મોહનદાસ : આપ વડીલ સમાન છો. પણ હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહિ ફેરવી શકું.

શેઠ : પણ નાતનો હુકમ તું નહિ ઉઠાવે?

મોહનદાસ : હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.

શેઠ : આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ એને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે. ને તેનો સવા રૂપિયો દંડ થશે.

છતાં છોકરો એકનો બે ન થયો. પણ મોટા ભાઈ જે બનેવીને પૈસા આપી ગયા હતા તે ગભરાયા. કહે કે હું તને પૈસા આપું તો મને નાત બહાર મૂકે. તે મને ન પરવડે. એટલે એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા અને વિલાયતની મુસાફરીની ટિકિટ કઢાવી. ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં મોહનદાસે મુંબઈ છોડ્યું, અને ૨૯ સપ્ટેમ્બરે વિલાયત પહોંચ્યા.

૪ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં વિલાયત જવા મોહનદાસે મુંબઈ છોડ્યું

ગ્રેટ બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટર તો બન્યા. પણ ગાંધીજી નોંધે છે કે “બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું.” થોડી મથામણ પછી હિન્દુસ્તાન પાછા આવવાનું નક્કી કર્યું. ૧૮૯૧ના જૂનની ૧૨મીએ લંડનથી એસ.એસ. ઓશાનિયા નામની સ્ટીમરમાં મુસાફરી શરૂ કરી. મુંબઈના મુસાફરોની બદલી એડનમાં એસ.એસ. આસામ સ્ટીમરમાં થઈ જે ૧૮૯૧ના જુલાઈની પાંચમી તારીખે મુંબઈ પહોંચી. મોહનદાસની મુંબઈની આ બીજી મુલાકાત. તેઓ ગ્રેટ બ્રિટનમાં હતા તે દરમ્યાન ૧૮૯૧ના જૂનની ૧૨મી તારીખે તેમનાં માતાનું અવસાન થયું હતું. પણ તેમને એ વાતની ખબર નહોતી આપી. મુંબઈના બંદરે ઉતર્યા તે પછી તેમને લેવા આવેલા મોટા ભાઈએ એ સમાચાર આપ્યા. એ અંગે ગાંધીજી લખે છે : “પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.”

લંડનમાં મોહનદાસને જેમની સાથે ગાઢ મૈત્રી થયેલી તે ડો. પ્રાણજીવન મહેતા એ વખતે મુંબઈમાં હતા. તેમણે મોહનદાસને પોતાના ભાઈ રેવાશંકર જગજીવનની ઓળખાણ કરાવી. આગળ જતાં આ સંબંધ ઘણો ગાઢ થયો અને મુંબઈની ઘણી મુલાકાતો વખતે ગાંધીજી રેવાશંકરભાઈના મણિ ભવન નામના મકાનમાં ઉતરતા. સાતમી જુલાઈએ મોટાભાઈની સાથે નાશિક જઈને ગોદાવરી નદીમાં સ્નાન કરીને મોહનદાસે પરદેશગમન અંગે પ્રાયશ્ચિત વિધિ કર્યો અને પછી ૧૦ જુલાઈએ રાજકોટ પહોંચ્યા અને ૧૭મી જુલાઈએ ન્યાત જમાડી. ગાંધીજી લખે છે : “મોટા ભાઈની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજ્યે તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો.” ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પણ આપણે ત્યાં ન્યાતજાતનાં બંધનો કેટલાં તો દૃઢ હતાં તે આજે સમજવું મુશ્કેલ છે.

મોહનદાસ ગાંધીની મુંબઈની બીજી મુલાકાતો વિશેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 સપ્ટેમ્બર 2024

Loading

...102030...549550551552...560570580...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved