Opinion Magazine
Number of visits: 9457184
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણી પરિણામો કોનો નૈતિક પરાજય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|9 June 2024

રમેશ ઓઝા

એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટી(સી.એસ.ડી.એસ.)એ કરેલા ચૂંટણી પહેલાના સર્વેક્ષણનાં પરિણામોએ બતાવી આપ્યું હતું કે દેશની પ્રજાનો મૂડ બદલાઈ રહ્યો છે. આ એવી સંસ્થા છે જેની સામાજિક સંશોધનમાં ખ્યાતિ છે. રજની કોઠારી, ધીરુભાઈ શેઠ, આશિષ નંદી, યોગેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ વિદ્વાનો આની સાથે જોડાયેલા હતા અને છે. સર્વેક્ષણમાં બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમના માટે સૌથી મોટો સવાલ બેરોજગારી અને મોંઘવારી છે. બહુમતી લોકોએ એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકાર સામાન્ય લોકોના પ્રશ્ને ઓછી સંવેદનશીલ છે. બહુમતી લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર શ્રીમંતો માટેની સરકાર છે. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે વર્તમાન શાસકોએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરી છે અને તેમને ચૂંટણીપંચની તટસ્થતા પર ભરોસો નથી. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે ભારતમાં મળેલી જી-૨૦ પરિષદ એક ખર્ચાળ તમાશો હતો અને નરેન્દ્ર મોદીએ પોતાની ઈમેજ માટે નાણાંનો વ્યય કર્યો હતો. બીજા કેટલાંક લોકોને તેની જાણ પણ નહોતી. બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમને આર્ટીકલ ૩૭૦ વિષે ખાસ જાણકારી નથી. હિંદુ રાષ્ટ્ર, ભારતનું વિશ્વગુરુત્વ, રામ મંદિર આપવામાં આવેલા દસ મુદ્દાઓમાં છેલ્લેથી પહેલા બીજા અને ત્રીજા સ્થાને હતાં.

યાદ કરો, ત્યારે ભારતીય જનતા પક્ષ અને તેના નેતાઓને છોડીને આખા દેશમાં સી.એસ.ડી.એસ.ના સર્વેની ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. એક કારણ એ હતું કે એ સી.એસ.ડી.એસ.નું સર્વેક્ષણ હતું અને બીજું કારણ એ હતું કે એમાં અત્યારે પરિણામોમાં જે જોવા મળ્યું એ બધું જ પ્રતિબિંબિત થતું હતું. આપખુદશાહી, લોકશાહીનું હનન, ગરીબ લોકોને સતાવતા વિકટ પ્રશ્નો વિષે અસંવેદનશીલતા, શ્રીમંતો માટે કામ કરતી સરકાર અને દેખાડો. આ પાંચ ચીજ તો છે જેને કારણે ભા.જ.પ.ને બહુમતી મળી નથી. ઊલટું ભા.જ.પ.ના નેતાઓને એમ લાગતું હતું કે વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રી, લગભગ નિષ્પ્રાણ કરી નાખવામાં આવેલા વિરોધ પક્ષો, અનુકૂળ મીડિયા, અનુકૂળ ચૂંટણીપંચ તેમ જ પ્રશાસન અને ઉપરથી રામમંદિર, બસ આટલું પૂરતું છે. હવે કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી.

અને પછી મદમાં ને મદમાં જાહેર કરવામાં આવ્યું કે ઇસ બાર ચારસો પાર. વડા પ્રધાને તો લોકસભામાં બોલતા ભારતની પ્રજાને કહી પણ દીધું કે હવે પછી મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. બસ, એ પછી ગાડી પાટા પરથી ઉતરવા લાગી. લોકોને લાગ્યું કે જો ત્રણસો પારમાં આ હાલત છે તો ચારસો પારમાં શું થશે! અને મોટાં પરિવર્તન એટલે શું? શું તેઓ બંધારણ બદલશે? શું નવાં બંધારણમાં સવર્ણોની પરંપરાગત સરસાઈ હશે? શું પછાત કોમને આપવામાં આવતી અનામતની જોગવાઈનો અંત આવશે? અનામતની પ્રથા સામેનો સંઘ પરિવારનો વિરોધ જાણીતો છે. સંઘનાં મુખપત્ર ‘પાંચજન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’માં અનામતનો વિરોધ કરનારા અનેક લેખો મળી રહેશે. આ સિવાય નરેન્દ્ર મોદીની સરકારના શાસન વિષે જે પ્રશ્નો હતા એ તો કાયમ હતા જ. એમાં વળી ભા.જ.પ.ને અનુકૂળતા રહે એ રીતે ચૂંટણી પંચે સાત ચરણમાં ચૂંટણી લંબાવી આપી. એક કોળિયો ખાવ, હજમ કરો અને બીજો તૈયાર કરો. બન્યું એવું કે વિરોધ પક્ષોને નેરેટિવ હાથ લાગી ગયું અને ચૂંટણી લંબાતી ગઈ. બંધારણ અને અનામત સિવાય યુવાનોની બેકારી, મોંઘવારી, તુમાખી, અભિમાન, રાજ્યોના અધિકારો અને ફેડરલીઝમ વગેરે મુદ્દાઓ કેન્દ્રમાં આવી ગયા અને રામમંદિર તેમ જ ભારતની મહાનતાના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.

નેરેટિવને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી તેને હાઇજેક કરી ગયા હતા. ૨૦૧૪માં સ્વચ્છ શાસન અને વિકાસ અને ૨૦૧૯માં રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ અને મજબૂત નેતૃત્વ. આ વખતે નરેન્દ્ર મોદી પાસે કોઈ અનોખી વાત કરવાની નહોતી અને ચૂંટણી સાધારણ રીતે હોય છે એવી સામાન્ય બની ગઈ. નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જુવાળ નહોતો તો તેમની તરફેણમાં પણ નહોતો. આ સિવાય લોકોએ ચૂંટણી હાથમાં લઈ લીધી હતી એટલે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ બાધારૂપ બન્યો નહીં. હા, એટલું નક્કી છે કે જો વિરોધ પક્ષો મજબૂત હોત તો ભા.જ.પ.ની બેઠકોમાં હજુ પચાસ બેઠકોનું નુકસાન થયું હોત. એ પછીથી વડા પ્રધાનનો પ્રચાર દિશાહીન થતો ગયો. ૨૦૧૪નું વરસ બેઠું ત્યારે આવું થશે તેની કલ્પના કોઈએ નહોતી કરી. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવતું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં વિજય વડા પ્રધાનના ખિસ્સામાં હશે. ૩૦૦ કરતાં વધુ બેઠક મળી શકે છે, ઓછી નહીં મળે. અચાનક પાસાં પલટાઈ ગયાં અને પરિણામ બદલાઈ ગયું. મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી ત્રીજી મુદ્દત માટે વડા પ્રધાન બની શકશે. પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે બનવું પણ ન જોઈએ. નરેન્દ્ર મોદીનો નૈતિક અને રાજકીય પરાજય થયો છે અને તેનો તેમણે સ્વીકાર કરવો જોઈએ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જૂન 2024

Loading

તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …

સોનલ પરીખ|Opinion - Opinion|9 June 2024

રંગો અને ઝળહળાટનો ઉત્સવ બહુ દૂર નથી ત્યારે યાદ આવે છે સર્જકતા અને પ્રેમની અંદર-બહારનાં વિશ્વોની સફર કરાવતું એક કથાનક, એક ફિલ્મ અને એક કલાકાર. ટૂંકમાં ૧૯મી સદીમાં થઈ ગયેલા ચિત્રકારના જીવન ઉપર પ્રકાશ પાડતી રણજીત દેસાઈની નવલકથા ‘રાજા રવિ વર્મા’ને આધારે બનેલી કેતન મહેતા દિગ્દર્શિત ‘રંગરસિયા’ ફિલ્મ. વાત કરવી છે ફિલ્મમાં નિરુપાયેલા સનાતન દ્વંદ્વોની, શાશ્વત યુગ્મોની અને એના વડે બનેલી જિંદગીની.

શરૂઆત રાજા રવિ વર્મા પર અદાલતમાં ચાલતા કેસથી થાય છે. જજ પૂછે છે, ‘તમારા પર મુકાયેલા અશ્લીલતા, અનૈતિકતા અને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપનો તમે સ્વીકાર કરો છો?’ ‘નહીં.’ તે શાંત સ્વરે કહે છે. ‘કાયદો જાણો છો?’ ‘આપ જેટલી કલાને જાણો છો તેટલો જાણું છું.’

અદાલતનાં દૃશ્યો અને ફ્લેશબેકનું સમાંતરે ચાલવું આપણને બતાવે છે કે બાળક રવિની કલા જોઈ રાજા તેને આશ્રય આપે છે, રંગો અને રેખાઓ વચ્ચે તે યુવાન થાય છે ને રાજકુટુંબની કન્યાને પરણે છે. અછૂત દાસીની ભંગિમા જોઈ બનાવેલા એક ચિત્રને આંતરરાષ્ટ્રીય ઈનામ મળે છે. ‘રાજા’નું બિરુદ અને આશ્રય આપનાર રાજાનું અવસાન થતાં દીવાન તેને મુંબઈ લઈ આવે છે, ‘આ સ્વપ્નનગરી છે. અહીં પ્રતિભાની કદર છે. તું બસ કામે લાગી જા.’ એક મંદિરમાં તેને એક સુંદર, નિષ્પાપ યુવતી દેખાય છે. રાતભર જાગીને બનાવેલા સ્કેચ લઈ બીજે દિવસે રવિ એ યુવતી સુગંધાને આપે છે. બીજે દિવસે એ સ્કેચ લઈ સુગંધા રવિ પાસે જાય છે. જાણે મુલાકાત નક્કી હોય તેમ રવિ ચિત્ર બનાવવા તૈયાર છે, એને બેસાડીને કહે છે, ‘સરસ્વતીથી શરૂ કરીશું. જ્ઞાન અને કલાની દેવી.’ ‘મને શું ખબર દેવી કેવી હોય?’ ‘હું બતાવું.’ કહી એ દીવો કરે છે, સુગંધાની આરતી ઉતારે છે, એના ચરણે ફૂલો ધરે છે, વંદન કરે છે, તેના પગનો પંજો કોમળતાથી-આદરથી પોતાની હથેળી પર લઈ બીજા પગ પર ગોઠવી આપે છે અને સર્જાય છે વર્ષોથી આપણે મા સરસ્વતી તરીકે જેની પૂજા કરીએ છીએ એ સરસ્વતી દેવીનું ચિત્ર : લાલ ચોળી, સફેદ સાડી, છૂટા વાળ, માથે મુકુટ, હાથમાં વીણા. સુગંધા વેશ્યા છે, એક શ્રીમંતની રખાત છે. કહે છે, ‘તું મારા વિશે કશું જાણતો નથી,’ રવિ ચિત્ર પરથી આંખ હટાવ્યા વિના કહે છે, ‘જેટલું જાણું છું, મારા માટે પૂરતું છે.’

અને સફર શરૂ થાય છે – કલાકાર અને પ્રેરણામૂર્તિ વચ્ચેના અનુબંધની. સુગંધાને ખબર છે કે પોતે કલાકારની પ્રેરણા હોઈ શકે, પ્રિયતમા કદાચ નથી, પણ તેનું મન એ સ્વીકારવા તૈયાર નથી. આ બાજુ વડોદરાના મહારાજાનું તેડું આવે છે ને રવિની જિંદગીનો નવો અધ્યાય શરૂ થાય છે. ભારતનું સંસ્કૃતિધન આલેખવા આતુર રવિને મહારાજા દેશાટન પર મોકલે છે અને રવિ ચિત્રોનો ફાલ ઉતારે છે – રામાયણ-મહાભારતની વાર્તાઓ, દેવીદેવતાઓ. વિશાળ ચિત્રખંડની દીવાલો ઢંકાતી આવે છે.

કલાપ્રદર્શન આમજનતા માટે ખુલ્લું મુકાય છે. લોકો ઊમટે છે, મંદિરમાં પ્રવેશી ન શકતા દલિતો ભાવવિભોર થઈ રવિનાં ચિત્રોમાં સાક્ષાત ભગવાન જોઈ આળોટી પડે છે. રવિને એક પ્રતિભાશાળી સાથી પણ મળ્યો છે, ધુંડીરામ ફાળકે. લોકપ્રિયતા, ધન, પ્રતિષ્ઠા ને સફળતાની ટોચે પહોંચેલો રવિ જર્મન પ્રિન્ટર ફિશ લાઈઝર સાથે પ્રેસ શરૂ કરે છે અને તેનાં ચિત્રોનાં હજારો લિથોગ્રાફ ભારતના ઘરેઘરમાં ને વિદેશમાં પણ પહોંચવા લાગે છે.

પણ ક્યારેક તે ઉદાસીમાં ડૂબી જાય છે. સુગંધા કારણ પૂછે છે ત્યારે તે કહે છે, ‘આકાશમાં ઊડી જતી ઉર્વશી અને તેનું સરી જતું વસ્ત્ર પકડતો પુરુરવા – સુગંધા, આ પળનું ચિત્ર મારે બનાવવું છે. આવાં ઘણાં ચિત્રો મનમાં છે, પણ કદી નહીં બનાવી શકું. મોડેલ કોણ બનશે? આપણે, પોતાના સત્યને ઓળખતાં ડરીએ છીએ. ખરેખર તો આઝાદ થતાં ડરીએ છીએ. આપણી કલ્પના પણ ડરના કિલ્લામાં કેદ છે …’ વાક્ય પૂરું થાય એ પહેલા સુગંધા ખુલ્લા ખભા પરથી સાડી સરકાવી દઈ જવાની મુદ્રામાં ઊભી રહે છે. અત્યંત આતુરતા અને અધીરાઈથી કલાકાર ઈઝલ પર કાગળ મૂકે છે અને અર્ધ-અનાવૃત્ત ઉર્વશીનાં ત્રણ ચિત્ર તૈયાર થાય છે. ચિત્રો પૂરાં થતાં પ્રસન્નતૃપ્ત કલાકારમાં રહેલો પુરુષ હણહણે છે અને અદમ્ય તલસાટભરી સુગંધાને પોતાનામાં સમાવી લે છે.

પછીના દૃશ્યમાં સુગંધાનું વાસ્તવ છે. શરીર પર અને સાડી પર રંગરંગના ધાબાં લઈ સુગંધા ઘરમાં પ્રવેશે છે. એનો શેઠ ધમકીભરી આંખો બતાવતો ચાલ્યો જાય છે. અર્થાત, ગરીબીની શરૂઆત. વાસ્તવ રવિનું પણ છે. એના પ્રેસમાં આગ લાગે છે. એ જીવના જોખમે થોડાં ચિત્રો બચાવી લે છે, પણ ખૂબ નુકસાન થયું છે. વાસ્તવ દેશનું પણ છે. પ્લેગની મહામારીમાં લોકો ટપોટપ મરી રહ્યા છે. બ્રિટિશ શાસકો સ્વાતંત્ર્યવીરોને કચડી રહ્યા છે. ધર્માચાર્ય ગણાતા શાસ્ત્રીજી પ્લેગને રવિ વર્માના વેશ્યાને દેવી વનાવી તેનાં નગ્ન ચિત્રો બનાવવાના પાપનું પરિણામ સાબિત કરવા કટિબદ્ધ છે. ઉશ્કેરાયેલા લોકો રવિને માર મારે છે. રવિની આંખોમાં સ્વપ્નનો ધુમાડો ઊડે છે પણ તેની છાતી સાબૂત છે.

આ બાજુ ઉર્વશીનાં ચિત્રોની પ્રિન્ટ્સ ખૂબ ઊપડે છે. હજામો ગ્રાહકોને આકર્ષવા દુકાનોમાં ઉર્વશીનાં ચિત્રો રાખવા લાગ્યા છે. સુગંધાની અશ્લીલ મશ્કરીઓ થવા લાગી છે. કલાની, પ્રેમની, સર્જનની દિવ્ય પળોનું આવું અવમૂલ્યન? આહત સુગંધા રવિ પાસે જાય છે અને કહે છે, ‘મને કૉર્ટમાં બોલાવી છે, આબરુનાં ચીંથરાં ઊડી ગયાં છે. તેં કદી વિચાર્યું છે કે મારું શું થશે?’

રવિનું પ્રેસ વેચાઈ ગયું છે, ઉંમર અકાળે વધી ગઈ છે, અદાલતમાં કેસ ચાલે છે. બધી બાજુથી ઘેરાયેલો એ સુગંધાને કહી દે છે, ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં …’

‘હું છું જ નહીં?’ કલાકાર કલ્પનાના વાસ્તવમાં જેને સર્વસ્વ સમજતો હોય તેને એ વાસ્તવની બહાર ઓળખવાનો ઈનકાર કરી શકે – પણ પોતાને દેવીના આસને બેસાડનારા અને ઉત્કટ ક્ષણોમાં એકાકાર થઈ જનારા કલાકારના સર્જકઆવેગ અને પુરુષઆવેગને રોમેરોમે અનુભવી ચૂકેલી સુગંધા પોતાના કશું ન હોવાને કેવી રીતે સ્વીકારી શકે?

તે ભાંગી પડે છે, પણ અદાલતમાં કહે છે, ‘રાજા રવિ વર્મા સાચો કલાકાર છે. તમે, હું કોઈ નહીં રહીએ, પણ તેની કલા હંમેશાં જીવશે અને તેના માધ્યમથી હું પણ.’ અને ઘેર જઈ પથારીમાં તૂટી પડે છે. આ બાજુ રાજા રવિ વર્મા અદાલતમાં કહે છે, ‘કલાનું સત્ય નક્કી કરનારા તમે બધા છો કોણ? કામસૂત્ર અને ખજૂરાહોનાં શિલ્પોનો આદર કરનારી ભારતની સંસ્કૃતિ એક અર્ધખુલ્લા શરીરને જોઈ ભાંગી જાય એટલી નબળી નથી. પણ મને દેખાય છે એક છેતરાયેલી સ્ત્રી. પોતા દ્વારા, પુરુષ દ્વારા, સમાજ દ્વારા, સંસ્કૃતિ દ્વારા,  સ્વયં દેવતાઓ દ્વારા સતત છેતરાતી રહેલી સ્ત્રીના આપણે બધા અપરાધી છીએ.’

રવિ વર્માને મુક્ત કરવામાં આવે છે. સુગંધા ગળે ફાંસો ખાઈ જીવન-મુક્ત થઈ ચૂકી છે. કલા અને પ્રેરણા, સર્જકતા અને પ્રેમ, વાસ્તવ અને સત્ય, પુરુષ અને સ્ત્રીનાં દ્વંદ્વોએ ઊઠાવેલા પ્રશ્નો અંતે અનુત્તર રહી ગયા છે.

એક પ્રશ્ન મનમાં ઊઠે છે;  જેનો ઉત્તર છે પણ, નથી પણ. જો સ્ત્રી કલાકાર હોય, જો પુરુષ તેની પ્રેરણા હોય અને જો કોઈ તબક્કે એ તેને એમ કહે કે ‘તુમ મેરી કલ્પના કે બાહર કુછ હો હી નહીં…’ તો?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 નવેમ્બર  2023

Loading

ચૂંટણી 2024: બહુમતની સરકારની આદત નેવે મૂકી ગઠબંધનનો સંપ કેળવવાનું ફાવશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|9 June 2024

અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું

ચિરંતના ભટ્ટ

આપણી ચૂંટણીનાં પરિણામો મોટા ભાગનાં લોકોએ ધાર્યા હતા એના કરતાં તદ્દન જુદાં આવ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર જીત્યા ખરા, એટલે કે ભા.જ.પા.ની ત્રીજી વાર જીત થઇ પણ એવી રીતે નહીં જેવી રીતે તેમણે ધારી હતી. સરળતાથી જીત મળી જશે એમ ધારનારી ભા.જ.પા. માટે આ જંગ રસાકસી વાળી હતી એવું પરિણામ જાહેર થયા પછી ખબર પડી. ચારસો પારના દાવાના શોરબકોર વચ્ચે હવે ભા.જ.પા.એ બહુમત વિનાની ગઠબંધન સરકાર બનાવવાનો વારો આવ્યો છે.  ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે અને પછી 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવવાની આદત પડી ગઇ હોય પછી હમણાં જે પરિણામ આવ્યું છે તે વડા પ્રધાન માટે એક અંગત ઝટકો છે.

રેસમાં દોડવાનું શરૂ કરીએ ત્યારે જે જોર હોય એ દર વખતની રેસમાં રહે એવું ન બને. વળી બહુમતીનો નશો હોય ત્યારે વધુ પડતો આત્મવિશ્વાસ ઘણી બધી વાસ્તવિકતાઓ ધુંધળી બનાવી દે એવું ય થઇ શકે છે.

લોકશાહી દેશના નાગરિકોએ નેરન્દ્ર મોદીના હાથમાં પૂરેપૂરી સત્તા સોંપી અને એ પણ એક-બે વર્ષ નહીં પણ પૂરાં દસ વર્ષ માટે. આ દસકામાં નાગરિકોએ પોતાની રીતે નાણી લીધું, આકલન કરી લીધું કે જ્યારે કોઇ એક જ વ્યક્તિના હાથમાં બધું જ સોંપી દેવાય ત્યારે શું થઇ શકે છે. બહુમતીની સરકારે રામ મંદિર બનાવ્યું તેની સાથે એક પક્ષની એક જ વ્યક્તિનું કદ સતત વધારવાનું કામ પણ કર્યું. દરેક સિદ્ધિ સાથે એક માણસનું નામ જોડવામાં આવ્યું તે કોઇ માળખાકીય કામગીરી હોય કે પછી કોઇ બીજું લક્ષ્ય પાર કર્યું હોય. આ વ્યક્તિ-પૂજા એ હદે ચાલી કે લોકોએ એવી પણ રમૂજ કરી કે ઑલિમ્પિક્સમાં જીતનારાઓની તસવીર સામે વડા પ્રધાનની તસવીર મોટી મુકવામાં આવશે. અહીં વાત માત્ર માર્કેટિંગની નથી પણ કેન્દ્રનું નિયંત્રણ વધે એવા કાયદા પસાર કરવામાં આવ્યા, 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તો ચૂંટણી પંચના મુખ્ય અધિકારી કોણ હોઇ શકે એ નક્કી કરવામાં પણ કેન્દ્ર સરકારે ભાગ ભજવ્યો. આ પહેલાંની ટર્મમાં જી.એસ.ટી., નોટબંધી, 370ની કલમ ખસેડી લેવી જેવાં બીજા ફેરફારો પણ લાદવામાં આવ્યા. જી.એસ.ટી.ને મામલે લાંબુ વિચાર્યા વિના કાચું કપાયું તો નોટબંધીનો એક તસુભાર જેટલો લાભ નથી થયો એ તો ચૂંટણી ટાણે ઠેર ઠેરથી જે રીતે રોકડા પકડાયા એની પરથી જ સાબિત થઇ જાય છે. બહુમત સરકારમાં એક જ જણનો મત ચાલ્યો અને અર્થતંત્ર હખળડખળ થઇ ગયું. એટલું ઓછું હોય એમ ઇલેક્ટોરલ બોન્ડ્ઝનું તૂત ખડું કરાયું – એ ઇલેક્ટોરલ બોન્ડ્ઝ આખરે તો ખંડણી વસૂલીનો જ એક રસ્તો હતો. નૈતિકતાની વાત કરનારા ભા.જ.પા.એ જ્યારે જ્યારે બીજા પક્ષમાંથી નેતાઓ તોડ્યા ત્યારે એ બધાં જ અમાસના અંધારા જેટલો ભ્રષ્ટાચાર કરીને બેઠેલાઓની જ પસંદગી કરી. તમે સત્તા પર હો, ચૂંટણી લડવાના હો ત્યારે વગર વિચાર્યે લોકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની બિંધાસ્ત સલાહ આપવાની હિંમત કરવી કોઇ કૌભાંડથી કમ નથી. કારણ કે તમારી ‘ભક્તિ’માં લીન લોકો પૈસા રોકવાના જ છે અને પછી હેરાન પણ થવાના છે. કૃત્રિમ રીતે સ્ટોક માર્કેટ કેટલી ઝડપથી ઉપર ગયું અને પછી સડસડાટ નીચે આવ્યું એ તો આપણે બધાંએ જોયું જ છે.

વળી ધ્રુવીકરણ અને હિંદુત્વનું કાર્ડ તો આ સરકારની મનગમતી ચાલ રહી છે. મુસલમાનોને છેટાં રાખવાનો અભિગમ સપાટી નીચે સતત રખાયો અને અણીને વખતે સપાટી પર પણ આવી ગયો. મુસલમાનોએ કાઁગ્રેસ તરફી વલણ રાખ્યું તેની પાછળ બીજા બધાં કારણો પછી પણ ડર અને અસલામતી સૌથી પહેલાં હતા. બિનસાંપ્રદાયિક લોકશાહીમાં આ વૈમનસ્યની તાણ નાગરિકો ન સંભાળી શકે. ટૂંકમાં શક્ય હોય ત્યાં બધે જ બધું જ કાબૂમાં કરવાનો અને એ પણ સમાંતર – પેલી ઑસ્કાર જીતેલી ફિલ્મ ‘એવ્રીથિંગ એવ્રીવ્હેર ઑલ એટ વન્સ’ના ટાઇટલની માફક – બધા જ પ્રયાસ-પ્રહાર એક સાથે કરવામાં આવ્યા.

વડા પ્રધાન એકમેવ ભા.જ.પા.નો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય હોય એ રીતે ‘નેરેટિવ’ ચલાવાયું, નવા લોકો લવાયા, જૂનાઓને બેકસ્ટેજમાં મુકાયા, વગેરે. ભા.જ.પા.ના પ્રચારના કેન્દ્રમાં હંમેશાં નરેન્દ્ર મોદીને જ રખાયા પણ કમનસીબે ધાર્યું ન થયું. હિંદુ મતદાતાઓને પણ ભા.જ.પા.ના હિંદુ બહુમતવાળી વાત એક હદ પછી ગળે ઊતરતી બંધ થઇ ગઇ.  બહુમતીની સરકારને મામલે અગાઉ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ નિષ્ફળ ગયાં છે. ટૂંકમાં બહુમતીની સરકાર કોઇની પણ હોય પણ તે લોકશાહી રાષ્ટ્રના નાગરિકોને એક હદ પછી ગુંગળાવે છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભલભલાં મોટાં માથાઓને યાદ કરાવે છે કે લોકશાહીની શક્તિ શું હોય છે.

લોકશાહીનું અમૃત જેણે ચાખ્યું હોય એવા રાષ્ટ્રમાં બહુમતીની સરકાર એકચક્રી શાસન બનવા માંડે એટલે તેનો અંત દેખાવા માંડે. બહુમતની સરકારને બંધારણ બદલવામાં રસ હોય ત્યારે એમ કરવામાં કોઇ અવરોધો આવે તો એમને જરા ય ચાલતું નથી. લોકશાહી દેશમાં એવી સરકાર હોય જેને ચર્ચા-વિચારણામાં રસ ન હોય, વળી એમ માનતી હોય કે કોઇના પણ ટેકા વગર બંધારણમાં ફેરબદલ કરી શકે છે ત્યારે એ સરકારના સુકાનીઓએ પોરો ખાવાની અને આત્મવિશ્લેષણ કરવાની જરૂર હોય છે. બહુમતની સરકારમાં એક પ્રભાવી નેતા, સંસાધનો અને કોમ્યુનિકેશન પર કાબૂ, નબળો વિરોધ પક્ષ અને સંગઠનવાળી વ્યવસ્થા જેવા લક્ષણો હોય છે પણ આ તમામની સાથે ઓછી થતી સ્વતંત્રતા પણ બહુમતની સરકારની જ એક દેન છે. ભૂતકાળમાં જ્યારે કાઁગ્રેસનું શાસન હતું ત્યારે પણ બહુમત સરકારના પ્રભુત્વનું જોર મતદારોએ ઘટાડ્યું જ છે.

બહુમતની સરકારે સરમુખત્યારશાહીની સીમા ઓળંગવાની ભૂલ ન કરવી જોઇએ પણ મોટે ભાગે કરી જ બેસે છે. હવે ભા.જ.પા.એ ગઠબંધનની સરકાર બનાવવાના દિવસો આવ્યા છે ત્યારે એકમેવ શાસકની માફક અત્યાર સુધી સત્તા સંભાળનારા નરેન્દ્ર મોદી માટે એમ કરવું સરળ હશે ખરું? આ સવાલ માત્ર નરેન્દ્ર મોદી નહીં પણ અમિત શાહ માટે પણ થાય. ગઠબંધનની સરકારમાં અહમ્‌ને સૌથી પહેલાં બાજુએ મુકવો પડે અને બીજાઓને, તમને ટેકો આપનારાઓને સાંભળવા પડે, એમના અભિપ્રાયોને ગણતરીમાં લેવા પડે.

ભલે ભા.જ.પા.એ બહુમતી માટે પૂરતી બેઠકો પર જીત નથી મેળવી છતાં પણ NDAએ ફરી એકવાર નરેન્દ્ર મોદીને જ વડા પ્રધાન બનાવવા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સત્તામાં રહેવા માટે નરેન્દ્ર મોદીને તેલુગુ દેસમ પાર્ટી અને જનતા દળ યુનાઈટેડમાંથી 28 સાંસદોનો ટેકો જોઇએ છે. આ પક્ષના નેતાઓ છે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર. આ બંન્ને નેતાઓ વાટાઘાટ કરવામાં અવ્વલ છે અને અનેકવાર ગઠબંધનો બદલી ચૂક્યા છે.

બહુમતની આદતવાળા વડા પ્રધાન મોદીએ આ પહેલાં ગઠબંધનની સરકાર રચી નથી અને ટેકેદાર પક્ષો સાથેના તેમના સંબંધો હંમેશાં અનુકૂળ નથી રહ્યા. જ્યારે બહુમતીની સરકાર રચાઇ હતી ત્યારે આ પક્ષો સાથે સારાસારી રાખવામાં મોદીએ બહુ મહેનત નહોતી કરી. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ બન્ને વિશે એલફેલ બોલવામાં પણ એમણે કંઇ બાકી નહોતું રાખ્યું. અકાલી દળે ખેડૂતોના મુદ્દે અને શિવ સેનાએ પણ સત્તાને મામલે ભેદભાવ થતા ભા.જ.પા. સાથે છેડો ફાડ્યો છે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બધી વાતે સંમત થવાનું તેમને માટે શક્ય નહોતું.  કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી કેન્દ્રની માફક જ વર્ત્યા છે અને ઘણીવાર પોતાના મંત્રીઓને બાજુમાં રાખીને સીધા સરકારી અધિકારીઓ સાથે વહેવાર કરી ચૂક્યા છે. તેમણે અનેકવાર બીજાઓને સાંકળ્યા વિના અથવા જાણ કર્યા વિના સીધેસીધા નિર્ણયો લઇ લીધા હોવાના પણ બનાવો છે.

હવે વડા પ્રધાન રહેવું હશે તો નરેન્દ્ર મોદીએ તેલુગુ દેસમ અને જનતા દળ યુનાઈટેડ જેવા ટેકેદાર પક્ષોની માગણીઓને પણ સમાવવી પડશે. અત્યાર સુધી કોઇપણ સમાધાન ન કરનારા નરેન્દ્ર મોદીને હવે કેટલું નમતું જોખશે એ જોવું રહ્યું. જો એમ નહીં કરે તો આગલા પાંચ વર્ષ સુધી સ્થિર સરકાર રાખવી સહેલું નહીં હોય.

ત્રીજી ટર્મ ઘણા નેતાઓ માટે પડકાર જનક સાબિત થઇ છે. નહીં ધારેલા સંજોગોમાં સરકારો પડી ભાંગી છે અને ભલભલી યોજનાઓ રફેદફે થઇ ગઇ છે. મનસ્વી અભિગમને બાજુમાં મૂકીને ખરા અર્થમાં અન્યોના ટેકાથી સરકાર ચલાવવામાં નરેન્દ્ર મોદી કેટલા સફળ થશે એ જોવું રહ્યું.

બાય ધી વેઃ 

ભા.જ.પા.ની ટિકિટ લઇને મંડીથી ચૂંટણી જીતેલી અભિનેત્રી કંગના રણૌતને ચંદીગઢ એરપોર્ટ પર સિક્યોરિટી કર્મચારીએ લાફો ચોડી આપ્યો, મુદ્દો હતો કંગનાએ કિસાન આંદોલન વખતે કરેલી ટિપ્પણી. નવીસવી સાંસદ બનેલી અભિનેત્રીએ ચોખવટ કરતો વીડિયો પણ મુક્યો. જોવાનું એ છે કે તમે સાહેબની નજીક હો એ તમારી લાયકાત નથી બનતી એવું કંગના રણૌતને સાંસદ બન્યાના અડતાળીસ કલાકમાં સમજાઇ ગયું. આ ઘટનામાંથી એટલું સમજી લેવું કે વાહવાહી કરનારાઓનો અવાજ સાંભળીને બેરોજગારી, અરાજકતા, ધ્રુવીકરણને લીધે થતી સમસ્યાઓ જેવા પ્રશ્નોના ઘોંઘાટની અવગણના કરવા જશું તો ગાલે તમાચો જ પડશે. લોકોની યાદશક્તિ ટૂંકી નથી હોતી. જે લોકો પીડાય છે તેમને પોતાની પીડા યાદ રહે છે. હિંદુવાદનું પાનું ઊતરવાથી હંમેશાં લોકોને જીતી નથી શકાતા. વળી, અભિમાન તો રાજા રાવણનું પણ નહોતું ટક્યું એ વાત યાદ રાખીને શાલીનતા, સજ્જનતા, નમ્રતા સાથે ગઠબંધનનું માન જળવાય એ રીતે સત્તાધીશ વહેવાર કરશે તો એક લોકશાહી રાષ્ટ્રની ગરિમા જળવાશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 જૂન 2024

Loading

...102030...544545546547...550560570...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved