Opinion Magazine
Number of visits: 9665052
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી જયંતી ગઈ ને ગયા ગાંધીજી પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 October 2024

રવીન્દ્ર પારેખ

ગાંધી જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર માથું નમાવી આવ્યા એનો ફોટો વર્તમાનપત્રોમાં પ્રગટ થયો છે. એમાં રાજઘાટ પર ફૂલો પથરાયેલાં દેખાયાં ને મને હસમુખ પાઠકનું આ કાવ્ય યાદ આવ્યું :

રાજઘાટ પર –

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય

ગાંધી કદી સૂતા નથી –

રાજઘાટ પર મળ્યું એટલું સૂવાનું ગાંધીને ક્યારે ય મળ્યું ન હતું. આટલાં ફૂલો ય મળ્યાં ન હતાં. એ નિરાંતનો જીવ જ ન હતા ને આપણે ગાંધીને ફૂલો નીચે શોધીએ છીએ. જો કે, હવે ગાંધીને બહુ શોધતા ય નથી. આપણે એટલા મતલબીય નથી કે એમ ભૂલી જઈએ. કમ સે કમ ગાંધી જયંતીએ તો યાદ કરીએ જ છીએ. એ ખરું કે જયંતી આવે છે કે ઢગલો ઝાડુ રસ્તે આવી પડે છે. સ્વચ્છતા અભિયાનને દાયકો થયો. એમાં શું સ્વચ્છ થયું તે તો નથી ખબર, પણ વર્ષથી મેલાં થઈ ગયેલાં ગાંધીજીનાં પૂતળાં તો સ્વચ્છ થઈ જ ગયાં છે. સુરતમાં તો પહેલાં ગાંધીજી ‘ગાંધીબાગ’માં હતા, તે હવે બાગની બહાર આવી ગયા છે. ગાંધી આગળ, બાગ પાછળ. ગાંધીજી એટલે સ્વચ્છતા ! ઠેર ઠેર સાફ થયેલા રસ્તાઓ પર ઝાડુઓ ફરવા લાગે છે ને બીજી ઓકટોબર એકદમ ‘સાફ’ થઈ જાય છે. સાહેબોનાં કપડાં મેલાં ન થાય એટલે અગાઉથી રસ્તા સાફ કરી દેવામાં આવે છે ને પછી સાહેબો હાથ સફાઈ કરે છે.

રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ પાસે નેતાઓએ પહેલાં જોઈ લીધું કે કચરો ક્યાં નથી? એ પછી જ સફાઈ  અભિયાન શરૂ કર્યું. બધાંના ફોટા બહુ મસ્ત આવ્યા. સફાઈ તો એવી થઈ કે ઝાડુ પણ ક્યાંયથી મેલું ન થયું. સુરત મહાનગરપાલિકા પણ પાછળ ના રહી. સ્વચ્છતા હી સેવા-સૂત્રને સાર્થક કરવા બધાં ડુમસ બીચ પર ઊતરી પડ્યાં. 800 જેટલા સફાઇકર્મીઓએ એટલું બધું સાફ કર્યું કે એટલું તો ગાંધીજીએ પણ નહીં કર્યું હોય ! 800 જણાંએ 1,700 કિલો કચરો કાઢ્યો. તે ઉપરાંત 179 કિલો પ્લાસ્ટિક તો ખરું જ ! એવરેજ કાઢો તો બે કિલોથી પણ વધારે આવે. એમ પણ લાગ્યું કે સુરત સ્વચ્છ સિટીમાં પ્રથમ રહ્યું છે, એ હિસાબે કદાચ કોર્પોરેશનમાં હોય તેથી પણ ઓછો કચરો ડુમસમાં હશે. એક વર્ષનો 1,700 કિલો કચરો કૈં બહુ ન કહેવાય. હવે આવતે વર્ષે જશે તો આનાથી ય ઓછો કચરો થશે.

એ ખરું કે ગાંધીજી ચલણી નોટ પર જ રહી ગયા છે, એ પણ કોઈ બદલે તો નવાઈ નહીં, પણ હવે જ્યારે બાપુ છે જ ને દર વર્ષે બીજી ઓક્ટોબરે આવે જ છે, તો જ્યાં એમનો જન્મ થયેલો એ પોરબંદરમાં પણ થોડી સફાઈ થવી જોઈએને ! નહીં તો વિદ્યાર્થીઓને એમનો જન્મ પોરબંદરમાં થયેલો એવું ગોખાવવાનો કોઈ અર્થ ન રહે. ગમે તેમ તો ય આઇન્સ્ટાઈને એમને માટે કહેલું કે હાડચામનો આવો માણસ પૃથ્વી પર ફરતો હતો, તે થોડાં વર્ષો પછી કોઈ માનશે નહીં. જો કે, કે હવે વર્ષોની રાહ જોવાની રહી નથી. ગાંધીજીને અત્યારથી જ કોઈ માનતું નથી. આઇન્સ્ટાઇનને આપણે ઘણો વહેલો સાચો પાડ્યો. ગાંધીજીને કોઈ માનતું નથી એમ એટલે લાગે છે, કારણ, માનતા હોત તો પોરબંદરનું જન્મ સ્મારક ત્રણ વર્ષથી બંધ પડ્યું ન હોત !

આ ગાંધી જ્યંતીએ પણ મહાત્મા ગાંધીનું જન્મ સ્મારક ખૂલ્યું નહીં. સ્મારકનું હેરિટેજ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું, પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગે અઢી વર્ષ સુધી એનાં તરફ ધ્યાન જ ન આપ્યું. ગમે તેમ તો ય ભારતીય પુરાતત્ત્વ વિભાગ છે, એ પણ જર્જરિત તો થાયને ! આઠેક મહિનાથી રિપેરિંગ ચાલે છે, પણ કામ પૂરું થયું નથી. પોરબંદરમાં જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયેલો તે સ્થળ પાસે સ્મારક બનાવાયું. તેનો ઉપરનો હિસ્સો જર્જરિત થતાં અઢી વર્ષથી તેને તાળું મારીને બહાર ‘વર્ક ઇન પ્રોગ્રેસ’નું પાટિયું મારી દેવાયું છે. એને કારણે દેશવિદેશથી આવતા પ્રવાસીઓને મકાનની નીચેનો ભાગ જોઈને જ પરત થવું પડે છે.

પોરબંદરમાં 2 ઓકટોબર, 2011ને રોજ નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વધારામાં ગાંધીજીને લોકમાનસમાં જીવંત રાખવા લેસર શોની વ્યવસ્થા કરવામાં આવી. જાપાનથી ત્રણ પ્રોજેક્ટર ત્રણ કરોડને ખર્ચે લાવવામાં આવ્યાં. એનો કારભાર પાલિકા હસ્તક છે. કોરોના કાળ પહેલાંથી એ શો ટેકનિકલ કારણોસર બંધ છે. છેને કમાલ ! ભારત બહાર ગાંધીજીનાં 42 સ્મારકો છે, પણ તેમની જન્મભૂમિ પરનું સ્મારક બંધ હાલતમાં છે. હવે સ્મારક જોવા ભારતથી વિદેશ જવું પડે એમ બને. ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધીજીની પ્રતિમા, તસવીરો વગેરેની દુર્દશા સરકારી કારભારની ચાડી ખાય છે. 2011માં લોકાર્પણ થયું હોય ને તેર જ વર્ષમાં કોઈને જોવા લાયક પણ ન રહે એ કેવું? ત્રણ વર્ષથી મુખ્ય મંત્રી પણ એક જ રૂમ જોઈને પાછા વળી જાય છે ને હજી તો મંગળવારે જ મુખ્ય મંત્રી ત્યાં જઈ આવ્યા છે, તો એક સાદો સવાલ ન પુછાય કે એક જ રૂમ દર્શનની સ્થિતિ બદલાશે કે આ એક રૂમ પણ બંધ થવાનો છે?

કોઈ એમ ન સમજે કે હું ગાંધીજીનો ભક્ત છું. ભક્ત હું કોઈ ગાંધીનો નથી. ગાંધીજીના બ્રહ્મચર્યના વિચારોનો લિખિત વિરોધ મેં કર્યો છે. મહાત્મા હોય તો પણ બધું મળીને તે એક માણસ હતા. માણસમાં હોય તેવી નબળાઈ તેમનામાં પણ હતી, પણ સત્ય, અહિંસાનો જે સંદેશ એમણે આપ્યો એનો અસ્વીકાર જગત કરી શકે એમ નથી, છતાં લેબેનોનમાં ઈઝરાયેલના 8 સૈનિકોનાં મોત ગાંધી જ્યંતીએ જ થયા. ગાંધીનો એકડો કાઢવા જતાં શૂન્ય થઈ જવાનો ભય દેશને માથે છે જ ! તેમની સાદગી કોઈ સંત મહાત્મા પાસે પણ નથી. ચશ્માં, ચંપલ, ઘડિયાળ, લાકડી ને પોતડીથી સજ્જ જગતનો કયો રાષ્ટ્રપિતા હશે તે નથી ખબર. ગમે એટલા આગળ જઈએ તો પણ ગાંધી વિચાર પાસે થોભવું પડે એમ છે તે સમજી લેવાનું રહે.

દાંડી સત્યાગ્રહને 2005માં 75 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એક કાવ્ય લખેલું તે પ્રસ્તુત કરું છું :

દાંડી

0

દાંડી

ફૂલનો આધાર

દાંડી

ઢોલનો ધ્વનિ

દાંડી

ચશ્માંનો કાન

દાંડી

જડે નહીં તેવું ગામ

ત્યાં ઝૂક્યો એક હાથ

ને ઉપાડ્યું મીઠું

એ મીઠું પછી

મધમીઠું થયું

ને દાંડી થયું  

દીવાદાંડી !

0

ગાંધીજીને ઘણાંએ જોયા નથી. ઘણાંને અફસોસ પણ થાય છે કે પોતે ગાંધીજીને જોવાના રહી ગયા.

પ્રિયકાંત મણિયારનું એને લગતું એક સરસ કાવ્ય છે :

તમે ગાંધીજીને જોયા હતા?

0

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

‘તમે ગાંધીજીને જોયા હતા?’

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’

અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો –

‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’

હું હવે કોને કહું કે’ના તમે,

‘એ તો અમે !’

0

સાવ નાનો ભાઈ એકદમ મોટાભાઈને પૂછે છે કે તમે ગાંધીજીને જોયા હતા? તો મોટોભાઈ એમ જ બોલી પડે છે કે – હા. એ જાણીને નાનાભાઈને ઓશિયાળું લાગે છે કે એ તક પોતાને ન મળી. મોટાભાઇ એટલા નસીબદાર કે એમને ગાંધીજી જોવા મળ્યા, પણ ગમે તેટલું કરવા છતાં એ નસીબ પોતાનું તો ન હતું કારણ, ત્યારે તો પોતે ‘હીંચતા’તા ઘોડિયામાં’, એ સ્થિતિ જ ન હતી કે ગાંધીજીને જોવા જેટલા મોટા હોય. નાનાભાઈની તો પેન પાટી લઈને એકડો ઘૂંટવાની ઉંમર હતી. નાદાન હતો. ત્યારે મોટોભાઈ બહુ માર્મિક રીતે કહે છે કે નાદાન તમે ન હતા, અમે પણ મોટા હોવા છતાં એકડો જ ઘૂંટતા હતા. નાદાન જ હતા. સમજદાર હોત તો અમે પણ ગાંધીજીને ઓળખ્યા હોત !

આજે પણ ગમ્મત તો એ જ છે કે ઘણા ગાંધીજીને ઓળખતા નથી, ઓળખી શક્યા નથી ને ઓળખી કાઢ્યા હોય તેમ મૂછે તાવ દેતા ફરે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑક્ટોબર 2024

Loading

વિનોબા સન્મુખની એ ધન્ય ઘડી

જ્યોતિભાઈ દેસાઈ|Gandhiana|3 October 2024

જ્યોતિભાઈ દેસાઈ

ગાંધીજીની હાકલ સાંભળીને ગામડામાં જઈને રચનાત્મક કામ કરવાનો નિર્ણય મેં ૧૯૪૪ની સાલમાં જ કરી લીધો હતો. હજુ તો મેં કૉલેજમાં ભણવાની શરૂઆત જ કરી હતી. મુંબઈમાં જ્યાં અમે રહેતા હતા, ખાર-સાંતાક્રુઝ વિસ્તાર – ત્યાંનો તે વખતનો માહોલ રાષ્ટ્રીયતાથી ભર્યો-ભર્યો હતો. સ્વરાજ્યની ચેતના તેમ જ સ્ફૂર્તિ એક ભાવનાશીલ તેમ જ વિચારશીલ વર્ગમાં વ્યાપ્ત હતાં. તેથી મારા આ નિર્ણયને પોષણ મળતું રહ્યું અને મારો ઉત્સાહ પણ વધતો રહ્યો.

મંથન ચાલી રહ્યું હતું, સાથે સાથે ગાંધી-વિનોબાના વિચારોનું અધ્યયન પણ કરી રહ્યો હતો. તેવામાં વિનોબાજીની એક મહત્ત્વની સૂચના વાંચવા મળી. તેમના વિધાનના મૂળ શબ્દો તો યાદ નથી પરંતુ તેનો ભાવાર્થ આવો હતો, “દરેકના નસીબમાં લક્ષ્મણ જેવું સદ્ભાગ્ય પ્રાપ્ત કરવાનું તો શક્ય નથી હોતું. રામ અને સીતામાતાની પ્રત્યક્ષ સેવા કરવાનું સદ્ભાગ્ય લક્ષ્મણને મળ્યું હતું, સંજોગો એવા સરસ ઊભા થયા તેના માટે. પરંતુ ભરત જેવું ભાગ્ય તો આપણે બધા જ મેળવી શકીએ તેમ છીએ ! તેમણે રાજસિંહાસન પર ભગવાન રામચંદ્રની પાદુકાનું જ સ્થાપન કરી દીધું અને તેમાંથી પ્રેરણા તેમ જ આદેશ મેળવતા મેળવતા આખું જીવન જીવ્યા” –

આ વાંચતાં જ આ વાત હૃદયમાં વસી ગઈ. એ બાબત ધ્યાનમાં આવી ગઈ કે બાપુના બતાવેલા માર્ગ પર ચાલવા માટે તેમના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની જરૂર નથી. પરિણામે આગળના જીવનમાં ક્યાં, કેમ, કેવી રીતે શું કરવાનું છે તે બધું સ્પષ્ટ થતું ગયું. આમ, ગામમાં જઈને વિશેષ કરીને શિક્ષણના ક્ષેત્રમાં નઈતાલીમના પ્રયોગ કરવામાં જીવન વીત્યું. અને તેનું સમાધાન પણ હૃદયમાં છે.

વિનોબાજી

બાપુના અવસાનના તરત બાદ વિનોબાજીના ‘શ્રાદ્ધ કે તેરહ દિન’-નાં જે પ્રવચન થયાં, તે વાંચીને ચિત્તને ઘણી સ્વસ્થતા મળી. ગાંધીજીની વિદાય બાદ લગભગ એક વર્ષ સુધી વિનોબાજી આખા દેશમાં ફર્યા. તે દરમિયાન તેઓ મુંબઈ પણ આવેલા. બોરીવલીના કોરા કેન્દ્રમાં તેમનો રાતવાસો હતો. પ્રવચન બાદ તેમને એક પ્રશ્ન પૂછવાનું સાહસ મેં કર્યું હતું. તે વખતે ‘હરિજનબંધુ’માં કિશોરલાલભાઈએ ‘ગુર્જર નાગરી’નો પ્રસ્તાવ મૂક્યો હતો. ગુજરાતી અને દેવનાગરી લિપિમાં માત્ર નવ અક્ષર જુદા છે. તેમનું સૂચન હતું કે આ નવ અક્ષર ગુજરાતીમાં લખતી વખતે જો આપણે દેવનાગરી લિપિમાં લખીએ તો આખા દેશના વધુમાં વધુ લોકો ગુજરાતી સહેલાઈથી વાંચી શકશે.

કિશોરલાલભાઈની આ વાતનો હું પ્રચારક જ બની ગયો હતો. મેં બાબાને પૂછ્યું, “તમે કિશોરલાલભાઈની લિપિ-સુધારની વાતનો પ્રચાર કેમ નથી કરતા ?” બાબાએ તે વખતે આનો શું જવાબ આપ્યો તે હમણા તો યાદ નથી, પરંતુ તેમણે આ વાત તરફ બહુ ધ્યાન ન આપ્યું. એ બરાબર યાદ છે. પણ હું ક્યાં પોતાની વાત છોડું તેવો હતો ! મેં તો બાબાને એક પત્ર લખ્યો અને પોતાની વાત દોહરાવી.

આના પરિણામે એક અસાધારણ ઘટના બની ગઈ. તા. ૩-૧૧-૯૪ના દિવસે પરંધામ આશ્રમ પવનારથી લખાયેલો એક પોસ્ટકાર્ડ મારી પાસે આવ્યો. જેમાં સુંદર અક્ષરોથી લખેલો વિનોબાજીનો વિસ્તૃત જવાબ હતો ! હું તો આનંદાશ્ચર્યથી ચકિત-સ્તબ્ધ થઈ ગયો. ગાંધીજીએ જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કરેલા તેવા મહાપુરુષની મારા જેવા નાચીઝ યુવકની સાધારણસી પૃચ્છાના જવાબમાં ‘શ્રી જ્યોતિન્દ્ર’ કરીને પત્ર આવે એ તો મારા સ્વપ્નમાં પણ ન હતું. પરંતુ આ તો વિનોબા હતા ને ! તેમણે પત્રમાં લખ્યું હતું કે, “ગુર્જર-નાગરીને ગુર્જર-લિપિના સુધારા તરીકે હું પસંદ કરું છું. પરંતુ નાગરીના સુધારા માટે મારી એક યોજના છે જેને મેં ‘લોકનાગરી’ નામ આપ્યું છે. અને ‘લોકનાગરી લિપિ’ નામની નાનકડી પુસ્તિકા મરાઠીમાં પ્રકાશિત કરી છે. એ લિપિમાં એક આખું માસિક પત્ર ‘સેવક’ પણ પ્રકાશિત કરું છું. તમે જો થોડી ઘણી મરાઠી જાણતા હો તો હું તમને એ વાંચવાની ભલામણ કરું છું. તેનું વાર્ષિક મૂલ્ય રૂપિયા ત્રણ છે અને તે ગોપુરી, વર્ધાથી પ્રકાશિત થાય છે.

“હવે તમને પ્રશ્ન થશે કે લોકનાગરીનો નમૂનો હું ‘સર્વોદય’ હિંદી માસિકમાં કેમ નથી આપતો ? તેનો જવાબ એટલો જ છે કે પહેલાં હું વિચારોનો પ્રચાર-પ્રસાર ઇચ્છું છું; તેના પછી લિપિ-સુધાર જેવી વાતો પર વિચાર કરીશું …. મારે પોતાના સુધાર કોઈ પણ રીતે લોકો પર લાદવા નથી.”

– વિનોબા

‘પોકેટ મની’ તરીકે મને મારાં મા દર મહિને છ રૂપિયા આપતાં હતાં. જેમાંના મોટા ભાગના પૈસા આમ પણ હું પુસ્તકો ખરીદવા જ વાપરતો હતો. તો સહેલાઈથી અને ખુશ થઈને મેં ‘સેવક’નું લવાજમ મોકલી આપ્યું. ‘સેવક’ દ્વારા મેં ઘણું પ્રાપ્ત કર્યું. મુખ્યત: તેમાંથી વિનોબાજીના વિચારો અપનાવવાની પ્રેરણા તેમ જ ઉત્સાહ મળ્યાં. જીવનમાં સાદગી આવી. આમ, જીવનના અલગ અલગ મોડ પર પૂ. બાબા પાસેથી પ્રેરણા મળતી જ રહી અને જીવવા માટેની શક્તિ પણ મળતી રહી.

એક વાર વેડછીમાં ગાંધીવિદ્યાપીઠની સ્થાપના બાદ પવનાર આશ્રમ જવાનું થયું. બાલભાઈએ પૂ. બાબાને લખીને આપ્યું કે આ વેડછીથી આવ્યા છે. બાબા અમારી સામે જોઈને બોલ્યા,

“વિષ્ણુ-સહસ્રનામની જેમ મારું પણ એક વિષ્ણુ-સહસ્રનામ છે, જેમાં દેશ અને વિશ્વભરના બધા સાથી કાર્યકરો તેમ જ મિત્રોનાં નામ છે. તેમને હું હંમેશ યાદ કરું છું. તેમના પર અભિધ્યાન પણ કરું છું. એ યાદીમાં જુગતરામભાઈનું નામ પણ છે. સત્યાગ્રહ (સાબરમતી) આશ્રમથી તેમનો અને અમારો સાથ છે.”

મારા સાથી મિત્ર મીનુભાઈ કકલિયાએ કહ્યું, “જુગતરામકાકાની પ્રેરણાથી જ ગાંધીવિદ્યાપીઠ શરૂ કર્યું છે. આ જ્યોતિભાઈ તેના આચાર્ય છે. શિક્ષકોને તેઓ નઈ તાલીમનું પ્રશિક્ષણ આપી રહ્યા છે.

હવે બાબાએ સીધું મારી સામે જોયું ને બોલ્યા, “અરે ભાઈ, નોકરીઓ તો છે નહીં, હજારો બેકાર ફરી રહ્યા છે. કોઈને નોકરી મળે તો માનો કે લોટરી લાગી ગઈ ! આવા નોકર પેદા કરવા એ આપણું કામ નથી. જુઓ, નઈતાલીમનું કામ કરવા માંગતા હો તો તમારા વિદ્યાલયની સામે બોર્ડ લગાડો અને તેના પર લખો કે, “અહીં સર્ટિફીકેટ મળશે નહીં. માત્ર સારા શિક્ષક બનવા માંગતા હોય તેવા મિત્રોને મદદ કરવામાં આવશે.” શું આવું કરવાની હિંમત છે, તમારામાં ? – અને પછી તેઓ પાતાની મસ્તીથી હસવા લાગ્યા.

વિનોબાજી

પૂ. બાબાનો મસ્તીભર્યો એ ચહેરો અને આંખોની ચમક આજે પણ આંખોની સામે છે. તેમની એ અપેક્ષા સુધી તો અમે નહીં પહોંચી શક્યા, પરંતુ અમારો પ્રયત્ન જરૂર એવો રહ્યો કે અમારા વિદ્યાલયમાં શિક્ષણ લેનાર ભાઈ-બહેન નોકરી માટે નહીં પરંતુ સાચા આદર્શ શિક્ષક બનવા પ્રયત્નશીલ રહે.

૧૯૭૨ના ઑક્ટોબરમાં હિંદુસ્તાની તાલીમી સંઘ તરફથી શ્રીમન્નારાયણજીએ રાષ્ટ્રીય શિક્ષા-સંમેલનનું આયોજન સેવાગ્રામમાં કર્યું હતું. સંમેલનમાં ગાંધી-વિનોબા વિચારમાં માનવાવાળા તેમ જ તે રીતે કામ કરનારાઓની સંખ્યા મર્યાદિત હતી. મોટાભાગના પ્રોફેસર્સ, યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ વગેરે હતા. સંમેલનનું ઉદ્ઘાટન તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીએ કર્યું. એ સંમેલનની એક બેઠક વિનોબાજી પાસે પવનારમાં કરવામાં આવે તેવું વિચારવામાં આવ્યું. આવેલા મહાનુભાવોને વિનોબાજીનો કેટલો પરિચય હશે, તે એક સવાલ જ હતો. ખાસ કોઈ જિજ્ઞાસા, ઉત્કંઠા તેમનામાં જોવા મળતી ન હતી. કદાચ એમને લાગતું હશે કે આ જુનવાણી ગાંધીવાદી ડોસો સ્વાવલંબન, ચરખો ચલાવવો વગેરે સિવાય બીજી શું વાત કરશે ?

બાબાએ હંમેશની જેમ પોતાની કુટીની સામે પ્રાર્થના-સ્થળ પર બેસીને બોલવાનું શરૂ કર્યું. તે વખતે તેમને જે સૂઝતું જતું હતું તે તેઓ ‘લાઉડ થીંકીંગ’ સ્વરૂપે દિલ ખોલીને બોલી રહ્યા હતા. આચાર્યોની એક સહજ ગોષ્ઠી કરવાનો પોતાનો મનસૂબો પણ તેમણે વ્યક્ત કર્યો.

પહેલાં તો ‘હું તમારા જેવો શિક્ષિત નથી, મેટ્રિક પછી ફેટ્રિક સુધી જ પહોંચ્યો છું’…. એવી નમ્રભાવે પ્રસ્તાવના કરી. પછી અભણ પ્રોફેટ(મોહંમદ સાહેબ)ની વાત કરતા એક તડાકો જ લગાવ્યો : “શિક્ષિત લોકોની એ પરિસ્થિતિ છે કે તેમના અને ભગવાન વચ્ચે એક ‘પડદો’ ઊભો થઈ જાય છે. પુસ્તક દીવાલ બની જાય છે – સૃષ્ટિ અને વ્યક્તિ (પોતાની) વચ્ચે. તેથી આજ સુધી જેટલું ‘લર્નિંગ’ થયું છે તેને ભૂલી જવાની, તેનું ‘અનલર્નિંગ’ કરવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ; જેથી સાફ, સ્વચ્છ દૃષ્ટિ પ્રાપ્ત થાય.”

ત્યારબાદ ‘યોગ-ઉદ્યોગ-સહયોગ’ વાળું સર્વોત્તમ, દિશાસૂચક, નઈતાલીમના ઇતિહાસમાં એક સીમાસ્તંભરૂપ ગણાય એવું તેમનું પ્રખ્યાત વ્યાખ્યાન થયું. શિક્ષણનું એક ઉપનિષદ જ જાણે પ્રગટ થયું ! અંતમાં ગુણદર્શન, ગુણગ્રહણની વાત મૂકતાં તેમણે અસમના મહાપુરુષ સંત માધવદેવને ટાંક્યા –

अधमे केवले दोष लवय

मध्यमे गुणदोष लवे करिया विचार

उत्तमे केवले गुण लवय

उत्तमोत्तमे अल्प गुण करय विस्तार !

જે અધમ છે, તે સામેવાળાના માત્ર દોષ જુએ છે, મધ્યમ બુદ્ધિનો મનુષ્ય ગુણ-દોષ બંને જોઈને વિચાર-વિવેક કરે છે. ઉત્તમ વ્યક્તિ માત્ર ગુણ ગ્રહણ કરે છે, જ્યારે કે ઉત્તમોત્તમ જે છે, તે કોઈનામાં નાનકડો પણ ગુણ જુવે તો તેને મોટો કરીને જુવે છે. આટલું કહીને બાપુ સાથે થયેલી પોતાની વાત સંભળાવી. વિનોબાજીએ પૂછ્યું, “બાપુ, આપ તો સત્યનિષ્ઠ છો, તો પછી પોતાના દોષ વધારીને અને સામી વ્યક્તિના ઘટાડીને જોવાનું કેમ કહી શકો ? ગણિતમાં વધારવાનું- ચઢાવવાનું નથી હોતું.”

બાપુએ કહ્યું, “તારી વાત સાચી છે, પરંતુ વિચારવાની વાત એ છે કે આ ‘સ્કેલ’ વધારવાની વાત છે. પોતાનો દોષ માણસને હંમેશાં નાનો દેખાય છે. તેથી તેને વધારીને જોવાથી પ્રોપર પર્સ્પેક્ટીવ-યથાર્થ દર્શન આવે છે. તેવી જ રીતે બીજાનો ગુણ, જે આપણને નાનો દેખાય છે, તેને વધારીને જોવાનું કહ્યું છે.”

આ સંવાદ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. આંખોમાંથી અનાયાસ આંસુ વહેવા લાગ્યાં. ધન્ય ઘડી હતી એ ! જીવન જીવવાની એક ચાવી તેમણે પકડાવી દીધી હતી. મજાની વાત તો એ હતી કે બાપુએ આ મહાન ‘ગણિતશાસ્ત્રી’ને ગણિતની પરિભાષામાં જ જવાબ આપ્યો હતો !

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 સપ્ટેમ્બર 2024; પૃ. 08-09

Loading

સત્યની શોધ અને સત્યનું સમર્થન એ જ સાચો ધર્મ …

સોનલ પરીખ|Opinion - Opinion|3 October 2024

ધર્મ સ્થપાય છે ત્યારે તેનું સત્ય જુદું હોય છે. માનવસ્વભાવના પાપે ધર્મો શ્રદ્ધા અને સાધનાના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. તેને કટ્ટર અને અંધ ભક્તોના મોટા સમૂહનો ટેકો પણ મળે છે. સડો વધી જાય પછી એ જ માનવસ્વભાવના પુણ્યે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે ધર્મોમાં દેખાય છે.

યાદ રાખીએ કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી

‘મહારાજ’ ફિલ્મના વિવાદોના જામેલા માહોલમાં એક નવલકથા વિષે લખવાનું મન થાય છે – ‘દા વિન્ચી કોડ’.

આપણે જાણીએ છીએ કે સૌરભ શાહની ‘મહારાજ’ નવલકથાના મૂળમાં પત્રકાર કરસનદાસ મૂળજી પર જદુનાથ મહારાજે કરેલા કેસ અને એના ઔતિહાસિક ચુકાદાની વાત એટલે કે એક સત્યઘટના છે. ડેન બ્રાઉનની ‘દા વિન્ચી કોડ’માં ખ્રિસ્તી ધર્મનાં ઐતિહાસિક સત્યો વણાયાં હોવા છતાં તેનો ઘટનાક્રમ પૂર્ણપણે કાલ્પનિક છે. એટલે એ રીતે બંનેને સરખાવી ન શકાય, પણ મદોન્મત્ત ધર્મસત્તાધીશોની દુષ્ટતા સામે બંનેએ પોતપોતાની રીતે લાલ આંખ કરી છે એટલું નોંધવું જોઈએ.

‘દા વિન્ચી કોડ’(2003)ના લેખક પર ઇતિહાસ અને ધર્મ સાથે ચેડાં કર્યાનો આક્ષેપ હોવા છતાં ત્રણ વર્ષ પછી તેના પરથી ફિલ્મ બની અને જબરો વકરો કમાઈ. છ વર્ષમાં વિશ્વની 44 ભાષાઓમાં તેનો અનુવાદ થયો અને 12 વર્ષમાં કુલ 80 મિલિયન નકલો વેચાઈ. તેના મુખ્ય પાત્રને ફરી લઇ લેખકે બીજી બે નવલકથાઓ લખી, ‘એન્જલ્સ એન્ડ ડેમન્સ’ (2009) અને ‘ઇન્ફર્નો’ (2016). એના પરથી પણ ફિલ્મો બની.

પેરિસના વિખ્યાત લૂવ્ર મ્યુઝિયમમાં, તેના જૈફ સંરક્ષક સોનિયેરના ખૂનની ઘટનાથી ‘દા વિન્ચી કોડ’ નવલકથા શરૂ થાય છે. ખૂની સિલાસ એક ધર્માંધ, કટ્ટર ખ્રિસ્તી છે. પોતાને અમાનુષી શારીરિક કષ્ટ આપતો રહે છે અને રહસ્યમય ‘ટીચર’ના હુકમથી હોલી ગ્રેઇલ માટે હત્યાઓ કરે છે. હોલી ગ્રેઇલ એટલે ગુપ્ત શક્તિઓ ધરાવતું પથ્થરનું પાત્ર. શિષ્યો સાથે લીધેલા છેલ્લા ભોજન વખતે ઇસુએ આ પાત્ર વાપર્યુ હતું અને ક્રૂસારોહણ પછી ઇસુનું લોહી એમાં ઝીલવામાં આવ્યું હતું.

સિલાસને ખોટી માહિતી આપી મરતાં પહેલા સોનિયેર પોતાને પ્રસિદ્ધ ચિત્રકાર અને માનવશરીર-રચનાના અભ્યાસી લિયોનાર્દો દ વિન્ચીના ‘વિટ્રુવિયન મેન’ના આકારે ગોઠવે છે, શરીર પર  લોહીથી પંચકોણ તારો દોરે છે અને સાંકેતિક સંદેશ મૂકે છે. ફ્રેંચ પોલીસને અમેરિકાના પ્રોફેસર રોબર્ટ લેન્ગડન પર શંકા છે. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસી લેન્ગડન અત્યારે પેરિસમાં વ્યાખ્યાનો આપવા આવ્યો છે. વ્યાખ્યાનોમાં કહે છે કે ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે નારીપૂજા થતી, એને બંધ કરવા માટે વ્યવસ્થિત ષડયંત્ર, અત્યાચાર અને કત્લેઆમ થયાં, અંતે ધર્મનું રૂપ બદલાયું, નવા પ્રવાહે જૂનાં પ્રતીકો અને તથ્યોને ‘શેતાની’ ગણાવ્યાં – જેમ કે પાંચ બાજુઓવાળો તારો શેતાનનું પ્રતીક મનાય છે, પણ ખરેખર તો એ નારીપૂજાનું પ્રતીક છે વગેરે. પોલીસ અધિકારી સોનિયેરના સંદેશા ઉકેલવાને બહાને લેન્ગડનને ઘટનાસ્થળે લઇ આવે છે અને એના પર નજર રાખે છે. સોફી નેવ્યુ નામની ક્રિપ્ટોગ્રાફર (સંકેત-વિજ્ઞાન જાણનાર) લેન્ગડનને ત્યાંથી ભાગવા પ્રેરે છે. સોફી મરનાર સોનિયેરની પૌત્રી છે – દાદા સાથે ઘણા વખતથી સંપર્કમાં નહોતી, પણ દાદાએ જે સંકેત-સંદેશ તેના માટે મૂક્યો હતો, તેમાં લેન્ગડનનો ઉલ્લેખ હતો, તેથી લેન્ગડનને છોડાવવામાં તેને રસ હતો.

સોફી અને લેન્ગડન સોનિયેરના સંકેત મુજબ એક અજબ બેન્કના વૉલ્ટમાંથી એક નળાકાર ક્રિપ્ટેક્સ મેળવે છે – ક્રિપ્ટેક્સ એટલે ખાસ પ્રકારનું બૉક્સ, જેમાં ગુપ્ત દસ્તાવેજો છુપાવી શકાય. પાસવર્ડથી એ ખૂલે, પણ જોર કરીને ખોલવા જાઓ તો અંદરનો વિનેગર લીક થઈ દસ્તાવેજોનો નાશ કરે. નવલકથા કહે છે કે આ ક્રિપ્ટેક્સ પ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્દો દ વિન્ચીની શોધ હતી.

પાસવર્ડ શોધવા બંને ટિબિંગની મદદ લે છે. ટિબિંગ એક તિહાસકાર છે, જેણે હોલી ગ્રેઈલ વિષે ખૂબ સંશોધન કર્યું છે. એ કહે છે કે ખ્રિસ્તી ધર્મના ભૂંસી નાખવામાં આવેલા તબક્કાનાં રહસ્યોના દસ્તાવેજો બ્રિટનમાં ક્યાંક છુપાવાયા છે. લિયોનાર્દો દ વિન્ચી આ રહસ્યો જાણતો અને પોતાનાં ચિત્રોમાં એના સંકેતો મૂકતો. આ સંકેતો પાછળથી નવા રંગ લગાડીને છુપાવી દેવાયા હતા. ‘મોનાલીસા’, ‘મેડોના ઓન ધ રોક્સ’ અને ‘ધ લાસ્ટ સપર’માં આવી ગુપ્ત સાબિતીઓ છે. ટિબિંગ કહે છે કે હોલી ગ્રેઇલનો ખરો અર્થ પવિત્ર નારીત્વ એવો છે અને એ મેરી મેગ્ડલિન છે. ‘ધ લાસ્ટ સપર’ ચિત્રમાં વિન્ચીએ મેરીને બતાવી છે. મેરી ઇસુની પત્ની હતી, ક્રૂસારોહણ વખતે હાજર હતી અને ખિસ્તી ધર્મના પ્રારંભકાળનું બહુ સશક્ત વ્યક્તિત્વ હતી. પાછળથી એને ઇસુની વેશ્યા શિષ્યા ખપાવી દેવામાં આવી હતી. ઇસુ અને મેરીના વંશજો હજી આ પૃથ્વી પર હયાત છે.

સિલાસથી બચવા ત્રણે ટિબિંગના પ્રાઇવેટ વિમાનમાં ભાગે છે. ક્રિપ્ટેક્સ ખૂલે છે, પણ એમાંથી બીજું ક્રિપ્ટેક્સ નીકળે છે જેને ખોલવા તેમને ન્યૂટનની કબર છે તે વિન્સમિન્સટર ચર્ચ, લંડનમાં જવાનું છે. વિમાનમાં સોફી કહે છે કે તેણે દાદાને એક વિચિત્ર ક્રિયાકાંડમાં એક સ્ત્રી સાથે જોયા હતા તેથી તે એમને છોડી ગઈ હતી, ત્યારે લેન્ગડન કહે છે કે એ એક પવિત્ર વિધિ હતો.

વિન્સમિન્સટર ચર્ચમાં પણ સિલાસ પહોંચે છે. ત્યાં ખબર પડે છે કે ‘ટીચર’ એ બીજું કોઈ નહીં, ટિબિંગ જ છે. તેને હોલી ગ્રેઇલ અને બીજી સાબિતીઓ વડે વેટિકન(કેથલિક હેડક્વાર્ટર)ને કબજે કરવું છે. દરમ્યાન ફ્રેંચ પોલીસ અધિકારી આવી પહોંચે છે, અથડામણમાં સિલાસ માર્યો જાય છે.

બીજા ક્રિપ્ટેક્સના સંદેશ મુજબ સોફી અને લેન્ગડન રોઝલિન દેવળમાં જાય છે. ત્યાં સોફીને તેનો મૃત મનાતો ભાઈ અને દાદી મળે છે. દાદી ચર્ચની અધિષ્ઠાતા છે અને તે સોફી અને તેના ભાઈને કહે છે કે તમે બંને ઈસુના વંશજો છો. સલામતી ખાતર તમારી ઓળખ છુપાવવામાં આવી હતી. ત્રીજા સંદેશનો અર્થ એ નીકળે છે કે હોલી ગ્રેઇલ લૂવ્ર મ્યુઝિયમના પિરામિડ નીચે દફન છે. લેન્ગડનને ત્યાં મેરી મેગ્ડલિનની પથ્થરની કબર મળે છે … વાર્તાની આ રૂપરેખા ખબર હોય તો પણ શૈલી અને સુંદર વર્ણનોને લીધે ‘દા વિન્ચી કોડ’ અશ્વિની ભટ્ટની નવલકથાઓની જેમ જકડી રાખે છે. વિન્ચીનાં ચિત્રો અને ખ્રિસ્તી ધર્મનો ઇતિહાસનો ઈન્ટરનેટ પરથી તાળો મેળવતાં જવાની જુદી મઝા આવે છે.

દરેક ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મના ઇતિહાસમાં પણ વિરોધ અને વિદ્રોહ બંને રહ્યા છે. એનો લોહિયાળ ઇતિહાસ ઈસ્વીસનના પહેલા 500 વર્ષના રોમન સામ્રાજ્યકાળ સુધી લંબાય છે. હાર્વર્ડ સ્કૉલર કારેન કિંગનું સંશોધન કહે છે કે ઇસુ સ્ત્રીઓનો આદર કરતા અને સ્ત્રી-પુરુષ સંબંધને પવિત્ર ગણતા. ખ્રિસ્તી ધર્મના પ્રારંભકાળે સ્ત્રીઓ આગળપડતી હતી. પછીથી તેમને દબાવી દેવામાં આવી. ન દબાઈ તેવી લાખો સ્ત્રીઓને ડાકણ ગણાવી ખતમ કરવામાં આવી. વિશ્વ પુરુષનું છે, ધર્મ પુરુષનો છે ને બંને જગ્યાએ સ્ત્રીનું સ્થાન ઉતરતું છે એ ઠોકી બેસાડવામાં આવ્યું. 1895માં આવા લેખોનું એક પુસ્તક બહાર પડ્યું હતું, ‘ધ વુમન્સ બાઇબલ’. સોળમી સદીમાં સૂર્યમાળાઓ વિષે સંશોધન કરનાર ગિયોનાર્દો બ્રુનોને ખ્રિસ્તી ધર્મસિદ્ધાંતોનું ખંડન કરવાનો આક્ષેપ મૂકી જીવતો બાળી મૂકવામાં આવ્યો હતો. 18મી સદીની ક્રાંતિઓ દરમ્યાન વૉલ્ટેર, રુસો, થોમસ પેઈન જેવા અનેક મોટાં માથાંઓએ તત્કાલીન ખ્રિસ્તી ધર્મની આલોચના કરી હતી. ત્યાર પછી આવેલા લિબરાલિઝમ અને કોમ્યુનિઝમના દેવતાઓ કાર્લ માર્કસ, જોન સ્ટુઅર્ટ મિલ્સ, નિત્ઝે વગેરેએ પણ ખ્રિસ્તી ધર્મને જૂનવાણી, બિનલોકશાહી અને એક પ્રકારની ગુલામીને ઉત્તેજન આપનાર કહ્યો હતો.

ધર્મ સ્થપાય તો છે સત્યના પાયા પર. પણ માનવસ્વભાવના પાપે અને કટ્ટર અંધભક્તોના મોટા સમૂહના ટેકે ઝડપથી ધર્મો સત્યના દાયરામાંથી નીકળી સત્તાની સાઠમારી, ધનલોભ, વિલાસ અને વિસ્તારના વિશ્વમાં પ્રવેશી જાય છે. એક હદ પછી એ જ માનવસ્વભાવના પુણ્યે અને જાગૃત બુદ્ધિનિષ્ઠ શ્રદ્ધાળુઓની મહેનત વડે એનું પુનરુત્થાન પણ થાય છે. આવો ચક્રનેમિક્રમ વધતાઓછા અંશે જગતના બધા ધર્મોમાં દેખાય છે.

આપણે તો એટલું યાદ રાખવાનું કે સત્યની શોધ અને સત્યને સાથ આપવાથી મોટો દુનિયામાં કોઈ ધર્મ નથી.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જૂન  2024

Loading

...102030...542543544545...550560570...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved