Opinion Magazine
Number of visits: 9557337
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ધર્મ-ધમ્મ પરિષદ, શું પર્યુષણ વ્યાખ્યાનમાળા : ખરી કસોટી નાગરિક પરિમાણની ખીલવણીમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 August 2024

ધર્મ અને નવો જમાનો

ધર્મ–ધમ્મ પરિષદ એ સંઘ પરિવારની થિન્કટેન્ક લેખાતા ઇન્ડિયા ફાઉન્ડેશનની પહેલ છે. ધર્મ એ કોઈ રાજકીય વિચારધારામાં ગંઠાઈ જતી બાબત છે કે વ્યાપક નાગરિક અભિગમ એ એણે  છોડાવવાનું ઉખાણું છે.

પ્રકાશ ન. શાહ

હવે તરતના દિવસોમાં જ પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થશે. અમદાવાદ મુંબઈમાં ઉપાશ્રય સરખાં પરંપરાગત સ્થાનકોની બહાર – કહો ને કે ચાચર ચોકમાં – આવું આયોજન શરૂ થયું, એને જોતજોતામાં કેટલાં વરસ વીતી ગયાં ! અમદાવાદમાં પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીની પહેલ ને પ્રેરણાથી આવી શરૂઆત 1928માં થઈ હતી, એને હવે તરતના વરસોમાં એક ગાળો જૈન યુવક સંઘે ધીરજલાલ શાહ અને કમળાબહેન સુતરિયાના આયોજનમાં જાળવી જાણ્યો, અને 1975થી ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્રે સૂત્રો સાહ્યાં એનું તો આ સુવર્ણ જયંતી વર્ષ છે.

અહીં જે મુખડો બાંધ્યો એ દેખીતી તો થોડીક માહિતી જ છે, પણ તે સંભારવાનો આશય કોઈ સીધીસાદી પ્રેસનોટ પ્રકારનો નથી. જે મુદ્દો છે તે તો એ કે પંડિત સુખલાલજી અગર તો પરમાનંદ કુંવરજી કાપડિયા અને ચિમનલાલ ચકુભાઈ શાહ સરખા મહાજનોએ જેમાં રસ લીધો તે કોઈ પરંપરાગત નવા જમાનામાં વ્યાપક માનવધર્મની દૃષ્ટિએ, પરંપરાપ્રાપ્ત મૂલ્યોને નવેસર નાગરિક કેળવણીના અભિગમથી જોગવવાની વાત હતી. પરમાનંદ કાપડિયાએ એમના પત્ર ‘પ્રબુદ્ધ જૈન’નું નામ ‘પ્રબુદ્ધ જીવન’ કરી નાખ્યું એ નકરું નામાંતર નહોતું, પણ સંપ્રદાયમુક્ત અભિગમની દિલી કોશિશ હતી. હરિભાઈ પંચાલે સદ્દવિચાર પરિવાર થકી ‘મનનો જમણવાર’ જેવી જે કોશિશ કીધી એમાં પણ તમે સંપ્રદાયમુક્ત ધર્મભાવના, કંઈક નાગરિક સંકેત સાથે જોઈ શકો.

આ પ્રકારનાં આયોજનોની સંભાવના અને મર્યાદા વિશે વિગતે વિચારી શકાય, પણ અહીં આટલેથી અટકી આ જ કુળના પણ ગુણલક્ષણે કંઈક જુદા પ્રકલ્પનીયે ચર્ચામાં જવા ઇચ્છું છું. હમણાં ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ‘ધર્મ અને ધમ્મ પરિષદ’નું આયોજન અમદાવાદમાં થયું હતું. ‘ઇંડિયા ફાઉન્ડેશન’ નામની જે થિંકટેંક સંઘ પરિવારના અગ્રિમજનો પૈકી એક, રામ માધવની સિંહભૂમિકા સાથે ચાલે છે તેની આ પહેલ હતી અને છે. આવી આ આઠમી પરિષદ યોજાઈ ગઈ એટલે પરિવારે સાતત્યપૂર્વક ધર્મમુદ્દે બૌદ્ધિક પહેલ સરખો ઉપક્રમ ચલાવવા ધાર્યું હશે તેમ જણાય છે.

હિંદુ પરંપરાનો ‘ધર્મ’ અને બૌદ્ધ પરંપરાનો ‘ધમ્મ’ બેઉ પ્રયોગો એક શ્વાસે કરવા પાછળનો આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક એશિયાઈ અને એથીયે આગળ જતા ફલક પર મૂકવાનો હશે તેમ સમજાય છે. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન કાળમાં ‘બૌદ્ધ સરકીટ’નો જે ખયાલ સ્વીકારાયો છે તેના મેળમાં જતો આ પ્રયાસ છે એમ માનવામાં હરકત નથી. ધર્મ-ધમ્મ પરિષદોમાં નેપાળ, શ્રીલંકા, ભુટાન આદિનું પ્રતિનિધિત્વ પણ વરતાતું રહ્યું છે. એની ચર્ચાઓમાં બૌદ્ધ ઉપરાંત જૈન અને શીખ હાજરી પણ પ્રસંગોપાત વરતાય છે. મતલબ, જે ભારતમાં પ્રગટેલા ધર્મો છે એને એક વ્યાપક હિંદુ ધરીની રીતે મૂકવા પ્રયોજવાનું લક્ષ જણાય છે. દેશમાં ઇસ્લામ ને ખ્રિસ્તમત આદિની હાજરી છે, પણ તે ધર્મ-ધમ્મ ઉપક્રમનો હિસ્સો જણાતી નથી.

ગમે તેમ પણ, સર્વપલ્લી રાધાક્રિષ્ણને હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઓફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવ્યો છે એ સંભારવા સાથે ય ‘ઇંડિયા ફાઉન્ડેશન’ શી થિંકટેંક પાસેથી આપણે એક છોડાવવા જોગ ઉખાણાનો ઉકેલ માગવો રહે છે. ધર્મને એક રાજકીય વિચારધારા તરીકે પ્રયોજવાનો ઉધામો દેશને સ્વરાજપૂર્વ વિભાજન તરફ તો સ્વાતંત્ર્યોત્તર વિભાજનવત્ કગાર પર લઈ ગયો છે. પરસ્પર સ્પર્ધી કોમવાદો ધરમમજહબને નામે ખાણદાણ મેળવતા રહ્યા છે. ધર્મ-ધમ્મ પરિષદ એને ઓગાળતી વ્યાપક ભૂમિકા વાસ્તે સ-ભાન ને સઘન વિચારણા હાથ ધરી શકશે ? જેમ ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ બનતાં કંઈક અંતર કપાયું હોય તોપણ ખાસું અંતર કાપવું રહે છે. તેમ ધર્મ-ધમ્મ પહેલ જો સત્તા-પ્રતિષ્ઠાનનો ઉપક્રમ ન હોય તો એણે દેશનો જે રાજરોગ, ધર્મને રાજકીય વિચારધારામાં પલટવાનું વલણ, એનાથી કિનારો કરવો રહે છે. એટલું જ નહીં પણ એના વાસ્તવિક શોધનનો હોંશીલો અભિક્રમ દાખવવો રહે છે.

ધર્મ માત્ર કને એકવીસમી સદીનો જે યુગપડકાર છે તે નિરમાયેલ  જ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2024

Loading

વિકસિત ભારતનું સપનું કઈ રીતે પૂરું કરશું

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2024

વિકાસ એક યાત્ર છે જે કોઈ શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી

રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાહરલાલ નેહરુ માટેનો અણગમો જાણીતો છે. બીજી બાજુ તેમને નેહરુ વગર ચાલતું પણ નથી. નેહરુની બરાબરી અને નેહરુથી આગળ નીકળી જવાનાં મનોરથ તેમનાં રાજકારણનો જ નહીં, તેમનાં જીવનનો પણ ખૂંટો છે. તેઓ અને તેમના સમર્થકો કબૂલ નહીં કરે, પરંતુ તેમનું જીવન નેહરુ ફરતે પરિભ્રમણ કરે છે. અને માટે આજે જવાહરલાલ નેહરુને યાદ કરવા પડે એમ છે.

વડા પ્રધાને આઝાદીના મંગળ પ્રસંગે લાલ કિલ્લા પરથી બોલતા એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આપણો દેશ જે અત્યારે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે તે ૨૦૪૭માં, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવતો હશે ત્યારે, વિકસિત દેશ બની ગયો હશે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે તે એક ગરીબ દેશ હતો અને ૨૦૪૭માં તે વિકસિત દેશ બની ગયો હશે. અહીં પ્રારંભમાં જ આપણે વડા પ્રધાનની તેમણે દાખવેલી ખેલદિલી માટે પ્રસંશા કરવી જોઈએ. તેમણે આડકતરી રીતે કબૂલ કર્યું કે ૧૯૪૭માં દેશ ગરીબ હતો, આગળ જતાં દેશ અવિકસિતમાંથી વિકાસશીલ બન્યો, અત્યારે વિકાસશીલ અવસ્થામાં છે અને વિકસિત બનાવવાનો બાકી છે. આપણને તો કહેવામાં આવતું હતું કે ૨૦૧૪ પહેલાં દેશ કંગાળ અવસ્થામાં હતો અને ૨૦૧૪ પછી તે દુનિયાના દેશો સાથે બરાબરી કરવા લાગ્યો. તેમણે વિદેશની ધરતી પર કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાં ભારતના લોકો પોતાને ભારતીય કહેવડાવવામાં શરમ અનુભવતા હતા, પણ હવે તે ગર્વથી કહે છે કે હું ભારતીય છું. આવા તો બીજા અનેક ઉદાહરણ આપી શકાય. પાંચ વરસ પહેલાં તેમણે કહ્યું હતું કે પાંચ વરસમાં ભારત પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમી ધરાવતો દેશ બની જશે.

પણ આ વખતે લાલ કિલ્લા પરથી તેમણે જે કહ્યું છે તે વાસ્તવિકતાની ધરાતલ પર રહીને કહ્યું છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે એ એક વાસ્તવિકતા છે અને ૨૦૪૭ સુધીમાં તે એક વિકસિત દેશ બને એવું વડા પ્રધાનનું અને આપણા બધાનું સપનું છે. દેશને ગરીબ અવિકસિત અવસ્થામાંથી વિકાસશીલ બનાવવામાં નરેન્દ્ર મોદી સહિત અત્યાર સુધીના દરેક શાસકનું યોગદાન છે અને તેને વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત બનાવવામાં તેમના સહિત હવે પછી આવનારા શાસકોનું યોગદાન હશે. વિકાસ એક યાત્રા છે જે કોઈ એક શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી. માર્ગ એક હોય, મંજીલ એક હોય, મશાલચીઓ બદલાતા રહે. ઇતિહાસ કહે છે કે દુનિયા આખીમાં આ રીતે જ પ્રજા કોઈ મંજીલે પહોંચી છે. હા, વિકાસની ગતી અવરોધાવા લાગે તો માર્ગમાં સુધારા કરવામાં આવે છે, જે રીતે ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે કર્યા હતા.

ગરીબ ભારતના વિકાસની યાત્રા ૧૯૪૭માં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં શરૂ થઈ હતી. વિકસિત ભારતનું સપનું તો દાયકાઓથી જોવામાં આવતું હતું, પરંતુ તેને સાકર કરવાની યાત્રા ૧૯૪૭માં શરૂ થઈ.

કેવી રીતે તેમણે એ યાત્રા શરૂ કરી હશે? કશુંક વિચાર્યું તો હશે જ. આપણી પાસે જમા પક્ષે શું છે, ક્યાં પાછળ છીએ, એક પ્રજા તરીકે આપણામાં શું ખૂટે છે, પ્રજામાં પુરુષાર્થ કઈ રીતે વિકસાવી શકાય, એમાં રાજ્યની શું ભૂમિકા હોઈ શકે, યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે, વિજ્ઞાનની શું ભૂમિકા હોઈ શકે, જે સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા નથી એવા ખાનગી વિદ્વાનો, વિચારકો, પ્રયોગકર્તાઓની શું ભૂમિકા હશે અને તેમનો સહયોગ કઈ રીતે લઈ શકાય, ઘરઆંગણેનાં પરંપરાગત હુન્નરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેમાં જરૂરિયાત મુજબ કેવાકેવા સુધારા કરવા જોઈએ, ખેતીમાં ઉત્પાદકતા વધે એ માટે જમીનમાં કેવા સુધારા કરવા જોઈએ અને ખેડૂતોને શું માર્ગદર્શન આપવું જોઈએ, માર્ગદર્શન ખેડૂત સુધી પહોંચાડવા માટે શું શું ઉપાયયોજના કરવી જોઈએ, નાટક સિનેમા અને બીજા કલામાધ્યમોનો કેવી રીતે લોકશિક્ષણ માટે ઉપયોગ કરી શકાય, વગેરે વગેરે સેંકડો બાબતો વિચારી હશે! મશાલ લઈને આગળ ચાલતા મુખિયા પાસે ક્યાં જવું છે એની મંજીલ ન હોય, કલ્પનાશક્તિ ન હોય, પ્રેરકશક્તિ ન હોય, બધાને સાથે લઈને ચાલવાની આવડત ન હોય, આપવા માટે કાર્યક્રમ ન હોય તો યાત્રા આગળ વધે જ નહીં.

જવાહરલાલ નેહરુ પાસે આ બધું હતું. ‘લેટર્સ ટુ ધ ચીફ મીનીસ્ટર્સ’ આનું પ્રમાણ છે. તેઓ દર પંદર દિવસે એક લાંબો (દસથી પંદર પાનામાં અને કેટલીક વાર તો તેનાથી પણ લાંબો) પત્ર ભારતનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને લખતા હતા અને આવું તેમણે સતત પંદર વરસ કર્યું હતું. દર પંદર દિવસે સરેરાશ પંદર પાનાંનો પત્ર પંદર વરસ સુધી. કેટલું કહેવાનું હશે તેમની પાસે! આ સિવાય પક્ષની બેઠકોમાં, અધિવેશનોમાં, આયોજન પંચની બેઠકોમાં, લોકસભામાં, રાજ્યસભામાં અને એવાં બીજાં અનેક મંચ પરથી તેમણે તેમનાં વિચારો વ્યક્ત કર્યા છે. મને એ દિવસો યાદ છે જ્યારે આયોજનપંચ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો જાહેરમાં ચર્ચાવિચારણા માટે મૂકતું ત્યારે આખું એક વરસ તેના વિષે અખબારો અને સામયિકોમાં ગંભીર ચર્ચા થતી. બજેટ વિષે સંસદની બહાર મહિનો મહિનો ચર્ચા થતી અને તેમાં મોટા અર્થશાસ્ત્રીઓ ભાગ લેતા. એવું નહોતું કે દરેક નેહરુના અને કાઁગ્રેસના સમર્થક હતા. વિરોધ પણ પ્રચંડ થતો હતો. સી. રાજગોપાલાચારી અને બીજા અનેક જમણેરી કાઁગ્રેસીઓ કાઁગ્રેસથી અલગ થયા એ મતભિન્નતાને કારણે. મત હતો એટલે મતભેદ થયા. બે સિરીઝ મળીને સમગ્ર નેહરુ સાહિત્ય ૬૦ દળદાર ખંડોમાં પથરાયેલું છે.

વડા પ્રધાને હવે જ્યારે કહ્યું જ છે કે દેશ ગરીબ હતો જે આજે વિકસશીલ અવસ્થામાં છે અને હવે વિકસિત કરવાનો છે તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરીને એ સપનું કઈ રીતે સાકાર કરી શકાય એ વિષે પોતાનાં વિચાર વ્યક્ત કરવા જોઈએ, લોકોને માર્ગદર્શન આપવું જોઈએ વગેરે. જવાહરલાલ નેહરુનાં મુખ્ય પ્રધાનોને લખેલાં પત્રો અને યાત્રામાં ભાગીદારીનું તેમણે વિકસાવેલું મોડેલ તપાસવા જેવું છે. તમારા વિચાર ભલે નેહરુથી અલગ હોય, તમારું મોડેલ ભલે નેહરુથી અલગ હોય. યજ્ઞમાં સામૂહિકતા જરૂરી છે અને વિકાસ એક યજ્ઞ છે. પણ એને માટે સાચી નિસ્બત જરૂરી છે. નેહરુનાં વ્યાખ્યાનો અને પત્રો જોઇને મને ઘણીવાર એમ થાય કે નેહરુની અંદર કેટલો અજંપો હશે! કેટલી તાલાવેલી હશે! કેટલી તત્પરતા હશે! કેટલી નિસ્બત હશે!

મોટાં સપનાં સાકાર કરવા માટે વ્યાપક વિમર્શ અને ભાગીદારી માટેની અનુકૂળ ભૂમિ એ પહેલી શરત છે. દરેક બાબતે અને દરેક પ્રસંગે સંપૂર્ણપણે સર્વસંમતિ શક્ય નથી, પણ વ્યાપક સર્વસંમતિ બનાવી શકાય અને બનાવવી જોઈએ. ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં સાદી બહુમતી નહીં હોવા છતાં તેઓ આઝાદી પછી ક્યારે ય સુધારા નહોતા થયા એવા ધરખમ સુધારા કરી શક્યા હતા એનું કારણ ઈચ્છાશક્તિ, ઈરાદામાં પ્રામાણિકતા અને અનુકૂળતા પેદા કરવા માટેની જહેમત હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંકલ્પ જાહેર કર્યો છે, પણ એ સંકલ્પ છે કે વધુ એક જુમલો એ હવે પછી ખબર પડશે. પાંચ વરસ વીતી ગયા અને પાંચ ટ્રીલિયન ઇકોનોમીથી આપણે ૩૫ વરસ દૂર છીએ. ભારતને વિકસિત દેશ બનાવવા માટે પાંચ વરસ હાથમાં છે. નેહરુનો અજંપો હશે તો સપનું સાકાર થશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2024

Loading

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

રમેશ સવાણી|Opinion - Opinion|29 August 2024

કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશનિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે. સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની નીતિ સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં 25 ટકાના ઘટાડા માટે નવી પ્રાંતીય નીતિઓએ ઘણાને અણધારી રીતે દેશનિકાલ માટે જોખમમાં મૂક્યા છે. ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દૃશ્યો જોઈ શકાય છે. સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પટનમાં રેલીઓ યોજી છે, સ્થાનિક આવાસ અને નોકરીની કટોકટી માટે દોષી ઠેરવતા narrative સામે વિરોધ કરી રહ્યા છે. 

70,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોને કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે; જે વિદ્યાર્થીઓ નવાં જીવનનાં સપનાં સાથે કેનેડામાં આવ્યા હતા તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય હવે અસ્પષ્ટ છે.

જે સ્નાતકોને આ વર્ષના અંતમાં વર્ક પરમિટ સમાપ્ત થાય છે તેમને દેશનિકાલ થવાનું જોખમ રહેલું છે. કેનેડિયન સરકારે તેની ઇમિગ્રેશન નીતિઓમાં અભ્યાસ પરમિટ મર્યાદિત કરવાનો નિર્ણય કરેલ છે.

અભ્યાસ પૂરો કર્યા પછી કાયમી રહેઠાણ માટે અરજી કરવાની યોજના ઘડી રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ કહે છે કે હવે તેમની પાસે ભારે લોન અને વિખેરાયેલાં સપના બાકી છે !

ટોરન્ટો સ્થિત ગુજરાતી પત્રકાર ફિરોઝ ખાન અને બીજા જાગૃત લોકોએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે “આ વિદ્યાર્થીઓને દેશનિકાલ ન કરો. તેમનાં માતા-પિતાએ તેમનાં બાળકોને અહીં મોકલવા મોટી રકમ ખર્ચી છે. અનુસ્નાતક વર્ક પરમિટ વિસ્તારો, કાયમી રહેઠાણ માટે સુસંગત અને પારદર્શક માર્ગો પૂરા પાડો અને તેમના શોષણ તરફ દોરી જતા પ્રણાલીગત મુદ્દાઓને ઉકેલો.”

ફિરોઝ ખાન ‘Canadians for Indians’ સંસ્થાના પ્રમુખ છે. તેમણે 100થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને જોબ અપાવી છે. તેઓ કહે છે : “રોજે 8-10 ફોન જોબ અપાવવા આવે છે પણ હવે હું જોબ અપાવી શકતો નથી, તેમની લાચારીના કારણે મારી આંખમાં પાણી આવી જાય છે !”

કેનેડા / UK / ઓસ્ટ્રલિયા / ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલીસી અમલમાં મૂકી છે, એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓના પહાડ ઊભા થયાં છે. કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓ છે, તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભે છે. આ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી 4 ગણી ફી વસૂલે છે. કેનેડા દર વર્ષે 5 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં, ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે 20 લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતા ઊહાપોહ થયો છે. કેનેડામાં મકાનની અછત સર્જાઈ છે, જોબની ભારે અછત છે. ભારે મોંઘવારી છે. ભારતના ઈમિગ્રેશન એજન્ટો કેનેડાનું ગુલાબી ચિત્ર રજૂ કરી વિદ્યાર્થીઓને નિચોવી રહ્યા છે. ફિરોઝ ખાન કહે છે ‘ઘોડો ઘાસ સાથે દોસ્તી કરે તો ખાય શું?’

આશ્ચર્યની બાબત એ છે કે કેનેડામાં 90% ભારતીય વિદ્યાર્થીઓ ભારતની સ્થિતિથી કંટાળીને કેનેડા આવ્યા છે છતાં ભારતના વડા પ્રધાનની વાહવાહી કરવાનું ચૂકતા નથી; હવે તેમને ધોળે દિવસે તારા દેખાઈ રહ્યા છે !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...541542543544...550560570...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved