Opinion Magazine
Number of visits: 9457074
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વથી સર્વસ્વ તરફ – 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 June 2024

રવીન્દ્ર પારેખ

જન્મ આપવાનું કામ પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં નારીને ભાગે આવ્યું, એટલે સંતાન સાથે સીધું અને પહેલું જોડાવાનું પ્રાણીઓમાં માદાને અને મનુષ્યોમાં સ્ત્રીને આવ્યું. ઉછેરની જવાબદારી પણ મનુષ્યોમાં સ્ત્રીને ભાગે આવી, એટલે બાળકનાં ઘડતરનું શ્રેય પણ સ્ત્રીને જ આપવાનું થાય. મા જન્મ પહેલાંથી બાળક સાથે જોડાય છે ને પિતા તે પછી જોડાય છે, પણ બાળક પર પ્રભાવ પિતાનો વધુ પડે છે. પિતાનું જોઈને બાળક શીખે છે. તે જુએ છે કે આર્થિક પાસું પિતા પાસે ને અન્ય જવાબદારીઓ માતા પાસે છે. તે એ પણ જુએ છે કે માતા પણ પિતાના પ્રભાવ હેઠળ છે, એટલે પિતાની અસરો તે વધુ ઝીલે છે. માતા બાળકીને પોતાનાં જેવી ઘડવા મથે છે, તો પિતા પુત્રને પોતાના જેવો બનાવવા મથે છે, એને લીધે સમય જતાં દીકરીમાં સ્ત્રીત્વ અને દીકરામાં પુરુષત્વનાં લક્ષણો પ્રગટ થવાં લાગે છે. દીકરીમાં કે દીકરામાં રહેલો ફરક શરૂઆતમાં પ્રગટતો નથી, પણ જેમ જેમ ઉછેર થાય છે તેમ તેમ એ ભેદ આંખે ઊડીને વળગે એમ સ્પષ્ટ થતો આવે છે.

સંતાન જેમ જેમ મોટું થાય છે, તેમ તેમ તે માબાપની ટેવ-કુટેવ પણ જાણે છે, સમજે છે ને તેની નકલ કરવા પણ મથે છે. માતા સાડી પહેરે છે, તો દીકરી પણ સાડી પહેરવા મથે છે. મા રસોઈ કરે છે તો તેનું જોઈને દીકરી પણ રસોઈ શીખે છે. માતાને અન્ય કોઈ આવડત હોય કે કોઈ કળા હસ્તગત હોય તો દીકરી પણ તેવું કરવા મથે છે ને જેમ જ્ઞાન કે શિક્ષણ વધે છે, તેમ તે તેની રીતે આગળ વધે છે.

એવું જ દીકરો પિતા પાસેથી શીખીને તેના જેવું કરવા મથે છે, પણ દીકરાને માટે મૂંઝવણ એ છે કે તે જાણી શકતો નથી કે પિતા ખરેખર કરે છે, શું? પિતા નોકરીએ કે ધંધે જાય છે, ત્યારે તે ઘરે હોતા નથી ને દીકરો ઘણા બધા કલાક ઘરમાં હોય કે સ્કૂલ-કોલેજમાં હોય તો તેનું પિતાને ઘરમાં મળવાનું ઓછું જ બને છે. વારુ, જેટલો સમય પિતા બહાર હોય તેટલો સમય પિતાની નોકરી કે ધંધાની કામગીરીની જાણ પુત્રને લગભગ હોતી નથી. માતા પણ નોકરી કે વ્યવસાય કરતી હોય તો દીકરી કે દીકરો, બંને તેની કામગીરીથી લગભગ અજાણ હોય છે. એ સિવાય માતા ઘરમાં હોય તો દીકરી તેની ઘરકામની જવાબદારીઓથી પણ પરિચિત થાય છે, એવો પરિચય પિતાની, ઘરની કે બહારની જવાબદારીઓનો સંતાનોને ખાસ થતો નથી. ઘરમાં સંતાનો જે જુએ છે તે માતા કે પિતાની ટેવો-કુટેવો. પિતા ચાની કે દારૂની ટેવ ધરાવતા હોય, માતા જોડે ઝઘડતા હોય, માતા પર હાથ ઉપાડતા હોય, તો સંતાનો તે જુએ છે, સમજે છે ને શીખે છે. એની સારી-ખરાબ અસરોથી સંતાનો મુક્ત રહી શકતાં નથી. પિતાનું જોઈને દીકરો વ્યસની થઈ શકે છે કે પિતાને માતા પર હાથ ઉપાડતા જોઇને દીકરી એ સ્વીકારતી થાય છે કે પતિ હોય તે પત્ની પર હાથ પણ ઉપાડે ને એ રીતે તેની માનસિકતા ઘડાતી હોય છે.

પોતાનું સંતાન પોતાની નબળાઈઓનો ભોગ બને એવું તો કોઈ માબાપ ન ઈચ્છે, પણ એને માટે પૂરતી કાળજી માબાપે લેવાની રહે. આમ તો એનો એક ઉપાય એ છે કે માબાપે સંતાનોની હાજરીમાં પોતાની નબળાઈઓ પ્રગટ ન થાય તેની કાળજી રાખવી. પિતા દીકરાની હાજરીમાં શરાબ પીતો હોય તો, તે પિતાની ગેરહાજરીમાં શરાબ પીવાની કોશિશ કર્યા વગર ભાગ્યે જ રહેશે. એવું જ માતાની કોઈ કુટેવ દીકરી ન જ અપનાવે એવું માની શકાય નહીં. એટલે એ કાળજી માબાપે લેવાની રહે કે પોતાની કુટેવનો ભોગ સંતાનો ન બને. એ ઉપરાંત પણ માબાપે એ કાળજી લેવાની રહે કે પોતાનું સંતાન લાગણીહીન કે સંવેદનહીન ન બને. એ તો જ શક્ય છે કે માબાપ સંવેદન સભર હોય, લાગણીશીલ હોય. માબાપ નિષ્ઠુર હશે તો સંતાન પણ નિર્દય કે નિષ્ઠુર થયા વગર ભાગ્યે જ રહેશે. બાળક સંવેદનહીન હશે ને સ્માર્ટ પણ હશે, તો તેની પ્રવૃત્તિઓ ગુનાહિત થવાની તકો વધે છે. વધારે સારું તો એ છે કે માબાપ, બાળક સંવેદનશીલ બને એ દિશામાં ગંભીર પ્રયત્નો કરે. બાળકને ગુનાહિત બનતું માબાપ જુએ તો મનોવૈજ્ઞાનિકને ત્યાં લઈ જતાં પહેલાં એક વાર પોતાની વર્તણૂક જરૂર ચેક કરે, બને કે કારણ અને ઉપાય ઘરમાંથી જ મળી રહે.

માબાપ જો સંવેદનશીલ ન હોય તો સંતાનો સંવેદનશીલ બને એવી આશા રાખી ન શકાય. માબાપ કોઈ સાથે ભળતાં ન હોય, ઘરમાં પણ એકલાં રહેવાનું પસંદ કરતાં હોય, તો બાળક પણ અતડું ને અંતર્મુખ બનશે. તે ભાગ્યે જ કોઈમાં ભળશે કે કોઈ સાથે કમ્યુનિકેટ કરશે. તે સમૂહમાં નહીં ભળે, બલકે તેને એકલાં રહેવું વધુ ફાવશે. તે કોઇની તકલીફમાં પણ મદદ નહીં કરી શકે, કારણ આજુબાજુનાં વાતાવરણમાં તેને ભાગ્યે જ રસ પડશે. આવું એટલે બને છે કે માબાપે સંતાનો સંવેદનશીલ બને એ દિશામાં લગભગ વિચાર્યું જ નથી હોતું. માબાપ સંવેદનશીલ નથી એટલે બાળક સંવેદનહીન બનતું હોય છે. બને છે એવું કે બાળક અન્યોની લાગણી તો નથી જ સમજી શકતું, પણ તે પોતાને પણ સમજી નથી શકતું. પરિવારમાં હોવા છતાં, પરિવાર વિષે કે તેની લાગણી વિષે, સંતાનોમાં, તેવી સમજ વિકસે એવું બન્યું જ ઓછું હોય છે.

બાળક ખીલતું, ખિલખિલાતું રહે એ દરેક માબાપે જોવાનું રહે છે. માબાપ જેટલું વર્ચસ્વ ઊભું કરશે, ધાક જમાવશે, તો સંતાન એટલું કરમાશે. તેનો અર્થ એવો પણ નથી કે બાળકને છૂટો દોર આપી દેવો. મુદ્દો એટલો જ છે કે બાળક મૂંઝાય નહીં તેનું ધ્યાન માબાપ રાખે. કોઈ પણ વાત સંતાન અચકાયા વગર માબાપને કરી શકે એટલી મોકળાશ સંતાન પાસે હોવી જોઈએ. બાળક એવું ત્યારે કરી શકે, જો માબાપ સંતાનને આવકારતાં હોય. માબાપ વચ્ચે મનમેળ છે, મોકળાશ છે, એવું સંતાનને લાગશે, તો બાળક પણ નિર્ભય થઈને માબાપ પાસે પોતાની વાત મૂકશે. માબાપે બાળકને ચીજ વસ્તુઓ આપીને જ રહી જવાનું નથી, તેમણે બને એટલાં ‘પોતાને’, બાળકોને આપવાના છે, મતલબ કે બને એટલો સમય માબાપે સંતાનો સાથે ગાળવાનો છે. બાળક માટે માબાપ કોઈ પણ પળે તત્પર હોય એ જરૂરી છે, તે ત્યાં સુધી કે બાળક કૈં ખોટું કરીને આવે તો પણ તેની વાત ખુલ્લાં મને કરી શકે તેવી મોકળાશ પરિવારે તેને આપી હોય.

કમભાગ્યે એવું ઓછું જ બને છે. કોઈ ભૂલ થતાં પિતા મોટે ભાગે તો બાળકને ઠપકારે કે ફટકારે જ છે. ક્યારેક ગાળો દે છે. કોઈનો કાળ કોઈના પર નીકળતો હોય એવું પણ બને છે. ખીજ પત્ની પર કાઢવી હોય કે ચીડ પતિ પર હોય, ત્યારે બાળક હાથમાં આવી જતું હોય છે ને વગર વાંકે ટીપાઈ જતું હોય છે. એનું પરિણામ એ આવે છે કે સંતાન સંકોચાઈને રહે છે. વાત કહેતાં અટકે છે. એકલું મૂંઝાતું હોય છે ને વ્યક્ત થવાના ખરા ખોટા માર્ગ અપનાવતું રહે છે. પરિણામે, તે કદીક અંતર્મુખ કે સંવેદનહીન પણ બને છે. આગળ જતાં આ સંવેદનહીનતા, નિષ્ઠુરતા કે નિર્દયતામાં પરિણમે છે. સંતાન વ્યક્ત થતાં અટકે છે અથવા અભિવ્યક્તિના અમાનવીય માર્ગો અપનાવે છે.

માનવીમાં અભિવ્યક્તિની ઊણપ, એ પોતાને કે અન્ય માટે ક્યારેક વધુ હિંસક કે ઘાતક પરિણામો આપે છે. મંદિરોમાં કે કોઈ કળા પ્રદર્શનીમાં મૂર્તિઓ જોઈએ છીએ, તો તેની મુદ્રાઓ અને ભાવોને જોઈને આપણે અભિભૂત થઈએ છીએ, આનંદિત થઈએ છીએ ને શિલ્પકારની પ્રશંસા કરીએ છીએ, સાથે એ પણ જાણીએ છીએ કે શિલ્પ કે મૂર્તિ, એ ધાતુ, આરસ કે માટી કે રેતી જ છે. આવી નિર્જીવ ધાતુ કે માટી જો આટલા ઉત્કૃષ્ટ ભાવ પ્રગટ કરી શકતી હોય, તો આપણે તો મનુષ્યો છીએ, આપણે કેવી રીતે ભાવ કે સંવેદનહીન થઈ શકીએ? આપણે સ્વ છીએ, સ્વ. નથી. જે કેવળ સ્વમાં કેન્દ્રિત છે, તે સ્વર્ગસ્થ જ છે. જે સ્વમાં છે તેણે સર્વસ્વ થવાનું છે ને સર્વના થવાનું છે. સ્વથી સર્વ સુધી જે વિસ્તરે છે તે જ સર્વસ્વનો અનુભવ કરી શકે છે ને કરાવી શકે છે, ખરું કે નહીં?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 16 જૂન 2024

Loading

પહેલા દલિત ક્રિકેટરનું જીવન અને સંઘર્ષ ફિલ્મી પડદે અવતરશે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 June 2024

ચંદુ મહેરિયા

રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી. બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે. એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે.

બાલુ બાબાજી પાલવણકરની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા ત્યારે એક ગરીબ – દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ-સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા – આ સઘળી હકીકતો ભારે રોમાંચક છે. પી. બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sportમાં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે.

ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જો કે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા. પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા : શિવરામ, ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.

બાલુ બાબાજી પાલવણકર

માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઇંગ્લિશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા. ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા.

હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો (એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી. ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.

પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી, પરંતુ બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઇન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઇંગ્લિશ બેટસ્મેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી. એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યાં હતા.

જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવનો સતત વેઠતા હતા. એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની ? પોતાનાં વાસણ એમણે જાતે સાફ કરવાં પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી. અનેક સિદ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં.

જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કાઁગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉંમરમાં પંદરેક વરસ નાના ડો. આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઇંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિદ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિદ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.

ડો. આંબેડકરના આ હીરો જાહેરપ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કાઁગ્રેસની તરફેણમાં અને ડો. આંબેડકરની વિરુદ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા. પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કાઁગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા. જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા. ડો. આંબેડકર અને પી. બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતોના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કાઁગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું.

૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા. પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી. બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે?

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગાંધીજી, રામનામ અને રામરાજ્ય …

સોનલ પરીખ|Gandhiana|21 June 2024

સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું એ એમનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.  

ગાંધીજીએ તેમની આત્મકથામાં લખ્યું છે, ‘…હું ભૂત-પ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ મને રંભાએ સમજાવ્યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં રામનામનો જપ શરૂ કર્યો. રામનામ આજે મારે સારું અમોઘ શક્તિ છે, તેનું કારણ હું રંભાએ રોપેલું બીજ ગણું છું.’ પિતા માંદગી દરમ્યાન રામાયણ સાંભળતા, તેનાથી ગાંધીજીને રામાયણ પ્રત્યે પ્રેમપૂર્ણ શ્રદ્ધા જાગી. તુલસીકૃત રામાયણને તેઓ ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ ગણે છે. આધ્યાત્મિક, શારીરિક અને માનસિક ત્રણે પ્રકારની મુશ્કેલીઓમાં રામનામ માણસનો સૌથી મોટો આધાર છે એવી શ્રદ્ધા ગાંધીજી એમના લખાણોમાં વારંવાર વ્યક્ત કરી છે. સામાજિક, આર્થિક, ધાર્મિક તેમ જ રાજદ્વારી ક્ષેત્રે નવા ચીલાઓ પાડનાર એકાકી રાહદારી તરીકે એમને ભાગે આવેલા આત્મામંથનોમાંથી તેમને રામે જ પાર ઉતાર્યા. છેલ્લે તો તેઓ એમ કહેતા કે શરીરની વ્યાધિઓ મટાડવાનો ઈલાજ પણ રામનામ જ છે.

૧૯૩૬માં ‘હરિજનબંધુ’ના એક અંકમાં ગાંધીજી લખે છે, ‘રામનામના સૂર્યએ મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઇસુનું નામ લેતાં ને મુસાલમાનને અલ્લાના નામમાંથી મળે. માત્ર એ સ્મરણ પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણથી આવવું જોઈએ.’ વળી લખે છે, ‘રામનામ જેવુ રામબાણ ઔષધ લેવામાં સતત જાગૃતિ નહીં હોય તો રામનામ ફોગટ જશે અને અનેક વહેમોમાં આપણે એકનો ઉમેરો કરીશું.’ ‘જે રામનામનો પ્રચાર કરવા ઈચ્છે તેને પોતાના હૃદયમાં રામનું સામ્રાજ્ય પહેલું સ્થાપવું. એ વસ્તુને જગત ઝીલી લેશે ને રામનામ જપશે. પણ જ્યાંત્યાં ને જેમતેમ રામનામનો જપ કરાવવો એટલે તો પાખંડમાં પાખંડ ઉમેરીને રામનામને નિંદવાનું થયું.’

વાત હજી વધારે સૂક્ષ્મ બને છે. ૧૯૪૬માં એમણે લખ્યું, ‘મારો રામ આયોધ્યાના રાજા દશરથનો પુત્ર નથી કે ઇતિહાસમાં થઈ ગયેલો રાજા રામચંદ્ર નથી. મારો રામ તો સનાતન છે. તે કદી જન્મ લેતો નથી. તેના પર સૌનો સરખો હક છે. કોઈએ માત્ર રામનામથી જ ઈશ્વરને ઓળખવો એવી જબરદસ્તી ન હોઈ શકે. હું બધાં નામો કાયમ રાખીને બધામાં નિરાકાર, સર્વવ્યાપી, શુદ્ધ સર્વવ્યાપક ચૈતન્યરૂપ રામને જોઉ છું; જેના નામનો જપ કરીને ભક્તો પોતાના હૃદયનો મેલ સાફ કરે છે.’

એક તબક્કે ગાંધીજીએ પોતાને મુસલમાન તરીકે ઓળખાવ્યા. કહ્યું કે રામ અને રહીમ વચ્ચે કશો ફેર નથી અને મને કલમા પઢવામાં કશો વાંધો નથી ત્યારે રોષે ભરાયેલા લોકોએ સવાલોનો ધોધ વરસાવ્યો. ત્યારે ગાંધીજીએ શાંતિ અને ધૈર્યથી કહ્યું કે ‘હું સનાતની હિન્દુ છું અને માત્ર હિન્દુ ધર્મનો નહીં, સર્વ ધર્મોનો સાર સર્વધર્મસમભાવ છે. તેથી મારો દાવો છે કે હું એક સારો હિન્દુ છું તેથી એક સારો મુસલમાન છું અને સારો ખ્રિસ્તી પણ છું. બીજા કરતાં આપણે ચડિયાતા છીએ એવો દાવો સાચા ધર્મભાવનો વિરોધી છે.’

૧૯૪૭ના નવેમ્બર મહિનામાં એમણે કહ્યું, ‘આપણે દિવાળીની રોશની જોવા જઈએ છીએ પણ આજે માણસના દિલમાં પ્રેમનું અજવાળું પ્રગટાવવાની જરૂર છે. આજની ઘડીએ લાખો લોકો કારમી આફતમાં ઘેરાયા છે. શું તમારામાંથી એકેએક જણ હૃદય પર હાથ મૂકીને કહી શકશે કે આફતમાં મુકાયેલાઓમાં હિન્દુ છે કે શીખ છે કે મુસલમાન છે એ વાતની જરા ય પંચાત ન કરતાં અમે તે બધાને અમારાં ભાઈબહેન માનીએ છીએ? આ તમારી કસોટી છે. રામને છાજે એવી સેવા ન થતી હોય તો રામનામનું રટણ મિથ્યા છે.’

રામનામ કેવી રીતે લેવું એ વિષે તેમણે લખ્યું છે, ‘રામનામ અંતરના ઊંડાણમાંથી લેવું. પણ અંતરના ઊંડાણમાંથી લેવું એટલે શું? દેહ નાશવંત છે એમ જાણતા છતાં આપણે તેને જ પોતાનું સર્વસ્વ સમજીને વળગીએ છીએ અને અંતરમાં રહેલા અમર આત્માને વિસારી મૂકીએ છીએ. રામનામને માનનારો દેહને સર્વસ્વ ન માને, ઈશ્વરની સેવા કરવા માટે મળેલા ઉમદા સાધન લેખે તેને જાળવે. અંદર અને બહાર સત્ય, પ્રામાણિકતા અને શુદ્ધિના ગુણ ન કેળવો ત્યાં સુધી રામનામનો નાદ દિલમાંથી નહીં ઊઠે. ન ભૂલશો કે જે દિલથી રામનું નામ રટે છે તેને તપ અને સંયમ સહેલાં થઈ જાય છે.

ગાંધીજી હંમેશાં પ્રાર્થના પછી ધૂન ગવડાવતા : રઘુપતિ રાઘવ રાજારામ. આ ધૂનમાં ગાંધીજીએ ‘ઈશ્વર-અલ્લા તેરો નામ’ શબ્દો શા માટે ઘુસાડ્યા એવો પ્રશ્ન પૂછાય છે, પણ આ શબ્દો મનુબહેને દિલ્હીના એક મંદિરમાં ગવાતા સાંભળેલા અને નોઆખાલીમાં થતી પ્રાર્થનામાં એ શબ્દો ઉમેર્યા હતા. ગાંધીજીને આ ઉમેરો ગમી ગયો અને એનો ઉપયોગ ચાલુ રહ્યો.

૧૯૩૦ની ૨૦મી જાન્યુઆરીએ ગાંધીજીએ નવજીવનમાં ‘સ્વરાજ્ય અને રામરાજ્ય’ શીર્ષક સાથે લેખ લખ્યો હતો. તેમણે લખેલું, ‘સ્વરાજ્યના ગમે તેટલા અર્થ થતા હોય તો પણ મારા માટે સૌથી નજીકનો અર્થ એક જ છે. તે છે રામરાજ્ય. જો કોઈને રામરાજ્ય શબ્દ યોગ્ય ન લાગે તો હું કહીશ ધર્મરાજ્ય – સત્ય અને ન્યાયના પાયા પર રચાયેલું રાજ્ય. તેમાં ગરીબોની સંપૂર્ણ રક્ષા થશે, બધું જ કામ ધર્મપૂર્વક કરવામાં આવશે અને લોકમતનો હંમેશાં આદર સેવવામાં આવશે. રામરાજ્ય સ્થાપિત કરવા માટે પાંડિત્યની કોઈ આવશ્યકતા નથી. જે ગુણોની આવશ્યકતા છે તે છે સત્ય, અહિંસા, મર્યાદાપાલન, વીરતા, ક્ષમા, ધૈર્ય. જનતા ધર્મનિષ્ઠ અને વીર્યવાન બને ત્યારે જ એવું રાજ્ય સંભવ છે.’ તુલસીદાસે લખ્યું છે, ‘દૈહિક દૈવિક ભૌતિક તાપા, રામરાજ્ય નહીં કાહુહિ વ્યાપા; સબ નર કરહિ પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ.’

૧૬ જાન્યુઆરી ૧૯૨૫ના રોજ એક વિશેષ સભામાં તેમણે કહ્યું, ‘હું હંમેશાં કહેતો આવ્યો છું કે જ્યાં સુધી તન અને મનથી શુદ્ધ સ્ત્રીઓ સાર્વજનિક જીવનને પવિત્ર નહીં કરે ત્યાં સુધી રામરાજ્ય અથવા સ્વરાજ્ય સંભવ નથી.’ વેદાંતીઓએ ગાંધીજીને કહ્યું કે, ‘તમારો દાવો સનાતની હિંદુ હોવાનો છે તો તમે વેદોને માનતા જ હશો, અને વેદોએ જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કર્યું છે.’ ગાંધીજીએ જવાબ આપ્યો, ‘વેદોના મારા અધ્યયન પ્રમાણે હું નથી માનતો કે તેમાં જ્ઞાતિ-પ્રથાનું સમર્થન કરવામાં આવ્યું છે. પરંતુ જો જ્ઞાતિ-પ્રથાને વેદોનું સમર્થન હોય તો હું એ વેદોને માનવાનો ઇન્કાર કરું છું.’ ૨૬ ફેબુ્આરી ૧૯૪૭ની પ્રાર્થનાસભામાં બાપુએ કહેલું, ‘જે માણસ માત્ર પોતાના સંપ્રદાય માટે જ કુરબાન થવા માગે છે તે પોતે તો સ્વાર્થી છે જ, સાથોસાથ પોતાના સંપ્રદાયને પણ સ્વાર્થી બનાવે છે.’

‘હરિજન યાત્રા’ દરમ્યાન દક્ષિણ ભારતમાં લોકોએ ગાંધીને ઘેરી લીધા, ‘હરિજનોને મંદિરમાં પ્રવેશ અપાય?  આ પ્રકારની હરકતથી તો હિંદુ ધર્મનો નાશ થઈ જશે.’ ગાંધીએ જવાબ આપ્યો, ‘હું જે કરી રહ્યો છું, તેનાથી તમારા હિંદુ ધર્મનો નાશ થતો હોય તો થાય. મને કોઈ ચિંતા નથી. હું હિંદુ ધર્મને બચાવવા નહીં, તેનો ચહેરો બદલવા આવ્યો છું.’ સામાજિક – ધાર્મિક કુરીતિઓ પર ભગવાન બુદ્ધ બાદ જો કોઈએ સૌથી ઊંડો, ઘાતક પણ રચનાત્મક પ્રહાર કર્યો હોય તો તે ગાંધી જ છે. અને આ બધું કરતા તેમણે ન તો કોઈ ધાર્મિક જમાત ઊભી કરી, ન તો કોઈ મતવાદ ઊભો કર્યો અને ન સ્વતંત્રતાનો સંગ્રામ શાંત પડવા દીધો.

એમણે કહ્યું હતું, ‘પોતપોતાના ઇશ્વરને સર્વોચ્ચ પ્રતિષ્ઠિત કરવાના દ્વંદ્વમાંથી જ યુદ્ધનો જન્મ થાય છે. મનુષ્યને મારીને અપમાનિત કરીને, તેને હીનતાના અંતિમ કિનારા સુધી પહોંચાડવાનું પાપ ઈશ્વરના નામે જ તો થાય છે.’ અને કહ્યું, ‘સત્ય જ ઇશ્વર છે. ધર્મ નહીં, ગ્રંથ નહીં, માન્યતાઓ – પરંપરાઓ નહીં, સ્વામી-ગુરુ-મહંત-મહાત્મા નહીં, સત્ય અને માત્ર સત્ય જ ઈશ્વર છે.’

સત્ય એ ગાંધીજીનો રામ છે અને સત્યની શોધ, સત્યની ઓળખ, સત્યની સાધના અને સત્યને લોકમાનસમાં પ્રતિષ્ઠિત કરવું આ ગાંધીનો ધર્મ છે. ‘સત્યના પ્રયોગો’માં ગાંધીજી લખે છે, ‘ઈશ્વરને પામવાનો શ્રેષ્ઠ માર્ગ ઈશ્વરના સર્જનની સાથે તાદાત્મ્ય સાધવાનો છે.’ સત્ય એક પ્રકારની ઊર્જા છે અને એનો પ્રભાવ દુષ્ટો પર પણ પડે છે, એ અભયવચન હમેશાં યાદ રાખીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 જાન્યુઆરી  2024

Loading

...102030...530531532533...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved