Opinion Magazine
Number of visits: 9664938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હા કહો.

જેમ્સ ક્રૂઝ [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|10 October 2024

જે ફરીથી અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘ Say Yes’નો મારો અનુવાદ; આજે માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે ખાસ. 

અનુવાદની મંજૂરી આપવા માટે James Crewsની આભારી છું. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. 

•

હા કહો.

ઘરની બહાર જવા માટે તમે પહેરો છો એ ચામડાના સેન્ડલને સ્વીકારો.

હાથ પર પડતા તડકાને વધાવી લો.

અરે, મચ્છરના ડંખથી ઊપસી આવીને તમને બોલાવતી ગુલાબી ફોલ્લીને હા બોલો.

હા કહો, ઘર પાછળના કાયમી અંધારિયા ખૂણે 

ભૂલાઈ ગયેલા, ચિરાયેલા ભૂરા પ્લાસ્ટિક વચ્ચેથી

ઊગી નીકળેલા જંગલી ફૂલછોડના ઝુંડને.

જે અંધકારમાં તમે વધુ ને વધુ

ખૂંપતા જાઓ છો

એ જ અંધકારમાં ચમકી રહેલાં ઝીણાં ગુલાબી પુષ્પોને હા કહો, 

જેથી એમણે આપેલું વચન તમને મળી શકે :

હા, એ કહે છે – હા, તમને પણ

પ્રકાશ દુર્લભ હોય એવી જગ્યાઓમાં

ખીલવાના રસ્તા મળી રહેશે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પ્રાણવંતા પૂર્વજ નર્મદ અને પ્રાણપ્રિય ભાષા ગુજરાતી

સોનલ પરીખ|Opinion - Opinion|10 October 2024

ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી કે તેમણે પ્રેમ ન કરવો એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

‘સની, ડાર્લિંગ, હવે વેક અપ થઈ જા. બટાટાપૌંઆ કોલ્ડ થાય છે.’ ચાલીસેક વર્ષની ગૃહિણી દસબાર વર્ષનાં સંતાનો સાથે આવી ભાષામાં વાત કરે અને પચીસેકની કેરિયારિસ્ટ માતાઓ એમનાં બેત્રણ વર્ષનાં ભૂલકાઓ સાથે અંગ્રેજીમાં જ વાત કરે એવાં દૃશ્યો ઘરઘરમાં ભજવાઈ રહ્યાં છે. આ સ્થિતિ માટે આપણે જ જવાબદાર છીએ. વિશ્વપ્રવાસે જઈએ ત્યારે ટ્રાવેલ એજન્સી આપણને અમેરિકામાં ઊંધિયું, પૉલેન્ડમાં પાતરાં ને રશિયામાં રસપૂરી ખવડાવશે કે નહીં તેની જેટલી ચિંતા કરીએ છીએ તેટલી પણ ચિંતા ઘરઆંગણે ગુજરાતી ભાષાથી વિમુખ થતાં જતાં બાળકોની અને ગુજરાતી વાંચનથી દૂર થઈ ગયેલા તરુણોની કરતાં નથી – ભાસા જીવવાની હસે તો જીવસે. ભાસા ભાસા કરસું તો ભૂખ્યા મરસું. ઇંગ્લિસ ભણસું, કમાસું તો ઊંચા આવસું …

ગુજરાતી વિશ્વમાં 26મા ક્રમની અને ભારતમાં છઠ્ઠા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે. સંસ્કૃત શબ્દ ગુર્જરત્રા પરથી ગુજરાત અને તેના પરથી ગુજરાતી શબ્દ બન્યો છે. દુનિયાના 50 કરતાં વધારે દેશોમાં રહેતા કુલ 6 કરોડ જેટલા લોકો ગુજરાતી બોલી લે છે ખરા, પણ ગુજરાતી વાંચતા-લખતા લોકોની સંખ્યા ઘટતી જાય છે. એટલે ગુજરાતી ભાષા મરી જશે એવું તો નહીં બને, પણ તેના અસ્તિત્વ પર લાગેલો પ્રશ્નાર્થ ચિંતા કરાવતો રહેશે એ નક્કી.

24 ઓગસ્ટે વિશ્વ ગુજરાતી દિવસ છે – મુનશીએ જેને ‘અર્વાચીનોમાં આદ્ય’ કહ્યો છે, સુંદરમ્‌ જેને ‘પ્રાણવંતો પૂર્વજ’ કહે છે, રા.વિ. પાઠક જેને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રહરી’ કહે છે અને ઉમાશંકર જોશીએ જેનાં કાવ્યોને ‘નવા યુગના નાંદી’ તરીકે ઓળખાવ્યાં છે તે નર્મદાશંકર લાલશંકર દવે – નર્મદનો જન્મદિન. નર્મદને નવયુગનો પ્રહરી, યુગવિધાયક સર્જક, નિર્ભય પત્રકાર, પ્રેમશૌર્યનો કવિ અને સુધારાનો સેનાની કહેવામાં આવે છે. આ બધા બિરુદ ઓછાં પડી જાય એવી પ્રેરણાદાયક અને તેજસ્વી એમની કલમ અને એમની જિંદગી હતી. અર્વાચીન ગુજરાતી સાહિત્ય આમ તો દલપતરામથી શરૂ થયું ગણાય, પણ નર્મદના સાહિત્યમાં અર્વાચીનતા તેના સાચા અને પૂરા અર્થમાં પ્રગટી છે તેથી તેને અર્વાચીનોમાં આદ્ય ગણવામાં આવે છે.

નર્મદ 1833માં જન્મ્યા. મહાત્મા ગાંધી કરતાં 35 વર્ષ અને પંડિત નહેરુ કરતાં 55 વર્ષ વહેલા. જન્મ સુરતમાં, ભણતર મુંબઈ અને સુરતમાં. ‘ભટનું ભોપાળું’ના સર્જક-વિવેચક (જેમણે પાછળથી નર્મદનું જીવનચરિત્ર ‘કવિજીવન’ પણ લખ્યું) નવલરામ અને ‘કરણઘેલો’ના સર્જક નંદશંકર તુલજાશંકર તેમના સમકાલીનો. સહાધ્યાયીઓ પણ હોઈ શકે.

ધીરા ભગતની કાફીઓએ નર્મદને કાવ્યસર્જનની પ્રેરણા આપી. એમના જેવા છંદો નર્મદે રચ્યા પણ ખરા, પછી એ સુધારા તરફ વળ્યા. મુંબઈના અભ્યાસ દરમ્યાન ‘અન્યોન્ય બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય બનેલા નર્મદે 1850માં ત્યાં ‘મંડળી બનાવવાથી થતા લાભ’ પર એક દીર્ઘ ભાષણ આપ્યું. 1851માં આ જ ભાષણ એમણે છપાવીને પ્રગટ કર્યું અને ગુજરાતી ભાષાને એનું પ્રથમ ગદ્ય પ્રાપ્ત થયું.

1852માં નર્મદે રાંદેરની શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. સર્જનસાધના ચાલુ જ હતી. એક વાર એક કડિયાને છંદોબદ્ધ કાવ્ય ગાતો સાંભળી નર્મદે પૂછ્યું, ‘આવું ગાન ક્યાંથી શીખ્યા?’ કડિયો કહે, ‘મારી પાસે એક છંદરત્નાવલી નામનું પુસ્તક છે, એમાંથી.’ ‘મને એ જોવા આપશો?’ ‘હું કોઈને એ આપતો નથી. પણ તમે મારે ઘેર આવીને જોઈ શકો, નોંધવું-લખવું હોય તો એ પણ કરી શકો.’ નર્મદે તેમ કર્યું. જે લખે તેના પર વિચાર કરે. શબ્દો વિષે, અર્થો વિષે, પર્યાયો વિષે વિચારે. આ પરથી ગુજરાતીનો પ્રથમ શબ્દકોશ ‘નર્મકોશ’ તૈયાર થયો.

23માં વર્ષે કાવ્યરચનાની શરૂઆત કરી. કાવ્યોને ઉત્કૃષ્ટ બનાવવાની લગની એમને પ્રતિષ્ઠા અપાવતી ગઈ. શાળાની ‘સાડાદસથી પાંચ લગી કાહૂકાહૂ થાય’ એવી નોકરી નર્મદે 1858માં કોઈને જણાવ્યા વગર છોડી – ‘કલમ, તારે ખોળે છઉં.’ સમાજસુધારાની પણ નવી પ્રેરણાઓ મળતી ગઈ. ‘કન્યાકેળવણી’ એ ગાળાનો એક ગ્રંથ છે. હિન્દુ ધર્મના કુરિવાજો અને અંધશ્રદ્ધા જોઈને લખાયેલો ‘હિન્દુઓની પડતી’ ગ્રંથ તો સુધારાનું બાઇબલ ગણાય છે. નર્મદમાં ટેક અને મક્કમતા ભરપૂર હતી – ‘ડગલું ભર્યું કે ના હઠવું’.

1856માં તેમણે તત્ત્વશોધક સભાની સ્થાપના કરી. વિધવાવિવાહને ઉત્તેજન આપ્યું એટલું જ નહીં, એક વિધવા સાથે લગ્ન પણ કર્યાં. સુધારાના વિચારો રજૂ કરવા ‘ડાંડિયો’ નામનું પાક્ષિક શરૂ કર્યું. ડાંડિયો એટલે પ્રહરી. તેનો પહેલો અંક 1 સપ્ટેમ્બર 1864માં પ્રગટ થયો હતો. આ અંકના પહેલા પાને ડાંડિયો એટલે શું તે સમજાવતી પંક્તિઓ મૂકેલી હતી : ‘અમાશ નિશ ઘનઘોરમાં ચોરીધાડનો ભોય, ઘરમા વસ્તી દિપકની ને બહાર ડાંડિયો હોય’ કુરિવાજોના અંધકારમાં ઘેરાયેલા સમાજને જગાડવા માટે લખાતા ‘ડાંડિયો’ના લેખોએ નર્મદને સુધારાના સેનાનીનું બિરુદ અપાવ્યું.

‘વીરસિંહ’ નામની કૃતિ માટે નર્મદે વીરવૃત્ત નામનો નવો છંદ પ્રયોજ્યો. ‘વીરસિંહ’ને નર્મદે મહાકાવ્ય તરીકે રચવા ધાર્યું હતું. એ મહેચ્છા અધૂરી રહી, પણ વીરવૃત્તના જનક તરીકે નર્મદ પ્રસિદ્ધ થયો. ‘સહુ ચલો જીતવા જંગ બ્યૂગલો વાગે, યાહોમ કરીને પાડો ફત્તેહ છે આગે’ આ જ છંદમાં છે. જન્મભૂમિ ગુજરાતનું ગૌરવ ગાતું એમનું કાવ્ય ‘જય જય ગરવી ગુજરાત’ આજે પણ મન મોહી લે છે. નર્મદ એમના સમય કરતાં ઘણા આગળ હતા. દેશાભિમાન, સ્વતંત્રતા, સ્વરાજ જેવી ભાવનાઓ ગાંધીયુગમાં પ્રચલિત બની એ નર્મદે એનાથી વર્ષો પહેલા સેવી હતી.

નર્મદે મધ્યકાળની ભક્તિકવિતાથી જુદા પડી કાવ્યનાં અનેક સ્વરૂપો લોકો સમક્ષ ઊઘાડ્યા. ગુજરાતી ગદ્યને ઘડવામાં પણ તેમનો સિંહફાળો છે. ‘રસપ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘પિંગળપ્રવેશ’, ‘નર્મદવ્યાકરણ’ જેવા કાવ્યશાસ્ત્રીય ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ છે. ગુજરાતી ભાષાની પહેલી આત્મકથા ‘મારી હકીકત’નું નિખાલસ આત્મપૃથક્કરણ અને નિર્ભીક સત્યકથન નર્મદને ગાંધીજીના સમર્થ પુરોગામી બનાવે છે. ગુજરાતી ભાષાના ગૌરવ અંગે નર્મદ ઘણા જાગૃત હતા અને ગજગ્રાહમાં પણ ઊતરતા. પોતાની કવિતાની યોગ્યતા દર્શાવવા તેઓ દલપતરામ સાથે સ્પર્ધામાં ઊતર્યા હતા અને આ સ્પર્ધા અંગત માનસન્માનનો વિષય ન બને તે માટે સજાગ રહ્યા હતા. પોતાના ઘરનું નામ એમણે ‘સરસ્વતીમંદિર’ રાખ્યું હતું.

પશ્ચિમનાં કાવ્યોના પરિશીલનથી નર્મદ શબ્દાર્થની ચમત્કૃતિને સ્થાને રસની સ્થાપનાને મહત્ત્વ આપતા. એમનો ‘જોસ્સો’, અર્વાચીન ઊર્મિકાવ્યનો પ્રારંભ, પ્રકૃતિ-પ્રણય જેવા નવા વિષયો, સંસારસુધારો અને દેશાભિમાન નર્મદની બહુ મોટી વિશેષતા હતાં. તેઓ ખૂબ પ્રવાસો કરતા. વર્ડઝવર્થના પ્રકૃતિકાવ્યોથી પ્રેરાઇને નર્મદે બ્રહ્મગિરિ નામનું સુંદર કાવ્ય લખ્યું છે : ‘ચોપાસ સંધુ સૂનકાર લાગે, વચ્ચે ઝરાના મૃદુ શબ્દ થાયે, લહેરો વળી વાયુની મંદ આવે, જોઉં રૂડો ડુંગર પૂર્ણ ભાવે’.

પણ આર્થિક મુશ્કેલીઓ ઓછી ન હતી. 1882માં પચીસ વર્ષના સંઘર્ષ બાદ મિત્રોની ભલામણથી ગોપાલદાસ તેજપાલ પાઠશાળામાં નોકરી અને કાઠિયાવાડ ગૅઝેટિયરના ભાષાંતરનું કામ સ્વીકારતી વખતે નર્મદની આંખમાં આંસું હતાં. પ્રતિજ્ઞા તોડવી પડી એના આઘાતમાં તેઓ ત્યાર પછી બહુ લાંબુ જીવ્યા નહીં. 1886ના ફેબ્રુઆરીમાં 52 વર્ષની વયે એમનું અવસાન થયું. ઉત્તરવયે તેઓ સુધારાની પ્રવૃત્તિઓ છોડી ધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાન તરફ વળ્યા હતા.

‘અવસાનસંદેશ’ એ નર્મદની અદ્દભુત રચના છે. પોતાના મૃત્યુ પછી શોક ન કરવાનો એમાં સંદેશ છે : ‘નવ કરશો કોઈ શોક, રસિકડા … યથાશક્તિ રસપાન કરાવ્યું સેવા કીધી બનતી, વીર સત્ય ને રસિક ટેકીપણું અરિ પણ ગાશે દિલથી’ પોતાના વીરત્વ, સત્ય, રસિક્તા અને ટેક વિષે કેટલો સાચો આત્મવિશ્વાસ! એથી જ તો એમનો જન્મદિન વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઉજવાય છે.

ન ભૂલીએ કે ગુજરાતી ભાષામાં ગુજરાતની સંસ્કૃતિની, ગુજરાતી જીવનશૈલીની અને ગુજરાતની ઊર્જાની સુગંધ છે. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો એટલે અન્ય ભાષાઓને ઊતરતી ગણવી એવો અર્થ બિલકુલ નથી થતો. ગુજરાતી ભાષાને પ્રેમ કરવો તેનો અર્થ એવો થાય છે કે તેનાથી અળગા ન થવું. બાકી એકથી વધુ ભાષામાં પારંગત હોવું એ તો બૌદ્ધિક વિકાસનું સૂચક છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 ઑગસ્ટ  2024

Loading

વોટ કટવાઓ ભારતીય રાજકારણનું બીજું ગ્રહણ

રમેશ ઓઝા|Opinion - Opinion|10 October 2024

રમેશ ઓઝા

હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર એમ બન્ને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો ચોંકાવનારાં છે. ૨૦૧૪ પછી પહેલી વખત એવું જોવા મળ્યું હતું કે નરેન્દ્ર મોદી / ભા.જ.પ.ના વિરોધીઓ અને સમર્થકો તેમ જ થોડી સ્વસ્થા જાળવીને તટસ્થતાપૂર્વક સામાજિક-રાજકીય પ્રવાહો પર નજર રાખનારા લોકો એક મત ધરાવતા હતા કે હરિયાણામાં ભા.જ.પ.નો પરાજય નિશ્ચિત છે. એક્ઝીટ પોલમાં પણ અપવાદ વગર દરેકે આમ કહ્યું હતું. ઊલટું એક્ઝીટ પોલવાળાઓએ તો આક્કાઓને માઠું ન લાગે એ માટે કાઁગ્રેસને થોડી બેઠકો ઓછી આપી હતી અને પછી બીજા દિવસે (એટલે કે મતગણતરીના આગલા દિવસે) અલગ અલગ ટી.વી. ચેનલો અને યુટ્યુબરોની ચેનલો પર જઇને કહ્યું હતું કે કાઁગ્રેસને અમે કહી છે એ કરતાં પણ વધુ બેઠકો મળે તો આશ્ચર્ય નહીં પામતા. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ લોકસભાની ચૂંટણી વખતે ગયેલી આબરૂ પાછી મેળવવાનો હતો. ફલાણાફલાણાં પરિબળો કાઁગ્રેસની તરફેણમાં અને ફલાણાં ભા.જ.પ.ની વિરુદ્ધમાં જોવાં મળી રહ્યાં છે. ભા.જ.પ.ના નેતાઓ વિજય મળશે એવી વાતો તો કરતા હતા, પરંતુ એમાં આત્મવિશ્વાસનો રણકાર નહોતો. જમ્મુ અને કાશ્મીરમાં સર્વસાધારણ મત એવો હતો કે ત્યાં કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બહુમતીથી દૂર રહેશે.

પ્રત્યક્ષ પરિણામ ધારણા કરતાં જૂદાં આવ્યાં છે. આવું કેમ બન્યું? રાજકીય સમીક્ષકો સંભવનાઓ માટે જે દલીલો કરે છે એ દેખીતી રીતે સંભવના કરતાં અલગ સામે આવેલા પ્રત્યક્ષ માટે નથી કરી શકતા. એ પછી તેઓ પ્રત્યક્ષ પાછળની સંભાવનાઓ શોધવા લાગે છે. મંગળવારે તમને આ જોવા મળ્યું હશે. ભારતીય સમાજ એટલો બધો સંકુલ છે કે આ લખનાર પરિણામોની સંભાવના વિષે લખતો નથી. ખોટા પડવાનો ડર રહે છે અને ભલભલાને ખોટા પડતા આ લખનારે જોયા છે. આ વખતે યેગેન્દ્ર યાદવ પણ ખોટા પડ્યા જેમની સ્વસ્થતા અને પ્રામાણિકતા માટે મને માન છે.

આમ કેમ બન્યું?

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને હરિયાણામાં ૩૪.૭ ટકા મત સાથે ૭ બેઠકો મળી હતી, પરંતુ એ પછી તરત જ યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં ૩૩.૨ ટકા મત સાથે ૪૭ બેઠકો મળી હતી. લોકસભાની તુલનામાં મતનું પ્રમાણ પણ ઘટ્યું હતું અને લોકસભાની બેઠકોને જો વિધાનસભાની બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો બેઠકો પણ ઘટી હતી. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં બી.જે.પી.ને અધધધ કહી શકાય એમ ૫૮.૨ ટકા મત સાથે લોકસભાની દસમાંથી દસ બેઠકો મળી હતી, પણ એ પછી તરત યોજવામાં આવેલી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૦૧૪ કરતાં સાત ઓછી, ૪૦ બેઠકો મળી હતી. બી.જે.પી.ને બહુમતી નહોતી મળી. તેને મળેલા મત(૩૬.૪૯ ટકા)ના પ્રમાણમાં બાવીસ ટકાનો ઘટાડો થયો હતો. એ પરિણામ પણ આ વખતનાં પરિણામ જેટલાં જ ચોંકાવનારાં હતાં. ગઈ સામાન્ય ચૂંટણીમાં ભા.જ.પ.ને હરિયાણામાં દસમાંથી પાંચ બેઠકો મળી હતી. તેને ૪૬.૧૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૨ ટકા ઓછા હતા.

લોકસભામાં બી.જે.પી.ને વિજય અને ભવ્ય વિજય અપાવવાનો, પણ પછી તરત જ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને અંકુશમાં રાખવાની કે હરાવવાની હરિયાણવીઓની સફર છે. ૨૦૧૪ અને ૨૦૧૯માં આમ બન્યું હતું. તો પછી ૨૦૨૪માં એવું શું બન્યું કે આગલા બે વખતના અનુભવ કરતાં અલગ પરિણામ આવ્યાં? સમીક્ષકો થાપ થઈ ગયા એ પાછળનું એક મુખ્ય કારણ હરિયાણાનો દસ વરસનો રાજકીય અનુભવ પણ છે. થાપ ખાવાનું એક કારણ એ પણ હતું કે ગઈ લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસને ૪૭.૬૧ ટકા મત મળ્યા હતા જે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં ૧૮.૭૪ ટકા વધુ હતા અને ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં ૧૯ ટકા વધુ હતા. આ સ્થિતિમાં કોઈ કહી શકે કે કાઁગ્રેસનો પરાજય થશે? ગોદી મીડિયા અને ગોદી પોલ્સટરો પણ કાઁગ્રેસ પરાજીત થશે એમ કહેવાની હિંમત નહોતા કરી શક્યા. પણ હરિયાણામાં જે અનુભવ બી.જે.પી.ને ૨૦૧૯માં થયો હતો એ જ અનુભવ કાઁગ્રેસને ૨૦૨૪માં થઈ રહ્યો છે.

કારણ શું એ લાખ રૂપિયાનો સવાલ છે. લોકો ચૂંટણીપંચ અને ઈ.વી.એમ. પર શંકા કરવાના છે. ચૂંટણીપંચ તટસ્થ નથી એ આખી દુનિયા જાણે છે, પણ ઈ.વી.એમ.માં મોટા પ્રમાણમાં ગડબડ કરવી મુશ્કેલ છે એમ જાણકારો કહે છે. આમાં શાસક પક્ષ અને ચૂંટણીપંચ માટે ધડો એ છે કે મથરાવટી મેલી હોય તો લોકોને શંકા કરવાની તક મળે.

ભા.જ.પ.ના વિજય કે કાઁન્ગ્રેસનાં પરાજયનું કારણ પક્ષપાતી ચૂંટણીપંચ કે ઈ.વી.એમ. નથી, પણ જમીન પરનું ગણિત છે. સન્માન્ય વિદ્વાન સમીક્ષકો કહે છે કે કાઁગ્રેસનો પરાજય બે કારણે થયો હોવો જોઈએ. એક તો હરિયાણા કાઁગ્રેસ એકમમાં ભુપિન્દર સિંહ હુડ્ડા, તેમનો પરિવાર અને જાટોનું વર્ચસ્વ. ગેર જાટ મતદાતાઓને કદાચ એમ લાગ્યું હોય કે આપણા પર જાટ કોમ રાજ કરશે. કાઁગ્રેસના ૯૦માંથી ૭૨ ઉમેદવારો ભુપિન્દર સિંહ હુડ્ડાના હતા અને મોટાભાગના જાટ હતા. કાઁગ્રેસની અંદર પણ આ વાતે અસંતોષ હતો. આ વખતે ભુપિન્દર સિંહ હુડ્ડાને છૂટો દોર એટલા માટે આપવામાં આવ્યો હતો કે ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણી વખતે કહેવામાં આવ્યું હતું કે જો કાઁગ્રેસે હુડ્ડાને છૂટો દોર આપ્યો હોત તો કાઁગ્રેસનો વિજય થયો હોત. હુડ્ડાએ પણ આ જ દલીલ કરી હતી. આ સિવાય બી.જે.પી.એ પાંત્રીસ એકનો પ્રચાર કર્યો હતો અને ગેર જાટોની અંદર ડર પેદા કર્યો હતો. હરિયાણામાં પરંપરાગત રીતે ૩૬ જાતિ છે જેમાં ૩૫ જાતિ જાટ સિવાયની છે. હરિયાણામાં જાટોનું વર્ચસ છે એ તો તમે જાણો જ છો. જે સ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં યાદવોનું છે, મહારાષ્ટ્રમાં મરાઠાઓનું છે અને ગુજરાતમાં પટેલોનું છે એ સ્થાન હરિયાણામાં જાટનું છે. જેની વગ હોય એનો ડર પણ હોય. બી.જે.પી. અને સંઘપરિવાર હિંદુ એકતાની વાત કરે છે, પણ બી.જે.પી. ચૂંટણીમાં જાતિ વિભાજનનું રાજકારણ કરે છે.

ભા.જ.પ.ના વિજયનું બીજું કારણ વોટ કટવાઓ છે. દરેક જગ્યાએ મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો, નાનાં નાનાં પક્ષોના ઉમેદવારો, નાના પક્ષો વચ્ચે વોટ કાપવાની ગણતરી પર આધારિત યુતિઓ કરવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોને તો બી.જે.પી.એ ટિકિટ નહીં આપીને બળવાખોર તરીકે બી.જે.પી.એ જ ઊભા રાખ્યા હતા. જે બે-પાંચ હજાર વોટનું કાઁગ્રેસને નુકસાન પહોંચાડે. વિધાનસભાની ચૂંટણીમાં હજાર મત ખેલ બગાડી શકે છે. અમિત શાહને ફરી એકવાર આ રમત માટે ચાણક્યનો ઈલ્કાબ આપવામાં આવશે, પણ આ જાહેરજીવનને અને લોકતંત્રને કેટલું નુકસાન પહોંચાડશે તેનો વિચાર કર્યો છે? જો કે બી.જે.પી.ને મૂલ્યો અને લોકતંત્ર માટે કોઈ ખેવના હોય એ આજ સુધી જોવા મળ્યું નથી. બી.જે.પી.ની સરકાર આવી એ પછીથી દેશમાં વોટ કટવાઓની અનેક દુકાનો ખૂલી ગઈ છે. જે કામ એક જમાનામાં રાજકીય પક્ષો માટે બાહુબલીઓ કરતા હતા એ વોટ કટવાઓ કરી રહ્યા છે. હાથમાં હથિયાર લીધા વિના તેઓ અબજો રૂપિયા કમાઈ રહ્યા છે.

સંસદીય રાજકારણમાં જે રમત અસ્તિત્વમાં આવે છે એ બીજા પક્ષો પણ અપનાવે છે. એમાં અંતે રાજકીય પક્ષોને તો જે ફાયદો કે નુકસાન થવાનું હોય તે થાય દેશને મોટું નુકસાન થતું હોય છે. પણ દેશની પડી છે કોને?

હવે થોડી વાત જમ્મુ અને કાશ્મીર વિષે. જમ્મુ અને કાશ્મીરમાં દસ વરસ પછી ચૂંટણી યોજાઈ. ૨૦૧૯માં આર્ટીકલ ૩૭૦ને નિરસ્ત કર્યા પછી અને જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી પહેલીવાર ચૂંટણી યોજાઈ છે. એની વચ્ચે રાજ્યનાં મતદારક્ષેત્રોની પુનર્રચના કરવામાં આવી. પુનર્રચના એ રીતે કરવામાં આવી કે જમ્મુ પ્રદેશના હિંદુઓનો હાથ ઉપર રહે. તેની સીટોની સંખ્યામાં સાતનો વધારો કરવામાં આવ્યો અને કાશ્મીરની ખીણની સંખ્યામાં માત્ર એકનો વધારો કરવામાં આવ્યો. કેન્દ્ર સરકાર તો હજુ ચૂંટણી યોજવા નહોતી માગતી, પણ સર્વોચ્ચ અદાલતના આદેશના પરિણામે યોજવી પડે. ગુલામ ચૂંટણીપંચ કેન્દ્ર સરકારને મદદ કરી શકે એમ નહોતું. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને તો એવો પણ આદેશ આપ્યો હતો કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી અને હવે નથી લાગતું કે તેનો અમલ થશે.

બી.જે.પી.ની ગણતરી જમ્મુ અને કાશ્મીરને હિંદુ મુખ્ય પ્રધાન આપવાની હતી જે નિષ્ફળ નીવડી. મદાર વોટ કટવાઓ પર હતો. ગણતરી એવી હતી કે જમ્મુમાં હિંદુઓ તો બી.જે.પી.ને ખોબે ખોબે મત આપવાના છે અને ખીણમાં જો વોટ કટવાઓ કાઁગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના વોટ કાપી આપે તો ચાર નિયુક્ત કરવાની બેઠકો તો હાથમાં છે જ. જો જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે તો ચાર વિધાનસભ્યોને નિયુક્ત કરવાનો કેન્દ્રનો અધિકાર જતો રહે. આ સારુ તો રશીદ એન્જિનિયરને જેલમાંથી જમાનત પર છોડવામાં આવ્યો હતો. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં દેશદ્રોહી કૃત્યો જોઇને ભક્તો આખી રાત ઓશિકામાં માથું ભરાવીને રડ્યા હતા. હા, એને છોડવામાં આવ્યો. તેમની નજરમાં જે દેશદ્રોહી હતો.

પણ કાશ્મીરની ખીણમાં વોટ કટવાઓને સફળતા મળી નહી. ખીણના લોકો રમત પામી ગયા હતા. બાહુબલી પછી વોટ કટવાઓ ભારતીય રાજકારણને લાગેલું બીજું ગ્રહણ છે. પહેલું ગ્રહણ કાઁગ્રેસે લગાડ્યું હતું તો બીજું બી.જે.પી.એ.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2024

Loading

...102030...530531532533...540550560...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved