Opinion Magazine
Number of visits: 9955078
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

અશ્વિનકુમાર|Gandhiana, Profile|24 December 2024

નારાયણ દેસાઈ જન્મ-શતાબ્દી

નારાયણ દેસાઈ

નારાયણ દેસાઈ એટલે ગાંધીચરિત્રકાર અને ગાંધીકથાકાર. નારાયણનો જન્મ ૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડમાં થયો હતો. તેમનાં માતાનું નામ દુર્ગાબહેન અને પિતાનું નામ મહાદેવભાઈ હતું. મહાદેવ હરિભાઈ દેસાઈ ઈ.સ. ૧૯૧૭થી ૧૯૪૨ સુધી મહાત્મા ગાંધીજીના અંગત સચિવ તરીકે સેવારત હતા. ગાંધીજી નારાયણને ‘બાબલો’ કહીને સંબોધતા હતા. નારાયણ દેસાઈનાં પત્ની ઉત્તરાબહેન ઓરિસાના પૂર્વ મુખ્ય મંત્રી નવકૃષ્ણ ચૌધરીનાં દીકરી હતાં. નારાયણભાઈને પુત્રી સંઘમિત્રા, પુત્રો નચિકેતા અને અફલાતૂન સહિતનાં સ્વજનો ‘બાબુભાઈ’ તરીકે બોલાવતા હતા.

નારાયણ દેસાઈએ જીવનનાં પ્રથમ વીસ કરતાં વધુ વર્ષ મહાત્મા ગાંધીના સત્યાગ્રહાશ્રમ (સાબરમતી) અને સેવાગ્રામ(વર્ધા)ના આશ્રમોમાં ગાળ્યાં હતાં. તેમણે શાળામાં વિધિવત શિક્ષણ લીધું નહોતું, પણ મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણની પાઠશાળામાં નિરંતર કેળવણી મેળવી હતી. તેમણે રચનાત્મક કાર્યક્રમો અને એકાદશ વ્રતો વાટે જીવતરની સમજણને સાફ કરી હતી. 

નારાયણભાઈએ ખાદી અને નઈ તાલીમ, ભૂદાન અને ગ્રામદાન, શાંતિસેના અને અહિંસક આંદોલનમાં આખું આયખું ગાળ્યું હતું. તેમણે સર્વોદય કાર્યકર, પત્રકાર, અને કેળવણીકાર તરીકે યશસ્વી કામગીરી કરી હતી. ‘ગૂજરાત ભૂદાન સમિતિ’ના, ૧૧-૦૯-૧૯૫૩થી પ્રકાશિત, ‘ભૂમિપુત્ર’ (ગુજરાતી) પખવાડિકના સ્થાપક તંત્રી તરીકે નારાયણ દેસાઈ અને પ્રબોધ ચોકસીની જોડી હતી. નારાયણ દેસાઈ ‘સર્વોદય જગત’ (હિંદી) અને ‘વિજિલ’(અંગ્રેજી)ના સંપાદન-પ્રકાશનમાં સહયોગી રહ્યા હતા. 

નારાયણ દેસાઈ દેશમાં આંતરિક કટોકટી વેળાએ ભૂગર્ભમાં રહીને પણ કાર્યરત રહ્યા હતા. કાબેલ અને કર્મઠ સંચાલકની હેસિયતથી નારાયણભાઈએ સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય, વેડછી દ્વારા સાચા અર્થમાં નઈ તાલીમ, મૂલ્યનિષ્ઠ કેળવણી, અને વૈકલ્પિક જીવનશૈલીનાં ઘડતર-ચણતરનું કામ કર્યું હતું. નારાયણભાઈ નિયમિતપણે રોજનીશી-લેખન અને રેંટિયા-કાંતણ કરતા. આ પ્રકારના નિત્યકર્મ માટે તેઓ ‘સાતત્યયોગ’ શબ્દનો પ્રયોગ કરતા હતા.

નારાયણ દેસાઈ

શબ્દસર્જક નારાયણ દેસાઈએ પચાસ આસપાસ પુસ્તકો લખ્યાં છે. ચરિત્રલેખક અને સાહિત્યકાર નારાયણ દેસાઈના નોંધપાત્ર ગ્રંથોમાં, મહાદેવ દેસાઈનું વિસ્તૃત જીવનચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ (૧૯૯૨) અને મહાત્મા ગાંધીજીનું બૃહદ્દ જીવનચરિત્ર ‘મારું જીવન એ જ મારી વાણી’(૨૦૦૩)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમનાં જાણીતાં પુસ્તકોમાં ‘સંત સેવતા સુકૃત વાદ્યે’, ‘મને કેમ વિસરે રે’, ‘ટોવર્ડ્ઝ એ નૉન-વાયોલન્ટ રેવૉલ્યૂશન’ વગેરેનો સમાવેશ થાય છે. 

તેમણે ‘પાવન પ્રસંગો’ અને ‘જયપ્રકાશ નારાયણ’ જેવી ચરિત્રાત્મક પુસ્તિકાઓ અને ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’ જેવી ગીત-સંવાદયુક્ત કટાક્ષિકા લખી છે. ‘સામ્યયોગી વિનોબા’, ‘ભૂદાન આરોહણ’, ‘મા ધરતીને ખોળે’, ‘શાંતિસેના’, ‘સર્વોદય શું છે?’, ‘ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?’, ‘અહિંસક પ્રતિકારની કહાણી’ … વગેરે ગાંધી-આચારવિચારમાં રહેલી જીવનદૃષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને વિનોબાપ્રેરિત ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં તેમનાં પુસ્તકો છે. 

ઇતિહાસ અને રાજકારણને લગતાં તેમનાં પુસ્તકોમાં ‘સોનાર બાંગ્લા’, ‘લેનિન અને ભારત’ છે. એમણે ‘વેડછીનો વડલો’ જેવું માતબર સંપાદન કર્યું છે. ભાષાઓના અચ્છા જાણકાર અને કુશળ અનુવાદક એવા નારાયણભાઈએ ‘માટીનો માનવી’ અને ‘રવિછબિ’ જેવા અનુવાદો આપ્યા છે. 

નારાયણ દેસાઈ

ના.દે.એ ‘ગાંધીકથા ગીતો’ લખ્યાં તો હિંદના ભાગલા ઉપર આધારિત ‘જિગરના ચીરા’ નામનું પુસ્તક પણ આપ્યું. તેમણે ‘કસ્તૂરબા’ અને ‘જયપ્રકાશ’ જેવાં નાટકો લખ્યાં. આ નાટકોને કલાકારોએ ભજવ્યાં અને તેમણે પ્રેક્ષકોને ભીંજવ્યા. 

ગાંધીજીનાં જીવન અને કવનને નવી પેઢી સહેલાઈથી સમજી શકે એ માટે તેમણે ‘સૌના ગાંધી’ની બે શ્રેણીઓ થકી બાર વત્તા બાર પુસ્તિકાઓનું લેખન પણ કર્યું. તેમણે ‘સ્વાતંત્ર્યસંગ્રામની વસંત’થી માંડીને ‘ઘણું જીવો ગુજરાતી’ અને ‘ગાંધીકથા’થી માંડીને ‘એકાદશવ્રત’ જેવાં પુસ્તકો પણ આપ્યાં.

નારાયણ દેસાઈ સંયુક્ત રાષ્ટ્રનો શાંતિ પુરસ્કાર, નર્મદ ચંદ્રક, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજિતરામ સુવર્ણચંદ્રક, જમનાલાલ બજાજ એવોર્ડ, ‘દર્શક’ એવોર્ડ, ઉમાશંકર-સ્નેહરશ્મિ પુરસ્કારથી સન્માનિત થયા હતા. 

તેમને ‘મારું જીવન એ જ મારી વાણી’ શીર્ષક હેઠળ મહાત્મા ગાંધીનું જીવનચરિત્ર લખવા બદલ ભારતીય જ્ઞાનપીઠનું ૨૦૦૪ના વર્ષ માટેનું મૂર્તિદેવી પારિતોષિક એનાયત થયું હતું. આ બૃહદ્દ ગાંધીચરિત્ર ‘સાધના’, ‘સત્યાગ્રહ’, ‘સત્યપથ’, ‘સ્વાપર્ણ’ એમ ચાર ખંડોમાં વહેંચાયેલું અને બાવીસસો પૃષ્ઠોમાં ફેલાયેલું છે.

નારાયણ દેસાઈએ ઈ.સ. ૨૦૦૭થી ૨૦૦૯ના સમયગાળા દરમિયાન, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નું પ્રમુખ-પદ શોભાવ્યું હતું.

નારાયણ દેસાઈએ, ગાંધીજી દ્વારા ઈ.સ. ૧૯૨૦માં સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠના, દસમા કુલપતિ (૨૩-૦૭-૨૦૦૭થી ૦૭-૦૩-૨૦૧૫) તરીકેની જવાબદારી અદા નિભાવી હતી. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિની જવાબદારી સ્વીકારતી વખતે ૨૩-૦૭-૨૦૦૭ના રોજ નારાયણ દેસાઈએ પોતાના નિવેદનમાં કહ્યું હતું : ‘સત્યાગ્રહ’ની શતાબ્દીના આ વર્ષમાં, માત્ર આપણો દેશ જ નહીં પણ દુનિયા ઇતિહાસના એક એવા તબક્કે આવીને ઊભી છે કે જ્યારે એણે પોતાની દિશા નક્કી કરીને તે તરફ મક્કમ પગલાં માંડવાનાં છે. જગત આજે વિકાસ એટલે અમર્યાદિત રીતે જરૂરિયાતો વધારવી એવી ખોટી વ્યાખ્યા કરીને પૃથ્વીના સ્રોતોને વાપરી રહ્યું છે.’ આ નિવેદનમાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, ‘વૈશ્વિકરણને નામે, ‘વસુધૈવ કુટુમ્બકમ્’માં માનનાર આપણો દેશ વિશ્વબજારમાં આગેવાન બનવા દોટ માંડી રહ્યો છે. માત્ર શારીરિક સુખને ઇષ્ટ સમજીને ભોગ-વિલાસની આંધળી છલાંગો મારી રહ્યો છે. સેન્સેક્સના આંકડા જેમ કૂદકે ને ભૂસકે ઊંચા જતા જાય છે તેમ તેમ માનવની માનવ માટેની કાળજી અને માનવના પ્રકૃત્તિ સાથેના સંબંધોનો પારો નીચો જતો જાય છે. આવા નાજુક તબક્કે જરૂર છે, સાચી દિશા પસંદ કરવાની.’ નિવેદનમાં તેમણે આશાવાદ સેવ્યો હતો કે, ‘વિજ્ઞાને દુનિયાને નાની બનાવી છે, શિક્ષણે માણસનું મન મોટું બનાવવાનું છે અને દુનિયાને ટકાવી શકે અને શાંતિ, સમૃદ્ધિ, અને અમૃત તત્ત્વ તરફ આગળ ધપાવી શકે એવું વાતાવરણ નિર્માણ કરવાની જરૂર છે.’ નિવેદનના અંતભાગમાં તેમણે કહ્યું હતું કે, ‘અતિ સંહારક શસ્ત્રોની હોડને બદલે જાગતિક પ્રશ્નો ઉકેલવા સારુ યુદ્ધના નવા અને રચનાત્મક વિકલ્પો શોધાય તેવી આબોહવા કરવાની જરૂર છે.’ 

પ્રખર શાંતિવાદી એવા નારાયણ દેસાઈ ‘પીસ બ્રિગેડ ઇન્ટરનેશનલ’ના સ્થાપક સભ્ય અને ‘વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલ’ના પૂર્વ પ્રમુખ હતા. દુનિયાભરમાં ચાલતી નિ:શસ્ત્રીકરણ અને પરમાણુવિરોધી ચળવળના સક્રિય કાર્યકર તરીકે તેમણે વિશ્વના ચાળીસેક દેશોમાં ભ્રમણ કર્યું હતું. 

પોતાના જીવનના અંતિમ દસકામાં, નારાયણભાઈ દેસાઈ કથાના લોકમાધ્યમ ભણી વળ્યા હતા. તેમની ધ્યેયનિષ્ઠા ગાંધીવિચારને એટલે કે સત્ય-અહિંસાને સામાન્ય જન સુધી લઈ જવાની હતી. નારાયણ દેસાઈએ એપ્રિલ, ૨૦૦૪થી એપ્રિલ, ૨૦૧૪ના સમયગાળામાં, ૧૧૬ જેટલી ગાંધીકથાઓ કરી હતી. તેમણે ગુજરાતી, હિંદી, અને અંગ્રેજી ભાષા મારફતે રાજ્ય, દેશ, અને પરદેશમાં ગાંધીકથાઓ કરી હતી. 

જીવનના નવમા દાયકે પણ નારાયણદાદા ગાંધીકથાના માધ્યમ દ્વારા, ગાંધીજી વિશેની નાગરિકોની સમજને પાકી કરીને અને કેટલીક ગેરસમજને દૂર કરીને, ગાંધીવિચારના અમૂલ્ય વારસાનો અહેસાસ કરાવતા હતા. ના.મ.દે. ૨૪-૧૨-૨૪થી ૧૫-૦૩-૧૫ જેવી યાદ રહી જાય તેવી તારીખોની વચ્ચે, સાદગીપૂર્ણ, સંપૂર્ણ, અને સાર્થક જીવન જીવ્યા. નારાયણ દેસાઈ રાજ્ય અને રાષ્ટ્ર, અંગતજન અને જગતજન સારુ ગાંધી આચાર-વિચાર અને ગાંધી પ્રચાર-પ્રસારનું વિશ્વાસપાત્ર સરનામું હતા.

°°°

ડૉ. અશ્વિનકુમાર, ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ અને સમૂહ-પ્રત્યાયન વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ છે.
Email: ashwinkumar.phd@gmail.com
Blog: https://ashwinningstroke.blogspot.com
છબિ સૌજન્ય : ડૉ. અશ્વિનકુમાર

Loading

માણસ આજે (૨૨)  

સુમન શાહ|Opinion - Opinion|24 December 2024

સુમન શાહ

જાણીતું છે કે Puzzle નામની પ્રવૃત્તિમાં જુદા જુદા ટુકડા ભેગા કરીને એક સરસ ડિઝાઇન ઊભી કરવાની મજા આવતી હોય છે. 3D Puzzle-થી તો ત્રણ પરિમાણવાળી વસ્તુઓ કે Model Kit-થી રમકડાં જેવાં પ્લેન, બસ કે વૃક્ષ પણ રચી શકાય છે. નાના નાના ઘણા ટુકડા હોય અને ઘણો સમય ખરચાય, પણ પૂરું થયા પછી સર્જન કર્યાનો આનન્દ આવે. 

જો કે કોઈ કારણે એ સર્જનના બધા ટુકડા છૂટા પડી ગયા હોય તો ફરીથી જોડવાનું અઘરું, કંટાળો પણ આવે, તેમછતાં, એનું પુન:સર્જન કરવાની ઇચ્છા તો સળવળ્યા જ કરે …

આજકાલ મારી સાહિત્ય વિશેની સમજનું એવું થયું છે. એ સમજ મને ટુકડાઓમાં વેરવિખેર લાગે છે. એ ટુકડાઓ એટલે સાહિત્યવિષયક સમ્પ્રત્યયો. ગુજરાતી, સંસ્કૃત અને પશ્ચિમના કે વિશ્વસાહિત્ય વિશેના સમ્પ્રત્યયો. 

સમ્પ્રત્યય એટલે ચર્ચાવિચારણામાં પ્રયોજી શકાય, લાગુ કરી શકાય, એવો પ્રત્યય – સર્વસમ્મત ખયાલ, વિચાર કે સમજ. 

જરા માંડીને વાત કરું : 

બી.એ. અને એમ.એ. દરમ્યાન હું સંસ્કૃત સાહિત્ય ભણ્યો, કારકિર્દી દરમ્યાન થોડું કાવ્યશાસ્ત્ર ભણાવ્યું, એ વિશે યથાશક્ય લખ્યું, એ બધાં વર્ષોના અધ્યવસાયને પરિણામે મારી સમજ આવા આવા સમ્પ્રત્યયોથી બંધાઈ હતી — 

શબ્દશક્તિઓ – અભિધા લક્ષણા વ્યંજના (ધ્વનિ) તાત્પર્ય. ભાવસમૂહ સંયોજન રસસમૂહ. રસનિષ્પત્તિ. ચેતોવિસ્તાર હૃદયસંવાદ આનન્દાનુભૂતિ. કવિકર્મ. કાવ્યની વ્યાખ્યા, કાવ્યનિર્માણ. ભાવયિત્રી પ્રતિભા. વાચક ભાવક સહૃદય. અલંકાર વક્રોક્તિ. રીતિ. રમણીયતા. ઔચિત્ય. પ્રતિભા વ્યુત્પત્તિ અભ્યાસ. સદ્ય:પરનિર્વૃતિ, કાન્તાસમ્મિત ઉપદેશ વગેરે કાવ્યપ્રયોજનો. 

દલપત-નર્મદે જે કંઇ લખ્યું તેથી ગુજરાતી સાહિત્યના અર્વાચીન અવતારની પૂર્વભૂમિકા ઊભી થઈ. પણ્ડિત યુગના સાહિત્યકારોએ જે કંઈ લખ્યું તેથી સાહિત્ય એના અખિલ સ્વરૂપમાં સાવયવ આકાર પામ્યું. ગાંધીયુગમાં પાણ્ડિત્યના પ્રસાર વડે સાહિત્યને જનસામાન્ય સુધી લઈ જવાની કોશિશ થઈ. આધુનિક યુગમાં ગુજરાતી સાહિત્યને પશ્ચિમના અને વિશ્વના સાહિત્યિક પરિવેશમાં મૂકીને જોવાનો અને એને પરિણામે વિકાસ સાધવાનો પ્રયાસ થયો. 

એ વારાફેરા અનુસારની મારી સમજ આવા આવા સમ્પ્રત્યયોથી બંધાઈ હતી —

મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. ધર્મ અને સાહિત્ય. સમાજ અને સાહિત્ય. ગ્રન્થ અને ગ્રન્થકારનું વિવેચન. જોડણી અને લેખનકૌશલ. સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો અને અગેય પ્રવાહી પદ્યરચના. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ અને સમન્વયવિષયક વિચારસરણી. ચિન્તન-દર્શન અને સાહિત્ય. 

પ્લેટો – વર્લ્ડ ઑફ આઇડીઆઝ, સત્યથી કલા બે પેઢી દૂર, એ માન્યતા. ઍરિસ્ટોટલ – લિટરેચર ઇઝ ઇમિટેશન. ઇમિટેશન – કમ્પ્લીટ ઇન ઇટસૅલ્ફ – સીરિયસ. કૅથાર્સિસ. 

ફિલસૂફીમાં રેને દેકાર્ત, હેગલ, હાઇડેગર, કાન્ટ, નીત્શે, હ્યુસેર્લ, હાઇડેગર, સાર્ત્ર વગેરે દાર્શનિકોનાં કેન્દ્રવર્તી મન્તવ્યો. 

પદ્ય તેમ જ ગદ્યમાં વિવિધ સાહિત્યપ્રકારો. આપણું અને ભારતીય સાહિત્ય તેમ જ અંગ્રેજી ઉપરાન્તનું પશ્ચિમનું અને વિશ્વનું સર્જનાત્મક સાહિત્ય. તદન્વયે લેખન – આસ્વાદ  – સમીક્ષા. 

લિટરરી વર્ક ઍઝ કૉમ્યુનિકેશન. લિટરરી વર્ક ઍઝ ટ્રાન્સફર્મેશન. લિટરેચર ઍન્ડ સિગ્નિફિકેશન. કૃતિ એક સાવયવ હસ્તી. કૃતિલક્ષી વિવેચના. કાવ્યબાની અને શૈલી. લેખન અને સર્જન. ભાષા અને સાહિત્યભાષા. વ્યવહારમાં અર્થ અને સાહિત્યિક અર્થ. 

પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને એલિયટ અને ‘નવ્ય વિવેચન’ તેમ જ સંરચનાવાદ કે વિઘટનશીલ વિવેચના પર્યન્તની સાહિત્યવિવેચનાનો પરિચય. એ પરિચય અનુસારની ગુજરાતીમાં વાતવિચારણા. તે વિશે વ્યાખ્યાનો અને લેખન.  અનુવાદકાર્ય. સાહિત્યકૃતિ અને આસ્વાદન. તન્ત્રીકાર્ય અને સાહિત્યિક સમ્પાદન.

આ સમગ્ર અધ્યવસાય દરમ્યાન મેં મારી આસપાસમાં વસતા લોકોના જીવનમાં, રાજ્ય અને રાષ્ટ્રના જીવનમાં, ચોખ્ખાં પરિવર્તનો જોયાં. વ્યક્તિ અને વિશ્વને જોવાની દૃષ્ટિમતિમાં બદલાવ જોયા. જીવનદર્શનો અને જીવનને વિશેની ફિલસૂફીઓનાં વિવિધ રૂપો અવલોક્યાં. 

આ સર્વને જોડીને કશી જુદી વાત માંડવાનો પ્રયાસ કરીશ. 

મારું મન્તવ્ય છે કે અંગત સમજદારી અને યત્કિંચિત્ જ્ઞાન વિના, અને ખાસ તો તેના ઇતિ-હ-આસના સ્મરણ વિના, નજીકના ભાવિ વિશે કંઈપણ બોલવાનો આ સમયમાં કશો અર્થ ન સરે. 

= = =

(24Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અસલીનાં ઠેકાણાં નથી ને નકલીનો રાફડો ફાટ્યો છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 December 2024

રવીન્દ્ર પારેખ

સરકારો કોઈ પણ ક્ષેત્રે બેફામ ખર્ચ કરવામાં જરા ય સંકોચાતી નથી, પણ ભરતી કરવામાં ભારે કંજૂસાઈ કરે છે. બે વર્ષ પર સરકાર સેનામાં ભરતી કરવા બાબતે ઉદાસીન હતી. 23 વર્ષનો રાજસ્થાની યુવક સુરેશ ભિચારે રાષ્ટ્રધ્વજ સાથે 50 કલાક દોડીને દિલ્હી પહોંચ્યો હતો. તે સેનામાં ભરતી થવા ઉત્સુક હતો, પણ બે વર્ષથી સેનામાં કોવિડને કારણે ભરતી થતી ન હતી. ભરતી માટે આમ પણ સરકાર ઉત્સુક ન હતી, તે એ કારણે કે સેના પર ખર્ચ કરવામાં ભારત, અમેરિકા ને ચીન પછીનો ત્રીજો મોટો દેશ છે. સરકાર હથિયારો અને ઉપકરણોનું ઉત્પાદન દેશમાં જ થાય એ માટે પ્રયત્નશીલ છે, એ સ્થિતિમાં સેના પર કાપ આવે તે સમજી શકાય એવું છે. એવો પણ તર્ક ખરો કે સૈનિકોની ભરતી હંગામી ધોરણે થાય. સરકાર એમ માને છે કે ટેકનિક આધારિત સેના જરૂરી છે, દિલેરી પર નિર્ભર નહીં ! સેનાના સન્માનિત સેવા નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ એચ.એસ. પનાગનું કહેવું હતું કે એક લાખથી વધુ કર્મીની ઘટ હોવા છતાં મોટી સેના ગુણવત્તા પર ભારે પડે છે. 

ચીન તેના સૈનિકોના પગાર પર રક્ષા બજેટનો 1/3 ભાગ ખર્ચે છે, જ્યારે ભારત રક્ષા બજેટના 60 ટકા વાપરે છે. એ સ્થિતિમાં સૈનિકોની સંખ્યા ઓછી કરવી જરૂરી છે. એક અધિકારીનું માનવું છે કે સીમા પર તણાવ હોય ત્યારે સૈનિકોની ભરતી બંધ થાય તો નકારાત્મક અસર પડી શકે. વળી પ્રોફેશનલ સૈનિકોની જગ્યાએ હંગામી ધોરણે ભરતી થાય તો તેની અસર ક્ષમતા પર પણ પડી શકે. ધારો કે, ઓછા સમય માટે ભરતી થાય તો યુવાનો 24 વર્ષના થતાં સુધીમાં સેનામાંથી બહાર થઈ જાય ને એથી બેકારીમાં જ વધારો થાય. 

એમાં કોઈ શક નથી કે સરકાર સુરક્ષાને મામલે સતત જાગૃત છે, પણ દેશમાં નક્સલીઓનું જોર વધતું આવે છે ને તેને ચીનનો સાથ છે તે ય ખરું. નક્સલવાદ હવે માઓવાદ તરીકે ફેલાઈ રહ્યો છે. દર વરસે નક્સલી કમાંડરો યુનિટમાં હજારેક વનવાસી યુવાનોની ભરતી કરે છે ને એમ નક્સલીઓની સંખ્યા વધતી રહે છે. એની સામે કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ નવી ને સશક્ત પેઢીને સૈન્ય અને પોલીસમાં ભરતી કરવાનું શરૂ કર્યું છે. એ જ રીતે મહારાષ્ટ્ર પોલીસે પણ એન્ટિ માઓ સ્કવોડ જેવી વિવિધ પોલીસ ટુકડીઓ તૈયાર કરી છે. ભારતીય લશ્કરી વડાઓએ પણ સરકારને આ લડત સૈન્યને સોંપી દેવાની દરખાસ્ત મૂકેલી છે, પણ રાજ્ય કે કેન્દ્રે એને મંજૂરી આપી નથી. 

કેન્દ્ર સરકાર જ કહે છે કે આટલી બેકારી વચ્ચે 80 વિભાગોમાં 9.56 લાખ જગ્યાઓ ખાલી છે. સંરક્ષણ જેવાં સેક્શનમાં 2.43 લાખ ભરતીઓ બાકી છે. એ ગ્રેડ ઓફિસરની 31,694 ખાલી જ્ગ્યાઓમાં ભરતી થઈ નથી. આ આંકડાઓ 1 માર્ચ, 2023 સુધીના છે. ઇસરોમાં એ ગ્રેડ અધિકારીઓની 1,251 જગ્યાઓ ખાલી છે. સ્પેસ મંત્રાલયમાં 3,886, હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર વિભાગમાં 7,002 અને રેલવેમાં 3.16 લાખ અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી થઈ નથી. યુ.પી.એસ.સી.માં એ ગ્રેડમાં 50 અને બી ગ્રેડમાં 103 ઑફિસરોની અછત છે. 

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી(GTU)ને 17 વર્ષ થયાં, પણ ચીફ એકાઉન્ટન્ટ મળતા નથી. આ યુનિવર્સિટી સાથે 500થી વધુ કોલેજો સંકળાયેલી છે, કરોડો રૂપિયાનું ફંડ છે, એકાઉન્ટિંગ માટે આઉટ સોર્સિંગ થાય છે, પણ ચીફ એકાઉન્ટન્ટ પરવડતા નથી. એ જ હાલત ગુજરાત યુનિવર્સિટીની પણ છે. અહીં પણ વર્ષોથી ચીફ એકાઉન્ટન્ટ નથી. 

ગુજરાતમાં ભરતીની વાતો તો થાય છે, પણ ભરતી થતી નથી અથવા તો ઓછી થાય છે. ગયા જાન્યુઆરીમાં રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે 10 વર્ષમાં જુદા જુદા વિભાગોમાં 2.40 લાખ કર્મચારીઓની ભરતી કરવાનું કહ્યું છે. આમ તો દર વર્ષે 40 હજારથી વધુ ભરતીઓની વાત છે. સરકાર કહે છે તેમ દર વર્ષે 15થી 17 હજાર કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તો 40,000ની વાર્ષિક ભરતીનો અર્થ શો તે નથી સમજાતું. દર વર્ષે 40 હજારની ભરતીનો વાયદો સ્વીકારીએ તો 10 વર્ષે એ આંકડો 4 લાખ પર પહોંચે, જ્યારે કુલ ભરતી તો દસ વર્ષે 2.40 લાખની જ કરવાની વાત છે. નથી લાગતું કે વહીવટી વિભાગ મજાક કરે છે? 

ગમ્મત કરવામાં તો શિક્ષણ વિભાગ પણ મોખરે છે. 2017થી 54,000 કાયમી શિક્ષકોની ભરતી થતી નથી, પણ જ્ઞાન સહાયકની ફિક્સ પગારની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ થાય છે, તે એટલે કે નિવૃત્તિનો પ્રશ્ન ન આવે ને તેને લગતા લાભો આપવા ન પડે. 5 વર્ષની ટર્મ પૂરી કરે તે સાંસદ કે વિધાનસભ્યને પેન્શન મળે, પણ ત્રીસેક વર્ષની નોકરી કરનાર શિક્ષકને પેન્શન ન આપવું પડે એટલે કામચલાઉ શિક્ષકોથી ચલાવાય છે. આ વર્ષે સરકારની 24,700ની ભરતી કરવાની વાત સ્વીકારીએ તો પણ 30 હજારની ભરતી તો બાકી જ રહે છે. કલા મહાકુંભ યોજનારી ગુજરાત સરકાર 15 વર્ષથી કલા શિક્ષકોની ભરતી કરતી નથી. સાચું તો એ છે કે છેલ્લાં બે વર્ષમાં ફેબ્રુઆરી, 2024 સુધીમાં રોકડી 32 ભરતીઓ જ થઈ છે. એનો સાદો અર્થ એ છે કે ભરતી કેલેન્ડર મૂરખ બનાવવા જ બને છે. 

વાત શિક્ષકો પૂરતી જ મર્યાદિત નથી, આચાર્યો, કુલપતિઓની નિમણૂક પણ સરકાર કાયમી ધોરણે ન કરતાં ઇન્ચાર્જ આચાર્યો, ઇન્ચાર્જ કુલપતિઓથી ચલાવે છે. ગુજરાતની 200થી વધુ કોલેજોમાં કાયમી આચાર્યો નથી. ઘણીવાર તો કુલપતિઓ ગુણવત્તાને આધારે નહીં, પણ રાજકીય વગને આધારે મુકાય છે. યુનિવર્સિટી ગ્રાંટ કમિશન(યુ.જી.સી.)ના આદેશ મુજબ યુનિવર્સિટી અને કોલેજમાં નેકની માન્યતા ફરજિયાત છે, પણ ગુજરાતની 83 યુનિવર્સિટીમાંથી 55 યુનિવર્સિટી પાસે નેકની માન્યતા જ નથી. રાજ્યની 2,267 કોલેજોમાંથી 1,767, એટલે કે 78 ટકા કોલેજો પાસે નેકનું જોડાણ નથી. ‘ઇન્ચાર્જ’થી જ સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ ચાલે છે. એટલું સારું છે કે ઇન્ચાર્જ મંત્રીઓ કે સરકારથી રાજ્ય ચાલતું નથી. કરક્સરનો ધંધો આમ જ ચાલશે તો એ દિવસો ય દૂર નહીં હોય ! પ્રજા પણ એટલી નિર્લેપ થઈ ગઈ છે કે તેને કૈં હોય કે ન હોય, કોઈ ફરક પડતો નથી. 

નકલી દવાઓ, નકલી મસાલાઓ, નકલી દૂધ, નકલી ડ્રગ્સ, નકલી ચોખા પછી હવે નકલી સિમેન્ટ કાલના જ સમાચારમાં સામે આવી છે. સૂરતનાં મગદલ્લામાં અલ્ટ્રા ટેક સિમેન્ટની 300થી વધુ ખાલી ગૂણોમાં નકલી સિમેન્ટ વેચાઈ ગઈ ને બીજી 410 ગૂણો કબજે લેવાઈ છે. આખે આખી સરકારી ઓફિસ નકલી હોય કે જજ, કોર્ટ, પોલીસ, અધિકારી નકલી હોય કે કોઈ લૂંટી જાય તો પ્રજા નિર્લેપ ભાવે જોઈ રહે છે. રાજ્યમાં 4,000 નકલી ડોકટરો હોય કે હોસ્પિટલો બોગસ હોય કે કોઈ હૈયું વેતરી નાખે તો લોકો વેઠી લે છે. આ નકલી ડોકટરો નકલી ડિગ્રી મેળવીને એટલી સ્વસ્થતાથી વેપલો કરતા હોય છે કે અસલીએ સંકોચાઈને રહેવું પડે. ગુજરાતમાં એક પણ શહેર નકલી ડૉક્ટર વગરનું નથી ને સુરત તેમાં મોખરે છે. સુરત પોલીસને સરકારની રજિસ્ટર્ડ સાઇટ પરથી 1,281 નકલી ડોકટરો મળ્યા છે, પણ હાથ લાગ્યા નથી. ડૉક્ટર નકલી હોય એમ જ હોસ્પિટલ પણ નકલી હોયને ! તાજેતરમાં જ નવસારી સાતેમમાં બોગસ હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. 

એ તો ઠીક, લોકસભામાં સરકારે જ માહિતી આપી છે કે દેશમાં 21 બોગસ યુનિવર્સિટીઓ છે, જેમાં સૌથી વધુ (8) દિલ્હીમાં છે. એ પછી ઉત્તર પ્રદેશમાં 4, આંધ્ર, કેરળ, પશ્ચિમ બંગાળમાં બબ્બે ને કર્ણાટક, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરીમાં એક એક છે. સદ્દભાગ્યે ગુજરાત એમાં નથી. 2014થી 2024 સુધીમાં 12 યુનિવર્સિટીઓને તાળાં લાગ્યાં છે. નકલી બધું બંધ થાય એ ન્યાયે યુનિવર્સિટીઓ પણ બંધ થાય એ આવકારદાયક છે, પણ સવાલોનો સવાલ એ છે કે આટલો લાંબો સમય એ ચાલે છે ને કોઈને એનો અણસાર નથી આવતો, એ કેવું? બાર યુનિવર્સિટીઓ બંધ તો થઈ, પણ એ જ 2014થી 2024 સુધીમાં બીજી નવ નકલી યુનિવર્સિટીઓ શરૂ થઈ તેનું શું? એનો અર્થ તો એ જ ને કે નકલી પણ અસલીની જેમ જ એવા વિશ્વાસ સાથે શરૂ થાય છે કે તેનો કોઈ વાળ વાંકો ન કરી શકે. આવો વિશ્વાસ રાજકીય પીઠબળ વગર શક્ય નથી. 

એ કેવું છે કે કાર્યકાળ પૂરો થવા પહેલાં દેશમાં ચૂંટણીઓ થાય છે, પણ ભરતીઓ કરવાની હોય તો અખાડા જ થાય છે. આ પછી પણ સરકાર અસલી છે કે નકલી એવો સવાલ નથી થતો, કારણ કે નકલી જ હવે અસલી થઈ ગયું હોય ત્યાં સરકાર કેવી હોય એ કલ્પવાનું અઘરું નથી. એટલું છે કે લાભ તો અસલીની રીતે જ લેવાય છે, એમાં કદી કસર થતી નથી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ડિસેમ્બર 2024

Loading

...102030...528529530531...540550560...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved