Opinion Magazine
Number of visits: 9457124
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારીવાદની બે અભિવ્યક્તિઓની આનંદી ઉજવણી!

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|22 June 2024

‘આનંદી’ સંગઠનના સ્થાપના દિન અને સર્જક સરૂપ ધ્રુવના જન્મદિનની સહિયારી ઉજવણીની સાંજ – 19 જૂન 2024 

આદિવાસી અને ગ્રામીણ વંચિત મહિલા સશક્તિકરણ માટે અનેક દિશામાં કાર્યરત દેવગઢ બારિયાની સંસ્થા ‘આનંદી’ ત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો. તે દિવસે પ્રખર નારીવાદી કર્મશીલ ગુજરાતી સર્જક સરૂપ ધ્રુવે ઇઠોતેરમાં વર્ષમાં પ્રવેશ કર્યો. ‘આનંદી’એ પોતાના સ્થાપના દિન અને સરૂપબહેનના જન્મદિનની ઉજવણી 19 જૂનના બુધવારે સાંજે ગૂજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના પરિસરમાં ઉત્સાહ અને આનંદપૂર્વક કરી.

પ્રગતિશીલતાના પગલે ચાલવામાં ટકી રહેવું પણ મુશ્કેલ બની ગયું હોય તેવા માહોલમાં ‘આનંદી’એ દેવગઢ બારિયા જેવા અભાવગ્રસ્ત વિસ્તારમાં, પ્રસિદ્ધિથી દૂર રહીને અસરકારક કામગીરી બજાવી છે.

સંસ્થાને સ્ત્રીવાદનું વૈચારિક બળ સરૂપબહેનની કવિતાઓ તેમ જ તેમનાં ગીતો અને નાટકોમાંથી મળતું રહ્યું છે. તેઓ સાંસ્કૃતિક કર્મશીલ હિરેન ગાંધીની સાથે આનંદીની તાલીમ-શિબિરોમાં માર્ગદર્શક પણ રહ્યાં છે.

સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના અવસરે સરૂપબહેનનું તેમના જન્મદિન નિમિત્તે અભિવાદન કરવામાં આનંદીના પક્ષે કૃતજ્ઞતા અને સ્ત્રીવાદી વિમર્શમાં સર્જકના પ્રદાનની સ્વીકૃતિ acknowledgement  ગણી શકાય, જે ગુજરાતે પણ કરવાની રહે.

સંસ્થાના કાર્યકર્તાઓએ ઉજવણી આતિથ્ય, ઉમંગ અને આત્મીયતાથી કરી. મહેમાનોને આવકારમાં બે-બે લાડુનું સરસ પૅકેટ આપવામાં આવ્યું. મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવા આ મજાના લાડુ રાગી, મહુઆનાં પાન અને ટોપરાથી બનેલા હતા.

તે રતનમહાલમાં ચાલતા સંસ્થાના એકમ ‘રાસકુમ’- Raskumનાં કાર્યકર્તાઓએ બનાવ્યાં હતાં. આ એકમનો હેતુ ખેતી અને જંગલ પેદાશો પર આધારિત ખાદ્ય અને અન્ય ઉત્પાદનોનાં નિર્માણ તેમ જ વેચાણ દ્વારા સ્થાનિક આદિવાસી મહિલાઓને પગભર કરવાનો છે.

ઉજવણીમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કાર્યરત એવા સંસ્થાના સાથીઓ અને ટેકેદારો પણ ભારે ઉનાળામાં મુસાફરી કરીને આવ્યાં હતાં. સંસ્થા માટે આસ્થા ધરાવતાં કર્મશીલો અને તેના હિતચિંતકો આવવા ખાતર નથી આવ્યાં તે પણ મહેસૂસ થતું હતું. ખૂબ ગરમી અને બફારા છતાં સભાગૃહ પૂરું ભરેલું રહ્યું, અને બહાર પણ આમંત્રિતો ઊભાં હતાં.

ANANDI – Area Networking and Development Initiatives સંસ્થા મુખ્યત્વે અદિવાસી, દલિત અને અન્ય વંચિત મહિલાઓ વચ્ચે કામ કરે છે. તેના ધ્યેયમાં સ્થાનિક સંગઠનો તેમ જ નેતૃત્વ ઊભાં કરી તેમને મજબૂત બનાવવા, તેમનાં થકી કલ્યાણ યોજનાઓનું અમલીકરણ કરાવવું અને સશક્તિકરણના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરવાનો સમાવેશ થાય છે.

સંસ્થાનાં નીતાબહેન હર્ડીકરે આપેલી ટૂંકી ભૂમિકા બાદ સહુ કાર્યકરોએ ‘ગીત ગા રહે હૈ આજ હમ, રાગિણી કો ઢૂંઢતે હુએ’ ગીત ગાયું. ત્યાર બાદ દૃષ્ટિ મીડિયાએ બનાવેલી ત્રણ ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ્સ બતાવવામાં આવી, જે આનંદી હેઠળ અત્યારે કાર્યરત સંગઠનોમાંથી ત્રણના કામની ઝલક આપે છે. આ ત્રણ સંગઠનો છે : દેવગઢ મહિલા સંગઠન (દાહોદ-દેવગઢ બારિયા), માળિયા મહિલા શક્તિ સંગઠન (માળિયા-મોરબી) અને મહિલા સ્વરાજ મંચ (શિહોર-ભાવનગર).

દેવગઢ બારિયાનાં કામને લગતી ફિલ્મમાં જંગલ અને જમીનના અધિકાર તેમ જ નિયમ મુજબ રેશન પૂરવઠા માટેના સંઘર્ષોની વાત આવી. તદુપરાંત સ્ત્રીની ડાકણ ઠરાવીને યાતનાઓ આપવાના કુરિવાજ વિરુદ્ધ નાટક થકી ચલાવેલા જાગૃતિ અભિયાન અંગે પણ જાણવા મળ્યું. પાણી,આરોગ્ય અને બાળલગ્ન પ્રતિબંધ, વિધવા પેન્શનની દિશામાં સંગઠને કરેલી કામગીરીનો પણ તેમાં ઉલ્લેખ થયો છે.

માળિયા શક્તિ સંગઠન પરની ફિલ્મનું નામ ‘મારી વાડીમાં ઝેર નથી આપવું’ એવું છે. તેમાં માળિયા-મિયાણા પંથકમાં જમીન અને ખેતીને રાસાયણિક ખાતર તેમ જ જંતુનાશકોને કારણે નુકસાન થતું અટકાવવા માટે સંગઠને હાથ ધરેલી કામગીરીની માહિતી હતી. તેમાં ગૌમૂત્ર અને છાણથી બનેલા બાયોપેટિસાઈડ અને યોગ્ય બિયારણના ઉપયોગ માટેના માર્ગદર્શન કાર્યક્રમો સાધનરૂપ બન્યા.

શિહોરના મહિલા સ્વરાજ મંચ પરની ફિલ્મના કેન્દ્રસ્થાને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પચાસ ટકા મહિલા અનામતના અધિકારને પગલે ગ્રામપંચાયતમાં મહિલા સરપંચોની ચૂંટણી અને કાર્ય એ મુદ્દો હતો. શિહોરનાં સંગઠનની મહિલાઓએ તેમાં બતાવેલી તાકાતની તેમ જ તેમના માર્ગના અવરોધો વિશે ફિલ્મમાં જોવા મળ્યું.

સંગઠને અનેકવિધ ક્ષેત્રોમાં કરેલાં કામના નિર્દેશો પણ  ફિલ્મ્સમાં મળ્યા. તેમાંથી કેટલાંક છે : પાણી અને અન્ન પુરવઠો તેમ જ સુરક્ષા, રોજગાર, આરોગ્ય, જંગલ અને જમીનનો અધિકાર, શૌચાલય, રસ્તા, શિક્ષણ, બચત જૂથ, અંધશ્રદ્ધા વિરોધ, માહિતી અધિકાર, ઘરેલુ હિંસા – આ યાદી લાંબી થઈ શકે.

ફિલ્મમાં જે દૃશ્યો અને કાર્યકર્તાઓની સાથેની વાતચીત છે તેમાંથી સમજાય કે અવરોધો અનેક છે, જેમના મૂળમાં પિતૃસત્તાક, પુરુષકેન્દ્રી માનસ છે. મહિલાઓને ઘરનો ઉંબરો ઓળંગવાની મનાઈ હોય. ચૂંટણી લડતાં અટકાવવા માટે ધામધમકી અને મારપીટ થાય. મહિલા સરપંચ વિરુદ્ધ ગ્રામપંચાયતમાં અવિશ્વાસુ રસનો ઠરાવ આવે. મહિલાને ડાકણ ઠેરવી અસહ્ય યાતના આપવામાં આવે અને તેની જમીન પણ હડપ કરવામાં આવે. જંગલ પેદાશો કે બળતણ માટે જંગલમાં ફરતા વનવાસીઓને ફૉરેસ્ટવાળા ધાકધમકી કરે. માઇલોના માઇલો ચાલ્યાં બાદ રેશનની દુકાન આવે જે બંધ હોય, તેમાં કામ ન થાય, છેતરપિંડી થાય.

* * * * *

આનંદીના સ્થાપનાદિનની ઉજવણીનો બીજો હિસ્સો સરૂપબહેનનાં અભિવાદનનો હતો. સંસ્થાએ આ પ્રતિબદ્ધ જનવાદી કર્મશીલ કવયિત્રી, નાટ્યલેખક અને ઇતિહાસલેખકને જન્મદિવસની ભેટ તરીકે એક પુસ્તક આપ્યું.

તેમાં સરૂપબહેન વિશે કર્મશીલ સાથીઓ-ચાહકોએ તેમના વિશે લખ્યું છે. હાથબનાવટના કાગળ પર તૈયાર કરવામાં આવેલાં સર્જકની ચૂટેલી છબિઓ સાથેના મોટા કદનું આકર્ષક પુસ્તક બનાવીને ભેટ તરીકે આપવાનો ઉપક્રમ અપનાવવા જેવો છે.

પુસ્તકના લેખકોમાં રોહિત પ્રજાપતિ, સાહિલ પરમાર,નેહા શાહ, દિનાઝ કલવચવાલા, હિરેન ગાંધી અને મનીષી જાનીનો સમાવેશ થાય છે.

સરૂપબહેને સ્ત્રી-સંવેદના અને આંદોલનનાં તેમણે લખેલાં ગીતો ‘આનંદી’નાં કાર્યકરો ગાતાં આવ્યાં છે. કાર્યક્રમ દરમિયાન પણ સરૂપબહેનની ‘રોજની રામાયણ’ રચના સંસ્થાની બહેનોએ ઉમંગથી ગાઈ.

તેમાં સ્ત્રીની રોજબરોજની આખી ય જિંદગીની તકલીફોને ‘રામાયણ’ તરીકે વણી લેવામાં આવી છે. આ ગીત સરૂપબહેને આનંદીના કાર્યકરો સાથેની નાટ્યશિબિર દરમિયાન રચ્યું હતું.

સરૂપબહેને તેમના વિચારપ્રેરક વ્યાખ્યાનમાં નારીવાદી ચળવળના ઇતિહાસ અને વર્તમાન અંગે વાત કરી. તદુપરાંત તેમણે અત્યારના કપરા સંજોગોમાં સંઘર્ષમાં આગળ વધવા માટે નવાં માધ્યમોના ઉપયોગ તેમ જ સ્ટડી સર્કલ અને ફિલ્મ સ્ક્રીનિન્ગ જેવા ઉપક્રમો થકી વૈચારિક સજ્જતા કેળવવાનું સૂચન ભારપૂર્વક કર્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત તેમ જ ફેસબુક લાઇવ જોનારા સંસ્થાના સહુ કાર્યકરો માટે સરૂપબહેનનું વ્યાખ્યાન ખૂબ મહત્ત્વનું લાગ્યું.

કાર્યક્રમને અંતે લોકનાદના ચારુલ-વિનયે ‘વી ધ પીપલ’ ગીત સહુને ગવડાવ્યું.

નારીવાદની આપણા સમયની બે અભિવ્યક્તિ સમાં ‘આનંદી’ અને સરૂપબહેનને મુબારક !

22 જૂન 2024
[800 શબ્દો
 e.mail : sanjaysbhave@yahoo.com

Loading

ચલ મન મુંબઈ નગરી—253

દીપક મહેતા|Opinion - Opinion|22 June 2024

આજે મુલાકાત લઈએ બીજાપુરના નહિ, મુંબઈના ગોળ ગુંબજની       

ભાઈઓ અને બહેનો, તૈયાર થઈ જજો આજે ગોળ ગુંબજની મુલાકાત લેવા. ના, ના. એ માટે આપણે બીજાપુર નહિ જવું પડે. આપણી આ મુંબઈ નગરીમાં જ આવેલો છે બીજાપુરના ગોળ ગુંબજના નાના ભાઈ જેવો ગુંબજ. કદાચ તમે ત્યાંથી પસાર તો થયા હશો. પણ આ ગુંબજ તરફ ધ્યાન નહિ ગયું હોય. અગાઉ ન ગયા હો તો સેન્ટ્રલ રેલવેમાં જવું સહેલું પડશે. બોરી બંદર કહેતાં વી.ટી. કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ઉતરી જવાનું. ઉતરતાં પહેલાં એક આડ વાત. અંગ્રેજો ઘણા વ્યવહારડાહ્યા. બરાબર જાણે કે કોઈ પણ રસ્તા કે ઈમારતનું નામ લાંબું રાખશું તો લોકોના મનમાં એ નહિ વસે. એટલે બને ત્યાં સુધી નામ રાખે એકદમ ટૂંકા ને ટચ. વી.ટી. કહેતાં વિક્ટોરિયા ટર્મિનસ. નામની આગળ ‘ક્વીન’ પણ ઉમેરેલું નહિ. તો બીજું એક નામ ક્વીન્સ રોડ. એમાં રાણી વિક્ટોરિયાનું નામ જ નહિ! બીજાં પણ ઘણાંખરાં નામ એવાં જ : પ્રિન્સેસ સ્ટ્રીટ, હોર્નબી રોડ, એલ્ફિન્સ્ટન સર્કલ. જ્યારે આપણને માત્ર નામથી સંતોષ ન થાય. આગળ વિશેષણોનો હારડો લગાડવો જ પડે. ક્યાંક ભૂલમાં ‘મહારાજ’ જેવું એકાદ વિશેષણ રહી ગયું હોય તો પાછળથી ઉમેરવું પડે. આજે ધોબી તળાવનું સત્તાવાર નામ શું છે? ‘પરમ ક્રાંતિવીર વાસુદેવ બલવંત ચોક.’ તમે બસમાં બેસીને કંડક્ટરને આખું નામ કહો ત્યાં સુધીમાં તો બસ બોરી બંદર પહોંચી ગઈ હોય!

અને આ બોરી બંદર કહેતાં વિક્ટોરિયા ટર્મિનસ પાસે આવેલી એક ભવ્ય ઈમારત. ‘રંગ મહલ કે દસ દરવાજે.’ આપણા ઘણા સંત કવિઓ મનુષ્યની કાયા નગરીને દસ દરવાજા હોવાનું કહે છે : પાંચ જ્ઞાનેન્દ્રીઓ અને પાંચ કર્મેન્દ્રીઓ. બીજાપુરના ગોળ ગુંબજની પ્રતિકૃતિ જેવા ગુંબજનો તાજ જેને માથે શોભે છે એ ઈમારતને પણ કુલ દસ દરવાજા કે પ્રવેશ દ્વાર છે. પણ તમારા-મારા જેવાને આવવા-જવા માટે તો ગેટ નંબર ૩.

એક જમાનામાં જ્યાં મુંબઈના કોટનો બજાર ગેટ નામનો દરવાજો આવેલો હતો તેનાથી થોડે દૂર બંધાયેલું જનરલ પોસ્ટ ઓફિસ, કહેતાં જી.પી.ઓ.નું મકાન. પછીથી જે CTO બન્યું તે પહેલાં GPO હતું તેની વાત આપણે અગાઉ કરી છે. તાર-ટપાલ ખાતાનું કામ પરીકથાની રાજકુમારીની જેમ દિવસે ન વધે તેટલું રાતે વધે, અને રાતે ન વધે એટલું દિવસે વધે. એટલે તાર-ટપાલના છુટ્ટા છેડા કરાવવાનું નક્કી થયું. અને ટપાલ માટે નવું મકાન બાંધવાનું.

અંગ્રેજો જેમ ચતુર તેમ દૂરંદેશી પણ ખરા. આજનો નહિ, કાલનો નહિ, પરમ દિવસનો વિચાર કરીને મકાનો બાંધે. એટલે બાંધી જંગી ઈમારત.

પાસપાસે તોય કેટલાં જોજન દૂર – કાચ મઢ્યું ચર્ચગેટ સ્ટેશન અને વડું મથક   

આપણે આપણા વારસાના વૈભવની વાતો તો ઘણી કરીએ છીએ. પણ આપણે બાંધેલાં મકાનો જુઓ. ચર્ચ ગેટ સ્ટેશનનું હાલનું મકાન, મંત્રાલય, રિઝર્વ બેંકનું નવું મકાન. ગણતાં ના’વે પાર. બધાં મકાન માચીસનાં ખોખાં ખડકેલાં હોય એવાં. ચર્ચ ગેટના મકાન અંગે શું થયેલું એ આજે તો ઘણા ભૂલી ગયા હશે. રસ્તાની બીજી બાજુ, બરાબર, સામે પશ્ચિમ રેલવેના વડા મથકની આલીશાન, વૈભવી, આકર્ષક ઈમારત, જે આજે ય અડીખમ ઊભી છે. તેની સામે બાંધ્યું વરવું, ઊંચું ખોખા જેવું મકાન. મકાન બંધાઈ રહ્યા પછી કેટલેક વરસે વળી કોકને તુક્કો આવ્યો કે આ મકાનને ‘૨૧મી સદીને લાયક’ બનાવવું જોઈએ. તો કરવું શું? મઢી દો આખા મકાનને કાચથી. દિવસે સૂરજના અને રાતે સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં એ એવું ઝગમગીને શોભશે કે દ્વારિકાને જોઇને સુદામાએ કહેલું એમ લોકો કહેશે : “કનક કોટ ચળકારા કરે, મણિમય રત્ન જડ્યા કાંગરે.’ મકાનમાં કામ કરતા ૧,૫૦૦ કર્મચારીઓએ વારવાની ઘણી મહેનત કરી : આ મુંબઈની ભેજવાળી હવામાં, ચારે બાજુએ કાચથી મઢેલા મકાનમાં અમને કેટલી અકળામણ, ગૂંગળામણ થશે એનો તો વિચાર કરો, જરા! પણ નોકરિયાતોનું તે કાંઈ સંભળાય? મઢી દીધું આખું મકાન કાચથી. સાહેબોની ઓફિસો તો એરકંડિશન્ડ. પણ બીજાઓ તો તાજી હવા માટે બારી પણ ખોલી ન શકે. થોડાં વરસ ગાડું ગબડ્યું. અંગ્રેજોએ બાંધેલી કેટલીયે ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે. જ્યારે ચર્ચ ગેટના મકાન પરથી ‘ગ્લાસ પેનલ્સ’ છૂટી થઈને નીચે રસ્તા પર પડવા લાગી. તેમાં એક રાહદારીનું મૃત્યુ થયું. અને ઉપરથી હુકમ છૂટ્યો : અબી હાલ કાઢી નાખો આ કાચની દીવાલો. કાઢતી વખતે ખબર પડી કે કાચ મઢવા માટે સ્ટીલની જે ફ્રેમ બનાવેલી તે ઘણી જગ્યાએ કટાઈ ગઈ હતી એટલે અવારનવાર નીચે પડતું મૂકીને કાચ આપઘાત કરતા હતા અને તેથી અપઘાત થતા હતા. પણ કોઈએ એવું પૂછ્યું નહિ કે કોન્‌ટ્રેક્ટરે એવી તે કેવી સ્ટીલ ફ્રેમ વાપરેલી કે દસ-બાર વરસમાં કટાઈ ગઈ. આજે હવે ચર્ચ ગેટ સ્ટેશનનું મકાન જોઈએ તો તડકામાં ઊભેલા કોઈ અર્ધનગ્ન ભિખારી જેવું લાગે. બ્રિટિશ શાસન દરમ્યાન બંધાયેલાં મકાનો મજબૂત, એ વખતની જરૂરિયાત કરતાં ઘણાં મોટાં. વિક્ટોરિયન અને ગ્રીકો રોમન શૈલીનો પ્રભાવ ઘણો એની ના નહિ, પણ હિન્દુસ્તાનના હિંદુ-મુસ્લિમ સ્થાપત્યના અંશોનો પણ પ્રયત્નપૂર્વક સમાવેશ જોવા મળે.

૧૭૯૪માં ચાર્લ્સ એલ્ફિન્સ્ટન મુંબઈ ઇલાકાના પહેલા પોસ્ટ માસ્તર જનરલ થયા. ટપાલની હેરાફેરી સરળતાથી અને ઝડપથી થાય એ માટે મુંબઈમાં જનરલ પોસ્ટ ઓફીસ હોવી જોઈએ એવું તેમને લાગ્યું. એ વખતે ટપાલ એટલે મુખ્યત્વે બ્રિટન આવતી-જતી ટપાલ. એટલે આ જનરલ પોસ્ટ ઓફિસ મુંબઈના બંદર વિસ્તાર નજીક હોય તો સગવડ રહે. એટલે ડોકયાર્ડ અને એપોલો પિયર નજીકના એક મકાનમાં તેમણે પહેલી GPO શરૂ કરી. પછી વખત જતાં ૧૮૭૨ના ડિસેમ્બરની પહેલી તારીખે તેને ફ્લોરા ફાઉન્ટન પાસેના મકાનમાં ખસેડી, જ્યાં શરૂઆતમાં તાર અને ટપાલ, બંનેનું કામ થતું, પણ એ ઓળખાતી GPO તરીકે. પછી એ મકાન નાનું પડવા લાગ્યું. એટલે તાર-ટપાલ સેવા માટે અલગ અલગ મકાન બાંધવાનું નક્કી થયું.

સર એલેક્ઝાન્ડર કનિંગહામે ૧૮૬૧માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી ત્યારથી અંગ્રેજ સ્થપતિઓને હિન્દુસ્તાની સ્થાપત્ય શૈલીઓમાં વધુ ને વધુ રસ પડવા માંડ્યો. અને નવાં મકાનોમાં ખાસ પ્રયત્નપૂર્વક તેઓ અહીંના હિંદુ અને મુસ્લિમ સ્થાપત્યના અંશો સમાવવા લાગ્યા. GPO માટે નવું મકાન બાંધવાનું સોંપાયું વિખ્યાત સ્થપતિ જોન બેગને. તેમનો જન્મ ૧૮૬૬ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે, અવસાન ૧૯૩૭ના ફેબ્રુઆરીની ૨૩મી તારીખે. પ્રખ્યાત અંગ્રેજ કવિ રોબર્ટ બર્ન્સના પોતે વારસદાર છે એમ તેઓ કહેતા. ૧૮૭૯થી ૧૮૮૩ સુધી એડનબરા એકડમીમાં અભ્યાસ. એ જમાનાના જુદા જુદા જાણીતા સ્થપતિઓ સાથે કામ કર્યા પછી ૧૯૦૧માં તેમની નિમણૂક બોમ્બે ગવર્ન્મેન્ટના સલાહકાર સ્થપતિ તરીકે થતાં તેઓ મુંબઈ આવ્યા. અહીંની સરકારે તેમને ૧૯૦૪માં JP અને પ્રિસાઈડિંગ મેજિસ્ટ્રેટ પણ બનાવ્યા. ઉપરાંત જ્યોર્જ વિટેટ નામના બીજા એક સ્થપતિને તેમના મદદનીશ નીમ્યા.

વખત જતાં વિટેટે સ્વતંત્ર રીતે મુંબઈના એક મહત્ત્વના મકાનનું બાંધકામ સંભાળ્યું. એ મકાન જોતાંવેંત GPOના મકાન સાથે આપોઆપ તેની સરખામણી થઈ જાય. એ મકાન તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું મકાન. બંનેની બાંધણીમાં વિશાળ ઘુમ્મટ સહિત ઘણી સમાનતા જોવા મળે. આ ઉપરાંત ગેટ વે ઓફ ઇન્ડિયા, કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ, કાવસજી જહાંગીર હોલ, અને તાતા ગ્રુપના વડા મથક બોમ્બે હાઉસનું નિર્માણ પણ વિટેટને આભારી.

જી.પી.ઓ.ના સ્થપતિ જોન બેગ

૧૯૦૭માં જોન બેગની નિમણૂક હિન્દુસ્તાનની સરકારના સલાહકાર સ્થપતિ તરીકે થઈ. પણ એ વખતે નવા બંધાઈ રહેલ નવી દિલ્હીના સ્થપતિ લુટન સાથે તેમને ફાવ્યું નહિ. બન્ને એકબીજાના કામમાં વાંધાવચકા કાઢ્યા કરે. પણ હિન્દુસ્તાનની સરકારે લુટનનો પક્ષ લીધો. એટલે બેગે લુટન વિશેની ખાનગી માહિતી, અફવાઓ, વગેરે પોતાના સાળાને મોકલવાનું શરૂ કર્યું. સાળો એ બધી માહિતી જોસેફ કિંગ નામના બ્રિટિશ પાર્લામેન્ટના વગદાર સભ્યને પહોંચાડતો. અને ઘણી વાર એ અંગે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચર્ચા થતી. છેવટે ૧૯૧૩ના માર્ચમાં લોર્ડ હાર્ડિન્જે નવી દિલ્હીના બાંધકામ અંગેની કોઈ વાત કે વિગત બેગને આપવી નહિ એવી મૌખિક સૂચના કરી. બેગ પાછા સ્વદેશ ગયા પછી ન તો તેમને બીજું કોઈ સરકારી કામ મળ્યું કે ન તો કોઈ માન-અકરામ. સ્વદેશમાં તેમણે ફરીથી અંગત રીતે સ્થપતિ તરીકે કામ કરવાનું શરૂ કર્યું.

ગોળ ગુંબજ – મુંબઈનો

એ જમાનામાં GPOનું મકાન બાંધતાં નવ વરસ લાગેલાં. ૧૯૦૪ના સપ્ટેમ્બરની પહેલી તારીખે શરૂ થયેલું બાંધકામ ૧૯૧૩ના માર્ચની ૩૧મીએ પૂરું થયું. આ મકાન એક રીતે નસીબદાર, કે પહેલું વિશ્વયુદ્ધ શરૂ થતાં પહેલાં તે બંધાઈ ગયું એટલું જ નહિ, ત્યાં ટપાલ ખાતાનું કામ પણ શરૂ થઈ ગયું. અગાઉ જેની વાત કરી છે તે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમનું મકાન એટલું નસીબદાર નહિ. એનું બાંધકામ પૂરું થવાને આરે હતું ત્યારે જ સરકારે તેનો કબજો લીધો અને તેનો ઉપયોગ યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની સારવાર કરતી હોસ્પિટલ તરીકે કર્યો. જો કે ટપાલ ખાતાના કેટલાક કર્મચારી પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન ફરજ બજાવતાં માર્યા ગયા હતા. તેમનાં નામ ધરાવતી તકતી મકાનના ત્રીજા નંબરના, એટલે કે મુખ્ય દરવાજા પાસે ચોડેલી છે. GPOનું મકાન અધધધ ૫૨૨ ફૂટ લાંબુ છે અને તે કુલ ૧,૨૦,૦૦૦ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. અને આટલું મોટું, ભવ્ય અને સુંદર મકાન બાંધવાનો ખરચ? પ્રિય વાચક, દિલ થામ કે બૈઠના. કુલ ખરચ થયો હતો રૂપિયા ૧૮,૦૯,૦૦૦, હા અઢાર લાખ નવ હજાર રૂપિયા ફક્ત! આટલા પૈસામાં, આ વિસ્તારમાં, આજે કેટલા ઇંચ જગ્યા મળે એ તો કોઈ જાણકાર જ કહી શકે.

જી.પી.ઓ.માં આવેલું શહીદ સ્મારક 

બ્રિટિશ હકૂમત દરમ્યાન મુંબઈમાં બંધાયેલાં બધાં મકાનોમાં આ મકાન જૂદું તરી આવે છે તે તેના ભવ્ય ઘુમ્મટને કારણે. ૬૫ ફૂટનો વ્યાસ કહેતાં ડાયામીટર ધરાવતો આ ઘુમ્મટ આપણા દેશમાંનો બીજા નંબરનો સૌથી મોટો ઘુમ્મટ છે. અલબત્ત, પહેલા નંબરે આવે છે બીજાપુરનો ગોળ ગુંબજ, જેનો વ્યાસ ૧૨૪ ફૂટ છે, જે તેને આખી દુનિયાનો બીજા નંબરનો સૌથી મોટો ઘુમ્મટ બનાવે છે. આ મકાનની બીજી એક વિશિષ્ટતા એ છે કે એની બાંધણી પૂરેપૂરી સ્વદેશી છે. તે બાંધવામાં કાળો બેઝાલ્ટ પથ્થર, કુર્લાનો પીળો પથ્થર, અને ધ્રાંગધ્રાનો સફેદ પથ્થર – એમ ત્રણ જાતના પથ્થર વપરાયા છે. અને તેની બાંધણીમાં વિક્ટોરિયન, ગ્રીકો-રોમન, હિંદુ, અને મુસ્લિમ સ્થાપત્યના અંશોનો સંવાદ સધાયેલો જોવા મળે છે.

ગેટ નંબર ૩માંથી દાખલ થઈએ એટલે સૌ પહેલાં નજરે પડે –

શું નજરે પડે એની, અને આ મકાન અંગેની બીજી કેટલીક વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX 

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 22 જૂન 2024)

Loading

ખપેતી ગની અચ

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|22 June 2024

નામનાની પહોંચ ખોવાઈ ગઈ છે,

કાવ્ય રચના કદાચ ઓટાઈ ગઈ છે.

પોળમાં પોળ જોઈ ભૂલી પડી છે,

હાથ જમણો ઉવાચ ટોકાઈ ગઈ છે.

ભુલ-ભુલામણી ગજબની ઊભી થઈ,

એક-બે વાર વાંચ લોપાઈ ગઈ છે.

મન કહે નામના •ખપેતી ગની અચ,

સાં’હ ખા, ક્યાંક ટાંચ ખોડાઈ ગઈ છે.

આ જનમ વિતશે પછી મેળવીશું, 

સદ્દનસીબે ખરોંચ ધોળાઈ ગઈ છે.

(•ખપેતી ગની અચ; “જોઈએ છે લઈ આવ” કચ્છી ભાષાનો આવડતો એક શબ્દ વાપર્યો છે.)
E.mail : addave68@gmail.com

Loading

...102030...527528529530...540550560...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved