Opinion Magazine
Number of visits: 9557577
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તીર પર કૈસે રુકું મૈં, આજ લહરોં મેં નિમંત્રણ

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2024

પ્રકાશ ન. શાહ

બાંગ્લાદેશના છાત્રયુવા ઉઠાવે આૅગસ્ટ ૨૦૨૪ના પહેલા અઠવાડિયામાં લોકશાહી સત્તાપરિવર્તન માટેના આંદોલનનું કંઈક રૂપ લીધું, એની પિછવાઈ પર પચાસ વરસ પાછળ જઈ નવનિર્માણ આંદોલન વિશે ને મિશે બે-એક વાતો કરવા કલમ ઉપાડું છું, ત્યારે ફેબ્રુઆરી ૧૯૭૪માં ગુજરાત યુનિવર્સિટીના આૅપન ઍર થિયેટરમાં વિશાળ વિદ્યાર્થી મેદનીને સંબોધતા જયપ્રકાશ નારાયણને સાંભળું છું, હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ દોહરાવતા  : 

‘તીર પર કૈસે રુકું મૈં, 

આજ લહરોં મેં નિમંત્રણ.’ 

છાત્રયુવા નિમંત્રણ અને અલબત્ત, રવિશંકર મહારાજનો આદેશ, જયપ્રકાશ ગુજરાત પહોંચ્યા છે, એમાં એક ઇતિહાસન્યાય છે. જયપ્રકાશને સારુ એક રાષ્ટ્રીય નેતાને નાતે ગુજરાત આવવાની નવાઈ નહોતી, પણ આ મુલાકાત પૂંઠે કેમ જાણે ઇતિહાસન્યાય અને ઇતિહાસ સંકેત વરતાય છે. જયપ્રકાશ સન બેતાળીસના વીરનાયક હતા અને જ્યારે આકરા જેલવાસમાંથી બહાર આવ્યા ત્યારે કવિ દિનકરે એમને ‘જયપ્રકાશ હૈ નામ આતુર હઠી જવાની કા’ કહીને બિરદાવ્યા હતા. નહેરુ અને પટેલ બેસતે સ્વરાજે રાજ્યબાંધણીમાં પરોવાયા ત્યારે કાઁગ્રેસ પ્રમુખ તરીકે ગાંધીજીને સૂઝી રહેલાં નામો જયપ્રકાશ અને આચાર્ય નરેન્દ્ર દેવનાં હતાં. આ કદ ને કાઠી ૧૯૪૭માં, આખી પિસ્તાળીસની વયે જયપ્રકાશનાં હતાં. આજે એક અર્થમાં સંવતપલટાની ક્ષણ તે ૧૯૪૭ની ૧૦મી આૅગસ્ટે એટલે કે સ્વરાજ આગમચ બરાબર પાંચ દિવસ પહેલાં ૧૯૪૨ના શહીદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકવા સારુ મુદ્દામ જયપ્રકાશને તેડવાના યુવા ગુજરાતના આગ્રહી સંકલ્પમાં વરતાય છે. સ્થાપિત નેતૃત્વની પ્રથમ પસંદગી નહીં એવું આ કંઈક બગાવતી નિમંત્રણ છે. બરાબર સત્તાવીસ વરસે, ૧૯૭૪માં, યુવા ગુજરાત એમને વળી બરકે છે. 

મામલો શું છે? ૧૯૭૩ની વીસની ડિસેમ્બરે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કૉલેજ હોસ્ટેલમાં ફૂડબિલના વધારા સાથે વિદ્યાર્થીઓનો વિરોધવિસ્ફોટ થાય છે. આ વધારો ખાસો વીસ ટકાનો છે. મારા અર્થશાસ્ત્રના અધ્યાપક જિતેન્દ્ર ધોળકિયાએ એ ગાળાના જુદી-જુદી હોસ્ટેલોના ફૂડબિલ વધારાનો એક સરવે કરી તારણ કાઢ્યું હતું કે, ૬૨ ટકા જેટલા હોસ્ટેલવાસીઓ માટે રોજના એક ટંકનું ભોજન છોડી દેવાની નોબત આવી હતી. તો ૧૭ ટકાએ પૂરું માસિક બિલ ભરવા માટે દેવું કરવું પડ્યું હતું. 

મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વ સાથે જુદાં-જુદાં કૉલેજ મંડળોના પ્રતિનિધિઓ એકત્ર આવ્યા. બધાં નામ સંભારતો નથી, પણ આ લખતી વેળા સહજ સાંભરતાં નામો ઉમાકાંત માંકડ, મૂકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિનાં છે. સુરતમાં ભગીરથ દેસાઈની યુવા પ્રવૃત્તિ વળી જુદી તરેહની છે. નવસારીમાં કેરસી દેવુ છે. સૌરાષ્ટ્રમાં રચાયેલી સંખ્યાબંધ નવનિર્માણ સમિતિઓને મનીષીના નેતૃત્વ નીચેની અમદાવાદની સમિતિ સાથે સાંકળી આંદોલનનું પડ ગાજતું રાખનાર અનામિક શાહના નામની પણ નોંધ લેવી જાઈએ. 

હમણાં નવનિર્માણ સમિતિ રચાયાનો ઉલ્લેખ કર્યો. આ નામ સૂચવનાર સાંસદ પુરુષોત્તમ માવળંકર હતા. આંદોલનને સતત સથવારો રાજ્યસભાના સભ્ય કવિ ઉમાશંકર જાશીનોયે રહ્યો. 

માવળંકર અને ઉમાશંકરનાં નામ મેં એક વિગત તરીકે માત્ર નહીં, પરંતુ સાભિપ્રાય લીધાં છે. ગુજરાતમાં જે પરિવર્તનની હવા બની, એમાં એ બંને ઇતિહાસનિમિત્ત હતા. માવળંકર, અનન્ય આંદોલનપુરુષ ઇન્દુલાલ યાજ્ઞિકના નિધન પછીની પેટાચૂંટણીમાં અમદાવાદથી લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. 

લાંબા ટાંચણમાં નહીં જતાં એટલું જ સંભારું કે ૧૯૫૭માં ઇન્દુલાલ મહાગુજરાત આંદોલનનાં મોજાં પર સવાર થઈને લોકસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે પહોંચ્યા, તે પછી ૧૯૬૨, ૧૯૬૭ એમ સતત ચૂંટાતા રહ્યા હતા. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીએ જે નઈ રોશની મધ્યસત્ર ચૂંટણી નાખી ત્યારે એમણે અપક્ષ ઉમેદવાર તરીકે કાઁગ્રેસના નિશાન પર લડવાનો નિર્ણય લીધો હતો. કાઁગ્રેસના ભાગલા સાથે ઇન્દિરા ગાંધીને નવપરિવર્તનના બળ તરીકે જોવાનું એક વ્યાપક માનસ બનતું આવતું હતું. તેને વશ વરતીને ઇન્દુલાલે આ રસ્તો લીધો હતો. હકીકતે, ૧૯૬૯ના ભાગલા પછી એક તબક્કે માવળંકર, ઉમાશંકર સહિત બૌદ્ધિકોના મોટા વર્ગને આવી આશા જાગી હતી. માત્ર, ભોગીલાલ ગાંધી અને આ લખનાર જેવી નાની મંડળી ઇન્દિરા ગાંધી પરત્વે એમની પેઠે આશ્વસ્ત અને આશાવાદી નહોતી. જ્યારે ઇન્દુલાલ ગયા ત્યારે કાઁગ્રેસ પક્ષે વિચારેલાં નામોમાં ઉમાશંકરનું પણ હતું. જો કે, જેમ માવળંકર ઇન્દિરાઈ પરત્વે પ્રગટ પુનર્વિચારમાં જણાવા લાગ્યા હતા, તેમ ઉમાશંકર પરત્વે પણ એવા ઇંગિત વરતાવા લાગ્યા હતા. ગમે તેમ પણ, ગુજરાતનાં વિપક્ષ-અપક્ષ સંગઠનો અને છાત્રયુવા સક્રિય મત માવળંકર ફરતે ગઠિત થયો અને અમદાવાદથી એ લોકસભામાં પહોંચ્યા. ગુજરાતમાં બદલાઈ શકતી હવાનો બીજા એક સંકેત સાબરકાંઠાની પેટાચૂંટણીમાં સરદારનાં પુત્રી મણિબહેન લોકસભામાં સંસ્થા કાઁગ્રેસ તરફથી ચૂંટાઈ આવ્યાં એથીયે મળ્યો હતો.

નવનિર્માણ ઘટનામાં, આમ, પડકાર અને પરિવર્તનની છટપટાહટ હતી. ૧૯૭૧ની ચૂંટણીફતેહ અને બાંગ્લા ઘટના સાથે ઇન્દિરા ગાંધી અજેય અને અનન્ય જેવાં ઊભર્યાં હતાં, પણ એમના પક્ષની ગુજરાતમાં જે સખળડખળ દેખાતી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારના ઉમેદવારો મૂક્યા હતા, એને કારણે લોકમાનસ કંઈક પાછું ફરવા લાગ્યું હતું. ઘનશ્યામભાઈ ઓઝાને દિલ્હીએ અહીં મુખ્ય મંત્રી તરીકે મૂક્યા, એમાં લોકોને જૂની કાઁગ્રેસની સર્વોચ્ચ શાહી લાગી. જો કે, વ્યક્તિગત રીતે એ સ્વચ્છ પ્રતિભા ઘરાવતા હતા. ચીમનભાઈ પટેલે પક્ષના ધારાસભ્યોની બહુમતી પોતાની તરફે યેનકેન પ્રકારે ઊભી કરી. એમણે એ સૌને પંચવટી ફાર્મમાં એકત્ર કર્યા હતા. લોકજીભે એને ‘પ્રપંચવટી’ કરી નાખ્યું. આ અફરાતફરી વચ્ચે પેલી પરિવર્તનની આકાંક્ષા ભોંઠી પડી રહી હતી. 

જુલાઈ ૧૯૭૩માં ચીમનભાઈ મુખ્ય મંત્રી બન્યા અને ડિસેમ્બર ૧૯૭૩માં એલ.ડી. એન્જિનિયરિંગની ઘટના બની. એ જ અરસામાં મોરબી કાલેજમાં પણ વિદ્યાર્થી ઉદ્રેક, હિંસા, ગોળીબારની ઘટના બની. મોંઘવારીનું કારણ જનમાનસે ભ્રષ્ટાચારમાં જોયું. એટલે નવનિર્માણ આંદોલન થકી જે માનસ મોરચો ખૂલ્યો અને ભભૂક્યો એ મોંઘવારી જગવતા ભ્રષ્ટાચારના કર્તાહર્તા રાજકારણીઓ સામેનો બની રહ્યો. સત્તા કાઁગ્રેસનું એક જૂથ આંદોલન સાથે રહ્યું – શરૂઆતના તબક્કામાં. કાઁગ્રેસ પ્રમુખ ઝીણાભાઈ દરજીને ત્યારે વિદ્યાર્થીઓમાં ગાંધીજી દેખાયા. અધ્યાપક મંડળ પણ સાથે હતું. એટલે સાર્વત્રિક હડતાળનો દૌર પણ જારી હતો. જેવું આ આંદોલન આગળ વધ્યું કે કાઁગ્રેસનું એક જૂથ અને અધ્યાપક મંડળ ખસી ગયાં, પણ આંદોલને પોતાની ગતિ પ્રાપ્ત કરી લીધી હતી. દમનરાજે આ ગતિને ઓર ચાલના આપી. ધારાસભ્યોના રાજીનામાની (સમજાવટ ઉપરાંતનાયે તરીકા સહિત) ઝુંબેશ ચાલી અને ૧૯૭૪ની નવમી ફેબ્રુઆરીએ ચીમનભાઈનું રાજીનામું આવી પડ્યું.

પણ આંદોલને જે ગતિ અને વેગ, હિંસક ઉદ્રેક સમેત પક્ડ્યાં હતાં, તેની સામે કેવળ મુખ્ય મંત્રીનું જવું એ કોઈ જવાબ નહોતો. હવે વિધાનસભાનું વિસર્જન અને નવી ચૂંટણી સાર્વત્રિક માંગ બની ચૂકી હતી. મનીષી જાનીના નેતૃત્વ હેઠળના છાત્રયુવા આંદોલનને ૧૪ આૅગસ્ટ શ્રમજીવી સમિતિનું સક્રિય સમર્થન હતું. નાગરિક સમર્થન પણ વ્યાપક હતું. મને યાદ છે, રવિશંકર મહારાજ પાસે સર્વોદયી પહેલથી સૌ નાગરિકો એકત્ર થયા હતા. કેન્દ્ર સરકારે કે.સી. પંતને પરિસ્થિતિના તાગ સારુ મોકલ્યા હતા. એને માટેના આવેદનપત્ર પર કામ ચાલતું હતું. લખાણ તૈયાર થઈ ગયું અને પ્રતિનિધિ મંડળ પંતને મળવા નીકળતું હતું ત્યારે મહારાજે એને રોકીને ખરાઈ કરી કે પેલું વિસર્જનવાળું બરાબર આવી ગયું છે ને.

જે.પી. અને મહારાજના ઉલ્લેખ સાથે મારે જરી ફંટાવું જોઈએ. જયપ્રકાશ છાત્રયુવા અપીલ વશ અમદાવાદ પહોંચ્યા ત્યારે અગ્રતાક્રમે એમનું રોકાણ સ્વાભાવિક જ નવનિર્માણના મિત્રો સાથે હતું, પણ વળતે દિવસે (૧૩મી ફેબ્રુઆરીએ) એમણે ઘણા બધા કલાકો સર્વોદયમિત્રો સાથે ગાળ્યા. સંમેલનરૂપે અમે સૌ એમની હાજરીમાં મળ્યા. એમાં લોકોના રાજકારણનો (લોકનીતિ)નો નકશો એ એમનો મુખ્ય મુદ્દો હતો. આ મિલનમાં નાભિ-કામગીરી અમારે પક્ષે એટલે કે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનને પક્ષે હતી. મંદાકિની દવે કેન્દ્રનાં મુખ્ય કાર્યકર અને હું મંત્રી એવી રચના હતી. પરંપરાગત સર્વોદયના સંનિષ્ઠ મિત્રોને હજુ જયપ્રકાશનું નવપ્રયાણ પમાતું નહોતું ત્યારે અમારું કેન્દ્ર એ દિશામાં ઠીક આગળ વધી ગયું હતું. ભોગીલાલ ગાંધી આમ તો વડોદરા રહે, પણ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના કામે એમનો અમદાવાદનો આવરો-જાવરો સારો એટલે જે.પી.ની ગતિવિધિ ને વિચારરૂપ વિશે અમારી વચ્ચે આપ-લે અને સમજનો નાતો હતો. એટલે જયપ્રકાશને અહીં જે ‘પ્રકાશ’ દેખાયો કે રાજકીય પ્રથાને બહારથી પરિચાલિત કરી શકાય છે અને યુવાશક્તિ એનું બળ બની શકે છે, તે સમજી એમની સાથે જોડાઈ શકતું એક કાર્યજૂથ અહીં અનાયાસ બની આવ્યું હતું 

જે.પી.ને ગુજરાત તેડવાનો, ત્યારની પ્રચલિત પરિભાષામાં કહીએ તો જરૂર પડ્યે હાઇજૅક કરીને પણ લઈ આવવાનો જે નાદ યુવામિત્રોના મૂળમાં હતો તે એ ગાળામાં જયપ્રકાશે આપેલ એક સૂત્ર ‘યૂથ ફોર ડેમોક્રસી’ને કારણે હતો. પવનારમાં કુમાર પ્રશાંત (ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના વર્તમાન અધ્યક્ષ) અને બીજા તરુણો સાથે એમણે ચલાવેલ વિચારમંથનનું એ તારણ હતું. સ્થાપિત કાર્યકરો અને પ્રસ્થાપિત પક્ષોના વશની નહીં, એવી પરિવર્તનની વાત યુવા પરિબળ થકી કેમ શક્ય ન બને? ૧૯૬૮માં યુરોપ-અમેરિકાના યુનિવર્સિટી કેમ્પસોએ વિયેટનામ યુદ્ધ સહિતની સરકારી સંડોવણી સામે અવાજ ઉઠાવ્યો હતો. એનુંયે ઉદાહરણ સામે હતું. મને યાદ છે, ત્યારે માક્‌ર્સના વર્ગસંઘર્ષથી ઉફરાટે માર્કુઝને યાદ કરીને ચલણી બનેલો પ્રયોગ ‘વયસંઘર્ષ’ હતો. સ્થાપિતો સાથેની સોરાબ-રુસ્તમી થકી કંઈ નવું બની આવશે, એવી આશા, બલકે આકલન એની પૂંઠે જણાય છે. ‘યૂથ ફોર ડોમોક્રસી’ની જે.પી. અહાલેક અને નવનિર્માણનો ઉદ્રેક બંને વચ્ચે ઠીક સંધાનની શક્યતા હતી.

હિંસા ખાળવા અને યુવા માંગને સમર્થન આપવા મોરારજી દેસાઈએ અનશન કર્યા. તેને પગલે ૧૯૭૪ના માર્ચની ૧૫મી તારીખે વિધાનસભાનું વિસર્જન જાહેર થયું અને નિવનિર્માણ આંદોલન એક પ્રતિમાન સાથે પૂરું થયું. આ એંશી-પંચાસી દિવસનો ગાળો યુવાશક્તિને નામે જમા બોલે છે અને બોલતો રહેશે.

૧૫ માર્ચ, ૧૯૭૪ પછીના ગાળાને અનુલક્ષીને, એક અર્થમાં નવનિર્માણોત્તર તબક્કા બાબત અહીં ટૂંકી તો ટૂંકી, ઉતાવળે તો ઉતાવળે, પણ કંઈક નોંધ ને નુક્તેચીની કરવી રહે છે. વિસર્જન પછી ગુજરાતમાં ચૂંટણી યોજવા વિશે ઇન્દિરા સરકાર ઉદાસીન બલકે નહીં યોજવા સારુ આતુર પેશ આવતી રહી. આંદોલન સ્વાભાવિક જ ઓસરી ગયું હતું. જે.પી. સાથેના સંમેલનને પગલે અમે લોકસ્વરાજ આંદોલન રૂપે એક નાની શી જ્યોત જલતી રાખી શક્યા હતા અને તેના થકી બિહારના આંદોલન સાથે પણ એક ભાવાત્મક પારસ્પર્ય સધાતું રહ્યું હતું. બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં રેલી યોજાઈ ત્યારે ગુજરાતથી અમારી સાથે સામેલ થયેલાઓ પૈકી વડનગરના દાક્તર વસંત પરીખ પણ હતા. એમણે સૂત્ર પણ સોજું આપ્યું હતું. ‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ?’

બિહાર આંદોલને અગર તો એના વિકલ્પે થતા પ્રયોગ પ્રમાણે જે.પી. આંદોલનને ગુજરાતની નાની શી જલતી જ્યોતને ઠીક તેલ સીંચ્યું. લોકસ્વરાજ આંદોલનને પગલે દેશની બદલાતી હવાના મેળમાં પક્ષ-અપક્ષ અગ્રણીઓની લોકસંઘર્ષ સમિતિ શક્ય બની. ૨૨-૨૩ માર્ચ, ૧૯૭૫માં. એને આગલે અઠવાડિયે અમે લોકસ્વરાજ તરુણો, ૧૫મી માર્ચે રાજભવન પગપાળા કૂચ કરતા પહોંચ્યા. ત્યારે રાજ્યપાલ વિશ્વનાથનના સેક્રેટરી એ.ડી. જોષી(?) સામે મળ્યા. ‘શું આવ્યા છો?’ ‘વરસ થયું ને ચૂંટણી નથી થતી એ કહેવા.’ તો કહે, ‘તમારા સિવાય કોઈને યાદ પણ ક્યાં છે?’ નહીં કે નવનિર્માણ મિત્રો અગર વિપક્ષ સાથીઓને યાદ નહોતું. માત્ર, આંદોલન દેખીતું બુઝાયેલું હતું. લોકસંઘર્ષ સમિતિએ છેડેલું આંદોલન, મોરારજી દેસાઈનાં અનશન, લોકસંઘર્ષ સમિતિનો જનતા મોરચાનો ઠરાવ … કટોકટી હળવી થતાં રચાયેલ જનતા પાર્ટીનો પૂર્વાભાસ, એ બધું હવે ઇતિહાસવસ્તુ છે.

માત્ર, જે એક વાત સિદ્ધાંત તરીકે સ્થાપિત થઈ, ચૂંટાયેલ મંડળીના લોક-દાયિત્વની અને કાનૂની સાર્વભૌમ, એટલે કે સરકાર પર રાજકીય સાર્વભૌમ કહેતાં જનતાની સરસાઈની, એ એક મહ્‌દ લબ્ધિ લેખાશે અને તવારીખમાં યાદ રહેશે. બુઢ્ઢા જયપ્રકાશના દિલમાં જલતો આતશ અને એમના ઉરબાલ : આજ લહરોં મે નિમંત્રણ. 

પ્રગટ : વાર્ષિક વિશેષાંક “અભિયાન”; 31 ઑગસ્ટ 2024; પૃ. 31-32 તેમ જ 34

Loading

ભારતમાં ખેતીનું પૂર્ણ યાંત્રિકીકરણ ઈચ્છનીય નથી

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 September 2024

ચંદુ મહેરિયા

બાળપણમાં વાંચેલી કવિતાની આ પંક્તિઓ હમણાના દિવસોમાં ઘણીવાર ગણગણું છું :

સોનાવરણી સીમ બની

મેહુલિયે કીધી મહેર રે

 ભાઈ ! મોસમ આવી મહેનતની.

વરસાદી મોસમને કારણે તો તે યાદ આવે જ છે, પરંતુ ખેડૂતો માટે વરસાદ મહેનતની મોસમ છે, એટલે પણ યાદ આવે છે. જગતતાત ‘લિયો પછેડી દાતરડાં’ ને ‘રંગે સંગે કામ’ કરે છે અને ધાન પકવે છે. જો કે હવે ખેતી માત્ર માનવીના શરીરશ્રમ આધારિત નથી રહી. ખેતીમાં માનવ અને પશુઓના શ્રમના વિકલ્પે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ વીસમી સદીની મહાન લબ્ધિ મનાય છે.

એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગ સંબંધી પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ જુલાઈ ૨૦૨૩માં ‘દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણમાં સંશોધન અને વિકાસ’ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૨માં દેશની અડધા કરતાં ઓછી કૃષિનું જ યાંત્રિકીકરણ થયું છે. અન્ય વિકાસશીલ દેશો, બ્રાઝિલ ૭૫ અને ચીન ૬૦ ટકાની તુલનામાં, ભારતમાં હજુ કૃષિ યાંત્રિકીકરણ ૪૭ ટકા જેટલું નિમ્ન સ્તરે છે.

ચોમાસા પૂર્વે કે અન્ય વખતે ખેતરો ખેડવા હળ અને બળદને બદલે હવે ટ્રેકટરનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં વાવણી-રોપણી માટે ખેતરો ખેડવા ૭૦ ટકા ટ્રેકટર વપરાય છે. રોપણી અને વાવણીનાં કામમાં યંત્રોનો ઉપયોગ ૪૦ ટકા, નિંદામણમાં ૩૨ ટકા અને કાપણી-લણણીમાં ૩૪ ટકા એમ સરવાળે ૪૭ ટકા ખેતીનું મશીનીકરણ થયેલું છે. સમગ્ર દેશમાં કૃષિ યાંત્રિકીકરણ અસમાન છે. દક્ષિણી રાજ્યો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં લગભગ બધા જ કામો યંત્રોથી થાય છે. પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં કૃષિ યાંત્રિકીકરણ નહિવત છે. જેમ રાજ્યવાર તેમ પાક પ્રમાણે પણ કૃષિમાં મશીનોના ઉપયોગમાં ભિન્નતા છે. ઘઉંના પાક માટે ૬૯ ટકા અને ડાંગર માટે ૫૩ ટકા મશીનો વપરાય છે. જ્યારે બીજા કૃષિ પાકોમાં પચાસ ટકા કરતાં ઓછું યાંત્રિકીકરણ છે. ખાધ્ય પાકોની સરખામણીએ રોકડિયા પાકોની ખેતીમાં મશીનોનો વપરાશ વધુ થાય છે. આ ભિન્નતા માટે ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ, સિંચાઈની સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, ભૌગોલિક સ્થિતિ જેવાં કારણો જવાબદાર છે.

ભારત જેવા વધુ વસ્તી અને સંસાધનોની અસમાન વહેંચણી ધરાવતા દેશમાં ઝાઝા હાથ કામ માંગતા હોય ત્યારે તેમને બેરોજગાર બનાવી યંત્રોનો ઉપયોગ સવાલો પેદા કરે તે સહજ છે. પરંતુ કૃષિ યાંત્રિકીકરણના લાભ અને ખાદ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવાની દૃષ્ટિએ તે અપનાવવું આવશ્યક છે. ખેતીનાં કામો મહેનત, ચીવટ અને આવડત માંગી લે છે. એ વધુ સારી રીતે માનવી જ કરી શકે છે, પરંતુ મશીનના ઉપયોગથી માનવ અને પશુશ્રમ બચે છે, જે  ઈતર કામોમાં વાપરી શકાય છે. એકલા ટ્રેકટરના ઉપયોગે પણ કેટલો મોટો ફાયદો કરી આપ્યો છે. ટ્રેકટરના ઉપયોગથી જમીન વધુ સારી રીતે ખેડી શકાય છે. વધુ જમીન ખેતી યોગ્ય બનાવી શકાઈ છે. બીજ, જંતુનાશક દવાઓ અને ખાતરની બચત થાય છે. એટલે ખર્ચ ઘટે છે. સમય અને પાણીની બચત થાય છે. ઉત્પાદન વધે છે. નિંદામણ ઘટે છે. ખેત કામદારોની અછતનો વિકલ્પ મળે છે. વધુ શ્રમના કામો યંત્રોથી કરવા સરળ બન્યાં છે. કૃષિ યાંત્રિકીકરણનો સૌથી મોટો લાભ એ છે કે તે ભારતના ગામડાઓની સામાજિક સંરચનામાં પરિવર્તન આણી શકવાની સંભાવના ધરાવે છે. ખેડૂતો માટે ખેતી માત્ર બે ટંકના રોટલા જોગ ના રહેતાં તેમની આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારે છે. પારંપરિક ખેતીને વ્યાવસાયિક બનાવી શકાય છે. શ્રમ, સમય અને નાણાંની બચત થાય છે તો ઉત્પાદનમાં વૃદ્ધિથી આવક વધે છે તે મશીનીકરણનો મોટો ફાયદો છે.

યાંત્રિકીકરણ મોટા ખેતરો માટે જ લાભપ્રદ છે. ભારતમાં ૮૬ ટકા કિસાનો બે હેકટરથી ઓછી જમીન ધરાવે છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે જો નાના આકારના યંત્રો ન હોય તો તે બિનઉપયોગી અને નાણાંકીય બોજ વધારનાર છે. ખેત ઓજારો માનવહાથથી વપરાય છે.પરંતુ મશીનો ચલાવવા વીજળી કે ઈંધણની જરૂર પડે છે. તેના કારણે ડીઝલ અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ  પર્યાવરણમાં બગાડ અને પ્રદૂષણ જેવા પ્રશ્નો ઉદ્દભવે છે. ટ્રેકટરનો ઉપયોગ માટી પરનો ભાર ઘણો વધારે છે. બેરોજગારી વધે છે અને કૃષિ શ્રમિકોની અછતના અલ્પ ગાળામાં વધુ વેતન માટેની તેમની સોદાશક્તિ તથા ગરજ ઘટે છે. મોટા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. જ્યારે નાના ખેડૂતો જાતમજૂરી પર નભે છે. એટલે યંત્રોનો ઉપયોગ સામાજિક-આર્થિક અસમાનતા વધારે છે.

આજે પણ દેશની એંસી ટકા કૃષિ જમીન પર ખાદ્ય પાકોની વાવણી-રોપણી માનવશ્રમ દ્વારા જ થાય છે ત્યારે દેશનું કૃષિ યાંત્રિકીકરણ પણ આંશિક જ છે. સરકાર આગામી પચીસેક વરસોમાં પોણા ભાગની કૃષિને યંત્રો હેઠળ આવરી લેવા માંગે છે. પરંતુ તે ઈચ્છનીય નથી. માનવશ્રમ આટલો શેષ હોય ત્યારે ખેતીને મશીનોના હવાલે કરી દેવી તેમાં કોઈ ડહાપણ નથી. કામ વગરના કરોડો હાથને યંત્રોએ કામ કરતા અટકાવ્યા છે. યંત્રોને લીધે બેકારી અને ગરીબી વધવાની છે. વળી કૃષિ કામોમાં માનવીય સ્પર્શ અને સંલગ્નતા ઘટે તે યોગ્ય નથી.

કૃષિનું માત્ર મશીનીકરણ જ નહીં રોબોટીકરણ કરવાની અને આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની વાતો પણ થઈ રહી છે. ભાવિમાં આ યંત્રો ડેટા સમૃદ્ધ સંવેદન અને નિરીક્ષણ પ્રણાલી બની જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે. હળ, દાતરડુ, કોદાળી જેવાં ખેત ઓજારોનું સ્થાન હવે ટ્રેકટર, કંબાઈન હાર્વેસ્ટર, ટિલર જેવા યંત્રો-સાધનો અને ખેતીને આનુષાંગિક કામોમાં સિંચાઈ માટે પાવરલિફ્ટ, ટ્યુબ વેલ, વોટર પંપ, ઈલેકટ્રિક મોટર, ખેત પેદાશોને બજાર સુધી લઈ જવા માટે ટ્રક, પશુપાલન અને ડેરીનાં સાધનો, વોશિંગ મશીન, વેક્યુમ ક્લિનર, રેડિયો, ઈસ્ત્રી, થ્રેસર મશીન, ફૂડ પ્રોસેસિંગ મશીનો લેશે. પરંતુ તળ વાસ્તવિકતા કંઈક જુદી છે તેનો અંદાજ નથી. પરંતુ તળ વાસ્તવિકતા કંઈક જુદી છે તેનો અંદાજ નથી. કૃષિમાં આવનારા તળિયાઝાટક પરિવર્તનો વિશે જાણીને એક સામાન્ય, નાનો અને ઘર નભે એટલી જમીન ધરાવતો ગામડિયો ખેડૂત તેની ધરતીમાતા પર કોર્પોરેટ્સનો ડોળો પડતો જોઈ પહેલાં અચંભિત, અને પછી દુ:ખી તથા આક્રોશિત છે.

ગાંધીજી પણ યંત્રોના વિરોધી નહોતા. પરંતુ માનવ હાથને બેકાર કરી યંત્રોના ભરોસે જીવવું યોગ્ય નથી. ખાદ્યાન્નની વૈશ્વિક માંગ પૂર્ણ કરવા કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ પડકારજનક જરૂર છે પણ તેનો એકમાત્ર ઉકેલ કૃષિનું સંપૂર્ણ યાંત્રિકીકરણ ના હોઈ શકે. યંત્ર અને માનવ બેઉ સાથે રહીને કરી શકે તેવાં કૃષિ કામોની દિશામાં વિચારવું ઘટે. કૃષિ યાંત્રિકીકરણની મહિલાઓ પર પડનારી અસરો તો જુદા લેખનો વિષય છે.

હાથથી થતી સફાઈનાં કામો (ગટર, ખાળકૂવા અને માનવ કે પશુ મળની સફાઈ અને બીજાં અનેક કામો) કથિત નિમ્ન જ્ઞાતિમાં જન્મેલ માનવીના માથે થોપાયેલા છે. હાથથી થતી સફાઈમાં સો ટકા મશીનીકરણ શક્ય છે. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગ્રતિના અભાવે તેમ કરવામાં આવતું નથી. કૃષિ પ્રધાન દેશનું કૃષિ બજેટ સંરક્ષણ બજેટ કરતાં ઓછું હોય ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે વળી કોણ વિચારે. મોંઘાદાટ દેશી-વિદેશી સંરક્ષણ સાધનો અને હાથથી થતી સફાઈના મશીનો કે કૃષિ યંત્રોમાંથી નાગરિક તરીકે આપણી પસંદગીની પ્રાથમિકતા શું હશે તે કહેવાની જરૂર ખરી?

e.mail : maheriyachandu@gmail.com

Loading

સીધા વિરોધમાં ન હોય ત્યારે પણ ‘સત્તા’ને સોરવાય શાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|12 September 2024

લોકતંત્ર

વિધિવેત્તા કરતાં વધુ ન્યાયજોદ્ધા

વિધાનસભા વિસર્જનની માંગ સબબ એમણે કહ્યું કે કાનૂન સાર્વભૌમે (સરકારે) રાજકીય સાર્વભૌમ (મતદારો) સમક્ષ જવાની આ વાત, બિલકુલ એટલે બિલકુલ બંધારણસંમત છે.

પ્રકાશ ન. શાહ

તેઓ આપણી વચ્ચે હોત તો આજથી ત્રીજે દિવસે સોળમી સપ્ટેમ્બરે ખાસાં ચોરાણુ વરસના થયા હોત. વિધિવેત્તા અને એથીયે અધિકર તો ખરું જોતાં ન્યાયલડવૈયા એ.જી. નૂરાનીએ સો પૂરાં કર્યાં કે ન કર્યાં, ઇનિંગ્ઝની તો ખરેખરની ખરાખરીની ને પૂરેપૂરી ખેલીને ગયા.

ઊંચી પાયરીના અચ્છા ધારાશાસ્ત્રી એ અલબત્ત હતા. 1958માં દેશના સત્તા-પ્રતિષ્ઠામાં તેમ જ વ્યાપક લોકલાગણીની રીતે અણગમતા થઈ પડીને પણ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી શેખ અબદુલ્લાનો કેસ એ લડ્યા તેમાં એમનું શહર નિઃશંક ઝળક્યું હતું … એમનો અભ્યાસ, ઉત્સ્ફૂર્ત બૌદ્ધિક ક્ષમતા, નૈતિક સાહસ, એને વિશે તો શું કહેવું. ભગતસિંહના કેસ વિશે કે સાવરકર વિશે અગર આર.એસ.એસ. અંગે એમની કામગીરી સંશોધનના ઉત્તમ નિદર્શન શી હતી.

લઘુમતીની દાઝ જાણનારા એ સ્વાભાવિક જ હતા. પણ તે માટે એમનું ‘મુસ્લિમ’ હોવું જરૂરી નહોતું. દસ-અગિયાર વરસ પર એ પાકિસ્તાન ગયા ત્યારે જાહેર વાર્તાલાપમાં એમણે પાકિસ્તાની એલિટને ગમતા કેટલાક મુદ્દા કર્યા હશે, પણ કોઈક મુદ્દે એમણે શ્રોતાઓની લાગણીથી નિરપેક્ષપણે પણ કહેવા જેવું કહ્યું ત્યારે એમની સામે એવો ગણગણાટ ઊઠ્યો હતો કે તમે તો ‘ઇન્ડિયન’ની જેમ બોલો છો. એમણે કહ્યું કે જે કસોટીએ મેં તમને કહેલું કશુંક ગમ્યું તે જ કસોટીએ હું ‘ઇન્ડિયન’ પણ કેમ ન હોઈ શકું.

અબ્દુલ ગફૂર નૂરાની

એ.જી. નૂરાનીને જોવા મળવાનું તો એક જ વાર થયું છે. 2002ના ગુજરાતના ઘટનાક્રમને અંગે મનેસરમાં પ્રેસ ઇન્સ્ટિટ્યૂટે ચર્ચામિલન યોજ્યું હતું. બોંત્તેરના હશે, પણ ટી.વી. જર્નાલિઝમ સાથે જે તરુણ પત્રકારી નેતૃત્વ બહાર આવ્યું એ જે સજ્જતાથી વાત કરતું હશે એના કરતાં કેટલીક વાર વધારે શાર્પ એ વરતાતા. એમનો ઉછેર ટેકનોસાવી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તરેહનો નહીં પણ ‘ભયંકર સ્મૃતિ’ અને મુદ્દાને પકડવાની સ્ફૂર્તિ, કદાચ સૌથી વધુ હતી.

મેં આરંભે જ એમને વિધિવેત્તા કરતાં વધુ તો ન્યાયજોદ્ધા કહ્યા. નૂરાનીનું આ જોદ્ધાપણું બંધારણીય મૂલ્યો ને પ્રક્રિયા માટેની નિષ્ઠામાંથી આવ્યું હતું. આ લખું છું ત્યારે સાંભરે છે કે આશરે છ દાયકા પર ‘મજલિસે મુશવ્વરત’ના નેજા હેઠળ મુસ્લિમ નેતૃત્વ એક થિંક ટેંક પર એમને જોડાવા નિમંત્ર્યા ત્યારે એમણે અલબત્ત સાભાર પણ અસંદિગ્ધ શબ્દોમાં એ નિમંત્રણ નકારી કાઢ્યું હતું. એમણે કહ્યું’તું કે દેશના પ્રશ્નો બંધારણની વ્યાપક મર્યાદામાં વિચારવાના હોય, બધો વખત કેવળ ને કેવળ ‘કોમ’ તરીકે નહીં.

હમણાં મેં શેખ અબદુલ્લાના કેસમાં એમની કીર્તિદા કામગીરીની જિકર કરી પણ દેશના રાજકારણમાં ને સાર્વજનિક જીવનમાં સ્વરાજ પછી કદા જે સર્વાધિક મોટો, કહો કે શકવર્તી પલટો આવ્યો એના એક તરેહના બીજ-સંગોપન અને સંવર્ધનમાં એક કાનૂનવિદ ને ન્યાયલડવૈયા તરીકેનું અર્પણ વિસર્યું વિસરાય એમ નથી.

પ્રજાસત્તાક સ્વરાજ તરીકેની આપણી આયુર્યાત્રાની સૌથી મોટી જે જળથળ ઘટના હતી તે જયપ્રકાશના આંદોલનથી લઈ કટોકટીરાજ અને જનતાઆરોહણના તબક્કાની હતી. એ માટેનો મોટો ધક્કો સ્વાભાવિક જ વિધાનસભા વિસર્જનની માગનો હતો. ગુજરાતનું આંદોલન અલબત્ત જયપ્રકાશનું નહોતું, પણ બિહારમાં તો સુવાંગ નેતૃત્વ એમનું જ હતું. વિસર્જનની માંગ સુધી પહોંચતા એમણે ખાસો સમય લીધો હતો. સત્તા-પ્રતિષ્ઠાનની સંવેદનશૂન્યતાના લાંબા દોર પછી તેઓ આ માંગ સુધી પહોંચ્યા હતા. પણ ત્યારે પણ આરંભમાં એમને લાગતું હતું કે બંધારણ પ્રમાણે આ દુરસ્ત નથી. અલબત્ત, લોકતંત્રની દૃષ્ટિએ તે બિલકુલ શક્ય હોઈ શકે છે.

જયપ્રકાશની આ અભિજાત દ્વિધામાં સંશયનિવારણનું કામ નૂરાનીએ કર્યું હતું. એમણે વિશ્વના અદ્વિતીય બંધારણપટુ લોર્ડ ડાઇસીને ટાંકીને સમજાવ્યું કે તત્ત્વતઃ વિધાનસભા વિસર્જનની માંગણી એ કાનૂની સાર્વભૌમ (ઇંગ્લેન્ડના રાજા/રાણી કે ભારતના રાષ્ટ્રપતિ) તરફથી રાજકીય સાર્વભૌમ એટલે કે મતદાર જોગ અપીલ છે. રાષ્ટ્રપતિએ જનતાની અપીલને ધોરણે મંત્રીમંડળ બરખાસ્ત કરી જનતાની અદાલત સમક્ષ જવું જોઈએ. રાજકીય સાર્વભૌમ જ ચુકાદો આપે, તે બિલકુલ બંધારણીય ભૂમિકા છે.

નૂરાની જેવો રાહ લેનારા જ્યારે અપ્રિય ભૂમિકાએ ન હોય ત્યારે પણ સત્તા-પ્રતિષ્ઠાનોને સોરવાતા નથી. પણ એમનું હોઈ શકવું તે લોકતંત્રની ખુશકિસમતી છે તે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 11 સપ્ટેમ્બર 2024

Loading

...102030...526527528529...540550560...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved