Opinion Magazine
Number of visits: 9954236
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારને આની ખબર ખરી કે … 

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|30 December 2024

રવીન્દ્ર પારેખ

2020માં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડ્રગ્સ કેસમાં પકડેલા આરોપીઓને સેશન્સ કોર્ટે દંડ અને સજા ફટકારતાં એવું નોંધ્યું કે એક જમાનામાં મહોલ્લાઓના નાકા પર તમાકુ, પાન-માવા મળવાની નવાઈ ન હતી. તેમાં પછી દારૂ ઉમેરાયો અને હવે સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓ જેવા વિદ્યાધામોમાં ડ્રગ્સનું ચલણ વધ્યું છે. આરોપીઓ પાસેથી કોમર્શિયલ માત્રામાં ડ્રગ્સ મળ્યું હોય ત્યારે તેમની દયા ખાઈ શકાય નહીં. કોર્ટે એ પણ નોંધ્યું કે દેશમાં ગૃહયુદ્ધ ઊભું કરવામાં ડ્રગ્સ મોટું શસ્ત્ર છે. 

બનેલું એવું કે થાણેના આરોપીઓ પોતાની ગાડીમાં 342 ગ્રામ MD ડ્રગ્સ લાવ્યા હતા અને ગુનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકે નોંધાયો હતો. આ ડ્રગ્સ શાહપુર પહોંચાડવાનું હતું એવી બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતાં તેણે રેડ કરી તો 4.16 લાખની રોકડ સહિત 34 લાખનું ડ્રગ્સ મળી આવ્યું હતું, જેનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ સેશન્સ કોર્ટે ચારમાંથી ત્રણ આરોપીઓને 12થી 15 વર્ષની સજા કરી અને દરેકને એક એક લાખનો દંડ ફટકાર્યો. ચોથો આરોપી ફરાર છે. ઉપલી કોર્ટમાં કેસ ચાલે તો આરોપીઓની સજામાં ફેર પડે કે નિર્દોષ છૂટે એમ પણ બને. 

એ તો આવનારો સમય કહેશે, પણ એમ લાગે છે કે ગુજરાતનો 1,600 કિલોમીટરનો દરિયા કિનારો ડ્રગ્સ લેન્ડિંગ હબ બની ગયો છે. એક કિલો ડ્રગ્સના એક કરોડ રૂપિયાનો ભાવ ચાલતો હોય તેવામાં ડિસેમ્બરના અંત સુધીમાં હજારો કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટેનું સેન્ટર રાજ્યનાં પોર્ટ અને દરિયા કિનારા છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે ને અહીંથી દેશમાં અનેક ઠેકાણે પહોંચે છે.

જાન્યુઆરીથી નવેમ્બર સુધીમાં માત્ર કચ્છ પોલીસે 113.56 કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું. એ ઉપરાંત પૂર્વ કચ્છમાંથી 253.75 કરોડનો જુદા જુદા ડ્રગ્સનો જથ્થો વર્ષ દરમિયાન મળી આવ્યો હતો, તો પશ્ચિમ કચ્છમાંથી 430.37 કરોડનો જથ્થો ઝડપાયો હતો. આટલું ડ્રગ્સ કચ્છમાંથી મળી આવ્યું છે, પણ વર્ષ થવા છતાં આ ડ્રગ્સ કોણ મંગાવે છે ને કોને મોકલાય છે તેની ભાળ સુરક્ષા એજન્સીઓને મળી નથી તે પરથી પણ તેમની કામગીરીનો ખ્યાલ આવે તેમ છે. 2024ની શરૂઆતમાં જ કોલકાતાથી ગુજરાત લવાતું 200 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. જૂનની શરૂઆતમાં ATS દ્વારા ગાંધીધામના ખારીરોહર પાસેથી 130 કરોડનાં કોકેઈનનાં 13 પેકેટ્સ પકડાયાં હતાં. જખૌના દરિયાઈ વિસ્તારમાંથી જૂનમાં જ હેરોઇનના 19 પેકેટ્સ ઝડપાયાં હતાં. 13 ઓકટોબરને રોજ અંક્લેશ્વરમાંથી 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અંકલેશ્વરની આવકાર ફાર્મા કંપનીમાંથી 500 કિલો કોકેઈન ઝડપાયું હતું. 16 નવેમ્બરે કોસ્ટગાર્ડની મદદથી પોરબંદરના દરિયેથી ATS અને NCBની ટીમે 700 કરોડનું 700 કિલો ડ્રગ્સ ઝડપ્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બોટમાંથી લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બી.એસ.એફ.ના જવાનોએ વર્ષ દરમિયાન જખૌના દરિયાકાંઠેથી 272 ડ્રગ્સનાં પેકેટ્સ પકડ્યાં હતાં ને 480 જેટલાં બિનવારસી પેકેટ્સ પણ મળી આવ્યાં હતાં. 

ડ્રગ્સનો જ મહિમા ગુજરાતમાં થાય છે એવું નથી, દારૂબંધી હોવા છતાં માંડવી બીચ પર ખુલ્લેઆમ પ્રવાસીઓને જોઈએ તે બ્રાન્ડનો દારૂ વેચવાના સમાચાર છે. દારૂબંધીનો ખરેખર પ્રભાવ ગુજરાતમાં કેટલો હશે તે તો સત્તાધીશો જાણે, પણ સ્કૂટર પર બોટલો-ટિન મૂકીને ફેરિયાઓએ છડેચોક વિવિધ બ્રાન્ડનો દારૂ વેચવાનો માંડવી બીચ પર નવતર પ્રયોગ શરૂ કર્યો છે. ‘આવો, આવો ..’ની બૂમો સાથે ‘માંડવી બીચ પર આવ્યા ને દારૂ ન પીધો તો શું કર્યું’ જેવું બોલીને ફેરિયાઓ, પ્રવાસીઓને દારૂ ખરીદવા આકર્ષતા હોય છે. માંડવી બીચ પર શરાબના શોખીનો માટે વ્હિસ્કી, જિન, બિયર સહિતનાં પ્રતિબંધિત પીણાં છડેચોક વેચાઈ રહ્યાંનો વીડિયો વાઇરલ થયો છે. ડિકીમાં દારૂની બોટલો ભરીને તેનું વેચાણ થતું દેખાય છે. પ્રવાસી ઊતરે તે સાથે જ તેને ‘કઈ બ્રાન્ડ જોઈએ છે?’ જેવું પૂછીને જુદી જુદી બ્રાન્ડ ખપાવાય છે. આશ્ચર્ય એ વાતનું છે કે પોલીસતંત્ર આ જાહેર વેચાણ અંગે કૈં જાણતું હોય એવું લાગતું નથી. ધીરે ધીરે માંડવી બીચ ગોવાનો બીચ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગોવામાં દારૂબંધી નથી, એ જ રીતે અહીં પણ દારૂબંધી ન હોય તેમ છડેચોક દારૂ વેચાય છે. આ રીતે તો દારૂ, દારૂબંધી નથી, ત્યાં પણ વેચાતો નથી, તો ગુજરાતમાં દારૂબંધી છે એમ કઈ રીતે માનવું એ સમજાતું નથી.

છડેચોક દારૂ વેચાય છે એમ જ ભેળસેળવાળી ચીજવસ્તુઓ પણ પૂરી બેશરમીથી ગુજરાતમાં વેચાય છે. કાલના જ સમાચાર છે કે કઠોરમાં એક ગેરેજવાળો સુમુલનું નકલી ઘી બનાવવાની ફેક્ટરી ચલાવતો પકડાયો. પામ ઓઇલ અને વનસ્પતિ તેલનાં મિશ્રણને ગરમ કરીને ગેરેજવાળો નકલી ઘી, સુમુલના નામથી વેચતો હતો. પોલીસે 68 હજારની કિંમતના ડુપ્લિકેટ સુમુલ ઘીના 108 ડબ્બા, 30 હજારની કિંમતનું પેકિંગ મશીન જેવું મળીને લાખેકનો મુદ્દામાલ કબજે કર્યો છે. નકલી ઘી પકડાવાની નવાઈ નથી. એ ખેલ તો ચાલ્યા જ કરે છે, પણ પામ ઓઇલ હાર્ટએટેક સહિતના આરોગ્યના અનેક પ્રશ્નો ઊભા કરે એમ છે, છતાં તે આરોગ્ય વર્ધક હોય તેમ ફરસાણ, મીઠાઈ ને બિસ્કિટ્સમાં કોઈ પણ જાતની રોકટોક વગર ખપમાં લેવાય છે.   

ભેળસેળના વધુ એક સમાચાર 28 ડિસેમ્બરે એ આવ્યા છે કે બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પાલનપુર, થરા અને થરાદમાં તપાસ દરમિયાન હળદર, ધાણાજીરું, લાલ મરચાં જેવા મસાલાના પાકોમાં પેસ્ટિસાઇડ્સ વધુ પ્રમાણમાં વપરાયાનું જણાયું છે. હવે હાલત તો ભેળસેળવાળા ને જોખમી ખોરાકથી જ પેટ ભરવા જેવી છે. આ ભેળસેળ કરનારા આપણા જ ગુજરાતીઓ છે. તેમને ખબર છે કે મર્યા પછી એક રૂપિયો સાથે આવવાનો નથી, છતાં તેમણે કોઈ પણ રીતે હરામની કમાણીથી હોજરી ઠાંસવી છે ને એમ કરવાથી કોઇની પણ હોજરી પર જોખમ ઊભું થાય તો તેની ચિંતા નથી. ગમે એટલી સાવધાની રાખો તો પણ ક્યાંક તો બિન આરોગ્યપ્રદ કૈં શરીરમાં ઘૂસે જ છે ને જોખમ પણ ઊભું કરે જ છે. એનો ઈલાજ કરાવવા જાવ તો તે પણ અસલી નથી, કારણ નકલી ડૉક્ટર ને નકલી દવાઓ આપણને વેતરવા તૈયાર જ છે. એવામાં વિકલ્પ એક જ બચે છે ને તે કમોતે મરવાનો. આમ આરોગ્ય વિભાગ છે તો ખરો, પણ તે પોતાનું આરોગ્ય સુધારવામાં પડ્યો હોય, ત્યાં પ્રજાની ચિંતા પ્રજાએ જ કરવાની રહે કે બીજું કૈં? વધારે દુ:ખદ તો એ છે કે અમર્યાદ કમાણીના લોભમાં પ્રજા જ નકલી, ભેળસેળિયું ખવડાવીને પ્રજા સાથે શત્રુતા નિભાવી રહી છે. 

બીજી મુશ્કેલી છે તે પ્રજાનો કોઈ અવાજ નથી તેની. એક વર્ગ એવો છે જેને કોઈ ફરિયાદ નથી ને બીજો એવો છે જે વેઠે છે, પણ બોલવા રાજી નથી. તેને આર્થિક લાભ સિવાય બીજા કશામાં રસ નથી. તેની નજર વધતા પગાર પંચના આંકડાઓ પર છે ને એમાં શિક્ષક પણ બાકાત નથી. તે શિક્ષણને ભોગે શોષણને ચલાવી લે છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતની જ વાત કરીએ તો 48 વિદ્યાર્થી પર સરેરાશ એક શિક્ષક છે. આટલી શિક્ષિત બેકારી છતાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના શિક્ષકો મળતા નથી. સમિતિની શાળાઓમાં અંદાજે 1.91 લાખ વિદ્યાર્થીઓ સામે 4,010 શિક્ષકો છે. મરાઠી માધ્યમમાં 39 પર એક શિક્ષક છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં 43 પર એક શિક્ષક છે. સૌથી ખરાબ સ્થિતિ અંગ્રેજી માધ્યમમાં છે, ત્યાં 156 વિદ્યાર્થીએ એક જ શિક્ષક છે. જુલાઈ 2024 મુજબ સમિતિમાં 5,569 શિક્ષકોનું મહેકમ મંજૂર થયું છે, પણ શિક્ષકો 4,010 જ છે, મતલબ કે 1,559 શિક્ષકોની ઘટ છે. ગુજરાતમાં ઘટનો ઉપક્રમ 2017થી ચાલ્યો આવે છે, પણ દળદર ફીટતું નથી. આની સામે શિક્ષકોએ કે તેમના યુનિયનોએ કૈં કરવાનું રહે છે કે કેમ તે પ્રશ્ન જ છે. 

જો કે, શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરાતાં થોડો સળવળાટ થયો છે ખરો. બોર્ડની પરીક્ષામાં પેપર ચેકિંગમાં કેટલાક શિક્ષકો ગેરહાજર રહ્યા તો બોર્ડે તેમને મોટો દંડ ફટકાર્યો, તો સંચાલક મંડળનો અવાજ ખૂલ્યો – શિક્ષકોની સંખ્યા ઓછી છે તે સૌ જાણે છે, જ્ઞાન સહાયકો હાજર થતાં નથી એટલે શિક્ષણ કાર્ય પૂરું કરવામાં મુશ્કેલી પડે છે, આ સ્થિતિમાં પહેલાં શિક્ષકોની ઘટ પૂરી કરો, પછી શિક્ષકોને ગેરહાજર રહેવા બદલ દંડ કરો … જેવી રજૂઆત થઈ. દંડની વાત ન આવી હોત તો સંચાલક મંડળનો સ્વર કદાચ સંભળાયો ન હોત. હકીકત એ છે કે નાક નથી દબાવાતું ત્યાં સુધી મોં ખૂલતું નથી. 

ગમ્મત તો એ છે કે કુલડીમાં ગોળ તો આપણે જ ભાંગ્યા કરીએ છીએ. આ બધાંમાં સરકારને કોઈ લેવા દેવા છે કે કેમ ને એથી ય મોટો સવાલ એ છે કે સરકારને આની કૈં ખબર છે ખરી કે આખું કોળું જ દાળમાં … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ડિસેમ્બર 2024

Loading

એક મુલાકાત

મ્યૂરિયેલ લેસ્ટર / મહાદેવ દેસાઈ|Gandhiana|29 December 2024

એક દેખાવ મારા સ્મરણમાં આબેહૂબ રહી ગયો છે. ગાંધીજી હાથમાં એક તાર લઈને બેઠા છે. મૂંઝાયેલા હોય એમ સ્પષ્ટ દેખાય છે, ને પોતાની મૂંઝવણથી એમને જરા રમૂજ પણ પડે છે. એમની આસપાસ એમના જવાબની રાહ જોતું મંત્રીમંડળ બેઠું છે. હું ઓરડામા પેસું છું ત્યાં મૌન તૂટે છે, ને શબ્દો મારે કાને પડે છે : “પણ એ તો માત્ર વિદૂષક છે. એને મળવામાં કશો અર્થ નથી.” એને ના લખી દેવા માટે ગાંધીજી એક મન્ત્રીના હાથમાં તાર આપતા હતા, ત્યાં મેં તાર મોકલનારનું નામ જોયું.

“પણ તમે આમને નથી ઓળખતા, બાપુ?” મેં પૂછ્યું. મને બહુ જ અચંબો થયો હતો.

“ના,” કહી ગાંધીજીએ તારનો ચોળાઈ ગયેલો કાગળ પાછો લીધો, ને જે જ્ઞાન મન્ત્રીઓ નહોતા આપી શક્યા તે મેળવવા મારી સામે નજર નાખી.

“ચાર્લી ચેપ્લીન! એના પર તો આખી દુનિયા વારી જાય છે. એને તો આપે મળવું જ જોઈએ. એની કળાનું મૂળ મજૂરવર્ગના જીવનમાં છે. ગરીબોને જેમ આપ સમજો છો તેમ એ પણ સમજે છે. એમના ચિત્રોમાં એ હંમેશાં ગરીબોને માન આપે છે.”

એટલે બીજે અઠવાડિયે, ‘બો’થી પણ પૂર્વ દિશામાં, કેનિંગ ટાઉનની એક પાછલી શેરીમાં આવેલા ડો. કતિયાલના ઘરમાં આ મુલાકાત ગોઠવાઈ, ને એ ભાગના લોકોને આ બંને પુરુષોને આવકાર આપવાનો બેવડો લહાવો મળ્યો. અમે સહુએ એ આગામી મુલાકાત વિષે મોઢું બીડેલું રાખવાની પ્રતિજ્ઞા લીધેલી. છતાં એ ભેદ ક્યાંકથી ફૂટી ગયો; ને મુલાકાત વખતે રસ્તા પર લોકોની મોટી ઠઠ જામી. લોકો એકબીજા સાથે તેમ જ પોલીસની સાથે હસાહસ કરતા હતા. મિ. ચેપ્લીન મોટરમાંથી કૂદકો મારીને ઊતર્યા, લોકોને નમન કરવા હૅટ ઊંચી કરી, ને પોતાના બે હાથ મિલાવીને હસ્તધૂનન કર્યું, એટલે લોકો હસી પડ્યા. છેવટે ગાંધીજી આવ્યા એટલે એમને જોઈને પણ લોકોએ હસાહસ કરી મૂકી. ગાંધીજીને જોઈ એમના આનંદની અવધિ આવી દેખાતી હતી.

ઘરમાં આ બે નાનકડા પુરુષો, અમે બાકીનાં જે માણસો હતાં. તેમનાથી સહેજ અળગા, એક કૉચ પર બેઠા; ને તેમણે લોકો, શ્રમજીવીઓ, પૂરું પોષણ ન મેળવી શકનારાંઓ, યંત્રના ગુલામ બનેલા મજૂરો, ને કેદખાનાના કેદીઓ એ બધાંને વિષે વાતો કરી. વાતમાં એક વખતે મિ. ચેપ્લીને કહ્યું: “સિંગસિંગ જેલના કેદીઓ સાથે મેં એક કલાક વાત કરેલી એ મારે સૌથી અઘરું, ખરાબમાં ખરાબ કામ કરવું પડેલું એમ માનું છું. એવી વાત હું બીજી વાર ન કરી શક્યો. વાત કરતી વખતે મારા મનમાં એક જ વિચાર રમી રહ્યો હતો : ઈશ્વરની કૃપા ન હોત તો તું પણ એમની જોડે જ હોત.”

પછી સાવ અણધાર્યો એક અશિષ્ટ ને અણછાજતો ધસારો થયો. ઘરની ટચુકડી આગલી પરસાળમાં, બધી સૂચનાઓનું ઉલ્લંઘન કરીને, છાપાંવાળા ફોટોગ્રાફરોનું એક સાવ નિરંકુશ ટોળું ધસી આવ્યું. એમણે પાછલી દીવાલ તોડી પાડી હતી, ને ગમે તેમ કરીને ઘરમાં ઘૂસ્યા હતા. ઘરધણીએ ગમે તેટલું કહ્યું તોયે જરા પણ ચસ્યા નહીં; અને ગાંધીજીની સામે, તેમની મરજી વિરુદ્ધ, કેમેરાની હાર મંડાઈ એ એમને સાંખી લેવું પડ્યું. આ સૂગ ઉપજાવે એવું તોફાન શમ્યું, ને ઓરડો પાછો ખાનગી બની ગયો, ત્યાં સાત વાગવા આવ્યા હતા. એટલે અમે સહુએ સાથે બેસીને પ્રાર્થના કરી.

[‘ગાંધીજીની યુરોપયાત્રા’]

•

ચાર્લી ચેપ્લીન મળવા માગે છે એમ ગાંધીજીને કહેવામાં આવ્યું ત્યારે એમણે નિર્દોષભાવે પૂછ્યું કે એ પ્રસિદ્ધ પુરુષ કોણ છે ? આ વાત ભાગ્યે જ કોઈ સાચી માનશે. અનેક વર્ષોથી ગાંધીજીનું જીવન એવું થઈ ગયું છે કે એમણે પોતાને માટે જે કામ નક્કી કરી રાખ્યું છે તે કરતાં કરતાં આવી પડે તે ઉપરાંત બીજું કશું જોવાનો કે સાંભળવાનો એમને વખત જ રહેતો નથી પણ મિ. ચૅપ્લીન તો ઈસ્ટ ઍન્ડમાં જ રહેતા હતા, એ આમ લોકોમાંના જ એક છે, આમ લોકો માટે જ જીવે છે. એમણે લાખો લોકોને હસાવ્યા છે. એ દબાયેલા કચડાયેલા માણસોનો પક્ષ લે છે એમ જાણ્યું ત્યારે ગાંધીજીએ ડૉ. કતિયાલને ઘેર મિ. ચૅપ્લીનને મળવાનું કબૂલ કર્યું. (તા. ૨૨- ૯-૧૯૩૧)

ગાંધીજીએ એમને વિશે સાંભળ્યું નહોતું, પણ એમણે તો ગાંધીજીના રેંટિયા વિશે સાંભળ્યું હશે એમ લાગ્યું. એમણે પહેલો જ સવાલ એ કર્યો કે ગાંધીજી યંત્રનો વિરોધ શા માટે કરે છે ? ગાંધીજી એ પ્રશ્નથી રાજી થયા અને વિગતોમાં ઊતરીને સમજાવ્યું કે હિંદના તમામ ખેડૂતોની છ મહિનાની બેકારીને લીધે તેમનો પહેલાંનો આડધંધો ફરી સજીવન કર્યા વિના ચાલે એમ નથી. અન્નવસ્ત્ર તો દરેક પ્રજાએ પોતપોતાનાં પેદાં કરી લેવાં જોઈએ. અમે એ પેદા કરી લેતા, અને ફરી કરી લેવા માગીએ છીએ. ઇંગ્લેન્ડ મોટા પ્રમાણમાં માલ પેદા કરે છે એટલે તેને બહારનાં બજાર શોધવાં પડે છે. એને અમે લૂંટ કહીએ છીએ. અને લૂંટારુ ઇંગ્લેન્ડ દુનિયાને જોખમરૂપ છે.

[મહાદેવભાઈની ડાયરી, ભાગ – ૧૫]
29 ડિસેમ્બર 2024
સૌજન્ય : “નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક-195

Loading

પોપ ફ્રાન્સીસ કઈ રીતે નોખા પડે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|29 December 2024

રમેશ ઓઝા

આખું જગત જ્યારે જીર્ણમતવાદી, પૃથકતાવાદી, અસહિષ્ણુ, જમણેરીઓની નાગચૂડનો ભોગ બની રહ્યું છે ત્યારે જગતના દોઢ અબજ કેથલિક ખ્રિસ્તીઓને ઉદારમતવાદી માનવતાવાદી ધર્મગુરુ (પોપ) મળ્યા છે. આ થોડું વિચિત્ર ભાસે છે, પણ રાહત આપનારી મીઠી હકીકત છે. ચર્ચે પોતે અને ચર્ચના સમર્થન સાથે ઈસાઈઓએ વિધર્મીઓ સાથે જે અન્યાય અને અત્યાચારો કર્યા છે તેનો શરમજનક લાંબો ઇતિહાસ છે. પશ્ચિમની સભ્યતાની ખૂબી એ છે કે તે દસ્તાવેજીકરણમાં માને છે અને ઈમાનદારીથી રેકોર્ડ છોડી જાય છે. તેઓ કુકર્મોના પણ દસ્તાવેજ આવનારી પેઢી માટે છોડીને જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કેવી રીતે ભારતની પ્રજાનું શોષણ કર્યું, કેવી રીતે ગદ્દારી કરીને ભારત પર કબજો કર્યો એના બધા જ દસ્તાવેજો ઉપલબ્ધ છે. એ રીતે ચર્ચે કરેલા અન્યાયો અને જુલ્મોના સિલસિલાબંધ દસ્તાવેજો ચર્ચે જ જાળવી રાખ્યા છે અને એટલે આપણે એમ કહી શકીએ કે ધર્મને નામે તેમણે શું નથી કર્યું!

જગતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી અંદાજે અઢી અબજ છે, જેમાં કેથલિક ખ્રિસ્તીઓ ૪૮ ટકા વસ્તી ધરાવે છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તીઓની વસ્તી ૨૩.૮ ટકા એટલે કે અંદાજે ૭૫ કરોડ છે. આપણી સમજ એવી છે કે ખ્રિસ્તી ધર્મ માત્ર બે ફાંટાઓમાં વહેંચાયેલો છે; કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. પણ એવું નથી. આ સિવાયના અને આ બંનેની અંતર્ગત બીજા સેંકડો ફાંટાઓ છે. ખ્રિસ્તીઓ અને મુસલમાનો એક ખીલે બંધાયેલા સંગઠિત છે અને તેમનો મુકાબલો કરવા હિંદુઓએ સંગઠિત થવું જોઈએ એ ડરનારાઓએ અને ડરાવનારાઓએ જાપ જપીને પેદા કરેલું અસત્ય છે.

પોપ ફ્રાન્સીસ

ટૂંકમાં ખ્રિસ્તીઓમાં બે ફાંટા મુખ્ય છે અને તે જગતની લગભગ ૭૦ ટકા ખ્રિસ્તી પ્રજાને આવરી લે છે. આ બેમાં પ્રોટેસ્ટન્ટ નામ જ સૂચવે છે, એમ સુધારાવાદી છે. ૧૬મી સદીમાં તેમણે કેટલાક સુધારાઓની માગણી કરી જેને ચર્ચે ન સ્વીકારી અને વિભાજન થયું. આનાં સામાજિક-આર્થિક-રાજકીય પરિણામો પણ જોવા મળ્યાં. જગતના ખ્રિસ્તી દેશો પર નજર કરશો તો જેટલા દેશ પ્રોટેસ્ટન્ટોની બહુમતીવાળા છે એ બધા પ્રગતિશીલ વિકસિત દેશો છે અને કેથલિક દેશો  ઠીકઠીક પ્રમાણમાં પાછળ છે. વૈજ્ઞાનિક શોધો પ્રોટેસ્ટન્ટ દેશોમાં વધુ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ પ્રોટેસ્ટન્ટ દેશોમાં થઈ. જગતના અનેક દેશો પર પ્રોટેસ્ટન્ટ દેશોએ કબજો કર્યો અને ગુલામ બનાવ્યા. એ વિભાજને સાબિત કરી આપ્યું કે તાકાત ધાર્મિકતામાં, ધર્મને વળગીને ચોંટી રહેવામાં, અનુયાયીઓની સંખ્યામાં નથી, પણ મસ્તિષ્કમાં છે અર્થાત વિવેકમાં છે. શંકા કરો, પ્રશ્ન ઉપસ્થિત કરો, પ્રશ્નનો ઉપાય શોધો અને આગળ વધો. જો ઉપાય શાસ્ત્રોમાં ન મળતો હોય તો શાસ્ત્રોને બાજુએ મૂકીને આગળ વધો. કેથલિક અને પ્રોટેસ્ટન્ટ એ માત્ર બે ધાર્મિક સંપ્રદાયો નહોતા, બે અભિગમ હતા જેનું પરિણામ હમણાં કહ્યું એમ તમારી સામે છે.

કેથલિક અભિગમ એટલે કે રૂઢિચૂસ્ત અભિગમ. અલગ પ્રકારનો જાતીય સંબંધ ધરાવનારા તૃતીયપંથીઓ, મારાં શરીર પર મારો અધિકારના નામે સ્ત્રીઓના ગર્ભપાત કરાવવાના અધિકારો, ઈશ્વરને અને ધર્મને નહીં સ્વીકારનારી નાસ્તિકતાના અધિકારો, ઈસાઈ ધર્મ સિવાયના બીજા ધર્મો પણ સાચા ધર્મો છે અને તે પણ મનુષ્યને સ્વર્ગે પહોંચાડે છે એ વાતનો સ્વીકાર વગેરે રુઢિચુસ્તોને કવરાવનારા સવાલો છે. ચર્ચ ઇન્ટર ફેથ કોન્ફરન્સ દાયકાઓથી કરે છે, પણ દરેક ધર્મ સાચા અને સમાન છે એ વાતનો સ્વીકાર કર્યા વિના. આપણે નોખા છીએ, પણ આ ધરતી પર સાથે છીએ એટલે સાથે જીવવાની ભૂમિકા બનાવવી રહી એ રીતે.

પણ આમાં વર્તમાન પોપ ફ્રાન્સીસ નોખા પડે છે. તેઓ સમલિંગીઓના અધિકારનો સ્વીકાર કરે છે. પાદરી સમલિંગી હોઈ શકે એવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે જો સમલિંગી ઈશ્વરને માનતો હોય અને તે પોતાને ઈશ્વરનો બંદો માનતો હોય તો આપણે કોણ તેને ગેરલાયક ઠરાવનારા! તેઓ સ્ત્રીઓના ગર્ભપાતના અધિકારોનો સ્વીકાર કરે છે. નાસ્તિક માણસ પણ સ્વર્ગનો અધિકારી છે એમ પણ તેમણે કહ્યું હતું. જો કે રેડીકલ લિબરલ જમાત આટલાથી સંતુષ્ટ નથી. બોલો સ્ત્રીનાં શરીર પર (અર્થાત્ સ્ત્રીના ગર્ભમાં અંકુરિત થતાં જીવ પર પણ) સ્ત્રીનો અધિકાર છે. બોલો લિંગ (સ્ત્રી અને પુરુષ) માત્ર બે નથી, બે કરતાં વધુ છે અને ધર્મગ્રંથોમાં કહેવામાં આવ્યું છે એ ખોટું છે. રેડીકલ લિબરલોની સમસ્યા એ છે કે જો કોઈ માણસ સમાજને માનવતા અને ઉદારતાની દિશામાં એક ડગલું આગળ લઈ જાય તો તેનાથી તેમને સંતોષ થતો નથી, સૌ પહેલાં તેઓ એમ કરનારની જ અગ્નિપરીક્ષા લે છે, જેમ આપણે ત્યાં ગાંધીજીની લેવામાં આવે છે. અસ્પૃશ્યતા હિંદુઓ માટે કલંક છે એમ કહીને જતા રહો એ ન ચાલે, અસ્પૃશ્યતાનું સમર્થન કરનારા ધર્મગ્રંથો પણ નિંદનીય છે એમ કહો અને ધર્મગ્રંથોની નિંદા પણ કરો. ગાંધીજીને માનવતાના શત્રુઓએ જેટલા બદનામ નથી કર્યા એટલા આ રેડીકલ લિબરલોએ કર્યા છે. પ્રજાકલ્યાણની ઠેકેદારી સમસ્યારૂપ છે પછી એ ધર્મની હોય, ધર્મગ્રંથોની હોય, ધર્મપીઠની હોય, ધર્મગુરુની હોય, ધર્મરક્ષક નેતાની હોય, રાજકીય પક્ષની હોય કે પછી માનવતાના ઠેકેદાર રેડીકલ લિબરલ હોય.

ઘણા રેડીકલ લિબરલો એમ માને છે કે વર્તમાન પોપ જોઈએ એટલા ઉદારમતવાદી નથી અને એ શક્ય પણ નથી, કારણ કે ઉદારમતવાદી માનવતાવાદી બનવું હોય તો ધર્મ અને ધાર્મિકતા છોડીને શુદ્ધ માનવ બનવું પડે. ધર્મ અને ધાર્મિકતા માણસાઈનો છેદ ઊડાડે છે. બીજા છેડે ધાર્મિક કેથલિકો પણ અસ્વસ્થ છે. પરિવારમાં જે શીખવવામાં આવ્યું છે અને ચર્ચમાં જે શીખવવામાં આવે છે એના કરતાં આ કશુંક જુદું બોલે છે. તેમને તો એવો ધર્મગુરુ જોઈએ છે જે આપણા ધર્મની સર્વોપરિતાની વાત કરતો હોય. સહિષ્ણુતાનો માત્ર એટલો જ અર્થ લેવાનો કે આ ધરતી પર જીવવાનો અધિકાર ‘બીજા’ પણ ધરાવે છે, પણ એ ‘બીજા’ છે, ‘આપણે’ નથી ‘આપણે’ વિશેષ છીએ. ડાબે અને જમણે બંને છેડાના રેડીકલો મધ્યમમાર્ગ વિકસવા દેતા નથી.

કેથલિક ખ્રિસ્તીઓ ત્યારે વિમાસણમાં પડી ગયા જ્યારે અમેરિકામાં યોજાઈ રહેલી પ્રમુખપદની ચૂંટણી વખતે પોપે કહ્યું કે સમાજમાં દીવાલો ઊભી કરનારાઓને મત નહીં આપવો જોઈએ. ઈશારો ડોનાલ્ડ ટ્રમ્પ વિષે હતો, જ્યારે કે અમેરિકન કેથલિક ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે રીપબ્લિકન પક્ષના ટેકેદારો છે. પરિણામ બતાવે છે કે કેથલિક મતદાતાઓએ પોપની વાત સાંભળી નહોતી. તેજ હવા જે દિશામાં વહેતી હોય તેની વિરુદ્ધ દિશાની જો કોઈ વાત કરતું હોય તો લોકો તેને સાંભળતા નથી, પછી એ પોપ હોય કે ગાંધી, બુદ્ધ હોય કે ઈશુ. આપણે ત્યાં પણ આ જોવા મળી રહ્યું છે. ગઈ કાલ સુધી જે લોકો માનવતાની આહલેક લઈને ફરતા હતા એ લોકો અત્યારે લોકોને ગમે એવી વાત કરતા થઈ ગયા છે.

પણ વર્તમાન પોપ પ્રવાહપતિત નથી એ ફરીવાર તેમણે સાબિત કરી આપ્યું છે. ઇઝરાયેલના ગાઝા પરના હુમલાઓને તેઓ યુદ્ધ તરીકે ઓળખાવવાની ચોખ્ખી ના પાડે છે અને સ્પષ્ટ શબ્દોમાં કહે છે આ નરસંહાર છે, નિંદનીય કૃત્ય છે, માનવતા માટે કલંક છે. આની કોઈ અસર થાય કે ન થાય, એક ધર્મપીઠે માનવતાની તરફેણમાં અવાજ ઉઠાવ્યો એનું મહત્ત્વ છે. જો કે ઇઝરાયેલ આને કારણે વિચલિત જરૂર થઈ ગયું છે. દરમિયાન તટસ્થતા માટે વૈશ્વિક ખ્યાતિ ધરાવનાર બી.બી.સી.માં પણ બળવો થયો છે. માણસાઈકેન્દ્રી પત્રકારત્વનો આગ્રહ રાખનારાઓએ રાજીનામાં આપીને નીકળી જવાની જગ્યાએ ઊઘાડો બળવો કર્યો છે. બી.બી.સી.ની શાખ દાવ પર લાગી છે.

આ નાતાલના સપ્તાહમાં પોપ ફ્રાન્સીસને સલામ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 29 ડિસેમ્બર 2024

Loading

...102030...521522523524...530540550...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved