Opinion Magazine
Number of visits: 9665001
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૫)

સુમન શાહ|Opinion - Opinion|11 November 2024

સુમન શાહ

હું જનમેલો એ સાલમાં, 1939-માં, ‘બીજું વિશ્વયુદ્ધ’ શરૂ થઈ ગયેલું. વિશ્વમાં એ પહેલાં, 1929-થી 1930s દરમ્યાન ‘ગ્રેટ ડીપ્રેશન’ સંભવેલું — મહા મંદી. કેમ કે 1929-માં વૉલ સ્ટ્રીટમાં શૅઅરના ભાવ તળિયે બેસી ગયેલા અને તેની અસર 1930s સુધીમાં આખા વિશ્વમાં પ્રસરેલી. આર્થિક બેહાલીના એ કાળથી ભારત કે ગુજરાત કોઈ બચી શકેલું નહીં. 

પરન્તુ મેં એ વિશ્વયુદ્ધ અને એ મહા મંદી જોયાં નથી, મને એનો અનુભવ નથી. બને કે મારી જાણ બહાર મારું જીવન એથી પ્રભવિત થયું હોય. પણ મારી પાસે હાજરમાં તો એના માત્ર સમાચાર જ છે. 

આપણે કદી વિચારતા નથી કે આપણા ચિત્તમાં અનુભવ-સ્વરૂપે શું છે, સમાચાર-સ્વરૂપે શું છે. 

હું દસેક વર્ષનો હોઈશ ત્યારે એક વાર દાદાએ કહેલું કે હરવાફરવા માટે આપણે ત્યાં ઘોડાગડી હતી. મેં પૂછેલું કે ક્યાં ગઈ. તો બોલેલા, યાદ નથી કોણ લઇ ગયું. મેં દેશ આઝાદ થયો એ અરસામાં જાણેલું કે વિશ્વમાં બહુ મોટું યુદ્ધ ખેલાયું હતું. પછી એક વાર પિતાજીએ જણાવેલું કે દાદા શૅઅરબજારમાં ધૂમ હારી ગયેલા. ત્યારથી મને એ ‘ધૂમ’ શબ્દ હજી ખૂંચ્યા કરે છે. કેમ કે એ પછી, દીવાસળીવાળા-પરિવાર કદી ઘોડાગાડી રાખી શકે એટલું ધનાઢ્ય થઈ શકેલું નહીં. અમારી જ્ઞાતિની અમારી અટક, ‘દીવાસળીવાળા’ છે.

વતનમાં ઘોડાગાડીઓ બહુ હતી, હવે એક પણ નથી. મેં બળદ-જોડેલાં ગાડાં અને ડમણિયાં જોયેલાં. ડભોઈથી પ્રતાપનગર જતી નૅરોગેજ લાઇનની ટ્રેનમાં જવા-આવવાનું બહુ થયેલું. 30km કાપતાં એ ગાડી એક કલાકથી પણ વધુ સમય લેતી, કેમ કે સૌ મુસાફરો માટે દરેક ગામે ઊભા રહેવું એ માનવધર્મ એણે નિભાવેલો. એ પછી ટ્રેનો ફાસ્ટ અને સુપર ફાસ્ટ થઈ, ‘નૉન-સ્ટૉપ’-નો મહિમા થવા લાગ્યો. 

હું લગભગ છેલ્લાં આઠ વર્ષથી ઇન્ડિયન ટ્રેનમાં નથી બેઠો. અગાઉના વરસોનો ટ્રેન-અનુભવ જાણે સમાચારમાં ફેરવાઈ રહ્યો છે.

નવી ટૅક્નોલૉજિની દેણ રૂપે ગામમાં લાઇટ ફોન રેડિયો અને ટ્રાન્ઝિસ્ટરને મેં ક્રમે ક્રમે આવતાં જોયાં છે. મેં એ સાધનોના અનુભવ મેળવ્યા, ત્યારે મજા પડેલી. ‘મર્ફિ’-નો મૉઘો રેડિયો લાવ્યા પછી રોજ એને સાફ રાખવો અને ચૉકક્સ સમયે સાંભળવા બેસી જવું એવો નિયમ બની ગયેલો, ટેવ પણ કહી શકાય. હજી રાખી મૂક્યો છે ‘શબરી’-વાળા ઘરમાં. 

પરન્તુ મને એમાંના એક પણ સાધન પાછળની ટૅક્નોલૉજિ વિશે, એ ટૅક્નોલૉજિ છે એથી વિશેષ જ્ઞાન હતું નહીં. બલકે ‘ટૅક્નોલૉજિ’ શબ્દ ત્યારે મારા માટે વિવિધ સિદ્ધાન્તોનું એક અગમ્ય પડીકું હતો. 

મારો યુરપમાં છે એ આમસ્ટર્ડામવાસી પૌત્ર (૨૨ વર્ષનો) પીયાનિસ્ટ છે અને એણે હમણાં પોતાને માટેનું કમ્પ્યુટર જાતે જોડી કાઢ્યું છે. પીયાનો વગાડવાની એની શક્તિ માટે મને બહુ અચરજ નહીં થયેલું, જેટલું કમ્પ્યુટર જોડી કાઢનારી એની આવડત માટે થાય છે. હું તો કોઈ નાના મશીનના પણ છૂટાછૂટા ટુકડા જોઈને ગભરાઈ જઉં છું. 

હું કપડવણજ કૉલેજમાં હતો, ત્યારે જીવનમાં પહેલું સ્કુટર ખરીદેલું, એની બનાવટ વિચિત્ર હશે કે ભૂલભરેલી, વારે વારે બગડતું’તું. એક વાર કપડવણજના મિકેનિકે એના ઘણા બધા પાર્ટ્સ એક મોટી ટ્રેમાં વેરવિખેર રાખી દીધેલા. ત્યારે મને ચિન્તા થયેલી કે દરેક પાર્ટને એ એના સહભાગી પાર્ટ સાથે શી રીતે જોડશે : અરે સાહેબ, આ તો મારો રાતદિવસનો ધંધો છે, ડોન્ટ વરી : એણે મારી ચિન્તાને ઓલવી નાખેલી. કેમ કે, એ જાણતો હતો એટલા મિકેનિઝમથી પોતે માહિર હતો, અનુભવી હતો. 

અમેરિકામાં વસતા મારા બન્ને પૌત્રો ભણીગણીને હવે દૂરના શ્હૅરમાં જૉબ કરે છે. મોટો પુત્ર (૨૫ વર્ષનો) માસ્ટર ઑફ કમ્પ્યુટર સાયન્સ ભણીને સિયેટલમાં રૉકેટ બનાવનારી એક મોટી કમ્પનીમાં કામ કરે છે. રોકેટની વાતોમાં એણે મને ઍલન મસ્કની કમ્પનીનું SpaceX Falcon 9 રૉકેટ ઑર્બિટમાં બધો પે-લોડ મૂકી આવે ને સમુદ્રમાં રાખવામાં આવેલા ડ્રોન-શિપ પર પાછું આવીને પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય, એ સરસ પ્રકારે વર્ણવી બતાવેલું. મેં એ જાણ્યું ત્યારે આશ્ચર્ય થયેલું કેમ કે દીવાળીમાં આપણે ઉડાડેલી હવાઇ તો કોઈની ય અગાશીમાં જઈ પડે ને આગ પણ લગાડે !  

એનાથી નાનો પૌત્ર (૨૨ વર્ષનો) ઍક્ચ્યુરિયલ સાયન્સ ભણ્યો છે, મિનિયાપોલીસમાં એક મોટી કમ્પનીમાં કામ કરે છે. મેં એને ઍક્ચ્યુરિયલ સાયન્સ શું છે એમ પૂછેલું કેમ કે કારકિર્દીમાં એ શબ્દ પહેલી વાર સાંભળેલો. એણે વિસ્તારથી સમજાવેલું. ગણિત-આધારિત આ વિજ્ઞાનમાં રિસ્ક મૅનેજમૅન્ટનું અધ્યયન થતું હોય છે. આ વિષય શીખેલી વ્યક્તિઓ પોતાના જૉબમાં મોટી મોટી કમ્પનીઓના કે વ્યક્તિઓના વ્યવસાયના આર્થિક પાસાંને અડતા-નડતા પ્રશ્નોના ઉકેલ સૂચવે છે. વગેરે. ગણિતને અને મારે બારમો રાહુ છે. એની સાથે જોડાયેલી કોઈપણ વસ્તુ મારા માટે સમાચાર હોય છે. 

+ +

મારા પૌત્રોની જેમ જે યુવકો-યુવતીઓ આ વેગવન્ત ટૅક્નોલૉજિના સમયમાં ભણીગણીને મોટાં થયાં છે, તેમની પાસે સૌથી મોટો ગુણ છે, પૅશન – કોઇપણ કામ સિદ્ધ ન થાય ત્યાંલગી એ પાછળ મંડ્યા રહેવું તે. એ દરમ્યાન એમને નેટિવ કે ઇમ્મિગ્રન્ટ, બ્લૅક કે વ્હાઇટ, કશા જ ભેદ નડતા નથી કેમ કે તેઓ તેમાં માનતા જ નથી. લગભગ દરેક વસ્તુની કરામત કે મરામત માટેનો એમનો ટૅક્નિકલ ‘નો-હાવ’ પણ ઘણો હોય છે. આજની શોધખોળોથી એ લોકો માહિતગાર રહે છે અને તે માટે સતત કમ્પ્યુટર સાથે એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલાં રહે છે, અલબત્ત, એટલાં જ તેઓ વીડિયો-ગેમ્સમાં પણ વ્યસ્ત રહી શકે છે.

આપણે ત્યાં ભારતમાં એક જમાનામાં સરકારી નોકરીની બોલબાલા હતી કેમ કે કામચોરી કરનારને ભરપૂર તકો મળે. એ પછી, ન-સરકારી પબ્લિક સૅક્ટર્સમાં નોકરીઓ મળે, એ સારું ગણાવા લાગ્યું. એ પછી, પ્રાઇવેટ સૅક્ટર્સમાં જૉબનો મહિમા વધ્યો. એ તો ઠીક, પણ 1992-થી હું ભારત-અમેરિકા-ભારત એમ આવ-જા કરું છું, ત્યારથી અને એ દરમ્યાન, મને બે શબ્દપ્રયોગો બહુ ગમવા લાગ્યા છે — ‘વર્કોહોલિક’ અને ‘વર્ક કલ્ચર’. 

‘આલ્કોહોલિક’ એટલે દારુડિયો, પણ ‘વર્કોહોલિક’ એટલે નોકરીધંધા માટે સૉંપેલું કામ કરતાં કંટાળે નહીં, પણ લગનથી કામને ચાહ્યા કરે એવો કામઢો મનુષ્ય. યુ.ઍસ.એ.ની ચૂંટણીના પરિણામને બીજે દિવસે મેં મારા ઍન્જિનીયર દીકરાને પૂછેલું કે તારી કમ્પનીમાં સાથીઓએ ટ્રમ્પ કે કમલા વિશે કેવાક પ્રતિભાવ આપ્યા. તો ક્હૅ, ખાસ કંઈ નહીં, અમારે ત્યાં કામની જગ્યાએ કોઈ એવી વાતો કરે નહીં, સૌ પોતાનું કામ કરે, કે કામ વિશે ચર્ચા કરે. એની કમ્પની છે, Caterpillar, જેના વિશ્વભરની શાખાઓમાં થઈને કુલ ઍપ્લોયીઝ છે, ૧,૧૩,૨૦૦. એવી મહાકાય કમ્પનીઓ એવા કામગરા લોકોને કામ કરવું હમેશાં ગમે તેવા વાતાવરણનું નિર્માણ કરતી હોય છે, કામનો ત્યાં ઉછેર થતો હોય છે, અને કમ્પનીનો વિકાસ થતો હોય છે. એને ‘વર્ક કલ્ચર’ કહેવાય છે. 

હા, એ યુવક-યુવતીઓ ‘ડિજિટલ એજ’-માં જનમ્યાં છે તેથી એમની કારકિર્દી પણ એ દિશાના પરિવેશમાં જ વિકસી રહી છે. એટલે એમને ‘ડિજિટલ નેટિવ્ઝ’ કહેવાય છે. એમને માટે ટૅક્નોલૉજિમાં પ્રવેશવું અઘરું તો નથી જ હોતું પણ પ્રાપ્ત થતી માહિતી કે સમજદારીને કઈ દિશામાં નૅવિગેટ કરી શકાય તેની વિકસિત સુઝબૂઝ હોય છે. તેઓ ‘ક્લાઇમેટ ચેન્જ’, વીજળી વગેરેનો વપરાશ -‘પાવર કન્ઝમ્પશન’, ‘સાયબરસીક્યૉરિટી’, ‘ગ્લોબલાઇજેશન અને વર્લ્ડ-પોલિટિક્સ’ જેવા પ્રવર્તમાન પ્રશ્નો વિશે ખાસ્સા જાગ્રત હોય છે. 

આ બધું પણ મારા માટે માત્રસમાચારો છે.

એવું મનાય છે કે આ ડિઝિટલ નેટિવ્ઝની કારકિર્દી બની રહે ત્યાંસુધીમાં તો તેઓએ જીવન અને કાર્ય વચ્ચે સંતુલન કેમ સ્થપાય તેની નીતિરીતિ – પૉલિસીઝ – આત્મસાત્ કરી લીધી હશે. એને કારણે પોતાના નોકરીધંધાની કે કામની જગ્યાએ, જેને ‘વર્કસ્ટેશન’ કહેવાય છે, ત્યાં કામને કેમ અર્થપૂર્ણ બનાવવું, તેમાં કેટલી અને કેવીક સરળતા હાંસલ કરવી, વગરે માનસિકતા પણ કેળવી લીધી હશે. તેઓ એક અ-પૂર્વ વર્કફોર્સ હશે. કહે છે કે વિકાસ માટે એ વર્કફોર્સમાંથી અનોખી ગુણવત્તા ધરાવતી વ્યક્તિઓ પર ટૅક્નોલૉજિ અને પોલિટિક્સ બન્નેને વિશ્વાસ પડશે.  

‘કોવિડ’-ના અસ્ત પછી, ઘરે બેસીને ઑનલાઇન વર્કની સગવડ પછી, વર્કફોર્સનો એક નવતર પ્રકાર પણ પ્રગટ્યો છે, જેને ‘GIG કલ્ચર’ કહેવાય છે -એક એવું વાતાવરણ જેમાં યુવક કે યુવતી ફ્રી-લાન્સર તરીકે સર્વથા મુક્ત રહીને પોતાનું નૈપુણ્ય પ્રયોજે અને કોઈપણ કમ્પનીનું કે જરૂરતમંદ વ્યક્તિનું કામ કરી આપી શકે. એણે કમ્પનીની તમામ શરતો સાથે બંધાવાની જરૂર નહીં કે કમ્પનીએ પણ એને વાર્ષિક પગાર અને બીજાં પર્ક્સ આપવાની ઝંઝટ નહીં. GIG એટેલે શું? એ પોતાના જોર પર ઊભેલો એક સ્વાયત્ત શબ્દ છે. એનો અર્થ છે, રશ્મીતાને અમારી એક કામવાળી ક્હૅતી’તી એ, સીધો ને સાદો, કે – બેન! કૉમથી કૉમ, પૈસાથી પૈસા! 

+ +

હરારી ટૅક્નોલૉજિનાં ભાવિ જોખમો, ખાસ તો AI -નાં, એમનાં અગાઉનાં પુસ્તકોમાં તેમ “Nexus”-માં પણ સારી રીતે વર્ણવી રહ્યા છે. પણ AI -નો મુદ્દો તેઓ જ્યારે ને ત્યારે છેડે છે, એ મને નથી ગમ્યું. ચિન્તનમાં તો ઠીક, પણ કોઈ મુદ્દાનું લખાણમાં ય અકારણ પુનરાવર્તન કોઈ કરે, મને નથી ગમતું. મારામાં ય થતું હશે પણ મારી સાવધાનીના ધૉરણે તો નહિવત્! અલબત્ત, હરારીએ AI -ના ગુણ પણ જોયા જ છે, એથી ટૅકનોલૉજિને મળી રહેલી મદદોની ય એમને જાણ છે, સરવાળે ઊભી થતી સુખસગવડોની ય એમને ના નથી, પણ ટૅક્નોલૉજિ સામે નીતિમત્તાનો મુદ્દો એમને ચિન્ત્ય લાગ્યો છે, ભલે AI સંદર્ભે અતિશય, પણ મુદ્દો ચિન્ત્ય તો છે જ. 

એ સાચું છે કે AI લગી વિકસી ચૂકેલી ટૅક્નોલૉજિ, એ યુવક-યુવતીઓને એક પૅશનેટ અને ઑથેન્ટિક જીવન જીવવાની તક આપે છે, સામાન્ય મનુષ્યોને જાતભાતનાં સુખોની સગવડ આપે છે. તેમછતાં, એ ઘણુંબધું હરી લે છે. એ યુવક કે એ યુવતી ઝંખે તો પણ માતૃભાષા કે પિતૃભાષા પૂર્ણપણે શીખી શકે નહીં. વ્હાઇટ-નૉનવ્હાઇટનો ભેદ ભૂલીને કરેલું લવ-મૅરેજ પણ એ બન્ને માટે ઇમોશનલ રઘડો સરજી શકે છે. ટૂંકમાં, ટૅક્નોલૉજિસંગત દુનિયા સાથે જોડાવા માટે વ્યક્તિએ પોતાના સંસ્કારોથી, પોતાની ટેવોથી, પોતાની નીતિરીતિથી, પોતાની પરમ્પરાઓથી, પોતાની સંસ્કૃતિ-સભ્યતાથી ખાસ્સા મુક્ત થવું પડે એમ છે. દેખીતું છે કે સરેરાશ ભારતવાસીને ઘણી વાર લાગવાની છે.

અતિશયિત ટૅક્નોલૉજિને રાજકારણ રોકી શકે પણ રાજકારણ અને ટૅક્નોલૉજિ બન્નેનાં લટિયાં ગૂંચવાયેલાં હોય છે અને પાછાં એ બન્ને પ્રજાના કલ્યાણનો દાવો કરે છે. તેથી એને હું એક ટ્રૅપ ગણું છું, એ દિશામાં ન વિચારાય. 

એટલે, ટૅક્નોલૉજિની પોતાની પણ કશીક નૈતિક જવાબદારી ખરી કે કેમ એમ હરારી વગેરે સૌ સુજ્ઞો પૂછી રહ્યા છે, તે સમુચિત છે. ટૅક્નોલૉજિનું નૈતિક દાયિત્વ – ઍથિકલ ઑબ્લિગેશન – એક સળગતો વૈશ્વિક મુદ્દો છે. મુખ્ય અપેક્ષા તો એ છે કે એ વ્યક્તિની અંગતતા પર તરાપ ન મારે બલકે બધા જ પૅરામીટર્સથી પારદર્શક હોય.  

બે કહેવત છે આપણી ભાષામાં : ‘સોનાની છરીથી શાક સમારાય, પેટમાં ન ખોસાય’. ‘તલવારથી દૂધી ન સમારાય, માથું વાઢી લેવાય’. વસ્તુના ખરા ઉપયોગ વિશેની બન્ને કહેવતો ટૅકનોલૉજિનો શો ઉપયોગ કરવો તે વિશે સૂચક છે. બીજાઓ જે નક્કી કરે એ, પણ વ્યક્તિ તો શાણપણ વાપરી શકે છે. એટલે, ટૅક્નોલૉજિ કે પોલિટિક્સ એ બન્નેથી પરે, મને, વ્યક્તિને, પોતાના કલ્યાણનો રસ્તો શોધી લેતાં આવડવું જોઈશે, નહીં આવડતું હશે, તો એ રસ્તે ચાલનારને મારે પૂછી લેવું જોઈશે.

ક્રમશ:
(10Nov24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દુર્ઘટનામાંથી બોધપાઠ લેવાતો નથી, પણ બીજી દુર્ઘટનાનું મૂરત નીકળે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 November 2024

રવીન્દ્ર પારેખ

દિલ્હીનાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના રિપોર્ટમાં એવું આવ્યું છે કે વિષમ હવામાનને કારણે નવ મહિનામાં દેશમાં 3,238 મોત થયાં છે. આખા દેશે 274માંથી 255 દિવસ વિષમ હવામાનનો સામનો કરવાનો આવ્યો છે, જેની ટકાવારી કાઢીએ તો 93 ટકાથી વધુ આવે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર, 2024 સુધીમાં પૂરને કારણે 1,376 લોકો અને વીજળી પડવાને કારણે 1,021 લોકોનાં મોત થયાં છે. ખેતીની 32 લાખ હેક્ટર જમીન ખરાબ હવામાનથી પ્રભાવિત થઈ છે અને 2,35,862 મકાનો કે ઇમારતોનો નાશ થયો છે. આ હવામાનને લીધે જ 9,457 પશુઓનાં મોત થયાં છે. હવામાનની અસરને લીધે જાનહાનિ મધ્ય પ્રદેશ, કેરળ, આસામ જેવાં રાજ્યોમાં વધુ થઈ છે, જ્યારે મકાનો સૌથી વધુ આંધ્ર પ્રદેશમાં નષ્ટ થયાં છે. વિષમ હવામાનને કારણે પાકનું સૌથી વધુ નુકસાન મહારાષ્ટ્રમાં થયું છે. દિલ્હીમાં દર વર્ષે શિયાળો ગૂંગળાવનારો આવે છે, પણ તેનો કાયમી ઉકેલ જડતો નથી, તેનું મુખ્ય કારણ રસ્તાઓ પર ખાનગી વાહનોની વધતી જતી સંખ્યા છે. તેની સામે બસ પ્રવાસીઓ ઘટ્યા છે. 2022-2023માં દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં રોજ 25 લાખ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા, તેમાં છેલ્લા દાયકામાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે ને તેની સામે ખાનગી વાહનોની સંખ્યામાં બેફામ વધારો થતાં પ્રદૂષણ વધ્યું છે. આનો ઘોંઘાટ શિયાળા પૂરતો ચાલશે ને પછી આવતા શિયાળામાં ફરી તેમાં જીવ આવશે. 

આમાં કુદરતી આફતો જેટલી જ જવાબદારી માનવ સર્જિત આફતોની પણ છે. 

ગયા મે મહિનાની 26 તારીખે રાજકોટના કાલાવડ રોડ પરના ટી.આર.પી. ગેમ ઝોનમાં ત્રણેક હજાર લિટર પેટ્રોલે જે સર્વનાશ વેર્યો તેણે નિર્દોષ બાળકો સહિત કેટલાક જીવોનો ભોગ લીધો. તે એટલી હદે ભડથું થયાં કે અગ્નિસંસ્કારની જરૂર જ ન રહી. એ પછી આખા રાજ્યમાં તપાસના જે નાટકો ચાલ્યાં તેણે નિર્દોષોને ભેરવવાનું અને જવાબદારોને રક્ષવાનું કામ કર્યું. આવી ઘટનાઓ ક્યારેક મિશનની સાથે કમિશનનું બજાર પણ ઊભું કરી આપે છે. અઠવાડિયામાં માંડ બે ત્રણ અગ્નિશમન યંત્રો ખપતાં હતાં તેમાં એવી ખરીદી સુરતમાં નીકળી કે બે જ દિવસમાં 10 કરોડનાં 50,000 અગ્નિશમન યંત્રો ખપી ગયાં. 

સુરતની જ વાત કરીએ તો બે ગેમ ઝોનના 8 માલિકો સામે ગુનો નોંધાયો. સુરતની તમામ 1,650 સ્કૂલોમાં 124 ટીમો ફાયર સેફટીની તપાસ માટે કામે લાગી. ત્રણ જ દિવસમાં 224 મિલકતો સીલ થઈ. 4 મલ્ટિપ્લેક્સ લાઇસન્સ વગર જ ચાલતાં હતાં તે ધંધે લાગ્યાં. કાપડ માર્કેટોને ફાયર સેફટીની વ્યવસ્થા કરવાની તાકીદ કરાઈ. લગભગ અડધા શહેરને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સીલ મારી દીધું. વલસાડ, બારડોલી એમ બધે જ તપાસ તપાસ થઈ રહ્યું. એમ લાગ્યું કે હવે ફાયર સેફટીને મામલે સુરતને કહેવું નહીં પડે.

પણ, સિટીલાઇટ ખાતે આવેલાં શિવપૂજા બિલ્ડિંગના ત્રીજા માળે ગયા બુધવારની રાત્રે સાડા સાતના સુમારે જિમ ઇલેવન અને સ્પાની મીટર પેટીમાં આગ લાગતાં સ્થાનિકોમાં નાસભાગ મચી ગઈ. ફાયરની ગાડીઓએ આગને તો કાબૂમાં લીધી, પણ ત્યાં સુધીમાં ગૂંગળામણથી બે યુવતીઓનાં મોત નીપજી ચૂક્યાં હતાં. સ્પામાં ચાર મહિલા અને એક વોચમેન, એટલાં જ હતાં, કારણ દિવાળીને લીધે બધું બંધ હતું. બીજો કોઈ દિવસ હોત તો જાનહાનિ મોટી થઈ હોત. ધુમાડા નીકળતા સિક્કિમની બે મહિલાઓ અને વોચમેન તો ભાગી છૂટ્યાં, પણ બે મહિલાઓ જીવ બચાવવા બાથરૂમમાં ભરાઈ. ધુમાડો વધવાને કારણે ગૂંગળામણને લીધે બંને મહિલાઓ મૃત્યુ પામી. બાથરૂમમાં, સ્પા અને સલૂનમાં વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા જ ન હતી.

આ મામલે જિમના સંચાલક શાહનવાઝ વસીમ અને સ્પા સંચાલક દિલશાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ગમ્મત એ છે કે લાઇસન્સ વગર જ દિલશાન સ્પા ચલાવતો હતો. જિમ સંચાલક વસીમ વિરુદ્ધ તો 2023માં ઉધના ખાતેના જિમ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી છે. ‘શિવપૂજા’ મામલે પોલીસને એ જાણવા મળ્યું કે આરોપીએ ફાયર વિભાગની એન.ઓ.સી. ન હોવા અંગેની બબ્બે નોટિસો છતાં તેની ધરાર અવગણના કરી હતી અને ફાયર એન.ઓ.સી. લીધું જ ન હતું. વાત એટલી જ નથી, સ્પા ચલાવવા માટેનું ગુમાસ્તાનું લાઇસન્સ પણ લેવાયું નથી ને લાઇસન્સ અંગે પોલીસે પૂછ્યું તો એ જૂઠાણું ચલાવાયું કે લાઇસન્સ આગમાં બળી ગયું છે. શિવપૂજા શોપિંગ સેન્ટરને તો અગાઉ પણ સીલ મારવામાં આવ્યું હતું, પણ રાજકીય વગ કામે લાગતાં સીલ ખોલી દેવાયું હતું. સવાલ એ છે કે પાંચેક મહિના પહેલાં ફાયર સેફટીને નામે જે ઝુંબેશ ચાલી ત્યારે શિવપૂજા તરફ કોર્પોરેશનની નજર ગઈ હતી કે રાજકીય રહેમ નજર જ સર્વોપરી રહી હતી? કોર્પોરેશનને એ પણ ખબર હશે જ કે શિવપૂજા સેન્ટરની ટેરેસ પર પતરાંના શેડમાં બીજું જિમ પણ ચાલે છે. આ મામલે જિમ અને સ્પાના સંચાલકો તો જવાબદાર છે જ, પણ ફાયર વિભાગ થોડો સજાગ હોત અને તેણે આ બિલ્ડિંગમાં ફાયર સેફટી અને વેન્ટિલેશનની વ્યવસ્થા ઊભી કરાવી હોત તો થોડા દિવસ પર જ નોકરીમાં જોડાયેલી સિક્કિમની બે મહિલાઓના જીવ બચી ગયા હોત. જો કે, જીવની કોઈને જ હવે બહુ પડી નથી. જીવ હવે એટલા સસ્તા થઈ ગયા છે કે તે આવે કે જાય, બહુ ફરક પડતો નથી. આ બધાંમાં એટલું થયું કે જિમ સંચાલકની ધરપકડ થઈ. 

સાચું તો એ છે કે હવે જીવ બચાવવા કરતાં પૈસા બચાવવાનો ચસ્કો કમાણીખોરોમાં વધ્યો છે. ઓછી સગવડે વધુ નફો એ મંત્ર છે. બને ત્યાં સુધી સગવડો ન આપવી ને લોકોને ખંખેરીને હોજરી કેમ ઠાંસવી એ બહુ કમાતા દગાખોર લોકોનો હેતુ હોય છે. સ્પા, ગેઇમ ઝોન, હોટેલ્સ કે જિમ ગમે ત્યાં ઊભાં કરી દેવાં ને લાઇસન્સ વગર જ શરૂ કરી દેવાનો સંકોચ માલિકો કે સંચાલકોને ખાસ થતો નથી. કોઈ તપાસ આવે તો પતાવીને કે પટાવીને કામ કાઢી લેવાય છે. તપાસ અધિકારીઓ એટલા વેચાઉ હોય છે કે એવી તો બજારુ સ્ત્રીઓ પણ નથી હોતી. તેને જેટલું સ્વમાન વહાલું છે, એટલું પણ આ વેચાઉ અધિકારીઓને નથી હોતું. એનું પરિણામ ગ્રાહકો ભોગવે છે. તેની પાસેથી ઓછું લેવાતું નથી, પણ ઓછું અપાય છે ખરું. આગ લાગે તો મરે કે બળે છે ગ્રાહકો. કોઈ સંચાલક બળતો નથી. પૈસા લઈને ગ્રાહકોને ફૂંકવાનું કામ સંચાલકો કરે છે. એ એટલે બને છે કે લાઇસન્સ આપવામાં કે ફાયર સેફ્ટીમાં, જવાબદાર અધિકારીઓ કન્સેશન આપીને કમિશન ચાટે છે. અધિકારીઓ સંચાલકો જેટલા જ જવાબદાર છે ને તેમની સામે કાનૂની રાહે કામ લેવાવું જોઈએ, પણ વાઘને કોણ કહે કે તારું મોં ગંધાય છે?

ઉપરાઉપરી ઘટનાઓ બનતી રહે તો તેનો અર્થ એટલો કે સ્વાર્થ જ એટલો છે કે સંવેદનને સ્થાન જ નથી. ‘શિવપૂજા’ની બુધવારની ઘટના પછી બીજે જ દિવસે – ગુરુવારે સુરતનાં ઝાંપાબજારમાં દેવડી સ્થિત નૂરમહોલ્લાના નૂરપુરા એ.સી. હોલમાં સિઝલરનો એટલો ધુમાડો ઊઠયો કે ઓક્સિજન લેવલ ઘટી ગયું ને વીસ મહિલાઓ ચક્કર આવતાં બેહોશ થઈ ગઈ ને તેમને ટાવર રોડની બુરહાની હોસ્પિટલે ખસેડવી પડી. તેમાંથી દસને તો પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી. 

હોલમાં એક એક ટનનાં પાંચ એ.સી. લગાવવામાં આવ્યાં છે, પણ વેન્ટિલેશનની સગવડ નથી કે નથી તો ફાયર સેફટીની, એટલે એક સાથે ગરમ સિઝલર્સ પીરસવાની શરૂઆત થતાં જ આખા હોલમાં ધુમાડો છવાઈ ગયો. વેન્ટિલેશનનાં ઠેકાણાં ન હોવાને કારણે ઓક્સિજન લેવલ ઘટી ગયું ને ત્યાં ભેગી થયેલી મહિલાઓને ચક્કર આવતાં બેહોશ થવા માંડી. અહીં પણ હોલના સંચાલકોની બેદરકારી જ સામે આવી. આ હોલ નૂરપુરાના બેઝમેન્ટમાં છે. હોલમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાને કારણે કોર્પોરેશને નોટિસ આપી હતી, પણ નોટિસને ઘોળીને પી જવાતાં છેવટે સીલ મારી દેવાયું છે. 

સાધારણ રીતે બે પ્રકારની ગુનાહિત બેદરકારી જોવા મળે છે. એકમાં પાલિકાના અધિકારીઓ ભીનું સંકેલે છે, તો સાવચેતીનાં પગલાં લેવાય છે, ત્યાં સંચાલકો એ પગલાંને ધરાર અવગણે છે ને સરવાળે ભોગ ગ્રાહકોનો લેવાય છે. તે પૈસા ખર્ચીને જીવનું જોખમ ખરીદે છે. હવે એવું થયું છે કે અગાઉની ઘટનામાંથી કોઈ બોધપાઠ લેતું નથી, પણ એક દુર્ઘટના, બીજી નવી ઘટનાનું મૂરત કાઢી આપે છે ને એમ જોખમોની પરંપરા સર્જાય છે …. ને સૌથી ચિંતાજનક બાબત કોઈ હોય તો તે એ છે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 નવેમ્બર 2024

Loading

અમેરિકામાં ટ્રમ્પોત્સવઃ નક્કર વચનોના ‘નેરેટિવ’ સામે સલૂકાઇ હારી ગઇ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|10 November 2024

વર્તમાન તંત્રની ખામીઓ સામે લોકોના રોષ પર ખેલાયેલી ટ્રમ્પની રાજ રમત, બોલ્ડ વાયદાઓ, દુ:શ્મનોને નાથી દેવાના એજન્ડાનું શક્તિપ્રદર્શન, અત્યારની આર્થિક સ્થિતિને કારણે નિમ્ન સ્તરના લોકોની હેરાનગતિ અટકાવવાની વાતને મતદારોએ ટેકો આપ્યો

ચિરંતના ભટ્ટ

અમેરિકામાં આજે ‘ટ્રમ્પ ઘેર આનંદ ભયો’નો માહોલ છે. અમેરિકામાં ચૂંટણી પહેલાં જેટલા પણ પોલ્સ થયા એમાં દર દસ પોલ્સમાંથી સાત પોલ્સમાં એવી વાત હતી કે દેશમાં ધરમૂળથી બદલાવ થાય એ ઘડી આવી ચૂકી છે અને હવે અમેરિકાનું નેતૃત્વ બહુ જ અલગ હાથમાં જશે અને કમલા હેરિસ દેશનું સુકાન સંભાળશે એવી ચર્ચાઓ ચાલતી હતી. પણ બધા દાવા ખોટા ઠર્યા. ડોનાલ્ડ ટ્રમ્પ જેની પર જાતભાતના આક્ષેપો થયા છે, જેના વિચારોના વિરોધ કરનારાઓની કોઈ ખોટ નથી, જેના ટેકેદારો કેપિટલ હીલ પર ફરી વળ્યા હતા અને જેના વિવાદાસ્પદ વિધાનોનો કોઇ પાર નથી તે ફરી એકવાર વ્હાઇટ હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે અને એ પણ ધામધૂમથી. ડેમોક્રેટ્સના સૂપડાં સાફ કરીને ટ્રમ્પેટ વગાડતા વગાડતા ટ્રમ્પ ઓવલ ઑફિસમાં ફરી ગોઠવાઇ જવાના છે.

ટ્રમ્પની જીતનાં કારણોનું વિશ્લેષણ થઇ ચૂક્યું છે પણ આપણે સાથે એ પણ જોવું રહ્યું કે પ્રેસિડેન્શિયલ ડિબેટમાં છવાઇ ગયેલા કમલા હેરિસે ક્યાં કાચું કાપ્યું અને ટ્રમ્પનો અભિગમ પ્રમુખ તરીકે કેવો રહેશે. વળી એ પણ જોવું રહ્યું કે જે ભારતીયોએ અમેરિકાનો નકશો જોવાનો પણ હજી પ્લાન પણ નથી કર્યો એ આપણા દેશબંધુઓ ટ્રમ્પની જીત પર આટલા બધા ગેલમાં કેમ આવી ગયા તો વળી જિઓ પોલિટિક્સ – ભૌગોલિક રાજકારણ પર વૈશ્વિક સ્તરે ટ્રમ્પનું અમેરિકાના પ્રમુખ હોવું કેવો પ્રભાવ પાડશે. આ એવી બાબત છે કે તેમાં જેટલાં પાસાં નાણવાં હોય એટલાં નાણી શકાય અને બધી જ શક્યતાઓ પર વાત કરી શકાય, એમાંથી અમુક મુદ્દાઓ પર આજે નજર કરીએ.

હેરિસની હાર

કમલા હેરિસ

કમલા હેરિસના કિસ્સામાં પાડાને વાંકે પખાલીને ડામ વાળું થોડું ઘણું તો થયું જ છે. જો બિડેનની સત્તામાં જે પણ ખોટાં પગલાં લેવાયાં અથવા તો તેમના લીધેલાં પગલાંની જે પણ આડ અસર પડી, તેનો બોજો કમલા હેરિસને માથે હતો જ અને તે ખંખેરવું તેમને માટે શક્ય નહોતું.  મોંઘવારીની વાત કરીએ તો અત્યારે અમેરિકામાં લોકો તોબા પોકારે છે. કોવિડ-19 રોગચાળા પહેલાં ટ્રમ્પની સરકાર વખતે જે કિંમતે અમેરિકન બજારો દોડતાં ત્યાં ફરી પહોંચી શકવામાં બિડેન સરકાર નિષ્ફળ રહી. હેરિસની લોકશાહીની વાતોની કે ટ્રમ્પની વિભાજનકારી માનસિકતાની વાતોની મોંઘવારી પર કોઇ અસર નથી થવાની એ લોકોને સમજાયું અને કઠ્યું. કમલા હેરિસની પ્રતિભા ગમે એટલી મજબૂત હોય પણ તે અમેરિકન મતદારોના મનમાં એવી છાપ ન છોડી શક્યાં કે તે પોતે જ એ વ્યક્તિ છે જે અમેરિકામાં બદલાવ લાવી શકશે. કમલા હેરિસના છેવાડાના સુધી પહોંચેલા પ્રચાર કે તોતિંગ ચૂંટણી ફંડ પણ લોકોના મન મનાવવામાં કામ ન લાગ્યા. વળી પોતાની લીટી લાંબી કરવાના બદલે ટ્રમ્પની લીટી ટૂંકી કરવામાં ડેમોક્રેટ્સે વધારે જોર લગાડ્યું. ટ્રમ્પ વિરોધી નેરેટિવ ફેલાવનારા ડેમોક્રેટ્સ મતદાતાઓને ગોઠ્યા નહીં. તેની સામે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ના નારા સાથે મતદારો જોડાઇ શક્યા કારણ કે તેમને તેમાં પોતાનો ફાયદો દેખાયો. ‘વૉકિઝમ’માં માનનારા ડેમોક્રેટ્સે વાલોને પૂછ્યા વિના લિંગ પરિવર્તન કરાવી શકાય જેવા મુદ્દાઓને આગળ ધર્યા પણ લોકોને તો વાજબી ભાવ અને રોજગારીમાં રસ છે, તેમને રસ છે કે ગેરકાયદે પોતાના દેશમાં રહેતા લોકોના બોજથી તેમનો દેશ છૂટે. પોતે બહુ જાગૃત છે એવું બતાડવામાં ડેમોક્રેટ્સ લોકોની નાડ ન પારખી શક્યા અને જરાતરા હાથમાં આવેલી બાજી હાથમાંથી ગઇ. આ સાબિત કરે છે કે અંતે દરેક મતદાર પોતાનો લાભ જુએ છે, તેમને મોટી વૈશ્વિક દરજ્જાની વાતોમાં કે નિંદામાં – ખાસ કરીને ચૂંટણી ટાણે તો જરા ય રસ પડતો નથી.

ટ્રમ્પનો અભિગમ

ડૉનાલ્ડ ટૃમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ એક બેફામ માણસ છે – આ એક એવો પ્રમેય છે જે સાબિત કરવા માટે દાખલો કરવાની જરૂર જ નથી. ટ્રમ્પ પોતે અમેરિકાના પ્રમુખ પદને લાયક છે એ માનવા માટે તેને બીજા કોઇપણ દેશની મંજૂરી કે ટેકાની ગરજ નથી. એટલું જ નહીં એને તો અડધો અડધ અમેરિકા પણ જો પોતાનું વિરોધી હોય તો ય કંઇ ફેર પડે એમ નહોતું. ટ્રમ્પે પોતાની નીતિઓ માત્ર અમેરિકા લક્ષી જ હશે એવું અનેકવાર કહ્યું છે. માત્રને માત્ર પોતાના દેશના વિકાસ માટે સ્વાર્થીનું પ્રમુખનું લેબલ અન્ય દેશો તરફથી મળી જાય તો પણ ટ્રમ્પને લગીરેક ફેર નથી પડતો. ટ્રમ્પ એક બિઝનેસમેન છે, રિયલ એસ્ટેટ ટાયકૂન છે અને તે દેશનું તંત્ર પણ કોઇ કોર્પોરેટની માફક જ ચલાવવા માગે છે. અમેરિકા નામે દેશ તેની કંપની છે અને તે તેના આર્થિક વિકાસ સિવાય કશાયને મહત્ત્વ આપવા નથી માગતા, એટલે જ અન્ય દેશો સાથે પણ ટ્રમ્પ એ રીતે વાટાઘાટ કરશે જે અમેરિકાના ફાયદામાં હોય. અમેરિકાનું સૈન્યબળ તેની USP છે અને ટ્રમ્પ તેનો ઉપયોગ આર્થિક બળ વધારવા જ કરશે. યુદ્ધોમાં લપેટાવાને બદલે જે સાથી દેશો હોય તેમને શસ્ત્રો વેચીને છૂટી જવું ટ્રમ્પની શૈલી છે – ટ્રમ્પને કોઇ રસ નથી કે અમેરિકા વૈશ્વિક પોલીસ અધિકારી બને. વળી ટ્રમ્પ એક એવો પ્રમુખ છે જે એમ માને છે કે અમેરિકાને સીધો ફાયદો ન થતો હોય તો માનવાધિકારને પણ મહત્ત્વ ન આપવું જોઇએ.  યુક્રેઇન અને પૂર્વ એશિયાના સંઘર્ષોને દૂર ધકેલી દેવા કે અટકાવી દેવામાં ટ્રમ્પને રસ છે કારણ કે તેમના મતે એ બધા સંઘર્ષો અમેરિકન સ્રોતને ખાલી કરનારા છે. વૈશ્વિક નેતાઓ પછી તે મોદી હોય કે પુતિન કે પછી કિમ જોંગ અન – આ બધા ય સાથે ટ્રમ્પને અંગત રીતે સારાસારી જ રાખવી છે અને તે એમ કરશે જ. ટ્રમ્પ હંમેશાં ઘોંઘાટ કરનારા રાજકારણી રહ્યા છે અને તેમણે આખા તંત્રને હચમચાવીને બદલી નાખવાના દાવા મોટા અવાજે કર્યા જે લોકોએ માની લીધા છે. અન્ય દેશના જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર રહીને ત્યાંના અર્થતંત્રને નુકસાન પહોંચાડે છે તેમનો સામૂહિક દેશનિકાલ, ટેરિફ્સના ઊંચા દર, વહીવટમાં ધરમૂળથી ફેરફાર જેવા વચન આપીને ટ્રમ્પે લોકોને આડકતરી રીતે રોજગારી આપવાથી માંડીને મોંઘવારી ઘટાડવાના વચન આપ્યાં જેણે પણ લોકોને આકર્ષ્યા છે.

ટ્રમ્પની જીતથી ભારતને શું?

ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા એમાં આપણે ઘર આંગણે ઓચ્છવ થઇ ગયો. કોઇપણ વિશ્લેષણ વગરની સીધીસટ્ટ વાત એ છે કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની દોસ્તીના ચાહકોનો વર્ગ મોટો છે. દરેક ઉત્સાહીને આ દોસ્તીનાં રાજકીય કારણો ખબર હોવા જરૂરી નથી, મુદ્દો એ છે કે આપણા ‘સાહેબ’ને ટ્રમ્પ સાથે ફાવે છે, વાત પૂરી. આ ઉપરાંત વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ વાત કરીએ તો ટૅક્નોલૉજી, ડિફેન્સ, ઊર્જા અને સ્પેસને લગતાં કાર્યોમાં અમેરિકા સાથે આગળ વધવામાં ભારતને રસ છે. દ્વિપક્ષી વ્યાપાર વધારવાથી માંડીને કાયદાકીય સ્થળાંતરની તરફેણમાં કામ કરવા જેવા મુદ્દાઓ વડા પ્રધાન મોદીની યાદી પર છે. ટ્રમ્પનું ફરી અમેરિકાના પ્રમુખ બનવું ભારત માટે ફરી એકવાર પશ્ચિમી દેશોમાં મજબૂત છબી ખડી કરવાની તક સાબિત થશે. કેનેડા જેવા દેશો સાથે ભારતને જે ખેંચા-તાણી ચાલે છે એમાં બરાબર સોગઠી રમવું હવે ભારત માટે સહેલું થઇ પડશે, તો બીજી તરફ રશિયા સાથેના સંબંધોમાં સંતુલન સાધવામાં પણ ટ્રમ્પનો ટેકો ભારતને કામ લાગશે. ટ્રમ્પને ચીન જરા ય નથી ગમતું અને માટે જ ભારતને ચીનના વિકલ્પ તરીકે ગોઠવાઇ જઇ આર્થિક વિકાસ કરવાનું સહેલું થશે. ચીન સામે ઝીંક ઝિલવામાં ભારત અને અમેરિકાના વ્યૂહાત્મક હિત કામે લાગશે.

ટ્રમ્પને ભારતના આંતરિક રાજકારણ સાથે કંઇ જ લેવાદેવા નથી એટલે એ હસ્તક્ષેપ વિના સરહદી સુરક્ષાના મુદ્દામાં જ્યાં જરૂર પડશે ત્યાં મોદી સરકારને અમેરિકાની મદદ મળશે. જો કે આપણે યાદ રાખવું પડશે કે ટ્રમ્પ માટે ‘અમેરિકા ફર્સ્ટ’ એક માત્ર અગ્રિમતા છે એટલે ભારતને આર્થિક અને તકનીકી લાભો ચપટી વગાડતાં મળી જશે એવું માનવાની ભૂલ ન કરવી. આપણે તો અમેરિકાના બજારોમાં એન્ટ્રી કરવી છે પણ ટ્રમ્પ એટલો બધો છૂટો દોર ન પણ આપે. અમેરિકી બજારોની વેપાર ખાધ ઘટાડવા માંગતા ટ્રમ્પ ભારત સાથેની લેતી-દેતી જટિલ બનાવી દે એમ પણ બને. ભારતની ‘ઓપન માર્કેટ’ પોલિસી ટ્રમ્પને માફક ન પણ આવે.

સોશ્યલ મીડિયાનો ઉપયોગ

જેમ આપણે ત્યાં સોશ્યલ મીડિયા માર્કેટિંગમાં મોદી સાહેબ માહેર છે એ જ રીતે ટ્રમ્પે પણ ન્યૂ મીડિયાનો ઉપયોગ કરવામાં પાછું વળીને ન જોયું. ઇલોન મસ્ક અને ટ્રમ્પ એટલે જાણે એક તાંતણે બંધાયેલા બે જણા અને મસ્કનો ટેકો ટ્રમ્પને અણધારેલો લાભ કરાવી ગયો. અમેરિકામાં ગેરકાયદે રહેનારાઓના મુદ્દા પર હેરિસે કોઇ નક્કર ઉકેલ ન આપ્યા અને મસ્કની મદદથી ટ્રમ્પે એ મુદ્દો બરાબર ચગાવ્યો. મસ્કના ટ્વિટર પર જાણે ટ્રમ્પોત્સવ ચાલ્યો અને ડેમોક્રેટ્સ આ મામલે હાથ ઘસતા રહી ગયા.

ટૂંકમાં, દેશ બદલ રહા હૈ – બદલેગા-વાળું ગાણું અમેરિકન મતદાતાઓને મનાવી ગયું અને બે વાર ઇમ્પિચ થયેલા ટ્રમ્પ બીજી વાર પ્રમુખ બન્યા. વર્તમાન તંત્રની ખામીઓ સામે લોકોના રોષ પર ખેલાયેલી ટ્રમ્પની રાજ રમત, બોલ્ડ વાયદાઓ, દુ:શ્મનોને નાથી દેવાના એજન્ડાનું શક્તિપ્રદર્શન, અત્યારની આર્થિક સ્થિતિને કારણે નિમ્ન સ્તરના લોકોની હેરાનગતિ અટકાવવાની વાતને મતદારોએ ટેકો આપ્યો. પણ ટ્રમ્પનું પાછા આવવું અમેરિકામાં અછતને આધારે ચાલતી નીતિઓમાં બદલાવ લાવશે? આર્થિક કટોકટીને અંત આવશે? પ્રચારના વાયદા પૂરા થશે? આ બધા સવાલોનો જવાબ તો સમય આવ્યે જ અમેરિકનોને મળશે.

બાય ધી વેઃ

અમેરિકાના મતદારોને ‘પોલિટિકલી ઇનકરેક્ટ’ રહીને મનોરંજક અને તોફાની વિધાનો કરનારા ટ્રમ્પમાં વધારે વિશ્વાસ છે. સલામતી કે સંતુલનની વાતો કરનારા ડોમોક્રેટ્સની સુંવાળી વાતો તેમને ગળે ન ઉતરી. સામાન્ય માણસને ‘નેરેટિવ’ જોઇએ છે, વાયદા જોઇએ છે જે ટ્રમ્પે આપ્યા. આ રાજકીય ‘અફેર’ રસપ્રદ રહ્યું જ્યાં વ્યવહારુ વાતો કરનારી હેરિસને નિષ્ફળતા મળી પણ ચાંદ-તારા તોડવાની વાતો કરનારા ઝનૂની આશિક ટ્રમ્પે અમેરિકાના મતદારો, એવા મતદારો પણ જે ‘સ્વીંગ સ્ટેટ’માં હતા તેમને પણ પોતાની વાતોથી આંજી દીધા. જો ‘અચ્છે દિન’ની રાહ આપણે પણ જોઇએ છે પણ આપણને બીજે ક્યાંયથી અચ્છે દિન મળવાની ગેરંટી ન મળે ત્યાં સુધી જે એ વચન આપે છે એ પક્ષને ટેકો આપવાનું ભારતીય મતદારોને ફાવે છે એ દેખાઇ આવ્યું છે. ડેમોક્રેટ્સ મતદારોને પોતાની લડાઇના નક્કર કારણો ન આપી શક્યા અને ટ્રમ્પના બેફામ મુદ્દાઓ લોકોને ઠોસ લાગ્યા અને પરિણામ આપણી સામે છે. ભારત હોય કે અમેરિકા હોય કે યુ.કે. હોય – જો ઉમેદવાર લડાયક મિજાજનો ન હોય, સલૂકાઈ ભરી વાતો કરતો હોય તો મતદારોને એમાં ‘નેરેટિવ’ નથી મળતું અને ઉમેદવારને મત નથી મળતો એ આ રાષ્ટ્રોની ચૂંટણીના પરિણામોએ સાબિત કરી દીધું છે. શેરીમાં યુદ્ધ થતું હોય ત્યારે બારીમાંથી બૂમો પાડવાથી એ નથી જીતી શકાતું એ તમામ ડાબેરી – ઉદારમતવાદી રાજકારણીઓએ સમજવાની ઘડી આવી ગઇ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 નવેમ્બર 2024

Loading

...102030...494495496497...500510520...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved