Opinion Magazine
Number of visits: 9457118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તર પ્રદેશ બી.જે.પી.માં ઘમાસાણ યુદ્ધ

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2024

રમેશ ઓઝા

ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ની અંદર ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. કારણ છે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો થયેલો પરાજય. સવાલ એ છે કે આ પરાજય માટે જવાબદાર કોણ? કોના કારણે પરાજય થયો? પક્ષના કેન્દ્રીય નેતૃત્વના કારણે કે પછી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યના કારણે? અહીં થોડી હકીકત પર નજર કરી લઈએ. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ઉત્તર પ્રદેશની કુલ ૮૦ બેઠકોમાંથી ૭૧ બેઠકો મળી હતી. સહયોગી પક્ષોને બે બેઠક મળી હતી. આ રીતે એન.ડી.એ.ને ૭૩ બેઠકો મળી હતી. કુલ પડેલા મતોમાંથી ૪૨.૬૩ ટકા મત બી.જે.પી.ને મળ્યા હતા. એન.ડી.એ.ને ૪૩.૬ ટકા મત મળ્યા હતા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીની તુલનામાં બી.જે.પી.ની બેઠકમાં ૬૧નો વધારો થયો હતો અને મતમાં ૨૪.૮૦ ટકાનો. કોઈ પણ દૃષ્ટિએ અધધધ કહેવાય. આખો દેશ હેબતાઈ ગયો હતો, કારણ કે ૨૦૧૪ સુધી ઉત્તર પ્રદેશમાં બી.જે.પી. ત્રીજા ક્રમનો પક્ષ હતો.

એ પછી ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બી.જે.પી.ને કુલ ૪૦૩ બેઠકોમાંથી ૩૧૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષોને બીજી ૧૦. કુલ મળીને ૩૨૨ બેઠક અને ૪૦ ટકા કરતાં વધુ મત મળ્યા હતા. ૨૦૧૬ના નવેમ્બરથી ત્રણ મહિના નોટબંધીની હેરાનગતી અને તેનો ફિયાસ્કો થયો હોવા છતાં ય. દરેકના આશ્ચર્ય વચ્ચે યોગી આદિત્યનાથને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

એ પછી ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી થઈ જેમાં ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી અને સહયોગી પક્ષને બે બેઠકો મળી હતી. ૨૦૧૪ની તુલનામાં બી.જે.પી.ને નવ બેઠકોનું નુકસાન થયું હતું, પરંતુ તેને મળેલા મતમાં સાત ટકાનો વધારો થયો હતો. બી.જે.પી.ને લગભગ ૫૦ ટકા મત મળ્યા હતા. બેઠકો ઘટવાનું કારણ સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચેનું ગઠબંધન હતું. ૨૦૨૨માં કોવીડના કેર અને ખેડૂતોના આંદોલન પછી તરત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બી.જે.પી.ને ૨૫૫ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૫૭ બેઠકોનો ઘટાડો થયો હતો, પણ બી.જે.પી.ને મળેલા મતમાં ૧.૬૨ ટકાનો વધારો થયો હતો. સહયોગી પક્ષોને બીજી ૨૦ બેઠકો મળી હતી. એ સમયે ૫૭ બેઠકો ઘટી હોવા છતાં ખાસ ઊહાપોહ નહોતો થયો, કારણ કે ૨૫૫ બેઠકો કોઈ ઓછી નહોતી. એ સમયે સમાજવાદી પક્ષને માયાવતી અને કાઁગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કર્યા વિના ૧૧૧ બેઠકો મળી હતી, ૨૦૧૭ની તુલનામાં ૬૪ બેઠકોનો વધારો થયો હતો અને તેને મળેલા મતમાં સીધો દસ ટકાનો વધારો થયો હતો. ૩૨.૧ ટકા મત મળ્યા હતા. માયાવતી રેસમાંથી બહાર થઈ ગયાં અને અખિલેશ યાદવ પ્રતિદ્વંદી તરીકે સ્થાપિત થઈ ગયા. ઉત્તર પ્રદેશના રાજકારણે ૨૦૨૨ પછીથી કરવટ બદલવાનું શરૂ કરી દીધું હતું.

અને છેલ્લે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામ તમે જાણો છો. બી.જે.પી.ને ૩૩ બેઠક મળી, ૨૯ બેઠકોનો માર પડ્યો. બી.જે.પી.ને મળેલા મતમાં ૮.૬૧ ટકાનો ઘટાડો થયો. આની સામે ‘ઇન્ડિયા’ ગઠબંધનને ૮૦માંથી ૪૩ બેઠકો અને ૪૩.૫૨ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯ની તુલનામાં સીધો ૧૯ ટકાનો વધારો અને બી.જે.પી. કરતાં બે ટકા વધુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વારાણસી મતદાર ક્ષેત્ર સહિત દરેક જગ્યાએ બી.જે.પી.ના વિજેતા ઉમેદવારોની સરસાઈમાં મોટો ઘટાડો થયો હતો. વડા પ્રધાન મતગણતરી વખતે છ રાઉન્ડ દરમ્યાન પાછળ હતા. જો વીતેલી લોકસભાની ચૂંટણીનાં પરિણામોને વિધાનસભામાં પરિવર્તિત કરવામાં આવે તો બી.જે.પી.નો ૧૭૪ બેઠકો પર વિજય થયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પરાજય.

બી.જે.પી. માટે આ ચિંતાનો વિષય છે અને માટે મંથન શરૂ થયું છે, પરંતુ એ મંથને વમળનું સ્વરૂપ પકડ્યું છે. પરાજય માટે જવાબદાર કોણ? કેન્દ્રીય નેતૃત્વ કે પછી યોગી આદિત્યનાથ? કે પછી પરાજયને બહાનું બનાવીને પહેલાં યોગી આદિત્યનાથને વધેરી નાખવાનો ખેલ છે? યોગી આદિત્યનાથ હિંદુ આઇકન છે, લોકપ્રિય છે, ઉત્તર પ્રદેશની બહાર પણ તેમની એક ઓળખ છે, બી.જે.પી.ના મુખ્ય પ્રધાનોમાં માત્ર તેમને ચૂંટણી પ્રચાર માટે બીજાં રાજ્યોમાંથી આમંત્રણ આવે છે અને એમ કહેવાય કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જુએ છે. વિજયારાજે સિંધિયા અને શિવરાજ સિંહ ચૌહાણની સાથે જેમ બન્યું હતું એમ. આ સિવાય નરેન્દ્ર મોદીને યોગી માટે અણગમો છે એ પણ એક કારણ છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ભા.જ.પ.ના ઉત્તર પ્રદેશ એકમના ભૂતપૂર્વ પ્રમુખ કેશવ પ્રસાદ મૌર્યએ મોરચો ખોલ્યો હતો. પરાજય પછી ભા.જ.પ.ના ઉત્તર પ્રદેશ વિધાનસભા પક્ષની બેઠકમાં કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું હતું કે “સંગઠન સરકાર સે બડા હૈ, કાર્યકર્તાઓં કા દર્દ મેરા દર્દ હૈ.” એમ કહેવાય છે કે તેમના કથનને પક્ષના વિધાનસભ્યોએ અને અન્ય ઉપસ્થિત પક્ષના પદાધિકારીઓએ તાળીઓથી વધાવી લીધું હતું. કેશવ પ્રસાદ મૌર્યનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. તાળીઓ સાંભળીને તેમને એમ લાગ્યું હતું કે હવે પક્ષ તેમની સાથે છે, વિધાનસભ્યો તેમની સાથે છે, યોગી નબળા પડ્યા છે અને નરેન્દ્ર મોદી-અમિત શાહ તો તેમની સાથે જ. હવે સત્તાંતર વહેંત છેટું છે. ઉત્સાહમાં આવીને પક્ષની બેઠકમાં તેમણે જે કહ્યું હતું તે જ વાત “સંગઠન સે બડા કોઈ નહીં, કાર્યકર્તા હી ગૌરવ હૈ” એવું એક વાક્ય ઉમેરીને ટ્વીટ કર્યું. ઉત્સાહમાં ને ઉત્સાહમાં તેમના ધ્યાનમાં એક વાત ન આવી કે આ કથન પક્ષના સર્વોચ્ચ નેતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ લાગુ પડે છે અને પાછું યોગી આદિત્યનાથ કરતાં વધુ. કેશવ પ્રસાદ મૌર્યે એ ટ્વીટ ડિલીટ કરી નાખી.

પ્રશ્ન એ છે કે ઉત્તર પ્રદેશમાં બી.જે.પી.નો પરાજય કોના કારણે થયો? એકલા યોગી આદિત્યનાથ જવાબદાર છે? કેશવ પ્રસાદ મૌર્ય જે રાજકીય શૈલીની વાત કરે છે તો એ તો યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદીની એકસરખી છે. શું તુમાખીના ડબલ એન્જીને કામ કર્યું? જી હા, પહેલું કારણ તુમાખીનું ડબલ એન્જીન છે. બીજું કારણ ચારસો પાર અને મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો એવું વડા પ્રધાનનું કથન છે. બંધારણ અને અનામતની જોગવાઈ જોખમમાં છે એવું લોકોને લાગવા માંડ્યું હતું. ત્રીજું કારણ કાશી અને અયોધ્યા જેવા યાત્રાધામોને ટુરિસ્ટ પ્લેસમાં ફેરવીને તેનું કરવામાં આવી રહેલું વ્યવસાયીકરણ છે. મોટાં પ્રમાણમાં લોકોને હટાવવામાં આવ્યા, તેમની સંપત્તિ છીનવી લેવામાં આવી, બુલડોઝર ચલાવવામાં આવ્યા અને બહારના લોકો (સ્થાનિક લોકોમાં કહેવા મુજબ ગુજરાતીઓ) જમીનો ખરીદવા લાગ્યા. તીર્થધામોનું સૌંદર્યકરણ અને વ્યવસાયીકરણ એ નરેન્દ્ર મોદીનો એજન્ડા હતો, યોગી આદિત્યનાથનો નહોતો. આ સિવાય માયાવતીની ઘટતી તાકાત, અખિલેશ યાદવની વધતી તાકાત (જેના સંકેત ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં મળી જ ગયાં હતાં) અને રાહુલ ગાંધીની વધતી સ્વીકાર્યતા તેમના ધ્યાનમાં નહોતી આવી. તેઓ મદમાં હતા અને રામમંદિર પર ભરોસો રાખીને બેઠા હતા.

ટૂંકમાં ઉત્તર પ્રદેશના પરાજય માટે જેટલા યોગી આદિત્યનાથ જવાબદાર છે તેનાથી વધુ નરેન્દ્ર મોદી જવાબદાર છે. બીજું, યોગી આદિત્યનાથ સંઘના માણસ નથી જે અપમાન ખમીને પણ મોઢું બંધ રાખે. શરૂઆતમાં તેઓ બી.જે.પી.માં જોડાતા નહોતા, એક વાર બી.જે.પી. સામે બળવો પણ કરી ચુક્યા છે અને બી.જે.પી.માં જોડાયા પછી પણ તેમણે તેમની હિંદુ યુવા વાહિનીને વિસર્જિત નથી કરી. યોગી આદિત્યનાથ બળવો કરી શકે એમ છે અને જો લોકસભાની ૮૦ બેઠક ધરાવતા દેશના સૌથી મોટા રાજ્યમાં પક્ષમાં વિભાજન થાય તો ખેલ ખતમ થઈ શકે છે. અને એમ પણ કહેવાય છે કે સંઘ યોગીને નરેન્દ્ર મોદીના અનુગામી તરીકે જોઈ રહ્યો છે.

દરમ્યાન ઉત્તર પ્રદેશની વિધાનસભાની દસ બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે, જેમાં પાંચ બેઠકો પર ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પરાજય થયો હતો. માટે કેન્દ્રીય નેતૃત્વએ યોગી આદિત્યનાથને ફ્રી હેન્ડ આપ્યો છે. કરો જે કરવું હોય તે અને દસ બેઠકોમાંથી કમસેકમ છ બેઠકો જીતી બતાવો. કાવડફતવો આનું પરિણામ છે. એક ફકીર અને એક સંન્યાસી લગભગ એક સરખી અવસ્થામાં છે. બીજાને દર્પણ બતાવે તો પોતાનું મોઢું દેખાય. હા, એક ફરક છે; યોગી આદિત્યનાથ રોજેરોજ, કારણ વિના અને વધારે પડતું બોલતા નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (18)

દીપક મહેતા|Opinion - Opinion|24 July 2024

૧૮

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ

ફાર્બસ અને ગુજરાતના સંબંધની કથા એટલે પહેલી નજરના પ્રેમની એક કથા. એકવીસ વરસની ઉંમરે ફાર્બસ હિન્દુસ્તાન આવ્યા અને ૪૪ વર્ષની જિંદગીમાંથી લગભગ તેર વર્ષ તેમણે ગુજરાતમાં ગાળ્યાં. ૧૮૪૬ના નવેમ્બરમાં ફાર્બસ પહેલી વાર અમદાવાદ આવ્યા ત્યારે તે એક માંદું, મરવા પડેલું શહેર હતું. મુંબઈમાં પશ્ચિમની સંસ્કૃતિના જે વાયરા વાતા થયા હતા તેની નાનકડી લહેરખી પણ હજી અમદાવાદ સુધી પહોંચી નહોતી. અમદાવાદ એ વખતે ખંડેરોનું નગર હતું. હા, એ ખંડેરો ઊજળા ભૂતકાળની એંધાણી આપતા હતા. પણ એ શહેરના લોકોને પોતાના એ ભૂતકાળમાં જરા ય રસ નહોતો. કારણ રોજિંદું જીવન જ એટલું હાડમારી ભર્યું હતું કે બીજી કોઈ વાત અંગે વિચારવાનું તેમને માટે શક્ય જ નહોતું. જ્યાં અમદાવાદની આ સ્થિતિ હતી ત્યાં ગુજરાતના બીજા ભાગોની તો વાત જ શી કરવી? પણ કોણ જાણે કેમ, ફાર્બસ અમદાવાદ આવ્યા પછી તરત જ ગુજરાતના ભવ્ય ભૂતકાળ સાથે અનુસંધાન સાધી શક્યા હતા. તો સાથોસાથ ઘોર નિદ્રામાં પોઢેલા લોકોને ઢંઢોળીને જાગૃત કરવાની અને તેમને અર્વાચીનતાના વાયરાનો સ્પર્શ કરાવવાની જરૂરિયાતને પણ તેમણે ઓળખી લીધી હતી. પશ્ચિમના – ખાસ કરીને બ્રિટિશ – વિચારો, આદર્શો, પદ્ધતિઓ, સંસ્થાઓ વગેરેનો પરિચય ગુજરાતના લોકોને કરાવીને ફાર્બસે એ કામ કર્યું. બહુ સૂઝ, સમજ, કુશળતા અને કૂનેહપૂર્વક તેમણે બેવડે દોરે કામ કર્યું. એક બાજુથી તેમણે ગુજરાત અને તેના લોકોના ભૂતકાળનો અભ્યાસ કર્યો અને સાચકલા પ્રેમ અને આદરપૂર્વક એ વિષે લખ્યું. તો બીજી બાજુ પરિવર્તન માટેનાં સાધનો તેમણે સુલભ કરી આપ્યાં : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’, જાહેર પુસ્તકાલય, નિશાળ, અખબાર અને સામયિક. પણ મધ્યકાલીન ગુજરાતના અર્વાચીન ગુજરાતમાંના રૂપાંતર માટેનું સૌથી મોટું અને મહત્ત્વનું સાધન તો બન્યા ફાર્બસ પોતે. 

ફાર્બસ મુંબઈમાં રહ્યા ભલે ઓછું, પણ તેમણે સ્થાપેલી સંસ્થા તેમનું નામ અને કામ જાળવીને ઊભી છે. મુંબઈ યુનિવર્સિટીની એલ.એલબી.ની પરીક્ષામાં આજે પણ તેમના નામનો ગોલ્ડ મેડલ અપાય છે. સોલી સોરાબજી અને ફલી નરીમાન જેવા કાયદાના ધુરંધરોને આ મેડલ અપાયો હતો.  

આજે ફાર્બસ ફરી ગુજરાતમાં આવે તો આજના ગુજરાતને ઓળખી શકે? કદાચ ના. અને ગુજરાતે તો ફાર્બસને ક્યારનાયે વિસારે પાડી દીધા છે. પોતાની જિંદગીનાં ઉત્તમ વર્ષો જેમણે ગુજરાતને, ખાસ કરીને અમદાવાદને આપી દીધાં એ ફાર્બસનું ભલે નાનકડું, પણ એક્કે જાહેર સ્મારક આજે અમદાવાદમાં નથી. અને અમદાવાદના સંસ્કાર જગતના અગ્રણીઓને તેની ખોટ પણ સાલતી નથી. અલબત્ત, ફાર્બસને એવી કોઈ અપેક્ષા પણ નહોતી. પોતે કશુંક અસાધારણ કામ કરી રહ્યા છે એમ તેમણે માન્યું જ નહોતું. જે પ્રદેશ સાથે સંકળાવાનું થયું હોય તે પ્રદેશ માટે મારાથી બને તેટલું કરી છૂટવું જોઈએ એવી કર્તવ્ય ભાવનાથી તેમણે જે કરવા જેવું લાગ્યું તે કર્યું. પણ અર્વાચીન ગુજરાતના ઘડતર અને ચણતરમાં ફાર્બસનો ફાળો અત્યંત મહત્ત્વનો હતો. એક કવિતમાં કહ્યું છે તેમ :

‘ફાર્બસ સમ સાધન વિના, ન ઉધ્ધરત ગુજરાત’

સમાપ્ત
e.mail : deepakbmehta@hotmail.com

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૫) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|24 July 2024

(અનેક મિત્રોની સદ્ અને શુભ લાગણીને માન આપીને મેં વચલો રસ્તો પસંદ કર્યો છે : 

જે મિત્રોએ મારાં જે તે લેખન સંદર્ભે, લેખનના અનુબન્ધમાં, મને વસ્તુલક્ષી – ઑબ્જેક્ટિવ – પ્રતિભાવ આપ્યા હશે અને તેમાં સ્પષ્ટતાની કે વિસ્તૃતિની જરૂર જણાઈ હશે, તો તેઓને હું જરૂર પ્રતિ-પ્રતિભાવ આપીશ. અલબત્ત, બીજા વાચકમિત્રો લેખનમાં રજૂ થયેલા વિચારો સાથે સમ્મત થાય, લાઇક કરે કે વાહ પણ કહે, એકમેક જોડે ચર્ચા કરે, એ બધી વાતો માટે મારો પ્રતિભાવ હકારવાચી મૌન હશે; જો કે એ મિત્રો સાથેની દોસ્તી તો ચાલુ જ રહેશે.)

સુમન શાહ

આજે એક મહત્ત્વનો મુદ્દો કરવો છે, એ કે Post-નો, અનુ-નો, વિસ્તૃત અર્થસંકેત શું છે.

Post-નો અર્થ ‘અનુ’ ખરો, આધુનિક પછીનું તે ‘અનુ-આધુનિક’. પણ એને તો બાળકને ૦-શૂન્યથી ૧-એકડો આવડે એના જેવી પ્રાથમિક સ્વરૂપની જાણકારી કહેવાય. 

ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ ધરાવતા અનેક વિદ્વાનો અનુ-આધુનિકતાને મોટાં ઐતિહાસિક આંદોલનોની પડછે મૂકીને જુએ છે. એ એવાં આંદોલનો હોય છે જે વિશ્વના અમુક ભાગને ‘આત્મ-લક્ષીતા’-ની દિશામાં, તો અમુકને ‘પર-લક્ષીતા’-ની દિશામાં ઘડતાં હોય છે. 

‘આત્મ-લક્ષી’ એટલે આ સંદર્ભમાં, ચેતનાની લીલા. એ સ્વ-તરફી, સ્વ-કેન્દ્રી, સ્વ-માં રત, સ્વ-નું અનુભવી, સ્વકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-for-itself. સ્વ સ્વને જ પ્રોજેક્ટ કર્યા કરે. શક્યતાઓ માટે પસંદગીઓ કર્યા કરે. પર-લક્ષી એટલે ચેતનાશૂન્ય બાહ્ય વિશ્વ, વસ્તુસંસાર. એ પર-તરફી, પર-કેન્દ્રી, પર-માં રત, પર-નું અનુભવી, પરકીય હોય. સાર્ત્રની પરિભાષા પ્રયોજીને કહું તો being-in-itself. પર-થી પરમાં વિસ્તર્યા કરે. 

જેમ કે, ભારત અને પૂર્વીય દેશો ધર્મની આણ હેઠળ સદીઓ સુધી આત્મ-લક્ષી રહ્યા હતા. આજનું લોકશાહીય ભારત સિપાઇઓના બળવા તરીકે ઓળખાતા આંદોલનથી શરૂ થઈને વિકસેલા સ્વાતન્ત્ર્યસંગ્રામનું ફળ છે. બન્ને વિશ્વયુદ્ધો પછી પશ્ચિમ પર-લક્ષીતાની દિશામાં વિકસી રહ્યું છે. 

તાત્પર્ય એ કે એ પૂર્વ-ઇતિહાસને જાણ્યા વિના વર્તમાન સમયને આપણે બરાબર રીતે ન સમજી શકીએ. 

સાર એ કે અનુ-આધુનિકને સમજવા માત્ર આધુનિકને નહીં, આધુનિક-પૂર્વને, પ્રી-મૉડર્નને, પણ સમજવું પડે.

શું છે આપણું પ્રી-મૉડર્ન? 

ગુજરાતી સાહિત્યના ઐતિહાસિક વિકાસ પ્રતિ નજર નાખીએ તો પરખાશે કે એ વિકાસ ‘આત્મ-લક્ષી’ અને ‘પર-લક્ષી’ જેવા વારાફેરા ધરાવે છે. 

જેમ કે, યુગવિભાજનોમાં, ‘સમાજસુધારક યુગ’-માં ભારતીય / ગુજરાતી સમાજ અને પરિવાર; એ પછી ‘પણ્ડિત યુગ’-માં, પાણ્ડિત્ય અને સાહિત્યકલા; એ પછી, ‘ગાંધીયુગ’-માં વળી સમાજ અને ગ્રામીણ સમાજ, પરિવાર; એ પછી, ‘આધુનિક યુગ’-માં વળી પાણ્ડિત્ય અને કલા, વૈશ્વિક સાહિત્યકલા; એમ વારાફેરા ચાલ્યા છે. એક અર્થમાં આખી ભાત ક્રિયા-પ્રતિક્રિયાની છે. 

અનુ-આધુનિક સાહિત્યને સમજવા માગનાર અધ્યેતા જો એ ભાત નહીં જાણતો હોય તો એને નહીં સમજાય કે કેવા સ્વરૂપે આપણું આધુનિક સાહિત્ય ‘આત્મ-લક્ષી’ હતું અને હવે કેવા સ્વરૂપે અનુ-આધુનિક સાહિત્ય ‘પર-લક્ષી’ છે. 

એ અધ્યેતાએ આધુનિકને અને આધુનિક પૂર્વેના, નર્મદથી શરૂ થયેલા પરમ્પરાગત સાહિત્યને, અને તે પૂર્વેના, ‘નરસિંહયુગ’-ના અને ‘પ્રાગ્નરસિંહ યુગ’-ના તેમ જ હેમચન્દ્રાચાર્યના સાહિત્યને, એટલે કે, એ સઘળા મધ્યકાલીન સાહિત્યને સમજવું જોઈશે. 

તો જ એને સમજાશે કે સાહિત્યકૃતિઓનું વિષયવસ્તુ ધીમે ધીમે વાસ્તવિકતા ભણીનું થયું છે. ગુજરાતી ભાષામાં લખાતા સાહિત્યના કેન્દ્રમાં, પ્રારમ્ભે ઇશ્વર હતો, એને સ્થાને ક્રમે ક્રમે મનુષ્ય મુકાયો. એ પછી એ મનુષ્યનો અર્વાચીન અવતાર; એ પછી ગ્રામીણ કે દેશ્ય અવતાર; એ પછી નાગર કે શહેરી કે આધુનિક અવતાર; અને વળી, દેશ્ય અવતાર, એમ વારાફેરા ચાલ્યા કર્યા છે.  

સાહિત્યપ્રકારો પણ ધીમે ધીમે સરળતા ભણીના થયા છે. મહાકાવ્ય કે તે માટેના ધખારા હતા; તે પછી ખણ્ડકાવ્ય, કથાકાવ્ય, પ્રસંગકાવ્ય લખાયાં; સૉનેટ લખાયાં, જે એના બંધારણની સંકીર્ણતાને કારણે ન-લખાતાં થયાં; છન્દોબદ્ધ કાવ્યો લખાયાં, જે એની રૂઢિચુસ્તતાને કારણે ઓછાં થવા લાગ્યાં; છેલ્લે, સરળ મનાતો ગઝલ-પ્રકાર અને સરળતમ મનાતો ગદ્યકાવ્ય-પ્રકાર. 

અધ્યેતાને સમજાશે કે સરળતા પ્રત્યેનું પ્રસરણ અનુઆધુનિકતાની મોટી લાક્ષણિકતા છે. 

જેમ કે, સાહિત્યના માધ્યમ ભાષાની દિશા, સવિશેષે કાવ્યમાધ્યમની દિશા, સંસ્કૃતથી શિષ્ટમાન્ય અને પછી લોકમાન્યના ઉમેરા સાથે સરળ ગુજરાતી ભણી વિકસી છે. પ્રારમ્ભે સંસ્કૃત અક્ષરમેળ હતા, એ પછી માત્રામેળ, એ પછી પરમ્પરિત, અને એ પછી અછાન્દસ અને છેલ્લે ગઝલ કે ગદ્યકાવ્ય. 

એમ અધ્યેતાને સમજાશે કે બન્ધનથી મુક્તિની દિશા ભણીનું પ્રયાણ પણ અનુ-આધુનિકતાની મોટી લાક્ષણિકતા છે.

યુગવિભાજનના સંદર્ભમાં, નર્મદ-દલપત, ગોવર્ધનરામ, ગાંધીજી, અને સુરેશ જોષી માત્રપ્રતીકો છે. એમને ‘યુગમૂર્તિ’ કે ‘યુગપ્રવર્તક’ કહીએ છીએ એ તો આપણે પાડેલા ‘સમાજસુધારક યુગ’, ‘પણ્ડિત યુગ’, ‘ગાંધીયુગ’ કે ‘આધુનિક યુગ’ જેવા ૧૫-૧૫ કે ૨૦-૨૦ વર્ષના નાનકુડા સમયગાળાને સૂચવવા માટેના સંજ્ઞાવિશેષો છે. તે-તેનું બાંધેભારે સમ્બોધવા માટેના સંજ્ઞાવિશેષોથી અદકેરું મૂલ્ય નથી. 

મૂલ્ય તો ત્યારે આત્મસાત થાય છે, જ્યારે આપણે, દાખલા તરીકે, “મારી હકીકત” “મિથ્યાભિમાન” “ભદ્રંભદ્ર” “રાઇનો પર્વત” “સરસ્વતીચન્દ્ર” “સાક્ષરજીવન” “સત્યના પ્રયોગો” “સાપના ભારા” “મહાભિનિષ્ક્રમણ” “પંખીલોક” “દ્વિરેફની વાતો” “ઝેર તો પીધાં છે જાણી જાણી” “જનાન્તિકે” “છિન્નપત્ર” વગેરે સૃષ્ટિઓમાં પ્રવેશીએ છીએ અને એ સૃષ્ટિઓને એક સહૃદય તરીકે નિતાન્તભાવે માણીએ છીએ. 

અનુ-આધુનિકમાં, એ બધા યુગનાં કોઈ કોઈ લક્ષણો દેખા દે છે, એ સૃષ્ટિઓની છાયાઓની કિંચિત્ હરફર અનુભવાય છે. જેમ વ્યક્તિમાં genetic traits જોવા મળે છે, એમ કોઈપણ સમયગાળાનું સાહિત્ય, અનુ-આધુનિક પણ, fixed historisity ધરાવતું હોય છે. એ કંઇ આપોઆપ નથી સરજાયું હોતું, એ કંઈ એક-બે જણાની ઉદ્ઘોષણાથી નથી હોતું, એ ઇતિહાસનું સન્તાન હોય છે.

આમ, Post -નો અર્થ એકડે એક-૧થી નવ-૯ લગીની જાણકારી થાય છે, એ જાણવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે. 

(ક્રમશ:)

= = =

(23 Jul 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...486487488489...500510520...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved