Opinion Magazine
Number of visits: 9557341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણ માનવ-ચૈતન્યની સંપૂર્ણતાનું પ્રતીક છે : ઓશો 

સોનલ પરીખ|Opinion - Opinion|11 October 2024

કૃષ્ણના વ્યક્તિત્વમાં જીવનની સમગ્રતાની પૂર્ણ સ્વીકૃતિ છે. પ્રેમ હોય કે દુષ્ટતા, કૃષ્ણ કશાથી ભાગતા નથી. વિષ ઓકતા કાલીનાગને પરાજિત કરી કૃષ્ણ તેની ફેણ પર નાચ્યા છે. પ્રપંચો અને યુદ્ધોથી તેમની કરુણા ખરડાતી નથી. બંધનો વચ્ચે પણ તેઓ મુક્ત છે. તેમની ખેવનામાં અનાસક્તિ અને નિસબતમાં અ–લિપ્તતા છે. એથી જ તેઓ અંશાવતાર નથી, પૂર્ણાવતાર છે

ભારતના તેત્રીસ કરોડ દેવતાઓમાં કૃષ્ણનું સ્થાન અનન્ય છે. બાલકૃષ્ણથી માંડી યોગેશ્વર કૃષ્ણ સુધીના તેમનાં વિધવિધ રૂપો માણસનાં પ્રેમ, બુદ્ધિ, સર્જનશીલતા, જીવનપ્રેમ અને શ્રદ્ધાને જુદી જુદી રીતે અપીલ કરે છે; પોતાના ક્ષેત્ર અને સંજોગોને સમજવા અને તેનાથી ઉપર ઊઠવા પ્રેરે છે. છતાં એક તબક્કે અનુભવાય છે કે કૃષ્ણની ભક્તિ સરળ છે, કૃષ્ણને ચાહવા સહેલા છે, કૃષ્ણને સમર્પિત થવામાં મુશ્કેલી નથી – પણ કૃષ્ણને સમજવા મુશ્કેલ છે.

ઓશોના પુસ્તક ‘ક્રિષ્ના : ધ મેન એન્ડ હિઝ ફિલોસોફી’માંથી પસાર થઈએ ત્યારે આવા વિચાર આવ્યા વિના ન રહે. કૃષ્ણ એટલે જીવનનો પૂર્ણ સ્વીકાર. કૃષ્ણ શાંતિના એવા પૂજારી છે જે અશાંતિની વચ્ચે, યુદ્ધની વચ્ચે પણ શાંતિમાં રહી શકે છે. પ્રેમ આપે છે, પામે છે પણ બાંધતા-બંધાતા નથી. સંબંધોનાં આટાપાટા વચ્ચે અલિપ્ત અને નિર્મળ રહે છે. તેઓ સંવેદનશીલ છે, છતાં અનાસક્ત છે. કાળનાં બળોએ તેમણે ઘેર્યા છે, પણ  તેમની જ્યોત દુષ્ટતા અને ક્રૂરતાના વાવાઝોડા વચ્ચે પણ શાંત અને સ્થિર પ્રકાશે છે. ગીતાના કૃષ્ણ પોતે યુદ્ધમાં ભાગ નથી લેવાના એ નક્કી છે, પણ અર્જુનને યુદ્ધ કરવાનું કહે છે – ‘યુદ્ધ કર, પણ સમર્પિત ભાવથી લડ. તું નિમિત્ત છે એ ભૂલ્યા વિના લડ.’ સમર્પણ શબ્દ ખૂબ ઊંડો છે. સમર્પણ પૂર્ણ જાગૃત અવસ્થામાં અને અહંકારના પૂર્ણ વિસર્જન સાથે જ થઈ શકે. કૃષ્ણને આ સમર્પણ અભિપ્રેત છે. એથી જ એ કહે છે ‘સમર્પિત થા’ ત્યારે એ શબ્દ એક જુદા પ્રકાશ સાથે મનમાં ઊઘડે છે.

અર્જુન દલીલ કરે છે. ફરીફરીને, નવી નવી રીતે દલીલ કરે છે. એક વાર કહે છે, ‘સ્વજનોને કેવી રીતે મારું?’ પછી કહે છે, ‘આ બધા નિર્દોષ લોકોને કઈ રીતે હણી શકું?’ વળી કહે છે, ‘રાજ્ય માટે આટલી બધી હિંસા?’ અને છેલ્લે ‘આના કરતાં તો સંન્યાસ લઈ જંગલમાં ચાલ્યા જવું સારું.’ દલીલો ખોટી નથી. પણ કૃષ્ણ બેધડક કહે છે, ‘આ બધો બકવાસ છોડ. તને એમ છે કે બધું તું નક્કી કરે છે? તું તો નિમિત્ત છે. ઈશ્વરને જે કરવું છે તેનું તું માધ્યમ છે. તેને તારા દ્વારા યોદ્ધા થવું હોય તો એમ ન કરવા દેનારો તું કોણ છે?…’

ઓશો કહે છે, ‘કૃષ્ણ સાધક નથી, સિદ્ધ છે. સિદ્ધ અવસ્થાના શિખર પરથી એમણે પોતાના માટે જે કહ્યું છે તેમાં કોઈને દર્પ દેખાય. પણ એમ નથી. ખરું જોતાં તેઓ જ્યારે ‘હું’ શબ્દ વાપરે છે ત્યારે ‘હું’નો અર્થ બદલાઈ જાય છે. આપણો ‘હું’ એટલે શરીરમાં કેદ થયેલી ને શરીર સુધી માંડ ચાલતી સત્તા. પણ કૃષ્ણનો ‘હું’ પોતાનામાં આખું બ્રહ્માંડ છે. એટલે જ તેઓ અર્જુનને બિલકુલ સંકોચ વગર કહી શકે છે કે ‘સર્વ ધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’ બધું છોડીને મારા શરણે આવ. જો એ ‘હું’ મારાતમારાવાળો ‘હું’ હોત તો ન એમનાથી ન આવું કહેવાત, ન અર્જુન પર એની અસર થાત. અર્જુન તો પ્રતિભાશાળી હતો, મહાયોદ્ધા હતો. એ સામું કહેત, ‘ભાઈ, હું કયા દુ:ખે તારા કે કોઈના શરણે જાઉં?’ પણ એ તો કહે છે, ‘કરિષ્યે વચનં તવ: – તમે જે કહેશો તે કરીશ.’ આ જાદુ થયું, કારણ કે કૃષ્ણનો ‘હું’ અહંકારના હુંકારથી સર્વથા મુક્ત છે. તેઓ જ્યારે કહે છે કે ‘મામેકં શરણં વ્રજ’ ‘મારા શરણમાં આવ.’ એનો અર્થ થાય છે, ‘પૂર્ણને, શાશ્વતને, બ્રહ્માંડની અસીમ ઊર્જાને સમર્પિત થા.’

ઈશ્વરના અન્ય અવતારો પણ અહંકારથી સર્વથા મુક્ત છે, પણ આ મુક્તિ એમને કઠોર અને લાંબી સાધના પછી મળી છે. એમના ભક્તોને એ મળવાનો સંભવ ઘણો ઓછો છે, કેમ કે આ મુક્તિ એમના માર્ગના છેડે આવેલી છે. ત્યાં સુધી એમના ભક્તો પહોંચે કે નહીં એ મોટો સવાલ છે. કૃષ્ણમાં અહંકારમુક્તિ સૌથી પહેલા આવે છે. કૃષ્ણ સાથે ચાલવું હોય તો અહમ્‌નું મહત્‌માં વિગલન કરવું પડે. જો એમાં નિષ્ફળ ગયા તો કૃષ્ણ સાથે જઈ શકાય નહીં.

ઓશો

ઓશો કહે છે, કૃષ્ણને હજાર રીતે વર્ણવી શકાય. પણ તેઓ એ દરેક વર્ણનથી પર છે. ઓશો કૃષ્ણને ફિલોસોફિકલ સ્તરે વર્ણવે છે. કૃષ્ણ ઐતિહાસિક છે કે નહીં એની ચર્ચામાં ઓશો સમય બગાડતા નથી. ‘એનાથી શો ફરક પડે છે? જ્યારે જન્મ્યા હોય કે ન પણ જન્મ્યા હોય, કૃષ્ણ શાશ્વત અને દરેક સમય અને પરિસ્થિતિમા સત્ય છે.’ ઓશોના મતે કૃષ્ણ જીવનનો ઉત્સવ માણનાર છે. એમની બંસરી જીવનના લયનું પ્રતીક છે. કૃષ્ણ નગ્નતા અને વસ્ત્રો એટલે કે મૂળ તત્ત્વ અને આવરણો બંનેને સાથે જુએ છે. કહે છે, કોઈને નહીં, પોતાને અનુસરો. કર્મ અને કર્તવ્યનાં રહસ્યો સમજો. અનાસક્તિનો અર્થ અસંવેદનશીલતા નથી અને જેને જીતવું નથી, અંતે એ એકલો જ જીતે છે.

જગતના બધા ધર્મો અને બધા ઈશ્વર ગંભીર છે, કૃષ્ણ આનંદ અને પ્રેમનો આવિષ્કાર છે. ઓશોએ કહ્યું છે, ‘તુમ અગર ખુશ રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી ખુશ રહેગા. તુમ અગર દુ:ખી રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી દુ:ખી રહેગા. તુમ અગર ભયભીત રહોગે તો તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી ભયભીત રહેગા. ઈસી લિયે મૈં કહતા હૂં કિ હર ક્ષણ, હર હાલ મેં ખુશ રહો ક્યોં કિ તુમ્હારે ભીતર કા પરમાત્મા ભી યહી ચાહતા હૈ.’

ઓશો કહે છે, કૃષ્ણ થયા છે ભલે અતીતમાં, પણ તેઓ છે ભવિષ્યના. વર્તમાન તેની તમામ સિદ્ધિઓ અને તંત્રજ્ઞાન સાથે પણ કૃષ્ણને પૂરા સમજી શક્યો નથી. કારણ કૃષ્ણ એકમાત્ર એવા વ્યક્તિ છે જે ધર્મની પરમ ઉચ્ચતા અને પરમ ઊંડાણ હોવા છતાં ગંભીર, ઉદાસ, દુ:ખી નથી. તેઓ હસ્યા છે, નાચ્યા છે. તેમણે પ્રેમ કર્યો છે. તેમનું જીવન ‘ચરિત્ર’ નથી, ‘લીલા’ છે. આપણા દુ:ખવાદી ધર્મો અને દુ:ખપ્રેમી મન દુ:ખનું એક માહાત્મ્ય સ્થાપીને એમાં રાચે છે. ધર્મોએ જીવનને સ્વીકાર્ય અને અસ્વીકાર્ય એમ બે ભાગમાં વહેંચી નાખ્યું છે. પસંદ કરી લેવા તત્પર માણસને શુભ જોઈએ છે, અશુભ નહીં. સ્વર્ગ મેળવવું છે, નર્ક નહીં. શાંતિ પ્રાપ્ત કરવી છે, સંઘર્ષથી બચવું છે. પ્રેમ સ્વીકારવો છે, નફરત નહીં. સુખની હા છે, દુ:ખની ના. જીવનમાં પ્રકાશ જ રહેવો જોઈએ, અંધકાર નહીં. આવી પસંદગી શક્ય હોત તો દુનિયા આટલી વિષમતાઓથી ભરેલી ન હોત; શુભ, શાંત, પેમપૂર્ણ અને સ્વર્ગીય હોત. જીવનને બે ભાગમાં વહેંચીને એકનો સ્વીકાર અને બીજાનો ઈનકાર કરીએ છીએ દ્વૈત અને દ્વંદ્વ જન્મે છે. તેનાથી બચવા આપણે ધર્મોને શરણે જઈએ છીએ, પણ દ્વંદ્વ તો ત્યાં ય છે. એક તરફ છે કહેવાતા મહાત્માઓની કપટલીલા અને બીજી તરફ છે બાજુ કઠોર, નિષેધાત્મક દમન.

કૃષ્ણના વ્યક્તિત્વમાં જીવનની સમગ્રતાની પૂર્ણ સ્વીકૃતિ છે. પ્રેમ હોય કે દુષ્ટતા, કૃષ્ણ કશાથી ભાગતા નથી. વિષ ઓકતા કાલીનાગને પરાજિત કરી કૃષ્ણ તેની ફેણ પર નાચ્યા છે. પ્રપંચો અને યુદ્ધોથી તેમની કરુણા ખરડાતી નથી. બંધનો વચ્ચે પણ તેઓ મુક્ત છે. તેમની ખેવનામાં અનાસક્તિ અને નિસબતમાં અ-લિપ્તતા છે. એથી જ તેઓ અંશાવતાર નથી, પૂર્ણાવતાર છે.

વૃક્ષ જેમ ઊંચું, તેમ તેનાં મૂળ ઊંડાં. કૃષ્ણને સમજવા માટે અસ્તિત્વનાં વ્યાપ, ઊંચાઈ અને ગહનતા સુધી જવું પડે. જેટલી ને જેવી આપણી પહોંચ, તેટલી ને તેવી આપણી પ્રાપ્તિ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 25 ઑગસ્ટ  2024

Loading

ગુજરાત ગંધાઈ ઊઠ્યું છે !

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|11 October 2024

રવીન્દ્ર પારેખ

દેશના ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં છેલ્લા થોડા સમયમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે તેણે ગુજરાતનું માથું શરમથી ઝુકાવી દીધું છે. ગુજરાત ધંધાઉદ્યોગમાં, ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગને મામલે, ડ્રગ્સને મામલે, શિક્ષણને મામલે, બળાત્કાર, છેડતીને મામલે સડી ગયું છે ને સરકાર જેવું કૈં હોય જ નહીં તેમ અસામાજિક અને આસુરી તત્ત્વો રાજ્યને અનેક સ્તરે ફોલી રહ્યાં છે. સુરતમાં હીરા ઉદ્યોગને માટે જે તોતિંગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી તે ફળદાયી નીવડી હોય એવું લાગતું નથી. હીરાના કેટલાક કારીગરો પૂરતું વેતન ન મળતાં આત્મહત્યા તરફ વળ્યા છે. ગુજરાતનો દરિયા કિનારો ફેલાવા માટે જ હોય તેમ અબજો રૂપિયાનું ડ્રગ્સ ખડકાયા કરે છે ને એ ધીમે ધીમે શહેરની ગલીઓમાં પહોંચ્યું છે. એનો શિકાર યુવા વર્ગ થઈ રહ્યો છે, પણ ડ્રગ્સ પકડાયાની જાહેરાતો કરીને સરકાર પોરસાઈ રહી છે. એ તો ઠીક, પણ ઉમરગામમાં તો મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની આખી ફેક્ટરી જ ઝડપાઈ છે. સુરતનાં પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા 24 લાખના દારૂની 14 હજાર બોટલો પર રોલર ફેરવવું પડે એટલો દારૂ તો શહેરમાં આવ્યો જ ! એ દારૂબંધીવાળા ગુજરાત માટે શરમજનક છે. શિક્ષણ વિભાગ શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં કામચલાઉ શિક્ષકોનો ઉપયોગ કરીને, રાજકારણીઓનો પ્રવેશોત્સવ કરાવીને ફતવા અને ડેટામાં વ્યસ્ત છે.

આટલું ઓછું હોય તેમ કોઈ રોગચાળાની જેમ બળાત્કાર અને છેડતી રાજ્યમાં ફાટી નીકળ્યાં છે.

ગૃહ મંત્રી હર્ષ સંઘવી

કોલકાતાની રેપ અને મર્ડરની ઘટના પછી એવી ઘટનાઓમાં ઓટ આવવી જોઈતી હતી, તેને બદલે ભરતી ચડી છે. ગુજરાતના ગૃહ મંત્રીએ નવરાત્રિના ઉત્સવમાં સવારના પાંચ વાગ્યા સુધી ગરબે રમવાની છૂટ આપીને ઘણી વિકૃતિને પણ મોકળાશ કરી આપી છે. ગરબા પર સવારના પાંચનો આંકડો પાડીને ગૃહ મંત્રીનો ઇરાદો બળાત્કારને ઉત્તેજન આપવાનો ન જ હોય, પણ પ્રજા તો સારા નબળા બધા જ અર્થો કરી લેતી હોય છે. એમાં ગૃહ મંત્રી પોતે જ, ગુજરાતીઓ ગરબા ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાન જઈને રમવાના હતા – જેવું વિધાન કરે તો એ વાંદરાને નીસરણી આપવા જેવું જ થાય. હેતુ ગમે એટલો ઉમદા હોય તો પણ નવરાત્રિ ગુજરાતને ફળી નથી તે સ્વીકારવું પડે. ગરબાને નામે જે ચાલ્યું છે એમાં ભક્તિ ઓછી ને ‘શક્તિ’ પ્રદર્શન વધુ છે. રાતના 12 પછી માઈકનો ઉપયોગ પ્રતિબંધિત છે, છતાં ધ્વનિ પ્રદૂષણની ફરિયાદો ઊઠી છે.

આટલી છૂટ અને આટલા પોલીસ બંદોબસ્ત છતાં નવરાત્રિ દરમિયાન એકથી વધુ ગેંગ રેપની ઘટના બની એ બધી રીતે શરમજનક છે. પોલીસ કૈં કરતી નથી એવું નથી, તે ગુનેગારોને પકડે છે, પણ અદ્યતન સગવડો છતાં વધતા જતા ગુનાઓ પર કાબૂ મેળવી શકતી નથી તે હકીકત છે. પ્રજા પણ તામસી અને વિકૃતિનો પરિચય આપતી વધુને વધુ ગુનાખોરી તરફ વળી છે તે ચિંત્ય છે. ગૃહ મંત્રી ભલે તલવાર તાણીને ગુનેગારોને ફાંસીની સજાની ભલામણ કરે, પણ તેમનાં રાજ્યમાં નહોતી બનવી જોઈતી એવી એકથી વધુ ઘટનાઓ સામૂહિક દુષ્કર્મની બની છે તેનો સંકોચ તેમને થવો જોઈએ.

નવરાત્રિ દરમિયાન ગેંગ રેપની પહેલી ઘટના 5 ઓક્ટોબરે વડોદરાના ભાયલીની એક તરૂણી સાથે બની. એક તરફ વડોદરા નવરાત્રિની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે ભાયલી વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે ગેંગરેપની ઘટનાએ સનસનાટી મચાવી દીધી. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 કલાકે મળી હતી ને સનસિટી સોસાયટી વિસ્તારમાં વાતો કરી રહી હતી, ત્યાં બારના સુમારે બે બાઇક પર પાંચ જણા આવ્યા ને અભદ્ર શબ્દોમાં વાતો કરવા લાગ્યા, જેનો મિત્રે વિરોધ કર્યો તો બે લોકો ત્યાંથી નીકળી ગયા, પણ બાકીના ત્રણમાંથી એકે મિત્રને ગોંધી રાખ્યો અને બે જણાંએ પીડિતા પર દુષ્કર્મ કર્યું. ફરિયાદ થતાં પોલીસે જણાવ્યું કે સગીરા પર દુષ્કર્મ થયું છે, તો આરોપીઓ પર પોકસો લાગશે. પોલીસે તપાસ કરીને પાંચ વિધર્મીઓને પકડી પણ પાડ્યા છે.

આ ઘટનાની કળ વળે ત્યાં તો ભાયલી જેવી જ ગેંગ રેપની ઘટના મંગળવારે સગીરા સાથે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરામાં રાત્રે અગિયારેકના સુમારે શેરડીના ખેતરમાં બની. પોલીસે બે આરોપીને તો પકડી પાડ્યા છે, પણ ત્રીજો આરોપી ભાગવા જતાં પોલીસે ફાયરિંગ કર્યું, તો ય તે ભાગવામાં સફળ રહ્યો. ત્રણે આરોપીઓ રીઢા ગુનેગારો છે ને અગાઉ પણ હત્યા, લૂંટમાં પકડાયેલા છે. સગીરા તેના મિત્ર સાથે ફરવા નીકળી હતી ત્યાં મોટર સાયકલ પર આવેલ ત્રણ શખ્સોએ તે બંનેને આંતર્યાં. મિત્રને ભગાડી મુકાયો ને તેણે ગામ લોકને ભેગું કર્યું. દરમિયાન ત્રણે નરાધમો સગીરા પર દુષ્કર્મ કરીને ભાગી છૂટ્યા. ગામ લોકોએ પીડિતાને સારવાર માટે મોકલી આપી ને ફરિયાદ થતાં પોલીસ આરોપીઓને પકડવામાં જોતરાઈ. ત્રણ આરોપીમાંનો એક, શ્વાસ લેવામાં તકલીફ થતાં સુરત સિવિલમાં વેન્ટિલેટર પર હતો. તે મૃત્યુ પામ્યો છે.

આની સમાંતરે કચ્છમાં ગરબા જોઈને આવતી એક યુવતી પણ દુષ્કર્મનો ભોગ બની હતી. સુરતમાં જ માંગરોળ બાદ માંડવીમાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. ચૌદ વર્ષની સગીરા પર 8 મહિના સુધી વિધર્મી યુવકે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી. પીડિતાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તેને કસુવાવડ થઈ ગઈ. પોલીસે પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એમ કહેવાય છે કે ગુજરાતમાં દુષ્કર્મના રોજ છ બનાવો બને છે. બોરસરની ઘટના પછી ઘણી યુવતીઓ ડરી ગઈ છે ને રાત્રે જતાં-આવતાં સંકોચાય છે. ડરનો આ સ્વભાવ ગુજરાતનો નથી જ ! રાત મધરાત મહિલાઓ બિલકુલ નિર્ભયતાથી હરીફરી શકતી હતી, એ સ્થિતિ હવે રહી નથી. નવરાત્રિ પર્વમાં દુષ્કર્મ અને ગેંગ રેપ જેવી ઘટનાઓ સરકાર રોકી ન શકતી હોય તો તેણે થોડો વખત વિકાસ અને પ્રોજેકટો પર બ્રેક મારીને, હવસથી પીડાતાં ગુજરાતમાં તળિયાઝાટક સફાઈનું કામ કરવા જેવું છે. છેલ્લા પંદર દિવસમાં દુષ્કર્મની 10થી વધુ ઘટનાઓ જુદાં જુદાં શહેરોમાં બની છે. ભાયલી પહેલાં દાહોદમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને એક આચાર્યે હવસનો ભોગ બનાવી તેની હત્યા કરી. સુરેન્દ્રનગરમાં એક નશાખોરે પાંચ વર્ષની બાળકીને પીંખી નાખી. મહેસાણામાં એક સગીરા પર દુષ્કર્મ આચરાયું તો, ઉત્તર ગુજરાતમાં એક ભૂવો પણ દુષ્કર્મ આચરવા માટે જવાબદાર ઠર્યો. ધ્રાંગધ્રામાં ચાળીસ વર્ષના આધેડે એક બાળકીને હવસનો શિકાર બનાવી. બોરસદના કંચોડાપુરાના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ કર્યું ને પછી મારી નાખવાની ધમકી આપી. રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષની યુવતી પર કૌટુમ્બિક ભાઈએ જ દુષ્કર્મ કર્યાના સમાચાર છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની બહેનને ગર્ભવતી કરી. મિરજાપરમાં એક દુકાનદારે 13 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી. અમદાવાદની એક પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મનો ભોગ બનાવી.

આટલું ઓછું હોય તેમ સુરતના માંડવીની આશ્રમશાળાના 52 વર્ષના એક આચાર્ય 12થી 15 વર્ષની 37 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરવાને મામલે ચર્ચામાં છે. પોલીસે 6થી 8 ધોરણની 37 વિદ્યાર્થિનીઓની તબીબી તપાસ કરાવી છે અને હવે સી.આર.પી.સી.ની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાશે. આશ્રમશાળામાં અભ્યાસ કરતી 80 વિદ્યાર્થિનીઓની જવાબદારી 2013થી આ આચાર્ય પર હતી, પણ છેડતી કરીને તેમણે ગુરુપદને લાંછન લગાડ્યું છે. એ તો ઠીક, પણ આચાર્ય કક્ષાના માણસો જવાબદારીને બદલે ખૂની કે લંપટ થવા સુધી પહોંચે તો ગુજરાતમાં શૈક્ષણિક મૂલ્યોનું ધોવાણ કઈ હદનું હશે તેની કલ્પના જ કરવાની રહે.

અહીં દુષ્કર્મની જે ઘટનાઓ મૂકી છે એ વાતને ચગાવવા નથી, પણ છેલ્લા થોડા સમયમાં ગુજરાતનો જે વિકૃત ચહેરો સામે આવ્યો છે તે અનેક રીતે ચિંતા ઉપજાવનારો છે. ઘણા કિસ્સાઓમાં સગીરા દુષ્કર્મનો શિકાર થઈ છે. 14થી 17વર્ષની સગીરા દુષ્કર્મથી અજાણ નથી, તો કોઈ એવી પણ છે કે ગર્ભવતી થવા છતાં કસુવાવડ થઈ જાય ત્યાં સુધી તેને ખ્યાલ જ નથી આવતો. એનું પણ આશ્ચર્ય જ છે કે વારંવાર દુષ્કર્મનો ભોગ બને છે, પણ કોઈ સહાય માટે પીડિતા પ્રયત્ન કરતી નથી. નોકરીમાં બઢતીની લાલચે ઉપરી અધિકારીનો શિકાર બનતી મહિલાઓ પણ ઓછી જવાબદાર નથી. ખરેખર તો એ દુષ્કૃત્ય ગણાય કે કેમ એ પણ પ્રશ્ન છે. વધારે દુ:ખદ તો એ છે કે દુષ્કર્મ આચરનાર ક્યારેક તો ભાઈ કે પિતા હોય છે. એટલે સગાંથી પણ સ્ત્રી સુરક્ષિત નથી. એમાં પણ આરોપી ને પીડિતા, બંને ભાઈ બહેન હોય ને બંને સગીર હોય ત્યારે તો અવધિ જ આવી જાય છે. ડિંડોલીની ઘટનામાં 16 વર્ષના ભાઈએ 13 વર્ષની બહેનને ગર્ભવતી કરી, ત્યારે પ્રશ્ન થાય કે એ અજ્ઞાનનું પરિણામ છે કે જાતીય કુતૂહલ સંતોષવાનો અખતરો માત્ર છે? એ પણ વિચારવાનું રહે કે જાતીય જ્ઞાને, સમય પહેલાં મળવાથી લાભ કરાવ્યો છે કે હાનિ? માહિતીના વિસ્ફોટે સગીરોને વહેલાં પરિપક્વ કર્યાં છે, તો જે નથી જાણતા તે પાછળ પણ પડ્યા છે, પણ સરવાળે લાભ બહુ હાથમાં આવ્યો નથી તે ખરું. અત્યારે તો વાસનાથી આખું ગુજરાત નરાધમોથી ખદખદી ઊઠ્યું હોય તેમ લાગે છે. કમ સે કમ આ ગંદકી તો સરકારે દૂર કરવી જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઑક્ટોબર 2024

Loading

હા કહો.

જેમ્સ ક્રૂઝ [અનુવાદ : નંદિતા મુનિ]|Poetry|10 October 2024

જે ફરીથી અમેરિકન કવિ જેમ્સ ક્રૂઝના એક કાવ્ય ‘ Say Yes’નો મારો અનુવાદ; આજે માનસિક સ્વાસ્થ્ય દિન નિમિત્તે ખાસ. 

અનુવાદની મંજૂરી આપવા માટે James Crewsની આભારી છું. એમનાં અન્ય કાવ્યો jamescrews.net પર વાંચી શકાશે. 

•

હા કહો.

ઘરની બહાર જવા માટે તમે પહેરો છો એ ચામડાના સેન્ડલને સ્વીકારો.

હાથ પર પડતા તડકાને વધાવી લો.

અરે, મચ્છરના ડંખથી ઊપસી આવીને તમને બોલાવતી ગુલાબી ફોલ્લીને હા બોલો.

હા કહો, ઘર પાછળના કાયમી અંધારિયા ખૂણે 

ભૂલાઈ ગયેલા, ચિરાયેલા ભૂરા પ્લાસ્ટિક વચ્ચેથી

ઊગી નીકળેલા જંગલી ફૂલછોડના ઝુંડને.

જે અંધકારમાં તમે વધુ ને વધુ

ખૂંપતા જાઓ છો

એ જ અંધકારમાં ચમકી રહેલાં ઝીણાં ગુલાબી પુષ્પોને હા કહો, 

જેથી એમણે આપેલું વચન તમને મળી શકે :

હા, એ કહે છે – હા, તમને પણ

પ્રકાશ દુર્લભ હોય એવી જગ્યાઓમાં

ખીલવાના રસ્તા મળી રહેશે.

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...486487488489...500510520...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved