Opinion Magazine
Number of visits: 9843964
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—272

દીપક મહેતા|Opinion - Opinion|18 January 2025

દોરાબજી તાતાએ શરૂ કરેલી સંસ્થા : એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી     

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, 

એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.

૧૯૨૪માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘માલવપતિ મુંજ’નું આ ગીત લખતી વખતે પ્રભુલાલ દ્વિવેદીની આંખ સામે તો નાટકનાં પાત્રો જ હશે. બહુ બહુ તો વ્યક્તિઓ હશે, પણ સંસ્થાઓ તો નહિ જ હોય. પણ આ ગીત જેટલું વ્યક્તિના નસીબ માટે બંધબેસતું છે તેટલું જ તે સંસ્થાઓની ચડતી પડતી માટે પણ બંધબેસતું છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતાએ શરૂ કરેલી એક સંસ્થાના કરમની કઠણાઈ જ જુઓ ને!

ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯)

એક અમેરિકન પાદરી, નામે ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯) ૧૯૨૫માં મુંબઈ આવ્યા અને નાગપાડા વિસ્તારમાં સામાજિક કાર્ય (સોસિયલ વર્ક) કરવા લાગ્યા. એ વખતના મુંબઈમાં વારંવાર કોમી રમખાણો થતાં. એ વખતે નાગપાડામાં બંને કોમોની સારી એવી વસતી. આ પાદરીએ રમખાણોનો અભ્યાસ કરીને બે કોમ વચ્ચેનું અંતર ઘટાડવાના હેતુથી ‘નાગપાડા નેબરહુડ હાઉસ’ નામની સંસ્થાની શરૂઆત કરી. આ સંસ્થાની કામગીરી દરમ્યાન તેઓ દોરાબજી તાતાના પરિચયમાં આવ્યા અને વખત જતા બંને મિત્રો બન્યા. તેમણે દોરાબજીને કહ્યું કે સોશિયલ વર્કની વ્યવસ્થિત તાલીમ આપનારી એક પણ સંસ્થા હિન્દુસ્તાનમાં નથી, તો તમારે એવી એક સંસ્થા શરૂ કરવી જોઈએ. અને તેમની પ્રેરણાથી ૧૯૩૬માં નાગપાડામાં જ શરૂ થઈ દોરાબજી તાતા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક. એ વખતે હિન્દુસ્તાનમાં જ નહિ, આખા દક્ષિણ એશિયામાં, આ પ્રકારની આ પહેલવહેલી સંસ્થા હતી. નાગપાડાના એક નાનકડા મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ વખત જતાં એવું તો કાઠું કાઢ્યું કે તેની ગણના આખી દુનિયાની આ પ્રકારની સંસ્થાઓમાં એક અગ્રણી સંસ્થા તરીકે થવા લાગી. પાદરી મન્સહર્ટ તેના પહેલા ડિરેક્ટર હતા અને ૧૯૪૧ સુધી તેઓ એ હોદ્દા પર રહ્યા.

મેહેરબાઈ અને દોરાબજી તાતા

મુંબઈમાં જે સામાજિક કાર્ય કર્યું તેના આધારે મન્સહર્ટે દસ જેટલાં પુસ્તકો લખ્યાં. તેમાંનાં કેટલાંક :

Hindu-Muslim problem in India, Bombay Looks Ahead, Pioneering on Social Frontiers in India, Freedom without violence, India’s struggle for independence, The Nagpada Neighbourhood House in action, The Child In India. આમાંનાં કેટલાંક પુસ્તકો હજી આજે ય છપાય છે અને વેચાય છે. જો વંચાતાં ન હોય તો આમ બનવું મુશ્કેલ. 

મન્સહર્ટે પોતાની સંસ્થામાં Bombay : Today and Tomorrow વિષય પર એક વ્યાખ્યાન માળા યોજી હતી અને પછી તેમાં રજૂ થયેલાં વક્તવ્યોનું સંપાદન પણ એ જ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યું હતું. ૧૯૩૦માં ધ નાગપાડા નેબરહુડ હાઉસ દ્વારા પ્રગટ થયેલા આ પુસ્તકમાં કુલ આઠ પ્રવચનો સંઘરાયાં છે. તેમાંનું એક મન્સહર્ટનું પોતાનું છે. એમાં તેમણે જે કહ્યું છે એ ત્યારના મુંબઈ માટે જેટલું સાચું હતું, એટલું જ આજના – અને કદાચ આવતી કાલના પણ – મુંબઈ માટે સાચું છે. એટલે જરા ચાતરીને પણ તેમના મુંબઈ વિશેના વિચારો જોઈએ : આજે મુંબઈને સૌથી વધુ જરૂર છે તે દૃષ્ટિવાન માણસોની. આજનું મુંબઈ એ ઘણે અંશે ઔદ્યોગિક સંસ્કૃતિનું ફરજંદ છે. હું જ્યાં રહેતો હતો એ શિકાગો શહેરમાં ઊંચાં ઊંચાં ‘સ્કાયસ્ક્રેપર’ બંધાય છે. તેમાં મકાન જેટલું ઊંચું બાંધવાનું હોય તેટલો જ ઊંડો તેનો પાયો નાખવો પડે. પાયો પૂરતો ઊંડો અને મજબૂત હોય તો જ તેના પર ગગનચુમ્બી ઈમારત ઊભી રહી શકે. આજે આપણે જે મુંબઈ શહેર જોઈએ છીએ તે પહેલી નજરે જોતાં તો સારી રીતે બંધાયેલું હોય એવું લાગે છે. પણ એ જોઇને કોઈના પણ મનમાં સવાલ ઊઠ્યા વગર રહે નહિ : ‘આ શહેરનો પાયો પૂરતો ઊંડો અને મજબૂત છે ખરો?’ ભૌતિક સુખનાં જે સાધન-સગવડ આપણી પાસે છે તેનો ભાર ઝીલી શકે એવો મજબૂત આધ્યાત્મિક – ધાર્મિક નહિ – પાયો આ શહેરનો છે ખરો? અને અધ્યાત્મનું ખરું કામ શું છે? ચાલતાં ચાલતાં માણસ લપસી ન પડે એટલા માટે પાણીનો નળ બંધ કરવાનું તેનું કામ છે? ના. પણ લપસી પડેલા માણસ સામે હાથ લંબાવીને તેને ઊભો કરવાનું છે. અને પછી પોતું મારીને જમીન સાફ કરવાનું છે. આજે મુંબઈને સૌથી વધુ જરૂર હોય તો તે છે સામાજિક દૃષ્ટિ ધરાવતા આવા આગેવાનોની. જરૂર છે એવા ઔદ્યોગિક આગેવાનોની જે લોકોની સુખાકારી માટે પોતાનો નફો જતો કરવા તૈયાર હોય. નફો ખરાબ છે કે ન કરવો જોઈએ એમ નહિ. પણ બીજા માણસને ભોગે કરેલો નફો એ નફો નહિ, શોષણ છે. દરેક ઉદ્યોગપતિએ શું વિચારવું જોઈએ? આનાથી મને કેટલો લાભ થશે એ નહિ. પણ આનાથી સમાજને કેટલો લાભ થશે? અને એ રીતે વિચારનારને યોગ્ય નફો મળી જ રહેશે.   

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ સાયન્સની જ્યાં શરૂઆત થઈ

તાતા જૂથની ઘણી સંસ્થાઓ આવી ભાવના સાથે શરૂ થયેલી. તેમાંની એક તે દોરાબજી તાતા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક. એ જ્યારે શરૂ થઈ ત્યારે પહેલે વરસે માત્ર ૨૦ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની જોગવાઈ કરી હતી. પણ જ્યારે પ્રવેશ માટે અરજી મગાવાઈ ત્યારે ૪૦૦ જેટલી અરજી આવી હતી. આવી કોઈ સંસ્થાની એ વખતે તાતી જરૂર ન હોય તો આમ બને નહિ. સ્થાપના પછીનાં વરસોમાં આ સંસ્થાનો ઝડપભેર વિકાસ થયો. ૧૯૪૪માં તેનું નામ બદલીને ‘તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસિયલ સાયન્સિસ’ રાખવામાં આવ્યું. દેશના ભાગલા પછી લાખો નિરાશ્રિતો દેશમાં આવ્યા ત્યારે પોતાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંસ્થાએ રેફ્યુજી કેમ્પમાં મદદ કરવા મોકલ્યા. કુદરતી કે બીજી આફતો વખતે રાહત કાર્યમાં જોડાવાનું હજી આજે ય ચાલુ રહ્યું છે. ૧૯૫૪માં સંસ્થાનો નવો કેમ્પસ દેવનાર ખાતે બંધાયો અને સંસ્થા ત્યાં ખસેડાઈ. આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને હાથે થયું હતું.

વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નવા કેમ્પસનું ઉદ્ઘાટન

૧૯૬૪માં એક મોટું પરિવર્તન આવ્યું. ભારત સરકારે આ સંસ્થાને ‘deemeed university’ તરીકે માન્યતા આપી. નવા વિષયો અંગેના અભ્યાસક્રમ શરૂ થયા. સંસ્થાની નામના દેશની બહાર પણ ફેલાઈ. પણ કવિ કલાપીએ ગાયું છે ને કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ વરસો વીતતાં ગયાં તેમ સરકારી દખલગીરી વધતી ગઈ. સંસ્થાને ધબકતી રાખવા માટે જરૂરી ફંડ સરકાર તરફથી મળવામાં અવરોધો ઊભા થતા ગયા. અને પછી છેલ્લાં કેટલાંક વરસોમાં તો નાની નાની બાબતોમાં પણ સરકાર નારાજ થવા લાગી : ‘અલાણાને ભાષણ કરવા કેમ બોલાવ્યો? ફલાણો શિક્ષક વિદ્યાર્થીઓના વિરોધપ્રદર્શનમાં કેમ જોડાયો? મહેમાન વક્તાએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતી વખતે સરકારની ટીકા કેમ કરી?’ વગેરે. અને પછી છેવટનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું : અનુદાન નહિ મળે, પૈસા નહિ મળે. એક વાર તો એક સો કરતાં વધુ શિક્ષકોને સંસ્થાએ નોટિસ આપવી પડી કે એક વરસ પછી તમને છૂટા કરવામાં આવશે, કારણ તમારો પગાર ચૂકવાય એટલાં નાણાં નથી. એ અંગે ઘણી હોહા થઈ, ચર્ચા થઈ. સરકાર તો ન ઝૂકી, પણ તાતા એજ્યુકેશન ટ્રસ્ટે મદદનો હાથ લંબાવ્યો અને પાંચ કરોડ રૂપિયા આપ્યા. પરિણામે ૨૦૨૬ના માર્ચના અંત સુધી એ શિક્ષકોની નોકરી ચાલુ રહેશે. 

હા, આવા બીજા અનેક અવરોધોનો સામનો કરીને પણ આ સંસ્થાના મોટા ભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘આસન સે મત ડોલ’ એ શીખ યાદ રાખીને પોતાનું જે કાંઈ સારામાં સારું હોય તે સંસ્થાને આપી રહ્યા છે અને એટલે જ હજી સંસ્થાની પ્રતિષ્ઠાને ઝાઝી આંચ આવી નથી. તાતા ઘરાણાની બીજી એક પ્રતિષ્ઠિત સંસ્થાની વાત હવે પછી. ત્યાં સુધી પ્રભુલાલ દ્વિવેદીના પેલા પ્રખ્યાત ગીતની બીજી કડી ગણગણીએ :

ભાગ્ય રૂઠે કે રીઝે, એની તમા તેને નથી,

એ જ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 જાન્યુઆરી 2025

Loading

કવિતા

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Literature|18 January 2025

પુસ્તક પરિચય

વર્ષા દાસ

નીવડેલાં સાહિત્યકાર વર્ષાબહેન દાસનો કાવ્યસંગ્રહ ‘કવિતા’ સપ્ટેમ્બર ૨૦૨૪માં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે. વર્ષાબહેનની કલમે મૌલિક પુસ્તકો ઉપરાંત ઉત્તમ અનુવાદો આપણને મળ્યાં છે. આ પુસ્તકમાં ત્રણે ભાષા : ગુજરાતી-હિંદી-અંગ્રેજીમાં તેમનાં કાવ્યો છે. આ કાવ્યો તેમની ૮૧ વર્ષની ઉંમરે પુસ્તકાકારે પ્રકાશિત થયાં ! આ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

આ કાવ્યસંગ્રહમાં ખૂબ જ વિવિધતા છે. જ્યારે પણ વાંચીએ ત્યારે સહજ રીતે એની સાથે સંલગ્ન થઈ જવાય. ૩૬ કાવ્યો ગુજરાતીમાં, ૨૯ કાવ્યો હિંદીમાં અને ૩૫ અંગ્રજીમાં છે. કેટલાંક કાવ્યો ગુજરાતીના જ અનુવાદો છે. કેટલીક સ્વતંત્ર રચનાઓ પણ હિંદી-અંગ્રેજીમાં છે. હિંદી રચનાઓ અત્યારના હિંસાના વાતાવરણથી દ્રવિત થઈને લખાયેલી લાગે છે. આ કવિતાઓમાં આજના અનેક પ્રશ્નોને વણી લીધા છે. તેની વાત આપણને પણ ઝણઝણાવી જાય છે. આજની પરિસ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. તેમાં પોતાની જાત સાથે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કે કેમ ? – તેની મથામણ આ કાવ્યોમાં જોવા મળે છે. જેમ કે હિંસા અંગે ‘સરવાળે બધું એક’ કાવ્યમાં તેઓ લખે છે :

હૃદય ધબકે

મારું, તારું અને એનું પણ,

અને જ્યારે અટકે,

ત્યારે

પાણી પાણીમાં, તેજ તેજમાં

વાયુ વાયુમાં, માટી માટીમાં –

સરવાળે જાણે બધું એક.

તો પછી આ ઝઘડા શેના ?

નામ રૂપ ને રંગના ?

બદલાતી બોલીઓના ?

જાતે જ પાડેલી લીટીઓના ?

પછી એક ચોટડૂક પ્રશ્ન કરે છે. આપણે વારી જઈએ. છેલ્લી પંક્તિમાં લખે છે : અલ્યા મૂર્ખાઈની પણ કંઈ હદ હોય કે નહીં ?

આવી જ રીતે આધુનિકતાનું પ્રતીક ગણીએ એવા સ્માર્ટ ફોન – મોબાઈલને લઈને, બાળકોની રમતો કેવી રીતે ક્રમબદ્ધ છૂટી ગઈ છે તેની વાત ‘કોની રમત ?’માં સુપેરે પ્રગટ કરી છે.

એક જમાનો હતો,

બાળકો પતંગિયાંની પાછળ દોડતાં હતાં,

ફૂલોની માળા બનાવતાં હતાં,

પાંચીકાથી રમતાં હતાં.

એમના કલરવથી ગુંજી ઊઠતાં

શેરીઓ ને ઘર-આંગણાં.

પછી નવો વાયરો વાયો

બાળકોએ બટન દબાવ્યાં,

ચાવીઓ ફેરવી,

ઢીંગલી બોલવા માંડી,

વાંદરાએ તાળીઓ પાડી,

વગેરે વગેરે…

તે પછીના સમયમાં

બાળક બેઠું છે,

કી-બોર્ડ પર આંગળીઓ દોડાવે છે,

સામે મૂકેલા મૉનિટરમાં,

ઠા-ઠા ગોળીઓ ચલાવે છે

આકાશમાંથી આગ વરસે છે.

અહીં આખું કાવ્ય ઉતાર્યું નથી. ઠીક ઠીક લાંબું છે પણ વાંચવા જેવું છે. આપણે ક્યાં છીએ ? એ ચિંતા કરાવે તેવું છે. આપણે ચિંતન કરી શકીએ ? એમાં મોટાઓને પણ જોતરવાનું ચૂક્યાં નથી !

આજે સ્ત્રી સશક્તિકરણની વાત બહુ જોરશોરથી થાય છે પણ તે સઘળી સપાટી પરની છે. ઊંડાણ નથી. તેની વાત કરતાં લખ્યું છે. કાવ્યનું શીર્ષક પણ સૂચક છે ‘સિન્ડ્રેલા’.

‘આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે :

મહિલાઓને જાણે ભંડકિયામાંથી ખેંચીને

બહાર લાવવાની છે.

ઘૂમટો ઉઠાવીને એની ‘મુંહદિખાઈ’ કરવાની છે.

ઘરનાં ટેબલ-ખુરશીની હેસિયતમાંથી

એને માણસ બનાવવાની છે.’

ટી.વી., રેડિયો ને છાપાંમાં એની બહુ મસમોટી વાતો લખાય છે, બોલાય છે. પણ અંતે શું ? સ્થિતિ તો એની એ જ. લખતાં જણાવે છે. આખરી પંક્તિઓ જાગવાની, જગાડવાની, સમજવાની છે. મહિલા આંતરરાષ્ટ્રીય દિવસનું ડિમડિમ બજાવવાનું બંધ થાય ત્યારે …..

‘પણ પેલી પરીકથાની સિન્ડ્રેલાની જેમ

રાત પડતાં જ –

રાજકુમાર તો રાજકુમાર જ રહે છે,

પણ સિન્ડ્રેલા એની દરિદ્ર વેશભૂષામાં

હુકમો અને જોહુકમની શિકાર બને છે,

…. હવે આ સંકુચિત ભૂમિકામાંથી બહાર આવીએ,

અંદર રહેલા મેઘધનુષને આઝાદ કરીએ.’

અંત ખૂબ જ સૂચક છે.

સંબંધો કેવી રીતે તાણા-વાણાની જેમ જોડાયેલા છે. આત્મીયતા પણ છે. કેટલાક સારા છે – કેટલાક ખરાબ છે. તેની સુંદર વાત ‘હું ચાલ્યા કરું’ કાવ્યમાં આબાદ રીતે વ્યક્ત થઈ છે :

‘કોઈ મને અહીં અડક્યું,

તો કોઈ ત્યાં,

વાત જૂની છે, તો ય

બધા સ્પર્શો આજે પણ

સ્પંદન જગાડે છે.

અતીતની અનુભૂતિઓ

રોમાંચિત કરે છે.’

મૃત્યુ સંબંધો પર પૂર્ણવિરામ મૂકે. બધા દૂર-સુદૂર ચાલ્યા જાય. અતીત કેમ ભુલાય ! એને યાદ કરીને કવયિત્રી આ કાવ્યમાં આગળ વધતાં લખે છે :

‘કોઈએ વાર્તા સંભળાવેલી,

તો કોઈએ કવિતા,

કોઈએ માટીની સુગંધ ફેલાવેલી,

તો કોઈએ આકાશની લાલિમા.’

‘સપનાં જોયેલાં, સાચવીને રાખેલાં.

બધું જ ગમેલું

પણ પછી એવું વાવાઝોડું આવ્યું

કે બધું જ ઊડી ગયું.

તણખલાની જેમ

વેર-વિખેર થઈ ગયું.

એમાંનું કોઈ ભોંકાયું,

તો કોઈએ પંપાળ્યું.’

છેવટે રહી ગઈ રિક્તતા,

ઘણી ઊંડી

ચારેકોર પસરેલી, આતમને ઢંઢોળતી

રિક્તતા.

…. પછી અચાનક એક દિવસ

અનાયાસ

અમથું જ,

અંદર ડોકિયું કર્યું,

ને ભાળ્યું કે,

કંઈ જ નથી ખોવાયું.

અતીતને લીધે જ વર્તમાન છે,

એના થકી આજ આજ છે.

આપણા કેટલાકનાં ઘરોમાં પુસ્તકો વાંચવાનો-વસાવવાનો શોખ ભારે હોય છે. પણ તેની સંભાળ કેવી લેવાતી હોય ? આ મૂંઝવણ સૌની છે. કવયિત્રીની પણ છે. એની આનંદપ્રદ છબી ‘પરસ્પર આશ્રિત’ કવિતામાં બખૂબી ઝિલાઈ છે :

‘કેવી ખીચોખીચ

અડાઅડ

ઊભી-આડી પડી છે

જુદા જુદા આકારની ચોપડીઓ.

ત્યાં પડી પડી મને તાકે છે,

મૌન ચીસોથી કાનમાં કહે છે –

મને અડ તો ખરી,

આ ધૂળ ઝાટક તો ખરી,

ને ક્યારેક અમારામાંથી કોકને

ખોલ તો ખરી !

….કોને ખોલું અને કોને છાતીસરસી ચાંપું ?

ના, હું ભેદભાવ નહીં કરું.

હવાની જેમ

આ બધી ચોપડીઓને

વીંટળાઈ વળું છું,

ધૂળને પણ ફેફસાંમાં ભરી લઉં છું.

એ જ મારો પ્રાણવાયુ,

એ છે તો હું છું, અને

હું છું તો એ છે.

પરસ્પર આશ્રિત !

આ તો રસાસ્વાદ છે : અન્ય કવિતાઓ પણ દાદ માંગે તેવી છે. ‘જ્યાં રેતી જ સરહદ છે !’ ને ચાવી ખોવાઈ જાય ! આમ જુદાં જુદાં કાવ્યો – પર્યાવરણ – કોમી એખલાસ – પ્રકૃતિ એમ અનેક વિચાર-વસ્તુઓથી ભરપૂર છે. તેમની સંવેદના એ જ આ કાવ્યો કરવાનું પ્રેરક બળ છે. તો ‘ખાનાં’ જેવી રમૂજથી ભરપૂર કવિતા પણ છે. ભાષા પણ સરળ-સહજ-પ્રવાહી છે. એથી સામાન્ય વાચકને પણ સ્પર્શી જાય તેવી છે. આજે જ્યારે કવિ-કાવ્યો દૂર થયાં છે ત્યારે આ કાવ્યો મારફતે એ દૂરી જતી રહેશે એમ ચોક્કસ કહી શકાય. પાકટ ઉંમરે પણ એમની સક્રિયતાને સલામ. આવાં કાવ્યો પુસ્તક દ્વારા આપ્યાં તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન.

નવજીવન ટ્રસ્ટે પણ પરંપરામાં રહીને જુદી પ્રકાશનપાંખ ‘નવજીવન સાંપ્રત’ શરૂ કરી છે. એમાં નવોદિતોને પણ સ્થાન આપી એક નવી કેડી કંડારી છે. એ અંતર્ગત પંચોતેરથી વધુ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એ શ્રેણી પણ વિષય-વસ્તુઓથી ભરપૂર છે. એ બદલ ખૂબ અભિનંદન આપી પહેલ બદલ અમારો હરખ પણ વ્યક્ત કરવો જ રહ્યો.

કવિતા, લેખક : વર્ષા દાસ – પ્રાપ્તિ સ્થાન : નવજીવન મુદ્રણાલય, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ – ફોન : ૦૭૯-૨૭૫૪૦૬૩૫, ૦૭૯-૨૭૫૪૨૬૩૪.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 08 – 09

Loading

માણસ આજે (૨૬)

સુમન શાહ|Opinion - Opinion|18 January 2025

સુમન શાહ

હરારી પોતાની વાતમાં કોઈક વાર હળવાશથી બોલતા હોય છે. જેમ કે, એમણે કહ્યું કે માયથોલૉજિ અને બ્યુરોક્રસીનાં ‘લગ્ન’ થયાં એમાંથી સભ્યતાઓ ‘જનમી’ છે. એમને કહેવું તો એ હતું કે કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક નવા પ્રકારની બ્યુરોક્રસી છે અને માનવ-આધારિત કોઈપણ બ્યુરોક્રસીથી વધારે શક્તિશાળી છે. શક્ય છે કે એથી અતિ સંકુલ ઇન્ટર-કમ્પ્યુટર માયથોલૉજિ સરજાય, અને માનવ-સરજિત દેવો કરતાં અનેકશ: પરગ્રહવાસી – alien – ભાસે.

ગઇ કાલે રાતે, આટલાથી આગળ લખતાં હું અટકી ગયેલો. 

આજે સવારે ચા-પાણી દરમ્યાન ટી.વી. પર સમાચાર જોયા કે — ધ યુ.ઍસ. સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદા અનુસાર TikTok પ્લૅટફૉર્મને જો ByteDance, 19 જાન્યુઆરી 2025 સુધીમાં વેચશે નહીં, તો TikTok-ને ban કરવામાં આવશે. 

સુવિદિત છે કે TikTok ચીની કમ્પની ByteDance-નું સન્તાન છે. એ એક short-form video-sharing app છે. કહેવાય છે કે ૩ સૅકન્ડથી માંડીને ૬૦ મિનિટ સુધીના વીડિયોઝ શૅઅર થતા હોય છે. ૨૦૧૬-માં સ્થપાયેલી આ app ૧૫૪ દેશોમાં અને ૩૯ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દર મહિને 1.04 billion વપરાશકારો સક્રિય હોય છે. અમેરિકામાં એ ખૂબ લોકપ્રિય છે, દર મહિને 170 million અમેરિકન વપરાશકારો સક્રિય હોય છે.

મને આ ઘટનાવલીમાં ઉપર્યુક્ત હરારી-કથિત કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક અને કમ્પ્યુટર-બેઝ્ડ માયથોલૉજિ દેખાવા લાગી. નાનપણમાં અમે દોસ્તો જાદુ અને જાદુથી કેવા લોભાઇ જતા એ યાદ આવી ગયું.  

ચા-પાણી દરમ્યાન મારી સાથે દીકરો પૂર્વરાગ હતો. અમારી વચ્ચે આ સંદર્ભે કંઈક આ પ્રમાણે વાતો થઈ : 

અમેરિકામાં TikTok-થી national security કૉયડો સરજાયો છે કેમ કે આટલા બધા અમેરિકન વપરાશકારોનો અંગત ડેટા ચીની સરકાર પાસે આવી જાય અને તે પર તે પોતાનો લાભકારક કન્ટ્રોલ જમાવે! એટલે, સંવેદનશીલ માહિતીના દુરુપયોગનો ડર ઊભો થયો છે.

એથી, શક્ય છે કે બન્ને પક્ષનાં હિત – stakes – જોખમાય. કોઈ અમેરિકન કમ્પનીને TikTok વેચવામાં આવે તો ByteDance સંખ્યાબંધ વપરાશકારો ગુમાવે અને એનો ગ્લોબલ પ્રભાવ ઑસરી જાય, રૅવન્યુ પણ ઘણું ઘટી જાય. બીજી તરફ, અમેરિકન સરકાર ડેટા પ્રાયવસી સાચવી શકે નહીં તો એની પ્રજાકીય છબિ ખરડાય. 

રાષ્ટ્રીય સલામતીની તરફેણમાં ૨૦૨૦-માં તત્કાલીન પ્રમુખ ટ્રમ્પે ban માટે ઍક્ઝિક્યુટિવ ઑર્ડર કરેલો. પણ ઑર્ડરને કૉર્ટેમાં પડકારવામાં આવેલો અને વાતને બ્લૉક કરવામાં આવેલી. સત્તામાં પુન:પ્રવેશ પછી હવે ૨૦૨૫-માં ટ્રમ્પ શું કરે છે એ જોવાશે. આટલા બધા વપરાશકારોને નારાજ કરવાનું પોસાશે? – એ સવાલ રાજકારણના ખાં ટ્રમ્પ માટે કસોટીકર નીવડશે. 

આ પ્રકરણમાં વેપારપરક અર્થકારણ અને વપરાશકારોની સલામતીનો પ્રશ્ન સામસામે આવી ગયાં છે. એમ પણ કહેવાય કે ટૅક્નોલૉજિ અને રાજકારણ પણ એકમેકની સામે, ક્રૉસરોડ પર, આવી ગયાં છે. 

પરિણામે, પ્રત્યક્ષ-પરોક્ષ બ્યુરોક્રસીની એક web સરજાઈ, જેણે એક deadlock સરજ્યો; એ રૂપમાં કે ByteDance શું કરશે? યુ.ઍસ.-સરકાર શું કરશે? ‘શું કરશે’ એટલા માટે કહું છું કે એઓને ખુદને પણ ખબર નથી કે શું કરવું જોઈશે. 

app -ના ગરાડી વપરાશકારો તો પહેલેથી ‘નિર્દોષ’ હતા, TikTok અમેરિકન કમ્પનીને વેચાય તો એથી એમને કશો ફર્ક નથી પડવાનો, ban મુકાય તો એમની માનસિકતા એમને એવું આશ્વાસન આપે છે કે કોઈક બીજા ‘પીઠે’ તો જવાશે જ ને! 

ખાસ તો, સામાન્ય જન બાજુ પર રહી ગયો છે, એને તો કશી જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે. મને એના એ cutoff -થી એ ચિન્તા જાગી છે કે એ દૂર ને દૂર તો નહીં ફૅંકાઇ જાય ને …

(ક્રમશ:)

= = = 

(17Jan25USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...470471472473...480490500...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved