Opinion Magazine
Number of visits: 9953791
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 February 2025

જન્મ : 28-5-1883 — મૃત્યુ : 26-2-1966

સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે

ગોધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે.

પ્રકાશ ન. શાહ

ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો 1977ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કાઁગ્રેસમેન અહેસાનની ભેટ હતી. ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. 1969માં રમખાણ ફાટી નીકળ્યું ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો. 1969ના આ અમંગલ અનુભવ પછી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. 1977માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ – કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.

દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો. એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’(દીવો, ફાનસ)ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે : ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’ આ વતન તે કેવું ને કોનું એ પણ એમણે બીજી એક રચનામાં અચ્છું વ્યાખ્યાયિત કરેલું છે : મીરાંબાઈના ભજને સોહતું, ગૌતમ બુદ્ધ – ગુરુ નાનક – અમીર ખુશરોના પ્રેમસંદેશ થકી આશીર્વાદપ્રાપ્ત, આ મારું વતન!

2002ની 28મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત 69 જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ … ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી. શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.

1965થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે 2002ના એમના રાજધર્મ ઉદ્દગારોથી સમજાય છે. આ ઉદ્દગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળ‌વા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્ય મંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. 1 જૂન 2002નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આર.ટી.આઈ.ને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.

ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.

સાવરકરે ઇતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદ્દગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’ સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદ્દગારો’ સાંભરે છે. શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી; કેમ કે “જુવાનજોધ તરુણીને પરત મોકલવી એટલે જ શત્રુના વેતર વધારવામાં મદદ કરવા સમાન હતું. … એકાદ મોટા સરદારને આ આપી દેવી હતી. એ ય ન કરવું હતું તો તેમનો એકાદ નિકટનો હજુરિયો તો હતો ને ? એણે એ સુંદર છોકરી આનંદભેર સ્વીકારી હોત …” 

નહીં કે આ અધિકૃત અવતરણ ટાંકવું ગમે છે. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 ફેબ્રુઆરી 2025

Loading

ભદ્રકાળી માતા કી જય!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 February 2025

પોઝિટિવ અને મોટિવેશનલ સ્ટોરી 

આસોપાલવના ઝાડ પર વીસેક ફૂટ ઊંચે ડાળીઓ કાપવા ચડેલા છે તે છે ૩૫ની વયના ભરતભાઈ દેવીપૂજક અને સાયકલ લારી પાસે આસોપાલવ એકત્ર કરી રહેલાં તેમનાં પત્ની ૩૦ની વયનાં સૂર્યાબહેન.

અમદાવાદની નગરદેવી કહેવાતી ભદ્રકાળી માતાની રથયાત્રા નીકળવાની છે એવા સમાચાર એમને મળ્યા એટલે એ દરમ્યાન આસોપાલવનાં તોરણ વેચવા માટે તેઓ નીકળ્યાં છે આસોપાલવ ભેગો કરવા. તેઓ એમાંથી તોરણ બનાવશે અને પોટલામાં ભરીને એ જમાલપુર વિસ્તારમાં રથયાત્રાના દિવસે વેચશે. એમના કહેવા મુજબ એમાંથી એમને ₹ ૫૦૦થી ₹ ૬૦૦ મળવાની આશા છે. ત્રણ જણની કુલ આશરે પચાસેક કલાકની મહેનતનું આ ફળ તેમને મળશે! એ પણ એમની ધારણા છે. 

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં અર્જુન આશ્રમ પાસે તેઓ રહે છે. ચારે બાજુ પ્લાસ્ટિકથી બનાવેલું તેમનું એક ઘર છે. તેના ઉપર પણ પતરું નથી. બધે પ્લાસ્ટિક જ. આશરે ૧૨x૧૨નું છાપરું હશે. એમના ઘરને તેઓ ‘ઘર’ શબ્દથી નવાજતા નથી, એને તેઓ “છાપરું” જ કહે છે. ક્યાં રહો છો એમ પૂછેલું તો કહે, “સાહેબ, છાપરામાં.” એમાં તેમનાં પાંચ સંતાનો, તેમની માતા, એક ભાઈ અને એક બહેન એમ દસ જણા રહે છે. 

સામાન્ય રીતે તેઓ છૂટક મજૂરીનું, કડિયાકામ, ઢોલ વગાડવાનું, ફૂલ વેચવાનું, ડેકોરેશન કરવાનું, જૂનાં કપડાં લઈને વેચવાનું વગેરે કામ કરે છે. રોજ તો કંઈ કામ મળતું નથી એમ તેમણે કહ્યું. જે દહાડે જે કામ મળે તે કરવાનું. કોમલ બોલી : “ખાવા જેટલું મળી રહે છે.”

ભરતભાઈની સોળેક વર્ષની બહેન કોમલ. એ અને સૂર્યાબહેન બંને પગે ચાલીને ચાંદલોડિયા અને ઘાટલોડિયા વિસ્તારની સોસાયટીઓમાં આશરે દસેક કિલોમિટર ફરે અને જૂનાં કપડાં ભેગાં કરીને અમદાવાદમાં દિલ્હી દરવાજા રસ્તા પર વેચવા જાય. આ બંને વિસ્તારો એ છે કે જેમાંથી ગુજરાતના હાલના મુખ્ય પ્રધાન ચૂંટાયેલા છે. 

ભરતભાઈ મૂળ બહુચરાજી પાસેના ઝાંઝરવા ગામના. તેમના પિતાજી પણ ગામ છોડીને અમદાવાદ આવી ગયેલા. ભરતભાઈ અને સૂર્યાબહેનનો જન્મ તો અમદાવાદમાં જ.

તેમણે ગઈ દિવાળીમાં આ લારી લીધી. તે પણ જૂની. રૂ. ૭,૦૦૦માં ખરીદી. એટલા પૈસા એમણે ગમે તેમ કરીને ભેગા કર્યા. ક્યાંથી લાવ્યા એટલા પૈસા તો એમની એનો જવાબ આપવાની ઈચ્છા લાગી નહીં. 

કોમલ દસ ધોરણ ભણી પણ પરીક્ષા નહોતી આપી. ભરતભાઈ પાંચ ધોરણ ભણેલા અને સૂર્યાબહેન તો સાવ અભણ. એમનાં ત્રણ સંતાનો અત્યારે સરકારી શાળામાં ભણે છે. 

ભરતભાઈના નાના ભાઈનું નામ મનોજ. ૨૦ વર્ષની વય. એ પણ દસ ધોરણ સુધી ભણેલો. એ ટ્રેક્ટરનો ડ્રાઈવર છે. એને કામ મળે ત્યારે રોજના ₹ ૨૦૦ કે ₹ ૨૫૦ મળે. રોજ તો કામ એને પણ મળતું નથી.

એમને પૂછ્યું કે : “તમારી બધાની રોજની આવક કેટલી?” તો કહે કે “રોજ ક્યાં કામ મળે છે?” પણ “પેટ ભરાઈ જાય એટલું થઈ જાય છે.” દસ જણના ઘરમાં રોજની સરેરાશ આવક ₹ ૫૦૦ની હશે એવો સાવ અછડતો અંદાજ માંડી શકાય. પણ એ ચાર જણની મહેનતના. અર્થશાસ્ત્રમાં જેને પ્રચ્છન્ન બેકારી કહે તે આ પરિવારમાં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં દેખાય છે.

અમદાવાદની નગરદેવી ભદ્રકાળી માતા પહેલી વાર મહાશિવરાત્રિને દિવસે નગરયાત્રાએ નીકળવાનાં છે તેથી એમના પરિવારને આસોપાલવના તોરણમાં માતા દેખાયાં હશે! 

પેલા ઇન્ફોસિસવાળા નારાયણમૂર્તિ કહે છે કે દેશના વિકાસ માટે એક સપ્તાહના ૭૦ કલાક અને એલ. એન્ડ ટી. નામની મહાકાય કંપનીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યન કહે છે કે ૯૦ કલાક કામ કરવું જોઈએ. ભરતભાઈ અને એમના પરિવારના બીજા ત્રણ સભ્યોને તો એ બે જણ કામ નહીં જ આપે. 

ભરતભાઈ જતાં જતાં બોલ્યા : “સાહેબ, આવી રીતે તો અમારી સાથે કોઈ મોટા લોકો વાત કરતા જ નથી. તમે કરી.” “મોટા એટલે?” “તમારા જેવા.” આ “મોટા” એટલે ધનવાન જ ને? હું ધનવાન છું એનો અહેસાસ આ રીતે એમણે મને કરાવ્યો. અને છું પણ ખરો કારણ કે હું આવક વેરો ભરનારા દેશના માત્ર ૩.૫ કરોડ લોકોમાં આવું છું. 

સૂર્યાબહેન અને એમના પરિવારનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય કે નહીં? 

તા.૨૪-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેક પરની મીણબત્તી હોલવવાની જ હતી, તો સળગાવી કેમ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 February 2025

રવીન્દ્ર પારેખ

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ગયો. આમ તો વિશ્વની માતૃભાષા એક ન હોય ને હોય તો તે મૌન હોય, પણ એ દિવસે બહુ બોલાયું ને એમાં સાચો અવાજ દબાઈ પણ ગયો. જો કે, ગુજરાતની માતૃભાષા ગુજરાતી હોવા અંગે શંકા એટલે છે, કારણ શિક્ષણ વિભાગે જે નીતિ અપનાવી છે એ જોતાં તો સ્કૂલોમાં ગુજરાતી નહીં ટકે એમ બને. છેલ્લાં ત્રણ વર્ષના આંકડા જોઈએ તો ગુજરાતી માધ્યમની 475થી વધુ માધ્યમિક શાળાઓનાં કાયમી ધોરણે શટર્સ પડી ગયાં છે. 2022થી 2024 સુધીમાં અનુક્રમે 250, 155 અને 70થી વધુ સ્કૂલો બંધ થઈ છે. એને માટે સરકાર જેટલા જ વાલીઓ પણ જવાબદાર છે. કમનસીબી એ છે કે અલ્પ શિક્ષિત કે અભણ વાલી પણ તેનું બાળક અંગ્રેજીમાં જ ભણે એવી ઘેલછાથી પીડાય છે, એવી ઘેલછા ભલે હોય, પણ એટલી કાળજી ગુજરાતી માટે લેવાતી નથી, એટલે જ કદાચ 2022માં ગુજરાતી વિષયમાં 6,64,553 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 1,18,623 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ જ રીતે 2023માં ગુજરાતીમાં 6,25,290માંથી 1,16,286 અને 2024માં 5,83,718માંથી 46,178 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એ ખરું કે નાપાસ થનારની સંખ્યા ઉત્તરોત્તર ઘટતી આવે છે, પણ ગુજરાતીમાં પરીક્ષા આપનારની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાયો છે. એનો અર્થ એ થયો કે ગુજરાતી સાથે પરીક્ષા આપનારા ઘટતા જ આવે છે. ગુજરાતની સરકારી સ્કૂલોમાં બે વર્ષમાં પ્રવેશ 90.9 ટકાથી ઘટીને 86.5 ટકા થયો છે. આ ગતિ રહી તો જતે દિવસે ગુજરાતમાં ગુજરાતી ભણનારા નહીં રહે એમ બને. વારુ, 475 બંધ થઈ એની સામે ગુજરાતી માધ્યમની શરૂ થયેલી નવી શાળાઓ 230 જ છે, બીજી તરફ અંગ્રેજી માધ્યમની 75 સ્કૂલો બંધ થઈ છે ને એની સામે નવી સ્કૂલો 180 શરૂ થઈ છે. એનો અર્થ થયો કે અંગ્રેજીની તુલનામાં ગુજરાતી સ્કૂલો વધુ ને વધુ બંધ થઈ રહી છે.

વળી જે ગુજરાતી ભણી રહ્યા છે એ કવુંક ભણી રહ્યા છે એ પણ જોવા જેવું છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ-2024 મુજબ ગુજરાતના ગ્રામ વિસ્તારનાં ધોરણ 5નાં 53.7 ટકા બાળકો ધોરણ 2નાં પુસ્તક વાંચી શકતાં નથી. ધોરણ 8ની વાત કરીએ તો 75.9 ટકા બાળકો ધોરણ 2નું પુસ્તક વાંચી શકે છે, એનો અર્થ એવો પણ થાય કે ધોરણ 8નાં 24.1 ટકા બાળકો, ધોરણ 2નું પુસ્તક વાંચી પણ શકતાં નથી અને 8માં ધોરણમાં પહોંચી ગયાં છે. આંકડામાં ન પડીએ તો પણ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓની ભાષાકીય સજ્જતા દયનીય છે.

એવું નથી કે સરકાર આ મામલે કૈં કરતી નથી. પ્રયત્નો તો થાય છે, પણ કેવાક થાય છે, તે જોઈએ.

નવી શિક્ષણ નીતિ સાથે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓ હાઈટેક બનીને સ્માર્ટ ક્લાસમાં ભણી શકે એટલે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ શરૂ કરાયો. આમ તો આ ‘જ્ઞાન’નું શિક્ષણ વિભાગને વળગણ છે, એટલે જ્ઞાન સહાયક, જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ, જ્ઞાનકુંજ, જ્ઞાનશક્તિ જેવાં સ્ટિકર્સ ચોંટાડ્યાં કરે છે, પણ ‘જ્ઞાન’ની આગળ ‘અ’ સાઇલન્ટ છે તેની ખબર તો આપણને મોડી મોડી પડે છે. તો, એ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સુરત જિલ્લામાં આવેલી 8 ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોમાં 50થી વધુ વર્ગોમાં સ્માર્ટ ક્લાસ માટે ટી.વી. સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી. એમાં પ્રાઈમરીની 4 સ્કૂલો કામરેજની, બે સ્કૂલો માંગરોળની અને બે સ્કૂલો પલસાણાની હતી. આનો લાભ ત્રણેક મહિના સુધી 1,500થી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા હતા ને સિસ્ટમને કારણે વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણતા પણ હતા. સરકારનો હેતુ કે વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં ભણે તે પણ બર આવી રહ્યો હતો, ત્યાં જેણે આ વર્ગો શરૂ કરાવ્યા તે સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા જ 12 ફેબ્રુઆરી, 2025 ને રોજ એવો પરિપત્ર બહાર પડાયો કે કોઈ પણ સ્કૂલમાં જૂની યાદી મુજબ સ્માર્ટ ક્લાસ બન્યા હોય તો તેને બદલે નવી સુધારેલી યાદી મુજબની સ્કૂલોમાં સ્માર્ટ ક્લાસ ઇન્સ્ટોલ કરવા અને જૂની યાદી મુજબ ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ પરત કરવી. આવો ઓર્ડર જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષાધિકારીને કરાયો. તઘલખી ઉતાવળ તો એટલી કે જૂની સ્કૂલોમાંથી સ્માર્ટ ક્લાસની સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાનો કોન્ટ્રાક્ટ પણ કોઈ એજન્સીને સોંપી દેવાયો. એજન્સીના ટેક્નિશિયનો ડિ-ઈન્સ્ટોલેશન માટે ગયા તો સ્કૂલ સંચાલકોએ તેમને અટકાવ્યા ને ડિ-ઇન્સ્ટોલેશનની ચોખ્ખી ના પાડી દીધી.

મામલો સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસે પહોંચતા, તેમણે આદેશને વશ થઈને પરિપત્ર કરી સ્માર્ટ  ક્લાસની ડિ-ઇન્સ્ટોલેશનની કામગીરી કરવા દેવાનો શાળાઓને આદેશ કર્યો, પણ સ્કૂલ સંચાલકો ગાંઠ્યા નહીં. ડિ-ઇન્સ્ટોલેશનની ફરી ના પાડી. મામલો છેવટે રાજ્ય શિક્ષણ મંત્રી પાસે પહોંચ્યો ને અહીં પણ હજી કોઈ નિવેડો આવ્યો નથી. સ્કૂલ સંચાલકોનું કહેવું છે કે ત્રણ મહિનાથી, 50 વર્ગોમાં 6થી 8 ધોરણના 1,500થી વધુ વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, ત્યારે આ ડિ-ઈન્સ્ટોલેશન કોઈ રીતે યોગ્ય નથી. આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં સ્કૂલોને પાંચેક લાખનો ખર્ચ થયો છે. આ સ્કિમ વિદ્યાર્થીઓને આશીર્વાદરૂપ સાબિત થઈ છે, ત્યારે સિસ્ટમ પરત લેવાનો નિર્ણય દુ:ખદ છે ને તેની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થઈ શકે એમ છે.

આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા આદેશ થયો તે મુજબ પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા કહ્યું, પણ ટેક્નિશિયનોને સિસ્ટમ પરત કરવાની શાળા સંચાલકોએ ના પાડી તો ફરી પરિપત્ર કરીને સ્કૂલોને સિસ્ટમ પરત કરવા આગ્રહ કરાયો, તો સંચાલકોએ વિદ્યાર્થીઓના લાભમાં આ સિસ્ટમ હોવાનું જણાવી, તે ઇન્સ્ટોલ કરવામાં પાંચેક લાખનો ખર્ચ કરાયો હોવાની વાત આગળ કરી. આ વાત ધ્યાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ પણ રાજ્યના સમગ્ર શિક્ષા વિભાગને વિદ્યાર્થીઓનાં હિતની અને થયેલ ખર્ચની રજૂઆત કરી છે. આશા છે આનો સુખદ ઉકેલ આવશે.

પણ, આ આખી ઘટના તરફ ફરી નજર નાખવા જેવી છે. લેખની શરૂઆતમાં વિદ્યાર્થીઓ ગુજરાતી નથી શીખતા અને બોર્ડની પરીક્ષામાં હજારોની સંખ્યામાં નાપાસ થાય છે તે જોયું, તો જેમને ગુજરાતી ભણવાનું થયું છે તે ધોરણ 8ના વિદ્યાર્થીઓ બીજા ધોરણનું પુસ્તક પણ વાંચી નથી શકતા તે પણ જોયું. એવામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસનો અનુભવ મળે એનો પ્રશસ્ય પ્રયત્ન સમગ્ર શિક્ષા વિભાગ કરે છે ને તેનું સારું પરિણામ પણ મળે છે, તો તે ચાલુ રાખવાને બદલે થાય છે શું, તો કે સમગ્ર શિક્ષા વિભાગ ફતવો બહાર પાડીને સ્માર્ટ ક્લાસ માટે ઇન્સ્ટોલ થયેલ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ કરવાની વાહિયાત વાત કરે છે. કેમ? તો, કે એ સિસ્ટમ બીજે ઇન્સ્ટોલ થઈ શકે. તો, સવાલ એ થાય કે અહીં થાય તો વાંધો શું? આ વિદ્યાર્થીઓનો શો વાંક છે કે તેમને મળતા લાભથી વંચિત કરવા પડે?

વારુ, આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની વાત શાળા સંચાલકો કે વિદ્યાર્થીઓએ સમગ્ર શિક્ષા વિભાગને અગાઉ કરી નથી. કોઈએ વિભાગને ચોખા મૂક્યા નથી કે કોઈએ વિનંતી કરી નથી ને વિભાગને પોતાને જ આઠ સ્કૂલોમાં સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાની ઈચ્છા થઈ ને સિસ્ટમ ઇન્સ્ટોલ કરી. વળી એ કરતી વખતે કોઈ સૂચના આપવામાં નથી આવી કે આ યોજના કાયમી નથી ને ત્રણ મહિને, જ્યારે 1,500 વિદ્યાર્થીઓ એનાથી ટેવાવા લાગ્યા છે, ત્યારે જ શેખચલ્લીની જેમ સમગ્ર શિક્ષા વિભાગ ડોકું ધૂણાવીને નન્નો ભણે છે ને સિસ્ટમ પરત લેવાના હુકમો બહાર પાડે છે. સમગ્ર શિક્ષા વિભાગનું આ પગલું સમગ્ર રીતે નકામું ને વખોડવા લાયક છે. કૈં પણ થઈ જાય શાળા સંચાલકોએ આ સિસ્ટમ ડિ-ઇન્સ્ટોલ ન જ કરવા દેવી જોઈએ. સુરતના જ રાજ્ય શિક્ષણ મંત્રી તેમના દરબારમાં આવેલ આ મામલાને સમભાવ અને સહનુભૂતિપૂર્વક જુએ તે અપેક્ષિત છે ને સાથે એ પણ જુએ કે શિક્ષા વિભાગ તરફથી આવા ફાલતુ ને અધકચરો નિર્ણય લેનારા અધિકારીઓ મનમાની ન કરે.

એ અત્યંત દુ:ખદ છે કે પ્રાઇમરી, મરી જવા તરફ સરકાર જ ધકેલે છે ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 ફેબ્રુઆરી 2025

Loading

...102030...453454455456...460470480...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved