Opinion Magazine
Number of visits: 9456871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશાંત કિશોર જ્ઞાતિગ્રસ્ત બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોથી યુક્ત અને એ સાથે મુક્ત એવું એક નવું રાજકારણ દાખલ કરી રહ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2024

રમેશ ઓઝા

બિહારમાં કશુંક નવું થઈ રહ્યું છે અને એ નવીનતાના આર્કિટેક્ટ છે પ્રશાંત કિશોર.

પ્રશાંત કિશોરનું નામ પડે એટલે તેમના વિષે ચિત્તમાં અલગ પ્રકારનું ચિત્ર રચાવા લાગે. આ એ માણસ છે જેને વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. પ્રાપ્ત પરિસ્થિતિમાં ચૂંટણી કઈ રીતે જીતી શકાય એનું માર્ગદર્શન તેઓ જે તે નેતાને આપે છે. ચૂંટણી પ્રબંધન તેમનો વ્યવસાય છે, આ વિષયે તેઓ એક પ્રોફેશનલ એડવાઇઝર છે અને જે તે નેતા કે પક્ષ તેનો ક્લાયન્ટ છે. સલૂનમાં કારીગરને ગ્રાહક કોણ છે તેની સાથે કોઈ લેવાદેવા હોતી નથી અને તે ગ્રાહકને બને એટલો સૌંદર્યવાન બનાવવાનો પ્રયાસ કરે છે એમ રાજકીય ક્લાયન્ટ કઈ વિચારધારા ધરાવે છે અને કઈ રીતનો માણસ છે તેની સાથે પ્રશાંત કિશોરને કોઈ લેવાદેવા નથી. પ્રશાંત કિશોર વિષે મનમાં આવું ચિત્ર ઉપસે તો એ ખોટું નથી.

તેઓ કહે છે કે ચૂંટણી પ્રબંધન એ શાસ્ત્ર અને કળા બન્ને છે જેના તરફ લોકોનું ધ્યાન ગયું નહોતું એટલે એ વણખેડાયેલા ક્ષેત્રમાં કશુંક કરી બતાવવું હતું એટલે તેમણે એક દાયકા માટે એ કામ કર્યું હતું, પરંતુ એ તેમનાં જીવનનો ઉદ્દેશ નહોતો. જીવનનો ઉદ્દેશ તો સામાજિક નવરચનાનો હતો અને નવરચના આંદોલન દ્વારા નથી થતી. તેમના અભિપ્રાય મુજબ ફ્રેંચ ક્રાંતિને છોડીને કોઈ લોકઆંદોલને નવરચના કરી નથી. નવરચના જમીન પર લોકોનો સીધો સંપર્ક કરીને લોકપ્રબોધન દ્વારા નવી વાતનો લોકોમાં સ્વીકાર કરાવીને થઈ શકે. બાકી આંદોલનો ગુબ્બારા જેવાં હોય છે, જે ફૂલે અને ફૂટી જાય. તેઓ બિહારી છે એટલે બિહારની નવરચના કરવા માટે તેઓ ૨૦૧૬ની સાલમાં નીતીશકુમારના સંયુક્ત જનતા દળમાં જોડાયા હતા.

પણ ભારતમાં દરેક નેતા સત્તાનું રાજકારણ કરે છે જેમાં ટકી રહેવું (સર્વાઇવલ) સર્વોપરી હોય છે. નીતીશકુમારે મુખ્ય પ્રધાનપદ ટકાવી રાખવા ૨૦૧૭માં પલટી મારી અને ભા.જ.પ. સાથે જોડાણ કર્યું એટલે પ્રશાંત કિશોરે તેમનો સાથ છોડી દીધો. તેમના કહેવા મુજબ સંયુક્ત જનતા દળ દ્વારા બિહારની કાયાપલટ કરવાનું તેમનું સપનું રોળાઈ ગયું.

પ્રશાન્ત કિશોર

૨૦૨૧માં તેમણે કાઁગ્રેસ તરફ નજર દોડાવી. કાઁગ્રેસને પુનર્જીવિત કરવી જોઈએ, કારણ કે જે કાઁગ્રેસ મરી ગઈ છે કે મૃતપ્રાય થઈ ગઈ છે એ  ભારતની એક કલ્પનાનું (આઈડિયા ઓફ ઇન્ડિયાનું) પ્રતિનિધિત્વ કરે છે અને એમાં જ ભારતનું કલ્યાણ છે. ભારતની કાયાપલટ ગાંધી-નેહરુ અને બીજા કેટલાક કાઁગ્રેસીઓએ વિકસાવેલી ભારતની કલ્પના સાકર કરવાથી જ થઈ શકે. માટે કાઁગ્રેસને જો તેના મૂળ સ્વરૂપમાં પાછી જીવતી કરવામાં આવે તો એ દેશની કાયાપલટ કરી શકે. તેમણે કાઁગ્રેસને નવું જીવન આપવા માટેની એક રૂપરેખા બનાવી અને કાઁગ્રેસના નેતાઓ સમક્ષ રજૂ કરી. વચમાં એમ લાગતું હતું કે તેઓ કાઁગ્રેસમાં જોડાશે અને કાઁગ્રેસને પુનર્જીવિત કરવાનું કામ કરશે. કાઁગ્રેસના નેતાઓ સાથે અનેક બેઠકો થઈ પણ વાત બની નહીં. એક બાજુ લોકાધાર ગુમાવી રહેલો પરિવાર, બીજી બાજુ લોકાધાર વિનાના પણ દિગ્ગજ કાઁગ્રેસી નેતાઓ અને ત્રીજી બાજુ સાવ બહારથી આવેલો એક પ્રોફેશનલ. કાઁગ્રેસના નેતાઓ માટે મૂંઝવનારો સવાલ એ હતો કે આ ક્લાયન્ટને સર્વિસ આપનારો પ્રોફેશનલ છે કે પછી આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલો એક પ્રતિબદ્ધ ભારતીય? જો પ્રશાંત કિશોર કહે છે એમ તેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા પ્રતિબદ્ધ ભારતીય છે તો ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીની મદદ કેમ કરી હતી? ગાંધી-નેહરુની કલ્પનાના ભારતની સાવ સામેના છેડાનું નરેન્દ્ર મોદીની કલ્પનાનું ભારત છે એ શું પ્રશાંત કિશોર જાણતા નહોતા?

તેમની જાહેરજીવનની યાત્રામાં ૨૦૧૪માં તેમણે નરેન્દ્ર મોદીને કરેલી મદદ આડે આવે છે. પ્રશાંત કિશોર કહે છે કે બીજા અનેક લોકોની જેમ તેઓ પણ નરેન્દ્ર મોદીની વાતોથી ભરમાયા હતા. તેમને એમ લાગતું હતું અને નરેન્દ્ર મોદીએ એવી પ્રતીતિ કરાવી હતી કે શુદ્ધ સંકલ્પ અને પ્રતિબદ્ધતા સાથે તેઓ (નરેન્દ્ર મોદી) દેશની કાયાપલટ કરવા માગે છે અને તેમાં તેઓ કૃતનિશ્ચયી છે. પ્રશાંત કિશોરે દેશની કાયાપલટ કરવા માટેની એક રૂપરેખા બનાવી હતી, નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલાં તેને સ્વીકારી હતી, તેમાંની કેટલીક વાતો ચૂંટણી પ્રચારમાં કહી પણ હતી, પરંતુ સત્તામાં આવ્યા પછી તેમને તેમાં કોઈ રસ નહોતો. પ્રશાંત કિશોર કબૂલ કરે છે નરેન્દ્ર મોદીને મદદ કરી એ તેમની ભૂલ હતી.

૨૦૧૪માં નરેન્દ્ર મોદીને કરેલી મદદ અને એ પછી દેશના એકબીજાથી વિરોધી વિચારધારા ધરાવનારા નેતાઓને ચૂંટણી લડવામાં અને જીતાડવામાં તેમણે કરેલી મદદને કારણે તેમના વિષે છાપ એવી બની છે કે તેમને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી. આ માણસ કોઈની પણ સાથે જઈ શકે છે અને કોઈને પણ મદદ કરી શકે છે. એની વચ્ચે લોકસભાની ગઈ ચૂંટણીમાં ભા.જ.પ.ના પક્ષે હવા બનાવવાની તેમણે જે કોશિશ કરી તેને કારણે સુધરતી પ્રતિષ્ઠા પાછી ખરડાઈ. દિવસરાત અલગ અલગ મીડિયાને ઈન્ટરવ્યુ આપીને તેઓ કહેતા હતા કે ભા.જ.પ.ને ત્રણસો કરતાં વધુ બેઠકો મળશે અને એ પણ પડકારની ભાષામાં. મડિયામાં નજરે પડવાનું ટાઈમિંગ શંકા પેદા કરે તેવું હતું.

ટૂંકમાં પ્રશાંત કિશોરની યાત્રા જોતાં તેઓ જે કહે છે અને કરે છે તેના પર ભરોસો કરવો મુશ્કેલ છે, પરંતુ પ્રશાંત કિશોર આખરે પ્રશાંત કિશોર છે. તેમનામાં કલ્પનાશક્તિ છે, આયોજનશક્તિ છે, લોકોની અંદર આશા પેદા કરી શકે છે અને કશુંક નવું કરવાની હિંમત ધરાવે છે. કાઁગ્રેસને પુનર્જીવિત કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો એ પછી તેમણે ફરીવાર બિહાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બે વરસથી તેઓ બિહારમાં જનસુરાજ યાત્રા કરી રહ્યા છે અને તેના દ્વારા જ્ઞાતિગ્રસ્ત બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોથી યુક્ત અને એ સાથે મુક્ત એવું એક નવું રાજકારણ તેમણે બિહારમાં દાખલ કર્યું છે. જ્ઞાતિ એક વાસ્તવિકતા છે જેનો સ્વીકાર કરવો જોઈએ. જ્ઞાતિને સામજિક અને આર્થિક સ્તર સાથે સંબંધ હોય છે એ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કરવો જોઈએ. દરેક વાસ્તવનું એક કદ હોય છે એ રીતે સંખ્યા જ્ઞાતિ નામની વાસ્તવિકતાનું કદ નક્કી કરે છે અને તેનો પણ સ્વીકાર કરવો જોઈએ. આવું જ જે તે ધર્મના અનુયાયીઓનું. બીજા પક્ષો પણ આનો સ્વીકાર કરે છે અને રાજકારણ કરે છે.

પણ પ્રશાંત કિશોર અન્ય પક્ષોથી એક વાતે અલગ પડે છે. જાતિનું કે કોમનું કદ અને તેની સાથે વિકાસનું કે પછાતપણાનું જે વાસ્તવ છે એ જે તે જ્ઞાતિ કે કોમના લોકોને ડરાવવા કે લોભાવવા માટે નથી, પણ ન્યાય આપવા માટે છે. ન્યાય આપવા માટે વાસ્તવિકતાને સમજવી અને સ્વીકારવી જરૂરી છે. આવતી બીજી ઓકટોબરે તેઓ પટનામાં તેમના પક્ષની સ્થાપના કરી રહ્યા છે અને તેના દ્વારા તેઓ બિહારમાં જ્ઞાતિ અને કોમનાં સમીકરણોથી યુક્ત અને મુક્ત એવું એક નવું રાજકારણ કરવાના છે. તેમની વાત લોકો સુધી, ખાસ કરીને યુવાનો સુધી પહોંચી રહી છે. ઉત્સાહભેર વધાવાઈ રહી છે. દરેક જ્ઞાતિ અને કોમમાં લાયક માણસ હોય છે અને દરેક લાયક માણસ જે તે જ્ઞાતિ કે કોમનો હોય છે. બીજું જેટલી જેની સંખ્યા એટલું એનું પ્રતિનિધિત્વ. એક ઓછું નહીં કે એક વધારે નહીં. ત્રીજું, અવસર નીચેથી ઉપરના ક્રમે આપવાનો, ઉપરથી નીચેના ક્રમે નહીં. જેમ કે બિહારમાં ૨૦ ટકા દલિતો છે અને વિધાનસભાની ૨૪૩ બેઠકો છે. પ્રશાંત કિશોરની ફોર્મ્યુલા મુજબ ૪૮ બેઠકો લાયક દલિત ઉમેદવારને આપવાની. એક ઓછી નહીં કે એક વધારે નહીં. પણ એ ૪૮ ઉમેદવાર જનપ્રતિનિધિત્વ કરવાની લાયકાત ધરાવતા હશે. પ્રશાંત કિશોર કહે છે કે દરેક સમાજમાં લાયક લોકો હોય છે અને દરેક લાયક માનસ કોઈને કોઈ સમાજનો સભ્ય હોય છે. ટૂંકમાં જાતિનો સ્વીકાર, જાતિ આધારિત પછાતપણાનો સ્વીકાર, તેને અગ્રતાક્રમ, સંખ્યા મુજબ પૂરી ભાગીદારી અને લાયકાતનો મહિમા. જો સરકાર રચાય તો મુખ્ય પ્રધાન બનવાનો પહેલો અવસર દલિતનો કારણ કે એ વિકાસની સીડી પર સૌથી નીચેનાં પગથિયા પર છે.

એક બીજી વાત પણ તમારા ધ્યાનમાં આવી હશે. પ્રશાંત કિશોર મંચ પર માત્ર મહાત્મા ગાંધીની તસ્વીરનો ઉપયોગ કરે છે. ડૉ રાજેન્દ્ર પ્રસાદ, જયપ્રકાશ નારાયણ કે કર્પૂરી ઠાકુર કે બીજા કોઈ પણ બિહારી મહાનુભાવની તસ્વીર તેઓ મંચ પર નથી રાખતા. આંબેડકર-ફૂલે કે બીજું કોઈ નહીં. આજના યુગમાં આ હિંમતનું કામ છે. મહાત્મા ગાંધી આજે દેશમાં પોપ્યુલર નથી, કારણ કે તેમણે કોઈ સમાજવિશેષ માટે કામ નહોતું કર્યું. તેઓ બધાના હતા, પણ કોઈના ખાસ નહોતા. પ્રશાંત કિશોર કહે છે કે તેમનો પક્ષ બધા માટે હશે, પણ ભા.જ.પ. જેમ હિંદુઓ માટે છે અને રાષ્ટ્રીય જનતા દળ જેમ બહુજન સમાજ માટે છે એમ તેમનો પક્ષ કોઈ ખાસ કોમ કે સમાજ માટે કામ નહીં કરે. ભારતીયતા અને ન્યાયમુલક માનવતા માટે તેઓ હિંમતપૂર્વક ગાંધીજીની જ તસ્વીર મંચ પર રાખે છે.

પ્રશાંત કિશોરે બિહારમાં જબરદસ્ત હવા બનાવી છે અને તેમને એટલો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે કે રાજકીય પક્ષો ડરી ગયા છે. પણ શંકા હજુ જતી નથી. શું તેઓ ખરેખર પ્રામાણિક છે? શું તેઓ બી.જે.પી. માટે કામ કરી રહ્યા છે? શું તેઓ બીજા અરવિંદ કેજરીવાલ નીવડવાના છે? આપખુદ અને સત્તાના લોભી. અને જેમ આમ આદમી પાર્ટીમાં ચલતાપૂરજા લોકો જોડાઈ ગયા હતા અને પ્રયોગ રોળાઈ ગયો એવું તેમની સાથે નહીં બને? આજથી બિહાર પર નજર રાખતા થાવ.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

વક્ફ બોર્ડ અને કેન્દ્ર સરકારની ચોપાટ : કોણે ક્યાં કાચું કાપ્યું અને કોણ સ્વાર્થ સાધી જશે?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 September 2024

વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધUરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.

ચિરંતના ભટ્ટ

વક્ફ બોર્ડ આજકાલ સતત ચર્ચામાં છે અને તે અંગે મત-મતાંતર સતત આવતા રહે છે. આખરે આ વક્ફ બોર્ડ છે શું? એક એવી સંસ્થા જે દેશમાં સૌથી વધુ જમીન પર માલિકી ધરાવતાઓની યાદીમાં ત્રીજા ક્રમાંકે છે અને ન તો સરકાર એનો વાળ વાંકો કરી શકે એમ છે કે ન તો કોર્ટ-કચેરીનું એની પર કંઇ ચાલે એમ છે.

વક્ફ – એ ઇસ્લામ ધર્મમાં ધાર્મિક કાર્ય માટે, દાન ધર્માદા એટલે કે સખાવતના કામ માટે ઇશ્વરને દાન કરવામાં આવતી ચળ કે અચળ સંપત્તિને કહેવાય છે. એકવાર તમે તમારી એ સંપત્તિ ઇશ્વરને નામ કરી દીધી પછી તમે કે તમારી આવનારી પેઢીઓ સુધ્ધાં એની પર કોઇ દાવો ન કરી શકે. વક્ફની સંપત્તિની દેખરેખ મુતાવલી કરે – જે મૂળે એક વહીવટકર્તા કે મેનેજર જેવી વ્યક્તિ હોય છે. તે એ જમીનમાં ન કોઇ ફેરફાર કરી શકે કે ન તેને વેચી શકે. અંગ્રેજી ટ્રસ્ટના કાયદા સાથે આ વક્ફના કાયદા મળતા થોડાઘણા સમાન છે, પણ વક્ફમાં અપાયેલી જમીન કાયમી ધોરણે વક્ફ બોર્ડની જ રહે, તેનો ઉપયોગ ધર્મ કે ધર્માદા સિવાય બીજી કોઇ રીતે ન જ થઇ શકે – જ્યારે અંગ્રેજી ટ્રસ્ટના કાયદા આટલા કડક નથી હોતા. વક્ફ પણ ત્રણ જાતના હોય જેમાં પહેલો છે કે વક્ફ સંપત્તિનો ઉપયોગ જાહેર જનતા માટે થાય, બીજામાં જાહેર જનતા અને મૂળ માલિક પરિવારના કલ્યાણ માટે તેનો ઉપયોગ વહેંચાય અને ત્રીજા પ્રકારમાં કોઇ પરિવારના કલ્યાણ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે પણ જ્યારે તે વંશવેલાનો અંત આવે તો એ જમીન સાર્વજનિક અથવા ધર્મના કામ માટે વપરાશમાં લેવાય. વક્ફની પ્રથા 1,000 વર્ષ જૂની છે.  કોઈ જમીન પર આંગળી ચિંધીને વક્ફ બોર્ડ કહે કે આ અમારી જમીન છે તો તમે કંઇ કરી પણ ન શકો, જો કે એક સરવે કમિટી હોય છે જેના રિપોર્ટ વગર વક્ફ બોર્ડ આવું ન કરી શકે.

વક્ફનો ઇતિહાસ અને વર્તમાન

એક રસપ્રદ માહિતી એવી છે કે ઇ.સ. 1327માં એક વક્ફ બનાવવામાં આવ્યો હતો. આ દમાસ્કસ, સિરિયની વાત છે. જો હોટેલના વેઇટરથી પોર્સેલિનના વાસણ તૂટી જાય તો તેનો બોજ વેઇટરને માથે નહીં આવે પણ વક્ફની સંપત્તિનો ઉપયોગ કરી તે ખર્ચ સરભર કરાશે અને નવા વાસણ લવાશે. વકફની મિલકતનો ઉપયોગ કરવાનો આ એક ઉમદા વિકલ્પ હતો. પણ આ તો ઈસ. 1327ની વાત છે. સમયાંતરે ધર્માદા કરનારાઓ પોતાનું ભલું પહેલા વિચારવા માંડે એટલે પછી ત્યાં ભ્રષ્ટાચાર અને રાજકારણ બન્ને પગપેસારો કરે. ભારતમાં પણ કંઇક આવું જ થયું છે. વક્ફના કાયદા આપણે ત્યાં એકથી વધુ વાર સુધારામાંથી પસાર થયા છે અને છેલ્લે એ સુધારો 1995માં આવ્યો હતો જે અત્યારે અમલમાં છે. અત્યારે અલગ અલગ રાજ્યોમાં કુલ 32 વક્ફ બોર્ડ છે, વળી તેમાં શિયા અને સુન્ની મુસલમાનોના વક્ફ બોર્ડ જુદા હોય છે. આ બોર્ડની જવાબદારી છે કે રાજ્યની વક્ફ કરાયેલી સંપત્તિઓનો વહીવટ કરવો, તેનો ઉપયોગ કરી જે પણ કમાણી થાય તેનો દાન-ધર્માદા માટે ઉપયોગ કરવો. આ બધાંની ઉપર એક સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ તો છે જ. આખા દેશમાં 9.4 લાખ એકર જમીન વક્ફ બોર્ડની છે, જેમાંથી 8.7 લાખ અચળ સંપત્તિઓ – મસ્જિદ, કબ્રસ્તાન, દુકાનો અને ખેતીલાયક જમીન – છે.

વક્ફમાં ગરબડ શું છે?

દેશમાં જમીન માલિકીને મામલે ત્રીજા નંબરે આવતા વક્ફ બોર્ડ પાસે આટલી બધી મિલકત છે પણ પૈસાને મામલે તો બોર્ડ ઠન ઠન ગોપાલ છે.  2006ની સચ્ચર કમિટીના અહેવાલ અનુસાર વક્ફ બોર્ડની સંપત્તિનો ઉપયોગ યોગ્ય રીતે થાય તો તેઓ 12,000 કરોડની આવક મેળવી શકે પણ એવું કંઇ છે નહીં. વક્ફ બોર્ડના વહીવટકર્તાઓ ભ્રષ્ટાચારમાં ગરકાવ છે અને જમીન ઓછા ભાવે ભાડે આપવાથી માંડીને પોતાનો ધંધો ચાલુ કરી દેનારા લોકો ત્યાં બેઠા છે. ધર્માદા આમાં તો નેવે મુકાઇ જાય તે સ્વાભાવિક છે. પણ આ જ સચ્ચર કમિટીના અહેવાલ મુજબ વક્ફની મિલકતમાં સરકારથી માંડીને ખાનગી ઠેકેદારોએ જમીન ગુપચાવી લીધી હોય એવા કિસ્સા પણ બન્યા છે અને આ પણ એક કારણ છે જેનાથી વક્ફની સંપત્તિથી આવક કમાવી મુશ્કેલ થઇ જાય. ગામડાંની સંપત્તિ આંતરિયાળ વિસ્તારોમાં હોય તો ત્યાં બીજી સમસ્યા હોય અને શહેરોમાં તો કોઇપણ જમીન પર એકથી વધારે ગુંચવાડા હોવાના જ. જ્યાં વક્ફ બોર્ડમાં જવાબદાર અને પ્રામાણિક લોકો છે ત્યાં મામલાઓ કોર્ટમાં અટકેલા છે.

વક્ફની ચર્ચા અત્યારે કેમ?

શું સરકારના સુધારા આ સમસ્યા ઉકેલીને વક્ફની મિલકતનો જે મૂળ ઉદ્દેશ છે તે પાર પાડી શકશે? વક્ફ બોર્ડને અને સરકારને એકબીજા પર વિશ્વાસ બેસશે? અત્યારે જે ચર્ચા ઉપડી છે એનું કારણ છે કે મોદી સરકારે જાહેર કર્યું કે વક્ફના કાયદા અંગે સંશોધન કરાશે, એમાં સુધારા કરાશે જેને લીધી વક્ફ બોર્ડ મન ફાવે એ રીતે જમીનો પર દાવો ન માંડે. 8 ઑગસ્ટે સંસદના સત્રમાં ભા.જ.પા.ના માઇનોરિટી અફેર્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ વક્ફ એમેન્ડમેન્ડ બિલ 2024 જાહેર કર્યું. આ પગલાં સામે વિરોધ પક્ષે એમ કહ્યું છે કે આવા બહાનાં કરીને ક્યાંક સરકાર જ વક્ફની જમીનો પર કબજો કરી લે એવું ન થાય. અવાજો ઉઠ્યા એટલે આ બિલ એક સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દેવાયું. આ સમિતિના અધ્યક્ષ ભા.જ.પા.ના સંસંદ સભ્ય જગદંબિકા પાલ છે. તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું જેથી અલગ અલગ પક્ષોની સુધારા સામેની નારાજગીને સંબોધી શકાય. સરકાર તો એમ જ દાવો કરે છે કે આ ફેરફારથી કોઇની ધાર્મિક સ્વતંત્રતામાં દખલ નથી થવાની, કોઇનો અધિકાર છીનવી નહીં લેવાય વગેરે પણ આમાંનું કંઇપણ લોકોને ગળે નથી ઊતરી રહ્યું.  સરકારે ધારેલા ફેરફાર થઇ જશે તો વક્ફ એક્ટ 1995નું નામ યુનાઇટેડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશ્યન્સિ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ – UMEED – તરીકે ઓળખાશે.

શું વક્ફ પર સરકારની કોઇ પકડ નથી?

હવે આ બદલાવ તો થશે પૂરેપૂરા લાગુ થાય ત્યારની વાત છે પણ ભૂતકાળમાં તમિલનાડુમાં આખે આખું ગામ વક્ફનું હોવાના દાવા થયા છે અને કોર્ટે તેની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. વળી તાજેતરમાં બિહારમાં પણ એક ગામ પર વક્ફના દાવાને લઇને કડાકૂટ ચાલી રહી છે. આ બધાંની વચ્ચે સરકારના UMEED – વાળા સુધારાનો વિવિધ વક્ફ બોર્ડ વિરોધ પણ કરી રહ્યા છે કારણ કે એમને ડર છે કે સરકાર સરવે વગેરેની કામગીરી કલેક્ટર સ્તરે આપી દેશે તો તેમની પાસે એ જમીનો નહીં રહે. તંત્રની અંદર તંત્રની માફક ચાલનાર વક્ફ બોર્ડે એક વાત સમજવી પડશે કે એ લોકો ધારે એ જમીનને વક્ફ નહીં કરી શકે.  વળી કોઈ માણસ માત્રને માત્ર પોતાની જમીનને વક્ફ કરવાનો નિર્ણય લઇ શકે છે, એ બીજાની જમીનને વક્ફ ન કરાવી શકે. પણ 1995ના સુધારામાં એવી વાત હતી કે વક્ફ બોર્ડને લાગે કે કોઇ જમીન કદાચ વક્ફ છે તો તેઓ સરવે કરાવીને પરિણામને આધારે જમીન વક્ફની છે કે નહીં એ તપાસ કરાવી શકે છે. આ વળી સહેલું નથી કારણ કે આ માટેનો સરવે કમિશનર સરકાર નિમે જે કાગળિયાં વગેરેની તપાસ કરે, પણ ઇસ્લામી કાયદા અનુસાર માણસ લખાપટ્ટી વિના પણ માત્ર બોલીને-વચન આપીને પણ જમીન વક્ફ કરાવી શકે છે જે આખી બાબતને પેચીદી બનાવે છે. સ્ટેટ વક્ફ બોર્ડમાં સરકારી માણસોની પણ નિમણૂંક થતી હોય છે. ટૂંકમાં વક્ફ બોર્ડમાં સરકારનું પ્રતિનિધિત્વ નથી હોતું એ વાત સાવ ખોટી છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં પણ સરકાર જ બધા સભ્યોની નિમણૂંક કરે છે. વળી એ ચોખવટ પણ જરૂરી છે કે વક્ફ બોર્ડના નિયમો-કાયદાઓ ભારતના સંસદ દ્વારા બનાવેલા કાયદા અનુસાર જ કામ કરે છે અને તેના અધિકૃત વિવાદોનો નિવેડો લાવવા માટે વક્ફ ટ્રાઇબ્યુનલ હોય છે જેમાં સભ્યો સરકારના નિમેલા જ હોય છે. વળી આ સભ્યોમાં મુસલમાન કાયદાઓ સમજનાર વ્યક્તિ મુસલમાન ન હોય અને પારસી કે હિંદુ હોય તો પણ તેની નિમણૂંક સરકાર કરી જ શકે છે. એટલે કે વક્ફ બોર્ડ કંઇ સ્વાયત્ત નથી. ટ્રાઇબ્યુનલની કામગીરી પર સુપ્રીમ કોર્ટને યોગ્ય લાગે એ રીતે મંજૂરી કે નામંજૂરીની મહોર મારી જ શકે છે. વક્ફને વળી બધા કરવેરા પણ ભરવાના જ આવે જ છે.  ટૂંકમાં વક્ફ બોર્ડને સરકાર, કાયદા તંત્ર અને કરવેરા બધાને સાથે રાખીને જ ચાલવું પડે છે એ સમજવું જરૂરી છે. અધૂરી માહિતી પર ચાલતા કોઇપણ ગપગોળા માની ન લેવા.

ભા.જ.પા. સરકારના સુધારા અને વક્ફ બોર્ડની ચિંતા

અત્યારે સરકાર ઇચ્છે છે કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બે મુસલમાન સ્ત્રીઓ ફરજિયાત હોવી જોઇએ એ સારી બાબત છે. તેમાં બે બિન-મુસલમાન સભ્યો પણ હોવા જોઇએ – જે પણ યોગ્ય છે. હવે વિરોધપક્ષો એમ કહે છે કે હિંદુ મંદિરોના બોર્ડમાં પણ બિન હિંદુ સભ્યો હોવા જોઇએ.

હાલમાં સૂચવેલા સુધારા અનુસાર વક્ફ બોર્ડ પોતાની મરજી પ્રમાણે જમીનની માલિકી વક્ફની છે કે નહીં તે અંગેની તપાસ કરવા ન જઇ શકે અને એ તપાસ કલેક્ટર કરશે. અહીં એ વાતે વિરોધ છે કે સરવે અધિકારી સરકારી જ છે તો પછી વક્ફ બોર્ડ જમીન પચાવી લેશે એવું તો થવાનું નથી. સાથે મોટી ચિંતા એ છે કે સરવે કમિશનરનું કામ કલેક્ટરના હાથમાં જાય એટલે વક્ફની સંપત્તિ પારખવાની સત્તા પૂરેપૂરી સરકાર પાસે જાય પછી કલેક્ટર સરકાર વિરોધી નિર્ણયો તો નહીં લે તો પછી ક્યાંક એમ ન થાય કે જમીન વક્ફની હોય તો પણ તે વક્ફની નથી એવું એ કહી દે.

વક્ફની સંપત્તિનું ડિજિટલ રજિસ્ટ્રેશન જો છ મહિનામાં ન થાય તો તેને વક્ફની સંપત્તિ નહીં ગણાય એવો સુધારો પણ સરકાર સૂચવે છે જેમાં આખી ન્યાયિક સમીક્ષાની પ્રક્રિયાનો છેદ ઊડી જાય છે. આપણે ત્યાં મિલકતના સરવે, ડિજિટાઇઝેશન વગેરે છ મહિનામાં નથી જ થતા એ આપણે જાણીએ જ છીએ. આવામાં રેઢિયાળ તંત્રનો ઉપયોગ કરીને હોંશિયાર સરકાર ડિજિટાઇઝેશન અને કલેક્ટર રાજ વાપરીને વક્ફ બોર્ડની પકડ ઢીલી કરવાનો કારસો રચી રહી છે એવું દૃઢતાપૂર્વક મનાઇ રહ્યું છે.

બાય ધી વેઃ

ટૂંકમાં વક્ફ બોર્ડને મજબૂત કરવાને બદલે, જમીન પચાવનારાઓ સામે પગલાં લેવાની વાતને બદલે સરકાર કંઇ બીજા જ સુધારા કરવાની વાત કરી રહી છે.  સચ્ચર કમિટીના રિપોર્ટના બહુ ઓછા મુદ્દાઓ નવા સુધારામાં ગણતરીમાં લેવાયા છે. ખરેખર તો વક્ફ બોર્ડ પર રાજકારણ ખેલાતું હોય તો તેનુ કારણ તેમની રેઢિયાળ માનસિકતા છે કારણ કે વક્ફ બોર્ડ સમય સાથે બદલાયા નહીં, ન તો વક્ફની ખરબોની સંપત્તિઓનો ઉપયોગ કરી આવક વધારી. જ્યાં તડ હતી ત્યાં સરકારે તક જોઇ એ વક્ફ બોર્ડને સમજાય તો સારું. સ્વાર્થ સાધવામાં વક્ફ બોર્ડે લોકોનું ભલું જોવાનું ટાળ્યું અને હવે આ નોબત આવી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2024

રમેશ ઓઝા

બનારસમાં અત્યારે માલવિય બ્રીજ તરીકે ઓળખાતો પુલ અંગ્રેજોએ ગંગા નદી પર ૧૮૮૭માં બાંધ્યો હતો. એ પુલ ૧૩૭ વરસ જૂનો છે અને હજુ ઉપયોગમાં છે. ૨૦૦૭માં પુલ ૧૨૦ વરસ જૂનો થયો ત્યારે હેવી વેહિકલ માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હળવાં વાહનો હજુ પણ તેનો ઉપયોગ કરે છે. એ પુલ એક કિલોમીટર લાંબો છે. ૧૩ વરસ પછી ૧૯૦૦ની સાલમાં અંગ્રેજ સરકારે આવો બીજો એક અને તેનાથી લગભગ ત્રણ ગણો લાંબો પુલ આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદી પર રાજામુન્દ્રી નજીક બાંધ્યો હતો જે હેવલોક બ્રીજ તરીકે ઓળખાય છે. ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીની સરકારે તેની બાજુમાં ચાર કિલોમીટર લાંબો નવો પુલ બાંધ્યો એ પછી હેવલોક બ્રીજને વાપરવાનું બંધ કરાયું હતું. આમ તો ૨૦૧૪ પહેલાં ભારતનો કોઈ વિકાસ થયો નહોતો, પરંતુ ઇન્દિરા ગાંધીએ ભૂલમાં ૧૯૭૪ની સાલમાં હેવલોક બ્રિજની બાજુમાં નવો પુલ બંધાવ્યો હતો જે હજુ પણ વપરાશમાં છે. ૧૮૮૭માં બાંધવામાં આવેલો બનારસનો પુલ અને ૧૯૦૦ની સાલમાં બાંધવામાં આવેલો ગોદાવરીનો પુલ ડબલ ડેકર પુલ છે. નીચે રેલવે માટે અને ઉપર વાહનો માટે.

અંગ્રેજોએ બનારસમાં ગંગા નદી પર આવો બેવડા ઉપયોગવાળો મજબૂત પુલ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે જોડી શકાય. હેવલોક બ્રીજ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને દક્ષિણ ભારત સાથે જોડી શકાય. આના દ્વારા માલસામાનની અને શ્રમિકોની યાતાયાત સહેલાઇથી થઈ શકે. ભારતમાંથી ઉત્પાદન માટે કાચો માલ ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય અને ત્યાં ઉત્પાદિત કરવામાં આવેલો માલ ભારતની બજારમાં વેચી શકાય. આ સિવાય ખનીજના ઉત્ખનન માટે, તેલ કાઢવા માટે, ચા અને કોફીના બગીચાઓ માટે મજૂરોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકાય. આમાં અંગ્રેજોનો સ્વાર્થ હતો, તેમણે કોઈ ભારત પર ઉપકાર નહોતો કર્યો. એ સમયે રળેલી સમૃદ્ધિ ઇંગ્લેંડ અને યુરોપના બીજા દેશો આજે પણ ભોગવે છે.

ભારતમાં અંગ્રેજોએ પોણા બસો વરસ સીધું રાજ કર્યું અને ભારત આઝાદ થયો એ પછી આટલાં વરસે પણ ભારતનાં કરેલાં શોષણના લાભ ઇંગ્લેંડ ભોગવી રહ્યું છે તો એ શેને કારણે? કારણ બહુ સ્પષ્ટ છે. તેમણે દેશહિતને ધ્યાનમાં રાખીને એટલે કે ઇંગ્લેંડના હિતને ધ્યાનમાં રાખીને ભારતમાં માળખાકીય વિકાસ કર્યો હતો. જેટલું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલો વધારે લાભ અને લાંબા સમય સુધીનો લાભ. પુલ બાંધો તો એવો બાંધો કે તેના પરથી રેલવે અને વાહન બન્ને પસાર થઈ શકે અને એ પણ દાયકાઓ સુધી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતને એવી રીતે જોડો કે સમગ્ર ભારતને વહીવટી રીતે અને આર્થિક રીતે મૂઠીમાં સમાવી શકાય. તેમની પાસે ભારતના શોષણની અને ઇંગ્લેંડના વિકાસની બેથી ત્રણ સદીની લાંબી યોજના હતી. પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમો અને પછી બ્રિટિશ સરકારના અમલદારો એક જ લક્ષ તરફ એક એક ડગલું માંડતા હતા. દરેક જણ શોષણની યોજનાની કડી બનીને ઇંગ્લેંડથી ભારત આવતા હતા. એકપછી એક આવતી કડી, એક સરખી કડી અને મુદ્દત પૂરી થયે બદલાતી રહેતી કડી. દેશહિતના યજ્ઞમાં પોતાનો ધર્મ બજાવો અને ફરજ પૂરી થયે ખસી જાઓ.

પણ કલ્પના કરો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ સંચાલકે કે અંગ્રેજ સરકારના કોઈ વડા પ્રધાને કે ભારતમાં કામ કરતા કોઈ અંગ્રેજ ગવર્નરે પોતાનો જયજયકાર કરાવવા, ઇતિહાસમાં અમર થવા, બીજાથી પોતાને ચડિયાતા ગણાવવા, બીજાને નીચા દેખાડવા, કોઈ મળતિયા વેપારીને ફાયદો કરાવવા, પ્રજાને આંજી દેવા કે પછી ચૂંટણી જીતવા મળેલી મુદ્દતમાં ઉતાવળે, આડેધડ અને તકલાદી બાંધકામ કર્યાં હોત તો? ધારત તો એ લોકો કરી શકત. ભારત સરકારના શાસકોની તાકાત કરતાં અંગ્રેજ સામ્રાજ્યની તાકાત પાંચસો ગણી હતી. તેઓ ધારત તો ભારતમાં તાજમહાલ જેવી પચાસ ઇમારતો બંધાવી શક્યા હોત, પણ તેમણે ભાગ્યે જ અનુત્પાદક ખર્ચ કર્યો હતો. તેમણે બ્રિટિશ સામ્રાજ્યના જયજયકાર માટે જ્યાં પૈસા નહોતા વેડફ્યા ત્યાં અંગત જયજયકાર માટે પૈસા વેડફવા એ તો બહુ દૂરની વાત છે. અમલદારોને રાજી કરવા અને અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની પ્રજાને યાદ અપાવવા નાનાંમોટાં પૂતળાં બાંધવાથી વિશેષ કોઈ વેડફાટ તેમણે નહોતો કર્યો. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોતિંગ. મુંબઈનું વી.ટી. સ્ટેશન પૂનાના પેશ્વાઓના રાજમહેલ કરતાં ચાર ગણું મોટું છે અને  તેની એક કાંકરી પણ ખરી નથી. અત્યારે પેશ્વાઓનો રાજમહેલ ખંડેર અવસ્થામાં છે.

તેઓ ધારત તો સો એકરમાં વિશ્વનો સૌથી મોટો ચર્ચ ભારતમાં બાંધી શક્યા હોત. સો કિલોમીટર દૂરથી દેખાય એવી કોઈ ઊંચી ઈમારત બાંધી શક્યા હોત. બેશુમાર તાકાત હતી અને ભારતમાંથી લૂટેલી સમૃદ્ધિની છોળો ઉડતી હતી. કશું જ અશક્ય નહોતું તેમના માટે, પણ તેમણે આવું કશું કર્યું નહોતું, કારણ કે તેઓ અસલામતી અને લઘુતાગ્રંથિથી પીડિત નહોતા. તેઓ દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા અને દેશહિતમાં વ્યવસ્થાની એક કડી બનીને પોતાની ફરજ નિભાવીને ખસી જવા તૈયાર હતા. તેમને જાણ હતી કે એક દિવસ ભારત ગુમાવ્યા પછી પણ તેમની ત્રણ-ચાર પેઢી સુખેથી જીવી શકશે. બાકી દેખાડા એ કરે જેને પોતાનામાં ભરોસો ન હોય. ઇતિહાસમાંથી ભૂંસાઈ જવાનો અથવા ધકેલાઈ જવાનો ડર હોય. આવું એ કરે જે કર્તૃત્વ દ્વારા નહીં, પણ દેખાડા દ્વારા પ્રજાને આંજી દેવાનો પ્રયાસ કરે.

છેલ્લાં દસ વરસ દરમ્યાન બાંધેલાં પુલો, સંસદભવન જેવી ઇમારતો, અયોધ્યાનું રામમંદિર, વિમાનમથકો, સડકો, પૂતળાંઓ કાં તો ધ્વસ્ત થઈ રહ્યાં છે અથવા તેમાં ખામીઓ પેદા થઈ છે. લગભગ દર અઠવાડિયે ટ્રેન અકસ્માત થઈ રહ્યા છે અને વંદે ભારત અને એવી બીજી ઐશ્વર્યનાં પ્રતિક જેવી ટ્રેનોમાં ખામી પેદા થઈ રહી છે. આ જે થઈ રહ્યું છે એ કોઈ અકસ્માત નથી, જે રસ્તો અપનાવવામાં આવ્યો તેનું પરિણામ છે. શાસકો માટે ઇવેન્ટ યોજનારાઓને અને બાંધકામ કરનારાઓને જાણ હોય છે કે તેમણે ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા ભવ્ય નિર્માણ કરી આપવાનું છે કે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી આપવાનું છે. જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ. માટે આ અકસ્માત નથી, જે થઈ રહ્યું છે તેનું આ સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ છે. શોકાંતિકા માત્ર એટલી છે કે શાસક હજુ શાસન છોડે એ પહેલાં તેની સામે જ આ થઈ રહ્યું છે. પણ શું થાય! એક તો આખું તંત્ર ભ્રષ્ટ છે અને એમાં ચાપલૂસી ઉમેરાઈ. કલાકે માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે હવા ચાલે અને ઐશ્વર્ય ઢળી પડે! આને કવિન્યાય પણ કહી શકાય નહીં?

દરમ્યાન બનારસના પુલે ૧૩૭ વરસમાં અનેક વખત ગંગામાં પૂરનો સામનો કર્યો છે અને હજુ અડીખમ ઊભો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

...102030...448449450451...460470480...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved