Opinion Magazine
Number of visits: 9557111
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેતૃત્વની નક્ષત્રમાળામાં સ્વરાજત્રિપુટીની ભૂમિકા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 November 2024

પ્રકાશ ન. શાહ

કાઁગ્રેસે એક તબક્કે સરદાર પરત્વે ‘નાખો વખારે’ અભિગમ લીધો અને સંઘ પરિવારે એક તબક્કે ‘ચઢાવો છાપરે’ અભિગમ લીધો એની કંઈકે ચર્ચા સરદાર જયંતીથી નેહરુ જયંતીના પખવાડિયામાં અહીં સ્વાભાવિક જ છેડાઈ ગઈ છે. નેહરુ મહિમા મંડનનો એક અતિરેકી દોર પણ દેશે દીઠો છે. પ્રશ્ન, એમને છાવણીઓમાં ધરાર વહેંચ્યા વગર અને સામસામાં રાજકીય શસ્ત્રાસ્ત્ર રૂપે પ્રયોજવાની પક્ષીય પેરવી વગર સમગ્ર ચિત્રમાં મૂકીને જોવાનો છે.

સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં, 1949માં જવાહરલાલ સાઠ વરસના થયા ત્યારે વલ્લભભાઈએ ચુંમોતેરમે, પોતાનાથી 14 વરસ નાના આ સાથીના ને પોતાના સંબંધ અને ભાવબંધને સુરેખ મૂકી આપ્યા છે :

‘હું અને જવાહરલાલ દાયકાઓથી કાઁગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ(ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’

‘એકબીજાને અનેકવિધ કામગીરીઓમાં નજીકથી જાણવાને કારણે સ્વાભાવિક જ પરસ્પર ચાહના અનુભવતા થયા છીએ અને વરસોના વહેવા સાથે પરસ્પરનો સ્નેહ વધતો ગયો છે. અમે સાથે ન હોઈએ, પરસ્પર પરામર્શ શક્ય ન હોય ત્યારે અમને એકબીજાની ખોટ કેવી સાલે છે તે સમજવું ઘણાને સારુ મુશ્કેલ થઈ પડે એવું છે. અમારો આ ગાઢ પરિચય, આ નિકટતા, બે ભાઈઓ વચ્ચે હોય એવો આ સ્નેહ જોતાં જાહેરમાં જવાહરલાલની કદરબૂજના શબ્દો ઉચ્ચારવવાનું મારે માટે દુષ્કર છે. પણ દેશની દેવમૂર્તિ શા લોકનેતા, આમ જનતાના હૃદયમાં વસેલા વીરનાયક – જેનાં ઉદાત્ત કર્યો અને મહાન સિદ્ધિઓ આપણી સામે એક ખુલ્લી કિતાબ સરખી છે એને વિશે કશું ઉમેરવું કદાચ જરૂરી નથી.’

વલ્લભભાઈએ એક જ પરમ ગુરુના અનુયાયી હોવાની ને બે ભાઈઓ જેવો સ્નેહ હોવાની જિકર જવાહરલાલના સાઠમે અને પોતાના ચુંમોતેરમે કરી છે. સ્વરાજસંગ્રામના આકાશમાં નેતૃત્વની એક નક્ષત્રમાળા છે. પણ એમાં આ ત્રણ, આ સ્વરાજઃત્રિપુટી એક પ્રકારે કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. દેશભક્ત ત્રણે છે, પણ ગાંધી વિશ્વફલક પર છે, નેહરુના સ્વરાજકારણમાં એક અનેરું આંતરરાષ્ટ્રીય પરિમાણ છે. સરદાર આ બેઉ વાનાં પ્રીછતે છતે વાસ્તવમાં વિલસે છે. મતભેદો, વિચારભેદો ત્રણે વચ્ચે છે જે એમણે ન તો એકબીજાથી, ન તો જનતાથી છુપાવ્યા છે. આ ત્રિપુટી અનેરા ભાવબંધે ને એવા જ હૃદયબંધે જોડાયેલી છે.

1869માં જન્મેલ ગાંધી, તે પછી 6 વરસે 1875માં જન્મેલ વલ્લભ, અને ગાંધી પછી ત્રીસે વરસે ને વલ્લભ પછી 14 વરસે 1889માં જન્મેલ જવાહર, પિતા-પુત્ર જેવો સંબંધ કલ્પી શકાય, એમની વચ્ચે? હા, પણ અંશતઃ સરદારે બે ભાઈઓ જેવા સ્નેહની વાત કરી છે, પણ મોટા ને નાના ભાઈ જેવા તો ગાંધી ને વલ્લભ છે. જવાહર અક્ષરશઃ ગાંધીના પુત્રવત છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબમાં ગાંધી-વલ્લભ મોટા ને નાના ભાઈ સરખા છે. 1915માં દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત પરત થયેલા ગાંધી 1920-21થી દેશમાં છાઈ ગયા છે, અને પોતે સાઠે પહોંચવા આડે વરસ બે વરસ માંડ છે ત્યારે નેતૃત્વની નવી પેઢીનો પ્રશ્ન સામે આવી ઊભો છે, અને તે પણ કાઁગ્રેસના પ્રમુખપદ રૂપે. 

1928માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે, ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે.

ગાંધી, કેમ કે તે ‘જનરેશન નેક્સ્ટ’ની રીતે વિચારે છે, પ્રમુખપદ માટે પુત્રવત જવાહરનું નામ સૂચવે છે; કેમ કે પોતાના અનુજવત સરદાર પોતાની સાથે ને પોતાની વતી ‘પુત્ર’ની સંભાળ લે તેવી અણબોલી અપેક્ષા છે. ત્રેપનના વલ્લભભાઈ એ અર્થમાં ‘જનરેશન નેક્સ્ટ’ નથી જ, જે અર્થમાં હજુ ચાળીસે માંડ પહોંચેલ જવાહર છે. રાજમોહન ગાંધીની હજી સુધી તો પ્રતિમાન રૂપ રહેલી વલ્લભભાઈની જીવનીના વાચનથી ને મધુ લિમયે શા જહાલ સમાજવાદીએ સ્વરાજસંગ્રામનાં વર્ષોની જે ચર્ચા કરી છે એના ઉજાસમાં મને ‘જનરેશન નેક્સ્ટ’નો આ મુદ્દો વસ્યો છે.

પ્રધાન ભાવ તરીકે નહીં પણ ક્વચિત અન્યાય લાગણી વલ્લભભાઈને થઈ હશે, પણ પોતે દેશના સરદાર હશે તો ગાંધીના સિપાહી પણ છે એટલે સ્વરાજ સંક્રાંતિમાં સંતુલન વિવેકપૂર્વક એ અકુતોભય વર્તે પ્રવર્તે છે. કિસાન લડત કે રિયાસતી મોરચો તો જાણે કે બરાબર, પણ ગાંધીની સલાહ પ્રમાણે જવાહરલાલે અને એમણે મળીને જે પહેલી કેબિનેટ રચી, એ કૉંગ્રેસબદ્ધ નહોતી. કૉંગ્રેસથી સામે પક્ષે રહેલ આંબેડકર, મુખર્જી, ષણ્મુખક ચેટ્ટી, રાજકારણમાં નહીં તેવા ભાભા, એવા બીજા પણ : નેહરુ-પટેલની જોડીનો મહિમા સમજાય છે?

પટેલના જીવનનું અંતિમ વર્ષ ભાગલાના એક બેકલોગ તરીકે પૂર્વ બંગાળમાંથી હિંદુ હિજરતના પડકારનું છે. મુખર્જી કેબિનેટથી ફારેગ થઈ ગયા છે. શાંતિપ્રિય બાપુનું થયું એવું જ્વાહરનું થશે, એ વિચારે રાતવરત સરદારની ઊંઘ ઊડી જાય છે. સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાને ધોરણે સમાધાન સાધી પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવા ભાંગલી તબિયતે સરદાર પંડે પહોંચે છે.

સ્વરાજત્રિપુટી, દેશ ક્યારે ઉતારશે તારું ઋણ?

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 નવેમ્બર 2024

Loading

વારસો

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|12 November 2024

દવાખાનેથી આવતાંની સાથે ગંભીર ચહેરા સાથે ચંદરે તેજુના હાથમાં એક કવર મૂક્યું. “કોનો પત્ર છે?”

“છે તો મોટાભાઈનો – આગ્રાથી, પણ મારે એનો જવાબ આપતાં પહેલાં તને પૂછવું જોઈએ, એટલે તું વાંચી લે. પછી આગળ વાત કરીએ.”

“કેમ, ભાઈએ એવું તે શું લખ્યું છે?”

ગભરાટમાં બોલતો હોય એમ ચંદરે કહ્યું, “લખે છે કે, હમણાં હમણાં બાબુજીની તબિયત બરાબર રહેતી નથી. હવાફેરથી કદાચ ફરક પડે. વળી તું ડૉક્ટર રહ્યો એટલે તારી નજર સામે હોય તો અમને પણ નિરાંત.”

ચંદરને પોતાની પાસે સોફા પર બેસાડતાં તેજુ હસીને બોલી, “મને એ નથી સમજાતું કે, બધા પુરુષો એમ કેમ માનતા હશે કે પોતાની પત્નીને સાસુ-સસરા ગમતાં નથી? લગ્ન પછી માતાજી સાથે રહેવાનો મોકો તો મને ભાગ્યે જ મળ્યો છે પણ હવે બાબુજીને અહીં લાવવાના હોય એમાં મારી પરવાનગીની શું જરૂર?”

“પણ તારે કૉલેજ જવાનું હોય, વળી પરીક્ષા પણ નજીક આવે છે એટલે મને થયું …”

“કશું વિચારવાની જરૂર નથી. વહેલી તકે બાબુજીને બોલાવી લો.”

ક્રિપાલસિંહના આવતાંની સાથે તેજુએ જોયું કે, એ હસમુખા અને બીજાને અનુકૂળ થઈને વર્તવાવાળા હતા. ‘મને આ જ જોઈશે અથવા મને તો આમ જ ફાવશે’ એવું વાક્ય એમને મોઢેથી ભૂલેચૂકેય ન નીકળતું. કૉલેજથી આવીને તેજુ સીધી રસોડામાં ઘૂસે તો એ કહેતા, “બેટા, થાકીને આવી હશે. જરા આરામ કરી લે. તારું રસોડું ક્યાં ય ભાગી નથી જવાનું.”

જે દિવસે તેજુએ સિંધી કઢી, ભાત અને ડબલ મરીના પાપડ પીરસ્યા ત્યારે એમની આંખોના ખાડા પાણીથી ભરાઈ ગયેલા. તેજુએ પૂછેલું, “શું થયું બાબુજી? રસોઈ તીખી બની ગઈ છે?”

“ના રે બેટા, કઢી અસ્સલ તારી માતાજી જેવી બની છે એટલે એ યાદ આવી ગઈ. આમ પણ તને જોઉં ત્યારે મને એ યાદ આવી જાય છે.” ક્યારેક પલંગની બાજુમાં ખુરશી પર બેસીને એ એમના કપાળે હાથ ફેરવતી અને પૂછતી, “બાબુજી, માતાજીનો ફોટો જોઈને મને ખ્યાલ આવે છે કે, હું દેખાવમાં જરા ય એમના જેવી નથી લાગતી તો પણ મને જોઈને તમને કેમ એમની યાદ આવે છે?”

ક્રિપાલસિંહ માયાળુ સ્મિત કરીને કહેતા, “બાહ્ય દેખાવ કરતાં વધુ મહત્ત્વનું માણસનું અંતર હોય છે, અને તારું અંતર એના જેવું નિર્મળ છે ને, એટલે મને તું એના જેવી લાગે છે.” થોડા જ સમયમાં તેજુને એમની એવી માયા બંધાઈ ગઈ કે એ પતિને કહેતી, “કોણ જાણે કેમ ચંદર, પણ મને બાબુજી એટલા વહાલા લાગે છે કે, જાણે મારું બાળક હોય! એ જેટલો વખત આપણી સાથે હોય એટલો વખત એમને ભરપૂર પ્રેમ આપવો એવું મેં મનથી નક્કી કરી લીધું છે.” બધી રીતે ખુશ દેખાતા હોવા છતાં બાબુજી મનમાં કોઈક વાત છુપાવી રાખતા હોય એવું લાગતું હોવાથી તેજુએ એક દિવસ પૂછી જ લીધું, “બાબુજી, તમે મને દીકરી માનો છો તો એક બાપની જેમ ખૂલીને વાત કેમ નથી કરતા? તમારા મનમાં કંઈક અવઢવ છે એ નક્કી.”

“તું તો અંતર્યામી છે. બધું ય સમજી જાય છે. બાબુજીએ હસીને કહ્યું. આમ તો છુપાવવા જેવી કંઈ વાત નથી. હવે ઘરડે ઘડપણ બધી જૂની જૂની વાતો એટલી યાદ આવે છે કે, રાતની ઊંઘ ઊડી જાય છે. ગામના સાથીદારો મળી જાય તો ગોઠડી માંડવાની મજા આવે. જ્યારથી ચંદરે કહ્યું કે, આપણા ગામના ઘણા સિંધીઓ અહીં રહે છે ત્યારથી એમને મળવાનું મન થયું છે પણ…”

“કેમ, એમાં પણ શું?”

“તારે આટલાં બધાં કામ હોય એમાં વળી હું આવી વાત કરું તો તને આ બુઢ્ઢા પર ગુસ્સો જ આવે ને?” તેજુએ લાગણીવશ થઈને એમનો હાથ પકડી લીધો. શું બાબુજી તમે ય? કાયમ બીજાનું જ વિચાર્યા કરશો? કહો, કોને કોને બોલાવવા છે? હું બધાને ફોન કરી દઈશ. જે દિવસે જૂના જોગીઓ ભેગા થયા તે દિવસે બાબુજીના ઓરડામાં હાસ્યની છોળો ઊડી અને એ સૌની આગતા-સ્વાગતા કરી રહેલી તેજુ એ છોળોમાં ભીંજાઈ.

બધાના ગયા પછી બાબુજીએ બાજુમાં બેસાડીને તેજુને કહ્યું, “આજે મૃત્યુની સમીપ જઈ રહેલા મારા જેવા વૃદ્ધના આત્માને તેં ખૂબ તૃપ્તિ આપી છે. મારે પણ તને કંઈક આપવું છે.” એક મખમલની ડબ્બી તેજુના હાથમાં મૂકતાં એમણે કહ્યું, “ખોલીને જો. આ તારી સાસુ પહેરતી એ હીરા જડિત નાકની નથ છે. એ મને કહીને ગઈ હતી કે, અંત સમયે તમને જે સૌથી વધુ પ્રિય લાગે એને મારા તરફથી આપજો. લે, આ તારી સાસુનો વારસો.” આંખમાં આંસુ સાથે તેજુએ એ અમૂલ્ય ભેટનો માથે ચઢાવીને સ્વીકાર કર્યો. એ પછી બાબુજી વધુ સમય ન રહ્યા. એક સવારે ચંદર એમને તપાસવા ગયો ત્યારે જોયું કે, ખોળિયામાંથી હંસલો ઊડી ગયો છે.

બધાં સગાં-સંબંધી આવી પહોંચ્યાં. મોટાભાઈ-ભાભી, દીકરી-જમાઈ અને અમેરિકાથી નાનો દીકરો. બાબુજીના કહ્યા મુજબ બધી ધાર્મિક વિધિ કરવામાં આવી, સવાર-સાંજ પાઠ થયા અને રોજ સિંધી ઢબનું ભોજન બનાવાયું. તેજુને થયું કે, કુટુંબીજનો વિખેરાય એ પહેલાં મારે નથની વાત કરી દેવી જોઈએ. નથ જોઈને નણંદ અને જેઠાણીના ચહેરા પરથી જાણે નૂર ઊડી ગયું. “હું આ ઘરમાં આટલાં વર્ષોથી આવી છું પણ મને તો બાબુજીએ કોઈ દિવસ નથ બતાવી નથી.” “તેજુભાભી, આ તો એંટીક પીસ છે. આને લિલામમાં કાઢીએ તો દરેકના ભાગે કંઈ નહીં તો લાખ-બે લાખ તો આવે જ. ખરેખર તો આ મજિયારાની જણસ જ કહેવાયને?”

તેજુ આ સાંભળીને સડક થઈ ગઈ. એણે કહ્યું, “આમ તો બાબુજીએ આ મને વારસામાં આપી છે પણ વાંધો નહીં, હું તમને દરેકને તમારા ભાગે પડતા રૂપિયા આપી દઈશ પણ મા અને બાબુજીનો આ વારસો તો મારો જ રહેશે. હવેથી એ મજિયારો નહીં રહે કેમ કે, બાબુજીની સ્મૃતિ પણ મારી સુવાંગ છે, એ મજિયારી નથી.” અને એ બાબુજીના ફોટા સામે દીવો પ્રગટાવવા ગઈ.

(ક્રિશિન ખટવાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 નવેમ્બર 2024; પૃ. 24

Loading

દત્તક

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|12 November 2024

રાજેશ આજે ખૂબ ગુસ્સામાં હતો. તળાવના કાંઠે બેઠો બેઠો તળાવમાં પથ્થર ફેંકી રહ્યો હતો અને પથ્થર ફેંકવાથી પાણીમાં ઊભા થતા વમળોને જોઈ રહ્યો હતો. પાણીમાં ઊભા થતા વમળો જેવા જ વમળો રાજેશના મનમાં, વિચારોમાં ઊભા થયા હતા. એવું બની જ કેવી રીતે શકે? મારો નાનપણનો ફોટો ત્યાં કેવી રીતે હોઈ શકે? અને હોય તો શા માટે? આ સવાલ મારે મમ્મી, પપ્પાને પૂછવો કે નહીં? કદાચ એવું પણ હોય શકે કે તે મારો નહીં પણ બીજાનો જ ફોટો હોય અને મારી જેવો લાગતો હોય.

રાજેશ ઘણી વખત તળાવના કાંઠે ફરવા આવતો. પણ, ત્યારે એ એકલો નહોતો આવતો, મિત્રમંડળ સાથે આવતો. જ્યારે આજે પહેલી વખત એકલો આવ્યો હતો. આ વાત મિત્રોને તો પૂછી શકાય નહીં, માટે ફરીથી એ ફોટો જોવા જવું પડશે અને વિગત જાણવી પડશે.

“આવ, રાજેશ કેમ આજે ફરી આવવાનું થયું? કઈ આપવાનું બાકી રહી ગયું હતું?” અનાથાલયના ગૃહપતિએ રાજેશને આવકાર આપીને પૂછ્યું.

“ના, ના, કાકા, મેં ઓફિસમાં લગાડેલો એક ફોટો જોયો હતો. તેમાં મારા બચપણનો ફોટો હતો એ મારે ફરી જોવો છે.”

“બેટા, તારો બચપણનો ફોટો તો અહીંયા ક્યાંથી હોય? એ તો કોઈ બીજાનો હતો એટલે એ ફોટો એ લોકો પાછો લઈ ગયા.”

રાજેશને ગૃહપતિજીના જવાબથી સંતોષ ન થયો. તેણે નક્કી કર્યું કે ગૃહપતિએ આજે બરોબર જવાબ નથી આપ્યો પણ અચાનક અનાથાલયની મુલાકાત લઉં તો એ ફોટો ફરીથી જોવા મળશે એમ વિચારીને રાજેશે અત્યારે એ વાત ભૂલી જવાનું નક્કી કર્યું.

રાજેશના મનમાંથી એ ફોટાવાળી વાત જતી નહોતી. મમ્મી, પપ્પાના પોતાના પ્રત્યેના વર્તનને જાણવામાં પડી ગયો. ખૂબ ઝીણવટથી બધી જ વાતચીતની નોંધ લેતો હતો પણ તેને મમ્મી, પપ્પાનાં વર્તનમાં કોઈ ફરક જણાતો નહોતો. રાજેશ સમજાતું નહોતું કે એ ફોટો જોવાથી એ આટલો બધો વિચલિત કેમ થઈ ગયો છે.

થોડા સમય પછી રાજેશને અનાયાસે અનાથાલય જવાનો મોકો મળી ગયો. આજે ગૃહપતિ હાજર નહોતા અને તે દિવસે જોયેલો ફોટો દીવાલ પર લગાડેલો હતો. રાજેશના મનમાં સવાલ થયો કે તે દિવસે ગૃહપતિ કાકા જુઠ્ઠું બોલ્યા હતા? પણ શા માટે? કંઈક તો ગરબડ જરૂર છે. હવે આ વાત મમ્મી, પપ્પાને પૂછવી પડશે.

*****************

હકીકતમાં અનુપભાઈએ રાજેશને એ બે વરસનો હતો ત્યારે અનાથલયમાંથી દત્તક લીધો હતો. અનુપભાઈ કાપડના હોલસેલ વેપારી હતા. ધાર્મિક વૃત્તિના હતા પણ તેમની વિચારધારા જરા જુદી હતી. એ માનતા કે લોકોએ પોતાની કમાણીના દસ ટકા સામાજિક સેવા અને ધાર્મિક કાર્યમાં વાપરવા જોઈએ, એટલે અનુપભાઈ અનાથાલયમાં બાળકોના કપડાં માટે જરૂરી કાપડ અને ચીજ વસ્તુઓ આપતા રહેતા હતા.

વીસ વરસ પહેલાની વાત છે. અનુપભાઈ અને તેમનાં ધર્મપત્ની ઉમાબહેન અનાથાલયમાં કાપડ અને બીજી ચીજ વસ્તુઓ આપવા માટે ગયાં હતાં. ત્યારે તેમની નજર રાજેશ પર પડી, રાજેશ પણ દોડીને બંને પાસે આવીને રમવા લાગ્યો હતો. ઉમાબહેનનું માતૃહૃદય દૃવી ગયું. અનુપભાઈ અને ઉમાબહેનના લગ્નને આઠેક વરસ થયાં છતાં ઘરે પારણું બંધાયું નહોતું અને મનથી દુઃખી હતાં. રાજેશને જોઈને ઉમાબહેનનું માતૃત્વ પોકારી ઉઠ્યું. ઉમાબહેને અનુપભાઈને રાજેશ વિશે વાત કરી. અનુપભાઈ પણ જાણતા હતા કે ડૉક્ટરી રિપોર્ટ પ્રમાણે ઉમા મા બની શકે તેમ નથી. અનુપભાઈએ ત્યારે તો ઉમાબહેનને સાંત્વના આપીને કહ્યું, “આપણે પરિસ્થિતિ વિચારી લઈએ એ પછી રાજેશની બાબતમાં આગળ વધશું.”

અનુપભાઈએ તેના ડોક્ટર મિત્ર કેતનને વાત કરી. કેતને કહ્યું, “અનુપ, તને તો ખબર છે કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે ઉમાભાભી ક્યારે ય માતૃત્વ ધારણ નહીં કરી શકે. આ બાબતે તારે અને ભાભી વચ્ચે ચર્ચા પણ ઘણીવાર થઈ છે. આજે તે ફરીથી ભાભીને અનાથાલય લઈ જવાની ભૂલ કરી. આ પહેલાં પણ આપણે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. આ વખતે પણ સમય જતાં પરિસ્થિતિ થાળે પડી જશે, તું ચિંતા કર મા.”

“કેતન, આ વખતની પરિસ્થિતિ જુદી છે. ઉમાએ જ્યારથી રાજેશને અનાથાલયમાં જોયો છે ત્યારથી સૂનમૂન થઈ ગઈ છે અને રાજેશને રોજ મળવા જવાની વાત કરે છે.”

“અનુપ, જો તને વાંધો ન હોય તો રાજેશને દત્તક લઈ લે. અત્યારે એ બે વરસનો છે. તમારી સાથે  જલદીથી હળીમળી જશે, ઉમાભાભીનું જીવન નવપલ્લવિત થઈ જશે.”

“કેતન, તારી વાત બરોબર છે, પણ, તે એ વિચાર્યું કે રાજેશ અત્યારે બે વરસનો છે એ અમારી સાથે હળીમળી જશે. અમારા જીવનમાં એ દીકરાનું સ્થાન લઈ લેશે અને અમને મમ્મી, પપ્પાનું સ્થાન આપશે. પણ, તે એ કેમ ન વિચાર્યું કે રાજેશને જ્યારે ખબર પડશે કે અમે તેનાં મમ્મી, પપ્પા નથી, તેને અનાથાલયમાંથી દત્તક લીધો છે ત્યારે તેના મન પર શું વીતશે, અમારું શું થશે? અને ઉમા એ પરિસ્થિતિને સહન નહીં કરી શકે. અરે! તેને કોઈ પાસેથી જાણ થાય ત્યારે અમને સવાલ પૂછશે. અમે શું? જવાબ આપશું? ના, ના, મારે કોઈ ભવિષ્યમાં આવનારી આફત માટે અત્યારથી આમંત્રણ નથી આપવું. હું, ઉમાને સમજાવવાનો પ્રયત્ન કરીશ.”

“અનુપ, હું તારી વાત સાથે સહમત છું. પણ, ભવિષ્યનું વિચારીને તું અત્યારથી ઉમાભાભીની જિંદગી માટે ખતરો ઊભો કરી રહ્યો છો. તું ભૂલી ગયો, તને ડોક્ટરે ઉમાભાભીની તબિયત માટે શું ધ્યાન દોર્યું હતું. અને હું છું ને તારી સાથે, કદાચ તું માને છે એવી પરિસ્થિતિ ઊભી થશે તો હું સંભાળી લઈશ.”

***********************

“કેતન, તું જલદી મારી ઓફિસે આવ, મારે તારું કામ છે.”

“અનુપ, શું વાત છે? તું આટલો બધો ગભરાયેલો કેમ છો?”

“કેતન, મેં તને કહ્યું હતુંને કે રાજેશ તેના ભૂતકાળ વિષે કોઈ સવાલ પૂછશે, તો, અમે શું જવાબ આપશું. થોડા દિવસ પહેલા રાજેશે પહેલાં ઉમાને અનાથાલયમાં જોયેલા ફોટા વિશે પૂછ્યું કે `મમ્મી, મારો બચપણનો ફોટો અનાથાલયમાં અને તે પણ બીજાં બાળકો સાથે કેમ છે?’ ત્યારે તો ઉમાએ જેમતેમ કરીને વાતને ટાળી દીધી હતી. તેને બીક છે કે ફરી જો રાજેશ આ સવાલ પૂછશે તો હું શું જવાબ દઈશ.”

ઉમાએ જવાબ ન આપ્યો એટલે રાજેશે મને પૂછ્યું હતું, “પપ્પા, મમ્મીએ મને મેં અનાથાલયમાં જોયેલા ફોટા વિશે કંઈ ન કહ્યું, તમે પણ કંઈ નહીં કહો તો હું એ વાત જાણીને જ રહીશ.” બસ બનાવ પછી રાજેશ સતત દ્વિધામાં અને મૂંઝાયેલો રહે છે. તળાવને કાંઠે એકલો એકલો કલાકો સુધી બેસી રહે છે. કેતન, અમે મૂંઝાઈ ગયાં છીએ કે આ પરિસ્થિતિમાંથી કેવી રીતે રસ્તો કાઢવો. રાજેશ અમને છોડીને જતો તો નહીં રહેને? હવે અમે રાજેશ વગર જીવી નહીં શકીએ.

“અનુપ, તું ચિંતા કર મા. હું રાજેશને મળીને તેના બદલાયેલા વર્તન માટેની હકીકત જાણી લઈશ. કદાચ, તું માને છે એવું કંઈ કારણ ન પણ હોય.”

“કેતન, મને તારી પર પૂરો ભરોસો છે. પણ જે કંઈ વાત કર, સંભાળીને કરજે. હવે આ ઉંમરે દીકરો નારાજ થઈને છોડી જાય એ ન પોષાય અને તેની ચિંતા પણ થાય.”

“અરે! દીકરા રાજેશ, કેમ આજે એકલો? તળાવના કિનારે બેઠો છો. તારા મિત્રો, હવે આવવાના હશે?”

“અંકલ, પણ, તમે અહીં ક્યાંથી? હમણાંથી હું રોજ એકલો જ આ તળાવના કિનારે બેસીને કિસ્મતના ખેલ વિશે વિચાર્યા કરું  છું.”

“કેમ, બેટા, એમ બોલે છે? તારાં મમ્મી, પપ્પા અને મિત્રો તને કેટલો બધો પ્રેમ કરે છે.”

“અંકલ, હું હમણાં અમે જે અનાથાલયમાં બાળકો માટે કાપડ અને ચીજ વસ્તુ આપીએ છીએ એ દેવા હું અનાથાલય ગયો હતો. ત્યારે ત્યાં મેં મારો બચપણનો ફોટો જોયો. મમ્મી, પપ્પાને પૂછ્યું પણ મને સંતોષકારક જવાબ ન મળ્યો. તમારી પાસે તેનો જવાબ છે? મને કહેશો કે મારો ફોટો ત્યા કેમ છે?”

“હા બેટા, મારી પાસે જવાબ છે. પણ પહેલાં મારે મારા સવાલના જવાબ તારી પાસેથી જોઈએ છે. પછી તને આખી ય વાત સમજાઈ જશે. મને કહે, તને તારાં મમ્મી, પપ્પા કેટલો પ્રેમ કરે છે? તારા માટે શું શું કર્યું? તને એવું ક્યારે ય લાગ્યું કે આ તારાં મમ્મી, પપ્પા નથી. ક્યારે તારાથી કોઈ જુદારો રાખ્યો છે?”

“કેમ? અંકલ એમ પૂછો છો? મારાં મમ્મી, પપ્પા જેવાં મમ્મી, પપ્પા ભાગ્યશાળીને જ મળે. મારા માટે મારાં મમ્મી, પપ્પાએ શું શું કર્યું એ વિચારવાનો સવાલ જ નથી. મને યાદ નથી કે મારે કોઈ વસ્તુ માંગવી પડી હોય. આ મારાં મમ્મી, પપ્પા નથી એમ હું કદી વિચારી જ ન શકું.”

“બેટા, તને ખબર છે? જશોદાજી શ્રીકૃષ્ણના પાલક માતા હતા. જન્મદાત્રી તો દેવકીજી હતાં. છતાં આપણે કૃષ્ણને જશોદાજીનો લાલો કહીએ છીએ. કૃષ્ણ, જશોદાજી પાસે ફક્ત અગિયાર વરસ રહ્યા હતા. પણ, તું, તો  ઉમાભાભીનો કાનો — રાજેશ છો. સદા સાથે રહેવાનો છો.”

“અંકલ, તમારી વાત હું સમજ્યો નહીં.”

“બેટા, તે અનાથાલયમાં જોયો એ ફોટો તારો જ છે. તું બે વરસનો હતો ત્યારે અનુપ અને ભાભી અનાથાલયમાં વસ્તુઓ આપવા ગયાં હતાં. તું દોડીને ભાભીને વળગી પડ્યો. ભાભીને મેડિકલ પ્રોબલેમ હોવાથી મા બની શકે તેમ નહોતાં, પણ તને જોઈને તેનું તારા પ્રત્યેનું માતૃત્વ જાગી ઉઠ્યું. કદાચ કોઈ પૂર્વજન્મનું લેણું હશે. ભાભીએ જીદ કરી અને અનુપ, ઉમાભાભીએ તને અનાથાલયમાંથી દત્તકપુત્ર તરીકે લઈને તારું તેમના જીવનમાં પુત્ર તરીકેનું સ્થાન આપ્યું. હવે, મને કહે આ વાત સાંભળ્યા પછી, તે જોયેલા અનાથાલયના ફોટોનું રહસ્ય જાણ્યા પછી, તારું અનુપ અને ભાભી પ્રત્યેનું વર્તન બદસ્લાઈ તો નહીં જાય ને? આ બીકથી તારાં મમ્મી, પપ્પા ખૂબજ ચિંતામાં છે.”

“અંકલ, તમે મારા જીવનને વધુ સમૃદ્ધ બનાવી દીધું. તમારી વાત સાંભળ્યા પછી મારું માન મારાં મમ્મી, પપ્પા પ્રત્યે અનેક ગણું વધી ગયું છે. એ ફક્ત મારાં મમ્મી, પપ્પા જ નહીં પણ મારા જીવનનો જીર્ણોદ્ધાર કરનાર દેવતા છે. ભલે એ મારાં જન્મદાતા નથી પણ તેમનું સ્થાન મારા જીવનમાં જશોદાજી અને નંદજીની જેવું જ રહેશે. તમે ચિંતા ન કરતા. મારાં મમ્મી, પપ્પાને જરા પણ નારાજ નહીં કરું. હું પહેલાની જેમ જ નોર્મલ થઈ જઈશ. તમે આપણે મળ્યા હતા મને બધી જ વાતની ખબર છે એ વાત મમ્મી, પપ્પાને ન કરતા.”

“શાબાશ દીકરા, મારી તારી પાસેથી મને આ જ અપેક્ષા હતી. ભવિષ્યમાં કંઈપણ મૂંઝવણ થાય તો આ અંકલને મળવાનું ન ભૂલતો.” કેતનભાઈના મુખ પર પ્રસન્નતાની રેખાઓ અંકિત થઈ ગઈ. અનુપભાઈને ભૂતકાળમાં આપેલ વચન નિભાવ્યાની.

“કેતન, તારો ખૂબ ખૂબ આભાર.”

“અનુપ, એમાં આભાર માનવાની જરૂર નથી. આપણે વિચારીએ છીએ એવું બધું જ નથી બનતું. તેમ જ યંગ જનરેશન પણ શાણી અને સમજુ હોય છે. ફક્ત જરૂર છે યોગ્ય રજૂઆતની અને વાતની યોગ્ય સમજણ આપવાની.

ભાવનગર, ગુજરાત
e.mail : nkt7848@gmail.com

Loading

...102030...448449450451...460470480...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved