Opinion Magazine
Number of visits: 9457003
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તો શું માણસાઈ માણસ જોઇને અપનાવવાની ચીજ છે ? 

રમેશ ઓઝા|Opinion - Opinion|5 September 2024

કાયદાની ઐસીતૈસી. અદાલત અને ન્યાય પ્રક્રિયાની ઐસીતૈસી. માણસાઈ અને મર્યાદાની ઐસીતૈસી.

રમેશ ઓઝા

ન્યાય કે સજાના નામે બુલડોઝર ચલાવવાની નીતિ વિષે સર્વોચ્ચ અદાલતે જે કહ્યું છે એની વાત કરતાં પહેલાં વાચકોને મારી સલાહ છે કે યુટ્યુબ પર જઇને યોગી આદિત્યનાથનો ૧૨મી માર્ચ ૨૦૦૭ના દિવસે તેમણે લોકસભામાં કરેલા ભાષણનો વીડિયો જોઈ લે. એ સમયે મુલાયમ સિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા, કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહના નેતૃત્વમાં યુ.પી.એ.ની સરકાર હતી, યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટાયેલા ભા.જ.પ.ના સંસદસભ્ય હતા અને સોમનાથ ચેટરજી લોકસભાના સ્પીકર હતા. ઝીરો અવરમાં યોગીએ ગળગળા થઈને બોલવાની મંજૂરી માગી હતી અને સોમનાથ ચેટરજીએ તેમને હળવા કરવા “ખુલીને બોલો, જે કહેવું હોય તે કહો, સદન તમને સાંભળશે અને ઘટતું કરશે” એમ કહીને સધિયારો આપ્યો હતો.

એ પછી સુખદુઃખ જેનાં માટે સમાન છે એવા યોગી આદિત્યનાથે રડતા રડતા અને એક સમયે તો ધ્રુસકે ધ્રુસકે રડીને કહ્યું હતું કે તેઓ ત્રીજી વાર ગોરખપુરથી ચૂંટાયેલા સંસદસભ્ય છે, પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવની સરકાર તેમને સતાવે છે. કોમી હુલ્લડો કરાવવાના નામે તેમની ધરપકડ કરવામાં આવી, જેલમાં નાખવામાં આવ્યા, જામીન આપવામાં નહોતા આવતા વગેરે વગેરે. તેઓ એટલી પીડા અનુભવતા હતા કે અક્ષરસઃ ભાંગી પડ્યા હતા તે એટલે સુધી કે તેમની પાછળ બેઠેલા સંસદસભ્યએ તેમના ખભા પર હાથ મૂકીને અને વાંસા પર હાથ ફેરવીને સાંત્વન આપ્યું હતું. યોગી આદિત્યનાથે ડુસકા ભરતા સ્પીકરને કહ્યું હતું કે મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે જે રીતે નક્સલીઓનું કરવામાં આવી રહ્યું છે. હવે તમે જ મારી રક્ષા કરી શકો એમ છો, અન્યથા હું સંસદસભ્ય તરીકેનું મારું રાજીનામું આપી દઉં. તેમણે એમ પણ કહ્યું હતું કે હું તો સન્યાસી છું, બધી ચીજનો ત્યાગ કરીને આવ્યો છું.

આ ક્લીપ તમે તમારા સગે કાને સાંભળી શકો છો અને લોકસભાની વેબસાઈટ પર જઇને એ દિવસનું યોગીજીનું આખું ભાષાણ સગી આંખે વાંચી શકો છો.

વાત આ છે. જ્યારે પોતાનાં પલડામાં પીડા આવે ત્યારે દયા માયા, કરુણા, ન્યાય, રહેમ અને માણસાઈની યાદ આવે અને જ્યારે પોતાનું પલડું ભારે થઈ જાય ત્યારે એ જ માર્ગ અપનાવતા શરમ પણ ન આવે. તો શું માણસાઈ માણસ જોઇને અપનાવવાની ચીજ છે? મારી સાથે બીજાએ માણસાઈ જાળવવી જોઈએ, પરંતુ મારો હાથ ઉપર હોય ત્યારે માણસાઈ ગઈ ભાડમાં. એમાં યોગી આદિત્યનાથ તો જન્મે ક્ષત્રીય છે, ધર્મે સંસારનો સર્વશ્રેષ્ઠ હિંદુ છે, કર્મે સન્યાસી છે અને ઉપરથી દેશ માટે જાન આપવા તત્પર ધગધગતો રાષ્ટ્રવાદી છે. આવો માણસ પામર મનુષ્યની માફક રડે? ક્ષત્રીયધર્મ, હિંદુધર્મ, સન્યાસધર્મ અને રાષ્ટ્રધર્મ રડતાં શીખવાડે છે? પણ ગોદી મીડિયા આમાં પણ શીર્ષાસન કરીને કહે છે કે એ દિવસે યોગી આદિત્યનાથે પ્રતિજ્ઞા કરી હતી કે એક દિવસ સત્તામાં આવીને હું તેમને ઈંટનો જવાબ પત્થરથી આપીશ. એવી કોઈ પ્રતિજ્ઞા એ દિવસે તેમણે તેમનાં ભાષણમાં તો કરી નહોતી. બહાર કરી હોય એવી પણ કોઈ વીડિયો ક્લીપ મળતી નથી. ઊલટું તેમણે તો સ્પીકરને કહ્યું હતું કે તમે મારી રક્ષા કરો અને નહીં તો હું લોકસભામાંથી રાજીનામું આપી દઉં. ભયગ્રસ્ત માણસની એ કાકલુદી હતી. હિંદુ રાષ્ટ્રવાદીઓ માટે આ કોઈ નવી વાત નથી.

આ વાત અહીં જરાક વિસ્તારથી કહેવાનો આશય એ કે નરસિંહ મહેતાએ કહ્યું હતું એમ બીજાની પીડાને અનુભવી શકે એ સાચો વૈષ્ણવ. એ સાચો ઈશ્વરનિષ્ઠ. એ સાચો હિંદુ. એ સાચો માણસ. “પીડ પરાઈ જાણે રે …” બાકી તો પોતાની પીડા તો જાનવર પણ અનુભવે છે. માણસાઈનો માર્ગ ત્યાંથી ઉપર ઉઠવાનો છે.

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી તેઓ “ગુનેગાર”ના ઘર પર બુલડોઝર ચલાવતા હતા. ૨૦૧૭ની સાલથી આની શરૂઆત થઈ હતી. પણ “ગુનેગાર” કોણ? એ જેને અમે ગુનેગાર માનતા હોઈએ. જો એ મુસલમાન હોય, જેણે હિંદુ સામે ગુનો કર્યો હોય, અથવા કમ સે કમ કોઈ હિન્દુએ એવી ફરિયાદ કરી હોય અને અમારું હિંદુઓનું શાસન હોય તો એ “ગુનેગાર.” આમાં કોરટ કચેરી, આરોપનામું, પૂરાવા દલીલોની જરૂર જ શું છે? એ મુસલમાન છે એ પૂરતું છે. ૨૦૧૭થી આ ચાલી રહ્યું હતું. આ બુલડોઝર ન્યાય ભા.જ.પ. શાસિત અન્ય રાજ્યોનાં મુખ્ય પ્રધાનોએ પણ અપનાવ્યો હતો. સમર્થકો કિકિયારીઓ પાડી પાડીને ૨૦૦૭માં લોકસભામાં રડીને રક્ષણ માગનારા મુખ્ય પ્રધાનની બહાદુરીને વધાવતા હતા. તેમને બુલડોઝર બાબા તરીકે પૂજવામાં આવે છે.

જે વિરોધ કરતા હતા એ દેશદ્રોહીઓ હતા અને એવા દેશદ્રોહીઓનાં મકાન પર પણ બુલડોઝર ચલાવવામાં આવ્યા. એ પછી આખા જગતમાં હંમેશાં બને છે એમ ઉત્તર પ્રદેશમાં પણ બનવા લાગ્યું. કાશીનગરીને શણગારવા માટે કાશી કોરીડોર અને ગંગાઘાટોનું સુશોભિકરણ કરવા વચ્ચે આવતાં મકાનો અને મંદિરો ઘ્વસ્ત કરવાનું શરૂ થયું. અયોધ્યા અને પ્રયાગરાજમાં એવું બનવા માંડ્યું. નોએડા, ગાઝિયાબાદ અને અન્યત્ર જ્યાં પ્રોપર્ટીમાં મોટી કમાઈ છે ત્યાં આવું બનવા લાગ્યું. અહીં જેનાં મકાન ધ્વસ્ત કરવામાં આવતાં હતાં એ મુસલમાન નહોતા, મોટાભાગના હિંદુ હતા. રેલો હિંદુઓની નીચે આવ્યો ત્યારે તેમને બુલડોઝર રાજનો ચહેરો સમજાયો. અયોધ્યામાં લોકસભાની ચૂંટણીમાં ભા.જ.પ.નો પરાજય થયો અને વારાણસીમાં વડા પ્રધાન માંડ હારતા હરતા બચ્યા. હદ તો ત્યારે થઈ કે બનારસમાં નવા બનાવવામાં આવેલા નમો ઘાટને શણગારવા બાજુમાં આવેલા સર્વ સેવા સંઘનો કેમ્પસ છીનવી લીધો અને મકાનો તોડી નાખ્યાં. વિનોબા ભાવે, ડૉ રાજેન્દ્ર પ્રસાદ અને લાલ બહાદુર શાસ્ત્રી પર આરોપ મૂકવામાં આવ્યો કે તેમણે નકલી દસ્તાવેજો બનાવીને રેલવેની જમીન પર કબજો કર્યો હતો.

કાયદાની ઐસીતૈસી. અદાલત અને ન્યાય પ્રક્રિયાની ઐસીતૈસી. માણસાઈ અને મર્યાદાની ઐસીતૈસી. આની શરૂઆત ૨૦૧૭માં થઈ હતી જેની નોંધ સર્વોચ્ચ અદાલતે ૨૦૨૪માં લીધી. અને એ પણ માત્ર અભિપ્રાય આપ્યો છે કે આ ખોટું છે. અદાલતે કહ્યું છે કે આરોપી શું, ગુનેગારનું મકાન પણ ન તોડી શકાય. બહુ સરસ વાત છે, આનું સ્વાગત કરીએ પણ કાયદો હાથમાં લેનારાઓને સજા કરી? પોલીસને આદેશ આપ્યો કે મકાન તોડવાની ઘટનાઓની તપાસ કરીને આરોપીઓ સામે આરપનામું દાખલ કરે? આ કોણ કરશે અને આ કોનું કામ છે? જો અદાલતે ૨૦૧૭ની સાલમાં કાયદાની, ન્યાયની અને ન્યાયપ્રક્રિયાની ઐસીતૈસી કરનારાઓની બોચી પકડી હોત તો? આપણે આપણી ઐસીતૈસી કરાવીએ ત્યાં બીજાનો શું વાંક? ચૂંટણીપંચની પણ આ જ હાલત છે.

એક વાત લખી રાખજો. મોકો જોઇને નબળાને રંજાડવાનું કૃત્ય એ જ કરે જે ડરપોક હોય અને એટલે જ્યારે પોતાના પર આવે ત્યારે રડે અને યાચના માગે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 સપ્ટેમ્બર 2024

Loading

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ (૭) 

સુમન શાહ|Opinion - Literature|5 September 2024

સુમન શાહ

પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.

એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર …!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું!

રૂડા દીસો છો, રાજેશ્વર ….

જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.

ભક્તિમાત્રમાં, અને પુષ્ટિમાર્ગમાં તો ખાસ, એવા અનન્યભાવનું ઘણું મૂલ્ય છે. દયારામ સ્પષ્ટ કહે છે,

… … …

વૈકુંઠમાં જીવ-શિવ એક થવાનો મોટો સંભવ છે, પણ તેથી શું? એટલે, શ્રીજીને પોતે સીધું જ પૂછે છે : ‘શું કરું શ્રીજી! હું સાયુજ્ય પામી?’ અને, પ્રેમભક્તિયુક્ત દ્વૈતની અનર્ગળ પ્રતીક્ષાના માર્યા કવિ કહે પણ છે : ‘એકતામાં તમો ના રહો સ્વામી!’

એવી હઠ છે, એવી અનન્યતા છે, એવી પ્રતીક્ષા છે, માટે હવે, એ અનન્યને પ્રાર્થના શરૂ થાય છે, ‘દર્શન દોની રે દાસને મારા ગુણનિધિ ગિરિધારીલાલ!’ એમ છે માટે, હવે, આવું બધું તો વ્યર્થ લાગે છે, કહે છે : ‘જપું નહીં અજપા રે જાપ, ન ગમે સૂણવો અનહદ નાદ; યજ્ઞસમાધિ રે ના ગમે, ન ગમે સ્વર્ગમુક્તિના સ્વાદ.’ એવાંતેવાં કોઇ સાધન ગમતાં નથી, ‘ફીક્કાં’ લાગે છે. એક જ વિનતી છે, ‘સમૂળ અવિદ્યા’ ટળે, જો હરિજી હાથ ઝાલે. અને તે કાજે એટલે લગી કહે છે, ‘દાસી કરી રાખો નિજ પાસ.’

એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’

… … …

‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે. ‘વ્હાલાજી’-ને કવિ કહે છે કે પોતે તો ‘પળપળનો અપરાધી’ છે, ‘જેવોતેવો તો યે છું તમારો, આધાર અવર નહિ મારો રે’, ‘પાણિ ગ્રહ્યો છે તો નિભાવો મારો દાસપણાનો દાવો રે  !’ ‘પાવલે લાગું ! દામોદર !’  – એ ધ્રુવ ઉદ્ગારમાં ભક્તહૃદયનું નર્યું આર્જવ ઘુંટાય છે. છેવટે, છેલ્લી વિનંતી તો એ કરી કે, ‘મારે અંતસમય અલબેલા! મુજને મૂકશો મા! મારા મદનમોહનજી! છેલા! અવસર ચૂકશો મા!’

કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.

કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’

પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’

આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’

… … …

એમને થયું છે કે હવે વ્યાપકથી વાતો કરવાનો સમય નથી રહ્યો. એના મિથ્યાત્વનો પોતાને અંદાજ છે. તેથી પૂછ્યું છે, ‘અંતર્યામી અખિલમાં છે તેથી, કહો, કોનું દુ:ખ જાય?’, ‘પ્રગટ પાવક વિના કાષ્ટને ભેટ્યે શી પેરે શીત શમાય?’, ‘પૃથ્વી ચાટ્યે તૃષા ટળે નહિ, અંતરજળ શ્રુતિ થાય’. ટૂંકમાં, ‘વ્યાપકથી વાતો નવ થાયે, તે વિના જીવ અકળાય …’ સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.

… … …

દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સરે …’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.

મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે. પૂર્વોક્ત ત્રણેય વર્તુળની રચનાઓ એમ સૂચવે છે કે દયારામે સામાન્ય સ્વરૂપે કૃષ્ણસ્તુતિ ગોપી દ્વારા ગોપી માટે કરી છે. પણ ત્રીજા વર્તુળની રચનાઓ દર્શાવે છે કે એવી સ્તુતિ એમણે પોતા દ્વારા પોતા માટે કરી છે. એમ પણ કહેવાય કે એવી સ્તુતિ ભક્તે પોતા માટે કરી છે.

એવા સીધા પ્રવેશ લેખે ઘટાવી શકાતી આકર્ષક રચના છે, ‘રૂડા દીસો છો રાજેશ્વર…!’ મારે વતન ડભોઇમાં આ રચના ગવાતી સાંભળેલી ત્યારે મન્દિર આવતા રાજેશ્વર કલ્પના સમક્ષ સાક્ષાત્ થયેલા. આખી રચનાનો રંગવિન્યાસ જેટલો પુષ્ટિમાર્ગીય સૌન્દર્યદૃષ્ટિનો સૂચક છે, તેટલો જ તે પોતાના અન્તર્યામીને શબ્દાંકિત કરતા ભક્તકવિની સર્જકતાનો ય છે. માથે પાઘ બંધાવીને અને કરમાં કનકછડી પકડાવીને કવિવરે હદ કરી નાખી! એ ચિત્ર આંખમાં ઊઘડે, ત્યાં તો ઉમેર્યું, ‘ગજગતિ ચાલે હળવા રહીને …’ રચનામાં કૃષ્ણનો રાજવંશી ચાલને ઉપકારક જે લય ભળ્યો છે! અદ્ભુત! દયારામ તો પ્રભુના વદનકમળ પર વારી ગયા છે પણ હું તો રચનારૂપી આ વચનકમળને જોતો રહી ગયો છું! જો કે આ રૂડો રાજેશ્વર ‘હેતે’ બોલાવે અને ‘તાપ’ શમાવે એવો છે પણ સદા કાળને માટે ઉપલબ્ધ થોડો છે? સદા કાળ તો ભક્તિભાવપૂર્વક એની વાટ જ જોવી રહે છે. કહો કે, એની જ વાટ જોવી રહે છે.

… … …

એમ લાગે છે કે આ દાસભાવને પ્રતાપે કવિમાં એક નિર્મમ એવું આત્મવાચન શરૂ થયું છે. શરણાગતની માનસિકતાનો ઉદય થયો છે. કહે છે, ‘હરિ ! જેવોતેવો હું દાસ તમારો! કરુણાસિંધુ! ગ્રહો કર મારો!’ કવિને જાણ છે કે ખળ, અમિત કુકર્મી, જૂઠો – એવો જે કોઇ શરણે પડે, તેની શ્રીરણછોડ હમેશાં લાજ રાખે તેવા ‘દુ:ખદુષ્કૃતહારી’ છે, ‘અવગુણ’ ઉર ન લાવનારા છે, ‘આર્તબંધુ, સહિષ્ણુ અભયકર’ છે, ‘શરણાગતવત્સલ’ છે. એવા પ્રભુને, ‘દામોદર દુ:ખડાં કાપો રે! પાવલે લાગું! નંદલાલ! નિજાનંદ આપો રે! એ વર માગું !’ એમ યાચના શરૂ થાય છે.

… … …

કવિની ઉત્તરાવસ્થાનાં આ પદોમાં પેલો ઉલ્લસિત ભક્તિશૃંગાર નથી. હવે એમાં દાસ્યભક્તિ છે, પ્રાર્થના છે, શરણાગતિ છે, ઉપશમ છે. છેવટે બધું વિશિષ્ટ શાન્તમાં આછરે છે. ત્રીજા વર્તુળની રચનાઓનો આ વિશેષ દયારામની કાવ્યસૃષ્ટિનો પણ નોંધપાત્ર વિશેષ છે.

કવિ જીવન-કવનના સ્વારસ્યની સમ્મુખ થયા છે. એમનામાં આત્મનિરીક્ષા-પરીક્ષા તીવ્ર બન્યાં છે અને તેથી ‘નિજ દેશ ભણી’ પાછા વળવાનું એક ચિતવન શરૂ થયું છે. મનને જ કહ્યું, ‘મૂલક ઘણા જોયા રે! મુસાફરી થઇ છે ઘણી! સ્વપુર જવાનો પંથ આવ્યો છે, રખે ભૂલતા ભાઇ! … મનજી મુસાફર રે! ચાલો નિજ દેશ ભણી!’

પોતે ગોપીજનવલ્લભના જ ભક્ત છે, એવો અકાટ્ય દાવો સાચો હતો; હરિનો પોતે ભલે જેવોતેવો પણ દાસ છે, એવું વિનીત ભાન સાચું હતું; તેમછતાં, એ જ એમને એમ કહેવા લગી દોરી જાય છે, કે ‘વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે, હરિજન નથી થયો તું રે …’ હજી ‘કામદામચટકી નથી છટકી’, હજી ‘ક્રોધે લોચન રાતાં’ છે, હજી ‘તારા સંગનો રંગ’ બીજાને લાગ્યો નથી – ‘તુજ સંગે કોઇ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો …’, પણ એવું કાંઇ થયું નથી. એટલે કહે છે, ‘મન તણો ગુરુ મન કરેશ તો, સાચી વસ્તુ જડશે …’

આ મનને વિશેનું વધારે કડક પરીક્ષણ તો, મળે છે, ‘મારું ઢણકતું ઢોર’-માં. પોતાનું મન ‘સીમ ખેતર ખળું કાંઇ ન મૂકે’ એવું બેફામ ઢણકતું ઢોર થઇ ગયું છે, બલકે, કશા વિવેકભાન વિનાનું થઇ ગયું છે – ‘ના જાવું જાય ત્યાં, ના ખાવું ખાય તે …’ પોતાનો એના પર કશો અંકુશ નથી રહ્યો – ‘વાળી લાવું ઘરે ને ગૉતું માંડું ગળ્યું, લીલું નીરું છ પણ તે જ સૂંઘે, કોહ્યલાં રાડાં, ઘાસ, કુસકા, માર ખાઇને પણ તે જ ઠૂંગે …’

એ મન કલુષિત છે, ભયભીત છે, દૂષિત છે; શુદ્ધ નથી, ચિન્તિત છે. જાત વિશે કવિએ કેવું તો કઠોર વચન પ્રયોજ્યું છે – ‘હેડલો હેડેરડો મોરો માન્યો નહીં, થયું હરાયું …’ ને તેથી, ‘હાવાં હું તો હાર્યો!’ એવા ઢણકેલ ઢોરને માટે ‘ગોપાળ’-ને બરાબર કહ્યું કે એને ‘સાધુપણું શીખવી વૃંદાવન ચારજો …’ 

… … …

સુખ તો ત્યારે જ થાય, જ્યારે રસિયાજનમનરંજન નટવર શ્રીગિરધરને પ્રગટ મળાય. પણ એ પ્રાગટ્ય ક્યાં, કેવી રીતેભાતે? ઉત્તર મળે છે, ‘નિશ્ચય’-માં, નિશ્ચયની રીતે, નિશ્ચયના મહેલમાં. ‘વ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું’ કહેતાં વ્યક્ત થયેલી ઘેઘૂર કૃષ્ણેષણા, વ્રજેષણા – એટલે કે ભક્તસહજ દ્વૈતને વિશેની એષણા કે પ્રતીક્ષા પણ હવે નવેસરના નિશ્ચયમાં ઠરવી જોઇએ. એ રીતે કે એ જાણે નથી વૈકુંઠમાં, નથી વ્રજમાં, બસ પોતાના નિશ્ચયના મહેલમાં છે.

પોતાનો નિશ્ચય છે કે અન્તર્યામી બીજે ક્યાં ય નથી, મારા અન્તરમાં છે. સમજો કે કવિને એમ પોતાના એ લાડીલા વ્હાલમાનું ખરું ઠેકાણું ભળાઇ ગયું છે. સરસ રીતે વીગતવાર સરનામું લખ્યું છે : ‘સત્સંગદેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! વિરહતાપપોળીઆને મળી મહોલે પેસજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે!’ જરૂર હવે, માત્ર કૃતનિશ્ચયને વળગી રહેવું એ છે; જરૂર હવે, વિવશતા ખંખેરીને દીનતાપાત્રમાં મનમણિ મૂકી ભગવંતજીને ભેટ ધરાવવી એ છે; જરૂર હવે, હુંભાવપુંભાવ નોછાવર કરવો એ છે.

… … …

દયારામને મન છેવટનું સાધન, આખરી ઉપાય, તો હરિકૃપા છે; અને તે માટે તો નિર્મમ શરણાગતિ જોઇએ, અપારની પ્રેમભક્તિ જોઇએ, પ્રેમ જ જોઇએ. કૃતનિશ્ચયીએ પણ જાણવું રહે છે કે ‘… કોટિ સાધને પ્રેમ વિના, પુરુષોત્તમ પૂંઠે ના ફરે!’ જો કે પ્રેમભક્તિ માટે જિગર અને સાહસ જોઇએ; વળી, એ માટેની પાત્રતા પણ હાંસલ કરવી પડે. એ પાત્રતા પણ પ્રેમ કર્યે જ સિદ્ધ થતી હોય છે – જે વ્યક્તિ પ્રેમ અંશ અવતરે છે, તેના જ ઉરમાં પ્રેમરસ ઠરે છે. અન્યથા, દુષ્પરિણામ આવે છે. કવિએ દાખલા આપ્યા છે : સિંહણનું દૂધ સિંહણસૂતને જ જરે છે, સાકર સક્કરખોરનું જીવન છે, ખરના તો પ્રાણ જ હરે છે! સાર જણાવ્યો કે ‘ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ ના સ રે…’ એટલે કે, પ્રેમભક્તિ જ પ્રભુપ્રાપ્તિનો અધિકાર અપાવે છે.

મારી માન્યતા છે કે ‘જે કોઇ પ્રેમ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે’ એ દયારામના સમગ્ર જીવનપુરુષાર્થનું, અને એમ, એમના સમગ્ર કાવ્યપુરુષાર્થનું ય, નવનીત છે. એક નિર્વ્યાજ અને સાચકલા ભક્તકવિ તરીકે દયારામે જ્ઞાનમાર્ગ કે વૈરાગ્યથી ઊફરા જઇને ભક્તિના મહિમાને દૃઢ કર્યો છે. ભક્તિમાં યે તેઓ ઉત્તમોત્તમ ભક્તિ પ્રેમલક્ષણા ભક્તિના કવિ છે.

(ક્રમશ:)

(5 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેવા શિક્ષકો અને શિક્ષણનો દુકાળ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|5 September 2024

હેમંતકુમાર શાહ

આજે ભારતમાં અને દુનિયામાં લોકશાહી અને માનવ અધિકારોના શિક્ષણ અને શિક્ષકો બંનેની ભારે આવશ્યકતા છે. એ બંનેની ભયંકર અછત પ્રવર્તે છે. 

મેનેજમેન્ટ, કોમર્સ, ઇજનેરી, ફાર્મસી અને દાક્તરી શિક્ષણમાં તો માનવ અધિકારો અને લોકશાહીના શિક્ષણનો સદંતર અભાવ પ્રવર્તે છે. 

રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર જેવાં કુદરતી વિજ્ઞાનો તેમ જ ભાષાઓ અને ભાષાશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે જેવી સમાજવિદ્યાઓ ભાગ્યે જ લોકોને ભણવા જેવા વિષયો લાગતા હોય છે. 

આર્ટ્સ વિદ્યાશાખામાં પણ લોકશાહી અને માનવ અધિકારોનું ગંભીરતાથી કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી. 

પરિણામે, નાગરિકો સમાજ, બજાર અને રાજ્ય નામની સંસ્થાઓ વિશે ભાગ્યે જ કશી યોગ્ય સમજણ ધરાવે છે. 

તેથી લોકશાહી અને માનવ અધિકારો એમ બંનેના શિક્ષણ અને શિક્ષકોનો અકલ્પનીય દુકાળ પ્રવર્તે છે. 

આ પરિસ્થિતિ માત્ર ભારતમાં છે એવું નથી. દુનિયાભરમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણનો વાયરો ફૂંકાયો ત્યારથી, એટલે કે ૧૯૮૦ના દાયકાથી, આ સ્થિતિ ઊભી થઈ છે. ભારતમાં ૧૯૯૧થી સવિશેષ.

બહુરાષ્ટ્રીય કંપનીઓ અને મહાકાય કંપનીઓ તેમ જ સરકારો પણ એમ જ ઈચ્છે કે નાગરિકો પોતાના અધિકારો વિશે કશું જાણે જ નહિ, સમજે જ નહિ. તો જ તેમનો બંનેનો સત્તા અને નફા પ્રાપ્તિનો ધંધો પૂરબહારમાં અને બેરોકટોક ચાલી શકે ને. 

૧૯૮૦ના દાયકા પછી દુનિયાભરમાં લોકશાહી વિરોધી માનસ વધુ મજબૂત બન્યું છે એનું એક કારણ બેફામ નફાખોરી કરવાની સ્વતંત્રતા પણ છે અને તેને જ લોકો અને સરકારો દ્વારા વિકાસ સમજવામાં આવે છે. ફ્રીડમ હાઉસનો ૨૦૨૨નો અહેવાલ એમ કહે છે કે દુનિયાના ૮૦ ટકા લોકો રાજાશાહી અને તાનાશાહી કે તાનાશાહી જેવી વ્યવસ્થામાં જીવી રહ્યા છે. 

વિદ્યાર્થીઓને બજારમાં બરાબર ફિટ થઈ જાય તેવા બનાવવાની લાયમાં સરકારો તનતોડ મહેનત કરે છે. સરકારો અને કંપનીઓને તેમની નીતિરીતિ સામે અવાજ ઉઠાવે અને પોતાના જન્મસિદ્ધ માનવ અધિકારોનું રક્ષણ કરે એવા નાગરિકો જોઈતા જ નથી. મનુષ્ય જંતુ જેવો બની જાય એ આજની રાજકીય અને આર્થિક વ્યવસ્થાની અનિવાર્ય જરૂરિયાત છે. 

શિક્ષક દિન, ૨૦૨૪.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...444445446447...450460470...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved