Opinion Magazine
Number of visits: 9843879
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બદનામ મન્ટો – બદનામ વાર્તાઓ

સોનલ પરીખ|Opinion - Literature|11 February 2025

જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે – બરદાશ્ત છે … મને વિશ્વાસ છે કે તમે મારી વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.

— સઆદત હસન મન્ટો 

‘અમે બંને સાથે જ જન્મ્યા અને મરીશું પણ લગભગ સાથે જ. પણ એવું પણ બને કે સઆદત મરી જાય અને મન્ટો મરે જ નહીં …’ આ વાક્ય મન્ટોએ પોતાના વિષે લખેલા એક લખાણમાં લખ્યું હતું. પોતાની કબર પર લખવાનું વાક્ય પણ મન્ટો લખી ગયા હતા, ‘અહીં સૂતો છે વાર્તાકલાનાં તથ્યો અને રહસ્યોનો એક મર્મી જે હજી સુધી વિચારે છે, મોટો વાર્તાકાર કોણ – સર્જનહાર કે હું?’

કેવી હશે આ સર્જકની અંદર સળગતી આગ, જેણે તેને ક્યાંયનો ન રહેવા દીધો. વિભાજિત પ્રજાની વેદના પોતાની છાતી પર ઝીલીને એ જીવ્યો – ન ભારત છૂટ્યું, ન પાકિસ્તાન. મન્ટોનું જીવન એટલે પોતાના વિશ્વમાં, નશામાં, ડિપ્રેશનમાં ખુવાર થઈ જતા એક સર્જકનું ભયાનક ચિત્ર – સંતાનનું મૃત્યુ, ભારતમાંથી ભાગવું અને પાકિસ્તાનમાં ન ગોઠવાઈ શકવું, ક્ષય, અદાલતોનાં ચક્કર, ભૂખમરો, અર્ધવિક્ષિપ્ત મનોદશા, અપમાનો અને અકાળ મૃત્યુ.

મન્ટોની વાર્તાઓ માટે પ્રખ્યાત હિંદી સાહિત્યકાર કમલેશ્વરે કહેલું, ‘વિભાજન, રમખાણ અને સાંપ્રદાયિકતા પર જેટલા કટુ પ્રહારો મન્ટોએ કર્યા છે એ વાંચીએ ત્યારે માનવું મુશ્કેલ બની જાય છે કે કોઈ વાર્તાકાર આટલો સાહસિક, આટલો સત્યવાદી અને આ હદે મમતવિહોણો હોઈ શકે છે.’ 20 વર્ષની સાહિત્યિક કારકિર્દી દરમ્યાન મન્ટોએ 200થી વધુ વાર્તાઓ લખેલી. જેમાંની ‘કાલી સલવાર’, ‘ધુઆં’, ‘બૂ’, ‘ઠંડા ગોશ્ત’ અને ‘ઉપર, નીચે ઔર દરમ્યાન’ વાર્તાઓ અશ્લીલતાના આરોપસર અદાલતી કાર્યવાહીનો ભોગ બની હતી. 18 જાન્યુઆરીએ મન્ટોની પુણ્યતિથિ છે, એ નિમિત્તે વાત કરીએ એમની આ વાર્તાઓની. 

‘ખોલ દો’ અને ‘ઠંડા ગોશ્ત’ મન્ટોની કદી ન ભુલાય તેવી વાર્તાઓ છે : ‘ખોલ દો’ વાર્તામાં મારકાપ અને ભાગદોડમાં સિરાજુદ્દીનની પત્નીની હત્યા થાય છે અને દીકરી સકીના વિખૂટી પડી જાય છે. રાહતકેમ્પમાં સકીનાનું વર્ણન આપી રાહ જોયા કરતા વૃદ્ધ સિરાજુદ્દીનને ખબર નથી કે સ્વયંસેવકોને સકીના મળી ગઈ છે,  પણ … એક દિવસ ચાર માણસો લાશ જેવું કશુંક ઊંચકી લાવે છે અને દવાખાનામાં મૂકી ચાલ્યા જાય છે. ડૉક્ટર બત્તી કરે છે, સિરાજુદ્દીન સકીનાને ઓળખી પાછળ આવે છે. લાશની નાડી પકડી ડૉક્ટર કહે છે, ‘બારી ખોલી નાખ’ અને લાશનો બેજાન હાથ ઇજારની નાડી ખોલી ઇજાર નીચે સરકાવી દે છે. સિરાજુદ્દીન બૂમ પાડી ઊઠે છે, ‘જીવે છે, જીવે છે …’ ડૉક્ટર પરસેવાથી નીતરી જાય છે – અને વાચક? સકીના પર શું વીત્યું હશે એની કલ્પના પણ કરવાની તેનામાં તાકાત રહેતી નથી. 

‘ઠંડા ગોશ્ત’ મન્ટોની ખૂબ વગોવાયેલી વાર્તા છે. એને અશ્લીલ કહી કેસ કરનારા પણ નીકળ્યા અને તેને મન્ટોની કલાની પૂર્ણતાનો નમૂનો કહેનારા વિવેચકો પણ નીકળ્યા. જાડી ચામડીના અને એકબીજાનું માથું ભાંગે એવાં ગમાર ઇશરસિંહ અને કુલવંત કૌરને જોડી રાખનાર છે બળૂકી વાસના. રમખાણોમાં અહીં-ત્યાંથી ઘરેણાંપૈસા મારી લાવી કુલવંત કૌરને ખુશ કરતો ઇશરસિંહ ઘણા દિવસે આવ્યો છે. કુલવંત આવેશથી એને વળગે છે, ઇશરસિંહ પણ એના પર તૂટી પડે છે પણ છેલ્લે હારી જાય છે. ‘કોઈ છોકરી સાથે મજા કરી આવ્યો છે? બોલ, કોણ છે એ છીનાળ?’ કહેતી કાળઝાળ કુલવંત ઇશરસિંહના ગળા પર કિરપાણ ફેરવી દે છે. લોહીનો ફૂવારો ઊડે છે. ડચકાં ખાતો ને મૂછો પર જામતા લોહીને ફૂંકથી ઉડાડતો ઇશરસિંહ કહે છે, ‘મેં એક ઘરમાં જઈ છ જણને મારી નાખ્યા. એક રૂપાળી છોકરી પણ હતી. થયું, કુલવંત સાથે રોજ મઝા લૂંટું છું, આજે આ મેવો પણ ચાખું. છોકરીને ખભે લઈને ઝાડીમાં સુવડાવી અને એના પર ચડી ગયો પણ એ તો મરી ગઈ હતી – બિલકુલ ઠંડુ ગોશ્ત …’ અને એ બરફથી પણ ઠંડો થઈ જાય છે. અતિ કામુકતા સામે અતિ સંવેદનશીલતા મૂકી મન્ટોએ અતિ તંગ મનોદશા સર્જી છે. કેસ ચાલ્યો ત્યારે મન્ટોએ અદાલતમાં કહ્યું, ‘કેટલા ય માણસોની કતલ કરતાં જેનું રૂંવાડું નહોતું ફરક્યું તે માણસને પોતે જેના પર બળાત્કાર કરવા ગયો એ લાશ હતી એ જોઈ એવો જબરજસ્ત ઝટકો લાગ્યો કે એની મર્દાનગી ગાયબ થઈ ગઈ. જે લખાણ એવું બતાવે છે કે માણસ હેવાન બનીને પણ ઈન્સાનિયતથી નાતો નથી તોડી શક્યો એ અશ્લીલ કેવી રીતે હોઈ શકે?’ 

‘બૂ’ પણ આવી જ બદનામ વાર્તા છે. બૂ એટલે ગંધ. છોકરીઓનો શોખીન રણધીર એક દિવસ એક ઘાટણ છોકરીને ઉત્કટપણે ભોગવે છે. એ છોકરીના શરીરની ગંધને એ વર્ણવી શકતો નથી, પણ એને રોમેરોમમાં ઊતરી ગયેલી અનુભવે છે – ‘એ ગંધ બિલકુલ અસલી હતી. ઓરત અને મર્દના શારીરિક સંબંધ જેવી અસલી અને આદિમ.’ એ શ્યામ ગંધનો સ્વાદ લીધા પછી રણધીરને પત્નીનો ગૌર અને સુગંધી દેહ નીરસ અને નિર્જીવ લાગે છે. એક અવર્ણનીય સૂક્ષ્મ અનુભૂતિની વાતને સમજ્યા વિના જ આ વાર્તા પર અશ્લીલતાનો આરોપ લાગેલો અને અંગ્રેજ સરકારના સમયમાં કેસ ચાલેલો.  

મન્ટોએ વેશ્યાજીવનનું બયાન કરતી ઘણી વાર્તાઓ લખી છે. ‘કાલી સલવાર’ એમાંની એક છે. સારી કમાણીની આશામાં દિલ્હી રહેવા આવેલી સુલતાના બેકાર થઈ ગઈ છે. મહોરમ નજીક છે, એ દિવસે કાળી સલવાર પહેરવાની સુલતાનાની તમન્ના છે. શંકર નામનો ચાલબાજ સુલતાનાને કાળી સલવાર લાવી આપવાનું વચન આપે છે. વચન પાળી શકાય એ માટે તે તેની કાનની બુટ્ટી લઇ જાય છે. મહોરમના દિવસે સુલતાનાની ચાલીમાં રહેતી મુખ્તાર પૂછે છે, ‘કમીજ અને દુપટ્ટો તો રંગાવ્યા હોય તેવા લાગે છે, પણ આ સલવાર નવી છે … ક્યારે બનાવડાવી?’ સુલતાનાએ કહ્યું, ‘દરજી આજે જ આપી ગયો.’ કહેતાં કહેતાં એની નજર મુખ્તારનાં કાન પર પડી. ‘તેં આ બુટ્ટી ક્યાંથી લીધી?’ ‘મેં ય આજે જ મંગાવી.’ એ પછી બંનેને થોડીવાર માટે ચૂપ બેસવું પડ્યું.

‘ધુંઆં’માં પુખ્ત થઈ રહેલા કિશોરની વાત છે. તેને કામોત્તેજનાનો અનુભવ થાય છે પણ તે તેને સમજી નથી શકતો. તેના અંધાધૂંધ વિચારોને દિશા આપનાર કોઈ નથી. બહેનના શરીરનો સ્પર્શ, બહેન અને તેની બહેનપણીની શારીરિક નિકટતા અને એક ધૂમાડામાં ઘેરાતાં શરીર અને મનનો તરફડાટ વેધક બન્યો છે.

‘ઉપર નીચે ઔર દરમ્યાન’માં મોટી ઉંમરના પતિપત્નીએ એક વર્ષથી શરીરસંબંધ બાંધ્યો નથી. હવે બંને ઉત્સુક છે, ઇચ્છુક છે. પણ અભિજાત વર્ગના હોવાથી એને પણ દંભ અને છળમાં વીંટીને વ્યક્ત કરે છે. છેવટે સવાર પડે છે. નોકરો તૂટેલા ખાટલાની મરામત માટે સુથારને બોલાવવા જાય છે એ દૃશ્યથી વાર્તા પૂરી થાય છે. આ વાર્તા પર અદાલતમાં કેસ ચાલ્યો ને પ્રકાશક પાછળ હટી ગયો ત્યારે મન્ટોએ પોતે વાર્તા પ્રગટ કરી, ‘મને વિશ્વાસ છે કે તમે મારી આ વાર્તાને સન્માનથી જોશો કેમ કે તમે મારા પ્રિય વાચક છો, પ્રકાશક નથી.’ 

મન્ટો એક કલ્ટ છે, એક વિચાર છે, એક પાગલપણું છે, એક કહાણી છે. પોતાની વાર્તાઓ અશ્લીલ ગણવાઈ ત્યારે તે કલાની સચ્ચાઈ માટે લડ્યો, પણ ગરીબીના દિવસોમાં પણ રોયલ્ટી કે કોપીરાઇટની પરવા ન કરી. ‘જે ખામીઓને મારા નામે ચડાવવામાં આવે છે તે ખરેખર તો આ સમયની, આ સમાજની બૂરાઈઓ છે. તમે તેને સહન ન કરી શકો તો માનજો કે આ જમાનો જ નાકાબિલે-બરદાશ્ત છે.’ મન્ટોનું મૃત્યુ થયું ત્યારે કૃષ્ણચંદરે કહ્યું છે, ‘દુ:ખ મન્ટોના મૃત્યુનું નથી. એ તો સૌ માટે અફર સત્ય છે. દુ:ખ એ બધી વણલખાયેલી ઉત્તમ કૃતિઓનું છે જે માત્ર મન્ટો જ લખી શકતા હતા.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 જાન્યુઆરી  2025

Loading

શ્યામ બેનેગલનું અદ્દભુત સર્જન ‘ભારત એક ખોજ’ 

સોનલ પરીખ|Opinion - Opinion|10 February 2025

શ્યામ બેનેગલ

સ્વયં કર્મ બની જાઓ, તો કર્મ દીપે. સર્જકમાં ભરપૂર વસ્તુનિષ્ઠા અને ભરપૂર સંવેદનશીલતા બંને જોઈએ. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે અને જો સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ ન શકે.  

— શ્યામ બેનેગલ 

શ્યામ બેનેગલે આપણને ઘણું આપ્યું અને જે આપ્યું, અદ્દભુત આપ્યું. પદ્મભૂષણ, દાદાસાહેબ ફાળકે અને અઢાર નેશનલ પુરસ્કારો સહિત અઢળક સન્માનો, એ સન્માનો સન્માનિત થાય એ રીતે મેળવ્યાં. એમના વિષે જેટલું લખીએ, ઓછું પડે. વાત કરીએ શ્યામ બેનેગલ દિગ્દર્શિત ધારાવાહિક ‘ભારત એક ખોજ’ની.

‘સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં  

અંતરીક્ષ ભી નહીં, આકાશ ભી નહીં થા

છિપા થા ક્યા, કહાં, કિસસે ઢકા થા

ઉસ પલ તો અગમ અતલ જલ ભી કહાં થા’ 

આ પંક્તિઓ આમ તો ઋગ્વેદના એક શ્લોકનો અનુવાદ છે, પણ એક આખી પેઢી એને દૂરદર્શન ધારાવાહિક ‘ભારત એક ખોજ’ના પ્રારંભગીત તરીકે ઓળખે છે. ‘ભારત એક ખોજ’ એટલે પંડિત જવાહરલાલ નહેરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પરથી બનેલું ધારાવાહિક, જેને ટેલિવિઝન ઇતિહાસના આજ સુધીના શ્રેષ્ઠ રૂપાંતર તરીકે ઓળખવામાં આવે છે. તેનું દિગ્દર્શન શ્યામ બેનેગલે કર્યું હતું. ‘ભારત એક ખોજ’ ભારતનો ઇતિહાસ શીખવવા માટેનું ઉત્તમ માધ્યમ મનાતી અને શિક્ષકો વિદ્યાર્થીઓને એ જોવાની ભલામણ કરતા. 14 નવેમ્બરે આવતા પંડિત નહેરુના જન્મદિન ‘બાલદિન’ નિમિત્તે યાદ કરીએ પંડિત નહેરુ, શ્યામ બેનેગલ અને દૂરદર્શનને.  

1942થી 45 દરમ્યાન બ્રિટિશ સરકારે પંડિત નહેરુને મહારાષ્ટ્રની અહમદનગર ફૉર્ટ જેલમાં કેદ રાખ્યા હતા ત્યારે એમણે ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક લખ્યું હતું. 1946માં એની પહેલી આવૃત્તિ બહાર પડી. લગભગ 600 પાનાં અને 10 પ્રકરણના આ પુસ્તકની શરૂઆત પ્રાચીન ભારતથી થાય છે અને બ્રિટિશ સામ્રાજ્ય સાથે એનો અંત આવે છે. ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને દર્શનનું એક વ્યાપક ચિત્ર એમાં જોવા મળે છે. તેઓ કહે છે, ‘ભારતમાતા કી જય’ એવું બોલીએ છીએ, પણ ભારતમાતા એટલે કોણ અને એની જય શા માટે થવી જોઈએ એ સમજીએ છીએ ખરા? ભારત એક પુરાતન સંસ્કૃતિ ધરાવતો દેશ છે અને તેને સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનો અધિકાર છે, એની વિશ્વને જાણ થવા દો.’ 

એક જમાનો હતો જ્યારે ભારત સરકાર દૂરદર્શન દ્વારા ‘આખા દેશના લોકો આ જુએ છે’ એવી જવાબદારી સાથે સ્વચ્છ અને સંસ્કારી મનોરંજન પીરસતી. વર્ષો સુધી દૂરદર્શનની એક જ ચેનલ હતી. એ સમયે બનતા ધારાવાહિકો માત્ર દૂરદર્શન માટે નહીં, સમગ્ર ભારત માટે માઈલસ્ટોન સમાં હતાં. 1984-85માં ધારાવાહિક ‘હમ લોગ’ આવ્યું અને 1986માં ‘બુનિયાદ’. 1987માં ‘રામાયણ’ અને 1988માં ‘મહાભારત’ પ્રસારિત થવા લાગ્યા. જે રીતે આ શ્રેણીઓએ ઘર-ઘરમાં પોતાનું સ્થાન જમાવ્યું એ જોઈ સરકારે એવી સિરિયલ પ્રસારિત કરવાનું નક્કી કર્યું જેમાં આપણા વિશાળ દેશનો ઇતિહાસ હોય. ઘર ઘરમાં દરેક નાગરિક સુધી આ પુરાતન વારસો પહોંચવો જોઈએ. 

પણ આ વિરાટ વિષય પર સિરિયલ બનાવશે કોણ? પસંદગીનો કળશ સમાંતર સિનેમાના અગ્રણી શ્યામ બેનેગલ પર ઢોળાયો. શ્યામ બેનેગલને ‘મહાભારત’ બનાવવામાં રસ હતો, પણ એ કામ બી.આર. ચોપરાને સોંપાઈ ચૂક્યું હતું. તેમણે ભારતના ઇતિહાસ પરથી સિરિયલ બનાવવાની ઑફર સ્વીકારી અને આધાર બન્યું ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ પુસ્તક. 

અને શ્યામ બેનેગલ કામે લાગ્યા. જબરદસ્ત હતી એમની ટીમ. એમાં 15 ઇતિહાસકારો હતા જે દરેક એપિસોડમાં માર્ગદર્શન આપતા. તેની પટકથા, સ્ક્રીપ્ટ રાઈટર અને કૉસ્ચ્યુમ ડિઝાઈનર શમા જૈદી અને લેખક-અભિનેતા અતુલ તિવારીએ તૈયાર કરી હતી. આ બન્નેના હાથ નીચે 25 લેખકો કામ કરતા હતા. 5,000 વર્ષના ઇતિહાસને સમાવવાનો હતો એટલે દરેક કાળના વિશેષજ્ઞોની સલાહ લેવાતી. આવા 40 વિશેષજ્ઞો પણ શ્યામ બેનેગલની ટીમનો હિસ્સો હતા. આ આખી ટીમ 10,000 પુસ્તકો વચ્ચે બેઠી અને કામ શરૂ કર્યું. ત્રણ વર્ષ પછી 1988ના નવેમ્બરની 14 તારીખે, પંડિત નહેરુના જન્મદિને પહેલો એપિસોડ પ્રસારિત થયો. દર રવિવારે 11 વાગ્યે આ સિરિયલ પ્રસારિત થતી. દરેક એપિસોડ 60થી 70 મિનિટનો રહેતો. 

સિરિયલમાં ઓમ પુરી, આલોક નાથ, પિયુષ મિશ્રા, પલ્લવી જોશી, શબાના આઝમી, અમરિષ પુરી, નાસિરુદ્દીન શાહ જેવા કલાકારો હતાં. અનેક કલાકારોની કારકિર્દીની શરૂઆત ‘ભારત એક ખોજ’થી થઈ હતી. એક અંદાજ મુજબ 350 જેટલા કલાકારોએ આ સિરિયલથી પોતાની કારકિર્દી શરૂ કરેલી. મોટા ભાગના કલાકારો નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના હતા. સૂત્રધાર તરીકે સ્વયં નહેરુને બતાવવામાં આવ્યા, એમનું પાત્ર રોશન શેઠે કર્યું હતું. અમુક એપિસોડના સૂત્રધાર ઓમ પુરી હતા. 140થી વધુ સેટ બનાવાયા હતા. શૂટિંગમાં લોકસંગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્યપરંપરા જેવા વિવિધ માધ્યમોનો સર્જનાત્મક ઉપયોગ થયો હતો. આખો શો ડૉક્યુમેન્ટરી સ્ટાઈલનો હતો પણ અનેક સ્થળે નાટ્ય-પ્રભાવ હતો. 

‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ અહમદનગરની જેલમાં લખાઈ હતી. ભારત છોડો આંદોલન પછી બ્રિટિશ સરકારે લગભગ બધા આગેવાનોને કેદ કર્યા હતા. અહમદનગર જેલમાં પંડિત નહેરુ સાથે મૌલાના અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, નરેન્દ્ર દેવ અને અસફ અલી હતા. આ સૌ ભારતના ઇતિહાસ અને વર્તમાન વિષે ઊંડું જ્ઞાન ધરાવતા. તેઓ પંડિતજીના લખાણનું પ્રુફ વાચન કરી આપતા અને સર્જનાત્મક સૂચનો પણ કરતા. પુસ્તકની પ્રથમ આવૃત્તિ 1946માં પ્રગટ થઈ હતી. 

જેલમાં લખાયેલાં પુસ્તકોની સંખ્યા નાની નથી. અલાબામાની બર્મિંગહામ જેલમાંથી માર્ટિલ લ્યૂથર કિંગ જૂનિયરે લખેલા પુસ્તકનું નામ છે, ‘લેટર ફ્રોમ બર્મિંગહામ સિટી જેલ’. એમનું વિધાન ‘ઈનજસ્ટિસ એનીવ્હેર ઈઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવ્હેર’ આ પુસ્તકનો ભાગ છે. યુરોપની પહેલી આધુનિક નવલકથા ગણાતી ‘ડૉન કિહોટે’નું બીજ જેલમાં રોપાયેલું. અમેરિકન કવિ એઝરા પાઉંડનું 120 ખંડમાં વહેંચાયેલું દીર્ઘ કાવ્ય ‘પિસન કૅન્ટોન’, નેલ્સન માંડેલાનું ‘ધ કન્વર્ઝેશન ટુ માયસેલ્ફ’, ઓસ્કાર વાઈલ્ડનું ‘દ પ્રોફાઉન્ડિસ’ જેલમાં લખાયાં હતાં. મહાત્મા ગાંધીએ ‘આરોગ્યની ચાવી’ અને ‘મંગળ પ્રભાત’ જેલમાં લખ્યાં હતાં. વિનોબાજીનાં ગીતા પ્રવચનો જેલમાં અપાયાં હતાં. હિટલરની આત્મકથા પણ જેલમાં લખાઈ હતી.

2014માં શ્યામ બેનેગલે ‘સંવિધાન: ધ મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા’ રૂપે ફરી એક ઐતિહાસિક પ્રદાન આપ્યું, શ્યામ બેનેગલ દિગ્દર્શિત દસ-ભાગની આ ટેલિવિઝન મીની-સિરીઝના લેખકો પણ શમા ઝૈદી અને અતુલ તિવારી છે. પટકથા તૈયાર કરતા પહેલા મહિનાઓ સુધી તેમણે સંવિધાનસમિતિની  બેઠકો, ચર્ચાઓ, ભાષણો અને જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો. ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓનાં ઘણા પ્રખ્યાત ભાષણો શ્રેણીમાં સમાવાયા છે. શ્રેણી જેટલી માહિતીપૂર્ણ હતી તેટલી જ રસપ્રદ પણ હતી. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું. ભારતના દરેક નાગરિકે આ બંને શ્રેણીઓ જોવી જ જોઈએ.

શ્યામ બેનેગલ ઘણી વાર ગીતાની ‘યોગસ્થ કુરુ કર્માણી’ પંક્તિ ટાંકતા. એમાંથી એમણે જીવનમંત્ર મળ્યો હતો, ‘સ્વયં કર્મ બની જાઓ.’ ‘સર્જકે બને તેટલા વસ્તુનિષ્ઠ અને સંવેદનશીલ રહેવાનું હોય છે. વસ્તુનિષ્ઠ ન રહે તે સર્જક વિષયને પોતાની માન્યતાઓ અને દૃષ્ટિથી રંગી નાખે છે અને સંવેદનશીલ ન હોય તો વિષય સાથે એકરૂપ થઈ શકતો નથી.’ 

‘ભારત એક ખોજ’ના અંતિમ એપિસોડના અંતે પંડિતજી કહે છે, ‘આપણે શું છીએ અને દેશને કેવો બનાવવા માગીએ છીએ તેના પર આપણા ભવિષ્યનો આધાર છે.’ અને ગુરુદેવ ટાગોરની પંક્તિઓનો સુંદર હિંદી અનુવાદ ભારતભૂમિનાં ભવ્ય સૌંદર્ય સાથે ટી.વી.ના પડદા સાથે દર્શકોના મનમાં ગુંજી રહે છે, 

‘જહાં ચિત્ત ભયહીન, જહાં પર ઊંચા રહતા માથા હો

જહાં ન ધરતી કો ટુકડો મેં દીવારોં ને બાંટા હો

જહાં મુક્ત હો જ્ઞાન, સત્ય સે વારિ આલોકિત હો

ઉસી લોક મેં દેશ હમારા ભારત ચિરજાગ્રત હો …’

આ ભાવના, આ પ્રાર્થના શ્યામ બેનેગલના ચિત્તમાં પણ રમતી હતી. આપણાં અને આપણી નવી પેઢીનાં ચિત્તને પણ એ અજવાળતી રહે, નવા વર્ષના આ પહેલા લેખમાં એ જ શુભકામના વ્યક્ત કરું છું.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 જાન્યુઆરી  2025

Loading

‘લેખકે કરસનદાસ મૂળજીની યાદ અપાવે તેવું કામ કર્યું છે !’

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|10 February 2025

રમેશ સવાણી

સ્વામિનારાયણ પંથ દ્વારા વર્ષોથી ચલાવવામાં આવી રહેલી છેતરપીંડી અને તેના અનેક પ્રકારના દુરાચારોને આધાર-પુરાવા સાથે ખુલ્લા પાડતા પુસ્તક ‘છળકપટ’નો પ્રકાશન સમારંભ 9 ફેબ્રુઆરી 2025ના રોજ નવજીવન સંકુલના જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં યોજાયો હતો.

આ પુસ્તક, લેખકને આપણા સમયના કરસનદાસ મૂળજી ગણવા પ્રેરે છે. ઓગણીસમી સદીના નિર્ભિક પત્રકાર કરસનદાસે તેમના સમાચાર પત્ર ‘સત્યપ્રકાશ’માં વૈષ્ણવ સંપ્રદાયના દુરાચારોને ખુલ્લા પાડ્યા હતા. કરસદાસ પછી જવલ્લે જ કોઈ લેખક / પત્રકારે આવું કામ કર્યું હશે (મારી ટૂંકી માહિતી મુજબ), તે આટલાં વર્ષે રમેશ સવાણીએ કર્યું છે.

‘છળકપટ’ પુસ્તકના 79 તેજાબી પ્રકરણોમાંથી કેટલાંકના મથાળા પરથી પણ પુસ્તકની તાકાતનો નિર્દેશ મળી શકે : સ્વામિનારાયણ ધર્મ કહે છે અમે હિન્દુ ધર્મનો ભાગ નથી ! (પ્રકરણ 27). સહજાનનંદજીએ શિવને, કૃષ્ણને, રામને નીચા દેખાડવાનો પ્રયત્ન શા માટે કર્યો હશે?(પ્રકરણ 18). જો સહજાનંદજી ‘સર્વોચ્ચ ભગવાન’ હોય અને BAPS સ્વામી ‘પ્રગટ બ્રહ્મસ્વરૂપ’ હોય તો બોરસદની સામાન્ય કોર્ટનો આશરો લેવો પડે? (પ્રકરણ 4). સ્વામિનારાયણ સંપ્રદાયને આઝાદીની લડત કે માનવીના ગૌરવની લડતમાં સહેજ પણ રુચિ ન હતી! 

કોર્ટે જેમને તડીપાર જાહેર કરેલા તે યજ્ઞપુરુષદાસ પ્રગટ બ્રહ્મસ્વરૂપ બની ગયા ! (પ્રકરણ-9). સ્વામિનારાયણના પાંચ સ્વામીઓને ફાંસીની સજા કેમ થઈ હતી (પ્રકરણ 70). સરદાર પટેલ બોલ્યા : ‘ખટપટ કરે, અદાલતે ચડે તેવા સાધુઓ આ લોકમાં કે પરલોકમાં આપણું ભલું કરી શકે નહીં!’ (પ્રકરણ 14). સાધુઓના સેક્સકાંડ સર્વોપરી ભગવાન કેમ અટકાવી શકતા નથી?(પ્રકરણ 61). ન્યુજર્સીના સ્વામિનારાયણ મંદિર પર એફ.બી.આઇ.એ રેઈડ કેમ પાડી? (પ્રકરણ 63). પ્રમુખસ્વામી પાસે ટેક્નોક્રૅટ અને વિજ્ઞાનીએ જ્ઞાન ગ્રહણ કર્યું હતું, તમને નથી દેખાતું ? (પ્રકરણ 24) સ્વામિનારાયણ સંપ્રદાય શા માટે દલિતોના ઉદ્ધારનાં જૂઠાણાં ફેલાવતો હશે? (પ્રકરણ 36). બે સ્વામીઓ અક્ષરધામને પામવા માટે ઝગડે છે કે સત્તાપ્રાપ્તિ અને ધનપ્રાપ્તિ માટે? (પ્રકરણ 55), ધર્મગુરુઓ આપણને વર્ષ 1517માં ધકેલી રહ્યા છે? (પ્રકરણ 79).

પુસ્તકનું સત્ય બધી રીતે બળવાન પંથના સત્તાધીશો અને અનુયાયીઓને ફટકારનારું, તેમને હાડોહાડ લાગી આવે તેવું છે. લગભગ બધાં પ્રકરણો લેખક ગયાં બેએક વર્ષ દરમિયાન પુષ્કળ ફેલાવો ધરાવનાર ફેસબુક માધ્યમ પર લખી ચૂક્યા છે, તે હજ્જારો લોકો સુધી પહોંચ્યા છે. છતાં ય અત્યારે બધી રીતે શક્તિમાન એવા તેમાંથી કોઈ પણ બાબતને જાહેર રદિયો આપ્યો હોવાનું કે કાનૂની રાહે પડકારી હોવાનું જાણમાં નથી. તેનું કારણ મહદઅંશે એવું છે કે ગઢડા તાલુકામાં જન્મેલા લેખકે તેમના મુદ્દાઓને સંખ્યાબંધ આધારો દ્વારા પડકારને પર બનાવી દીધા જણાય છે. તેમણે આપેલા આધારોમાં શિક્ષાપત્રી અને સંપ્રદાયના પરચાસાહિત્ય ઉપરાંત તેના અનુયાયીઓએ જ લખેલાં પુસ્તકો, ચોકસાઈભરી ઐતિહાસિક વિગતો, કાનૂની દસ્તાવેજો, સમાચારો તેમ જ વેબસાઈટનો ઉપયોગ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ, સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશો શરદ બોબડે અને એમ.આર. શાહ, સાહિત્યકાર ક.મા. મુનશી, ચિંતક કિશોરલાલ મશરૂવાળા, યશવંત શુક્લ અને ઇતિહાસકાર મકરંદ મહેતા જેવી વ્યક્તિઓએ આ પંથનું કરેલું ગફલતી ગૌરવ પણ લેખક ધ્યાન પર લાવ્યા છે. 

સંપ્રદાય અને આનુષાંગિક વિષયો ઉપરાંત કાનૂની અભ્યાસ પુસ્તકને સંગીન બનાવે છે. અચૂક ક્રિટિકલ અભિગમથી પુસ્તકને ધાર આપે છે. મોટા ભાગના પ્રકરણોમાં લેખકે સર્વાર્થે જન સામાન્યને લગતા, રૅશનલ, વ્યવહારુ અને સોંસરા સવાલો પૂછ્યા છે. તેના લોકહિતાર્થી અને તાર્કિક જવાબો સંપ્રદાય તરફથી મળ્યા નથી તે હકીકત પ્રશ્નોની નક્કરતા અને પંથની પોકળતા બતાવે છે.

લેખકની માંડણી સ્પષ્ટ છે; શૈલી બિલકુલ સીધીસટ છે, શબ્દોની પસંદગી ચોકસાઈવાળી અને અભિવ્યક્તિ સાફસૂથરી છે. તેઓ ક્યાં ય વિવેક ચૂકતા નથી કે અભિનિવેશ બતાવતા નથી. પ્રકાશન કાર્યક્રમમાં રમેશભાઈએ અનેક મુદ્દા અને દાખલા દ્વારા એ મતલબની કેફિયત આપી કે “સ્વામિનારાયણ સંપ્રાદાય પોતાનો વાડો મોટો કરવા માટે તેમનાં પુસ્તકો અને મંદિરોમાં સનાતન કે હિંદુ ધર્મના દેવદેવીઓને સહજાનંદ સ્વામી કરતાં ઊતરતાં બતાવે છે. આ ધર્મના પાત્રો સાથે ગંદી રમત છે, આ છળકપટ ‘જે મારે લોકોને આ પુસ્તક દ્વારા બતાવવું છે … ચાળીસેક વર્ષ પૂર્વે ‘અર્થાત’ સામયિકમાં ઇતિહાસકાર મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિકે સહજાનંદ સમાજસુધારક હતા, પણ સંત ન હતા એમ વિશદ કરતો લેખ લખ્યો, તેની સામે મુકદ્દમો મંડાયો. મકરંદભાઈએ હથિયાર હેઠા મૂકી દીધા, મારે એમનું કામ આગળ ધપાવવું છે. BAPS હિંદુ ધર્મના દેવોને ઊતરતા બતાવે છે, એનું અપમાન કરે છે અને છતાં સનાતન ધર્મના, હિંદુ સંસ્કૃતિના પ્રચારનો દાવો કરે છે, તે પણ દર્શાવવાનો આ પુસ્તકનો હેતુ છે.”

વિમોચન પ્રસંગે પ્રકાશ ન. શાહ, ઉત્તમભાઈ પરમાર, જગદીશભાઈ બારોટ, કિરણ ત્રિવેદી અને હેમન્તકુમાર શાહે વક્તવ્યો આપ્યાં. તેમને સહુએ બાવા-સંપ્રદાયોએ ચલાવેલી પ્રતિગામી સાંપ્રદાયિકતા પર પ્રસંગો અને અનુભવોને આધારે કોરડા વીંઝ્યાં તેમ જ રેશનલ સમાજની તેમની વિભાવના વર્ણવી. કાર્યક્રમનું સંચાલન હોનહાર, નીડર યુવા રૅશનાલિસ્ટ પ્રગતિશીલ યુ-ટ્યૂબર જ્યોત્સ્ના આહિરે કર્યું. તેમના સંચાલનમાં સાહજિકતા, જીવંતતા અને રૅશનાલિસ્ટ મુદ્દાઓની વારંવાર જિકર હતી. નોંધપાત્ર હાજરી ધરાવનારા આ કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત ભાવનગર, ગોંડલ, સૂરત, ગાંધીનગર અને કૅલિફૉર્નિયા / મેરીલેન્ડ / કેનેડા / UKથી પણ લોકો આવ્યા હતા.

ધર્મસત્તા અને રાજ્યસત્તાના છળકપટોનો પર્દાફાશ કરનાર વધુ સાહિત્ય લખાતું-વંચાતું રહે તેના માટેનો જુઝારુ દિશાનિર્દેશ રમેશ સવાણીના પુસ્તકમાંથી મળે છે. એટલા માટે પણ આ પુસ્તકનો ઘણો ફેલાવો થાય તે જરૂરી છે.  

[10 ફેબ્રુઆરી 2025]

Loading

...102030...441442443444...450460470...

Search by

Opinion

  • ગઝલ
  • સુરત મહાનગરપાલિકાને –
  • MET Gala 2026: સૉફ્ટ પાવરના મંચ પર ભારતનો ‘આર્કટેક્ચરલ’ વિજય
  • ચલ મન મુંબઈ નગરી—340
  • ગુજરાત UCCમાં સ્ત્રી  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ
  • મિસ્ટર આંબેડકર અને આંબેડકર કોણ હતા

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved