Opinion Magazine
Number of visits: 9456864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—263

દીપક મહેતા|Opinion - Opinion|8 September 2024

મુંબઈમાં વિઘ્નેશ ગણપતિનું પહેલું આગમન થયું મુંબઈ પર એક મોટું વિઘ્ન આવ્યું તે પછી  

सुखकर्ता दुखहर्ता, वार्ता विघ्नांची|
नुरवी; पुरवी प्रेम, कृपा जयाची|
सर्वांगी सुंदर, उटी शेंदुराची|
कंठी झळके माळ, मुक्ताफळांची॥

આજથી દસ દિવસ સુધી આખા મુંબઈમાં ગણેશ આરતીના આ શબ્દો દિવસ-રાત ગુંજતા રહેશે. ગણપતિનાં અનેક નામોમાંનું એક છે વિઘ્નેશ. પણ આજે બહુ ઓછાને એ વાત યાદ હશે કે મુંબઈમાં ગણેશોત્સવ રૂપે ગણપતિનું પહેલી વાર આગમન થયું તે મુંબઈ પર એક મોટું વિઘ્ન આવ્યું તે પછી. ઈ.સ. ૧૮૯૨ સુધી મુંબઈમાં ઉજવાતા સૌથી મોટા તહેવારો બે : મોહરમ અને દિવાળી. બંનેને ધર્મ સાથે નજેવો સંબંધ. હિંદુ, મુસ્લિમ, અને બીજા ધરમના લોકો પણ ભેગા થઈને બંને તહેવારો ઉજવે. એ વખતે ધરમ એ અંગત માન્યતાનો વિષય. સમાજ જીવાન સાથે તેને બહુ લાગેવળગે નહિ. પણ ૧૮૯૩માં આ ગુલાબી ચિત્ર એક જ દિવસમાં ભૂસાઈ ગયું અને બે કોમના લોકો આમને સામને આવી ગયા.

૧૮૯૩ના ઓગસ્ટ મહિનાની ૧૧મી તારીખ. મુંબઈનો પાયધુની વિસ્તાર. ત્યાં આવેલું હનુમાન મંદિર. થોડે દૂર એક મસ્જિદ. હનુમાન મંદિરમાં આરતી, ભજન, થયાં. અને બસ, બીજી કોમના લોકો ભડક્યા. હનુમાન મંદિરમાં હાજર રહેલાઓ પર હુમલો. સામે ઈંટનો જવાબ પથ્થરથી. જોતજોતામાં કોમી રમખાણની આગે મુંબઈ આખાને ચપેટમાં લઈ લીધું. ઈંટ સામે ઈંટ, પથ્થર સામે પથ્થર, ખંજર સામે ખંજર. મુંબઈનું એ પહેલવહેલું હિંદુ-મુસ્લિમ રમખાણ. બંને પક્ષે શરૂ થયાં સભા-સરઘસ, લૂંટફાટ. એ વખતે મુંબઈ સૂતરાઉ કાપડની મિલોથી ધમધમે. મોટા ભાગના મિલ-મજૂરો મરાઠીભાષી. લાઠી, લેઝિમ, ધોકા, જે હાથમાં આવ્યું તે લઈને ઉતરી પડ્યા મુંબઈના રસ્તાઓ પર. રમખાણ લાલ રંગે રંગાઈ ગયું. ૭૫ કરતાં વધારે માણસોએ જીવ ગુમાવ્યા.

એ વખતે મુંબઈના પોલીસ કમિશનર હતા રોબર્ટ હેમ્પ-વિનસેન્ટ. એ જ વરસના એપ્રિલની નવમી તારીખે ચાર્જ સંભાળેલો, એટલે મુંબઈથી અને તેના લોકોથી ઝાઝા પરિચિત નહિ. પણ માણસ નાડ પારખુ. એ વખતે મુંબઈ પોલીસ પાસે લાઠી સિવાય બીજાં કોઈ હથિયાર નહિ. થોડા દિવસમાં સમજી ગયા કે આ રમખાણો રોકવાનું મુંબઈ પોલીસનું ગજું નથી. એટલે એ કામગીરી સોંપી દીધી લશ્કરને. થોડા દિવસમાં મુંબઈમાં તો રમખાણો કાબૂમાં આવી ગયાં, પણ પછી મુંબઈ બહાર ફેલાયા.

સાર્વજનિક ગણેશોત્સવના પ્રણેતા લોકમાન્ય ટિળક

એ વખતે મુંબઈના બે અગ્રણી મરાઠી છાપાં તે ‘કેસરી’ અને ‘મરાઠા’. બંનેના તંત્રી લોકમાન્ય ટિળક. તેઓ માનતા હતા કે મુંબઈમાં જ્યારે આ રમખાણો થયાં ત્યારે સરકારે બંને કોમો તરફ એક સરખું વલણ રાખવું જોઈતું હતું. બીજું, આ રમખાણોની શરૂઆત હિંદુઓએ કરી નહોતી. તેમણે જે કર્યું તે પોતાના બચાવમાં કર્યું હતું એમ ટિળકનું માનવું હતું. અને છતાં ગવર્નર લોર્ડ હેરિસે પક્ષપાતી વલણ અપનાવેલું એમ તેમને લાગતું હતું.

આ લોર્ડ હેરિસનો જન્મ ૧૮૫૧ના ફેબ્રુઆરીની ત્રીજી તારીખે. અવસાન થયું ૧૯૩૨ના માર્ચની ૨૪મી તારીખે. એક બાજુથી લોર્ડની ઉચ્ચ પદવી. બીજી બાજુથી લશ્કરમાં જોડાયેલા એટલે કડક શિસ્તના આગ્રહી. પણ સૌથી વધુ તો ક્રિકેટની રમતનો જબરો શોખ. વતનમાં હતા ત્યારે લોર્ડ’ઝ અને એમ.સી.સી. સાથે સંકળાયેલા. બંનેના વિકાસમાં તેમનો મોટો ફાળો. મુંબઈના ગવર્નર થયા પછી પણ તેમને સૌથી વધુ રસ ક્રિકેટમાં. મુંબઈમાંના પોતાના જાતભાઈઓ સાથે ક્રિકેટ રમવામાં મશગુલ રહે. ૧૮૯૩માં મુંબઈમાં કોમી રમખાણો શરૂ થયાં ત્યારે આ ગવર્નર સાહેબ તો હતા પૂનામાં, ક્રિકેટની મેચોમાં મશગુલ. રમખાણો શરૂ થયા પછી છેક નવમે દિવસે સાહેબ મુંબઈ પધાર્યા. અને એનું કારણ રમખાણો નહિ, મુંબઈમાં રમાનારી એક ક્રિકેટ મેચમાં તેમને રસ હતો. મુંબઈમાં રમખાણો ડામવાનું લશ્કરને સોંપાયું એટલે ગવર્નરસાહેબ તો હળવા ફૂલ. હવે રમખાણનો કરનારા જાણે, અને લશ્કરના સૈનિકો જાણે. આપણે તો હવે તીરે ઊભા તમાશો જોવાનો!

ગવર્નર લોર્ડ હેરિસ

ગવર્નર અને સરકાર, બંને એક કોમને અન્યાય કરે છે એમ ટિળકને લાગ્યું. પોતાના રક્ષણ માટે હિન્દુઓએ સંગઠિત બન્યા વગર છૂટકો નથી એમ પણ તેઓ માનતા થયા. એ વખતના મુંબઈ રાજ્યના કેટલાક સમાજ સુધારકો અને ટિળકની વચ્ચે સમાજ સુધારા અંગે મતભેદ હતા. પણ હિન્દુઓને સંગઠિત કરવાની વાત સાથે ગોપાલ ગણેશ આગારકર, ગોપાલ કૃષ્ણ ગોખલે, અને લગભગ બધા સમાજ સુધારકો સહમત થયા. એટલું જ નહિ, કેટલાક પારસી આગેવાનોએ પણ ટેકો આપ્યો. સર દિનશા એદલજી વાચ્છાએ એક અંગત પત્રમાં લખ્યું કે અંગ્રેજ સરકાર છૂપી રીતે રમખાણો કરનાર લઘુમતી કોમને મદદ કરતી રહી છે. હકીકતમાં ટિળકની ઝુંબેશ પણ લઘુમતી કોમ સામે નહિ તેટલી અંગ્રેજ સરકાર સામે હતી. બે કોમો વચ્ચેના ઝગડાનો લાભ લઈ શકાય તે માટે સરકાર એક કોમને પ્રોત્સાહન આપે છે એમ તેમનું માનવું હતું.

૧૮૯૩નાં રમખાણો પછી બીજા કેટલાક આગેવાનો સાથે ટિળકે પૂનામાં ચર્ચાવિચારણા કરી. મરાઠી ઘરોમાં તો ગણેશોત્સવની લાંબી પરંપરા હતી જ, પણ હવે એ પરંપરાને સાર્વજનિક રૂપ અને પ્રતિષ્ઠા આપવાનું એ મીટિંગમાં નક્કી થયું. આ નિર્ણય પાછળ પણ લઘુમતી કોમના વિરોધ કરતાં અંગ્રેજ રાજ્સત્તાનો વિરોધ વધુ કારણભૂત હતો.

૧૯૦૧માં કેશવજી નાઈક ચાલમાં ગણેશોત્સવ પ્રસંગે લોકમાન્ય ટિળકે આપેલા ભાષણનો ‘કેસરી’માં પ્રગટ થયેલો અહેવાલ

સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત ભલે પુનાથી થઈ, પણ પછી મુંબઈ સહિત, આખા મહારાષ્ટ્રમાં તેનો ઝડપથી પ્રચાર અને પ્રસાર થયો. એ જમાનામાં ગિરગાંવ એટલે મરાઠી માણૂસ અને તેની સંસ્કૃતિનો ગઢ. આ ગિરગામ વિસ્તારમાં એક રસ્તો, નામ કાંદાવાડી. આજે એ બની ગઈ છે ‘કંકોતરી વાડી’. ત્યાંની પોણા ભાગની દુકાનો કંકોતરી છાપવાનો કે વેચવાનો ધંધો કરે છે. એ રસ્તાનું આજનું સત્તાવાર નામ ખાડિલકર રોડ. એ રસ્તા પર આવેલી એક ચાલ, નામે કેશવજી નાઈક ચાલ. સાર્વજનિક ગણેશોત્સવની પૂનામાં શરૂઆત થઈ તે વર્ષે જ આ ચાલમાં પણ સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન થયું તેમ આ ચાલની શ્રી સાર્વજનિક સંસ્થાની વેબ સાઈટ પર જણાવ્યું છે. આ ચાલના ૧૯૦૧ના ઉત્સવ વખતે લોકમાન્ય હાજર રહ્યા હતા, અને ભાષણ પણ કર્યું હતું. ૧૯૯૨માં આ ચાલના ગણેશોત્સવની શતાબ્દી ધામધૂમથી ઉજવાઈ હતી. અગાઉ જેમ બહુમતી કોમના લોકો ઉત્સાહપૂર્વક મોહરમમાં ભાગ લેતા હતા તેમ શરૂઆતમાં લઘુમતી કોમના ઘણા લોકો સાર્વજનિક ગણેશોત્સવમાં ભાગ લેતા હતા. મંડપોમાં શરણાઈ કે બીજાં વાદ્યો વગાડનારા તો મોટે ભાગે લઘુમતી કોમના જ હોય.

કેશવજી નાઈક ચાલ

આ ઉત્સવની શરૂઆત ભક્તિભાવ, સાદાઈ અને સંયમથી થઈ હતી. પણ વરસો વીતતાં ગયાં તેમ મુંબઈનો ગણેશોત્સવ વધુને વધુ ખર્ચાળ, ઘોંઘાટિયો અને ઝાકઝમાળવાળો બનતો ગયો. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થયા પછી જુદા જુદા રાજકીય પક્ષો પણ પોતપોતાની ખીચડી પકાવવા આવવા લાગ્યા. નાની-મોટી કંપનીઓ જાહેર ખબરો આપવા માટે પડાપડી કરવા લાગી. આખા ઉત્સવનું વ્યાપારીકરણ થઈ ગયું. અને છતાં આજે પણ કંઈ કેટલાંયે ઘરોમાં ભક્તિભાવ અને સાદાઈથી ગણેશોત્સવની ઉજવણી થાય છે. ગિરગાંવ કે દાદરના કોઈ રસ્તા પરથી સવારે કે સાંજે પસાર થતી વખતે એક રૂમ રસોડાવાળાં ઘરોમાંથી ઊઠતો ભક્તિભાવ ભર્યો સ્વર સંભાય છે :

लंबोदर पीतांबर, फणिवरबंधना|
सरळ सोंड, वक्रतुंड त्रिनयना|
दास रामाचा, वाट पाहे सदना|
संकटी पावावे, निर्वाणी रक्षावे, सुरवरवंदना|
जय देव जय देव, जय मंगलमूर्ती|
दर्शनमात्रे मनकामना पुरती॥

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 07 સપ્ટેમ્બર 2024

Loading

IC-814 કંદહાર હાઈજેકઃ  રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચેની ભેદરેખા ઓળંગી જઇએ ત્યારે થતી ભૂલો ટાળવી જરૂરી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|8 September 2024

જે લોકોએ આતંકવાદીઓનો નામોને લઇને હોબાળો કર્યો તેમને ઇતિહાસના અભ્યાસની જરૂર છે જેથી તેઓ સાચા સવાલ ઉઠાવી શકે, ઇતિહાસમાં દંતકથાઓ ન જોવી, પણ યોગ્ય દૃષ્ટિકોણ અને સાચા સવાલ પૂછવા જરૂરી

°

બંધકોના પરિવારોનાં ટોળાંએ મંત્રાલયના પ્રતિનિધિ પર હુમલો કર્યો હતો. ટોળાના આગેવાન બની બેઠેલા ડૉક્ટર ચાહતા હતા કે અપહરણકર્તાઓની બધી વાત માની લેવી જોઇએ, 36 આતંકીઓને છોડી દેવા જોઇએ. લોકોએ તો એ પણ કહ્યું કે એમને કાશ્મીર જોઇતું હોય તો આપી દો, અમને કંઇ પડી નથી.

ચિરંતના ભટ્ટ

નેટફ્લિક્સની સિરિઝ IC-814 કંદહાર હાઇજેક આજકાલ ચર્ચામાં છે. આ સિરિઝને લઇને વિવાદ છેડાયો. વિવાદ સાથે 1999ના આ અપહરણને લગતી ઘણી બાબતો સપાટી પર આવી. આપણે ત્યાં ધ્રુવીકરણ એ હદે થયું છે કે જે બાબતોને સંબોધવાની હોય તેના બદલે કંઇ ભળતી-સળતી બાબતો પર જ દેકારો કરવામાં આવે છે. સૌથી વધુ ઘોંઘાટ એ બાબતે કરાયો કે આતંકવાદીઓને સિરિઝમાં હિંદુ નામો – શંકર અને ભોલા – વાપરતા દેખાડાયા છે અને આ તો હિંદુઓનું અપમાન છે, આતંકવાદીઓ પર ધોળકું ધોળવામાં આવે છે અને ISIની પ્રવૃત્તિઓ પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે, વગેરે વગેરે.

વર્તમાન સરકારે બીજી બધી સમસ્યાઓ નેવે મૂકીને નેટફ્લિક્સના કોન્ટેન્ટ હેડને હાજર થવા ફરમાન કર્યું અને આ અંગે ચોખવટ કરવા કહ્યું. અત્યાર સુધીમાં તો આ બધી ચોખવટ થઇ ગઇ છે. સિરિઝ બનાવનારા ડાયરેક્ટર અનુભવ સિંહાએ સિરિઝમાં આતંકવાદીઓના નામ દર્શાવ્યા છે ચિફ, ડૉક્ટર, બર્ગર, શંકર અને ભોલા – અને લોકો તૂટી પડ્યા. પહેલીવાત તો આ સિરિઝ જે પુસ્તકના આધારે બનાવાઇ છે તે લખનાર છે એ કેપ્ટન દેવી શરણ જે આ ફ્લાઇટના ત્રણ પાઇલટોમાંના એક હતા, તેમણે આ પુસ્તક પત્રકાર શ્રીન્જોય ચૌધરી સાથે મળીને લખ્યું છે. આ પુસ્તક, ‘ફ્લાઇટ ટુ ફિયરઃ ધી કૅપ્ટન્સ સ્ટોરી’માં પાંચે પાંચ આતકંવાદીઓનાં સાચાં નામ છે પણ આ આતકંવાદીઓએ પોતાના નામ છેક સુધી, વાટાઘાટ સુધી છુપાવ્યા હતા અને એકબીજાને કોડનેમ્સથી સંબોધ્યા હતા એવું જણાવેલું છે. આ જ હકીકત MEA – મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સ-ના આ અપહરણ અંગેના રિપોર્ટમાં પણ સ્પષ્ટ કરાઇ છે. પણ માળું આપણે ત્યાં દેકારા કરનારાઓને મુદ્દાઓની પડી જ નથી હોતી. નેટફ્લિક્સે આ વિવાદની વચ્ચે સિરિઝ પહેલા આવતા ડિસ્ક્લેમરમાં જે ચોખવટ કરવાની હતી તે કરી દીધી.

આ એક એવો વિવાદ હતો જેમાં સમય બગાડવાની જરૂર ન હોત જો લોકોએ સત્ય જાણવાની તસ્દી લીધી હોત તો. એક બીજો ગણગણાટ એવો પણ શરૂ થયો કે, ત્યારની સરકારે તો નમતું જોખ્યું, આવી રીતે કંઇ આતંકવાદીઓને કહ્યે આપણે પકડેલા આતંકીનો જવા ન દેવાય. આ ઘોંઘાટ પણ એ જ લોકો કરે છે જેમણે આ હિંદુ નામો વાળો દેકારો કર્યો. 1999માં સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં કંચન ગુપ્તા નામના એક વરિષ્ઠ સલાહકાર હતા જેમણે એક જૂના બ્લૉગમાં એ વખતે મંત્રાલયમાં, પ્રધાન મંત્રીની ઑફિસમાં શું સંજોગો હતા, કેવો તણાવ હતો તેને વિશે લખ્યું છે. તેમના રિપોર્ટ અનુસાર અપહરણની વાત શરૂઆતમાં તો પ્રધાન મંત્રી વાજપેયીની ફ્લાઇટના પાયલટને જણાવવામાં પણ નહોતી આવી. એમ મનાય છે કે વાયુસેનાને આ વિશે માહિતી હોવા છતાં પ્રધાન મંત્રીને તેની જાણકારી મોડી અપાઇ. પ્રધાન મંત્રી આવાસ પર વરિષ્ઠ મંત્રીઓ અને સચિવની બેઠક ચાલુ થઇ ગઇ હતી. NSA બ્રિજેશ મિશ્રા રાજીવ ભવનમાં બનેલા ક્રાઇસિસ કન્ટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. આ તરફ હાઇજેક થયેલું વિમાન મંજૂરી ન મળવાથી લાહોરમાં લેન્ડ ન થઇ શક્યું અને અમૃતસર તરફ વળ્યું. 45 મિનિટ ત્યાં ટર્મિનલ પર હોવા છતાં એરપોર્ટ અધિકારીઓ દિશાહિન અને હાંફળા-ફાફળા થઇ આમ-તેમ દોડાદોડી કરી રહ્યા હતા. સ્ટેન્ડ બાય પર તૈનાત NSG કમાંડો અમૃતસર કેમ ન પહોંચ્યા તેની ચોખવટ ક્યારે ય ન થઇ – એક મત એમ છે કે તેમને દિલ્હીથી અમૃતસર લઇ જનારા વિમાનની રાહમાં તેઓ અટક્યા અને બીજા મત અનુસાર એ કમાંડો ટ્રાફિકમાં અટવાઇ ગયા હતા. આ તરફ વિમાનની ટાંકીમાં ઇંધણ ઓછું હોવા છતાં આતંકીના દબાણ પર લાહોર તરફ ફ્લાઇટ ઉપાડવામાં આવી. જસવંત સિંહે પાકિસ્તાની વિદેશ મંત્રીને ફોન કરી કહ્યું કે લાહોરથી વિમાનને આગળ ન ઉડવા દે પણ પાકિસ્તાનીઓ આ આખી ઘટનાથી ખૂદને દૂર રાખવા માગતા હતા કારણ કે તેઓ બાદમાં હાથ ઊંચા કરી દઇ શકે કે આ ઘટના સાથે તેમને કંઇ લાગતું વળગતું નહોતું. પાકિસ્તાનનું દબાણ હતું કે બને એટલું જલદી આ વિમાન પોતાની ધરતી અને એરસ્પેસની બહાર જવું જોઇએ. ઇંધણ ભરાયું અને વિમાન દુબઇ ગયું પણ ત્યા પણ લેન્ડિંગની મંજૂરી મળે તેમ નહોતું. આ સમયે જસવંત સિંઘ અને તત્કાલિકન UAE રાજદૂતે કે.સી. સિંહે યેનકેન પ્રકારેણ આ મંજૂરી મેળવી. UAE અધિકારીઓની મદદથી આતંકીઓ સાથે વાતચીત કરી 13 સ્ત્રીઓ અનો 11 બોળકોને વિમાનમાંથી છોડાવી લેવાયાં. આ એ વખત હતો જ્યારે રૂપિન કત્યાલ જેને આતંકીએ ચપ્પુ માર્યુ હતું તેનું લોહી વહેવાને કારણે મોત થઇ ગયું હતું અને તેમના મૃતદેહને બહાર લવાયો પણ તેમની વિધવા પત્ની છેક સુધી વિમાનમાં જ હતી. હવે આ તો ત્યારની વિમાનની આસપાસની ઘટનાઓનું ચિત્રણ છે. આ તરફ દિલ્હીમાં સરકાર એ અપહત્યોના પરિવારજનોના રોષનો સામનો કરી રહી હતી. લોકો બેફામ વિરોધ કરી રહ્યા હતા, સરકાર કંઇ કરતી નથી એવા નારાઓ વચ્ચે વાજપાઇ સરકારે બંધકોના પરિવારને સંબોધવાનું નક્કી કર્યું. આ તરફ મીડિયા માટે પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી હતી અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીમાંથી કોઇ મંત્રી બંધકોના પરિવારને સંબોધવા તૈયાર નહોતા પણ જસવંત સિંહે કંચન ગુપ્તાને (જેણે આ બાબતો બ્લોગમાં લખી છે) કહ્યું કે ચાલો આપણે જ્યાં આ લોકો છે ત્યાં જઇને વાત કરીએ. બંધકોના પરિવારોનાં ટોળાંનું નેતૃત્વ કરનાર ડૉ. છિબ્બર દિલ્હીના સર્જન હતા – આ ટોળાંએ મંત્રાલયના પ્રતિનિધિ પર હુમલો જ કર્યો અને એક વાત ન સાંભળી. ટોળાંના આગેવાન બની બેઠેલા ડૉક્ટર ચાહતા હતા કે અપહરણકર્તાઓની બધી વાત માની લેવી જોઇએ, 36 આતંકીઓને છોડી દેવા જોઇએ. લોકોએ તો એ પણ કહ્યું કે એમને કાશ્મીર જોઇતું હોય તો આપી દો, અમને કંઇ પડી નથી. આ ટોળાં સામે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલની પત્નીએ પણ જ્યારે રાષ્ટ્ર પ્રત્યેની કટિબદ્ધતાની વાત કરી હતી ત્યારે તેમનો ય વિરોધ કરાયો હતો. આ દબાણની વચ્ચે સરકારે અમુક નિર્ણયો લેવા જ પડ્યા અને જેલમાંથી અમુક આતંકીઓને છોડવાનો સોદો થયો. જસવંત સિંહે પોતે કંદહાર જઇને વાટાઘાટો શાંતિથી પૂરી થાય તેની તકેદારી રાખવાની તૈયારી બતાડી હતી અને કંદહાર જતા બે વિમાનમાંથી એકમાં એ પણ હતા. 31મી ડિસેમ્બરે રાત્રે બંધકો પાછા ફર્યા, આટલું મોટું ઑપરેશન પાર પાડ્યું હોવા છતાં સરકારની એ મામલે ટીકા કરાઇ કે સરકાર અપહરણકર્તાઓની માંગ સામે ઝુકી ગઈ. જસવંત સિંહને આખી ઘટનામાં ખલનાયક ચિતરવામાં આવ્યા જે સાવ વાહિયાત બાબત છે. આ આખું વિવરણ એ સાબિત કરે છે કે આપણે આતંકવાદ સામે લડવાની હિંમત નથી ધરાવતા – ના અહીં સૈન્ય કે સરકારની વાત છે જ નહીં – આપણે જવાબદારીના મામલે તેમને માથે બધો બોજ નાખવા માગીએ છીએ, પણ આપણું તસુભાર નુકસાન વેઠવાની આપણામાં તાકાત નથી. એક સારા નેતાને દોષી ઠેરવવા, જે પોતે સૈન્યના અધિકારી રહી ચૂક્યા હતા તે નાગરિકો માટે સહેલું થઇ પડે છે.

વળી આ અપહરણકાંડને મુંબઈ પોલીસ સાથે સીધો સબંધ હોવાનો સરસ લેખ મુંબઈ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પ્રમુખ ડી શિવાનંદને લખ્યો છે, જે રિટાયર્ડ ડી.જી.પી. છે. મુંભઈના પોલીસ અધિકારી હેમંત કરકરેને ટિપ મળી હતી કે RAWની મુંબઈ ઑફિસ પાસે મુંબઈનો એક એવો ફોન નંબર છે જે પાકિસ્તાનના એક નંબર સાથે સતત સંપર્કમાં છે. અપહરણ થયું હતું તે દરમિયાન જે ટીમ આ ઑપરેશન પર હતી તેણે મુંબઈ પાકિસ્તાન વચ્ચેના ફોન કૉલ ત્રણ દિવસ સુધી સાંભળ્યા. સામે પાકિસ્તાની જૈશ-એ-મોહંમદનો આતંકવાદી હતો જે જોગેશ્વરીમાં કોઈની સાથે સંપર્કમાં હતો અને પૈસાની લેવડદેવડની વાત ચાલુ હતી. તેને આધારે જે ધરપકડ થઇ હતી તેમાં બાળ ઠાકરેના માતોશ્રીનો નકશો પણ મળ્યો હતો અને સાથે રાઇફલન્સ, હેન્ડ ગ્રેનેડ, રૉકેટ લૉન્ચર, ડિટોનેટર અને વિસ્ફોટક, છ પિસ્તોલ અને બારુદ ગોળાનો જથ્થો મળ્યો હતો. મુંબઈમાંથી વાત કરનાર માણસ અબ્દુલ લતીફ હાઇજેકર્સનો સાથીદાર હતો અને તેણે ભારતીય તપાસ ટૂકડીને IC-814ના અપહરણકર્તાઓનાં નામ પણ જણાવ્યા હતા. વળી જ્યારે મુંબઈ પોલીસે અબ્દુલ લતીફને પકડ્યા પછી અન્ય સ્થળે દરોડા પાડ્યા ત્યારે એમ પણ જાણવા મળ્યું કે આતંકીઓ મુંબઈમાં હાઇજેકિંગ કરવા ધારતા હતા અને માટે પહેલાં આતંકીઓને મુંબઈ લવાયા હતા. મુંબઈ પોલીસના પૂર્વ ACP પ્રદીપ શર્માના મતે આ લોકો મોટો આતંકી હુમલો કરવા ધારતા હતા, ત્યારે વડા પ્રધાન વાજપેઈ મુંબઈ આવવાના હતા અને તેમના કાફલા પર હુમલો કરવાનો આતંકીઓનો ઇરાદો હતો.

હવે સિરિઝ તરફ પાછા વળીએ તો ખરેખર સારી બનાવાયેલી આ સિરિઝમાં એક તકલીફ એ છે કે  આ અપહરણકાંડ સાથે પાકિસ્તાનના ISIની કડીઓ જોડાયેલી હતી તે સ્પષ્ટ દર્શાવાયું જ નથી. હિંદુ-મુસ્લિમ નામો વાળી બબાલ કરતાં કોઇ મોટો પ્રશ્ન હોય તો એ છે કે આ અપહરણકર્તાઓ પાકિસ્તાની હતા એ બાબત સ્પષ્ટતાથી નથી કહેવાઇ. ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીને આ પાકિસ્તાની ઑપરેટિવ્ઝ પાકિસ્તાનના કયા હિસ્સાઓમાંથી આવ્યા હતા તેની પણ જાણ હતી પણ એ બાબત સિરિઝમાં નથી દર્શાવાઇ. અફઘાનિસ્તાન અને અલ-કાયદા સાથેની તેમની કડી બતાડાઇ છે પણ એ બહુ ગળે ઉતરે એવી નથી. આ અપહરણ પણ પાકિસ્તાન અને ભારત વચ્ચે ચાલતા ગુપ્ત યુદ્ધનો જ હિસ્સો હતો અને ISIનો તેમાં સીધો હાથ હતો. વળી RWAએ નેપાળી નાગરિકોને કરેલું ટોર્ચર, કોઈ ભારતીય એજન્ટ જે પાકિસ્તાની રાજદૂતનો પીછો કરે છે તે ઘટના વગેરેના કોઇપણ નક્કર પુરાવા નથી. ઇન્ટેલિજન્સ એજન્સીની કામગીરી જે રીતે થાય છે તેની વિગતોમાં પણ સિરિઝમાં લગિરેક ચિવટ નથી રખાઇ પણ આ માટે દિગ્દર્શક પાસે સર્જનાત્મક સ્વતંત્રતાનું બહાનું હોઇ જ શકે છે. પણ રિસર્ચ માટે એસ દુલાત, અજીત દોવાલ અને આનંદ ઇરાની જેવા અધિકારીઓ સાથે સિરિઝના મેકર્સે વાત કરી હોત તો સારું થાત.

બાય ધી વેઃ

અપહરણ થયું ત્યારે જે લોકોએ સરકાર પર દબાણ પેદા કર્યું એ દર્શાવે છે કે રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ વચ્ચે કેટલો ફેર છે. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે કાશ્મીર આપી દેવાની વાતો કરનારા લોકો સિરિઝનું તથ્ય જાણ્યા વિના એટલો હોબાળો કરે છે કે સરકાર પણ બીજું બધું બાજુએ મુકી નેટફ્લિક્સના કાન આમળવા માંડે છે. જે સવાલ કરવા જોઇએ એ નથી થતા અને કમનસીબે આ સ્થિતિમાં નવી પેઢી વાસ્તવિકતાથી દૂર એક અન્ય ચિત્ર મનમાં લઇને આગળ વધે છે અને તેનાથી મોટું જોખમ બીજું કંઇ ન હોઈ શકે. બાય ધી વે વિશાલ ભારદ્વાજે પણ આ વિષય પર કામ કરવાનું નક્કી કર્યુ હતું અને આ માટે અજીત દોવાલ સાથે વાતચીત પણ આદરી હતી જો કે આ પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

જેનામાં સર્જનાત્મકતા હોય તે કોઇની કઢી ચાટે નહીં

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2024

રમેશ ઓઝા

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી આજ સુધીમાં ઓછામાં ઓછી ત્રીસેક ફિલ્મ અને ટી.વી. સિરિયલ કે વેબ સિરીઝ આવી હશે, જેમાં ગાંધીજીને, જવાહરલાલ નેહરુને, ઇન્દિરા ગાંધીને, ડૉ. મનમોહન સિંહને નીચા દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં મુસલમાનોને, ખ્રિસ્તીઓને, ડાબેરીઓને, સેક્યુલરિસ્ટોને અને એકંદરે માનવતાવાદીઓને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિવેક અગ્નિહોત્રી, અક્ષય કુમાર, અનુપમ ખેર વગેરે અઢળક કમાયા છે. ગોદી સર્જકોને પૈસા આપવામાં આવતા હતા અને તેમણે માલિકોને ઉજળા દેખાડવાના હતા અને માલિકોના દુ:શ્મનની બદનામી કરવાની હતી. ગોદમાં બેસાડનારાઓ એમ માનતા હશે કે ભારતની સમગ્ર પ્રજા બેવકૂફ છે અને આખી જિંદગી તેમ જ પેઢી-દર-પેઢી બેવકૂફ રહેવા સર્જાયેલી છે.

પણ એમાં બે સમસ્યા છે. પ્રજા એકના એક ગાયનવાદનથી કંટાળી જાય. બેવકૂફમાં બેવકૂફ માણસ પણ એક દિવસ તો વિચારે કે આ લોકો પોતાને મહાન દેખાડવા માટે બીજાને શું કામ નાના ચીતરે છે? દરેક પ્રસંગે અને દરેક સ્થળે બીજાઓને નીચા દેખાડવાની પ્રવૃત્તિ આ લોકો શું કામ કરે છે? શું પોતાનાં કોડિયામાં ઓછું તેલ છે કે બીજાનાં કોડિયાનું તેલ ઢોળી નાખવું પડે? કોડિયું બુઝાઈ જવાનો ડર છે? આવો સવાલ તો બેવકૂફમાં બેવકૂફ હોય તેને પણ એક દિવસ થાય. બીજી સમસ્યા એ છે કે જે લોકો પૈસા લઈને પ્રચારક બને તેનામાં સર્જનાત્મકતા ઓછી હોવાની. અમર કૃતિ રચવાની આવડત તેનામાં ન હોય અને એવી આવડત જેનામાં હોય એ કોઈની કઢી ચાટે નહીં. કોઈ ભાટની કવિતા કાલીદાસની કવિતા સામે ટકે? એટલે તેણે કરેલું સર્જન આંખ સહન ન કરી શકે એવું જાડું હોય અને કાન સહન ન કરી શકે એટલું ઘોંઘાટિયું હોય. ઘણીવાર સવાલ થાય કે આ માલિકની પ્રસંશા કરે છે કે ઠેકડી ઊડાડે છે? વધારે વહાલા થવા વધારે અતિશયોક્તિ કરે. વિવેક અગ્નિહોત્રીની ‘કાશ્મીર ‘ફાઈલ્સ’ આનું ઉદાહરણ છે. એ ફિલ્મને ઓસ્કરમાં મોકલવામાં આવી હતી અને ઓસ્કરની જ્યુરીએ જ્યારે એ ફિલ્મ જોઈ ત્યારે દરેકે દરેક સભ્યએ ગુસ્સે થઈને કહ્યું હતું કે આવી ફૂહડ ફિલ્મ અહીં સુધી પહોંચી જ કેવી રીતે? આ કોઈ ફિલ્મ છે? પ્રોપેગેન્ડા ફિલ્મ અમારે જોવાની? જ્યુરીનો અભિપ્રાય જોઇને અગ્નિહોત્રી અને ખેરને મરચાં લાગ્યાં હતાં.

ટૂંકમાં બીજાની બદનામી કરતો એક સરખો પ્રચાર જોઇને એક દિવસ લોકો કંટાળી જાય અને શંકા કરતા થઈ જાય. જેણે જિંદગીમાં હાથમાં દાંડી પકડી ન હોય એ ઢોલ વગાડે તો અવ્વલ દરજ્જાનો ભક્ત પણ કાને હાથ મૂકી દે. અત્યારે આવું બનવા લાગ્યું છે. પ્રોપેગેન્ડા કરનારી ફિલ્મો નિષ્ફળ નીવડી રહી છે.

આની સામે કોઈ અવ્વલ દરજ્જાનો સર્જક શાસકોને માફક ન આવે એવા કોઈ વિષય પર કૃતિ રચે તો? માત્ર એક ઉદાહરણ બસ રહેશે. પશ્ચિમ બંગાળમાં જ્યારે નક્સલવાદી આંદોલન જોરમાં હતું ત્યારે એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સિદ્ધાર્થ શંકર રેએ સરકારી હિંસાનો સપાટો બોલાવ્યો હતો. જે અવાજ કરે એ દરેક નક્સલી અને નક્સલી જીવતો ન બચવો જોઈએ. કોલકાતામાં અને સમગ્ર રાજ્યમાં હજારો યુવકોની લાશો બિછાવી દેવામાં આવી હતી. નકલી એન્કાઉન્ટરનો અને બુલડોઝરનો ન્યાય પહેલેથી જ અપનાવામાં આવી રહ્યો છે. ફરક એ છે કે આગળના યુગના બાહોશ શાસકો સરકારી હિંસાનો મહિમા કરતા નહોતા. વાંકી આંગળીએ ઘી એ લોકો પણ કાઢતા હતા, પણ કહેતા નહોતા. હાથ હંમેશાં જોડેલા જ હોય.

ખેર, પશ્ચિમ બંગાળની સરકાર એ સમયે જે રીતે યુવકોને મારતી હતી, જે રીતે અવાજોને રૂંધતી હતી, જે રીતે તેણે માનવીય જીવનને સસ્તું કરી મૂક્યું હતું એ જોઇને લબ્ધપ્રતિષ્ઠ બંગાળી સાહિત્યકાર મહાશ્વેતા દેવીએ એક કૃતિ રચી હતી જેનું નામ હતું; ‘હજાર ચુરાશીરમા’ (૧૦૮૪). કોલકાતાના મુર્દાઘરમાં એક યુવકની લાશ પડી છે જેની ઓળખ છે, ‘હજાર ચુરાશીરમાં.’ લાશ ક્રમાંક ૧૦૮૪. આ શીર્ષક જ હચમચાવી મૂકે એવું છે. માબાપ માટે જે લાડકવાયો છે એ બંદૂકના નાળચામાં સમાયેલા શાસન માટે એક નંબર માત્ર છે. એ કૃતિ માંડ સો પાનાંની હશે, પણ અમર કૃતિ છે. એનો અનેક ભાષામાં અનુવાદ થયો છે, ગુજરાતીમાં પણ થયો છે. એ જ નામની ફિલ્મ પણ બની છે. એ કૃતિ રચાઈ ત્યારથી લઈને આજ સુધી અને હવે પછી પણ, જ્યારે એ કૃતિની વાત થશે ત્યારે સિદ્ધાર્થ શંકર રાય અને તેની પુલીસ માનવીય સભ્યતાના દુ:શ્મન તરીકે હાજર થશે. તેમનું સ્વતંત્ર અસ્તિત્વ તો સત્તા છોડ્યા પછી ક્યારનું ય મટી ગયું છે, તેઓ એક નાનકડી કૃતિ દ્વારા એ કૃતિએ આપેલા ચહેરા સાથે જીવે છે.

આ ફરક છે, બળુકા સર્જકોમાં અને ખુશામતખોરોમાં. એક સો પાનાંની કૃતિએ કાયમ માટે શાસકોના અસલી ચહેરાને કાળની ભીંતમાં કોતરી દીધો. કોઈની તાકાત નથી એ ભૂંસવાની, પછી ભલે હજાર વિવેક અગ્નિહોત્રીઓને કામે લગાડવામાં આવે! આવાં અમર સર્જનોનાં તો બીજાં અનેક દાખલા આપી શકાય. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ગ્રેટ ડિક્ટેટર’ જોઈ લો. હિટલર અને હિટલરની વિચારધારા પર લખાયેલાં હજારો પુસ્તકો એક તરફ અને ‘ગ્રેટ ડિક્ટેટર’ એક તરફ. એ ફિલ્મ મૂંગી છે, પણ સતાવે છે. ભેગભેગા પાયલ કાપડિયાને યાદ કરી લઈએ. પાયલ કાપડિયાને તેની ફિલ્મ ‘ઑલ વી ઈમેજીન એઝ લાઈટ’ માટે કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગ્રેંડ પ્રિક્સ એવોર્ડ મળ્યો. આ પાયલ કાપડિયા પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ત્યારે મોદી સરકારે ‘મહાભારત’ ટી.વી. સિરિયલમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર સિંહ ચોહાણને તેનાં અધ્યક્ષ બનાવ્યા હતા. તેમની જમા બાજુ એટલી જ હતી કે તેઓ ભા.જ.પ.ના સભ્ય છે. વિદ્યાર્થીઓએ ગજેન્દ્રસિંહની નિમણૂકનો વિરોધ કર્યો, આંદોલન કર્યું, પાયલે તેનું નેતૃત્વ કર્યું હતું અને સરકારે તેને હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું. આજે ગજેન્દ્રસિંહ ચોહાણને દેશમાં પણ કોઈ ઓળખતું નથી અને પાયલે વિદેશમાં નામ રોશન કર્યું.

કાળ નીરવતાને સાંભળતો હોય છે અને ઘોંઘાટને ચાળી નાખતો હોય છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2024

Loading

...102030...440441442443...450460470...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved