Opinion Magazine
Number of visits: 9664885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સંઘ’ કાશીએ પહોંચશે કે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 January 2025

રવીન્દ્ર પારેખ

‘હિન્દુ-મુસ્લિમ’, ‘હિન્દુ-મુસ્લિમ’ કરતાં કરતાં બંધારણનાં 75 વર્ષ (અમૃત પર્વ) સુધી આવી પહોંચ્યા, પણ નથી હિંદુઓને જપ વળતો કે નથી મુસ્લિમોને નિરાંત થતી. મંદિર-મસ્જિદ મુદ્દે પણ વિવાદ ચાલ્યા કરે છે ને એનો પણ છેડો દેખાતો નથી એટલે નિરાંત ક્યારે થશે એ નક્કી નથી. સંઘના રાષ્ટ્રીય સંચાલક મોહન ભાગવત પણ વિવાદો નોતરતા રહે છે. વચમાં હિન્દુઓ વધુ બાળકો પેદા કરે એવું વિધાન કરી બેઠેલા ને તેણે ચર્ચા જગાવેલી. અયોધ્યા મંદિર બન્યું એ પછી બીજા મંદિરો પણ મસ્જિદોની નીચે હોવાની શંકાએ કેટલીક મસ્જિદો તપાસવાની ચર્ચાએ જોર પકડ્યું, ત્યારે ભાગવતે ઠાવકાઈથી આવી તપાસ પડતી મૂકવાનો અનુરોધ કર્યો, તો બીજી તરફ સંત સમાજ બધી મસ્જિદો નીચેથી શિવલિંગ ન શોધવાની ભાગવતની સલાહની સામે પડ્યો છે. એનું ઠેકાણું પડે ત્યાં અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમમાં અરજી કરીને 1991નો કાયદો લાગુ કરવાની માંગ કરી છે. આવી ચર્ચાઓ, માંગણીઓ ચાલ્યા જ કરશે કે એનો કોઈ ઉકેલ પણ આવશે એ ખબર નથી.

19 ડિસેમ્બરે મોહન ભાગવતે પુણેમાં કહ્યું કે રામ મંદિરનાં નિર્માણ પછી કેટલાકને એવું લાગે છે કે નવી જગ્યાએ મંદિરના મુદ્દા ઉઠાવીને હિન્દુ નેતા બની જવાશે. રોજ જ આવા મુદ્દાઓ સામે આવતા હોય તો તેને મંજૂરી કેવી રીતે આપી શકાય? ભારતે એ બતાવવાની જરૂર છે કે બધાં એકબીજા સાથે રહી શકે છે. ઉગ્રવાદ, આક્રમકતા, અન્ય દેવતાઓનું અપમાન એ ભારતીય સંસ્કૃતિ નથી. આ દેશમાં હિન્દુને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે એ જ રીતે બીજાને પણ તેનો ધર્મ પાળવાની છૂટ છે. સાચું તો એ છે કે રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવેલો. ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની ઘાતક અસરો હજી દેશમાં છે. આયોધ્યાથી મંદિર-મસ્જિદ વિવાદ થયો ને એ પછી તો બીજા નવ વિવાદો સામે આવ્યા છે. 2019માં સુપ્રીમ કોર્ટે મંદિરનું અસ્તિત્વ પ્રમાણ્યું ને રામ મંદિર થયું, પણ તે જ વખતે કાશી-મથુરાની મસ્જિદો પણ ચર્ચામાં આવી. અહીં પણ મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે ને હાલ મેટર કોર્ટમાં છે. હિન્દુ મંદિરોની ઉપર મસ્જિદો બાંધવામાં આવી હોવાનો દાવો કરતી અરજીઓ સંદર્ભે ભાગવતની ટિપ્પણી આવી હતી, પણ ભાગવતની વાતોથી સંત સમાજ ખાસો નારાજ થયો હતો. 

ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સંઘના વડાના નિવેદનનો જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યને વાંધો પડ્યો ને તેમણે કહ્યું કે ભાગવત અમારા અનુશાસનવાદી નથી, અમે છીએ. ભાગવત સંઘના વડા છે, ધર્મના વડા નથી. સ્વામીનું માનવું છે કે ભાગવતે મંદિરોની તપાસ રોકવાનું કહીને સારી વાત કરી નથી. એ તેમનું અંગત મંતવ્ય છે. જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે પણ ટીકા કરતાં કહ્યું કે ભાગવત સત્તા મેળવવા માંગતા હતા ત્યારે મંદિરો સુધી ગયા ને હવે સત્તા મળી ગઈ તો મંદિરો ન શોધવાની સલાહ આપી રહ્યા છે. હિન્દુ સમાજ, મંદિરોને પુનર્જીવિત કરવા માંગતો હોય તો એમાં ખોટું શું છે? ભૂતકાળમાં આક્રમણખોરોએ જે મંદિરો તોડી પાડ્યાં તેની યાદી બનાવવી જોઈએ ને સર્વે કરાવીને મંદિરોની પુન:સ્થાપના કરવી જોઈએ. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ સ્વામી જિતેન્દ્દ્રાનંદે તો ત્યાં સુધી કહ્યું કે ધર્મગુરુઓ જે નિર્ણય લે તેને સંઘે અને વિશ્વ હિન્દુ પરિષદે સ્વીકારવો પડશે. સ્વામીએ એ પણ ઉમેર્યું કે ભાગવતની ટિપ્પણીઓ વચ્ચે 56 નવાં સ્થળે મંદિરોની સંરચનાઓ મળી આવી છે. એ વખતે સવાલ થાય કે ધાર્મિક સંગઠનો રાજકીય એજન્ડાને મહત્ત્વ આપે કે જાહેર જનતાની લાગણીને?

એ પછી સંઘના મુખપત્ર ‘પાન્ચજન્યે’, મંદિર-મસ્જિદ વિવાદ પર ભાગવતની ટિપ્પણીનું, તંત્રી હિતેશ શંકરે, ‘મંદિરો પર આ કેવું હુલ્લડ’ શીર્ષકવાળા લેખમાં સમર્થન કર્યું હતું. લેખમાં એમ પણ નોંધ્યું કે કેટલાક લોકો પોતાના રાજકીય હેતુસર મંદિરોનો પ્રચાર કરે છે ને પોતાને હિન્દુ વિચારક ગણાવે છે, પણ મંદિરોનો રાજકીય ફાયદા માટે ઉપયોગ સ્વીકાર્ય નથી. ભાગવતનું નિવેદન દીર્ઘ દૃષ્ટિ અને સામાજિક વિવેકનું આહ્વાન છે. 

એ પણ છે કે આર.એસ.એસ.ના અંગ્રેજી મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’નો મત ભાગવતના મતથી અલગ પડ્યો. તેનું કહેવું હતું કે ભાગવતનો મત ઐતિહાસિક સત્ય અને સભ્યતાના ન્યાયને જાણવાની લડાઈ માત્ર છે. ‘પાન્ચજન્ય’નું માનવું છે કે ભાગવતનાં નિવેદન પછી મીડિયામાં લડાઈ જેવી સ્થિતિ સર્જાઇ તે ઉપજાવવામાં આવી હતી. કેટલાંક અસામાજિક તત્ત્વો પોતાને સામાજિક રીતે બૌદ્ધિક ગણાવે છે, પણ  તેઓ સોશિયલ મીડિયા પર સમાજની લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. આવા વિચારોથી અંતર જાળવવું જોઈએ. વિવિધતામાં એકતાના ભારતીય સિદ્ધાંતથી આવા વિચારો વિપરીત છે. આજના સમયમાં મંદિરો સંબંધિત મુદ્દાઓને રાજકીય શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેવા યોગ્ય નથી. સંઘના રાષ્ટ્રીય વડાએ એ મુદ્દે ટકોર કરી છે કે હિન્દુ સમાજે તેના સાંસ્કૃતિક વારસાને જાળવીને વ્યક્તિગત મહિમા અને રાજકીય વિવાદોથી દૂર રહેવું જોઈએ. ઇતિહાસના ઘા પર ઘા મારવાને બદલે સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જવું જોઈએ. ‘ઓર્ગેનાઇઝર’ના સંપાદક પ્રફુલ્લ કેતકરનું કહેવું છે કે ઐતિહાસિક સત્યને જાણવાની આ લડાઈ ધાર્મિક સર્વોપરિતાની નથી. આ લડાઈ રાષ્ટ્રીય ઓળખને પુન: પુષ્ટિ આપવાની અને સભ્યતાના ન્યાય માટેની છે.

મોહન ભાગવત

સંઘની નીતિ રીતિ પણ ચર્ચામાં રહી છે. એ પણ દેખાય છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચેનો મેળ ઘટતો જાય છે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીએ કહેલું કે હું છેલ્લા શ્વાસ સુધી સંઘનો સ્વયંસેવક રહીશ. તો, મહંમદ અલી ઝીણાને બિનસાંપ્રદાયિક ગણાવવા બદલ સંઘે લાલકૃષ્ણ અડવાણીનું ભા.જ.પ.ના અધ્યક્ષ પદેથી રાજીનામું લઈ લીધેલું, એટલું જ નહીં, તે વખતના સંઘના વડા સુદર્શને વાજપેયી અને અડવાણીને ભા.જ.પ.માંથી રિટાયર થઈ જવાનું પણ કહેલું. 

તો, આ પરિસ્થિતિ છે. લાગે છે એવું કે ક્યાં ય એકવાક્યતા નથી. ભાગવતના નિવેદન અંગે સંઘનાં જ હિન્દી મુખપત્ર ‘પાન્ચજન્ય’ અને અંગ્રેજી મેગેઝીન ‘ઓર્ગેનાઇઝર’ના તંત્રીઓના મત જુદા પડે છે. સંઘને જરૂર હતી ત્યારે રામ મંદિરનો મુદ્દો ખપમાં લઈને સત્તા હાંસલ કરી ને હવે સત્તા છે તો ધાર્મિકોની એ જ ધોરણે અન્ય મંદિરોને ઉગારવાની વાતને ભાગવત અટકાવવાનું કહે છે. જો કે, ભાગવતનાં નિવેદન અગાઉ સુપ્રીમ કોર્ટે તો 12 ડિસેમ્બરે જ કહી દીધેલું કે 18થી વધુ વિવાદિત જ્ગ્યાઓના કેસ ચાલી રહ્યા છે ત્યારે તેની સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નવી અરજી કરવી નહીં અને કોઈ પણ જગ્યા, મંદિર છે કે મસ્જિદ, એ સુપ્રીમ કોર્ટ પોતે નક્કી કરશે. 

આટલું ઓછું હોય તેમ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ 17 ડિસેમ્બરની અરજીમાં પૂજા સ્થળ કાયદો લાગુ કરવાની માંગ કરી છે. ઓવૈસીના વકીલે હવાલો આપતા જણાવ્યું કે ઘણી કોર્ટે કેટલીક અરજીઓ સંદર્ભે મસ્જિદોનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ઓવૈસીએ મસ્જિદોની વર્તમાન સ્થિતિ જાળવી રાખવા 1991ના પૂજા સ્થળ કાયદાને લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પૂજા સ્થળ (વિશેષ જોગવાઈ) એક્ટ 1991 કોઈ પણ ધાર્મિક સ્થળના સ્વરૂપમાં આવતું પરિવર્તન રોકે છે. આ કાયદા હેઠળ કોઈ પણ પૂજા સ્થળ 15 ઓગસ્ટ, 1947ને રોજ જેવું હતું, તેવું જ રહેશે. એ હિસાબે મસ્જિદ નીચે મંદિર હોય તો પણ તેને સ્પર્શી ન શકાય, કારણ 1991ના કાયદા મુજબ તો 15 ઓગસ્ટ, 1947 પછી કોઈ પણ ધાર્મિક સ્થળને છે તેથી જુદું સ્વરૂપ આપવાનું શક્ય જ નથી.

લાગે છે તો એવું કે આવું જ ચાલ્યા કરશે. બીજું કૈં થાય કે ન થાય મંદિર-મસ્જિદ વિવાદ ચાલ્યા કરે એવું બને. અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિને 75 વર્ષનાં પોતીકાં બંધારણ છતાં ભારતીયો ખોટી પાડવા જ નથી માંગતા. એ અત્યંત દુ:ખદ છે કે કોઈ વિદેશી આક્રમણોને તે વખતના રાજા-મહારાજાઓએ ખાળ્યું જ નહીં. એટલે કોઈ વિદેશી પ્રજા ભારતમાં પ્રવેશતી રોકી શકાઈ જ નહીં ! એ રોકાઈ હોત તો કોઈ પણ મસ્જિદને કેટલો અવકાશ હોત તે પ્રશ્ન જ છે. મસ્જિદ જ ન હોત તો મંદિરોને તોડવાનો સવાલ જ ન હોત, પણ ત્યારે હિન્દુ રાજાઓ વિદેશી પ્રજાઓ સાથે ટકરાવાને બદલે અંદરોઅંદર ટકરાવામાં જ વ્યસ્ત હતા. અંગ્રેજી સલ્તનતનો પાયો નાખનાર રોબર્ટ ક્લાઇવને ભારતમાં શાસનનું નિમંત્રણ આપનાર અમીચંદ અને મીરજાફર ભારતના જ હતા. મોગલોએ ઢગલો મંદિરો તોડીને મસ્જિદો બાંધી તે રાતોરાત કે અંધારામાં તો નહીં જ બંધાઈ હોય, તે ભારતીય રાજાઓ રોકી શકતા હતા. એ બાંધકામ રોકાયું હોત તો આજે મસ્જિદ નીચે મંદિર ખોળવાનો વારો આવ્યો ન હોત ને હવે ઢોળાયેલા દૂધ પર અફસોસ કરવાનો સમય આવ્યો છે. 

અત્યારની પરિસ્થિતિ એવી છે કે સુપ્રીમ કોર્ટ જ આનો નિર્ણય લઈ શકે. એમાં કોઈ શંકા નથી કે મંદિરોને બહાર લાવવાં હોય તો ન્યાયની રાહ જોવી પડે ને ન્યાય થવા દેવો પડે. આટલું થાય તો લાંબે ગાળે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય, મગર વો દિન કહાં કિ … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2025

Loading

ઇસ્લામિક શરિયત કાનૂન સામે કશું બોલવાનું કે નહિ?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 January 2025

હેમંતકુમાર શાહ

એક આખી ટ્રક બેફામ ચલાવીને અમેરિકામાં ન્યૂ ઓર્લિન્સમાં મધરાતે માણસોને ચગદી નાખનાર અમેરિકામાં જ જન્મેલો એક મુસ્લિમ નાગરિક ઇસ્લામિક સ્ટેટ(IS)નો ઝંડો એની ટ્રકમાં લગાડે છે. આવી ઘટનાઓ છેલ્લા કેટલાક સમયમાં બની છે. ટ્રક અને કાર ઇસ્લામિક આતંકવાદનાં સાધનો બનાવી દેવાયાં છે. 

આ ઇસ્લામિક સ્ટેટ નામનું આતંકવાદી જૂથ ઇસ્લામી શરિયત કે શરિયા કાનૂન આખી દુનિયામાં કે પછી દુનિયામાં જ્યાં પણ મુસ્લિમો રહેતા હોય તે બધા મુસ્લિમોને લાગુ પડે એમ ઈચ્છે છે. તેને એમ લાગે છે કે એ અલ્લાહે આપેલો કાનૂન છે અને તેનું પાલન થવું જ જોઈએ. 

ટ્રક ચલાવનાર ઝનૂની મુસ્લિમ અમેરિકન નાગરિક શમસુદ્દીન જબ્બરે ૧૩ વર્ષ સુધી અમેરિકન લશ્કરમાં સૈનિક તરીકે કામ કરેલું અને પાછો અફઘાનિસ્તાનમાં ધર્મઝનૂની તાલિબાન સામે લડેલો.

એનું મગજ ફેરવી નાખ્યું ISના ધર્મઝનૂની પ્રચારે. સવાલ એ છે કે એવું શું શિખવાડે છે એ IS કે જેથી એ શીખનાર લોકો બીજા લોકોને કે અન્ય ધર્મીઓને મારી નાખવા અને જાતે મરી જવા તૈયાર થઈ જાય છે? એમને એમ કહેવામાં આવે છે કે તેઓ અલ્લાહ માટે કામ કરી રહ્યા છે ને જો તેઓ એ કામ કરતાં કરતાં મરશે તો તેમને જન્નત મળશે. આ મારવા અને મરવાનો ધંધો કરનારાને કેમ સમજાતું નથી કે મનુષ્યની જિંદગી સૌથી કીમતી ચીજ છે, તેમ જ મનુષ્ય આ કહેવાતા ધર્મ કરતાં પણ મોટો છે?

ધાર્મિક કાયદા જેવી બધી બોગસ વાતો હેઠળ જ ધિક્કારનું માનસ ફેલાય છે અને એમાં માનવ જિંદગી હોમાય છે. હકીકત એ છે કે અલ્લાહ, ઈશ્વર, ગોડ વગેરે તો મનુષ્યની કલ્પના છે અને જન્નત કે જહન્નુમ પણ એવી કલ્પનાઓ માત્ર છે. કશું પણ આખરી હોઈ શકે જ નહિ. 

છેલ્લાં ચારસો વર્ષમાં મનુષ્યની જીવન શૈલી બદલાઈ ગઈ. રાજાશાહીમાં અને ખેતીને આધારે જીવતો માણસ હવે રહ્યો નથી. એટલે એ જમાનામાં લાગુ કરવામાં આવેલા ધાર્મિક કે અન્ય કાયદા આજે કેવી રીતે લાગુ પડી શકે? 

જો હિંદુઓની મનુસ્મૃતિ ખરાબ હોય, ભેદભાવ પ્રેરનારી હોય, માનવ અધિકારોના ભંગને પ્રોત્સાહન આપનારી હોય; રામ કે કૃષ્ણની જાતજાતની કથાઓની જો ટીકાઓ થઈ શકે તો ઇસ્લામની વાર્તાઓની પણ આલોચના થઈ શકે એ સ્વીકારવાની આવશ્યકતા છે. શરિયત કાનૂન કે ઇસ્લામના કોઈ પણ ગ્રંથ વિશે પણ ટીકા હોઈ શકે એ મુસ્લિમોએ સમજવાની જરૂર છે. ઇસ્લામ એટલે શાંતિ એવું કહેવામાં આવે છે, તો પછી એના નામે આતંકવાદ કેમ? 

ભણેલોગણેલો મુસ્લિમ વર્ગ જરા વિચારે અને ધર્માંધતામાંથી પોતે બહાર આવે, તેમ જ પોતાના ભાઈઓ-બહેનોને બહાર કાઢવાનું શરૂ કરે. કુરાન, શરિયત કે હદીથમાં જે કંઈ એવું છે કે જે આજે ન જ ચાલે; તો એ ખોંખારીને કહેવું જ પડે. મદ્રેસાઓમાં એ યુવાનોને ભણાવતા રહેવું કેટલું વાજબી કહેવાય? પોતે ધર્માંધ રહેવું છે, અને બીજાને ધર્મનિરપેક્ષ રાખવા છે એવું નહિ ચાલે. જો એ નહિ થાય તો ધર્મનું રાજકારણ બધાને લઈને ડૂબશે, મારશે અને રક્તપાત થયા કરશે. જે જ્યાં તાકાતવાળા હશે તેઓ ત્યાં બીજાઓની દશા બગાડશે.

માનવ અધિકારોને કેન્દ્રમાં રાખીને, સમાનતા, ન્યાય, લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યો જો ધર્મો ના સ્વીકારતા હોય તો એ બધા ધર્મો અને એમના ગ્રંથો કચરાપેટીમાં ફેંકવા જેવા જ કહી શકાય.

૨૦૨૫માં દુનિયામાં બધા થોડા બુદ્ધિપૂર્વક વર્તતા થાય એવી શુભકામના.

તા. : ૦૩-૦૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

શૂન્ય અને અનંતને ગણિતનાં સૂત્રોથી જોડનાર શ્રીનિવાસ રામાનુજન્‌

સોનલ પરીખ|Opinion - Opinion|2 January 2025

·       એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ

·       દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે

—     શ્રીનિવાસ રામાનુજન્‌

શ્રીનિવાસ રામાનુજન્‌

આજના યુગને ટેકનોલૉજીના યુગ તરીકે ઓળખવામાં આવે છે અને આજની ટેકનોલૉજીનું સૌથી મહત્ત્વનું અંગ ગણાય છે કૉમ્પ્યુટર ! કૉમ્પ્યુટરનો મૂળભૂત પાયો કોઇ યંત્રવિજ્ઞાન ઉપર નહીં – માત્ર ગણિત ઉપર જ રચાયેલો છે. એટલે જ કૉમ્પ્યુટરને ‘સંગણક’ કહેવામાં આવે છે. એની મેમરી, ઈનપુટ-આઉટપુટ, અલ્ગૉરિધમ, કંટ્રોલ યુનિટ, મલ્ટિટાસ્કિંગ અને મલ્ટિપ્રોસેસિંગ કૅપેસિટી, નેટવર્કિંગ, ઈન્ટરનેટ – આ બધાની પાછળ ગણિત જ તો છે. ભારતના અદ્દભુત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજન્‌ તો ત્યાં સુધી કહેતા કે ‘દુનિયામાં ગણિત વગરનું કશું જ નથી. ગણિત વિના કશું થઈ શકે નહીં. તમારી આસપાસનું બધું ગણિત જ છે.’ આ શ્રીનિવાસ રામાનુજન્‌નાં જીવન અને કાર્ય વિશે જાણવું એ એક રોમાંચક અનુભવ છે. 22 ડિસેમ્બરે એમનો જન્મદિન હતો, એ નિમિત્તે આજે આ અનુભવમાંથી પસાર થઈએ.

ગણિત એટલે શૂન્યથી નવ સુધીના અંક અને આ આંકડાઓના પરસ્પર સંબંધની અનંત ક્ષમતા. સાવ સરળ અને સામાન્ય લાગતું આંકડાઓનું આ તર્કશાસ્ત્ર ઊંડો વિચાર કરતાં એટલું જ આશ્ચર્યજનક અને રહસ્યભરપૂર પણ બની રહે છે. એટજ હેરતજનક છે આપણા મગજની ગણિતક્ષમતા. કોઈને ગણિત ન જ ફાવે લી અને કોઈને ગણિત સિવાયનું કશું જ ન ફાવે. આપણે બધા આ બે અંતિમોની વચ્ચે ક્યાંક આવીએ, પણ શ્રીનિવાસ રામાનુજન્‌ બાળપણથી જ બીજા પ્રકારમાં આવતા હતા.

શ્રીનિવાસ ઐયંગર રામાનુજન્‌નો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭માં અત્યારના તમિલનાડુ અને ત્યારના મદ્રાસના ઈરોડ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો. તેઓ ૨૦મી સદીના ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ ગણાય છે. રામાનુજન્‌ની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવવામાં અંગ્રેજ પ્રોફેસર ગોડફ્રી હાર્ડીનો મોટો હાથ હતો. ટૂંકા જીવનગાળા દરમ્યાન લગભગ ૩,૯૦૦ જેટલાં નવાં સૂત્રો શોધનાર રામાનુજન ધાર્મિક પણ હતા. કહેતા, ‘એન ઈક્વેશન મિન્સ નથિંગ ટુ મી અનલેસ ઈટ એક્સપ્રેસિઝ થોટ ઑફ ગૉડ.’

બાળપણથી રામાનુજન્‌ ગંભીર હતા. પાંચ વર્ષની ઉંમરે નિશાળે મૂકવામાં આવ્યા ત્યારે શિક્ષકના અચંબાનો પાર ન રહ્યો – રામાનુજન્‌ને એકથી સો સુધીના આંક વગર શીખવ્યે જ લખતાં આવડી ગયા હતા. જો કે તેને બારાખડી લખતાં આવડતી ન હતી. ગણિત સિવાય અન્ય કોઇ વિષયમાં તેને કદી રસ ન પડ્યો. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થવા માટે જુદા જુદા વિષયોની ચોપડીઓ લઇને ભણતા હોય ત્યારે રામાનુજન્‌ પાટી-પેન લઇને કેવળ આંકડાઓ જ માંડ્યા કરતા. આ ટેવ પછી પણ કાયમ રહી. મોડી રાત સુધી રામાનુજન્‌ પાટી-પેન લઈ લખ-ભૂંસ કર્યા જ કરતા. એના ટક-ટક અવાજથી સૌ પરેશાન થતા.

આખરે તેઓ હાઈસ્કૂલમાં પહોંચ્યા. માતાપિતા ઇચ્છતા કે દીકરો ભણીગણીને સારા પગારની નોકરી મેળવે. એમના ગાણિતિક કૌશલ્યને તેઓ એક પ્રકારની ઘેલછા માનવા લાગ્યા હતા. શિક્ષકો પણ કહેતા કે આ છોકરાને આંકડાઓનાં ચીતરામણ સિવાય બીજું કશું આવડતું નથી. પણ હાઈસ્કૂલમાં જવાથી રામાનુજન્‌ને એક ફાયદો થયો. તામિલ અને અંગ્રેજી – બેઉ ભાષાઓ પર તેની માસ્ટરી આવી ગઇ. ગણિતને લગતાં જે અઘરાં પુસ્તકો અંગ્રેજીમાં હતાં તે બધાં વાંચી નાખવાની તેને તક મળી, પણ અન્ય વિષયોમાં ‘ઢ’ હોવાથી મહામુસીબતે ૧૯૦૩માં તેઓ મૅટ્રિક પાસ થયા.

1908માં જાનકી સાથે લગ્ન થયાં. રામાનુજન્‌ નોકરીની શોધમાં મદ્રાસ આવ્યા. ત્યાંના ડૅપ્યુટી કલેક્ટર રામાસ્વામી અય્યર ગણિતના વિદ્વાન હતા. રામાનુજન્‌ની નૉટબુક જોઈ તેઓ તેમની પ્રતિભા જાણી ગયા. તેમણે જિલ્લાધિકારીને કહીને રામાનુજન્‌ને સ્કૉલરશીપ અપાવી અને રામાનુજને પોતાનો પહેલો શોધપત્ર પ્રગટ કર્યો. આ પત્ર ‘જર્નલ ઑફ ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટી’માં પ્રગટ થયો.

પછીના વર્ષે તેમણે મદ્રાસ પૉર્ટ ટ્રસ્ટમાં ક્લાર્કની નોકરી લીધી. આ નોકરીમાં એમને ગણિત પર ધ્યાન આપવાનો વખત પણ મળતો પણ હવે એમને કોઈ અંગ્રેજ ગણિત-વિશેષજ્ઞની મદદની જરૂર હતી. શુભચિંતક મિત્રોએ રામાનુજન્‌ના કામને લંડનના ગણિતજ્ઞો સુધી પહોંચાડ્યું. તેનાથી રામાનુજન્‌ને ખાસ મદદ મળી નહીં, પણ તેઓ થોડા જાણીતા થયા. પ્રો. શેષુ અય્યરે એમનાં સૂત્રો જોઈ લંડનના પ્રો. હાર્ડીનાં સંશોધનો વાંચવા આપ્યાં. પ્રો. હાર્ડી વિશ્વના ત્યારના મહાન ગણિતજ્ઞોમાંના એક હતા. એ વાંચીને રામાનુજને કહ્યું કે પ્રો. હાર્ડીના અનુત્તરિત પ્રશ્નોના જવાબ પોતાની પાસે છે.

આ પછી રામાનુજન્‌ અને પ્રો. હાર્ડી વચ્ચે પત્રવ્યવહાર શરૂ થયો. રામાનુજન્‌ના જીવનનો જાણે એક નવો યુગ શરૂ થયો. ઝવેરી રત્નને પારખી લે તેમ પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઓળખી લીધા. તેઓ આજીવન રામાનુજન્‌ના વ્યક્તિત્વ અને પ્રતિભાના પ્રશંસક બની રહ્યા. બન્ને એકબીજાના પૂરક બની રહ્યા.

પ્રો. હાર્ડીએ રામાનુજન્‌ને ઈંગ્લૅન્ડ આવી વધુ સંશોધન કરવાની પ્રેરણા આપી. અંગત કારણોસર રામાનુજન્‌ એમનો પ્રસ્તાવ સ્વીકારી ન શક્યા. ડૉ. હાર્ડીએ પ્રયત્નો ચાલુ રાખ્યા. થોડા સમય પછી રામાનુજન્‌ સહમત થયા. પ્રો. હાર્ડીએ એમને કૅમ્બ્રિજ આવવાના ખર્ચની સગવડ પણ કરી આપી અને 3,000થી વધારે સૂત્રો લખેલી નોટબુક સાથે રામાનુજને ઈંગ્લૅન્ડની ધરતી પર પગ મૂક્યો. તેઓ શાંત અને સંકોચશીલ હતા. એમની રહેણીકરણી સાદી અને સાત્ત્વિક પ્રકારની હતી. ઇંગ્લૅન્ડવાસ દરમ્યાન હંમેશાં પોતાનું ભોજન જાતે રાંધતા. પ્રો. હાર્ડી સાથે મળીને તેમણે અનેક રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા.

પણ તેઓ શ્વેત ન હતા, એમની અસાધારણ પ્રતિભા કેટલાક ગોરા વિદ્વાનોને નડતી. વળી જે ઝડપથી તેમનું મગજ કામ કરતું એ ઝડપથી તેઓ પોતાને મળેલા ગાણિતિક સત્યો વિશે લખી ન શકતા. એમનું રહેઠાણ સારા વિસ્તારમાં ન હતું. લંડનની આબોહવા માફક ન આવતી. પ્રો. હાર્ડીએ એમની કૉમ્યુનિકેશન સ્કીલ અસરકારક બનાવવામાં મદદ કરી. એવામાં રામાનુજન્‌ બીમાર પડ્યા. નિદાન થયું, ટી.બી. – ભારતની પહેલી ડૉક્ટર આનંદી જોશીને પણ લગભગ આ અરસામાં વિદેશની ધરતી પર ટી.બી. થયો હતો. એ માત્ર 21 વર્ષની ઉંમરે મૃત્યુ પામી હતી.

એ સમયે ક્ષય રોગની દવા નહોતી. રામાનુજન્‌ સેનેટોરિયમમાં જઈને રહ્યા. ત્યાં પણ ગણિતનાં સૂત્રો બનાવ્યા કરતા. દરમિયાન તેમને રૉયલ સોસાયટીની ફેલોશીપ મળી. પહેલા વિશ્વયુદ્ધનાં એ વર્ષોમાં, અડધી દુનિયા પર અંગ્રેજોનું શાસન હતું અને રંગભેદનું પ્રભુત્વ હતું એવે વખતે એક ભારતીયને આ ફેલોશીપ મળવી એ બહુ મોટી ઘટના હતી. રૉયલ સોસાયટીના ઇતિહાસમાં રામાનુજન્‌ જેટલી નાની ઉંમરના કોઈ ફેલો ન હતા.

પણ બીમારીને લીધે એમને ભારત પાછા ફરવું પડ્યું. મદ્રાસ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકની નોકરી લઈ તેઓ ફરી સંશોધનોમાં ડૂબી ગયા. ગંભીર સ્થિતિમાં પણ એમણે મૉક થીટા ફંકશન પર ઉચ્ચ સ્તરનું રિસર્ચ-પેપર લખ્યું. આ પેપરનો ઉપયોગ મેડિકલ સાયન્સમાં કેન્સરને સમજવામાં પણ થાય છે. 1920ની 26મી એપ્રિલે માત્ર 33 વર્ષના અને ગણિતશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી ચૂકેલા રામાનુજને અંતિમ શ્વાસ લીધા. દેશવિદેશના ગણિતજ્ઞો એમના મૃત્યુની ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા.

રામાનુજન્‌નું સંશોધન આજે પણ એક આશ્ચર્ય બની રહ્યું છે. 1976માં ટ્રિનિટી પુસ્તકાલયમાં એમની એક નોટબુક મળી આવી જેમાં 100 જેટલાં પાનાં ભરીને સૂત્રો લખેલાં હતાં જેને ઉકેલતાં ગણિતજ્ઞો હાંફી ગયા. મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂશન ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચએ એનું પ્રકાશન પણ કર્યું છે. રામાનુજને શૂન્ય અને અનંત વચ્ચેના આંતરસંબંધોને સમજાવવા માટે ગણિતનાં સૂત્રોનો આધાર લીધો હતો.

એમના જીવન પરથી તમિલ અને અંગ્રેજીમાં ‘રામાનુજન્‌’ ફિલ્મ બની અને 2014માં વિશ્વભરમાં રિલિઝ થઈ. એક બ્રિટિશ ફિલ્મ ‘ધ મેન હુ ન્યુ ઈન્ફિનિટી’ પણ 2015માં બની. તેમણે હાઇલી કોમ્પોઝિટ નંબર્સ પર શોધ નિબંધ લખ્યો હતો. તેમની ૧૨૫મી જન્મતિથિ પર ભારતીય ટપાલ વિભાગ દ્વારા રામાનુજનના માનમાં સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

આપણાં યુવાન માતાપિતાઓ બાળકોને આવી પ્રતિભાઓની વાર્તા કહી ઉછેરે તો કેવું સારું થાય !

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 22 ડિસેમ્બર  2024

Loading

...102030...436437438439...450460470...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved