Opinion Magazine
Number of visits: 9456942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—266

દીપક મહેતા|Opinion - Opinion|28 September 2024

મહાત્મા અને મહાનગર

મુંબઈએ મને ક્યારેય નિરાશ કર્યો નથી એમ કહેલું મહાત્મા ગાંધીએ

“મુંબઈએ મને ક્યારે ય નિરાશ કર્યો નથી.” – આ શબ્દો છે આવતે અઠવાડિયે જેમનો જન્મ દિવસ છે તે મહાત્મા ગાંધીના. ૧૮૮૭માં જેનો પહેલો ભાગ પ્રગટ થયેલો તે ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ના નાયક નવીનચંદ્રે મુંબઈમાં અભ્યાસ કર્યા પછી ‘અનુભવાર્થી’ બનવાના ઈરાદાથી મુંબઈ છોડ્યું. મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા ૧૮૮૭માં પાસ કર્યા પછી બીજે વરસે, ૧૮૮૮માં ગ્રેટ બ્રિટન જઈ કાયદાના વિદ્યાર્થી બનવા માટે મોહનદાસ ગાંધીએ મુંબઈ છોડ્યું. એ જમાનામાં પોરબંદર અને મુંબઈ વચ્ચે સીધો ટ્રેન વ્યવહાર નહિ. એટલે મોહનદાસ પોરબંદરથી રાજકોટ ગયા. ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે રાજકોટથી ટ્રેનમાં બેઠા, અને ૧૨મી તારીખે મુંબઈ પહોંચ્યા. મુંબઈની તેમની આ પહેલી મુલાકાત.

રાજકોટમાં ગાંધીજીએ જોયેલું આ હરિશ્ચન્દ્ર નાટક

પણ આ અગાઉ મુંબઈ નહિ તો મુંબઈના એક નાટકના પરિચયમાં તો ગાંધીજી આવેલા જ. નાટક જોયા પછી તેમને સતત વિચાર આવ્યા કરે : ‘હરિશ્ચંદ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય?’ આ હરિશ્ચન્દ્ર નાટક લખેલું એ જમાનાના જાણીતા-માનીતા નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામે, અને તેને કાપી-કૂપી, મઠારી, ગીતો ઉમેરી, ભજવતા કેખુશરો કાબરાજીની નાટક મંડળીના પારસી પોરિયાઓ. મુંબઈમાં તેના ૧,૧૦૦ પ્રયોગો થયેલા! આ નાટક મંડળી મુંબઈ ઉપરાંત બીજા શહેરોમાં પણ ‘હરિશ્ચન્દ્ર’નાટક ભજવતી. એ રીતે રાજકોટમાં ભજવાતું હતું ત્યારે એ નાટક જોવાની પરવાનગી ગાંધીજીને મળી, અને તેમણે એ નાટક જોયું. એ પ્રસંગ વર્ણવ્યા પછી આત્મકથામાં ગાંધીજી લખે છે : “હરિશ્ચંદ્રના દુઃખ જોઈ, તેનું સ્મરણ કરી, હું ખૂબ રોયો છું.”

હરિશ્ચન્દ્ર નાટકના કર્તા રણછોડભાઈ ઉદયરામ

મેટ્રિક થયા ત્યારે ગાંધીજીએ મુંબઈ જવાનું બે વખત ટાળ્યું. એ વખતે મેટ્રિકની પરીક્ષા ફક્ત મુંબઈ અને અમદાવાદમાં જ લેવાતી. ત્યારે ગાંધીજીએ અમદાવાદ સેન્ટર પસંદ કર્યું. કારણ એ નજીકનું, અને સસ્તું પણ ખરું. આત્મકથામાં ગાંધીજી લખે છે : “રાજકોટથી અમદાવાદ એ મારી પહેલવહેલી એકલા કરેલી મુસાફરી.” મેટ્રિક થયા પછી કોલેજના અભ્યાસ માટે પણ બે વિકલ્પ : મુંબઈ અને ભાવનગર. ત્યારે મુંબઈ ન જતાં ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયા. કારણ મુંબઈની સરખામણીમાં ભાવનગરમાં ખરચ ઓછો. પણ ત્યાં ગોઠવાઈ ન શક્યા. એક ટર્મ પછી કોલેજ છોડી. કુટુંબના જૂના મિત્ર અને સલાહકાર માવજી દવેએ ભણવા માટે વિલાયત જવાની સલાહ આપી. ગાંધીજીએ અને તેમનાં કુટુંબીજનોએ એ સ્વીકારી. અને ૧૮૮૮ના ઓગસ્ટની ૧૦મી તારીખે મોહનદાસ રાજકોટથી મુંબઈની ટ્રેનમાં બેઠા અને ૧૨મી તારીખે મુંબઈ પહોચ્યા. આ તેમની મુંબઈની પહેલી મુલાકાત. એ વખતે હજી ‘મહાત્મા’ બન્યા નહોતા, ફક્ત ‘મોહનદાસ’ હતા.

પણ વિલાયત જતાં પહેલાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પહેલાં તો એવી સલાહ મળી કે ચોમાસાના દિવસોમાં દરિયાઈ મુસાફરી કરવી સલાહભરી નથી. એટલે મુસાફરી દિવાળી પછી, નવેમ્બરમાં કરવી જોઈએ. સાથે ગયેલા મોટા ભાઈને આ સલાહ યોગ્ય લાગી એટલે મોહનદાસને એક મિત્રને ભળાવ્યા અને પોતે થયા રાજકોટ ભેગા. મુસાફરીના ખરચ માટે જે રકમ સાથે લાવેલા તે એક બનેવીને આપી અને મોહનદાસને જરૂર પડે ત્યારે આ રકમ આપજો એમ કહ્યું. બીજી બાજુ, મોહનદાસ વિલાયત જવાના છે એવા ખબર ફેલાતાં તેમની ન્યાતમાં ખળભળાટ થયો. ન્યાતની વાડીમાં ન્યાતની સભા મળી. મોહનદાસને હાજર રહેવા ફરમાન થયું. ગયા.

શેઠ : નાત ધારે છે કે તેં વિલાયત જવાનો વિચાર કર્યો છે તે બરોબર નથી. આપણા ધર્મમાં દરિયો ઓળંગવાની મનાઈ છે. વળી વિલાયતમાં ધર્મ ન સચવાય એવું અમે સાંભળીએ છીએ. ત્યાં સાહેબ લોકોની સાથે ખાવુંપીવું પડે છે.

મોહનદાસ : મને તો લાગે છે કે વિલાયત જવામાં મુદ્દલ અધર્મ નથી. મારે તો ત્યાં જઈને વિદ્યાભ્યાસ જ કરવાનો છે.

શેઠ : પણ અમે તને કહીએ છીએ કે ત્યાં ધર્મ ન જ સચવાય.

મોહનદાસ : આપ વડીલ સમાન છો. પણ હું લાચાર છું. મારો વિલાયત જવાનો નિશ્ચય હું નહિ ફેરવી શકું.

શેઠ : પણ નાતનો હુકમ તું નહિ ઉઠાવે?

મોહનદાસ : હું લાચાર છું. મને લાગે છે કે આમાં નાતે વચમાં ન આવવું જોઈએ.

શેઠ : આ છોકરાને આજથી નાતબહાર ગણવામાં આવશે. જે કોઈ એને મદદ કરશે અથવા વળાવવા જશે તેને નાત પૂછશે. ને તેનો સવા રૂપિયો દંડ થશે.

છતાં છોકરો એકનો બે ન થયો. પણ મોટા ભાઈ જે બનેવીને પૈસા આપી ગયા હતા તે ગભરાયા. કહે કે હું તને પૈસા આપું તો મને નાત બહાર મૂકે. તે મને ન પરવડે. એટલે એક મિત્ર પાસેથી પૈસા ઉછીના લીધા અને વિલાયતની મુસાફરીની ટિકિટ કઢાવી. ૧૮૮૮ના સપ્ટેમ્બરની ચોથી તારીખે સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં મોહનદાસે મુંબઈ છોડ્યું, અને ૨૯ સપ્ટેમ્બરે વિલાયત પહોંચ્યા.

૪ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ સાંજે પાંચ વાગે પી. એન્ડ ઓ. કંપનીની એસ.એસ. કલાઈડ નામની સ્ટીમરમાં વિલાયત જવા મોહનદાસે મુંબઈ છોડ્યું

ગ્રેટ બ્રિટનમાં કાયદાનો અભ્યાસ કરીને બેરિસ્ટર તો બન્યા. પણ ગાંધીજી નોંધે છે કે “બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અઘરું જણાયું.” થોડી મથામણ પછી હિન્દુસ્તાન પાછા આવવાનું નક્કી કર્યું. ૧૮૯૧ના જૂનની ૧૨મીએ લંડનથી એસ.એસ. ઓશાનિયા નામની સ્ટીમરમાં મુસાફરી શરૂ કરી. મુંબઈના મુસાફરોની બદલી એડનમાં એસ.એસ. આસામ સ્ટીમરમાં થઈ જે ૧૮૯૧ના જુલાઈની પાંચમી તારીખે મુંબઈ પહોંચી. મોહનદાસની મુંબઈની આ બીજી મુલાકાત. તેઓ ગ્રેટ બ્રિટનમાં હતા તે દરમ્યાન ૧૮૯૧ના જૂનની ૧૨મી તારીખે તેમનાં માતાનું અવસાન થયું હતું. પણ તેમને એ વાતની ખબર નહોતી આપી. મુંબઈના બંદરે ઉતર્યા તે પછી તેમને લેવા આવેલા મોટા ભાઈએ એ સમાચાર આપ્યા. એ અંગે ગાંધીજી લખે છે : “પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.”

લંડનમાં મોહનદાસને જેમની સાથે ગાઢ મૈત્રી થયેલી તે ડો. પ્રાણજીવન મહેતા એ વખતે મુંબઈમાં હતા. તેમણે મોહનદાસને પોતાના ભાઈ રેવાશંકર જગજીવનની ઓળખાણ કરાવી. આગળ જતાં આ સંબંધ ઘણો ગાઢ થયો અને મુંબઈની ઘણી મુલાકાતો વખતે ગાંધીજી રેવાશંકરભાઈના મણિ ભવન નામના મકાનમાં ઉતરતા. સાતમી જુલાઈએ મોટાભાઈની સાથે નાશિક જઈને ગોદાવરી નદીમાં સ્નાન કરીને મોહનદાસે પરદેશગમન અંગે પ્રાયશ્ચિત વિધિ કર્યો અને પછી ૧૦ જુલાઈએ રાજકોટ પહોંચ્યા અને ૧૭મી જુલાઈએ ન્યાત જમાડી. ગાંધીજી લખે છે : “મોટા ભાઈની ઈચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગર સમજ્યે તેમની ઈચ્છાને અનુકૂળ થતો રહ્યો.” ૧૯મી સદીના છેલ્લા દાયકામાં પણ આપણે ત્યાં ન્યાતજાતનાં બંધનો કેટલાં તો દૃઢ હતાં તે આજે સમજવું મુશ્કેલ છે.

મોહનદાસ ગાંધીની મુંબઈની બીજી મુલાકાતો વિશેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 28 સપ્ટેમ્બર 2024

Loading

धर्मनिरपेक्षता: पश्चिमी या आधुनिक?

राम पुनियानी|Opinion - Opinion|28 September 2024

राम पुनियानी

भारत का स्वाधीनता संग्राम बहुवादी था और उसका लक्ष्य था धर्मनिरपेक्ष एवं प्रजातान्त्रिक मूल्यों की स्थापना. यह हमारे संविधान की उद्देशिका से भी जाहिर है, जिसमें स्वतंत्रता, समानता और बंधुत्व जैसे मूल्यों को स्थान दिया गया है. संविधान के कई अनुच्छेदों का लक्ष्य सामाजिक न्याय की स्थापना है. समानता से आशय है हर नागरिक – चाहे उसकी जाति, लिंग या धर्म कोई भी हो – को समान दर्जा देना. संविधान के अधिकांश प्रावधान धर्मनिरपेक्षता के मूल्यों पर आधारित हैं.

‘धर्मनिरपेक्षता’ – यह शब्द उद्देशिका में नहीं है मगर धर्मनिरपेक्षता, संविधान की नींव है, उसका निचोड़ है. संविधान का मसविदा डॉ आंबेडकर ने तैयार किया था, मगर उसके निर्माण में अलग-अलग राजनैतिक ताकतों ने भूमिका निभायी थी. संविधान को 26 जनवरी 1950 को लागू किया गया था.

हिन्दू राष्ट्रवादियों ने संविधान का इस आधार पर विरोध किया कि वह हमारे पवित्र ग्रंथों में निहित लैंगिक और जातिगत पदक्रम के चिरकालिक मूल्यों को प्रतिबिंबित नहीं करता. आरएसएस के मुखपत्र द आर्गेनाइजर ने 19 नवम्बर 1949 को लिखा, “हमारे संविधान में प्राचीन भारत की अद्वितीय सांविधानिक विकास यात्रा के भी कोई निशान नहीं हैं. स्पार्टा के लाइकर्जस या फारस के सोलन से भी काफ़ी पहले मनु का क़ानून लिखा जा चुका था. आज भी मनुस्मृति की दुनिया तारीफ़ करती है. भारतीय हिंदुओं के लिए तो वह सर्वमान्य व सहज स्वीकार्य है, मगर हमारे सांविधानिक पंडितों के लिए इस सब का कोई अर्थ नहीं है.”

हिन्दू राष्ट्रवादी हमारे धर्मनिरपेक्ष, प्रजातान्त्रिक गणतंत्र को हिन्दू राष्ट्र बताते रहे हैं और यह शाखाओं में दिए जाने वाले प्रशिक्षण का हिस्सा था और है. भारत की सरकारें धर्मनिरपेक्ष नीतियों पर चलने का प्रयास करती रहीं हैं और धार्मिक अल्पसंख्यकों के हितार्थ कई सकारात्मक कदम उठाये गए हैं. शाहबानो मामले में गलत निर्णय लेने के बाद से, दक्षिणपंथियों की ताकत बढनी शुरू हुई. वे धर्मनिरपेक्षता का मजाक उड़ने के लिए उसे ‘छद्म’ कहने लगे और ‘सिक्युलर’ जैसे शब्द इस्तेमाल करने लगे. उसके बाद संविधान को बदलने की मांग उठी. पहले वाजपेयी सरकार ने भारत के संविधान की समीक्षा के लिए वेकटांचलैया आयोग बनाया. उसने अपनी सिफारिशें भी प्रस्तुत कर दीं मगर उनका इतना विरोध हुआ कि उन्हें ठन्डे बस्ते में डाल दिया गया.

के. सुदर्शन ने सन 2000 में आरएसएस का सरसंघचालक बनने के बाद कहा कि भारत का संविधान पश्चिमी मूल्यों पर आधारित है और उसकी जगह ऐसे संविधान को लेनी चाहिए जो भारतीय पवित्र पुस्तकों पर आधारित हो. भाजपा के कई बड़े नेताओं ने संविधान को बदलने को अपनी मुख्य मांग बना लिया. अनंतकुमार हेगड़े उनमें से एक थे. उन्होंने जोर देकर कहा कि भारतीय संविधान को बदले जाने की ज़रुरत है. हाल में हुए लोकसभा आमचुनाव (2024) में ‘अबकी पार चार सौ पार’ का नारा इसी लिए दिया गया था ताकि नई सरकार संविधान बदलने की स्थिति में रहे. और एक कारण जिसके चलते भाजपा को चुनाव में नुकसान उठाना पड़ा वह यह था कि इंडिया गठबंधन के नेताओं ने संविधान की प्रति अपने हाथ में पकड़कर यह कहना शुरू कर दिया कि उनका प्राथमिक लक्ष्य संविधान की रक्षा करना है.

इसी पृष्ठभूमि में हाल में तमिलनाडु के राज्यपाल आर.एन. रवि का एक वक्तव्य सामने आया है. उन्होंने कहा, “धर्मनिरपेक्षता भारतीय अवधारणा नहीं है. यह यूरोपीय अवधारणा है. उसे वहीं रहने दें. उन्हें उसका आनंद लेने दें. मगर भारत अपने धर्म से दूर कैसे जा सकता है?” राज्यपाल महोदय ने ये वचन कन्याकुमारी के तिरुवत्तर में हिंदू धर्म विद्या पीठम के दीक्षांत समारोह को संबोधित करते हुई कहे. उन्होंने नेहरु-पटेल और इंदिरा गाँधी को एक-दूसरे के खिलाफ बताने का प्रयास भी किया. उन्होंने कहा कि भारत के संविधान के निर्माता नेहरु और अम्बेडकर नहीं चाहते थे कि देश का संविधान धर्मनिरपेक्ष हो और इसलिए यह शब्द उद्देशिका का हिस्सा नहीं था. उन्होंने यह भी कहा कि चूँकि इंदिरा गाँधी राजनैतिक रूप से असुरक्षित महसूस कर रही थीं इसलिए उन्होंने उद्देशिका में यह शब्द जोड़ा. वे यह बताने का प्रयास कर रहे थे कि धर्म, दरअसल, मनुस्मृति और अन्य हिन्दू धार्मिक ग्रंथों में वर्णित धार्मिक कर्तव्यों और वर्ण व जाति पर आधारित सामाजिक संरचना से भिन्न है. हर धर्म का एक नैतिक पक्ष होता है – जैसे इस्लाम में  दीन और ईसाईयत में ‘एथिक्स’. उनके अनुसार, धर्मनिरपेक्षता, धर्म-विरोधी है. एक तरह से वे सही कह रहे हैं क्योंकि धर्मनिरपेक्षता सभी धर्मों और आस्थाओं के लोगों को समान दर्जा देती है. भारत के मामले में धर्म, घोर असमानता का पैरोकार है.

ऐसा लगता है कि राज्यपाल इस तथ्य से अनजान हैं कि यद्यपि संविधान की उद्देशिका में धर्मनिरपेक्ष शब्द नहीं है तथापि, हमारा संपूर्ण संविधान बहुवाद, धर्मनिरपेक्षता और विविधता पर आधारित है. केवल इस आधार पर धर्मनिरपेक्षता को पश्चिमी अवधारणा नहीं कहा जा सकता क्योंकि उसका जन्म पश्चिम में हुआ था. धर्मनिरपेक्षता की अवधारणा की शुरुआत, पश्चिम में औद्योगिक क्रांति के साथ हुई. इसके साथ ही, वहां प्रजातंत्र और बहुवाद को भी स्वीकार्यता मिली. धर्मनिरपेक्षता एक आधुनिक अवधारणा है. इसका जन्म तब हुआ जब औद्योगिकरण के नतीजे में उद्योपतियों और श्रमिक वर्ग के उदय और महिलाओं की समानता के संघर्ष ने पुरोहित वर्ग और राजा के सामंती गठबंधन को चुनौती दी.

रवि धर्मनिरपेक्षता को केवल चर्च और राजा के बीच सत्ता संघर्ष से जोड़ना चाहते हैं. पश्चिम में पुरोहित वर्ग का सुपरिभाषित ढांचा था और राज्य सत्ता से उसके रिश्ते स्पष्ट थे. दुनिया के अन्य क्षेत्रों में भी कुछ-कुछ ऐसा ही था. हिन्दुओं में राजा-राजगुरु की जोड़ी थी और इस्लाम में नवाब-शाही इमाम की. राजा (जो सामंती व्यवस्था के शीर्ष पर था) और संगठित धर्म का बोलबाला था. उपनिवेशों, विशेषकर भारत में, एक और औपनिवेशिकता थी तो दूसरी ओर उद्योपतियों, श्रमिकों, महिलाओं और शिक्षित वर्गों के धर्मनिरपेक्ष–बहुवादी संगठन थे. इन्हीं वर्गों ने धर्मनिरपेक्षता के पौधे को पालापोसा.

अस्त होती सामंती ताकतें, मुस्लिम लीग, हिन्दू महासभा और आरएसएस जैसे सांप्रदायिक संगठनों के रूप में सामने आईं. वे धर्म का लबादा ओढ़ कर ‘ईश्वर द्वारा निर्धारित’ सामाजिक व्यवस्था, जिसमें वे सर्वेसर्वा थे, को जिंदा रखना चाहती थीं. भारत में हिन्दू धर्म के बारे में कहा जाता है कि वह पारंपरिक अर्थ में धर्म नहीं है. यह केवल लोगों को भ्रमित करने का तरीका है. जो लोग धर्म का रक्षक होने का दावा करते हैं वे दरअसल जाति और लिंग पर आधारित प्राचीन ऊंच-नीच को बनाए रखना चाहते है. ये ताकतें प्रजातंत्र के आगाज़ से पहले की दुनिया वापस लाना चाहती हैं. वे नहीं चाहतीं कि हर व्यक्ति का एक वोट हो. वे चाहतीं हैं कि राजा को ईश्वर से जोड़ा जाए और पुरोहित वर्ग उसे सहारा दे.

इस तरह की ताकतों को स्वयं को मजबूती देने के लिए एक शत्रु की ज़रुरत पड़ती है. भारत में वह शत्रु मुसलमान है. खाड़ी के कई देशों में वह शत्रु ईसाई है. वहां भी महिलाओं का दमन किया जाता है. ‘मुस्लिम ब्रदरहुड’ भी कहता है कि धर्मनिरपेक्षता पश्चिमी अवधारणा है. कई लोगों ने यह कहा है कि वर्तमान संविधान के रहते, रवि राज्यपाल बने रहने के काबिल नहीं हैं. उनका असली उद्देश्य क्या रहा होगा? एक नेता के अनुसार इस तरह के बयान इसलिए दिलवाए जाते हैं ताकि उन पर होने वाली प्रतिक्रिया को परखा जा सके, यह देखने के लिए कि प्रजातंत्र-विरोधी बातों को जनता किस रूप में लेती है.

आज धार्मिक अल्पसंख्यकों के खिलाफ हो रही हिंसा को रोकने की ज़रुरत तो है ही. इसके साथ ही धर्मनिरपेक्ष मूल्यों को संरक्षित रखने की ज़रुरत भी है. आखिर धर्मनिरपेक्षता और प्रजातंत्र एक ही सिक्के के दो पहलू हैं.

26 सितम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

એ 31મે-એ મોહનની સક્રિય અહિંસાની શરૂઆત થઈ હતી …

સોનલ પરીખ|Gandhiana|28 September 2024

ગાંધીજી લખે છે, ‘પિટરમેરિત્સબર્ગ અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. 23 વર્ષના મોહનને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.

ડરબન બંદરે શેઠ અબ્દુલ્લા પોતે મોહનને લેવા આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો પોતાના મિત્રોને લેવા સ્ટીમર પર આવ્યા ત્યાં જ મોહનને સમજાઈ ગયું અહીં હિંદીઓનું બહુ માન નથી. અબ્દુલ્લા શેઠને ઓળખનારા જે પ્રમાણે વર્તતા હતા તેમાં ય એક પ્રકારની તોછડાઈ એને દેખાતી હતી. અબ્દુલ્લા શેઠને જાણે આ તોછડાઈ સદી ગઈ હતી.

બે દિવસ પછી તેઓ મોહનને ડરબનની કોર્ટ જોવા લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં તેમના વકીલની પાસે મોહનની બેસવાની ગોઠવણ કરી. મેજિસ્ટ્રેટ મોહન સામે જોયા કરતો હતો. તેણે મોહનને પાઘડી ઉતારવા કહ્યું. મોહને તે ઉતારવાની ના પાડી અને કોર્ટ છોડી, કેમ કે પાઘડી ઉતારવી એટલે માનભંગ સહન કરવો. તેણે તો આખો કિસ્સો અને પોતાના તેમ જ પાઘડીના બચાવનો કાગળ અખબારને મોકલ્યો. અખબારમાં એની પાઘડીની ચર્ચા ઘણી ઉપડી. ‘અનવેલકમ વિઝિટર’ તરીકે મોહન છાપે ચડ્યો. કોઈએ એનો પક્ષ લીધો તો કોઈએ એની ઉદ્ધતાઈની ટીકા કરી.

આ બનાવ બન્યો હતો 1893ની 26મી મેએ, દક્ષિણ આફ્રિકા આવ્યા પછી તરત. મોહનદાસ કરમચંદ ગાંધીની ઉંમર ત્યારે 23-24 વર્ષની. 19માં વર્ષે તેઓ બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ ગયા, આવીને બે વર્ષ કઠિયાવાડમાં અને મુંબઇમાં વકીલાત કરી. વકીલાત તો ચાલી નહીં, પણ અનુભવસમૃદ્ધિ ચોક્કસ વધી. શ્રીમદ્દ રાજચંદ્રનો આંતરિક ભરપૂરતા વધારનાર સંસર્ગ પણ આ જ વર્ષોમાં થયો હતો.

પાઘડીના બનાવ પછી પાંચમે દિવસે એટલે કે વર્ષ 1893ની 31મી મેએ પિટરમેરિત્સબર્ગ ઘટના બની. તેઓ પ્રિટોરિયા જવા માટે ટ્રેનમાં બેઠા. ફર્સ્ટક્લાસની ટિકિટ હોવા છતાં અશ્વેત હોવાને કારણે થર્ડ ક્લાસમાં જવાનું કહેવામાં આવ્યું. એમ કરવાનો ઇન્‌કાર કર્યો ત્યારે પિટરમેરિત્સબર્ગ સ્ટેશન પર તેમને ફેંકી દેવામાં આવ્યા. જેમણે રિચર્ડ એડનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોઈ છે તેમને યાદ હશે કે એ ફિલ્મની શરૂઆત આ જ દૃશ્યથી થઈ હતી. એ રાતે અપમાનથી સળગતા અને હાડ ગાળી નાખે એવી ઠંડીમાં થરથરતા, જ્યાં આવ્યાને અઠવાડિયું જ થયું છે એવા અજાણ્યા દેશમાં, અજાણ્યા સ્ટેશન પર ફેંકી દેવાયેલા યુવાન ગાંધીની મન:સ્થિતિ કેવી હશે? વિચારોનું કેવું ઘમસાણ ચાલ્યું હશે એમના મનમાં?

પિટરમેરિત્સબર્ગ રેલવે સ્ટેશન

‘સત્યના પ્રયોગો’માં તેઓ લખે છે, ‘મેં મારો ધર્મ વિચાર્યો : કાં તો મારે મારા હકોને સારું લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરો દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુ:ખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો દુ:ખ અને અપમાન સહન કરવાં અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’ અને એણે બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.

એ પછી શું બન્યું? બીજા દિવસે સવારે ગાંધીજીએ રેલવેના મેનેજરને અને અબ્દુલ્લા શેઠને લાંબા તારથી વિગત જણાવી. શેઠ રેલવે મેનેજરને મળ્યા. મેનેજરે આગળનો પ્રવાસ નિર્વિઘ્ને થાય એવી સૂચના મોકલી અને ગાંધીજી ચાર્લ્સટાઉન તો પહોંચ્યા. રેલવે લાઈનો ત્યારે નવી નવી નખાતી હતી. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સિગરામ-ઘોડાગાડીમાં જવાનું હતું. ત્યાં એક રાતનું રોકાણ હતું. પછી ફરી ટ્રેન લેવાની હતી.

સિગરામના ગોરા માલિકે મોહનને ન બેસાડવા બહાના કાઢવા માંડ્યા. મોહને મક્કમતાથી વાત કરી એટલે બેસવા તો આપ્યું, પણ હૉટેન્ટોટ હાંકનાર પાસે. મોહનને અન્યાય સમજાયો, પણ તેને તકરાર કરવી ન હતી, તેથી કચવાઈને ત્યાં બેસવાનું સ્વીકાર્યું. થોડી વારે અંદર બેઠેલો એક ગોરો સિગરેટ પીવા બહાર આવ્યો અને એક મેલું ગુણપાટ હાંકનારના પગ પાસે પાથરી તેણે મોહનને કહ્યું, ‘ઊઠ, ત્યાં બેસ. મારે અહીં બેસવું છે.’ મોહને ના પાડી. પેલાએ એને ધમકાવ્યો, માર માર્યો.

રાત્રે હોટેલવાળાએ ‘અલાઉ’ ન કર્યો. અબ્દુલ્લા શેઠના પરિચિત વેપારીઓને નવાઈ ન લાગી – ‘આપણને હોટેલમાં થોડા ઉતરવા દે?’ સવારે બીજી ટ્રેન લેવાની હતી. ‘અહીં તો આપણને પહેલા કે બીજા વર્ગની ટિકિટ જ આપતા નથી.’ ગાંધીજીએ રેલવેના કાયદા જોયા. સ્ટેશન માસ્તરને મળ્યા. થોડી આનાકાની પછી, વચ્ચે કંઈ બને તો પોતાને સંડોવવો નહીં એ શરતે તેણે ફર્સ્ટક્લાસની ટિકિટ આપી. ગોરો ટિકિટચેકર એને ઉતારવા માગતો હતો. સાથી મુસાફર – એ પણ ગોરો જ હતો, તેણે ટિકિટચેકરને રોક્યો, ‘શા માટે એમને પજવો છો? રાતે એક અમેરિકન હબસીએ ‘ડાયનિંગ હોલમાં નહીં, રૂમમાં જ ખાવું પડશે’ એ શરતે હોટેલમાં રૂમ આપ્યો. પછી જો કે બધા સાથે ડાયનિંગ હોલમાં ખાવા દીધું. પ્રિટોરિયા જઈને આ આખા બનાવ અંગે ચર્ચા કરી ત્યારે સાંભળ્યું, ‘અહીં રહેવું હોય તો અપમાન સહન કરવાં જ પડે’.

યુવાન વયે મો.ક. ગાંધી

ગાંધીજી લખે છે, ‘આ આખા અનુભવે મારા જીવનને નવો વળાંક આપ્યો. મારી સક્રિય અહિંસાની શરૂઆત એ દિવસથી થઇ.’ હકીકતે એ બનાવે ગાંધીજીના જીવનને જ નહીં, દક્ષિણ આફ્રિકાના, ભારતના, બ્રિટનના અને અમુક રીતે દુનિયાના ઇતિહાસને નવો વળાંક આપ્યો એમ કહી શકાય. ગાંધીજીને મરાયેલો એ ધક્કો અંગ્રેજોને ઘણો મોંઘો પડી ગયો.

ગાંધીજીને ઉતારી પાડનારાઓની વાતો વગર સમજ્યે માની લઈને હો-હા કરતા યુવાનોને એમની આ ઠંડી તાકાતની પ્રતીતિ છે? ત્યાર પછી મોહને કેસના કામ સાથે દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોની સ્થિતિનો અભ્યાસ કર્યો. પ્રિટોરિયામાં જ એક સભા ભરી આખો ચિતાર ત્યાંનાં ભારતીયો સમક્ષ મૂક્યો. એ એનું પહેલું ભાષણ હતું. એમાં એણે સત્ય પર ખૂબ ભાર મૂક્યો હતો. વેપાર કે વ્યવહારમાં શુદ્ધ સત્ય ન ચાલે એવી માન્યતાનો એ ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો અને વેપારીઓને કહ્યું કે એમની ફરજ બેવડી છે. પરદેશમાં આવવાથી એમની જવાબદારી દેશમાં હોય તે કરતાં વધે છે કેમ કે ખોબા જેટલા ભારતીયોની રહેણીકરણી પરથી કરોડો ભરતવાસીઓનું માપ થાય છે. અંગ્રેજોની સરખામણીમાં ભારતીયોની રહેણીમાં રહેલી ગંદકી તરફ પણ ધ્યાન ખેંચ્યું, ધર્મ અને ભાષાના ભેદો ભૂલી જવા પર ભાર મૂક્યો અને છેવટે એક મંડળ સ્થાપી ભારતીયોને પડતી હાડમારીનો ઈલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું. તેમાં પોતે બનશે તેટલો વખત વગર વેતને આપશે એમ પણ જણાવ્યું. એમણે જોયું કે સભામાં આવેલા મોટાભાગનાને અંગ્રેજી ઘણું ઓછું આવડતું હતું. પરદેશમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું, તેથી ગાંધીજીએ જેમને વખત હોય તેમને અંગ્રેજી શીખવવાની તૈયારી બતાવી અને મોટી ઉંમરે પણ અભ્યાસ થઈ શકે એવી પ્રેરણા આપી. સમયાંતરે વધુ સભાઓ ભરી, પ્રિટોરિયામાં રહેતા બ્રિટિશ એજન્ટને મળ્યા, રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો અને સારાં કપડાં પહેર્યાં હોય તેવા ભારતીયોને ઉપલા વર્ગની ટિકિટ આપવામાં આવશે એવી લેખિત બાંહેધરી લીધી. એથી પૂરી સગવડ તો ન મળી, કેમ કે સારાં કપડાં કોણે પહેર્યાં એ તો સ્ટેશન માસ્ટર જ નક્કી કરે ને!

બ્રિટિશ એજન્ટ પાસેથી મોહનને કેટલાક કાગળો મળ્યા, જેના પરથી તેને ઓરેન્જ ફ્રી સ્ટેટમાંથી ભારતીયોનો પગ કેવી નિર્દયતાથી કાઢી નાખવામાં આવ્યો હતો તે જાણવા મળ્યું. પ્રિટોરિયામાં તેણે દક્ષિણ આફ્રિકાના ભારતીયોની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ઘણો અભ્યાસ કર્યો – એને તો એક વર્ષના અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલા દેશ જતું રહેવું હતું, છતાં. આ અભ્યાસનો પાછળથી પૂરો ઉપયોગ થવાનો હતો, એ એને ત્યારે ખબર નહોતી.

આવું હતું 23-24 વર્ષના મોહનનું અનુભવવિશ્વ અને વિચારવિશ્વ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 મે  2024

Loading

...102030...416417418419...430440450...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved