Opinion Magazine
Number of visits: 9557158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|12 December 2024

ચંદુ મહેરિયા

ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઇચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોનાં સૂચનો માંગ્યાં હતા. એટલે ઇચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઊઠી છે.

ગ્રીક વાક્યાંશ ‘યૂ થાનાટોસ’ પરથી યુથેનેશિયા (ઇચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઇચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઇચ્છામૃત્યુની અવારનવાર માંગ ઊઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઇચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.

મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઇચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃદ્ધ, અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતાં હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઇચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઇચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તર પ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી ઇચ્છામૃત્યુની યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે. મારું શરીર અને મારી મરજી કે મારી ઇચ્છા મહત્ત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઇચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.

ભારતમાં ઇચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી. સર્વોચ્ચ અદાલતે ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે. એટલે તેણે ઇચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી. એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.

સક્રિય ઇચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઇચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે, પરંતુ તેમના જીવવાના જરા ય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.

નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ, પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે. એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી. જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું? એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દૃષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.

માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઇચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે. ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવાં ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે. ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દૃષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે. પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.

કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઇચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઊભો થયો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જો કે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાંવહાલાં જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઇચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.

સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઇન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો, પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઇચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દૃષ્ટિકોણ અપનાવે તે ઇચ્છનીય છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતના નામે ઝેર વાવી શકો છો

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2024

રમેશ ઓઝા

એક નગર હતું. એ નગરમાં પુરુષો મનફાવે એ રીતે પત્નીનાં ચારિત્ર્ય વિષે શંકા કરતા હતા, તેનાં અતીતને ઉખેળતા હતા, આરોપો અને આક્ષેપો કરતા હતા, પોતાના સમાજના લોકોને એકઠા કરીને અને મોરચા કાઢીને પત્નીઓને ચેતવણી આપતા હતા કે ‘ઇસ ઘર મેં રેહના હો તો …’ વગેરે વગેરે. આ જોઇને નગરનાં ડાહ્યા લોકોએ વિચાર્યું કે જો આવું થતું રહેશે તો કુટુંબ સંસ્થા, પારિવારિક અને સામજિક વ્યવસ્થા ખોરવાઈ જશે. અરાજકતા અને અશાંતિ પેદા થશે અને આવનારી પેઢીના વિકાસ પર તેની અસર થશે. આવનારી પેઢીના પુરુષો પણ આ જ માર્ગ અપનાવશે અને આનો કોઈ દિવસ કોઈ અંત જ નહીં આવે. તેમણે ગામના કાજી સમક્ષ આવો ભય વ્યક્ત કરીને કહ્યું કે નગરમાં જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે અને આ સિલસિલાનો અંત આવવો જોઈએ. કાજીને પણ લાગ્યું કે વાત તો સાચી છે. આ ગૃહકલેશ અને અરાજકતાનો માર્ગ છે. તેમણે ચુકાદો આપ્યો કે ફલાણી તિથિ પછીથી જે લોકોએ કગ્ન કર્યાં છે એ લગ્ન કર્યાં પછી માત્ર શંકાના આધારે પત્નીને છૂટાછેડા નહીં આપી શકે. અજાણ અતીતનાં કહેવાતા કુકર્મોને સાચાં ઠેરવીને પત્નીઓને રંજાડવાનો પુરુષોને હક નથી. જો કોઈ એમ કરશે તો એને ગુનો ગણવામાં આવશે.

એ ચુકાદાને બહુ વધાવવામાં આવ્યો. લોકોએ પ્રસંશા કરી કે ચાલો હવે ગૃહકલેશ નહીં થાય અને સુખશાંતિ જળવાશે. નવી પેઢી શંકાના આધારે સ્ત્રીઓને નહીં રંજાડે. ઘરમાં શાંતિ જળવાશે અને લોકોનો વિકાસ થશે. પણ કેટલાક લોકો એ ચુકાદાથી ખુશ નહોતા. આખરે પૌરુષત્વનો સવાલ હતો. પુરુષાર્થથી વર્ચસ્વ ન રળી શકીએ તો નબળાને રંજાડીને તો એ મેળવી જ શકાય છે. થોડાં વર્ષો વીત્યાં અને કાજી બદલાયા. નવા કાજી વાચાળ હતા. દરેક જગ્યાએ અને દરેક અવસરે તેઓ કાયદાના રાજની, માનવીય મૂલ્યોની, આધુનિક સભ્યતાની, સમાનતાની વાત કરતા હતા. એ કાજીની અદાલતમાં જેને આગલા કાજીનો ચુકાદો નહોતો ગમ્યો એ લોકો અપીલ લઈને ગયા. સાહેબ, આગલા કાજીએ આપેલા ચુકાદા વિષે પુનર્વિચાર  કરો. એક પવિત્ર પુરુષ સંભવતઃ વ્યભિચારી સ્ત્રી સાથે કેવી રીતે જીવી શકે? આ પુરુષોની બનેલી પવિત્ર કોમને કરવામાં આવેલો અન્યાય છે.

અને એક દિવસ એ કાજીસાહેબે ચુકાદો આપ્યો કે તમે શંકાના આધારે છૂટાછેડા નહીં આપી શકો, પણ હા, તમે પત્નીનાં ચારિત્ર્ય વિષે અને તેણે અતીતમાં કરેલા સંભવિત કુકર્મો વિષે શંકા કરી શકો છો અને તમારી શંકા સાચી છે કે ખોટી એ વિષે તપાસ પણ કરી શકો છો. ખબરદાર ઠરાવેલી તિથિ પછીથી છૂટાછેડાની વાત કરી છે તો.

હવે વિચારો કે એ કાજીસાહેબ વિષે તમે શું કહેશો? એમની બૌદ્ધિક ક્ષમતા વિષે, તેમના વિવેક વિષે, તેમની પ્રામાણિકતા વિષે, તેમની સામાજિક નિસ્બત વિષે તમે શું કહેશો?

ડી.વાય. ચન્દ્રચૂડ

એ કાજીનું નામ છે હમણાં જ નિવૃત્ત થયેલા ન્યાયમૂર્તિ ધનંજય યશવંત ચન્દ્રચૂડ અને તેમણે ‘ધ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧’ની જોગવાઈમાં ફેરફાર કરીને શંકા કરવાનો અને અતીતમાં કરેલાં કહેવાતા શંકાજન્ય કુકર્મની તપાસ કરવાની છૂટનો ચુકાદો આપ્યો હતો. શંકા જ કલહ અને અશાંતિનું મૂળ છે એ વાત તેમને ધ્યાનમાં નહોતી આવી કે નહોતી લીધી. અને શંકા પણ પાછી અતીત વિષે જેને વર્તમાન સાથે કોઈ સંબંધ નથી અને હોય તો પણ એ તમે સો ટકા સિદ્ધ કરી શકવાના નથી. વળી અતીત પણ કેટલો અતીત? તમે ઇચ્છો એટલો. અતીતને તળિયું નથી અને ભવિષ્યને છાપરું નથી, માત્ર વર્તમાન જ બંધાયેલો છે. ધનંજય ચન્દ્રચૂડ સાહેબે કહ્યું કે તમે શંકાના આધારે તપાસ કરી શકો છો કે તમારી શંકા સાચી છે કે નહીં. બીજા શબ્દોમાં ચુકાદો એમ કહે છે કે તમે અતીતનું વેર નહીં વાળી શકો, પણ અતીતનાં નામે ઝેર વાવી શકો છો. જજ હોય તો આવા! લાખોમાં એક! અરે ભાઈ, ઝેર તો વેર વાળવા માટે કે વેર પેદા કરવા માટે જ વાવવામાં આવે છે. સો વરસથી આ જ તો કરવામાં આવી રહ્યું છે.

અયોધ્યામાં બાબરી મસ્જીદની જગ્યાએ રામમંદિર હતું એવી શંકા ૧૯મી સદીથી ચાલી આવે છે. ભારતમાં કંપનીનું રાજ હતું અને અયોધ્યા અવધના નવાબની હકુમતમાં હતું ત્યારથી ઝઘડો ચાલ્યો આવે છે. ૧૮૯૫ની સાલથી તો મામલો અદાલતમાં ઊભો હતો. ૧૯૪૮ પછીથી હિન્દુત્વવાદીઓએ એમાં રસ લેવાનું શરૂ કર્યું, કારણ કે મસ્જીદની જગ્યાએ રામમંદિરવાળી શંકા સાર્વત્રિક હતી અને તેને આધારે હિંદુઓને સંગઠિત કરવાનો તેમને મોકો મળ્યો. ૧૯૮૭ પછી સ્થિતિ વકરતી ગઈ. તેઓ જ્યારે તીન (અયોધ્યા, કાશી અને મથુરાની મસ્જીદ) નહીં, તીન હજારની વાત કરવા લાગ્યા ત્યારે કેટલાક લોકોને લાગ્યું કે આ રીતે તો દેશમાં કોમી અરાજકતા પેદા થશે. નાગરિક સમાજના આગ્રહથી અને સર્વોચ્ચ અદાલતના નિર્દેશથી સરકારે ૧૯૯૧માં કાયદો કર્યો કે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે જે ધાર્મિક સ્થળો જે સ્વરૂપમાં હતાં અને જેનાં કબજામાં હતાં તેને અફર માનવામાં આવશે અને તેમાં કોઈ પરિવર્તન કરવામાં નહીં આવે. બની શકે કે જ્યાં પહેલાં બૌદ્ધ ધર્મસ્થાન હતું અને ત્યાં અત્યારે મંદિર કે મસ્જીદ હોય, બની શકે કે પહેલાં ત્યાં મસ્જીદ હતી અને અત્યારે મંદિર હોય, બની શકે કે એક જ સ્થળે મંદિર અને મસ્જીદ બન્ને હોય, બની શકે કે પહેલા જે દિગંબરોનું ધર્મસ્થાન હતું તે અત્યારે શ્વેતાંબરોના કબજામાં હોય (જૈનો વચ્ચે એક ડઝન જેટલા વિવાદો છે) બની શકે કે પહેલાં જ્યાં મસ્જીદ હતી ત્યાં ગુરુદ્વારા હોય કે તેનાથી ઊલટું. જો અતીતને ઊલેચો તો પાર જ ન આવે. સંભાવનાઓ અનેક છે અને શંકા? શંકાને જણવા માટે માબાપની જરૂર પડતી નથી. એ કાનથી જન્મ લે છે અને કર્ણોપકર્ણ તેનું કદ વધે છે. રાક્ષસી કદ પણ ધારણ કરે.

માટે એક અયોધ્યા બસ છે. હવે પછી આ શંકા અને સંભાવનાની રમત બંધ. હવે પછી શંકા કરીને અતીતને ઊલેચવામાં નહીં આવે. ઊલેચો તો કાદવ નીકળે અને દેશની આબરુ ખરડાય. અશાંતિ પેદા થાય અને વિકાસ ખોરવાય. કોઈ પણ શાણો સમાજ શંકા અને સંભાવનાને  હકીકત માનીને પોતાનો વર્તમાન ન બગાડે. પણ એ પછી આગળ કહ્યું એમ નવા કાજી આવ્યા અને તેમણે પત્નીના ચારિત્ર્ય વિષે શંકા કરવાની અને તેનાં અતીતની તપાસ કરવાની છૂટ આપી દીધી. પરિવાર નર્ક બની જાય પછી છૂટાછેડા તો થઈને જ રહેશે. બસ એ જ વાત ધર્મસ્થાનકોને લાગુ પડે છે. શરૂઆત થઈ ગઈ છે.

ભારતનું ન્યાયતંત્ર મૃત્યુશૈયા પર છે, પરંતુ એ છતાં ય અરુણ શૌરી કહે છે એમ અદાલતોના, વિશેષ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ન્યાયમૂર્તિઓની અગ્નિપરીક્ષા કરતા રહેવું જોઈએ. આવનારી પેઢીને ખબર તો પડે કે ધનંજય ચન્દ્રચૂડ પણ એક જજ હતા અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિના પદ સુધી પહોંચ્યા હતા અને તેમણે આવો એક વિલક્ષણ ચુકાદો આપ્યો હતો. બીજા હીરામોતી પણ ભવિષ્યની પેઢી માટે ઇતિહાસમાં અમર થવાના છે.

આની સામેની રીટ પીટીશન સર્વોચ્ચ અદાલત સાંભળવાની છે. જોઈએ શું થાય છે. પવિત્ર સ્થાને બેઠેલા લોકોની પવિત્રતા ચકાસતા રહેવું જોઈએ. કરોડરજ્જુને તપાસતા રહેવું જોઈએ. ન્યાય ન મળે તો કશો વાંધો નહીં, ન્યાય નહીં કરનારાઓનો ન્યાય થઈ જાય છે અને તેટલું પૂરતું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2024

Loading

બાપુજી શું કળા પ્રત્યે વિમુખ હતા ? 

નિર્મળકુમાર બોઝ|Gandhiana|11 December 2024

જીવનનો કલાધર

નિર્મલ કુમાર બોઝ

સત્ય અને અહિંસાની ઉગ્ર સાધના દ્વારા બાપુજી સૌન્દર્યનું દર્શન કરતા હતા. બાહ્ય રૂપ કરતાં આંતરરૂપને, આંતરિક સુંદરતાને જ બાપુજી વધારે પ્રાધાન્ય આપતા હતા, તેથી બાપુજીના અંતરમાં જે કલાવિદ્-આત્મા રહેતો હતો એનું થોડાને જ દર્શન થતું હતું. બાપુજી તો દૃષ્ટા હતા; સત્ય દ્વારા સુન્દરતાને જોનારા હતા. પરંતુ આજે જ્યાં જયાં બાપુજીના વિચારોનું થોડેઘણે અંશે પણ અનુસરણ થાય છે ત્યાં માત્ર જીવનની શુષ્કતા જ દૃષ્ટિએ પડે છે. બાપુજીનું જીવન સાધનાશીલ હતું તોયે શુષ્ક ન હતું . 

બાપુમાં કલાની દૃષ્ટિ હતી. જીવનમાં શું કે વ્યવહારમાં શું, ક્યાં ય પણ લેશમાત્ર વિસંવાદિતા દેખાતી કે તરત જ બાપુજી અકળાઈ ઊઠતા. બાપુજીમાં રહેલી કલાદૃષ્ટિ બધે સંવાદિતા ઝંખતી હતી. પણ આજે બાપુજીને અનુસરનારાઓમાં એ દૃષ્ટિ નથી; તેથી બાપુજીના વિચારો પ્રાણ વિનાના હોય એમ લાગે છે. એમાં જીવનની તાજગી દેખાતી નથી એ કારણે જ ઘણા લોકો આજે બાપુના વિચારોથી દૂર ભાગતા હોય એમ લાગે છે.  હકીકતે બાપુજીમાં કલા અને સંસ્કૃતિને નીરખવાની પ્રાણવંત દૃષ્ટિ હતી અને જીવનમાં સંયમશીલ, સત્યશીલ આનંદ રહેલો  હતો.

•

ઘણાં માણસો એમ માને છે કે બાપુજીને કળાની કે સૌન્દર્યની દૃષ્ટિ ન હતી. એમનું જીવન ઉગ્ર તપસ્યાથી એટલું પ્લાવિત હતું કે એમાં સુકોમળ લાગણીઓને સ્થાન જ રહ્યું ન હતું. આવી માન્યતાવાળી વ્યક્તિઓમાં નંદબાબુ (પ્રસિદ્ધ ચિત્રકાર નંદલાલ બોઝ) પણ એક હતા. પણ એક એવો પ્રસંગ બન્યો જેનાથી નંદબાબુને પોતાનું મંતવ્ય બદલવું પડ્યું.

એક વખતે મહાસભાના અધિવેશન વેળાએ બાપુજીએ નંદબાબુને સુશોભન કરવા નિમંત્રણ આપ્યું અને જણાવ્યું કે તેમણે ગામડામાં મળતી વસ્તુઓનો જ ઉપયોગ કરીને સુશોભન કરવું. ગામડાની કળા અને ગ્રામ-ઉદ્યોગને લગતું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું. બાપુજી પ્રદર્શનની મુલાકાતે આવ્યા. જ્યારે બાપુજીએ પ્રદર્શનમાં પ્રવેશ કર્યો ત્યારે નંદબાબુ એમનું સ્વાગત કરવા ગયા.

હરિપુરા મહાસભા અધિવેશન વખતે બાપુ સાથે નંદબાબુ

બાપુજી જેવા એક ઓરડામાં પ્રવેશ્યા કે તરત જ એમણે એક સૂચન કર્યું. એ સૂચનથી નંદબાબુ તેમ જ એમના સહાયકો લજ્જા પામ્યા. વાત એમ હતી કે જે ટેબલો ઉપર પ્રદર્શનમાં જોવા સારુ વસ્તુઓ ગોઠવવામાં આવી હતી એની નીચે એક ટોપલી રહી ગઈ હતી. સામાન્ય મહેમાનોને પ્રદર્શન બતાવતા પહેલાં એને ખસેડી લેવાનું ઉતાવળને લીધે કોઈને સૂઝ્યું ન હતું. ગાંધીજીનું એ તરફ ધ્યાન ગયું અને એમણે કહ્યું કે આ સ્થળની શોભામાં એ ટોપલી આંખને ખૂંચે એવી છે. પછી તો એને તરત જ ખસેડી લેવામાં આવી!

બાપુજી બહુ જ ઝીણવટથી પ્રદર્શનમાં મૂકેલી વસ્તુઓને તપાસતા એક ટેબલ પાસેથી બીજા ટેબલ તરફ જતા હતા. સાથે નંદબાબુ પણ હતા. અને બાપુજીને આમ આ બધી વસ્તુઓમાં તેમ જ તેના કારીગરોમાં આટલો  ઊંડો રસ લેતા જોઈને એમને આશ્ચર્ય થયું. પણ થોડી વાર પછી નંદબાબુએ જોયું કે બાપુજી અન્યમનસ્ક થઈ ગયા હતા અને પ્રદર્શનના મંડપની નીચેની લીંપેલી ભૂમિ તરફ એકીટશે જોઈ રહ્યા હતા. મંડપના ઉપર તાડનાં સૂકાં પાંદડાનું છાપરું કરવામાં આવ્યું હતું. સૂર્ય પૂરેપૂરો તપતો હતો. તેથી સૂર્યનાં કિરણો પાંદડાંની વચ્ચે થઈને અંદર પ્રવેશી લીંપેલી ભોંય પર આકર્ષક ભાત પાડતાં હતાં. બાપુજીનું ધ્યાન ત્યાં તલ્લીન બન્યું હતું. થોડી વાર પછી તેઓ બોલ્યા, “નંદલાલ, તમે આના જેવું તો ન જ કરી શકે, ખરું ને?” 

ત્યારે જ કલાવિદ્ નંદબાબુએ જાણ્યું કે બાપુમાં સૌન્દર્યની કેટલી ઊંડી દૃષ્ટિ હતી. એ દૃષ્ટિને જાણે બાહ્ય રૂપ કે ચિહ્નની જરાયે જરૂર ન હતી. તોયે બાપુમાં એ દૃષ્ટિ હતી જ. કદાચ એ સૌન્દર્યદૃષ્ટિનું પ્રાથમિક કાર્ય જ એ હતું કે એણે બાપુજીના સમગ્ર જીવન અને આચરણને અતીવ સુંદર અને મહાકાવ્યના વૈભવવાળા કાવ્યમાં ફેરવી નાખ્યાં હતાં.

•

નંદલાલ બોઝ, વૂડકટ

ઘણા જ ઓછા પ્રસંગોએ બાપુજીએ કળા વિશેના પોતાના વિચારો દર્શાવ્યા છે. પણ જ્યારે જ્યારે આવા પ્રસંગોએ બાપુએ જે ઉદ્ગારો કાઢ્યા છે તે જીવનને અનુલક્ષીને તારવેલી વિશિષ્ટતાથી સભર ભરેલા છે. હવે બાપુજીના જ થોડા વિચારોને નીચે દર્શાવી હું કૃતકૃત્ય થાઉં.

“કોઈ પણ વસ્તુની બે બાજુઓ હોય છે : બાહ્ય અને આંતરિક. આ તો મારે મન માત્ર દર્શાવવા ખાતર જ. ખરી રીતે જ્યાં સુધી બાહ્ય બાજુ આંતરિક બાજુને સહાય ન કરે ત્યાં લગી એ બાહ્ય બાજુનો કંઈ અર્થ નથી. આમ બધી સાચી કળા એ તો આત્માનો આવિષ્કાર જ છે. માનવના અંતરાત્માનો આવિર્ભાવ કરી શકે એટલું જ બાહ્ય રૂપનું મૂલ્ય છે. આવા પ્રકારની કળા જ મને સૌથી વધારે અપીલ કરે છે. પણ હું જાણું છું કે ઘણા લોકો પોતાને કલાકાર તરીકે માને છે, અથવા મનાય છે, પરંતુ તેમનાં સર્જનમાં આત્માની ઊર્ધ્વગામી આકાંક્ષા અને તાલાવેલીનું જરાયે દર્શન થતું નથી.

“બધી સાચી કળા આત્માને અંતર્યામીની ઝાંખી કરાવવા સહાયરૂપ થવી જોઈએ. મારી પોતાની બાબતમાં હું જોઉં છું કે મારા આત્માની ઝાંખી કરવામાં મને બાહ્ય રૂપોની જરૂર જણાતી નથી. ઓરડાની દીવાલો ભલે શોભા વિનાની હોય અને એના પર છાપરુંયે ન હોય, જેથી સૌન્દર્યના અનંત અવકાશમાં વેરાયેલા અસંખ્ય તારાઓનું હું દર્શન કરી શકું. પ્રકાશિત તારાઓથી આચ્છાદિત આકાશ ભણી જ્યારે હું જોઉં છું ત્યારે મને જે ભવ્ય દૃશ્ય જોવા મળે છે એવું દૃશ્ય, એવો અનુભવ મનુષ્યની સભાન કળા ક્યાંથી કરાવી શકે? આનો અર્થ એવો નથી કે હું, બધા મારે વિષે માને છે એમ, કળાની કૃતિઓની અવગણના કરું છું. પરંતુ મને પોતાને તો એવું લાગે છે કે કુદરતના સૌન્દર્યનાં શાશ્વત પ્રતીકોની તુલનામાં કળાની એ કૃતિઓ કેટલી ઝાંખી પડી જાય છે!

“બધાં સત્યો – માત્ર સત્ય વિચારો જ નહીં, પરંતુ સત્યશીલ મુખાકૃતિઓ, સત્યદર્શી ચિત્રો અને ગીતો અતીવ સુંદર હોય છે. લોકો, ઘણું કરીને, સત્યમાં રહેલ સૌન્દર્યને નીરખતા જ નથી; સામાન્ય માણસ તો એનાથી દૂર જ ભાગે છે અને એમાં રહેલ સૌન્દર્ય પ્રત્યે ઉદાસીન રહે છે. જ્યારે જ્યારે માણસ સત્યમાં સુંદરતા જોશે ત્યારે ત્યારે સત્ય કળાનો ઉદ્ભવ થશે.”

સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર : ક્રમાંક – 175, 176 તેમ જ 177  

Loading

...102030...416417418419...430440450...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved