Opinion Magazine
Number of visits: 9664854
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાદશાહ ખાન અને નારાયણભાઈ દેસાઈની મુલાકાત

પ્રેષક : હિદાયત પરમાર|Gandhiana|20 January 2025

‘તમારી તબિયત કેવી છે ?’ – આ સવાલ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જેટલી વાર પૂછ્યો એટલી વાર ઉત્તર ન મળ્યો. પહેલી વાર તો મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ તેઓ પૂછી બેઠા – ‘વિનોબા સાહેબની તબિયત કેવી છે ?’

ઉત્તર દેતી વખતે મારે મારું ગળું સાફ કરવું પડ્યું. અને પછી એ દિવસની બેઠક ચાલી પૂરા છ કલાક. બેઠક દરમિયાન આપવીતીનો એક વાર પણ ઉલ્લેખ નહીં. દર્દ વ્યક્ત થઈ રહ્યું હતું, પણ તે વધારે ભારતની સ્થિતિ અંગે, ધર્મના નામે ચાલી રહેલ ઢોંગ અંગે અને રાજનૈતિક અધઃપતન અંગે.

મારા આવતા પહેલાં એક યુવક એમની પાસે બેઠો હતો. તેના વિશે કહ્યું – ‘આ મારો પડોશી છે. મને કહી રહ્યો હતો કે અરબસ્તાન જવું છે. મેં તેને કહ્યું કે અસલી ઘર્મ હજ કરવામાં નથી, પણ ખુદાની સૃષ્ટિની સેવા કરવામાં છે. ઘર્મે તો આજે લોકોને અંધકારમાં નાખી રાખ્યા છે. ધર્મ રહ્યો ક્યાં ? અમેરિકા ખ્રિસ્તી દેશ છે. ઈશુએ તો કહેલું કે એક ગાલ પર કોઈ મારે તો બીજો ગાલ તેની સામે ધરવો. પરંતુ અમેરિકા વિયેતનામ સાથે કેવો વર્તાવ કરી રહ્યું છે ? શું હિંદસ્તાન, શું પાકિસ્તાન, શું અમેરિકા, ક્યાં ય પ્રેમ જોવા નથી મળતો. સર્વત્ર હિંસા છે, દ્વેષ છે. અને જ્યાં દ્વેષ છે, ત્યાં ધર્મ ટકી નથી શકતો. ધર્મ તો સેવા કરવામાં છે. સેવા માટે નિઃસ્વાર્થી માણસો ઊભા થવા જોઈએ.’

ઓક્ટોબર ૧૯૬૯માં ભારત આવતાં સ્વાગત કરતાં પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી અને જયપ્રકાશ નારાયણ.

પોતાના ભારત આવવા અંગે બોલ્યા : ‘હું તો ગાંધી શતાબ્દી છે એટલા માટે ત્યાં આવવાનો છું. મારે ત્યાં કોઈ રાજનીતિ ડહોળવી નથી. મારે ત્યાં કોઈ ઉપદેશ આપવો નથી, કાંઈ શીખવવું નથી. લોકો લખે છે કે તમે આવો અને અમને દોરવણી આપો, અમને બોધ આપો. પરંતુ જ્યારે તમે લોકોએ ગાંધીજીની દોરવણી ન માની અને એમનું માગદર્શન ન સ્વીકાર્યું, ત્યારે મારી તે શી વિસાત ? હું તો ખિદમતગાર છું.’

દેશ-દેશ વચ્ચેની હિંસાની વાત છોડી દઈએ, તોયે દેશની અંદર શું થઈ રહ્યું છે ? તેલંગણામાં કેવી હિંસા થઈ ! એક જ દેશના લોકો, કાંઈ દેશથી જુદા થવાની માગણી તો નથી કરતા, એમને તો કેવળ પોતાનું રાજ જોઈએ છે. પણ તેની પાછળ કેટલી બધી હિંસા થઈ ગઈ ! એક બાજુ ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે અને બીજી બાજુ દેશમાં આવી હિંસા થઈ રહી છે !’

‘અરે, દારૂની જ વાત લો ને ! તને તો કદાચ ખબર હશે કે અમારા સરહદ પ્રાંતમાં દારૂબંધી કરવા માટે લોકોએ કેટલી બધી કુરબાનીઓ કરેલી ! ચારસદ્દામાં પિકેટિંગ ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકારે યુવક ખિદમતગારોને પકડ્યા. એમને નાગા કરીને એમનાં મર્મસ્થળો પર દોરડાં બાંધી એમને સતાવ્યા. કેટલા ય તો તેમાં પોતાનું પુરુષત્વ ખોઈ બેઠા. આઝાદી પહેલાં કેટલાં કષ્ટ લોકોએ દારૂને કાઢવા માટે સહન કરેલાં ! અને હવે સ્વરાજની સરકારો દારૂને છૂટ દઈ રહી છે, અને તે પણ ગાંધી શતાબ્દી વરસમાં !’

એક લાખના’ એવોર્ડ’ અને એંશી લાખની થેલી બાબતમાં કહ્યું – “તેની મને પરવા નથી. હું તો ફકીર છું. મને પૈસા સાથે શી નિસ્બત ? મને તો કરોડો મળતા હતા, તે મેં છોડી દીધા. મારે તો ગાંધી શતાબ્દી નિમિત્તે દેશમાં આવવું છે. મારા માટે ત્યાં આલીશાન મકાનમાં ઉતારવાની વ્યવસ્થા ન કરતા, મારે રાષ્ટ્રપતિ ભવનમાં નથી ઊતરવું. મારે તો જનતાની વચ્ચે રહેવું છે.’

સરકારમાં સારા લોકોએ આવવું જોઈએ, એમ તેઓને વારંવાર ભારપૂર્વક કહેતા એવા લોકો કઈ રીતે તૈયાર થઈ શકે ?’

એમણે કહ્યું – ‘તે માટે ગામેગામ જઈ લોકોને એમની ભાષામાં સમજાવવું નથી. એમની સામે આપણી વિદ્વત્તા દેખાડવાની જરૂર નથી. મૌલવી લોકો સામાન્ય જનતા સમક્ષ પોતાની વિદ્વત્તા દેખાડવાની કોશિશ કરતા રહે છે. પણ તેનાથી લોકોની સેવા નથી થતી, લોકોની સેવા તો ગામેગામ અને ઘરેઘર જઈને સમજાવવાથી થાય છે, અને એમનામાંથી જ આખરે સાચા લોકો બહાર આવશે, અને એવા સાચા લોકોના હાથમાં સરકાર આવવાથી જ સવાલનો ઉકેલ આવશે.’

અત્યારે અફઘાનિસ્તાનમાં પણ બાદશાહખાં આ જ કામ કરી રહ્યા છે. ગામેગામ એ વાત સરળ ભાષામાં સમજાવે છે. ખાસ કરીને શુક્રવારની નમાજ વખતે તેઓ મસ્જિદોમાં જાય છે. કહેતા હતા કે ‘આ પણ એક પ્રકારની પાર્લમેન્ટ જ છે, લોકસભા જ છે. પહેલાં લોકો અહીં કાંઈ પણ વાત કરતાં ડરતા હતા, હવે ધીરે ધારે નીડરતા આવતી જાય છે. અહીં પણ કેટલાંક એવાં તત્ત્વો છે, જેમને દેશમાં રાજકીય જાગૃતિ આવે તે પસંદ નથી. પરંતુ મારા કામને સરકારનું પૂર્ણ સમર્થન છે.’

કાબૂલની એક નાનકડી સભામાં હુંયે ગયેલો. એક નવા અખબાર ‘અફઘાન જનતા’નો આરંભ થઈ રહ્યો હતો. તેમાં આશીર્વાદ આપવા સારુ બાદશાહ ખાનને બોલાવેલા, પૂશ્તુ ભાષા સમજતો ન હોવા છતાં તેમાં જવા હું ઉત્સુક હતો. એક મકાનમાં વીસ-પચીસ ખુરસી નાખી સભાનું આયોજન કરવામાં આવેલું. બાદશાહખાં ખુરસી પર બેઠા બેઠા જ વાતચીતના ઢબે બોલ્યા. એમના અવાજમાં આરોહ-અવરોહ નહોતો. ભાષણ જેવું તો તે લાગતું જ નહોતું. પરંતુ સાંભળનારાઓની આંખો પરથી એમ લાગતું કે જાણે તેઓ એક એક શબ્દ પી રહ્યા છે. એ વાતચીતમાં એક શબ્દ આવ્યો હતો, अहम तशद्दुद અર્થાત અહિંસા. એટલે બીજે દિવસે મેં એમને પૂછ્યું, ‘તમે અહિંસા વિશે ત્યાં શું કહ્યું હતું?’ 

ત્યારે બોલ્યા -’ ના, એ તો કાંઈ નહીં. એક દાખલો આપી રહ્યો હતો. મેં એ લોકોને કહ્યું કે આઝાદીની લડત દરમિયાન કેટલાક લોકો મારી પાસે આવીને કહેતા કે અમને અહિંસામાં વિશ્વાસ નથી, પણ અમારે આઝાદીની લડત લડવી છે, તો હું એમને કહેતો કે તમે તમારી ઢબે લડો, મારે તમારી સામે કોઈ ફરિયાદ નથી. આ તો મેં એક ઉદાહરણ રૂપે કહ્યું હતું. હું એમને કહી એ રહ્યો હતો કે અખબારનો ઉપયોગ એકબીજા સાથે વાદ-વિવાદ અને તકરાર કરવામાં ન કરવો.વાદવિવાદ કરવાથી જનતાની સેવા નથી થતી. તમે જેમાં માનતા હો, તે ઇમાનદારીથી લખતા રહો. બીજા અલગ વિચારના હશે તો તેઓ પોતાની ઢબે લખશે. પણ તમે એમની સાથે જીભાજોડી કરવામાં ન પડતા.’

છાપાની વાત નીકળી એટલે બોલ્યા -‘છાપાવાળા મારા આવવા વિશે જાતજાતની અટકળો કરીને કાંઈ ને કાંઈ લખે છે. તેનો ઊલટો પ્રચાર પાકિસ્તાનમાં થાય છે. પરંતુ આટલી સરળ વાત એમની સમજમાં કેમ નથી આવતી કે હું ત્યાં કોઈ રાજનીતિની ખટપટ કરવા નથી આવતો, હું તો ગાંધી શતાબ્દી માટે આવી રહ્યો છું. મારો દીકરો વલી અહીં આવ્યો, તો છાપાંવાળાઓએ કહ્યું કે તેને પાકિસ્તાનવાળાઓએ મોકલ્યો છે. પાકિસ્તાનવાળાઓએ કહ્યું કે એ તો ઇન્દિરાને મળવા અહીં આવ્યો હતો. એ બિચારાની આંખો ખરાબ રહે છે, તે દેખાડવા સારુ તેને યુરોપ જવું હતું. છ વરસથી તેને પાકિસ્તાનમાંથી નીકળવાની રજા નહોતી મળતી, હમણાં મળી, એટલે યુરોપ જતી વખતે રસ્તામાં પોતાના બાપને મળવા આવ્યા. તેમાં આટલી બધી અટકળબાજી ?’

મેં કહ્યું, “બધા પોતપોતાનાં ચશ્માંથી દુનિયાને જુએ છે.’

એમની વિદાય લેતી વખતે મેં પણ અહીંના એમના અનુયાયીઓની જેમ એમની તરફ ઝૂકીને હાથ મિલાવી તેના પર ચુંબન કર્યું. એમણે મને બાથમાં લઈને મારા ગાલે ચૂમી કરી. મેં કહ્યું, ‘હવે તો હિંદુસ્તાનમાં મળીશું.’ એમણે કહ્યું, ‘અગર જિન્દગી…..!’

સંદર્ભ : 

સર્વોદય અગ્રણી નારાયણભાઈ દેસાઈ બાદશાહ ખાનને મળવા કાબૂલ ગયા. ત્રણ દિવસ રહ્યા. એમની મુલાકાતની નોંધ (“ભૂમિપુત્ર”; તા. 26 સપ્ટેમ્બર 1969) 
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

WEST SIDE STORY : સ્પીલબર્ગની મ્યુઝિકલ ડ્રામેટિક ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 January 2025

સ્ટીવન સ્પીલબર્ગ

FMC 2025 તરફથી દર્શાવાયેલી ‘સિંગિંગ ઇન ધ રેઇન’ (1952), ‘ફિડલર ઓન ધ રૂફ’ (1971) જેવી સાંગીતિક ફિલ્મોની શ્રેણીમાં Steven Spielbergની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ જોવાનું બન્યું. સ્પીલબર્ગ ‘શીંડલર્સ લિસ્ટ’, ‘જોઝ’, ‘કેચ મી ઇફ યૂ કેન’ જેવી જુદા જ વિષય પરની ફિલ્મો માટે ઓસ્કાર સુધી પહોંચેલા સફળ ફિલ્મ નિર્દેશક છે. 2021ની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ સ્પીલબર્ગની એક માત્ર સાંગીતિક ને નાટ્યાત્મક પ્રણયકથા છે. તેની વિશેષતા એ છે કે તેનાં ગીતો જે તે કલાકારે પોતે ગાયાં છે. 94માં ઓસ્કાર એવોર્ડ્સમાં આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ સહિતનાં 7નૉમિનેશન્સ મળ્યાં છે ને તે ઉપરાંત ફિલ્મમાં અનિતાની ભૂમિકા માટે(Ariana DeBose)ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો એકેડેમી એવોર્ડ પણ મળ્યો છે. 1957 સ્ટેજ મ્યૂઝિકલનું આ રૂપાંતર પોતે પણ શેક્સપિયરનાં નાટક ‘રોમિયો જુલિયટ’ પર આધારિત છે. આ ફિલ્મ પ્રેમ, હિંસા, બદલાની રજૂઆત રંગીન આક્રમક્તાથી કરે છે. પ્રેમ છે, પણ કરવાનો નથી ને દુશ્મની છે તે કરવાની છે. જેટ્સ અને શાર્કસ એવા બે વંશીય (ETHNIC) ભિન્નતા ધરાવતા યુવા જૂથ છે જે શત્રુતા તો નિભાવે છે, પણ પ્રેમને સફળ થવા દેતાં નથી.

ન્યૂયોર્ક હાઉસિંગ ઓથોરિટી ફોર સ્લમ ક્લીયરન્સ – બોર્ડે પ્રોપર્ટી પરચેઝ કરી છે એવાં લખાણ સાથે ફિલ્મ શરૂ થાય છે. શહેરમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. કેમેરા તૂટેલાં મકાનો સેરવતો આગળ વધે છે. અહીંના યુવકો ગોરા છે. એમની ટીમ જેટ્સ તરીકે ઓળખાય છે ને તેનો લીડર રીફ (Mike Saist) છે. જેટ્સની તકરાર ઇમિગ્રન્ટ્સ સાથે છે. ઇમિગ્રન્ટ્સનું ગ્રૂપ શાર્કસ તરીકે ઓળખાય છે. તેનો લીડર બર્નાન્ડો (David Alvarez) પોર્ચુગીઝ છે. જેટ્સને લાગે છે કે ઇમિગ્રન્ટ્સ મેનહટન પર કબજો કરી લેશે. જેટ્સના યુવાનો કલર્સનાં ટીન લઈને રીફને મળે છે ને દુકાનોને નુકસાન પહોંચાડતાં PUERTO RICO પાસે આવે છે ને કલર નાખીને તેને ખરાબ કરે છે. આ વાતે જેટ્સ અને શાર્કસ વચ્ચે તકરાર થાય છે. ગેરીને કાન નજીક વાગ્યું છે. લોહી નીકળે છે. પોલીસ, કોણે માર્યું તેવું પૂછે છે, પણ તે નામ એટલે નથી દેતો, કારણ બંને ગ્રૂપ આપસમાં હિસાબ પતાવવામાં માને છે. પોલીસ કહે છે કે તે બંનેને કાઢી મૂકી શકે તેમ છે, તો બર્નાન્ડો કહે છે કે કાઢી શકો તો કાઢો. રીફ, ટોની(Ansel Elgort)ની મદદ લેવાનું વિચારે છે, તો જેટ્સ તેને આમાં ન નાખવાનું કહે છે. જો કે, આ ગ્રૂપ ટોનીને લીધે જ છે.

રીફ અને ટોની મિત્રો છે. ઇમિગ્રન્ટ્સને નફરત કરે છે, પણ ટોની, પોર્ચુગીઝ વેલન્ટિના(Rita Moreno)ને નફરત કરતો નથી. તે ડ્રગ કેમિસ્ટની દુકાન ચલાવે છે. અહીં દુકાન બંધ કરતી વખતે ટોનીને બાલ્કનીમાં મારિયા (Rachel Zegler) દેખાય છે. મારિયા તેના ભાઈ બર્નાન્ડો, તેની ગર્લફ્રેન્ડ અનિતા અને ચીનો (Josh Rivera) સાથે પાર્ટીમાં આવે છે. અહીં પણ શાર્કસ અને જેટ્સ ટકરાય છે. ટોની, મારિયાને મળે છે. બર્નાન્ડો ટોનીને મારિયાથી દૂર રહેવા કહે છે, પણ બંને નજીક આવે જ છે. બંને રાતના બાલ્કનીમાં મળે છે. બંને વચ્ચે જે રીતે જાળી આવે છે તે ભવિષ્યમાં કેવી જાળ બનવાની છે તેનો સંકેત આપે છે. TO NIGHT TO NIGHT ગીત બંને ગાય છે. એની એક લાઇન છે – I SAW YOU AND THE WORLD WENT AWAY …  તે ઉપરાંત મારિયા વિષેનું એક ગીત ટોની મણકા ફેરવતો હોય તેમ ગાય છે – THE MOST BEAUTIFUL SOUND I EVER HEARD – MARIA ! સવારે ઊઠવાની બૂમ પડે છે, પણ ઊંઘે તો ઊઠેને ! ઊંઘીને ઊઠી છે એ બતાવવા મારિયા સવારે નાઈટ ડ્રેસ પહેરે છે, વાળ વિખેરે છે, કરચલી વગરની ચાદર પર ઊંઘના સળ પાડે છે.

બર્નાન્ડો અને અનિતા પ્રેમમાં છે, પણ ટોની અને મારિયાનો પ્રેમ તેમને અસહ્ય છે. આ લોકો મધ્યમ વર્ગના છે. કપડાં એપાર્ટમેન્ટ્સ વચ્ચેની દોરીઓ પર સૂકવાય છે. કપડાં ખસે છે, તેમ તેમ કપડાંઓ વચ્ચેનું આકાશ પણ ખસે છે. ડાન્સ અને તકરાર સમાંતરે ચાલે છે ને એમાં ગાવું સામાન્ય છે. ટોની અને મારિયાને તકરાર ગમતી નથી, પણ બંને પોતાનાં જ માણસોને રોકી શકે એમ નથી. ટોની મારિયા સાથે જીવવા માંગે છે. ચર્ચમાં બંને બે હાથ એક થવાનું, બે હૃદય એક થવાનું ને હવે મૃત્યુ જ અલગ કરે એવી પ્રાર્થના કરે છે.

બીજી તરફ રીફ સુરક્ષાને નામે પિસ્ટલ ખરીદે છે, પણ ટોની વધારે કશું ખરાબ ન થાય એટલે તે લઈ લે છે. ઘણોખરો સમય ગાવા, નાચવા ને મારવામાં જ વીતે છે. ટોની કોઈને પક્ષે નથી, પણ તે સુધર્યો છે તે સ્વીકારવા બર્નાન્ડો તૈયાર નથી, તેમાં મારિયા સાથેના પ્રેમનો એકરાર થતાં તે વધારે ભડકે છે. ચાકુની મારામારીમાં બર્નાન્ડો રીફને મારી નાખે છે ને ટોની તેને મારી નાખે છે. ચીનો મારિયાને જણાવે છે કે ટોનીએ તેના ભાઈને મારી નાખ્યો છે. ટોની પોલીસને શરણે જતાં પહેલાં મારિયાને મળવા આવે છે, તો મારિયા ભાઈને ખોયા પછી ટોનીને ખોવા તૈયાર નથી, પણ અનિતાને આઘાત એ વાતે લાગે છે કે સગા ભાઈને મારનાર ટોનીને, મારિયા ચાહી જ કઈ રીતે શકે? તો ય તે કહે છે કે પ્રેમમાં સારું-ખરાબ હોતું નથી, પ્રેમમાં પ્રેમ જ હોય છે. તે ટોનીને માફ કરતી નથી, કારણ મારિયાનો ભાઈ તેનો પ્રેમી પણ હતો. અનિતા બહુ સિફતથી વેલેન્ટિનાની દુકાને જઈ સંતાયેલા ટોની સુધી એટલો મેસેજ પહોંચાડે છે કે ચીનોએ મારિયાને મારી નાખી છે. ટોની બહાર આવીને ચીનોને પડકારે છે, ત્યાં મારિયા આવતી દેખાય છે ને ચીનોએ મારિયાને તો નહોતી મારી, પણ ટોનીને તો તે મારે જ છે. રીફ પાસેથી ઝૂંટવેલી પિસ્ટલ આમ ટોનીનાં મોતનું કારણ બને છે. ટોની, અનિતાને બર્નાન્ડો વગરની કરે છે તો અનિતા પણ મારિયાને ટોની વગરની કરે છે …

આ પ્રકારની મ્યુઝિકલ ફિલ્મો અગાઉ પણ આવી છે. આવી કોરિયોગ્રાફીની, ડ્રેસ ડિઝાઇનિંગની પણ નવાઈ નથી. આવી ફિલ્મો હવે આવતી નથી એ જ સૂચવે છે કે ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો છે, પણ જેમને ફ્લેશબેકમાં જવાનું ગમે છે તેમને આ ફિલ્મનાં પાત્રો, તેમની રહેણીકરણીમાં, તેમની સમસ્યાઓમાં રસ પડી શકે છે. એ સમયને ઉજાગર કરતી ફોટોગ્રાફી, લાઇટિંગ વગેરે … ધ્યાન ખેંચે એમ છે. આમ તો આ લવસ્ટોરી છે, પણ ખરેખર તો આ ટીમવર્કની ફિલ્મ છે. દરેક કલાકારે અભિનયમાં જીવ રેડ્યો છે, પણ સમૂહ અહીં પાત્ર તરીકે ઊપસે છે. કરુણતા એ છે કે ઘણું બધું સમૂહમાં બને છે ને પીડા વ્યક્તિએ ભોગવવાની થાય છે. લવસ્ટોરી સમૂહમાં ઉપસે છે, પણ પરિણામ અનિતા કે મારિયાએ ભોગવવાનું આવે છે.

એક દૃશ્ય છે, રાતનું. શાર્કસ અને જેટ્સ સામસામેથી ધસે છે ને કટ્ટરતા બતાવવા તેમના પડછાયા એકબીજામાં અનેક ભાલાની જેમ ઘૂસી જતા બતાવ્યા છે. આ બધું છતાં સ્પીલબર્ગની ફિલ્મ એ ઓછી જ છે, ફિલ્મમાં નબળું કૈં નથી, પણ સ્પીલબર્ગની શ્રેષ્ઠતા ઓછી પડે છે. કદાચ એટલે જ એમના તરફથી બીજી મ્યુઝિકલ ફિલ્મ આવી નથી. જો કે, તેમણે પોતાને બહુ રિપીટ કર્યા નથી એ પણ એક કારણ હોઈ શકે. જે તે સમય સંદર્ભને ધ્યાનમાં રાખીએ તો કોરિયોગ્રાફી નોંધપાત્ર છે. એવું જ મ્યુઝિક અને લિરિક્સનું પણ ખરું. Leonard Bernsteinનું મ્યુઝિક છે અને ગીતો Stephen Sondheimનાં છે. SOMEWHERE નામનાં ગીતની પંક્તિ જુઓ – SOMEWHERE THERE IS A PLACE FOR US … કહેવું તો એ છે કે આપણે માટે ક્યાં ય જગ્યા નથી, એટલે તો શરૂઆત SOMEWHEREથી થાય છે.

કોણ જાણે કેમ પણ આટલાં શિક્ષણ અને વિકાસ છતાં દુનિયા ભેદભાવ છોડી શકતી નથી, એ સાથે જ ઇમિગ્રન્ટ્સને જે તે દેશ ચલાવી શકતો નથી. મોટા માણસોમાં તો હોય, પણ યુવાનો પણ એ મામલે નફરતથી દૂર રહી શકતા નથી ને છતાં પ્રેમ તો કોઈ મર્યાદાઓને સ્વીકારતો નથી. એ ન થવો જોઈએ ત્યાં જ થાય છે. એને માટે જિંદગી ચૂકવવાની હોય તો તે કિંમત પણ ઓછી જ છે. કોઈ દેશ પ્રેમ વગર રહ્યો નથી ને સૌથી વધુ ભોગ પણ તેનો જ લેવાય છે. બધાંને બધું સમજાય છે, પણ લોહી રેડ્યા વગર પ્રેમ ભાગ્યે જ ટકે છે – એવો ધ્વનિ WEST SIDE STORYનો છે. વેસ્ટનો જ કેમ, તે ઈસ્ટ, નોર્થ કે સાઉથનો પણ ખરો જ ને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જાન્યુઆરી 2025

Loading

આ અસહ્ય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 January 2025

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ પણ સ્ત્રી પરનો માલિકી ભાવ જતો નથી. સ્ત્રીઓનું શિક્ષણ વધ્યું, તેને વિકસવાની તકો વધી, તે સ્વતંત્ર નિર્ણયો લેતી થઈ, સંસ્થાઓને સ્થાપતી, ચલાવતી થઈ, પણ સ્ત્રી સાથેનું પુરુષ પ્રધાન સમાજનું વર્તન સામંતી માનસિક્તાનો પડઘો પાડવાનું ભાગ્યે જ ચૂકે છે. શહેરોમાં એ કદાચ બહુ ન હોય એમ બને, પણ ગામડાઓમાં અને ખાસ કરીને ઉત્તર ભારતનાં હરિયાણા, બિહાર, ઉત્તર પ્રદેશ કે રાજસ્થાન જેવામાં સ્ત્રીઓ સંદર્ભે સંતુલિત વિચારો ઓછા જ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનનાં કેટલાંક ગામડાંમાં ખાપ પંચાયતો ચાલે છે ને તેના નિર્ણયો જે તે સમાજે સ્વીકારવાના રહે છે. સ્થાનિક લોકો પર તેનું વર્ચસ્વ વધુ હોય છે. ખરેખર તો કાયદાકીય જરૂરિયાતો માટે કોર્ટની વ્યવસ્થાઓ દેશમાં છે જ, પણ કેટલીક વાર તેવા ચુકાદાઓ પણ ખાપ પંચાયતો આપતી હોય છે.

આમ તો સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય અને ગેરકાનૂની ઠરાવી છે, છતાં કેટલીક જગ્યાએ ખાપ પચાયતોનું વર્ચસ્વ હજી અકબંધ છે. તેના કેટલાક ફતવાઓ તો સામંતી સમાજની યાદ અપાવનારા છે. હરિયાણામાં બળાત્કારની વધતી જતી ઘટનાઓ રોકવા છોકરીઓનાં લગ્ન 15 વર્ષની ઉંમરે કરાવી દેવાનું ખાપ પંચાયતમાં સૂચવાયું હતું. અલબત્ત ! કેટલાક નિર્ણયો મહત્ત્વના પણ હોય છે. જેમ કે, એક જ ગોત્રમાં લગ્નનો વિરોધ, લગ્નનાં જમણવાર પર પ્રતિબંધ, આંતરજ્ઞાતીય લગ્નોને મંજૂરી જેવી બાબતોમાં ખાપ પંચાયતે નોંધપાત્ર કામગીરી બજાવી છે, તો પ્રેમી યુગલને ઝૂડી નાખવાના કે બળાત્કારના કેટલાક કિસ્સાઓમાં ખાપના નિર્ણયોમાં સ્ત્રીઓનાં હિતમાં ભાગ્યે જ કોઈ નિર્ણય લેવાય છે. એવી બાબતોમાં મોટે ભાગે પુરુષ તરફી નિર્ણયો લેવાનું ખાપ પંચાયતને એટલે પણ ફાવે છે કારણ, એવા નિર્ણયોમાં સ્ત્રીને હિસ્સેદાર લગભગ બનાવાતી નથી.

હિસારની ખાપ પંચાયત તો તાલિબાની પદ્ધતિએ સરકાર કે કોર્ટના નિર્ણયોની ટીકા પણ કરે છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં દિલ્હી ગેંગરેપના બળાત્કારીઓને ફાંસીની સજાની ભલામણ કરી, તો હિસારની ખાપ પંચાયતે તેનો વિરોધ કર્યો. ખાપનો વિરોધ વળી ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોશિયેશને એટલે કર્યો કે હરિયાણામાં જ વીસ ગેંગ રેપ થયા હોવા છતાં, તે બળાત્કારીઓને બચાવવા, ફાંસીની સજાનો વિરોધ કરે છે. આશ્ચર્ય અને આઘાત તો એ વાતે લાગે કે ગેંગ રેપિસ્ટનો બચાવ કરનારી ખાપ પંચાયત, એ મહિલા અંગે એક શબ્દ નથી બોલતી જે ગેંગ રેપનો શિકાર થઈ છે.

આવી જ એક ખાપ પંચાયતે એક બળાત્કારીને એવી સજા ફરમાવી કે તેણે પીડિતા સાથે લગ્ન કરવાં. એ  સજા હતી કે છૂટ તે તો બળાત્કારી ને કોર્ટ જાણે, પણ અગાઉ હિન્દી ફિલ્મોમાં એવું આવતું કે બળાત્કારીને  ફરજ પડતી કે પડાતી કે તે પીડિતા સાથે લગ્ન કરે. ક્યારેક એ લગ્ન પ્રાયશ્ચિત રૂપે પણ બળાત્કારી કરતો ને એવો મેસેજ જતો કે બળાત્કારીમાં માનવતા પ્રગટી ને તેણે લગ્ન કરીને પીડિતાને સમાજનાં મહેણાંટોણાં સાંભળવાથી બચાવીને, ઉપરથી પીડિતા કદી ન ભૂલે એવો ઉપકાર કર્યો છે. ખાપ પંચાયતે બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવી તેમાં પણ પીડિતા પર ઉપકાર કર્યાનો ભાવ જ છે. એવું ક્યાંક કોઈ કિસ્સામાં બનતું પણ હશે કે પીડિતાને એ રીતે લગ્ન કરવાનો વાંધો ન હોય. સાચું તો એ છે કે મોટે ભાગે પીડિતા તરફે બહુ વિચારાતું જ નથી. જરૂર છે તે એ બાબતે સમાજ વિચારે તેની. ઘણાંને એવું પણ થતું હશે કે એમાં પીડિતા સંદર્ભે વિચારવાનું જ શું છે? બળાત્કારીને લગ્ન કરવાની સજા ફરમાવાઈ તે ઓછું છે? તો, એટલું ઉમેરવાનું રહે કે આમાં પણ પુરુષને કેન્દ્રમાં રાખીને જ વિચારાયું છે કે વિચારાય છે. એમ થાય એમાં કશું ખોટું પણ નથી, કારણ એમ જ થતું આવ્યું છે ને એથી જુદું કશું વિચારવાનું બન્યું જ ન હોય તો જે થઈ રહ્યું હોય છે તે જ બરાબર છે એમ લાગવાનું. પણ, જરા એંગલ બદલીએ તો ફોટોગ્રાફીમાં જુદો વ્યૂ મળે છે એ રીતે ઢાંચાથી જુદું વિચારાય તો જુદું કૈં હાથ લાગે એમ બને. થાય છે શું કે એંગલ બદલવાનો ખ્યાલ જ નથી આવતો ને આવે છે તો પોતાનામાં જ શંકા પડે છે ને મૂળ વિચાર પર ફરી આવી જવાનું બને છે.

જરા પેલી પીડિતાના એંગલથી જોઈએ. એ સેન્સિટિવ હોય કે ન હોય, કોઈ પણ મહિલાને કોઈ પણ કાળે બળાત્કાર કદી પણ આવકાર્ય લાગ્યો નથી. મતલબ કે બળાત્કારીનું એ કૃત્ય તેને હંમેશ તિરસ્કૃત ને ઘૃણાસ્પદ જ લાગ્યું છે. આમ તો પતિને કાયદાએ પત્નીને પામવાનો અધિકાર આપ્યો છે, છતાં પતિ દ્વારા પોતાની પત્ની પર થતાં દુષ્કર્મ અંગે પતિને કાનૂની રક્ષણ મળવું જોઈએ એવી ચર્ચાઓ પણ ચાલે છે. એનોય કાયદો થાય તો નવાઈ નહીં. મતલબ કે પત્નીને પતિનો બળાત્કાર અસહ્ય લાગતો હોય તો કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાને પરિચિત કે અપરિચિત દ્વારા થતો બળાત્કાર કેવળ અસહ્ય જ લાગે એ નિર્વિવાદ છે. ટૂંકમાં, કોઈ પણ મહિલાને બળાત્કારી કદી ગમ્યો નથી. એવી મહિલાને બળાત્કારી સજા રૂપે પરણે તો એ કઈ રીતે મહિલાને સ્વીકાર્ય હોય? બળાત્કારી જ પતિ બને એ કઈ મહિલાને ગમે? વારુ, ખાપ પંચાયત બળાત્કારીને સજા ફરમાવતી વખતે એક પણ વખત પેલી મહિલાને પૂછતી નથી કે બળાત્કારી સાથે તે લગ્ન કરવા રાજી છે કે કેમ? જે દીઠો ગમ્યો નથી, તે વ્યક્તિ પતિ તરીકે કઈ રીતે ગમે? આ સંદર્ભે ખાપ પંચાયતે વિવેક ખાતર પણ પીડિતાને એક વાર પૂછવું જોઈએ, પણ એવું પુછાયું નથી કે પુછાતું નથી. આ તો એક વાર બળાત્કાર કરનારને વારંવાર દુષ્કર્મ કરવાનું કાનૂની લાઇસન્સ આપવા જેવું જ છે કે બીજું કૈં?

સાધારણ રીતે મહોલ્લામાં ક્રિકેટ રમતી વખતે કોઈ ક્રિકેટવીરથી કોઈના ઘરનો કાચ ફૂટી જાય તો તેની નુકસાની એ વીરે ભરપાઈ કરવાની થાય કે કોઈ દુકાનમાં કોઈ વસ્તુ ખરીદતી વખતે ખરીદનારથી કૈં તૂટે-ફૂટે તો નુકસાની તેની પાસેથી વસૂલાય છે, એ જ રીતે કોઈ બળાત્કારી કોઈ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ કનડે, તેનાં શરીરને અણધારી હાનિ પહોંચાડે તો સમાજે તેની પાસેથી નુકસાની વસૂલવાની રહે. તે નુકસાની વસૂલવાનું તો દૂર, સમાજ તે મહિલાને વસ્તુ ગણીને તેની માલિકી બળાત્કારીને સોંપે તો એમાં ન્યાય ક્યાં છે? આ તો ગુનેગારને, સજાને બદલે સરપાવ આપવા જેવું જ થાય છે.

સ્ત્રીની સંમતિ ભાગ્યે જ કોઈ બાબતમાં પુછાય છે. પુરુષની સંમતિનું મહત્ત્વ છે, એટલું સ્ત્રીની સંમતિનું નથી. પુરુષ સજીવ છે, તેને ગમોઅણગમો છે, વિરોધ છે, હરખશોક છે. એ જ રીતે સ્ત્રી પણ એક સજીવ અને સંવેદનશીલ વ્યક્તિ છે. તેને પણ કશુંક ગમે છે, તો કશુંક નથી પણ ગમતું. તે અંગે પુરુષને પુછાતું હોય તો સ્ત્રીને પણ પૂછી શકાયને, પણ નથી પુછાતું. લગ્ન જેવી બાબતમાં આજે પણ ઘણાં ઘરોમાં તેની સંમતિ અનિવાર્ય નથી ગણાતી. પિયરમાં પિતા અને સાસરામાં પતિ, એ બે એવી વ્યક્તિઓ છે, જે ઉંમર લાયક દીકરી અને સ્વસ્થ વહુ પરનો કાબૂ ભાગ્યે જ છોડે છે. એવું હોય ત્યાં દીકરી કે વહુ વિકસે કઈ રીતે? એ ગૂંગળાતી કે રૂંધાતી જ રહે તો આનંદ જેવું પામે કઈ રીતે? આવું કહેતી વખતે સ્ત્રીનો પક્ષપાત કરવાની કોઈ વાત નથી. એવું પણ નથી કે પુરુષે તેનો અધિકાર જતો કરવો કે તેનો હક છીનવીને સ્ત્રીને આપવો. એવું બિલકુલ નથી. જેને પાત્ર નથી, એવું કૈં પણ સ્ત્રીને ન જ મળવું જોઈએ, પણ પાત્ર હોય તે તેને મળવું જોઈએ તે પણ ખરું. આટલું પણ એટલે કહેવાનું થાય છે, કારણ તેને તેના હકનું નથી મળતું. સાદી વાત એટલી છે કે આજે સ્ત્રી-પુરુષ બંને એકબીજાના પૂરક બનીને રહે છે ને એકબીજાનો ખ્યાલ કરીને જીવે છે. એ સ્થિતિ છતાં હજી સ્ત્રી બળાત્કારનો, શોષણનો ભોગ બને છે. એ સ્થિતિમાં બદલાવ આવે ને સ્ત્રી માનભેર, ઉન્નત મસ્તકે જીવી શકે એટલું પણ થાય તો ઘણું છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 19 જાન્યુઆરી  2025

Loading

...102030...415416417418...430440450...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved