Opinion Magazine
Number of visits: 9456862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વણી લે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|1 October 2024

લોભ પર થોભને ઉતારી વણી લે,

શીખ દેનારની ચતુરી વણી લે.

લોભિયા માણસો જ ચીકાશ કરશે,

આશને મારવા કરારી વણી લે.

 વેદનાને અલગ કરી તારવી લે,

 ફક્ત અસ્તિત્વની મઠારી વણી લે.

મૂલ્ય અંકાય ત્યાં જ સંવેદના છે,

શ્વાસ રુંધાય તો મક્કારી વણી લે.

આત્મને ગ્લાનિ થાય તે સાદ કરશે,

જૂઠના કાટ પર ઉધારી વણી લે.

ડર નહી રોફ છાંટનારા ઘણા છે!

રોફ-રુઆબને લવારી વણી લે.

લેખ પણ હાંસિયા વગરનો ન ચાલે,

તું કહાની લખી કસ્તૂરી વણી લે.

અમદાવાદ
e.mail : addave68@gmail.com

Loading

સમજણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|1 October 2024

‘રેણુકા’.

‘હા …. બા’. 

‘આજે નીલમ આવે છે, અજય તેને તેડવા ગયો છે. પણ, બેટા, ગયા વખતે નીલમ આવી ત્યારે ઘરનું વાતાવરણ તેણે ડહોળી નાખ્યું હતું. તું મનમાં કંઈ ન લાવીશ, એ હૃદયની ચોખ્ખી છે.’ 

ગયા વખતે નીલમ આવી ત્યારે એ આવી હતી તો પૂરું વેકેશન રહેવા માટે પણ નાની નાની બાબતોમાં ચંચુપાત કરવો, ઘરની બાબતોમાં દખલ દેવી અને ખાસ તો રેણુકા સાથેના મોટાપણાથી અભિમાનભર્યો વ્યવહાર કરવો વગેરે બાબતથી ઘરનું વાતાવરણ બગડી જવાથી અઠવાડિયું રહીને જ પાછી જતી રહી હતી.

નીલમનો સ્વભાવ એક જ દીકરી અને ભાઈથી મોટી હોવાથી વધુ પડતા લાડ પ્યારથી આધિપત્યવાળો થઈ ગયો હતો. કોઈ સલાહ શિખામણ આપે તે તેને જરા પણ ગમતું નહોતું. મનસુખભાઈ અને તેનાં ધર્મપત્ની ઘણી વખત સમજાવતાં પણ તે આધિપત્યને પોતાનું સ્વમાન ગણતી અને વાતાવરણને ઉગ્ર કરી નાખતી.

‘બા, તમે જરા પણ ચિંતા ન કરતાં. મારા મનમાં નીલમબહેન માટે કોઈ અભાવો નથી. તેમને મોટા હોવાનું સ્વમાન કે ગુમાન સમય જતાં સમજાશે. મેં આજે તેમને ભાવતી રસોઈ બનાવી છે. હું બધું સંભાળી લઈશ.’

મનસુખભાઈને દીકરો અજય અને દીકરી નીલમ હતી. નીલમ મોટી હતી અને ખૂબ જ લાડકોડમાં ઉછરી હતી. મોટા હોવાના સ્વમાન સાથે થોડું અભિમાન પણ હતું. નીલમના લગ્ન મનસુખભાઈના મિત્ર જયસુખભાઈના દીકરા વિપુલ સાથે થયા હતા.

જયસુખભાઈને વિપુલ મોટો દીકરો અને મીના દીકરી હતી. મીનાના પણ લગ્ન કરી નાખ્યા હતા. વિપુલ મીનાનો મોટો ભાઈ હોવાથી નીલમ સાસરે પણ મોટી હતી એટલે ત્યાં પણ મોટા હોવાનું માન, સ્વમાન મળતું. નીલમનો અહીં પિયર કરતાં જુદો વર્તાવ હતો. પિયરમાં જેવું વર્તન એ રેણુકા સાથે કરતી હતી, એવું જ વર્તન એ સાસરીમાં મીના સાથે કરતી અને માનતી કે અહીં પણ એ મોટી છે એટલે એ એનો હક છે. મીના પણ જ્યારે, જ્યારે પિયર આવતી ત્યારે પાછી નારાજ થઈને જતી. વિપુલ ઘણીવાર સમજાવતો કે તારું, મીના અને રેણુકાભાભી સાથેનું વર્તન યોગ્ય નથી પણ કોઈ ફેરફાર નીલમમાં થતો નહોતો.

ગયા વેકેશનમાં મીના આવી ત્યારે નીલમ અને વિપુલ મીનાને સ્ટેશને તેડવા ગયાં હતાં. મીના નીલમ અને વિપુલને પગે લાગી ત્યારે પણ નીલમે યોગ્ય પ્રતિભાવ નહોતો આપ્યો. મીનાએ વિપુલ સામે જોયું ત્યારે વિપુલે આંખથી પ્રેમ ભર્યા હલકો ઈશારો આપ્યો હતો કે કંઈ વાંધો નહીં! હું તને પ્રેમથી આવકારું છું અને પછી ઘરમાં મીના સાથે નજીવી બાબતોમાં નીલમે ઘર્ષણ ઊભા કર્યાં હતાં. મીના અઠવાડિયામાં જ સાસરે જતી રહી હતી. વિપુલ અને જયસુખભાઈને બહુ દુઃખ થયું હતું. પણ ઘણું વાતાવરણ વધારે ન બગડે કે કલુષિત ન થાય એટલે ચૂપ રહ્યા હતા.

આ વાત મનસુખભાઈ અને જયસુખભાઈ બંને જાણતા હતા. મનસુખભાઈ અને જયસુખભાઈ બંને મિત્રો હોવાની સાથે વેવાઈના સંબંધથી પણ જોડાયેલ હતા. આથી કૌટુંબિક વાત અને ચર્ચા પણ કરતા ત્યારે જયસુખભાઈ કહેતા, મનસુખ તું ચિંતા ન કરતો, સમય આવે નીલમને પણ યોગ્ય બાબત સમજાશે. અને એ માટેનું વાતાવરણ થોડા સમયમાં જ ઊભું થઈ ગયું.

જયસુખભાઈને કામ સબબ અમદાવાદ જવાનું થયું, તેણે મનસુખભાઈને ફોન કર્યો, ‘મનસુખ, હું અમદાવાદ કામ સબબ આવ્યો છું અને કામ પતાવી તને મળવાની ઈચ્છા છે, તારે નવરાશ છે ને?’

મનસુખભાઈએ કહ્યું, ‘હા, તું ચોક્કસ આવ આપણે મળ્યા ને ઘણો સમય થઈ ગયો છે. મને પણ તને મળવાની ઈચ્છા છે.’

મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં વાતો કરતા બેઠા હતા. મનસુખભાઈએ પૂછ્યું, ‘જયસુખ આ વખતે મીના વેકેશન પૂરું કર્યા પહેલા જ પાછી જતી રહી, બધું બરોબર ચાલે છે ને?’

‘હા, નીલમ અને મીના વચ્ચે જરા માથાકૂટ થઈ હતી. પણ, એવું તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે.’

‘તું મને વાત નહીં કરે પણ મને ખબર છે, નીલમનાં ગેરવર્તનનાં લીધે મીના વેકેશન પૂરું કર્યા વગર પાછી જતી રહી હતી.’

“હા, પણ તું આ બાબતે ચિંતા ન કરીશ, સમય આવે નીલમને સાચી સમજણ આવી જશે. તારી દીકરી છે. ડાહી અને સમજુ છે. આ તો મોટી છે એટલે મનમાં મોટાપણા માટેની થોડી ગેરસમજ ઊભી થઈ છે.’

‘તને એક સમાચાર આપવાના છે. મીનાના પતિની બદલી રાજકોટ થઈ છે. મેં વિપુલ સાથે વાત કરી છે કે મીના એક સારું મકાન ભાડેથી પણ આપણાથી દૂરના વિસ્તારમાં રાખે, છોકરાઓને પણ તેમની જિંદગી જીવવા સવલત આપવી પડે.’

‘ના, જયસુખ ખોટી વાત છે. તું નીલમના મીના સાથેના વર્તનથી પરેશાન છો. મીના ગામમાં હોય એટલે વારંવાર મળવાનું થાય, ઘરે રહેવા આવે બરોબરને? તું ભલે ન કહે પણ મને ખબર છે તું અને વિપુલ નીલમના વ્યવહારથી પરેશાન છો. નીલમને કંઈ નહીં કહીને તું આપણી દોસ્તી નિભાવે છે, એ મને પસંદ નથી.’

‘હા, તારી વાત સાચી છે. તું, વિપુલ, મીના, હું આપણે બધા નીલમના સ્વભાવથી ચિંતિત છીએ, તો તેને કેમ નથી સમજાતું કે ઘરમાં મોટા હોવું, વડીલ હોવું, માન, સ્વમાન મળે, બધાં તેનો મત પૂછે એ જ તેનું ખરું સ્વમાન છે. તેને આધિપત્ય કે ગુમાન નથી ગણવાનું પણ નાના પ્રત્યેની ફરજ અદા કરવાની સુવર્ણ તક મળી છે એમ માની પહેલાં ફરજ અદા કરવાની હક તો આપો આપ મળી જશે.’

નીલમ બંને મિત્રો અને વેવાઈ વચ્ચેની વાત સાંભળતી હતી. એ વિચારમાં પડી ગઈ કે આ લોકોની વાત તો સાચી છે. મારી સમજણમાં કંઈક ખૂટે છે. મારે સમજવું પડે કે વડીલ તરીકેની ફરજો, હક કરતાં મહત્ત્વની છે અને હવે હું એમ જ કરીશ. નીલમે એમ મનથી નક્કી કર્યું. અને મનસુખભાઈ અને જયસુખભાઈ દીવાનખંડમાં બેસતા ત્યાં આવીને કહ્યું.

‘બાપુજી, પપ્પા તમારી વાત મારે ન સાંભળવી જોઈએ, મને માફ કરશો. પણ તમારી વાતનું તાત્પર્ય મને સમજાયું છે. આજે તમારી લાગણીનું મૂલ્ય મને સમજાયું કે વડીલ હોવું એ જેટલું માન, સ્વમાન માટે મૂલ્ય ધરાવે છે એટલું જ કે એથી વિશેષ નાના પ્રત્યેની ફરજનું મૂલ્ય છે. આજની આપની વાતથી મને નવી સમજણ અને નવી રાહ મળી છે.’

‘પપ્પા, મીનાબહેનની બદલી રાજકોટ થઈ છે. ખૂબ સારું થયું. વિપુલની સાથે મને પણ મીનાબહેનની સાથે રહેવાનો લ્હાવો મળશે અને હું આજે જ મીનાબહેનને ફોન કરીને વાત કરીશ કે આપણા ઘરની નજીકમાં સારું મકાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આપણે સાથે જ રહીશુ. અને પપ્પા, અમે તમને છોડીને જુદા રહેવા જવાના નથી. અમારે તમારી સેવા અને આશીર્વાદથી વંચિત નથી રહેવું. તમે હા પાડશો ત્યારે જ મને ખાતરી થશે કે તમે મને માફ કરી દીધી છે.’

‘હા, બેટા આપણે સાથે જ રહીશુ અને તે કંઈ ભૂલ કરી નથી કે માફ કરવાનો સવાલ ઊભો થાય. બસ અમારે તો તારી ગેરસમજણ દૂર કરવી હતી, જે તારી બુદ્ધિમતા અને સમજણથી દૂર થઈ ગઈ.’

મનસુખભાઈએ અને જયસુખભાઈએ એક બીજાની સામે જોયું કે સમય આવે સાચા સંસ્કારોથી સાચી સમજણ આવે જ છે. સવાલ છે ધીરજથી સ્થિતિ સંભાળવાનો. વ્યક્તિને સાંભળવાનો અને પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનો.

ભાવનગર….ગુજરાત.
e.mail : nkt7848@gmail.com

Loading

‘મેડમ ડાઉટફાયર’ અને ‘ચાચી 420’ : મોજમસ્તીભર્યું પિતૃત્વ

સોનલ પરીખ|Opinion - Opinion|1 October 2024

પિતા એટલે એવો સામાન્ય માણસ જે પ્રેમને કારણે પરાક્રમી વીરપુરુષ, વાર્તાકાર અને ગાયક બની જાય છે. ભલભલા ભડભાદર પુરુષો નાનકડા સંતાનને ખોળામાં લઈ બાળવાર્તાઓ કહે ને હાલરડાં ગાઈને સુવડાવે એવાં દૃશ્યો આપણે જોયાં છે. ફાધર્સ ડે નિમિત્તે આજે બે મજેદાર ફિલ્મોની વાત કરવી છે જેને લેબલ તો કોમેડીનું અપાય, પણ એમાં જોનારને મીઠાશ અને ભીનાશ બંને આપતા પિતૃપ્રેમની મધુર સરવાણી સતત વહેતી હોવાનું અનુભવાય. આ ફિલ્મો છે ‘મેડમ ડાઉટફાયર’ અને ‘ચાચી 420’.

ભેદભાવ ક્યાં નથી હોતા? મધર્સ ડે ઉજવવાની શરૂઆત 1907માં થઈ અને ફાધર્સ ડે ઉજવવાની શરૂઆત છેક 1972માં! તો ય બહેનો ફરિયાદ કરે કે અમારી તો કોઈને કદર જ નથી! જો કે એ જ વર્ષને ઘણા ફાધર્સ ડેની શરૂઆત માને છે ખરા – એ વર્ષે વર્જિનિયાની એક ખાણમાં મોટો અકસ્માત થયો, 361 કામદારોનાં મૃત્યુ થયાં. એમાંના 250 કામદારો પિતા હતા, એટલે 1,000 જેટલાં બાળકો એ દિવસે પિતાની છાયા ગુમાવી બેઠાં. એમાંની એક ગ્રેસ કલેટને સ્થાનિક ચર્ચમાં પિતાને અંજલિ આપતું પોસ્ટર મૂકેલું. ત્યાર પછી બે વર્ષે સોનોરા લૂઈ સ્માર્ટ નામની એક દીકરીને થયું, મધર્સ ડે ઉજવાય છે તો ફાધર્સ ડે કેમ નહીં? એના પિતાએ એકલે હાથે છ સંતાનોને ઉછેર્યાં હતાં. વાત તો બરાબર હતી, પણ એને માન્યતા મળતાં અને ફાધર્સ ડે ને નેશનલ હોલિડેનો દરજ્જો મળતાં અડધી સદી વીતી ગઈ. 1978માં સોનોરાનું મૃત્યુ થયું. એની કબર પર ‘ફાઉન્ડર ઓફ ફાધર્સ ડે’ એવાં શબ્દો કોતરાયેલા છે.

દુનિયામાં આવું વહેલું-મોડું થાય, એમાં દુ:ખી થવાની જરૂર નહીં. ફાધર્સ ડે નિમિત્તે આજે બે મજેદાર ફિલ્મોની વાત કરવી છે જેને લેબલ તો કોમેડીનું અપાય, પણ એમાં જોનારને મીઠાશ અને ભીનાશ બંને આપતા પિતૃપ્રેમની મધુર સરવાણી સતત વહેતી હોવાનું અનુભવાય. આ ફિલ્મો છે ‘મેડમ ડાઉટફાયર’ અને ‘ચાચી 420’. 1987માં

એન ફાઇન

એન ફાઇને તરુણો માટે લખેલી નવલકથા ‘મેડમ ડાઉટફાયર’ પરથી 1993માં ‘મેડમ ડાઉટફાયર’ ફિલ્મ બની, 1996માં એના પરથી તમિલ ફિલ્મ ‘અવ્વઈ શનમુગી’ બની અને એના પરથી 1997માં હિન્દી ‘ચાચી 420’ બની.

‘મેડમ ડાઉટફાયર’નો નાયક ડેનિયલ થિયેટરમાં અભિનય કરે છે. સ્થિર આવક નથી અને અન્ય સમસ્યાઓને લીધે પત્ની મિરાન્ડા છૂટાછેડા માગે છે. ત્રણે બાળકોની કસ્ટડી પણ એને જ મળે છે. કોર્ટમાં ડેનિયલને બેજવાબદાર પિતા ઠરાવાયો છે પણ એ ખૂબ પ્રેમાળ પિતા છે, બાળકોથી દૂર કદી રહ્યો નથી. અઠવાડિયે એક વાર બાળકોને મળવાની અપાયેલી છૂટ એને બિલકુલ પૂરતી લાગતી નથી. એ એટલો તરફડાટ અનુભવે છે કે મિરાન્ડાએ આયા માટે આપેલી જાહેરાત જોઈ, એ મેકઅપ-માસ્કનો ઉપયોગ કરી, વિનિયર લગાડી, બોડીસૂટ પહેરી અને ગામઠી ઉચ્ચારોવાળું અંગ્રેજી બોલી મેડમ ડાઉટફાયર બને છે. રાંધતાં, સફાઇ કરતાં અને બાળકોને હોમવર્ક કરાવતાં પણ શીખી જાય છે એટલું જ નહીં, મિરાન્ડાના બોયફ્રેન્ડને પણ સહન કરી લે છે. આ બધુ એટલા માટે કે બાળકોની નજીક રહી શકાય. પણ એક દિવસ એ ખુલ્લો પડે છે. કોર્ટમાં કહે છે, ‘બાળકો વિના હું એવું ફિલ કરું છું જાણે હવા વિના શ્વાસ લેતો હોઉં. આખું અઠવાડિયું એમના વિના શી રીતે રહું?’ જજ આ સમજે છે, પણ એટલા માટે થઈને તેનું આયા બનવું એમને ગળે ઊતરતું નથી – અઠવાડિયે એક વાર મળવાની પરવાનગીમાં કોઈ ફેરફાર થતો નથી.

હારેલો ડેનિયલ નવી જોબ શોધે છે. પણ મિરાન્ડાને હવે સમજાય છે કે ડેનિયલ હતો ત્યારે બધાં કેટલાં ખુશ હતાં – બાળકો પિતાને ચાહે છે અને એમને તેની જરૂર પણ છે. ખરેખર તો બાળકોને મા-બાપ બંનેની જરૂર છે. બંને વચ્ચેની કડવાશ દૂર થાય છે અને ડેનિયલ શાળાના સમય પછી રોજ બાળકોને મળતો રહે છે.

અંતે એક ટી.વી. કાર્યક્રમમાં મેડમ ડાઉટફાયર એક નાનકડી છોકરીના પત્રનો જવાબ આપતાં કહે છે, ‘ક્યારેક માતાપિતા ગુસ્સામાં એકબીજાથી જુદા રહેવાનું નક્કી કરે છે, જેથી ઝઘડા ન થાય અને તેઓ વધારે સારા મનુષ્ય બની શકે. પછી ક્યારેક તેઓ ફરી ભેગાં થાય છે, ક્યારેક નથી થતાં. પણ બેટા, તું એટલું યાદ રાખજે કે તેઓ એકબીજાને પ્રેમ કરતાં હોય કે નહીં, તને ખૂબ પ્રેમ કરે છે અને પ્રેમ હોય ત્યારે દૂર દૂર રહેતા હોઈએ તો પણ આપણે જોડાયેલાં હોઈએ છીએ.’

‘ચાચી 420’માં જયપ્રકાશ અને જાનકીના ડિવોર્સ કેસથી ફિલ્મ શરૂ થાય છે. જાનકી શ્રીમંત દુર્ગાપ્રસાદની એકની એક દીકરી છે. થોડી નાદાન છે, પણ પાંચ વર્ષની દીકરીની કસ્ટડી તેને મળે છે. જયપ્રકાશને અઠવાડિયે એક વાર દીકરીને મળવાની છૂટ અપાય છે. દુર્ગાપ્રસાદ એ વખતે પણ એના ચમચાની હાજરી હોય એવો આગ્રહ રાખે છે. અકળાયેલો જયપ્રકાશ દીકરીને લઈ નાસી જવાની નિષ્ફળ કોશિશ કરે છે ને પછી તેને માટે આયા જોઈએ છે એવી જાહેરાત વાંચી પિયક્કડ મેકપમેન પાસે પ્રૌઢ મરાઠી મહિલાનો મેકઅપ કરાવી લક્ષ્મી ગોડબોલે બનીને આયા તરીકે ગોઠવાઈ જાય છે. ધીરે ધીરે લક્ષ્મીચાચી ઘરનો બધો કારભાર સંભાળવા લાગે છે. દુર્ગાપ્રસાદને એને જોઈને પોતાની સદ્દગત પત્ની યાદ આવે છે તો જયપ્રકાશનો વિધુર મકાનમાલિક પણ લક્ષ્મીના સપના જોવા માંડે છે. એક ડૉક્ટર છે, જે જાનકીને પરણવા માગે છે. છબરડાઓ અને હસાહસનો અંત ત્યારે આવે છે જ્યારે જાનકી લક્ષ્મીચાચીની અસલિયત જાણી જાય છે અને સૌ સારાં વાનાં થાય છે. પિતા બાળક માટે કેટલું કરી શકે અને બાળક થયા પછી કુટુંબ તૂટવું ન જોઈએ એવા પ્રચ્છન્ન સંદેશ સાથે ફિલ્મ પૂરી થાય છે.

‘મેડમ ડાઉટફાયર’માં પિતાનો રોલ રોબિન વિલિયમે કર્યો છે અને ‘ચાચી 420’માં કમલ હાસને. બંને અભિનેતાઓ પર ફિલ્મનો મદાર છે અને બંનેએ ફિલ્મને બહુ સક્ષમતાથી ઊંચકી બતાવી છે. ‘મેડમ ડાઉટફાયર’ના એક દૃશ્યમાં ડેનિયલને બે જગ્યાએ હાજર રહેવાનું છે, એ વારેવારે બાથરૂમમાં જઈ ગેટપ બદલે છે અને અંતે એક ક્ષણે ભૂલી જાય છે કે પોતે કોણ છે! સફળ કોમેડિયન રોબિન વિલિયમ દાનવીર હતો. ત્રણ લગ્ન કરેલાં. પોતાના ક્ષેત્રને તે ક્રૂર કહેતો. અનેક વાર ડિપ્રેશનનો ભોગ બન્યો હતો અને 63માં વર્ષે આત્મહત્યા કરી હતી. ‘ચાચી 420’ના દિગ્દર્શક કમલ હાસન પોતે જ છે અને ગરિમા ગુમાવ્યા વિના કે ઓવરએક્ટિંગ કર્યા વિના એમણે ખૂબ સુંદર કોમેડી કરી છે. વાર્તાનું ભારતીયકરણ અને હિન્દી ફિલ્મોને અનુરૂપ અંત છતાં પિતાની સંતાન માટેની મમતા અને પિતૃત્વનો મહિમા પ્રેક્ષકના હૃદય સુધી સરસ રીતે પહોંચે છે.

પિતા એટલે એવો સામાન્ય માણસ જે પ્રેમને કારણે પરાક્રમી વીરપુરુષ, વાર્તાકાર અને ગાયક બની જાય છે. ભલભલા નીરસ ભડભાદર પુરુષો નાનકડા સંતાનને ખોળામાં લઈ બાળવાર્તાઓ કહે ને હાલરડાં ગાઈને સુવડાવે એવાં દૃશ્યો આપણે જોયાં છે. કહે છે કે તમને પિતા બનાવે એ બાળકને ઉછેરવું એ બહાદુરીનું કામ છે. એના પિતા બનતાં બનતાં તેને પોતાના પિતાની કદર થવા લાગે છે. એક સુંદર નાનકડું ગીત યાદ આવે છે જેમાં એક યુવાન ગાય છે, ‘મારા પિતા પોતે અગવડો વેઠતા, મહેનત કરતા કે જેથી મને સુખ આપી શકે. હું મોટો થયો. તેઓ પણ મોટા થયા. મારી મા મૃત્યુ પામી પછી એ પોતાનામાં ખોવાતા ગયા અને ઝડપથી ઘરડા થતા ગયા. મને ચિંતા થતી. પણ એક દિવસ તેમણે મને બોલાવ્યો – જો, હું આ ઘર અને તારી માની સ્મૃતિઓ સાથે શાંતિથી જીવી લઇશ. તું યુવાન છે – બહાર નીકળ, દુનિયાને જો, તારી જિંદગીને શોધ … આજે હું પણ પિતા છું. મારે પણ મારાં સંતાનોને એ જ આપવું છે જે મારા પિતાએ મને આપ્યું છે ને એક દિવસ મારે પણ તેમને તેમની જિંદગી શોધવા માટે મુક્ત કરવા છે.’

આવી મુક્તિ પોતાના સંતાનોને આપતાં આપણને આવડે?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 016 જૂન  2024

Loading

...102030...412413414415...420430440...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved