Opinion Magazine
Number of visits: 9557219
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અંદાજ આવે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|21 December 2024

નામ તારું હોઠ પરનો અંદાજ આવે,

હોઠની લાલાશનો અંદાજ આવે.

સૂર્યની તિમિર કિરણ જેમ ચળકે, 

આભના ચળકાટનો અંદાજ આવે.

ચાલ હૈયા સોંસરી થઈ નીકળી ગઈ, 

ઝાંઝરીના શોર’નો અંદાજ આવે.

શબ્દને શણગારવા ગોખ્યા કરું છું,

ઈશ્કની ચોપાટનો અંદાજ આવે.

રોજ તેઓ સોગઠાં ફરતાં કરે છે,

હાસ્યના મલકાટનો અંદાજ આવે.

e.mail : addave68@gmail.com

Loading

ગાંધીકથા કહેતાં પરબીડિયાં

લલ્લુભાઈ મકનજી|Gandhiana|21 December 2024

ટપાલપેટીમાં નંખાતા કાગળો પર જે વ્યક્તિનું ચોક્કસ સરનામું લખેલું હોય, તે વ્યક્તિને તેનો પત્ર ટપાલખાતું સહીસલામત પહોંચાડે છે. પણ સરનામાંમાં નાની સરખી ભૂલને કારણે કાગળો ઘણી વાર અટવાઈ પડે છે અને જેમને ઉદ્દેશીને તે લખેલા હોય તેમને મળતા નથી. ડેડ લેટર ઑફિસ આવા કાગળોનો યોગ્ય નિકાલ કરે છે; છતાં અનેક કાગળોનો કોઈ પણ પ્રકારની માહિતીના અભાવે નાશ કરવો પડે છે.

દેશપરદેશની જ્ઞાત અજ્ઞાત હજારો વ્યક્તિઓના પત્રો ગાંધીજી પર આવતા હતા. એ અનામી પત્રલેખકોમાંથી કેટલાક તો જાણતા પણ નહીં કે ગાંધીજી કોણ છે અને ક્યાં રહે છે. તેથી ગાંધીજીને સંબોધીને લખાયેલા પત્રોનાં સરનામાંથી ટપાલખાતાને ઘણી વાર મૂંઝવણ અનુભવવી પડતી.

એક વાર દિલ્હીની પોસ્ટ ઑફિસમાં નીચેના સરનામે પરબીડિયું આવ્યું :

“ધ કિંગ ઑફ ઇંડિયા,

દિલ્હી,

ઇંડિયા.”

કાગળ કોને પહોંચાડવો તેની વિમાસણમાં ટપાલખાતું પડી ગયું. ઑફિસમાં એક અમલદારે સૂચવ્યું કે એ પત્ર વાઈસરૉયનો હશે. પણ તે હિંદનો રાજા નથી, માટે એ પત્ર તેને ન અપાય. હિંદનો કાયદેસરનો રાજા ઇંગ્લંડમાં રહે છે, તો આ પત્ર દિલ્હી શા માટે મોકલ્યો ? આખરે પત્ર ફોડીને ટપાલખાતાએ જોયું તો જણાયું કે એ પત્ર ગાંધીજીને ઉદ્દેશીને લખેલો હતો ! “હિંદના રાજા” તે વેળા ઇંગ્લેંડમાં નહીં પણ બ્રિટિશોની જેલમાં બેઠા હતા. તેથી યરવડાની જેલમાં ગાંધીજીને તે પહોંચાડવામાં આવ્યો. 

આ અજ્ઞાત પત્રલેખકનું કેટલું સાચું પૃથક્કરણ કે હિંદની જનતાના સાચા સમ્રાટ તો ગાંધીજી જ હોઈ શકે; અન્ય નહીં ! બીજા રાજાઓ તો આવશે, જશે અને કાળપટમાં ભુલાઈ જશે. પણ આ રાજા તો ભારતના જ નહીં પણ વિશ્વના કરોડો લોકોના હૃદયસિંહાસનમાં બિરાજે છે. કારણ કે તેમનું રાજ્ય પ્રેમ અને અહિંસા પર રચાયેલું છે. તેને મનુષ્યોએ રચેલી ભૌગોલિક મર્યાદાનું બંધન નથી.

•

બીજી વાર હિંદના ટપાલખાતાને પત્ર મળ્યો : “ધી ગ્રેટ અહિંસા નોબેલ ઑફ ઇંડિયા.”

કયા શહેરમાં આ કાગળ મોકલવો ? ટપાલખાતા સમક્ષ મોટી સમસ્યા ઊભી થઈ. પણ એક કુશળ અધિકારીએ બુદ્ધિ દોડાવી, કે અહિંસાનો મહાન ફિરસ્તો તો ગાંધી છે અને તે વર્ધામાં રહે છે. સાચે જ એ પત્ર ગાંધીજીનો જ હતો અને તેમને તે પહોંચાડવામાં આવ્યો.

અહિંસાના અમોઘ શસ્ત્રથી બ્રિટિશ સલ્તનતને હચમચાવી મૂકનાર ગાંધીનું પૂરું નામ ન જાણનાર એક પરદેશી કળાકારને ગાંધીજીને પત્ર લખવો હતો. ગાંધી હિંદમાં રહે છે પણ ક્યાં રહે છે તેની માહિતી તેને ન હતી. શું કરવું ? કળાકાર મૂંઝાયો. છેવટે કળાકારની પ્રતિભા ઝળકી. પરબીડિયા પર ગાંધીજીનો આબેહૂબ સ્કૅચ તેણે દોરી કાઢયો અને લખ્યું : ટુ, ધિસ મેન, ઇન્ડિયા.

બ્રૂકલિન, ન્યૂ યોર્કના કલાકારે ‘ધિસ મેન‘ને મોકલેલું પરબીડિયું

દિનપ્રતિદિન વર્ષો સુધી ગાંધીજીનું નામ અને ફોટો વર્તમાનપત્રોમાં પ્રગટ થતા રહ્યા છે. તેથી ગાંધીજીનું પ્રત્યક્ષ દર્શન ન કર્યું હોય એવો નાનામાં નાનો ટપાલખાતાનો નોકર પણ આ “ધિસ મેન”ને ઓળખતો હતો. એટલે પત્ર ગાંધીજીને પહોંચ્યો. સરનામું કરવાની આ તદ્દન મૌલિક રીત જોઈને કળાકારની પ્રતિભા પર ગાંધીજી પણ ખુશ થયા.

•

ગાંધીજીએ હિંદની સ્વતંત્રતા માટે કાઁગ્રેસ દ્વારા મોટી લડતો ઉપાડી હતી; પણ ગાંધીજીનું કાઁગ્રેસમાં શું સ્થાન છે તે કેટલાક પરદેશીઓને સમજાતું ન હતું. ગાંધીજી ચાર આનાના કાઁગ્રેસના સભ્ય હોય કે ન હોય, કારોબારીના સભ્ય હોય કે ન હોય, છતાં તેમની સલાહ વિના કાઁગ્રેસ એક પણ કદમ માંડતી નહીં એવું તેમનું કાઁગ્રેસ સંસ્થામાં અનન્ય સ્થાન હતું. એ જ ભાવ પરદેશીએાએ તેમને લખેલા પત્રોનાં સરનામાં પરથી તરી આવે છે :-

(1) “હેડ ઑફ કાઁગ્રેસ, વર્ધા, ઇંડિયા. ”

(2) “મહાત્મા ગાંધીજી, સુપ્રીમ પ્રેસિડેન્ટ ઑફ ઇંડિયન નેશનલ કાઁગ્રેસ, વર્ધા, ઇંડિયા.”

(3) “ મોહનદાસ કે. ગાંધી, લીડર ઇન ઇંડિયન નેશનલ કાઁગ્રેસ, દિલ્હી, ઇંડિયા.”

 ભારત સરકાર ગાંધીજીની ઇચ્છા વિરુદ્ધ કંઈ જ ન કરી શકે એવી છાપ પરદેશમાં કેટલાંક સ્થળોમાં હતી. હિંદના સર્વેસર્વા ગાંધીજી જ છે એવી પણ સમજ કેટલાક પરદેશીઓમાં હતી. એ સમજનું પ્રતિબિંબ પાડતું ગાંધીજીને લખાયેલું પરબીડિયું પણ રસપ્રદ છે :

“મહાત્મા ગાંધીજી, ડિક્ટેટર ઑફ ગવર્નમેન્ટ ઑફ ઇંડિયા, વર્ધા, ઇંડિયા.”

ભારતનું તંત્ર દિલ્હીથી નહીં પણ વાસ્તવમાં વર્ધાથી ચાલતું હતું એવી પરદેશીની સમજ કેટલી સાચી હતી ! દિલ્હી ભલે રાજધાની હોય પણ ભારતનું હૃદય તે વર્ધામાં જ હતું એની કોણ ના પાડી શકે એમ છે ?

•

ગાંધીજી એક મહાન પ્રવાસી હતા. તેમના જેટલો પ્રવાસ હિંદના કોઈ પુરુષ કે નેતાએ કર્યો નથી. આગગાડીના ત્રીજા વર્ગનો ડબ્બો એ જ તેમનું ઘર અને કાર્યાલય અનેક વાર બની જતો. તેથી પત્રલેખકો ભારે મૂંઝવણ અનુભવતા કે તેમણે કયા ઠેકાણે પત્ર લખવો ? ૩૫ કરોડના હૃદયમાં વસતા ગાંધીજીનું વળી સરનામું શું ? તેમને શોધી કાઢવા એ ટપાલ ખાતાની ફરજ ! તેમને લખેલો કાગળ ગેરવલ્લે પડે જ નહી એવી અપૂર્વ શ્રદ્ધાથી તરબોળ બનીને કોઈએ લખ્યું :

“મહાત્મા ગાંધી

જહાં હો વહાં”

બેશક ! પત્ર ગાંધીજીને મળી ગયો હતો !

બાપુ મહાન રાજદ્વારી પુરુષ હોવા છતાં કરોડો ગ્રામવાસીઓ તો ગાંધીજીની સંત પ્રકૃતિથી આકર્ષાયા હતા. તેઓ હિંદના જ નહીં બલકે દુનિયાના સંત અને ઈશ્વરના ભક્ત તરીકે પૂજાતા હતા. તેમના પ્રત્યેના એ ભક્તિભાવનો પડઘો કોઈ નિર્દોષ માણસે કરેલા સરનામામાં પડયો છે :

“દુનિયા કે ભગત 

શ્રી માહતમા ગાંધી 

વર્ધા”

પરદેશના ખૂણામાં પડેલી અનેક વ્યક્તિને તો એ સમજાતું જ નહીં કે ગાંધી આટલી પ્રબળ રાજદ્વારી વ્યક્તિ કેમ છે. આટલી મોટી રાજદ્વારી લાગવગ ધરાવનારા ગાંધી કોઈ ગવર્નર કે ગવર્નર જનરલ હોવા જોઈએ એવી કલ્પનાથી કરેલું સરનામું જુઓ :

“ટુ હીઝ એક્સેલન્સી, 

મહાત્મા ગાંધી, એસ્ક્વાયર, 

કલકત્તા, 

ઇંડિયા.”

લાખો સાદા ભોળા ખેડૂતો અને વણકરો ગાંધીજીને પોતાના જ માનતા અને ગાંધીજી પોતે પણ પોતાને ખેડૂત અને વણકર તરીકે ઓળખાવતા. તેમનો પોશાક, રહેણીકરણી બધું જ ગરીબ ખેડૂતને મળતું હતું. તેઓ સેવાગ્રામમાં ગરીબોના જેવી એક નાની ઝૂંપડીમાં રહેતા હતા અને જેની પાસે પૂરાં વસ્ત્રો નથી એવી અનાથ જનતાના પ્રતિનિધિ તરીકે માત્ર ઘૂંટણ સુધીનો કચ્છ જ પહેરતા. તેથી કોઈએ લખ્યું :

“મહાત્મા ગાંધી, 

ફાર્મર ઍન્ડ વીવર, 

મુંબઈ.”

ગાંધીજી બૅરિસ્ટર થયા હતા. તેમના આ કાયદાના અભ્યાસને કેટલાક વધુપડતું મહત્ત્વ આપતા અને માનતા કે તેઓ બૅરિસ્ટર થયા ન હોત તો આવા પ્રખર રાજદ્વારી પુરુષ ન થઈ શક્યા હોત. એવા ભાઈઓ તેમને નીચે પ્રમાણે લખતા :

“મહાત્મા ગાંધી, 

બાર-ઍટ-લો, 

દિલ્હી.”

પોતાના જેલજીવનના અનુભવમાં ગાંધીજીએ લખ્યું છે કે તેઓ એક રીઢા થયેલા કેદી છે. આફ્રિકા અને હિંદમાં તેમણે અનેક વાર કારાવાસ સેવ્યો છે. હિંદમાં તેમને મુખ્યત્વે યરવડામાં જ કેદી તરીકે રાખવામાં આવ્યા હતા. કોઈ પરદેશીને તે નામ યાદ ન રહેતાં ‘ગાંધી-પ્રિઝન’ નામે કાગળ લખ્યો !

“મહાત્મા ગાંધી 

ગાંધી પ્રિઝન

પૂના, ઇન્ડિયા.”

ચરવડા ગાંધીજીની જેલ હતી એ પરદેશીની સમજ કેટલી સાચી !

•

ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાના પરમ હિમાયતી હતા. જીવનભર એ એકતા માટે તેમણે કાર્ય કર્યું. પણ હિન્દુઓ અને મુસ્લિમો બન્ને તેમને સમજવામાં નિષ્ફળ નીવડ્યા એ આધુનિક હિન્દના ઇતિહાસની કરુણ કથા છે. મુસ્લિમો તેમને પોતાના દુ:શ્મન ગણતા અને હિન્દુઓનો એક વર્ગ તેમના મુસ્લિમો પ્રત્યેના સમભાવને કારણે તેમને હિન્દુ ધર્મના દ્રોહી ગણતો. હિન્દુઓની એ અસહિષ્ણુતા એવી પરાકાષ્ટાએ પહોંચી કે એક હિન્દુએ જ ગાંધીજીના જીવનનો અંત આણ્યો. ગેરસમજ અને અસહિષ્ણુતામાંથી નિષ્પન્ન થયેલી માનવજીવનની એ કરુણતા છે. એ જ અસહિષ્ણુતાનું પ્રતિબિંબ એક પત્રમાં પડયું છે : 

“મહંમદ ગાંધી

દિલ્હી.”

પણ હિન્દુઓનો મોટો વર્ગ તેમને મહાત્મા, સંત અને ઈશ્વરી અવતાર તરીકે જ પૂજતો આવ્યો છે. ગાંધીજીની હયાતીમાં જ એક મંદિરમાં તેમની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી પણ ગાંધીજીએ તેનો વિરોધ કર્યો હતો. છતાં કરોડો હિન્દુઓના હૃદયમાં તેઓ એક અવતારી પુરુષ તરીકે જ બિરાજતા હતા. નીચેનું સરનામું એ માન્યતાનું સમર્થન કરે છે.

“શ્રી કૃષ્ણ ગાંધી

 દિલ્હી.”

ગાંધીજી માત્ર હિંદની જ નહીં પણ વિશ્વની મહાન વિભૂતિ હતા. જગતની સેવા એ તેમનું જીવનકાર્ય હતું. એ લાગણીનો પડઘો પણ પરબીડિયું જ પાડે છે. કોઈકે તેમને લખ્યું કે, 

“જગત સેવક

 મહાત્મા ગાંધીજી

વર્ધા”

અજ્ઞાત લાખો લોકો તેમને કેવાં વિધવિધ સ્વરૂપે નિહાળતા તેનું મનોરમ પ્રતિબિંબ આ સરનામાંમાં પડે છે. ગાંધીજીના પારદર્શક છતાં રહસ્યમય અને વિરાટ વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓની કથા આ પરબીડિયાં આપણને કહી ગયાં છે.

આ પણ જુઓ :
https://www.facebook.com/share/p/9oq58XLpa1RCy6Gh/
(‘ગાંધીજીના પાવન પ્રસંગો’)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક : 183, 184, 185, 186, તેમ જ 187

Loading

જે પોતાના પર રાજ્ય કરે છે તે સમ્રાટોનો સમ્રાટ છે : મિલ્ટન

સોનલ પરીખ|Opinion - Opinion|20 December 2024

·       મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે

·       ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી

·       જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે

·       મનને તેના પોતાના સ્થળકાલ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે

·       એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે

— મિલ્ટન

જ્હોન મિલ્ટન

એક વાર સ્વર્ગમાં લડાઈ થઈ. વિદ્રોહી દેવદૂત લુસિફર અને તેના સાથીઓ હાર્યા. ઈશ્વરે તેમને નરકમાં મોકલી આપ્યા. આ લોકોએ ઈશ્વરના નવા સર્જન પૃથ્વી અને તેમાં વસતી માનવજાતને ભ્રષ્ટ કરવાનું નક્કી કર્યું. લુસિફર એટલે કે સેતાને સર્પનું રૂપ લીધું અને સ્વર્ગના બગીચામાં ગયો. ત્યાં આદમ અને ઇવ રહેતાં હતાં. સર્પે ઇવને જ્ઞાનવૃક્ષનું ફળ ખાવા લલચાવી. ઇવે ફળ ખાધું અને આદમ અને ઇવની નિર્દોષતા ચાલી ગઈ. એટલું જ નહીં, બંનેએ સ્વર્ગ ગુમાવ્યું …

આ છે સત્તરમી સદીના કવિ જ્હોન મિલ્ટનના મહાકાવ્ય ‘પેરેડાઈઝ લોસ્ટ’ની કહાણીનો અંશ. એ મહાકાવ્ય લખાયાને સાડાત્રણસો વર્ષ થઈ ગયાં છે, પણ આજે પણ એ એક ક્લાસિક કૃતિ તરીકે અડીખમ છે, અવિચળ છે. જ્હોન મિલ્ટને આ મહાકાવ્યનું સર્જન અંધ થઈ ગયા પછી કર્યું હતું. એ વખતે બ્રેલ લિપિ શોધાઈ ન હતી. મિલ્ટને આખું કાવ્ય બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીમાં મનમાં રચ્યું હતું અને લખાવતો ગયો હતો.

આ જ્હોન મિલ્ટનનો જન્મ 09 ડિસેમ્બર 1608ના દિવસે થયો. તેના પિતાનું નામ પણ જ્હોન મિલ્ટન હતું. પિતા જ્હોન પ્રોટેસ્ટન્ટ ખિસ્તી બન્યા હતા એટલે પારિવારિક મિલ્કતમાંથી રદ્દબાતલ કરાયા હતા. આ વિદ્રોહ મિલ્ટનની રગોમાં પણ વહેતો રહ્યો. તેણે ત્રણ વાર લગ્ન કરેલાં. આ લગ્નોથી તેને થયેલાં સંતાનોમાં ચાર કે પાંચ દીકરીઓ હતી અને એક દીકરો હતો. એ દીકરાનું નામ પણ જ્હોન હતું. ત્રણ પેઢી સુધી એક જ નામ હોય એ જરા નવાઈની વાત તો ખરી.

એ વખતે ઇંગ્લેન્ડમાં ચાર્લ્સ-1નું રાજ્ય હતું. તે પછી ચાર્લ્સ-2 ગાદી પર આવ્યો. તેના નેજા નીચે અંગ્રેજ, સ્કોટીશ અને આઈરિશ રાજાઓ એક થયા અને પછી અંદર અંદર યુદ્ધ પણ થયાં. આ ઘટનાઓ વિશ્વઇતિહાસમાં રેસ્ટોરેશન નામથી ઓળખાય છે. મિલ્ટન આ બધાના સાક્ષી હતા.

કેમ્બ્રિજમાં અંગ્રેજી સાહિત્ય સાથે માસ્ટર્સ કરી મિલ્ટને ત્યાં જ ભણાવવાનું શરૂ કર્યું, હેમરસ્મિથમાંથી નિવૃત્ત થયા. એ દરમિયાન જુદા જુદા સ્થળે રહ્યા, પ્રવાસો કર્યા, કામો બદલ્યાં, વાંચ્યું-લખ્યું, વિખ્યાત વ્યક્તિઓને મળ્યા અને જબરદસ્ત બૌદ્ધિક વિકાસ સાધ્યો. ઘોડા પર ખૂબ ફરતા. સતત લખતા. લોકશાહી અને પ્રજાસત્તાક શાસનવ્યવસ્થા, ધર્મ, રાજનીતિ, સાહિત્ય જેવા વિષયો પર સતત લખ્યું. એ વખતે પણ મિલ્ટને ફ્રી સ્પીચ અને ફ્રીડમ ઑફ સ્પીચની વાત કરી હતી.

તેઓ સ્પેનિશ, ઇટાલિયન, લેટિન, અંગ્રેજી જેવી યુરોપની ભાષાઓ જાણતા અને એ દરેક ભાષામાં લખતા. અંગ્રેજીમાં ઘણા નવા શબ્દો પ્રયોજવાનો યશ એમને ફાળે જાય છે. બ્લેન્ક વર્સ એટલે કે અછાંદસ શૈલીના તેઓ જનક ગણાય છે.

‘પેરેડાઈઝ લોસ્ટ’ની વાર્તાની બે મુખ્ય ધારા છે. એક લુસિફર-સેતાનની અને બીજી આદમ-ઇવની. મિલ્ટનની ઇવ, આદમની આજ્ઞાંકિત ભાર્યા નથી, આદમ અને ઇવ બંનેમાં ઇવ વધુ બુદ્ધિમાન છે, વધુ કુતૂહલપ્રિય છે અને પોતાની જાત પ્રત્યે વધુ સભાન પણ છે. સુંદર અને ઉત્સુક છે. આદમને પ્રેમ કરે છે પણ એની સતત હાજરીથી ગૂંગળામણ અનુભવે છે. એના જ સૂચનથી બંને ઇડન ગાર્ડનના અલગ અલગ ભાગમાં વિચરતા હતા, ત્યારે સેતાને સર્પનું રૂપ લઈને ઇવને ભરમાવી હતી. આ ઉપરાંત ઈશ્વર અને ઈશ્વરપુત્ર આ બે પાત્રો પણ ‘પેરેડાઈઝ લોસ્ટ’માં છે. ઈશ્વર સર્વના પિતા છે, સર્વના સર્જક છે. પિતા-પુત્રના સંવાદ દ્વારા કવિએ ઈશ્વરની યોજનાઓ અને હેતુઓ વર્ણવ્યાં છે. ઈશ્વરપુત્ર ભવિષ્યમાં માનવદેહે પૃથ્વી પર જશે અને જિસસ તરીકે ઓળખાશે એવો સંકેત કાવ્યમાં મળે છે.

‘પેસેડાઈઝ લોસ્ટ’ પછી ત્રણ વર્ષે મિલ્ટને ‘પેરેડાઈઝ રિગેઈન’ નામનું કાવ્ય લખ્યું. એમાં મુખ્ય પાત્ર ઇસુ છે. સેતાન તેમને જુદી જુદી રીતે લલચાવે છે, પણ ઇસુ લલચાતા નથી અને જીત મેળવે છે. મિલ્ટનના ઇસુ બાઈબલના ઇસુ કરતાં વધારે માનવીય છે.

માત્ર 42 વર્ષની ઉંમરે મિલ્ટન અંધ બની ગયા હતા. તેમની તમામ પ્રસિદ્ધ રચનાઓ અંધત્વ બાદ સર્જાઇ. ‘ઓન હિઝ બ્લાઇન્ડનેસ’ નામનું પ્રસિદ્ધ સોનેટ મિલ્ટને પોતાના અંધત્વ પર લખ્યું છે. ‘મારો બધો પ્રકાશ ખર્ચાઈ ગયો અને હું અફાટ અંધકારવિશ્વમાં અટવાઈ ગયો’ એવું દુ:ખ વ્યક્ત કરતા કવિને ધૈર્ય માનવરૂપે મળે છે અને આશ્વસ્ત કરે છે આવું તેમાં વર્ણન છે. ‘જે શ્રદ્ધા રાખે છે, પ્રતીક્ષા કરે છે અને કામ ચાલુ રાખે છે તેને ઈશ્વર મદદ કરે છે.’ ધૈર્ય કહે છે. આ સોનેટ પેટ્રાર્કશાઈ પ્રકારનું છે, જે મોટે ભાગે પ્રેમ અને રોમાન્સની અભિવ્યક્તિ માટે વપરાય છે, પણ આમાં મિલ્ટને માણસનો ઈશ્વર સાથેનો અનુબંધ શોધવા પ્રયત્ન કર્યો છે. ‘અંધ થયો તો કામ અટકી જશે?’ એના જવાબમાં ધૈર્ય કહે છે, ‘બંધ તો બહારની આંખ થઈ છે. અંદરની શ્રદ્ધા જાગે છે, જુએ છે. કામ નહીં અટકે.’ તેને કહ્યું છે, ‘અંધત્વ અભિશાપ નથી. અંધત્વને સહેવાની અશક્તિ અભિશાપ છે.’

મિલ્ટનનો સમય અને મિલ્ટનનાં સર્જનોનો ઊંડાણથી અભ્યાસ કરવા જેવો છે. મિલ્ટન 1608માં જન્મ્યો. એ વખતે ભારતમાં મોગલોનું શાસન હતું. 1604માં ગુરુ ગ્રંથસાહેબની રચના થઈ હતી. 1612માં કૅપ્ટન બેસ્ટની આગેવાની હેઠળ અંગ્રેજોનાં બે વહાણો સૂરતમાં પ્રવેશવા દેવામાં આવ્યાં. 1613માં અંગ્રેજોને સૂરતમાં કાયમી કોઠી સ્થાપવાની પરવાનગી આપતું ફરમાન જહાંગીરે આપ્યું. 1652માં શાહજહાંએ લાલ કિલ્લો બંધાવેલો. દક્ષિણમાં મીનાક્ષી મંદિર અને ઉત્તરમાં તાજમહાલ બંધાયાં હતાં. શિવજીએ સિંધુદુર્ગ બાંધ્યો હતો. આઇઝેક ન્યૂટને રિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ શોધ્યું હતું. 1666માં શાહજહાંનું મૃત્યુ થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાનો પગ મજબૂત કરી ચૂકી હતી. અમેરિકામાં હજી યુરોપની વસાહતો હતી. તેને સ્વતંત્ર થવાને એક સદીની વાર હતી. 1679માં પ્રેશર કૂકરની શોધ થઈ હતી.

મિલ્ટન વિલિયમ બ્લેન્ક, વર્ડઝવર્થ અને થોમસ હાર્ડી જેવા પ્રખ્યાત કવિઓના એમનાથી ય વધુ પ્રખ્યાત પુરોગામી હતા. સાહિત્યસ્વરૂપ અને શૈલીમાં તેમણે અનેક નવા આયામો આપ્યા હતા. અંધત્વ આવ્યા પછી પણ છ વર્ષ તેમણે કોમનવેલ્થ કાઉન્સેલમાં સેક્રેટરી ઑફ ફોરેન ટંગ્સ તરીકે કામ કર્યું હતું. તેને ડેપ્યૂટીઓ આપવામાં આવ્યા હતા જેમના દ્વારા એ કામ કરતા. બહેન એનનાં સંતાનોને તેમણે ભણાવ્યાં હતાં એમાંના એક એડવર્ડે મિલ્ટનનું પહેલું જીવનચરિત્ર આપ્યું. બીજો જોન મિલ્ટનના સેક્રેટરી તરીકે કામ કરતો. બંને સારા લેખકો હતા.

1674માં 65 વર્ષની વયે મિલ્ટનનું મૃત્યુ થયું. લંડનમાં એમનું સ્મારક છે. મિલ્ટને લખ્યું હતું, ‘મૃત્યુ એ શાશ્વતનું દ્વાર ખોલવાની ચાવી છે.’ ‘ન્યાય અને સત્ય પર ઊભા થયેલા આત્મગૌરવથી શક્તિશાળી બીજું કઈં નથી.’ અને ‘જે પોતાના પર રાજ્ય કરે છે અને પોતાની લાલસા અને ભયને જીતે છે તે સમ્રાટોનો સમ્રાટ છે.’

‘મનને તેના પોતાના સ્થળકાળ હોય છે અને તે પોતાનામાં જ પોતાનાં સ્વર્ગ અને નર્ક સર્જે છે.’ આ તેની પ્રખ્યાત ઉક્તિ આજે પણ કેટલી સાચી છે! ‘એકાંત ક્યારેક શ્રેષ્ઠ મિત્ર પુરવાર થાય છે’ એ કહે છે …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 08 ડિસેમ્બર  2024

Loading

...102030...407408409410...420430440...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved