Opinion Magazine
Number of visits: 9664753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવનદેવતાને ચરણે અર્ઘ્ય

મનસુખ સલ્લા|Opinion - Literature|27 January 2025

મનસુખભાઈ સલ્લા

મારા સાહિત્યિક ઘડતરમાં મારી શિક્ષણ સંસ્થાઓએ મોટો ભાગ ભજવ્યો છે. ખડસલી(મારી માધ્યમિક શાળા)એ મને સાહિત્યપ્રીતિ આપી. અમે આખા મુનશી, ર.વ. દેસાઈ કે શરદબાબુને વાંચતાં. લોકભારતી સણોસરામાં મનુભાઈ પંચોળી, મૂળશંકરભાઈ મો. ભટ્ટ, ન.પ્ર. બુચ, ઇસ્માઇલભાઈ નાગોરી વગેરેએ સાહિત્યનો જીવનસંદર્ભ વ્યાપક કર્યો. ગૂજરાત  વિદ્યાપીઠના અધ્યાપકો ચંદ્રકાન્ત શેઠ, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની, મોહનભાઈ પટેલ, વિનોદ અધ્વર્યુએ સાહિત્યનાં મૂલ્યાંકનનાં ધોરણો સ્પષ્ટ કર્યાં. ગદ્યનું સૌન્દર્ય અને સામર્થ્ય શીખવાડ્યાં. અમદાવાદ નિવાસમાં અમે કુમાર કાર્યાલયમાં બુધસભામાં ચાલતા જતા. ગુજરાત યુનિવર્સિટી ભાષાભવનમાં ઉમાશંકર જોશી ‘નાનાલાલ મધુકોષ’ ભણાવતા તેમાં અમે વિદ્યાર્થી બનતા. અમદાવાદમાં કોઈ પણ સેમિનાર, વર્કશોપ કે વ્યાખ્યાન અમે ચૂકતા નહિ. ગૂજરાત વિદ્યાપીઠનું સમૃદ્ધ પુસ્તકાલય અમારું ખરું આશ્રયસ્થાન બન્યું.

ખડસલીમાં નિબંધલેખન શરૂ થયું, લોકભારતીમાં વાર્તાલેખન. પરંતુ પૂરતી ગંભીરતા નહોતી. હું આચાર્ય થયો તેથી લોકભારતીના વહીવટીતંત્રને ખૂબ લાભ થયો, પરંતુ લખાયું ઘણું ઓછું. એક ઘટનાએ મને લખવા માટે તીવ્ર ધક્કો આપ્યો. ગુજરાતી સાહિત્ય અકાદમીએ મને ચારિત્ર્ય-સાહિત્યનાં ૫૮ પુસ્તકો પુરસ્કાર માટે નિર્ણય કરવા મોકલી આપ્યાં. વચ્ચે વીસેક દિવસ હતા. મને કહેવાયેલું કે ‘બધું વાંચવાની જરૂર નથી.’ પરંતુ મેં એમ.એ.ની પરીક્ષાની ગંભીરતાથી બધું વાંચ્યું. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જેમને ગદ્યની ખબર નથી, ચરિત્રસાહિત્યની શિસ્તની ખબર નથી, વ્યક્તિત્વને મૂલવવાના આધારોની સ્પષ્ટતા નથી તેવા લોકોએ પાંચમું કે સાતમું પુસ્તક પ્રગટ કર્યું હતું. મને લાગ્યું કે હું આમના કરતાં તો સારી રીતે લખી શકું તેમ હતો. મારા શરૂઆતના ચરિત્રનિબંધો ‘નવનીત સમર્પણ’માં પ્રગટ થયા હતા. ‘અલીભાઈ કલીવાલા’નું ચરિત્ર ખાસું સ્વીકાર પામ્યું, વખણાયું.

ભાવકોના પ્રતિભાવો લેખક માટે પ્રોત્સાહક જરૂર બને છે. રાજકોટમાં સાહિત્ય પરિષદના અધિવેશન વખતે ‘નવનીત સમર્પણ’ના સંપાદક ઘનશ્યામ દેસાઈ મળ્યા. મને કહે, ‘તમે લખવાનું ચાલુ રાખજો. મહાનગરમાં વસનારાંને ખબર જ નથી કે દૂરના ખૂણામાં આવા ઝવેરાતવાળા માણસો હોય છે.’ ઉમાશંકર જોશીના નિમંત્રણથી મેં ‘પ્રતિભા અને પ્રતિભાવ’ વિશેષાંક માટે હસમુખ પાઠકના દીર્ઘકાવ્ય ‘અન્તઘડીએ અજામિલ’ વિશે આસ્વાદ લખ્યો. પછી તેમણે ચંદ્રકાન્ત શેઠને કહેલું કે, ‘આ સંગ્રહમાં જે પાંચેક ઉત્તમ આસ્વાદો છે તેમાંનો એક મનસુખ સલ્લાનો છે.’ મારે માટે મોટા એવોર્ડથી પણ મોટો આ પ્રતિભાવ હતો.

મારું ખરું લેખન નિવૃત્તિ પછી અમદાવાદ નિવાસ વખતે શરૂ થયું. મેં લોકભારતીના મારા કેળવણી-અનુભવો ‘અનુભવની એરણ પર’ એ નામે પ્રગટ કર્યા. લોકભારતી અને મારી કામગીરીનું, જીવનમૂલ્યો અને લોકભારતીની સમ્બંધભાતનું પ્રતિનિધિરૂપ એ પુસ્તક બની ગયું. એની પાંચ જેટલી આવૃત્તિ થઈ. પછી કેળવણી ચિંતનનાં બે પુસ્તકો પ્રગટ થયાં : ‘માણસાઈની કેળવણી’ અને ‘પાયો અને પુનર્રચના’. પ્રારંભે મારી કામગીરી શિક્ષણની જ વધુ હતી. શિક્ષણ વિષે જ લખાયું. કદાચ એથી કેળવણીકાર તરીકે મારી જેટલી સ્વીકૃતિ થઈ તેટલી સર્જક તરીકે ન મળી. ‘નર્મદ ચંદ્રક’ પછી મારી સાહિત્યકાર તરીકે વધુ નોંધ લેવાઈ. મેં ૧૮ જેટલી વાર્તાઓ લખી છે, એક પુસ્તક થાય એટલા વિવેચનના લેખો લખ્યા છે. એક પુસ્તક થાય તેટલા ભાષા, સાહિત્ય અને સર્જકો વિષેના લેખો છે. પણ મારા વિશેની વ્યાપક છાપ કેળવણીકાર તરીકેની જ રહી છે.

ચરિત્ર નિબંધોનો મેં ઊંડાણથી અભ્યાસ કર્યો છે. એ વ્યક્તિ-પરિચય નથી, જીવનઘટનાઓનો સરવાળો નથી, પરંતુ વ્યક્તિત્વની ખુશબો હોય છે. તેમાં બે મોટાં ભયસ્થાનો છે : (૧) અતિશયોક્તિ (૨) કશુંક કલ્પીને ઉમેરવું. આ અંગે હું જાગ્રત રહ્યો છું. મારો રસ વ્યક્તિના વિકાસને સમજવાનો રહ્યો છે. વ્યક્તિ આઈસબર્ગ જેવી હોય છે. પ્રગટ કરતાં અપ્રગટ વધારે હોય. વ્યક્તિનાં મૂળિયાંને પોષણ મળ્યું હોય એ પ્રમાણે વ્યક્તિ વિકસે છે. એટલે વ્યક્તિનાં મૂળિયાંને તપાસવાનો મારો ઉપક્રમ હોય છે. વળી હોદ્દો, સંપત્તિ કે માનસન્માન કરતાં ય માણસ તરીકે તે કેવો ને કેટલો વિકસ્યો એ મારો રસનો વિષય હોય છે.

મને મનુષ્યના ઉધાર પાસાને ઊપસાવવાનું આકર્ષણ નથી થતું. એને બદલે સારપમાં તેમના ઉમેરણ તરફ મારું ધ્યાન વધુ રહ્યું છે. એટલે સાવ સાધારણ વ્યક્તિમાં પણ જીવતરની ઝવેરાત જોઈ તો મારી કલમ પ્રવૃત્ત થઈ છે. એમાંથી ‘જીવતર નામે અજવાળું’ અને ‘તુલસીક્યારાના દીવા’ એ બે સંગ્રહો પ્રકાશિત થયા છે. (‘જીવી જાણ્યું જેણે’ એવો ચરિત્રનિબંધોનો સંગ્રહ હવે પ્રગટ થશે.) સંજય ભાવેએ એનું વિશદ અને ઝીણવટભર્યું અવલોકન કર્યું છે એનો મને આનંદ છે. મારું મહત્ત્વનું પ્રદાન ચરિત્ર નિબંધોમાં ગણાશે એમ જોઉં છું.

મારા જે પુસ્તક માટે મને વિશેષ અપેક્ષા હતી તે ‘હૈયે પગલાં તાજાં’ પુસ્તકની લગભગ નોંધ નથી લેવાઈ. ભારતમાં તૈયાર થતા અને અમેરિકામાં છપાતા ‘ગુજરાત ટાઇમ્સ’માં તેનાં પ્રકરણો છપાતાં હતાં. તેની દેશ-વિદેશના અનેક વાચકોએ ખાસ નોંધ લીધી હતી. અનેકને તેમાં પોતાના બાળપણનું પ્રતિબિંબ દેખાયું હતું.

તેમાં મારા ગામનાં મારા બાળપણનાં તેર વર્ષનાં સંવેદનો વ્યક્ત થયાં છે. ગ્રામજીવન, પ્રકૃતિ, સંબંધમાધુર્ય, ગ્રામજીવનની ખાટીમીઠી સ્મૃતિઓ અકૃત્રિમ રીતે અને લલિત-મનોહર ગદ્યમાં પ્રગટ થઈ છે. સાચું કહું તો એ ભાવચિત્રો છે, એનું ગદ્ય અનાયાસ અવતર્યું છે. રતિલાલ બોરીસાગર અને રઘુવીર ચૌધરીએ આ પુસ્તકની નોંધ લીધી છે. આ પુસ્તકને હું મારું મહત્ત્વનું લેખન ગણું છું.

છેલ્લાં ત્રણ વર્ષમાં મારી ભીતર એક નવું પ્રગટીકરણ શરૂ થયું છે. ‘કુમાર’ના તંત્રી પ્રફુલ્લ રાવલે આમંત્રણ આપ્યું અને લલિત નિબંધો લખવાનું શરૂ થયું. લલિત નિબંધ સ્વરૂપ ને આવું ગદ્ય મારા માટે નવું જ વહેણ છે. અનાયાસ જ ચિત્ત આ દિશામાં વળ્યું છે. મારા માટે આ વિસ્મયનો અનુભવ છે. ચંદ્રકાન્ત શેઠ છેલ્લે વાંચી ન શકતા. તેમણે વંદનાબહેન પાસે મારો લલિત નિબંધ ‘અદીઠ અણસારા’ વંચાવીને સાંભળ્યો. પછી મને ફોન કર્યો કે ‘તમારી સર્જકતાનો આ નવો ઉન્મેષ છે. લખતા રહેજો.’ પ્રફુલ્લ રાવલને લખાણ છાપવું ન હોય તો કુશળ રીતે ના પાડતા આવડે છે. તેમણે મને આખું વર્ષ લખવાનું કહ્યું. અને ‘વાદળની માયા’ નિબંધ માટે કહ્યું કે, ‘કાકાસાહેબના ગોત્રનો આ સરસ નિબંધ છે.’ મેં જોયું કે મને આમાં નિર્બંધ અવકાશ મળે છે તે મારી મોટી અનુકૂળતા છે. માનું છું કે મારી સર્જનયાત્રાનો આ નવો પડાવ છે. મને આનંદ છે.

હવે પછી કેન્સરગ્રસ્તની નવલકથા લખવાનું મનમાં છે, દર્શક વિષે નિરાંતજીવે લખવાનું છે, બીજા પ્રોજેક્ટ પૂરા કરવાના છે, અને બાકી વર્ષો ઓછાં છે. ઘર, આરોગ્ય અને પરિસ્થિતિ મુજબ બધું ચાલશે.

શબ્દ સાથે કામ પાડીએ ત્યારે જાતને વધુ ઓળખતાં, સમજતાં થઈએ છીએ. વળી કેટલાંક ભાવચિત્રો એવાં હોય છે જે સાતમા પાતાળે દટાયાં હોય છે. પરંતુ એ આકસ્મિક રીતે અવતાર ધારણ કરી લે છે. અને શબ્દરૂપ આપતાં જાણે મોક્ષ પામ્યા હોઈએ એવો અનુભવ થાય છે. ખંડ દ્વારા જાણે આપણી અખંડ તરફ ગતિ થાય છે.

લેખન પૂરતું કહી શકું કે મારી કોઈ સાથે હરીફાઈ નથી. અંદરનું વહેણ ચાલુ રહેશે ત્યાં સુધી લખાશે. પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી એવું અનેક વાર બન્યું છે કે હું માત્ર લહિયો બની ગયો હોઉં. સળંગ ઊતરતું રહેતું હોય એવું પણ બન્યું છે. વચ્ચેનાં રોકાણો ફરી પેન પકડતાં હટી ગયાં હોય અને તાંતણો ફરી જોડાઈ ગયો હોય.

લેખન આખરે તો જીવનને સમજવા માટે અને પ્રગટ કરવા માટે હોય છે. સિંહાસન ઉપર તો જીવન જ છે. બીજી અનેક રીતોની જેમ શબ્દ દ્વારા જીવન પ્રગટ થાય છે. એવો ‘સર્જક શબ્દ’ પામવો એ દરેક સર્જકની ઉપાસના હોય છે. મારી પણ એ જ ઉપાસના રહી છે. વળી લેખન માટે મેં કદી પ્રાપ્તકર્તવ્યની ઉપેક્ષા કરી નથી. લોકભારતીનું કાર્ય કે નિવૃત્તિ પછીની અમદાવાદની પ્રવૃત્તિઓને અડચણરૂપ નથી ગણી. ઊલટું મારા કાર્યે મારી સંવેદનાને વાજબી દૃષ્ટિ આપી છે.

હું નિસંકોચ કહી શકું કે કર્મ અને લેખન મારાં પૂરતાં પૂરક થયાં છે. એટલે નારાયણ દેસાઈએ ‘અનુભવની એરણે’ પરની પ્રસ્તાવનમાં નોંધ્યું છે કે ‘એમાં શબ્દનો આડંબર નથી, પણ સચ્ચાઈની શોભા છે. અતિશયોક્તિ નથી, પણ ચોટડુક ઉક્તિ છે. મનસુખભાઈનું કામ, તેમની વિચારયાત્રા અને તેમના લેખનને છૂટાં પાડી શકાય તેમ નથી.’ આ યથાર્થ અવલોકન છે. જીવનદેવતાના અર્ધ્યમાં મેં સાહિત્યકૃતિઓ દ્વારા થોડાં પુષ્પો ધર્યાં છે એ મારી મોટી પ્રાપ્તિ છે.

રઘુવીરભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં મને એમ.એ.માં દાખલ કરાવવાથી લઈને આજ સુધી મારા સદ્ભાવી વડીલ રહ્યા છે. ‘જીવતર નામે અજવાળું’ને તેમણે સૌથી પહેલું પોંખ્યું હતું. તેમનો આભારી છું. મારા પરિવારની અને અનેક વડીલ-મિત્રોની મને હૂંફ મળી છે. એ સૌનો ઓશિંગણ છું. દર્શક ફાઉન્ડેશને આ નિમિત્તે મારા લેખનકાર્યનાં મૂલ્યાંકનની તક ઊભી કરી તે માટે આપ સૌ હાજર રહ્યા તે માટે આભારી છું.

(સાભાર : “કુમાર”)

(દર્શક ફાઉન્ડેશન તરફથી ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદમાં યોજાયેલ સર્જકસત્ર : મનસુખ સલ્લાનાં પ્રતિભાવ-વક્તવ્ય, સંવર્ધિત કરીને.)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 18-19 તેમ જ 17

Loading

કથ્થઈ આંખો વાલી એક લડકી : સુંદરતાનું સાયન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 January 2025

રાજ ગોસ્વામી

થોડા દિવસ પહેલાં પ્રયાગરાજના મહાકુંભમાંથી એક બેહદ ખૂબસૂરત યુવતીની તસ્વીરો અને વીડિયો દેશ-દુનિયામાં વાઈરલ થયા હતા. દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરથી પોતાના પરિવાર સાથે મહાકુંભ પહોંચેલી મોના નામની આ છોકરી ત્યાં રુદ્રાક્ષની માળાઓ વેચી રહી હતી, ત્યારે અમુક યાત્રાળુઓનું તેના પર ધ્યાન ગયું હતું. 

‘કથ્થઈ આંખો વાલી’ આ છોકરીના ઘાટીલા નાક-નકશા, શ્યામ ત્વચા અને વિશિષ્ઠ રીતે બોલવાની શૈલીથી લોકોએ તેની સરખામણી પિકાસોના જગપ્રસિદ્ધ ચિત્ર મોનાલિસા સાથે સરખામણી કરી હતી. જે લોકો તેના વીડિયોને જોતા હતા તે તેની અસાધારણ સુંદરતાના પ્રેમમાં પડી જતા હતા. કુંભમાં લોકો તેની સાથે સેલ્ફી પડાવતા હતા અને તેની પાછળ પાછળ જતા હતા.

મોનાની સુંદરતા જોઈને એક યુઝરે લખ્યું હતું, ‘સુંદર છોકરીઓ ગરીબ ઘરોમાં જ જન્મે છે.’ અન્ય એક યુઝરે લખ્યું હતું, ‘આંખો છે કે સમંદર! અભિનેત્રીઓ પણ પાણી ભરે.’ એક ત્રીજા યુઝરે લખ્યું હતું, ‘ઉપરવાળો આટલી ખૂબસુરતી કોઈક ગરીબને જ આપે.’ અમુક લોકોએ તેને સ્વર્ગની અપ્સરા ગણાવી હતી.

મોનાએ એક વીડિયોમાં કહ્યું હતું, ‘મેં જીવનમાં પહેલીવાર મારી આસપાસ આટલી ભીડ જોઈ છે. હું બે ડગલાં ચાલુ તો પણ લોકો ઘેરી વળે છે અને બૂમો પાડે છે. હું તો ડરી ગઈ કે આટલા બધા લોકો મારું નામ લઈને ચીસો પાડે છે. હું તો રુદ્રાક્ષ વેચવાવાળી એક સામાન્ય છોકરી છું.’

કોઈને આમાં ગાંડપણ લાગી શકે, પરંતુ સુંદરતા તરફ આકર્ષિત થવું ઈન્સાની ફિતરતમાં છે. સુંદર ચીજો આપણું ધ્યાન ખેંચે છે, ચાહે તમે ઈચ્છો કે ના ઈચ્છો. અંગ્રેજીના મશહૂર કવિ જ્હોન કીટ્સે તેમની એક કવિતામાં લખ્યું હતું કે A thing of beauty is joy forever – એક સુંદર વસ્તુ સદૈવ સુખદ હોય છે.

ગદ્ય હોય કે પદ્ય, પ્રાચીન હોય કે આધુનિક, સ્ત્રીઓની સુંદરતા વિશેની વાર્તાઓથી સાહિત્ય ભરેલું પડ્યું છે. આજના યુગમાં શારીરિક સુંદરતા મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. વિશ્વભરમાં તેની સ્પર્ધાઓ યોજાય છે. તેમના માટે સૌંદર્યનાં ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. એટલા માટે, મોના જેવી સહજ અને પ્રાકૃતિક ખૂબસૂરતીથી લોકો અંજાઈ જાય તે પણ સ્વાભવિક છે.

એવું કેમ થતું હશે? યુનિવર્સિટી કોલેજ લંડનના બે વિજ્ઞાનીઓ, તોમોહિરો ઈશિઝૂ અને સેમિર ઝેકીએ, એકવાર તેનો ન્યુરોલોજીકલ જવાબ શોધવા પ્રયાસ કર્યો હતો. તેમણે એક પ્રયોગમાં 21 સ્વયંસેવકોના મગજના એમ.આર.આઈ. સ્કેન લીધા હતા. સ્કેનિંગ મશીનમાં દરેકને વારાફરતી 30 પેઇન્ટિંગ બતાવવામાં આવ્યાં હતાં અને કાનમાં 30 પ્રકારના સંગીતના સૂર વગાડવામાં આવ્યા હતા.  

તે વખતે તેમના મગજમાં રક્તચાપ કેવો થાય છે અને મગજનો કયો હિસ્સો સક્રિય થાય છે તે નોંધવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ તેઓ જે જોતા હતા અને સાંભળતા હતા તેને ત્રણ શબ્દોથી વર્ણવાનું હતું : સુંદર, મામૂલી અને અરુચિકર. 

સ્કેનરે નોંધ્યું હતું કે જ્યારે સુંદર ઈમેજ જોવામાં આવતી હતી અથવા મધુર ધૂન સાંભળવામાં આવતી હતી ત્યારે મગજનો એક નિશ્ચિત હિસ્સો સૌથી વધુ ચમકી જતો હતો – તેને ઓર્બોટોફ્રન્ટલ કોર્ટેક્સ કહે છે. કપાળની વચ્ચે પાછળના ભાગમાં આવેલુ કોર્ટેક્સ નિર્ણયશક્તિ, એકાગ્રતા અને એક્શન સાથે જોડાયેલું છે. આ અંગ લાગણીઓ, અનુભૂતિઓ અને આનંદ સાથે પણ જોડાયેલું છે. 

ટૂંકમાં, સુંદરતાનો સીધો સંબંધ આપણી ન્યુરોલોજી સાથે છે. સુંદરતા જોનારની આંખમાં છે તેવા એક જાણીતા કથનને બદલીને એવું કહી શકાય કે સુંદરતા જોનારના મગજમાં છે. અર્થાત, મોનાને જોયા પછી મગજમાં ‘ઘંટડી’ ના વાગે તો જ નવાઈ!

એક પ્રશ્ન થાય છે. કુદરતે જગતમાં સુંદરતા કેમ મૂકી છે? ચાહે પ્રકૃતિનો વૈભવ હોય અથવા માનવીય સંસાર હોય, તેમાં સુંદરતાનું અસ્તિત્વ કેમ છે? ચિંતકો, કલાકારો અને વિજ્ઞાનીઓ સદીઓથી આ પ્રશ્ન પર ચર્ચા કરી રહ્યા છે.

આપણે કેમ ખાઈએ છીએ તેનો જવાબ સ્પષ્ટ છે : તેનાથી કેલરી મળે છે અને તે આપણા જીવતા રહેવા માટે જરૂરી છે. પરંતુ સુંદરતાને જોવાથી આપણને કોઈ પોષણ નથી મળતું. સુંદરતા એક ચીજ કરે છે : આપણે આંખનું મટકું માર્યા વિના તેને તાક્યા કરીએ છીએ.

વિજ્ઞાન કહે છે કે ના, સુંદરતા પણ આપણા જીવતા રહેવા (સર્વાઈવલ) માટે છે. તેમનો તર્ક એવો છે કે સુંદરતા વાસ્તવમાં તંદુરસ્તીની નિશાની છે. માણસ જ્યારે જંગલમાં રહેતો હતો ત્યારે સુંદર દેખાતાં ફળ-ફૂલ તોડીને ખાતો હતો, કારણ કે તે પાકેલાં અને તંદુરસ્ત હતાં. તે સુંદર દેખાતાં મેદાનો કે પહાડીઓ પર દોડી જતો હતો જેથી ત્યાં જીવ બચી જાય.

એ જ કારણથી માણસોમાં પણ સુંદરતા છે. ઉત્ક્રાંતિક સાઈકોલોજી કહે છે કે, જે લોકોનાં જીન્સ ઉત્તમ હોય, તે લોકો દેખાવે આકર્ષક પણ હોય. શારીરિક સુંદરતા તંદુરસ્ત જીન્સ અને બુદ્ધિનો બાહ્ય સંકેત છે. અને પુરુષનાં જીન્સ હંમેશાં તંદુરસ્ત ‘કેરિઅર’ની શોધમાં હોય છે, એટલે તેમના માટે સ્ત્રીને જોઇને પ્રભાવિત થવું કુદરતી છે. સ્ત્રી જેટલી વધુ સુંદર, એના તરફ એટલું ધ્યાન વધુ. 

જીવશાસ્ત્રમાં ‘બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સ’ નામનો શબ્દ છે. ધારણા એવી છે કે પ્રાણીઓ શારીરિક સજાવટ જોઈને એકબીજા પ્રત્યે આકર્ષાય છે. જેમ કે રંગ, કેશવાળી, પૂંછડીઓ, પીંછાં વગેરે. સુંદરતા એક પ્રાકૃતિક સંકેત છે કે આ ઓર્નામેન્ટ્સ પેદા કરનાર વિજાતિય જીવનું શરીર તંદુરસ્ત છે, અને જીન્સને બીજી પેઢીમાં સફળતાપૂર્વક લઇ જવા સક્ષમ છે. 

માણસમાં જેમ કે સ્ત્રીની એટ્રેકટિવનેસ તેના સ્તન, હિપ્સમાં છે, જ્યારે પુરુષની એટ્રેકટિવનેસ તેના અવાજ, ઊંચાઈ અને ત્વચાના રંગમાં. આપણે ફેશન પણ એટલા માટે જ કરીએ છીએ. સમગ્ર પ્રાણી જગતમાં સેક્સુઅલ સિલેકશન અથવા મેટ સિલેકશન બાયોલોજીકલ ઓર્નામેન્ટ્સના આધારે થાય છે. જીવોમાં શારીરિક સુંદરતા પેદા થવાનું આ એક માત્ર ઉત્ક્રાંતિક કારણ છે.

ઘરમાં એક સંતાન રૂપાળુ હોય અને બીજું કુરૂપ, તો રૂપાળા પર સૌનું વધારે ધ્યાન હોય તે શક્ય છે. સોશ્યલ મીડિયા પર સેલ્ફીઓ એટલે જ સૌથી વધુ પ્રચલિત છે. 

ટૂંકમાં, સૌંદર્યના છોડ પર પ્રેમનું ફૂલ જલદી ખીલે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 જાન્યુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ત્રણ પેઢી

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|27 January 2025

સાવિત્રીતાઈ રસોઈ બનાવવામાં મશગૂલ હતાં. દરવાજાની બેલ એકધારી વાગી એટલે એ સમજી ગયાં કે, તોફાન મેલ જેવી વિશ્વા આવી હશે. એના સિવાય કોઈ આમ ઘોડે ચઢીને ન આવે. હાથ બગડેલા હતા એટલે એમણે રસોડામાંથી જ બૂમ પાડી, “બારણું ખુલ્લું જ છે. આવી જા.” દાખલ થયા ભેગી વિશ્વાની નજર ડાઈનીંગ ટેબલ પર મૂકેલાં વડાં પર ગઈ.

“વાહ આજી, તારાં વડાંની સુગંધ જ એટલી સરસ આવે કે …” કહેતાં એ વડું લેવા જાય ત્યાં તો સાવિત્રી તાઈ બોલી ઊઠ્યાં, “અરે, બહારથી આવી છે. પહેલાં હાથ તો ધો! કોણ જાણે ક્યારે મોટી થશે આ છોકરી?”

“શા માટે થાઉં મોટી? તારી પાસે મારે હંમેશાં નાના જ રહેવું છે. આ ઘરમાં આવું ને મને લાગે કે, જાણે મારી મનગમતી દુનિયામાં આવી ગઈ છું.” બોલતાં બોલતાં રસોડામાં જઈને એ વડાં તળી રહેલાં  આજીને વળગી પડી. અને ફરિયાદ કરતાં બોલી,

“આજી, તને હું ભારે પડું છું? શા માટે મને મમ્મી પાસે મોકલી દીધી?”

સાવિત્રીતાઈ સમજી ગયાં કે, વળી પાછું મા-દીકરી વચ્ચે યુદ્ધ છેડાયું લાગે છે. વિશ્વાને બાથમાં લેતાં એ બોલ્યાં, “અરે ગાંડી, હું તો તારી પાસે જ છું ને! ને હવે તું મોટી થઈ ગઈ. તારે તારી મમ્મીનો ટેકો બનવાનું છે. ચાલ, જરા મોઢું ધોઈને ફ્રેશ થઈ જા ત્યાં સુધીમાં આપણા બેઉની ચા બનાવું છું. ચાની તલપ લાગી છે ને?”

“આજી, તું મારા મનની વાત વગર કહ્યે પણ સમજી જાય છે ને મારી મમ્મીને કહું તો પણ સમજવા નથી માગતી. મને તો થાય છે કે, સામાન લઈને અહીં જ રહેવા આવી જાઉં.”

તાઈ ભૂતકાળમાં સરી પડ્યાં. એમની દીકરી શીલા પહેલેથી જ સ્વતંત્ર મિજાજની. પોતાના મનનું ધાર્યું જ કરવા જોઈએ. વળી એકનું એક સંતાન એટલે મા-બાપ પણ એની મરજી પાસે નમતું મૂકી દેતાં. કૉલેજમાં આવ્યા પછી વધુ છૂટો દોર મળી ગયો.

“આઈ, હું પિકનીક પર જવાની છું. અમે બહેનપણીઓ પાર્ટી કરવાનાં છીએ.” આવાં જાતજાતનાં બહાનાં હેઠળ એની અને શ્રીકાંતની મુલાકાતો વધતી જતી હતી. માતા-પિતાએ એને શાંતિથી સમજાવેલી, “બેટા, એ શ્રીમંતનો નબીરો છે. આપણે રહ્યાં સાધારણ લોકો. એનો ને આપણો મેળ ન મળે. તારી સાથે રમત રમીને તને છોડી દેશે તો ક્યાંયનાં નહીં રહીએ.”

શીલા ધરાર ન માની. બંને છુપાઈ છુપાઈને મળતાં રહ્યાં ને જ્યારે એ મુલાકાતોનું પરિણામ સામે આવ્યું ત્યારે શ્રીકાંત અમેરિકા જવા ઊપડી ગયો. “આજી ક્યારની શું વિચારમાં પડી ગઈ?” વિશ્વાએ પૂછ્યું ત્યારે સાવિત્રીતાઈ વર્તમાનમાં પાછાં ફર્યાં. “હું વિચારતી હતી કે, વિશ્વાને આજના તાજા ખબર પૂછું. કોલેજથી સીધી અહીં આવી છે કે, કોલેજ ગઈ જ નથી?”

“આજી, હું તને બધી વાત કરવાની જ હતી પણ મને થયું, પહેલાં મમ્મીને વાત કરું ને એ જ તને વાત કરે એ વધુ યોગ્ય કહેવાય, પણ મમ્મીએ કોઈ દિવસ કોઈનું સાંભળ્યું છે તે મારું સાંભળે?”

વિશ્વાને એની સાથે ભણતો અભિનવ ગમી ગયો હતો. સારું, સંસ્કારી કુટુંબ, પણ એના પપ્પાનું અકસ્માતમાં અવસાન થવાને કારણે ભણવાનું મૂકીને એને ધંધો સંભાળવો પડ્યો હતો. શીલાને મોટો વાંધો એની સામાન્ય પરિસ્થિતિ સામે હતો.

“હું આટલું કમાઉં છું, તારા બધા મોજશોખ પૂરા કરું છું. એ તારે માટે શું કરી શકવાનો? તું જોજે તો ખરી, હું કેવો હીરા જેવો જમાઈ પસંદ કરું છું?” એણે ગર્વથી દીકરીને કહ્યું હતું.

સાવિત્રીતાઈ ઊંડા વિચારમાં પડ્યાં. શીલાની આ જ મુશ્કેલી હતી. વિશ્વાને હંમેશાં ‘મેં તારે ખાતર કેટલું સહન કર્યું, મેં તને કેવી રાજકુંવરીની જેમ રાખી’ આવું બધું સંભળાવીને યુવાન દીકરીના સ્વમાન પર ઘા કરે તો એ થોડી સાંભળી લે? એમણે શાંતિથી વિશ્વાને સમજાવતાં કહ્યું,

“તારે હજી જિંદગીમાં ઘણું આગળ વધવાનું બાકી છે. હજી તો તારી ઉંમર જ શું છે? છતાં તને અભિ ગમી ગયો હોય તો એનો વાંધો નથી પણ એણે પણ ધંધામાં સ્થિર થવાનું છે. લગ્ન એ કંઈ ઢીંગલા-ઢીંગલીના ખેલ નથી કે, ચાલો આજે પરણી જઈએ ને કાલે નહીં ફાવે તો છૂટાં થઈ જશું. લગ્ન કરવાં તો પૂરી જવાબદારી સમજીને કરવાં અને પછી નિભાવવાં.”

“એટલે, આજી, તું પણ મમ્મીની માફક ના કહેવા માગે છે?”

“ના બેટા, મારે અભિને મળવું છે, એને ચકાસવો છે. એ તારે માટે યોગ્ય છે કે નહીં એ નક્કી કરવું છે. પછી હું જવાબ આપીશ. તને મારા પર ભરોસો છે ને?”

“મારી જાત કરતાં વધારે ભરોસો મને તારી પર છે, આજી.”

“બસ તો, હમણાં જ અભિને બોલાવ.” અભિ પણ આજીની વાતમાં સંમત હતો. એને પણ સ્થિર થવા માટે સમય જોઈતો હતો. એની ઠરેલતા આજીને સ્પર્શી ગઈ.

“જુઓ છોકરાંઓ, તમે એકમેકને મળો, સમજો એની ના નથી, પણ તમારે આ ઘરમાં જ અને ફક્ત શનિ-રવિમાં જ મળવું. કબૂલ છે?” બંનેએ રાજી થઈને આ વાત સ્વીકારી. આજીએ વિશ્વાને માથે હાથ પસવારતાં કહ્યું, “બેટા, શાંતિથી તારી મમ્મી સાથે રહેજે. એણે જિંદગીમાં ઘણો માર સહન કર્યો છે એટલે એનામાં થોડી કડવાશ આવી ગઈ છે, પણ એ તારું જેટલું હિત ઇચ્છે છે એટલું બીજું કોઈ નહીં ઇચ્છે એ યાદ રાખજે.”

આજીએ નક્કી કર્યું કે, શીલાને તેઓ કહેશે કે, દીકરા, બહુ તાણવા જઈએ તો તૂટી જાય. ક્યારે ઢીલ મૂકવી ને ક્યારે દોરી ખેંચીને રાખવી એ તારે સમજવું પડશે. માતા બનવું સહેલું છે પણ માતૃત્વ નિભાવવું અઘરું છે.

એમને વિશ્વાસ હતો કે, શીલાને ગળે એમની વાત ઊતરશે અને સૌ સારાં વાનાં થશે. તેઓ હસતે મોઢે શીલાને ફોન જોડવા લાગ્યાં.

(કલ્પના ઘાણેકરની મરાઠી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 જાન્યુઆરી 2025; પૃ. 24

Loading

...102030...407408409410...420430440...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved