Opinion Magazine
Number of visits: 10029155
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આષાઢસ્ય પ્રથમ દિવસે …

દીપક મહેતા|Opinion - Literature|30 June 2014

જન્મ દસકોઈ તાલુકાના ભુવાલડી જેવા સાવ નાનકડા ગામમાં. ભણતરની શરૂઆત ત્યાંની જ નિશાળમાં. પછી અમદાવાદમાં ભણી મેટ્રિક થયા. નોકરી મુંબઈની પોલીસ કોર્ટમાં ઇન્ટરપ્રિટરની. પણ આપબળે સંસ્કૃત અને અંગ્રેજીનો સારો એવો અભ્યાસ કરેલો. પરિણામે કવિ કાલિદાસના વિખ્યાત કાવ્યનો ગુજરાતી અનુવાદ કર્યો જે તેમના જમાનાના વિવેચકો અને વાચકો બન્નેએ માણ્યો અને વખાણ્યો હતો. અને એ માત્ર અનુવાદ નહોતો. મુંબઈની તે વખતની રોયલ એશિયાટિક સોસાયટી(હાલની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)માં દિવસોના દિવસો સુધી બેસી, અંગ્રેજી અને સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કરી, અનુવાદ સાથે જોડવા માટે તેમણે વિસ્તૃત પ્રસ્તાવના પણ તૈયાર કરી હતી. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ૧૯૧૩માં અને બીજી આવૃત્તિ ૧૯૨૩માં પ્રગટ થઈ હતી. જો કે બીજી આવૃત્તિ પ્રગટ થઈ તે પહેલાં અનુવાદકનું તો ૧૯૧૪માં અવસાન થયું હતું. એ પુસ્તક તે કાલિદાસના મેઘદૂત કાવ્યનો અનુવાદ, અને એ અનુવાદ કરનાર તે કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ. પણ વખત જતાં તેમનું નામ અને કામ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. એક કારણ એ પણ ખરું કે ‘મેઘદૂત’ના બીજા ગુજરાતી અનુવાદો પણ પ્રગટ થયા હતા, અને તેમાંના કેટલાક સાહિત્યની દુનિયાનાં કેટલાંક મોટાં માથાંએ કર્યા હતા.

પણ વિસરાઈ જવા આવેલા આ પુસ્તકને થોડાં વર્ષો પહેલાં મુંબઈના હીરાલક્ષ્મી મેમોરિયલ ફાઉડેન્શન દ્વારા નવજીવન આપવામાં આવ્યું. અને તે પણ આજના જમાનાને અનુરૂપ એવી રીતે. આમ થાય તે માટે પ્રકલ્પના સંપાદક રજનીકુમાર પંડ્યાએ ઘણી જહેમત લીધી. પુસ્તકમાં કિલાભાઈનો અનુવાદ તો આખેઆખો છાપ્યો જ. પણ એ અનુવાદ પદ્યમાં, સંસ્કૃતના મંદાક્રાન્તા શ્લોકમાં છે. વળી ભાષા આજથી લગભગ સો વર્ષ પહેલાંની. એટલે આજના વાચકને સમજવા-માણવામાં કદાચ થોડી મુશ્કેલી પડે. તો એ ટાળવા માટે સંસ્કૃત સાહિત્યના ગાઢ અભ્યાસી ગૌતમ પટેલે લખેલું વિવરણ પણ સાથોસાથ છાપ્યું. પછી તેમાં પાને પાને ઉમેર્યાં વાસુદેવ સ્માર્તનાં બહુરંગી ચિત્રો. બીજા કેટલાક કલાકારોનાં ચિત્રો પણ ઉમેર્યાં. અને આ બધું જાડા આર્ટ પેપર પર સુંદર સુભગ મુદ્રણ દ્વારા રજૂ થયું. એટલે પુસ્તક માત્ર વાંચવા માટેનું ન બની રહ્યું, સાથોસાથ જોવા જેવું પણ બન્યું. પણ આ અનુવાદ આખો વાંચવો ન હોય અને છતાં માણવો હોય તો? આજના માણસને વાચક બનવા કરતાં શ્રોતા અને દૃષ્ટા બનવાનું વધુ ફાવે છે. એટલે વાચન અંગે બહુ ઉમળકો ન હોય તેવા ભાવકો માટે પણ અહીં સગવડ કરી છે. આપણા અગ્રણી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બધા શ્લોકોને સંગીતબદ્ધ કર્યા, અને જાણીતા ગાયક પ્રફુલ્લ દવેએ તેને પોતાનો કંઠ આપ્યો. પુસ્તકમાં સાથે મૂકાયેલી બે ઓડિયો સીડીમાં એ ગાન સંઘરાયું છે જે સાંભળતાં કાલિદાસ અને કિલાભાઈની પ્રતિભાની સાથોસાથ સંગીતકાર અને ગાયકની પ્રતિભાનો પણ પરિચય થાય છે.

આ ઉપરાંત પુસ્તકમાં કેટલીક પૂરક સામગ્રી પણ સૂઝપૂર્વક ઉમેરવામાં આવી છે. ‘મેઘદૂત’ વિશેના કવિ રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનો અનુવાદ, ‘મેઘદૂત’ ફિલ્મમાનું કૃતિના સારાંશ રૂપ ગીત, આપણા દેશના ટપાલ ખાતાએ ૧૯૬૦માં બહાર પાડેલી ટપાલ ટિકિટ વિશેની માહિતી, મેઘદૂતનું રચના સ્થળ મનાય છે તે રામટેક વિશેની માહિતી, ઉજ્જયીનીમાં આવેલી કાલિદાસ સંસ્કૃત અકાદમીનો પરિચય, મેઘદૂતના કેટલાક ગુજરાતી અનુવાદો વિશેની માહિતી, કાલિદાસ અને કીલાભાઈનો પરિચય, મેઘદૂતમાં ઉલ્લેખિત સ્થાનોનો પરિચય, અને મેઘમાર્ગનું નિદર્શન કરતો નકશો. આ બધું અહીં શ્રમ અને સૂઝથી ઉમેરવામાં આવ્યું છે. પુસ્તક માટેનું પૂરક લેખન કરવાનું તથા પરામર્શન કરવાનું કામ બિરેન કોઠારીએ કર્યું છે. ૧૯૧૩માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિમાં માત્ર અનુવાદ આપ્યો હતો, મૂળ સંસ્કૃત પાઠ આપ્યો નહોતો. પણ આ ખોટ બીજી આવૃત્તિમાં મૂળ સંસ્કૃત પાઠ ઉમેરીને પૂરી કરાઈ હતી. ૨૦૧૦માં પ્રગટ થયેલા આ નવા સંસ્કરણમાં થોડાક જ મૂળ સંસ્કૃત શ્લોકો આપ્યા છે. બધા જ શ્લોકો આપ્યા હોત તો પુસ્તક વધુ ઉપયોગી બની શક્યું હોત. પણ પ્રશિષ્ટ કૃતિઓને આમ નવા રૂપે રંગે રજૂ કરવાનો વિચાર જ ગમી જાય તેવો છે, અને એવા વિચારણના ફળ જેવું આ પુસ્તક પણ સાહિત્યપ્રેમીઓના હૃદયમાં વસી જાય એવું છે.

કવિ ભાસના એક સંસ્કૃત નાટકમાં રાજા વિદૂશકને પૂછે છે કે એવી કઈ વસ્તુ છે જે માણસને સુખ અને દુઃખ બંને આપે છે. ત્યારે વિદૂષક જવાબ આપે છે કે ‘લાડુ. કારણ મારે જો લાડુ બીજાના ભાણામાં જ જોવાનો હોય તો તે મને દુઃખ આપે છે. પણ જો મારા ભાણામાં હોય તો મને તે ખાવાનું સુખ આપે છે.’ એવી જ રીતે કવિતાની વાત સુખ નથી આપતી, કવિતા પોતે જ સુખ આપે છે. એટલે હવે આ પુસ્તકમાં કિલાભાઈનો જે અનુવાદ છાપ્યો છે તેમાંથી કેટલાક શ્લોકો જ જોઈએ. (જોડણી મૂળ પ્રમાણે રાખી છે.)

સ્વામી સેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
સીતાસ્નાને પુનીત જલાના, મીઠડી છાંયવાળા,
રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા.
***
ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યા આ બનેલા,
ક્યા સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લઇ જવાતા;
એવું કાઈ ણ લહિ, અધીરો યાચાતો યક્ષ એને,
કામી નિશ્ચે જળ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે.
***
વર્ષી ખાલી થઇ, ગજમદે કૈંક તીખું સુગંધી,
જંબુ કુંજે ખળિ રહ્યું ભરી, પાણી એનું ફરીથી;
ભારે થાતાં ઘન! નહિ શકે વાયુ ખેંચી તને ત્યાં,
હોયે ખાલી હલકું સઘળું, ભાર છે પૂર્ણતામાં.
***
રસ્તો વાંકો અહીથી બહુ છે, ઉત્તરે મેઘ! જાતાં
તો’યે ઊંચા ભવન પર જૈ બેસજે ઉજ્જનીમાં;
વિદ્યુત્તેજે નયન મિચતી નાગરીનાં કટાક્ષો,
જોતો ત્યાં ટુ રમિશ નહિ તો જાણજે રે ઠગાયો.
***
લંબાવીને મુખ નભ થકી, ઇન્દ્રના હસ્તિ પેઠે,
જો ગંગાનું સ્ફટિક સરખું સ્વચ્છ, ટુ વારિ પીશે;
તો આ તારી વિશાળ જળમાં, પેસતી શ્યામછાયે,
ગંગા વચ્ચે મળતી યમુના હોય, તેવી જણાશે.
***
નાનાં વસ્ત્રો, મધુ નયનને આપનારું વિલાસ,
તાજાં પુષ્પો, કિસલય રૂડાં, ભૂષણો ભાતભાત;
તાજો રાતો સરસ અળતો રંગવા પાદપદ્મ,
આપે છે જ્યાં સકળ અબળાભૂષણો, કલ્પવૃક્ષ.
ત્યાં હર્મેથી ધનપતિતણા, ઉત્તરે ધામ મારું,
દ્વારે ઊંચી સુરધનુસમી છે કમાને સુહાતું;
જેની પાસે સુતસમ ગણી વા’લીએ છે ઉછેર્યો,
ગુચ્છે ઝૂકી કર અડકતો દેવ મંદાર નાનો.
***     
શ્યામાવેષે નહીં નીચીઉંચી, ફૂટડાં ગાત્રવાળી,
ઘાટે નાની, હરિણી સરખાં નેત્રવાળી રૂપાળી;
હારે હારે દશન કણિઓ રત્ન જેવી જણાતી,
શોભે ઝીણી કળિ અધરની બિંબશી રાતી રાતી;
ઊંડી નાભિ ઉદર વિલસે; પાતળી કેડ જેની,
ભારે ઊંચા સ્તનથી કટિમાં, સે’જ નીચી નમેલી;
શ્રોણીભારે, મલપતી રૂડી ચાલતી ધીમી ચાલે,
નારીરૂપે, પ્રથમ વિધિએહોય નિર્મેલી જાણે.
***
સાધી, મારું પ્રિય, અઘટતું છે છતાં પ્રાર્થનાથી,
કાં મૈત્રીથી,વિરહિ સમજીને દયા આણી મારી;
વર્ષાશ્રીથી સુભગ બનતો, જા ગમે તે તું દેશ,
માં થાશો એ! ક્ષણ વીજળીથી, આમ તારો વિયોગ.
***

રવીન્દ્રનાથ ટાગોરે સાચું જ કહ્યું છે કે મેઘદૂતના મંદાક્રાન્તાના સઘન સંગીતમાં વિશ્વના તમામ વિરહીઓનો શોક ઘોળાયેલો છે. અષાઢ મહિનો ગઈ કાલથી (27 જૂનથી) શરૂ થઈ ગયો છે ત્યારે મેઘદૂતની આ તો થોડી પ્રસાદી. 

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’, “ગુજરાતમિત્ર”, 28 June 2014

અા સંગીતબદ્ધ 'મેઘદૂત'ની અા કડી માણવા જેવી :

hhttp://rankaar.com/blog/tag/kilabhai-ghanshyam-2

Loading

પંચશીલના છ દાયકા

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|30 June 2014

જવાહરલાલ નહેરુની દીર્ઘદૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના પંચશીલ કરારને કાલે એટલે કે ૨૮મી જૂન, ૨૦૧૪ના રોજ ૬૦ વર્ષ પૂર્ણ થયાં. આ ૬૦ વર્ષમાં બન્ને દેશોના સંબંધોમાં ખટમીઠા અનુભવો છતાં નહેરુના વિચારો અને વ્યવહાર આદર્શ ઠરે છે. ભારત-ચીને નહેરુ-નીતિ અપનાવવી જ રહી

મહાત્મા ગાંધીએ એક વાર કહેલું, "હું એ દિવસની આકાંક્ષા કરું છું જ્યારે એક આઝાદ ચીન અને એક આઝાદ ભારત એશિયાની ભલાઈ તેમ જ વિશ્વની ભલાઈ માટે સહયોગ અને મૈત્રી સાથે હળીમળીને કામ કરશે." ભારતને આઝાદી મળી અને બીજી તરફ ચીન પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનામાં ફેરવાયું ત્યાર બાદ ગાંધીજીના આશાવાદને સાચો ઠેરવવા માટે તેમના રાજકીય વારસ એવા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ ઘણી મથામણ કરેલી. નહેરુ એક સ્વપ્નશીલ અને આદર્શવાદી સ્ટેટ્સમેન (રાજપુરુષ) હતા. નહેરુએ વૈશ્વિક દૃષ્ટિના પરિપાક રૂપ ચીન સાથેના સંબંધોને સમૃદ્ધ બનાવવા માટે 'પંચશીલ' નીતિ વિકસાવી હતી, જેને ચીનના તત્કાલીન નેતૃત્વની સ્વીકૃતિ પણ મળી હતી.

૧૯૫૪માં ચીનના વડાપ્રધાન ચાઉ એન લાઇ ચાર દિવસીય ભારત પ્રવાસે આવ્યા હતા. યાત્રાના અંતે ૨૮ જૂન, ૧૯૫૪ના રોજ સંયુક્ત નિવેદનમાં ભારત અને ચીને પાંચ સિદ્ધાંતોનું (જે પંચશીલ તરીકે વિખ્યાત થયા) પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પંચશીલ શબ્દ મૂળભૂત રીતે બૌદ્ધ ધર્મનો શબ્દ છે. ભારત અને ચીનને જોડતી એક મજબૂત કડી હોય તો એ ભગવાન બુદ્ધ અને બૌદ્ધ ધર્મ છે. બૌદ્ધ ધર્મમાં પાંચ સિદ્ધાંતો છે – હત્યા ન કરવી, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, અસત્ય ન બોલવું અને મદ્યપાન ન કરવું. આ પાંચ સિદ્ધાંતો પંચશીલ તરીકે જાણીતા છે. નહેરુએ આ પાંચ બૌદ્ધ સિદ્ધાંતોના આધારે જ બે દેશો વચ્ચે શાંતિ અને સહયોગ ટકાવી રાખવા માટે જરૂરી પાંચ સિદ્ધાંતો તારવ્યા હતા અને તેનું નામ પણ પંચશીલ આપ્યું હતું. નહેરુ અને ચાઉ એન લાઇ વચ્ચે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે થયેલા પંચશીલ કરારના એ પાંચ સિદ્ધાંતો જોઈએ ઃ

૧, એકબીજાની પ્રાદેશિક અખંડતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું.

૨, એકબીજા વિરુદ્ધ આક્રમક કાર્યવાહી ન કરવી. 

૩, એકબીજાની આંતરિક બાબતોમાં દખલ ન કરવી.

૪, સમાનતા અને પરસ્પર ભલાઈની નીતિનું પાલન કરવું અને

૫, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની નીતિમાં વિશ્વાસ રાખવો.

વિશ્વશાંતિ માટે મથનારા નહેરુ માનતા હતા કે આ પાંચ સિદ્ધાંતો વિશ્વશાંતિ અને સહયોગની આધારશિલા બની શકે છે. બે બે વિશ્વયુદ્ધો જોઈ ચૂકેલા દુનિયાના દેશોને પંચશીલમાં આસ્થા બેઠી હતી. પંચશીલને કારણે વિશ્વ રાજકારણમાં એક નવા અધ્યાયનાં મંડાણ થયાં હતાં. દુનિયાના અનેક દેશોએ પંચશીલના પાંચ સિદ્ધાંતોને પોતાની વિદેશનીતિમાં અપનાવ્યા હતા.

ચીન સાથેના પંચશીલ કરાર પછી ભારતની વિદેશનીતિમાં પંચશીલ સિદ્ધાંતો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા હતા. સોવિયત રશિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, લંકા, થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, તુર્કી વગેરે દેશો સાથેના સંબંધોનો આધાર પંચશીલ સિદ્ધાંતો રહ્યા છે. અરે, લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાન સાથે કરેલા તાશ્કંદ કરાર પણ પંચશીલના સિદ્ધાંતો પર જ આધારિત છે.

ભારત-ચીન પંચશીલના બંધને બંધાયા પછી 'હિંદી-ચીની ભાઈ ભાઈ'નો નારો ગુંજવા માંડયો હતો. જો કે, નર્યા આદર્શવાદ આધારિત દ્વિપક્ષીય કરાર કેટલા પોકળ પુરવાર થઈ શકે, એનું ભાન નહેરુ અને સમગ્ર દેશને ૧૯૬૨માં ચીન આપણી સામે યુદ્ધે ચડયું ત્યારે થયું હતું. ચીને ભારતનો વિશ્વાસઘાત કર્યો હતો. પંચશીલ મામલે નહેરુ પર આજ દિન સુધી માછલાં ધોવાતાં રહ્યાં છે, પ્રતિદલીલોમાં તથ્યાંશ હશે, છતાં ચીન સાથે આજે જે કંઈ સંબંધો છે, તેના પાયામાં નહેરુની પંચશીલ નીતિ જ રહેલી છે, તે વાસ્તવિકતા છે.

પંચશીલને ઘોળીને પી જનારું ચીન પોતે આજે પંચશીલના છ દાયકાની ઉજવણી કરી રહ્યું છે. આપણા ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીને એ ઉજવણી માટે ખાસ નિમંત્ર્યા છે, ત્યારે તેમાં શું નહેરુની નીતિનો વિજય નથી?

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : લેખકની ‘સમય સંકેત’ નામક સાપ્તાહિક કટાર, “સંદેશ”, June 29, 2014

Loading

મેઝરિંગ મોદી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|29 June 2014

નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આ એક મહિનામાં એણે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો ને આપેલા સંકેતો ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે

કોઈ ચિત્રકાર ચિત્ર દોરવાનો આરંભ કરે ત્યારે કૅન્વાસ પર જે બિંદુઓ માંડે કે રેખાઓ દોરે એને આધારે કહેવું મુશ્કેલ હોય છે કે અંતે ચિત્ર કેવું બનશે. બીજી બાજુ જ્યારે ચિત્ર પૂરું થાય છે ત્યારે એ ચિત્રમાં પહેલા દિવસે માંડેલાં બિન્દુઓનો અને રેખાંકનોનો ફાળો હોય છે. ચિત્ર દોરવાની સમગ્ર પ્રક્રિયા દરમ્યાન માંડેલાં બિન્દુઓ, રેખાંકનો અને વાપરેલા રંગોનો સરવાળો એટલે એ ચિત્ર હોય છે. આ વાત દેશમાં નવા શરૂ થયેલા શાસનપવર્‍ને પણ લાગુ પડે છે. નરેન્દ્ર મોદીની સરકારે હજી તો મહિનો જ પૂરો કર્યો છે ત્યારે એનું મૂલ્યાંકન કરવું અઘરું છે અને કરવું પણ ન જોઈએ. આમ છતાંય ચિત્રકારે માંડેલાં બિન્દુઓ અને દોરેલી રેખાઓની માફક આ એક મહિનામાં મોદીસરકારે લીધેલા નિર્ણયો, કરેલાં નિવેદનો અને આપેલા સંકેતો કુલ ચિત્ર કેવું હશે એ આગળ જતાં સમજવામાં ઉપયોગી થશે. પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં કળાય છે એવી કહેવત ધ્યાનમાં રાખવા જેવી છે.



મારા PCમાં મેઝરિંગ મોદી નામની એક ફાઇલ છે જેમાં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ ત્યારથી સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને વડા પ્રધાન કે સિનિયર પ્રધાનો દ્વારા કરવામાં આવેલાં મહત્વનાં નિવેદનોની એમાં નોધ છે. નોંધના બે વિભાગ છે; પૉઝિટિવ અને નેગેટિવ. જે કામ, નિવેદન કે સંકેતમાં મને દેશનું હિત દેખાય છે એને હું પૉઝિટિવ કૉલમમાં નોંધું છું અને જેમાં મને દેશહિત નજરે નથી પડતું એને હું નેગેટિવ કૉલમમાં ખતવું છું. આગળ કહ્યું એમ સરકારના મૂલ્યાંકનનો આ સમય નથી, પણ ચિત્રકારના ચિત્રની જેમ સરકારની દિશા વિશે આછો સંકેત તો મળે છે. અહીં એ નોંધ કોઈ પણ પ્રકારની ટીકા-ટિપ્પણ વિના વિગતે આપી છ., જોઈ જુઓ તમારા મનમાં કેવી છાપ પડે છે. 



૧.    સંસદનાં બન્ને ગૃહોમાં આપેલા મંગળ પ્રવચનમાં કોઈ પણ પ્રકારની સંકુચિત વાત કરવામાં નહોતી આવી.



૨.    સંસદમાં નરેન્દ્ર મોદીએ આપેલું તેમનું પહેલું ભાષણ જવાહરલાલ નેહરુની યાદ અપાવે એવું ઉદાર હતું. 



૩.    વડા પ્રધાનપદની સોગંદવિધિમાં SAARC દેશોના નેતાઓને બોલાવ્યા અને દરેક સાથે અંગત મંત્રણા કરી.



૪.    નાના પ્રધાનમંડળની રચના.



૫.    નિર્ણયપ્રક્રિયામાં વિલંબ કરનારી ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવાનો રિવાજ પડતો મૂક્યો. 



૬.    અમલદારો સાથે લાંબી બઠક કરી. તેમને ઝડપી નિર્ણયો લેવાની સલાહ આપી, નિર્ણયની જવાબદારી સરકારની રહેશે એવો સધિયારો આપ્યો. કયા નકામા કાલબાહ્ય કાયદાઓ રદ કરવા જેવા છે એની વિગતો માગી અને ગમે ત્યારે વડા પ્રધાનનો સંપર્ક કરી શકાય એ માટે અંગત મોબાઇલ નંબર અને ઈ-મેઇલ ID આપ્યાં.



૭.    સરકારી ખર્ચે અંગત મદદનીશ તરીકે સગાઓની નિમણૂક નહીં કરવાનો પ્રધાનોને આદેશ આપ્યો.



૮.    રિઝર્વ બૅન્કના ગવર્નરને તેમના હોદ્દા પર ચાલુ રાખ્યા.



૯.    ઝડપી નિર્ણયો લેવા એવી એપોઇન્ટમેન્ટ કમિટી બનાવવામાં આવી છે જેમાં બે જ વ્યક્તિનો સમાવેશ થાય છે; વડા પ્રધાન અને ગૃહપ્રધાન.



૧૦.    ગોવાના પ્રધાનોને ફૂટબૉલની મૅચ જોવા વિદેશ જતા રોક્યા.



૧૧.    ભુતાનની સફળ યાત્રા.



મારી દૃષ્ટિએ નેગેટિવ સાઇડ પર આટલી બાબતો છે :



૧.    એકંદરે નબળું પ્રધાનમંડળ અને સ્મૃતિ ઈરાનીને માનવ સંસાધન પ્રધાન બનાવ્યાં.



૨.    નાણાપ્રધાન અરુણ જેટલી અર્થશાસ્ત્રની જાણકારી નથી ધરાવતા.



૩.    આર્ટિકલ ૩૭૦નો વિવાદ.



૪.    આગલી સરકારના પ્રધાનોના અંગત મદદનીશોને મદદનીશ તરીકે ચાલુ નહીં રાખવાનો પ્રધાનોને આદેશ.



૫.    કૉન્ગ્રેસના લોકસભા પક્ષના નેતાને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો ન આપવામાં આવ્યો.



૬.    UPA સરકાર દ્વારા નિયુક્ત ગવર્નરોને રાજીનામાં આપવાનું આપવામાં આવેલું સૂચન.



૭.    પોતાના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મિશ્રાની નિમણૂક કરવા વટહુકમ બહાર પડાવ્યો.



૮.    NGO વિકાસમાં અવરોધ પેદા કરે છે એવો ગુપ્ત રિપોર્ટ IB પાસે તૈયાર કરાવ્યો.



૯.    જનરલ વી. કે. સિંહે નવા લશ્કરી વડા પર આરોપ કરીને તેમના જાણીતા દ્વેષ અને દોઢડહાપણનું પ્રદર્શન.



૧૦.    રેલવેમાં વિચાર્યા વિનાનો ભાડાવધારો અને એ પણ પાછલે બારણેથી, જ્યારે લોકસભામાં રેગ્યુલર બજેટ દસ દિવસ પછી પેશ થવાનું હતું. 



૧૧.    જાણીતા ધારાશાસ્ત્રી ગોપાલ સુબ્રમણ્યમને સુપ્રીમ કોર્ટના જજ થતા અટકાવ્યા, કારણ કે તેમને કારણે ગુજરાત સરકાર અને અમિત શાહ મુશ્કેલીમાં મુકાયા હતા.



૧૨.    દિલ્હી યુનિવર્સિટીના શૈક્ષણિક સુધારાઓને એક વર્ષ પછી અટકાવવામાં આવી રહ્યા છે જેને વર્ષ પહેલાં UGCએ માન્યતા આપી હતી. 



૧૩.    ભુતાનમાં ત્યાંની સંસદને સંબોધતાં ત્રણ વખત ભુતાનની જગ્યાએ બીજા દેશોનો ભૂલમાં ઉલ્લેખ કરીને ભાંગરો વાટ્યો. વિદેશી બાબતોમાં દરેક નેતા હંમેશાં લેખિત ભાષણ કે નિવેદન વાંચે છે, પછી ભલે ગમે એવો મોટો વક્તા હોય. 



૧૪.    મુંબઈમાં CBIની અદાલતમાં હાજર નહીં રહેવા માટે જજ જે. ટી. ઉત્પલે અમિત શાહની ટીકા કરી એના બીજા દિવસે જ જજ ઉત્પલની બદલી કરવામાં આવી.



૧૫.    આજ સુધી પૉલિસી સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું નથી, જે વાત વડા પ્રધાને કરી છે એ  વિશલિસ્ટ છે. 

તો આ છે મહિનાની કામગીરી. વિચારી જુઓ કોઈ ચિત્રનો આછો અંદાજ મળે છે?

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’, “ગુજરાતી મિડ-ડે”, 27 જૂન 2014

Loading

...102030...4,0754,0764,0774,078...4,0904,1004,110...

Search by

Opinion

  • મોદી સરકારની મજબૂત છબિ ભૂંસાઈ રહી છે?
  • ફાધર્સ ડે પર પિતાને આપો એક સ્મિત, એક સ્પર્શ, એક આલિંગન  
  • ધાનનો ત્યાગ એટલે ‘પ્રધાન’નું ત્યાગપત્ર !?
  • મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો – લેટ્સ સેલિબ્રેટ વર્લ્ડ સોન્ટરિંગ ડે 
  • કોકરોચ અને મંત્રીઃ બૅરિકેડની બીજી તરફ પહોંચતાં જવાબદારી કેમ ભુલાઈ જાય છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ
  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved