Opinion Magazine
Number of visits: 9557150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈને ય મોક્ષ જોઈતો નથી, સત્તા જોઈએ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 December 2024

રમેશ ઓઝા

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે “આખો દિવસ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર કરો છો, તેની જગ્યાએ જો ભગવાનનું નામ લીધું હોત તો મોક્ષ મળત.”

આના પ્રતિવાદમાં એમ કહી શકાય કે આખો દિવસ અને આખી જિંદગી મુસલમાન મુસલમાન મુસલમાન મુસલમાન કરો છો તેની જગ્યાએ જો ઈશ્વરનું નામ લીધું હોત તો માણસ તરીકેનું આયખું સાર્થક થાત અને મોક્ષ મળત.

પણ બંનેમાંથી કોઈને ય મોક્ષ જોઈતો નથી, બંનેને સત્તા જોઈએ છે. એક સત્તા સારુ આંબેડકર આંબેડકર કરે છે અને બીજા સત્તા સારુ મુસલમાન મુસલમાન કરે છે. બી.જે.પી. વિશેની સર્વસાધારણ ઈમેજ એવી છે કે તે સવર્ણોનો સવર્ણોનાં હિત માટેનો પક્ષ છે જે મનુસ્મૃતિ આધારિત બ્રાહ્મણી મUલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. તે બહુજન સમાજ, દલિત, સ્ત્રીઓ અને ગૈરહિંદુઓ વિરોધી વિચાર ધરાવે છે. ભારતનું બંધારણ ભેદભાવ વિના દરેકને સમાન સ્થાન અને સમાન અવસર આપે છે એ તેમને માટે તેમની કલ્પનાના ભારતની રચના કરવામાં આડે આવે છે, એટલે તેઓ તેને બદલવા માગે છે. જ્યાં સુધી સહિયારા ભારતની બાંયધરી આપનારા વર્તમાન બંધારણને ખતમ કરવામાં ન આવે ત્યાં સુધી હિંદુ સવર્ણોની સર્વોપરિતાવાળા બંધારણીય હિંદુ ભારતનું નિર્માણ કરવું શક્ય નથી. ટૂંકમાં તેમના હાથમાં ભારતનું બંધારણ સુરક્ષિત નથી અને માટે તેઓ આંબેડકર વિરોધી છે. વિરોધ પક્ષો બી.જે.પી.ની આ જે ઈમેજ છે તેને વટાવી ખાવા માગે છે. બંધારણ ખતરે મેં હૈ અને માટે તેઓ આંબેડકર આંબેડકર કરે છે.

બી.જે.પી.ને ખબર છે કે જ્ઞાતિગ્રસ્ત વિભાજીત હિંદુ સમાજને સંગઠિત કરવો હોય તો તેને કોઈકનો ડર બતાવવો જરૂરી છે અને મુસલમાન હિંદુઓને ડરાવવા માટેની હાથવગી કોમ છે. આમ તો હિંદુ શૂરવીર છે, તેનો ઇતિહાસ શૌર્યથી છલકાય છે, પણ મુસલમાનોથી ડરે છે. મુસલમાનોએ શૂરવીર હિંદુઓને ભૂતકાળમાં સતાવ્યા છે તેને યાદ કરીને તેઓ માતમ કરે છે. તેમને એક એવા હિંદુની જરૂર છે જે ટોળાંમાં દુ:શ્મનને લલકારે, પણ એકલો ડરે. ટોળાંમાં ગર્જના કરે, પણ એકલો રડે. અંગ્રેજીમાં કહીએ તો તેઓ બાયપોલાર ડિસઓર્ડર ધરાવતો હિંદુ પેદા કરી રહ્યા છે. તેઓ હિંદુઓની કુસેવા કરી રહ્યા છે, પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેમને હિંદુ સાથે કોઈ લેવાદેવા નથી, તેમને તો માત્ર સત્તા જોઈએ છે.

ટૂંકમાં એક બંધારણ બચાવવાના નામે આંબેડકરનો ઉપયોગ કરે છે અને બીજા મુસલમાનોનો ડર બતાવીને હિંદુનો ઉપયોગ કરી રહ્યા છે.

આંબેડકર એટલે બંધારણ અને બંધારણ એટલે આંબેડકર એવું સમીકરણ તેમ જ સરળીકરણ બંધારણીય મૂલ્યોની અને ભારતની કલ્પનાની વિરુદ્ધ છે. ભારત વિશેની કલ્પના રાજા રામમોહન રોયથી લઈને દોઢસો વરસમાં ક્રમશઃ વિકસી હતી, જેને બંધારણમાં લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું હતું. એની પૃષ્ઠભૂમિમાં વેદો ઉપનિષદો, શ્રમણદર્શન, નાસ્તિક પરંપરા, મધ્યકાલીન સંતો અને સૂફીઓ, ન્યાય અને સમાનતા જેવાં પાશ્ચાત્ય મૂલ્યો, અંગ્રેજોએ વિકસાવેલું ન્યાયતંત્ર તેમ જ વહીવટીતંત્ર, આધુનિક  રાજ્યવ્યવસ્થા વગેરેનો પણ ફાળો હતો. આ સિવાય મહાત્મા ફૂલે, ડૉ. આંબેડકર પોતે, પેરિયાર રામસ્વામી નાયકર જેવા અસંમતિના અવાજોનો પણ ફાળો હતો. દોઢસો વરસ વલોણું ચાલ્યું હતું, વૈચારિક અને જમીન પર સંઘર્ષો અને અથડામણો થઈ હતી અને તે ત્યાં સુધી કે અંગ્રેજો ભારતીય નેતાઓને ટોણો મારતા હતા કે આઝાદી માગતા પહેલાં એકતા સાધી આવો અને એક અવાજમાં આઝાદ ભારતની કલ્પના માંડો.

પણ આ થયું, કારણ કે તેની પાછળ દોઢસો વરસનું વલોણું હતું. દોઢસો વરસ સુધી સામસામે રવાઈઓ તાણીને ઘમઘમાટ ચાલે અને નવનીત ન નીકળે એવું બને ખરું? એ નવનીત એટલે ભારતનું બંધારણ. એ કોઈ એક વ્યક્તિએ ઘરમાં બેસીને રચ્યું નથી જે રીતે આઇવર જેનિંગે શ્રીલંકા(ત્યારે સિલોન)નું બંધારણ ઘડ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ સર જેનિંગે ઘડેલું બંધારણ ૧૪ વરસ પણ નહોતું ટક્યું, શ્રીલંકાનાં શાસકોએ તેને રદ્દ કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવાનું કામ સર જેનિંગને સોંપવું જોઈએ એવું સૂચન પણ કરવામાં આવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં નહોતો આવ્યો. દોઢસો વરસ સુધી જેણે રવાઈ તાણી હોય અને હાથમાં ફોલ્લા પાડ્યા હોય તે પોતાનું બંધારણ ન ઘડી શકે? બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા દેશોમાંથી કેટલાક દેશો બંધારણ ઘડી જ શક્યા નથી અને જેણે ઘડ્યું એ ટકાવી શક્યા નહીં એનું કારણ મુક્ત વલોણાનો અભાવ હતો. એ વલોણામાં હિંદુહિતના ઠેકેદારોએ ભાગ નહોતો લીધો. દૂરદૂર સુધી તેઓ નજરે નહોતા પડતા. એવું નથી કે તેઓ અસ્તિત્વ નહોતા ધરાવતા, કાનાફૂસી તો ચાલુ જ હતી. બાયપોલર ડિસઓર્ડર ધરાવતા હિંદુને પેદા કરવાની પ્રવૃત્તિ તેઓ કરતા હતા, પણ ખુલ્લા વિમર્શમાં ક્યાં ય નજરે નહોતા પડતા.

તો વાતનો સાર એ કે ભારતનું બંધારણ દોઢસો વરસ લાંબા મંથનનું પરિણામ છે, લેખિત સ્વરૂપ છે. એનાં જુદાંજુદાં અંગોનો ચોક્કસ ઘાટ ઘડવા માટે બંધારણસભાના સભ્યોમાંથી ખાસ સમજણ અથવા ખાસ હિત ધરાવતા લોકોની પેટા સમિતિઓ રચવામાં આવી હતી. એ પેટા સમિતિઓમાં જુદાં જુદાં અંગોનો ઘાટ ઘડાતો જતો હતો તેમ તેને મુસદ્દા સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) લેખિત રૂપ આપતી હતી. એ લેખિત મુસદ્દો બંધારણસભામાં રજૂ કરવામાં આવતો હતો, તેના પર ચર્ચા થતી હતી, સુધારા સૂચવવામાં આવતા હતા અને મંજૂરી આપવામાં આવતી હતી. ટૂંકમાં ભારતનું બંધારણ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી. દોઢસો વરસના મંથન પછી નિકળેલા નવનીતને એક પ્રક્રિયા દ્વારા આપવામાં આવેલું લેખિત સ્વરૂપ છે.

બંધારણ સભાના અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદને ભંધારણનો મુસદ્દો સુપરત કરતા બંધારણ સમતિના વડ બીમરાવ આંબેડકર

પણ ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં બે ફાયદા છે. એક તો જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, મૌલાના આઝાદ, ડૉ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપાલાની જેવા કાઁગ્રેસીઓના ફાળાને ભૂલાવી શકાય અને દલિતો રાજી થાય. ડૉ આંબેડકરને બંધારણના શિલ્પકાર તરીકે સ્થાપિત કરવામાં દલિતો કરતાં હિન્દુત્વવાદીઓ વધારે અગ્રેસર હતા. સરદારની જેમ આંબેડકરને પાંખમાં લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.

પણ હવે તેમની સામે સમસ્યા પેદા થઈ છે. બંધારણના રચયિતા આંબેડકર છે અને આંબેડકરે રચેલું બંધારણ સહિયારા ભારતનું છે જે તેમને ખપનું નથી. આ બાજુ દલિતોએ અને અન્ય પછાત સમાજોએ પણ ભારતનાં બંધારણને આંબેડકર રચિત બંધારણ માની લીધું છે એટલે તેઓ તેને હાથ લગાડવા દેતા નથી. વિરોધ પક્ષો આ જાણે છે એટલે તેઓ પણ ડૉ આંબેડકરનું બંધારણ ખતરામાં છે એવો શોરબકોર કરી રહ્યા છે.

આ સત્તા માટેની રમત છે, બંધારણ માટેની નથી. જો સહિયારા ભારતની કલ્પનાને સ્વીકારનારા દેશના મધ્યમમાર્ગી પક્ષોએ બંધારણ નિષ્ઠા બતાવી હોત તો આજે તેમને અને દેશને જે દિવસો જોવા મળી રહ્યા છે તે જોવાનો વારો ન આવ્યો હોત.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—268

દીપક મહેતા|Opinion - Opinion|21 December 2024

તાતા સ્ટીલ: આફત આવે છે ત્યારે એકલી નથી આવતી  

કવિ કલાપીએ ભલે ગયું હોય કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પણ ઉદ્યોગ-ધંધા માટે તો ઘણી વાર એનાથી ઊલટું બનતું હોય છે : ‘જે મારતું તે પોષતું, એવો દીસે ક્રમ કુદરતી.’ પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સલ્તનતને જરૂરી માલસામાન પૂરો પાડવા માટે આપણા દેશનાં કારખાનાં રાત-દિવસ ધમધમતાં હતાં. પણ ૧૯૧૮ના નવેમ્બરની ૧૧મી તારીખે પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું. અને માત્ર હિન્દુસ્તાનમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં રાતોરાત કેટલાંયે કારખાનાં બંધ થવા લાગ્યાં. મજૂરો બેકાર થવા લાગ્યા. લાખો સૈનિકો યુદ્ધના મેદાન પરથી પોતપોતાને દેશ પાછા ફરવા લાગ્યા. અને પાછા ફર્યા પછી બેકાર બનવા લાગ્યા. ૧૯૧૮માં અમેરિકામાં સૈનિકોની સંખ્યા હતી ૨૯ લાખ. ૧૯૧૯મા તેમાંથી સૈનિક તરીકેની નોકરી પર રહ્યા ૧૫ લાખ. અને ૧૯૨૦માં તો એ આંકડો ઘટીને થયો ૩.૮ લાખ. મોંઘવારી વધવા લાગી. અને આજની ભાષામાં કહીએ તો અનેક દેશો reseesionમાં સપડાયા. 

પહેલા વિશ્વયુદ્ધ પછી સ્વદેશ પાછા ફરેલા અમેરિકન સૈનિકો

હિન્દુતાનના ધંધા-ઉદ્યોગોને પણ ઝાળ લાગી. જમશેદપુરમાં પણ મજૂરોના વિરોધનો ગણગણાટ શરૂ થયો. લડાઈ દરમ્યાન ટ્રેનના પાટા અને બીજો લોખંડી સરંજામ પૂરો પાડવાનું કામ રાતદિવસ ચાલતું હતું તે એકાએક બંધ. 

આફત આવે છે ત્યારે એકલી નથી આવતી. ગ્રેટ બ્રિટન પછી તાતા સ્ટીલનો બીજો મોટો ઘરાક દેશ હતો જાપાન. ૧૯૨૩ના સપ્ટેમ્બરની પહેલી તારીખે જાપાનમાં ભયંકર ભૂકંપ થયો. લગભગ દોઢ લાખ લોકોએ જાન ગુમાવ્યો. ઉદ્યોગ-ધંધા, કારખાનાં ઢળી પડ્યાં. અર્થતંત્ર ખાડે ગયું. પોલાદની આયાત લગભગ બંધ. કોઈ લેવાવાળું ન હોય તો તાતાના કારખાનામાં પોલાદ બનાવ્યે રાખીને ફાયદો શું? પણ ઉત્પાદન બંધ થાય, વેચાણ ન જેવું થાય, તો મજૂરોને દર મહીને પગાર ચૂકવવો કઈ રીતે? ચાલો, બેંક પાસેથી લોન લઈને પગાર ચૂકવીએ. વર્ષોથી ઈમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા (આજની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) સાથે તાતા સ્ટીલને સારો સંબંધ. પણ આવા કપરા કાળમાં એ બેન્કે પણ લોન આપવાની ના પાડી દીધી! મજૂરોમાં અને લોકોમાં અફવા ઊડી કે તાતા સ્ટીલ દેવાળું કાઢીને બંધ થાય છે.

પછી દોરાબજીએ બાજી પોતાના હાથમાં લીધી. પોતાની અંગત માલિકીની મિલકત વેચવા માંડી. પત્ની મેહેરબાઈને પોતાના દાગીના, ઝવેરાત, વગેરે ગીરવે મૂકવા સમજાવ્યાં. આ બધું કરીને એક કરોડ રૂપિયા (એ જમાનાના એક કરોડ એટલે આજના કેટલા?) તો ય હજી બીજા એક કરોડ ખૂટતા હતા. અને ત્યારે મદદે આવ્યા ગ્વાલિયરના મહારાજા. એમના દીવાન હતા એક પારસી, અવટંકે દિનશાહ. તાતા સ્ટીલની કંપની શરૂ થઈ ત્યારે પણ ગ્વાલિયરના મહારાજાએ તેના શેરમાં પોતાના પૈસા રોક્યા હતા. આ વખતે ખૂટતી રકમની લોન આ મહારાજાએ જ આપી. એ વખતે દોરાબજીના મનમાં એક જ વાત ઘુમરાયા કરતી હતી : કોઈ પણ મજૂરનો પગાર એક દિવસ પણ મોડો ન થવો જોઈએ. કાકા રતન (આર.ડી.) તાતા પણ ખભે ખભો મેળવીને ઊભા રહ્યા. ૧૯૨૪માં શેર હોલ્ડર્સની મીટિંગમાં કેટલાક શેર હોલ્ડરોએ જોરદાર માગણી કરી કે આવી ખોટમાં જતી અને લોન પર જીવતી કંપનીને વેચી નાખવી જોઈએ. આર.ડી. તાતા ઊભા થયા અને ત્રાડ પાડી કહ્યું : “હું જીવતો છું ત્યાં સુધી આ કંપની વેચવાની કોની મગદૂર છે?” અને પછી ટેબલ પર જોરથી મુઠ્ઠી પછાડી મીટિંગ છોડીને ચાલતા થયા. 

પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું તે પછી જે જે મુશ્કેલીઓ ઊભી થઈ એનો સામનો કરીને કંપનીનો શ્વાસ હજી તો માંડ બેઠો હતો. ત્યાં વળી નવી આફત. બીજા ઘણા દેશોની જેમ ગ્રેટ બ્રિટન પણ આર્થિક રીતે પાયમાલ થયું હતું. પોતાના ઉદ્યોગોને બેઠા કરવા સરકારે ઠરાવ્યું કે જે જણસ દેશમાંથી જ મળતી હોય તે પરદેશથી મગાવવી નહિ. એ વખતે આર.ડી. તાતાના બે મિત્રો મદદે આવ્યા. તેમાંના એક તે પંડિત જવાહરલાલ નેહરુ અને બીજા તે મહમ્મદઅલી ઝીણા. બંને આર.ડી. તાતાના મિત્રો. તેમણે ગ્રેટ બ્રિટનની સરકારને સમજાવી કે હિન્દુસ્તાનના ઉદ્યોગો પડી ભાંગશે તો છેવટે નુકસાન તો તમને જ થશે. એટલે ગ્રેટ બ્રિટનથી હિન્દુસ્તાન થતી નિકાસ પર ડ્યૂટી નાખો. અને કોણ જાણે કેમ, બ્રિટિશ સરકારને ગળે આ વાત ઊતરી ગઈ. 

બહારની આફત ટળી ત્યાં અંદરની આફત ઊભી થઈ. એ વખતે તાતા સ્ટીલમાં ૫૫ હજાર મજૂરો કામ કરતા હતા. તેમાંના ૨૩ હજાર ખાણોમાં કામ કરે. આ બધા કામદારોએ ભેગા મળીને યુનિયન બનાવ્યું, અને જાતજાતની માગણીઓ કરવા લાગ્યા. ગાંધીજીના નિકટના સાથી દિનબંધુ સી.એફ. એન્ડ્રુઝ આ યુનિયનના પહેલા સેક્રેટરી બન્યા. બીજી બાજુ સુભાષ ચંદ્ર બોઝે પણ તાતા સ્ટીલનો વિરોધ શરૂ કર્યો. એમની મુખ્ય ફરિયાદ એ હતી કે કંપની ઊંચા હોદ્દાઓ પર પરદેશીઓની જ નિમણૂક કરે છે. ‘દેશી’ઓને એવી તક આપતી નથી. વખત જતાં બોઝ પોતે સેક્રેટરી બન્યા. એક બાજુથી ડાબેરીઓ અને બીજી બાજુથી અસામાજિક તત્ત્વો કંપનીને રોજેરોજ પજવવા લાગ્યાં. જમશેદપુરનો ચરુ ઉકળવા લાગ્યો. 

‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. (રતન) તાતાને ગાંધીજીએ આપેલી અંજલી

અને ત્યારે વહારે ધાયા મહાત્મા ગાંધી પોતે. મોટા ઉદ્યોગોના વિરોધી હોવા છતાં ગાંધીજીને જમશેદજી તાતા માટે ઘણું માન. કારણ જમશેદજી ‘સ્વદેશી’ના હિમાયતી હતા. જમશેદજીના અવસાન પછી ગાંધીજીએ તેમના સામયિક ‘ઇન્ડિયન ઓપિનિયન’માં લખેલું : “જમશેદજી જે કોઈ કામ કરતા તે પૂરેપૂરા નિ:સ્વાર્થ ભાવે કરતા. સરકારી માન કે ખિતાબોની અપેક્ષા તેમણે કદી રાખી નહોતી. તેઓ જ્યારે સખાવત કરતા ત્યારે ન્યાત-જાત-ધર્મ, કશાયનો ભેદભાવ મનમાં ન રાખતા. ધનવાન હોવા છતાં તેમનું જીવન સાદું અને પવિત્ર હતું. હિન્દુસ્તાનને આવા બીજા ઘણા ‘તાતા’ની જરૂર છે.”

જમશેદપુરમાં ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ

જમશેદપુરમાં ભાષણ કરતા ગાંધીજી

દોરાબજીના ભાઈ આર.ડી. તાતા સાથે પણ ગાંધીજીને સારા સંબંધો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ગાંધીજીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ અખબારને અને સત્યાગ્રહની ચળવળને મદદ કરવા માટે આર.ડી. તાતાએ ૨૫ હજાર રૂપિયાના પાંચ હપ્તે સવા લાખ રૂપિયા (એ વખતના, હોં!)ની મદદ કરી હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકા હતા ત્યારે તેમને હિન્દુસ્તાનથી દાન મોકલનારા આર.ડી. તાતા પહેલા હતા. આ દાનનો બીજો હપતો મળ્યા પછી ગાંધીજીએ ‘ઇન્ડિયન ઓપીનિયન’માં આર.ડી. તાતાની પ્રશંસા કરતો લેખ પણ લખ્યો હતો. તાતા સ્ટીલના મજૂરો અને તાતા ગ્રૂપ વચ્ચે સમજૂતી સાધવાના ઈરાદે ગાંધીજી ૧૯૨૪માં જમશેદપુર આવ્યા. પછીથી આઝાદ હિન્દુસ્તાનના પહેલા પ્રમુખ બન્યા તે બાબુ રાજેન્દ્ર પ્રસાદ મૂળ બિહારના. એટલે ગાંધીજીએ તેમને પણ સાથે લીધા. પહેલાં તેમણે સ્ટીલ ફેક્ટરીની મુલાકાત લીધી. થોડાક મજૂરો સાથે વાતચીત કરી. પછી કંપનીના ડિરેક્ટરના બંગલે આર.ડી. તાતા અને બીજા કેટલાક અધિકારીઓ સાથે ગાંધીજીએ વાટાઘાટ કરી અને મજૂરોની મુખ્ય ત્રણ માગણીઓ અંગે સમાધાન કરાવ્યું. સાંજે ટીસ્કો ઇન્સ્ટિટ્યૂટ પાછળ આવેલા મેદાનમાં લગભગ વીસ હજાર મજૂરોની મેદની આગળ ભાષણ કર્યું. ભાષણને અંતે ગાંધીજીએ કહ્યું : “તમે સૌ જ્યારે તાતાની સેવા કરો છો ત્યારે સાથોસાથ આપણા દેશની પણ સેવા કરો છો. કારણ આ કોઈ સામાન્ય કારખાનું નથી. તમે અહીં દેશસેવાનું વધુ ઊંચું અને મહત્ત્વનું કામ કરી રહ્યા છો.”

*

વેણીભાઈ પુરોહિતના એક કાવ્યની શરૂઆત આમ થાય છે :

ખજૂરની કવિતા કહો તો લખી દઉં,

મજૂરની કવિતા મારાથી લખાય ના.

પણ આપણે તો આજે હિંમત કરીને કવિતા નહિ, તો મજૂરોની થોડી વાત લખી નાખી. હવે પછી વાત કરશું પરીકથા જેવી એક ઘટનાની, જે અલબત્ત, તાતા કુટુંબમાં બની હતી.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 ડિસેમ્બર 2024

Loading

એકતા વિનાનાં ટોળાં ‘મેનપાવર’ નથી હોતાં : લોહપુરુષનું લોખંડી વિધાન

સોનલ પરીખ|Opinion - Opinion|21 December 2024

·       સ્વતંત્રતા મળ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ આવતી નથી

·       લોઢું ભલે ગરમ થાય, હથોડો તો ઠંડો જ રહે છે

·       આપણે સૌ એક જ દેશના સંતાન છીએ. પરસ્પર સૌહાર્દ અને સંપના પાયા જ પર આપણે આપણી નિયતિનું સર્જન કરી શકીશું. એકતા વિનાનાં ટોળાં “મેનપાવર” નથી બનતા

— સરદાર પટેલ

માર્ચ 29, 1949. ઑલ ઇન્ડિયા રેડિયોએ સમાચાર આપ્યા કે સરદાર પટેલને દિલ્હીથી જયપુર લઈ જઈ રહેલા વિમાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે. એ વિમાનમાં સરદાર પટેલ, તેમનાં પુત્રી મણિબહેન, સચિવ વી. શંકર અને જોધપુરના મહારાજા હતાં. અચાનક વિમાનનું એક ઍન્જિન કામ કરતું બંધ થઈ ગયું, રેડિયો પણ બંધ થઈ ગયો અને વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું.

સરદાર પટેલના સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા વી. શંકરે તેમની આત્મકથા ‘રેમિનિસન્સ’માં લખ્યું છે : ‘પટેલના હૃદય પર શું વીતી રહ્યું હશે એ તો હું ન કહી શકું, પણ તેઓ, જાણે કે કંઈ થતું જ ન હોય તેમ, શાંતિથી બેઠા હતા.’ ઉતરાણ પછી ઘટનાસ્થળે સૌથી પહેલાં પહોંચનાર કે.બી. લાલ નામના અધિકારીએ લખ્યું છે, ‘સરદાર વિમાનની ડિસમેન્ટલ થઈ ગયેલી ખુરશી પર બેઠા હતા. મેં તેમને કારમાં બેસવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે પહેલાં મારી ટીમના લોકો અને જોધપુરના મહારાજાને કારમાં બેસાડો.’ 15 ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથિ છે, એ નિમિત્તે એમને સ્મરણાંજલિ આપીએ.

અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારે શહેરના વિકાસમાં સિંહફાળો આપ્યો હતો. આઝાદી પછી મ્યુનિસિપાલિટીએ તેમનું નાગરિક સન્માન કર્યું. નાદુરસ્ત તબિયત છતાં આમંત્રણને માન આપી સરદાર અમદાવાદ ગયા અને એમને મળેલી પંદર લાખની રકમ શહેરના વિકાસ માટે અર્પણ કરી. અંગત અને જાહેર જીવનમાં સરદારના સરદારત્વના, એમના લોખંડી મનોબળના અને કર્મઠતાના અનેક દાખલા છે. ‘પટેલ – અ લાઇફ’માં રાજમોહન ગાંધીએ લખ્યું છે : ‘આઝાદ ભારતના શાસનતંત્રને કાયદેસરતા પ્રદાન કરવામાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિમૂર્તિએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.’ છતાં સરદારની ઉપેક્ષા થઈ છે એવું એમના સહિત એકથી વધારે ચરિત્રકારો-ઇતિહાસકારોએ નોંધ્યું છે. સરદારને ‘ભારતરત્ન’ પણ ઘણું મોડું – છેક 1991માં અપાયું હતું. (મહાત્મા ગાંધીને ‘ભારતરત્ન’ મળ્યું નથી) જો કે છેલ્લા દોઢેક દાયકામાં સરદાર પર ઘણું લખાયું અને ચર્ચાયું છે. એમને મહત્ત્વ પણ અપાયું છે જેમાં ઉચ્ચ કક્ષાએ રાજકીય ગંધનો અભાવ નથી, પણ એ દરેક વખતે ભારતના નાગરિકોએ સરદાર પ્રત્યે સાચા દિલનો અને છલોછલ સ્નેહ-આદર ઉમળકાથી વ્યક્ત કર્યો છે.

સરદાર પટેલની જીવનકથા ‘ધ મૅન હૂ સેવ્ડ ઇન્ડિયા’માં હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છે : ’ગાંધીની ઇમેજ એક અહિંસક, ચરખો ચલાવતા અને માનવીય લાગણીઓથી ઓતપ્રોત એવી વ્યક્તિની છે, નહેરુ કોટના બટનમાં લાલ ગુલાબ લગાવતા ચાચા નહેરુ છે. જ્યારે સરદાર પટેલના જીવનમાં કોઈ રોમાન્સ નથી. પોતાના વિશે અને પોતાની જરૂરિયાતો બાબતે સરદાર બહુ ઓછું જણાવે છે.’ રશિયન વડા પ્રધાન નિકોલાઈ બુલગાનિન રાજાઓને ખતમ કર્યા વિના રજવાડાંઓને વિખેરી નાખવાની સરદાર પટેલની સિદ્ધિ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી ગણાવે છે. પ્રશિયાના વડા પ્રધાન ઑટો વૉન બિસ્માર્કે જર્મન રાજ્યોનું એકીકરણ કર્યું, પણ તેમણે લોહી અને શસ્ત્રોનો માર્ગ પસંદ કર્યો. દસ વર્ષ અને ત્રણ યુદ્ધ પછી એમનું કાર્ય સિદ્ધ થયું જ્યારે સરદારે ઘણા ઓછા સમયમાં અને ‘બ્લડલેસ રિવોલ્યુશન’ના માર્ગે ભારતના સાડાપાંચસો રજવાડાંનું એકીકરણ કર્યું. એટલે જ અમુક અભ્યાસીઓને સરદાર અને બિસ્માર્કની સરખામણી પસંદ નથી. 

ભારતીય સૈન્યના નાયબ વડા અને આસામ તથા જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એસ.કે. સિન્હાએ તેમની આત્મકથા ‘ચેન્જિંગ ઇન્ડિયા – સ્ટ્રૅઈટ ફ્રૉમ હાર્ટ’માં એક કિસ્સો નોંધ્યો છે : એક વખત જનરલ કરિઅપ્પાને સંદેશો મળ્યો કે સરદાર પટેલ તેમને તાત્કાલિક મળવા ઈચ્છે છે. કરિઅપ્પા તરત કાશ્મીરથી દિલ્હી આવ્યા અને પાલમ એરપોર્ટથી સીધા સરદાર પટેલના ઘરે પહોંચ્યા. સરદારે તેમને એક જ સવાલ પૂછ્યો, ‘હૈદરાબાદ ઑપરેશન દરમિયાન પાકિસ્તાન તરફથી કોઈ પ્રતિક્રિયા આવશે તો વધારાની કોઈ મદદ વિના તમે તેનો સામનો કરી શકશો?’ કરિઅપ્પાએ કહ્યું, ‘હા.’ એસ.કે. સિન્હા લખે છે : ‘વાસ્તવમાં એ સમયના ભારતીય સૈન્યના વડા જનરલ બૂચર કાશ્મીરની પરિસ્થિતિને જોતાં હૈદરાબાદમાં કોઈ કાર્યવાહી કરવાના પક્ષમાં ન હતા. બીજી તરફ ઝીણા ઘમકી આપતા હતા કે ભારત હૈદરાબાદમાં હસ્તક્ષેપ કરશે તો બધા મુસ્લિમ દેશો તેની સામે ઊભા થઈ જશે. પણ કરિઅપ્પાના જવાબ પછી તરત જ સરદારે હૈદરાબાદમાં ઑપરેશન હાથ ધરવાનો આદેશ આપ્યો. એક સપ્તાહમાં હૈદરાબાદ ભારતનું એક અંગ હતું.’

નહેરુ અને પટેલે લગભગ એક જ સમયે પરદેશમાં વકીલાતનો અભ્યાસ કર્યો હતો, પણ એ દરમિયાન તેમની મુલાકાત થઈ હોય એમ લાગતું નથી. સરદાર પટેલને તેમના લંડન પ્રવાસ દરમિયાન પશ્ચિમી વસ્ત્રો ગમી ગયાં હતાં. પછીથી ગાંધીજીના સ્વદેશી આંદોલનથી પ્રભાવિત થઈ સરદારે ખાદીના ભારતીય શૈલીનાં વસ્ત્રો ધારણ કર્યાં. એ સમયે ખાદી વસ્ત્ર નહીં, વિચાર હતો. સરદાર દીકરી મણિબહેને કાંતેલી ખાદી જ પહેરતા. સરદારમાં ખેડૂત જેવી જીદ, બરછટપણું અને દરિયાદિલી હતાં. બે મહાન નેતાઓની સરખામણી કરવી યોગ્ય નથી, પણ એમના સમયથી આજ સુધી સરદાર અને નહેરુ વચ્ચે સરખામણી થતી જ રહી છે. લૉર્ડ માઉન્ટબેટન કહેતા, ‘સરદાર પટેલ જમીન સાથે જોડાયેલા છે, નહેરુ આકાશમાં ઊડે છે.’ સરદાર અને નહેરુએ તો વિચારભેદ છતાં એ કપરા સંજોગોમાં સાથે મળીને દેશને સાંભળ્યો પણ બંનેના ટેકેદારોને વિવાદોમાંથી ઊંચા આવવું નથી. હિંડોલ સેનગુપ્તાએ લખ્યું છે : ‘નહેરુનું જૂથ તેમના નેતાને એક વૈશ્વિક નેતા અને તરીકે દેખાડવાનું પસંદ સરદાર પટેલને એક પ્રાંતીય નેતા – હાથ મરડીને રાજકીય જીત મેળવતા ગામડિયા ‘સ્ટ્રૉંગમૅન’ ગણે છે, અને સરદારના ટેકેદારો નહેરુને સારાં વસ્ત્રો પહેરતા, દેખાવડા પણ મુશ્કેલ રાજકીય પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાની ક્ષમતા વિનાના નિર્બળ નેતા માને છે.’ મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધીએ સરદાર પટેલનું ઉત્તમ જીવનચરિત્ર લખ્યું છે. તેઓ લખે છે : ‘1947માં પટેલ ઉંમરમાં 10 કે 20 વર્ષ નાના હોત તો કદાચ બહુ સારા અને સંભવતઃ નહેરુથી પણ વધુ બહેતર વડા પ્રધાન સાબિત થયા હોત, પરંતુ 1947માં સરદાર નહેરુથી ઉંમરમાં 14 વર્ષ મોટા હતા અને વડા પ્રધાનપદને ન્યાય આપી શકે એટલા સ્વસ્થ પણ ન હતા.’ 1941થી એમને આંતરડાની તકલીફ હતી. માર્ચ 1948માં ડૉક્ટરોએ સરદારના સવારે ચાલવા જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. સરદારે લોકોને હળવામળવાનું પણ ઓછું કરી નાખ્યું હતું.

1950ના ડિસેમ્બરની શરૂઆતમાં જ સરદાર પટેલને અંદાજ આવી ગયો હતો કે અંત નજીક છે. એ દિવસોમાં તેઓ કબીરની પંક્તિ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ ખૂબ ગણગણતા. ડૉક્ટરોએ કહ્યું કે સરદારને કદાચ મુંબઈની મોસમ માફક આવશે 12 ડિસેમ્બર, 1950ના રોજ વૅલિંગ્ટન ઍરસ્ટ્રિપથી ભારતીય હવાઈદળનું ડાકોટા વિમાન તેમને મુંબઈ લઈ ગયું. રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ, વડાપ્રધાન પંડિત નહેરુ, ભૂતપૂર્વ ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારી અને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા તેમને વળાવવા આવ્યા હતા. સૌના ચહેરા પર ચિંતાની ઘેરી રેખાઓ હતી. સ્વસ્થ સ્મિત સાથે સરદારે વિદાય લીધી. મુંબઈમાં 15 ડિસેમ્બર 1950ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદયરોગનો હુમલો આવ્યો. ચાર કલાક પછી તેઓ થોડા ભાનમાં આવ્યા મણિબહેના હાથે મધ મેળવેલું ગંગાજળ બેત્રણ ચમચી પીધું અને સવારે 9.37 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ શરીરને બળતું જોઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું, ‘સરદારની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.’

સરદાર કહેતા, ‘સ્વતંત્રતા મળ્યા પછી પણ જો પરતંત્રતાની દુર્ગંધ આવતી રહે તો સ્વતંત્રતાની સુગંધ આવતી નથી.’ ‘લોઢું ભલે ગરમ થાય, હથોડો તો ઠંડો જ રહે છે.’ ‘આપણે સૌ એક જ દેશના સંતાન છીએ. પરસ્પર સૌહાર્દ અને સંપના પાયા જ પર આપણે આપણી નિયતિનું સર્જન કરી શકીશું. એકતા વિનાનાં ટોળાં “મેનપાવર” નથી બનતા.’ … યાદ રાખીશું?

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ડિસેમ્બર  2024

Loading

...102030...406407408409...420430440...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved