‘અાવ વરસાદ, ભાગ વરસાદ’ સરસ અભ્યાસ પૂર્ણ લેખ. લેખકનો અવાજ પણ એક સ્વસ્થ વિચારકનો છે, કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર – અને ઉશ્કેર્યા વગર – એ બોલે છે. આવો સુંદર લેખ આપવા બદલ દીપક મહેતાને, તથા આપને પણ, વંદન.
— 'ભભાઈ' ભરત પાઠક
‘ફેઇસબુક’ પરેથી, 09 જુલાઈ 2014
![]()
‘અાવ વરસાદ, ભાગ વરસાદ’ સરસ અભ્યાસ પૂર્ણ લેખ. લેખકનો અવાજ પણ એક સ્વસ્થ વિચારકનો છે, કોઈ પણ જાતના ઉશ્કેરાટ વગર – અને ઉશ્કેર્યા વગર – એ બોલે છે. આવો સુંદર લેખ આપવા બદલ દીપક મહેતાને, તથા આપને પણ, વંદન.
— 'ભભાઈ' ભરત પાઠક
‘ફેઇસબુક’ પરેથી, 09 જુલાઈ 2014
![]()
માતૃભાષાની મોટાઈ બતાવવાના અને અંગ્રેજી ભાષાને ઉતારી પાડવાના ઉત્સાહી પ્રવચનકારો, કોલમકારો, કથાકારો, ઘણી વાર બે જોડકણાં ટાંકે છે. એક આપણી ભાષાનું ‘આવ રે વરસાદ’ અને બીજું અંગ્રેજીનું ‘રેન રેન ગો અવે’. પછી મોટો બોમ ફોડતા હોય તેમ કહે છે કે આપણી ભાષા-સંસ્કૃિત કેટલી બધી ઉજળિયાત અને ચડિયાતી, કે વરસાદને વધાવે છે. જ્યારે પેલી ગરીબડી ભાષા બોલતાં બચારાં ગરીબડાં બાળકો તો વરસાદને જાકારો દે છે! માટે અંગ્રેજી હટાવ, માતૃભાષા બચાવ!
પણ કોઈ પણ ભાષાનું સાહિત્ય તેનાં સ્થળ-કાળ સાથે અનિવાર્યપણે જોડાયેલું હોય છે એ વાત એ લોકો ભૂલી જાય છે – કદાચ જાણી જોઇને. આપણા દેશના ઘણાખરા ભાગમાં વરસના ત્રણ-ચાર મહિના જ વરસાદ વરસે છે, અને ખેતી માટે આપણે મોટે ભાગે વરસાદના પાણી પર જ આધાર રાખીએ છીએ. એટલે આપણે ત્યાં વરસાદનું આગમન સુખદ અને શુભ મનાય. પણ જ્યાં બારે મહિના ગમે ત્યારે વરસાદ આવતો હોય, વરસાદ ન હોય ત્યારે ય આકાશ મોટે ભાગે ઘેરાયેલું રહેતું હોય, સૂરજનું મો ભાગ્યે જ જોવા મળતું હોય, ત્યારે બાળક બહાર રમ્યા વગર ઘરમાં પૂરાઈને કંટાળી ગયું હોય. એટલે રેન રેન ગો વે એમ કહે તે જ સ્વાભાવિક ગણાય. હા, જો મુશ્કેલી હોય તો તે આપણી સ્કૂલોની, આપણા અભ્યાસક્રમોની છે કે ઇન્ગ્લંડમાં સર્વથા યોગ્ય એવાં જોડકણાં આપણાં બાળકો પાસે ગોખાવે છે. એ રટતી વખતે બાળકો મૂંઝાતાં હશે એનો પણ એમને વિચાર નથી આવતો.
ચાલો, અંગ્રેજી તો ગંદી-ગોબરી ભાષા છે એમ માની લઈએ, પણ આપણી રાષ્ટ્રભાષા હિન્દીનું શું કરશું? ચોમાસું, વર્ષા ઋતુ માટે હિન્દીમાં એકે શબ્દ જ નથી! એ ભાષા અંગ્રેજીનો ‘મન્સૂન’ શબ્દ જ ‘માનસૂન’ એવા ભ્રષ્ટ(!) રૂપે વાપરે છે. મરાઠીમાં ચોમાસા માટે વપરાતો શબ્દ છે ‘પાવસાળા.’ તે વરસાદ માટેના ‘પાઉસ’ સાથે સંકળાયેલો છે. પણ અંગ્રેજીનો ‘મનસૂન’ શબ્દ આવ્યો ક્યાંથી? ડચ ભાષામાં ચોમાસા માટે ‘મોનસ્સોએન’ શબ્દ વપરાય છે અને પોર્તુગીઝમાં વપરાય છે ‘મોનસાઓ.’ ઇ.સ. ૧૫૮૦ પછી અંગ્રેજીમાં ‘મનસૂન’ શબ્દ વપરાતો થયો. તે વખતે તેનો અર્થ હતો ‘હિન્દી મહાસાગરમાં વાતો અનુકૂળ વાયુ.’ કોને અનુકૂળ? વેપારી વહાણોને અનુકૂળ. કોનાં વહાણોને અનુકૂળ? વેપાર માટે યુરપથી હિન્દુસ્તાન જતાં વહાણોને અનુકૂળ. એ વખતે યુરપના દેશોનો હિન્દુસ્તાન સાથેનો વેપાર દરિયાઈ માર્ગે થતો એટલે આ અનુકૂળ વાયુ – મનસૂન – નું યુરપ માટે મહત્ત્વ હતું. હવે, આ અનુકૂળ વાયુ વર્ષના જે મહિનામાં વાતા તે જ મહિના પશ્ચિમ ભારત માટે વરસાદના મહિના પણ હતા. એટલે પછી વરસાદની ઋતુ, ચોમાસા માટે પણ મનસૂન શબ્દ વપરાવા લાગ્યો. પણ આ મનસૂન શબ્દનું પગેરું પાછું મળે છે અરબી ભાષાના ‘મૌસિમ’ શબ્દમાં. અરબીમાં પણ તેનો અર્થ ‘અનુકૂળ ઋતુ’ એટલો જ થતો હતો. પ્રવાસ કે યાત્રાને માટે અનુકૂળ સમય તે મૌસિમ. તેમાંથી આપણે ‘મોસમ’ શબ્દ બનાવીને ઋતુના અર્થમાં વાપર્યો.
અરે, પણ પેલા ‘રેન’ શબ્દનું શું? ઓલ્ડ હાઈ જર્મન ભાષામાં ‘રેગન’ અને ગોથિકમાં ‘રિગન’ જેવા શબ્દો મળે છે, પણ તે પછી ‘રેન’ શબ્દનું પગેરું સંતોષકારક રીતે શોધી શકાતું નથી. કેટલાક માને છે કે સંસ્કૃત અને બીજી ઘણી ભાષાઓની જનની એવી પ્રોટો ઇન્ડો યુરોપિયન ભાષાના ‘રેગ’ માંથી ‘રેન’ શબ્દ ઉતરી આવ્યો હોય. અને તો પછી રેન શબ્દ કાંઈ સાવ પરાયો ન ગણાય. પણ એક વાત આપણે સતત ધ્યાનમાં રાખવી જોઈએ. કોઈ પણ ભાષા તેનાં સ્થળ-કાળ, વાતાવરણ, સંસ્કૃતિ, સમાજવ્યવસ્થા વગેરે સાથે અનિવાર્યપણે જોડાયેલી હોય છે. એટલે આપણને જે વિચિત્ર લાગે તે બીજી ભાષા અને તેને બોલનારાઓ માટે સ્વાભાવિક હોય. અને આપણે માટે જે સ્વાભાવિક હોય તે બીજી ભાષા બોલનારાઓને વિચિત્ર લાગે. પણ તેથી એક સાચું અને બીજું ખોટું, એમ તો ન જ કહી શકાય.
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014
![]()
ગુજરાત ઇતિહાસ-પુરાતત્ત્વ ગ્રન્થસૂચિ / સં. હસમુખ વ્યાસ : રાજકોટ: પ્રવીણ પ્રકાશન, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૨૦૮ પાનાં: રૂ. ૨૦૦
આપણાં ઇતિહાસ અને સંસ્કૃિત બહુ પ્રાચીન અને સમૃદ્ધ છે એવાં બણગાં ફૂકવાં આપણને ગમે છે, પણ તેની જાળવણી માટે, તેના દસ્તાવેજીકરણ માટે કશું કરવાનું આપણને ભાગ્યે જ સૂઝે છે.
અરે, આ વિષયનાં જે સાધનો – જેમ કે પુસ્તકો – આપણી પાસે છે તેની વ્યવસ્થિત સૂચિ કરવાનું પણ આપણને ભાગ્યે જ સૂઝે છે. આથી જે થોડાઘણા – કે ઘણા થોડા – અભ્યાસીઓ છે તેમની મહેનત અને મુશ્કેલી ઘણી વધી જાય છે. પણ આવી ખોટ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જોવા મળે ત્યારે હાશકારો થાય, કે ચાલો, આપણે ત્યાં હજી વિદ્યાપ્રીતિ સાવ મરી પરવારી નથી.
ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, જાતિઓ, કુળ, વંશ, જ્ઞાતિઓ, પ્રદેશો અને ઘટનાઓ, વ્યક્તિચિત્રો, સંસ્મરણો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ધર્મ, લોકસંસ્કૃિત, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, લેખો, સિક્કા અને સંગ્રહાલયો જેવા વિષયો પરનાં ૧૧૧૧ પુસ્તકોની સૂચિ આ પુસ્તકમાં આપી છે તે આવાં કામોમાં રસ અને રૂચિ ધરાવનારાઓ માટે ઘણી ઉપયોગી થાય તેમ છે. ગુજરાતનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકાલયો, સંસ્થાઓ અને સંગ્રહાલયોમાંની સામગ્રીનો અહીં આધાર લેવાયો છે. પણ સૌથી મોટો અને મહત્ત્વનો આધાર તો લેખકને તેમના અંગત પુસ્તક-સંગ્રહનો મળ્યો છે. તેમનું આ અંગત પુસ્તકાલય અભ્યાસીઓને ઈર્ષા આવે એવું હોવું જોઈએ. મુખ્ય સૂચિ પછી અહીં કર્તાનામ અને ગ્રંથનામ સૂચિઓ પણ આપી છે. પુસ્તક તૈયાર થઈ ગયા પછી મળેલી ૧૧ પુસ્તકો વિશેની માહિતી પણ છેલ્લે પરિશિષ્ટ રૂપે ઉમેરી લીધી છે.
આવાં કામો કરવાં, અને તે પણ એકલે હાથે, સરકારની કે કોઈ સંસ્થાની મદદ વગર કરવાં, એ કેટલું મુશ્કેલ છે એ તો માહીં પડ્યા હોય તે જ જાણે. વળી આ પુસ્તકના લેખક તો મુંબઈ-અમદાવાદમાં નહિ, પણ અમરેલીમાં વસે છે, જ્યાં આવાં કામો માટેનાં સાધનો ટાંચા જ હોવાનાં. આવાં કામ કરવાથી વ્યાપક પ્રમાણમાં યશ કે મોટા પ્રમાણમાં અર્થની પ્રાપ્તિ થાય એ તો આપણે ત્યાં શક્ય જ નથી. અરે, દર વર્ષે ઢગલાબંધ ઈનામો સારી-સાધારણ કૃતિઓને આપી દેતી આપણી સરકારી કે અન્ય સંસ્થાઓને આવાં કામો માટે પણ એકાદો પુરસ્કાર રાખવાની જરૂર જણાતી નથી. ત્યારે આવા એકલવીરો આપણી પાસે હોય એ જ મોટી વાત.
આવાં કામો ક્યારે ય સંપૂર્ણ ન હોઈ શકે. આ સૂચિ પણ નથી. એક તો આપણી પાસે પ્રકાશિત પુસ્તકોની સર્વગ્રાહી સૂચિ જ નથી. બીજું, ઘણાં પુસ્તકાલયો આવાં કામોમાં મદદરૂપ થવા માટે બહુ ઉત્સાહ ધરાવતાં હોતાં નથી. અા સૂચિના વ્યાપમાં સમાઈ શકે એવાં પુસ્તકો ૧૯મી સદીમાં ઘણાં બધાં પ્રગટ થયાં હતાં, પણ તેમાંથી પ્રમાણમાં ઓછાં અહીં જોવા મળે છે. કેટલાંક પુસ્તકોને એકને બદલે બીજા વિભાગમાં મૂકી શકાયાં હોત એમ પણ લાગે. જ્યાં પુસ્તકના નામ પરથી તેના વિષય-વસ્તુનો ખ્યાલ આવે તેમ ન હોય ત્યાં ‘એનોટેશન’ પણ બધે મૂકવાનું બની શક્યું નથી. સૂચિકરણમાં પણ બધે એકવાક્યતા જળવાઈ જ છે એમ કહેવું મુશ્કેલ છે. પણ આ બધી ઉણપો એવી છે કે બીજી આવૃત્તિમાં સહેલાઈથી સુધારી શકાય.
આ વાક્ય લખ્યા પછી તરત વિચાર આવ્યો કે આવાં પુસ્તકોની બીજી આવૃત્તિ આપણી ભાષામાં થાય? થાય તો ય ક્યારે? એના કરતાં આવી સૂચિઓને ડિજિટલ સ્વરૂપે ઈન્ટરનેટ દ્વારા સર્વસુલભ બનાવવી જોઈએ. કારણ આ સ્વરૂપમાં ગમે ત્યારે, ગમે તેટલા ફેરફાર બહુ ઓછી મહેનત અને ખર્ચે કરી શકાય છે. એ સૂચિનો ઉપયોગ કરનારાઓ પણ તેમાં સુધારા-વધારા સૂચવી શકે છે. આવાં પુસ્તકો તૈયાર કરાવવાનું આપણી સંસ્થાઓ ભલે ન કરે, તેને ડિજિટલ રૂપ આપવાનું કામ કરીને થોડું પુણ્ય તો કમાઈ શકે.
સૌજન્ય : ‘બુક માર્ક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 07 જુલાઈ 2014
![]()

