Opinion Magazine
Number of visits: 9696646
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનુસ્વારો ઃ કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા

દીપક મહેતા|Opinion - Literature|6 May 2014

અનુસ્વારો ઃ કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા

હરીન્દ્ર દવેના એક બહુ જાણીતા ગીતની પહેલી પંકિત બે રીતે છપાયેલી જોવા મળે છે અને ગવાતી સાંભળવા મળે છે ઃ


૧. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

૨. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.


પહેલી નજરે બે વચ્ચેનો ફરક ધ્યાનમાં પણ ન આવે એવું બને. કારણ એમાં તફાવત છે તે એટલો જ કે એકમાં ‘આવ્યા’ પર અનુસ્વાર છે, બીજામાં નથી. પણ આ એક અનુસ્વારના હોવા કે ન હોવાથી આખું કાવ્ય બદલાઈ જાય છે. ‘આવ્યાં’ હોય તો તે પુરુષની સ્ત્રી પ્રત્યેની ઉક્તિ બને. (કારણ નારી જાતિના બહુવચનની સાથેના ક્રિયાપદ પર અનુસ્વાર આવે.) જો ‘આવ્યા’ હોય તો એક પુરુષની કે એક સ્ત્રીની, બીજા પુરુષ પ્રત્યેની ઉક્તિ બને. (કારણ નરજાતિના બહુવચનની સાથેના ક્રિયાપદ પર અનુસ્વાર ન આવે.)



અનુસ્વાર ક્યાં આવે, ક્યાં ન આવે એના ચોક્કસ નિયમો વ્યાકરણ અને જોડણી ઘડનારાઓએ આપ્યા છે, પણ આજે આપણા ભલભલા લેખકોનાં લખાણોમાં પણ અનુસ્વાર અંગેની અરાજકતા જોવા મળે છે. ખાસ કોઈ પેટર્ન વગર કંકુનાં છાંટણાં અહીંતહીં કર્યાં હોય તેમ ઘણા સારા સારા લેખકોનાં લખાણોમાં અનુસ્વારો વેરાયેલાં જોવા મળે છે. 



આપણે ત્યાં જોડણી વિષે ચર્ચા અને ચિંતા કરનારાઓ મોટે ભાગે ‘ઇ-ઈ, ઉ-ઊ-હ્રસ્વ – દીર્ઘ’ને જ ધ્યાનમાં લે છે. તેમણે પણ અનુસ્વારના પ્રયોગ વિષે ઝાઝી ચિંતા કરી નથી. જોડણી વિષેના નિયમોની સરખામણીમાં અનુસ્વાર અંગેના નિયમો યાદ રાખીને અમલમાં મૂકવાનું સહેલું છે. પણ તેમ નથી થતું એનાં કેટલાંક કારણો છે.



પહેલું તો એ કે લખવા-છાપવામાં અનુસ્વાર માટે જે ચિહ્ન વપરાય છે તે એટલું તો નગણ્ય છે કે ઘણી વાર તો અનુસ્વાર છે કે નથી એની વિમાસણ થાય. અક્ષરની ઉપર મુકાતું સાવ નાનકડું ટપકું હોય તો ય શું, ને ન હોય તો ય શું, એવું ઘણાંને લાગે. ખરું જોતાં જોડણી સુધારણાની જેમ હવે લિપિ સુધારણાનો પણ વિચાર કરવાની જરૂર છે. અનુસ્વાર માટે અત્યારે જે ચિહ્ન વપરાય છે તેને બદલે શૂન્ય જેવું પોલું વર્તુળ (૦) વાપરીએ તો? ‘ર’ અને ‘પ’ એ બે લિપિ ચિહ્નો બે અક્ષર માટે પણ વપરાય છે અને બે આંકડા માટે પણ વપરાય છે. આથી ક્યારેક પહેલી વાર વાંચતાં ગૂંચવાડો થાય છે. ‘પર’ લખ્યું હોય તો બાવન સમજવું કે (ઉ)પર સમજવું? ‘બે’ અને ‘પાંચ’ માટેનાં ચિહ્નો બદલી ન શકાય?



બીજું કારણ એ છે કે જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી જ્ઞાતિઓમાં લિંગ, વચન, અને અનુસ્વારના ઉચ્ચાર અંગે વ્યાપક ભેદ જોવા મળે છે. અમુક પ્રદેશ કે જ્ઞાતિમાં અનુનાસિક – અનુસ્વારવાળાં – ઉચ્ચારણો પુષ્કળ જોવા મળે છે, કેટલાકમાં અનુસ્વાર રહિત ઉચ્ચાર સર્વસામાન્ય છે. આ ‘અનુનાસિક’ પરથી બીજી એક વાત.



આપણા કેટલાક ભડવીરો એવા ભ્રમમાં છે કે પોતે ગુજરાતી લિપિમાં પણ સંસ્કૃત લખે છે. એટલે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુસ્વારને બદલે અનુનાસિક લખે છે ઃ કુંઠિત નહીં પણ કુણ્ઠિત લખે છે, સંબંધ નહીં પણ સમ્બન્ધ, ગ્રંથ નહીં પણ ગ્રન્થ, વગેરે. 

મારા તમારા જેવાની મૂંઝવણ આથી વધે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશે તત્સમ શબ્દો માટે આવી અનુસ્વારને બદલે અનુનાસિકની છૂટ રાખી છે, પણ તે વહેલી તકે દૂર કરવી જોઇએ. કારણ જોડણીકોશનું ધ્યેય જોડણીને વધુ અટપટી નહિ, પણ જેમ બને તેમ સરળ બનાવવાનું હોવું જોઇએ. અને ગુજરાતી લખતી વખતે સંસ્કૃતના નિયમોનું પૂંછડું પકડી રાખવાની શી જરૂર? બીજી મુશ્કેલી એ છે કે બોલવામાં અનુસ્વાર બે પ્રકારનાં છે – પોચું અને તીવ્ર – જેમ કે પાંચ અને પંચ – પણ બન્નેને લખવા માટે એક જ ચિહ્ન છે. વળી આ બે પ્રકારનાં અનુસ્વારોમાં પ્રાદેશિક ભેદ પણ સાંભળવા મળે છે. હવે કમ્પ્યુટર લેખનમાં જેમ ઘણી સગવડો વધી છે તેમ કેટલીક અગવડો પણ વધી છે, એને પણ ધ્યાનમાં રાખીને લેખનરીતિ, શુદ્ધલેખન, ઓર્થોગ્રાફીનો વિચાર કરવાની જરૂર છે. એમ નહીં થાય ત્યાં સુધી અનુસ્વારોની દશા ‘કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા’ જેવી જ રહેવાની. 

અમને પૂરી ખાતરી છે કે આ લખાણ પણ અનુસ્વારની દૃષ્ટિએ સો ટકા શુદ્ધ રીતે છપાવાનું નથી. એ રીતે છપાયેલું લખાણ શોધવા કદાચ દીવો લઈને નીકળીએ તો ય ન મળે.

સૌજન્ય : ‘ડાયરી’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 05 મે 2014

Loading

ધૂડી નિશાળો જ ચાલુ રહી હોત તો આપણે કયાં હોત?

દીપક મહેતા|Opinion - Opinion|6 May 2014

આપણે ત્યાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે અંગ્રેજોએ આપણા દેશમાં આવીને ગુલામ જેવા કારકૂનો પેદા કરવા માટે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ દાખલ કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં પરંપરાગત રીતે શિક્ષણ આપતી જે નિશાળો હતી તેનો મૃત્યુઘંટ તેમણે વગાડ્યો. પણ વાત આટલી સીધી સાદી નથી. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું, લગભગ તે જ વખતે મુંબઈ ઈલાકાની સરકારે આખા ઈલાકામાંની પરંપરાગત રીતે શિક્ષણ આપતી નિશાળોની મોજણી કરાવી હતી અને એ પ્રકારની નવી નિશાળો ખોલવી જોઈએ કે નહીં, ખોલીએ તો કેટલો ખર્ચ થાય, એ ખર્ચને કઈ રીતે પહોંચી શકાય, એને માટે કેટલા શિક્ષકો જોઈએ વગેરે બાબતોનો વિચાર કર્યો હતો. આ માટે ૧૮૨૪-૨૫ અને ૧૮૨૮-૨૯મા સરકારે બે સર્વે કરાવ્યા હતા. ૧૮૨૨માં મુંબઈમાં બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિનસ્ટન તેના પ્રમુખ બન્યા. ૧૮૨૩ના ડિસેમ્બરની ૧૩મી તારીખે તેમણે ‘મિનિટ ઑન એજ્યુકેશન’ તરીકે જાણીતો થયેલો દસ્તાવેજ તૈયાર કર્યો. તેમાંના સૂચનને ધ્યાનમાં લઈને ધ સેક્રેટરી ટુ ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે મિસ્ટર ફેરિશે એક પ્રશ્નાવલી તૈયાર કરીને રાજ્યના દરેક જિલ્લાના કલેકટર અને જજને મોકલી આપી. તેમાંના દસ પ્રશ્નોના જવાબ તેમણે લખી મોકલવાના હતા, વહેલામાં વહેલી તકે. અને ખરેખર આ અંગ્રેજ અધિકારીઓએ બને તેટલી ત્વરાથી જવાબો મોકલ્યા. એટલે ૧૮૨૫ના માર્ચની દસમી તારીખે તો અહેવાલ તૈયાર થઈ ગયો અને મિ. ફેરિશે તે સરકારને સુપરત પણ કરી દીધો – માત્ર એક જ વર્ષના ગાળામાં.



આ અહેવાલમાંની કેટલીયે વિગતો જાણવામાં આજે ય આપણને રસ પડે તેમ છે. જેમ કે સુરત જિલ્લામાં ૬૫૬ ગામ હતાં પણ ધૂડી નિશાળોની સંખ્યા હતી ફક્ત ૧૩૯ અને તેમાં ભણતા છોકરાઓની સંખ્યા હતી ૩૨૨૩. જ્યારે ભરૂચના પાંચ કસબામાં કુલ ૧૩ ધૂડી નિશાળ હતી જેમાંની છ તો જંબુસરમાં હતી. આ નિશાળોમાં જ્યારે છોકરો ભણવા બેસે ત્યારે માસ્તરને બે પાવલી – આજના ૫૦ પૈસાની દક્ષિણા આપવામાં આવતી. છોકરાને ઊંધી થાળી પર લખતાં શીખવવાનું શરૂ થાય ત્યારે માસ્તરને દક્ષિણમાં એક રૂપિયો મળતો અને અભ્યાસ પૂરો કરીને છોકરો નિશાળ છોડે ત્યારે માસ્તરને બેથી પાંચ રૂપિયાની દક્ષિણા મળતી. આ રોકડા રૂપિયા ઉપરાંત રોજેરોજ જ્યારે છોકરો ભણવા જાય ત્યારે મૂઠી – બે મૂઠી અનાજ માસ્તર માટે લઈ જતો. બ્રાહ્મણના છોકરાઓએ માસ્તરને દક્ષિણારૂપે કશું જ આપવાનું નહોતું. અમદાવાદના કલેકટરે મોકલેલા રિપોર્ટમાં જણાવેલું કે અમદાવાદ કલેકટરેટમાં કુલ ૯૨૮ ગામડાં છે જેમાંથી ફક્ત ૪૯ ગામડામાં ધૂડી નિશાળો છે અને તેમાં કુલ ૨૬૭૩ વિદ્યાર્થીઓ ભણે છે. અમદાવાદ શહેરમાં આવેલી ૨૧ નિશાળોમાં કુલ ૧૩૩૩ વિદ્યાર્થી હતા. અમદાવાદ કલેકટરેટની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં સૌથી મોટી સંખ્યા ૧૦૮૦ – વાણિયાઓની હતી. બીજે નંબર ૫૨૪ કણબી વિદ્યાર્થીઓ હતા, જ્યારે બ્રાહ્મણ વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦૮ની હતી. મુસ્લિમ છોકરાઓની સંખ્યા હતી માત્ર ૬૪. અમદાવાદ કલેકટરેટની નિશાળોના અભ્યાસક્રમની જે માહિતી આપી છે તે જોતાં જણાય છે કે અંકગણિત અને લિપિલેખન સિવાય બીજું કશું શીખવાતું નહોતું. શીખવવા માટે છાપેલાં પુસ્તકો બિલકુલ વપરાતા નહીં. અંક ગણિતમાં પણ પહેલાં એકથી સો સુધીના આંક ગોખાવવામાં આવતા અને પછી અંક લેખન શીખવાતું. પા, અડધા, પોણાના આંક પણ ગોખાવતા. આ ઉપરાંત તોલમાપ, લંબાઈ, વજન વગેરેની માહિતી અપાતી. આટલું ભણી રહે પછી નિશાળ છોડતાં પહેલાં વિદ્યાર્થીને નીતિ અને ધર્મના થોડા પાઠ ભણાવતા.

હવે જરા વિચાર કરો, બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપણે ત્યાં ન આવ્યું હોત અને આ પરંપરાગત નિશાળો જ ચાલુ રહી હોત તો આજે આપણે ક્યાં હોત?

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 05 મે 2014

Loading

મોદીની ઉમેદવારી નિમિત્તે કાશીયાત્રા, કાશી કબહુંના છોડીએ વિશ્વનાથ દરબાર

રમેશ અોઝા|Opinion - Opinion|6 May 2014

કાશી વિશ્વનાથના મંદિરમાં, સહન ન કરી શકીએ એટલી હદે ગંદકીને વહેતી ગંગામાં, ઘાટ પર કર્મકાંડનો ધંધો કરનારા ઘાટિયા બ્રાહ્મણોના છળકપટમાં, મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોને અગ્નિ આપીને મુક્તિ અપાવનારા ડોમ રાજાના દરબારમાં કાશી શોધશો તો મળે એમ નથી; પણ કાશીમાં જો બનારસ શોધશો તો તમને અદ્દભુત શહેર હાથ લાગશે



નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલે બનારસમાંથી ઉમેદવારી કરીને બનારસને પ્રસિદ્ધિમાં લઈ આવ્યા એ પહેલાં કાશી, બનારસ અને વારાણસી એ એક જ શહેરનાં ત્રણ નામ છે એની જાણ હતી ખરી? મને ખાતરી છે કે મોટા ભાગના વાચકોને એની જાણ નહીં હોય અને હજી આજે પણ એવી જાણ ન હોય તો આશ્ચર્ય નહીં થાય. પોતાની જાતને દેશપ્રેમી તરીકે ખપાવવા માટે કોઈ અન્ય કોમના દેશપ્રેમ વિશે શંકા કરીને એને ધિક્કારીએ એટલું પૂરતું છે, દેશને જાણવાની કોઈ જરૂર રહેતી નથી. દેશને નહીં ઓળખનારા દેશપ્રેમીઓ સૌથી વધુ ભારતમાં મળી આવશે. આપણને નથી દેશના ઇતિહાસનું જ્ઞાન, નથી સમાજનું જ્ઞાન એમ નથી પરંપરાનું જ્ઞાન. આપણો દેશપ્રેમ ટૂંકી મૂડીનો છે. 



દરેક ચીજનું રાજકારણ કરવાની આપણને આદત છે એટલે આ શહેરના નામનું પણ રાજકારણ ચાલી રહ્યું છે. હિન્દુ ધર્માભિમાનીઓ ધરાર કાશીનો આગ્રહ રાખે છે, કારણ કે કાશી ભારતનું પ્રાચીન અને પવિત્ર શહેર છે. મુસલમાનોએ ભારતમાં પ્રવેશ કર્યો એ પહેલાં કાશી હિન્દુઓના અંતરાત્મામાં વસતું હતું અને આજે પણ વસે છે. જીવનમાં ઓછામાં ઓછું એક વાર કાશી જઈ ગંગાસ્નાન કરીને પાપનું પ્રક્ષાલન કરવાનો દરેક હિન્દુ મનોરથ ધરાવે છે. કાશીમાં ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક કાશી વિશ્વનાથનું મંદિર છે અને બીજાં જ્યોતિર્લિંગોમાં વિશ્વનાથના મંદિરનું વિશેષ મહત્ત્વ છે. આનું કારણ એ છે કે પ્રાચીન માન્યતા મુજબ ભગવાન શંકર કાશીમાં કાયમી વાસ કરે છે. આને કારણે કાશીનું એક ચોથું નામ અવિમુક્ત પણ છે જે પ્રચારમાં નથી. આ નામકરણ અદ્દભુત છે. અવિમુક્ત એટલે જ્યાં મુક્તિ ન હોય એ. કાશીમાં તો પાપીને પણ મુક્તિ મળે છે તો પછી અવિમુક્ત કેવી રીતે કહેવાય? આનો શાસ્ત્રોમાં એવો ખુલાસો આપવામાં આવ્યો છે કે જીવની મુક્તિ માટે શિવે પોતાની મુક્તિ ત્યજી દીધી છે અને કાયમ માટે કાશીમાં વાસ કરે છે. જીવ માટે મુક્તિ અને શિવજી માટે અવિમુક્તિ એટલે કાશીનું એક નામ અવિમુક્ત પણ છે.



મુસલમાનો ભારતમાં આવ્યા એ પછી હિન્દુ અને મુસલમાનોની ગંગા-જમની મિશ્ર સંસ્કૃિત વિકસી હતી અને એ ગાળામાં કાશી બનારસ તરીકે પ્રસિદ્ધ થયું હતું. આજે પણ કાશી માટે બનારસ વધારે પ્રચલિત નામ છે. બનારસી સાડી અને બનારસી પાનથી અપરિચિત હોય એવો એક પણ હિન્દુસ્તાની નહીં મળે. બનાર નામનો કોઈ હિન્દુ રાજા હતો જેણે કાશીનું નામ બદલીને પોતાના નામે બનારસ રાખ્યું હતું એમ કહેવામાં આવે છે. આ વાત ગળે ઊતરે એવી નથી. બનાર નામનો કોઈ રાજા ક્યારે ય થયો હોય એવું કોઈ પ્રમાણ મળતું નથી. વિદ્વાનોના મતે બનારસ એ વારાણસીનું અપભ્રંશ છે એમ માનવામાં આવે છે અને એ અભિપ્રાય વધારે તર્કસંગત છે. બનારસમાં ત્રણ નદીઓ વહે છે. પૂર્વે વરુણા નદી ગંગાને મળે છે અને પશ્ચિમે અસ્સી નદી ગંગાને મળે છે. ગંગાને કિનારે અને વરુણા અને અસ્સી નદીની વચ્ચે જે શહેર વસ્યું છે એને વારાણસી કહેવામાં આવે છે. સ્થાનિક ભોજપુરી ભાષામાં વરુણાને બરુણા કહેવામાં આવે છે અને એ રીતે વારાણસી બારાણાસી થઈને બનારસી બન્યું અને બનારસ તરીકે પ્રસિદ્ધ થયું. આમ બનારસ નામમાં મુસલમાનોનો કોઈ હાથ નથી, પણ એ છતાં પંડિતોને અને હિન્દુવાદીઓને બનારસ નામ સામે વાંધો છે. તેમના વિરોધનું એક કારણ એ છે કે બનારસ નામ મુસ્લિમ શાસકોના યુગમાં વધારે પ્રચલિત થયું જેને અંગ્રેજોએ અપનાવી લીધું અને બીજું કારણ એ છે કે એ જનસાધારણે અપનાવેલું નામ છે. હિન્દુ સમાજ એવો છે જેમાં બ્રાહ્મણો અને પંડિતો હિન્દુ સંસ્કૃિતના ગર્ભગૃહમાંથી જનસાધારણને બહાર રાખવામાં માને છે. અંગ્રેજો ગયા કે તરત જ ભારતની પહેલી પેઢીના બ્રાહ્મણ શાસકોએ બનારસ નામ હટાવીને કાશીનું સત્તાવાર નામ વારાણસી કરી નાખ્યું હતું. બનારસમાં ચાર રેલવે-સ્ટેશનો છે જેમાંથી એકેયનું નામ બનારસ નથી. કાશ્મીરના પંડિત અને વીતેલી પેઢીના રેલવે-પ્રધાન કમલાપતિ ત્રિપાઠીને બનારસ નામ સામે વાંધો હતો.



વિદ્યાનિવાસ મિશ્ર બનારસના મોટા પંડિત હતા અને હિન્દી અખબાર “નવભારત ટાઇમ્સ”ના તંત્રી હતા. તેઓ કાશીને એટલો પ્રેમ કરતા હતા કે બે વર્ષથી વધુ કાશીની બહાર રહી શકતા નહોતા. “નવભારત ટાઇમ્સ”ના તંત્રી થવાની જ્યારે તેમને ઑફર કરવામાં આવી ત્યારે તેમણે સ્પક્ટતા કરી હતી કે તેઓ બે વર્ષ માટે જ તંત્રીપદની જવાબદારી સંભાળશે, કારણ કે બે વર્ષથી વધુ કાશીની બહાર રહેવું તેમના માટે શક્ય નથી. આવી જ હાલત શહનાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની હતી. બિસ્મિલ્લા ખાને કમાવા માટે મોટા શહેરમાં સ્થળાંતરિત થવાની ના પાડી દીધી હતી. બિસ્મિલા ખાને અનેક વાર કહ્યું છે કે તેઓ જ્યારે પણ કાર્યક્રમ આપવા બનારસની બહાર જાય છે ત્યારે તેમનું શરીર જ જતું હોય છે, આત્મા તો બનારસમાં હોય છે. બનારસનું કોઈ વિલક્ષણ આકર્ષણ છે અને એવું આકર્ષણ ધરાવનારા એકાદ લાખ બનારસીઓ આજે પણ મળી આવશે. આ આંકડામાં લગીરે અતિશયોક્તિ નથી, કારણ કે આ લખનાર બનારસી નહીં હોવા છતાં બનારસ માટે ખેંચાણ અનુભવે છે અને વર્ષમાં એકાદ આંટો બનારસનો મારી આવે છે. કાશી વિશેની તુલસીદાસની એક પંક્તિ પ્રસિદ્ધ છે : ચના ચબૈના ગંગજલ જો પુરબે કિરતાર, કાશી કબહુંના છોડીએ વિશ્વનાથ દરબાર. અર્થાત્ પેટ ભરવા ચણ અને પીવા માટે ગંગાજળ ભગવાન આપે છે, માટે જ્યાં બાબા વિશ્વનાથનો દરબાર છે એ કાશી ક્યારે ય ન છોડવું.



તો આપણે વાત વિદ્યાનિવાસ મિશ્રની કરતા હતા. બનારસને અખૂટ પ્રેમ કરનારા પંડિતજી ટિપિકલ બનારસી વિસંગતિ ધરાવતા હતા. તેઓ જ્યારે હિન્દીમાં બોલતા હોય તો શુદ્ધ સંસ્કૃતનિષ્ઠ હિન્દીમાં બોલે અને એમાં એક પણ શબ્દ અરબી-ફારસીનો ન આવે. હિન્દીમાં વાતચીત કરતી વખતે તેઓ ભૂલમાં પણ કાશીની જગ્યાએ બનારસનો પ્રયોગ ન કરે, પણ મિશ્રજી જ્યારે ભોજપુરીમાં બોલતા હોય તો કાશી માટે બનારસ નામનો ઉપયોગ કરે અને ભૂલમાં પણ તેમની જીભ પર કાશી શબ્દ ન આવે. આ બનારસની તાસીર છે. બનારસનો ભદ્ર વર્ગ બહારના લોકો સાથે શુદ્ધ હિન્દીમાં બોલે, પરિવારની અંદર પોતાનાં મૂળ સાથે સંબંધ જોડવા અને એનો આનંદ લેવા ભોજપુરીમાં બોલે અને કાછિયા કે રિક્ષાવાળા જેવા જનસાધારણ સાથે તેમની ઊતરતી સંસ્કૃિતની દયા ખાઈને તેમની સુવિધા ખાતર ભોજપુરીમાં બોલે. આવું જ મુસલમાનોનું. ઉચ્ચકુલીન મુસલમાનો બહારના લોકો સાથે ઉર્દૂમાં કે હિન્દુસ્તાનીમાં બોલશે, ઘરમાં મૂળ સાથે સંબંધ જાળવી રાખવા ભોજપુરીમાં બોલશે અને જનસાધારણ સાથે ભોજપુરીમાં બોલશે. બનારસમાં હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે વ્યવહારની ભાષા ભોજપુરી અથવા હિન્દુસ્તાની છે.



આ વિસંગતિનો સૂચિતાર્થ ધ્યાનમાં આવ્યો ખરો? તૂટી ગયેલાં કે ક્ષીણ થઈ ગયેલાં પ્રાચીન મૂળિયાં સાથે ફરી વાર સંબંધ જોડવા માટે પોતાના જિવાતા જીવનનાં વાસ્તવિક મૂળિયાંને ક્ષીણ કરે એનું નામ હિન્દુસ્તાની. હિન્દુઓ સંસ્કૃત સાથે સંબંધ જોડવા સ્થાનિક, પ્રચલિત અને સમૃદ્ધ ભાષાને ક્ષીણ કરી રહ્યા છે અને એ રીતે ગંગા-જમની સંસ્કૃિતને નકારી રહ્યા છે તો બીજી બાજુ મુસલમાનો અરબી અને ફારસી ભાષા સાથે સંબંધ જોડવા સ્થાનિક ભાષાને અને એ રીતે ગંગા-જમની સંસ્કૃિતને નકારી રહ્યા છે. આ નકારાત્મકતા આજના યુગની આપણી સમસ્યા છે. દૂરની પણ કહેવાતી અસ્સલ ઓળખ શોધવા માટે જિવાતા જીવનની વાસ્તવિક ઓળખને નકારવામાં આવી રહી છે. વિસંગતિ એવી છે કે એક બાજુ કૃત્રિમતાનો ભાર અનુભવાય છે તો બીજી બાજુ સુખ તો જિવાતા જીવનની વાસ્તવિક ઓળખ દ્વારા જ મળે છે. 



બનારસ સતત અસ્તિત્વ ધરાવનારાં વિશ્વનાં પ્રાચીન શહેરોમાંનું એક છે અને કેટલાક લોકોના અભિપ્રાય મુજબ વિશ્વનું પ્રાચીનતમ શહેર છે. આ રીતે બનારસ ભારતીય સંસ્કૃિતનું કેન્દ્રબિંદુ છે, એક રીતે કહો તો ભારતની સાંસ્કૃિતક પીઠ છે. સ્વાભાવક રીતે બનારસમાં આ વિસંગતિ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. બનારસી પંડિતો જાહેરમાં ધરાર સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો અને કાશીનો મહિમા કરે છે, પણ ઘરની ચાર દીવાલની અંદર પોતાનાઓ સાથે ભોજપુરી દ્વારા બનારસની સંસ્કૃિતનો આનંદ લૂંટે છે અને પોતાનાં વાસ્તવિક મૂળિયાં સાથે સંબંધ જોડીને હળવાશ અનુભવે છે. વિદ્યાનિવાસ મિશ્ર હોય, પંડિત બલદેવ ઉપાધ્યાય હોય, હઝારી પ્રસાદ દ્વિવેદી હોય, ગોપીનાથ કવિરાજ હોય કે વાગીશ શાસ્ત્રી હોય; બનારસના ખેરખાં પંડિતોમાં આ વિસંગતિ હંમેશાં જોવા મળી છે. 



બહારથી આવતા યાત્રાળુઓ બનારસમાં કાશી શોધે છે અને કાશીના લોકો કાશીમાં બનારસ શોધે છે. કાશી વિશ્વનાથના મંદિરમાં, સહન ન કરી શકીએ એટલી હદે ગંદકીને વહેતી ગંગામાં, ઘાટ પર કર્મકાંડનો ધંધો કરનારા ઘાટિયા બ્રાહ્મણોના છળકપટમાં, મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોને અગ્નિ આપીને મુક્તિ અપાવનારા ડોમ રાજાના દરબારમાં કે મૃત્યુની રાહ જોઈને જીવન વિતાવતા મુમુક્ષુ ભવનોમાં કાશી શોધશો તો મળે એમ નથી. અહીં કાશીના નામનો વેપાર ચાલે છે. કાશીની વિકૃત અવસ્થા જોવી હોય તો બે ફિલ્મ જોવાની ભલામણ કરું છું. એક છે દીપા મહેતાની ‘વૉટર’ અને બીજી છે ભાવના તલવારની ‘ધર્મ’. કાશીના હિન્દુ કોમવાદીઓએ કાશીમાં ‘વૉટર’નું શૂટિંગ થવા દીધું નહોતું, કારણ કે એમાં કાશીનો વર્તમાન ચહેરો પ્રગટ થતો હતો. કાશીની આજની અવસ્થા વિશેનો એક દોહો પ્રચલિત છે : રાંડ સાંડ સીડી સંન્યાસી ઇનસે બચે સો સેવે કાશી. સીડી એટલે કાશીમાં ઘાટ પર ઊતરવા માટેની સીડી જે કઠેડા વિનાની અને ચોમાસામાં લપસણી ત્રણ માળ જેટલી ઊંચી હોય છે.



પણ કાશીમાં જો બનારસ શોધશો તો અદ્દભુત શહેર હાથ લાગશે; જેમાં પ્રાચીન કાશી પણ છે, ગંગા-જમની બનારસ પણ છે, શ્રમણ અને બ્રાહ્મણ સંસ્કૃિતના સમન્વયરૂપ સારનાથ છે અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, બનારસ હિન્દુ યુનિવર્સિટી તેમ જ તિબેટન ઇન્સ્ટિટ્યૂટ જેવાં આધુનિક શિક્ષણધામો પણ છે.

સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 મે 2014

http://www.gujaratimidday.com/features/sunday-sartaaj/sunday-sartaaj-04052014-24

Loading

...102030...4,0084,0094,0104,011...4,0204,0304,040...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved