Opinion Magazine
Number of visits: 9529708
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન

રાજેન્દ્ર નાણાવટી|Opinion - Literature|16 October 2013

લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઅોમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ અા બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ – પોતાની કશી જ વિશિષ્ટ અોળખ વિનાનો વિશાળ લોકસમુદાય – ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. અાવા સમાજનાં થોડાંક ચિત્રો અાપણને વિવિધ સુભાષિતો – સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા મળે છે ખરાં.

વળી, હજારો વર્ષોમાં ભારતીય સંસ્કૃિતનો જે વિકાસ (કે ક્યારેક હ્રાસ – રકાસ) થતો રહ્યો તેનાં ચિત્રો અાપણને લગભગ સ્થિર અને સૂક્ષ્મ ક્ષમતાવાળી સંસ્કૃત ભાષામાં મળે છે અને એ ભાષા માટે સમાજના તમામ વર્ગોને હંમેશા ભારે અાદર રહ્યો છે એ નિર્વિવાદ સત્ય છે, છતાં અામ પ્રજાની વધારે નજીકની ભાષા તો પ્રાકૃત (અને એમાંથી ઉદ્દભવતી) ભાષાઅો રહી છે. જીવનનું / સમાજનું પ્રત્યક્ષકલ્પ ચિત્ર રજૂ કરવાનું લક્ષ્ય ધરાવતા દૃશ્યકાવ્યના અર્થાત્ અભિનેય સાહિત્યના – નાટકના પ્રકારોમાં પણ અમુક પાત્રવર્ગો માટે પ્રાકૃત ભાષા પ્રયોજવાનું વિધાન થયેલું છે. એટલે સહેજ અર્થવિસ્તાર કરીએ તો સંસ્કૃતમાં પ્રાકૃતનો સમાવેશ કરી શકાય, અને પ્રાકૃતમાં પણ કેટલાક પદ્યસંચયોમાં લોકજીવનનાં સુંદર ચિત્રો મળે છે.

એટલે અા વ્યાખ્યાનમાં સંસ્કૃત–પ્રાકૃત સુભાષિતો-પદ્યોમાં વર્ણવાયેલા કશી વિશિષ્ટ અોળખ વિનાના, વિશાળ સાધારણ ગ્રામીણ ભારતીય સમાજનું દર્શન કરવાનો ઉપક્રમ સ્વીકાર્યો છે.

***

અાવા વિશાળ જનસમુદાયનું કદાચ સૌથી મુખ્ય લક્ષણ હોવાનું એની દરિદ્રતા. કેટલાં ય મુક્તકો એવાં છે જેમાં સામાન્ય માણસની દરિદ્રતાનું હૃદયદ્રાવક વર્ણન કરાયું છે. અાવી દરિદ્રતામાં લોકજીવન શ્વાસ લેતું રહે છે, ધબકતું રહે છે.

એક કવિ પોતાના ઘરનું વર્ણન કરી રહ્યો છે :

चलत्काष्ठं गलत्कुड्यम् उत्तानतृणसंचयम् ।
गण्डूपदार्थिमण्डूक-कीर्णं जीर्णं गृहं मम ॥

[અા મારું જીર્ણ – શીર્ણ ઘર. એમાં બધી વળીઅો હાલી રહી છે, ભીંતો પરથી માટી ખરતી રહે છે, ઘરમાં ઘાસ ઊગી નીકળ્યું છે, અળસિયાં ફૂટી નીકળ્યાં છે જેને ઝપટવા દેડકાં કૂદી રહ્યાં છે.]

બીજો કવિ પોતાના ઘરને અામ વર્ણવે છે :

धूमेन रिक्तमपि निर्भरबाष्पकारि
दूरीकृतानलमपि प्रतिपन्नतापम् ।
दैन्यातिशून्यमपि भूषितबन्धुवर्गम्
अाश्चर्यमेव खलु खेदकरं गृहं न: ॥

[ધૂમાડાથી ખાલી – ધૂમાડા વિનાનું તો યે બહુ અાંસુ અાપે છે, અગ્નિ તો નથી પણ તાપ સંતાપ કરાવે છે, દરિદ્રતાને કારણે એકદમ ખાલી છે, તો યે બન્ધુજનો – સગાંવહાલાં – સંતાનોથી ભરેલું છે, સાચે જ, અા અમારું ઘર અાશ્ચર્યકારક પણ છે અને દુ:ખદાયક પણ છે.]

કારણ વિના કાર્ય, અને કારણ છતાં કાર્ય ન થવું એવા વિભાવના-વિશેષોક્તિ અલંકારોનો કવિ દરિદ્રતાને વર્ણવવા પ્રયોગ કરે છે !

ત્રીજો કવિ પોતાની દરિદ્રતાને ઉપમાઅોની એક માળા – string of similesથી વર્ણવે છે :

मद्गेहे मुसलीव मूषिकवधू: मूषीव मार्जारिका
मार्जारीव शुनी, शुनीव गृहिणी, वाच्य: किमन्यो जन: ।
किंच क्षुत्क्लमघूर्णमाननयनै: उन्निद्रम् ऊर्वीगतै:
कर्तुं वाग्व्ययमक्षमै: स्वजननी बालै: समालोक्यते ॥

[મારા ઘરમાં ગરોળી-પલવડી જેવી ઉંદરડી છે, ઉંદરડી જેવી બિલાડી છે, બિલાડી જેવી કૂતરી છે, કૂતરી જેવી (મારી) ઘરવાળી છે; બાકી લોકોની તો શી વાત કરવી ? અને વળી ભૂખની પીડાથી ચકરાતે ડોળે, ફાટેલી અાંખે, ભોંયે પડેલા, વાણીનો વ્યવહાર પણ કરવાની શક્તિ વિનાનાં બાળકો પોતાની માને તાકી રહે છે.]

દરિદ્ર બાળકોના સંદર્ભમાં માની ચિન્તા −

अद्याशनं शिशुजनस्य बलेन जातं
श्वो वा कथं नु भवितेति विचिन्तयन्ती ।
इत्यश्रुपातमलिनीकृतगण्डदेशा
नेच्छेद् दरिद्रगृहिणी रजनीविरामम् ॥

[અાજે તો મહામુશ્કેલીએ બાળકોના ખાવાનો જોગ થયો, પણ હવે કાલે શી રીતે થશે એમ વિચારતી અશ્રુપાતથી ખરડાયેલા ગાલવાળી દરિદ્રની ગૃહિણી રાત પૂરી જ ન થાય એમ ઇચ્છે છે.]

દરિદ્ર બાળકોની લાગણીઅોને વ્યક્ત કરતાં બેએક ચિત્રો −

प्रायो दरिद्रशिशवो परमन्दिराणां
द्वारेषु दत्तकरपल्लवलीनदेहा: ।
लज्जानिगूढवचसो बत भोक्तुकामा
भोक्तारमर्धनयनेन विलोकयन्ति ॥

[દરિદ્ર શિશુઅો મોટે ભાગે પારકાનાં ઘરોના દરવાજાઅો પર હથેળી મૂકીને તેના પર શરીર ટેકવતાં ઊભાં રહેતાં હોય છે, ખાવાની લાલચ છતાં (ગરીબાઈની) લજ્જાને કારણે વાણી અંદર ઊતરી ગઈ છે અને (ઘરોની અંદરના) ખાઈ રહેલા(બાળક)ને અરધી અાંખે જોયા કરે છે.]

દરિદ્ર બાળકોનું અા વર્ણન એની ચિત્રાત્મકતાને કારણે મને ઘણું અપીલ કરી ગયું છે :-

एते दरिद्रशिशव: तनुजीर्णकन्थां
स्कन्धे निधाय मलिनां पुलकाकुलांगा: ।
सूर्य-स्फुरत्-कर-करम्बित-भित्तिदेश –
लाभाय शीतसमये कलिमाचरन्ति ॥

[અા દરિદ્ર શિશુઅો ટાઢના વખતમાં મેલા ઘસાઈને જર્જરિત થઈ ગયેલા ચીંથરાને ખભે નાખીને (ઠંડીની ચમકના) રોમાંચથી થથરતાં અંગોએ સૂર્યનાં ચમકતાં કિરણોથી હૂંફાળા ભીંતના ભાગને પામવા ઝઘડો કરી રહ્યાં છે.]

‘ભોજપ્રબન્ધ’નો અા શ્લોક પણ એના દારિદ્ર્યવર્ણનમાં લાગણીશીલતાને કારણ કંઈક અતિરંજક – melodramatic – બનતો હોવા છતાં અસરકારક બન્યો છે :

कन्थाखण्डमिदं प्रयच्छ, यदि वा स्वाङ्के गृहाणार्भकं,
रिक्तं भूतलमत्र, नाथ ! भवत: पृष्ठे पलालोच्चय: ।
दम्पत्योर्निशि जल्पतोरिति वच: श्रुत्वैव चौरस्तदा
लब्धं कर्पटमन्यत: तदुपरि क्षिप्त्वा रुदन् निर्गत: ॥

[‘અા કંથાનો ટૂકડો અાપો, અથવા તો બાળકને તમારા ખોળામાં લઈ લો (કેમ કે) અહીં તો ખાલી ભોંય છે, નાથ! તમારી નીચે ઘાસનો પૂળો તો છે !’ એમ રાત્રે વાત કરતાં દંપતીનાં વચનો સાંભળીને જ ચોર બીજેથી મળેલું કાપડ તેમના ઉપર નાખીને રડતો રડતો નીકળી ગયો.]

દરિદ્રતા પછી અાપણા લોકજીવનમાં બીજો એવો જ વ્યાપક વિષય કુટુંબજીવનમાં સાસરિયામાં વહુની અવસ્થાનો રહ્યો છે. વહુ ઉપર સાસરિયાનો ભારે દાબ, પતિ તરફથી સ્નેહની અાશાનો અભાવ, વહુને ઘરમાં જ પુરાઈ રહેવાની ફરજ પડવી વગેરે અાપણા લોકજીવનની જાણીતી વાતો છે. સંસ્કૃત સુભાષિતોમાં પણ અા વિષયનું થોડુંક નિરૂપણ થયેલું જોવા મળે છે.

कार्येणापि विलम्बनं परगृहे श्वश्रूर्न सम्मन्यते
शंकामारचयन्ति यूनि भवनं प्राप्ते मिथो यातर: ।
वीथीनिर्गमनेऽपि तर्जयति च क्रुद्धा ननान्दा पुन:
कष्टं हन्त मृगीदशां पतिगृहं प्रायेण कारागृहम् ॥

[બીજાને ઘેર કામસર પણ મોડું થાય તો સાસુ ન સાંખે . કોઈ જુવાન જો ઘેર અાવી ચડે તો પાડોશણો અંદર અંદર શંકા કરવા માંડે, અને વળી ઘરની બહાર શેરીમાં નીકળો તો પણ ખિજાઈને નણંદ ધમકાવે. રે હાય ! પતિનું ઘર સ્ત્રીઅો માટે ઘણુંખરું તો કારાગૃહ જેવું – કેદખાના જેવું – જ હોય છે.]

સાસરિયાંઅોની અપેક્ષા તો એવી જ હોય કે પતિએ પણ સ્ત્રીને વશમાં જ રાખવી જોઇએ. પતિ જો પત્ની તરફ જરા પણ સ્નેહ બતાવે તો અાવી બન્યું :

श्वश्रू: पश्यति नैव, पश्यति यदि भ्रूभंगवक्रेक्षणा
मर्मच्छेदपटु प्रतिक्षणमसौ ब्रूते ननान्दा वच: ।
अन्यासामपि किं ब्रवीमि चरितं, स्मृत्वा मनो वेपते
कान्त: स्निग्धदृशा विलोकयति माम् एतावद् अाग: सखि ॥

[સાસુ તો જુએ જ નહીં, ને જોશે તો ભ્રૂભંગ કરીને વાંકી નજરે; પેલી નણંદ પણ ક્ષણે ક્ષણે હૈયું વીંધી નાખે એવાં તીણાં વચનો બોલશે. બીજીઅોનાં વર્તનની તો વાત શી કરવી. યાદ કરતાં યે મન કાંપી ઊઠે છે. અપરાધ મારો એટલો જ, સખી, કે મારો પ્રિય મને સ્નેહભરી અાંખે જુએ છે.]

અને જો પતિ ક્યારેક રોષભરી નજરે જુએ તો તો અાનંદ-અાનંદ.

ननान्दा सानन्दा हसितवदनाभूद् वहिनिका
कृतार्था च श्वश्रू: कुपितदृशि पत्यौ मयि सखि ।
स चेद् उच्चैर्ब्रूते कठिनवचनैस्तर्हि सकला:
करिष्यन्ति प्रायो वसनरहितास्ताण्डवविधिम् ॥

[નણંદને અાનંદ અાનંદ થઈ જાય, જેઠાણીનું મોં હસું હસું થઈ જાય, અને સાસુ ધન્ય થઈ જાય, સખી ! જો પતિ ખિજાઈને મારા ઉપર નજર કરે તો. અને એણે જો (ભૂલેચૂકે) મોટેથી કઠોર વચનો કહ્યાં તો તો બધીઅો લગભગ કપડાં કાઢીને તાણ્ડવનૃત્ય જ કરવા માંડશે.]

પતિ અને પત્ની વચ્ચે – ખાસ કરીને અાપણા ગ્રામીણ સમાજમાં − મનમેળ ન હોય, ન રહે એ માટે સાસરિયાં – ખાસ કરીને સ્ત્રીઅો – ભારે પ્રયત્નશીલ રહેતી એ અાપણને જાણીતી વાત છે. અાપણાં લોકગીતો પણ કેટલીયે વાર અા વાતને રેખાંકિત કરતાં હોય છે. કદાચ અા કુટુંબજીવનની વૈશ્વીક ઘટના હશે. હમણાં જ સીરિયાના સરમુખત્યાર શાસક અસદની માતાને એની પત્ની અસ્માના સંદર્ભમાં એક પત્રકારે classic interventionist mother-in-law કહીને અોળખાવી હતી.

***

હાલની ‘ગાહાસત્તસઈ’ પ્રાકૃત પદ્યોનો એક વિશ્વસાહિત્યમાં સ્થાન પામી શકે તેવો અદ્દભુત સંચય છે. અાપણે એને પ્રાકૃત પદ્યોની Golden Treasury અવશ્ય કહી શકીએ. પ્રાકૃતમાં ‘ગાહાસત્તસઈ‘ એટલે સંસ્કૃતમાં ‘ગાથાસપ્તશતી’. નામ પ્રમાણે એમાં સાતસો ગાથાઅો છે. એ હાલની કહેવાય છે પણ સંભવત: હાલ માત્ર એનો સંપાદક છે. એ નામે સાતવાહન વંશનો એક રાજા ઇસુની બીજી સદીમાં અાન્ધ્રમાં થઈ ગયો. પોતાના સમયમાં એના પ્રદેશમાં ગાથાઅોનું જે વિશાળ લોકરચિત સાહિત્ય લોકસમુદાયમાં પ્રચલિત હશે તેમાંથી એણે ઉત્તમ પદ્યો તારવીને અા સાતસોનો સંગ્રહ તૈયાર કર્યો હશે. ગાથા એટલે અાર્યા, માત્રામેળ છંદ, સ્થિતિસ્થાપક, ઘણીવાર વ્યાકરણની ઉપર ઊઠતી લોકભાષાના પ્રવાહી લયને બરાબર ઝીલી શકે તેવો.

ગાથાસપ્તશતીની મોટા ભાગની ગાથાઅો ગ્રામીણ જીવનનાં ચિત્રો રજૂ કરે છે. તેમાં યે લગભગ સર્વત્ર સ્ત્રીની લાગણીઅો, સ્ત્રીના ભાવો, સ્ત્રીનો દૃષ્ટિકોણ રજૂ થયો છે. મને તો એવી સંભાવના પણ જણાય છે કે મોટા ભાગનાં પદ્યો પણ સ્ત્રીકવયિત્રીઅોની જ રચનાઅો હશે. સ્ત્રીઅોનાં મનોભાવોની જે સૂક્ષ્મતાઅો, સ્ત્રીઅોનાં કાર્યોની જે લાક્ષણિકતાઅો અા અાર્યા પદ્યોમાં નિરૂપાઈ છે તે કોઈ પુરુષકવિ કલ્પી શક્યો હશે કે કેમ એવી વારંવાર શંકા થયા કરે. ગોવિન્દચંદ્ર પાણ્ડેએ અા અાર્યા છંદોને હિન્દીમાં દોહા છંદમાં ભારે કુશળતાથી ઉતાર્યા છે અને થોડાંક ચિત્રો સાથે મનોહર પ્રકાશન કર્યું છે : એનું શીર્ષક જ એમણે તો महिलाएँ (Raka Prakashan, 40-A, Moti Lal Nehru Road, Allahabad – 211 002 Phone no. 9415307687) એવું અાપ્યું છે ! અાપણા દેશમાં જેવી પ્રકૃતિ અનેક નિર્બંધ રમણીય સ્વરૂપોમાં પ્રગટ થતી રહી છે (હવે કદાચ ‘થતી રહી હતી’ એમ કહેવાનો વારો પણ અાવે !) એટલાં જ નિર્બંધ રમણીય રૂપો સ્ત્રીઅોની ચિત્તવૃત્તિઅોનાં − એમની પ્રણયપ્રેરિત પ્રવૃત્તિઅોનાં અહીં પ્રગટ થયા કરે છે. એ પદ્યોને નીતિશાસ્ત્રના માપદંડોથી માપવા જઇશું તો એમાંની કવિતા અાપણા હાથમાંથી સરકી જશે. નૈતિક-અનૈતિક, ઉચિત-અનુચિત જેવાં ખાનાંઅોમાં એને વહેંચવાને બદલે એમાં જીવનનો ઉન્મુક્ત સ્વીકાર અને નારીહૃદયમાં ઊઠતી સહજ ભાવનાઅોનું સરળ નિર્દંભ નિરૂપણ જોઇશું તો અા લોકજીવનને ખુલ્લાશથી અાલેખતાં લોકકાવ્યને અાપણે વધારે માણી શકીશું. વળી એવું પણ નથી કે બધાં જ પદ્યો અાવી ઉન્મુક્ત સ્ત્રીઅોની પ્રણયપ્રવૃત્તિઅોને જ અાલેખે છે. સરસ પ્રણયનાં, શીલવતી ગૃહિણીઅોનાં, દાંપત્યજીવનના અાનંદના પણ અનેક ચિત્રો અહીં મળે છે. સંક્ષેપમાં જેટલી સ્ત્રીઅો, જેટલી એમની મનોવૃત્તિઅો, જેટલી એમની પ્રવૃત્તિઅો, જેટલી એમની પ્રણયછટાઅો વિવિધ છે એટલાં એમનાં રચેલાં અા અાર્યાપદ્યોમાંનાં ચિત્રો વિવિધ છે. અાપણે પદ્યો જ જોઇએ :

ગાહાસત્તસઈ – ગાથાસપ્તશતી – નું એક અાર્યા છંદનું પદ્ય સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાં વારંવાર સામું અાવે છે.

उअ णिच्चलणिप्पन्दा बिसिणीपत्तम्मि राहइ बलाअा ।
णिम्मल-मरगअ-भाअण-परिठ्ठिअा संखसुत्ति व्व ॥ गाहा ॥ 1/4

[पश्य निश्चलनि:स्पन्दा बिसिनीपत्रे राजते बलाका ।
निर्मल-मरकत-भाजन-परिस्थिता शंखशुक्तिरिव ॥]

જો, કમળપત્ર પર સ્થિર અને નિષ્પન્દ બેઠી છે બલાકા, મરકતના નિર્મળ પાત્ર પર રહેલી શંખની છીપ જેવી.

ચિત્ર પોતે જ ખૂબ સુન્દર છે. લીલા કમળપત્ર પર સ્થિર બેઠેલી ધોળી બલાકા, જાણે લીલા મરકતમણિના થાળ પર મૂકેલી શંખની છીપ. પણ પછી વ્યંજનાના સ્તરો ઊઘડે છે અને અા પ્રકૃતિ-ચિત્ર લોકજીવનની લીલાઅોને પ્રગટ કરે છે : નાયિકા પોતાના પ્રેમીને કહી રહી છે : પક્ષીને પણ ખલેલ ન પહોંચે એવો અા શાંત જળનો કિનારો છે. અાપણા એકાંત મિલનને માટે ઉત્તમ ! અથવા તો, નાયિકા પોતાના ધૂર્ત પ્રેમીનો કાન પકડી રહી છે : તું ખોટું બોલે છે, તું અહીં અાવ્યો જ નહોતો. કોઈ અાવ્યું હોત તો અા બલાકા અામ સ્થિર બેઠી ન હોત !

એક અલ્લડ કે ઉદ્દંડ છોકરી ગામના મુખીના રૂપાળા છોકરાને – કદાચ નવો પરણેલો છે, કદાચ hen-packed હશે તેને − સંબોધીને કહે છે :

णिक्किव जाअाभीरुअ दुदंसण निम्बईडसारिच्छ ।
गामो गामणिनन्दन तुज्झ कए तह वि तणुअाई ॥ 1/30

[निष्कृप ! जायाभीरुक ! दुर्दर्शन ! निम्बकीटसदृक्ष ! ।
ग्रामो ग्रामणिनन्दन तव कृते तथापि तनुकायते ॥]

અરે ગામમુખીના છોરા ! નિર્દય ! બૈરીબીધલ ! દુર્લભ-દર્શન ! લીમડાના કીડા જેવો છે તું તો ય અા અાખું ગામ તારે કાજે સુકાય છે !!

અાખું ગામ એટલે કોણ ? ગામની જુવાનડીઅો જ ને ? અને લીમડાના કીડા સાથે સરખાવ્યો તે લીમડો કોણ ? કદાચ એની પરણેતર ! પણ, એક તો ગામમુખીનો છોરો અને પાછો કદાચ રૂપાળો હશે, એટલે ગામ સુકાય જ ને ?

એક બીજું ચિત્ર !

भिच्छाअरो पेच्छइ णाहिमण्डलं सावि तस्स मुहअन्दं ।
तं चटुअं च करंकं दोहूण वि काअा विलुम्पन्ति ॥ 2/62

[भिक्षाचर: प्रेक्षते नाभिमण्डलं सापि तस्य मुखचन्द्रम् ।
तच्चटुकं च करङ्कं द्वयोरपि काका विलुम्पन्ति ॥]

ભિખારી પેખે છે તેના નાભિમંડળને અને તે પણ નિરખી રહી છે અાના મુખચન્દ્રને. અને બંનેનાં ભિક્ષાપાત્ર તથા કટોરાને કાગડા લૂંટી રહ્યા છે !

કવિએ સ્થિર ચિત્ર અાપ્યું છે. સહેજ ઊંચા અોટલા પર ઊભેલી નાયિકાનું નાભિમંડળ કદાચ ભિક્ષુકની અાંખ સામે અાવતું હશે અને નાયિકા ઘરમાંથી બહાર અાવતી ભિક્ષુકના ચંદ્ર જેવા મુખને જોતી સ્થિર છે. કટોરો હાથમાં રહી ગયો છે, ભિક્ષુક નાયિકાના સૌંદર્યથી મુગ્ધ, સ્થિર. એના પાત્રમાં રહેલી ભિક્ષા અને નાયિકાના કટોરામાંની ભિક્ષા – બંને જેમના તેમ, કાગડાઅોને લૂંટાલૂંટ. કામમુગ્ધ નાયિકા-નાયકનું એક સરસ ચિત્ર.

બૌદ્ધ ભિક્ષુ પર મોહી પડતી ગણિકાની કથાનું અાપણને સ્મરણ થાય. ભિક્ષુકના વેશે કદાચ પ્રેમી હોય એમ પણ કલ્પી શકાય.

અા નાયિકા પોતાના પ્રેમીની પ્રણયનિવેદનની રીતથી જીતાઈ ગઈ છે.

मामि हिअअं व पीतं तेण जुअाणेण मज्जमाणाए ।
ण्हाणहलिद्दाकडुअं अणुसोत्तजलं पिअन्तेण ॥ 3/46

[मातुलानि हृदयमिव पीतं तेन यूना मज्जन्त्या: ।
स्नानहरिद्राकटुकं अनुस्रोतोजलं पिबता ॥]

મામી, હું નહાતી હતી ત્યારે મારા નાવણનું હળદરથી કડવું પાણી જે પ્રવાહમાં એની પાસે પહોંચ્યું તે પીતાં તો જાણે એણે મારું હૈયું પી લીધું !

રૂપગર્વિતા નાયિકાને જીતી લેવાની અતિ વિશિષ્ટ રીતિ !

પ્રણય હોય તો પ્રણયભંગ પણ થાય. અા નાયિકા એના પ્રેમીને કહે છે :

ण कुणन्तो विअ माणं णिसासु सुहसुत्तदरविबुद्धाणं ।
सुण्णइअपासपरिमूसणवेअणं जइ सि जाणन्तो ॥ 1/26

[नाकरिष्य एव मानं निशासु सुखसुप्तदरविबुद्धानाम् ।
शून्यायितपार्श्वपरिमोषणवेदनां यदि असि जानन् ॥]

તું કદિ અામ માન કરત જ નહીં જે રાત્રે સુખેથી  સૂતા પછી જરીક જાગી જતાં (શય્યાનો એક છેડો) ખાલી જોતાં જે લૂંટાયાની – ઠગાયાની વેદના તે તેં જાણી હોત !

એક તો રાત્રે શય્યા સૂની છોડીને વારેવારે ચાલ્યા જવું અને પાછું પોતાના અપરાધને ઢાંકવા માટે માન – રીસ લઈને બેસવું ! તને મધ્ય રાત્રીમાં અામ ઠગાયાની વેદનાનો અનુભવ છે ? હોત તો તું અામ ખોટેખોટું માન લઈને ન બેઠો હોત.

વાત રજૂ કરવાનો પ્રકાર ભારે મરમાળો છે !

બીજી નાયિકા વાતને અામ મૂકી અાપે છે :

सा तुज्झ वल्लहा तं सि मज्झ वेसो सि तीअ तुज्झ अहं ।
बालअ कुडं भणामो पेम्मं किर बहुविअारं त्ति ॥ 2/26

[सा तव वल्लभा,  त्वमसि मम, द्वेष्योऽसि तस्या:, तव अहं ।
बालक स्फुटं भणाम: प्रेम किल बहुविकारमिति ॥]

એ તારી પ્રિયતમા છે, તું મારો; એ તારો દ્વેષ કરે છે, તું મારો. ભોળિયા ! તને ચોખ્ખું કહું છું : અા પ્રેમના ‘ધંધા’માં ઘણા વિકારો હોય છે.

પ્રણયત્રિકોણની અવસ્થા છે. નાયિકા પ્રણયની બાબતમાં અનુભવીની જેમ વાત રજૂ કરે છે. ભર્તૃહરિ અને પિંગળાની વચ્ચેનો અમરફળની વારાફેરીનો પ્રસંગ યાદ અાવી જાય.

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साऽप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्त: ।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक् तां च तं च मदनं च इमां च मां च ॥

હું સતત જેને ચિંતવું છું તે મારા પ્રત્યે વિરક્ત છે, તે વળી અન્ય પુરુષને ઇચ્છે છે, અને એ પુરુષ બીજીમાં અાસક્ત છે, અને એ કોઇક બીજી અમારે માટે શોષાય છે ! ધિક્કાર છે તેણીને અને તેને અને કામદેવને, અને અાને અને મને !

પણ દૃષ્ટિબિંદુનો ભેદ છે. ભર્તૃહરિમાં પુરુષનો ક્રોધ છે, જ્યારે અહીં એક સ્ત્રીની અસહાયતા છે.

પણ અાપણે માટે પ્રણયછટાઅો જેવો જ, કદાચ વધારે, રસનો વિષય હોય દાંપત્ય. દાંપત્ય વિશેનાં પણ અનેક પદ્યો અાપણને અહીં મળે છે. જેમ કે અા ગૃહિણીને પોતાના ગરીબ પણ સ્વમાની પતિના માનની ચિંતા છે.

अहिअाअमाणिणो दुग्गअस्स छाहिं पिअस्स रक्खन्ती ।
निजबन्धवाणाँ जूरइ घरिणी विहवेण पत्ताणं ॥ 1/38

[अाभिजात्यमानिनो दुर्गतस्य छायां प्रियस्य रक्षन्ती ।
निजबान्धवेभ्य: क्रुध्यति गृहिणी विभवेन प्राप्तेभ्य: ॥]

કુલીનતાનું ગૌરવ ધરાવતા પણ દરિદ્ર પતિની છાયા(= સ્વાભિમાન)નું રક્ષણ કરતી ગૃહિણી વૈભવથી (વૈભવનો દેખાડો કરતા) અાવેલા પોતાના બંધુ-બાંધવો (પિયેરનાં સગાં) પર ખિજાય છે.

બીજું એક ચિત્ર :

हिअअ च्चेअ विलीनो न साहिअो जाणिऊण घरसारं ।
बान्धवदुव्वअणं विअ दोहलअो दुग्गअवहूए ॥ 3/90

[हृदय एव विलीनो न साधितो ज्ञात्वा गृहसारम् ।
बान्धवदुर्वचनमिव दोहदो दुर्गतवध्वा ॥]

ખરાબ અવસ્થામાં રહેલા(પતિ)ની વધૂએ ઘરની સારતા(=શક્તિ, સામર્થ્ય) જાણીને પોતાના દોહદ(સગર્ભાવસ્થામાં સ્ત્રીની ઇચ્છા, અભાવો)ને પોતાના બાંધવો-પિયરિયાંઅોનાં કડવાં વચનોની જેમ હૃદયમાં જ સમાવી દીધો, સિદ્ધ ન કર્યો (એટલે કે એવો દોહદ પૂરી કરવાનો કોઈ પ્રયાસ જ ન કર્યો).

પતિની દરિદ્ર અવસ્થામાં પિયેરિયાં કડવાં વેણ ઉચ્ચારે તો સમજુ ગૃહિણી એવા ઉદ્દગારોને પોતાના મનમાં સમાવી લે, પતિ સુધી પહોંચાડીને એને પીડા ન થવા દે. એ અવસ્થાનો કવિ દોહદના ઉપમાન તરીકે પ્રયોગ કરે છે. અા ઉપમા, મને લાગે છે કે, એક સ્ત્રી સિવાય બીજા કોઈને ન સૂઝે.

પિયેરિયાઅોનાં કટુવચનો અને સગર્ભાવસ્થાના દોહદો સિવાય પણ સમજુ ગૃહિણીએ ઘણું મનમાં સમાવવાનું હોય છે.

असरिसचित्ते दिअरे सुद्धमणा पिअअमे विसमसीले ।
ण कहइ कुडुम्बविहडणभएण तणुअाअए सोण्हा ॥ 1/59

[असदृशचित्ते देवरे शुद्धमना प्रियतमे विषमशीले ।
न कथयति कुटुम्बविघटनभयेन, तनुकायते स्नुषा ॥]

દિયેરનું ચિત્ત અણસરખું છે, અને પ્રિયતમ ઉલટા સ્વભાવનો છે, એવી દશામાં શુદ્ધ મનવાળી કુલવધૂ કુટુંબ ભાંગી પડવાના ભયે કશું કહેતી નથી, બસ સુકાતી જાય છે.

એ કુલવધૂના મનની ભીંસ એના દેહ પર અસર કરતી દેખાય છે. પણ ક્યારેક કોઇક કુલીન સ્ત્રી પોતાની રીતે એનો ઉપાય કરવા પ્રયાસ પણ કરે :

दिअरस्स असुद्धमणस्स कुलवहू णिअअकुड्डलिहिअाइं ।
दिअहं कहेइ रामाणुलग्गसोमित्तिचरिअाइं ॥ 1/35

[देवरस्य अशुद्धमनस: कुलवधू: निजक कुऽय लिखितानि ।
दिवसं कथयति रामानुलग्नसौमित्रिचरितानि ॥]

અશુદ્ધ મનવાળા દિયરને કુલવધૂ પોતાના ઘરની ભીંતે ચીતરેલા રામનું અનુસરણ કરતા સૌમિત્રિ લક્ષ્મણનાં ચરિત્રો દિવસભર કહેતી – સંભળાવતી રહે છે.

બધી વધૂઅો અાવી જ હોય એવું નથી પાછું. કોઇક સાધારણ વધૂને દિયરની અા પ્રકારની ચેષ્ટાઅો ગમે પણ ખરી.

णव-लअ-पहरं अंगे जेहिँ जेहिँ महई देवरो दाउँ ।
रोमंचदण्डराई तहिं तहिं दीसइ बहूए ॥ 1/28

[नव-लता-प्रहारम् अङ्गे यत्र यत्र इच्छति देवरो दातुम् ।
रोमाञ्चदण्डराजि: तत्र तत्र दृश्यते वध्वा: ॥]

નવી વેલથી દિયર જ્યાં જ્યાં એના અંગ પર પ્રહાર કરવાની ચેષ્ટા કરે છે ત્યાં ત્યાં વધૂને રોમાંચથી રુંવાં ખડા થઈ જતાં દેખાય છે.

સમાજ બન્ને પ્રકારની વ્યક્તિઅોનો બનેલો છે – શું સ્ત્રીઅોમાં કે શું પુરુષોમાં.

ગૃહસ્થજીવનમાં અવારનવાર અાવતી એક અવસ્થા હોય છે વિરહની. એ કાળમાં તો વિરહની અવસ્થા વધારે કપરી હતી, પતિ-પ્રિયતમ પરદેશ ગયો હોય, જીવનની અનિશ્ચિતતા, સમાચાર-સંદેશાની અાપલેની ભારે મુશ્કેલી, પતિના પાછા ફરવાના કાળ અંગે અનિર્ણય, કેવળ પતિ પાછો ફરશે એટલી અાશાના તાંતણે ટકી રહેવાનું, ક્યારેક વળી જીવવાનાં સાધનોની તંગી − વિરહિણીની અવસ્થા જીરવવાનું ભારે કષ્ટદાયક હતું.

પતિ કાલે પ્રવાસે જવાનો છે એ અવસ્થાનું એક ચિત્ર :

दिअहं खुडक्किअाए तीए काऊण गेहवावारं ।
गरुए वि मण्णुदुक्खे भरिमो पाअन्तसुत्तस्स ॥ 3/26

[दिवसं रोषमूकाया: तस्या: कृत्वा गृहव्यापारम् ।
गुरुकेऽपि मन्युदु:खे स्मराम: पादान्तसुप्तस्य ]

અાખો દિવસ રોષથી મૂંગી રહી, ઘરનાં કામકાજ કરતી રહી, અને પછી રોષનું દુ:ખ ભારે હોવા છતાં એ પગની પાસે સૂઈ રહી − તેને યાદ કરું છું.

પતિ ગયા પછી તેના વિરહમાં દિવસો ગણતી – પતિએ પાછા અાવવાના અાપેલા વાયદાના દિવસો ગણતી સ્ત્રીનું અા ચિત્ર :

अोहिदिअहागमासंकिरीहिं सहिअाहिं कुड्डलिहिअाअो ।
दोतिण्णि तहिं विअ चोरिअाएॅ रेहा पुसिज्जन्ति ॥ 3/6

[अवधिदिवसागमाशंकिनीभि: सखीभि: कुड्यलिखिता: ।
द्वित्रास्तत्रैव चोरिकया रेखा: प्रोञ्छ्यन्ते ॥]

અવધિનો દિવસ અાવી જશે એવી અાશંકાથી સખીઅો ભીંત પર લખેલી રેખાઅોમાંથી બે-ત્રણ (રેખાઅો) ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.

ભીંત પર રોજ એક રેખા દોરીને વિરહિણી પતિના વાયદાના દિવસો ગણે છે. પણ પતિ કદાચ અવધિના દિવસે પાછો ન અાવી શક્યો તો ? એ બીકે નાયિકાની સખીઅો એ રેખાઅોમાંથી બે-ત્રણ ચોરીછૂપીથી ભૂંસી નાખે છે.

કેમ કે વિરહિણીની દશા બહુ સારી નથી, સુકાઈ એવી ગઈ છે કે હાથમાં કંકણ મોટાં પડવા માંડ્યાં છે, વારંવાર ઊતરી જાય છે, ચડાવવાં પડે છે.

पासासङ्की काअो णेच्छदि दिण्णं वि पहिअघरणीए ।
अोअन्तकरअलोगलिअवलअमज्झट्ठिअं पिण्डं ॥ 3/5

[पाशाशङ्की काक: नेच्छति दत्तमपि पथिकगृहिण्या ।
अवनत-करतलावगलितवलयमध्यस्थितं पिण्डम् ॥]

પ્રવાસી પતિની ગૃહિણીએ અાપેલો બલિપિંડ, (પિંડ મૂકવા માટે) ઝૂકેલી ગૃહિણીના હાથમાંથી સરી પડેલાં કંકણોની વચ્ચે પડ્યો છે તે, કાગડો જાળની અાશંકાથી લેવા કરતો નથી.

અાની સાથે અાપણને હેમચંદ્રે અાદિ અવસ્થાની ગુજરાતી ભાષામાં રચાયેલો એક દોહો ઉદાહરણ તરીકે અાપેલો છે તે યાદ અાવે

वायसु उड्डावन्तिअए िपउं दिट्ठउ सहसत्ति ।
अद्धा वलया महिहिं गय अद्धा फुट्ट तडत्ति ॥

[વાયસ ઉડાડન્તિએ પિયુ દીઠો સહસત્ત,
અર્ધાં વલય મહીએ ગયાં અર્ધાં ફૂટ્યાં તડત્ત.]

(અનુવાદ : ધીરુભાઈ ઠાકર, ‘ગુજરાત દર્શન [સાહિત્ય]’, જ્ઞાન-ગંગોત્રી ગ્રંથ-શ્રેણી 10, પૃ. 1)

ઘર પાસે બોલતા કાગડાને ઉડાડવા વિરહિણી પથ્થર લેવા વાંકી વળી અને અડધાં કંકણ સરી પડ્યાં, ત્યાં એણે દૂરથી પિયુને અાવતો દીઠો અને દેહને પુષ્ટ કરતો અાનંદ રોમેરોમ એવો ફરી વળ્યો કે બાકીનાં અડધાં પણ તડતડ તૂટી ગયાં.

વિરહમાં વિરહિણીનું કૃશકાય બનવું, કંકણ સરી પડવા, કાગડાનું પાસે હોવું એવા બધા motifs સમાન છતાં બે કવિઅો કેવી ભિન્ન અર્થચ્છાયાઅો – કેવાં ભિન્ન શબ્દચિત્રો સિદ્ધ કરે છે !

વિરહદશા સાથે સાંકળતી અા એક ગાથા કૈંક વિશિષ્ટ લાગે છે :

साहीणे वि पिअअमे पत्ते वि खणे ण मण्डिअो अप्पा ।
दुग्गअपउत्थवइअं सअज्झिअं सण्ठन्वतीए ॥

[स्वाधीनेऽपि प्रियतमे प्राप्तेऽपि क्षणे न मण्डितो अात्मा ।
दुर्गतप्रोषितपतिकां प्रतिवेशिनीं संस्थापयन्त्या ॥]

પ્રિયતમ પણ સ્વાધીન છે, અને ઉત્સવ પણ અાવી પહોંચ્યો છે. તો યે નાયિકાએ શણગાર ન સજ્યા − દુર્દશામાં રહેલી પ્રોષિતપતિકા પાડોશણને હિંમત-અાશ્વાસન-સાન્ત્વન અાપવા માટે.

પડોશણ દરિદ્ર છે, પ્રોષિતપતિકા છે, એને અોછું ન અાવે, એને સાંત્વન અાપી શકાય એ માટે અા કરુણાળુ નાયિકાએ પોતાનો ઉત્સવનો અાનંદ જતો કર્યો (અથવા સીમિત કરી નાખ્યો).

એમાં સહાનુભૂતિનો સામાજિક સંદર્ભ છે તો અા બીજા પદ્યમાં સામાજિક મર્યાદાની તીવ્ર સભાનતાનો સંદર્ભ છે.

हिअअट्ठिअस्स दिज्जउ तणुअाअन्तीं ण पेच्छह पिउच्छा ।
हिअअट्ठिअोम्ह कंतो भणिउं मोहं गअा कुमारी ॥ 3/98

[हृदयस्थिताय दीयतां तनुकायन्तीं न प्रेक्षथ पितृष्वस: ।
हृदयस्थितोऽस्माकं कुत: भणित्वा मोहं गता कुमारी ॥]

‘રે ફોઈ ! અા સૂકાતી જતીને જોતાં નથી ? એને એના મનમાનેલાને જ દેજો’ ‘(અરે !) અમારે વળી કોઈ મનમાનેલો છે જ ક્યાં ?’ કહેતાં કહેતાં કુમારી મૂર્છા પામી ગઈ.

કુલીન કન્યાના મનમાં કોઈ વસ્યો હોય તો યે બોલાય નહીં, એ લાગણી દબાવી રાખવી પડે, કોઈ ઉપરવટ જઈને ભલામણ કરે તો યે એ ભાવ પ્રકટ ન થવા દેવાય, એવી તીવ્ર લજ્જા – પ્રબળ સામાજિક મર્યાદાનો એ કાળ હતો. એની ભીંસ મૂર્છા પમાડે એમાં કશું અાશ્ચર્ય નથી. અત્યંત પરિચિત ચિત્ર.

પતિ ન હોય ત્યારે પણ ઘર તો હોય છે કેમ કે વિરહિણી ગૃહિણી ત્યાં રહે છે. ગૃહસ્થીનો અાધાર ગૃહ છે અને અાપણાં શાસ્ત્રો કહે છે : न गृहं गृहमित्याहु: गृहिणी गृहमुच्यते । ઘરને ઘર નથી કહ્યું, ઘર તો ગૃહિણીને જ કહેવાય. પણ એ ગૃહિણી જ ઊઠી જાય તો પછી પાછળ રહેલા પુરુષને માટે ઘર કેવું હોય ? કેવું રહે ?

णिक्कमाहिँ वि छेत्ताहिँ पामरो नैव वच्चए वसइं ।
मुअपिअजाअासुण्णइअगेहदुक्खं परिहरन्तो ॥ 2/69

[निष्कर्मणोऽपि क्षेत्रात् पामरो नैव व्रजति वसतिम् ।
मृतप्रियजायाशून्यायितगृहदु:खं परिहरन् ॥]

કામ ન બચ્યું હોય ત્યારે પણ ખેતરમાંથી તે બિચારો વસ્તીમાં જતો જ નથી, મૃત્યુ પામેલી પ્રિય પત્નીને કારણે શૂન્ય બની ગયેલા ઘરનું દુ:ખ ટાળવા માટે.

અાવી એકલતા કદાચ વાર્ધક્યમાં વધારે કષ્ટદાયક બનતી હશે :

परिहूएण वि दिअहं घरघरभमिरेण अण्णकज्जम्मि ।
चिरजीविएण इमिणा खविअह्मो दड्ढकाएण ॥ 2/34

[परिभूतेनापि दिवसं गृहगृहभ्रमिरेण अन्नकार्ये ।
चिरजीवितेन अनेन क्षपिता: स्मो दग्धकायेन ॥]

અન્નને કાજે અાખો દિવસ ઘેરઘેર ભટકીને, અપમાનિત થઈને પણ લાંબુ જીવતા અા બળ્યા શરીરથી તો અમે હારી ગયા !

પત્ની નહીં, ઘર નહીં, એકલો પુરુષ, ઘડપણ, કામ થાય નહીં, બળ્યા પેટને અનાજ નાખવા ઘેર ઘેર ભટકવાનું, હડધૂત થવાનું, અને જિંદગી લાંબી ખેંચાયા કરે !

પણ પુરુષોને વિષય બનાવતાં પદ્યો ઝાઝાં મળતાં નથી. ઘર તે ગૃહિણીનું, અને કવિતા તો સ્ત્રીની જ. ‘ગાથાસપ્તશતી’ પણ એમાં અપવાદ નથી જ. એટલે હવે છેવટે ગૃહસ્થ જીવનનાં – મુખ્યત્વે સ્ત્રીની દૃષ્ટિએ, સ્ત્રીને વિષયે રચાયેલાં ચિત્રો તરફ જ વળીએ :

घरिणीएॅ महाणसकम्मलग्गमसिमलिइएण हत्थेण ।
छित्तं मुखं हसिज्जइ चन्दावत्थं गअं पइणा ॥ 1/13

[गृहिण्या महानसकर्मलग्नमषीमलिनितेन हस्तेन ।
स्पृष्टं मुखं हस्यते चन्द्रावस्थां गतं पत्या ॥]

રસોઈઘરના કામમાં વળગેલી મેશથી મેલા હાથે સ્પર્શ થતાં ગૃહિણીના ચંદ્રની દશાને પામેલા મુખને પતિ હસે છે.

રસોડાની મેશ લાગી એટલે તો કલંકવાળા ચંદ્રની ઉપમા વધારે સાર્થક બને. ત્યારે સાધારણ અવસ્થામાં અા મુખ ચંદ્ર કરતાં યે વધારે સુન્દર હશે ? દયારામના ગીતની નાયિકા ગોપી યાદ અાવે છે ?

‘હવે સખી ! નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે !
કદાપિ નંદકુંવરની સંગે,
કે મુંને શશિવદની કહી છે રે !’

કેમ કે ‘ચંદ્રબિંબમાં લાંછન છે.’ મોટી ઉંમરના ફિલ્મરસિકોને કદાચ રાજકપૂર પહેલી વાર નરગિસને જે સ્વરૂપમાં જોઇને પહેલી નજરના પ્રેમમાં પડી ગયેલો તે પ્રસંગ પણ યાદ અાવી જાય. પણ અાપણને જીવનની સહજ અવસ્થાઅોમાં પણ કાવ્ય જોઈ શકતા કવિની દૃષ્ટિપ્રતિભાની ઝાંખી થાય છે. ગૃહસ્થ જીવનના મધુર અાનંદનું રમણીય ચિત્રણ !

અા બીજું ચિત્ર !

धावइ विअलिअधम्मिलसिचअसंजमणवावडकरग्गा ।
चन्दिलभअविवलाअन्तडिम्भपरिमग्गिणी घरिणी ॥ 3/91

[धावति विगलितधम्मिलसिचयसंयमनव्यापृतकराग्रा ।
चन्दिलभयविपलायमानडिम्भपरिमार्गिणी गृहिणी ॥]

છૂટી ગયેલા કેશસમૂહને સાચવવામાં રોકાયેલા હાથવાળી ગૃહિણી હજામની બીકે ભાગેલા બાળકને શોધવા દોડી રહી છે.

ગ્રામસમાજનું અત્યંત પરિચિત ચિત્ર. હજામના ભયથી દોડતું બાળક, તેને પકડવા શોધી કાઢવા દોડતી ગૃહિણી, દોડતી વખતે અંબોડો છૂટી જતાં એક હાથે વાળને અાંટીને પકડી રાખવાની ક્રિયા – બધું બહુ પરિચિત લાગે. શરદ્દબાબુની નવલ ‘છોટી મા’માં અામ જ ભાગતા બાળ દિયરની પાછળ ભાભી દોડે છે, તેનું ફિલ્મીકરણનું દૃશ્ય અાંખ સામે અાવી જાય. કાંગડા શૈલીના એક ચિત્રમાં નાયિકા ભાગતી બિલાડીને મારવા છુટ્ટા વાળને એક હાથે સાચવતી બીજા હાથે લાકડી ઉગામતી દોડે છે એ પણ યાદ અાવે.

અા બાળક સહેજ નાનો હોય, હમણાં જ ચાલતાં શીખ્યો હોય તો ? અા ચિત્ર જુઅો :

पाअपडिअस्स पइणो पुट्ठिं पुत्ते समारुहत्तम्मि ।
दढमण्णुदुण्णिअाएॅ वि हासो घरिणीएॅ णेक्कन्तो ॥ 1/11

[पादपतितस्य पत्यु: पृष्ठं पुत्रे समारुहति ।
दृढमन्युदूनाया अपि हासो गृहिण्या निष्क्रान्त: ॥]

પગે પડેલા પતિની પીઠ પર જ્યાં પુત્ર ચઢવા લાગ્યો કે ભારે રોષથી દુણાયેલી તો યે ગૃહિણીના (મોંમાંથી) હાસ્ય ફૂટી નીકળ્યું !

ગૃહિણી છે, પુત્રવતી છે, એટલે પ્રગતયૌવના છે, પણ હજુ સ્વાધીનપતિકા છે. પતિનો કશો અપરાધ થયો છે, નાયિકા ભારે ખિજાઈ છે, પતિ ક્ષમા માગતો પગે પડ્યો છે, તો યે પત્ની મચક ન અાપત, પણ બન્યું એવું કે િપતાની પીઠ પર ઘોડો કરવાને ટેવાયેલો પુત્ર પિતાને અા અવસ્થામાં જોઈને એની પીઠ પર ચડવા લાગ્યો અને એ જોતાં જ પત્નીનો તીવ્ર રોષ ક્ષણમાં અોગળી જઈને એના મોંમાંથી હાસ્ય ફૂટી પડ્યું. નાયિકાના સમાધાનનો અા ઉપાય કેવો અદ્દભુત છે ? સુખદ ગૃહસ્થાઈનું પ્યારું લાગે એવું ચિત્ર !

ભવભૂતિ યાદ અાવે છે :

अन्त:करणतत्त्वस्य दम्पत्यो: स्नेहसंश्रयात् ।
अानन्दग्रन्थिरेकोऽयं अपत्यं इति बध्यते ॥

સ્નેહના અાશ્રયને કારણે દમ્પતીના અન્ત:કરણના સત્ત્વને એક અા ‘અપત્ય’ (સંતાન) નામની અાનંદની ગાંઠ લાગી જાય છે.

બાળક હજુ નાનું હોય તો એના ખિલખિલાટથી ઘર અને મન ભરાઈ જાય છે. એના વિકાસનાં ઝીણાં સોપાનો જોતાં દરેક સોપાને અાનંદનો એક એક ઊભરો અનુભવાતો હોય છે. એવા અાનંદનો એક ઉમળકાભર્યો અનુભવ !

गेह्णह पलोअह इमं पहसिअवअणा पइस्स अप्पेइ ।
जाया सुअपढमुब्भिण्णदन्तजुअलङ्कितं बोरं ॥ 2/100

[गृह्णीत प्रलोकयत इदं प्रहसितवदना पत्युरर्पयति ।
जाया सुतप्रथमोद्भिन्नदन्तयुगलाङ्कितं बदरम् ॥]

‘લો, લો, જુઅો અા’ એમ ખુશખુશાલ મોંએ પતિને પત્ની દીકરાને પહેલવહેલા ફૂટેલા દાંતની જોડથી અંકાયેલું બોર અાપે છે.

દીકરાને પહેલવહેલા ફૂટેલા દાંતની જોડ – અને એ દાંતની છાપ જેના પર બેઠી છે એવું બોર – દીકરાના પહેલા દાંતની પ્રત્યક્ષ નિશાની – માનો ઉમંગ – એ પતિને બતાવતાં એના અાનંદનો ઉભરો …

મને લાગે છે કે બાલકૃષ્ણને પહેલી ફૂટેલી દાંતની કળી અંકાયેલું બોર યશોદા હરખથી નંદને બતાવે છે એ ચિત્ર અાગળ અાપણે દાંપત્યના અાવા અાનંદને વંદન કરીને શબ્દોને વિરામી દઇએ !

[દિલ્હી યુનિવર્સિટીમાં પ્રૉ. નરેન્દ્રનાથ ચૌધરી વ્યાખ્યાન તરીકે તા. 18 ડિસેમ્બર 2006ના રોજ, હિન્દીમાં, રજૂ થયેલું વક્તવ્ય. ઠીક ઠીક પરિવર્તનો સાથે એ લંડનમાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના ઉપક્રમે તા. 7 સપ્ટેમ્બર 2013ના રોજ ગુજરાતીમાં રજૂ થયું. તેનું પણ પરિષ્કૃત સ્વરૂપ અા લેખમાં પ્રસ્તુત છે. અહીં ઉદ્ધૃત મોટા ભાગનાં સંસ્કૃત સુભાષિતો પ્રૉ. રાધાવલ્લભ ત્રિપાઠીના પુસ્તક ‘संस्कृत कविता की लोकधर्मी परंपरा’માંથી લીધાં છે, પ્રાકૃત પદ્યો હાલની ‘गाहासत्तसई’ (गाथासप्तशती)માંથી પસંદ કર્યાં છે.]

[B-103, Rajlaxmi Society, Old Padra Road, VADODARA – 390 007, Gujarat, India]

e.mail : rinanavati2000@yahoo.com

[મુદ્રાંકન : વિપુલ કલ્યાણી]  

Loading

શબ્દોને ‘અંક’માં ફેરવવાનો પુરુષાર્થ : રતિલાલ ચંદરયા

બીરેન કોઠારી|Profile|15 October 2013

પાંત્રીસ લાખ જેટલા ગુજરાતી શબ્દોને કમ્પ્યૂટર થકી વિશ્વવ્યાપી બનાવનાર ઉદ્યોગપતિના વિરાટ કાર્યની ઝલક

‘ગુજરાતી ભાષા જીવશે કે નહીં?’, ‘વિદેશમાં તો ઠીક; આપણા દેશમાં ય તેનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.’ આવી ચિંતા, આશંકા અને ભીતિ છેલ્લા થોડા સમયથી અનેક લોકો દ્વારા સેવાઈ રહી છે.

પણ તેરમી જાન્યુઆરી, 2006ના રોજ મુંબઇમાં, અને ત્યાર પછી નવમી  જુલાઈ, 2006ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમના વેમ્બલી ખાતે, બે અભૂતપૂર્વ સમારંભો યોજાઈ ગયા, જેમાં આવી તમામ આશંકાઓનો સમૂળો છેદ ઊડી ગયો. આ સમારંભમાં ગુજરાતીની સૌ પ્રથમ ડિજીટલ ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સિકોન ડૉટ કૉમ’ની વેબસાઈટનું લોકાર્પણ થયું અને આ અનોખા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રતિલાલ ચંદરયાનું અભિવાદન પણ કરવામાં આવ્યું. રતિલાલ ચંદરયા એટલે સાચા અર્થમાં વિશ્વવ્યાપી એવા ચંદરયા પરિવારના મોભી. ચંદરયા પરિવારના ઉદ્યોગો પાંસઠેક દેશોમાં ફેલાયેલા છે અને એલ્યુિમનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ છે. આજે સત્યાંશી વટાવી ચૂકેલા રતિલાલ ચંદરયાની, માતૃભાષા માટે આવું અનોખું કામ પાર પાડવા સુધીની સફરની વાતો પણ; એમની જીવનસફર જેવી જ રસપ્રદ છે. પણ પોતાના વિશે નહીં જ લખવા માટેનો તેમનો આગ્રહ એટલો પ્રબળ કે અનેક વાતો તેમણે ખુલ્લા દિલે કરી હોવા છતાં; અહીં તેનો ઉલ્લેખ માત્ર કરીને, લૅક્સિકોનના સંદર્ભે જ તેમની વાત લખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમના આ આગ્રહમાં જ તેમના ઉમદા અને કર્મઠ વ્યક્તિત્વનો અંદાજ આવી શકે એમ છે. એક કામ લીધા પછી તે સંપન્ન ન થાય ત્યાં સુધી મચ્યા રહેવું એ ચંદરયા પરિવારનો મંત્ર છે.

પ્રેમચંદ પોપટ ચંદરયા જામનગર નજીક ખેતીનું કૌટુંબિક કામ સંભાળતા હતા. એ સમયે વેપાર માટે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો વહાણવટું ખેડતા અને મુખ્યત્વે મોમ્બાસા, ઝાંઝીબાર, માજુંગા જેવા બંદરો સાથે વહેવાર રાખતા. ખોજા, મેમણ, લોહાણા જેવી જ્ઞાતિઓના ઘણા લોકો વેપાર અર્થે આ સ્થળોએ સ્થાયી પણ થયા હતા. પ્રેમચંદભાઈ પણ 1916માં ઊપડ્યા નાઇરોબી. ત્યાં જઈને તેમણે થોડો સમય નોકરી કરી અને છએક મહિનામાં જ પોતાનો છૂટક વેચાણનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ નાઇરોબીમાં જ સ્થાયી થઈ ગયા. ધીમે ધીમે તેમણે પત્ની, બાળકો તથા ભાઈ ભાંડુઓને પણ બોલાવી લીધાં અને અહીં જ તેમનો પરિવાર વિસ્તર્યો. પ્રેમચંદ અને પૂંજીબહેનનાં કુલ આઠ સંતાનો – દેવચંદ, રતિલાલ, કેશવલાલ, મણિલાલ, કસ્તૂરબહેન, મંજુબહેન, સુષ્માબહેન તેમ જ રમિલાબહેન, જેમાંના રતિલાલનો જન્મ પણ નાઇરોબીમાં જ 24મી ઓક્ટોબર, 1922ના દિવસે થયો.

રતિલાલનું શાળાકીય શિક્ષણ નાઇરોબી તેમ જ મોમ્બાસાની શાળાઓમાં થયું. ત્યાંની શાળાઓમાં એક ગૌણ વિષય તરીકે ગુજરાતી ભણવા મળ્યું હોય એટલું જ ગુજરાતી તેઓ ભણી શક્યા. પણ માતૃભાષા પ્રત્યેના બેહદ લગાવનાં મૂળિયાં આ ગાળામાં નંખાયાં. આ મૂળિયાં વરસો પછી ક્યાંનાં ક્યાં ફેલાવાનાં હતાં, તેની કલ્પના ખુદ રતિલાલને ય ક્યાંથી હોય ! 


1940માં રતિલાલે જુનિયર કૅમ્બ્રીજની પરીક્ષા પાસ કરીને સિનિયર કૅમ્બ્રીજમાં પ્રવેશ મેળવ્યો, જે મૅટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે 1943માં જામનગરમાં તેમનાં લગ્ન વિજયાલક્ષ્મી સાથે લેવાનું નક્કી થયું ત્યારે તેમણે ભાવિ પત્ની માટે પણ ખાદીની જ સાડી ખરીદી હતી. 


આ અરસામાં જ તેમણે ગુજરાતી ટાઇપ કરી શકાય એવું એક જૂનું રૅમિંગ્ટન ટાઇપરાઇટર ખરીદ્યું અને ટાઇપ શીખવાના પ્રયત્નો આરંભ્યા. દરમ્યાન બીજા વિશ્વયુદ્ધનો ખોફ ઊતરતાં ચંદરયા પરિવાર 1946માં નાઇરોબી પાછો ફર્યો અને પોતાનો મૂળ વ્યવસાય સંભાળી લીધો. થોડા સમયમાં તેમણે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું. ચંદરયા પરિવારની ત્યાર પછીની આગેકૂચ વણથંભી હતી. આફ્રિકાના દેશોમાં, ત્યાર પછી યુરોપમાં, અમેરિકામાં, દક્ષિણપૂર્વ એશિયામાં અને એમ વિશ્વભરમાં ચંદરયા પરિવારના ઉદ્યોગો સ્થપાવા માંડ્યા. એ કથા વળી અલાયદું આલેખન માંગી લે એવી દીર્ઘ, રસપ્રદ અને રોમાંચક છે. 


દુનિયાભરમાં વિસ્તરીને પણ પોતાની ઓળખ અકબંધ રાખનાર આ પરિવારના રતિલાલના દિલમાં ગુજરાતી ભાષા એ હદે વસેલી હતી કે તેઓ ગુજરાતી લખાણ શી રીતે સરળતાથી ટાઇપ કરી શકાય તે અંગે સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતા. તેમના કુટુંબની બીજી પેઢીએ ધીમે ધીમે વ્યવસાય સંભાળ્યો. દરમ્યાન ઇલેક્ટ્રિક ટાઇપ રાઇટરનો જમાનો આવ્યો એટલે રતિલાલે એવા ટાઇપરાઇટરની શોધ આરંભી કે જેની મદદથી સહેલાઈપૂર્વક ગુજરાતીમાં ટાઇપ કરી શકાય. પણ પરિણામ શૂન્ય. દરમ્યાન કમ્પ્યૂટરનું આગમન થતાં ટાઇપરાઇટર કરતાં અનેકગણી સુવિધા સહેલાઈથી પ્રાપ્ય બની. 


આમ છતાં, તેમાં ફોન્ટના અભાવે ગુજરાતી લેખનની સુવિધા ઉપલબ્ધ નહોતી. આથી રતિલાલે ગુજરાતી ફોન્ટ વિકસાવી આપે એવી કંપનીની શોધ આદરી. તાતા કંપનીએ દેવનાગરીના ફોન્ટ બનાવ્યા હોવાની પણ તેમને જાણ થઈ. જો કે, ક્યાંયથી નક્કર પરિણામ નીપજ્યું નહીં. કેડીઓ અનેક દેખાતી હતી, પણ તે આગળ જઈને માર્ગ બને એવી શક્યતા જણાતી નહોતી. 


દરમ્યાન તેમનો ભત્રીજો રાજ અમેરિકામાં એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કરીને લંડન આવ્યો. તેણે રતિલાલને ઍપલનું કમ્પ્યૂટર આપીને તે વાપરતાં શીખવ્યું અને સાઠી વટાવી ચૂકેલા રતિકાકાએ આ નવા સાધનનો પરિચય કેળવવા માંડ્યો. આ કમ્પ્યૂટરમાં પણ તમામ વ્યવહાર અંગ્રેજીમાં હતો, એટલે ફરી એક વાર તપાસ ચાલુ થઈ ગુજરાતી ફોન્ટની. 


દરમ્યાન રતિકાકાને ભારત આવવાનું થતાં ગુલાબદાસ બ્રોકર થકી જાણ થઈ કે અમેરિકામાં મધુ રાય આને લગતું કંઇક કામ કરે છે. મધુ રાય સાથે થોડા સમય પછી મુલાકાત થતાં ખબર પડી કે તેઓ ગુજરાતી ફોન્ટ બનાવવામાં સફળ થયા હતા, એટલું જ નહીં, તેમનું કીબોર્ડ પણ ઉચ્ચાર આધારિત ( ફોનૅટિક ) હોવાથી વાપરવામાં ઘણું સુવિધાયુક્ત હતું. આમ, રતિલાલ ચંદરયાની મહાશોધનો જાણે દાયકાઓ પછી સુખદ અંત આવ્યો. પણ તે પૂર્ણવિરામ નહીં; અલ્પવિરામ હતું. 


ગુજરાતીનું ટાઇપીંગ કમ્પ્યૂટર પર શરૂ તો થયું.  એનાથી મુસીબત અવશ્ય ઘટી; પણ મૂંઝવણ તો અનેકગણી વધી. કેમ કે સાચી જોડણી લખવાની મોટી સમસ્યા હતી. તેમણે અંગ્રેજીના સ્પેિલંગ આપોઆપ સુધારી આપતા સોફ્ટ્વેર ‘સ્પેલચૅકર’નો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આ જ રીતે ગુજરાતી સ્પેલચૅકર કેમ ન બની શકે ? તેમણે ઍપલ મેકિન્તોસ અને માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો, અનેક સામયિકોમાં લેખો પ્રસિદ્ધ કર્યા, હિન્દીમાં રસ ધરાવતા કેટલાક પ્રૉફેસરોનો પણ સંપર્ક કર્યો. અરે ! અરેબીક ભાષા માટે સ્પેલચૅકર બનાવનાર ફ્રેંચ નિષ્ણાતને ય તેઓ મળ્યા. પણ આ બધાનું કશું પરિણામ નીપજ્યું નહીં. 


આ શોધયાત્રા દરમ્યાન તેમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, પણ તેઓ પાછા પડ્યા નહીં. ગુજરાતી લિપિ કમ્પ્યૂટર પર લખાય એટલું પૂરતું નથી; તેના શબ્દો, સાચી જોડણીઓ, રૂઢિપ્રયોગો જેવી અનેક સામગ્રીઓ પણ કમ્પ્યૂટર પર આસાનીથી ઉપલબ્ધ થાય તો જ ગુજરાતી ભાષાનો વ્યાપ કમ્પ્યૂટર પર વિસ્તરી શકે અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે. સાચી ગુજરાતી લખવાની રતિકાકાની પોતાની મૂંઝવણ તો તેમના પરમ મિત્ર બનેલા સુરતના ઉત્તમ ગજ્જરને કારણે ઊકલી ગઈ, કેમ કે ઉત્તમભાઈ થકી તેમને પરિચય થયો એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ ધરાવતી ઉંઝા જોડણીનો. 


દરમ્યાન પૂનાના બે યુવાનોએ હિન્દી સ્પેલચૅકર બનાવ્યું હોવાની માહિતી મળતાં, તેમણે એ બનાવનાર સ્વામી અસંગ અને તેમના સાથીદારોનો સંપર્ક કર્યો. સ્વામી અસંગ પાસે મુખ્ય સમસ્યા હતી સમયની. તકલીફ ત્યારે (અને આજે ય ) એ હતી કે ગુજરાતીમાં કોઈ સ્ટાન્ડર્ડ કીબોર્ડ વપરાશમાં નહોતું. તેથી રતિકાકાના કીબોર્ડ પર કામ કરવા કોઈ રાજી નહોતું. આ બધી જળોજફા દરમ્યાન ગુજરાતી સાહિત્ય તેમ જ શબ્દકોશ સાથે સંકળાયેલી સંસ્થાઓને મળવાનું અને આ પ્રકારનો, માળખાકીય સવલતો ધરાવતી કોઇ મોટી સંસ્થા જ હાથ ધરી શકે એવો  ગંજાવર પ્રોજેક્ટ ઉપાડી લેવા માટેની સમજાવટ કરવાનું ચાલુ જ હતું; પણ કોઇ સંસ્થા તૈયારી બતાવતી નહોતી. છેવટે ‘કરે એનું કામ’ એ ન્યાયે રતિકાકાએ પોતે જ આ કામ આગળ વધારવાનું નક્કી કરી લીધું.

ઉંમર અને આરોગ્ય ઉપરાંત આ પ્રોજેક્ટનું વિરાટ કદ જોતાં તેમની પરિસ્થિતિ ‘ ઓછી મદિરા અને ગળતા જામ ’ જેવી હતી. આટલું ઓછું હોય એમ તેમના કમ્પ્યૂટરના મધરબોર્ડ પર ગજા ઉપરાંતનો બોજો આવી જતાં તે બળી ગયું ! પણ રતિકાકા હિંમત ન હાર્યા. બલકે પૂરા જોશથી તેઓ મચી પડ્યા. ‘સ્પેલચૅકર’માં જોવા માટે શબ્દો તો જોઈએ ને! એટલે સૌ પ્રથમ તેમણે ગુજરાત વિદ્યાપીઠના ‘ખિસ્સાકોશ’ અને ‘સાર્થ જોડણીકોશ’ના શબ્દોને ડિજીટલાઈઝ્ડ સ્વરૂપે કમ્પ્યૂટરમાં ફેરવ્યા. આ ઉપરાંત કે.કા.શાસ્ત્રીના ‘બૃહદ ગુજરાતી શબ્દકોશ’ ના શબ્દો પણ તેમાં ઉમેર્યા. પૂનાના સ્વામી અસંગને આ કામમાં રસ પડતાં તેમણે થોડી મદદ કરી અને સૂચન પણ કર્યું કે બધો જ ડેટા ‘જાવા’માં અને ‘યુનિકોડ’માં ફેરવી દેવામાં આવે તો કામ સરળ થઈ શકશે. આમ, ‘લોગ આતે ગયે, કારવાં બનતા ગયા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. એક સમયે જે પ્રોજેક્ટ અસંભવ જણાતો હતો, તે હવે બબ્બે દાયકાની જહેમત પછી નજીકના ભવિષ્યમાં જ સાકાર થાય એમ જણાવા લાગ્યું. રતિકાકાનું પોતાનું કમ્પ્યૂટર વિશેનું તકનિકી જ્ઞાન તો સાવ મર્યાદિત હતું; પણ તે ‘અલ્પજ્ઞાન’ જ આખા કાર્યક્રમનું ચાલકબળ બની રહ્યું અને સ્વામી અસંગ, હિમાંશુ મિસ્ત્રી ( સુરત), અલકા છેડા, માધવી,  અંજલિ(તમામ મુંબઇના), મેહરુ સિધવા (લંડન), વિપુલ મોતીવરસ(મુંબઈ), રોહિત( મેંગ્લોર)  ઉપરાંત ગુજરાતીનો ‘ગ’ પણ ન જાણનાર ત્રિવેન્દ્રમનાં રેવતી શ્રીધરન જેવા સાથીદારોની સહાય મળી રહી. આ સૌના પ્રયાસોથી આગળ જણાવેલાં કોશ–ગ્રંથો ઉપરાંત પાં.ગ. દેશપાંડેના ‘ગુજરાતી-અંગ્રેજી કોશ’ અને ‘અંગ્રેજી-ગુજરાતી કોશ’, નરહરિ કે. ભટ્ટનો ‘ગુજરાતી વિનયનકોશ’, પ્રબોધ પંડિત રચિત ‘ફોનૅટિક એન્ડ મોર્ફેમિક ફ્રિક્વન્સી ઓફ ગુજરાતી લેન્ગ્વેજ’, શાંતિલાલ શાહનો ‘વિરુદ્ધાર્થ કોશ’ તેમ જ ડો. ઇશ્વર દવેનો ‘થિસોરસ’ જેવા કોશ–ગ્રંથોને પણ ડિજીટલાઈઝ સ્વરૂપમાં ફેરવીને ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સીકોન’ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં પોણા ત્રણ લાખ કરતાં ય વધુ શબ્દોના અર્થ આપવામાં આવેલા છે.

મુંબઇ પછી તેનું લોકાર્પણ ઇંગ્લેન્ડ, કેનેડા તેમ જ અમેરિકામાં પણ એ જ વરસે કરવામાં આવ્યું. 
આ લખાય છે ત્યાં સુધીમાં આ વેબસાઇટ પર તેત્રીસ લાખ કરતાંય વધુ મુલાકાતીઓ નોંધાયા છે , જે તેની ઉપયોગિતા સૂચવે છે. અત્યંત સરળતાપૂર્વક તેને ઓનલાઇન કે ઓફલાઇન વાપરી શકાય છે. તેને વિના મૂલ્યે http://www.gujaratilexicon.com  પરથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપરાંત તેની સી.ડી.નું પણ વિશ્વ આખામાં ‘ચંદરયા ફાઉન્ડેશન’ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને તે કામ હજી ચાલી રહ્યું છે. રતિલાલ ચંદરયાની આ સંઘર્ષગાથાની ઝલકનો અંદાજ ઉત્તમ ગજ્જર અને બળવંત પટેલ દ્વારા સંપાદિત પુસ્તિકા ‘કમ્પ્યૂટરની ક્લિકે’માંથી મળી રહે છે, જેની આ ત્રણ વરસમાં પંદર હજાર નકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. રતિકાકાની પ્રકૃતિ એવી કે પોતે મહામુશ્કેલીએ એવરેસ્ટ પર પહોંચે પછી પહેલું કામ પોતાની આ સિદ્ધિના પુરાવારૂપે તેના પર ફોટો પડાવવાનું નહીં, પણ બીજાઓ માટે વધુ સરળ હોય એવો માર્ગ બનાવવાનું કરે, જેથી એવરેસ્ટ સૌ કોઇની પહોંચમાં આવી શકે. 
આ જ રીતે ગુજરાતી લૅક્સીકોનનું એવરેસ્ટ સર કર્યા પછી તેમનું બીજું લક્ષ હતું ગુજરાતી ભાષાના નવ લાખ શબ્દો, નવ હજાર પાનામાં સમાવતા નવ ભાગના અભૂતપૂર્વ ગ્રંથ ‘ભગવદ્ગોમંડળ’ના ડિજીટલાઇઝેશનનું.

પહેલી નજરે આ કામ અશક્ય લાગે, પણ અશક્ય લાગતા કામને શક્ય બનાવીને સૌ માટે સુલભ કરવું એ જ ચંદરયા પરિવારનો મંત્ર છે. આ કામ હાથ ધરવા માટે અમદાવાદમાં જ નવી ઑફિસ શરૂ કરવામાં આવી. અશોક કરણિયાની રાહબરી હેઠળ, કાર્તિક મિસ્ત્રી, સુમૈયા વોહરા, મૈત્રી શાહ, દેવળ વ્યાસ, પદ્મા જાદવ, શ્રુતિ અમીન માત્ર ટેકનિકલ નિષ્ણાતો જ નહીં, ખંતીલા અને સમર્પિત સાથીદારો બની રહ્યાં, જેમની મદદથી આ આખો પ્રોજેક્ટ ફક્ત સાડા અગિયાર મહિનાના વિક્રમ સમયમાં સંપન્ન થયો. અમદાવાદમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તમામ અગ્રણી અંગ્રેજી-ગુજરાતી અખબારો-સામયિકોએ આ સીમાસ્તંભ સમી ઘટનાને મથાળે ચમકાવી હતી. લૅક્સિકોન અને ભગવદ્ગોમંડળની સી.ડી.માં બધું મળીને પાંત્રીસેક લાખ શબ્દો ડિજીટલ સ્વરૂપે સમાવાયેલા છે.  


આ પ્રોજેક્ટ અંગે રતિકાકા હળવાશથી કહે છે, “ખરેખર તો આ કામ કોઈ સાહિત્યની સંસ્થાનું, યુનિવર્સિટી કે સરકારનું છે, મને એ હજી નથી સમજાતું કે આમાં રતિલાલ ચંદરયા ક્યાંથી વચ્ચે આવી ગયા !”  


ઉંમરને કારણે શ્રવણશક્તિ તેમ જ દૃષ્ટિ ક્ષીણ થઈ હોવા છતાં, તેમના જુસ્સામાં જરા ય ઓટ આવી નથી. ટેલિફોનને બદલે લેપટૉપના સ્ક્રીન પાસે કાનનું કામ લેવાનું એમને ફાવી ગયું છે. મુંબઇમાં હોય ત્યારે જયેશભાઈ તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. સાદગીના પ્રતીક જેવા રતિકાકા અનેક દેશોમાંના પોતાનાં નિવાસસ્થાનોમાંથી ક્યાં ય પણ રહેતા હોય, આજે પણ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યૂટર પર ગાળે છે અને ઇ-મેઇલના માધ્યમ થકી પોતાના પરિવારજનોના તેમ જ ઉત્તમ ગજ્જર, તુષાર ભટ્ટ, બળવંત પટેલ, વિપુલ કલ્યાણી, મનસુખલાલ શાહ જેવા અનેક સાથીમિત્રોના જીવંત સંપર્કમાં રહે છે.  


હવે પછીનો તેમનો પ્રકલ્પ છે ‘લોકકોશ’નો, જેનો વિધિવત આરંભ 27 ઓક્ટોબર, 2009ના રોજ કરવામાં આવ્યો. ગુજરાતીમાં વ્યાપક રીતે વપરાતા, પણ કોઈ પણ કોશમાં હજી સ્થાન ન પામેલા અન્ય ભાષાના શબ્દોને લોકસહકારથી વીણી વીણી સમાવવાનો તેનો ઉપક્રમ છે. કોઈ પણ શબ્દપ્રેમી એમાં ભાગ લઈ ફાળો આપી શકશે. નિષ્ણાતોની સમિતિ આ શબ્દોને, તેના અર્થને ચકાસીને  તેમને યોગ્ય લાગશે તો એ શબ્દો મોકલનાર(શબ્દદાતા)ના નામ સાથે ‘લોકકોશ’માં સ્થાન આપશે. આ પ્રોજેક્ટ અંગે આપણે સાશંક થઈને પૂછવા જઈએ તો રતિકાકા તેમના ટ્રેડમાર્ક જેવું મૃદુ હાસ્ય કરતાં તરત કહે છે, “મેં એક જ વાત મનમાં રાખી છે, અને તે એ કે, કોઈ પણ બાબતમાં ‘ના’ સ્વીકારવી નહીં.” તેમના મૃદુ હાસ્ય પછવાડે રહેલી તેમની  ‘ભીષ્મવિચારદૃઢતા’નો ખ્યાલ ત્યારે જ આવે છે !

(માહિતીવિશેષ: ઉત્તમ ગજ્જર, સુરત)

(‘ગુર્જરરત્ન’ સ્થંભ, “અહા ! જીંદગી”, ડિસેમ્બર 2009)

http://birenkothari.blogspot.com

e.mail : bakothari@gmail.com

A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara-23.(Gujarat) India. 

Loading

‘દર્શક’ની જન્મશતાબ્દી વર્ષના આરંભે સાંભળીએ સુચરિતાની વાત

દીપક મહેતા|Opinion - Literature|14 October 2013

મનુભાઈ પંચોળી ‘દર્શક’નો જન્મ ૧૯૧૪ના ઓક્ટોબરની ૧૫મી તારીખે. આવતી કાલથી (15 અૉક્ટોબર 2013) તેમની જન્મ શતાબ્દીનું વર્ષ શરૂ થશે. મનુભાઈ વિદ્યાપુરુષ હતા, સમાજપુરુષ હતા, પણ સૌથી વધુ તો તેઓ શબ્દપુરુષ હતા. ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ જેવા આપણી ભાષાના તેજસ્વી નવલકથાકારોની હરોળમાં આપકર્મે સ્થાન મેળવનાર નવલકથાકાર હતા. તેમની ‘દીપનિર્વાણ’ નવલકથાને ઉમાશંકર જોશીએ ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’ પછીની એક અગ્રગણ્ય નવલકથા તરીકે ઓળખાવી છે. બે હજાર વર્ષ પહેલાંના ભારતને પશ્ચાદભૂમિ તરીકે રાખીને લેખકે સુચરિતા, સુદત્ત, અને આનંદ વચ્ચેનો પ્રણયત્રિકોણ નાજુકાઈથી આલેખ્યો છે. આજે અહી ‘દીપનિર્વાણ’ની વાત રજૂ કરી છે, તેના મુખ્ય સ્ત્રીપાત્ર સુચરિતાના શબ્દોમાં.

મારું નામ સુચરિતા. મનુદાદાની હું માનસપુત્રી. કોણ મનુદાદા? તમે સૌ તેમને મનુભાઈ પંચોળીના નામથી, ‘દર્શક’ના ઉપનામથી ઓળખો છો. ‘દીપનિર્વાણ’ નામની નવલકથામાં તેમણે મારી વાત લખી છે. પણ આજે હું પોતે તમને મારી વાત કહેવાની છું. તો સાંભળો મારી વાત. ઉતાવળમાં થઇ ગયેલું એકાદ કામ પણ માણસના આખા જીવનમાં કેટકેટલો પલટો લાવી દીએ છે! હું સુદત્તની શિલ્પકલા પર મુગ્ધ હતી. તેની પદ્મપાણીની મૂર્તિ સર્વોત્તમ બને એ જોવાની મને હોંશ હતી. એ હોંશમાં અને મુગ્ધતામાં હું એને વચન આપી બેઠી એટલું જ નહિ, પણ મારી અંગૂઠી પણ મેં તેને આપી. કલાનું સન્માન કરવાને બદલે મેં કલાકારનું સન્માન કરવાનો પ્રયત્ન કર્યો. મેં સુદત્તને વચન આપ્યું ત્યારે એ મારી પાસે શું માગશે એની મને ખબર નહોતી એમ તો કેમ કહેવાય? કદાચ મારા મનમાં પણ ઊંડે ઊંડે એ એ જ માગે તો સારું એમ હશે. કારણ હું તેની કલાથી અંજાઈ ગઈ હતી. કલા અને કલાકાર, બંનેને અહોભાવથી હું જોતી હતી. પણ એ અહોભાવને જ પ્રેમ માની લેવાની મેં ભૂલ કરી.

પ્રેમ એટલે શું એ તો મને આનંદનો મેળાપ થયો તે પછી જ સમજાયું. હું આશ્રમમાં વીણા વગાડતી બેઠી હતી ત્યાં આનંદ આવ્યો, અને મને ‘ભગવતી’ કહી બોલાવી એ ક્ષણથી મારા જીવનના વહેણે દિશા બદલી. જે સ્થાન સુદત્તનું છે એમ મારા મનને મનાવવાનો હું પ્રયત્ન કરતી હતી તે સ્થાન આનંદે આપોઆપ, સહજ રીતે લઇ લીધું. પરીક્ષા વખતે હું પિતાજી મહાકાશ્યપની અને સુદત્તની હાજરીમાં આનંદને પ્રશ્નો પૂછતી હતી. ત્યાં મેં તેમને અચાનક પૂછેલું: “સૂર્યનાં કિરણ કેવાં મનોહર છે?” અને આનંદે કશા સંકોચ વગર જવાબ આપ્યો: “તમારી વેણીના વાળ જેવા.” એ સાંભળીને મારા તો કાન લાલ થઇ ગયેલા, પણ સુદત્તની આંખો લાલ થઇ ગઈ હતી.

અને કેમ ન થાય? એણે માની લીધેલું કે હું તેની જ છું. એ વચનમાં માગશે, અને હું તેની બની જઈશ. પોતાની માનેલી સુચીને આનંદ ઉપાડી જાય એ સુદત્ત કેમ સહન કરી શકે? જો કે મને લાગે છે કે સુદત્ત શિલ્પકલામાં જેટલો મહાન હતો તેટલો જો જીવનકલામાં મહાન હોત તો હું અને આનંદ એકબીજા પ્રત્યે ઢળ્યાં છીએ એ જાણ્યા પછી ઉદારતાપૂર્વક અમારી વચ્ચેથી ખસી ગયો હોત. પણ એ તો ઉલટાનો હઠે ચડ્યો. આનંદને સ્પર્ધામાં હરાવવા માટે તેણે દગો કર્યો. તેમાં ન ફાવતાં આનંદના જન્મ અંગેની ગુપ્ત ઘટના છતી કરીને તેને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. તેમાં ય ન ફાવ્યો ત્યારે મગધરાજ સાથે મળી જઈને મારા પરનું વેર આખા નંદીગ્રામ પર વાળ્યું.

જ્યારે બીજી બાજુ આનંદ? મને હૃદયથી ચાહતા હતા છતાં સુદત્તનો હક પહેલો છે એ વાત સતત સ્વીકારતા હતા. તેમણે સુદત્તને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા. એક વર્ષ નંદીગ્રામની બહાર રહેવા પણ તૈયાર થયા. તેમના મનમાં મને ક્યારે ય સુદત્ત માટે દ્વેષની લાગણી જોવા મળી નથી. કારણ પિતાજીએ એક વાર કહેલા શબ્દો સુદત્તના મનમાં જડાઈ ગયા હતા: “લોકોત્તર પ્રેમ કદી ખેંચતાણ કરતો નથી. જે પોતીકું છે તે યુગયુગાંતરોના વિયોગ પછી પણ પોતીકું મટતું નથી. ને જે પારકું છે તેને ગમે તેટલું નિકટ ખેંચો તોય પોતીકું થવાનું નથી.” હું જેમ જેમ આનંદને ઓળખતી ગઈ તેમ તેમ મને સમજાતું ગયું કે સુદત્ત પથ્થરની મૂર્તિનો વિધાયક ભલે બની શકે, મારા જેવી જીવતી જાગતી સ્ત્રીના જીવનનો વિધાયક તે બની શકે તેમ નથી. એ વિધાયક તો આનંદ જ બની શકે, અને તેથી જ મેં મનોમન નક્કી કર્યું: “સુદત્તને જણાવી દઈશ કે એની કલાને હું અભિનંદુ છું, પણ એને ચાહી શકતી નથી, ચાહી શકવાની પણ નથી, કારણ કે સુચરિતા આનંદની થઇ ગઈ છે.” પણ એ વખતે સુદત્ત એ વાત સ્વીકારી ન શક્યો. એ બોલ્યો ખરો કે ‘આનંદ, સુચરિતા તારી હં – તારી.’ પણ અરે! એ તે ક્યારે? ત્યારે નંદીગ્રામ ભસ્મીભૂત થઇ ચૂક્યું હતું. પિતાજીએ પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. હજારો સૈનિકોએ જાન ખોયા હતા. અરે! સુદત્તના જીવનની પણ એ છેલ્લી ઘડી હતી. હું તો ત્યારે તેને વારવા ગઈ હતી. તે મારા પરના રોષને લઈને આખું નંદીગ્રામ છિન્નભિન્ન કરી રહ્યો હતો. તેથી તે માગે તો મારુંયે મોત તેને ચરણે ધરવા ગઈ હતી. પણ ત્યારે જ તેના કહેવાથી મને ખબર પડી કે સાધ્વીની નહિ, પણ મને વિહારીણીની દીક્ષા આપવામાં આવી છે. ત્યાં સુધી હું તો એમ જ માનતી હતી કે મને સાધ્વીની દીક્ષા અપાઈ છે અને તેથી હવે આ ભવે તો હું ક્યારે ય આનંદની થઇ શકીશ નહિ. જો કે મેં દીક્ષા લીધી ત્યારે પિતાજીએ જે આશીર્વાદ આપ્યા તે સાંભળીને મને અચંબો થયેલો. તેમણે કહેલું: ‘ચિરસૌભાગ્યવતી થા, બહેન.’ તેમના એ શબ્દો પાછળ રહેલું રહસ્ય તો મને સુદત્તે કહેલી વાત પછી જ સમજાયું. અને ખરેખર, એ આશીર્વાદ છેવટે સાચા પડયા. હું આ જ જન્મમાં સદેહે આનંદની બની શકી. હા, તમે કદાચ મને પૂછશો: “સુચરિતા! બીજું બધું તો ઠીક, પણ તેં તારી જાતને અને તારી દીક્ષાને છેતરી નથી? ભલે તને દીક્ષા વિહારીણીની અપાઈ હોય, તેં તો એમ જ માનેલું ને કે તું સાધ્વી બની રહી છે. તે અષ્ટાંદશ વ્રતો પણ લીધેલાં. દીક્ષાથી નહિ, તોય મનથી સાધ્વી બન્યા પછી તું ફરી સંસારી બની તે યોગ્ય કહેવાય? તેં ન તો સુદત્તને આપેલું વચન પાળ્યું, ન તો ધર્મને આપેલું વચન પાળ્યું.”

સાચી વાત કહું? મેં ઉતાવળમાં સુદત્તને વચન આપી દીધું એ મારી ભૂલ હતી. પણ જીવનમાં એકાદ ભૂલ પણ ન કરી હોય એવો કોઈ કાળા માથાનો માનવી છે ખરો? હું જેને ચાહતી હતી તે આનંદની પત્ની બની શકું એમ નહોતું, અને જેને ચાહતી નહોતી તે સુદત્તની પત્ની હું બનવા માગતી નહોતી. ત્યારે પણ આનંદ સાથે લગ્ન થઇ શકે તેમ હોત તો મેં એ રસ્તો જ લીધો હોત. પણ પિતાજીનો અભિપ્રાય હતો કે સુદત્તને આપેલું વચન મારે પાળવું જ જોઈએ, અને મને પણ તે સાચો લાગેલો. મેં દીક્ષા લીધી તે મનમાં જાગેલા વૈરાગ્યને કારણે નહિ, પણ વિકટ સાંસારિક પરિસ્થિતિમાંથી બચવા. એટલે છેવટે જો સુદત્ત મને વચનમાંથી મુક્ત કરતો હોય એટલું જ નહિ, હું આનંદની બનું એમ સાચા હૃદયથી ઇચ્છતો હોય, અને આનંદ પણ મને સ્વીકારવા તૈયાર હોય, ધર્મના આચારનો પણ કશો બાધ નડતો ન હોય, અને આત્રેયદાદા અને ગુરુ શીલભદ્ર જેવા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ વડીલોના આશીર્વાદ મને મળતા હોય, તો હું વિહારીણી મટી ફરી સંસારિણી બનું એમાં ખોટું શું છે? મેં સુદત્તને વચન આપ્યું એ ભૂલની પૂરતી શિક્ષા શું મેં ભોગવી નથી? જે વૈરાગ્ય મનથી સ્વીકાર્યો નહોતો તેને શા માટે વળગી રહું? હું આનંદની બનું તો અમે બંને સાથે મળીને સમાજનું વધારે કલ્યાણ ન કરી શકીએ? માણસના આચરણને, તેના ચરિતને સારું અને ખરાબ એવાં બે ખાનાંમાં વહેંચી શકાતું નથી, હંમેશાં. સંજોગો તેને સારું કે ખરાબ ઠેરવે છે. મેં જે સંજોગોમાં દીક્ષા ત્યાગી અને ગૃહસ્થ જીવન સ્વીકાર્યું તે સંજોગો શું મને દુચરિતા ઠરાવે એવા હતા? શું હું મારા નામ પ્રમાણે સુચરિતા નથી? 

(સૌજન્ય : ‘અક્ષરની અારાધના’, “ગુજરાત મિત્ર”, 14 અૉક્ટોબર 2013)

e.mail : deepakbmehta@gmail.com

Loading

...102030...4,0014,0024,0034,004...4,0104,0204,030...

Search by

Opinion

  • લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે!
  • લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
  • કરસનદાસ મુલજીએ જોયેલું તે કેવું હતું ૧૮૬૩નું ઇંગ્લન્ડ?  
  • આંદોલનના કડખેદ : વાલજીભાઈ પટેલ
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved