Opinion Magazine
Number of visits: 9870913
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વશાંતિના ‘મનુ’નીય વિચારો

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|9 November 2014

દુનિયાએ પહેલી વખત જોયેલું વિશ્વવ્યાપી અને અત્યંત વિનાશક એવા પ્રથમ વિશ્વયુદ્ધનું શતાબ્દી વર્ષ ગત ૪ ઓગસ્ટ, ૨૦૧૪થી શરૂ થયું છે. પરમ દિવસે એટલે કે ૧૧ નવેમ્બરના રોજ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયાની વર્ષગાંઠ પણ મનાવાશે. ઇ.સ. ૧૯૧૪થી ૧૯૧૮ સુધી, એમ ચારેક વર્ષ લાંબા ચાલેલા આ યુદ્ધમાં એક અંદાજ પ્રમાણે આશરે ૮૫ લાખથી વધુ સૈનિકો અને ૭૦ લાખ જેટલા સામાન્ય લોકોનાં મોત થયાં હતાં. પ્રથમ વિશ્વયુદ્ધને લીધે વેરાયેલા જાન-માલના વિનાશ પછી દુનિયાને ડહાપણ લાધ્યું હતું કે યુદ્ધ માનવજાત માટે કેટલું ખતરનાક છે. ફરી ક્યારે ય યુદ્ધ ન થાય એ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે કરારો કરવામાં આવ્યા હતા અને જર્મની સહિતના દેશો પર અમુક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. જો કે, આ શરતો અને સંધિઓએ જ બીજા વિશ્વયુદ્ધનાં બીજ વાવ્યાં હોવાનું કહેવાય છે. દુનિયાએ થોડાં જ વર્ષો પછી બીજા વિશ્વયુદ્ધના સાક્ષી અને પીડિત બનવું પડયું. બીજા વિશ્વયુદ્ધ પછી વચ્ચેના ગાળામાં શીત યુદ્ધ દરમિયાન દુનિયા બે જૂથમાં વહેંચાઈ હતી, પણ સામસામી આવી નહોતી. આમ તો આજ દિન સુધી ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી, પરંતુ દુનિયાભરમાં ઠેકઠેકાણે ચાલતાં નાનાં-મોટાં યુદ્ધ કે સંઘર્ષને કારણે રોજેરોજ અનેક લોકો જાન ગુમાવી રહ્યા છે, એ દુઃખદ સચ્ચાઈ છે.

દુનિયાએ વાર્યે નહીં તો હાર્યે એક ને એક દિવસ તો યુદ્ધ અને સંઘર્ષનો માર્ગ છોડીને રચનાનો, સર્જનનો, શાંતિનો માર્ગ શોધવો જ પડશે. પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની સમાંતરે રણજિતરામ સુવર્ણચંદ્રકથી લઈને પદ્મભૂષણ જેવા પુરસ્કારોથી પોંખાનારા કેળવણીકાર અને સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ની જન્મ શતાબ્દી પણ ઊજવાઈ રહી છે. 'સોક્રેટિસ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી' જેવી મહાન નવલકથા લખનારા મનુભાઈ મૂળે તો ઇતિહાસ અને સંસ્કૃિતના જાણતલ હતા. ગાંધી વિચારોમાં પ્રબળ નિષ્ઠા ધરાવતા મનુભાઈએ શિક્ષણ અને સાહિત્ય થકી સમાજને ઢંઢોળવા અને કેળવવાનું કાર્ય આજીવન કર્યું હતું. પરમ દિવસે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિની વર્ષગાંઠ છે ત્યારે દર્શકદાદાના વિશ્વશાંતિ અંગેના વિચારોને વાગોળવાની એક તક ઝડપવા જેવી છે. યુદ્ધના ઉકેલ અને વિશ્વશાંતિ સ્થાપવાનાં સૂચનો રજૂ કરતાં મનુભાઈનાં ચાર વ્યાખ્યાનોને સંપાદિત કરીને મોહન દાંડીકર અને પ્રવીણભાઈ શાહે 'વિશ્વશાંતિની ગુરુકિલ્લી' નામે એક પુસ્તિકા તૈયાર કરેલી છે. આ પુસ્તિકામાં મનુભાઈએ અત્યંત આત્મવિશ્વાસપૂર્વક સમજાવ્યું છે કે બાળકોના ઉછેર અને કેળવણીમાં વિશેષ કાળજી રાખીને જ વ્યક્તિગત અને વૈશ્વિક સ્તરે શાંતિની સ્થાપના શક્ય બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો કે અપરાધનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય. એક પ્રવચનમાં દર્શકદાદાએ કહ્યું છે, "બાળકને સ્વાનુભવની બારાક્ષરી પર અનંતનો પરિચય થાય છે. અનુભવે એને ભાન થશે કે જગતમાં સજીવ-નિર્જીવ બે વસ્તુ છે. ઝાડને પાણી પાવું પડે છે. દેડકા, કીડીને પણ સુખ-દુઃખનો અનુભવ થાય છે. હું અને આ કૂતરું બંને સગાં છીએ. બંનેનાં સુખદુઃખ સમાન છે. આવી સંવેદના બાળકમાં જાગશે તો જગતમાં શાંતિ થશે. આપણે શાંતિ સ્થાપવા માટે અનેક પ્રયત્નો કરીએ છીએ, આંદોલનો ચલાવીએ છીએ, પણ છતાં ય શાંતિ સ્થપાતી નથી, કારણ કે બાળપણમાં માણસના ચિત્તમાં આ સમભાવના, સંવેદનાને પ્રગટ થવાની તક મળી નથી, ક્રમિકતાનો અનુભવ નથી મળ્યો, ચિત્તમાં પરભાવના ઉછરતી રહી છે. પછી મોટી ઉંમરે ઘણી ય મથામણ કરો, ભાગવત-ગીતાની પારાયણો કરો, પણ ખેતરના દાણા ચરી ગયા પછી ખેડૂત ઘણા ય હોંકારા-પડકારા કરે તેવી આ વાત છે."

બાળકોમાં આક્રમકતાને ઉત્તેજન નહીં આપવાની અપીલ કરતાં મનુભાઈએ કહ્યું હતું, "માસ્તર બાળકની હથેળીમાં આંકણી મારે છે ત્યારે વિદ્રોહનાં બીજ ચિત્તમાં વવાઈ જાય છે. બેઝિક રૂટ્સ ઓફ એગ્રેસન બાળચિત્તમાં વાવીએ અને પછી શાંતિ માટે રાત'દી દોડા કરીએ તો કેમ ચાલે? જે ચિત્તમાં વિરોધોનાં, વિદ્રોહનાં જાળાં નથી, તે લડવા માટે ઉત્સુક નહીં થાય. એટલે શાંતિનું સાચું ક્ષેત્ર બાળપણ છે. તમે (શિક્ષકો) સાચા શાંતિસૈનિક છો."

મનુભાઈ માને છે, "અવકાશયાનો, ઉપગ્રહો, આઈસીબીએમ એ બધાએ શિવનું ક્ષેત્ર નથી વધાર્યું. શક્તિનું વધાર્યું છે … શક્તિ વધી તેના પ્રમાણમાં શિવત્વ વધ્યું નથી. આથી મેં કહ્યું કે મોટી શોધ અણુ કે પરમાણુ શક્તિને હું નથી ગણતો. છેલ્લાં પચાસ વર્ષમાં થયેલી મોટામાં મોટી શોધ હું બાલશિક્ષણશાસ્ત્રની ગણું છું. મારી અફર શ્રદ્ધા છે કે જો માનવજાતને મુક્તિનો અનુભવ લેવો હશે, તો તેણે બાલશિક્ષણની આ શોધ પાસે આવવું પડશે. ત્યારે જ શાંતિનું ક્ષેત્ર વિસ્તરશે, ત્યારે જ મુક્તિનું સાચું પ્રભાત ઊઘડશે."

"યુદ્ધ પહેલાં માણસોના હૃદયમાં શરૂ થાય છે ને ત્યાં જ તેને ડામવું જોઈએ. વ્યક્તિઓના હૃદયમાં જ પરિવર્તન કરવાની રીત માનવજાત જમાનાઓથી શોધતી આવી છે, કારણ કે વ્યક્તિ પોતે આક્રમણ ન કરે, કે આક્રમક ન હોય તો તોપો જાતે કાંઈ ફૂટવા માંડતી નથી." મનુભાઈનો કહેવાનો સાર એટલો જ હતો કે બાળકનો ઉછેર અને કેળવણી એ રીતે થવાં જોઈએ કે તેના મનમાં અજંપો, અપરાધનાં કે આક્રમકતાનાં નહીં પણ સંવેદના અને સર્જનનાં બીજ રોપાય તો અને ત્યારે જ વિશ્વશાંતિનું સપનું સાકાર થશે.

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 09 નવેમ્બર 2014

e.mail : divyeshvyas.amd@gmail.com

Loading

નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે સામ્ય

પરેશ ર. વૈદ્ય|Samantar Gujarat - Samantar|9 November 2014

16મી લોકસભાની ચૂંટણીના માહોલમાં લખાયેલો લેખ. એ વખતે વધુ લેખોના ભારણ તળે પ્રકાશિત ન થઈ શક્યો, પરંત 01 અૉક્ટોબર 2014ના “નિરીક્ષક”માં નરેન્દ્ર મોદીની વડા પ્રધાન બન્યા પછીની કાર્યશૈલી વિશેનો લેખ [કોની સરકાર … લે. રમેશ ઓઝા] પ્રકાશિત થતાં તેના પૂર્વસંધાન રૂપે આ લેખ. : તંત્રી – પ્રકાશ ન. શાહ

હાલની ચૂંટણીના સંદર્ભમાં જોઈએ તો એમ લાગે છે કે નરેન્દ્ર મોદી માટે દુશ્મન નંબર વન એક ગાંધીપરિવાર છે. છેલ્લાં ચાર વર્ષમાં ભલે નરેન્દ્ર મોદીએ મનમોહનસિંઘની ટીકા કર્યે રાખી, પરંતુ છેલ્લા બે માસમાં તેમનું નામ એક વાર પણ નથી લીધું. દરેક જાહેરસભામાં એ ગાંધીપરિવારનાં ચારે જણાં (R.S.V.P.) વિષે કશુંક કહેતા રહ્યા, પરંતુ આ તિરસ્કારમાં એક છૂપો વદતો વ્યાઘાત છે. તે એ કે મોદીની કાર્યશૈલી અને વ્યક્તિત્વ પર ગાંધીપરિવારનાં મુખ્ય વડીલ ઇન્દિરા ગાંધની છાપ દેખાય છે. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીનો પૂરો વિરોધ કરનાર નરેન્દ્ર મોદી એમને આદર્શ માને તેવું તો ન બને. પરંતુ અહીં નીચે લખેલા કેટલાક એવા મુદ્દા છે જે સ્પષ્ટ રીતે ચલિત કરે છે કે બંનેમાં ભારોભાર સામ્ય છે. આમ, અજાણતાં બંધાઈ ગયેલી કંઠીનું કારણ મનોવિશ્લેષકો શોધી શકે …

અતિ મહત્ત્વાકાંક્ષા

બંનેમાં દેખાતો આ એક ગુણ એવો છે કે તેના બળે બાકીનાં સામ્યો આપોઆપ પેદા થાય છે. મૅનેજમેન્ટના નિષ્ણાતો મહત્ત્વાકાંક્ષાને ખરાબ નથી ગણતા. કહે છે કે એ વ્યક્તિના વિકાસ માટે ચાલના પૂરી પડે છે. પરંતુ ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીના કિસ્સા તીવ્ર મહત્ત્વાકાંક્ષાના છે. તેનાથી કદાચ તેઓનાં વ્યક્તિત્વ ઘડાયાં હશે, પરંતુ બંને જે વ્યવસ્થાનાં એક ઘટક છે, તેની તો ઘોર ખોદી છે. મહત્ત્વાકાંક્ષાનું જો ભૂત ભરાય (obsession) તો ઘણા બીજા અવગુણોની ગંગોત્રી બને છે. જે અનૈતિક હથિયાર વાપરવાં પડે તેનાથી દેશ ઉપરાંત વ્યક્તિનું પોતાનું પણ લાંબે ગાળે નુકસાન થાય છે. ઇન્દિરા ગાંધીને પણ આ વાત ૧૯૭૭ની હાર પછી થોડી સમજાઈ હતી. સત્તાની મહત્ત્વાકાંક્ષા માટે તેમણે ૮૪ વર્ષ જૂની કૉંગ્રેસને તોડી, કટોકટી લાદી અને વૃદ્ધ નેતાઓને જેલમાં નાંખ્યા. આ પ્રક્રિયામાં પોતાની છબી બગાડી અને ખરા મિત્રો ગુમાવ્યા. નવી સમજણ આવ્યા પછી ૧૯૮૦-૮૪માં તેમના શાસનકાળમાં ઘણી નમ્રતા આવી ગયેલી, પરંતુ ત્યાં સુધીમાં તેમણે સિદ્ધાંતહીન રાજકારણના ભરપૂર પાઠ ભણાવેલા, જેનાં ખાટાં ફળ રાજકીય વૃક્ષ પર આજ સુધી બેસતાં રહ્યાં છે.

વિરોધી મતનો નાશ

મહત્ત્વાકાંક્ષાને કારણે કે પછી ઘમંડી સ્વભાવને કારણે, બંને નેતાઓથી વિરોધ સહન નથી થયો. વિરોધના અભિપ્રાયને બદલે તેને વ્યક્ત કરનારને જ માર્ગમાંથી હટાવવાની નીતિ બંનેની રહી છે. ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસની દ્વિતીય હરોળ આખી કરી પાંખી, તેથી જ તેની સત્તા ક્રમશઃ બધાં રાજ્યોમાંથી નાબૂદ થતી ગઈ. નરેન્દ્ર મોદીના કારણે ગુજરાત ભાજપ પક્ષના બે-ત્રણ ટુકડા થઈ ગયા. પક્ષના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જોડેના સંબંધો વણસ્યા. સંજય જોષીનું પ્રકરણ તો તાજું છે, પરંતુ કેશુભાઈ, સુરેશ મહેતા, પ્રમાણમાં ગડકરી, નીતિન એ બધાએ આ રૂપ જોયું. જો નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જાય, તો આ ‘ગુણ’ને ગાંધીનગરમાં છોડીને જાય તો જ સફળ થાય.

એકહથ્થુ સત્તા

કંઈક અંશે આ ઉપરના મુદ્દાને મળતો જ મુદ્દો છે. આપખુદશાહી અને લોકશાહી બંને જોડાજોડ ન રહી શકે. કેન્દ્રના વાણિજ્ય- મંત્રીશ્રી આનંદ શર્માએ રાજ્યસભા ટેલિવિઝનને ગયા પખવાડિયે કહ્યું તે સાચું હોય તો અહીં લાગુ પડે છે. તેઓ કહે કે ગુજરાતના પ્રધાનમંડળમાં ગમે તેટલા પ્રધાન હોય કૅબિનેટ મિટિંગમાં બધાએ માત્ર મુખ્ય પ્રધાનને સાંભળવા જવાનું હોય છે અને જે કહે તે રીતે પોતાનું ખાતું ચલાવવાનું હોય છે. એટલે એકંદરે કૅબિનેટમાં એક જ પ્રધાન છે. વિધાનસભા વર્ષમાં સરેરાશ ૨૩ દિવસ માત્ર મળી છે, તેમાં ઘણું કરીને વિરોધપક્ષને કાઢી મુકાય છે અને પ્રશ્નકાળ છે જ નહીં ! કોઈને જવાબ આપવો એમને પસંદ નથી.

ઇન્દિરા ગાંધી પ્રધાનોનાં ખાતાં વારંવાર બદલતાં રહેતાં, જેથી કોઈ નેતા મજબૂત કે પ્રજાનો માનીતો ન થઈ જાય. વડાપ્રધાન એ ટીમનાં કૅપ્ટન છે, તેવી ભાવના તેમના સમયમાં ખતમ થઈ ગઈ; સરકાર તેમની માલિકીની છે અને પ્રધાનો પોતાનાં સ્થાન માટે તેમના ઋણી છે, તેવું લાગતું. આ વખતની ચૂંટણી લગભગ ‘પ્રમુખપદ’ના મૉડેલ પર થઈ હોવાથી આ ભાવના નૈતિક સ્તરે હવે વધુ કાયદેસર (legitimate) થશે ! એકલવ્ય નરેન્દ્ર મોદી આ બાબતે પોતાના દ્રોણાચાર્ય કરતાં સવાયા સાબિત થયા.

બંધારણનો અનાદર

એ તો જાણીતી વાત છે કે સૌથી મોટો સરમુખત્યાર હિટલર જર્મનીના બંધારણની મર્યાદામાં રહીને જ સત્તા પર આવેલો. ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદીનાં પણ આ જ ઘટનાનાં ભારતીય દૃષ્ટાંતો છે. બંનેમાં આવડત છે કે કાયદાનો ખુલ્લો અનાદર કરવાને બદલે તેમાં છીંડાં શોધી તેનો ઉપયોગ કરવો. આ ચૂંટણીમાં લોકપ્રતિનિધિધારાનું વારંવાર ઉલ્લંઘન મોદી કરતા રહ્યા, છેક છેલ્લા દિવસ સુધી, જ્યારે તેમણે મોબાઇલ, ફોન પર સંદેશ મોકલ્યા.

ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં સંસદ ભંગ કરી તે દેશ માટે પહેલો પ્રસંગ હતો. તે પછી પાંચ વર્ષે ૧૯૭૬માં ચૂંટણી ન કરાવી તે ય બંધારણમાં કટોકટી અંગે જે કલમો હતી, તે હેઠળ કટોકટીની જાહેરાત પણ બંધારણમાંનું છીંડું જ હતું. કારણ કે દેશમાં એવી કોઈ પરિસ્થિતિ નહોતી ઊભી થઈ, જે આ કલમનો ઉપયોગ વાજબી ઠરાવે, આમે ય એ જાહેરાત પ્રધાનમંડળની મંજૂરી લેવાયા પહેલાં જ થઈ હતી, તેથી ગેરકાયદેસર હતી.1 વડાપ્રધાન કે વડાપ્રધાન બનવાની તમન્ના રાખનાર જો પોતે રાજ્યબંધારણ અથવા કાયદાઓ માન ન રાખે અને છીડાં શોધે તો પ્રજા પાસેથી વધુ વફાદારીની આશા કેમ રાખે ?

પોતા સાથે પ્રેમ

એક ગ્રીક દંતકથાનો નાયક નારસીસ સરોવરમાં પોતાનું પ્રતિબિંબ જોઈ પોતાના જ પ્રેમમાં પડી ગયો હતો. તેથી આ લક્ષણને ‘નારસીસિઝમ’ કહ્યું છે. ઇન્દિરા અને નરેન્દ્ર મોદી પણ આ જ લક્ષણથી ગ્રસ્ત હતાં / છે. ગુજરાતની ચૂંટણીમાં પહેલી વાર મહોરાંનો ઉપયોગ થયો. (શ્રોતાઓને જોઈને ભાષણ આપવા કરતાં પોતાને જોઈને બોલવું સહેલું થતું હશે !) ત્રિ-પરિમાણી હોલોગ્રામથી પણ પોતે જ બધે પહોંચવું એ સારી ભાવના છે, પણ આ નવી નથી. ઇન્દિરા ગાંધીએ કટોકટીમાં પોતાનાં ચિત્રોની મૅગેઝિનો લહાણી કરાવ્યા પછી દેશમાં સેંકડો ‘લો પાવર ટ્રાન્સમીટર બેસાડી, રંગીની ટેલિવિઝન પર દર્શન દેવું પસંદ કરેલું.’ જોકે ટેલિવિઝનનાં ઇન્ટરવ્યૂ કે ભાષણોમાં એ મોદીની જેમ પોતાનું જ નામ વારંવાર ઉચ્ચારતાં ન હતાં !

નારસીસિઝમમાંથી જ કદાચ એક બીજી માનસિકતા વિકસતી હશે – તે પોતા પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની. બાળકોમાં જેને attention seeking attitude કહે છે, તેવો અભિગમ આ બંનેમાં છે. તેમ કરતાં ક્યારેક નાટકનું તત્ત્વ પણ પેસી જાય ખરું. પ્રિયંકા ગાંધીની ‘નીચી કક્ષા’એ જ રાજનીતિ કરવાના આરોપને ઝડપી લઈ કેવો ‘નીચી જાતિ’ના આરોપમાં બદલી નાંખ્યો! ઇન્દિરા ગાંધી સભાઓને ઘણીવાર બરાડી બરાડીને કહેતાં કે ‘યહ લોગ મેરી હત્યા કરાના ચાહતે હૈં.’ ૧૯૭૭-’૮૦ના રાજકીય વનવાસ દરમ્યાન બેલછી નામે ગામમાં એક દલિતની હત્યા થઈ, તો હાથી પર બેસી એ ગામની મુલાકાતે ગયેલા તેમના પ્રથમ શાસનકાળ દરમિયાન ધડાકાભેર જાહેરાતોથી પ્રજાને ચોંકાવતા રહીને જ રાજ્ય કરેલું. કમનસીબે, હજુ લગી લોકો આવાં નાટકિયાવેડાંના પ્રભાવમાં આવી જાય છે.

હકારાત્મક સામ્યતા

આટલાં અનિચ્છનીય સામ્ય જોયા બાદ એક-બે ઉપયોગી સામ્ય પણ ગણાવવાં જોઈએ. બંનેની વહીવટી તંત્ર ઉપર પકડ સારી છે. ઇન્દિરા ગાંધીને તો એ વાતાવરણમાં ઊછરવાનો મોકો મળેલો, પરંતુ નરેન્દ્ર મોદીએ આ ક્ષમતા સંઘમાં કામ કરતા સ્વબળે મેળવી હતી. તે માટે પ્રશંસાને સ્થાન છે. તે રીતે બંને સારાં tactician – વ્યૂહરચનાકાર – નરેન્દ્ર મોદીએ તેનો ઉપયોગ માત્ર મહત્ત્વાકાંક્ષા માટે કર્યો. ઇન્દિરાએ શરૂઆતમાં તો આ ગુણનો ઉપયોગ રાજકીય કાવાદાવા ખેલવામાં જ કર્યો, પરંતુ જરૂર પડી ત્યારે દેશનાં હિતમાં વિદેશનીતિમાં તેનો સારો ઉપયોગ કર્યો. બાંગ્લાદેશની મુક્તિ તેનું જાણીતું ઉદાહરણ છે. ઍન્ટાર્કિટકા ઉપર આપણું કાયમી મથક સ્થાપવા જેવાં કેટલાંક વૈજ્ઞાનિક પગલાં પણ દૂરંદેશીવાળાં હતાં.

એમ તો ધર્મનો રાજકારણમાં ઉપયોગ કરવા બાબતે પણ બંનેમાં સામ્ય છે. પરંતુ અહીં બે મુદ્દા જુદા છે : એક કે આ કામ નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીમાંથી પ્રેરણા લઈને નથી કર્યું, એ પોતાની સંસ્થામાંથી વ્યવસ્થિત રીતે શીખીને આવ્યા છે. તો આ બાજુ ઇન્દિરાએ આ કામ આજની કૉંગ્રેસની જેમ અણઘડતાથી ન કર્યું. અંગ્રેજીમાં શબ્દ છે, subtle – તેમ સૂક્ષ્મ સંવેદનથી એ કરી ગયાં. મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ૧૯૬૭ સુધી ક્રમશઃ દેશના મૂળ પ્રવાહમાં ભળી જવામાં હતા, ત્યાં તેમણે દરમિયાનગીરી કરી, એમની નીતિ અને ઉચ્ચારણોથી એ પાછા અલગ પડી ગયા અને છતાં આ કોણે કરાવ્યું તે ખબર ન પડી. નરેન્દ્ર મોદી માટે જરૂરી રહ્યું છે કે એ આ જ ખુલ્લંખુલ્લાં કરે, તો જ તેનો રાજકીય હેતુ સરે.

તફાવતો

આમ તો આ લેખનો હેતુ એ દર્શાવવાનો હતો કે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી એમને ન ગમતી કૉંગ્રેસના જ એ મુખ્ય નેતાને મળતી આવે છે. પરંતુ આટલું કર્યા પછી બંનેનાં વ્યક્તિત્વના કેટલાક તફાવતો પણ બતાવવા જોઈએ :

૧. જાહેરસભાઓમાં ઇન્દિરા ગાંધી નાટકીય તત્ત્વ લાવતાં અને જરૂર પડે ઉશ્કેરાટથી અવાજ પણ ચડાવતાં. પરંતુ ભાષાનું ગરિમાસ્તર જાળવતાં. હલકા કે દ્વિઅર્થી શબ્દો, હુલામણાં કે અપમાનજનક નામો આપવાં, અંગત પ્રહાર કરવા એ બધું નરેન્દ્ર મોદીનું આપબળે શીખેલું છે, જેનું શ્રેય ઇન્દિરા ગાંધીને ન આપી શકાય.

૨. ઇન્દિરા ગાંધીમાં એક અસુરક્ષાની ભાવના હતી (paranoia). જેને લઈને તે સામા ઉપર પ્રહાર કરતાં. તેથી ઊલટું મોદી હંમેશાં આત્મવિશ્વાસમાં હોય છે. એ જો કોઈ પણ પ્રહાર કરે, તો તે ગણતરીથી હોય છે, ભયથી નહીં. (કદાચ એ સામા માણસને અસુરક્ષાની ભાવના અપાવતા હશે ?)

૩. ઇન્દિરા ગાંધીની આસપાસ જી-હજૂરિયાઓની એક રિંગ રહેતી (જેમાં મુખ્યત્વે પંજાબીઓ હતા). તેને પાર કરવા બધાં માટે શક્ય ન હતું. નરેન્દ્ર મોદીનો વિકાસ ગ્રાસરૂટ સંસ્થામાં થયો હોવાથી આવા હજૂરિયા તેમની ઇચ્છા વિના જમા ન થઈ શકે અને બહારની દુનિયાથી તેમને કાપી ન નાંખી શકે.

ઉપસંહાર

આવા થોડા તફાવતો ન ગણતાં નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ અને કાર્યશૈલી જાણે ઇન્દિરા મૉડેલ પર જ ઘડાયાં છે તેમ દેખાય છે. જે પરિવારનો વિરોધ તેમનાં હાડમાં ઊંડે સુધી છે, તેના જ એક વડીલના જેવું પોતાનું વર્તન છે, તેવો કદી તેમને ખ્યાલ આવ્યો હશે ? અહીં એક બાજુ વાત સાબિત થાય છે કે સોનિયા ગાંધીએ પોતાનાં સાસુના પ્રભાવમાંથી પક્ષને છોડાવી લીધો છે. તેમનું પોતાનું વ્યક્તિત્વ પણ મહત્ત્વકાંક્ષા, કપટ કે નાટકબાજીથી ઉપર છે. કદાચ તેથી જ નરેન્દ્ર મોદી તેમને પ્રથમ દુશ્મન માને છે !

1. નવી પેઢીના વાચકોને કટોકટીની પશ્ચાદ્દભૂ ખબર ન હોય તો સંક્ષેપમાં તેનો ઇતિહાસ કરીએ : 1966માં શાસ્ત્રીજીના મૃત્યુ પછી ત્યારના કૉંગ્રેસ નેતાઓએ મોરારજીભાઈનો દાવો અવગણી ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાનપદે બેસાડ્યાં, પરંતુ 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસનો દેખાવ નબળો થયો. સત્તામાં રહેવા માટે હવે ડાબેરીઓનો ટેકો જરૂરી હતો. પોતાની ડાબેરી હોવાની છાપ ઊભી કરવા ઇન્દિરા ગાંધીએ બૅંકોનું રાષ્ટૃીયકરણ કર્યું, રાજાઓનાં સાલિયાણાં બંધ કર્યાં અને રાષ્ટૃપતિની ચૂંટણી માટે પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીની સામે મજૂરનેતા વી.વી. ગિરિને પોતાના ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા. 1969માં કૉંગ્રેસના બે ટુકડા થયા. ત્યાર બાદ 1971ની ચૂંટણી, બાંગ્લાદેશ યુદ્ધ, પ્રચંડ ભાવવધારો અને છેલ્લે જયપ્રકાશ આંદોલન આવ્યાં. તેમાં ઉમેરાયો અલાહાબાદ હાઇકોર્ટનો ચૂકાદો, જેથી ઇન્દિરા ગાંધીની ચૂંટણી રદ જાહેર થઈ તે સાથે લોકશાહી અૌચિત્યની રીતે કામ ન લેતાં ઇન્દિરાજીએ કટોકટી લાદી પોતાની સત્તા જાળવવાનો રાહ લીધો હતો.

ફ્લેટ નં. ૩, પ્લોટ-૧૧૦, સેક્ટર-૨૮, વસઈ (નવી મુંબઈ) – ૪૦૦ ૭૦૩

સૌજન્ય :”નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 06 – 07 અને 10

Loading

સરાહનીય ‘યજ્ઞ’ કાર્ય

ડંકેશ ઓઝા|Opinion - Opinion|9 November 2014

તા. ૧૨-૧૦-’૧૪ને રવિવારના રોજ ગૂજરાત વિદ્યાપીઠના ‘અહિંસા શોધ ભવન’માં યજ્ઞ પ્રકાશનના ઉપક્રમે તાજેતરનાં બાર પ્રકાશનોનો લોકાર્પણ કાર્યક્રમ અને બપોરના ભાગમાં પખવાડિક ‘ભૂમિપુત્ર’ના વાચકોના મિલનનો કાર્યક્રમ યોજાઈ ગયો. શ્રોતાઓની સંખ્યા પ્રમાણમાં બંને કાર્યક્રમોમાં સારી રહી. આજના સમયમાં આ પ્રવૃત્તિનુ જે મહત્ત્વ છે તે દૃઢીભૂત થયું.

૧૯૫૩થી ‘ભૂમિપુત્ર’ સામયિક પ્રગટ થાય છે. શરૂઆતમાં તે દસવારિક હતું. ભૂદાન આંદોલનના એ દિવસોમાં સામયિક શરૂ કરવાનાં બીજ સાબરમતી આશ્રમમાં મળેલી ચારેક મિત્રોની મંડળીમાં રોપાયેલાં, જેમાં પ્રબોધ ચોકસી, નારાયણ દેસાઈ, ચુનીભાઈ વૈદ્ય અને સૂર્યકાંત પરીખ હતા, સાથે ભાઈદાસ પરીખ વગેરે પણ ખરા. ચુનીકાકાએ સંસ્મરણો વાગોળતાં પ્રબોધ ચોકસીને આ મિત્રમંડળીમાં ખરા ‘જિનિયસ’ ગણાવ્યા! આખી પ્રવૃત્તિનો ઘણો બધો યશ તેમને જાય છે એમ પણ કહ્યું. સમયાન્તરે સૂર્યકાન્ત પરીખ સિવાયના આ ત્રણ મિત્રો ઉપરાંત ભીખુ વ્યાસ, મહેન્દ્ર ભટ્ટ, કાંતિ શાહ વગેરે તંત્રીપદે કામ કરતા રહ્યા અને અત્યારે રજનીભાઈ દવે, સ્વાતિ અને પારુલ દાંડીકરની નવી ટીમ આ સંપાદન-પ્રકાશન કાર્યમાં સક્રિય છે.

૧૯૭૫ના કટોકટીકાળમાં ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ સરકારે નાગરિકોની અભિવ્યક્તિને ગળે ટૂંપો દેવાનું પાપકાર્ય કર્યું ત્યારે બાબુભાઈ જશભાઈ પટેલની રાજ્ય સરકારને કારણે ગુજરાત લોકશાહીનો એક ટાપુ બની રહેલું. તે સમયે ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’, આ બે સામયિકોએ પ્રેસની આઝાદીનો ઝંડો ફરકતો રાખેલો. આજે ગુજરાતનાં ત્રણ વિચારપત્રો ગણાય છે : નિરીક્ષક, નયામાર્ગ અને ભૂમિપૂત્ર. બૌદ્ધિક અને શિક્ષિત સમાજમાં તેનાં ગૌરવપૂર્વક ઉલ્લેખ થાય છે. તેમાં ‘ભૂમિપુત્ર’નું ઘણું મોટું યોગદાન રહેલું છે.

સર્વોદય-ભૂદાન-વિનોબાના વિચારને સમર્પિત આ સામયિક વ્યાપક લોકહિતની બાબતોને પણ નિશ્ચિત રીતે ઉજાગર કરતું રહ્યું છે પછી તે આઝાદીની વાત હોય, ખાદી કે બુનિયાદી શિક્ષણની વાત હોય, અણુશક્તિ અને તેનાં દુષ્પરિણામોની વાત હોય, જળ-જમીન-જંગલ કે સમગ્ર પર્યાવરણની વાત હોય કે રાજ્યનાં ગૌચરો અદૃશ્ય થઈ રહ્યાં હોય તેની વાત હોય – આ બધી વખતે ‘ભૂમિપુત્ર’એ આખા સમાજનું ધ્યાન આ પ્રશ્નો અને સમસ્યાઓ પ્રત્યે અભ્યાસપૂર્ણ લેખો લખીને કે નાની-મોટી ચળવળોના અહેવાલો આપીને દોરતાં રહેવાનું પુણ્યકાર્ય સાતત્યપૂર્ણ રીતે કર્યું છે. આ જ વિષય પરનાં પ્રકાશન પણ તેણે કર્યાં છે.

સમગ્ર કાર્યક્રમની નોંધનીય બાબત એ હતી કે પ્રકાશનોના લેખકોએ અને કવચિત ઈન્દુકુમાર જાની અને પ્રકાશ ન. શાહ જેવા સમીક્ષકો, જે આ પૈકી કોઈ પુસ્તક સાથે પ્રસ્તાવના મારફતે જોડાયા હોય તેમને પણ પુસ્તકના લોકાર્પણ અને તેના પરિચયમાં સામેલ કરવામાં આવ્યા હતા. ‘ભૂમિપુત્ર’નાં પૂર્વ સંપાદકો ઉપરાંત ‘નિરીક્ષક’ અને ‘નયા માર્ગ’ના તંત્રીઓનું તથા સામયિક તેમ જ પુસ્તકોના છાપકામ સાથે સંકળાયેલા પ્રેસના મનીષભાઈનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. રોહિત શુક્લ અને સાગર રબારીનાં પુસ્તકો સાંપ્રત સમસ્યાઓ વિશે એક રીતે આંખ ઉઘાડનારાં અને બીજી રીતે માર્ગદર્શક બની રહે એવાં છે. છેલ્લાં પાનાની વાર્તા અને તે પણ પ્રાદેશિકભાષાની વાર્તા ‘ભૂમિપુત્ર’નું ઘરેણું મનાયું છે. અગાઉ હરિશ્ચંદ્ર બહેનો લાંબા સમય સુધી આ કામ સંભાળતી હતી. તે પછી આશા વીરેન્દ્ર સારી રીતે તે કરે છે એવી વાર્તાઓનો ‘તર્પણ-૨’ નામે બીજો સંગ્રહ પણ ખુલ્લો મૂકવામાં આવ્યો.

ચિંતાનો વિષય એ છે કે દેશની સમસ્યાઓ બાબતે આપણે નવી પેઢીને સામેલ કરવામાં ઊણા ઉતર્યા છીએ. શ્રોતાજનોમાં ભાગ્યે જ નવીપેઢીના પ્રતિનિધિઓ દેખાતા હતા. પ્રાધ્યાપક સંજય શ્રીપાદ ભાવે, ચંદુ મહેરિયા (દલિત અધિકાર), ભદ્રાબહેન સવાઈ અને આ લખનાર વગેરેએ વાચકો તરફથી ‘ભૂમિપુત્ર’ના સંપાદનની શક્તિઓ-નબળાઈઓ વિશે નુક્તેચીની કરી હતી.

છએક લાખના રૂપિયાના વાર્ષિક વેચાણ સાથે યજ્ઞ પ્રકાશન પોતાની પ્રવૃત્તિ સમાજના હિતમાં હાથ ધરી રહ્યું છે. ત્રણેક હજાર નકલો સાથે ‘ભૂમિપૂત્ર’ સામયિક સમાજની સમસ્યાઓ બાબતે વાચકોને જાગ્રતિ અને અભ્યાસનું ભાથું પૂરું પાડે છે. યજ્ઞ પ્રકાશનમાં પુસ્તકો સુઘડ રીતે અને પડતર કિંમતે મૂકાતાં હોય તેવું આપણે જોતાં આવ્યાં છીએ. દિગજ્જ સંપાદકોના ગયા પછી પણ આ યજ્ઞકાર્ય બરાબર ગતિએ ચાલતું રહ્યું છે તે આનંદદાયક અને સંતોષજનક બાબત છે, જે માટે ગુજરાત ગૌરવ અનુભવી શકે. આવો રૂડો અવસર યોજવાનું ‘નવી ટીમ’ને સૂઝી આવ્યું તે બદલ સંબંધિત સર્વને અભિનંદન.

આ પ્રસંગે પ્રકાશિત પુસ્તકોની યાદી …

૧. જીવનની વાતો – વિનોબા ભાવે

૨. નિંદ્રા સમાધિ સ્થિતિ – વિનોબા ભાવે

૩. આધુનિક યુગના આંતરપ્રવાહ – ગોવર્ધન દવે

૪. ખુદાઈ ખિદમતગાર – અનુ. સં. અમૃત મોદી

૫. ચિંતનનો ચંદરવો – રોહિત શુક્લ

૬. મોતનાં વાવેતર – સં. સ્વાતિ દેસાઈ

૭. ખેડૂત : ટકી રહેવાની મથામણ – સાગર રબારી

૮. ગુજરાત સરકારના કાયદા અને ગામડાં – સાગર રબારી.

૯. નર્મદા કિનારો : યાત્રાધામ કે પ્રવાસ ? – લખનભાઈ

૧૦. આપણો સહિયારો સાંસ્કૃતિક વારસો – મોહન દાંડીકર

૧૧. તર્પણ – ૨ (વાર્તાસંગ્રહ) – આશા વીરેન્દ્ર

૧૨. આવો, નવી દુનિયા બનાવીએ – સં. રજની દવે

સ્વાગત સિટી, અડાલજ, ગાંધીનગર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2014, પૃ. 09

Loading

...102030...3,9543,9553,9563,957...3,9603,9703,980...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved