Opinion Magazine
Number of visits: 9557527
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

प्रोफेसर की डायरी: દેશમાં પ્રવર્તમાન ઉચ્ચશિક્ષણની સમસ્યાઓ અંગે એક એડહોક અધ્યાપકના સ્વાનુભવ બયાન કરતું ૨૦૨૪ના વર્ષનું ગર્મજોશ પુસ્તક

ઈશાન ભાવસાર|Opinion - Opinion|1 January 2025

ઈશાન ભાવસાર

તાજેતરમાં અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ ૨૦૨૪ની મુલાકાત દરમ્યાન રાજકમલ પ્રકાશનનાં સ્ટોલ પર અનાયાસે એક પુસ્તક મારા હાથે ચડ્યું. એ પુસ્તકનું કવરપેજ બહુરંગી અને ઘણું આકર્ષક હતું. એ પુસ્તકનું નામ હતું : પ્રોફેસર કી ડાયરી. લેખક પૂછો તો डॉ. लक्ष्मण यादव (લેખકનું નામે ય સાવ અજાણ્યું. કવરપેજ ઉપર અત્યારની પુસ્તકવેચાણની માર્કેટિંગ શૈલી મુજબ ૧૫ દિવસમાં ૧૬,૦૦૦+ આવૃત્તિઓની ખપત થઇ ગઈ છે, એનું બેનર ફરકાવ્યું હતું. એ તો જાણે સમજ્યા, પણ હું પણ શિક્ષણ સાથે જોડાયેલો હોવાને લીધે મને આ ટાઈટલ તરત સ્પર્શી ગયું. પ્રોફેસર-કી-ડાયરી. એકેક શબ્દ મેં જોખી જોયો. આમ તો ટેકનીકલી હું ‘લેકચરર’ છું પણ લલિત ખંભાયતા અને હર્ષ મેસ્વાણીયા જેવા મિત્રો ‘પ્રોફેસર’ તરીકે જ સંબોધે છે. અંગત જીવનમાં કે સમાજમાં ઘટેલી કોઈ મહત્ત્વની ઘટના કે પ્રવાસયાત્રા દરમ્યાન થોડુંઘણું ડાયરીલેખન પણ કરી જાણું. એટલે આ પુસ્તક જાણે કોઈક પ્રકારે મારી જ વાત કરતું હશે કે મને સ્પર્શતું હશે એવું પાનાં ફેરવ્યા વગર જ માની લીધું. (દિલ કો બહેલાને કે લિયે ખ્યાલ અચ્છા હે!) પછી એને પલટીને બેકકવર જોયું તો ત્યાં એ પુસ્તકની પ્રશસ્તિઓ બાંધી હતી. પણ એની નીચે બોલ્ડ જેટ-બ્લેક અક્ષરોમાં લખેલું વાક્ય મને જાણે સણસણતી બુલેટ આવીને છાતીમાં ચોંટી જાય, એમ ચોંટી ગયું : 

एक डरा हुआ शिक्षक अपनी कक्षाओं में रीढ़-विहीन विद्यार्थी तैयार करता है, जो समाज में जाकर मुर्दा नागरिक में तब्दील हो जाता है।

આ એક જ વાક્ય વાંચીને મેં પુસ્તક ખરીદવાનું મન બનાવી લીધું. ડૉ. લક્ષ્મણ યાદવ એક ઈન્ટરવ્યુમાં કહે છે કે મૂળ તો પુસ્તકનું શીર્ષક ‘ઠેકે પર પ્રોફેસર’ એવું રાખવું હતું પણ પ્રકાશકોએ એ ભડકાઉ શીર્ષક જોઇને જ વિવાદ થવાની બીકે છાપવાનો ઇન્કાર કરતા એની પ્રત પાછી મોકલી આપી હતી, અને છેવટે, શીર્ષકમાં બાંધછોડ કરીને પુસ્તકની રચનારીતિ ડાયરીનોંધોનાં સ્વરૂપની હોઈ એને અનુલક્ષીને ‘પ્રોફેસર કી ડાયરી’ એવું નામ પસંદ કર્યું હતું. પુસ્તકની અંદર આપેલો લેખકનો પરિચય આ મુજબ છે :

‘ડૉ લક્ષ્મણ યાદવ અધ્યાપક, જન બુદ્ધિજીવી, અને સામાજિક કાર્યકર છે. તેઓ ભારતીય સમાજની સંઘર્ષધર્મી જનપક્ષધર ધારાઓને એક મંચ પર લાવવાની કોશિશ કરતા રહે છે. એમનાં માટે સમાજવાદ, આંબેડકરવાદ, સ્ત્રીવાદ અને આદિવાસીઓના સંઘર્ષ સામાજિક ન્યાયની એક બૃહદ્દ લડાઈના અલગ-અલગ રંગ છે. એ અલાહાબાદ વિશ્વવિદ્યાલયમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ છે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી તુલસીદાસ વિષયક વિવેચન પર એમણે એમનું શોધકાર્ય કર્યું છે. દોઢ દાયકા જેટલા સમય સુધી તેમણે દિલ્હી યુનિવર્સિટીની ઝાકીર હુસેન કોલેજમાં અધ્યાપનકાર્ય કર્યું છે. તુલસીદાસ પર એમનું એક પુસ્તક પણ પ્રકાશિત થઇ ચુક્યું છે.’

આપણે ત્યાં એક પુસ્તકની એવરેજ ૫૦૦ નકલો છપાય અને બીજી નકલ છપાતાં પાંચ-દસ વર્ષ નીકળી જાય ત્યારે ‘પ્રોફેસર કી ડાયરી’ ફેબ્રુઆરી, ૨૦૨૪માં પ્રકાશિત થાય છે અને ફેબ્રુઆરી મહિનામાં જ પુસ્તકની ત્રીજી નકલ છાપવી પડે છે, એટલી તો ચપોચપ એની નકલો ખપી જાય છે. પુસ્તકનું અર્પણ ‘રોહિત વેમુલા અને એના જેવી અધૂરી રહી ગયેલી અગણિત સંભાવનાઓને નામ’ કરવામાં આવ્યું છે. ૧૬૦-પાનાના પુસ્તકમાં ચાર પાનાંની ભૂમિકા પછી પહેલી નોંધની શરૂઆત ઓગસ્ટ ૨૦૧૦થી થાય છે અને છ ડિસેમ્બર, ૨૦૨૩ના છેલ્લી ડાયરી નોંધ છે એ જોતા પુસ્તકમાં નિરુપિત ઘટનાઓનો સમયફલક ચૌદ વર્ષનો છે. 

‘પ્રોફેસર કી ડાયરી’ લખવાનો ઉદ્દેશ્ય સાફ છે. વિશ્વગુરુ બનવાના દાવાઓ વચ્ચે દેશની ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓની પડતીનું અહીં ચિત્રણ છે. આ ચિત્રણની પાછળ લેખકનો દોઢ દાયકાનો દેશની રાજધાનીના દિલ્હી વિશ્વવિદ્યાલયમાં એડહોક અધ્યાપક તરીકે નોકરી કરવાનો સ્વાનુભવ રહેલો છે. તેમણે પોતાના અધ્યાપકીય જીવનકાળ દરમ્યાન ઘટતા નાના-મોટા પ્રસંગોને તારીખવાર નોંધી રાખ્યા હતા. લેખક એક દલિત બહુજન વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને ઉચ્ચ શિક્ષણ પામનારા અને એવી સંસ્થામાં અધ્યાપન કરાવનારા પોતાના કુટુંબમાંથી પહેલાં છે. આમ તો લેખક અલાહાબાદ યુનિવર્સિટીમાંથી ભણીને અહીં દિલ્હી I.A.S. બનવા માટે આવેલા હતા કે સમાજમાં ‘આમૂલચૂલ પરિવર્તન’ કરીશું. પણ દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી કર્યું અને પ્રોફેસરની લાઈન પકડી જે એમના પિતાજીના કહેવા મુજબ આમૂલચૂલ પરિવર્તન માટે ‘કલેટ્ટર’ કરતા કંઈ ઓછી નહોતી કારણ કે પ્રોફેસર તો પેઢીઓને બદલે છે. પણ હિંદી સાહિત્યમાં JRF (Junior Research Fellowship) મેળવી ચુકેલા ડૉ. લક્ષ્મણને આંટીઘૂંટી ભરી સિસ્ટમને કારણે કાયમી પ્રોફેસર થવાની જગ્યાએ એડહોક (હંગામી) પ્રોફેસર બનવું પડે છે. 

આવો, તો પુસ્તકના કેટલાક અંશો જોઈએ :

1. આ એક એવો વ્યવસાય છે જેમાં શિક્ષકને છોડીને બધું જ કાયમી હોય છે. સિલેબસ, સ્ટૂડન્ટ, નોટ્સ, ચોક, ડસ્ટર, માર્કર, બિલ્ડીંગ, એક્ઝામ, ઈવેન્ટ્સ, ડ્યૂટીઝ આ બધું જ કાયમી; પણ એના પાયામાં ઊભેલો એક શિક્ષક ખુદ કાયમી નથી હોતો.

2. ઓછાવત્તા અંશે દેશની દરેક શૈક્ષણિક સંસ્થામાં અડધાથી વધારે શિક્ષકોના પદ ખાલી પડેલા છે. આમાંથી આરક્ષિત ક્વોટાના ૯૦%થી વધુ પદો પર કાયમી નિમણૂકો જ કરવામાં આવી નથી. તમે તમારા ગામની આસપાસની સરકારી સ્કૂલોની બદહાલી જોઈ શકો છો. વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોની હાલત પણ આનાથી બહેતર નથી. કેટલાક કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને ડિગ્રી કોલેજોને છોડીને ભારતની સરકારી શિક્ષણ સંસ્થાઓ પોતાના સૌથી ખરાબ સમયમાં છે. ઘણીખરી સંસ્થાઓ પાસે ન તો ઈમારત છે કે ન શિક્ષક. બધું સારું છે પણ માત્ર કાગળ પર કાગળ પર ઇમારતો, કાગળ પર શિક્ષક, કાગળ પર શિક્ષણ અને એ જ કાગળ પર વહેંચવામાં આવતી ડિગ્રીઓ. બી.એડ. અને ઈજનેરી કોલેજો ખુલવાની અને પછી પાટિયા પડી જવાની ત્રાસદીથી તો તમે પરિચિત હશો. આ વાંચતી વેળા તમારી આસપાસની સરકારી સ્કૂલ, ડિગ્રી કોલેજ, અને વિશ્વવિદ્યાલયોને યાદ કરજો.

3. મોટા ભાગના ઈન્ટરવ્યુમાં એની તારીખની પહેલા તો પરિણામ નક્કી કરી લેવામાં આવતું હોય છે. પ્રિન્સિપલ, ટીચર ઇન્ચાર્જ તો ક્યારેક સિનિયર મોસ્ટ એ નિર્ણય લઇ ચુક્યા હોય છે જે ફક્ત ઘોષિત કરવાનો બાકી છે. આ નિર્ણયમાં બાહ્ય તાકાતોની બહુ મોટી ભૂમિકા હોય છે. દરેક માસ્ટર પાસે એક દિલ હોય છે; જે પરિવાર, જાતિ, ભાષા, ક્ષેત્ર, પાર્ટી, કે વિચારધારા જોઇને ધડકે છે. મુશ્કેલીથી પાંચ-દસ ટકા કિસ્સાઓમાં જ ઈન્ટરવ્યુના આધારે ઉમેદવારનું ચયન થતું હોય છે. આપણે ત્યાં જાતિ પેરાસીટામોલ છે. પ્રધાનથી લઈને પ્રધાન મંત્રી સુધી રાજનીતિની આ દવાનો બહુ કુશળતાથી ઉપયોગ કરે છે.

4. હું મારી અંદર આમૂલચૂલ પરિવર્તન લાવવાવાળા પ્રોફેસર સાથે સમાધાન કરી ચૂક્યો હતો. નોકરીને લઈને આ સમજૂતી બહુ કારગર રણનીતિ સાબિત થતી હતી પણ કરોડરજ્જુને લઈને તો ઘણી ખતરનાક. કરોડરજ્જુનું હાડકું જો તંગ રહે તો ઝૂકતી વેળાએ દર્દ ઊઠે છે. કરોડરજ્જુ સખ્ત થઇ તો પોતાને અને લચીલી થઇ તો સિસ્ટમને ફાયદો થાય છે. કરોડરજ્જુ બહુ ખરાબ ચીજ છે, સફળ થવાની શરતો એને ઝુકાવી દે છે. પણ એ જ્યાં સુધી બચેલી રહે છે ત્યાં સુધી ધનુષની પ્રત્યંચાની માફક તંગ હાલતમાં રહે છે. લચકદાર થતા જ તમે ક્યાંય પણ ‘સેટ’ થઇ જાઓ છો.

5. વાસ્તવમાં કોઈ પણ કોલેજમાં કે યુનિવર્સિટીના સ્ટાફરૂમમાં ઘુસતા જ તમે ચપટી વગાડતાં જ  કહી શકશો કે આમાંથી કોણ-કોણ અસ્થાયી એડહોક છે અને કોણ-કોણ કાયમી પ્રોફેસર. હસાહસ, ખાણીપીણીની સુગંધ, રેસીપીની ગોસિપ, પહેરવેશની ચર્ચાઓથી લઈને ફ્લેટની ખરીદી, સરકાર બનાવવા કે ગબડાવવાની, મોબાઈલ અને ગાડીઓના નવા-નવા મોડલોના તુલનાત્મક અભ્યાસ કરવાના સંવાદો જે દિશામાંથી આવે તે સૌ કાયમી લોકો હશે.

ડૉ. લક્ષ્મણ યાદવ

‘પ્રોફેસર કી ડાયરી’માં કાયમી અને હંગામી (એડહોક) એમ બે પ્રકારના પ્રોફેસરોની પેચીદી સિસ્ટમ, દરેક એડહોક પ્રોફેસરે દર ચાર મહિનાને અંતે ફરીથી લેવા પડતા જોઈનીંગ લેટરના ‘રીચાર્જ’ની સિસ્ટમ, મહિલા એડહોકનાં ફેમિલી પ્લાનિંગ અને મેટરનીટીને લઈને પ્રશ્નો,  શોધાર્થીએ વગર પગારના વેઠિયાની જેમ કરવા પડતા ગાઈડના અનેક અંગત કામો, પ્રોફેસરોની નિયુક્તિઓ માટે થતા ઈન્ટરવ્યુના ‘ખેલ’, અને એ ખેલમાં વારંવારની હારથી હતાશ થઈને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકવાના ચૂરચૂર થઇ ગયેલા સપનાંઓ લઈને ‘ખોવાઈ’ જતા અનેક આશાસ્પદ અને ‘મેરીટ’ ધરાવતા નવયુવાનો, ફેલોશીપ મેળવવાની પળોજણ, પરિવારની મજબૂરીને કારણે નોકરી અને ભણતર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયત્ન કરતા વિદ્યાર્થી, અધ્યાપક મંડળો દ્વારા શિક્ષણક્ષેત્રે સરકારી નીતિઓ વિરુદ્ધ પ્રદર્શનો, પ્રાઈવેટ કોલેજોનાં ગોરખધંધાઓ, ચોક્કસ રાજકીય રંગ અને એજન્ડા સાથે વિશ્વવિદ્યાલયોમાં યોજાનારી ઇવેન્ટો, કાયમી પ્રોફેસરોના ખુદના બાળકોનો વિદેશમાં અભ્યાસ, રોસ્ટરનો પ્રશ્ન અને એના પગલે થયેલા વિરોધ પ્રદર્શનો, વગેરે પર પ્રકાશ પાડે છે. 

લેખકે પુસ્તકમાં મોટા ભાગની સંસ્થાઓ અને વ્યક્તિઓનાં નામ બદલી નાખ્યાં છે, જેથી વિવાદ કે સનસનાટીની જગ્યાએ મૂળ મુદ્દાઓ પર લોકોનું ધ્યાન જાય. આમ છતાં પુસ્તકમાં ગર્મજોશી પણ છે અને ગમગીનીયત પણ. કારણ કે ડૉ. લક્ષ્મણ યાદવને અંતે તો એમની ગર્મજોશી ભારે પડે છે. અધ્યાપકમંડળોના જાહેર વિરોધપ્રદર્શનોમાં એડહોક અધ્યાપક તરીકે નેતૃત્વ લેવાને કારણે અને સત્તાવિરોધી જાહેર ભાષણોને કારણે તેઓ સત્તાધારીઓના ‘બ્લેકલિસ્ટ’માં આવી જાય છે, અને એમને એક દિવસ એડહોક અધ્યાપક તરીકેની નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે. ૧૪ વર્ષની અધ્યાપક તરીકેની સેવા પછી આ રીતે કોઈ અધ્યાપકને આ રીતે નોકરીમાંથી રુખસદ મળે – અને એ પણ જ્યારે એ અધ્યાપક ‘પરમેનન્ટ’ (કાયમી) થવાની આશમાં હોય –  ત્યારે એના પર આભ ન તૂટી પડે તો જ નવાઈ કારણ કે આપણા દેશમાં હજુ ય ઘણાં ઘરોમાં એક ‘પુરુષમાણસ’ કમાનાર હોય છે અને એની આવક પર પરિવારનાં બીજા સભ્યો નિર્ભર હોય છે. છતાં આ અણધારી આપદામાં પણ લડાયક મિજાજના ડૉ. યાદવ તૂટી ગયા નથી. એક ઈન્ટરવ્યુમાં એ કહે છે કે એક દિવસ મને ન્યાય મળશે, અને ફરીથી હું મારા વિદ્યાર્થીઓ વચ્ચે જઈને ભણાવી શકીશ કારણ કે ભણાવવું મારું ‘પેશન’ છે. એમના કહેવા પ્રમાણે આ પુસ્તક લખ્યા પછી તો એવું થવાના ચાન્સ એથી પણ ઓછા થઇ ગયા છે કારણ કે કોઇ પણ કોલેજ બળતું ઝાલવા તૈયાર નથી. હાલ તેઓ યુટ્યૂબ પર Dr.Laxman Yadav કરીને ચેનલ ચલાવે છે જેના આજની તારીખે 1.09M સબસ્ક્રાઇબર છે. આ ચેનલ પર તેઓ હિંદી બેલ્ટનાં સાંપ્રત રાજકારણની ઘટનાઓનું આંબેડકરવાદી દૃષ્ટિકોણથી વિશ્લેષણ રજૂ કરતા હોય છે. આશા કરીએ કે ડૉ. યાદવ ફરીથી સસન્માન વિદ્યાર્થીઓ સાથે રૂ-બ-રૂ થઇને એમને હિંદી સાહિત્ય ભણાવી શકે. 

આ પુસ્તકનો પરિચય કરાવવા સાથે વિદાય લેતા વર્ષના રામ-રામ અને સૌને ૨૦૨૫ના નવા વર્ષની શુભેચ્છાઓ !

01 જાન્યુઆરી 2025
સૌજન્ય : ઈશાનભાઈ ભાવસારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પરિવર્તનની એક ક્ષણ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|1 January 2025

“દાદાજી, તમે ક્યાં જાવ છો?”

બીટુએ ફરી પૂછ્યું, “દાદાજી, તમે ક્યાં જાવ છો?”

મનુભાઈએ એક ચંપલ પગમાં પહેર્યું હતું ત્યાં બીટુ, મનુભાઈનાં 4 વર્ષનાં પૌત્રનો અવાજ સાંભળી બીજું ચંપલ પહેરતા અટકી ગયા. એમ જ ઊભા રહ્યા. ફરી અવાજ સાંભળી એમણે બીટુ સામે જોયું, બીટુની આંખમાં પ્રશ્ન હતો કે દાદાજી આપણે તો સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ અને મને લીધા વગર તમે ક્યારે ય બહાર જતા નથી, તો અત્યારે સવારમાં ક્યાં જાવ છો? પ્રશ્ન વાંચી મનુભાઈ વિસામણમાં પડી ગયા. એક બે ક્ષણ રોકાઈ મહામહેનતે બીટુ સામે જોયા વગર કહ્યું “બેટા, મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું”, પછી ગળામાંથી માંડ માંડ આટલા શબ્દો નીકળ્યા, “હમણાં પાછો આવું છું.”

“તો મને પણ સાથે લેતા જાવને?”

“બેટા, ત્યાં તારે સાથે ન અવાય?”

“શું કામ ન અવાય? હું તમને હેરાન નહીં કરું.” મનુભાઈની આંખમાં ઝળઝળિયાં આવ્યા. મહા પ્રયત્ને આંસુને રોકવામાં થોડું કષ્ટ પણ થયું.

“દાદાજી, તમે મને લીધા વિના ક્યારે ય બહાર જતા નથી તો આજે કેમ જીદ્દ કરો છો.” અને ‘જીદ કરો છો’ શબ્દ સાંભળી મનુભાઈની આંખમાં ઝળઝળિયાં બનીને રોકાયેલા આસું આંખમાંથી દડ દડ વહેવા લાગ્યા. બીટુ વિચારમાં પડી ગયો તેણે કદી મનુભાઈને રડતા જોયા નહોતા.

“દાદાજી, તમે રડોમાં, હું સાથે આવવાની જીદ નહીં કરું.” મનુભાઈએ મનમાં કરેલો નિર્ણય, બીટુનાં શબ્દો અને આંખમાંથી વહેતાં આસુંમાં ઓગળી વહી ગયો. તેણે બીટુને તેડી લીધો અને સોફામાં બેઠા, “હા બેટા, આપણે સાંજે બગીચામાં ફરવા જઈશું, તે મને મહાસંકટમાંથી ઉગારી લીધો.”

મનુભાઈના બાપા નાના ગામડામાં રહેતા હતા. ગામ લગભગ 4,000ની વસ્તીવાળુ હતું અને બે ત્રણ કરિયાણાંની દુકાન હતી. મનુભાઈના બાપાને કરિયાણાંની દુકાન હતી. નાનું ગામ હતું અને ફક્ત બે ત્રણ દુકાન હોવાથી તેમનું ગુજરાન સરળતાથી ચાલતું હતું. મનુભાઈ અભ્યાસ પૂરો કરીને પોતાના બાપાની દુકાને કામકાજમાં લાગી ગયા પણ ગામમાં બીજી પણ ત્રણ ચાર નવી કરિયાણાંની દુકાન થઈ હતી. ગામની વસ્તીમાં કંઈ ઝાઝો વધારો થયો નહોતો.

એક દિવસ મનુભાઈએ એના બાપા ને કહ્યું, “બાપા, નાના ગામમાં વસ્તીનાં પ્રમાણમાં દુકાન વધારે છે. હું શહેરમાં જઈ આગળ વધવા માગું છું. ત્યાં હું વ્યવસ્થિત થઈ જાવ પછી તમને અને મારી બાને તેડી જઈશ.”

મનુભાઈએ શહેરમાં નાની દુકાનથી શરૂઆત કરી. ખંત, મહેનત, ઇમાનદારીનાં પુરસ્કાર રૂપે થોડા સમયમાં નાની કરિયાણાંની દુકાનમાંથી નાનો પ્રોવિઝન સ્ટોર થઈ ગયો. બા, બાપાને પણ ગામડેથી બોલાવી લીધાં. મનુભાઈનો નાનો પ્રોવિઝન સ્ટોર અને મનુભાઈનું ગૃહસ્થ જીવન પૂરપાટ દોડવા લાગ્યું. મનુભાઈનો દીકરો અજય પણ અભ્યાસ પૂરો કરી મનુભાઈની જેમ પ્રોવિઝન સ્ટોરમાંથી બનેલ પોતાના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મનુભાઈ સાથે કામે લાગી ગયો. અવસ્થાએ પહોંચેલ મનુભાઈનાં બા, બાપા પ્રભુના ધામમાં પહોંચી ગયાં. મનુભાઈનાં પત્ની પણ કોઈક અસાધ્ય રોગમાં સપડાતાં તે ઈચ્છે તે પ્રમાણે અજયના લગ્ન પણ જ્ઞાતિની સારી કન્યા અને સારા કુટુંબમાં સંપન્ન કરી નાખ્યા. એ પછી થોડા સમયમાં તેણે પણ મનુભાઈનો સાથ છોડી દીધો.

એક દિવસ અજયે કહ્યું, “બાપા તમે સખ્ખત પરિશ્રમ કર્યો, એનું આ પરિણામ છે. એક નાની દુકાનમાંથી આજે આપણી પાસે મલ્ટી સ્ટોરીડ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. હું પૂરેપૂરો ધંધામાં પારંગત થઈ ગયો છું અને હવે આરામ ઉપર તમારો અધિકાર છે. તમે પૂજા પાઠ અને બીટુ સાથે સમય પસાર કરો તેવી મારી પ્રાર્થના છે. મનુભાઈ શરૂઆતમાં ક્યારેક ક્યારેક સ્ટોર ઉપર જતા પણ પછી તે પણ બંધ કરી દીધું હતું. પણ, આ વાત અજયની પત્ની વિભાને નહોતી ગમી. વિભાએ અજયની સાથે વાત પણ કરી હતી અને અજયે કહ્યું હતું, “બાપાએ ખૂબ પરિશ્રમ કર્યો છે, હવે તેમનો આરામનો સમય છે. બાપાને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તારી છે.” વિભા થોડીક સ્વતંત્ર રીતે જીવન જીવવાની શૈલીવાળી હતી. મનુભાઈ કંઈ દખલગીરી નહોતા કરતા, પણ વિભાને મનુભાઈની ઘરમાં સતત હાજરી ગમતી નહોતી, એને સ્વતંત્ર વાતાવરણ જોઈતું હતું.

વિભા, મનુભાઈને અવગણતી, ધ્યાન ન આપતી, બીટુને બોલાવી લેતી, સવારે જમવામાં પણ ધ્યાન ન આપતી. અજયે નક્કી કર્યું હતું કે રાત્રે તે બાપા સાથે જ જમશે અને તે મોડામાં મોડો આઠ વાગે ઘરે આવી જતો. મનુભાઈ બધું સમજતા હતા. પણ તેને અજયને વાત કરવાની ઇચ્છા નહોતી, કારણ કે તે સમજતા હતા કે અજય, વિભાનું આ પ્રકારનું વલણ નિભાવી નહીં લે અને તેના દામ્પત્ય જીવનમાં ખટરાગ ઊભો થશે અને ઘરમાં કંકાસ ઊભો થશે. આવું બને એવું એ જરા પણ નહોતા ઇચ્છતા. આમાં અજયનો શું દોષ છે એમ વિચારી મનને સમજાવી લેતા. પણ થોડા સમય પછી એવી સ્થિતિ ઊભી થઈ કે મનુભાઈને અણગમતો નિર્ણય લેવાની ફરજ પડી અને એ નિર્ણયને અમલમાં મૂકવા જ મનુભાઈ સવારે બહાર જવા નીકળતા હતા. મનુભાઈ જ્યારે પ્રોવિઝન સ્ટોર સાંભળતા હતા ત્યારે તેમની મુલાકાત રસિકભાઈ સાથે થઈ હતી. રસિકભાઈ માતૃ વૃદ્ધાશ્રમનાં સંચાલક હતા અને તે વૃદ્ધાશ્રમ માટેની વસ્તુઓ મનુભાઈ પાસેથી ખરીદતા હતા. મનુભાઈ પણ વૃદ્ધાશ્રમ માટેની ચીજ વસ્તુમાં ઓછામાં ઓછો નફો લઈને આપતા હતા. આથી બંને વચ્ચે પાકી ભાઈબંધી થઈ ગઈ હતી. અને રસિકભાઈએ કોઈ પણ કામ હોય તો તેને અચૂક યાદ કરે એવી તાકીદ કરી હતી. આજે મનુભાઈ, રસિકભાઈ પાસે વૃદ્ધાશ્રમમાં જ રહેવા જવા નીકળતા હતા. ત્યાં જ બીટુની કાલીઘેલી ભાષાએ વૃધ્ધાશ્રમાં રહેવા જવાના નિર્ણયને પરિવર્તિત કરી દેવાની ફરજ પાડી અને મનથી નક્કી કરી નાખ્યું કે બસ મારે હવે બીટુ સાથે, બીટુ માટે અહીજ રહેવું છે, ક્યાં ય જવું નથી. થયું હતું એમ કે વિભા તેની સહેલી સાથે વાત કરતી હતી. આમ તો મનુભાઈને કોઇની વાત સાંભળવાની આદત નહોતી પણ તેના કાને વાત દરમ્યાન તેનું નામ બે ત્રણ વખત વિભાએ લીધું એટલે તે સાંભળવા ઊભા રહ્યા.

વિભા તેની સહેલીને કહેતી હતી કે “હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું. મારે તો આ માથે પડેલી જવાબદારી છે. બીટ્ટુ દાદાજી, દાદાજી કરતો મટતો નથી. મારા અજયને તો બાપાનું ભૂત માથે સવાર થઈ બેઠું છે. મારી વાત કે પરિસ્થિતિ કોઈને સમજવી કે સાંભળવી નથી. મને ખબર નથી કે આમાંથી ક્યારે છુટકારો મળશે.” આ વાત મનુભાઈના દિલને ઠેશ પહોંચાડી ગઈ. પોતાનું જીવન ભારે લાગવા માંડ્યું પણ આ વાત અજયને નહોતી કરવી. વાત કરવાથી ઘરના સુખદ વાતાવરણ માટેનો અજયનો ભ્રમ ભાંગી જાય અને ઘરમાં ક્લેશ ઊભો થાય. તેમ જ વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માટે ક્યારે ય તૈયાર ન થાય. વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા પછી આ વાત રસિકભાઈની મદદથી સંભાળી લઈશ એટલે કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય એમ વિચારીને નિર્ણય કરેલો. મનથી વિચારી રાખેલું કે સવારનાં અજય ગયા પછી નીકળી જઈશ.

બીટ્ટુ દાદાજી માટે પાણી લઈ આવ્યો. દાદાજીને પાણી પાયું પણ એને એ ના સમજાયું કે મેં દાદાજીને કેમ બહાર જાવ છો એ પૂછ્યું એટલે દાદાજી રડવા લાગ્યા ને પછી મારી વાત માની સાંજે બગીચામાં ફરવા જવાનું કહ્યું. મનુભાઈ પણ મનોમન ખુશ થયા કે સારું થયું બીટ્ટુએ પ્રશ્ન કરી મારા નિર્ણયને પરિવર્તિત કરી નાખ્યો. મારી પાસે મુદ્દલ – અજય અને મુદલનું રોકડું વ્યાજ બીટ્ટુ છે પછી મારે શું ચિંતા છે? હવે ક્યાં કાઢ્યા એટલા વરસ કાઢવાના છે. માણસે દરેક પરિસ્થિતિનું સમાધાન શોધી લેવું જોઈએ, હું પણ એમ જ કરીશ. બધી બાબત ભૂલી જઈને મનુભાઈએ બીટ્ટુને ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા વાર્તા કહેવાની શરૂઆત કરી, એક હતો રાજા ..

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

અન્યાય સામે લડવું એ જ ધર્મ છે : કાકાસાહેબ કાલેલકર

સોનલ પરીખ|Opinion - Opinion|1 January 2025

મારા વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.

—  કાકા કાલેલકર

(જન્મદિન : 1 ડિસેમ્બર 1885)

કાકા કાલેલકર

‘મારા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે – ધ્યાનમાં રાખજો કે તમે ગરીબોને માટે છો, ગરીબોની સેવા એ જ તમારું વ્રત છે. બીજી વાત, અધ્યયન પ્રત્યેનો પ્રેમ જીવનભર જાળવી રાખજો. તેનાથી વિષાદ અને થાકના સમયે પ્રસન્ન રહેવામાં મદદ મળશે. અને ત્રીજી વાત, માનવીનો ધર્મ એક જ છે – અજ્ઞાન, અસહિષ્ણુતા, શોષણ અને અન્યાય સામે નિરંતર લડતા રહેવું.’

આટલું કહી એ તેજસ્વી જૈફ પુરુષે આગળ કહ્યું, ‘ગરીબોનો બેલી આજે કોઈ નથી. એવી દશામાં વિદ્યાર્થીઓ આગળ હું કઈ ‘કેરિયર’ મૂકું ? જેમને ગરીબોની દાઝ છે, એવાઓને માટે એક જ કેરિયર છે – ગરીબ થઈને ગરીબોની સેવા કરીએ. પેલા બિચારા લાચારીથી ગરીબ થાય છે, આપણે સ્વેચ્છાપૂર્વક ગરીબાઈ સ્વીકારીએ. આપણી તાકાત છતાં આપણે પૈસા મેળવવાની શરતમાં ન દોડીએ. શહેરમાં ગામડાંની સાદાઈ ને તેજસ્વિતા લઈ જઈએ. આ નવી કેરિયરમાં વિદ્યાર્થીઓ આગળ રહે, તો આ દેશનો ઉદ્ધાર થવાનો છે. સ્વરાજ્યનો અર્થ ગોરા અમલદારોને બદલે દેશી અમલદારો નિમાય એ નથી, પણ ભણેલા લોકો ગરીબોની સેવા કરતા થાય એ છે.’

આ પુરુષ તે કાકાસાહેબ કાલેલકર. એમણે આ શબ્દો કહ્યાને લગભગ સો વર્ષ થઈ ગયાં છે, છતાં આ શબ્દો આજે પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. આ તો હતી તરુણ વિદ્યાર્થીઓ માટેની વાત. તેમણે નાના વિદ્યાર્થીઓને શું કહ્યું છે? ‘નાના વિદ્યાર્થીઓને કહું છું કે ખૂબ તોફાન કરો, પ્રાણનો વિકાસ કરો, ખૂબ અખતરા કરો; ટાઢતડકામાં ફરો, જંગલ અને પાણી સાથે દોસ્તી બાંધો, અખાડામાં જઈને શરીર કસો. ખૂબ મહેનત કરતાં શીખજો. નવરાશ એ શરીરનો કાટ છે. શરીર અને બુદ્ધિને કસરત આપતા રહેજો. ઉપરાંત ખૂબ મુસાફરી કરજો ને કોઈ જબરો ઊઠીને જ્યારે નબળાને કનડે ત્યારે નબળાનું ઉપરાણું લેવા જજો.’

ભારતના સુપ્રસિદ્ધ રાષ્ટ્રસેવક, ચિન્તક અને સમર્થ ગુજરાતી લેખક કાકા કાલેલકરનું પૂરું નામ દત્તાત્રય બાળકૃષ્ણ કાલેલકર. સરકારી નોકરી અંગે વારંવાર બહારગામ જતા પિતા બાળ દત્તાત્રયને સાથે લઈ જતા. એને લીધે પ્રવાસ અને પ્રકૃતિપ્રેમનાં બીજ રોપાયાં. ભાઈઓ જોડે ચર્ચા કરતાં દેશમુક્તિનાં સ્વપ્નાં સેવ્યાં. પૂનાની ફરગ્યુસન કૉલેજમાં આચાર્ય પરાંજપેના પ્રભાવથી બુદ્ધિવાદ વિકસ્યો. બી.એ.માં ફિલસૂફી ભણ્યા અને ધર્મચિંતન માટેની ભૂમિકા તૈયાર થઈ. કૉલેજમાં ખૂબ વાંચ્યું. જીવનદૃષ્ટિ ઘડાતી ગઈ. રાજકીય ક્રાન્તિ જોડે સામાજિક ક્રાન્તિનો આગ્રહ સેવ્યો.

રાષ્ટ્રસેવાની ધૂન લાગવાથી અને શિક્ષણ દ્વારા જ રાષ્ટ્રને જાગ્રત કરી શકાય એમ લાગવાથી તેમણે બેલગામના ગણેશ વિદ્યાલયના આચાર્ય, તે પછી લોકમાન્યના દૈનિક રાષ્ટ્રમતના સંપાદક, તે પછી વડોદરાના ગંગનાથ વિદ્યાલયના આચાર્ય તરીકે સેવા આપી. સરકારની કરડી નજર પડતાં શાળા બંધ થઈ અને એમણે હિમાલયમાં જઈ આધ્યાત્મિક સાધના કરવાનો નિર્ણય લીધો. સ્વામી આનંદ તથા ગંગનાથ વિદ્યાલયના સાથી અનંતબુવા મર્ઢેકર સાથે હિમાલયની યાત્રાએ ગયા ને પગપાળા સાડાત્રણ હજાર કિ.મી.ની મુસાફરી કરી. પછીથી સ્વામી આનંદ અને કાકા કાલેલકરે અલગ-અલગ સમયે પોતાના પ્રવાસ અનુભવ લખ્યાં. અપૂર્વ આશર સંપાદિત અને નવજીવન પ્રકાશિત પુસ્તક ‘એક યાત્રા બે વૃત્તાંત’માં કાકાસાહેબ અને સ્વામીનો હિમાલય પ્રવાસ એક સાથે વાંચવા મળે છે. એક જ સ્થળને બે વિચક્ષણ વિભૂતિઓ પોતપોતાની દૃષ્ટિએ કેવી રીતે નીરખે અને અનુભવે એ જાણવાની એક મઝા છે.

1924માં પ્રગટ થયેલા ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકનું આ શતાબ્દીવર્ષ છે. ગુજરાતી પ્રવાસસાહિત્યના આ અજોડ અને અદ્વિતીય પુસ્તકનું સાહિત્યમૂલ્ય ઊંચું  છે.

હિમાલયયાત્રા પૂરી થતાં હરિદ્વાર પાસેના ઋષિકૂળ, કાંગડી ગુરુકૂળ, સિન્ધુ બ્રહ્મચર્યાશ્રમ વગેરે સંસ્થાઓમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો કરીને શાંતિનિકેતનનું આમંત્રણ આવતાં કાકાસાહેબ ત્યાં ગયા. ત્યાં બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું. ગુરુદેવની ‘લિપિકા’માં એમણે ગુરુદેવનાં કાવ્યોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. શાન્તિનિકેતનમાં દક્ષિણ આફ્રિકાથી આવેલા ગાંધીજી સાથે એમનો પ્રત્યક્ષ પરિચય થયો. ગાંધીજીએ સાબરમતીમાં સત્યાગ્રહ આશ્રમ શરૂ કરતાં તેમણે આશ્રમશાળામાં અને પછી ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતા ત્યાં અધ્યાપનકાર્ય કર્યું. બીજા વિષયોની સાથે બંગાળી પણ શીખવતા. જેવી ઊલટથી હિમાલયનો પ્રવાસ કર્યો એવી જ ઊલટથી જેલની ચાર દીવાલો વચ્ચે પણ મહાલ્યા અને ‘ઓતરાતી દીવાલો’ જેવું સુંદર પુસ્તક આપ્યું. સત્યાગ્રહ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠ બંધ થતાં એમણે ગાંધીજીના કહેવાથી રાષ્ટ્રભાષાપ્રચાર માટે દેશ ભરમાં ફર્યા. જીવનના છેલ્લા તબક્કામાં તેઓ રાજઘાટ પાસે રહેતા હતા.

કાકાસાહેબે ગુજરાતીમાં 36, હિન્દીમાં 27 અને મરાઠીમાં 15 પુસ્તકો લખ્યાં છે. એમનાં પુસ્તકોના વિષયોમાં પ્રવાસ, પ્રકૃતિ સાથે આત્મીયતા, આત્મકથન, સમાજ-સંસ્કૃતિ ચિંતન, શિક્ષણ, કલા, તહેવારો, મૃત્યુ જેવા વિષયો પર રસ અને બુદ્ધિ બંનેને અપીલ કરે એવું ચિંતન છે. ઉપરાંત એમણે રસળતી શૈલી અને વિવિધ વિષયોની છણાવટ કરતાં પુષ્કળ પત્રો લખ્યાં છે જેનાં ચાર પુસ્તકો થયાં છે. કાકાસાહેબની શૈલી એવી સરળ, મધુર, વિશદ, જીવંત, હળવાશવાળી અને આલંકારિક છતાં સાદગીભરી છે કે ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહ્યું હતું.

કાકાસાહેબના સમગ્ર લખાણોને સમાવતી કાલેલકર ગ્રંથાવલિ પ્રગટ થઈ છે જેના 15 ગ્રંથોમાં 60 જેટલાં પુસ્તકો સમાવાયાં છે. એમનાં લેખનનો વ્યાપ પ્રવાસવર્ણનોથી લઈને ધર્મ, શિક્ષણ, પ્રવાસ, ચિંતન અને લલિત નિબંધો સુધી વિસ્તરેલો છે, પરંતુ ગ્રંથાવલિની પ્રસ્તાવનામાં ઉમાશંકર જોશી નોંધે છે તેમ, ‘કાકાસાહેબનું ગદ્ય પ્રકૃતિચિત્રણમાં અને પ્રવાસવર્ણનમાં ખીલી ઊઠે છે. ભૂગોળના રસિયા તેવા જ ખગોળની સૌંદર્યસમૃદ્ધિના પણ તરસ્યા. ભારતયાત્રી કાલિદાસ પછી સ્વદેશની પ્રકૃતિશ્રીનું આકંઠ પાન કરનાર અને એને શબ્દબદ્ધ કરનાર કાકાસાહેબ જેવા ઓછા જ પાક્યા હશે. એમનું ગદ્ય અનેકવાર કાવ્યની કોટિએ પહોંચે છે. કાકાસાહેબને બીજી એક મોટી અને વિરલ એવી બક્ષિસ છે વિનોદવૃત્તિની…’

ઓછા શબ્દોમાં ‘મોટી’ વાત સરળતાથી અને વિનોદવૃત્તિથી કહેવાની કાકા પાસે જબરદસ્ત હથોટી હતી. આપણો કુદરત સાથેનો નાતો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે ત્યારે કાકાસાહેબનાં ‘ક્લાસિક’ લખાણો આજની પેઢી સમક્ષ મૂકાવા જોઈએ. શહેરમાં રહેતા હોઈએ એટલે કુદરતની નજીક ન રહી શકાય એ માન્યતા ખોટી છે. એની પાછળ આપણી સામુદાયિક આળસ છે. પ્રકૃતિનો આનંદ લેવા માટે ફક્ત દૃષ્ટિ અને રસ હોવો જરૂરી છે. નદી-ઝરણાંમાં નહાતાં, પર્વતો પર ચડતાં, જંગલમાં રાત વીતાવતાં, અંધારામાં બિહામણા અવાજ સાંભળતાં અને વડની વડવાઈઓ પર લટકીને હાથ છોલતાં બાળકો આજે તો શોધ્યા મળે તેમ નથી. વરસાદ પડે ત્યારે વનસ્પતિસૃષ્ટિ ખીલી ઊઠે અને નવાં નવાં જીવજંતુના મેળા ભરાય એમાં બાળકો રસ લે એ માટે જાતે જ નાની નાની સફારી આયોજન કરી શકાય. ગામડાંમાં કે નાના નગરમાં રહેતા હોઈએ તો વાંધો નથી, પરંતુ શહેરમાં હોઇએ તો આસપાસના બગીચા, નાનકડાં વન-વગડાં જેવા વિસ્તારો, મેદાનો અને ખાડામાં ભરાયેલા પાણી તેમ જ ખેતરોમાં જઈને વનસ્પતિઓ અને જીવજંતુઓને નજીકથી નિહાળવાનું આયોજન કરી શકાય.

હિમાલયનું વર્ણન કરતાં એક જગ્યાએ કાકાસાહેબે લખ્યું છે, ‘હિમાલય આર્યોનું આદ્યસ્થાન, તપસ્વીઓની તપોભૂમિ, પુરુષાર્થી લોકોને માટે ચિંતન કરવાનું એકાંત સ્થાન, થાક્યાંપાક્યાંનો વિસામો, નિરાશ થયેલાઓનું સાંત્વન, ધર્મનું પિયર, મુમૂર્ષુઓની અંતિમ દિશા, સાધકોનું મોસાળ, મહાદેવનું ધામ અને અવધૂતની પથારી છે. માણસોને તો શું, પશુપક્ષીઓને પણ હિમાલયનો આધાર અપૂર્વ છે. સાગરને મળનારી અનેક નદીઓનો એ પિતા છે. એ જ સાગરમાંથી ઉદ્ભવેલાં વાદળોનું એ તીર્થસ્થાન છે. એ ભૂલોકનું સ્વર્ગ, યક્ષકિન્નરનું વસતિસ્થાન છે. જગતનાં સર્વે દુઃખોને સમાવી લે એવડો તે વિશાળ છે, સર્વ ચિંતાગ્નિને શમાવી દે એટલો એ ઠંડો છે, કુબેરને પણ આશ્રય આપી શકે એવડો એ ધનાઢ્ય છે અને મોક્ષની સીડી બની શકે એવડો એ ઊંચો છે.’

એક વાર એક યુગ હતો, એમાં હિમાલય જેવા ઊંચા લોકો પાકતા …

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 01 ડિસેમ્બર  2024

Loading

...102030...394395396397...400410420...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved