Opinion Magazine
Number of visits: 9664753
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા વિશે, નવેસરથી  

સુમન શાહ|Opinion - Literature|12 February 2025

સુમન શાહ

મારું ચાલે તો મારાં કેટલાંક પ્રકાશિત પુસ્તકોના કેટલાક અંશને eraser હેઠળ મૂકું, એટલે કે, સાવ ભૂંસી ન નાખું પણ છૅંકેલા દેખાય એવા રાખું. તાત્પર્ય, એ પછી સુધારાવધારા કરું ને એ માટે જરૂરી પુનર્લેખન કરું. પણ એ મનીષા એક અસંભાવ્ય શક્યતા લાગે છે. 

તેમછતાં, ૧૯૯૭-થી મારા “ખેવના” સામયિકના 55-મા અંકથી ફ્રૅન્ચ ફિલસૂફ Jacques Derrida (1930 – 2004) વિશે “દેરિદા : કેટલાક સૂચિતાર્થો” લેખમાળા કરેલી, એનું પુનર્લેખન કરવા ચાહું છું. એમાં કરેલી વાતો પ્રાથમિક કક્ષાની હતી. આશય એ હતો કે એ સામગ્રીનો યથાશક્ય વિનિયોગ કરીને એક પુસ્તિકા કરીશ. વરસો લગી એ આશય ચરિતાર્થ ન થયો, પણ મને થાય છે કે એ આશયને આકારવાનું શુભ મુહૂર્ત હવે આવી ગયું છે. 

++

જો કે, દેરિદાની ફિલસૂફીની સદ્ સમીક્ષાને સ્થાને ઉત્તરોત્તર થતી રહેલી એની અણસમજભરી ટીકાઓને મારે પહેલી ધ્યાનમાં લેવી જોઈશે. 

++

મને ત્રણેક સદ્ સમીક્ષાઓ યાદ આવે છે, સાર રૂપે રજૂ કરું :

૧

જર્મન ફિલસૂફ Hans-Georg Gadamerને (1900-2012)) દેરિદાનો અર્થઘટન વિશેનો અભિગમ માન્ય ન્હૉતો. તેઓ અર્થઘટનશાસ્ત્રવિદ હતા. એમના મતે ટૅક્સ્ટના અર્થઘટન માટે તેનો ઐતિહાસિક સંદર્ભ અને અર્થઘટનકારની એ ટૅક્સ્ટને ગ્રહણ કરવાની સજ્જતા – એ બે પરિમાણોને ધ્યાનમાં લેવાં અનિવાર્ય ગણાય. દેરિદાના વિઘટન-વિચારમાં એની બહુશ: અવગણના થઈ છે. ગાડામેર અનુસાર કહીએ તો એમ કહેવું જોઈએ કે ટૅક્સ્ટ્સનાં અર્થઘટનમાં ઐતિહાસિક સંદર્ભ અને બે ક્ષિતિજોના ફ્યુઝનનું મહત્ત્વ છે. એમની એ વિભાવના છે, Historical context and the fusion of horaizons. 

એક ક્ષિતિજ તે અર્થટનકારનો પરિપ્રેક્ષ્ય અને બીજી તે ટેક્સ્ટનો અથવા ટૅક્સ્ટ-સર્જનના ઐતિહાસિક સંદર્ભનો પરિપ્રેક્ષ્ય, બન્નેનું ફ્યુઝન, એટલે કે, અથડામણ, પરિણામદાયી સાયુજ્ય. બીજા શબ્દોમાં, કૃતિ, કર્તાનો સર્જન પાછળનો આશય, ઐતિહાસિક-સાંસ્કૃતિક સંદર્ભો, કૃતિનો સહજ – inherent – અર્થ અને એ બધા સાથે અર્થઘટનકારની દૃષ્ટિભંગિનું સાયુજ્ય અર્થઘટન માટે અનિવાર્ય છે. 

પણ દેરિદા ગાડામેરના દૃષ્ટિબિન્દુને પડકારતાં કહે છે કે ટૅક્સ્ટ્સના અનેક અર્થ થઈ શકે છે, સંજ્ઞાઓની લીલા – play -ને કારણે અર્થ બદલાતા હોય છે, વિલમ્બિત થતા હોય છે અને અર્થઘટન તો અન્તહીન પ્રક્રિયા છે. horizons અને સંજ્ઞાઓનો play બન્ને વચ્ચેના ભેદના ધૃવ  છે. 

૧૯૮૧-માં પૅરીસમાં સોર્બોનમાં યોજાયેલી “Text and Interpretation” પરિષદમાં બન્ને મહાનુભાવો વચ્ચે ઉગ્ર ચર્ચા થયેલી, જે The Gadamer-Derrida debate નામથી પ્રસિદ્ધ છે. 

(સંદર્ભ : “Dialogue and Deconstruction: The Gadamer-Derrida Debate”, 1989 edited by Diane P. Michelfelder and Richard E. Palmer : વ્યાપક સંદર્ભ : Gadamer and Derrida, in “The Gadamerian Mind” C E Evink, 2021)

૨

બ્રિટિશ ફિલસૂફ Michael Dummett (1925-2011) દેરિદાએ ભાષિક અર્થ માટે અપનાવેલા સંકેતશીલ સિદ્ધાન્તને અનુચિત લેખે છે. દેરિદા સંજ્ઞાઓને પ્રવહમાણ અને સંદિગ્ધ ગણે છે એ કારણે તો ભાષિક અર્થ બાબતે ગેરસમજો ઊભી થવાની! ખરેખર તો, એની ભૂમિકા તર્ક અને સત્ય હોવી ઘટે છે, નહીં કે માત્ર સંજ્ઞાઓ. સંજ્ઞાઓ અને વિશ્વના સમ્બન્ધને દેરિદા કોયડો ગણે છે એ પણ એમને યોગ્ય નથી લાગ્યું. 

(સંદર્ભ : “The Origins of Analytical Philosophy”, 1996, જેમાં એમણે ઍનાલિટિકલ ફિલસૂફી અને દેરિદા સમેતની સંકેતશીલ પરમ્પરાની સમીક્ષા કરી છે.)

૩ 

અમેરિકન ફિલસૂફ John Searle: (1932- ) દેરિદાએ અર્થને અસ્થિર અને તેથી વિઘટનને પાત્ર ગણ્યો એ વિચારને માન્ય નથી ગણતા, કેમ કે એથી ખરી સમજ અને સંક્રમણની શક્યતા અળપાઈ જાય છે. એમનું મન્તવ્ય હતું કે ભાષા-અન્તર્ગત અર્થને વસ્તુલક્ષી ધૉરણે પામી શકાય છે. એમની ફરિયાદ એ હતી કે દેરિદા ટૅક્સ્ટના વસ્તુલક્ષી અર્થઘટનની શક્યતાની ઉપેક્ષા કરે છે.

(સંદર્ભ : J. L. Austin-ના speech acts સિદ્ધાન્ત વિશે દેરિદાએ ‘Signature Event Context’ -માં ચર્ચા કરેલી. એ સંદર્ભમાં સર્લ અને દેરિદા વચ્ચે ચર્ચા થયેલી એ સંદર્ભ છે. વ્યાપ્ત સંદર્ભ : “Reiterating the Differences: A Reply to Derrida”, John R. Searl 1977)

++

જાક્સ દેરિદા

આ ત્રણેય ફિલસૂફ અને દેરિદા વચ્ચે સવિશેષ ભેદ તો બે ફિલસૂફીઓ વચ્ચેનો ભેદ છે. મિકાયલ દુપેટ અને જોહ્ન સર્લ Analytic ફિલસૂફ છે, ગાડામેર અને દેરિદા પણ Continental ફિલસૂફ છે, છતાં બન્નેના અભિગમ વચ્ચે ફર્ક છે.

Analytic અને Continental philosophy પશ્ચિમની અર્વાચીન ફિલસૂફીની બે સ્પષ્ટપણે જુદી પરમ્પરાઓ છે. 

આમ તો, બન્ને પરમ્પરાના ફિલસૂફો ઑન્ટોલૉજિ અને મૅટાફિઝિક્સ સાથે પાનું પાડે છે. બન્ને પરમ્પરાના ફિલસૂફો ભાષા અને અર્થની શોધમાં લાગેલા હોય છે. ઍનાલિટિક ફિલસૂફો તર્ક અને દલીલો વડે મૅટાફીઝિક્સ સાથે જોડાતા હોય છે. એથી વિરોધમાં, કૉન્ટિનેન્ટલ ફિલસૂફો એ જ બાબતોને અસ્તિત્વવાદી કે ફીનૉમિનૉલોજિકલ માળખાંમાં જોતા હોય છે. બન્ને પરમ્પરાઓ ઓવરલૅપ થયા કરતી હોય છે, એકબીજાને સ્પર્શતી હોય છે, તેમછતાં, બન્નેના સ્વરૂપમાં ખાસ્સો ફર્ક છે. 

ઍનાલિટિક ફિલસૂફોનું ધ્યાનકેન્દ્ર એ છે કે ફિલસૂફીના કોયડાનું સ્વરૂપ જાણવું. એ આ ફિલસૂફીનો પ્રધાન હેતુ છે. એ હેતુસિદ્ધિ માટે ભાષા અને તર્કસંગત વિશ્લેષણને તેઓ અનિવાર્ય ગણે છે, કેમ કે એથી વાત વિશદ અને ચૉકક્સ બને છે. આ ફિલસૂફીનાં મુખ્ય વિષયવસ્તુ છે – ભાષાની, ચિત્તની, ફિલસૂફીઓ, જ્ઞાનમીમાંસા, અને તર્ક. એમનો અભિગમ પૂર્ણતયા વિજ્ઞાનીય છે. ફિલસૂફીપરક શોધ-સંશોધન માટે તેઓ વિજ્ઞાનીય પદ્ધતિનો એટલે કે નિરીક્ષણ, પ્રયોગ અને પ્રત્યક્ષ અનુભવથી સાંપડેલી માહિતીને – dataને – પુરાવો ગણે છે, જેને Empirical evidence કહેવાય છે; પ્રતિજ્ઞા – hypotheses – કે હાથ પરના સિદ્ધાન્તના ખણ્ડન-મણ્ડનમાં એની નિર્ણાયક ભૂમિકા હોય છે. ફિઝિક્સ, મૅડિસિન કે મનોવિજ્ઞાન ક્ષેત્રે એનો વિનિયોગ કારગત પુરવાર થયો છે. આ ફિલસૂફોમાં અચૂક લેવાં પડે એવાં નામ છે, બર્ટ્રાન્ડ રસેલ, લુડવિગ વિટ્ગેન્સ્ટાઇન, કાર્લ પોપર, ડેવિડ લૂઇસ, જી.ઇ. મૂર, રુડોલ્ફ કાર્નેપ.

કૉન્ટિનેન્લ ફિલસૂફોનું ધ્યાનકેન્દ્ર એ છે કે ઐતિહાસિક સંદર્ભો અને સમયાન્તરે થતા વિચારોનો વિકાસને તપાસવો. આ ફિલસૂફીનાં વિષયવસ્તુક્ષેત્રો સર્વસામાન્ય છે : ફિનૉમિનોલૉજિ, અસ્તિત્વવાદ, વિઘટન, વિવેચન-સિદ્ધાન્તો, આધુનિકતાવાદ અને મૂડીવાદની સમીક્ષા. તેઓ અવારનવાર સાહિત્ય, કલાઓ અને સંસ્કૃતિનું સાયુજ્ય રચતા હોય છે અને એથી પ્રાપ્ત પદ્ધતિઓ કે રીતો પ્રયોજે છે — 

જેમ કે, ફિનૉમિનોલૉજિની રીત, ફિનૉમિનોલૉજિ ચેતના અને આત્મલક્ષી અનુભવોને તપાસે છે; અસ્તિત્વવાદની રીત, અસ્તિત્વવાદ માનવીય સ્વાતન્ત્ર્ય, સત્ત્વ અને અસ્તિત્વ તેમ જ અર્થને વિશેની મથામણ જેવા મુદ્દા હાથ ધરે છે; સંરચનાવાદની રીત, સંરચનાવાદ હમેશાં ભાષા અને સંસ્કૃતિ અન્તર્ગત રહેલી સંરચનાઓ તપાસે છે; અનુસંરચનાવાદની રીત, અનુ-સંરચનાવાદ સુસ્થાપિત સંરચનાઓ અને અર્થો તપાસે છે. આ ફિલસૂફોમાં અચૂક લેવાં પડે એવાં નામ છે, માર્ટિન હાઇડેગર, ઝાં-પૉલ સાર્ત્ર, મિશેલ ફૂકો, અને ઝાક દેરિદા. 

++

દેરિદા-ફિલસૂફીની અણસમજભરી અનેક ટીકાઓ થઈ છે. કેટલીક ટીકાઓ વેબ સાઇટ્સ પર, કેટલીક ચર્ચાના પ્લૅટફૉર્મ્સ પર, કેટલીક સામયિકોમાં, ઉપલબ્ધ છે. એ ટીકાકારો ઉપયોગીતાવાદીઓ છે. એમનું કહેવું એમ છે કે દેરિદા-ફિલસૂફી ઉપકારક નથી, એના અનુસરણથી લાભ નથી થયા પણ દુષ્પરિણામો આવ્યાં છે. કહેવાવા લાગ્યું કે દેરિદાના વિઘટનશીલ વિચારોના પ્રભાવે કરીને અંગ્રેજી-ભાષી વિસ્તારોમાં અને સવિશેષે માનવવિદ્યાઓમાં અતાર્કિકતાનું વાવાઝોડું ફૂંકાયું છે. એ ટીકાઓમાંની કેટલીક મારા કેટલાક પ્રતિભાવ સહિત રજૂ કરું :

Robert Bernasconi (1950 – ) યુનિવર્સિટી ઑફ મેમ્ફિસમાં ફિલસૂફીના પ્રોફેસર છે. એમણે હાઇડેગર, ગાડામેર, લેવિનાસ વિશે લખ્યું છે. પણ એમણે દેરિદાની વિઘટન-ફિલસૂફીના ઉપયોગના મુદ્દાને આગળ કર્યો છે. તેઓ માને છે કે એ ફિલસૂફી ટૅક્સ્ટના વિશ્લેષણ માટે ખૂબ ઉપયોગી છે, પણ રાજકારણીય અને નીતિવિષયક કોયડાઓના ઉકેલ પરત્વે પાછી પડી જાય છે, દાખલા તરીકે, રેસિઝમ અને સામાજિક ન્યાયના કોયડાઓ પરત્વે.

સમકાલીન સંસ્કૃતિ અને કેળવણીક્ષેત્રના સમીક્ષક, એમરિ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઇમેરિટસ Mark Bauerlein (1959 – ) વિઘટન વગેરે અનુ-આધુનિક સિદ્ધાન્તો વિશે સંશય વ્યક્ત કરે છે. એમનું મન્તવ્ય છે કે આ સિદ્ધાન્તો વસ્તુલક્ષી વિશ્લેષણને બાજુએ મૂકીને અંગત ભૂમિકાનાં અર્થઘટનોને આગળ કરે છે.  એમની પણ એ જ દલીલ છે કે એથી ઍકેડેમિક સ્ટાન્ડર્ડ્ઝ અને બૌદ્ધિક શૌર્યનો હ્રાસ થયો છે.

પરન્તુ બીજા બે ટીકાકારો મને અક્ષમ્ય લાગે છે :

એક છે, સંસ્કૃતિ-સમીક્ષક અમેરિકન વિદુષી Camille Paglia (1947 – ) કહે છે કે દેરિદાના અનુ-આધુનિકતાના સિદ્ધાન્તોએ બુદ્ધિમત્તા અને વિવેકપૂત વિચારના પતનને વેગ આપ્યો છે. એથી અમેરિકન academia પર, કેળવણીક્ષેત્ર પર, નકારાત્મક પ્રભાવ પડ્યો છે. માનવવિદ્યાઓના અધ્યેતાઓ એકોએક બાબતનું વિઘટન કરવા લાગ્યા છે. દેરિદામાં verbal formulas-નો ભાર છે અને તેથી વાચકને perennial defeatism-નો અનુભવ થાય છે. એમણે dense અને jargon-heavy ભાષા પ્રયોજી છે. દેરિદા અઘરા દુર્બોધ અને અગ્રાહ્ય છે. પૅગ્લિયા એટલે સુધી કહે છે કે દેરિદાની ફિલસૂફી outmoded અને valueless છે – જૂનવાણી અને મૂલ્યહીન! 

વળી ઉમેરે છે છે કે એમાં ઐતિહાસિક સંદર્ભનો આગ્રહ નથી, એમાં મનોવિજ્ઞાનીય દૃષ્ટિનો પણ અભાવ છે. એને કારણે વિશ્લેષણનાં તર્કસંગત અને પરમ્પરાગત સ્વરૂપોની મહત્તા ઘટી ગઈ છે. જો કે આ બધું ૧૯૯૧-માં પૅગ્લિયાએ અનુ-સંરચનાવાદ અને ઝાક લકાં, મિશેલ ફૂકો વગરે નૉંધપાત્ર હસ્તીઓની વિસ્તૃત ટીકાના અનુલક્ષમાં કહ્યું છે, પણ જે કહ્યું છે એ અતિ જૂઠું અને અશોભનીય છે. એમણે એટલે સુધી કહેલું કે દેરિદા, લકાં, અને ફૂકો fossilized reactionaries છે – અશ્મિકૃત પ્રતિક્રિયાવાદીઓ છે. એટલું જ નહીં, કહેલું કે તેઓ perfect prophets for the weak, anxious academic personality — આતુરતા, ચિન્તા અને સંશયથી ગ્રસ્ત નબળા કેળવણીકારોના પયગમ્બરો છે.  

(સંદર્ભ : an op-ed for The New York Times in 1991 તેમ જ “Sex, Art, and American Culture”, Camille Paglia, 1992)

પૅગ્લિયા બુદ્ધિમત્તા અને વિવેકપૂત વિચારના પતનનો મુદ્દો ઉછાળે છે, એ એમની અણસમજનું પરિણામ છે. દેરિદાની છે એવી કોઈપણ ક્રાન્તિકારી વિચારસૃષ્ટિ સુસ્થિર પરિપાટીને ઉથલાવે, એ એની સુચિન્તિત અવધારણા અનુસારનું જ પરિણામ હોય છે. academia પર વિઘટનના નકારાત્મક પ્રભાવને, ખરેખર તો હકારાત્મક વિનિયોગને, પણ એવું જ અવધારિત પરિણામ કહેવાય. વાસ્તવિક વાત એ છે કે અમેરિકાને આ બધું કરવા-કહેવા દેરિદા ન્હૉતા ગયા! 

પૅગ્લિયા ભૂલી જાય છે કે ચૉક્કસ પ્રસંગે વિશિષ્ટ અર્થ નીપજાવવા શાસ્ત્રમાં લાઘવયુક્ત શબ્દગુચ્છ વારંવાર પ્રયોજવા પડે છે. એથી સંક્રમણ સરળ બને અસ્ખલિત રહે છે. ‘ઉપરાન્ત’, ‘પછી’, ‘જેમ કે’, ‘કહો કે’, ‘તાત્પર્ય એ કે’, ‘સમજવાનું એ છે કે’ વગરેને સામાન્યત: verbal formulas કહેવાય. શાસ્ત્રમાં એ દોષ નથી પરન્તુ આવશ્યકતા છે. બીજું, કોઈ લેખન સમજવામાં પડકારરૂપ હોય અને તેથી વાચક કંટાળે, વારંવાર કંટાળે, નાસીપાસ થઈને ભાગી જાય, લેખન એને પ્રયત્નસાધ્ય ન લાગે બલકે કોયડો લાગે, ત્યારે કહેવાય કે એ લેખન perennial defeatism ઊભું કરે છે, એમ જરૂર કહેવાય. પણ એ તો વાચકની સજ્જતા કે પાત્રતાનો મામલો છે, નહીં કે તે લેખકનો! અને દેરિદા જેવા ફિલસૂફનાં લેખન વાચકને હંફાવે નહીં તો જ નવાઈ! એ અર્થમાં દેરિદા ઝટ ઊકલી શકે નહીં એવો કોયડો જરૂર છે. ત્રીજું, દેરિદાએ dense અને jargon-heavy ભાષા પ્રયોજી છે કેમ કે પોતાનાં સૂક્ષ્મ ધ્યર્થો માટે પ્રયોજવી પડી છે. જે વાચકને દેરિદા અઘરા દુર્બોધ અને અગ્રાહ્ય લાગ્યા હોય એ તે વાચકની ગ્રહણશક્તિનો મુદ્દા છે. હજારો વાચકોને દેરિદા દુર્બોધ હોવાછતાં ગ્રાહ્ય લાગ્યા છે, તેને શું કહીશું? 

બીજા અક્ષમ્ય ટીકાકાર છે, કૅનેડિયન મનોવિજ્ઞાની Jordan Peterson (1962 -). તેઓ પૅગ્લિયાના જેવું જ કહે છે કે દેરિદાના વિઘટનશીલ સિદ્ધાન્તોથી સૈદ્ધાન્તિક વિકાસ થયો એ ખરું પણ એ સિદ્ધાન્તોના ભક્ત અધ્યેતાઓએ એ પર એટલું બધું કામ કર્યું, એ સિદ્ધાન્તોને એટલાં બધાં સ્થાનોએ લાગુ પાડ્યા, કે ન વાંચી કે ન સમજી શકાય એવાં એ પુસ્તકોનો એક મોટો ડુંગર ઊભો થયો! કેમ કે સાપેક્ષતાના વિનિયોગને કારણે અર્થઘટનોની જંજાળ ઊભી થતી હોય છે. 

કહે છે, discorse અને theory વિશેનાં એ પુસ્તકોએ પરોક્ષપણે અતાર્કિકતાનો મહિમા કર્યો જેને પરિણામે સાહિત્ય, ઇતિહાસ, સમાજવિદ્યાઓ કે રાજનીતિના તર્કપુર:સરનાં અધ્યયનો રહ્યાં જ નહીં અથવા બાજુએ મુકાઈ ગયાં. ખાસ તો વિદ્યાજગતમાં સર્વસામાન્ય ગણાય એ તાર્કિક ધોરણોનું ધોવાણ થઈ ગયું. વસ્તુલક્ષી સત્ય અને તર્કસંગત પરામર્શની શક્યતાઓ ઘટી ગઈ. એમણે વિધાન કર્યું છે કે Derrida and Foucault are smart, so their theories are hard to untangle ! વિધાન જ ચતુરાઈભર્યું છે !

પીટરસન એમ પણ જણાવે છે કે દેરિદાએ સાપેક્ષતા-સિદ્ધાન્તને મહત્તા આપી છે અને વસ્તુલક્ષી સત્યની અવગણના કરી છે, જેને કારણે ઓળખનું રાજકારણ – identity politics – અને ભોગ બનેલાંઓની ચળવળને – victimhood culture -ને બળ મળ્યું છે. વિઘટનને કારણે વિદ્યાજગતમાં, ખાસ તો ડાબેરીઓમાં, અનુ-આધુનિક પ્રતિબુદ્ધિવાદ ઊભો થયો છે. અલબત્ત, આ બધું એમણે અનુ-આધુનિકતાવાદની પોતાની વ્યાપક સમીક્ષા સંદર્ભે કહ્યું છે. 

(સંદર્ભ : એમની jordanbpeterson વેબ પર લેખ, “Postmodernism: definition and critique…’)

વિઘટનને કારણે વિદ્યાજગતમાં, ખાસ તો ડાબેરીઓમાં, અનુ-આધુનિક પ્રતિબુદ્ધિવાદ ઊભો થયો, પીટરસનની એ માન્યતાને Lachian R Dale બરાબર કહે છે, પણ તરત ઉમેરે છે કે પીટરસનના મગજમાં જે વિઘટન છે એ vulgar kind-નું છે. રાજકીય હેતુઓ અર્થે એમણે વિઘટનને સરળીકરણથી વિકૃત કરી નાખ્યું છે. 

(સંદર્ભ : “Analyzing Jordan Peterson’s argument against political correctness and postmodernism” by Lachian R Dale, published on The Big Smoke website on June 27, 2018.)

પીટરસન દેરિદાની relativiity-ની, સાપેક્ષતાની, વિભાવનાને એના સમ્યક અર્થમાં સમજી શક્યા નથી. પોતાની ફિલસૂફીપરક શોધ અર્થે, ખાસ તો વિઘટન સંદર્ભે, દેરિદાએ સાપેક્ષતાની ચર્ચા કરતાં જણાવ્યું છે કે સાપેક્ષતા એવું કંઈ સુસ્થિર કેન્દ્ર નથી જેના આધારે વિચારોને ગતિમન્ત રાખી શકાય. આઈન્સ્ટાઈનના constant વિભાવ સંદર્ભે દેરિદા એમના એ સુખ્યાત વિધાનમાં કહે છે કે constant હમેશાં constant હોતું નથી, બલકે, variability હોય છે, એ એક Jeu (ફ્રૅન્ચ શબ્દ છે) એટલે કે play હોય છે. પરિણામે એને સંદર્ભ-બિન્દુ ન ગણાય. પોતાના આ મન્તવ્ય અનુસાર દેરિદાએ અર્થોને પ્રવહમાણ, પરિવર્તનીય અને વિલમ્બિત ગણ્યા છે.

(વ્યાપક સંદર્ભ : સામયિક “Postmodern Culture”, Sep, 21, 2023).

(ક્રમશ:)
(11FebUSA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કુંભ મેળામાંની હાજરીનો આંકડો : ભગવાધારીની સરકારનું પાપી જુઠ્ઠાણું

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 February 2025

હેમંતકુમાર શાહ

ભારતની વસ્તી ૨૦૨૪ના અંદાજ મુજબ ૧૪૫ કરોડ છે. ખરો અંદાજ માંડી શકાય તેમ નથી કારણ કે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૨૧ની વસ્તી ગણતરી કરી નહીં. કદાચ કોરોનામાં થયેલાં મોતનો સાચો આંકડો બહાર આવે નહીં અને ગરીબીનો સાચો આંકડો પણ બહાર આવે નહીં એટલા માટે.

હવે ૧૪૫ કરોડમાંથી ૪૫ કરોડ લોકો હાલ ચાલી રહેલા કુંભ મેળામાં આવ્યા એવો આંકડો આજે એક છાપામાં આવ્યો છે. હજુ ૧૫ દિવસ બાકી છે કુંભ મેળાને. એટલે એ આંકડો ૬૦ કરોડ સુધી પહોંચી શકે છે. 

શું આટલી હાજરી શક્ય છે? અત્યાર સુધીના ૩૦ દિવસમાં ૪૫ કરોડ લોકો આવ્યા કુંભ મેળામાં, એમ ગણાય. રોજના થયા દોઢ કરોડ!

આ શક્ય જ નથી. કુંભ મેળામાં આવનારાની કોઈ નોંધણી તો સરકાર દ્વારા થતી હોય એવું જાણમાં છે જ નહીં. તો આવો અંદાજી આંકડો પોલિસ કે રાજ્યના વહીવટી તંત્ર દ્વારા કાઢવામાં આવ્યો હોય. સામાન્ય રીતે જાહેર સભાઓમાં ખુલ્લાં મેદાનોની ક્ષમતા અને રસ્તા પરની ભીડને ધ્યાનમાં લઈને અંદાજો કાઢવામાં આવતા હોય છે. 

એમ લાગે છે કે કુંભ મેળાની હાજરીનો આ આંકડો તદ્દન ખોટો છે. કારણ કે ૬૦ લાખની વસ્તીના શહેરમાં રોજના દોઢ કરોડ લોકો એક મહિના સુધી આવે એ મનમાં ઘૂસતું જ નથી. અકડેઠઠ ભીડનાં દૃશ્યો ટી.વી. ચેનલોમાં દેખાડવામાં આવે છે તે જોતાં પણ દોઢ કરોડનો આંકડો સાચો લાગતો નથી. 

૨૦૨૨-૨૩ના અંદાજ મુજબ દેશમાં ૩૦ કરોડ પરિવારો છે. શું એ દરેકમાંથી એક કે બે જણ કુંભ મેળામાં ગયા? ૮૦ કરોડ લોકો ગરીબ છે અને તેમના પરિવારોની સંખ્યા ૧૬ કરોડ થાય. ખાસ કરીને જેઓ પ્રયાગરાજ શહેરની નજીકમાં રહેતા નથી એમની પાસે તો ત્યાંના પ્રવાસ માટેના એટલા પૈસા જ ન હોય કે તેઓ કુંભ મેળામાં જઈ શકે. શું એ બધા દેવું કરીને ત્યાં ગયા? જો ના, તો બાકીના ૧૪ કરોડ પરિવારોમાંથી જ ૪૫ કરોડ લોકો ત્યાં ગયા? આવા બધા સવાલો સ્વાભાવિક રીતે કોઈ વિચાર કરે તો ઊભા થાય જ. એને માટે વિચાર કરવાની જે શક્તિ બધામાં છે તેનો બધાએ ઉપયોગ કરવો પડે, હોં. 

પત્રકારો પણ સરકાર જે આંકડો આપે તે છાપી દે છે. ભલે છાપે, પણ એમણે તો વ્યાવસાયિક ધોરણે એ આંકડા સામે સવાલ તો ઉઠાવવો જોઈએ ને.

એક ભગવાધારી માણસ અત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન છે. તેમની સરકારને આવા જુઠ્ઠા આંકડા આપવામાં કયું હિન્દુત્વ દેખાતું હશે? આવું નરદમ જુઠ્ઠાણું બોલવાથી કેવી રીતે વિશ્વગુરુ થવાય? અને હા, આવું જુઠ્ઠું બોલવું એ પાપ કહેવાય કે નહીં? ગંગામાં એ સરકારી પાપ શું રોજ ધોવામાં આવે છે? કોણ ધૂએ છે એ પાપ? અને એ પાપ ધોવાઈ ગયું એની શી ખાતરી કેવી રીતે મળે?  

દેશના અને દુનિયાના લોકોને ભ્રમિત કરવા માટે આવા જુઠ્ઠા આંકડાથી પ્રચાર કરવામાં આવે છે એમ જ લાગે છે. જેઓ તાનાશાહો હોય છે એમનો એક મોટો સહારો જુઠ્ઠાણું હોય છે એ સુપેરે યાદ રાખવાની જરૂર છે. સવાલ કેટલા કુંભ મેળામાં ગયા કે ન ગયા, એનો નથી; સવાલ સરકારનું અસત્યાચરણ છે કે જેનું સત્તાવાર સૂત્ર सत्यमेव जयते છે. 

તા. ૧૨-૦૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અવહેલના અને અજ્ઞાનમાં મસ્ત રહેવું ક્યારેક ભારે પડવાનું છે 

સોનલ પરીખ|Opinion - Opinion|12 February 2025

સુભાષ બાબુનો જન્મદિન ૨૩ જાન્યુઆરી. તેઓ નજરકેદમાંથી ભાગી નીકળ્યા તે ૨૬ જાન્યુઆરીનો દિવસ હતો. ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પણ છે. ઇતિહાસનાં વિસરાયેલાં પૃષ્ઠો નજર નાખવા જેવાં હોય છે …. 

ભારતમાં બાયોપિક એટલે કે જીવનકથન ફિલ્મો ખાસ લોકપ્રિય નથી અને શ્યામ બેનેગલ કહે છે તેમ એ ચોક્કસ સમયના અનુસંધાનમાં બનાવવાની હોવાથી બહુ મુશ્કેલ પણ છે, ‘વિદેશમાં પિરિયડ મૂવીઝ માટે ખાસ સપોર્ટ ટીમ અવેલેબલ હોય છે. અહીં બધો ભાર ફિલ્મસર્જકના ખભે આવે છે.’ આમ છતાં તેમણે ‘ભૂમિકા’ (અભિનેત્રી હંસા વાડકર), ‘અંતરનાદ’ (પાંડુરંગ આઠવલે) અને ‘મેકિંગ ઓફ મહાત્મા’ (મહાત્મા ગાંધી) જેવાં બાયોપિક-પિરિયડ બનાવ્યાં. 

૨૦૦૫માં શ્યામ બેનેગલે નેતાજી સુભાષચન્દ્ર બોઝ પર એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘બોઝ – ધ ફરગોટન હીરો’ બનાવી. સાડાત્રણ કલાકની આ ફિલ્મ, સુભાષબાબુએ કાઁગ્રેસ છોડી ત્યારથી શરૂ થઈ ત્રણ ભાગમાં તેમના જીવનના અંત સુધી વિસ્તરે છે. જર્મની, રશિયા, જાપાન, સબમરીન, ઓસ્ટ્રીઅન એમિલી સાથે લગ્ન, આઝાદ હિન્દ ફોજ – દિલધડક ઘટનાઓ, નીવડેલા કલાકારો, આબેહૂબ સુભાષબાબુ દેખાતા સચિન ખેડેકરનો ઉમદા અભિનય અને શ્યામ બેનેગલની ઉત્તમ માવજત. સુભાષબાબુના જ્વલંત દેશપ્રેમ અને અપ્રતિમ સાહસોને પડદા પર જોવાની ઘણી સારી તક હતી, છતાં ફિલ્મ બહુ ખરાબ રીતે પીટાઈ ગઈ અને શ્યામ બેનેગલની છેલ્લી ફિલ્મ બની રહી. 

૨૩ જાન્યુઆરી નેતાજીનો જન્મદિન અને ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન. ૨૦૦૫ના અનુભવ પછી પણ શ્યામ બેનેગલે જીવ રેડીને ૨૦૧૪માં ‘સંવિધાન’ સિરિયલ બનાવી. એ પણ ખૂબ સરસ હતી. બંધારણ વિષે ઇતિહાસમાં ભણવાનું થાય ત્યારે બધા નાના હોય, અણસમજુ હોય, પરીક્ષા માટે પાઠ વાંચી લેતા હોય. પણ શ્યામ બેનેગલ જેવો માણસ તેના વિષે સિરિયલ બનાવે ત્યારે એ જોવામાં પણ કેટલા લોકોને રસ પડ્યો હશે એ પ્રશ્ન છે. ‘બંધારણ’માં સચિન ખેડેકરે ડો. આંબેડકરની ભૂમિકા કરી હતી. 

સુભાષબાબુના જીવનમાં અનેકવાર સિદ્ધિ આવી આવીને સરકી ગઈ. કાઁગ્રેસમાં પ્રમુખ બન્યા ત્યાં રાજીનામું આપવું પડ્યું. જર્મની અને જાપાને તેમને પોતાના સ્વાર્થે મદદ કરવાનો દેખાવ કરી છેતર્યા. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. મોટી, અણધારી ઘટનાઓ વચ્ચે તેઓ ગર્જતા રહ્યા ‘જય હિન્દ’. ‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા’ એવા એમના સિંહનાદે આઝાદ હિન્દ ફોજના પિસ્તાલીસ હજાર સૈનિકોને માથું હાથમાં લઈને લડવા તૈયાર કર્યાં. વીરાંગનાઓની રાણી ઝાંસી રેજિમેન્ટ ઊભી કરી. ૧૯૪૫માં અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યો ને જાપાન શરણે થયું પછી સુભાષબાબુને આઝાદ હિન્દ ફોજ વિખેરી નાખવી પડી. 48 વર્ષના નેતાજી વિમાની દુર્ઘટનાના શિકાર બન્યા. બ્રિટિશ સરકારે આઝાદ હિન્દ ફોજના કમાન્ડરો પ્રેમ સહગલ, ગુરુબક્ષસિંહ ધિલોન અને શાહ નવાઝને પકડ્યા અને વિદ્રોહી ખૂનીઓ સાબિત કરવા લાલ કિલ્લામાં જાહેર ખટલો ચલાવ્યો પણ ત્રણેના દેશપ્રેમ, નિર્ભયતા અને બહાદુરીએ દેશને હલાવી નાખ્યો. હિંદુ-મુસ્લિમ-શીખ એકતાના પ્રતીક એવા આ આઝાદ વીરોને છોડાવવા કાઁગ્રેસ અને મુસ્લિમ લીગ એક થઈ ગયા હતા. 

ભારતનું બંધારણ ઘડનારી સભામાં ૩૮૯ સભ્યો હતા. આપણને એમાંથી એક જ નામ યાદ છે અને તે ડો. આંબેડકરનું. ખબર છે, આ સભામાં ૧૫ મહિલાઓ પણ હતી : અમ્મુ સ્વામીનાથન્‌ (સુભાષબાબુની રાની ઝાંસી રેજિમેન્ટનાં કમાન્ડર ડો. લક્ષ્મી સહગલ (અને વિખ્યાત નૃત્યાંગના મૃણાલિની સારાભાઈનાં મા), દાક્ષાણની બેલાયુધ (પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા સભ્ય), બેગમ એજાઝ રસૂલ (એકમાત્ર મુસ્લિમ મહિલા સભ્ય), દુર્ગાતાઈ દેશમુખ (સત્યાગ્રહી, શિક્ષણવિદ્દ), હંસા મહેતા (લેખિકા, સમાજસુધારક, નારીવાદી), કમલા ચૌધરી (સત્યાગ્રહી, લેખિકા), લીલા રોય (નેતાજીએ સ્થાપેલી મહિલા ઉપસમિતિનાં પ્રમુખ), માલતી ચૌધુરી (નમક સત્યાગ્રહી, ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધી), પૂર્ણિમા બેનરજી (સત્યાગ્રહી, સોશ્યલીસ્ટ), રાજકુમારી અમૃતકોર (ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન, AIMSના સ્થાપક), રેણુકા રોય (રાજકારણી), સરોજિની નાયડુ (સત્યાગ્રહી, કવયિત્રી), સુચેતા કૃપલાણી (હિન્દ છોડો વખતે સક્રિય, યુ.પી.ના મુખ્ય પ્રધાન), વિજયાલક્ષ્મી પંડિત (પંડિત નહેરુના બહેન, યુ.એન.ના પ્રથમ મહિલા અને પ્રથમ એશિયન પ્રમુખ), એની મસ્કરાન (કેરળની પહેલી મહિલા સાંસદ).

બંધારણ-સંવિધાન-કોન્સ્ટિટ્યૂશન એ પ્રજાસત્તાક દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણાય છે. સરકાર કોઈપણ હોય, દેશનો વહીવટ બંધારણ અનુસાર જ કરવાનો હોય છે. વડા પ્રધાન કે કાયદાઓ બંધારણની ઉપરવટ જઈ શકે નહીં. 

બંધારણ ઘડવાનો સૌ પ્રથમ વિચાર સમાજવાદી ક્રાંતિકારી અને પોલિટીકલ થિયરિસ્ટ સર એમ.એન. રોયને આવ્યો હતો. તેમણે આપેલા પ્રસ્તાવ પર રાજગોપાલાચારીએ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ખાસ બેઠક બોલાવી મત લીધા અને ૧૯૩૫માં કાઁગ્રેસે બંધારણસભા રચવાની માંગણી કરી. ૧૯૪૦માં બ્રિટિશ સરકારે તેનો સ્વીકાર કર્યો. એ વખતે લોર્ડ લિનલિથગો ભારતના વાઇસરોય હતા. દેશના અને દુનિયાના તખ્તા પર ઝડપથી પરિવર્તનો થઈ રહ્યાં હતાં. 

પહેલી બેઠક ૧૯૪૬ના ડિસેમ્બરમાં મળી. ૨૯ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બંધારણસમિતિ રચાઈ. તેના કાર્યકારી અધ્યક્ષ ડો. સચ્ચિદાનંદ સિંહ, ખરડા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકર અને પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતા. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે બંધારણ ઘડવાનું કામ પૂરું થયું અને ૨૬ જાન્યુઆરીથી એ અમલમાં આવ્યું. ભારત પ્રજાસત્તાક સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર બન્યું. 

ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો અને ૪૪૬ અનુચ્છેદ છે. તેનું આમુખ જવાહરલાલ નહેરુએ તૈયાર કર્યું હતું. આમુખનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો. બ્રિટન, રશિયા અને ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુરોપના દેશોના બંધારણનો અભ્યાસ કરી સંસદની પ્રક્રિયા, વિશેષાધિકાર, જોગવાઈઓ, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો વગેરે નક્કી કર્યાં છે. અને અત્યંત ચોકસાઈથી અને દરેક બાબતનો ગહન અને સૂક્ષ્મ વિચાર કર્યા પછી આપણા જેવા બહુસાંસ્કૃતિક અને બહુધર્મીય દેશને અનુરૂપ એવી તેની રચના થઈ છે. ભારતનું બંધારણ દુનિયાનાં ઉત્તમ બંધારણોમાંનું એક ગણાય છે. તેમાં સુધારો કરવાની પણ જોગવાઈ છે અને ૯૮ જેટલા સુધારા થયા પણ છે. કેવી કેવી ચર્ચાઓ થઇ હશે તેની રચના વખતે ?  

આ બધું જાણવું ખૂબ રસભર્યું અને રોમાંચક છે, છતાં આપણને એનો એક જાતનો કંટાળો છે. આ કંટાળો અને ઉપેક્ષા નવી પેઢીમાં પણ ઊતર્યા છે. અલબત્ત ત્રીજા વિશ્વના દેશ તરીકે આપણે સ્પર્ધા અને સર્વાઇવલના સંધર્ષમાં ખૂબ અટવાયેલા હોઈએ છીએ. પાછા બૌદ્ધિક શ્રમથી જરા દૂર જ રહેવાની માનસિકતાના શિકાર પણ છીએ. એક જમાનો ભવ્ય ભૂતકાળમાં રાચવાનો હતો. હવે હાઇ જમ્પ મારી આપણે ટેકનોસેવી બની ગયા. પણ દેશનો રાજકીય ઇતિહાસ સમજવાની પરવા પ્રજા તરીકે આપણામાં ઓછી જ રહી. ક્યારેક, જેમ કે પ્રજાસત્તાક દિને કે સ્વાતંત્ર્યદિને આપણે આપણા ઇતિહાસના થોડાં પાનાં ખોલીએ અને નવી પેઢી પાસે મૂકી શકીએ તો નાગરિક તરીકે એક સંતોષ લેવા જેવી ફરજ બજાવી ગણાય. 

અંતે ફરી એક ફિલ્મને યાદ કરું : ૧૯૫૦માં ‘સમાધિ’ નામની ફિલ્મ આવેલી. સત્યઘટના પરથી બનેલી આ ફિલ્મનો નાયક આઝાદ હિન્દ ફોજનો એક અફસર (અશોકકુમાર) છે. અંગ્રેજ જાસૂસ લીલી (નલીની જયવંત) તેને પોતાની જાળમાં ફસાવે છે. બધું પકડાય છે ને સુભાષબાબુ પાસે જાય છે ત્યારે તેઓ અફસરને એક તક આપે છે અને જાસૂસને ભારત માટે કામ કરવા પ્રેરે છે. નેતાજીની ભૂમિકામાં કોણ હતું, ખબર છે? કે.એલ. સાયગલવાળા ‘તાનસેન’માં જે શહેનશાહ અકબર બન્યો હતો તે અભિનેતા મુબારક. એનું ગીત ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે’ કોને યાદ ન હોય ? ફિલ્મ સફળ હતી; પણ સંગીતમાં પિયાનો વપરાયો હતો, તેને ‘ઐતિહાસિક ક્ષતિ’ ગણી થોડી ટીકા થઈ હતી. 

આપણે તો આરામથી આખા નેતાજીને જ ભૂલી ગયા ને બંધારણને ઘોળીને પી ગયા. આપણે એવા યુગમાં જીવીએ છીએ કે આવી બાબતોમાં ટીકા કરવાની કોઈને પડી નથી. બધાને જ ઊંઘવું હોય ત્યાં કોણ કોની ટીકા કરે? અવહેલના અને અજ્ઞાનમાં મસ્ત રહેવું ક્યારેક ભારે પડવાનું છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જાન્યુઆરી  2025

Loading

...102030...387388389390...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved