Opinion Magazine
Number of visits: 9694937
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચારજગતના ઝળહળતા સૂર્યનો અસ્ત

બીરેન કોઠારી|Profile|3 February 2015

વિદેશમાં રહેતા ભારતીય મૂળના કોઈ નાગરિકે મેળવેલી નાની કે મોટી સિદ્ધિ બદલ તેના ભારતીય મૂળનું અહીં રહીને મિથ્યા ગૌરવ લેનારા આપણા લોકોએ, ખાસ કરીને ગુજરાતી પ્રસાર માધ્યમોએ ઘરઆંગણે ઝળહળતા આ આંતરરાષ્ટ્રીય સિતારાને ધરાર અવગણ્યો. અંગ્રેજી અખબારોમાં પાનાં ભરીને તેમનું પ્રદાન લખાયું હોવા છતાં એક પણ ગુજરાતી અખબારમાં રજની કોઠારીના અવસાન વિષે ચાર લીટીની નોંધ સુધ્ધાં ભાગ્યે જ જોવા મળી. આને અવગણના ગણો, ઉપેક્ષા ગણો કે અજ્ઞાન, સરખું જ છે. આવા માહોલમાં આ લેખ રજની કોઠારીના વ્યાપક પ્રદાનની ઝલક આપે છે, રજની કોઠારીનું અવસાન થયું એ જ દિવસે પાંચ પાંચ દાયકાના તેમના સહયોગી અને અગ્રણી સમાજવિજ્ઞાની ધીરુભાઈ એલ. શેઠની મુલાકાત લઈને લખાયેલો આ લેખ ૨૨ જાન્યુઆરીના ’ગુજરાત મિત્ર’માં પ્રકાશિત થયો હતો.

બૌદ્ધિકોની વ્યાખ્યા એક જ લીટીમાં આપવાની હોય તો મોટા ભાગના લોકો કહી શકે, ‘બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે, બૌદ્ધિકોનું સંશોધન કરતા લોકો.’ આનો સીધો અર્થ એ થાય કે તેમને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાબતોનું જ્ઞાન હોઈ શકે, પણ સ્થાનિક સ્તરની સમસ્યાઓનો તેમને ભાગ્યે જ અંદાજ હોય. પણ સોમવાર, તા. ૧૯ જાન્યુઆરીના રોજ અવસાન પામેલા રજની કોઠારીએ સમાજવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાન ક્ષેત્રે અનેક આગવાં સંશોધનો તેમ જ અભ્યાસ દ્વારા આ અને આવી અનેક ગેરસમજણોને ખોટી પાડીને દેશવિદેશમાં તેમ જ સ્થાનિક સ્તરે પથદર્શક કામ કર્યું. તેને લઈને વીસમી સદીના અનોખા સમાજવિજ્ઞાની તરીકે તેમની ઓળખ બની.

પાલણપુરના હીરાના વેપારી પરિવારના એકના એક નબીરા રજની કોઠારીને વારસાગત વેપારમાં રસ ન હતો, એમ પરંપરાગત અભ્યાસમાં પણ રુચિ ન હતી. થોડો સમય તે આઈ.એન.એ.(આઝાદ હિંદ ફોજ)ની રાજકીય પાંખ સાથે સંકળાયા. કૌટુંબિક વેપાર સાથે તે પરાણે સંકળાયા, પણ તક મળતાં જ તેને છોડીને પોતાની રુચિ મુજબનો અભ્યાસ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયા. લંડનથી આવ્યા પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં તેમને નિમણૂક મળી. યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ રજની કોઠારી જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વને મૂરઝાવી નાંખનારું હતું, પણ અહીં તેમને એક એવો પરિચય થયો, જેના થકી તેમની પ્રતિભાને પોષક વાતાવરણ મળતું રહ્યું. એમ.એસ.યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર રાવજીભાઈ પટેલને ઘેર અનૌપચારિક ચર્ચાબેઠકો યોજાતી હતી, જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભાગ લેતા. ‘રેનેસાં ક્લબ’ તરીકે ઓળખાતી આ બેઠકમાં અનેક અવનવા વિષયો પર દીર્ઘ ચર્ચાઓ, તર્ક, દલીલો-પ્રતિદલીલો થતી અને સમજણનું એક નવું જ વિશ્વ ઊઘડતું. આગળ જતાં પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર ધીરુભાઈ શેઠ, ધવલ મહેતા, પ્રકાશ દેસાઈ, નીતિન ત્રિવેદી, તરુણ શેઠ, માધવી દેસાઈ વગેરે ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા. તેમના ઉપરાંત ભીખુ પારેખ, ઈકબાલ ગુલાટી, બી.જી.શાહ પણ અહીં નિયમિત હાજરી આપતા. અહીં થતી ચર્ચાઓમાંથી જે વિચારનવનીત નિપજતું તેનાથી પ્રાપ્ત થતી અંતરદૃષ્ટિ રજની કોઠારીને પોતાના અભ્યાસલેખોમાં ઘણી ઉપયોગી થઈ પડતી. આ સમયગાળામાં તેમણે લખેલા અમુક સંશોધનલેખો ખૂબ વખણાયા. ખાસ કરીને પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ઇકોનોમિક વીકલી’(આગળ જતાં ‘ઇકોનોમીક એન્ડ પોલિટીકલ વીકલી’)માં પ્રકાશિત ‘ફોર્મ એન્ડ સબસ્ટન્સો ઇન ઈન્ડિયન પોલિટિક્સ’ તેમ જ ‘ક્વેસ્ટ’માં લખેલા ‘ડાયરેક્ટ એક્શન ઇન પોલિટિક્સ’ અને ‘મીનિંગ્સ ઑફ ડેમોક્રેસી’ આજે પણ પોલિટિકલ સાયન્સના ક્ષેત્રમાં પાયારૂપ ગણાય છે. વડોદરા(પૂર્વ)ની ચૂંટણીના તેમણે જે તે સ્થળે જઈને ક્ષેત્રનિરીક્ષણ દ્વારા કરેલા અભ્યાસથી તૈયાર કરેલા લેખો એ પ્રકારના સૌ પ્રથમ લેખો હતા, જેમાં તૈયાર આયાતી રીતોને બદલે શુદ્ધ ભારતીય પર્યાવરણના સંદર્ભે ચૂંટણીનો અભ્યાસ કરાયો હતો. એ જ રીતે મોડાસાની ચૂંટણીનો અભ્યાસ પણ તેમણે પોતાના વિદ્યાર્થી (અને આજના ખ્યાતનામ સમાજવિજ્ઞાની) ઘનશ્યામ શાહ દ્વારા કરાવ્યો. ચૂંટણીના અભ્યાસીઓમાં આજે પણ આ અભ્યાસલેખો સીમાસ્તંભ જેવા લેખાય છે.

અલબત્ત, યુનિવર્સિટીના આંતરિક રાજકારણવાળું સામંતશાહી વાતાવરણ તેમની પ્રતિભાને ગૂંગળાવનારું હતું. આથી તે બહાર જવાની તકની તલાશમાં હતા, જે તેમને ૧૯૬૩માં મળી અને તે મસૂરીની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યૂિનટી ડેવલપમેન્ટ’માં જોડાઈ ગયા. આ દરમિયાન તેમણે ભારતભરમાં ફરીને, ક્ષેત્રીય નિરીક્ષણો દ્વારા પોલિટિકલ સાયન્સના ક્ષેત્રે પોતાના માટે એક આગવી સંશોધનપદ્ધતિ વિકસાવી, જે આગળ જતાં ભારતમાં એક નવા પોલિટિકલ સાયન્સના રૂપે વિકાસ પામ્યું. ત્યાર પછીના વરસે રજની કોઠારીએ દિલ્હીમાં ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’(સી.એસ.ડી.એસ.)ની સ્થાપના કરી, જે આગામી વરસોમાં તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા તરીકે ઓળખ પામવાની હતી. સી.એસ.ડી.એસ.ના આરંભથી જ, એટલે કે પાંચ દાયકાથી તેની સાથે સંકળાયેલા અગ્રણી પોલિટીકલ સાયન્ટિસ્ટ ડી.એલ. શેઠ સાથેની વાતચીત દરમિયાન રજની કોઠારીની કાર્યશૈલી અને અભિગમ વિશે અહોભાવ વિનાની, આંતરદૃષ્ટિયુક્ત, અનેક નક્કર તેમ જ અંતરંગ વાતો જાણવા મળી, જેનો અર્ક અહીં પ્રસ્તુત છે.

વિચારના સ્તરે કામ કરનાર વ્યક્તિનું કાર્યકર્તા તરીકેનું પાસું સામાન્ય રીતે એટલું સબળ નથી હોતું, એ જ રીતે કાર્યકર્તાઓ વિચારના સ્તરે એક હદથી આગળ ભાગ્યે જ પહોંચી શકતા હોય છે. પણ રજની કોઠારીમાં આ બન્ને બાબતોનો વિરલ સંગમ હતો. તે માનતા કે સિદ્ધાંત અનુભવજન્ય હોવો જોઈએ, તેને હવામાંથી તૈયાર પકડી લેવાનો ન હોય. કેમ કે, મોટે ભાગે નવી બાબતો મુખ્ય ધારામાંથી નહીં, પણ હાંસિયામાં રહેતા લોકો પાસેથી મળતી હોય છે. તેમના આવા અભિગમને કારણે પોલીટિકલ સાયન્સના સ્થાપિત ખ્યાલોથી અલગ એક નવા જ પ્રકારની વ્યાખ્યા તેમના કામ થકી બની.

રાષ્ટ્રનિર્માણ અને કૉંગ્રેસ પક્ષ જેવા વિષયના અભ્યાસ દરમિયાન કૉંગ્રેસ પક્ષના બદલાતા જતા તેવર તેમ જ રાજકારણમાં બની રહેનારી જ્ઞાતિની મહત્ત્વની ભૂમિકાને પિછાણી લેનાર આરંભિક સંશોધક રજની કોઠારી હતા. કોંગ્રેસ એ કોઈ પક્ષ નહીં, પણ પ્રથા યા પ્રણાલિ છે, એ તેમણે અનેક અભ્યાસો અને નિરીક્ષણો દ્વારા છેક ૧૯૭૦માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘પોલિટીક્સ ઇન ઇન્ડિયા’માં પ્રતિપાદિત કરી દીધું હતું. એ પછી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સંદર્ભે તેમણે ‘ઍન્ડ ઑફ ધ એરા’ શીર્ષકથી આંખો ઉઘાડનાર લેખ લખીને સત્તાધીશોનો ખોફ વહોરી લીધો. પરિણામે તેમણે રાતોરાત દેશ છોડી જવાની નોબત આવી.

તેમના દ્વારા સ્થપાયેલી સી.એસ.ડી.એસ. ખરા અર્થમાં લોકશાહી અભિગમ ધરાવતી સંસ્થા બની રહી, જે તેમના મુક્ત વિચારોનો વ્યાવહારિક અમલ હતો. પરિવર્તન વિના કોઈ પણ બાબતને સમજી ન શકાય, અને સમજ્યા વિના કશું પરિવર્તન ન થઈ શકે, એવા વિચારને કારણે અનેક બાબતો કેવળ ટેબલખુરશીની ચર્ચાઓમાં મર્યાદિત ન રહેતાં ફીલ્ડવર્કના સ્તરે પણ વિસ્તરી. બન્ને પાસાંઓને અહીં સરખું મહત્ત્વ આપવામાં આવ્યું. સંસ્થાકીય હોદ્દાઓની ભરમાર ઊભી કરવાને બદલે અહીં કાર્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. જડ નિયમો અને આચારસંહિતાનાં ચોકઠાંથી પણ તેને મુક્ત રાખવામાં આવ્યું. પરિણામે અનેક મહત્ત્વનાં સામાજિક અને રાજકીય સંશોધનો અહીં હાથ ધરાયાં તેમ જ અનેક પ્રતિભાશાળી સંશોધકો અહીંના મુક્ત વાતાવરણમાં પાંગર્યા. આશિષ નાન્દી, ડી.એલ. શેઠ, રામાશ્રય રાય, શિવ વિશ્વનાથન, હર્ષ સેઠી, સુધિર કક્કડ, ગિરિ દેશીંગકર, બશિરુદ્દીન એહમદ જેવા અનેક સમાજવિજ્ઞાનીઓએ સંશોધનને નવા આયામ આપ્યાં અને બહુવિધ સ્તરે મહત્ત્વનાં સંશોધનો કર્યાં. અનિલ ભટ્ટ, ઘનશ્યામ શાહ, ઋષિકેશ મારુ જેવા રજની કોઠારીના એક સમયના વિદ્યાર્થીઓ પણ આગળ જતાં સી.એસ.ડી.એસ. સાથે સંકળાયા અને તેમણે અનેક મહત્ત્વનાં સામાજિક-રાજકીય સંશોધનો કર્યાં.

આવા અભિગમને કારણે ‘સી.એસ.ડી.એસ.’ સતત વિકસતું રહ્યું. ‘વિચારશાળા’ તરીકેની તેની ખ્યાતિ વૈશ્વિક સ્તરે પ્રસરી. ભારતનું તો એ અગ્રણી કેન્દ્ર બની રહ્યું. રજની કોઠારીનું સ્પષ્ટ દર્શન તેની પાછળ હોવા છતાં તે વ્યક્તિકેન્દ્રી ન બની રહે તેની તકેદારી તેમણે રાખી. પરિણામે રાજીવ ભાર્ગવ, પીટર ડિસોઝા, આદિત્ય નિગમ, યોગેન્દ્ર યાદવ જેવા પ્રતિભાશાળીઓની બીજી પેઢી પણ તેમાં તૈયાર થઈ શકી. આવાં અનેક (‘પ્રાદેશિક’નહીં એવાં) સ્વતંત્ર કેન્દ્રો  ઊભાં કરવાની તેમની ઈચ્છા હતી. સુરતમાં આઈ.પી. દેસાઈ દ્વારા સ્થપાયેલું ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ આ પ્રક્રિયાના વ્યાપક હિસ્સારૂપે હતું. શરૂઆતથી જ આઈ.પી. દેસાઈ અને રજની કોઠારી આ દિશામાં કાર્યરત રહ્યા.

પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.) સાથે પણ રજની કોઠારી આરંભથી સંકળાયેલા હતા. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે થયેલા શીખોના સામૂહિક હત્યાકાંડ પછીના દસ જ દિવસમાં અસરગ્રસ્તો, તેમના પાડોશીઓ, સંબંધિત પોલીસ અધિકારીઓ, સૈન્યના લોકો તેમ જ રાજકીય નેતાઓની તેમણે અને તેમના સહયોગીઓએ લીધેલી મુલાકાતો પર આધારિત તૈયાર કરેલો ‘હુ આર ધ ગિલ્ટી?’ નામનો અહેવાલ પી.યુ.સી.એલ. દ્વારા પ્રકાશિત કરાયો હતો. તત્કાલીન સરકાર દ્વારા જેને સ્વયંભૂ પ્રગટેલો જનાક્રોશ ગણાવાયો હતો, એ વાસ્તવમાં સુઆયોજિત ષડયંત્ર હોવાનું અનેક નક્કર પુરાવાઓ સહિત આ અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવાયું હતું. ઢાંકપિછોડો કરવાના આશયથી રચાયેલા અનેક તપાસપંચો જે તથ્ય જાહેર કરવા નહોતા માંગતા એ તમામ હકીકત આ અહેવાલમાં નીડરપણે જણાવાઈ હતી. ત્યાર પછી આ અહેવાલની વાત અને રજની કોઠારીનું નામ શીખ સમુદાયમાં એ હદે જાણીતું થઈ ગયું હતું કે ઘણી વાર શીખ ટેક્સી ડ્રાઇવરો રજની કોઠારી પાસેથી ભાડાના પૈસા પણ લેવાનો ઇન્કાર કરતા. સામાજિક-રાજકીય સંશોધન કઈ હદે છેક છેવાડાના જણને સ્પર્શી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

સત્તરેક પુસ્તકોમાં રજની કોઠારીએ પોતાનાં આગવા વિચારો દર્શાવ્યા છે. તેમનાં અમુક પુસ્તકો હવે હિન્દીમાં પણ સુલભ છે. ‘અનઇઝી ઇઝ ધ લાઇફ ઑફ માઇન્ડ’ના શીર્ષકથી પોતાનાં સંસ્મરણો તેમણે આલેખ્યાં છે. વિચારોના મુક્ત આદાનપ્રદાનનો લય વર્તમાન સમયમાં સતત ખોરવાતો જણાઈ રહ્યો છે અને વ્યક્તિકેન્દ્રીપણાની બોલબાલા વધતી રહી છે, ત્યારે રજની કોઠારીનું પ્રદાન વિશેષ મહત્ત્વનું બની રહે છે.                                               

e.mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 11-12

Loading

સદ્દગત રતિલાલ સાં. નાયક

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|3 February 2015

શબ્દકોશકાર, બાળસાહિત્યકાર, અધ્યાપક અને વિવેચક રતિલાલ સાંકળચંદ નાયકનું ૨૮ જાન્યુઆરીના બુધવારે અમદાવાદના તેમના નિવાસસ્થાને બાણું વર્ષની વયે અવસાન થયું. કડીના વતની રતિલાલે ત્યાંની સર્વવિદ્યાલય શાળાના  શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.  પછી  અમદાવાદની બી.ડી. આર્ટસ કૉલેજમાં ૧૯૬૫ સુધી પાંચ વર્ષ અને ભવન્સ કૉલેજમાં સત્તર વર્ષ ગુજરાતી ભાષા સાહિત્યનું અધ્યાપન કર્યું.

રતિલાલભાઈને બાળસાહિત્ય માટે રાષ્ટ્રીય પારિતોષિકો સહિત દસથી વધુ સન્માન મળ્યાં હતાં. ‘સાક્ષરનો સાક્ષાત્કાર-૩’(૧૯૯૯)માં રાધેશ્યામ શર્મા નોંધે છે : ‘તે મૂળે રહ્યા બાળસાહિત્યકાર. સો જેટલાં પ્રકાશનોના લેખક-સંપાદક-સંયોજક રતિલાલને કીર્તિની ફરફરતી ધજા જોવા મળી ‘કૉમિક બુક્સ’ મલ્ટીકલર ચિત્રાદિથી વિભૂષિત બાળપુસ્તકોથી ! મૂળશંકર-નાનાભાઈ સમા સુ-ભટ્ટોના ચીલે બાળરામાયણ, બાળમહાભારત, દશાવતાર, પંચતંત્રની વાતો, વિજ્ઞાનવિષયક ચોપડીઓ તેમ જ ‘આપણો રાષ્ટ્રધ્વજ’ જેવાં પ્રકાશનો વડે લેખકે બાળઘડતરનું કામ કરી દેખાડ્યું છે.’ પાઠ્યપુસ્તક મંડળની બારમા ધોરણ સુધીની ગુજરાતી વાચનમાળામાં ‘નાયકે ઉત્તમ સહાયક તરીકે કામગીરી બજાવી હતી’ એમ પણ રાધેશ્યામ નોંધે છે.  

‘અક્ષરયાત્રા’, ‘વિવેચનની વાટે’ અને ‘બાળસાહિત્ય : સ્વરૂપ અને સર્જન’ સમીક્ષા-સંચયો છે. વળી  મધ્યકાલીન અને સુધારક યુગના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તેમ જ ‘વસંતવિલાસ’, ‘ઓખાહરણ’ અને ‘સુદામાચરિત’ જેવી કૃતિઓનાં સુવાંગ સંપાદનો તેમણે વિદ્યાર્થીઓ તેમ જ વિદ્વાનો બંનેને  ઉપયોગી  બને તે રીતે આપ્યાં છે. ‘વિજ્ઞાનકથા’ નામના મજાના પુસ્તકમાં તેમણે અક્ષરો, કાગળ, પેન્સિલથી લઈને અણુશક્તિ, કૃત્રિમ ઉપગ્રહો અને રૉકેટની શોધકથાઓ લખી છે. તેમાં વચ્ચે  સિનેમા અને સરકસના સિંહની કથાઓ પણ આવી જાય છે.

રતિલાલ સાં. નાયકનો ‘મોટો કોશ’ ઘણા કિસ્સામાં ગુજરાત વિદ્યાપીઠના ‘સાર્થ જોડણીકોશ’ કરતાં વધુ ઉપયોગી લાગે છે, એ તેનું મહત્ત્વ છે. તે ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો ત્યારે સાર્થની ૧૯૯૫ની છઠ્ઠી આવૃત્તિ બહાર પડી ચૂકી હતી. તે રતિલાલભાઈના નિરીક્ષણ અનુસાર ૧૯૬૭ની આવૃત્તિનું ‘પુનર્મુદ્રણ માત્ર’ હતી.  સાર્થમાંથી ઉપયોગી ઘટકો રતિલાલભાઈએ સ્વીકાર્યા.પણ સમય સાથે કદમ મિલાવવા માટેની અદ્યતનતા, અને કહો કે, તાજગી એમણે એમના મોટા કોશને આપી. સંદર્ભપુસ્તકોને રંજકતા વિના આ પાસ આપવો મુશ્કેલ કામ હોય છે. સાતસો જેટલાં પાનાંના આ કોશના એકસો સોળ પાનાંનાં રસપ્રદ પરિશિષ્ટોમાં કહેવતો, રૂઢિપ્રયોગો, વિશેષનામ, લોકસાહિત્યના શબ્દો, તત્ત્વજ્ઞાન શબ્દાવલી, પૌરાણિક પાત્રો અને સ્થળનામોનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં વપરાતા અંગ્રેજી શબ્દોની જોડણીનો વિભાગ કોશકારની દૃષ્ટિ બતાવે છે.

‘કહેવતકોશ’ (૨૦૦૮) મનોહર છે. તેમાં બાર હજાર કહેવતો, અર્થ અને કથાનક મળે છે. વળી એક અને બે પંક્તિની કવિતારૂપ કહેવત છે. હરિકૃષ્ણ પાઠકે રચેલા કહેવતોના વિનિયોગ સાથેના કે કહેવત જેવા દોહા છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને નવી કહેવતોની યાદી અહીં છે. ‘માહિતીદર્શક શબ્દાવલી’ અને ‘અટકો કેવી રીતે પડી’ આ કોશનાં બિલકુલ વિશિષ્ટ અંગો છે.

રતિલાલના કામનું ઓછું જાણીતું પાસું તેમના ભવાઈ પરના સંશોધનનું છે. વિવેચનની વાટેમાં બાવીસ વર્ષ પહેલાં તેમણે દીર્ઘલેખ ‘ભવાઈ : ગુજરાતનું લોકનાટ્ય’ લખ્યો છે. તે અંગે પ્રસ્તાવનામાં તે નોંધે છે : ‘ જે કોમમાંથી આવું છું એ કોમના વ્યવસાય – અને પિતાજીનો તો પરમ શોખ હતો – એ ‘ભવાઈ’ વિશે ઘણું સંશોધન કરીને કોમના એક ખાસ ઊજવણી અવસરે જે લખાણ તૈયાર થયું એ અહીં સામેલ કર્યું છે.’ ભવાઈ અભ્યાસની ફલશ્રુતિ તરીકે ચાર વર્ષ પહેલાં બારેક ભવાઈ વેશોના પાઠ, પરિભાષા, આ સ્વરૂપના ઇતિહાસ સાથેનું મહત્ત્વનું પુસ્તક મળે છે ‘ગુજરાતનું લોકનાટ્ય ભવાઈ’. તેમનું પુસ્તક ’રંગભૂમિના કસબીઓ’(૨૦૦૬)માં જૂની રંગભૂમિના એક્યાશી કલાકારોનો વાચનીય પરિચય મળે છે. 

ભોળાભાઈ પટેલ ‘બોલે ઝીણા મોર’ સંગ્રહના ‘ગુરુસ્મૃિત’ લેખમાં સંભારે છે : ‘ અહીં ચકડી સર્વવિદ્યાલયમાં મારા વર્ગશિક્ષક અને સંસ્કૃતના શિક્ષક રતિલાલ નાયક – ગુજરાતી બાળસાહિત્યમાં જાણીતું નામ. ત્યારે તે ‘કવિતા’ પણ લખતા. મારી સંસ્કૃતપ્રીતિમાં તેમનું અને પછી રામભાઈ પટેલનું શિક્ષણ છે. … ગુજરાતી પણ નાયક સાહેબ શિખવાડતા. નવમા ધોરણમાં રૅપિડ રીડર તરીકે ભણાવાતું નાટક ‘રાઈનો પર્વત’ એવું શીખવેલું જે આજે બી.એ.ના વર્ગમાં પણ ભાગ્યે જ શીખવાડાતું હશે. શરૂના દિવસોમાં મેં સંકોચાતા એકવાર તેમને પૂછ્યું, ‘સાહેબ, મારે બહારનું વાંચવું છે. શું વાંચું ?’ એક ક્ષણ વિચારી, પછી કહે સ્વપ્નદૃષ્ટા – મુનશીનું સ્વપ્નદ્રષ્ટા વાંચો. આઠમા ધોરણના વિદ્યાર્થીના હાથમાં એમણે સ્વપ્નદૃષ્ટા પકડાવી એને પણ સપનાં જોતો કર્યો.’

૨૯ જાન્યુઆરી ૨૦૧૫    

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 18

Loading

બંધારણના મૂળ આમુખમાં સેક્યુલર શબ્દ કેમ નહોતો?

રમેશ અોઝા|Opinion - Opinion|2 February 2015

જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને બંધારણના આમુખમાંથી સેક્યુલર શબ્દ હટાવવાની રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે

૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને ભારત સરકારના માહિતી અને પ્રસારણ ખાતાએ એક ઍડ્વર્ટાઇઝમેન્ટ અખબારોમાં રિલીઝ કરી હતી, જેમાં ભારતના બંધારણનું આમુખ આપવામાં આવ્યું હતું. આમુખમાં બે શબ્દો આપવામાં આવ્યા નહોતા. આ બે શબ્દો હતા – સેક્યુલર અને સોશ્યલિસ્ટ. જાહેરખબરમાંથી આ બે શબ્દો જાણીબૂજીને હટાવવામાં આવ્યા હતા કે પછી ભૂલ હતી એ વિશે વિવાદ ચાલી રહ્યો છે. સરકારની મથરાવટી જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદીની છે એટલે શંકા જવી સ્વાભાવિક છે. વર્તમાન કેન્દ્ર સરકારને સમાજવાદ અને સેક્યુલરિઝમ માટે સૂગ છે એટલે સર્વસાધારણ ધારણા એવી છે કે સરકારે જાણીબૂજીને આમ કર્યું હોવું જોઈએ.



આ વિવાદ પછીની સરકારની પ્રતિક્રિયા વિવાદને શમાવવાની જગ્યાએ વિવાદને વકરાવનારી છે અને શંકાને વધારે મજબૂત કરનારી છે. શંકાને પુષ્ટિ આપનારું નિવેદન માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન જયવર્દનસિંહ રાઠોડે કર્યું હતું. તેમણે બચાવ કર્યો હતો કે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે જે બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું એમાં આ બે શબ્દો નહોતા. તેમણે શંકાનું નિરાકરણ કરતાં પાછો એવો પણ બચાવ કર્યો હતો કે આગળની UPA સરકારે જે જાહેરખબર આપી હતી એમાં પણ એ બે શબ્દો નહોતા અને વર્તમાન સરકારે એ જાહેરખબર આખેઆખી ઉઠાવી હતી. બીજું આવું જ શંકા પેદા કરનારું નિવેદન કેન્દ્રના કમ્યુિનકેશન અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. મૂળ આમુખમાં આ બે શબ્દોને સમાવવામાં આવ્યા નહોતા અને એની પાછળ કારણ હતું. જવાહરલાલ નેહરુએ અને ડૉ. આંબેડકરે આ બે શબ્દો માટે આગ્રહ નહોતો રાખ્યો, તો શું તેઓ પણ ઓછા સેક્યુલર હતા? એ પછી સરકાર પર જ્યારે પસ્તાળ પડવા માંડી ત્યારે કેન્દ્રના શહેરી વિકાસ ખાતાના પ્રધાન વેન્કૈયા નાયડુએ ખુલાસો કર્યો હતો કે કેન્દ્ર સરકાર બંધારણના આમુખમાં કોઈ પરિવર્તન કરવા માગતી નથી અને સેક્યુલરિઝમ ભારતની પ્રજાના લોહીમાં છે એટલે કોઈએ ડરવાની જરૂર નથી. વડા પ્રધાન હંમેશ મુજબ ચૂપ છે.


એ વાત ખરી છે કે બંધારણના મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા. આ બે શબ્દો ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં ૪૨મો સુધારો કરીને ઉર્મેયા હતા. મૂળ આમુખમાં આ બે શબ્દો નહોતા એની પાછળ કારણ હતું. આમુખમાં બંધારણનો આખો સાર આવી જાય છે અને ગણતરીના શબ્દોમાં જ્યારે આખા બંધારણનો સાર અને આત્માને અભિવ્યક્ત કરવા હોય ત્યારે શબ્દોની ચોકસાઈ જરૂરી છે. આમુખમાં એવા જ શબ્દો વાપરવામાં આવ્યા છે જેની વ્યાખ્યા કરવાની જરૂર ન હોય. મૂળ આમુખમાં સોવરેન, ડેમોક્રૅટિક, રિપબ્લિક, જસ્ટિસ, લિબર્ટી, ઇક્વલિટી અને ફ્રેટરનિટી જેવા શબ્દો વ્યાખ્યા કર્યા વિના વાપરવામાં આવ્યા છે, કારણ કે આઝાદીના આંદોલન દરમ્યાન આ શબ્દો પાછળની ભાવના સ્પષ્ટ થઈ ગઈ હતી અને સર્વસંમતિ બની ગઈ હતી. સેક્યુલર શબ્દ એટલા માટે મૂકવામાં નહોતો આવ્યો કે એના અનેક અર્થો થાય છે. નાસ્તિક, ધર્મવિરોધી, ધર્મની બાબતમાં સંપૂર્ણપણે તટસ્થ અને ધર્મનિરપેક્ષ એવા અનેક અર્થો થાય છે. ભારતનું સેક્યુલરિઝમ તો પાછું જરૂર પડે તો ધર્મની બાબતમાં હસ્તક્ષેપ કરનારું પણ છે. મૂળભૂત માનવીય મૂલ્યો અને ધાર્મિક મૂલ્યો જ્યારે અથડાય ત્યારે સરકાર ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર ધરાવે છે. જેમ કે ધાર્મિક શ્રદ્ધાના નામે કોઈની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર ન કરી શકાય. માનવીય ગૌરવ દલિતનો મૂળભૂત અધિકાર છે અને ઉવેખી ન શકાય એવું માનવીય મૂલ્ય પણ છે.



૬૫ વર્ષ પછી હજી આજે પણ જેનો અર્થ અને ભાવના રૂઢ નથી થયા એ સેક્યુલર શબ્દ આમુખમાં વાપરવામાં નહોતો આવ્યો એનું બીજું પણ એક કારણ હતું. બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં અને ખાસ કરીને આર્ટિકલ ૨૫ અને ૨૬માં તેમ જ રાઇટ ટુ ફ્રીડમ અને રાઇટ ટુ ઇક્વલિટીને લગતા આર્ટિકલ્સમાં સેક્યુલરિઝમના ભારતીય સ્વરૂપની વિગતે અને ઝીણવટપૂર્વક વ્યાખ્યા કરવામાં આવી છે. ભારતનું સેક્યુલરિઝમ એકંદરે ધર્મનિરપેક્ષ અને જરૂર પડ્યે હસ્તક્ષેપ કરવાના સરકારના અધિકારવાળું છે. આમ જ્યારે અનેક અર્થોવાળા શબ્દની યોગ્ય સ્થળે વિગતે અને ચોકસાઈપૂર્વક સ્પક્ટતા કરવામાં આવી હતી એટલે આમુખમાં સેક્યુલર શબ્દ મૂકવાની બંધારણ ઘડનારાઓને જરૂર નહોતી લાગી. ઇન્દિરા ગાંધીની સરકારે સોશ્યલિસ્ટ અને સેક્યુલર શબ્દ ઉર્મેયા હતા, જેની ખરું પૂછો તો કોઈ જરૂર નહોતી. આમાં સોશ્યલિઝમ શબ્દ તો સાવ નિરર્થક હતો. અર્થનીતિ રાજ્યની શ્રદ્ધા અને આત્મા ન હોઈ શકે. એ પ્રસંગોપાત્ત જરૂર પડ્યે બદલાતી રહેતી હોય છે. ૧૯૯૧ પછી કૉન્ગ્રેસ સરકારે જ સમાજવાદને તિલાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. 



ઇમર્જન્સીમાં ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં બીજા પણ સુધારા કર્યા હતા જેમાં સૌથી ઘાતક સુધારો બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાનો સંસદ અધિકાર ધરાવે છે એ હતો. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીનો પરાજય થયો અને કેન્દ્રમાં જનતા પાર્ટીની સરકાર આવી હતી. જનતા પાર્ટીમાં ભારતીય જનસંઘ એક ઘટક પક્ષ હતો અને અટલ બિહારી વાજપેયી અને લાલ કૃષ્ણ અડવાણી સરકારમાં સિનિયર પ્રધાનો હતા. જનતા પાર્ટીની સરકારે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરવાનો લોકપ્રતિનિધિઓ અધિકાર ધરાવે છે એવો સુધારો રદ કર્યો હતો એટલું જ નહીં, બંધારણના મૂળભૂત માળખામાં સંસદ કોઈ પણ સંજોગોમાં સુધારો ન કરી શકે એવું ઉમેરવામાં આવ્યું હતું. અહીં યાદ રાખવું જોઈએ કે એ જ જનતા પાર્ટીની સરકારે આમુખમાં ઉમેરવામાં આવેલો સેક્યુલર શબ્દ હટાવ્યો નહોતો, જેમાં વાજપેયી-અડવાણી ભાગીદાર હતા. આનું કારણ એ હતું કે ત્રણ દાયકા દરમ્યાન સેક્યુલરિઝમ ભારતીય રાજ્યનો આત્મા છે જેની વ્યાખ્યા બંધારણમાં યોગ્ય સ્થળે કરવામાં આવી છે.



નરેન્દ્ર મોદીની સરકારે હજી એક ઇતિહાસ યાદ રાખવાની જરૂર છે જે તાજો છે અને એનો પોતાનો NDA સરકારનો છે. વાજપેયી સરકારે નિવૃત્ત ન્યાયમૂર્તિ એમ.એન. વેન્કટચેલૈયાની અધ્યક્ષતામાં નૅશનલ કમિશન ફૉર રિવ્યુ ઑફ વર્કિંગ કૉન્સ્ટિટ્યુશન નામના એક પંચની રચના કરી હતી જેને બંધારણના પુનમૂર્લ્યાંકનનું કામ સોંપ્યું હતું. કમિશને અહેવાલ આપ્યો હતો કે ભારતના બંધારણના મૂળભૂત માળખામાં પરિવર્તન કરવાની જરૂર નથી, કરવું પણ ન જોઈએ અને સંસદને એવો અધિકાર પણ નથી.



જો નરેન્દ્ર મોદીની સરકારે જાણીબૂજીને આવી રમત કરી હોય તો એ આધુનિક રાજ્યમાં શ્રદ્ધા ધરાવનારાઓએ સાવધાન રહેવું પડે એવી ગંભીર ઘટના છે. દેશમાં વ્યાપક ઊહાપોહ થઈ રહ્યો છે એનું કારણ આ છે.

સૌજન્ય : ‘મંતવ્ય સ્થાન’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 02 ફેબ્રુઆરી 2015

http://www.gujaratimidday.com/features/columns/2015-02-02-06-48-46-2

Loading

...102030...3,8703,8713,8723,873...3,8803,8903,900...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved