Opinion Magazine
Number of visits: 9555556
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યોગેન્દ્ર માંકડ : કદીયે નહીં ભુલાય આ બૌદ્ધિક વ્યક્તિત્વ

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|6 October 2014

૧૯૯૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં S.U.C.I.(C.) પાર્ટીના ઉમેદવાર તરીકે એલિસબ્રિજ મતવિસ્તારમાંથી દામિનીબહેન શાહ ચૂંટણી લડી રહ્યાં હતાં. આ પાર્ટીના સભ્ય તરીકે અન્ય કાર્યકરમિત્રો સાથે હું પણ તે વખતે સવારસાંજ પત્રિકાઓ લઈને અનેક દિવસો સુધી અનેક ઠેકાણે એમના ચૂંટણીપ્રચારમાં સક્રિય હતો. એક સવારે સાડાનવ-દસ વાગે ઝેવિયર્સ કૉલેજ પાસેની કેટલીક સોસાયટીઓ, ઍપાર્ટમેન્ટ્સમાં અમે ચૂંટણીપ્રચાર કરી રહ્યા હતા. હું પુષ્પમ્ ફ્લૅટ્સનાં અમુક ફ્લૅટોમાં પ્રચાર પૂરો કર્યા પછી એક ફ્લૅટમાં પ્રવેશ્યો. માથા પર ટાલ, પાછળના ભાગે સફેદ વાળ, આંખ પર ચશ્માં, ગોરો ઊજળો વાન, કૉફી કલરનો ઝભ્ભો – સફેદ લેંઘો પહેરેલા એક વડીલે ડોરબેલનો રણકાર સાંભળ્યા પછી તરત જ બારણું ખોલીને મને કહ્યું. ‘હા, બોલો’ પત્રિકા આપીને એમને  S.U.C.I.(C.) પક્ષ અને એલિસબ્રિજ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહેલાં દામિનીબહેનનાં સેવાકાર્યોનો થોડો પરિચય આપવાનું શરૂ કર્યું. ત્યાં જ મને અટકાવીને ક હ્યુંઃ ‘હા … હા … હું દામિનીને અને આ પાર્ટીની રાજનૈતિક પ્રવૃત્તિઓને બરાબર જાણું છું. બે વોટ મારા છે ! થૅંક્યુ. પ્રયત્ન ચાલુ રાખો !’

‘બે વોટ મારા છે !’ તે પાછળનો ગર્ભિતાર્થ એમનો અને એમનાં પત્નીનો, એમ સૂચિત થતાં જ મારો પ્રચારુત્સાહ વધ્યો. લાગ્યું કે આ વડીલ અન્ય નાગરિકો કરતાં તદ્દન નોખી માટીના, વિચારશીલ, સુશિક્ષિત અને મૂલ્યનિષ્ઠ રાજનીતિના હિમાયતી હોવા જોઈએ, જેમને સમજીને એમનાં પત્ની ચાલતાં હોય.

આ ઘટનાને લગભગ ત્રણચાર વર્ષ વીત્યાં હશે. નર્મદ-મેઘાણી લાઇબ્રેરી-મીઠાખળીમાં દર ગુરુવારે સાંજે ૬-૦૦ વાગે મળતી M.S.D.ની મિટિંગમાં એક વખત તે આવ્યા. ચર્ચામાં જવલ્લે જ સહભાગી થતા. મિટિંગ પત્યા પછી સાંપ્રત રાજકીય પ્રવાહો અને રાજનૈતિક સિદ્ધાંતો અંગે કેટલાક વડીલો સાથેની હળવી ચર્ચામાં એમના રમૂજી કટાક્ષો સાથેનું લાક્ષણિક એવું ચહેરા પરનું હાસ્ય મને આનંદિત કરતું. આવાં જ કેટલાંક નિમિત્તિઓએ એમ.એસ.ડી.ની મિટિંગમાં એમની સાથેની અવારનવાર વાતચીત દરમિયાન અમારા બંનેનો પરસ્પર સાથે પરિચય થતાં જ મને ખ્યાલ આવ્યો કે તે ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યાભવનના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર ડૉ. યોગેન્દ્ર માંકડ છે. તે પછી જ્યારે તેઓ મિટિંગમાં આવ્યા, ત્યારે એમને ’૯૮ની વિધાનસભાની ચૂંટણીના પ્રચારવાળા પેલા પ્રસંગની યાદ તાજી કરાવીને એમના તરફથી મળેલા પ્રોત્સાહન અંગે જણાવ્યું. એમણે તરત જ કહ્યું. ‘હા’ મને યાદ છે. તમે આવ્યા હતા. મેં કહ્યું હતું બે વૉટ મારા છે’. પછી તો અવારનવાર મળવાથી અમારો પરિચય વધતો ગયો.

*   *   *

૧૯૬૯માં મુંબઈથી સારા માર્કે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અમદાવાદમાં એલ.ડી.આર્ટ્સ કૉલેજમાં યોગેન્દ્રભાઈએ અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. આ કૉલેજમાં સમાજશાસ્ત્ર વિષયનાં યુવાન અધ્યાપિકા ગિરાબહેન સાથે એમને પરિચય થયો, જે ક્રમશઃ વધતો ગયો. છેવટે લગ્ન અંગેના નિર્ણાયક વળાંકે પહોંચ્યો. તે જમાનાનું આ આંતરજ્ઞાતીય લગ્ન હોવાથી માંકડ સાહેબના નાગર કુટુંબમાં તો વણિક જ્ઞાતિની યુવતી સાથેનાં લગ્નનો ઉગ્ર વિરોધ ઊઠ્યો. પરંતુ માંકડસાહેબનાં પ્રેમ અને નવસંક્રાન્તિકાળના સુધારાવાદી મૂલ્યો વચ્ચે કુટુંબના આ વિરોધને જરા ય મચક ન મળી.

પ્રેમના મૂલ્યની જેમ જ મૈત્રીનાં મૂલ્યના તથા વિદ્યાપ્રીતિને પોષનારી પ્રવૃત્તિને પણ માંકડસાહેબ સાચા અર્થમાં જીવતા હતા. આને કારણે તે સમયના અનેક વિદ્વાન અગ્રણીઓ અને એમના સમકાલીન સહકર્મચારી અધ્યાપકો બૌદ્ધિક મિત્રો સાથે એમનો ઘનિષ્ઠ સંબંધ હતો. ’૯૩માં રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનમાં જોડાયા. તે પછી ડૉ. દિનેશભાઈ શુક્લના તે સાથી અધ્યાપક બન્યા. ફિલોસૉફીના અધ્યાપક મધુસૂદન બક્ષીનો એમની ઉપર સારો એવો પ્રભાવ હતો. ફિલોસૉફી વિશે જે કાંઈ જાણવું હોય, ત્યારે તે એમની પાસે જતા. એમ.એસ.ડી.ની મિટિંગ પૂરી થાય તે પછી દિનેશભાઈ, પ્રકાશભાઈ, રથભાઈ, દિલીપ ચંદુલાલની સાથે હું, જયેશ, મિનાક્ષીબહેન વગેરે કેટલાંક યુવાન મિત્રો બેસતાં, રાજકારણ, અર્થકારણ, ફિલોસૉફી જેવા વિષયો પર આ બધાની હળવાશભરી વાતોથી આખાયે ખંડમાં હર્ષોલ્લાસના હિલ્લોળા ઊઠતા. આવી જ પળોમાં એક ગુરુવારે મધુસૂદન બક્ષીના પ્રતાપી વિદ્વાન વ્યક્તિત્વ અંગેના પોતાનાં ભૂતકાળનાં સ્મરણો તાજાં કરતાં માંકડસાહેબે કહ્યું હતું :

‘બક્ષીસાહેબનો તાપ જ એવો કે અમારા જેવા જ્ઞાનપિપાસુ વિદ્યાર્થીઓ, તેઓ જ્યારે ફિલોસૉફીના અગત્યના ટૉપિક્સની ચર્ચા કરતા ત્યારે તેને અમે અમારી ગરજે શાંતિથી એકચિત્તે સાંભળતા. માર્ક્સ ઉપર એમના સ્વાધ્યાયનું ભારે પ્રભુત્વ, પરંતુ સવિશેષ પ્રાધાન્ય તે Theory of enlightenmentને આપતા. યુરોપમાં નવજાગૃતિ, રેશનાલિઝમ, ધર્મનિરપેક્ષતા જેવા અનેક ઉમદા વિચારોના મૂળમાં આ Theory of enlightenment છે. બક્ષીસાહેબે આ વિશે અનેક વાર ચર્ચા કરીને અમારાં બધાંની આંખો ઉઘાડી દીધી હતી. કુલીનચંદ્ર યાજ્ઞિક ઉપરાંત ફિલોસૉફી, રાજ્યશાસ્ત્ર વગેરેના અધ્યાપકોની માંકડસાહેબ એમના ઘરે મિટિંગો યોજતા. જમાડવાના તે શોખીન હતા. તેથી કેટલાક મિત્રોને કોઈકોઈ વાર તે ઘરે જમવા પણ બોલાવતા. આમ, આ પ્રકારની મિટિંગો ભોજનના કાર્યક્રમના બહાને ફિલોસૉફીના જુદા-જુદા મુદ્દાઓ વિશે જે કાંઈ ચર્ચાઓ થતી એનો લાભ ઘણા-બધા મિત્રોને મળતો. તે પણ દિનેશભાઈ શુક્લ, પ્રવીણભાઈ શાહ, કુલીનચંદ્ર યાજ્ઞિક જેવા મિત્રોના ઘરે અવારનવાર જતા. મિત્રો પ્રત્યે એમનું હૃદય અત્યંત પ્રેમાળ હતું, ક્યારેક કોઈને ખરાબ લાગે એવું બોલતા નહીં, કોઈની ઉપર નારાજ પણ થતા નહીં.

વિદ્વાન તરીકે માંકડસાહેબના વ્યક્તિત્વનું ધ્યાન ખેંચે એવું અન્ય પાસું એ હતું કે પોતે અંતર્મુખી હતા. યોગ્ય લાગે તો જ અને ત્યારે જ તે ચર્ચામાં ભાગ લેતા. જે કાંઈ જે વિશે બોલવાનું હોય તે લખીને તૈયાર કરીને લાવતા.

*   *   *

માંકડસાહેબે અધ્યાપક તરીકે રાજ્યશાસ્ત્રની એક મુખ્ય અંગભૂત શાખા રૂપે રાજકીય સિદ્ધાંત (Political Theory)ને અધ્યાપનકાર્યના ક્ષેત્ર તરીકે પસંદ કર્યું. ૧૮મી અને ૧૯મી સદીના રાજકીય ચિંતકો કાર્લ માર્ક્સ, મેક્સ વેબર ઉપરાંત આધુનિક રાજકીય ચિંતકો હેબર માસ, દેરિદા, ફૂકો, એડોર્નો વગેરેનો એમણે ઊંડાણથી તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેમના વિશે એમણે ગુજરાતીમાં સરળ ભાષામાં લેખો લખ્યા છે. જે કેટલાંક મુખપત્રો, વિચારપત્રો જેવાં કે ‘કુમાર’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘અર્થાત્’, ‘નિરીક્ષક’, ‘નયામાર્ગ’ વગેરેમાં પ્રસિદ્ધ થયા છે. એમણે મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ લીધું હોવાને કારણે અંગ્રેજી પર સારું પ્રભુત્વ ધરાવતા હતા. અંગ્રેજી શબ્દોના એમનાં ઉચ્ચારણો પણ સ્પષ્ટ અને અર્થના ભાવનું માધુર્ય રેલાવે એવા અવાજમાં વ્યક્ત થતાં.

પૉલિટિકલ સાયન્સ લેનારા વિદ્યાર્થીઓની ઘણી ઓછી સંખ્યા રહેતી હોવાથી માંકડસાહેબ એમની કૅબિનમાં જ લેક્ચર લેતા ! એક ધાર્યું સતત લેક્ચર આપવાના બદલે તે વિદ્યાર્થીઓ સાથે વિષય અંગેની ચર્ચાઓ ઊભી થાય એ માટે પ્રશ્નો પૂછતા. આ પ્રકારની અધ્યાપનપદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓ વિષયમાં interactive થાય, એવું એમનું વલણ હોવાને કારણે એમના મોટા ભાગના વિદ્યાર્થીઓ એમનો ઘણો જ આદર કરતા. આધુનિકતા અને અનુઆધુનિકતાનો એમને ઘણો ઊંડો અભ્યાસ હતો. રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં જે વર્તનલક્ષી behavioural approach આવ્યો, એમાં એમને અત્યંત દિલચસ્પી હતી.

રાજ્યશાસ્ત્રમાં મનુષ્યના વર્તનનો અભ્યાસ થવો જોઈએ જેથી કરીને પૉલિટિકલ સાયન્સનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે, એમ તેઓ માનતા. અભ્યાસ ક્ષેત્રે એમનું વિશેષ યોગદાન – Renaissance reformation – Age of enlightenment પ્રચુરતાનો યુગ)માં છે. જે એમનો અત્યંત રુચિકર વિષય હતો.

વિષયના અંતઃસ્તલમાં પ્રવેશી એને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોવા-તપાસવાની, સમયના પ્રત્યેક તબક્કામાં એની ગતિના સ્વરૂપને અને સ્થિતિને પોતે કેળવેલા Liberal Point of viewથી જોવા-સમજવાની, એનું પૂરા નીરક્ષરવિવેકથી વિશ્લેષણ કરીને મૂલવવાની, આ રીતે ભારેખમ ગણાતા વિષયને સરળ બનાવી ન્યાયપુરઃ સર – મુદ્દાસર શિષ્ટ છતાં ય સરળ ભાષામાં રજૂ કરવાની એમની વિશિષ્ટ પદ્ધતિ એમના લેખોમાંથી પસાર થતાં અનુભવાય છે.

*  *   * 

એમ.એસ.ડી.ની એક ગુરુવારની મિટિંગ સમાપ્ત થયા પછી હળવાશની પળોમાં વડીલો અને કેટલાક મિત્રો સાથેની ‘Age of enlightenment’ અંગેની ચર્ચા દરમિયાન માંકડસાહેબે મને કહ્યું હતું, ‘લોકશાહી, માનવહક્કો, સેક્યુલારિઝમ, રેશનાલિઝમ, જેવાં માનવમૂલ્યોનો જો કોઈ ઉદ્ગમસ્રોત હોય, તો તે Age of enlightenment છે. મેં સૂચન કર્યું ‘માંકડસાહેબ, આ વિશે તમારો અભ્યાસ છે, તો તે અંગે લખીને ક્યાંક મોકલવું જોઈએ.’ એમણે કહ્યું, ‘કુમાર’ના અંકોમાં આ વિશે મારા દસેક લેખોની લેખમાળા પ્રસિદ્ધ થઈ ચૂકી છે.’

મેં કહ્યું ‘આ તો સાહિત્યરસિકો અને સાહિત્યના અભ્યાસીઓ તરીકે, અમારા જેવાઓ માટે પણ ગરજનો વિષય છે. કારણ કે સમાજસુધારાની ચળવળનો સાહિત્ય ક્ષેત્રે સુધારાયુગ અમે ભણી ચૂક્યા છીએ, તેથી આ લેખોનું પુસ્તક પ્રસિદ્ધ થાય તો ઘણા માટે ઉપયોગી નીવડે.’ ‘મેહુલ ! તારી લાગણી અને એની અગત્યતા સમજી શકાય એમ છે, પરંતુ તે છાપે કોણ ?’ એમની આ શાબ્દિક પ્રતિક્રિયા સાથે સંકળાઈને ઊપસતા એમના ચહેરાના હાવભાવોમાંથી સંચારક્રાંતિ અને ટી.વી. મીડિયા તરફના અંધઆકર્ષણને કારણે નવી પેઢીમાં તથા પ્રજામાં ઘટી ગયેલી વાચન-અભ્યાસવૃત્તિ એના કારણે સારી ગુણવત્તાવાળાં પુસ્તકોના મુદ્રણ – પ્રકાશન બાબતે પ્રકાશકોની સ્વાભાવિક ઉદાસીનતા મને વંચાતી. એમાં પણ એમના આનંદી સ્વભાવ પ્રમાણે હળવાશનો રણકો તો હોય જ.

કથળતી જતી સાંપ્રત રાજકીય, સામાજિક સાંસ્કૃિતક પરિસ્થિતિઓ, જાહેર વ્યવસ્થામાં પ્રવર્તતી ઘોર સંકીર્ણતા, શૈક્ષણિક ક્ષેત્રે બગડવા માંડેલું વાતાવરણ વગેરે બાબતોએ એમની અંદર પડેલી નિરાશાનો પણ હળવાશભરી રમૂજમાં તે અવારનવાર વ્યક્ત કરતા. થોડાંક વર્ષો પહેલાં વાહનચાલકો માટે ફરજિયાત હેલમેટનો નિયમ અમલી બનનાર હતો. એનાથી પબ્લિકને થનારી પરેશાની અને આ નિયમની અયોગ્યતા અંગે અમારા બધાની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે એમણે માથા પર હાથ ફેરવી રમૂજમાં કહ્યું, ‘મને ક્યાંક ટ્રાફિકપોલીસ હેલમેટ વિના પકડશે, તો હું કહીશ આ રહી હેલમેટ. મારા માથામાં જે ટાલ પડી છે, એનો આકાર હેલમેટ જેવો છે.’

ઉંમરને કારણે કોઈ ને કોઈ શારીરિક નબળાઈ અંગે અમુક વાર એમ.એસ.ડી.ની બેઠક પૂરી થયા પછી વાતચીત વખતે તે પોતાની શારીરિક સ્થિતિ વિશે હળવાશમાં કહેતા : મનમાં જરા ય કશા યનો ભાર રાખ્યા વિના જ જીવવું જોઈએ. આ વર્ષે મેં ડાયાબિટીસની ૧૪મી વર્ષગાંઠ ઊજવી છે.

માંકડસાહેબની બીજી વિશેષ ઓળખ તે સંગીતના કલાકાર અને મર્મજ્ઞ તરીકેની સપ્તક સ્કૂલ ઑફ મ્યુિઝકના સંસ્થાપક નંદન મહેતા પાસે એમણે સંગીતની તાલીમ લીધી હતી. સરોદ અને તબલાવાદન બંને ય તે ત્યાં શીખ્યા હતા. નંદન મહેતા સાથે સારા સંબંધો હોવાથી એક સમયે તે રોજ રાત્રે સંગીતના કાર્યક્રમમાં સહયોગ આપવા ‘સપ્તક’માં જતા. અવારનવાર એમણે મોટા ગજાના સંગીતકારો સાથે તબલા પર સંગત આપી હતી. એક સંગીત-કાર્યક્રમમાં લાબા સમય સુધી તબલાવાદન કરવાને કારણે એમના હાથે કંપનની નબળાઈ આવવાને લીધે પછીથી એમણે તબલાંવાદન બિલકુલ છોડી દીધું હતું. ૨૦૦૪માં પહેલી ટર્મ પૂરી થયા પછી માંકડસાહેબ અધ્યાપક તરીકે સમાજવિદ્યાભવનમાંથી નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ પોતાના મનગમતા વિષય અંગેનો સ્વાધ્યાય ચાલુ રહ્યો. આંગળીઓની તકલીફ હોવાથી તે લખી શકતા નહીં. પરંતુ અભ્યાસપેપર કમ્પ્યૂટર પર કંપોઝ કરીને રજૂ કરતા. લગભગ ૨૦૦૯-૧૦માં  એમણે એમ.એસ.ડી. બેઠકમાં પોતાનું ‘અમેરિકા સંપૂર્ણ સલામતી માટેની ખોજ’ વિશે પોતાનું અભ્યાસપેપર રજૂ કર્યું, જે એમ.એસ.ડી. તરફથી યોજાયેલું એમનું અંતિમ અભ્યાસપેપર હતું. પછીથી તે ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રસિદ્ધ થયું હતું. પછીના વર્ષથી એમ.એસ.ડી.માં આવવાનું એમનું ઓછું થઈ ગયું. લાગતાવળગતા મિત્રો-વડીલો પાસેથી તબિયત અવારનવાર બગડતી હોવાના સમાચાર મળતા.

કૅન્સરની બીમારી અને તેના ઑપરેશન વખતે લિવરનો કેટલોક ભાગ કાપી નંખાયો હોવાના સમાચાર મળતાં હું ચોંકી ઉઠ્યો. ‘માંકડસાહેબ આપણી વચ્ચે નથી’ સાંભળીને મને ભારે આંચકો લાગ્યો. મને ક્યાં કલ્પના હતી કે એમની તબિયત અંગે જ્યારે દિનેશભાઈ મને જણાવતા હતા (૧૦-૭) ત્યારે એમના જીવનના થોડાક દિવસો જ નહીં, થોડાક કલાકો જ બાકી હતા. કદાચ કોઈને પણ કલ્પના નહીં હોય. ગુજરાતની વિચારશીલ સૃષ્ટિમાં enlightnementનો અવારનવાર અવનવો ઉજાસ ફેલાવનાર એક તેજોમય દીપક હંમેશ માટે બુઝાઈ ગયો, જેની પ્રભાવક જ્યોત અનેકોના સંવિત્ માં ચિરંજીવ રહેશે. જેણે જીવનના સૂરતાલ સાથે સંગીતના સૂરતાલની ભાવોત્કટ સંગતિ રચીને કલાના માધ્યમ દ્વારા જીવનનાં અર્થઘટનો પામવા અને સૌને પમાડવાના પ્રયાસો કર્યા. તો બીજી તરફ રાજકીય સિદ્ધાંતો અને તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં સતત ગળાડૂબ રહી જીવન અને જગત નવા વિચારોની દૃષ્ટિથી જોવા-સમજવાની અધ્યાપક તરીકે નવી પેઢીને શીખ પૂરી પાડી.

આ બંને ક્ષેત્રોનો ભારે બોજ ઉપાડતા રહીને પણ એની સિદ્ધિઓનો કશો ભાર રાખ્યા વિના મિત્રભાવે હળવાશથી સૌની સાથે ભળતા સૌને મળતા મૈત્રી ભૂખ્યા વિચારશીલ મૂલ્યનિષ્ઠ એવા બૌદ્ધિક વિદ્વાન મારા-આપણા જેવા સૌને માટે હંમેશાં ચિર-સ્મરણીય રહેશે.

૧૪૮૮, મહાદેવનો ખાંચો, મામુનાયકની પોળ, કાલુપુર, અમદાવાદ – 380 001

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.15-16

Loading

કિવિસ બ્રિટાનિક્સ સુમ : ભાંગ્યું ભાંગ્યું તો ય બ્રિટન

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 October 2014

સ્કોટલેન્ડ બ્રિટનથી અલગ થવું જોઇએ કે નહીં તે અંગે બી.બી.સી. પર પંડિતોની બહસ ચાલતી હતી તે જોઈને ગાર્ડિયન સમાચારપત્રના એક પત્રકારને ભારતના લેખક નિરદ ચૌધરીની ગેરહાજરી સાલી હતી. એમને ભારત કરતાં બ્રિટિશ સામ્રાજ્યમાં વધુ વિશ્વાસ હતો, અને એ કહેતા હતા કે જાહીલ ભારતીયોને સભ્ય બનાવવાનું શ્રેય બ્રિટિશરોને જાય છે.

બી.બી.સી.ની બહસ સ્વતંત્ર સ્કોટલેન્ડના હિમાયતી એલેક્સ સાલ્મન્ડ અને સત્તાધીશ લેબર પાર્ટીના એલિસ્ટર ડાર્લિંગ વચ્ચે હતી. પેલા પત્રકારને અફસોસ થયો કે 300 વર્ષના ઇતિહાસમાં બ્રિટને સ્કોટલેન્ડને સામાજિક, સાંસ્કૃિતક અને ટેક્નોલોજિકલ જે ઓળખ આપી છે તેનો સરખી રીતે બચાવ પેલા સાંસદ કરી ન શક્યા. પત્રકાર લખે છે કે મને આ વખતે નિરદ ચૌધરી યાદ આવ્યા. વિશેષ કરીને નિરદ ચૌધરીના એ શબ્દો જેના કારણે ભારતમાં એમની બદનામીને ચાર ચાંદ લાગી ગયા હતા : કિવિસ બ્રિટાનિક્સ સુમ … Civis Britannics Sum.

નિરદચંદ્ર ચૌધરીનું નામ ભારત વિરોધીઓની યાદીમાં સૌથી ઉપર, પ્રથમ નંબરે આવે છે. ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન, કોન્ટિનેંટ ઓફ સર્સે અને પેસેજ ટુ ઇન્ડિયા જેવી બહેતરીન કિતાબો બદલ પશ્ચિમમાં નિરદ ચૌધરીની ભરપૂર સરાહના થયેલી, પરંતુ એમના કથિત ભારત-વિરોધી વિચારોના કારણે ભારતમાં એમનું નામ ખોવાઈ ગયેલું.

નિરદ ચૌધરી હાલ બાંગ્લાદેશના કિશનગંજમાં જન્મેલા અને કોલકાતામાં ભણીને સામયિક સંપાદક બનેલા. રાજકીય લેખો લખવાના કારણે એ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ સરતચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા અને બોઝના સચિવ હોવાના નાતે ગાંધી, નેહરુ અને સુભાષબાબુ જેવા નેતાઓ સુધી પહોંચેલા. તે સમયની ભારતીય રાજનીતિની આંતરિક ગતિવિધિઓથી માહિતગાર થયા બાદ નિરદ ચૌધરીનું ભ્રમ નિરસણ થવા લાગેલું અને એમનો બ્રિટિશ પ્રેમ વધવા લાગેલો.

આ નિરદ ચૌધરીએ 1951માં ધ ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન નામની આત્મકથા લખી હતી. નિરદબાબુએ એમાં એમની જીવનકથા ઉપરાંત એમનો બૌદ્ધિક વિકાસ કેવી રીતે થયો તેની કહાની પણ લખેલી અને એ દરમિયાન એમણે એનું શ્રેય બ્રિટિશરોને આપેલું. તત્કાલીન બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સન્ટ ચર્ચિલે આ કિતાબને એમના જીવનની ‘વન ઓફ ધ બેસ્ટ’ ગણાવેલી.

એ વખતે ભારતીય સમચારપત્રો સ્વદેશી ચળવળના જુસ્સામાં હતાં અને અંગ્રેજ માલિકીના ધ સ્ટેટ્સમેનને બાદ કરતાં તમામ પત્રોએ આ આત્મકથાનો ભરપૂર વિરોધ કરેલો. ભારત સ્વતંત્ર થયું તેના ચાર જ વર્ષમાં આ કિતાબ આવેલી અને ભારતને સ્વ-શાસનના પાટા પર ચઢાવવા મથી રહેલા પ્રધાનમંત્રી નેહરુ નિરદ ચૌધરી પર ભડકી ગયેલા. નેહરુએ નિરદબાબુને પત્ર લખીને સલાહ આપેલી કે અગર તેમને ભારતીય લોકો પર વિશ્વાસ ન હોય તો બીજે ક્યાંક જતા રહેવું જોઈએ. નિરદબાબુ 1970માં ભારત છોડીને બ્રિટનના ઓક્સફર્ડમાં વસી ગયેલા અને 101 વર્ષની વયે 1999માં ત્યાં જ મરી ગયેલા.

એમની આત્મકથામાં એમણે અંગ્રેજ સમાજના ભરપેટ વખાણ તો કરેલા જ, બાકી હોય તેમ પૂરી આત્મકથા ય અંગ્રેજ સામ્રાજ્યને અર્પણ કરેલી. ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ વિધાન આ સમર્પણમાં જ આવે છે. નિરદબાબુ આત્મકથાના ઊઘડતા પાને લખે છે : ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યની યાદમાં અર્પણ, જેણે પ્રતિષ્ઠા આપી પણ નાગરિત્વ ન આવ્યું અને આપણે સૌએ ચીલ્લાઈને કહ્યું, કિવિસ બ્રિટાનિક્સ સુમ. કારણ કે આપણી અંદર જે ઉચિત હતું તેને આ જ બ્રિટશ શાસને પેદા કર્યું હતું, એને આકાર અને ગતિ અાપી હતી.

કિવિસ બ્રિટાનિક્સ સુમ એટલે ‘હું બ્રિટિશ નાગરિક છું.’ મૂળ આ લેટિન વિધાન ‘કિવિસ રોમાનુસ સુમ’નું અંગ્રેજીકરણ છે, જે ઇશુપૂર્વે 106મી સદીના રોમન ચિંતક સિસરોએ ગેરરીતિઓ વિરોધી ભાષણોમાં રોમન સામ્રાજ્યના નાગરિક હોવાનો પુર્નોચ્ચાર કરતી વખતે કહ્યું હતું. ન્યુ ટેસ્ટામેન્ટમાં પોલ ધ એપોસ્ટલ સીઝરના  દરબારમાં એની નિર્દોષતા પુરવાર કરવા આ વિધાન બોલે છે.

1850માં ડોન પેસિફિકો નામના બ્રિટિશ વેપારીને એથેન્સમાં રંજાડવામાં આવ્યો ત્યારે ગ્રીસને પાઠ ભણાવવા માટે બ્રિટિશ સંસદમાં અપીલ કરનાર લોર્ડ પાલ્મરસ્ટને ‘કિવિસ બ્રિટાનિક્સ સુમ’ સૂત્ર આપ્યું હતું. તેણે કહ્યું હતું કે જેમ રોમન સામ્રાજ્ય એના રોમન નાગરિકોનું સંરક્ષણ કરતું હતું તેમ વિશ્વના તમામ ‘બ્રિટિશ સબ્જેક્ટ’(બ્રિટિશ સામ્રાજ્યમાં જન્મેલા)નું રક્ષણ કરવાની ફરજ બ્રિટિશ સરકારની છે. 1963માં સોવિયત સંઘની મદદથી ઇસ્ટ જર્મનીએ બર્લિન વોલ ચણી દીધી ત્યારે વેસ્ટ જર્મનીના સમર્થનમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ જ્હોન ઓફ કેનેડીએ કહેલું, ‘બે હજાર વર્ષ પહેલાં અભિમાનથી એક સૂર ગુંજ્યો હતો : કિવિસ રોમાનુસ સુમ. આજે દુનિયા આઝાદ છે અને અભિમાનનો મંત્ર છે : ઇચ બીન ઇન બર્લિન. દુનિયાના દરેક સ્વતંત્ર માણસ બર્લિનનો નાગરિક છે. મને આ કહેતાં ગૌરવ થાય છે, ઇચ બીન ઇન બર્લિન … હું બર્લિનનો નાગરિક છું.’

19મી સપ્ટેમ્બરે જ્યારે ભારતમાં સૂર્યોદય થયો ત્યારે નિરદ ચૌધરીના ‘વતન’ બ્રિટનના ટુકડા થતા રહી ગયા. એ દિવસે 55 પ્રતિશત સ્કોટિશ નાગરિકોએ સ્કોટલેન્ડને બ્રિટનથી સ્વતંત્ર થવાનો ઇન્કાર કરી દીધો. સ્કોટલેન્ડમાં જનમત સંગ્રહની બહસ ચાલતી હતી ત્યારે પેલા પત્રકારની જેમ ઘણા બ્રિટિશરોને નિરદ ચૌધરી જેવા કટ્ટર સમર્થકોની ગેરહાજરી સાલી હતી. પરંતુ બહુમતી સ્કોટિશ લોકોએ જ પુનરુચ્ચાર કર્યો, કિવિસ બ્રિટાનિક્સ સુમ.

દુનિયાના સૌથી જૂના પ્રદેશોમાં સ્કોટલેન્ડનો સમાવેશ થાય છે. 50 લાખની આબાદીવાળો આ પ્રદેશ 300 વર્ષ પહેલાં બ્રિટનનો હિસ્સો બન્યો તેના 800થી પણ વધુ વર્ષથી આઝાદ દેશ હતો. 18મી સદીમાં બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે સ્કોટલેન્ડ દુશ્મન સાથે હાથ ના મિલાવી દે તે માટે બ્રિટને સ્કોટલેન્ડનો વેપાર રોકી રાખ્યો હતો અને આ રોક ત્યાં સુધી જારી રહી જ્યાં સુધી સ્કોટલેન્ડ બ્રિટનમાં ભળી જવા રાજી ન થયું.

બ્રિટિશ હકૂમત ભારતના આઝાદી આંદોલન સામે ઝૂકી રહી હતી ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે, ‘સત્તા આવારા, નીચ અને ડાકુઓના હાથમાં જતી રહેશે. ભારતના નેતા કમ ક્ષમતાવાળા નક્કામા લોકો હશે. સત્તા માટે એ આપસમાં લડશે અને ભારત રાજનૈતિક ઝઘડામાં ખોવાઈ જશે. એક દિવસ એવો આવશે જ્યારે ભારતમાં હવા અને પાણી પર પણ ટેક્સ લાગશે.’

ભારતમાં તો આવું કશું થયું નહીં પરંતુ બ્રિટનના ખુદના આંગણે કંઈક આવું જ થવાનું હતું. સ્કોટલેન્ડે આર્થિક કારણોસર બ્રિટનથી અલગ થવાનો ઇન્કાર કરી દીધો છે. હેરી પોટરની કિતાબો લખનાર જે. કે. રોલિંગ જે સ્કોટલેન્ડની છે તેણે કહ્યું હતું કે ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે સ્કોટલેન્ડે બ્રિટન સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. અર્થશાસ્ત્રના ઇતિહાસ સાથે સ્કોટલેન્ડનો સંબંધ જૂનો છે. મહાન અર્થશાસ્ત્રી ડેવિડ હ્યુમન સ્કોટિશ હતો. પ્રથમ જોઇન્ટ-સ્કોટ કોમર્શિયલ બેન્ક સ્કોટલેન્ડમાં સ્થપાઈ હતી અને તેમાંથી જ ગ્લોબલ અર્થવ્યવસ્થા આવી હતી.

નિરદબાબુ જીવતા હોત તો બ્રિટન સાથે જોડાયેલા રહેવાના સ્કોટલેન્ડના નિર્ણયની એમણે સરાહના કરી હોત? નિરદબાબુ સંસ્કૃિત અને સભ્યતાના માણસ હતા. તેમણે બ્રિટિશ શાસકોના જુલમની ટીકા કરી હતી પરંતુ એક સંસ્કૃિત તરીકે ગોરા સામ્રાજ્યનાં વખાણ કર્યાં હતાં. બ્રિટિશ સામ્રાજ્યની પડતી એમણે જોઈ હતી અને પાછલાં વર્ષોમાં એ ઇંગ્લેન્ડને ‘ફાઉલ ફ્રેન્ડ’ (દૂષિત દોસ્ત) ગણતા હતા. તેઓ કહેતા હતા કે એક જમાનાના આર્થિક અને રાજનૈતિક તાકાત ગણાતા બ્રિટનની પડતી જોઈને એમને અફસોસ થાય છે.

બે વર્ષ પહેલાં અલગ સ્કોટલેન્ડની માગણી ઊઠી ત્યારથી એક પ્રશ્ન પુછાતો હતો કે બ્રિટિશ સંસ્કૃિત એના પતનના આરે છે? એક્ચુઅલી, બ્રિટનની સાંસ્કૃિતક, આર્થિક કે રાજકીય પ્રાસંગિકતા એવી રીતે ખતમ થઈ ગઈ છે જેવી રીતે ધુંઆધાર લેખકો વચ્ચે નિરદ ચૌધરીની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. બ્રિટિશ રાજનું ભારતમાં પતન થયું ત્યારે નિરદ ચૌધરીએ કહ્યું હતું કે બ્રિટિશ લોકોને પોતાના જ સામ્રાજ્યમાંથી વિશ્વાસ ઊડી ગયો છે.

ભાંગ્યા ભાંગ્યા તો ય બ્રિટન સાથે રહેવાનો સ્કોટલેન્ડના નિર્ણયથી બ્રિટનને કોઈ તસલ્લી મળી હોય તે શક્ય નથી. ગાર્ડિયનના પેલા પત્રકારને જેને નિરદ ચૌધરીની ખોટ સાલી હતી તેણે જનમત સંગ્રહના પરિણામ પછી લખ્યું હતું, ‘મને હતું કે લોકો ‘હા’માં મત આપશે. પણ સ્કોટલેન્ડે બ્રિટનને ફાળ પડાવી દીધી એ સારું થયું.’

સૌજન્ય : ‘સન્નડે’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”, 28 સપ્ટેમ્બર 2014

Loading

ચિંતનનો ચંદરવો : સંવેદના, નિષ્ઠા અને અભ્યાસનો સુભગ સમન્વય

ગિરીશ પટેલ|Opinion - Opinion|4 October 2014

પ્રોફેસર રોહિત શુક્લનું આ પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’ વાંચતાં મને એક જૂનું કાર્ટૂન યાદ આવ્યું. ઝાડ પર વાંદરાંઓ બેઠાં હતાં અને નીચે માણસો બેઠા હતા. માણસો ચર્ચા કરતા હતા કે આ વાંદરાંઓ આપણા પૂર્વજો કેવી રીતે હોઈ શકે? ક્યાં આપણે અને ક્યાં આ વાંદરાંઓ! ત્યારે બીજી બાજુએ વાંદરાંઓ અંદર-અંદર ધીમે ધીમેથી વાતો કરતાં હતાં, “આ માણસજાત આપણા વંશજો કેવી રીતે હોઈ શકે ?”

એક બાજુ માણસ પોતાની જાતને અત્યંત બુદ્ધિશાળી સમજે છે અને પોતાની બુદ્ધિથી એક નવી દુનિયા બનાવવાનો દાવો કરે છે, પરંતુ ખરેખર તો આ જ માણસ પોતાની સમગ્ર જાતનું નિકંદન કાઢવા બેઠો છે. અને સાથે-સાથે સમગ્ર જગતનો નાશ કરવાની દિશામાં દોટ મૂકી રહ્યો છે. આ જ વાત લેખકે આ પુસ્તકમાં વાંદરાઓ વચ્ચેના સંવાદમાં બહુ જ સુંદર રીતે રજૂ કરી છે. મને લાગે છે કે માણસજાતની ગંભીર સમસ્યાઓની આવી સહજ અને સંવેદનશીલ ચર્ચા માત્ર વાંદરાંઓ જ કરી શકે, માણસ નહિ. અને એટલે જ લેખકે આ માધ્યમ પસંદ કર્યું છે.

સો પાનના આ નાના પુસ્તકમાં રોહિતભાઈએ જગતના રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃિતક અને વૈશ્વિક જેવા વિરાટ પ્રશ્નો ઊભા કર્યા છે અને તેના જવાબો શોધવાની દિશા પણ બતાવી છે. લોકશાહી, ફાસીવાદ, સામ્રાજ્યવાદ, મૂડીવાદ, સ્વતંત્રતા, સમાનતા, ચૂંટણી, કન્ઝ્યુમરિઝમ, યુદ્ધો અને જુલમો, મુક્તબજાર અને કલ્યાણકારી રાજ્ય, સ્ત્રીઓ ઉપરના જુલમો, ગરીબી અને શોષણ, પર્યાવરણ, શહેરો અને ગામડાંઓ – કોઈ જ પ્રશ્ન બાકી રાખ્યો નથી; અને એ પણ કેટલી સુંદર અને સરળતાથી ચર્ચ્યા છે !

દુનિયામાં ચારેબાજુ શાસનકર્તાઓ લોકશાહીની બાંગો પુકારે છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટાઈ તો લોકશાહીનો વિજય, બીજી ચૂંટાઈ તો વોટબૅંક – Vote Bank અને ગોટાળાની વાતો ! સરમુખત્યારશાહી અને આપખુદ દેશોને ટેકો આપીને અમેરિકા દુનિયામાં  લોકશાહી સ્થાપવા માગે છે. અને આ લોકશાહી માટે બીજાં રાજ્યોની સરકારો તોડવાનું તાંડવ ચલાવે છે, ત્યારે લેખકે વેધક સવાલ ઊભો કર્યો છે –

‘લોકશાહી એટલે લોકોનું રાજ્ય. પણ આ લોકો  એટલે કોણ ?’ આ લોકશાહીમાં લોકોનું રાજ્ય હોય છે ખરું ? ચૂંટણી માટે લોકો, પરંતુ ચૂંટાયા પછી લોકોની ઐસીતૈસી ! પછી તો સરકાર એ જ લોકશાહી. લેખક સરસ લખે છે – ‘એક વાર તમે મત આપો અને પાંચ વરસ સૂઈ રહો. જો જાગો તો ખબરદાર. તમને મારા સમ. લોકાયુક્ત અને લોકપાલ, આશારામ કે એશ્શારામ, મચ્છરની ફૅક્ટરી જેવાં ખાબોચિયાં કે દોજખ જેવી જિંદગી જીવનારા એંશી કે સો કરોડ ભારતવાસી, કોઈને યાદમાં પણ બરકવાના નહીં. બસ એક વાર સત્તાની વરમાળા લઈને હાથણી કળશ ઢોળે પછી જોઈ લો મજા.’

એકવીસમી સદીનો આ ગહન પ્રશ્ન છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણી જ કે ચૂંટાયેલી સરકાર કે પાર્લામેન્ટ જ નહીં, પરંતુ લોકોની ભાગીદારીવાળું શાસન. જ્યાં લોકો સક્રિય નાગરિકો હોય, જ્યાં પ્રજાના પ્રશ્નો વિશે સતત સંવાદ, વિચાર-વિનિમય, ચર્ચા અને વિવાદો જીવંત રીતે ચાલતાં હોય, જ્યાં દરેક નીતિની બારીકાઈથી તપાસણી થાય અને જ્યાં લોકોનો અવાજ છેક ઉપર સુધી સંભળાતો હોય. પરંતુ આ શક્ય કેવી રીતે અને ક્યારે બને ? ભૂખ્યા-તરસ્યા માણસો પોતાની ભૂખની કે તરસની ચિંતા કરે કે સમાજના પ્રશ્નોની ચિંતા કરે ? રોજી-રોટી માટે ઝઝૂમતો માણસ દેશની આર્થિક નીતિની ચિંતા ક્યારે કરે ? પોતાના પ્રશ્નોની સભાનતા હોવા છતાં એક નિરક્ષર પુરુષ કે સ્ત્રી કહેવાતા ભણેલાઓ વચ્ચે શું સંવાદ કરી શકે ? ગરીબી અને અસમાનતા સાચી લોકશાહીના દુશ્મન છે. જ્યાં સુધી આ ગરીબી અને અસમાનતા નાબૂદ ન કરવામાં આવે, ત્યાં સુધી લોકોની ભાગીદારીવાળી લોકશાહી સ્થાપી શકાશે નહિ. પરંતુ આ ગરીબી, અસમાનતા દૂર કોણ કરશે ? ઉપરથી કોઈ પયગંબર કે મસીહા તો નહિ આવે. ક્રાંતિ કે સંક્રાંતિ, હિંસા કે અહિંસા, એકહથ્થુ શાસન કે લોકશાહી માળખું; આ પ્રશ્ન હજુ અનુત્તર જ રહ્યો છે.

ચારેબાજુથી આનો એક જ જવાબ સંભળાય છે – ‘વિકાસ’. લેખક પૂછે છે –

આ વિકાસ એટલે શું ? માત્ર આર્થિક વિકાસ ? માત્ર જી.ડી.પી.માં વધારો ? અમેરિકાની જી.ડી.પી. તો સૌથી વધારે છે, છતાં ત્યાં ગરીબી, બેઘરપણું, બેકારી, અસમાનતા, અધૂરું શિક્ષણ વગેરે વ્યાપક છે. કાળા કહેવાતા લોકો પરનો અત્યાચાર, ભ્રષ્ટાચાર, હિંસા, વગેરેનું શું ? પોતાનું જીવનધોરણ ટકાવી રાખવા માટે સવારથી સાંજ સુધી દોડમદોડ કરતા લાખો લોકોના આનંદનું શું ? શાંતિનું શું ? વિકાસની ભ્રામક દોડમાં આપણે પણ રસ્તાઓ, ફ્લાયઓવરો અને અન્ડરબ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ અને કાંકરિયા, મોટી-મોટી ઇમારતો અને આલીશાન હોટલો અને સામે ઝૂંપડપટ્ટીમાં અને ફૂટપાથ પર રહેતાં હજારો કુટુંબો, રસ્તામાં ભીખ માંગતાં નાનાં, કુમળાં ગરીબ બાળકો, આમથી તેમ ભાગમભાગ કરતા ફેરિયાઓ, ગાડાં ખેંચતી વૃદ્ધ સ્ત્રીઓ, ખખડી ગયેલી મ્યુિનસિપલ પ્રાથમિક શાળાઓ, છેલ્લામાં છેલ્લી ટેક્નોલૉજીથી અભ્યાસ કરતા, કહેવાતી ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શાળાઓના, ગાડીઓવાળા વિદ્યાર્થીઓ અને સામે સ્લેટ-પેનથી ભણતાં અભ્યાસવાંચ્છું ગરીબ બાળકો, મોટા-મોટા મોલો સામે ઝઝૂમતા ફેરિયાઓ-નાના દુકાનદારો, શું આને આપણો વિકાસ કહીશું ? આ શું તમારું ‘ગુજરાત મોડેલ’ છે ?

કહેવાતા વિકાસની રોહિતભાઈએ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે. સાચો વિકાસ અને ખરી પ્રગતિ આપણે કોને કહીશું ? આ સવાલ આપણા જેવા દેશો માટે ઘણો અગત્યનો છે. માત્ર નકામી વસ્તુઓ પેદા કરનારો અને માનવીને માત્ર consumer બનાવનાર અમેરિકન મૂડીવાદ અને આવા જ ખોટા રસ્તે ગયેલો રશિયન સામ્યવાદ અને ચીની સમાજવાદ આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકશે ? ત્યારે કરીશું શું ? માત્ર ગાંધીવાદ તરફ આંગળી ચીંધીને બેસી શકાશે નહીં. દરેક માનવીનું સાચું સુખ શેમાં છે, તે વિશે ઊંડો વિચાર કરવો પડશે. માણસની મૂળભૂત જરૂરિયાત કેન્દ્રમાં હોવી જોઈએ. તેને સંતોષવાની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે. તે પદ્ધતિ માણસના મૂળભૂત સ્વભાવો અને સમાજ અને કુદરત વચ્ચે સુમેળ કરનારી હોવી જોઈએ. ઈવાન ઈલીચે કહ્યું છે કે આપણો સવાલ મૂળ જરૂરિયાતો અને તેને સંતોષવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની પદ્ધતિ બંનેને સમરૂપ ગણવાનો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવાની માણસની મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ તેને માટે ખાનગી મોટરકારો જ હોવી જરૂરી નથી. રહેવા માટે ઘર જોઈએ, પરંતુ તે air-condition અને ઇલેક્ટ્રિક લાઇટોવાળું હોય તે જરૂરી નથી. નર્મદા બચાવો આંદોલન મુદ્દે મુંબઈમાં સચિવાલય સમક્ષ ધરણાં વખતે એક આદિવાસીએ પ્રશ્ન ઊભો કરેલો : ‘ગિરીશભાઈ, દરિયાની સામે આટલી હવા હોવા છતાં અને સૂરજનો પ્રકાશ હોવા છતાં આ ઊંચાં-ઊંચાં બિલ્ડિંગોમાં ધોળા દિવસે અંદર લાઇટો ચાલુ છે અને બારીઓ બંધ છે, તેવું કેમ ?’ અમારા મિત્રે જવાબ આપેલો કે આને આધુનિક મકાનો કહેવાય અને આવાં આધુનિક મકાનો માટે જોઈતી વીજળી તો તમારાં મકાનો ને ખેતરો ડુબાડીને બંધોમાંથી લાવવાની છે. આને વિકાસ અને પ્રગતિ કહેવાય. આદિવાસીએ પૂછ્યું કે આ વિકાસ અને પ્રગતિ અમારા ભોગે કેમ ? આનો જવાબ તો આપણે જ શોધવો પડશે.

પણ આવા પ્રશ્નો તો રોહિતભાઈએ ઠેર-ઠેર ઊભા કર્યા છે ઃ

‘તમારે વર્તમાન જોઈએ છે, પણ ભવિષ્ય શું ?’ ‘મને કહો તો ખરા કે અમે સાત પેઢીથી ગરીબના ગરીબ કેમ રહ્યા ?’ ‘અને તમારાં આટઆટલાં બજેટડાં અને યોજનાઓના ગુબ્બારા પછી પણ આવું કેમ ?’ ‘એ તો જરા કહો કે આ દેશમાં સૌ કોઈને ગરીબ બનાવી દેવામાં કેટલી યોજનાઓની જરૂર પડશે ?’ ‘જગતમાં સુખી થવાના કારસાની પાછળ શોષણ, છેતરપિંડી અને નાઇન્સાફી જ શા માટે હોવાં જોઈએ ?’

દિલ્હીમાં એક ભણેલીગણેલી યુવતી ઉપર થયેલા બળાત્કાર અને તેના મૃત્યુથી હાલી ઊઠેલા સમાજને લેખક પૂછે છે,

‘મને કહો તો વર્ષ ૨૦૦૨માં જે ભયાનકતાઓ બની, ત્યારે સમગ્ર દેશના આ બધા લોકોના વલોપાતો ક્યાં હતા ? કૌસરબી વખતે પણ મારા આ ભવ્ય અને મહાન ભારતદેશનો આત્મા ન જ જાગ્યો. પાટણમાં ભણતી વિદ્યાર્થિની વખતે પણ આ દેશ ના જ જાગ્યો. મારા બાપ ! પેલી લઘુમતીની સ્ત્રીઓ, પાટણની દલિત કન્યા કે ગુના આચરનારાની બેગુનાહ પત્ની પણ થયેલા અત્યાચાર વખતે પણ મારા આ મહાન દેશની આવી સંવેદના કેમ પ્રગટી નહીં ?’

‘તારા આ આર્થિક વિકાસલક્ષી ભેજામાં ક્યારેક કોઈ નિર્ભેળ આનંદ નામના પંખીએ ટહુકો કર્યો છે ? અલ્યા, તને બધે રૂપિયા ભળાય છે, પણ જીવનનો સંતોષ અને આનંદ શું ચીજ છે, તેની તને ભનક પણ કદી આવે છે ખરી ?’

આ બધા પ્રશ્નોના જવાબો માણસોએ ખુદ આપવાના છે, એમ કહેતા લેખક કહે છે,

‘જો ભાઈ, ચિત્રગુપ્તનું અસ્તિત્વ હોય પણ ખરું અને કદાચ ના પણ હોય. તારાં ને મારાં આ જન્મોનાં કર્મોના વહીવંચા લખાતા હોય કે ના પણ લખાતા હોય, પણ યાદ રાખજે, એક સતત ફરતા રેંટિયા જેવો વહીવંચો તારી અને મારી અંદર ગુંજતો જ રહે છે. એ તને હંમેશાં એટલું જ પૂછે છે – ‘આ પાર કે પેલી પાર ?’ જ્યારે રણમેદાનમાં બૂંગિયો બજ્યો ત્યારે તમે ક્યાં હતા – રણમાં કે રાણીવાસમાં ? તારે જ તારી જાતને પૂછવાનું છે અને જવાબ પણ તારે જ આપવાનો છે – જ્યારે સત્તાખોરી, શોષણ અને છેતરપિંડીનો ઘટાટોપ જામ્યો છે, ત્યારે તને મદીબા, ગાંધી કે માર્ટિન લ્યુથર કિંગ ભળાય છે ? તને ઝૂંપડામાં ઠલવાતા લોકો, પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની સુવિધાઓથી પણ વંચિત અને ગામ-ખેતર-ગોચર ગુમાવતા લોકોને બદલે વિકાસ નામનો કોઈ ઢૂંઢિયો રાક્ષસ તો નથી દેખાતોને? તારા વંશજો માટે તારે કેવું જગત મૂકી જવું છે, તે તારે જ નક્કી કરવાનું છે. આટલું તો કરીશને ?’

આ પડકાર આપણે જ ઝીલવાનો છે.

હાલના આ કહેવાતા ‘વિકાસ’ વિશે સવાલો ઊભા કરનારાઓને વિકાસવિરોધી તરીકે બદનામ કરવામાં આવે છે. સવાલ માત્ર એટલો જ છે ‘વિકાસ’ કોનો ? માનવીનો કે માત્ર સાધનોનો ? આ પ્રશ્ન વિકાસનો નથી, પણ વિકાસના ફોકસનો છે. લેખક સચોટ જવાબ આપ્યો છે –

‘જો આ બી.આર.ટી.એસ. અને રિવરફ્રન્ટ તારી નજરે ચઢે છે અને તારા મગજના કૅમેરામાં આ દૃશ્ય ઉપર ‘વિકાસ’ એવું લેબલ ચીપકી જાય છે. મને તારો કૅમેરા ક્યાં ફરે છે તેની ખાસ ચિંતા નથી. મારી ચિંતા તો એ છે કે તારા કૅમેરાનું ફોક્સ રોળાઈ ટોળાઈ જાય છે. તું વિકાસ નામના દૃશ્યમાં ચીજવસ્તુઓ અને સડકો કે મોટરગાડીઓ ઉપર ફોકસ કરે, ત્યારે પેલો રોળાઈ જતા માણસની મને ફિકર થાય જ છે. એક પેલો ગાંધીબાપુ નીકળ્યો હતો. તેણે દીધેલું તાવીજ મારી કને છે. જોઈએ તો તને બાંધું. એણે કહેલું – બેટા મૂંઝાય ત્યારે આને ચપટી ઘસી જોજે. તેમાંથી જે હવા નીકળે તેને પૂછજે – પેલો ગાંધીનો ગરીબ ક્યાં છે ? તેને જે રાંકડો, રોળાયેલો, ડરેલો અને સંકોચાયેલો ચહેરો મળે, તેને તારા વિકાસનું નૈવેદ્ય ધરાવજે. જો એ તારું નૈવેદ્ય આરોગે તો તારું સાચું માનજે, નહિ તો તેના સામે ય જોતો નહિ, ‘હિંદ સ્વરાજ’ માણસની ઉપર ફોકસ કરેલા કૅમેરામાંથી નીકળતા વિકાસની વાત કરે છે. તે તારા ‘બ્રેટનવુડ્ઝના’ – વિશ્વબૅંક અને નાણાભંડોળના કલ્પેલા વિકાસની પરીકથા કથતો નથી.’

અહીં મને જૂના જમાનાની એક જોક યાદ આવે છે. ‘એક માછીમાર નદીકિનારે શાંતિથી સૂતો હતો. ત્યાં વિકાસપુરુષ આવે છે અને પૂછે છે, ‘શાંતિથી કેમ સૂતો છે, વધારે માછલી પકડ!’ પેલા માણસે પૂછ્યું, ‘તારે શું ?’ ‘મોટી જાળી ખરીદ અને મોટી બોટ બનાવ અને વધારે માછલી પકડ અને પૈસા કમાવ અને સરસ બંગલો બનાવ, ગાડી ખરીદ.’ પેલાએ પૂછ્યું – ‘પછી શું કરવાનું ?’ જવાબ – ‘ખાઈપી ને આરામ કરવાનો.’ ‘તો હું અત્યારે શું કરું છું ? તેણે જવાબ આપ્યો. આ જોક આજે સત્ય બની ગઈ છે … માણસને માત્ર વસ્તુઓ પેદા કરનારું અને તેનો ઉપભોગ કરનારું પ્રાણી ન બનાવો. તેને સર્જનાત્મકથાથી સભર પૂર્ણ માણસ બનાવો. આ પુસ્તકનો સાર આ જ છે.’

વિશ્વના અને ભારતના વિવિધ પ્રશ્નોની આટલી સમતાથી અને પૂરા અભ્યાસ સાથે તથા નિસબતપૂર્વક લોકો સમક્ષ રજૂ કરે એવું પુસ્તક ભાગ્યે જ જોયું છે કે વાંચ્યું છે. ‘ચિંતનનો ચંદરવો’ પુસ્તક આવું છે. આ બધા પ્રશ્નોની ચર્ચા વાંદરાંઓએ કરી છે … શું માણસો આવી ચર્ચા કરી શકશે ? મને શંકા છે. અને એટલે જ કદાચ લેખકે આ માધ્યમ પસંદ કર્યું હશે.

આ પુસ્તક લખવા બદલ રોહિતભાઈને ધન્યવાદ. આ પુસ્તક કે તેની હારમાળા આ દેશનાં દરેક સ્ત્રી-પુરુષ અને બાળક માટે ફરજિયાત વાચન ગણાવું જોઈએ. આ પુસ્તક લખતી વેળા લેખકને જે મૂંઝવણ થઈ હશે, તેના કરતાં વધારે મૂંઝવણ તો મને આવા સુંદર પુસ્તકની પ્રસ્તાવના લખતાં થઈ છે. મારી આ પ્રસ્તાવના આ પુસ્તકને બરાબર ન્યાય ન આપી શકી હોય, તો વાચકો મને માફ કરે.        

૧૫ ઑગસ્ટ, ૨૦૧૪

[તા. ૧૨ ઑક્ટોબર, ’૧૪નો રોજ પ્રકાશિત થનારા પુસ્તક ‘ચિંતનનો ચંદરવો’માં]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2014, પૃ.07-08

Loading

...102030...3,8703,8713,8723,873...3,8803,8903,900...

Search by

Opinion

  • યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
  • સમસ્યા : અંતર્ગોળ અને બહિર્ગોળ પેટની
  • સરકારમાં બેઠેલ વ્યક્તિઓમાં નવા વિચારો, નવી દિશા, વિકાસના નવા આયામો, સમસ્યા નિવારણ અંગે સાચી સમજણ નહિ કેળવાય ત્યાં સુધી બધું વ્યર્થ છે !
  • તેઓ મેકોલે જયંતી કેમ ઊજવે છે?
  • ધર્મેન્દ્ર – નોટ જસ્ટ અ હી-મેન 

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved