વિદેશમાં રહેતા ભારતીય મૂળના કોઈ નાગરિકે મેળવેલી નાની કે મોટી સિદ્ધિ બદલ તેના ભારતીય મૂળનું અહીં રહીને મિથ્યા ગૌરવ લેનારા આપણા લોકોએ, ખાસ કરીને ગુજરાતી પ્રસાર માધ્યમોએ ઘરઆંગણે ઝળહળતા આ આંતરરાષ્ટ્રીય સિતારાને ધરાર અવગણ્યો. અંગ્રેજી અખબારોમાં પાનાં ભરીને તેમનું પ્રદાન લખાયું હોવા છતાં એક પણ ગુજરાતી અખબારમાં રજની કોઠારીના અવસાન વિષે ચાર લીટીની નોંધ સુધ્ધાં ભાગ્યે જ જોવા મળી. આને અવગણના ગણો, ઉપેક્ષા ગણો કે અજ્ઞાન, સરખું જ છે. આવા માહોલમાં આ લેખ રજની કોઠારીના વ્યાપક પ્રદાનની ઝલક આપે છે, રજની કોઠારીનું અવસાન થયું એ જ દિવસે પાંચ પાંચ દાયકાના તેમના સહયોગી અને અગ્રણી સમાજવિજ્ઞાની ધીરુભાઈ એલ. શેઠની મુલાકાત લઈને લખાયેલો આ લેખ ૨૨ જાન્યુઆરીના ’ગુજરાત મિત્ર’માં પ્રકાશિત થયો હતો.
બૌદ્ધિકોની વ્યાખ્યા એક જ લીટીમાં આપવાની હોય તો મોટા ભાગના લોકો કહી શકે, ‘બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે, બૌદ્ધિકોનું સંશોધન કરતા લોકો.’ આનો સીધો અર્થ એ થાય કે તેમને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય બાબતોનું જ્ઞાન હોઈ શકે, પણ સ્થાનિક સ્તરની સમસ્યાઓનો તેમને ભાગ્યે જ અંદાજ હોય. પણ સોમવાર, તા. ૧૯ જાન્યુઆરીના રોજ અવસાન પામેલા રજની કોઠારીએ સમાજવિજ્ઞાન અને રાજકીય વિજ્ઞાન ક્ષેત્રે અનેક આગવાં સંશોધનો તેમ જ અભ્યાસ દ્વારા આ અને આવી અનેક ગેરસમજણોને ખોટી પાડીને દેશવિદેશમાં તેમ જ સ્થાનિક સ્તરે પથદર્શક કામ કર્યું. તેને લઈને વીસમી સદીના અનોખા સમાજવિજ્ઞાની તરીકે તેમની ઓળખ બની.
પાલણપુરના હીરાના વેપારી પરિવારના એકના એક નબીરા રજની કોઠારીને વારસાગત વેપારમાં રસ ન હતો, એમ પરંપરાગત અભ્યાસમાં પણ રુચિ ન હતી. થોડો સમય તે આઈ.એન.એ.(આઝાદ હિંદ ફોજ)ની રાજકીય પાંખ સાથે સંકળાયા. કૌટુંબિક વેપાર સાથે તે પરાણે સંકળાયા, પણ તક મળતાં જ તેને છોડીને પોતાની રુચિ મુજબનો અભ્યાસ કરવા માટે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં જોડાયા. લંડનથી આવ્યા પછી વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં તેમને નિમણૂક મળી. યુનિવર્સિટીનું આંતરિક રાજકારણ રજની કોઠારી જેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વને મૂરઝાવી નાંખનારું હતું, પણ અહીં તેમને એક એવો પરિચય થયો, જેના થકી તેમની પ્રતિભાને પોષક વાતાવરણ મળતું રહ્યું. એમ.એસ.યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર રાવજીભાઈ પટેલને ઘેર અનૌપચારિક ચર્ચાબેઠકો યોજાતી હતી, જેમાં વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ ભાગ લેતા. ‘રેનેસાં ક્લબ’ તરીકે ઓળખાતી આ બેઠકમાં અનેક અવનવા વિષયો પર દીર્ઘ ચર્ચાઓ, તર્ક, દલીલો-પ્રતિદલીલો થતી અને સમજણનું એક નવું જ વિશ્વ ઊઘડતું. આગળ જતાં પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરનાર ધીરુભાઈ શેઠ, ધવલ મહેતા, પ્રકાશ દેસાઈ, નીતિન ત્રિવેદી, તરુણ શેઠ, માધવી દેસાઈ વગેરે ત્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા. તેમના ઉપરાંત ભીખુ પારેખ, ઈકબાલ ગુલાટી, બી.જી.શાહ પણ અહીં નિયમિત હાજરી આપતા. અહીં થતી ચર્ચાઓમાંથી જે વિચારનવનીત નિપજતું તેનાથી પ્રાપ્ત થતી અંતરદૃષ્ટિ રજની કોઠારીને પોતાના અભ્યાસલેખોમાં ઘણી ઉપયોગી થઈ પડતી. આ સમયગાળામાં તેમણે લખેલા અમુક સંશોધનલેખો ખૂબ વખણાયા. ખાસ કરીને પ્રતિષ્ઠિત સાપ્તાહિક ‘ઇકોનોમિક વીકલી’(આગળ જતાં ‘ઇકોનોમીક એન્ડ પોલિટીકલ વીકલી’)માં પ્રકાશિત ‘ફોર્મ એન્ડ સબસ્ટન્સો ઇન ઈન્ડિયન પોલિટિક્સ’ તેમ જ ‘ક્વેસ્ટ’માં લખેલા ‘ડાયરેક્ટ એક્શન ઇન પોલિટિક્સ’ અને ‘મીનિંગ્સ ઑફ ડેમોક્રેસી’ આજે પણ પોલિટિકલ સાયન્સના ક્ષેત્રમાં પાયારૂપ ગણાય છે. વડોદરા(પૂર્વ)ની ચૂંટણીના તેમણે જે તે સ્થળે જઈને ક્ષેત્રનિરીક્ષણ દ્વારા કરેલા અભ્યાસથી તૈયાર કરેલા લેખો એ પ્રકારના સૌ પ્રથમ લેખો હતા, જેમાં તૈયાર આયાતી રીતોને બદલે શુદ્ધ ભારતીય પર્યાવરણના સંદર્ભે ચૂંટણીનો અભ્યાસ કરાયો હતો. એ જ રીતે મોડાસાની ચૂંટણીનો અભ્યાસ પણ તેમણે પોતાના વિદ્યાર્થી (અને આજના ખ્યાતનામ સમાજવિજ્ઞાની) ઘનશ્યામ શાહ દ્વારા કરાવ્યો. ચૂંટણીના અભ્યાસીઓમાં આજે પણ આ અભ્યાસલેખો સીમાસ્તંભ જેવા લેખાય છે.
અલબત્ત, યુનિવર્સિટીના આંતરિક રાજકારણવાળું સામંતશાહી વાતાવરણ તેમની પ્રતિભાને ગૂંગળાવનારું હતું. આથી તે બહાર જવાની તકની તલાશમાં હતા, જે તેમને ૧૯૬૩માં મળી અને તે મસૂરીની ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યૂિનટી ડેવલપમેન્ટ’માં જોડાઈ ગયા. આ દરમિયાન તેમણે ભારતભરમાં ફરીને, ક્ષેત્રીય નિરીક્ષણો દ્વારા પોલિટિકલ સાયન્સના ક્ષેત્રે પોતાના માટે એક આગવી સંશોધનપદ્ધતિ વિકસાવી, જે આગળ જતાં ભારતમાં એક નવા પોલિટિકલ સાયન્સના રૂપે વિકાસ પામ્યું. ત્યાર પછીના વરસે રજની કોઠારીએ દિલ્હીમાં ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટી’(સી.એસ.ડી.એસ.)ની સ્થાપના કરી, જે આગામી વરસોમાં તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી સંસ્થા તરીકે ઓળખ પામવાની હતી. સી.એસ.ડી.એસ.ના આરંભથી જ, એટલે કે પાંચ દાયકાથી તેની સાથે સંકળાયેલા અગ્રણી પોલિટીકલ સાયન્ટિસ્ટ ડી.એલ. શેઠ સાથેની વાતચીત દરમિયાન રજની કોઠારીની કાર્યશૈલી અને અભિગમ વિશે અહોભાવ વિનાની, આંતરદૃષ્ટિયુક્ત, અનેક નક્કર તેમ જ અંતરંગ વાતો જાણવા મળી, જેનો અર્ક અહીં પ્રસ્તુત છે.
વિચારના સ્તરે કામ કરનાર વ્યક્તિનું કાર્યકર્તા તરીકેનું પાસું સામાન્ય રીતે એટલું સબળ નથી હોતું, એ જ રીતે કાર્યકર્તાઓ વિચારના સ્તરે એક હદથી આગળ ભાગ્યે જ પહોંચી શકતા હોય છે. પણ રજની કોઠારીમાં આ બન્ને બાબતોનો વિરલ સંગમ હતો. તે માનતા કે સિદ્ધાંત અનુભવજન્ય હોવો જોઈએ, તેને હવામાંથી તૈયાર પકડી લેવાનો ન હોય. કેમ કે, મોટે ભાગે નવી બાબતો મુખ્ય ધારામાંથી નહીં, પણ હાંસિયામાં રહેતા લોકો પાસેથી મળતી હોય છે. તેમના આવા અભિગમને કારણે પોલીટિકલ સાયન્સના સ્થાપિત ખ્યાલોથી અલગ એક નવા જ પ્રકારની વ્યાખ્યા તેમના કામ થકી બની.
રાષ્ટ્રનિર્માણ અને કૉંગ્રેસ પક્ષ જેવા વિષયના અભ્યાસ દરમિયાન કૉંગ્રેસ પક્ષના બદલાતા જતા તેવર તેમ જ રાજકારણમાં બની રહેનારી જ્ઞાતિની મહત્ત્વની ભૂમિકાને પિછાણી લેનાર આરંભિક સંશોધક રજની કોઠારી હતા. કોંગ્રેસ એ કોઈ પક્ષ નહીં, પણ પ્રથા યા પ્રણાલિ છે, એ તેમણે અનેક અભ્યાસો અને નિરીક્ષણો દ્વારા છેક ૧૯૭૦માં પ્રકાશિત પોતાના પુસ્તક ‘પોલિટીક્સ ઇન ઇન્ડિયા’માં પ્રતિપાદિત કરી દીધું હતું. એ પછી ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના સંદર્ભે તેમણે ‘ઍન્ડ ઑફ ધ એરા’ શીર્ષકથી આંખો ઉઘાડનાર લેખ લખીને સત્તાધીશોનો ખોફ વહોરી લીધો. પરિણામે તેમણે રાતોરાત દેશ છોડી જવાની નોબત આવી.
તેમના દ્વારા સ્થપાયેલી સી.એસ.ડી.એસ. ખરા અર્થમાં લોકશાહી અભિગમ ધરાવતી સંસ્થા બની રહી, જે તેમના મુક્ત વિચારોનો વ્યાવહારિક અમલ હતો. પરિવર્તન વિના કોઈ પણ બાબતને સમજી ન શકાય, અને સમજ્યા વિના કશું પરિવર્તન ન થઈ શકે, એવા વિચારને કારણે અનેક બાબતો કેવળ ટેબલખુરશીની ચર્ચાઓમાં મર્યાદિત ન રહેતાં ફીલ્ડવર્કના સ્તરે પણ વિસ્તરી. બન્ને પાસાંઓને અહીં સરખું મહત્ત્વ આપવામાં આવ્યું. સંસ્થાકીય હોદ્દાઓની ભરમાર ઊભી કરવાને બદલે અહીં કાર્યને કેન્દ્રમાં રાખવામાં આવ્યું. જડ નિયમો અને આચારસંહિતાનાં ચોકઠાંથી પણ તેને મુક્ત રાખવામાં આવ્યું. પરિણામે અનેક મહત્ત્વનાં સામાજિક અને રાજકીય સંશોધનો અહીં હાથ ધરાયાં તેમ જ અનેક પ્રતિભાશાળી સંશોધકો અહીંના મુક્ત વાતાવરણમાં પાંગર્યા. આશિષ નાન્દી, ડી.એલ. શેઠ, રામાશ્રય રાય, શિવ વિશ્વનાથન, હર્ષ સેઠી, સુધિર કક્કડ, ગિરિ દેશીંગકર, બશિરુદ્દીન એહમદ જેવા અનેક સમાજવિજ્ઞાનીઓએ સંશોધનને નવા આયામ આપ્યાં અને બહુવિધ સ્તરે મહત્ત્વનાં સંશોધનો કર્યાં. અનિલ ભટ્ટ, ઘનશ્યામ શાહ, ઋષિકેશ મારુ જેવા રજની કોઠારીના એક સમયના વિદ્યાર્થીઓ પણ આગળ જતાં સી.એસ.ડી.એસ. સાથે સંકળાયા અને તેમણે અનેક મહત્ત્વનાં સામાજિક-રાજકીય સંશોધનો કર્યાં.
આવા અભિગમને કારણે ‘સી.એસ.ડી.એસ.’ સતત વિકસતું રહ્યું. ‘વિચારશાળા’ તરીકેની તેની ખ્યાતિ વૈશ્વિક સ્તરે પ્રસરી. ભારતનું તો એ અગ્રણી કેન્દ્ર બની રહ્યું. રજની કોઠારીનું સ્પષ્ટ દર્શન તેની પાછળ હોવા છતાં તે વ્યક્તિકેન્દ્રી ન બની રહે તેની તકેદારી તેમણે રાખી. પરિણામે રાજીવ ભાર્ગવ, પીટર ડિસોઝા, આદિત્ય નિગમ, યોગેન્દ્ર યાદવ જેવા પ્રતિભાશાળીઓની બીજી પેઢી પણ તેમાં તૈયાર થઈ શકી. આવાં અનેક (‘પ્રાદેશિક’નહીં એવાં) સ્વતંત્ર કેન્દ્રો ઊભાં કરવાની તેમની ઈચ્છા હતી. સુરતમાં આઈ.પી. દેસાઈ દ્વારા સ્થપાયેલું ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ’ આ પ્રક્રિયાના વ્યાપક હિસ્સારૂપે હતું. શરૂઆતથી જ આઈ.પી. દેસાઈ અને રજની કોઠારી આ દિશામાં કાર્યરત રહ્યા.
પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (પી.યુ.સી.એલ.) સાથે પણ રજની કોઠારી આરંભથી સંકળાયેલા હતા. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યાને પગલે થયેલા શીખોના સામૂહિક હત્યાકાંડ પછીના દસ જ દિવસમાં અસરગ્રસ્તો, તેમના પાડોશીઓ, સંબંધિત પોલીસ અધિકારીઓ, સૈન્યના લોકો તેમ જ રાજકીય નેતાઓની તેમણે અને તેમના સહયોગીઓએ લીધેલી મુલાકાતો પર આધારિત તૈયાર કરેલો ‘હુ આર ધ ગિલ્ટી?’ નામનો અહેવાલ પી.યુ.સી.એલ. દ્વારા પ્રકાશિત કરાયો હતો. તત્કાલીન સરકાર દ્વારા જેને સ્વયંભૂ પ્રગટેલો જનાક્રોશ ગણાવાયો હતો, એ વાસ્તવમાં સુઆયોજિત ષડયંત્ર હોવાનું અનેક નક્કર પુરાવાઓ સહિત આ અહેવાલમાં સ્પષ્ટપણે દર્શાવાયું હતું. ઢાંકપિછોડો કરવાના આશયથી રચાયેલા અનેક તપાસપંચો જે તથ્ય જાહેર કરવા નહોતા માંગતા એ તમામ હકીકત આ અહેવાલમાં નીડરપણે જણાવાઈ હતી. ત્યાર પછી આ અહેવાલની વાત અને રજની કોઠારીનું નામ શીખ સમુદાયમાં એ હદે જાણીતું થઈ ગયું હતું કે ઘણી વાર શીખ ટેક્સી ડ્રાઇવરો રજની કોઠારી પાસેથી ભાડાના પૈસા પણ લેવાનો ઇન્કાર કરતા. સામાજિક-રાજકીય સંશોધન કઈ હદે છેક છેવાડાના જણને સ્પર્શી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ કહી શકાય.
સત્તરેક પુસ્તકોમાં રજની કોઠારીએ પોતાનાં આગવા વિચારો દર્શાવ્યા છે. તેમનાં અમુક પુસ્તકો હવે હિન્દીમાં પણ સુલભ છે. ‘અનઇઝી ઇઝ ધ લાઇફ ઑફ માઇન્ડ’ના શીર્ષકથી પોતાનાં સંસ્મરણો તેમણે આલેખ્યાં છે. વિચારોના મુક્ત આદાનપ્રદાનનો લય વર્તમાન સમયમાં સતત ખોરવાતો જણાઈ રહ્યો છે અને વ્યક્તિકેન્દ્રીપણાની બોલબાલા વધતી રહી છે, ત્યારે રજની કોઠારીનું પ્રદાન વિશેષ મહત્ત્વનું બની રહે છે.
e.mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2015, પૃ. 11-12