Opinion Magazine
Number of visits: 9664754
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉમદા માનવવાદીની વિદાય !

રમેશ સવાણી|Opinion - Opinion|13 February 2025

જ્યારે કોઈ ક્રૂર ઘટના બને ત્યારે આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘એનામાં જરા પણ માનવતા નથી !’ આ માનવતા એટલે સંવેદના / લાગણી / દયા. શું માનવતામાં માનવવાદ આવી જાય છે? ના; પરંતુ માનવતા / દયા / કરુણા વગેરે સારા ગુણો માનવવાદી વિચારધારામાં છે જ. માનવતા-humanity’ અને ‘માનવવાદ-Humanism’માં મોટો ફરક છે ! માનવવાદ અને માનવતાને કેટલાંક લોકો એક જ માને છે; તે ગેરસમજ છે. માનવવાદી સંકીર્ણ હોતો નથી; જ્યારે માનવતા સંકીર્ણ હોઈ શકે છે. માનવવાદમાં સીમા નથી; જ્યારે માનવતામાં સીમાઓ જોવા મળે છે. માનવવાદીઓ માટે આફ્રિકન / અમેરિકન / યુરોપિયન / રશિયન / કોરિયન એવા ભાગલા હોતા નથી; કાળા-ધોળાના કે ઊંચનીચના ભેદભાવ હોતા નથી; ઊચ્ચ વર્ણ કે શૂદ્ર વર્ણ હોતા નથી. જ્યારે માનવતામાં આવા ભાગલા હોઈ શકે છે. માનવવાદીમાં માનવતાનું તત્ત્વ તો હોય છે; પણ તે વિશાળ હોય છે. સંકુચિત સંપ્રદાયો / સંકુચિત સ્વામિઓ / બાપુઓ પણ માનવતાના કાર્યો કરતા હોય છે; અને તેમાં પોતાના વર્તુળ પૂરતી જ માનવતા દેખાય છે; તેમાં વર્ણ મુજબ ભેદભાવ જોવા મળી શકે. જ્યારે માનવવાદીની દૃષ્ટિએ દરેક માનવ સરખા હોય છે. માનવતા ભેદભાવવાળી હોય છે. મનુસ્મૃતિમાં માનનારાઓમાં પણ માનવતા હોય છે;

પ્રો. જયંતીલાલ કે. પટેલ

પરંતુ માનવવાદી દૃષ્ટિકોણનો અભાવ હોય છે. તેથી માનવવાદીઓ મંદિર / મસ્જિદ / ચર્ચનો વિરોધ કરે છે અને શાળા / મહાશાળા / હોસ્પિટલની તરફેણ કરે છે. પોતાના ધર્મ / વર્ણના લોકોની હત્યા થાય ત્યારે માનવતાવાળાની સંવેદના વધુ જાગે છે ! જ્યારે કોઈની પણ હત્યા થાય ત્યારે માનવવાદી દુ:ખ અનુભવે છે. પૂરમાં / ભૂકંપમાં નિરાધાર થયેલને તેમના ધર્મ / વર્ણના આધારે મદદ કરાય તેમાં માનવતા છે; પણ માનવવાદી દૃષ્ટિકોણની ગેરહાજરી છે. સમસ્યાનો ઉકેલ માનવતા પાસે નથી, માનવવાદ પાસે છે !

પ્રોફેસર જયંતી પટેલ કહે છે : “માનવતાવાળા ઈરરેશનલ હોઈ શકે છે; ધર્મચુસ્ત હોઈ શકે છે; સાંપ્રદાયિક હોઈ શકે છે; કટ્ટર હોઈ શકે છે; હિંસક હોઈ શકે છે. જ્યારે માનવવાદીઓ સેક્યુલર / રેશનલ હોય છે; તે કટ્ટરતા અને હિંસાથી સો કિલોમિટર દૂર રહે છે. માનવવાદીઓ લિંગ, રંગ, ધર્મ, રાષ્ટ્ર, વર્ણ કે તેવા કોઈ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું ગૌરવ કરવાનો આગ્રહ રાખે છે. માનવવાદ સમગ્ર માનવજાતના સંદર્ભમાં આચાર-વિચાર કરે છે, તે કોઈ કોમ, ધર્મ, રાષ્ટ્ર જેવી વાડાબંધીને સ્વીકારતું નથી. માનવવાદીઓ કાલ્પનિક ઈશ્વરને બદલે કુદરત / પ્રકૃતિમાં માને છે. જ્યારે માનવતાવાળા ઈશ્વર / ખુદા / ગોડ / માતાજીઓ / દેવ-દેવીઓ /ગુરુઓમાં માનતા હોય છે. ‘માનવવાદીઓ માને છે કે વિશ્વનું તથા માનવીનું સર્જન પ્રાકૃતિક પરિબળોની નીપજ છે. તેમાં કોઈ અલૌકીક વ્યક્તિ કે શક્તિનો હાથ નથી. સૂર્ય હિન્દુ કે મુસ્લિમ માટે ઊગતો નથી. સૂર્યનું ઊગવું અને આથમવું તે પ્રાકૃતિક નિયમો અનુસાર થાય છે; તેમાં કાર્ય-કારણનો સંબંધ રહેલો છે. એટલે કે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિની મનસ્વી ઈચ્છા કે આદેશ મુજબ તેનું સંચાલન થતું નથી.”

હું 1998માં અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર હતો ત્યારે એક કૌટુંબિક પ્રસંગે જમવાનું આમંત્રણ મેં જયંતીભાઈને આપ્યું ત્યારે તેમણે પૂછ્યું : ‘કેટલાં સભ્યો હશે જમવામાં?’ મેં કહ્યું કે ‘40 જેટલાં હશે.’ તેમણે કહ્યું કે ‘મેં નિર્ણય કરેલો છે કે કોઈ પણ સામાજિક પ્રસંગમાં 30 સભ્યો સુધી સંખ્યા હોય તો જ હું જમવા જાઉં છું !’

એ સમયે મેં માનવવાદી / રેશનલ વિચારધારાનો વાસ્તવમાં અમલ થતો જોયો. એ પછી જયંતીભાઈને તેમના નિવાસસ્થાને મળવાનું થતું. છેલ્લે 29 ડિસેમ્બર 2022ના રોજ તેમના નિવાસસ્થાને મળવાનું થયું હતું. અને આ વખતે તેમને મળ્યા વિના અમેરિકા જવું નથી એવું નક્કી કર્યું હતું.

આ એ જયંતીભાઈ હતા જેમણે કહેલ કે “ગુજરાત યુનિવર્સિટીમાં હું રાજ્યશાસ્ત્ર વિભાગનો હું વડો હતો અને તે સમયે નરેન્દ્ર મોદી નામના કોઈ વિદ્યાર્થી રાજ્યશાસ્ત્ર વિષયમાં ભણતા ન હતા !”

રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોનાં લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2025માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતીભાઈએ 92 વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના રોજ આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે.  

અલવિદા. આદરાંજલિ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહામૃત્યુમાંથી અમૃત સમીપે : ‘જિગરના ચીરા’ની ફળશ્રુતિ 

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|13 February 2025

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો?

આજે 26 જાન્યુઆરી-પ્રજાસત્તાક દિન. 30મી જાન્યુઆરીએ આવશે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. નારાયણ દેસાઈના પુસ્તક ‘જિગરના ચીરા’(યજ્ઞ પ્રકાશન)માંથી પસાર થઈ રહી છું. આજના લેખ માટે આ પુસ્તકની વાત કરવાથી ઉત્તમ વિકલ્પ બીજો હોઈ ન શકે કેમ કે તેમાં ગાંધીજીના જીવનના અંતિમ તબક્કાની વાત છે અને જેમના રક્તમાંસમાં, શ્વાસ-ઉચ્છવાસમાં અને જીવન-કાર્યમાં ગાંધીજી અભિન્ન રીતે વણાયેલા છે એવા નારાયણ દેસાઇ આ પુસ્તકના લેખક છે. આશિષ નાંદીએ એમને માટે ‘થનગનતી, બળવાખોર અને હરતીફરતી જંગમ વિદ્યાપીઠ’ એવાં શબ્દો વાપર્યા છે. 

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – ભારતમાં આઝાદીની લડતનો, બ્રિટિશ શાસનનો અંતિમ તબક્કો. વિશ્વના તખતા પર પણ મોટાં પરિવર્તનો આકાર લઇ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલું બ્રિટન યેનકેનપ્રકારેણ ભારતને વિશ્વયુદ્ધમાં જોતરવા માગતું હતું, પણ સ્વતંત્રતા આપવાની વાતમાં ઠાગાઠૈયા કરતું હતું એવે વખતે ઇંગ્લેન્ડથી ક્રિપ્સ યોજના આવી. એની નિષ્ફળતાએ 1942ના ‘ક્વિટ ઇન્ડિયા’ આંદોલનનો પાયો મૂક્યો. પછી શું થયું – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો? ભારતના દરેક નાગરિકે જાણવી જ જોઈએ એવી તમામ સિલસિલાબંધ ઐતિહાસિક વિગતો ખૂબ સુંદર શૈલીમાં અને સાચા ગાંધીજનને શોભે એવી નિર્ભય તટસ્થતાથી આ પુસ્તકમાં 22 પ્રકરણોમાં મુકાઇ છે. 

વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને તરત વાઈસરૉય લીનલિથગોએ જાહેર કર્યું કે ભારત મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાશે. કાઁગ્રેસે કહ્યું, ‘અમારી સંમતિ વિના? યુદ્ધના ઉદ્દેશો જાહેર કરો.’ ઉદ્દેશ જાહેર કરવા જાય તો બ્રિટનને કહેવું પડે કે તેઓ દુનિયાને (નાઝીવાદની) ગુલામીમાંથી મુક્ત કરવા માટે રણે ચડ્યા છે. તો તરત ભારત એમ કહી શકે કે તમારે સ્વતંત્રતા માટે લડવું છે તો પહેલા અમને સ્વતંત્ર તો કરો. બ્રિટને કશું જાહેર કર્યું નહીં, કાઁગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 

1942ના માર્ચ મહિનામાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ પોતાની યોજના લઈને ભારત આવ્યા. પુસ્તકમાં એક આખું પ્રકરણ આ યોજના પર છે. આપણે જાણવા પામીએ છીએ કે જે સમજવામાં બીજાઓને એક મહિનો ગયો એ ગાંધીજીએ બે કલાકમાં સમજી લીધું, ક્રિપ્સને પાછા જવાનું કહી તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો અને જોતજોતામાં 23,000 વ્યક્તિગત સત્યાગ્રહીઓ જેલભેગા થયા. 

1942ના ઑગસ્ટમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો. ગાંધીજીએ કહ્યું, ‘આજથી ભારતનો દરેક નાગરિક પોતાને સ્વતંત્ર સમજે અને પોતે જ પોતાનો નેતા બની આંદોલન ચાલુ રાખે. આપણે જીવીશું તો આઝાદી માટે ને એના જ માટે પ્રાણ આપીશું – કરેંગે યા મરેંગે.’ બીજા દિવસે ગાંધીજી અને અન્ય મોટાં નેતાઓની ધરપકડ થઈ. લોકોના પક્ષે ભાંગફોડ અને સરકારના પક્ષે ક્રૂર દમનનો દોર ચાલ્યો. વાઈસરૉયે આ બધાનો ટોપલો જેલમાં બેઠેલા ગાંધીજી પર ઢોળ્યો. ગાંધીજીએ ઉપવાસ કર્યા. 

પરિસ્થિતિ ઝડપથી પલટાતી હતી. લીનલિથગો ગયા અને ‘બ્રેકડાઉન પ્લાન’ લઇ જનરલ વેવેલ આવ્યા. તેમણે જેલમાં રહેલા નેતાઓને મુક્ત કરી સિમલા વાટાઘાટ (1945) યોજી, પણ કહાણી તો બે ઝગડતી બિલાડી અને ફાવી જતા વાંદરાની જ હતી. દેશ આરાજકતા અને કોમી હિંસાચારથી ઘેરાતો હતો. કાઁગ્રેસને ગાંધીજીની જરૂર ન હતી. ગાંધીજીને જે અનિવાર્ય અને આવકારવા જેવુ લાગતું હતું તે કાઁગ્રેસને અવ્યવહારુ અને જૂનવાણી લાગતું હતું. એકલવાયા અને ઉપેક્ષિત ગાંધીજી કોમી એકતાનું દક્ષિણ આફ્રિકાના દિવસોથી જોયેલું સ્વપ્ન આંખમાં આંજીને ભારતના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા મથતા નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હી દોડતા હતા. 

એ દિવસોમાં એમની પાસે લોકોની ચેતનાને ઢંઢોળવા એક જ સાધન હતું, સાંજની પ્રાર્થના પછીનું પ્રવચન. તેમાં ગાંધીજી પોતાનું દિલ રેડી દેતા. કોઈ ને કોઈ અખબાર બીજે દિવસે પ્રવચન છાપી દેતું. છેલ્લા દિવસોમાં એ પ્રવચનો રેકોર્ડ કરી આકાશવાણી પરથી સાંભળવવામાં આવતાં. દિલ્હી લાખો શરણાર્થીઓથી ઉભરાતું હતું. એમાના ઘણા પોતાની અવદશા માટે ગાંધીજીને જવાબદાર ઠેરવતા.

વેવેલ પછી માઉન્ટબેટન આવ્યા. ભારત વિષે ખાસ કઈં ન જાણતા રેડક્લિફે ટેબલ પર નકશો પાથરી એક લીટી દોરી દેશને બે ભાગમાં વહેંચી દીધો. અકળાયેલા કાઁગ્રેસી નેતાઓએ દેશના ભાગલા સ્વીકાર્યા. તોફાનો શમાવવા ફરતા ગાંધીજીને સમાચાર છાપામાં આવ્યા ત્યારે મળ્યા. મહામના સરદારે અથાક પ્રયત્નો કરી દેશના સાડા પાંચસો રજવાડાઓને ભારતમાં ભેળવ્યાં. 

જૂન 1948માં અંગ્રેજો ભારત છોડી જાય એવું નક્કી થયું હતું, પણ ઘરમાં દિવાસળી મૂકી ને બળતું ઘર કૃષ્ણાર્પણ કરી તેઓ ઓગસ્ટ 1947માં જ ચાલ્યા ગયા. 15 ઓગસ્ટે દેશ સ્વતંત્રતા મળ્યાનો ઉત્સવ ઉજવતો હતો ત્યારે 78 વર્ષના ગાંધીબાપુ ભડકે બળતા કલકત્તાને ઠારતા હતા. 

ચાર મહિના પછી તેમની હત્યા થઈ. ગાંધીજીની હત્યા ક્ષણિક આવેશનું પરિણામ ન હતી. 30 જાન્યુઆરી 1948 પહેલા, ગાંધીહત્યાના પાંચ પ્રયાસ થઈ ચૂક્યા હતા, જેમાંના ત્રણમાં ગાંધીજીના ખૂનીની સીધી સંડોવણી હતી. પહેલો પ્રયાસ 1934માં ગાંધીજીની ગાડી પર બોમ્બ ફેંકવાથી થયો. એ જ વર્ષે એમણે લઇ જતી ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયો. 1944માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા પછી પંચગીનીમાં એક તોફાને ચડેલા ટોળામાં ગિરફતાર થયેલા માણસોમાંના એક પાસે સાડાસાત ઇંચ લાંબો છરો મળ્યો. એ માણસનું નામ નથુરામ ગોડસે. કાવતરાના સૂત્રધાર તરીકે એની સાથે વિનાયક આપ્ટેનું નામ બહાર આવ્યું હતું. આપ્ટે ‘હિન્દુ રાષ્ટ્ર’ નામના અખબારનો તંત્રી હતો. ગાંધીજીએ 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ અખબારમાં ‘પણ જીવવા દેશે કોણ?’ મથાળા હેઠળ આગ ઝરતો લેખ છપાયો હતો. 

એ જ વર્ષે ગાંધીજી અને ઝીણાની મુલાકાત મુંબઇમાં ગોઠવાઈ ત્યારે પુનાથી એક કટ્ટર મુસ્લિમવિરોધી જૂથ ‘આ મુલાકાત થવા જ નહીં દઈએ’ની ઘોષણા કરતું વર્ધા પહોંચી ગયું હતું. જૂથના સભ્યોની તપાસ કરતાં થત્તે નામના માણસ પાસે મોટો છરો મળ્યો. તેણે કહ્યું, ‘ગાંધીજીની હત્યા થશે ત્યારે જ અમને સંતોષ થશે.’ પોલીસ અધિકારીએ પૂછ્યું, ‘તો પછી તમારા નેતા એ કામ કેમ કરતા નથી?’ થત્તે તુચ્છકારથી બોલ્યો, ‘એ તો ગાંધીજીને વધારે પડતું માન આપ્યું ગણાય. એ કામ તો આ જમાદાર પણ પતાવી શકે.’ તેણે જમાદાર તરીકે જે માણસને બતાવ્યો તે નાથુરામ ગોડસે હતો.

1948ની વીસમી જાન્યુઆરીએ પ્રાર્થનાસભામાં બોમ્બ ફૂટ્યો. અંધાધૂંધીનો લાભ લઈ ગાંધીજીને ગોળી મારી દેવાની હતી, પણ એમ થયું નહીં. બોમ્બ ફોડનાર મદનલાલ પાહવાએ ટોળકીના સભ્યોનું વર્ણન આપ્યું, ‘તેઓ પાછા આવશે’ એમ કહ્યું, કાવતરાખોરોના સગડ મેળવવા એટલા મુશ્કેલ ન હતા, પણ દિલ્હીની પોલીસ, મુંબઈની પોલીસ, સરકારી સલામતી-વ્યવસ્થા, ગાંધીજીના પટ્ટશિષ્યોની બનેલી સરકાર બધા ઊણા ઊતર્યા. ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. પણ દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જીવનભર મથતા રહેલા એ વયોવૃદ્ધ નેતાને આપણે સ્વતંત્રતા મળ્યા પછી થોડા મહિના પણ જીવવા ન દીધા એ શરમ, એ લાંછન કાયમ માટે આપણા કપાળે લખાઈ ચૂક્યું. 

‘જિગરના ચીરા’ ખુદાઇ ખિદમતગારોને અર્પણ થયું છે, કેમ કે આખી ઘટનામાં એમનું બહુ મોટું સ્વાર્પણ છે. આપણે જાણીએ છીએ કે ક્વેટાની  હોસ્પિટલમાં ઝીણાએ સ્વીકાર્યું હતું કે પાર્ટીશન ઑફ ઇન્ડિયા ઈઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઑફ માય લાઈફ? આપણને ખબર છે કે ગાંધીજીએ માઉન્ટબેટનને ચેતવ્યા હતા કે વસતીની ફેરબદલી કરશો તો લોહીની નદીઓ વહેશે? લેખક કહે છે, ‘દિલના ભાગલા ન થાય તેવી ગાંધીજીની પ્રાર્થના, મહામૃત્યુમાંથી આપણને અમૃત સમીપે લઇ જવા તલસે છે.’ આ કલ્યાણકારી તલસાટ આપણા હૃદયને પ્રેરે એ જ ઈચ્છીએ. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જાન્યુઆરી  2025

Loading

નો ડિટેન્શન પોલિસી અંગે રાજ્યો એકમત નથી !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|13 February 2025

ચંદુ મહેરિયા

સોળમી ડિસેમ્બર ૨૦૨૪ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના ગેઝેટમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનનું એક નોટિફિકેશન પ્રગટ થયું હતું. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર (સુધારો) નિયમ, ૨૦૨૪ શીર્ષક હેઠળની આ અધિસૂચના અનુસાર કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં હવેથી નો ડિટેન્શન પોલિસી ખતમ કરવામાં આવી છે. અર્થાત ધોરણ ૫ અને ૮ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીને હવે ઉપલા ધોરણમાં ચઢાવી શકાશે નહીં. સરકારે અનુતીર્ણ થનાર વિદ્યાર્થી ધોરણ આઠ સુધીનું શિક્ષણ મેળવતો રહે તે માટેના સુધારાત્મક પગલાંની આવશ્યકતા અધિસૂચનામાં ભાર દઈને જણાવી છે. પરંતુ તે તરફ દુર્લક્ષ સેવીને પ્રાથમિક શાળાઓમાં પાંચમા-આઠમામાં પણ બાળકોને નાપાસ કરી શકાશે તેની જ સર્વત્ર ચર્ચા છે.

છ્યાંસીમા બંધારણ સુધારા(વર્ષ ૨૦૦૨)થી છથી ચૌદ વર્ષનાં બાળકોને અનુચ્છેદ ૨૧-એ-થી શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની ધારા -૧૬માં દેશના તમામ બાળકો ધોરણ આઠ સુધીનું પ્રારંભિક શિક્ષણ કોઈ પણ પ્રકારની  બાધા, અવરોધ કે અટકાવ વિના મેળવે તેવી જોગવાઈ કરી હતી. કોઈ પણ બાળકને પ્રારંભિક શિક્ષણ મેળવતું અટકાવવું નહીં અને તે આઠમા ધોરણ સુધીનું શિક્ષણ નિ:શુલ્ક અને ફરજિયાત મેળવે અને તેને શાળામાંથી તગેડી મૂકવામાં ના આવે તે માટેની આ જોગવાઈ હતી. પરંતુ શાળાઓએ ડિટેન્શન પોલિસીનો અર્થ બાળકોને નાપાસ ના કરવા તેવો કર્યો અને પોતાની જવાબદારીથી હાથ ખંખેરી નાંખ્યા.  

તણાવમુક્ત શિક્ષણનો માહોલ ઊભો કરવો, માત્ર વાર્ષિક પરીક્ષાનાં મૂલ્યાંકનથી દૂર રહેવું, શાળામાં દાખલ થતાં બાળકોનું પ્રમાણ વધારવું, શાળા છોડી જતાં બાળકોનું પ્રમાણ ઘટાડવું, ભિન્નભિન્ન સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ ધરાવતાં બાળકોને શિક્ષણ મેળવવાનો સમાન અવસર પૂરો પાડવો, અનેક પડકારો છતાં બાળક પાંચમા કે આઠમા ધોરણ સુધી તો ટકી રહે અને નબળાં વિદ્યાર્થી પણ પ્રાથમિક શિક્ષણ મેળવી શકે તેવો ઉદ્દેશ નો ડિટેન્શન પોલિસી પાછળ રહેલો હતો.

બાળકોને શાળાની બહાર નહીં ધકેલવાની આ નીતિ પાછળ બાળકોને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ શોધવી અને અપનાવવી તેવો મુખ્ય હેતુ સ્વાભાવિક હતો. પરંતુ ખોટા અર્થઘટન અને અમલીકરણના પડકારોને કારણે તે નીતિએ શિક્ષણને વધુ નબળુ બનાવ્યું છે. એટલે અમલના થોડાંક જ વરસો પછી ઘણા રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને દફન કરવા અવાજ ઉઠાવ્યો હતો. શિક્ષણ પહેલા માત્ર રાજ્યોનો વિષય હતો. પરંતુ આંતરિક કટોકટીના વરસોમાં ૧૯૭૬ના બેતાળીસમા સુધારાથી તેને સમવર્તી કે સંયુક્ત સૂચિમાં સમાવવામાં આવેલ છે. એટલે શિક્ષણ સંબધી કાયદા કેન્દ્ર અને રાજ્યો બંને ઘડી શકે છે. કેન્દ્રના કાયદા કે નિયમો રાજ્યો માટે બંધનકર્તા નથી હોતા. 

૨૦૧૦-૧૧થી અમલી બનેલી નો ડિટેન્શન પોલિસી સામે ૨૦૧૫ની કેન્દ્રિય શિક્ષણ સલાહકાર બોર્ડની બેઠકમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બાળકોને નાપાસ નહીં કરવાને કારણે શિક્ષણ કથળ્યું હોવાનું અને તેને લીધે ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ એકઝામનું રિઝલ્ટ પણ નબળું આવી રહ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. આમે ય ભારતનાં બાળકો બુનિયાદી સાક્ષરતા અને ગણિતમાં એટલે લેખન, વાચન,  ગણનમાં નબળાં છે. તેમને પાંચમા-આઠમામાં નાપાસ નહીં કરવાની સરકારી નીતિને કારણે તેમની આ નબળાઈમાં ઓર વધારો થયો છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ, અસર(ASER)ની હકીકતો પણ વિરોધીઓના સમર્થનમાં હતી. ૨૦૨૨માં ધોરણ ૫ના ૨૫.૬ ટકા વિદ્યાર્થી ધોરણ- ૨ના બે અંકોના સરવાળા બાદબાકીના દાખલા ગણી શકતા નહોતા. તો ૪૨.૮ ટકા બીજા ધોરણનું વાંચી શકતા નહોતા. ચૌદથી અઢાર વરસના ચોથા ભાગના વિદ્યાર્થી પોતાની માતૃભાષાનો કોઈ પાઠ અસ્ખલિત વાંચી શકતા નહોતા. ૨૦૨૩માં દેશના સાઠ જેટલા પરીક્ષા બોર્ડની દસમી-બારમીની પરીક્ષામાં આશરે ૬૫ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આ બધા માટે બાળકોને વગર પાસ થયે કે આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની નીતિને જવાબદાર ઠેરવવામાં આવી હતી.

 વિદ્યાર્થીઓને આપમેળે ઉપર ચઢાવી દેવાતાં બાળકો, વાલીઓ અને ખુદ શિક્ષકો શિક્ષણ પ્રત્યે બેજવાબદાર બન્યા હતા. ભણાવો તો ય શું અને ન ભણાવો તોય શું, ભણો તો ય ઠીક અને ના ભણો તો ય ઠીક, બાળક્ને નિશાળે મોકલીએ કે ના મોકલી બધું સરખું જ છે, તેવું વલણ સમાજમાં પ્રવર્તવા માંડ્યું હતું. એટલે સરકારે સંસદમાં ૨૦૧૯માં ૨૦૦૯ના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસીને ખતમ કરી હતી. 

જો કે તે અંગેના નિયમો છેક ૨૦૨૪માં સુધાર્યા અને નીતિને દફનાવી દીધી છે. કેન્દ્ર સરકાર સંચાલિત સેન્ટ્રલ સ્કૂલ્સ, નવોદય વિદ્યાલયો, એકલવ્ય શાળાઓ, સૈનિક સ્કૂલ્સ વગેરે મળીને ત્રણ હજાર શાળાઓમાં હવે આ વરસથી ધોરણ ૫ અને ૮માં કોઈને આપમેળે પ્રમોશન મળશે નહીં. જો કે સરકારે અનુતીર્ણ થનાર બાળકોની બે મહિનામાં પુન:પરીક્ષા લેવાની અને તેમાં જો તે પાસ થાય તો ઉપલા ધોરણમાં મોક્લવાની જોગવાઈ કરી છે. આચાર્યો, શિક્ષકો અને સંચાલકોને નાપાસ થનાર કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓની માહિતી તૈયાર રાખવા અને તેમના પર વિશેષ ધ્યાન આપવા પણ જણાવ્યું છે.

પ્રાથમિક શાળાના બાળકોને આપમેળે ઉપલા ધોરણમાં ચઢાવવાની કે વગર પાસ થયે ઉપરના ધોરણમાં નહીં ચઢાવવાની નીતિ અંગે રાજ્યોનો મત વહેંચાયેલો છે. વળી કેન્દ્રે નો ડિટેન્શન પોલિસી પરત ખેંચી છે, એટલે બી.જે.પી.શાસિત તમામ રાજ્ય સરકારો તેને અનુસરશે તેવું પણ જોવા મળતું નથી. દેશના અડધા રાજ્યો આ નીતિની તરફેણમાં છે તો અડધા વિરોધમાં છે. વિપક્ષશાસિત રાજ્યોએ નો ડિટેન્શન પોલિસીને ખરાબ ગણી તિલાંજલી આપી હોય તેમ છે તો ભા.જ.પા.શાસિત રાજ્યોએ હજુ પણ આ નીતિ જારી રાખી છે. દેશનું સૌથી મોટું અને બી.જે.પી.ની રાજવટ ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ નો ડિટેન્શન પોલિસીની તરફેણમાં છે. ભા.જ.પ.ના વિરોધમાં કાયમ રહેતી દિલ્હીની આમ આદમી પાર્ટીની કે મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસની બંગાળ સરકાર કેન્દ્રની નીતિના સમર્થનમાં છે અને તેનો અમલ કર્યો છે. આવું જ દેશના સૌથી શિક્ષિત અને ડાબેરી શાસન ધરાવતા કેરળની સરકારનું છે.  ભા.જ.પ.ના શાસન હેઠળના રાજ્યો મહારાષ્ટ્ર, ઓડિશા, છતીસગઢ અને ગોવામાં નો ડિટેન્શન પોલિસી અમલમાં છે. કાઁગ્રેસશાસિત રાજ્યોમાં પણ આમ જ છે. સંયુક્ત યાદીનો શિક્ષણ પરનો કેન્દ્રનો નિર્ણય રાજ્યોને બાધ્યકારી નથી એ ખરું પણ આવા મહત્ત્વના વિષયે દેશમાં સર્વસંમતિ ન હોય તે બાબત વિચારણીય છે.

ગુજરાતમાં ૨૦૨૩થી ધોરણ ૫ અને ૮માં નાપાસ વિદ્યાર્થીને ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવતા નથી. જો કે ધોરણ ૧થી ૪ અને ૬-૭ માં નાપાસ થાય તો ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે. એટલે શિક્ષણની ગુણવતા કથળવાની હોય તો તે પાંચમા –આઠમાં નાપાસ થવાથી જ કથળે કે કોઈપણ ધોરણમાં ? હાલની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીના શિક્ષણનું મૂલ્યાંકન છે કે ગોખણપટ્ટીનું ? તે સવાલ પણ ઊભો જ છે. નો ડિટેન્શન પોલિસીનો ઉદ્દેશ ઉમદા હતો પણ તેના અમલમાં ગોબાચારી હતી. સતત પરીક્ષણ અને મૂલ્યાંકન નિષ્ફળ રહ્યું હતું. હાલની પરીક્ષા પદ્ધતિનો વિકલ્પ શોધવામાં કોઈને રસ ન પડ્યો. એટલે જેમ રાજ્યોનો મત આ નીતિ અંગે વહેંચાયેલો છે તેમ આ નીતિના લાભાલાભ અંગે પણ સમજવું રહ્યું. 

e.mail : maheriyachandu@Fgmail.com

Loading

...102030...385386387388...400410420...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved