Opinion Magazine
Number of visits: 9871836
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નાનીનું હાલરડું

આશા બૂચ|Opinion - Opinion|2 August 2015

2015ના મે માસમાં માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં એક અનોખો પ્રયોગ મનોરંજન ક્ષેત્રે થયો. સામાન્ય રીતે કાકા-માસીનાં સંતાનો કે મિત્રો એક બીજાને ઘેર રહેવા જાય, રાત્રે સૂએ અને આનંદ આવે તેવી પ્રવૃત્તિઓ કરે તે અનુભવ્યું, જાણ્યું છે. ભારતમાં હતી ત્યારે ખાસ કરીને અમે સહેલીઓ ભેળી મળીને વ્રત કરતી ત્યારે જાગરણને નિમિત્તે અમારા ભાઈઓ અને મિત્રો અમારે ઘેર આવે, મોડી રાત સુધી જાત જાતની પોતે બનાવી કાઢેલી રમતો, અંતકડી, અને પત્તા, વ્યાપાર જેવી રમતો રમવી, જાણીતા અને પોતે તત્કાળ ઉપજાવી કાઢેલાં નાટકો ભજવવા એવું બધું કરેલું છે, પરંતુ કોઈ થિયેટર આવું ‘Sleep over’નું આયોજન કરે તે પહેલી વખત સાંભળ્યું.

લગભગ સોએક લોકોએ આ ‘Sleep over’નો લાભ લીધો. સાંજે સાત વાગે માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં તેઓ એકઠા મળ્યાં, જાત જાતની હસ્ત કલાકારીગરીની વસ્તીઓ બનાવી, વાર્તાઓ કહી-સાંભળી, સંગીતની સુરવાલીઓના સંગાથે સાથે લાવેલ ભાથું ખોલીને ઉજાણી કરી અને તેની એક બીજાને લ્હાણી પણ કરી. રાતે દસેક વાગે સહુ પોત પોતાની સ્લીપિંગ બેગમાં ઢબુરાઈ જવાની તૈયારી કરતા હતાં, ત્યારે Scared Sounds Women’s Choirનાં સભ્યો એ થિયેટરમાં જુદી જુદી જગ્યાએ ગોઠવાઈને અચાનક એક હાલરડું ગાવા લાગ્યાં.

બીટબોક્સર જેસન સિંગ અને Scared Sounds Women’s Choirની આર્ટિસ્ટીક ડાયરેક્ટર Beth Allen બંનેએ મળીને રચેલ એ હાલરડાના શબ્દો હતા:

Rock the cradle very gently don’y wake him, he is sleeping


Gently feeling calm

Hush now, hush now sweet

Neend aye

Wax and wane

હવે આ પાંચ લીટીના ઇંગ્લિશ હાલરડામાં, વચ્ચે એક લીટી હિન્દીમાં, ‘નીંદ આયે’ કેવી રીતે ચુપકીદીથી આવીને ગોઠવાઈ ગઈ, તે ગાનારને સમજાયું નહીં. ત્યારે જેસન સિંગે જે કહ્યું તે તેના જ શબ્દોમાં મુકું, “હું નાનો હતો ત્યારે મારી નાનીમા મને રામાયણ-મહાભારતની વાર્તાઓ કહેતાં અને પછી મારા માથા પર હાથ ફેરવીને ગાતાં, ‘બેટા, નીન્દ આયે’. મને એની એવી તો મધુર સ્મૃિત છે કે આ ઇંગ્લિશ હાલરડામાં એ એક લીટી મુક્યા વિના, મારે માટે એ અધૂરું રહી જાય. તમે બહેનો જયારે ગાઓ, ત્યારે તમારા હાથમાં નાના બાળકને હુલાવતાં હો, તે રીતે ખૂબ વહાલથી, હળવેકથી, પ્રેમથી એ ગાઓ તેમ ઈચ્છું છું.” અને જાણે જાદુ થયો હોય, તેમ સમૂહ ગાન ગાનારી સહુ બહેનો જાણે હાથમાં એક નન્હીસી જાન ઝુલાવતાં હોય તેમ એ લીટી વારંવાર દોહરાવતાં રહ્યાં. બસ, જેસન તરત સજળ આંખે અમ બહેનોના પગ પાસે આવીને લપેટાઈને બેસી જતો અને અમને સહુને તેની સાથે એની નાની ગાતી એ સમયમાં, એ ઘરમાં એ દેશમાં લઈ જતો. એ અનુભવ કંઈક અનોખો હતો.

બાળકને જન્મ સમયે અને પહેલાં પાંચ વર્ષમાં જે લાડ, પ્રેમ મળ્યાં હોય, જે હાલરડાં અને વાર્તાઓ સાંભળવા મળ્યાં હોય, તે સાત સમુન્દર પાર જાઓ, સ્વભાષા મૂકીને પરભાષાની ભોમકામાં ઘર વસાવો, પણ એ મીઠાશની તોલે આવે એવું કંઈ મળે નહીં, અને તેની અભિવ્યક્તિ કયાંક ને ક્યાંક માર્ગ શોધીને થઈ જાય તેનો આ પુરાવો છે.

માન્ચેસ્ટરના રોયલ એક્સચેન્જ થિયેટરમાં, વિવિધ ધર્મોમાં, કે પછી, એક પણ ધર્મમાં ન માનનારી પચાસેક બહેનો, સાડીથી માંડીને સ્કર્ટ અને સ્કાર્ફ પહેરીને આ હાલરડું ગાય, એવું કદાચ પહેલી વખત બન્યું હશે, પણ છેલ્લી વખત નહીં બને તેમ લાગે છે.

e.mail : 71abuch@gmail.com

છવિ સૌજન્ય : પહેલો ફોટો 'રોયલ એક્સચેન્જ થિયેટર', માંચેસ્ટરની વેબસાઈટ; બીજો ફોટો "ધ ગાર્ડિયન" દૈનિક

Loading

તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|2 August 2015

તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે … વગેરે વાતો આપણાં ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાના સર્જક વિશે બહુ ઓછા લોકો જાણે છે.

તિરંગાના સર્જક છે – પિંગલી વેંકૈયા, જેમનો આજે જન્મ દિવસ છે. પિંગલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતનું નામ વેંકટરત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાને આપણે માત્ર તિરંગાના સર્જક તરીકે જ નહીં પણ બહુઆયામી પ્રતિભા તરીકે પણ યાદ રાખવા જોઈએ. તેમને અનેક ક્ષેત્રોનું ઊંડું જ્ઞાન હતું. વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા તો કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.

પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા, પરંતુ ભારતીય આઝાદી આંદોલનમાં ગાંધીજીની કોઈ ભૂમિકા નહોતી એટલે ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.

૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. ૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. પાંચેક વર્ષના સમયગાળામાં પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.

જીવનનાં આખરી વર્ષો ગરીબીમાં વિતાવનારા પિંગલી વેંકૈયાનું નિધન ૪ જુલાઈ, ૧૯૬૩ના રોજ થયું હતું. ભારતને તિરંગાની ભેટ આપનારા પિંગલી વેંકૈયાને આપણે ભૂલી ગયા, એ શરમજનક હકીકત છે. તેમના મૃત્યુનાં પૂરાં ૪૬ વર્ષ પછી છેક ઓગસ્ટ-૨૦૦૯માં આપણી સરકારને તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનું સૂઝ્યું હતું.

ખેર, આજે તેમના જન્મ દિવસે એટલું પ્રણ લઈએ કે જ્યારે જ્યારે તિરંગાને સલામ કરીશું ત્યારે પિંગલી વેંકૈયાનું સ્મરણ અચૂકપણે કરીશું.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : ‘સમય – સંકેત’ નામક લેખકની કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 અૉગસ્ટ 2015

Loading

આઇડેન્ટિટી પોલિટિક્સથી નાગરિકતા ભણી

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 August 2015

2015નો સવાલ :  સ્વરાજ, તું જન્મસિદ્ધ અધિકાર છો, પણ કિયો જનમ – નાગરિકનો કે નાતજાતનો ?

ફરી એક વાર, પહેલી ઑગસ્ટ … અને લોકમાન્યનું પુણ્યપર્વ ! રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષપદેથી ‘સ્વરાજ’ એ મંત્રપ્રયોગ કરનાર પહેલી શખ્સિયત જો એક ગુજરાતી નામે દાદાભાઈ નવરોજી હતા, તો ‘સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એવો ગરવો ઉદ્દગાર કેમ જાણે અમેરિકી ક્રાંતિની પરંપરામાં લોકમાન્યને નામે જમે બોલે છે. લોકમાન્ય ગયા ત્યારે એમને ખભો આપનાર પૈકી વડાઓમાં એક એવા મોહનદાસ ગાંધી હતા. સ્વતંત્રતાને ‘માઝા જન્મસિદ્ધ અધિકાર’ તરીકે ઓળખાવનાર ઝુઝારુ જોદ્ધાને વિશ્વગુજરાતી એવા ગાંધીનો ખભો મળવો તે જાહેર જીવનનો નકરો શિષ્ટાચાર નહોતો. સ્વતંત્રતાની વિસ્તરતી વ્યાખ્યાનો એ એક યુગસંકેત હતો.

આ સંકેત સખોલપણે મૂકી આપવો અને બોલી બતાવવો તે આજના દિવસોમાં જરૂરી છે એટલું કદાચ ક્યારે ય નહોતું. વિસ્તરતી વ્યાખ્યા એટલે દાદાભાઈના છેડેથી તેમ તિલક – બેસન્ટ સ્કૂલના ‘હોમરુલ’થી આગળ જઈને ગાંધીનહેરુપટેલની, લાલ-બાલ-પાલની આગળ જતી ત્રિપુટી હસ્તક ‘મુકમ્મલ આઝાદી’ કહેતા પૂર્ણ સ્વરાજના નિર્ધાર તો ખરો જ ખરો. પણ તિલક સંપ્રદાયમાં જેનો પૂરા કદનો મહિમા અગ્રસ્થાને નહોતો તે સામાજિક સમાનતા માટેની જદ્દોજહદ પણ ખરી.

રાજકીય આઝાદી અને આર્થિક-સામાજિક ન્યાયની પ્રક્રિયાએ સાથેલગાં ચાલવું રહે છે એ અર્થવિસ્તાર 2015માં આપણી સામે બુલંદપણે આવી ઊભતો હોય તો એનું એક રહસ્ય ચંદુ મહેરિયાએ ઊઘડતે અઠવાડિયે આભડછેટને જે સમગ્ર પરિપ્રેક્ષ્યમાં મૂકી આપી એમાં રહેલું છે. આ આભડછેટ જો ઉજળિયાત-દલિત વચ્ચે માલૂમ પડે છે તો દલિતોમાં પણ માંહોમાંહ માલૂમ પડે છે. ઉલટ પક્ષે, ગુજરાતમાં આ જ દિવસો કાલચક્ર બાબતે જાણે સમજના કાંટા પાછા ફેરવવા હોય તેમ આજકાલ ગાજતા ‘પટેલ અનામત’ના પણ છે. જરા જુદી રીતે, ગાંધીસૂચવ્યા બંધારણકાર આંબેડકરના એ શબ્દો આમ વારેવારે સાચું પડવા કરે છે કે પ્રજાસત્તાક બંધારણ સાથે આપણે એક વિલક્ષણ પરિસ્થિતિમાં પ્રવેશીએ છીએ, જેમાં રાજકીય આઝાદી સાથે આર્થિક-સામાજિક આઝાદીનું વાનું મેળમાં નથી.

ગાંધીની સ્વરાજની વ્યાખ્યામાં આભડછેટની નાબૂદી અને હિંદુ-મુસ્લિમ એખલાસ અભિન્ન અંગ સરખાં હતાં, એ એમના નેતૃત્વનો એક વિશેષ હતો. એક ઇતિહાસવસ્તુ લેખે આપણે સમજવું જોઈએ કે સમાજબંધારણમાં જો બદલની હિલચાલ મોળી હોય તો પ્રજાસત્તાક બંધારણમાં અપેક્ષિત અમલ પણ ઓછો અને પાછો પડે છે. ગુજરાતે વીસમી સદી ઉતરતે અનામતવિદ્રેષનું જે આંદોલન આગર હિંસ્ર ઉત્પાત અનુભવવાની નોબત આવી એમાં કાૅંગ્રેસ અને ભાજપ બેઉના નેતૃત્વની બીજી હરોળના ઠીકઠીક લોકો સંડોવાયેલા હતા. બાબુભાઈ જશભાઈની મુખ્ય ઓળખ અલબત્ત જુદી હશે, પણ ચિમનભાઈથી માંડીને આનંદીબહેન સુધી રાજકારણમાં પટેલોનો એક દબદબો રહ્યો છે. ભાઈકાકાની એ ફોર્મ્યુલા કે ‘પક્ષ’ એટલે પટેલનો ‘પ’ અને ક્ષત્રિયનો ‘ક્ષ’ આપણા નાતજાતગત વાસ્તવની પડછે વખતોવખત કામિયાબ હોઈ શકતી કોઠાસૂઝનુ અચ્છું નિદર્શન છે.

ગુજરાત ભાજપનો કેશુભાઈ-શંકરસિહ ઘટનાક્રમ આ સંદર્ભમાં જોવાસમજવા જેવો છે. જો કે કૉંગ્રેસમાં માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી અને સનત મહેતાનો ક્ષત્રિય (કે), હરિજન (એચ), આદિવાસી (એ), મુસ્લિમ (એમ) એ ‘ખામ’ વ્યૂહ કે પછી ભાજપમાં ગોવિંદાચાર્યની ધાટીએ નમોની ઓબીસી ઓળખભેર સામાજિક ઈજનેરીપૂર્વકની મંડલ-મંદિર મિલાવટમાં પણ તમને આ તરજ ઉપર યથાપ્રસંગ મતબેંકી રાજકારણ જોવા મળશે. વિસ્તૃત હિંદુત્વ રાજનીતિનો ગુજરાત નમૂનો જાડી રીતે કહેતાં ‘ખામ’ સામે ‘ખાસ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, સવર્ણ) જમાવટની રીતે સમજવા જેવો છે. પ્રસંગોપાત ‘ગરીબી હટાવો’થી માંડીને ‘વિકાસ’ સુધીના નારા નથી આવ્યા કે એની અપીલ નહીં ચાલી હોય એમ કહેવાનો આશય નથી. માત્ર, જન્મસિદ્ધ અધિકાર એવી સ્વંતત્રતા એવી ને એટલી જ જન્મસિદ્ધ નાતજાતગત ઊંચનીચથી આપણો પીછો છોડાવતી નથી તે વખતોવખતો વારંવાર સમજાય છે.

બને કે ‘ખામ’ ને વર્ણવાસ્તવ આને વર્ગવાસ્તવ વચ્ચે મેળ પાડવાની મથામણ તરીકે ઉપસાવવાનો ખ્યાલ હોય. કેમ કે ભૂમિહીન કિસાન કહેતાં ખેતમજૂર અને દલિત બેઉ લગભગ એક જેવા જોવા મળે છે. ‘ખાસ’માં મુસ્લિમને સ્થાને સવર્ણ અંબોળી જે આથો બને તે હિન્દુત્વ રાજનીતિમાં ‘લુમ્પન’ના પ્રવેશ અને પ્રતિષ્ઠા સાથે કેવો દારૂગોળો બની રહે છે તે 1992-2002ના ઘટનાક્રમ પછી કહેવાનું રહેતું નથી.

ગુજરાતમાં હાલના ‘પટેલ અનામત’ રાજકારણને કઈ રીતે જોઈ શકાય? જાડી સમજની રીતે એને ભાજપની અંદરના વ્યક્તિ ને નાતજાતગત ભેદના એક ‘નિકાલ’ તરીકે, તેમ પટેલ એકત્રીકરણ પછી માંહોમાંહે ભાગબટાઈના તબક્કા તરીકે પણ જોઈ શકાય. ગુજરાતમાં મોદી ઘટના સાથે ઓબીસી પરિબળના સંદર્ભમાં દિનશા પટેલ, પ્રફુલ્લ પટેલ, કેશુભાઈ પટેલ અને પ્રવિણ તોગડિયા સહિતની જમાવટ કોશિશને ઘટાવવાનો અવકાશ હતો જ – જેમ ખોડલધામ હિલચાલમાંયે હોઈ શકે છે. હવે ‘માંહોમાંહે’નો મામલો હશે ? હોઈ શકે.

જેપી આંદોલન અને જનતા મોરચાના દિવસોમાં ઈશ્વર પેટલીકર સાથે થતી ચર્ચામાં એમનું એક અવલોકન એ હતું કે અમે પાટીદારો સ્વરાજની લડતમાં જોડાઈ શક્યા. કેમ કે અમારી પાસે જમીનમાલિકીની એક હેસિયત હતી. આ હેસિયતે અમને રાજકીય જાગૃતિ જરૂર આપી, પણ આ જ હેસિયતે – તેની માંહેલા માલિકીભાવે – અમને સમાજનો એક વર્ગ ‘વહવાયું’ લાગતો હતો એમાંથી નીકળવાની કષ્ટસાધ્ય પ્રક્રિયા હજુ ચાલુ છે. ગાયકવાડીમાં ફરજિયાત શિક્ષણે અને રોકડિયા પાકે શુદ્રોને વૈશ્યની હેસિયત આપી વાણિયાબ્રાહ્મણ સાથે પટેલના દરજ્જામાં મૂક્યા. સૌરાષ્ટ્રની ઢેબર સરકારે ગરાસદાર નાબૂદી વાટે દીનહીન કિસાનને ‘પટેલ’ની ભૂમિકામાં મૂકી આપ્યો. આજે પટેલ અનામતનું લૉજિક કે માનસિકતા કે ચાલના શું છે એની તપાસ આ પૃષ્ઠભૂમાં કરવા જોગ છે.

બેસતે સ્વરાજે ગાંધીપહેલથી નેહરુપટેલમૌલાના ઉપરાંત મુખર્જી અને આંબેડકર સહિતની સરકાર બની એમાં તિલકની નનામીને ખભો દેતા ગાંધીનું વ્યાકરણ અને કવિન્યાય સમજાઈ રહે છે. હિંદુ, મુસ્લિમ, દલિત, ઓબીસી એ બધાં ‘આઇડેન્ટિટી પોલિટિક્સ’ની એક હદ સુધી ભૂમિકા નિ:શંક છે. પણ એક હદ સુધી જ, કેમ કે કાપવાનું અંતર તો નાગરિકતા ભણીનું છે. કોઈકે દાંડીકૂચ અને ‘અયોધ્યા’ નિમિત્તે સોમનાથથી શરૂ થયેલી યાત્રા બેઉને આ સંદર્ભમાં સરખાવી એમાં રહેલ બોધપાઠ અંકે કરવાપણું છે. એકે દેશ અને સમાજને જોડી, શોષણમુક્તિ અને સ્વરાજને પર્યાયી પ્રતિષ્ઠા આપી. બીજાએ દેશ અને સમાજને તોડી નાગરિક સંક્રાન્તિ પર સાંકડી આઇડેન્ટિટીને સવાર કીધી.

સ્વરાજ, તું જન્મસિદ્ધ અધિકાર છો. પણ કિયો જનમ-નાગરિકનો કે નાતજાતનો?

પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર  છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.

e.mail : prakash.nireekshak@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 01 અૉગસ્ટ 2015

Loading

...102030...3,8263,8273,8283,829...3,8403,8503,860...

Search by

Opinion

  • 1991ના દેશના આર્થિક સંકટમાંથી આપણે શું શીખી શકીએ?
  • અનામત કોઈને માટે ક્યાં સુધી ચાલુ રાખવી જોઈએ?
  • પરફોર્મેટિવ પૉલિટિક્સઃ રાજકારણ હવે માત્ર શાસન નહીં, વાયરલ થવાની કળા પણ
  • રાષ્ટૃની વિભાવના : સંઘર્ષ સમજૂતિ અને સ્થાપિત એજન્ડા
  • ચલ મન મુંબઈ નગરી—342

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • ગઝલ
  • નોકરી એક ચુડેલ
  • સાંજ….ગઝલ.
  • મારા પછી
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved