Opinion Magazine
Number of visits: 9771995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત આપણા સૌની

શિરીષ પંચાલ|Opinion - Literature|1 July 2015

રાષ્ટ્રીય સ્તરની કે રાજ્ય સ્તરની સાહિત્ય અકાદમીઓ સાહિત્યના પ્રસાર માટે શુદ્ધ હેતુથી કામ કરી રહી છે એમ માની લઈએ. દેશભરમાં પરિસંવાદો યોજાય છે એનાં પરિણામોની તપાસ કદાચ વ્યક્તિગત સ્તરે કોઈ કરતું હશે, કેટલીક વખત આપણા પરિસંવાદો મેળાવડા જેવા બની જતા હોય છે. શબ્દે-શબ્દે મેળાવડા થતા હોય, તો તો કોઈ પ્રશ્ન ન હતો.

થોડાં અઠવાડિયાં પર સિક્કિમના ગંગટોકમાં અખિલ ભારતીય વાર્તાકારોનું એક મિલન ગોઠવાયું હતું પરંતુ વાર્તાકારને કે વાર્તાવિવેચકને માત્ર પંદરથી વીસ મિનિટ ફાળવવામાં આવી હતી. વાર્તાકાર સ્વરચિત વાર્તા વાંચે અને વિવેચક પોતાની ભાષામાં લખાતી વાર્તા વિશે વક્તવ્ય આપે. આ પ્રકારનાં મિલન પાછળ આશય બહુ સારા હોય છે, પણ અનુભવ તો એમ કહે છે કે દર વખતે સમયની તાણ પડતી હોય છે, એટલે ચા-પાણી કે ભોજન સિવાય પરસ્પરને મળવાનો જાણે સમય જ રહેતો નથી. અંગત રીતે માનું છું કે આના કરતાં હિંદી-અંગ્રેજીમાં પ્રગટ થતાં અકાદમીનાં સામયિકોમાં વિશેષાંક રૂપે આ બધી સામગ્રી આવે, તો સૌ કોઈને વધારે કામ લાગે. જેટલાં નાણાં આવાં મિલનો પાછળ ખર્ચાય છે, તેના કરતાં ઓછા પૈસે વિશેષાંકો પ્રગટ થઈ શકે. આનો અર્થ એવો નથી થતો કે પરિસંવાદો કે એવાં કોઈ વિશિષ્ટ આયોજનો થવાં જ ન જોઈએ. રાજેન્દ્ર શાહ કે પ્રેમાનંદની ઊજવણી વખતે સિતાંશુ યશશ્ચંદ્રની રાહબરી હેઠળ થયેલાં આયોજનો ચિરસ્મરણીય અને અનુકરણીય પ્રકારનાં હતાં જ ને!

અત્યારે એક ભયસ્થાન ક્ષિતિજે ડોકિયાં કરી રહ્યું છે. સાહિત્ય-કળા-તત્ત્વજ્ઞાન-ઇતિહાસ વગેરેથી નવી પેઢી દૂર-દૂર જઈ રહી છે, અને એનાથી ખરાબ હકીકત તો એ છે કે આ પેઢી જીવનથી પણ દૂર દૂર સરી રહી છે. એક પ્રકારની ઘેરી ઉદાસીનતા જાણે ઘર કરવા માંડી છે. પોતાની નિરક્ષરતાનું ગૌરવ જાણે-અજાણે તે અનુભવે છે. આમે ય શાસન તો ઇચ્છે જ કે પ્રજા નિરક્ષર રહે. કદાચ શાસકો કોઈ સરમુખત્યારની જેમ બધી જ સાહિત્યસંસ્થાઓનો, શૈક્ષણિક સંસ્થાઓનો ગ્રાસ કરી જાય તો નવાઈ નહીં. જે દેશમાં રાજકીય પક્ષ અને સરકાર વચ્ચેનું અંતર સાવ ભૂંસાઈ જતું હોય તે દેશમાં કશું પણ બનવાની શક્યતા હોય છે. આપણું લોકતંત્ર આભાસી લોકતંત્ર થઈ રહ્યું છે અને એનાં ચિહ્નો ઉઘાડેછોગ દેખાવાં માંડ્યાં છે. એનો સૌથી પહેલો ભોગ શિક્ષણક્ષેત્ર બની રહ્યું છે. વાણીસ્વાતંત્ર્ય હોવા છતાં તેનો અનુભવ થતો નથી. પ્રજાજનોને શાસકોની કઠ પૂતળીઓ બનીને જીવવાની જાણે ફરજ પડી રહી છે. અને એ બનવામાં પ્રજા પોતાના જીવનની સાર્થકતા અનુભવતી હોય એમ પણ લાગે છે. આવા વાતાવરણમાં આલ્બેર કૅમ્યૂની કૃતિ ‘કાલીગુલા’ કે યુજિન આયોનેસ્કોની કૃતિ ‘રાઇનોસરોસ’ યાદ આવ્યા વિના ન રહે.

જો એકહથ્થુ શાસનવાળા દેશમાં વિદ્રોહ થઈ શકતો હોય, તો લોકતંત્રવાળા દેશમાં તો વિદ્રોહ, વિરોધને કેટલો બધો અવકાશ છે! પોતાને જે તક મળે તેનો ઉપયોગ કરતાં આવડવું જ જોઈએ.

દેશભરમાં કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટક સંલગ્ન અનેક અકાદમીઓ છે. એમની વચ્ચે કશીક સંવાદિતાનો અભાવ છે. એક સર્વસામાન્ય નિયમ એ પ્રવર્તવો જોઈએ કે આવી સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાને પ્રથમ પંક્તિમાં સર્જકો હોવા જોઈએ. દિલ્હીની સાહિત્ય અકાદમીનો આરંભ થયો ત્યારે, જો હું ભૂલતો ન હોઉં તો, તેના અધ્યક્ષપદે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતા. અહીં યાદ રહેવું જોઈએ કે તેઓ પૂર્વકાળમાં ઇતિહાસકાર અને ઉત્તમ ગદ્યકાર હતા, વડાપ્રધાન પછીથી થયા. રશિયન શાસક નિકિતા ખ્રુશ્ચેવ ભારત આવ્યાં ત્યારે નેહરુએ ઉમાશંકર જોશીની ઓળખાણ તેમની સાથે કરાવી હતી. આ શાલીનતા અને કદરદાની આજે તો દુર્લભ થઈ ગયાં છે.

અત્યારે પણ કેન્દ્રીય અકાદમીના અધ્યક્ષ તેમની ભાષાના ઉત્તમ સર્જક છે. પરંતુ જો વર્તમાન સિલસિલો ચાલુ રહ્યો, તો એવો ડર લાગે છે કે આવી સાહિત્યસંસ્થાઓમાં પ્રમુખ તરીકે સરકારી અધિકારીઓ, રાજકીય પક્ષના હોદ્દેદારો આવશે અને આ સજ્જનોને મોટે ભાગે કળા, સાહિત્ય, સંસ્કૃિત સાથે ખાસ કશો સંબંધ નથી હોતો. તેઓ શિક્ષણ-સાહિત્યની સંસ્થાઓમાં પોતાના વફાદાર માણસોને ગોઠવી દેશે. ઉત્તમ સર્જકો દેશના પ્રતિનિધિઓ, રાજદૂતો બની શકે છે. દા.ત., ઓક્તાવિયો પાઝ (મેક્સિકો) કે ગગનવિહારી મહેતા.

દેશને, દેશની સંસ્કૃિતને જો ખરેખર ઊંચે લાવવાની દાઝ હોય, તો નર્મદાશંકર દવે પાસે જવું જોઈએ. તે વેળા શિક્ષણનો સ્તર હતો, તેના કરતાં અનેક-ગણો નીચે ઊતરી ગયો છે. અનેક રીતે પછાત અને છતાં સુધારકયુગ અનેક રીતે સમૃદ્ધ હતો, જ્યારે આજે વિજ્ઞાન-ટેક્નોલૉજીની રીતે ઘણો પ્રગતિશીલ આપણો સમય અને છતાં બેહાલ. આવી પરિસ્થિતિની સામે વિરોધ કરવો જ પડે. ગુલામમોહમ્મદ શેખ અને મિત્રો સાથે મળીને જે ‘વૃશ્ચિક’નું પ્રકાશન કરતા હતા, તેના દ્વારા લલિતકળા અકાદમી સામે વિદ્રોહ કર્યો જ હતો ને! પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી ઘટે કે વિદ્રોહ કરનારા પણ પારદર્શી, પ્રામાણિક, નિષ્ઠાવાન હોવા જોઈએ. સૌથી પહેલાં શિક્ષણનું જગત સુધારવાની જરૂર છે. હવે શાસનતંત્ર પર ભરોસો રાખવાને બદલે કેટલાક સમદુખિયાઓએ આગળ આવવાની જરૂર છે અને આજની તારીખે આવા માણસોની ખોટ નથી, આ બધાંની પોતપોતાની અંગત મહત્ત્વાકાંક્ષાઓને બાજુ પર મૂકીને ખભેખભા મિલાવીને વર્તમાન તંત્રને ફરી એક વાર સરખું કરી આપવાની જરૂર છે.

તો આવો, આપણે સૌ શક્ય તેટલો ફાળો આપીને વાતાવરણમાં નવો પ્રાણસંચાર કરીને તેને ધબકતું કરી દઈએ.

(‘સમીપે’ના સદ્દભાવથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 08

Loading

રાજકારણ એકપાત્રી પ્રયોગનો મંચ નથી, નરેન્દ્રભાઈ! અહીં તો બોલવું પડતું હોય છે, સાંભળવું પડતું હોય છે તેમ જ પ્રતિસંવાદ કરવો પડતો હોય છે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|30 June 2015

કોઈ બાબતે આખો દેશ જ્યારે બોલો-બોલોનો પોકાર કરતો હોય અને એ બાબતે બોલવું પરવડે એમ ન હોય ત્યારે મૂંગા રહેવું જોઈએ, પરંતુ ભળતા જ વિષયે ન બોલવું જોઈએ અને એ પણ એ સમયે તો નહીં જ જ્યારે તમારી પાસેથી ચોક્કસ એક જ વિષયે વાત સાંભળવા લોકો આતુર હોય

કોઈ બાબતે આખો દેશ જ્યારે બોલો-બોલોનો પોકાર કરતો હોય અને એ બાબતે બોલવું પરવડે એમ ન હોય તો મૂંગા રહેવું જોઈએ, પરંતુ ભળતા જ વિષયે ન બોલવું જોઈએ અને એ પણ એ સમયે તો નહીં જ જ્યારે તમારી પાસેથી ચોક્કસ એક જ વિષયે વાત સાંભળવા લોકો આતુર હોય. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને – જો તેઓ સાંભળવાની આદત ધરાવતા હોય તો – આ વાત કોઈએ કરવી જોઈતી હતી.

અકળામણ, મૂંઝવણ, વિમાસણ, ધર્મસંકટના પ્રસંગો માણસના જીવનમાં આવતા જ હોય છે અને ખાસ કરીને રાજકારણમાં તો એ છાશવારે આવતા હોય છે; કારણ કે રાજકારણના સર્કસમાં સેંકડો જોકરો એકસાથે કૂદાકૂદ કરતા હોય છે. કોઈ જોકર કંઈ કરી બેસે કે બોલી બેસે તો મૂંઝવણની સ્થિતિ પેદા થતી હોય છે. એટલે તો જગતભરના રાજકારણમાં સ્મિત, વિનોદ, કહેવતો કે સુભાષિતોનો ઉપયોગ કે પછી કંઈ પણ બોલ્યા વિના પ્રશ્ન કરનારના ખભા પર હાથ મૂકીને સાથે ચાલવાના જેસ્ચરને રાજકીય અભિવ્યક્તિનો હિસ્સો માનવામાં આવે છે.

સરદાર કે. એમ. પણિક્કર ભારતના ચીન ખાતેના રાજદૂત હતા. તેમણે એક પાર્ટીમાં ચીનના સુપ્રીમ લીડર માઓ ઝેદોંગને ભારત-ચીન સંબંધો વિશે પ્રશ્ન પૂછી લીધો. માઓએ ભારતને ન ગમે એવી વાત હજી એ ક્ષણે કરવી નહોતી એટલે તેમણે સરદાર પણિક્કર સામે જોઈને મધુર સ્મિત આપ્યું, ઉષ્માભર્યું હસ્તધૂનન કર્યું, હાથ પકડીને બીજા મહેમાનો સુધી લઈ ગયા, સરદાર પણિક્કરનો પરિચય કરાવતાં વખાણનાં બે વાક્યો કહ્યાં અને પછી બીજા મહેમાનો સાથે વાતે વળગી ગયા. માઓ કંઈ બોલ્યા નહોતા અને છતાં ભારતમાં ઘણાં વર્ષો સુધી એ ઘટનાને કારણે એમ માનવામાં આવતું હતું કે ચીન ભારતનું મિત્ર છે અને મિત્ર રહેવાનું છે. સરદાર પણિક્કર સાથેનો એ પ્રસંગ ભારતીય મુત્સદ્દીગીરીનો કાયમી ચર્ચાનો વિષય છે અને ડિપ્લોમેટે શેનાથી બચવું જોઈએ એ માટે આ પ્રસંગ ટાંકવામાં આવે છે. અટલ બિહારી વાજપેયી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીના એ સમયે હનુમાન ગણાતા વૈન્કેયા નાયડુએ કહ્યું હતું કે વડા પ્રધાનની કામગીરી થકવી નાખનારી હોય છે અને એમાં વિકાસપુરુષ પછી હવે લોહપુરુષની દેશને જરૂર છે. ઇશારો એવો હતો કે વાજપેયીએ સામેથી અડવાણીની તરફેણમાં ખસી જવું જોઈએ.

આ વિશે વિવાદ જાગ્યો અને વાજપેયીને મીડિયાએ પ્રશ્ન કર્યો ત્યારે ટિપિકલ વાજપેયી સ્મિત આપતાં તેમણે કહ્યું હતું: નો ટાયર્ડ નો રિટાયર્ડ. આનું નામ અભિવ્યક્તિ. ન બોલવા છતાં બોલવું અને બોલવું તો એક વાક્યમાં એવું બોલવું કે સામેવાળો ભ્રમિત થઈ જાય એને ઉત્તમ દરજ્જાના નેતાઓનાં લક્ષણો માનવામાં આવે છે. જવાહરલાલ નેહરુ પ્રશ્નોથી ક્યારે ય ભાગતા નહીં. તેઓ દરેક પ્રશ્નનો વિગતે અને થોડી લાંબી લેખણે ઉત્તર આપતા. લેખણે એટલા માટે કે મોટા ભાગે તો તેઓ મુખ્ય પ્રધાનોને લખવામાં આવતા પખવાડિક પત્રોમાં એનું ઍકૅડેમિક વિશ્લેષણ કરી લેતા. બૌદ્ધિક ક્ષમતા હોય તો દુરાચારનું પણ સમાજશાસ્ત્રીય પૃથક્કરણ કરી શકાય છે અને નેહરુમાં એવી આવડત હતી. નેહરુએ કરેલા પ્રાસંગિક ખુલાસાઓનો પાછળથી સમાજશાસ્ત્રીઓએ ઉપયોગ કર્યો હોય એવું અનેક વાર બન્યું છે. ઇન્દિરા ગાંધી ભાગતાં નહીં, પરંતુ સામી છાતીએ વળતું આક્રમણ કરતાં. છેવટે કંઈ ન મળે તો એને કાવતરા તરીકે અને ક્યારેક તો આંતરરાષ્ટ્રીય કાવતરા તરીકે ઓળખાવતાં. બાકી મોઢું છુપાવે કે ચૂપ રહે એ બીજા. અટલ બિહારી વાજપેયીએ હંમેશાં બૉડી-લૅન્ગ્વેજનો અને વન-લાઇનર જુમલાઓનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે.

પ્રશ્ન પૂછનારા સામે એવી રીતે જોઈને સ્મિત આપે કે પૂછનાર લજવાઈ જાય. પી. વી. નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહે નહીં બોલવામાં નવ ગુણ માન્યા હતા. પ્રસંગ પોરસાવાનો હોય કે લજામણીનો, બોલવાનું જ નહીં. કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય, દુનિયા વાહ-વાહ કરતી હોય ત્યારે પોતે પોતાના વિશે પોરસાઈને એક શબ્દ ન બોલવો, આત્મપ્રસંશા ન કરવી એને મૌન કહેવાય. આર્થિક સુધારાઓ કર્યા ત્યારે નરસિંહ રાવની આખી દુનિયામાં વાહ-વાહ થઈ છે, પરંતુ તેઓ પોતાના વિશે એક શબ્દ નથી બોલ્યા. ડૉ. મનમોહન સિંહની અમેરિકા સાથેની અણુસમજૂતી પછી અને માહિતીનો અધિકાર આપવા માટે પ્રશંસા થઈ છે, પરંતુ તેઓ પોતે પોતાના વિશે ક્યારે ય કશું નથી બોલ્યા. નરેન્દ્ર મોદી ગયા વર્ષે ચૂંટણીપ્રચાર દરમ્યાન ડૉ. મનમોહન સિંહને મૌનમોહન સિંહ તરીકે ઓળખાવતા હતા. ડૉ. મનમોહન સિંહ બહુ-બહુ તો મૌનમોહન સિંહ હતા, પણ ચૂપેન્દ્ર સિંહ નહોતા. મૌન અને ચુપકીદીમાં ફરક છે.

મૌન સ્થાયીભાવ છે, એને પ્રસંગોપાત્ત ઉપયોગમાં નથી લાવવામાં આવતો. ઓછું બોલનારાઓ હરખાવાની ક્ષણે પણ ઓછું જ બોલતા હોય છે. તેઓ ક્યારે ય ભાન ભૂલીને બોલતા નથી. આમ છતાં ડૉ. મનમોહન સિંહે હદની સ્થિતિ પેદા થાય અને પ્રજા બોલો-બોલોની માગણી કરતી હોય ત્યારે પ્રત્યક્ષ બોલવાની જગ્યાએ અખબારી નિવેદન બહાર પાડીને બોલ્યા જ છે. દિલ્હીમાં અણ્ણા હઝારેનું આંદોલન ચાલતું હતું કે નિર્ભયા સાથેના બળાત્કારનો કિસ્સો બન્યો ત્યારે તેમણે જાહેર નિવેદન બહાર પાડીને સરકાર વતી ખુલાસો કર્યો હતો. આવા હજી બીજા કેટલાક પ્રસંગો યાદ આવે છે. પ્રજા જ્યારે બોલો-બોલોનો પોકાર કરતી હોય ત્યારે આપદ્ધર્મ સમજીને નિત્યમૌની પણ મોઢું ખોલે, પણ એવી ક્ષણે નિત્યવક્તા મૂંગા રહે ત્યારે એને મૌન ન કહેવાય પણ ચુપકીદી કહેવાય.

ચુપકીદી એ ભાગેડુવૃત્તિ છે જ્યારે મૌન એ કાયમી સ્વભાવ છે. નરેન્દ્ર મોદી જે માર્ગ અપનાવી રહ્યા છે એ શોભાસ્પદ નથી. તેમની ઇમેજ ખરડાઈ રહી છે. શું હાથમાં આવી રહ્યું છે મૌન રહેવાથી? તેમને વળતો પ્રહાર થાય એનો ડર લાગે છે તો આ જગતમાં કયા નેતા સામે વળતો પ્રહાર નથી થયો? તમે પોતે તમારા પ્રતિસ્પર્ધી સામે વળતા પ્રહાર નથી કર્યા? ૫૬ ઇંચની છાતીનો દાવો કરવાનો અને શાબ્દિક પ્રહારોથી ભાગવાનું એમાં વિસંગતિ નથી? નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણને રંગમંચ સમજે છે જેમાં તેઓ એકપાત્રી નાટકના અભિનેતા છે. ન મંચ પરથી કોઈએ બોલવાનું, ન શ્રોતાએ બોલવાનું. નરેન્દ્ર મોદી એક વાત ભૂલી જાય છે કે એકપાત્રી પ્રયોગનો પ્રેક્ષક પણ સભાગૃહમાં બેઠા-બેઠા અભિનેતાના અભિનયનું અને એકોક્તિઓનું મૂલ્યાંકન કરતો હોય છે.

મન કી બાતની એકોક્તિઓનું આકર્ષણ હવે ઝાંખું પડી રહ્યું છે એનું આ કારણ છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 30 જૂન 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-30-6-2015-5

Loading

જે હાક સાંભળીને ઊભા થયા નહીં … માણસ અને મડાંનો મતલબ બતાવ તું

વિપુલ કલ્યાણી|VK - Ami Ek Jajabar|30 June 2015

‘જે હાક સાંભળીને ઊભા થયા નહીં … માણસ અને મડાંનો મતલબ બતાવ તું’

મારા મહેરબાનો ! હું ય તમારી જોડાજોડ અદમ ટંકારવીનું બહુમાન કરવામાં સહૃદય સામેલ છું. ઊભો થયો છું “અોપિનિયન”કાર રૂપે; પરંતુ અકાદમીનું છોરું છું, તેથી તે વડેરી સંસ્થા વતી પણ, ટટ્ટાર, ખડા રહેવાની અહીં ચેષ્ટા છે.

દાયકાઅો પહેલાં, સાંભરી અાવે છે, મરહૂમ અંજુમ વાલોડીનું કેન્દ્રીય અકાદમીવતી માતબર બહુમાન થયેલું. તેમ મહેક ટંકારવી તેમ જ દિવંગત ભાનુશંકર અોધવજી વ્યાસનું પણ તત્કાલીન ગુજરાત સરકારે ઉચિત કદર કરેલી. હજુ હમણાં, અદમ ટંકારવી ઉપરાંત બળવંત નાયક અને જગદીશ દવેને ય તળ ગુજરાતની અવ્વલ સાહિત્યિક સંસ્થાઅોએ પોંખેલા.

અવસરે અતિથિ વિશેષ લૉર્ડ નવનીત ધોળકિયાને હાથે સ્મૃિતચિહ્ન સ્વીકારતા અદમ ટંકારવી. પડખે અહમદ 'ગુલ' છે, જ્યારે પાછળ પ્રફુલ્લ અમીન તથા ભારતી વોરા દૃષ્ટિમાન છે.

પરંતુ અા વેળાની તદ્દન નોખી વાત બની છે. અહીં તો મુંબઈસ્થિત સંસ્થા, ‘ઇન્ડિયન નેશનલ થિયેટરે’, અદમ ટંકારવીનું તાજેતરમાં બહુમાન કર્યું છે – ‘કલાપી પારિતોષિક’ વડે. અને હું ય પોરસાઉં છું. અને અદમભાઈનાં દુખણાં લઈ લઈને અમે ય અા વધાઈમાં હાજરાહજૂર છીએ.

“મુંબઈ સમાચાર”માં ‘ચિટચેટ’ નામે સ્થંભ અાવે છે. સંચાલક નંદિની ત્રિવેદીએ, ગયા અૉગસ્ટ દરમિયાન, અાદમ ઘોડીવાળા ઉર્ફે અદમ ટંકારવી સાથે, એકવાર વાતચીત માંડી હતી. તેમાં એક સવાલ હતો : ‘તમારે માટે સૌથી મૂલ્યવાન શું ?’ તો જવાબમાં અા પારિતોષિક મેળવનાર સજ્જન કહેતા હતા : ‘પરમ તત્ત્વ સાથે સંવાદ રચાય અને માલિક રાજી થાય એવું જીવન જીવાય એ મારે માટે સૌથી અગત્યનું છે. દુનિયામાં રહીએ પણ દુનિયાના નહીં – અલિપ્ત રહીને કર્મ કરતાં રહેવાનું.’

વાહ ! વાહ !! − કહેવાનું જ મન થાય. … ખેર !

હર્ષદ ત્રિવેદી સંપાદિત “શબ્દસૃષ્ટિ”ના, ‘કવિતા અને હું’ કેન્દ્રગામી વિષય જોડાજોડ, ‘દીપોત્સવી વિશેષાંક : ૨૦૧૧’માં અદમ ટંકારવી ‘ગઝલાષ્ટક’ લઈને અાવે છે. અારંભે જ ખુદને સવાલે છે : ‘શબ્દ ક્યાંથી જડ્યો ?’ અને પછી, પોતે જ જવાબ વાળે છે : ‘એ પ્રશ્નનો સાફસૂથરો ઉત્તર હજુ જડ્યો નથી.’ અને પછી અદમસાહેબની શબ્દ-ગાડી દોડવા લાગી છે :

‘મારા ગામ ટંકારીઅાની ગામઠી શાળામાં દાખલ થયો ત્યારે શિક્ષણનું માધ્યમ હતું ઉર્દૂ. બે વર્ષ પછી અાઝાદી અાવી, અને શાળાએ ગુજરાતી માધ્યમ અપનાવ્યું. ઘરમાં, ગામમાં ગુજરાતી બોલાય પણ તે પ્રશિષ્ટ નહીં. એમાં ઉર્દૂની છાંટ અને બોલી ભરૂચી. પરભાતિયાં, હાલરડાં એવું કશું સાંભળવા ન મળે. ગામમાં પુસ્તકાલય નહીં. હાઇસ્કૂલમાં ગયો ત્યારે પ્રથમવાર “ઝગમગ”, “રમકડું” અને ગોલીબારનું “ચક્રમ” જોયું. હઝલસમ્રાટ ‘બેકાર’ની એક દીકરી અમારા ગામમાં પરણાવેલી. વરસેદહાડે તેઅો ટંકારીઅા અાવે અને બેત્રણ દિવસ રોકાય. અમે તેમની પાસે બેસી શાયરોની, મુશાયરાની વાતો સાંભળીએ. પછીથી તેમનું સામયિક “ઇન્સાન” વાંચતો થયો.

‘“ઇન્સાન”માં વાંચ્યું કે, સુરતમાં એક તરહી મુશાયરો છે, જેની પંક્તિ છે : હવે લાગી રહ્યું છે વારતા પૂરી થવા અાવી. ત્યારે હું નવમાં ધોરણમાં ભણું. મને થયું અા પંક્તિ પર ગઝલ લખું. છંદનું ભાન નહીં, પણ લય પકડાય. “ઇન્સાન”માં ગઝલો વાંચીને કાફિયા, રદીફની સમજ પડેલી. ઉપનામ રાખ્યું અદમ. નામ અાદમ, એમાંથી કાનો કાઢી નાખ્યો. ગામનું નામ ટંકારીઅા, તેથી સાથે જોડ્યું ટંકારવી. પંક્તિને અાધારે પ્રથમ ગઝલ લખાઈ તેમાં શૅર અાવ્યો :

જખમ જીવલેણ છે  તેનો તમે કંઈ શોક ના કરશો,
મને  સંતોષ  છે  કે,  બે  ઘડી  તમને  મજા  અાવી.
‘જખમ હતો એ નક્કી. શેનો ? તેની ગતાગમ નહીં.

‘અાલમેઅરવાહમાંથી છૂટા પડ્યા તો – વિચ્છિન્નતાનો હોય, શબ્દ એને રૂઝાવશે એવી અપેક્ષા હોય. એ ગઝલમાં અન્ય શૅર અાવો :

તમારા સમ સિફતથી મેં જ દિલને સાચવી લીધું,
જગતમાં તો ઘણી ચીજો મને લલચાવવા અાવી.

‘કદાચ, ગઝલની દાબડીમાં દિલ સચવાશે એવી હૈયાધારણા હોય.

‘એ અરસામાં વાર્તાકાર વલીભાઈ પટેલ કોક લગ્નપ્રસંગે અમારે ગામ અાવેલા. એમને અા પ્રથમ ગઝલ “ઇસ્લાહ” માટે અાપી. ગઝલ વાંચી એમણે કહ્યું : વજનમાં છે, શેરિયત છે, “ઇસ્લાહ”ની જરૂર નથી. “ઇન્સાન”ને પ્રગટ થવા સારુ મોકલ. મોકલી. બીજે મહિને “ઇન્સાન”માં પ્રગટ થયેલી જોઈ મોં જોણાંનો અાનંદ અનુભવ્યો !’

વારુ, ‘કૂંડાળું’ નામે અદમ ટંકારવીની એક અછાંદશ કવિતા છે.

કવિતાનું કૂંડાળું
સવર્ણ સંવેદન
વર્ણીય વિશ્વદર્શન
અાભડછેટિયા અભિવ્યક્તિ
ન્યાતીલું નિરૂપણ
મરજાદી મર્મ
ભદ્ર ભાષાકર્મ

અછૂત / હડધૂત / વંચિત / શોષિત / પીડિત /
વ્યથિત
કૂંડાળા બહાર

સમાજાભિમુખ કવિતા ?
સમાજ એટલે અમે −
પેલા નહીં
સમાજ એટલે પહેલા −
છેલ્લા નહીં

બહુજનસમાજ તમારી કવિતાને અડતો નથી
કેમ કે,
તમારી કવિતા બહુજનસમાજને અડતી નથી

ડિસેમ્બર 2009 વેળા, કવિનો એક કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. નામ છે : ‘અોથાર’ ૨૦૦૨. બધું મળીને 41 કૃતિઅો છે, ને તેમાં છ જ ગઝલ છે. બાકીની સઘળી અછાંદશ. પ્રકાશ ન. શાહ સંગ્રહને ‘મહેણું ભાંગતી મથામણ’ કહીને જણાવે છે : ‘જુગતરામ દવેએ વેડછી પંથકમાં અાદિવાસી શિક્ષણની જે ધૂણી ધખાવી, દર્શક એને એકલવ્યનું પ્રાયશ્ચિત કહેતા. એક રીતે, અદમ ટંકારવીની અા સર્જક મથામણ એ કૂળની છે.’ અને પછી એ ઉમેરે છે : ‘તળ ગુજરાત, એની કથિત મુખ્યધારા, છેવટે તો અાપણ સૌ 2002ના ઘટનાક્રમના સંદર્ભમાં જે દાયિત્વ નથી નભાવી શક્યા એનું મહેણું અહીં ડાયસ્પોરી છેડેથી કંઈકે ભાંગી રહ્યું છે.’

‘સંવેદનબધિર ચૂપકીદીને ચીરતી એક ચીસ જેવી’ અા રચનાઅો અંગે ડંકેશ અોઝાએ તો મજબૂતાઈએ ‘એક ગ્રામ સત્ય’ ચિંધી બતાવ્યું છે. ડંકેશભાઈના કહેવા મુજબ, ‘ગુજરાતીમાં સાંપ્રત ઘટનાઅોની પ્રતિક્રિયારૂપે સાહિત્ય પ્રમાણમાં અોછું લખાય છે. હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાઅોની સરખામણીએ ગુજરાતી સાહિત્યકાર વધુ ઠાવકો, વિવેકી હોય એવું લાગ્યા કરે છે ! શું કારણ હશે ? અાવા વિષયે કોઈ સામાજિક સંશોધન થતું નથી. અાશા રાખીએ કે એકવીસમી સદી અાવા સંશોધનની પણ સદી બની રહે !’

ડંકેશભાઈ કહે છે તેમ ‘ઢાઈ અક્ષર પ્રેમકા’નો કબીરી સંદેશ કે ‘રઘુપતિ રાઘવ રાજારામ’નો ગાંધી સંદેશ અાપણાને પચ્યો નહીં અને જચ્યો પણ નહીં. અાપણે તો શુદ્ર-ભદ્ર, કૌંસ-ક્રોસના અક્ષરોમાં અટવાતા રહ્યા. ‘પહેલે કસાઈ, બાદમેં ઇસાઈ’ના ભીંતલખાણો ચિતરતા રહ્યા અને ‘તેરી મેરી ક્યા હૈ સગાઈ ? હમસબ હૈ ભાઈ-ભાઈ’ વાળી વાતનો મર્મ ન પામી શક્યા. કારણ :

સાક્ષરશ્રી ‘સ’ વાળું પૃષ્ઠ ખોલવા મથે
ને સામે અાવે ‘ન’ વાળું પૃષ્ઠ
ને તેમાં ન્યાત શબ્દ પછી અાવે
ન્યાય
હવે શું થાય ?
સુજ્ઞશ્રી મૂંઝાયખિજાયધૂંધવાયકિન્નાયગિન્નાય
ગુજરાતી કક્કામાં અાવે ‘સ’ની પહેલાં ‘ન’
કનડગતનું કારણ કક્કાનું ઘડતર હતું અને તેથી જ પોતાનો કક્કો ખરો કર્યો !

‘2002નો પ્રગટ ઉલ્લેખ અને અાક્રોશ કાવ્યસંગ્રહમાં હોય તો તેની કવિને અાભડછેટ નથી, બલકે અોથાર તો એમને ઉતારવો છે જો ઉતારી શકાય તો !’ ડંકેશભાઈ વધુમાં જણાવે છે તેમ, ‘પરંતુ તે અતિ મુશ્કેલ છે. લોકસંગીતની માફક, કવિતા મારફત કવિ સમુદાયનું ઋણ ફેડવા કલમ ઉઠાવે છે, અને ઊઠે છે એક ચીસ, જે ‘અોથાર’ના પાને પાને સંભળાય છે અને બે કાને અાડા હાથ દેવા વાચકને મજબૂર કરે એવી તીવ્રતા તેની છે.’

કવિને માટે સવાલ સીધો−સાદો છે; પરંતુ અાપણા દરેક માટે ? લો, વાંચીએ :

જેના પર તલવાર ઝીંકાય એ ગરદન તમારી હોય તો ?
જે અાગમાં ફંગોળાય એ સંતાન તમારું હોય તો ?
જે ગોળીથી વીંધાય એ ભાઈ તમારો હોય તો ?
જે સળગાવાય એ ઘર તમારું હોય તો ?
જે લૂંટાય એ દુકાન તમારી હોય તો ?
જે ઘવાય એ સ્વમાન તમારું હોય તો ?
તાત્પર્ય
હું તમે, તમે હું, અદલાબદલી, સ્થાન ફેર
હું ઘરમાં, તમે રાહતછાવણીમાં
હું તાવું, તમે તાવણીમાં

અાશાનું કિરણ છેલ્લી ગઝલમાં વરતાય છે.  

અાપણામાં દરેકને ફરી શ્રદ્ધા અને વિશ્વાસનું રોપણ કરવાને સારુ શાયર મથે છે :

ઝમકઝોળઝબ ઝળહળે છે હજી
દિલાસાના દીવા બળે છે હજી
નથી સાવ ઊફરા અધૂકડા અલગ
કદમ અા તરફ પણ વળે છે હજી
અા અાખી ય વસતી નરાધમ નથી
કોઈક દેવુભા પણ મળે છે હજી
સમાયુક્ત સંવેદ સાબૂત છે
કકણકમકમાટી કળે છે હજી
બધાં છિન્ન છૂટાં છવાયાં નથી
કોઈક ક્યાંક તો સાંકળે છે હજી
કોઈ પ્રાણ રેડી ગઝલ ગાય છે
ગઝલ્લીન કો’ સાંભળે છે હજી
છે અાવરદાનાં એય બળિયાં, જુઅો
દયા ડોસી દરણાં દળે છે હજી

હવે અંત ભણી જઉં તેની સાથોસાથ, અા ‘અોથાર’ના શાયર, અદમ ટંકારવીએ, ઉર્ફે અાદમ ઘોડીવાલાએ, 26 અૉગસ્ટ 2003ના “અોપિનિયન” સામયિકમાં, ‘ફૅર પ્લૈ’ નામે એક વિચારશીલ અને રચનાત્મક લેખ અાપ્યો હતો. સંસ્થાકીય કોમવાદને નાથવાને સારુ અાદમભાઈએ કરેલા સૂચનો ભણી ફેર ધ્યાન લગાવવા, સૌને અને દરેકને, અરજ કરી વિરમીશ. લેખક, કવિની અાર્ષવાણી રજૂ કરતાં કરતાં, કહેતા હતા : ‘ગુજરાતના ઝનૂનની અહીંયા અાયાત કરવાને બદલે અહીંની ‘ગુડ પ્રૅક્ટિસીસ’ની ગુજરાતમાં નિકાસ કરવાનો અભિગમ અાપણા માટે અને લાંબે ગાળે ગુજરાત માટે વધુ હિતાવહ લાગે છે. સ્વસ્થ, વિકાસલક્ષી ગુજરાતના નિર્માણમાં રચનાત્મક સહયોગ અાપીને જ અાપણે સાચા અર્થમાં ‘ફ્ૅન્ડ્ઝ અૉવ્ ગુજરાત’ બની શકીએ.’

અા અવસરે અા બધું કહેવાની તેમ જ અાદમભાઈ વિશે બે-પાંચ સારા સારા શબ્દો કહેવાની, સગવડ કરી અાપવા સારુ અાયોજકોનો હું સહૃદય અાભારી છું.

પાનબીડું :

‘ … … પ્રશ્ન અાખા માનવસમાજનો છે. તેને તો સમિધો અને પુષ્પો ચઢાવવા પણ કોઈ જોઈએ છે અને જૂતાં મારવા પણ કોઈક જોઈએ છે ! અૉડને સાચું કહેલું કે, જે માનવજાતે હિટલર અને સ્તાલિન પેદા કર્યા હોય ત્યાં અાપણા પર અાપણને વિશ્વાસ કેમ કરીને રહે ? પછી તો બધા બચાવનામાં અને તે દ્વારા અાને સાચો અને પેલાને ખોટો સાબિત કરવાનું જ રહે કે બીજું કંઈ ? કવિ હર્ષદ ત્રિવેદી તેથી જ કહે છે :

‘જે  હાક  સાંભળીને  ઊભા  થયા  નહીં
માણસ અને મડાંનો મતલબ બતાવ તું’

−  ડંકેશ અોઝા

હેરૉ, 07.11.2011

(સદ્દભાવ : લેસ્ટર મધ્યે, 13.11.2011ના યોજાયેલા ‘અદમ ટંકારવી સન્માન સમારંભ’માં રજૂ થયેલું વક્તવ્ય)

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

સૌજન્ય : “ઓપિનિયન”, 26 નવેમ્બર 2011; પૃ. 15-16

Loading

...102030...3,8233,8243,8253,826...3,8303,8403,850...

Search by

Opinion

  • તમાકુ ને પ્લાસ્ટિક : સઘળું ઇલાસ્ટિક !
  • યુદ્ધોન્માદી માહોલ, વસમા પાડોશી અને સંરક્ષણ બજેટ
  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • ગઝલ
  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved