Opinion Magazine
Number of visits: 9694620
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાયત્ત અકાદમી સહીઝુંબેશ : છપ્પનમા ગુજરાત દિવસે ઠપકાની દરખાસ્ત

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|5 May 2015

સ્વાયત્ત અકાદમી સહીઝુંબેશ

છપ્પનમા ગુજરાત દિવસે ‘ઠપકાની દરખાસ્ત’

સ્વર્ણિમ શોરઉજવણે અને કથિત ગુજરાત મોડલના તથ્યનિરપેક્ષ ઢોલનગારે કંઈક બધિર, કંઈક અંજાપેઅંધાપે ગ્રસ્ત માહોલમાં ગુજરાત પંચાવન વરસ પૂરાં કરી છપ્પનમા વરસમાં પ્રવેશશે તે દિવસે [01 મે 2015] રાજ્યમાં ઠેકઠેકાણે સ્વાયત્ત અકાદમી આંદોલનના સંદર્ભમાં સહીઝુંબેશ ચાલતી હશે.

ગુજરાતના છપ્પનમા વરસમાં પ્રવેશ સાથે ‘નિરીક્ષક’ સ્વાયત્ત અકાદમીના મુદ્દાને સાંકળીને કેમ અગ્રલેખરૂપે મૂકે છે એવો સવાલ કોઈ ચાહે તો પૂછી તો શકે જ. વાચકનો એ અધિકાર પણ છે, અને અધિકારાયત્ત તંત્રી જ્યારે લખે છે ત્યારે એનું ય આ સંદર્ભમાં દાયિત્વ એટલે કે ઉત્તરદાયિત્વ બને છે. અને એ ધોરણે કહેવું જોઈએ કે ગુજરાત દિવસ અને સ્વાયત્તિ સહીઝુંબેશ બેઉની સહોપસ્થિતિ સાભિપ્રાય અધોરેખિત કરી છે.

સ્વાતંત્ર્યસંગ્રામના અનુસંધાનમાં પ્રજાસત્તાક સ્વરાજની લોકશાહી સાર્થકતા વાસ્તે ભાષાવાર રાજ્યરચનાને ધોરણે, ગુજરાતનું એકમ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવ્યું. લોકશાહી નીચે લગી, બહુજન સર્વજન લગી પહોંચે તે માટે સંખ્યાબંધ આર્થિક-સામાજિક વાનાં હાંસલ કરવાનાં રહે છે. તે જ ન્યાયે લિબરલ ડેમોક્રસી પાસે અપેક્ષિત આયોજન સ્વાયત્ત સંસ્થાનિર્માણનું પણ છે. કવિતાવનિતાલતા આશ્રય વિના નથી શોભતાં એવી સંસ્કૃત કહેતી, છેવટે તો, સામંતયુગ અને રાજાશાહીની દેણગી હતી. પ્રજારાજમાં આ આશ્રયની (પણ એથી ઓશિયાળાપણું નહીં, એવી) ભૂમિકા બાબતે સરકારે પરત્વે એક જુદા અભિગમની અપેક્ષા રહે છે. આ જુદી ભૂમિકાનો જનતંત્રજડ્યો એક જવાબ સ્વાભાવિક જ સ્વાયત્ત સંસ્થાઓ છે.

આજથી ત્રણ દાયકા કરતાં પણ વધુ વરસ પૂર્વે માધવસિંહ સોલંકીના મુખ્યમંત્રીકાળમાં સાહિત્ય અકાદમીનો પ્રથમ પ્રયોગ થયો ત્યારે કવિતાવનિતાલતા પરંપરામાં નિતાન્ત રાજ્યાશ્રયી માહોલ હતો. પ્રમુખ, ઉપપ્રમુખ, કાર્યવાહક સમિતિ બધું જ સરકારનિયુક્ત હતું, અને સરકારી માનસ એવું કે સ્થાપક પ્રમુખ તરીકે જડી રહેલા સન્માન્ય સાહિત્યસેવી મોહમ્મદ માંકડ જ્યારે જાહેર સેવા આયોગ પર ગયા ત્યારે રાજાને જડી રહેલ માઢવ્ય માહિતી નિયામક ભૂપત વડોદરિયા હતા. [એ રીતે, આ પદે (અને પદેન) પૂર્વ માહિતી નિયામકનું હોવું એ કોઈ એપ્રિલ ૨૦૧૫ની નવીનક્કોર નવાઈ નથી.]

અકાદમીની સરકારનિયુક્ત તરાહ અને તાસીરને પડકારવાનું શ્રેય ઉમાશંકર જોશીને નામે જમે બોલે છે. અકાદમીએ એમનું સન્માન કરવા વિચાર્યું ત્યારે એમણે સાભાર, સવિનય પણ સગૌરવ ઈનકાર કર્યો. આશ્રમી સુન્દરમને નહોતો સૂઝ્યો એવો ઈનકાર ઉમાશંકરને સૂઝ્યો, કારણ છેવટે તો એ ‘જાહેર જીવનના કવિ’ હતા. તે પછી તો અકાદમીના સરકારનિયુક્ત સાહિત્યકાર સભ્યોનાં રાજીનામાં સહિતનો એક આખો સિલસિલો હવે તો ઇતિહાસવસ્તુ છે.

તે પછીના દસકામાં, ચિમનભાઈના પુનઃ મુખ્યમંત્રીકાળમાં વળી અકાદમીનો મુદ્દો ઉપડ્યો ત્યારે દર્શકે આદર્શલક્ષી વ્યવહારકુશળતાપર્વક સ્વાયત્ત બંધારણનો કોઠો ભેદ્યો અને ચુંટાયેલા. પ્રમુખ ઉપરાંત લેખકીય મતદાર મંડળની લગભગ નવા જેવી જોગવાઈ સાથે નવરચના બની આવી. ઉપરાંત, સાહિત્યસંસ્થાઓના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ, સરકારી પ્રતિનિધિઓ વગેરેની જોગવાઈ જેમ દેશની અકાદેમીમાં તેમ અહીં પણ હતી. લેખકીય મતદાર મંડળ મારી સમજ પ્રમાણે સુવાંગ નવી વાત હતી, અને જો કોઈ ગુજરાત મોડલ જેવી ઘટના હોય તો તેના એક ઇંગિત રૂપ પણ એ હતી.

દર્શક-યશવંત શુક્લના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ અને ભોળાભાઈ પટેલ-કુમારપાળ દેસાઈના ચુંટાયેલ પ્રમુખ-ઉપપ્રમુખપદ એમ બે કાર્યકાળ પૂરાં થયાં પછી કાયદેસર ત્રીજા કાર્યકાળ માટે નવરચનાની (લેખકીય મતદાર મંડળમાંથી ચૂંટણી સહિતની) પ્રક્રિયા ઠીક ઠીક પાર પડી ગઈ હતી, પણ સાહિત્યરસિક મુખ્યમંત્રીએ સરકારને છેડેથી એ પૂરી ન કરી તે ન જ કરી અને એમ સ્વાયત્ત અકાદમી આજે દસકા કરતાં વધુ સમયથી સરકાર તાબેનો ઈલાકો એ જ સામંતી શૈલીએ બની રહેલ છે. જે અકાદમી વાસ્તવમાં રહી જ નહીં, સરકારી અખત્યાર માત્ર બની રહી, એમાં છેલ્લે છેલ્લે એકાએક અધ્યક્ષની નિયુક્તિ ખરું જોતાં સૌ સ્વાયત્તતાભિલાષી સહૃદયો સારુ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવી બીના છે.

ભાઈ ભાગ્યેશ જહાને એમ લાગે છે કે બેતાલીસ વરસની સનદી અને સાહિત્ય સેવાને અંતે આ એમને સહજક્રમે મળી આવેલું પદ છે. ‘નિરીક્ષક’ તંત્રી એમના આ સેવાદાવા વિષયક ચર્ચાથી નિરપેક્ષપણે એટલું અને માત્ર એટલું જ કહેશે કે સરકારે પરબારા રઘુવીર ચૌધરી, સિતાંશુ યશશ્ચંદ્ર અગર ચંદ્રકાન્ત ટોપીવાળાને બેસાડ્યા હોત તો પણ અમારે વિરોધ કરવાનું બન્યું હોત, કેમ કે હાંસલ કરેલ સ્વાયત્તતા પછી કોઈ સામંતી પીછેહઠ કબૂલ રાખી શકાય જ નહીં. લેખક તરીકે વિચારી શકે તો જહા પણ આમ જ વિચારશે, એવું ખાતરીભેર એમના સહિતના સર્વ લેખકો વિશે કહી શકું તો મને તો આનંદ જ આનંદ થશે. જહા સ્કૂલને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે વર્ષ ૨૦૧૪માં (જ્યારે આવું અધ્યક્ષટોચકું બેસાડવાની સરકારે ધૃષ્ટતા નહોતી કરી ત્યારે પણ) નિરીક્ષક તંત્રીએ, ચંદ્રકાન્ત ટોપીવાળાએ અને પ્રવીણ પંડ્યાએ હાલની કથિત અકાદમી સાથે અર્થસવલતી ફારગતી જાહેર કરી જ હતી.

આ ચર્ચામાં સાહિત્ય પરિષદનું નામ પણ સંમિશ્રપણે લેવાતું રહ્યું છે. મુનશીની આજ્ઞાંકિતા મટીને ઉમાશંકર આદિના સખીકૃત્યનો નવ્ય મુકામ હાંસલ કરનાર પરિષદ પરત્વે અપેક્ષા(અને તજ્જન્ય ટીકાભાવ)નુંયે એક લૉજિક નિઃશંક છે. આ સંદર્ભમાં બે’ક મુદ્દા લાજિમ છે. એક તો, પરિષદ ખુલ્લા સભ્યપદને ધોરણે ચુંટાતા તંત્રવાળી સાહિત્યસંસ્થા છે. અને એ અર્થમાં તે ગેરસરકારી છે. (વસ્તુતઃ સોલંકીને પક્ષે અકાદમીદાવ આ ગેરસરકારી અભિક્રમ સામે સરકારી મુખત્યારી ઉપક્રમથી પ્રેરિત હતો.) ખુલ્લી સંસ્થાઓમાં પ્રવેશ મેળવી સક્રિય સહભાગિતાને ધોરણે કોશિશ કરવાનો અવકાશ છે. પાછા પડીએ, ઓછા ઊતરીએ પણ આ અવકાશ છે. અને એનો રચનાત્મક કસ કાઢવાપણું છે.

બીજો જે એક મુદ્દો પરિષદ સંદર્ભે પ્રસ્તુત જ પ્રસ્તુત છે તે તો એ કે લોકાયની નારાયણ દેસાઈના અધ્યક્ષકાળમાં તે સ્વાયત્ત અકાદમી માટેનો ઠરાવ કરી ચૂકી છે, અને ભલે તે શક્ય ન બન્યું હોય પણ હજુ સુધી તો એ ખુદ આ ઠરાવથી બંધાયેલ છે. (કારોબારી સભ્ય તરીકે આ લખનાર પણ જાત સહિત સૌને જવાબ-દાર પૈકી છે.) ગમે તેમ પણ, સ્વાયત્ત અકાદમી આંદોલન ઉપડ્યા પછી આ મુદ્દે અગાઉથી ઠરાવબદ્ધ લેખક મંડળ અને સાહિત્ય પરિષદ પરત્વે સીધી પહેલની નહીં તો પણ સક્રિય સહભાગિતાની અપેક્ષા તો રહે જ રહે.

ગુજરાતને ક્યારેક વિવેકબૃહસ્પતિ કહેવાતું, ને વળી ઊર્વિસાર તરીકે પણ ઓળખાતું. આજકાલ ગુજરાત મોડલનો ચાલ છે. હશે ભાઈ, રાજ્યના હાકેમો અને આ તંત્રી જેવા કલમઘસીટુઓ સ્વાયત્તતાને મોરચે શું કરે છે અને શું નથી કરતા એના પરથી છપ્પનમા વરસે આ બધા ઓળખદાવાઓનું એક માપ મળી રહેશે. બાકી, ગુજરાત દિવસે આવી સહીઝુંબેશ અનિવાર્ય લાગે તે સત્તા-પ્રતિષ્ઠાન માટે કંઈ નહીં તો પણ એક ઠપકાની દરખાસ્ત તો છે જ.

એપ્રિલ ૨૯, ૨૦૧૫

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 01-02

Loading

નીતિ આયોગ, વ્યર્થ વ્યાયામ?

રમેશ બી. શાહ|Opinion - Opinion|5 May 2015

દેશમાં આયોજનકાળના અવશેષરૂપ પંડિત નેહરુના સર્જન આયોજનપંચને બનતી ત્વરાએ વિખેરી નાખીને વડાપ્રધાન મોદીએ, ભારતનો કાયાકલ્પ કરવા માટે ‘નીતિ’-આયોગ નામે જ એક સંસ્થાનું નિર્માણ ૨૦૧૫ના આરંભે કર્યું. મોદી સરકાર એના દ્વારા શરૂ કરવામાં આવતી નવી યોજનાઓનાં નામો હિંદીમાં આપવાનું પસંદ કરે છે, પણ આ નવી રચવામાં આવેલી અને જેની પાસેથી દેશનો કાયાકલ્પ કરવા જેવી બહુ મોટી આકાંક્ષા રાખવામાં આવી છે, તે સંસ્થાનું નામ અંગ્રેજીમાં રાખવામાં આવ્યું છે : નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા (National Institute for Transforming India). આ નામના અંગ્રેજી શબ્દોના આદ્યાક્ષરો લઈને તેને ‘નીતિ’ આયોગના નામે ઓળખવામાં આવે છે. નવી રચાયેલી સંસ્થાને આયોગ(કમિશન)નો દરજ્જો આપવામાં આવ્યો હોવા છતાં એના નામમાં ‘ઇન્સ્ટિટ્યૂટ’ શબ્દનો કેમ ઉપયોગ કરવામાં આવ્યો છે, એવો પ્રશ્ન ઊભો થાય, પણ અહીં જે ચર્ચા કરવી છે, તેમાં એ ટેક્નિકલ પ્રશ્ન અપ્રસ્તુત છે.

એક પ્રજા તરીકે સંસ્થાઓ રચવાની બાબતમાં આપણી જે ખાસિયતો છે, તે આ ‘નીતિ’ની રચનામાં બરાબર જોઈ શકાય છે. સંસ્થા રચીએ, ત્યારે તેના ઉદ્દેશો નક્કી કરવામાં આપણે કોઈ મણા રાખતા નથી. ઉદ્દેશો જેટલા ઉદાત્ત ભાવનાઓથી ભરેલા અને મહત્ત્વાકાંક્ષી હશે, એટલી સંસ્થા સારી દેખાશે, એવી માનસિકતા આપણે ધરાવીએ છીએ. પેલા કવિની પંક્તિ એ બાબતમાં આપણી માર્ગદર્શક બને છે : ‘નિશાનચૂક માફ, નહિ નીચું નિશાન.’ પણ આ ઊંચાં નિશાન પ્રસ્તુત સંસ્થા કયા કાર્યક્રમો કે પગલાં દ્વારા પાર પાડશે, એ માટેની આવશ્યક ક્ષમતાઓ એ ધરાવે છે કે કેમ, એ વિશે આપણે ભાગ્યે જ કશી વિચારણા કરીએ છીએ. પોતાને સોંપવામાં આવેલ કયા ઉદ્દેશો કયા સ્વરૂપે અને કયા માર્ગોએ હાંસલ કરવા એની ગડમથલ કરવાનું સંસ્થામાં નીમવામાં આવેલા નિષ્ણાતો પર છોડવામાં આવે છે. તેથી સંસ્થા વાસ્તવમાં તેના સ્થાપકોની કલ્પનાથી જુદો જ આકાર ધારણ કરે છે. નીતિ આયોગ આપણી આ પરંપરાનું એક વધુ ઉદાહરણ બની રહેશે.

પ્રથમ, નીતિના ઉદ્દેશો તપાસીએ. આ ઉદ્દેશો આયોગની રચનાની જાહેરાત કરતી અખબારી યાદીમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે સારા શાસન માટે, ન્યાયી અને ટકાઉ વિકાસ માટે ઉત્તમ નીતિઓ આપશે, અમલ થઈ રહ્યો હોય એવા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરશે, લાંબા ગાળાની નીતિ અને વ્યૂહરચના ઘડશે, વિકાસનો પૂરતો લાભ નહિ મેળવી શકનારાઓ પર ખાસ ધ્યાન આપશે. સરકારની ‘થિન્ક ટૅન્ક’ તરીકે કાર્ય કરશે. તે રાજ્યો અને કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા મુદ્દાઓ પર વ્યૂહાત્મક અને ટેક્નિકલ સલાહસૂચન કરશે.

ઉદ્દેશોની આ યાદીમાંથી આયોગના બે ઉદ્દેશો કે તેનાં બે કાર્યો ફલિત થાય છે. એક, તેણે સરકારના સલાહકાર તરીકે કાર્ય કરવાનું છે. તેમાં ટકાઉ અને લોકભાગીદારી ધરાવતા વિકાસ માટેની ટૂંકા અને લાંબા ગાળાની નીતિઓ તેમ જ કેટલાક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે નીતિઓ દર્શાવવી, તે મુખ્ય કામગીરી છે. વિકાસ ટકાઉ, ન્યાયી એટલે સમાન વહેંચણી ધરાવતો (અથવા ઓછી અસમાનતા ધરાવતો) હોવો જોઈએ, એવો આદર્શ આયોગે નજર સમક્ષ રાખવાનો છે. બીજું, સરકાર દ્વારા જે વિવિધ વિકાસ-કાર્યક્રમો ચાલતા હોય, તેમનું તેણે મૂલ્યાંકન કરવાનું છે.

પણ વડાપ્રધાનશ્રીએ તેમના ટ્વીટર પર આ સંસ્થાના ઉદ્દેશોને થોડા વિસ્તાર્યા હતા અને થોડા વધુ મહત્ત્વાકાંક્ષી બનાવ્યા હતા ઃ

૧. વડાપ્રધાને તેમના ટ્વીટર પર લખ્યું હતું કે “મુખ્યમંત્રી તરીકે મેં કામગીરી બજાવી હોવાથી રાજ્યો સાથે સક્રિય પરામર્શનનું શું મહત્ત્વ છે, તે હું જાણું છું. નીતિઆયોગ બરાબર એ કરશે.”

૨. વડાપ્રધાને જેને નીતિઆયોગનો માર્ગદર્શક સિદ્ધાંત કહ્યો છે. તેમાં ‘આદર્શ વિકાસ’નાં બધાં પાસાં આવરી લેવામાં આવ્યાં છે. વિકાસ લોકાભિમુખ, લોકોની સક્રિય ભાગીદારીવાળો, લોકોનું સશક્તીકરણ કરનારો અને ત્યાગપૂર્ણ હોવો જોઈએ.

૩. નીતિઆયોગની રચના સાથે બધાં રાજ્યો માટે ‘એક સમાન કાર્યક્રમો’(One size fits all)ના અભિગમને વિદાય આપવામાં આવી છે. આ આયોગમાં ભારતના વૈવિધ્ય અને તેની બહુવિધતા(pluality)નો પુરસ્કાર રહેલો છે.

૪. વડાપ્રધાન અને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મળીને વિવિધ ક્ષેત્રો માટેના રાષ્ટ્રના અગ્રતાક્રમો અને તેમના વિકાસ માટેની વ્યૂહરચનાઓનો એક પરિપ્રેક્ષ્ય તૈયાર કરશે.

જે બદલાયેલા સંજોગોને કારણે આયોજનપંચને નાબૂદ કરવામાં આવ્યું છે, તે સંદર્ભને નીતિ આયોગની રચનામાં ધ્યાનમાં લેવામાં આવ્યો છે કે કેમ તે એક પ્રશ્ન છે. ૧૯૯૧માં નવી આર્થિક નીતિને ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ તરીકે વર્ણવવામાં આવી છે. આ નીતિ પ્રમાણે રાજ્યે અંગસંકોચ કરીને ખાનગી ક્ષેત્રને વધુ ને વધુ અવકાશ આપવાનો છે. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિમાં બજારનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિબળોને પૂરતી મોકળાશ આપવાની છે. ટૂંકમાં, વિકસિત મૂડીવાદી દેશોનાં અર્થતંત્રોની જેમ ભારતના અર્થતંત્રને સરકારના હસ્તક્ષેપ વિના કાર્ય કરવા દેવાનું છે. એને અનુલક્ષીને નીતિ-આયોગમાં બજારવાદી તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. ભારતની આર્થિક નીતિનો દોર અમેરિકાની યુનિવર્સિટીઓ અને વિશ્વબૅંક જેવી સંસ્થાઓમાં બજારવાદની તાલીમ પામેલા અર્થશાસ્ત્રીઓના હાથમાં છે, એવી ડાબેરીઓની ટીકામાં ઘણું તથ્ય છે.

પણ અહીં ચર્ચાને નીતિઆયોગના ઉદ્દેશો પૂરતી મર્યાદિત રાખી છે. આયોગના ઉદ્દેશો જે વ્યાપક રીતે રજૂ કરવામાં આવ્યા છે, તે તેમને આયોગે કરવાનાં કાર્યોની બાબતમાં અસ્પષ્ટ બનાવી મૂકે છે. આયોગના એક સભ્ય બિબેક ડેબ્રોયે (Bibek Debroy) એક રાષ્ટ્રીય અખબારને મુલાકાત આપી હતી, તેમાં તેમણે આ મુદ્દો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંડળના ઠરાવમાં આયોગનું કાર્યક્ષેત્ર વ્યાપક રીતે આલેખાયું છે. એને ચોક્કસ મુદ્દાઓ પર કેન્દ્રિય (pin down) કરવાની જરૂર છે. ડેબ્રોએ બે કાર્યોનો ઉલ્લેખ હતો :

એક, તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો આયોજન કરવાનું નથી તો નીતિ શું કરશે ? જવાબમાં આ બજારવાદી અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે ‘સંસાધનો જ્યારે ખાનગી ક્ષેત્રમાં સર્જાતાં હોય, ત્યારે આયોજન હોઈ શકે નહિ.’ પણ જેને દીર્ઘદર્શી આયોજન (perspective planning) કહે છે, તેવી યોજના આયોગ તૈયાર કરશે. આ દીર્ઘદર્શી આયોજનનો ડેબ્રોયનો ખ્યાલ કંઈક આવો છે : એક દસકા પછી દેશનો આર્થિક, સામાજિક અને માનવવિકાસ કેવો અને કેટલો થવો જોઈએ, તેનો એક આદર્શ નકશો તૈયાર કરવામાં આવશે.

બીજું, નીતિઆયોગે તત્કાળ જે કાર્ય હાથ ધર્યું છે, તે રાજ્ય અને જિલ્લા સ્તરે ચાલતા સરકારી કાર્યક્રમોનાં મૂલ્યાંકનનું છે. તેમનો ઉદ્દેશ તો ગ્રામ અને તાલુકા સ્તરે ચાલતા કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવાનો છે, પણ માહિતીના અભાવે તેમને જિલ્લા સ્તરેથી મૂલ્યાંકનનો આરંભ કરવો પડશે.

ડેબ્રોએ જે બે કાર્યોનો ઉલ્લેખ કર્યો છે, તેના સંદર્ભમાં બે હકીકતોની નોંધ લેવા જેવી છે. ડેબ્રોએ જે દીર્ઘદર્શી આયોજનનો ઉલ્લેખ કર્યો છે. તેવું આયોજન ૧૯૫૦થી ’૭૦ના બે દસકા દરમિયાન સારી રીતે કરવામાં આવ્યું હતું. પરંતુ અનુભવે એ વ્યાયામ ઉપયોગી ન જણાવાથી તેના પરત્વે દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. દેશના અર્થતંત્રમાં રાજ્ય મોટી ભૂમિકા ભજવતું હોવા છતાં અને ખાનગી ક્ષેત્ર પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યાં હોવા છતાં દેશના આર્થિક પ્રવાહોને આયોજિત દિશામાં વાળી શકાતા નહોતા. દેશનું અર્થતંત્ર બજારનાં પરિબળો પ્રમાણે જ ચાલતું હતું, તેથી ૧૦-૧૫ વર્ષ પછી અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં કેટલો વિકાસ સધાયો હશે અથવા સાધવો જોઈએ, એ નક્કી કરવાથી કોઈ હેતુ પાર પડતો નહોતો. હવે આયોજનની વિદાય સાથે રાજ્યની ભૂમિકા સીમિત થઈ ગઈ છે અને ખાનગી સાહસને વધુ ને વધુ મોકળાશ આપવાની છે, તે જોતાં આયોગનાં દસ વર્ષ પછીના અર્થતંત્રના વિકાસના દર્શનથી કયો હેતુ પાર પડશે એ પ્રશ્ન છે.

બીજું, સરકારના કાર્યક્રમોનું મૂલ્યાંકન વિખેરી નાખવામાં આવેલા આયોજનપંચના એક વિભાગ દ્વારા કરવામાં આવતું હતું. એ વિભાગ દ્વારા મુખ્યત્વે કેન્દ્ર સરકારના અને તેના દ્વારા પુરસ્કૃત કાર્યક્રમોનું મૂલ્યાંકન કરવામાં આવતું હતું. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે અને દેશનાં ૩૦ રાજ્યો પોતાની રીતે પોતાના રાજ્ય માટેના વિકાસ કાર્યક્રમો તૈયાર કરવાનાં છે. નીતિ-આયોગ આ બધાં જ રાજ્યોના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરી શકશે ? પોતાના કાર્યક્રમોનું મૂલ્યાંકન કરાવવાનો નિર્ણય કરવા માટે રાજ્યો મુક્ત હશે કે આયોગ પાસે મૂલ્યાંકન કરાવવાનું ફરજિયાત હશે ?

વડાપ્રધાને એમના ટ્વીટરમાં આયોગના જે ઉદ્દેશો દર્શાવ્યા હતા, તે પૈકી બે ઉદ્દેશોની ચર્ચા કરવાનું રસપ્રદ થશે. તેમણે આયોગ રાજ્યો સાથે સક્રિય પરામર્શ કરશે એ મુદ્દા પર ભાર મૂક્યો હતો અને નીતિ આયોગની રચના સાથે બધાં રાજ્યો માટે સમાન કાર્યક્રમોના અભિગમને વિદાય આપવામાં આવી છે. એવો દાવો કર્યો હતો. આમાં પ્રથમ એક હકીકત નોંધીએ.

બધાં રાજ્યો માટે એકસરખી યોજનાઓનો અભિગમ યોગ્ય નથી. એ મુદ્દો સ્વીકારીને ૧૪મા નાણાપંચે રાજ્યોની વિત્તીય સ્વાયત્તતામાં ગણનાપાત્ર વધારો કરી આપ્યો છે. ૧૩મા નાણાપંચે કેન્દ્ર સરકારની કરની કુલ આવકના ૩૨ ટકા રાજ્યો વચ્ચે વહેંચવાની ભલામણ કરી હતી. એ પ્રમાણ વધારીને ૧૪મા નાણાપંચે ૪૨ ટકાનું કર્યું છે. આ બદલાયેલી સ્થિતિમાં કેન્દ્ર સરકારે હવે રાજ્યોને યોજનાકીય સહાય આપવાની રહેતી નથી તેમ રાજ્યો માટેની કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ પણ અપવાદરૂપ બની જશે. મુદ્દો એ છે કે રાજ્યો માટે ‘એક-સમાન કાર્યક્રમો’ના અભિગમને વડાપ્રધાનશ્રીએ દાવો કર્યો છે, તેમ નીતિઆયોગની રચનાથી ત્યજી દેવામાં આવ્યો નથી, પણ ૧૪મા નાણાપંચની ભલામણોને કારણે એ નીતિનો આપમેળે અંત આવ્યો છે.

નવી નીતિ પ્રમાણે હવે કેન્દ્ર સરકારના પાસે રાજ્યોને યોજનાકીય સહાય મળવાની ન હોવાથી રાજ્યોએ પોતાની યોજનાઓની મંજૂરી માટે નીતિઆયોગ પાસે જવાનું રહેતું નથી. રાજ્યોમાં જેનો અમલ કરવાનો છે, એવી કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત યોજનાઓ અપવાદરૂપ બની જવાની છે. પોતાના રાજ્ય માટેના કાર્યક્રમો ઘડવા માટે રાજ્યો હવે સ્વાયત્ત બન્યાં છે. આ સ્થિતિમાં રાજ્યો અને કેન્દ્ર વચ્ચે પરામર્શન કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. ટૂંકમાં, ૧૪મા નાણાપંચની ભલામણોએ વડાપ્રધાને ભારપૂર્વક રજૂ કરેલાં નીતિઆયોગનાં ઉપર્યુક્ત બે કાર્યોનો છેદ ઉડાડી દીધો છે. રાજ્યોને આયોગ પાસે જવાનું  કોઈ કારણ રહ્યું નથી.

અલબત્ત, વિવિધ ક્ષેત્રો માટેની બજારવાદી નીતિઓ આયોગ તૈયાર કર્યે જશે. આ નીતિઓનો પાયાનો ઉદ્દેશ જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર હશે. આયોગની રચનાના ઠરાવમાં આદર્શ વિકાસનાં જે વિવિધ પાસાં નોંધવામાં આવ્યાં છે, તે ગૌણ બની જશે, કેમ કે આ બજારવાદી અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે લાંબો સમય ટકી રહેતો ૮-૧૦ ટકાનો વૃદ્ધિદર આદર્શ વિકાસમાં અભિપ્રેત બધા ઉદ્દેશો પાર પાડવાની ક્ષમતા ધરાવે છે. જો કે લાંબો સમય કેટલા દસકાનો હશે, તેનો ફોડ પાડવામાં આવતો નથી. છેલ્લા ત્રણેક દસકા દરમિયાન બજારવાદી નીતિના પ્રચલનથી ચીનમાં ઊંચા વૃદ્ધિદરની સાથે અસમાનતા વધી છે અને પ્રદૂષણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, એ હકીકતને આ અર્થશાસ્ત્રીઓ નજરઅંદાજ કરે છે. પણ આયોગ સમક્ષનો તત્કાલીન પ્રશ્ન મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રને, તેમાં પણ તેના શ્રમપ્રચુર વિભાગોને ઝડપથી વિકસાવવાનો છે, જેથી ઝાઝી તાલીમ પામ્યા ન હોય એવા યુવાનોના વિશાળ વર્ગ માટે રોજગારીની તકો સર્જાય. હવે લોકોની દષ્ટિએ ઊંચો વૃદ્ધિદર આર્થિક સિદ્ધિનો માપદંડ નથી, પણ તેનાથી રોજગારી કેટલી સર્જાય છે, તે માપદંડ છે.

૨૦૨, ઘનશ્યામ ઍવન્યૂ, નવા શારદામંદિર સામે, પાલડી, અમદાવાદ – 380 007

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 03-04

Loading

ખુદ્દારીનો ખાડો અને ધરમની સંસ્કૃિત

રોહિત શુક્લ|Opinion - Opinion|5 May 2015

ચેાથો વાંદરો આજકાલ વિવિધ પક્ષીઓની સાથે વાર્તાલાપ કરવામાં મશગૂલ છે. ઉનાળાની મધુર અને મહેકતી કો’ક સવારે તેને બુલબુલ અને કાબરનો સંવાદ સંભળાય છે. કાબર બધાને હુકમના સ્વરે કહે છે, લેણમેં ખડે ર્યો – લેણમેં ખડે ર્યો અને બુલબુલ કહે, હાલ્યા જાવ, હાલ્યા જાવ. પેલો દરજીડો તો આખો વખત  આ બહુ મોટું છે અને આ બહુ લાંબું છે, તેની જ રટ લગાવી રહ્યો હોય છે. હોલા તો ‘પ્રભુ તું – પ્રભુ તું’ કરતાં હોલીની પાછળ પૂરા ઠાઠ સાથે ફરતા રહે છે. તેણે ગરમાળાના ઝાડ તરફ નજર દોડાવી. આ એક જ વૃક્ષ સ્વચ્છતા – અભિયાનમાં માનતું હોય તેમ જણાયું. ઉનાળો આવે અને નવી સીઝન શરૂ થાય તે પહેલાં બધાં જ જૂનાં પાંદડાં તે ખંખેરી નાંખે છે. બસ નવા નાકે જ દિવાળી કેમ કરાય તે તો કોઈ આ અમલતાસ પાસેથી શીખે. આજી ફેરા પેલા બિનમોસમ વરસાદ અને ઓલાવૃષ્ટિને કારણે ફૂલોનાં ઝુમ્મરો બેસવામાં મોડું તો થયું હતું. પરંતુ ભમરા અને લાવરીનાં જોડાં તેની આજુબાજુ આંટા મારતાં થઈ જ ગયેલાં. આ બધા જીવોનું આ જ સુખ : સરકારી રાહત આવે તેની રાહ જોવાની જરૂરત જ નહીં.

આ બધા બહુ વાચાળ જીવ તો ખરા જ. કાંક કો’ક મૂંગું પક્ષી મળે, તો તેની સાથે કાં’ક વાત કરીએ, તેણે સમ્યક્ભાવે વિચાર્યું. બાજુમાં બેઠેલા કાગડા પાસે ચતુરાઈભરી ઘણી વાતો હોય છે, એમ માની તેણે પૂછ્યું, હેં ભાઈ, આ જગતના સૌથી વિદ્વાન, પરાક્રમી, ચતુર, મહાન, છપ્પનલક્ષણા નરબંકાના આજકાલ શા હાલ છે ? આવા મહાન અને ચમત્કારી આત્માઓ વિષે પૂછવાનો પણ અધિકાર ચોથિયા જેવા સમાન્ય નાગરિકનો ન હોય તે ભાવે મહાન કાકમહારાજે ચોથિયા સામે નજર ફેંકી. ‘કાં કાં કાં કાં કગ’ તેણે કહ્યું. આવા મહાન પૂર્ણપુરુષોત્તમ વિષે પૂછનાર તું કોણ – એવો તેનો અર્થ થતો હતો. હાસ્તો ભાઈ, અમે રહ્યાં જરા હલકા, કારણ એ કે અમારામાંના એકે પાસે કોઈ ધમધમતી ફૅકટરી ના મળેને ! અમારે તો બાપ, આવતે જનમે આ દેશના ઉદ્યોગપતિ જ થવું છે .. ચોથિયાને થયું કે આવતા જનમે પોતે જે થવાનો છે, તેની વાત કરવાથી કદાચ આ જનમે પોતાને થોડોઘણો લાભ થાય પણ ખરો. પણ મહાન કાકપંડિત આવી બચકાની બાતોમાં આવી જાય તેમ ન હતા.

ઉત્તાનપાદ રાજાની સુનીતિ અને સુમતિ એવી બે રાણીઓ હતી અને જ્યારે ધ્રુવકુમારે રાજાના ખોળામાં બેસીને લાડકોડ પામવાનું મન કર્યું કે તરત જ પેલાં માનીતાં રાણીસાહેબાએ કહ્યું, જો રાજાના ખોળામાં બેસવું હોય તો આવતા જનમે મારા ખોળે જનમજે. અને ધ્રુવકુમારને તો ચાટી ગઈ. અને પછી તો જે તપ કર્યું, આહાહા … વાત જ મેલી દેજો. સાક્ષાત્ વિષ્ણુ ભગવાને પ્રગટ થઈને તેના ગાલે શંખ ઘસ્યો ત્યારે જે વાચા ફૂટી, શ્રીમદ્દ ભાગવતના સુંદર શ્લોકોમાં તેની ગણતરી થાય છે. ચોથિયાને પણ થયું કે પોતે આ જનમે જ ફૅક્ટરીવાળો થઈ શકે તે વાસ્તે થોડુંક તપ કરે તો સારું અને એણે તો ચોથેશ્વરીના એક પણ સંભવિત વિરોધની દરકાર રાખ્યા વગર પરબારું તપ ચાલુ કરી દીધું.

સૌથી પહેલો તો તે તામિળનાડુ નામના દેશમાં ગયો. આ તેનું જળતપ હતું. લોકો કહે સાહેબો મારા, અહીં પેલા ભસ્માસુરની પ્રસૂતિ ના કરાવશો. ભસ્માસુર પ્રગટશે, તો અમને કોઈને જીવવા જ નહીં દે. અમારાં હાડ ગાળી નાંખશે અને આવનારી પેઢીઓનો ઘાણ કાઢી નાંખશે. પણ પેલા કહે, હોય કાંઈ, અમારે તો વીજળી મેળવવી જ છે. દેશની પ્રગતિ માપવા માટે વીજળીનું અજવાળું તો જોઈએ જ ને. અને જે લોકો ખૂબ વીજળી વાપરે તે તો અમારા દૂધે ધોયેલા કહેવાય. પાંચેક જણના પરિવાર વાસ્તે દર મહિને પૂરા પંચોતેર લાખની વીજળી જોઈએ, અમે માંગ કરીએ અને તમે ગમે તે રીતે ઉત્પાદન કરો. આવનારી પેઢી અને નિકંદન અને રેડિયેશન એવી બધી વાતો તો માત્ર વેવલા લોક કરે. લોકો દિવસો સુધી પાણીમાં ઊભા રહ્યા પણ તેમનું કાંઈ જ ચાલ્યું નહીં.

ચોથિયો તો ત્યાંથી પેલા મધ્યપ્રદેશમાં ચાલતા જળસત્યાગ્રહમાં જોડાયો અને ભૂમિ અધિગ્રહણના કારનામામાં પણ ગોથાં મારી આવ્યો, ઠેર-ઠેર આપઘાત કરનારા ખેડૂતોને મળીને તેમને સમજાવવા-અટકાવવા તેણે પ્રયાસ પણ કરી જોયો. પણ આવા સાવ ગામડામાં રહેતા ખેડૂતોની એક પણ વાતનો તેની પાસે જવાબ ન હતો. ખેડૂત કહે, બસ તમે અમને લૂંટ્યા જ કરશો ? એક તરફ અમારી કાળી મજૂરીની પેદાશો તમારે મફતના ભાવે પડાવી જવી છે. બીજી તરફ અમે થોડુંક ઊછીનું-પાછીનું કરીએ, તો અમારી છાતી ઉપર હાથી ચડાવ્યો હોય તેવા ઊંચાં વ્યાજ ઉઘરાવી ખાવા છે. અમારી જમીનો વેચાઈ જાય, ઢોરઢાંખર તો ઠીક-અમે જાતે વેચાઈ જઈએ, તો ય તમારાં ચોપડાં ફોક થાય જ નહીં. આ વખતે આ મહાન આનર્ત દેશમાં જ કપાસના ભાવ એટએટલા ગગડાઈ મેલ્યા કે એક દૂધમલ દીકરો તો માર્કેટયાર્ડમાં જ ભડભડ બળી મર્યો. એની ચિંતા એ હતી કે હવે કૉલેજની ફી ભરાશે કેમ. એ ભણ્યો હોત તો ખેતી છોડીને શહેરમાં જઈને વસ્યો હોત. સરકારને ઉદ્યોગો માટે જમીન મળી હોત અને ખેડૂત પણ નવી પરિસ્થિતિમાં ગોઠવાઈ ગયો હોત. કોઈને આવા વખતે દેશનું યુવાધન અને ડેમોગ્રાફિક ડિવિડંડ યાદ જ ના આવ્યાં.

ચોથિયો તો પાછો હિકમતબાજ તો ખરો જને ! તેને થયું પોતાના જેવા મહાન તપસ્વીને માટે કદાચ આ ભૂમિ પૂરતી પવિત્ર નથી. મંત્રની સિદ્ધિ ત્યારે જ થાય કે જ્યારે યંત્ર પણ સિદ્ધ થયેલું હોય, પેલા કાકમહારાજે પરિશ્રમપૂર્વક કહ્યું. ચોથિયો એમ સમજ્યો કે હવે પોતે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સુયોગ્ય સ્થાને બેસી જઈને તપ કરે, એટલે પોતે પણ ફૅક્ટરીવાળો બની જ જશે.

જો કે તેને પોતાની ભૂલ બહુ મોડી સમજાઈ. કાકમહારાજે જે યંત્રની કથા કરેલી તે કાંઈ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દોરેલા આકારો કે વિવિધ ખૂણાઓની ભૂગોળની વાત હતી નહીં. તો પછી યંત્ર એટલે શું ? અત્યંત દુઃખીભાવે તેણે કાકમહારાજને પૂછ્યું. કાકમહારાજે પોતાની દાનપેટીને બરાબર ખખડાવીને કહ્યું, યંત્ર એટલે જ અપાર અટપટી વાતો. તારે જો એક અતિ તુચ્છ અને વારે વારે આપઘાત કરનારી જાતિમાંથી બહાર નીકળવું હોય, તો આ યંત્રના આત્માને બરાબર સાધી લે.

ચોથિયાના ગજવા તરફ નજર નોંધી રાખી તેમણે આગળ ચલાવ્યું : જો ભાઈ, આમ તો અમે આવી અતિ ગૂઢ વાતો કોઈને ય કરીએ નહીં. તું સમજે છે ને જો દેશમાં બધા ય ફૅક્ટરીઓવાળા થઈ જાય તો દેવાં, લાચારી, અજ્ઞાન, પછાતપણું, આ બધાના વિવિધ ખાડાંઓમાં અમે નાંખીએ કોને ? અને ભાઈ, તું તો ભારે સમજુ છો. આખીયે દુનિયામાં ક્યાં ય પણ ખાડા કર્યા વગર ટેકરા થયા છે ? ખુદ ભગવાન જેવા ભગવાને પણ  એવરેસ્ટ જેવા પર્વત માટે થઈને હિંદ મહાસાગર જેવો મોટો ખાડો રચવો પડ્યો છે કે નહીં.

અને અમે આ થોડા હજાર કે લાખ ખેડૂતો કે ખેતમજૂરોને હલાલ થવા દઈએ તેમાં તમારી આંતરડી શેની રોકકળ કરવા માંડે છે ? અમે તો સાક્ષાત્ કરાળકાળ જ ગણાઈએ. હોશિયારી અને ભગવતકૃપાની જરૂર અહીંથી જ શરૂ થાય છે. અમારી પાસે ઉદ્યોગપતિઓની આપેલી લખલૂટ સંપત્તિ છે. અને જાણે છે – આ પૃથ્વી તો વીરભોગ્યા જ ગણાય. કાકમહારાજે તો જન્મારો આખો ચકળવકળ ડોળા ઘુમાવતા-ઘુમાવતા માત્ર કા… કા… કા જ કરી ખાધેલું. છતાં તેમના મનમાં આટલી બધી વાતો ભરેલી પડી હશે તેની કલ્પના પણ ચોથિયાને હતી નહીં. લોકસભામાં માંડ-માંડ બે બેઠકો મેળવનારા પક્ષને અચાનક જ જંગી બહુમતી હાથમાં આવી જાય તેવું તેને લાગ્યું. પણ ચારે તરફ નજર ઘુમાવતા રહેવાની તેની આદતે કરીને ચોથિયાને આ કાકમહારાજને એમ રેઢા મેલી દેવાનું પરવડે તેમ ન હતું. વળી, પોતે કોઈ સ્થાન, માન, અકરામ કે છેવટે એકાદ સગરામનો પણ જોગ કરી શકેલો નહીં, તેથી એક પ્રકારની સ્વ તંત્રતા તેની પૂંઠે હંમેશાં લટકતી જ રહેતી. તેણે પોતાની પાસેનો બ્રેડનો એક ટુકડો કાકમહારાજની દાનપેટીમાં ઠાલવ્યો અને હળવેક રહીને હૂપકાર કર્યો : હાં તો મહારાજ, તમે પેલા યંત્રની વાત કરતા હતા, તે જરા વિગતે સમજાવોને ભાયા.

ચોથિયા તરફ ભારે કૃપા દાખવતા હોય તેમ કાકમહારાજે વાત માંડી :  જો ભાઈ, આ યંત્ર ભારે અટપટું છે. જો તું માત્ર કાર્યકારણના સંબંધો અને તર્ક કે ન્યાય, સત્ય, વગેરે જેવા શબ્દોનો મોહ ત્યજીશ તો જ તે તને સમજાશે. ન્યાય, સત્ય, અહિંસા વગેરે શબ્દો લપટા પડી ગયેલા છે અને તેનો ઉપયોગ માત્ર લોકોને વિચારશૂન્ય કરવા વાસ્તે – એક પ્રકારના ઍનેસ્થેિશયા તરીકે જ કરવાનો છે. તારા શિક્ષણનું આ પ્રથમ સોપાન છે.

બીજું સોપાન એટલે બૅંકો. જો તું સત્વાદી રાજા હરિશ્ચંદ્ર થઈને ‘લીધેલું કરજ દૂધે’ ધોઈને પાછું આલવાવાળો હોય, તો યંત્રવાળો થઈ રહ્યો. બૅંકોના પૈસા કો દી’ પાછા ના વળાય હોંકે. આ ગરીબ ગણાતા દેશમાં બૅંકોની નોનપરફૉર્મિંગ એસેટ્સ લાખો કરોડો રૂપિયાની છે. કોઈ પણ પ્રકારની કે આકારની સરકાર આવે, આ વ્યવસ્થા અકબંધ ચાલતી જ રહેવાની છે. જો આ તારા ખેડૂતો હડી કાઢીને બૅંકોનાં ફદિયાં પાછાં દેવા જાય છે, તો જીવથી જવાનો વારો આવે છે. મને કે’તો આ મહાન દેશના એક પણ ઉદ્યોગપતિના ફરજંદે જીવ ટંૂકાવ્યો છે ખરો ? બૅંકોના કરોડો અને અબજો રૂપિયા ચાવી જતા આવડે તો જ તમે આ દેશમાં ફૅકટરીવાળા થઈ શકો. ભઈલા મારા, લખપતિ થાતા મોર તો લખ્ખણપતિ થાવું પડે, હોંકે બાપ. લે તને હોરાય એવો એક દાખલો દઉં. આ તારા અમદાવાદ શહેરને એક વખત તો ભારતનું માન્ચેસ્ટર કહેવાતું – ખરું કે નહીં. આજે તેની બધી મિલો બંધ થઈ ગઈ છે. હવે કે’તા’ એમાંના એકે મિલમાલિકનો વંશજ રિક્ષા ચલાવે છે ખરો ? એકેના કુળદીપકે પાણીપૂરીની લારી કરી હોય કે સમી સાંજે સાઇકલ લઈને બ્રેડબ્રેડના પોકારો કરતો જતો હોય, તેવી કલ્પના પણ તને આવે છે ?

યંત્રનું ત્રીજું પગથિયું એટલે સરકાર અને સત્તા. લોકો ખોટું ભણે છે અને ચોપડીઓમાં લખેલી વાતોને સાચી માની લે છે. તે બધા માને છે કે લોકશાહી લોકો માટેની સરકાર છે. પેલા જળસત્યાગ્રહવાળા અને જાતજાતનાં ધરણાં કે આંદોલનો કરનારાઓના મગજમાંથી આ ભૂસું નીકળતું જ નથી. આવી રીતે સરકાર ચલાવવા બેસીએ તો પછી નોટોનાં બંડલો અને વોટોના થોકડા ગણવાનો વખત કયાંથી કાઢવો ? સરકાર લોકો પાસે તો માત્ર વોટ માંગવા પૂરતી જ આવે. તેમાં જેમ સરકારનું તેમ લોકોનું પણ ગૌરવ છે. અમે માંગવા આવીએ તે તો તમારું ગૌરવ વધારવા અને તમે અમને ચૂંટી કાઢો, તેમાં તમારું પણ ગૌરવ.

આ યંત્રનું ચોથું અને આખરી પગથિયું એટલે વાક્ચાતુર્ય. અમે જે ‘નથી’ તે ‘છે’, એમ કહીએ અને જે ‘છે’ તે ‘નથી’, એમ કહીએ ત્યારે તમારે તેને સંપૂર્ણ ભગવત્કૃપા સમજીને સાચું જ માનવાનું હોય. અમારા ભક્તો તો આમ કરે જ છે. જો કે કેટલાક લોકોને હજુ પણ અક્કલ આવતી નથી. આ બધા વાસ્તે અમારી પાસે જાતભાતનાં વાજાં તૈયાર જ છે. રોજ સવારે કે સાંજે કે પછી મોડી રાત્રે પણ અમારાં આ વાજાં વાગતાં જ રહે છે અને તેમાંથી સતત બિરદાવલીઓ છેડાતી જ રહે છે. ભાઈ ચોથિયા, બસ તારે જો આ જનમે જ ફૅકટરીવાળા થવું હોય તો આ અતિગૂઢ જ્ઞાનનો મહિમા કરતો જા અને લાભ લેતો જા.

થોડીક વાર ઊંડા વિચારમાં ઊતરી પડીને ચોથિયો બહાર આવ્યો. કાક મહારાજે તેની તરફ ચારે તરફ ફરતા ડોળા વડે જોયું. ચોથિયાએ પેલાં ગરમાળાનાં ફૂલ, ભમરાં, લાવરી, બુલબુલ, તેતર, દૈયડ-દેવનાં ચકલી અને કાબર તરફ નજર ફેરવી. ખાડા પાડો તો જ ટેકરા થાય – તે મનમાં ગણગણ્યો. પછી અત્યંત ગંભીરભાવે બોલ્યો :  અલ્યા, તારી ભલી થાય. તું તો માણહની વાત કરે છે કે રાખ્ખહની ? જો આ તારી ચારે તરફ. પેલાં ભમરાં કે પક્ષી – કોઈને અકરાંતિયા થવાનું મન થતું નથી, અને તારે તો બીજાને મારીને જીવવું છે, ખરું કે ? અને તું જ્યારે ખેતરો ભરખી જાય છે, ત્યારે કેટકેટલાં પક્ષીઓને મારી નાંખે છે, તે તો જો. ખેતરોને બદલે કારખાનાં જ હશે તો ઝાડ નહીં હોય અને ઝાડ નહીં હોય તો પશુ કે પક્ષી પણ નહીં જ હોય, તારે તો જે વાત કરવી છે તે ખાડા કે ટેકરાની નથી. તે તો સમજુ કે અબુધ – એવા સૌ કોઈનાં લોહી વહાવવાની વાત છે. ખેડૂત મરે, ખેતમજૂર મરે, ગ્રામ કારીગર મરે આ બધું તો દેશને કેમ પરવડે ? આ દેશની આ સંસ્કૃિત ય નથી અને ધરમ પણ નથી.

ચોથિયાને એમ કે આ આખી વાત માત્ર કાકમહારાજ સાથેની જ બની રહી હશે. પણ તે જેવો પાછો વળ્યો કે તેણે જોયું કે ચોથેશ્વરી અને શ્વેતકેશી તો તેની વાત અને ચર્ચાને સાંભળી રહ્યા હતા. બે ય  જણાંએ તેની વાતને વધાવી લેતા કહ્યું, ‘આધિપત્ય અને ગુલામી હેઠળના લાંબા જીવન કરતાં ખુમારી અને ખુદ્દારી સાથેનું અલપ જીવન પણ મીઠું હોય છે, હોંકે !‘          

e.mail : shuklaswayam345@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2015; પૃ. 05-06

Loading

...102030...3,8233,8243,8253,826...3,8303,8403,850...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved